હેલીના માણસ – 19 | જિંદગી હાંફે તો? | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો.

હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -19 જિંદગી હાંફે તો? એની 18મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

એ આવશે, નહીં તો એ બોલાવશે મને, 

મારે તો શું છે, બેઉ રીતે ફાવશે મને!

 

મારું અનુકરણ કરી જીવે છે જે હવે, 

એ જિંદગીની ફિલસૂફી સમજાવશે મને! 

 

તરસ્યો હતો, પણ ધાર્યું નહોતું કે આ તરસ, 

આ લોહીભર્યાં આંસુઓ પીવડાવશે મને! 

 

છેવટ આ જિંદગી જ ખુદ હાંફી ગઈ હવે,

ધાર્યું ‘તું કે આ જિંદગી હંફાવશે મને, 

 

લાગે છે ગાંડીતૂર આ પાણીની ઝંખના, 

સૂકી નદીની રેત પર દોડાવશે મને! 

 

બહેકી જવું તો ના ગમે મારા મિજાજને, 

શાયદ એની નજર હવે બહેકાવશે મને! 

 

આમ જ ખલીલ રૂબરૂ નારાજ કરશે પણ, 

સ્વપ્નમાં આવી ઊંઘમાં બહેકાવશે મને! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

ઘરમાં વડિલો અને માતાપિતા બાળકોને નાની નાની વાતોમાં સમજ આપતાં હોય છે કે, આમ થાય અને આમ ના થાય, તેમજ શા માટે તેમ કરવું જોઈએ તેનાથી શું નુકસાન થાય કે, ફાયદો થાય તે પણ સમજાવતાં હોય છે. બાળકો આ બધી સલાહ માને કે, ના માને પણ યાદ જરૂર રાખતાં હોય છે. અને જો ભૂલેચૂકે આપણાથી એવું કોઈ વર્તન થાય તો તરત જ આપણી ફિલસૂફી આપણને પાછી પધરાવશે. બાળકો જ શા માટે આપણાં સંપર્કમાં આવનાર ઘણાં લોકો પણ પહેલાં આપણી પાસે જે શીખ્યા હોય તે જ બાબતની આપણને સલાહ આપતાં હોય છે! સંયુક્ત પરિવારમાં રહેનારા તમામ સામાન્ય રીતે ‘ફાવશે નીતિ’ અપનાવતા હોય છે. કારણ કે, સૌનું ધારેલું થાય તે તો શક્ય જ નથી તો વળી એ બાબત રોજનો ટંટો થાય તે પણ ન ચાલે. એટલે ‘ફાવશે નીતિ’ એ જ જિંદગીની મઝા છે અને જિંદગીની ફિલસૂફી પણ  છે. 

પ્રગતિ કરવી એ તો સારી વાત છે. એને માટે મોટાં સપનાં જોવાં પણ જરૂરી હોય છે. પરંતુ આમ કરવાની એક હદ પણ વિચારવી પડે. વધુ પડતી અપેક્ષાઓ રાખી તો લઈએ પણ તે પ્રાપ્ત કરવા માટે ઘણીવાર લોહીનાં આંસુએ રડવાનું થાય છે. એને પ્રાપ્ત કરવા માટે એટલી મોટી કિંમત ચૂકવવી પડે છે કે, મળતર કરતાં જાણે વળતર વધી જાય! જે પ્રાપ્તિ થઈ તેનાં કરતાં ગુમાવવાનું ઘણું વધારે થાય. આ સંજોગોમાં માણસ થાકી જાય છે, હારી જાય છે. છેવટે તો એવું લાગે છે જાણે ખુદ જિંદગી હાંફી જાય છે. આપણે થાકીએ તો જિંદગી મુશ્કેલ લાગે પણ જો જિંદગી જ થાકે પછી તો સામે ઉભું હોય મોત! કવિ કહે છે. 

છેવટ આ જિંદગી જ ખુદ હાંફી ગઈ હવે,

ધાર્યું ‘તું કે આ જિંદગી હંફાવશે મને, 

કોઈ  પગપાળા પ્રવાસે નિકળ્યું હોય, સાથે રાખેલું પાણી પતી ગયું હોય અને જબરદસ્ત તરસ લાગી હોય. એવામાં જો નદી નજરે પડે તો પાણીની આશામાં એ તે તરફ દોડવા માંડશે. પછી ભલેને નદી કિનારે તપતી રેતીમાં દોડવું પડે અને તે દઝાડે! તરસ્યાને પાણીની ઝંખના ગમે તેવું સાહસ કરવા પ્રેરે છે. બહેકી જવા માટે કંઈ નશો કરવો પડે તે જરૂરી નથી હોતું. ઘણીવાર સ્વભાવગત્ ઘણાંને પુષ્કળ બોલવાની ટેવ હોય છે. તેઓ એકવાર બોલવાનું ચાલુ કરે પછી બસ બહેકી જાય અને બીજા સાંભળે કે ના સાંભળે અસ્ખલિત વાણી પ્રવાહ ચાલુ રાખે. ઘણાંને બીજાની હાજરીમાં ગુસ્સો કરવાની મઝા આવે છે. એકલાં હોય ત્યારે તો કોઈ સાંભળનાર ન હોય એટલે શાંત રહે ને માણસો જુએ એટલે એ નજરથી જાણે એ બહેકે! 

બહેકી જવું તો ના ગમે મારા મિજાજને, 

શાયદ એની નજર હવે બહેકાવશે મને! 

પતિ પત્ની હોય કે પ્રેમીઓ તેઓ જ્યારે એકબીજાની રૂબરૂ હોય ત્યારે એક બીજાથી રિસાય પણ ખરાં, ખિજાય પણ ખરાં. અને નારાજ પણ થાય. માનવ સ્વભાવ માટે એ સહજ છે. દર વખતે મિલન મધુર જ હોય તેવું નથી બનતું. પરંતુ મિલન જો સ્વપ્નમાં થાય તો? તો ન રિસામણાં હોય ન મનામણાં હોય કે, ના ગુસ્સમાં બોલાચાલી થાય. ત્યાં તો બસ! મસ્ત મિજાજ ને મઝાની વાતો! રંગીન મોસમ ને મઝાનો માહોલ! એમાં બહેકી જવાનું અને ગમતા સાથમાં મહેકી જવાનું! 

આમ જ ખલીલ રૂબરૂ નારાજ કરશે પણ, 

સ્વપ્નમાં આવી ઊંઘમાં બહેકાવશે મને! 

આવાં જીવન સાથે સંકળાયેલાં પાસાંઓની સમજ આપતી આ ગઝલ તો સૌને ગમી જાય તેવી જ છે. ખરુંને મિત્રો? આવી જ કોઈ દમદાર, મજેદાર ગઝલને માણીશું અને સમજીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

       વિસ્તૃતિ..૧૮    જયશ્રી પટેલ .

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

વિસ્તૃતિ..૧૮ 

        નવવિધાન શરદબાબુની આ નાની નવલકથા  નવલકથાઓમાં શ્રેષ્ઠ નવલકથા ગણાય છે .નાનકડી આ નવલકથામાં તેમણે અતિ આધુનિક જીવનચર્ચાનું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે. તેમણે એ પણ નોંધ્યું છે કે પ્રાચીન પરિપાટી પર બને તેટલું અનુકૂળ બની ચાલવું વધારે સારું છે .તો એમા જ વ્યવહારિક ડહાપણ પણ છે.નવવિધાન નવલકથાનો અનુવાદ શ્રી રમણલાલ સોની દ્વારા થયો છે. શીર્ષકમાં જ આપણે જોઈ શકીએ છે કે નવી રીતનું કે ક્રિયાનું આચરણ કે વિધિ રીતનાં આચરણનો નવીન પ્રકાર.

