હેલીના માણસ – 2  । આપણને નહીં ફાવે!

Heli na manas Poster

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,

પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,

ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?

તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,

પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

– ખલીલ ધનતેજવી

ખલીલ સાહેબના અદના મિજાજની ઓળખ બની ગયેલી આ ગઝલના ભાવને રજુ કરતો રસાસ્વાદ :

ઘણી વાર આપણને શું ગમે છે તેની પોતાને જ ખબર નથી હોતી. અથવા એ બાબત વિચારવાની તક જ ન મળી હોય તેવું પણ બને! ક્યારેક તો શું ભાવે છે કે, શું ફાવે છે તે બાબતથી પણ અજાણ હોઈએ છીએ! ખાસ કરીને, ગૃહિણી હંમેશા ઘરના તમામ સભ્યોને શું ગમે તે જાણવા અને કરવા કટિબદ્ધ હોય છે. તે ભાગ્યે જ પોતાની પસંદગી વિશે વિચારતી હોય છે. પરંતુ આપણા કવિશ્રીના પોતાની પસંદગી વિશેના ખ્યાલો સ્પષ્ટ છે. શું ફાવશે અને શું નહીં જ ફાવે તે બાબત તેઓ ચોક્કસ વિચારો ધરાવે છે. વાદળને સંબોધતા હોય તે રીતે કહે છે, મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. પણ ખરેખર તો આ આડકતરી રીતે પ્રિય પાત્રને કહેવાયું છે કે, વ્હાલ વરસાવો તો ભરપૂર વરસાવો, કંજુસાઈ આપણને નહીં ફાવે! દિલની આ વાતને વરસાદ સાથે સરખાવીને કવિ કહે છે જેને હેલી પસંદ હોય, તેને પ્રસાદ જેટલી માત્રામાં માવઠું પડે તે કેમ ચાલે? અને  કેટલા ગર્વથી તેઓ કહી દે છે કે, ‘અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.’ કશું ઓછું કવિને નહીં ફાવે, તે વાત વધુ દ્રઢ પણ કરે છે. અને કહે છે, અગાધ જળરાશિ ધરાવતા સમુદ્રમાં જઈને માછલીની નાની આંખોમાં પણ ડુબકી મારવાની હશે તો એ ચાલશે પરંતુ છીછરું ખાબોચિયું! ના, એ તો નહીં જ ફાવે. પ્રિય પાત્રને સાવ ઓછા સમય માટે ઉભા ઉભા કે, અલપઝલપ મળવાનું થાય એનો શો અર્થ? એના કરતાં તો ના મળવું જ વધુ સારું. અહીં આપણને, ‘અભી ના જાઓ છોડકર કે, દિલ અભી નહીં ભરા.’ એ ગીત યાદ આવી જાય. પણ ખલીલ સાહેબ તો પોતાની આગવી અદામાં કહી દે છે કે, તમે નહિં આવો તે ચાલશે પણ આવીને પાછા જવાનું! એ તો હરગીઝ નહીં ફાવે! 

પ્રિય પાત્ર, સુંદર વ્યક્તિત્વ ધરાવતું હોય ત્યારે તેને ચાહનારાઓ બીજા પણ હોઈ શકે. આ સંજોગોમાં જ્યારે પ્રિયતમા સાથે સમય વિતાવવો હોય ત્યારે તેના ચાહનારાઓની સૂક્ષ્મ હાજરી પણ કવિને કઠે છે. એટલે જણાવી દે છે કે, એવું બધું તો ક્યાંથી ફાવે? એના કરતાં તો પછી આવો સંબંધ ન રાખવો વધુ સારો. આ જ વાત કવિ કેવા શબ્દોમાં કહે છે! ‘તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ? તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે’ 

જે વ્યક્તિ તમારો આદર્શ હોય અને જેમના આદર્શો અને આચરણને તમે અતિ સન્માનનીય અને ગ્રાહ્ય ગણતા હો, છતાં એનું આંધળું અનુકરણ કરવાનું કવિને માન્ય નથી. ગાંધીજી એ કહ્યું હતું કે, કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવો. આ અને તેમણે કહેલી અનેક વાતો સન્માનનીય અને ગ્રાહ્ય છે જ અને આપણે જીવનમાં ઉતારવી જ જોઈએ, પણ તેઓની જેમ પત્નીને બા કહેવાનું તો ન જ ફાવે એમ કવિ દ્રઢપણે માને છે. પોતાની તીવ્ર લાગણીઓ દર્શાવવા કવિ સખત શબ્દોમાં પોતાને ન ફાવતી વાતોનો વિરોધ કરે છે અને એટલે સુધી કહી દે છે કે,

‘તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ, પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે!’

આલા ગજાના ગઝલકારની આ ગઝલના ભાવજગતની સફર આપે માણી હશે. ખલીલ સાહેબની આવી જ એક અદકેરી ગઝલ અને એનો રસાવાદ માણીશું આવતા અંકે!

રશ્મિ જાગીરદાર 

તા. 31 જાન્યુઆરી 2022

વિસ્તૃતિ શ્રેણી નં :૧ જયશ્રી પટેલ* 

*98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679
*મિત્રો,
હું છેલ્લે ૧૪વર્ષ પહેલાં કલકત્તાનાં એરપોર્ટ પર ઉતરી તો મારી આંખોમાં સમાયેલા એ કલકત્તાને પામી હું હર્ષાય ગઈ હતી.ઉગતી સવારે શંખનાદોનો ધ્વની અને દુર્ગાપૂજા કરવા જતી સફેદ ને લાલબોર્ડરવાળી બેંગોલી સાડી પહેરેલી સુંદર બંગાળી સ્ત્રીઓ, એ જ રસ્તા વચ્ચે દોડતી ટ્રામો અને બંગાળી બાબુઓ ને પેલી કાળી પીળી
ટેક્સીઓ , નાની ઢબનાં મકાનો ને ઘરે ઘરે તુલસી ક્યારાઓ..
હા, આ જ વર્ણન મારા પ્રિય લેખક શરદબાબુની કલમે મેં માણ્યું ને જાણ્યું ને વાંચ્યું છે આ બધું તાજું થઈ ગયું.
મિત્રો શરદબાબુ મારા પ્રિય લેખક છે. તેમનો પરિચય આપું ,તો તેઓનો જન્મ બંગાળના એક નાનકડાં ગામ દેવાનંદપુરમાં બ્રાહ્મણ કુટુંબ મોતીલાલ ચટ્ટોપાધ્યાયને ત્યાં ૧૫ સપ્ટેમ્બર ૧૮૭૬માં થયો હતો.માતા ભુવનદેવી
ગાંગુલી પરિવારમાંથી હતાં.નાની ઉમ્મરે માતા પિતાની છત્રછાયા ગુમાવવાને કારણે ગરીબાઈ ગળે વળગી, તેને કારણે આગળ અભ્યાસ પણ ન કરી શક્યા.અપૂર્ણ અભ્યાસને કારણે જાત જાતની નોકરી કરી પણ સિમિત વેતનમાં જ જીવન વિતાવવું પડ્યું. આખી જિંદગી બાબુ બનીને જ જીવ્યાં.

મિત્રો,સાહિત્ય, તેમને પિતા તરફથી વારસામાં મળ્યું હતું. પોતે લધુતા ગ્રંથિનાં ભાવથી પીડાતાં હતા.તેને કારણે પ્રથમ વાર્તા” મંદિર” મામાના નામે લખી અને સ્પર્ધામાં તે પ્રથમ પુરસ્કાર પામી.ત્યારબાદ તેઓ પોતાના નામે વાર્તાઓ લખતા થયાં.પેટિયું રળવા બર્મા ગયા, ત્યાં રેલ્વેમાં કારકુનની નોકરી શરૂ કરી.તેઓ કહેતાં કે વતનમાં ૧૦૦ રૂપિયાની નોકરી મળે તો તેઓ પાછાં ફરે.કલકત્તા પાછા ફરવાનું કારણ તેમની વાર્તાઓ જ હતી.

