જિંદગી એટલે જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો. આપણે તેના અન્ય નામોથી પણ જાણીએ છીએ – જીવન, જીવતર, જન્મારો.
પરંતુ દરેક વ્યક્તિની જિંદગી સરળ નથી હોતી. તેમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. કોઈને ઓછા તો કોઈની વધારે. જે તેણે તેનો સામનો કરવો પડે છે. જીવનના આ ઉતાર ચઢાવને સમજીને જે જીવી જાણે છે તેનું જીવન સાર્થક ગણી શકાય. આવા ઉતાર ચઢાવને અનુલક્ષીને કેટલાય ફિલ્મીગીતો દ્વારા આપણને ફિલસૂફીનો આસ્વાદ મળે છે. તેમાંના થોડાકનો આ લેખમાં ઉલ્લેખ છે. અહી જણાવાયેલા ગીતો ઉપરાંત વાંચતા વાંચતા કેટલાય અન્ય ગીતો પણ તમને યાદ આવશે તો તેને તમારી રીતે માણી લેજો.
જિંદગીની એક ફિલસુફીને વર્ણવતું ફિલ્મ ‘આનંદ’નું આ ગીત સદાબહાર છે:
જિંદગી કૈસી હૈ પહેલી હાયે
કભી એ હસાયે કભી એ રુલાયે
ઉપર કહ્યું તેમ જિંદગીના ચઢાવ ઉતારને અનુરૂપ આ ગીતમાં કહેવાયું છે કે આપણી જિંદગી એક કોયડો છે. ક્યારે તે આપણને હસાવશે અને ક્યારે રડાવશે તેની આપણને ખબર નથી. આ જાણવા છતાં વ્યક્તિ સપનોની પાછળ ભાગે છે અને પસ્તાય છે.
બહુ જ જૂની ફિલ્મ ‘આહ’નું આ ગીત પણ જિંદગી માટે કહે છે:
છોટી સી યે જિંદગાની રે
ચાર દિન કી કહાની તેરી
હાયે રે હાયે
ગમ કી કહાની તેરી
આપણે સૌ જાણીએ છે કે જિંદગીને ચાર દિવસની ચાંદની સાથે સરખાવાઈ છે અને તે દુ:ખોથી ભરેલ છે. કહેવાય છે કે ચાર દિનની ચાંદની અને પછી ઘોર અંધારું.
જિંદગી જીવતા જીવતા આપણા જીવનની રફતારમાં અનેક લોકો આવે છે અને આવા કેટલાક લોકો આપણને અધવચ્ચે છોડીને જાય છે પણ જ્યારે આ છોડનારની યાદ રહી જાય છે ત્યારે તે આપણને આપણી એકલતામાં તડપાવે છે. પણ આ તો એક કુદરતનો નિયમ છે અને તે જ તો જિંદગીની ખાસિયત છે. આવા અર્થનું ગીત ફિલ્મ ‘મુનીમજી’માં અપાયું છે જેના શબ્દો છે:
જીવન કે સફર મેં રાહી
મિલતે હૈ બિછડ જાને કો
ઓર દે જાતે હૈ યાદે
તન્હાઈ મેં તડપાને કો
આ ગીત ફિલ્મમાં બે વાર છે જેમાં લતાજીએ ગાયેલું ગીત દર્દભર્યા સ્વરમાં છે જે જિંદગીની ફીલસુફીને ઠીક ઠીક ઉજાગર કરે છે.
પણ જિંદગી માટે એક અન્ય ફિલસુફી છે કે આ જિંદગી તો એક સપનું છે. આવા અર્થનું ફિલ્મ ‘જાગતે રહો’નું ગીત પણ માણવા લાયક છે: જિંદગીમાં સાચું શું અને ખોટું શું તેની કોઈને ખબર નથી હોતી એવા ભાવાર્થનું આ ગીત છે:
જિંદગી ખ્વાબ હૈ
ખ્વાબ મેં જૂઠ ક્યાં
ઓર ભલા સચ ક્યાં
પણ જે બેફિકરાઈથી જીવન જીવી જાણે છે તેને માટે તો જિંદગી સુગમ થઇ રહે છે. ફિલ્મ ‘હમદોનો’માં દેવઆનંદ આવા જ કોઈ અંદાજમાં ગાઈ ઊઠે છે:
મૈ જિંદગી કા સાથ નિભાતા ચલા ગયાં
હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા
કેવી ઝિંદાદિલી !
ભલે આપણે જાણીએ છીએ કે જિંદગીમાં ચઢાવ ઉતાર છે પણ તેને હકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો તે એક આનંદમય સફર બની શકે. આવી જ ફિલસુફી લઈને રાજેશ ખન્ના ફિલ્મ ‘અંદાઝ’માં કહે છે:
જિંદગી એક સફર હૈ સુહાના
યહાં કાલ ક્યાં હો કિસને જાના
મતલબ કે આપણે સૌ જાણીએ છીએ કે કાલે શું થવાનું છે તેની કોને ખબર છે. તો પછી જિંદગીની સફરને માણી લો અને મોજ કરો.
પણ આ જ રાજેશ ખન્ના જિંદગીની થપાટ ખાઈને દુ:ખી થાય છે ત્યારે જુદા જ સૂરમાં કહે છે:
જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ
વો ફિર નહિ આતે, વો ફિર નહિ આતે
ફિલ્મ ‘આપ કી કસમ’નું આ ગીત પણ એટલું જ ફિલસુફીભર્યું છે
અન્ય એક ગીતમાં જિંદગીના ગમનો સામનો કરવા સક્ષમ ગુલઝાર કહે છે
યે જિંદગી ગલે લગાલે
હમને ભી તેરે હર એક ગમકો
ગલે સે લગાયા હૈ
ફિલ્મ ‘સદમાં’નું પશ્ચાદભૂમિમાં મુકાયેલ આ ગીત પણ માણવા જેવું છે. આ ગીત એટલે જ ફિલ્મ ‘ડીયર જિંદગી’માં પણ અપાયું છે.
જિંદગી માટેનો એક ઓર અંદાઝ પણ માણવા લાયક છે:
જિંદગી પ્યાર કા ગીત હૈ
ઈસે હર દિલ કો ગાના પડેગા
ફિલ્મ ‘સૌતન’’ના આ ગીતની ફિલસુફીને જે સમજી શકે છે તે ખરેખર આનંદથી જિંદગી વિતાવી શકે છે અને માણી શકે છે.
નિરંજન મહેતા