          નવવિધાન વાર્તા શૈલેશ્વર ઘોષાલના પત્નીનું મૃત્યુ થયા પછી તેમનો ઘરસંસાર બાવરચી,સઈસ કોચમેન જેવા સાત-આઠ નોકર-ચાકર પર ચાલતો હતો. તેઓ કોલેજમાં દર્શનશાસ્ત્રનાં પ્રોફેસર હતાં. વિલાયતથી પદવી મેળવી હતી ઉંમર બત્રીસ વર્ષની હતી .પગાર તે જમાનામાં ૮૦૦રૂપિયા હતો. તેમણે સૌપ્રથમ લગ્ન ઉષા નામક સ્ત્રી સાથે કર્યા હતાં.કોઈ કારણસર તેમના પિતા તેઓ વિલાયત ગયા ત્યારે તેને પાછી મોકલી દીધી હતી પાછા ફર્યા ત્યારે બીજા લગ્ન કર્યા.તે સ્ત્રી પણ નવેક વર્ષના છોકરાને મૂકી મૃત્યુ પામી હતી . મિત્રોની મેહફીલ રચવાના અને ચાના શોખીન તેથી વારંવાર શૈલેષને ત્યાં મિત્રો આવતાં. ભેગા થયેલા મિત્રોમાંથી કોઈએ ત્રીજી વારના લગ્ન ભુપેન બાંડુજ્જેની વચલી છોકરી જે મેટ્રિક પાસ થઈ હતી તેની સાથે કરવાની સલાહ આપી. તેમનો એક મિત્ર હતો જે પ્રોફેસર હતો ઘણો અતરંગી હતો તેને તેઓ બધાં મજાકમાં દિગ્ગજ કહી બોલાવતા. તેણે સચોટ વાત કરી કે મેટ્રિક થયેલી અને અંગ્રેજી જાણતી યુવતી કરતાં પહેલીવારની પત્નીએ શું ગુનો કર્યો ?તેને લઈ આવો. બીજા મિત્રો ત્રીજા લગ્ન માટે ટેકો ના આપી ઉલ્ટો તિરસ્કાર કર્યો .અઢાર વર્ષે લગ્ન થયાં ત્યારે તેઓની પહેલીવારની પત્ની ઉષાની ઉંમર માત્ર અગિયાર વર્ષ હતી. દેખાવે સુંદર હતી તેથી પિતા કપિલ બાપુ ઓછી કિંમતે તેમના દીકરા શૈલેષને વેચવા તૈયાર થયાં હતા .પણ શૈલેષના વિલાયત ગયા પછી લેવાદેવાની રકમ માટે બંને પિતા વચ્ચે બોલાચાલી થઇ .આ વાંકે સસરાએ ઉષા ને પિયર ધકેલી દીધી હતી  ઉષાનાં પિતા પણ અભિમાની પ્રકૃતિનાં હતા આથી ઉષા પછી કદી સાસરે ન આવી . ચારેક વર્ષ પછી શૈલેષ જ્યારે વિલાયતથી પાછો આવ્યો ત્યારે તેની પ્રકૃતિમાં પણ બહુ જ બદલાવ આવી ગયો હતો. તે વિલાયતી બની ગયો હતો એમ કહીએ તો ચાલે. જુઓ મિત્ર ,લેખકે તે જમાનાની વાત કરી છે જ્યારે અંગ્રેજોનું રાજ હતું .ધીરે-ધીરે હિન્દુઓ અંગ્રેજોનાં પગપથ પર ચાલવા લાગ્યાં હતાં. શૈલેષ આથી વિલાયતી વિચારધારા વાળી યુવતી જોડે પરણે, એમ પિતાની ઇચ્છાને માન આપી લગ્ન કરી લીધાં.ઘણાં સમય પછી તેના પિતા અને ઉષાનાં પિતા મૃત્યુ પામ્યા. ઉષા પોતાના ભાઈઓ સાથે રહેતી શૈલેષ જાણતો હતો તે પૂજા અર્ચના ,જપ-તપ ,ગંગાજળ અને ગોબરમાં દિવસો પૂરા કરતી. એનું આ ગાંડપણ પણ જોઈને તેનાં ભાઈઓ પણ હેરાન થઇ રહ્યાં છે આ જાણ્યા પછી શૈલેષને જરાપણ સુખકર નહોતું લાગતું કે તે પાછી આવે.તે જરૂર વિચારતો કે આવી સ્ત્રીનાં ચારિત્ર પર કોઈ દોષ કે ડાઘ લગાવી શકે તેમ નહોતું .

       મિત્રો ,ભણેલી-ગણેલી સુશિક્ષિત યુવતી સામે ૨૫/૨૬ વર્ષની આ સુચિતા સ્ત્રીને તે પણ ગામડાંગામથી પાછી લઈ આવે એ તો ઘર સંસારમાં દક્ષયજ્ઞ જેવું તોફાન ઉમટી જાય તેવું હતું .વાત હતી નવ વર્ષના પુત્ર સોમેનની જો ઉષા તેને ઝેરીલી નજરે જોશે તો ?આ શંકાથી  તેનું મન ભરાઈ ગયું.

          એક બહેન હતી શૈલેષને ,એનું નામ હતું વિભા .તે ગામમાં જ પરણી હતી .તેમના પતિ શેત્રમોહન શૈલેષના મિત્ર જેવા જ હતાં .વિભા પણ ભણેલી ને બેરિસ્ટર હતી તેનો સ્વભાવ પણ થોડો આકરો હતો. વિલાયતી ઢંગને અપનાવી ચૂકી હતી. શૈલેષને આપણે મિત્રો ખરાબ તો નહીં જ કહીએ પણ તે દુર્બળ પ્રકૃતિનો અને સમાજથી ડરીને ચાલનારો વિદ્યાભિમાની હતો ,બીજું અભિમાન એને એ હતું કે એવી વિચારધારા રાખતો કે  તે કોઈને અન્યાય કરતો જ નથી .અંતે તેણે નક્કી કર્યું કે ઉષા ને બોલાવવા મોકલું. ખાત્રી છે કે તે આવવાની નથી તેથી તે હાથ ઉંચો રાખી શકશે કે તેણે પ્રયત્ન કર્યો હતો અને જો આવશે ઘરનો મલેચ્છાચાર  જોઈ ભાગી જશે .આમ તે બંને તરફથી બચી જશે અને તેનો વાંક કોઈ કાઢી શકશે નહીં. સોમેનને બેનને ઘરે મોકલી દેશે અને પોતે ક્યાંક બીજે ભરાઈ જશે. આમ નક્કી કરીને તેણે પોતાનાં મામાત ભાઈ ભૂતો જે મેસમાં રહીને નોકરી કરતો હતો તેને ઉષા ને તેડવા મોકલ્યો.પેલો પણ ડરતા ડરતા હા કહી ગયો. તે દરમિયાન ઘરનાં કબાટમાં ઘર ખર્ચના પૈસા મૂકી પોતે અલ્હાબાદ છ-સાત દિવસ માટે જતો રહ્યો બેનને ચિઠ્ઠીમાં જાણ કરી દીધી અને ઉષા આવે તો સોમેનને  લઈ જવાની જવાબદારી સોંપી દીધી.

        ઉષા આખી વાર્તાનો હાર્દ છે તો તેની જીવન સંવેદના પર વાર્તા ધબકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રૂપે તે હંમેશા વાર્તાનાં ઘટનાચક્રને પ્રભાવિત કરે છે .તેના સ્વભાવમાં જ ગૃહિણીપણું છે . વ્યવહારું બુદ્ધિ છે અને સાથે સાથે આત્મવિશ્વાસ છે .મિત્રો , શરદ ચંદ્ર તેના પાત્ર દ્વારા ભારતીય ગૃહિણીનો આદર્શ વાચક સમક્ષ મુક્યો છે . એક અનોખું સ્ત્રીપાત્ર રચ્યું છે .ત્યગતા છે પણ દર્શાવતી નથી .વિષમ પરિસ્થિતિમાં પણ તેની મનની શાંતિ અને વાણીનો સંયમ ખૂબ ધ્યાન ખેંચે છે .આઘાત પ્રત્યાઘાતને ધીરજથી સહન કરે છે .તે ભાવુક નથી .એની બુદ્ધિની તેજસ્વીતાથી તેના પતિ શૈલેષ ,નણંદ વિભા અને નણદોઈ ક્ષેત્રમોહન ભણેલા હોવા છતાં તેનાથી પ્રભાવિત થઈ જાય છે. 

           ઘરમાં આવતા જ પતિની ગેરહાજરીમાં સર્વે નોકરો,કરિયાણા, તેમજ પુત્ર સોમેનને  બરાબર સંભાળી લે છે. ફાટેલાં મોજાંને સિવવાથી લઈને વધારાનાં નોકર-ચાકરને બાકી રહેલો પગાર ચૂકવી વિદાય કરે છે અને પુરતું અન્ન ભોજન સ્વાસ્થ્ય ને અનુરૂપ બનાવી શૈલેષના દેવાને પૂર્ણ કરવાનું વચન તે આપી દે છે. ચિંતામુક્ત શૈલેષ શાંતિથી ચાલતાં ઘર સંસારથી સુખી થાય છે. ત્યાં અચાનક બેનના વર્તનથી કે વાતોથી ઘવાઈને ઉષાને કડવા વચન કહે છે. ઉષા ફરી પાછી ઘરની વ્યવસ્થામાં બદલાવ લાવી દે છે .મન મક્કમ કરી મુસલમાન ખાનસામાને રસોઈ માટે રાખી દે છે અને એક દિવસ નિર્ણય પણ લઇ લેજે કે પાછી તે દાદાને ત્યાં પિયર ચાલી જશે.