ગરીબાઈએ તેમને કેટલાંય ટંક ભૂખ્યા રહેતા શીખવી દીધું. ભૂખે જ તેમને લખતા કરી દીધાં. એક સમય આર્થિક સંકડાશને કારણે પોતાની નવલકથાઓ પ્રકાશકને ૩૦૦રૂપિયામાં વેંચી હતી.છતા એ જ ગરીબાઈએ તેમને કલમના બાદશાહ બનાવી દીધાં.
મિત્રો, વિચારો આજથી એકસોને છેત્તલીસ વર્ષ પહેલાંના સમયની કલ્પના કરી શકો છો? જ્યાં હજુ અંગ્રેજોનું રાજ હતું! ત્યારની ભારતીય નારીની કલ્પના કરીએ તો શું વિચારો તમને સ્ફૂરે ? સ્ફૂરે તો શું લખો? એવા સમયે શરદબાબુની કલમે પરણિતાની વાર્તામાં લલિતાનો જન્મ થયો હતો. તેઓએ સ્ત્રીઓને અદ્ભૂત રીતે આલેખી ,પરંતુ સ્ત્રીઓનું સુખ પોતાના જીવનમાં ન પામી શક્યા.તેમના જીવનમાં બે પત્ની આવી . પહેલી પત્ની પ્લેગમાં મૃત્યું પામ્યાં, બીજી પત્ની તેમની સાહિત્યની કલમને ન ઓળખી શક્યા.
દૈનિકપત્રમાં હપ્તાવાર આવતી વાર્તા “બડીદીદી” નવલકથા વાંચ્યા પછી ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે તેમની સરાહના કરીને કહ્યું કે”આના જેવો બીજો લેખક નથી” આ શબ્દો શરદબાબુના પ્રેરણા સ્ત્રોત બની ગયાં. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટગોર તેમના સાહિત્ય ગુરુ જો હતા! સાદગી, નમ્રતા અને સહજતા તેમનું સબળું પાસું હતું. ગુરુવર્યની સરાહનાથી હિમ્મત વધી લઘુતાગ્રંથીની ભાવના છૂટી અને ધીરે ધીરે હથોટી બેસતાં મોટા લેખકોમાં તેમની ગણત્રી થવા લાગી.
મિત્રો, પછી તો કલમ એવી ઉપડી કે હપ્તાવાર વાર્તાઓ છપાતી રહી. તેમની નવલકથાઓઓ અને વાર્તાઓ પરથી નાટકો, સિનેમાઓ બન્યાં. તેમના નામનો ડંકો દેશ વિદેશમાં લાગ્યો.તેમની રચનાઓનો દરેક ભાષામાં અનુવાદ થયા. અરે! તેમની અલગ ને નોખી વિચારશરણીથી શરદબાબુને ચાહનારા બે પક્ષ ઊભા થયાં. એક વર્ગ તેમને આંખ મીંચી ચાહતો ને બીજો વર્ગ કહેતો કે તેમના ઘૃણા યુક્ત પાત્રો જ વાંચક વર્ગને જકડી રાખે છે.એક ચાહ ઊભી કરે છે.
મિત્રો, સત્ય એ જ છે કે મારી આંખોમાં પણ કલકત્તાનાં બંગાળી જીવનની આબેહૂબ છબી તેમણે જ ઊભી કરી હતી. હું તેમને વાંચતી ત્યારે બંગાળની સામાજિક વ્યવસ્થા મારી નજરો સમક્ષ ઊભી થઈ જતી.
મારા માટે શરદબાબુ સંવેદના અને લાગણીનાં વાહક હતા.મારા જીવનમાં તેમની ૨૫ નવલકથાઓનું અને ૭ કથા સંગ્રહોનું એક અજબ આકર્ષણ હતું ને રહેશે.
મિત્રો, મારી જ વાત કરું તો, મારા લગ્નની પહેલી તિથિએ મેં મારા મિત્ર સમાન પતિદેવ મિલન પાસે ભેટ સ્વરૂપે શરદ ગ્રંથાવલીનાં સેટની માંગણી કરી હતી. તેમને જરૂર થયું હશે દર દાગિનાં નહિને પુસ્તકની માંગ એમ કેમ? પણ મને શરદબાબુનો તેમની ઉત્કૃષ્ટ કલમનો ગજબ લગાવ હતો. મારે મન તે જણસોથી વધું પ્રિય હતાં, કારણ હું પણ સાહિત્ય પ્રેમી છું. તેના માટે મારાં માતા પિતાની ઋણી છું તેમણે મને નાનપણથી દરેક ભાષાનાં લેખકોનો પરિચય કરાવ્યો હતો.
મિત્રો, ચાલો મારી આ શ્રેણીમાં આગળ આપણે શરદબાબુની સાહિત્યકૃતિઓની વિસ્તૃતિ કરીશું અને માણીશું. મારા લખાણમાં તેમની કલમનું જાણતાં અજાણતાં પણ હું અપમાન ન કરું એવી ભાવના સાથે મળશું આવતા અંકે.
અસ્તુ.
જયશ્રી પટેલ.
૩૦/૧/૨૨

 

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧:અલ્પા શાહ 

રબીન્દ્રસંગીતમાં છલકતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન… 

નમસ્કાર મિત્રો

ગીતબિતાન” શ્રેણીમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. 

“ગીતબિતાન” – એક બંગાળી શબ્દ – જેનો અર્થ થાય છે “Garden of Songs” અર્થાત ગીતોનું ઉપવન . આ એક એવું ઉપવન છે જે શબ્દોની સમૃદ્ધિથી મલકાય છે ,જેમાં સપ્તકના સાત સ્વરોની સુરાવલીઓ રેલાય છે  અને જે અઢળક માનવીય  સંવેદનાઓથી છલકાય છે.  “ગીતબિતાન” એટલે વિશ્વકવિ રબીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલી ૨૨૦૦ થી વધુ રચનાઓનો અમૂલ્ય સંગ્રહ. જેમાંની ૭૦૦થી વધુ રચનાઓનું સ્વરાંકન પણ ગુરુદેવે પોતે કરેલ છે. અને આ ગીતો થકી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જે આખી શૈલી અસ્તિત્વમાં આવી તે રબીન્દ્રસંગીત.   

કહેવાય છે કે “Poetry contains the reflection of poet’s feelings and emotions” અર્થાત કવિ હૃદયમાં ઉઠેલી સાશ્વત સંવેદનાઓ અને લાગણીઓ શબ્દો દ્વારા વહી નીકળે છે ત્યારે કવિતા રચાઈ જાય છે. “ગીતબિતાન”ના કાવ્યો પણ ગુરુદેવના આંતરમનની સંવેદનાઓનું પ્રતિબીંબ છે. પ્રકૃતિ અને પરમેશ્વર સાથે એક અદમ્ય અને અનેરો નાતો અનુભવતા ગુરુદેવે કિશોરાવસ્થાથીજ તેમની સંવેદનાઓને શબ્દ દ્વારા કવિતા રૂપે વહેતી કરી અને એ કાવ્યને સૂરના શણગારે સજાવી અને આમ ૧૮૭૫માં પ્રથમ રબીન્દ્રસંગીત શૈલીના ગીતની રચના થઇ. અને બસ પછીતો સતત પાંચ દાયકા ઉપરાંતના વર્ષો દરમિયાન આ ઉપવનમાં એક પછી એક પુષ્પો ખીલતા ગયા અને વિશ્વને રબીન્દ્રસંગીતના ગીતો થકી રત્નોની ભેટ મળતી રહી. “ગીતબિતાન” ગીતસંગ્રહમાં ધરબાયેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરીએ તે પહેલા ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરના જીવન પરિચય પર એક ઝલક નાખીએ.  