       નાનો ભાઈ અવિનાશ આવીને તેડી જાય છે. શૈલેષ તેને રોકતો પણ નથી. ક્ષેત્રમાહને ફરી ભવાનીપુર વાળા ની વાત છેડી પણ તેનો ઇનકાર કરી દેવામાં આવ્યો. ક્ષેત્ર મોહનને ઉષા માટે માન હતું ,પણ તેના ચાલી જવાથી તે પણ પત્ની વિભાનાં અને બેન ઉમા જેવી વિચારસરણી ધરાવતો થઈ ગયો. તેને હમણાં હમણાં બહાર જવાનું થતું તેથી શૈલેષ પાસે જઈ શકતો નહોતો. અચાનક અલ્હાબાદથી સમાચાર આવ્યા કે  સોમનને કાચી ઉંમરમાં જ શૈલેષ જનોઈ દઈ દીધી અને પોતે પણ એક ભક્ત વૈષ્ણવની પાસે દીક્ષા લીધી. એક પણ દિવસ બંને પિતા-પુત્ર ગંગા સ્નાન કર્યા વગર રહેતા નથી અને માંસ માછલી જે રસ્તે થઈને આવતા હોય તે મહોલ્લામાં  કદી જતા નથી.

       જુવો મિત્રો ,કેવો વળાંક જે મુસલમાન ખાનસામાના હાથનું ખાવાનું જ સ્વાદિષ્ટ લાગતું ,જેને માટે કે જે વિલાયતી વાતાવરણને તે છોડી નહોતો શકતો ,જેને માટે તેણે ઉષા ને જતા ન રોકી તે શૈલેષ માટે આવી વાતો 

ક્ષેત્રમોહન માનવા તૈયાર નહોતો. યોગેશ બાબુ મારફત મળેલા આ સમાચાર તેઓ માટે આઘાત જનક હતાં. વિભાએ ક્ષેત્રમોહન ને સમજાવી તેને ત્યાં મોકલ્યો તે જે સમાચાર લઈને આવ્યો તે ખૂબ  દુઃખદ  વિભા સહન કરી ન શકી .તેને ભાઈના પુત્ર માટે સ્નેહ હતો. ધીરે ધીરે શૈલેશે પત્ર વ્યવહાર અને બીજો વ્યવહાર બંધ કરી દીધો. એક દિવસ અચાનક શૈલેષનો જૂનો  નોકર બંધુ વિભાને ત્યાં કાર્પેટ લેવા આવ્યો અને ખબર પડી કે શૈલેષ પાછો આવ્યો છે આથી એક દિવસ રહીને બંને પતિ-પત્ની અને ઉમા તેને ત્યાં જવા નીકળ્યા ઘરે આવીને જુએ છે તો ઘર આખું ખેદાન-મેદાન થઇ ગયું છે બે સાધુ ગોળ મટોળ ગોસાઈ જીઓ તેના ઘરમાં હરીફરી રહ્યાં હતાં.સોમેનની દશા જોઈને વિભા રડી પડી. શરીર પર હરી નામની છાપો ગળામાં તુલસીની માળા અને સફેદ ધોતલી ઉધાડું શરીર ,માથામાં ચોટલી રાખેલી .આ ભત્રીજો તેમને જોઈને રડી પડ્યો .દૂરથી પ્રણામ કર્યા. શૈલેષ મળ્યો તો તેમણે પૂછ્યું ,”બેસવાની જગ્યા ક્યાં છે?ન હોય તો અમે જઈએ .”શૈલેષ એ કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં . આથી અપમાન સહી તેઓ નીકળી ગયા.          

              ત્યારબાદ એક મહિનો માસ વીતી ગયો હશે વિભાએ ફરી ભાઈ ને મળવા માટે નક્કી કર્યું ,કારણ આખા શહેરમાં વાત થઈ ગઈ હતી અને તેને ક્યાંય મોં બતાવા જેવું પણ રહ્યું ન હતું .ઉષા જો આ બધું સાંભળી પાછી આવશે તો ખૂબ જ અનિષ્ટ થશે .એમ તે વિચારવા લાગી ક્ષેત્ર મોહનને પણ લાગ્યું કે આ બધું ઉષા ને કારણે જ થયું છે .બહારથી સાંભળ્યું કે શૈલેષ નવદ્વીપમાં જમીન ખરીદી ગુરુદેવને માટે આશ્રમ ઊભો કરી રહ્યો છે. વિભા રડમસ થઇ ગઈ ક્ષેત્રમોહન ને આજીજી કરવા લાગી.મારાં ભાઈ ને બચાવી લો !ફરી બંને શૈલેષ ને ત્યાં ગયાં ઉમા ને જોડે ના લઈ ગયા કારણ એવું લાગ્યું કે ફરી અપમાન સહન કરવું પડે તો તેને ખરાબ લાગશે .

          ઘરે પહોંચ્યા તો બંનેને આશ્ચર્ય થયું! અરે !શૈલેષમાં બુદ્ધિ આવી ગઈ લાગે છે આ સાંભળી પાછળથી સોમેન બોલ્યો અને તેને જોઈને બંને આભા બની ગયા તે રબરનો દડો ઉછાળતો આવતો હતો .શરીર ખુલ્લું હતું પણ સરસ લાલ રંગની જરીની કિનારી વાળી ધોતલી પહેરી હતી .માથાના વાળ બંગાળી છોકરાઓની પેઠે ભાગ પાડી હોળેલા હતા .ગળામાંથી તુલસીની માળા અલોપ હતી.પોલીસ કરેલા પંપશૂં પહેરેલા હતા .દોડતો આવી ફોઈને વળગી પડ્યો.બોલ્યો,” મા આવ્યા છે ,ફોઈબા રસોડામાં રાંધે છે ! “ ક્ષેત્રમોહન અને વિભાનાં આશ્ચર્યનો પાર ન રહ્યો .આજે વિભાએ પગના જુતા કાઢી ઉષા ને પ્રણામ કર્યા. ઉષાએ ચિબુક  પકડી અને સ્પર્શ કરી ચુંબન કર્યું  નણંદને ,હસીને વિભાએ  કહ્યું ,” કેવું બની ગયું !ભાભી જોયું ને !”

       ઉષા એ જવાબ આપ્યો ,”હા ,છોકરાની શિકલ જોઈ આંસુ નીકળી પડ્યાં,માળા બાળા તોડીને ફેંકી ,હજામને બોલાવી વાળ કપાવી નાંખ્યાં ,નવું ધોતિયું પહેરણ અને જોડા લાવી પહેરાવ્યાં ત્યારે તો હું એની સામે જોઈ શકી.હા ,પણ તમે શું કરતા હતા ?આટલું થયું તો ?

ક્ષેત્રમોહન અસલ મિજાજમાં આવી બોલી ઊઠ્યો ,”બધું હમણાં કહેવાની ઉતાવળ નથી . બંને પ્રભુપાદ ઉપર તો નથી ને ?ભૂખ લાગી છે ,ખાવાનું આપો .

      ઉષા એ હસીને નણંદોઈ ને કહ્યું, “ડરવાની જરૂર નથી તે નવદ્વિપધામમાં ગયાં છે .

    ક્ષેત્ર મોહન ડરથી પૂછે છે,”પાછા નહીં આવે ને ?”

        અંતમાં ક્ષેત્રમોહન ઉષા ને કહે છે કે  વહુઠાકુરન તમને આવી સુબુદ્ધિ આવશે એવું અમે સ્વપ્ને પણ ધાર્યું નહોતું .બ્રહ્મચારી બ્રાહ્મણની તુલસીમાળા તમારા હાથે તોડી નાંખી ,ચોટલી કાપી નાંખી આ બધું શું કહો છો ઉષાએ હસતે મોઢે વાત ઉડાડી જવાબ આપ્યો ,”બધું હમણાં કહેવાની  શી ઉતાવળ છે,ચાલો ખાવાનું આપું.”

          શરદબાબુએ ફરી વાર્તાને વળાંક આપી દીધો એક એવી સ્ત્રી ને હાથે મહાન કાર્ય કરાવી દીધું .કહેવાય છે ને બધાં સુખને એક ચોક્કસ સીમા હોય છે .પોતાનું એવું એક પણ માણસ જો ન હોય તો જિંદગી આકરી થઈ જાય છે ,ખાસ કરીને પાછલી અવસ્થામાં ,શૈલેષને તેની જરૂર હતી .ઉષાની માન્યતાઓમાં સાધારણ પ્રચલિત અંધવિશ્વાસ અને રુઢીઓને સ્થાન નહોતું. તેથી અંતમા આવી તે પુત્રની ડોકમાંથી તુલસીની માળા તોડી શકી અને ચોટલી પણ કાપી નાખી શકી.

     આમ સુખદ અંત સાથે પણ વિલાયતી કે અંગ્રેજી સંસ્કાર કે રહેણીકરણી પ્રાચીન સંસ્કૃતિને બદલાવી નથી શકતી .તે વાત તે જમાનામાં લેખક સમજાવી ગયા આપણને. 

      મિત્રો, ફરી આવતા અંકે મળીશું શરદચંદ્રની નવી કથા વાર્તા લઈને .

અસ્તું,

જયશ્રી પટેલ

૨૯/૫/૨૨

ઓશો દર્શન- 18. રીટા જાની

wp-1644023900666



આપણે જોઈએ છીએ માણસ માટે અંતરીક્ષના દ્વાર ખુલી ગયા છે. આકાશમાં દૂર-સુદૂર હવાઈ મુસાફરી થઇ શકે છે. પણ આશ્ચર્ય એ વાતનું છે કે તેના પોતાના અંતરના દ્વાર બંધ થઈ ગયા છે. તે આંતરયાત્રા પણ કરી શકે છે એવું તેને યાદ જ નથી . જો સ્વયંને ખોઈને બધું મેળવી લીધું તો પણ તેનું મૂલ્ય શું? માણસ પોતાના અસ્તિત્વની આત્મસત્તા ખોઈ બેસે પછી આખા બ્રહ્માંડનો વિજય મળે તોપણ તે ખોટ પૂરી શકવાને સમર્થ નથી. તમારા ભીતર પ્રકાશનું એક નાનકડું કિરણ પણ હશે તો આખા સંસારના અંધારાને દૂર કરી શકશે અને જો સ્વયંના આ કેન્દ્રમાં અંધારું હશે તો બાહ્ય આકાશના કરોડો સૂર્ય પણ તે અંધારાને હટાવી નહીં શકે.

ભય એ અજ્ઞાન છે. જ્યાં આત્મજ્ઞાન છે, ત્યાં જીવન છે, ત્યાં જ પરમાત્મા પણ છે. જીવનને જોડવાવાળો સેતુ ધર્મ છે. જે ભયના આધારે ધર્મને સમજે છે તે ધર્મને સમજતા જ નથી. અથવા તો તેઓ જે સમજે છે તે ધર્મ નથી. ભય એ જ અધર્મ છે. કારણ કે જીવનને જાણી ન શકાય તેથી વધુ અધર્મ બીજો શું હોઈ શકે? સત્ય ઉપરનો વિશ્વાસ સત્યના બીજ ઉપર અંકુરણ માટેનો વરસાદ બની જાય છે. સૌંદર્ય ઉપરની નિષ્ઠા સુષુપ્ત સૌંદર્યને જાગૃત કરવાનો સૂર્યોદય બની જાય છે. અશુભ એ કોઈનો સ્વભાવ નથી, દુર્ઘટના છે. સૂર્ય વાદળોમાં છુપાઈ જાય તેથી પોતે વાદળ બની જતો નથી. વાદળ સૂર્યને ઢાંકી દે તો પણ થોડી વાર માટે. કારણ વાદળ હંમેશા છવાયેલા રહેતા નથી. કોઈ પણ પરિસ્થિતિમાં સૂર્ય ઉપર જ ધ્યાન રહે તો તેનો ઉદય ઝડપથી થતો જોવાય છે. ‘ન દેખાવું’ તેનો અર્થ ‘ન હોવું’ નથી. વાદળથી ઘેરાયેલા સૂર્ય કે ચંદ્રને જોઈ નથી શકાતો, આંખ બંધ હોય તો દિવસનું અજવાળું પણ દેખાતું નથી. પૂર્ણ રીતે અભય જ સત્યને જોવા માટે આંખ ખોલી નાખે છે. અભય સિવાય ધર્મનું બીજું કોઈ દ્વાર નથી.

વિચાર આચારનું બીજ છે, જે અનુકૂળ વાતાવરણ મળતા અંકુરિત બને છે. માટે પોતાના પ્રાણને રાખવા માટે સમ્યક સ્થળ પસંદ કરવું ખૂબ જરૂરી છે. જે અવિવેક અને આળસને ત્યજીને આંખો ખોલે છે તે જીવનના એવા હિમાચ્છાદિત શિખરોને જુએ છે જે સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યા છે. જો તમે હૃદયપૂર્વક તેમની પાસે જવાની ઈચ્છા રાખશો તો તે તમારાથી જરા પણ દૂર નથી. જ્ઞાન નિર્વિવાદ છે. જેઓ વિવાદ કરે છે તે ચોક્કસપણે અજ્ઞાનમાં હોય છે. આથી સત્યની બાબત નિર્વિવાદ સાંભળવા મળે ત્યારે આશ્ચર્ય થાય છે. આ તો પાંચ અંધ અને હાથીની વાર્તા જેવું છે. જેણે જે ભાગ પકડ્યો- સુંઢ, પગ, પુછડી – તેનું વર્ણન કર્યું અને બધા પોતાના મતને જ સત્ય માનતા હતા અને મનાવી રહ્યા હતા. સત્યને ઓળખવું હોય તો સિદ્ધાંતની સાથે અજવાળાને રાખવું જરૂરી છે. પ્રશ્ન વિચારોનો નથી, પ્રકાશની ઉપલબ્ધિનો છે. પ્રકાશ તો ભીતર છે તેથી તે એવી ચિન્મય જ્યોતિને મેળવી લે છે જે હંમેશ માટે તેની ભીતર પ્રજ્વલિત જ રહેલી હોય છે. સંપત્તિ અને સમૃદ્ધિમાં ફેર છે. જે સંપત્તિ માત્ર બાહ્ય સંગ્રહથી જ ઊભી થાય છે તે હકીકતમાં ક્યારેક વિપરીત બને છે. જે ભય પમાડે તે વિપત્તિ છે અને અભય આપે તે સમૃદ્ધિ છે. વાસ્તવિક સમૃદ્ધિ અંતરઆત્માના ઉઘાડથી જ મળે છે.

જીવન એક કલા છે અને માણસ એક કલાકાર છે. માણસ માટે કલા સાધન અને સાધ્ય બને છે. જન્મથી તો માણસ વણઘડાયેલા પથ્થર જેવો હોય છે. તેમાંથી કુરૂપ કે સુંદર મૂર્તિનું નિર્માણ માણસ પોતે જ કરે છે. તેનામાં આત્મવિશ્વાસ અને આત્મધ્વંસ બંને શક્તિ છે. પોતે જે કર્તવ્યભાન ઊભું કરે છે તેનાથી વ્યક્તિથી લઈને સમષ્ટિ સુધી પહોંચવાની આ વાત છે. પોતાની સત્તા અને તેની સંભાવનાઓના વિકાસ માટે પ્રેમનો અભાવ જ પાપ બને છે. આ રીતે જ પાપ અને પુણ્ય, શુભ અને અશુભ, ધર્મ અને અધર્મના પ્રવાહો માણસની અંદર જ છે. આ સત્યની તીવ્ર અનુભૂતિ જ માણસમાં પરિવર્તન લાવે છે, જેનાથી તે આંતરિક રીતે સતત સર્જન કાર્ય કરી ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરે છે. ત્યારે પ્રાણને એવો લય અને છંદ મળે છે જેથી તે ધીમે ધીમે પર્વત, ખીણ કે ધુમ્મસને પેલે પાર ઉઠી મનની આંખોથી સૂર્યના દર્શન કરી શકે છે.

પોતાની જાતમાં વિશેષ ગહન બનવું એનો અર્થ જીવનની વૃદ્ધિ છે. વૃક્ષનું ઉદાહરણ લઈએ તો વૃક્ષ જેમ જેમ વૃદ્ધિ પામતું જાય છે તેમ તેમ તેના મૂળ જમીનમાં ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે. વૃક્ષ જેટલું ઊંચું હશે તેટલા તેના મૂળ ઊંડા હશે. ઓશોના મતે ધ્યાન એ જીવનનો પ્રથમ સિદ્ધાંત છે. ધ્યાનનો અર્થ છે અમરત્વમાં ઉતરવું, શાશ્વતતામાં ઉતરવું, પ્રભુતામાં ઉતરવું. નિર્દોષતાને સમર્થન આપવું જોઈએ. એ ઈચ્છા વિહિનતાની અવસ્થા છે, તેમાં જ્ઞાન નથી, છતાં અજ્ઞાન એ નિર્દોષતા નથી. આ બંને વચ્ચેના ભેદને સમજવો એ જીવનની કળાનું પ્રથમ પગલું છે.

ધ્યાન એ એવી શસ્ત્રક્રિયા છે જે તમારા પોતાના અસ્તિત્વને જાળવી રાખી જે તમારું નથી તેનાથી તમને કાપીને અળગા કરે છે. અસ્તિત્વની શોધ જીવનનો પ્રારંભ છે. ત્યારબાદ પ્રત્યેક ક્ષણ નવો આનંદ, નવા રહસ્યોનું ઉદ્ઘાટન, નવો પ્રેમ, અનુકંપા અને સંવેદનશીલતા લઈને આવે છે. આ સંવેદનશીલતા વ્યક્તિ, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, પર્વતો, નદીઓ, સમુદ્ર, તારાઓ સાથેની મિત્રતા ઉભી કરી જીવનને સમૃદ્ધ બનાવે છે. જીવન અસીમિત બની જાય છે અને સમગ્ર વિશ્વ મારું છે એવી ઉદ્દાત ભાવના આવે છે. જીવનમાંથી સાચો ઉત્સવ પ્રગટે છે.