જો કે ગુરુદેવનો ઔપચારિક પરિચય આપવાની નથી મારી કોઈ લાયકાત કે નથી એવી કોઈ જરૂર… ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર – એક બહુમુખી પ્રતિભા. The personification of versatility. સર્જનાત્મકતા (creativity), બુદ્ધિમતા(intellect) અને સંવેદનશીલતા(empathy/compassion) નો અદભુત સમન્વય એટલે કવિવરનું વ્યક્તિત્વ. તેમના વ્યક્તિત્વે સમગ્ર માનવજાતિની ક્ષમતાના એક નવાજ આયામનો પરિચય કરાવ્યો. એક પ્રખર લેખક અને સાહિત્યકાર, એક સંવેદનશીલ કવિ, એક ઉચ્ચકોટિના સંગીતકાર અને ગાયક, એક નિષ્ઠાવાન દેશભક્ત, એક ગહન ફિલસૂફ, એક વિખ્યાત ચિત્રકાર, ૧૯૧૩માં સાહિત્યનું  નોબેલ પારિતોષિક જીતનાર અને  સુપ્રસિદ્ધ શાંતિનિકેતન તથા વિશ્વભારતી યુનિવર્સિટીના સંસ્થાપક  રબીન્દ્રનાથ ટાગોરનો જન્મ ૧૮૬૧માં  થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેમને બંગાળી સાહિત્ય સંગીત અને કળાને સ્વરચિત વાર્તાઓ, નાટકો, કવિતાઓ, અને ગીતો દ્વારા એક નવો જન્મ આપ્યો અને વિશ્વના ફલક પર જાણીતું કર્યું. તેમનું કાર્યક્ષેત્ર  બંગાળીની સાથે સાથે અંગ્રેજી ભાષા સુધી વિસ્તરેલું હતું અને ગુરુદેવે પોતે પોતાની અમુક  કવિતાઓનું  English translation કર્યું.અનેક જીવનકાળમાં કરી શકાય તેવું કાર્ય એક જીવનકાળ દરમિયાન કરીને કવિવરે ૧૯૪૧માં આ જગતમાંથી સ્થૂળ દેહે વિદાય લીધી. ગુરુદેવે ભલે સ્થૂળ દેહે વિદાય લીધી, પણ તેમના ધબકારા તેમણે સર્જેલા સાહિત્ય અને સંગીતના વારસામાં હજે આજે પણ ધબકે છે અને આવતીકાલે પણ ધબકતા રહેશે…

કહેવાય છે કે કવિવર રબીન્દ્રનાથ ટાગોર નખશીખ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ માનવીય લાગણીઓને  અને મનોભાવોને સમજી શકતા હતા અને  અનુભવી શકતા હતા અને કદાચ એટલેજ રબીન્દ્રસંગીતના ગીતોમાં માનવ મનના બધાજ મનોભાવો અને લાગણીઓ શબ્દો  દ્વારા પ્રતિબિબિત થયેલ છે. રબીન્દ્રસંગીતના ગીતોમાં પરમાત્મા પ્રત્યેનો આદર અને અહોભાવ ડોકાય છે તો પ્રિયજન માટેનો પ્રેમભાવ પણ પ્રદર્શિત થાય છે. તેમાં પ્રકૃતિ સાથે શબ્દો અને સંગીતથી તાદામ્ય સધાયેલ છે તો તેમાં દેશભક્તિનો જોમ અને જુસ્સો પણ કંડારાયેલ છે. આમ રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવે માનવમનની સંવેદનાઓના મેઘધનુષને જગત સામે પીરસ્યું છે. જે સઘળું તેમના “ગીતબિતાન” અર્થાત “Garden of songs” પુસ્તકમાં ધરબાયેલ છે …

એ પુસ્તકને કેન્દ્રમાં રાખીને મારે તેમાં રહેલા ચૂંટેલા કાવ્યો/ગીતોનો ભાવાનુવાદ કરી તેમાં રહેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન આ લેખમાળા દ્વારા તમારી સાથે કરવું છે…. આશા રાખું છું કે તમે પણ મારા આ પ્રયત્નમાં મારી સાથે રહેશો અને મારી સાથે એ સંવેદનાઓની સરવાણીમાં ભીંજાશો અને હા, તમારા માર્ગદર્શન અને પ્રતિભાવો – કે જે આ કલમ વિકસાવવામાં પાયારૂપ છે તે પણ આપતા જ રહેશો.