બીમારીમાં દુઃખને વળગી રહેવાની જરૂર નથી. જો તમે પથારીવશ છો તો ડોક્ટરને બોલાવો, પરંતુ જે લોકો તમને ચાહે છે એ લોકોને બોલાવો તે વધુ અગત્યનું છે. જે લોકો તમારી આસપાસ સુંદરતા, કવિતા, સંગીતનું સર્જન કરી શકે એવા લોકોને નિમંત્રણ આપો. કારણ કે દવા નિમ્ન પ્રકારનો ઇલાજ છે. જ્યારે પ્રેમ અને ઉત્સવના ભાવ જેવો બીજો કોઈ ઉપચાર નથી. તમારી પથારીવશ ક્ષણોને સુંદરતા અને આનંદની ક્ષણમાં, રાહત અને આરામની ક્ષણમાં, ધ્યાનની ક્ષણમાં, સંગીત અને કવિતાના શ્રવણમાં બદલી શકો છો. દરેક ચીજને સર્જનાત્મક બનાવવી, ખરાબમાંથી સર્વોત્તમ બનાવવી તેને ઓશો જીવવાની કળા કહે છે.

ધ્યાનનો મહિમા કરતાં ઓશો કહે છે કે ધ્યાન સાથે અંદર કશુંક સંભવવાનું શરૂ થશે -મૌન, શાલીનતા, પરમાનંદમયતા, સંવેદનશીલતા. તેને જીવનમાં અભિવ્યક્ત કરો. જાતે બુદ્ધિમાન બનો અને મગજમાં જે નકામો કચરો વેંઢારી રહ્યા છો તેને બહાર ફગાવી દો. જીવન ખૂબ સરળ છે. આનંદમાં રહેવું એ તમારો અધિકાર છે. સમગ્ર પૃથ્વી આનંદ અને નૃત્યમય બની શકે છે. તમે તેને વિશેષ સુંદર બનાવો, વિશેષ સુખી બનાવો, વિશેષ સુગંધિત બનાવો.

સુપ્રસિદ્ધ લેખક અને કોલમ રાઇટર શ્રી એમ.બી કામથ કહે છે તેમ ઓશો નવીન યુગના ઉદ્ગાતા અને યુગપુરુષ છે. તેમનું દર્શન એવું છે જે તમને વિચારવા માટે બાધ્ય કરે. તેઓ એવા દાર્શનિક છે, જે તમારા માટે એક પડકાર છે. અને ત્યાં જ એમની સાર્થકતા પણ છે. પરિપક્વતાના વિષય પર ઓશોના ચિંતન સાથે મળીશું આવતા અંકે….

રીટા જાની
27/05/2022

Vicharyatra : 18 Maulik Nagar “Vichar”

વિશ્વાસ

વિશ્વાસ શબ્દ કેટલો જોરદાર છે. એક જ શબ્દમાં વિષ પણ છે અને શ્વાસ પણ છે. આ તો મલ્ટી ટેલેન્ટેડ શબ્દ કહેવાય. ૩૬૦ ડિગ્રીએ માણસને ઘેરી લે તેવો શબ્દ છે.
“વિશ્વાસ” શબ્દમાં ગીતાજીના અઢારે અઢાર અધ્યાય આવી જાય છે.
વિશ્વાસમાં બે ભાવ છુપાયેલા છે. નકારાત્મક ભાવ એટલે “વિષ” અને હકારાત્મક ભાવ એટલે “શ્વાસ”
એક ભાવ જીવ લેવાની પ્રવૃત્તિ રાખે છે અને એક જીવાડવાનું સાહસ કરે છે. વિશ્વાસ એટલે ઈશ્વરનો શ્વાસ પણ જો તે ખરોના ઉતરે ત્યારે તે ઘાતક વિષ બનીને સંબંધનું મરણ કરી નાખે છે. દિલ તૂટવાની વાતો આખું ગામ કરે છે. અનેક કવિઓ, લેખકો આ દિલ તૂટવાના વિષય પર લખ્યાં કરે છે. એમાં એક કૉમન વસ્તુ છે કે એ દિલ તોડનાર કલ્પ્રિટ (અપરાધી) દિલ તોડતા પહેલાં સૌથી પહેલો વિશ્વાસ તોડે છે. એટલે જ કહેવાય છે ને કે ‘ક્યાંક આપણાથી ભૂલ થાય તો આપણે માફી માંગી શકીએ પણ જો આપણે કોઈનો વિશ્વાસ તોડીએ તો તે ક્યારેય સંધાતો નથી.’ એનાથી ઉલ્ટું જો કોઈક અજાણ્યાએ આપણા પર કરેલા નાનકડા ભરોસા પર આપણે ખરા ઉતરીએ તો ત્યાં એક નવા સંબંધને શ્વાસ મળે.

કોઈના ઉપર વિશ્વાસ કરવો એનાં કરતા કોઈના વિશ્વાસુ બનવું વધારે અઘરું છે. જો આપણે આપણાં પોતાના વિશ્વાસુ બનીએ ત્યારે એક પ્રામાણિક જીવનો જન્મ થાય. અને આપણામાં એક મૂલ્યવાન પાત્રનું ઘડતર થાય. વિશ્વાસ નરી આંખે જોઈ નથી શકાતો એટલે એને સ્વિકારવો બહું અઘરો છે. વિશ્વાસ ડગે એટલે માણસની મતિ મરી જાય. પરંતુ એવું પણ બને કે અડગ વિશ્વાસથી આપણું જીવવું સફળ બની જાય. પૈસા કમાતા કદાચ એટલી વાર ન લાગે જેટલો સંઘર્ષ આપણે વિશ્વાસ કમાવવા કરવો પડે.
ક્યાંક ખૂબ સુંદર વાક્ય નજરે પડ્યું હતું. “વિશ્વાસ કમાતા વર્ષો લાગે છે અને એને તૂટતાં માત્ર એક ક્ષણ અને તે તૂટેલો વિશ્વાસ ક્યારેય પાછો જીવિત નથી થતો.”

જો આપણા પર લોકો વિશ્વાસ કરતા હોય તો સમજવાનું કે આપણે ઈશ્વરના પ્રિય પાત્ર છીએ.

  • મૌલિક વિચાર

સંસ્પર્શ-૧૮

jigisha -સંસ્પર્શ -youtube

પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે ।

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥

આમ તો સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા માટે આ શ્લોક ઈશાવાસ્ય ઉપનિષદમાં લખાયો છે.પરબ્રહ્મ સ્વયંમ્ માં પરિપૂર્ણ છે,તેની સાથે તે જગતનાં સૌ પ્રાણીઓમાં વ્યાપ્ત છે. દરેક જીવોમાં હોવા છતાં તે સ્વયંમ્ માં પરિપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ લેવા છતાં પૂર્ણ જ રહે છે.

આ ઉપનિષદનાં શ્લોકની વાત ધ્રુવદાદાએ દ્રૌપદીનાં ચરિત્ર આલેખનમાં ખૂબ સુંદર રીતે આલેખી છે.સૌ પ્રથમ દાદાએ દ્રૌપદીને સમર્થ સ્ત્રી તરીકે સ્થાપીને કહ્યું કે “કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી.” આમ કહી દ્રૌપદી કોઈ સામાન્ય સ્ત્રી નથી પરતું કૃષ્ણ અને કૃષ્ણા જુદા સ્વરૂપે એક જ છે તેમ દર્શાવ્યું.દ્રૌપદીનું ચરિત્ર,સતીત્વ,સૌંદર્ય,વાક્છટા, બુધ્ધિમતા,કૃષ્ણ સાથેની અસામાન્ય મૈત્રી, પાંચે પતિઓ સાથે એક સરખો પ્રેમપૂર્ણ વ્યવહાર,બધું જ અવર્ણનીય,અદ્ભૂત,અભિન્ન. શું આ કોઈ સામાન્ય સ્ત્રીની વાત છે?

દ્રૌપદીની માતાને ખબર પડે છે કે તેમની પુત્રી ,પાંચ પતિઓની પત્ની બનવાની છે ત્યારે તે પુત્રીને પૂછે છે ,” બેટા, તેં પાંચ પતિઓની પત્ની બનવાનો સ્વીકાર કર્યો પરતું ,તારા મનોભાવ, તારી પવિત્રતા, તારા સ્ત્રીત્વનું શું?” ત્યારે દ્રૌપદીએ જે જવાબ આપ્યો છે,તે ધ્રુવદાદાનાં દ્રૌપદીનાં સતીત્વ વિશેનો ખૂબ સુંદર વિચાર દર્શાવે છે અને તે દ્વારા તે અગ્નિકન્યાનાં દ્રૌપદીનાં પાત્રને તેજસ્વી અને સશક્ત બનાવે છે.

મા,મારા મનની ચિંતા ન કરો,એ હંમેશા મારા વશમાં છે.પવિત્રતા વિશે કહું ,તો માતા કુંતીના પુત્રો જુદાજુદા દેવોનું વરદાન છે. છતાં તેમની પવિત્રતા પૂજનીય છે.મારે મન સત્યનાં ગૌરવ અને આચરણ એ જ સતીત્વ છે.સ્ત્રીના સતી હોવા વિશે બીજાં જે અર્થઘટનો કરાતાં હોય કે વ્યાખ્યા થતી હોય તેનો હું સ્વીકાર કરતી નથી. એક સ્ત્રીનું પોતાના સ્ત્રી હોવાનું ભાન જ તેને સતીત્વ પ્રદાન કરે છે,આપોઆપ”.