તો ચાલો મિત્રો, આજના આ વિષય પરિચય બાદ ફરી મળીશું આવતા શનિવારે…

અલ્પા શાહ 

ઓશોદર્શન- 2

વિશ્વની પ્રાચીન સભ્યતાઓમાં એક અગ્રગણ્ય નામ એટલે ભારતીય સભ્યતા. ભારતીય સભ્યતાનો આત્મા એટલે ઋષિઓનું તત્વદર્શન. ભારતીય પરંપરા જીવંત છે કારણ કે આ તત્વદર્શનની વ્યાપક મુલવણી થઈ છે. નેતિ નેતિની વાત કરતાં ઉપનિષદો જોઈએ તો પણ લાગે કે વિજ્ઞાનમાં જેમ તર્કશુદ્ધ દલીલોને અવકાશ છે તેમ જ તત્વજ્ઞાનમાં પણ છે. જ્ઞાન અને વિજ્ઞાન સાથે જ તત્વજ્ઞાનનો સંગમ થાય તો સોનામાં સુગંધનો અહેસાસ થાય. આવો એહસાસ એટલે ઓશો. ઓશો એટલે પ્રાચીન તત્વદર્શનનો અર્વાચીન એહસાસ. આપણે ઓશોની પ્રબુદ્ધ ચેતનાના મહાસાગરમાં ડૂબકી લગાવીએ તે પહેલાં તેમનો પ્રાથમિક પરિચય મેળવી લઈએ. આ માટે ઓશોના દેહ છોડ્યા બાદ આપણા ગુજરાતી સાહિત્યકાર શ્રી. સુરેશ દલાલે ‘જન્મભૂમિ પ્રવાસી’માં 1991માં 6 લેખો લખેલા તેનો સંદર્ભ લઈએ.
ઓશો કહીએ કે ભગવાન રજનીશ કે પછી આચાર્ય રજનીશ – જુદા જુદા સમયે તેમણે ધારણ કરેલાં નામો પણ મૂળ નામ રજનીશચંદ્ર મોહન. પરંતુ માણસને ઓળખ અપાવે તેનું કામ. 11ભાઈબહેનોમાં સહુથી મોટા રજનીશજીએ બાળપણ વિતાવેલું નાના સાથે. ઓશોના બચપણમાં નાનાનું મૃત્યુ તેમને કંઈક અંશે અધ્યાત્મ તરફ દોરી ગયું. શરૂઆતના વર્ષોમાં તેઓ ખાદી પહેરતા પણ જ્યારે ખાદીધારીઓ વધવા લાગ્યા ત્યારે તેમણે ખાદીનો ત્યાગ કર્યો.
જે લોકોએ રજનીશજી ને રૂબરૂ જોયા છે અને સાંભળ્યા છે તેઓ તેમના ચુંબકીય વ્યક્તિત્વના પ્રભાવથી અંજાયા છે. તેમનું સમગ્ર વ્યક્તિત્વ તેમની આંખોમાં અને તેમના અવાજમાં છે. હાથ જોડીને પ્રણામ કરવાની તેમની અદા, વાત કરવાની છટા અને ચહેરા પરનું શાંત ગૌરવ અનોખું છે. કેટલાક લોકોને એમની આંખોમાં વશીકરણનું જાદુ લાગતું. રજનીશજી વાતોના વણઝારા છે. તેમની તર્ક શક્તિ અદ્ભુત છે. તેમનું મનન અને અર્થઘટન મૌલિક છે. તેમની પાસે દૃષ્ટાંતો અને ઉદાહરણોનો ખજાનો છે. તેઓ શબ્દોમાં સોદાગર હોવાની સાથે કુશળ વક્તા પણ છે. એમનામાં હાસ્યની અદ્ભુત સૂઝ છે. તેથી જ મુલ્લા નસરૂદ્દીન તેમનું પ્રિય પાત્ર છે. તેઓ અનેક વિષય પર રસપૂર્વક અધિકારથી વાત કરી શકે છે.
જગતના કોઈ પણ લેખકે આટલું નથી લખ્યું. તેમણે હિન્દી અને અંગ્રેજી મળીને કુલ 610 પુસ્તકો લખ્યાં છે. વસ્તુત: આ પુસ્તકો લખાયાં નથી, બોલાયા છે. એમના વ્યાખ્યાનો ધ્વનિમુદ્રિત થયાં અને એમાંથી પુસ્તકો પ્રગટયા. એ દૃષ્ટિએ તેમનો વિશ્વ વિક્રમ છે. ઓશોની વાણીમાં લોકોને અધ્યાત્મને રસ્તે વળવાની ગજબનાક શક્તિ હતી. આવા પ્રબુદ્ધ પુરુષની વાણીનો લાભ મળે ને લોકોનું કલ્યાણ થાય એ શુભ દૃષ્ટિ.
તેમના શરૂઆતના જીવનમાં તેઓ પ્રશ્નો પૂછતા રહ્યા ને ઉત્તરો ખોળતા રહ્યા. ધીરે ધીરે પ્રશ્નરહિત થયા ને ભીતર એક અવકાશ રચાયો ત્યારે તેમની અનુભૂતિ હતી – કોઈની નૌકામાં બેસીને સાગર પાર કરવાના બદલે પોતાના દરિયામાં ડૂબવું સારું. તેમણે પોતે જ કહ્યું છે કે તમસ, રજસ અને સત્વ ક્રમે ક્રમે વિકસ્યા છે. તેમની આગ ઝરતી તેજાબી વાણીમાં તેમણે ઘણા વિવાદો પણ સર્જેલા. તેમણે તર્કનો ઉપયોગ પણ કર્યો છે અને વિરોધ પણ. તેમણે ધારણાઓ અને અભિગમોથી છવાયેલા મનને ખંડનથી બદલવાનો પ્રયત્ન કરેલો. નિખાલસતા અને નીડરતા તેમની ખાસિયત હતી. તેઓ પરંપરા માત્રનો વિરોધ કરતા. પોતાની હૃદયગુફામાં તેઓ એકાકી હતા. તેથી જ પોતાની આસપાસ પહેલા વંટોળ ઊભો કર્યા બાદ શાંતિથી રહેતા. એ બધાંની વચ્ચે એકલા દ્વિપની જેમ રહ્યા. મૃત્યુ દ્વારા જીવનનો સાક્ષાત્કાર કર્યો. એમણે મૃત્યુની દુર્ભાગ્યની ઘટનાને કાયાકલ્પ, માયાકલ્પ અને સંકલ્પ દ્વારા સૌભાગ્યમાં પલટી નાખી.
સામાન્ય રીતે કોઈ પણ માણસની ઓળખ કરાવી હોય તો તેની બાહ્ય બાબતો પર જ વિશેષ ધ્યાન અપાય છે. વર્તુળમાં જેમ પરિઘ હોય તેમ આ બાહ્ય બાબતો પરિઘ સમાન છે. તેમાં વ્યક્તિનું રૂપ, ગુણ, વાણી, વર્તન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પણ તેનાથી વ્યક્તિનું સાચું સ્વરૂપ પ્રતિબિંબિત થતું નથી. તેનો સાચો પરિચય મેળવવો હોય તો કેન્દ્રને લક્ષમાં રાખવું જોઈએ. આ લેખમાળા દ્વારા ઓશોનો સામાન્ય બાહ્ય પરિચય મેળવી વિશેષ રૂપે તેમના કેન્દ્રને લક્ષ્યમાં રાખવાનો પ્રયત્ન રહેશે.
ઓશો કહે છે-
‘મનુષ્યના મનને નિર્માણ કરનારી વાતોમાં જે ભૂલ થઈ ગઈ છે તે એ છે કે મનુષ્યને આપણે હજારો વર્ષોથી શ્રધ્ધા અને વિશ્વાસ શીખવ્યો છે, વિવેક અને વિચાર નહિ. જે માણસ વિશ્વાસ કરી લે છે, શ્રદ્ધા કરી લે છે, માની લે છે, સ્વીકારી લે છે તેની બધી શોધ, તેની બધી જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય છે. વિશ્વાસનો મતલબ છે પોતાના વિવેક અને વિચારનો આત્મઘાત.’
‘આત્મજ્ઞાનની દિશામાં પહેલું સૂત્ર છે, ‘હું જાણતો નથી’ એ વાત જાણવી. એ સત્ય છે કે હું નથી જાણતો અને આ સત્યથી જે શરૂ કરશે તે અનંત: પરમ સત્યને ઉપલબ્ધ થઈ જાય છે.’
ઓશો દર્શન એક વિચારયાત્રા કે ચિન્તનયાત્રા છે. જરૂરી નથી કે તેમની વિચારધારા કે ચિંતન સાથે આપણે સહમત હોઈએ. છતાં ઓશોના દર્શનમાં વિચાર સાથે સંકળાયેલ એક નવો આયામ, નવી દૃષ્ટિ અને એક નવું પરિમાણ જરૂર મળે કે જે આપણને કંઇક નવી રીતે વિચારવા મજબૂર કરે છે. તેમના નિજી જીવન કે વિવાદોથી પર રહીને તેમના ચિંતનસાગરને ખેડવાનો આ પ્રયત્ન એક સફર છે. સફરના પ્રારંભની પ્રેરણા મળે છે ઓશો શબ્દમાંથી. ઓશો શબ્દ તેમણે વિલિયમ જેમ્સના ઓશનિકમાંથી પ્રાપ્ત કરેલો. ઓશોનો અર્થ છે સમુદ્રમય થવું કે સમુદ્રપણું પ્રાપ્ત કરવું. જ્ઞાનના આ સમુદ્રમાંથી જ્ઞાનમયતા પ્રાપ્ત કરવી. એવા લક્ષ્ય સાથે આપણા વ્યક્તિત્વને અધ્યાત્મ સાથે જોડવાનો અનુભવ એટલે ઓશોદર્શન. આપણી આત્મચેતનાને પ્રગટાવવાનો આ અવસર – આ અનુભવયાત્રા એટલે ઓશોદર્શન.
માણીએ આવતા અંકોમાં.
રીટા જાની
28/01/2022

વિચારયાત્રા – 1 જોગાનજોગથી જાણવા જોગ

જોગાનજોગથી જાણવા જોગ

જોગાનજોગથી જાણવા જોગ

જોગાનજોગ એટલા માટે કહીશ કેમકે અહીં આપેલ લિંકમાં જે ગીત છે તે પંદર દિવસ પહેલા મારી એક વિધાર્થીનીના પ્રોજેક્ટ માટે રેકૉર્ડ કર્યું હતું. અને જાણવા જોગ એટલા માટે કહું છું કેમકે એ જ અરસામાં મને ઘણું જાણવા મળ્યું. ચાલો, થોડુંક હજી વિસ્તારથી જણાવું.
જયારે આ ગીત રેકોર્ડ કર્યું ત્યારે મને ખબર ન હતી કે મને આને મિક્સ કરતા આટલા બધા દિવસ થશે. જોગાનુજોગ બે દિવસ પહેલાં જ મિક્સ કર્યું અને ધ્યાનમાં આવ્યું કે બીજા જ દિવસે આપણો ગણતંત્ર દિવસ છે. તો થયું ચાલો આને પબ્લિશ કરવાનો આનાથી ઊત્તમ દિવસ બીજો કયો હોઈ શકે!!
કેટલા સુંદર શબ્દો છે આ ગીતના.