એથી પણ વધારે અર્જુન જ્યારે સુભદ્રાને પરણીને આવે છે ત્યારે સુભદ્રા ,દ્રૌપદીને મળવા જતાં ખૂબ સંકોચ અનુભવે છે ત્યારે ધ્રુવદાદાએ જે સંવાદ દ્રૌપદી દ્વારા બોલાવ્યો છે તેમાં મને ઉપનિષદનાં પડઘારૂપ ‘પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે’ સંભળાય છે.જૂઓ આ સંવાદ-

દ્રૌપદીની એકએક ગતિમાં તેનું લાવણ્ય અને ગૌરવ પ્રગટ થતાં હતાં. દ્રૌપદી સંકોચાતી સુભદ્રાને કહે છે,” સાંભળ સુભી!” મારા પ્રેમમાં ભાગ પડાવવો તે જગતની કોઈ સ્ત્રી માટે શક્ય નથી.”

સુભદ્રાએ અનુભવ્યું કે ,”જગત જેને પ્રેમ તરીકે ઓળખે છે તે લાગણીથી ઉપરની એક અવસ્થામાં આ સ્ત્રી જીવે છે.આ સ્થિતિ દરેકને પ્રાપ્ત થતી નથી.સ્ત્રીનાં પ્રેમિકા,માતા,પત્ની,બહેન- આ બધાં સ્વરૂપો ઉપરાંત તેનું પોતાનું એક સ્વરૂપ હોય છે.તેને કદાચ પૂર્ણ સ્ત્રીત્વ કહી શકાય.દ્રૌપદી તે અવસ્થાની નજીક છે અને પૂર્ણમાં ભાગ પડે તો પણ તે પૂર્ણ જ રહે છે.”

ધ્રુવદાદાના દ્રૌપદીનાં પ્રેમ માટે રચાએલા આ સંવાદને વાંચી દરેક વાચકને પ્રેમ એટલે શું? અને એક પત્નીને તેના પતિ તરફનાં પ્રેમમાં કેટલો વિશ્વાસ અને શ્રધ્ધા હોવા જોઈએ? પ્રેમની દૈવી તાકાત કેવી હોવી જોઈએ? જેવા અનેક વિચારોનો વંટોળ મનોજગતમાં રાચવા લાગે છે.

આ બધાં કારણોથી જ ધ્રુવદાદાની નવલકથા ભલે મહાભારતનાં કેટલીયે વાર ચર્ચાઈ ગયેલ પાત્રોને અનુલક્ષીને હોવા છતાં આપણને કંઈ નવી દિશામાં જ વિચારવા પ્રેરે છે.પ્રેમનાં પૂર્ણ સ્વરૂપનું દર્શન કરાવતાં દાદાએ પ્રેમની સર્વોચ્ચ દશાનું વર્ણન કર્યું છે. જે કાબિલેદાદ છે.તેમની બધી નવલકથામાં દાદાએ આડકતરી રીતે ગીતા,ઉપનિષદ,વેદોની વાણીને સંવાદમાં વણી જીવન જીવવાની સાચી દ્રષ્ટિ કેળવવા આપણને પ્રેર્યા છે.પછી તે ધ્રુવગીત પણ કેમ ન હોય! 

આ સાથે જ પોતાની ચિંતા ન કરવાનું કહી શ્યામળાને નિરાંતે સૂવાનું કહેતા ધ્રુવદાદાનું સરસ ધ્રુવગીત પણ ગાઈએ,જેમાં દાદા પણ મિત્રભાવે શ્યામળા સાથે શું વાત કરે છે તે જાણીએ.

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો

શ્યામળાઅહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવમાં

એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને ક્યાં કાઢું આરતનાં વેવલાં

આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કર્યું કે કારવશું બાપલા

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો પછી ઓઢશું

બાકી આ તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠ્ઠો ઉકેલશું

આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગવાના આપો બે કામળા

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયા તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું

આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું

માંડી ચોપાટ હવે જાતે ઉકેલવી છે તમને શું અમથા રમાડવા 

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ધ્રુવદાદાએ શ્યામળા સાથે તે એકદમ નીકટ હોય અને સહજ રીતે વાત કરતાં હોય તેવી રીતે ગીત રચ્યું છે.પરમને એકવાર રામ અને બીજીવાર શ્યામળા ઉદેશતાં દાદા,રામ કહોકે શ્યામ બધાં એક જ પરમનાં જુદાજુદા નામ છે ,તે પહેલી પંક્તિમાં જ સમજાવી દીધું છે.પોતાની જીવન ફિલસુફીની વાત કરતાં શ્યામળાને મિત્રભાવે કહે છે કે તું મારી કંઈ ચિંતા ન કરીશ. આ જગતમાં આવ્યો છું તો હું મારી લડાઈ મારી જાતે લડીશ ,જેવું પડશે તેવું દઈશ.પ્રભુ તારે તો કરોડો ભગતોની ભીડનું ધ્યાન રાખવાનું છે. સૌ પોતપોતાની ફરિયાદ કરવા ઊભા છે . તારે તો માણસો સાથેસાથે દેવોનું પણ ધ્યાન રાખવાનું છે. તારે આટલાં બધાંનું ધ્યાન રાખવાનું છે એમાં હું મારી ઇચ્છાઓનો ટોપલો ક્યાં ખોલું?હું મારું ફોડી લઈશ.તું મારી ચિંતા ન કર ,એમ કહે છે.

દાદા કહે છે હું તો મને જે મળશે તે ખાઈ લઈશ અને જે મળશે તે પહેરી ઓઢી લઈશ .બે કોથળા ઓઢીને ચલાવી લઈશ,મને કોથળા ઓઢવાનો છોછ નથી. પણ મારે તારી પાસે બે કામળાની માંગણી નથી કરવી.મારાં જીવનની તડકી ,છાંયડીને અને જીવતરનાં કોયડાને હું જાતે ઉકેલીશ.આમ કહી ભગવાનને સતત ફરિયાદ કરતાં અને પોતાની ઈચ્છાઓ અને માંગણીઓને પૂરી કરવા રોજ રામ-કૃષ્ણને ભજતાં લોકો પર સરસ કટાક્ષ કરતાં ગીતની રચના દાદાએ કરી છે.

તેમજ સંસાર રૂપી ચોપાટની રમતનાં પોતાનાં કોયડા પોતે જાતે જ ઉકેલશે એમ કહી દાદા કહેવા માંગે છે કે તમારી મુશ્કેલીઓની ફરિયાદો કરવાનું બંધ કરી ,તેનો ઉકેલ જાતે જ લાવો અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મોજ સાથે હસતાં હસતાં જીવનપથ પર આગળ વધતાં શીખવાનું દાદા કહે છે.જીવનને ચોપાટની રમતનું રૂપક દર્શાવી,રમતમાં જેમ સોકટાને આડુ પાડી ગાંડું કાઢે ,તો રમનારે જ એને વ્યવસ્થિત રીતે રમવું પડેને! તો આ જીવનની બાજીને પોતે જ પોતાની રીતે રમી,મુશ્કેલીઓમાંથી પોતાનો રસ્તો કાઢવાની શીખ દાદા આપણને આપે છે.

જીવનને સરળ અને સહજ રીતે જીવવાની કેવી સુંદર વાત પરમ સાથે વાત કરતાં દાદાએ કહી છે !અને શ્યામળાંને પણ જાણે હસતા હસતાં કહી દીધું કે મારી ચિંતા કર્યા વગર તું નિરાંતે સૂઈજા….મારી જીવન ચોપાટની રમત હું મારી જાતે રમીશ ,તને સાદ દઈ હેરાન નહીં કરું.આમ નાની નાની વાત માટે પ્રભુ પાસે માંગણીની ટહેલ ન નાંખવાની શીખ આ ગીત દ્વારા દાદાએ સૌને આપી છે.

૨૫મી મેં ૨૦૨૨

જિગીષા દિલીપ

હેલીના માણસ – 18 | અશ્રુની ભાષા | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ – 18 એની 17મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ

 

ભીંજવું પાંપણની ભીનાશે તને,

મારામાં વરસાદ દેખાશે તને.

 

આ રીતે પણ ક્યાંક ચુમાશે તને,

હોઠ પર મૂકી કોઈ ગાશે તને.

 

હું જ ધરતી પર તને લાવી શકીશ,

મેં જ બેસાડ્યો છે આકાશે તને.

 

તારો શત્રુ હું નહીં પણ તું જ છે,

આજ નૈ તો કાલ સમજાશે તને.

 

મારા હૈયામાં કરી જો ડોકિયું,

ત્યાં અણીશુદ્ધ તું જ દેખાશે તને.

 

અશ્રુઓ શું શું લખે છે આંખમાં,

વાંચજે ધીમેથી વંચાશે તને.