ગીતના શબ્દો છે. “ઝોમ્બી” અને એમાં કહે છે કે “ઈન યોર હેડ..ઝોમ્બી…” હા..હા..કેટલું સુંદર આલેખન. કુદરતે આપેલા આપણા નાદાન મનમાં આપણે જ એક એક ઝોમ્બીને પેદા કર્યો છે. આ ગીતનું કામ કરતી વખતે મારો ધ્યેય ખૂબ મોનોફોનિક હતો. કે આ ગીત કર્ણપ્રિય લાગવું જોઈએ. પણ આ ગીતના શબ્દોએ તો મને માત્ર સ્ટેરીયોફોનિક જ નહીં પણ 360 ડિગ્રીએ હચમચાવી દીધો. કેટલું સત્ય છે. કે એક આભ નીચે આપણે એક મા એટલે ધરતી માના બાળક છીએ અને છતાં પણ આપણા દિમાગમાં કેટલા અલગ અલગ જાતના ઝોમ્બી વિકસાવીએ છીએ. માણસ, ધર્મ, સમુદાય, સમાજ, રાજ્ય કે દેશ હોય, બધાયની વિચારધારામાં કાળા વાવટા જ લહેરાય છે. ક્યાંય કંઈ પારદર્શક નથી. પણ એવી જ અપારદર્શક પરિસ્થિતિ વચ્ચે આ ગીત આપણી જાતને દર્શાવતો સાચો અરીસો બનીને ઉભરી આવે છે.

મારા હાથમાં ગિટાર હોય, મલકાતાં મોઢે જાતભાતનાં ગીતો સાંભળીને મારા વિદ્યાર્થીઓ તો ક્યારેક મને એવું પણ કહેતા હોય છે કે, “સર તમે તો હીરો જેવાં લાગો છો..”
તે બાળકોની આ સહજવૃત્તિ કેટલી નાદાન છે. એમનાં મન કેટલાં ચોખ્ખા છે. એટલે જ તેઓ નિખાલસપણે નિઃસ્વાર્થ વખાણ કરી શકે.

સર આઇનસ્ટાઇને એટલે જ કહ્યું છે કે, “ It is easy to break an atom, but it is difficult to break prejudice.” એટલે કે,“અણુને તોડવા કરતાંય પૂર્વગ્રહને તોડવો વધારે અઘરો છે.” પરંતુ જો પૂર્વગ્રહનું જ પૂર્ણવિરામ મુકાઈ જાય તો?

આ માનસિક અવસ્થામાં આપણે લગભગ ધાર ઉપર ચાલીએ છીએ. આ ઝોમ્બીએ મને એટલે હદ સુધી વિચારતો કરી દીધો કે એક ભાઈના ધડાકા બીજા ભાઈના મૌનનું કારણ બનશે! હાલની સ્થિતીને ધ્યાનમાં લઈએ તો આખું વિશ્વ હજી મહામારીના ચંગુલમાંથી બહાર આવ્યું નથી ત્યાં તો રશિયા અને યુક્રેન યુદ્ધના બ્યુગલો વગાડવા નીકળી પડ્યાં છે.

સાચે કહું, બની શકે કે માણસ જીતશે પણ એ જ સમયે માણસાઈ હારી જશે.
આજથી જ મારી આ વિચારયાત્રામાં હકારાત્મકતાનો પણ સમાવેશ કરું છું.

વિરામ…

  • મૌલિક નાગર


‘સંસ્પર્શ’ શ્રેણી-૧-જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtubeમિત્રો,
મારે વાત કરવી છે એવી વ્યક્તિની કે જે પ્રેમાળ,પારદર્શી અને પ્રકૃતિપ્રેમી છે.૧૯૪૭માં ભાવનગરનાં નીંગાળા ગામમાં જન્મેલ અને હાલ કરમસદમાં રહેતા આ લેખકને કોઈએ કેમ ઋષિ લેખક કહ્યા છે? કારણ તેની પાસે સમગ્ર સૃષ્ટિને પોતીકી ગણી ,તેની સંવેદના સૌને વહેંચવાની વૃત્તિ છે.આ સર્જક પ્રકૃતિની સંવેદના અને નાના નાના માણસની કરુણાને ઝીલીને તેને શબ્દબધ્ધ કરવાનું સામર્થ્ય ધરાવે છે.સુખ અને આનંદની વ્યાખ્યા જગતે નક્કી કરી તેમ નહીં પણ પોતાની અનુભૂતિનાં ઊંડાણથી અનુભવીને તેમણે કરીછે.
નભમંડળમાં અનેક તારલાઓ ટમટમતાં હોય છે, પણ તે બધામાં યે જુદો પડી અચલ ,અવિરત નોખો નિખરી આવતો ,પોતાનાં તેજ અને પૂંજ થકી ટમટમતો ધ્રુવનો તારો કેવો અનોખો લાગે છે! સાહિત્યનાં નભાકાશમાં પણ પોતાના નોખા સર્જન થકી અનોખા તરી આવતા ધ્રુવદાદાની વાતો મારે કરવી છે.તેમના ગીતો સાંભળતાં અને નવલકથાઓ વાંચતાં જે વાત મનને સ્પર્શી ગઈ અને શરીર-મનમાં ક્યારેક ઝણઝણાટી કે પરમ સાથેનાં પમરાટ પામવાની અને જીવન જીવવાની સાચી અને સરળ વાત સમજાવી ગઈ તે સ્પર્શને તમારા સુધી પ્રસરાવવાનો નમ્ર પ્રયત્ન કરવો છે.
તમે ચાલતાં ચાલતાં ઊભા રહી ઝાડ સાથે વાત કરી છે? ખુલ્લા પગે ,વહેલી સવારે લીલાછમ્મ ઘાસ પર પડેલાં ,સાચાં મોતી જેવાં ઝાકળને જોઈને સાચાં મોતી જોયા હોય તેવો આનંદ મેળવ્યો છે? સાગર કિનારે ઊભા રહી વેગ અને ધૂધવાટનાં આવેગ સાથે આવતા મોજાને જોઈ ,તમારો પ્રેમી તમને પ્રેમથી ભીંજાવવાં દોડીને મળવા આવી રહ્યો હોય તેવો ઉન્માદ અનુભવ્યો છે? નદીની રેતીમાં છીપલાં વીણતાં બાળકને જોઈને તમારાં બાળપણની નિર્દોષતા સ્મરી છે?અને તમારા ગામની નદી સાથેની માતા જેવી મમતા નદીમાં પગ બોળી અનુભવી છે? વરસાદમાં કાળા ભમ્મર વાદળો સાથે વાત કરી તમારાં પ્રિયજનને સંદેશા મોકલ્યા છે?વાદળનાં ગડગડાટમાં પરમને ઘોડે સવારી કરી,હણહણાટ કરતાં ઘોડાઓ સાથે વીજળીનાં ઝબકારામાં ચમકારો જોયો છે?પવનની સંગ ફૂલોને ડોલતાં જોઈ તેની સાથેની પ્રીત તમે સ્પર્શી છે?સૂરજનાં તેજને બંધ આંખોમાં ભરી હ્રદયમાં ઉતારી પરમની જ્યોતને ભીતરમાં જોવા પ્રયત્ન કર્યો છે? પૂનમની ચાંદનીને ધૂંટડે ઘૂંટડે પીને તમારાં ઘરની મીણબત્તી ઓલવી, ચાંદનીની શીતળતાને રોમે રોમમાં ભરી રોમાંચિત થવાનો પ્રયત્ન કર્યો છે?
તો આઓ,કરીએ આ અનુભવની અનુભૂતિનેા સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન. પ્રકૃતિનાં પંચમહાભૂત તત્વો સાથે એકાત્મ કેળવી ,માનવતાનો ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે ,અને પ્રકૃતિમાં જ પરમનો અનુભવ છે,પ્રેમ સર્વત્ર વ્યાપ્ત છે,તેમ તેમના સર્જન અને ગીતો દ્વારા સમજાવતાં ધ્રુવદાદાની વાત કોઈને ન સ્પર્શે તો જ નવાઈ?
ખાદીનાં સદરામાં કોઈપણ જાતનાં દેખાડા વગર,હિંચકાં પર,સાવ સાદા ઘરમાં ,હીંચકતું વ્યક્તિત્વ એટલે ધ્રુવદાદા.જેવી વાતો તેવું જ વર્તન કરે એ ધ્રુવદાદા.ગામડાંનાં આદિવાસી બાળકો સાથે ,તેમની વચ્ચે બેસી બાળક બની ,અચરજ પામતા વિસ્મય જેમણે મેળવ્યું છે અને પ્રકૃતિમાંથી આધ્યાત્મિકતા પામતા ધ્રુવદાદાની વાત મારે તમારી સાથે વહેંચવી છે.
ધ્રુવદાદાએ તેમનાં સર્જનો દ્વારા માણસોનાં કોયડાઓ ઉકેલવાની વાત કરી છે.ધર્મ એટલે માનવતા અને દરેક માણસમાત્રને પ્રેમ કરવો અને અખિલ બ્રહ્માંડને પોતીકું બનાવી આખી સૃષ્ટિનાં સર્જનને પ્રેમ કરી,કંઈક પામવું.અને પામતાં પામતાં ભીતરનાં અંધકારમાં અજવાળું કરવા પ્રયત્ન કરી અંતરમાં ઝાંખવું. આમ ઝાંખતાં ઝાંખતાં ધ્રુવદાદા ગાઈ ઊઠે છે,
અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું
માટી ફંફોસી તો મહોર્યો મોલ
અમે સપનું ઢંઢોળ્યું તો ભીતર બોલિયું
તું નીંદર ઓઢી લઈને આંખો ખોલ
અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો
વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ
પાને પાન ઊછળતી ચમકી ચાંદની
શબદ કહે તું સાતે સાંકળ તોડ
અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા
અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ
અમે
‘નહીં ગુરુ ‘ ‘નહીં જ્ઞાન’ લઈને નીકળ્યા
ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ
જિગીષા દિલીપ
૨૬-૧-૨૦૨૨