 

તું ખલીલ, આ વર્ષે યાદીમાં નથી,

આવતા વરસે વિચારાશે તને.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ –

ઈશ્વર સાથેનો વાર્તાલાપ રચાયો હોય તેવી રચના કરવામાં આવે ત્યારે તે એક નવી ઉંચાઈને પામે છે. રચનાકાર તો તેમાં તન્મય થઈ જ જાય પણ વાંચનાર પણ જાણે પ્રભુ સાથે એકાકાર થઈ જાય છે. ભગવાન ક્યાં રહે છે તેની જાણ તો કોઈને નથી. પણ સામાન્યરીતે ઘણા ધર્મોનાં તેનું સ્થાન આસમાનમાં માનવામાં આવે છે. જો કે, એની પણ ખાત્રી તો છે જ નહીં ને! એટલે કવિ કહે છે કે, હે ઈશ્વર તને આકાશમાં તો અમે, તારા ભક્તોએ જ બેસાડ્યો છે. અમારી તકલીફો દુર કરવા તને અહીં પૃથ્વી પર પણ અમે જ પાછો લાવીશું. એ કામ અમે કરી શકીશું કારણ કે, તારી પ્રાર્થનામાં તલ્લીન થયેલું અમારું દિલ, આર્દ્ર બનીને આંખોમાંથી આંસુ રૂપે વહેશે ત્યારે અનાયાસ જ વરસાદની જળસેર સાથે જોડાઈ જશે અને એ સંધાણ જ તારા સુધી પહોંચવાનો માર્ગ બનશે. પાંપણની એ ભીનાશ ત્યારે તારા સુધી પહોંચશે અને તને પણ ભીંજવશે. આંખોમાંથી વહેતા અશ્રુઓ અમારા દિલની વાતો લઈને આવશે જે તને સ્પસ્ટ રીતે વંચાશે. જરૂર છે તો તારે એ આંસુની ભાષાને ઉકેલીને વાંચવાની. 

હું જ ધરતી પર તને લાવી શકીશ,

મેં જ બેસાડ્યો છે આકાશે તને.

અમારા હોઠ તારાં ગીતો ગાઈને કૃતકૃત્ય બનશે. સાથે જ તારાં ગીતો દ્વારા અમારા હોઠ પણ તારા સ્પર્શને પામીને કૃતકૃત્ય બનશે. તારી ભક્તિથી અભિભૂત થયેલાં અમારા પવિત્ર હૈયામાં બીજું કંઈ જ નહીં હોય માત્ર  તું જ અને તું જ હોઈશ. 

એટલું તો ચોક્કસ છે કે, આપણે ભલે ગમે તેને શત્રુ માનીએ. આપણી તકલીફો માટે ભલે બીજા કોઈને કારણભૂત માનીએ. ઘણી વાર તો આપણે ભગવાનને દોષ દેતા હોઈએ છીએ. હે, ભગવાન! તેં મારી સાથે આવું કેમ કર્યું? મેં શું ખોટું કર્યું છે? તું મને શાની સજા કરે છે એ તો કહે. કેટલીક વાર તો એટલે સુધી બોલી નાખીએ કે, તું તે ભગવાન છે કે દુશ્મન? ત્યારે ભગવાન એટલું કહેશે, તારો શત્રુ તો તું જ છે, હું નહીં. તને પણ એ વહેલું મોડું જરૂર સમજાશે. આ શેરમાં કવિ કહે છે, 

તારો શત્રુ હું નહીં પણ તું જ છે,

આજ નૈ તો કાલ સમજાશે તને.

આંખમાં અવારનવાર આવતાં રહેતાં આંસુ ભલે વહેતાં હોય આંખોમાંથી જ અને દેખાવમાં પણ સરખાં જ હોય પરંતુ દરેક આંસુ વહેતા વહેતા આંખમાં એની દાસ્તાન લખતાં હોય છે. ક્યારેક એ વાતો વેદનાની હોય, ક્યારેક ખુશીની. ક્યારેક આશ્ચર્યની હોય તો ક્યારેક વ્હાલની! ધ્યાનથી નિરિક્ષણ કરીએ તો અશ્રુની આ ભાષા આપણને સમજાતી હોય છે. 

અશ્રુઓ શું શું લખે છે આંખમાં,

વાંચજે ધીમેથી વંચાશે તને.

ભગવાન જેવો અકળ છે એવું અને એટલું જ અકળ છે ભાવિ. અને એમાં ય જીવનમાં ઘટતા બનાવો આપણી ધારણાં પ્રમાણે ક્યાં થતાં હોય છે? ન માંગ્યે દોડતું આવે અરે! પ્રારબ્ધ તો ઘેલું! બધું જ અનિશ્ચિત! ઘણીવાર તો લાગે કે, આપણે પ્રેક્ષક બનીને જ આપણાં જીવનને બસ જોયા કરવાનું છે! ખલીલ સાહેબ આ શેરમાં મૃત્યુ વિશે કહે છે કે, એ છે તો નિશ્ચિત આવવાનું જ, પણ ક્યારે? 

તું ખલીલ, આ વર્ષે યાદીમાં નથી,

આવતા વરસે વિચારાશે તને.

આપણે જાણે બીતાં બીતાં એના આગમનની રાહ જોવાની અને જો બચી જઈએ તો આભાર સાથે વિચારવાનું કે, આ વર્ષે આપણે યાદીમાં નથી. કદાચ આવતા વર્ષે આપણો નંબર હોય!

મિત્રો, મૃત્યુને પણ મહેમાન ગણીને એનાં આગમન વિશે બેફિકરાઈથી વિચારવાનો સંદેશ આપતી આ ગઝલ આપને જરૂર ગમી હશે. ફરીથી આવી જ દમદાર ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

 

રસાસ્વાદનું વાચિક્મ :

વિસ્તૃતિ ..૧૭જયશ્રી પટેલ, 

 

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679
શરદચંદ્રની ‘સતી’ નામક લઘુ નવલકથાનો ગુજરાતી અનુવાદ શ્રી રમણલાલ સોનીએ કર્યો છે .ભારત એટલે સતીઓનો દેશ સ્ત્રીની પવિત્રતા અને તેની એકનિષ્ઠ પતિવ્રતા વૃત્તિ એ સ્ત્રીનાં સતીત્વનું પ્રમાણપત્ર બની જતું . આ નવલકથા નાની છે તેમાં એવી એક સ્ત્રીનું અહીં શરદબાબુ એ ચારિત્ર ચિત્રિત કર્યું છે કે જે પોતે જ પોતાના સતીતત્વનાં એક પછી એક એવા રૂપ ને ઉજાગર કરે છે કે તે રૂપ પતિ માટે અતિ અસહ્ય નાગપાશરૂપ બની જાય છે અને તેમાંથી છૂટવાની પતિને કોઈ જગા જડતી નથી કે ક્યાંય મોં દેખાડવા જેવું સ્થળ રહેતું નથી. શરદબાબુ એ ખૂબ કુશળતાપૂર્વક આનું આલેખન કર્યું છે .
હિન્દુઓની કન્યાઓ બાળપણથી જ નાના છોડવાઓ ને દેવ માની પૂજતા શીખે છે.

મિત્રો,આ વાર્તામાં એક વાત જરૂર જોવા મળી કે સ્ત્રીઓ પોતાની જાતે જ ઘણીવાર દાંપત્ય જીવનમાં પોતાના પગ પર જ કુલ્હાડી મારતી હોય છે ,ઘાયલ થયાં પછી તેની પરિસ્થિતિ ધોબીના કૂતરા જેવી થાય છે ન ઘરની રહે છે ન ઘાટની.

આ વાર્તા નાયક હરીશ અને તેની સતી સ્ત્રી નિર્મળાની આસપાસ ફરે છે .હરીશ પાવનાનો એક સારો જાણીતો વકીલ હતો . તે કેવળ વકીલ તરીકે નહીં પણ માનવતાની દ્રષ્ટિએ પણ સૌ કોઈ તેને માન આપતા. દેશની સર્વે શુભ પ્રવૃત્તિઓ સાથે તેને ઓછો વત્તો સંબંધ હતો. શહેરનું કોઈપણ કામ તેના વિના થતું નહીં.