બેઠક’માં ભાવભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્. -મિહિર સેલારકા

17525D58-B0D0-46C1-90A4-0684F848C244

મિત્રો,

હુ સિંગાપુર આવી અને મારા નાના ભાઇના મિત્રને મળી,પહેલા પણ મળી હતી પણ આ વખતે એક નોખી જ ઓળખ થઇ. નામ મિહીર  સેલારકા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મને કહે મને પણ ગુજરાતી સાહિત્યમાં રસ પડે મે  કહ્યું સરસ તમને અમારી પ્રવૃત્તિની લીંક મોકલીશ. વધુ વાત કરતા જાણવાં મળ્યું કે આ તો ગુજરાતી સાહિત્ય પરિષદનું પરિતોષિક મેળવનાર સાહિત્યકાર ચંદુલાલ સેલારકાના સુપુત્ર મિહિર સેલારકા.આના જેવો બીજો આનંદ શું હોય શકે?

મિહિર મુંબઈનો મેરિટ રેન્ક ધરાવતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે – હવે તે તેના પરિવાર સાથે એક દાયકાથી વધુ સમયથી સિંગાપોરમાં રહે છે. નાનપણથી જ મિહિર તેના પિતા સાથે અનેક સાહિત્યિક કાર્યક્રમોમાં જતો હતો અને તે પોતાને ભાગ્યશાળી માને છે કે તેને ત્યાંથી ‘સાહિત્ય’ તરફ પ્રેરિત થયો હતો.તે નાનપણથી જ ગુજરાતીમાં કવિતાઓ, ટૂંકી વાર્તાઓ લખતો હતો, તેમજ બાળપણથી જ સંગીત કંપોઝ કરતો હતો – જે તે હજી પણ ચાલુ રાખેલ છે.મિહિર નાટક પણ લખે છે. એટલુ જ નહી ભજવી પણ જાણે છે.આમ મિહિરે પોતાના જીવનની મોસમને ખીલવી છે.મિત્રો વાત ત્યાંથી અટકતી નથી મિહિર માને છે કે જીવનનું સરવૈયું પૂરૂ થયું ત્યારે જ ગણી શકાય જો આપણે કોઈ પણ સ્વરૂપે સમાજને પાસેથી જે કૈક  મેળવ્યું છે તે પાછું આપીએ.આવા ઉમદા વિચાર ધરાવતા મિહિરભાઇ હવેથી આપણા બ્લોગ પર દર મંગળવારે નવી શ્રેણી લખશે.શ્રેણીનું શિર્ષક છે…..

“ફરી…કલરવ અને કોલાહલ”
————————–
ઘણા સમય બાદ સ્વજન સાંભરે ને ત્યારે ગાળામાં જે ડૂમો બાજે, તે પછી ડૂસકાંઓ સાથે ધીરે ધીરે અશ્રુના સથવારે આંખ અને હ્રદય ખાલી થતા આપ સહુએ જોયા અને અનુભવ્યા હશે.
તેવુંજ કૈંક અહીં ઘટી રહ્યું છે.

આજે આટલા વર્ષો બાદ પિતાજીની કટારથી જોડાયેલી કલમ ઉપાડું છું ત્યારે એટલીજ અપેક્ષા છે કે યાદો નો ડૂમો તો બાજશે જ પણ શબ્દો દ્વારા મારા સંસ્મરણો અને વિચારો ખાલી કરતા હું હળવો જરૂર થઇ જઇશ.

સાધારણ જીવનમાં બનતા પ્રસંગો ક્યારેક આપણને અસાધારણતાનો અનુભવ કરાવે તો વળી ક્યારેક દુઃખ અને નિરાશાનાબ કોલાહલમાં અનપેક્ષિત વ્યક્તિ આપણા સંસારને અનહદ કલરવથી ભરી મૂકે. લાગણીઓનાતાણાવાણામાં ગુંથાયેલી આવી હૃદયગમ્ય વાતો ‘બેઠક’ માં પીરસવાનો અવસર મળશે એનો આનંદ છે.

મિહિરભાઇનું બેઠકમાં સ્વાગત છે.મિત્રો નવીનતા સભર આ શ્રેણીને વાંચવાની અને વધાવવાની જવાબદારી આપણી છે.

Picture1

પ્રજ્ઞા દાદભાવાળા

‘હેલીના માણસ’ -૧ -રશ્મિ જાગીરદાર 

e0aab0e0aab6e0ab8de0aaaee0aabfe0aaace0ab87e0aaa8

નમસ્કાર મિત્રો, 
2022ના નવા વર્ષની શરૂઆતમાં જ આપ સૌને મળવાની અને મારા ગમતા કવિશ્રી વિશે ગમતી વાતો કરવાની તક મળી, તે મારા માટે ખૂબ આનંદની વાત છે. અને એટલે સૌ પ્રથમ ‘બેઠક’નો અને ખાસ તો સંચાલિકા પ્રિય પ્રજ્ઞાબેનનો દિલથી આભાર માની લઉં કે, તેમણે મારા પર અને મારી કલમ પર વિશ્વાસ મુક્યો અને મને મારા વિચારો આપ સૌ મિત્રો સાથે વહેંચવાની તક આપી અને આ સુંદર મંચ આપ્યો. 
હું આપની સમક્ષ એક શ્રેણી લઈને આવી રહી છું તેનું નામ છે, 
‘હેલીના માણસ’ 
આ શ્રેણીમાં આપણાં સૌના ગમતા અને ખૂબ જાણીતા ગઝલકાર ‘ખલીલ ધનતેજવી’ની ગઝલોને માણીશું. એમની ગઝલો એટલે આપણી ધણી મોટી સાહિત્ય સમૃધ્ધિ! એનું રસપાન કરવાનુ ચૂકી જઈએ તે કેમ ચાલે? તેમની ગઝલોના વિવિધ અર્થસભર શબ્દો અને એકધારી વહેતી સંવેદનાઓનું રસાસ્વાદ કરવાનો લ્હાવો આપણે લઈશું. થોડા સમય પહેલાં જ તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમની યાદો હજુ આપણાં સ્મરણમાં છે. તેમનું વિરાટ વ્યક્તિત્વ તેમના એક એક શેરમાં પ્રતિબિંબિત થાય છે. ખલીલ સાહેબને ઓળખવા માટે આમ તો ત્રણ અક્ષરો જ પુરતા છે. ‘ખલીલ’ અને એની પાછળ ધનતેજવી જોડીને તેઓશ્રીએ પોતાના વતનના ગામને પણ અમર કરી દીધું. કિંતુ મુળ તો એ હેલીના માણસ! ઓછું કશું ના ફાવે! જુઓને તેમની કારકિર્દી! એક નહીં અનેક ક્ષેત્રે ડંકો વગાડ્યો. તેઓ કવિ, લેખક ઉપરાંત પત્રકાર, પ્રેસ અને ચલચિત્ર નિર્માતા પણ હતા. ગુજરાતી ગઝલ પર હાથ અજમાવ્યો તો ગુજરાતી ગઝલનાં દસ પુસ્તકો આપણા સાહિત્યને મળ્યાં. ભાષા સમૃદ્ધિ એટલી કે, તેમણે ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં ગઝલોના રસથાળ પિરસ્યા. તો વળી નવલકથાનાં પુસ્તકોની ભેટ પણ ધરી. ચાર ધોરણ સુધીના અભ્યાસ છતાં તેમણે કરેલી સાહિત્ય સેવાએ અનેક એવોર્ડ પણ અપાવ્યા.     
આવા ખલીલ સાહેબની રચનાઓને વાંચવી, સમજવી અને માણવી એ એક અદ્ભૂત અને સુખદ અનુભવ છે. તેમણે પોતાની ગઝલના એક એક શેરને નવી ઉંચાઈ આપી હતી. તેમનો એક એક શેર વાંચીએ ત્યારે મુશાયરો ગજવતા ખલીલ ધનતેજવી આપણી સમક્ષ તરવરે છે. દરેક મુશાયરામાં ખલીલ સાહેબને હંમેશાં સૌથી છેલ્લા રાખવામાં આવતા કારણ દેખીતું છે! તેઓ જીવંત છે તેમના શેરોમાં, તેઓની વાણી ઝળકે છે તેમના કાફિયામાં, અને મલકે છે અનોખા રદિફની ચોટદાર અભિવ્યક્તિમાં. તેમના શેરો ખૂબ સરળ ભાષામાં કહેવાયા છે, છતાં ચોટદાર તો એવા કે, આપણે તેમાં ખોવાઈ જઈએ! આપણને તે યાદ રહી જાય! બસ ખલીલ સાહેબની આ બધી વાતો મને ખૂબ ગમે છે. અને એ માણવાનો અનુભવ સતત થતો રહે તે અપેક્ષાથી તેમની ગઝલોનો રસાસ્વાદ કરવાનું મન બનાવી લીધું છે. કવિ પોતે જ્યારે લખે ત્યારે તેમના મનમાં ખાસ ભાવ હોય છે. આપણે જ્યારે એ કૃતિ વાંચીએ ત્યારે આપણને જે અર્થ કે ભાવ સમજાય તે જુદો પણ હોઈ શકે. મારે પણ મારી રીતે ખલીલ ધનતેજવી સાહેબની ગઝલને વાંચવી છે, જાણવી છે, માણવી છે અને સમજવી છે. અને આપ સૌ સાથે એમાં રહેલી સમૃદ્ધિ વહેંચવી છે. કવિશ્રી ધૃવ ભટ્ટની નીચેની પંક્તિઓ મને ખૂબ ગમે છે. કવિ તેમનાં ગીતોને સ્વરબધ્ધ કરીને ગાનાર ગાયકોને સંબોધીને કેટલી નમ્રતાથી કહે છે! કે, 
‘તમે ગાયાં આકાશભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?’ 
એ સંદર્ભમાં એવું બને? કે, ગઝલનો રસાસ્વાદ પણ કવિશ્રીની ગઝલમાં વહેતા અસ્ખલિત ભાવને ઝીલીને ભાવક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ બની રહે? બસ એ જ તો  કરવું છે!
-રશ્મિ જાગીરદાર 

‘બેઠક’માં ભાવભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.-જયશ્રીબેન પટેલ

જયશ્રી પટેલ
મિત્રો, 
ઘણીવાર કોઇ વ્યક્તિ અચાનક,અનાયાસ જ મળી જાય અને પછી લાગે કે એ આપણાં પોતાના જ છે.એવું જ મને જયશ્રીબેન પટેલને ફોન પર મળતા થયું હુ જાણે તેમનાથી પરિચિત છું અને કોઇ પણ ભાર વિનાની મિત્રતાએ જન્મ લઇ લીધો. આજે ‘બેઠક’માં વાચિકમનું સરસ આયોજન કરે છે.સોથી મોટી વાત બધાના દાદીસા બન્યા છે.
એમ.એ ભારતીય સંસ્કૃતિ વિષય સાથે કર્યા પછી શિક્ષિકા તરીકે ચાળીશ વર્ષનો અનુભવ ધરાવે છે.તેમના સર્જનની વાત કરું તો કવિતા(આચ્છાંદસ,મુક્તપંચિકા,હાઈકુ તેમજ એકાવનાક્ષરી,)લેખ , ટૂંકી વાર્તા, માઈક્રોફિકશન, નવલિકા,આધ્યાત્મિક રસપાન શ્રી જ્ઞાનદેવ હરિપાઠનો અનુવાદ(મરાઠીનું ગુજરાતીમાં),૫૦સુભાષિતો,બાળવાર્તાઓ..  ૧૦૦ લખી છે અને મન મંથન સ્વનું લખાણ ચાલું છે.
આ સાથે  પુસ્તક: બકોજમાદાર(બાળ સાહિત્ય) ગુજરાત મેઈલ વીકલીમાં ટૂંકી વાર્તાઓ યુગ વંદના વીકલીમાં લેખ,વાર્તા, ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિકમાં વાર્તાઓ, નવચેતનમાં લેખ,માતૃભારતી,સ્ટોરીમિરર નાબેસ્ટ રાઈટર એવોર્ડ અને પ્રતિલિપિમાં એવોર્ડ મળ્યા છે.
હવે તમે જ કહો કે જયશ્રીબેન બેઠકમાં લખે તો મને આનંદ થાય ને! બસ તેનો રાજીપો વ્યક્ત કરું છું.
‘બેઠક’માં જયશ્રીબેન તમારું સ્ગવાગત છે. મિત્રો આપણાં માટે ૨૦૨૨માં જયશ્રીબેન નવો જ વિષય લઈને દર રવિવારે  આવી રહ્યા છે. વિષય છે ‘વિસ્તૃતિ ‘તેઓનો હું ઋણસ્વીકાર કરું છું. 

ગુજરાતીના વિકાસ અને સંવર્ધનની જવાબદારી પ્રત્યેક ગુજરાતીની છે,એ આપણાં હદયનો અવાજ છે ,આત્માની આરત છે અને વર્તમાનનો પડકાર છે.’બેઠક’ માં આવો ,ગુજરાતીપણું માણો,માતૃભાષાનું સન્માન કરો અને ગોરવથી શિર ઉન્નત રાખો.મિત્રો સર્જકને વધાવવાની જવાબદારી વાચકની પણ છે.

મિત્રો હવે જયશ્રી બેન તેમના વિષય વિશે વધુ વિગત આપી છે તે વાંચી તેમને આવકારો.

‘વિસ્તૃતિ’ 

વિસ્તૃતિ સ્વ સાથે કરતાં બેઠકની નવી શ્રેણીમાં પહેલીવાર પદાર્પણ કરું છું.મિત્રો ભૂલચૂક ક્ષમા કરશો. બંગાળી લેખક શ્રી. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય આખાં વિશ્વભરનાં પ્રથમ પંક્તિનાં ઉપન્યાસકારોમાં ગણાય છે.
તેમની બેથી વધુ ઉપન્યાસમાંથી ઘણી આપણે બંગાળી,હિન્દી ફિલ્મોનાં ત્રણ કલાકમાં જ માણી છે, પણ ચાલો તેમનો ખરો પરિચય, તેમના ખરાં શબ્દાંકન ને અનુવાદ કરી આપણાં ગુજરાતી ધુરંધર લેખકોએ કેવો ન્યાય આપ્યો છે. તે મારી દ્રષ્ટિએ મારા સ્વની વિસ્તૃતિ આપ સુધી પહોંચાડું. બાળપણથી જ શરદબાબુ સુધી પહોંચાડનાર મારા પિતાની અને માતાની હું ઋણી રહીશ.
લેખકના બંગાળી શબ્દાંકનનો સુંદર અનુવાદ કરનાર આપણાં ગુજરાતી લેખકો શ્રી. રમણલાલ સોની, શ્રી.ભોગીલાલ ગાંધી, શ્રી. નગીનદાસ પારેખ કે “શ્રીકાંત”ને આપણી સમક્ષ લાવનાર શ્રી. શ્રીકાત મિવેદી હોય, સર્વેને શત શત વંદન.
બંગાળનાં ભૌગોલિક પરિસર કે તેના જન સામાન્ય જીવનની, અંતર્ગત સંસ્કૃતિએ મારા મન પર એવી ઊંડી છાપ મૂકી કે મારી લેખન શૈલી પણ તેનાંથી જ પ્રભાવિત
છે.
ચાલો મિત્રો મારી સાથે સાથે હું તમને પણ બંગાળનાં અદ્ભૂત લેખકની મુલાકાત કરાવી જ દઉં

જયશ્રી પટેલ

ફોન નં : +91 9833105184
રહેઠાણ : વડોદરા
Email: miltaja@yahoo.comYes

‘બેઠક’માં ભાવભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.–અલ્પા શાહ

1A80482A-E8DE-41BF-8397-CF85ED270A1B
મિત્રો,
તમે દર ગુરુવારે અલ્પાબેનની રાહ જોતા હતા તે હવેથી દર શનિવારે એક નવી શ્રેણી લઈને આવી રહ્યા છે.છેલ્લા બે વર્ષથી આપણા બ્લોગ પર એક પછી એક શ્રેણી લખી રહ્યા છે. તેમની પાસે શબ્દ અને સંવેદના છે માટે ખૂબ સુંદર ભાવ સૃષ્ટિ સર્જી,તેમની એક ઓળખ આપણા મનમાં ઉભી કરી છે. મીરાંબાઈના જીવનના અનેકવિધ પાસાઓ, સંવેદનાઓને શાબ્દિક સ્વરૂપે અહીં રજૂ કર્યા એનો રસાસ્વાદ આપણે સતત માણ્યો છે.ત્યાર પછી વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…કરાવી “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અનેક ભાષાની કવિતા વાંચવી અને તેને આત્મસાત કરી નવી રચી આસ્વાદ કરાવવો એ નાની સૂની વાત નથી.રજુ કરેલા ભાવાનુવાદમાં મૂળ કવિતાના ભાવ અને સંવેદના અકબંધ રાખી જ પીરસ્યું -વ્યસ્ત જીવનશૈલીના લીધે એ કોઈ અલાયદો સમય તો લેખન માટે ફાળવી શકતાં નહોતાં પણ લખ્યું અને ખુબ ગમી જાય તેવું લખ્યું.વેઠ કયારેય નથી ઉતાર્યો.
માનવીના જીવનની ઉત્તમ સંજીવની હોય તો તે કર્મશીલતા છે.માણસે પોતાને ગમતું કામ કર્યા કરવું જોઈએ.અલ્પાબેન મનની મોસમમાં ખીલતું વ્યક્તિત્વ છે. હવે કોમ્પુટરનાં અરણ્યમાંથી બહાર નીકળી શબ્દનાં નંદનવનમાં પ્રવેશી ગયા છે અને હવે નવી ત્રીજી શ્રેણી લઈને આવી રહ્યા છે. શીર્ષક છે “ગીતબિતાન”તેઓ આ લેખમાળા થકી ગુરુદેવ દ્વારા બંગાળીમાં રચાયેલા રબીન્દ્રસંગીતના કાવ્યોનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો પ્રયત્ન કરવાના છે.હું વધુ કૈક કહ્યું તેના કરતા તમે તેના શબ્દોમાં જ જાણો.
એ પહેલા એક વાત ખાસ આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. અલ્પાબેન, તમારાં યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
– પ્રજ્ઞા દાદભાવાળા
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান:
નમસ્કાર મિત્રો, 2022ના નવા વર્ષમાં, નવી ધગશ અને નવી ઉર્જા સાથે આ કલમ સતત ત્રીજા વર્ષે એક નવા વિષયને ન્યાય આપવા અને શબ્દો થકી તમારા સુધી પહોંચવા તત્પર થઇ રહી છે. સૌ પ્રથમ તો હું “બેઠક” અને “બેઠક” ના સંચાલિકા આપણા વહાલા પ્રજ્ઞાબેન દાદભાવાળાનો અંતરના ઊંડાણે થી આભાર માનીશ કે જેમણે મારી કલમની તાકાતને પિછાણી અને મને લખવા માટે પ્રોત્સાહિત કરી. એટલુંજ નહિ, તમારા સૌ સુધી પહોંચવા માટે આ મંચ પણ આપ્યો.
આ વર્ષે મારે તમને સાથે લઈને એક બહુમુખી વ્યક્તિત્વની સૂક્ષ્મ સંવેદનાઓનું તેમના શબ્દો અને ગીતો થકી આચમન કરવાનો નમ્ર પ્રયત્ન કરવો છે…..
આ એક એવી વિરલ પ્રતિભા કે જેમને “વિશ્વકવિ”નો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના થકી સંગીતની એક આખેઆખી શૈલી અસ્તિત્વમાં આવી છે અને હજુ આજની તારીખમાં પણ કઈ કેટલાય સ્થળે ઈશ્વરના સ્થાને તેમની પૂજા થાય છે…હા મિત્રો આ બહુમુખી પ્રતિભા એટલે “The Bard of Bengal”ના હુલામણા નામથી જાણીતા ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર. અને તેમના થકી અસ્તિત્વમાં આવેલી સંગીતની શૈલી તે રબીન્દ્રસંગીત!!
મારે આ લેખમાળા થકી ગુરુદેવ દ્વારા બંગાળીમાં રચાયેલા રબીન્દ્રસંગીતના કાવ્યોનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો પ્રયત્ન કરવો છે, આ કાવ્યો દ્વારા તેમાં વહેતી સૂક્ષ્મ સંવેદનાઓની અનુભૂતિ કરવી છે, આ સંવેદનાઓ સાંપ્રત સમયમાં કેવી રીતે ધબકતી રહી શકે તે સમજવું છે અને મારી એ અનુભૂતિ અને સમજણને શબ્દો થકી તમારી સાથે વહેંચવી છે. પ્રકૃતિ અને પરમેશ્વર સાથે એક અનેરો નાતો અનુભવતા ગુરુદેવે માનવમનની સંવેદનાઓના મેઘધનુષને લગભગ 2000 કવિતા/ગીતો દ્વારા રબીન્દ્રસંગીત સ્વરૂપે જગતને પીરસ્યું છે. જે સઘળું તેમના “ગીતબિતાન” અર્થાત “Garden of songs” પુસ્તકમાં ધરબાયેલ છે …બસ આ જ મેઘધનુષી સંવેદનાઓનું આચમન આ લેખમાળા દ્વારા તમારી સાથે કરવું છે…. આશા રાખું છું કે તમે પણ મારા આ પ્રયત્નમાં મારી સાથે રહેશો અને મારી સાથે એ સંવેદનાઓની સરવાણીમાં ભીંજાશો અને હા, તમારા માર્ગદર્શન અને પ્રતિભાવો – કે જે આ કલમ વિકસાવવામાં પાયારૂપ છે તે પણ આપતા જ રહેશો.
તો ચાલો, મળીશું દરેક શનિવારે…