તેના લગ્ન પિતા માતાની મંજૂરીથી થયાં. પિતાના મિત્ર ગણો કે તેમની ધર્મ સંસ્કારની વાતોથી આકર્ષાયને તેમની જ પુત્રી નિર્મળા સાથે પિતાએ કોલ આપી દીધો . તેઓ પણ સબજજ હતા .અનુભવી હતાં તેમ તેમનું માનવું હતું .હરીશની ઈચ્છા પણ ઔપચારિક રીતે પૂછવામાં આવી.બધું જ નક્કી છે પછી હરીશ કાંઈ જ ન વિચારી શક્યો.પિતા સ્વર્ગ ,પિતા ધર્મ ,પિતા હી પરમ તપઃ વગેરે વિચારી શાંત થઈ ગયો.
કન્યાના પિતા પણ પાત્ર જોઈ ખુશ થઈ ગયા. હરીશના પિતા રાયબહાદુરે ભાવિ વેવાઈ મૈત્ર મહાશયનો પરિચય હિંદુ ધર્મ પરની નિષ્ઠાનો પરિચય આપતાં કહ્યું ,”અંગ્રેજી ભણતરનાં અંનત દોષોનું વર્ણન કરી લગભગ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે પોતાને હજાર રૂપિયાના માસિક પગારની નોકરી આપ્યા સિવાય અંગ્રેજમાં બીજો કશો ગુણ ન હતો.”
મિત્રો તે જમાનામાં શરદબાબુએ આ કટાક્ષ કર્યો છે લખ્યું છે કે આજકાલ વખત એવો આવી ગયો છે કે છોકરાઓને અંગ્રેજી ભણાવ્યા વગર ચાલતું નથી,પરંતુ જે મુર્ખ આ મલેચ્છ વિદ્યા અને મલેચ્છ સભ્યતા હિન્દુઓનાં અંતઃપુરમાં છોકરીઓની અંદર પણ દાખલ કરી દે છે તેનો આ લોક પણ બગડે છે અને પરલોક પણ બગડે છે.આ લાવણ્યા તરફ કટાક્ષ હતો તે મિત્રો સમજી ગયાં હતાં.
યથા સમયે હરીશને નિર્મળાનાં લગ્ન લેવાયા, વિદાય વેળા મૈત્ર પત્નીએ એટલે કે નિર્મળાની સતી સાધ્વી માતા ઠાકુરાણીએ વધૂ જીવનનું સૂક્ષ્મ રહસ્ય
પુત્રીનાં કાનમાં સીંચ્યું ,’મા, પુરુષ આદમીને આંખ આગળ જો ના રાખ્યો તો ગયો સમજવો ,ઘર ચલાવતા બધું જ ભૂલજે પણ આ શબ્દો ન ભૂલતી’
આ તેનો પોતાનાં પતિ તરફથી અનુભવ હતો. આજે પણ તે સ્ત્રી પોતાનો પતિ ચિતામાં નહિ પોઢે ત્યાં સુધી તે નિશ્ચિત થઇ શકવાની નહોતી એટલે કે કેટલો મોટો અવિશ્વાસ !
નિર્મળા આ શીખ લઈ સાસરે આવી સાથે એક મંત્ર પણ જો “હું સતીમાની સતી પુત્રી હોઉં તો” આજે તે બંનેનાં લગ્નને વીસવર્ષનાં વહાણા વિતી ગયાં ,હરીશ જુનિયર વકીલમાંથી સિનિયર બની ગયો એટલે કે યૌવન વટાવી તે પ્રૌઢત્વ તરફ વળી ગયો ,પરંતુ નિર્મળા હજી તેની માનો આપેલો મંત્ર ભૂલી નહોતી.
આ મંત્ર અને અવિશ્વાસે હરીશનું જીવવાનું હરામ થઈ ગયું હતું .એકવાર શીતળા નીકળવાથી હરીશ ખૂબ જ ગંભીર માંદગીમાં પટકાયો હતો અને નિર્મળા અન્નજળ લીધા વગર શીતળા માતાનાં મંદિરે જઈ બેઠી હતી એ નિશ્ચયે કે હરીશ સાજો થઇ પાછો ન વળે ત્યાં સુધી તે ઘરે પગ નહીં મૂકે .આખા શહેરમાં તેનાં સતીત્વની વાતો થઈ. જે મિત્રો મશ્કરી કરતા તે હરીશ આગળ તેની પત્નીનાં વખાણ કરવા લાગ્યાં .હરીશને આ બનાવ પછી નિર્મળા માટે માન થયું તેથી તેને કાંઈ ન કહેતો.
હરીશની યુવાનીમાં લાવણ્યા નામની યુવતીએ તેનું મન જીતેલું ,કદાચ તેનાં ફળસ્વરૂપ પણ તેને આ લગ્ન કરવાં પડ્યાં હતા.લાવણ્યા બ્રહ્મોસમાજી હતી.વાર્તાની શરૂઆત લાવણ્યા શિક્ષણ અધિકારી તરીકે આવવાની છે એ જાણ્યા પછી સતી નિર્મળાએ પતિ પર કટાક્ષ કર્યા હતાં. નિર્મળાની શંકા બિનજરૂરી હતી,પણ હરીશને ક્રોધિત કરી ગઈ હતી. આમ જ નિર્મળા તેને કોઈ પણ સ્ત્રી સાથે સાંખી શકતી નહીં. તે પોતાના સતીત્વનાં રૂપ ને જ્યાં ને ત્યાં ખડો કરી હરીશને ભોટો પાડી દેતી. જે વિધવા સ્ત્રીનો કેસ લીધાં પછી તેને ભરચક ઓફિસમાં પેલી વિધવાસ્ત્રી પર અને હરીશ પર લાંછન લગાડતા પણ શરમાઈ નહોતી. હરીશ લજ્જા, ઘૃણા અને ક્રોધને લીધે કોર્ટમાં પણ જઇ શકયો નહોતો. અંધારું કરી રૂમમાં ભરાઈ રહ્યો હતો ,છતાં એ સ્ત્રીએ એ રાત્રે રૂપાની વાટકીમાં તેને પાણી મોકલ્યું તેના જમણા પગના અંગૂઠાને ઝબોળી આપવો પડ્યો કારણ સતી નિર્મળા તે જળ પીધાં વીના અન્ન ગ્રહણ ન કરતી.
મિત્રો ,કેવો વિરોધાભાસ અહીં શરદબાબુએ આલેખ્યો છે .પતિ બિચારો વિચારી રહ્યો કે આનો અંત ક્યારે આવશે ?તેની સતી સ્ત્રીનાં એકનિષ્ઠ પતિ પ્રેમ અતિ અસહ્ય નાગપાસમાંથી મુક્તિ પામવાનો એક રસ્તો તેને દેખાતો નહોતો.
અંત તરફ આવતા લાવણ્યાનાં આવ્યા બાદ હરીશ નું જીવવાનું હરામ થવા લાગ્યું .વારંવાર પૂછાતા પ્રશ્નો ,શંકા ને ઉલટ તપાસ આખરે હારી પત્નીથી જુઠ્ઠું બોલવા માંડ્યો. એક દિવસે પત્ની પણ પતિવ્રતાપણું દુનિયાને દેખાડવા કે હરીશને દુનિયા સામે ન જોવા પણું રાખવા અફીણનું સેવન કરી જ દીધું. વૈદ ડોકટરોના ઉપચાર તે સ્ત્રી બચી ગઈ ,પણ હરીશ પર લાંછન લાગી ગયું, ઠેરઠેર મિત્રો,સમાજ , ક્લબ અને શહેર તે બદનામ થઈ ગયો. એક સમજનારી બેન હતી ઉમા ,તેણે ઉપાય બતાવ્યો દાદા તમે ફરી પરણી જાવ . બેનનાં આ પ્રસ્તાવને સમજાવી પટાવી ઠુકરાવી દીધો ,પણ હાર સ્વીકારી લીધી ,આનો કોઇ રસ્તો નથી ,આમાં જ આનંદમાં રહીને જીવન દુઃખમાં જ વિતાવી દેવું પડશે.

અંધારામાં બેઠેલા હરીશના કાને ભિખારીઓનાં ટોળા એ ગાયેલું કીર્તન દુતીનો વિલાપ પહોંચ્યો .દુતી મથુરા આવી વ્રજનાથની હૃદયહીન નિષ્ઠુરતાથી દુઃખી થઈને ફરિયાદ કરી રહી છે. કોણ જાણે કેમ પણ મનમાં જ વ્રજનાથની તરફેણ કરી દલીલ વ્યક્ત કરતા તે બોલવા લાગ્યો,”હે દુતી સ્ત્રીનો એકનિષ્ઠ પ્રેમ બહુ સરસ વસ્તુ છે. જગતમાં તેની તોલે આવે તેવું કોઈ નથી. વ્રજનાથ શાથી બીને નાસી ગયો?શાથી સો વર્ષ વીતવા આવ્યાં છતાં પાછો ન ફર્યો ?કારણ મને ખબર છે કંસટંસની વાત જુદી છે ખરી વાત તો શ્રી રાધા નો એકનિષ્ઠ પ્રેમ છે! પાછા નિશ્વાસ નાખી બોલ્યો,”ત્યારે તો ખૂબ જ સગવડ હતી મથુરામાં છુપાઈ રહેવું ચાલતું પણ આ વખતે બહુ અઘરું છે ના મળે નાસી છૂટવાની જગા ન મળે મોં બતાવવાનું સ્થળ !હવે ભક્ત ભોગી વ્રજનાથ દયા કરી સેવક ને જલ્દી ચરણમાં સ્થાન આપે તો હાશ થાય!

મિત્રો હરીશની મનોદશા જુઓ કેટલી વિટંબણા ભરી !એક સ્ત્રી સતીત્વ ટકાવી રાખવા જે વ્યક્તિ ઉપર આરોપો મઢી રહી હતી તે તો તેનો જ પડછાયો હતો! એની પર જ અવિશ્વાસ !એનું જીવવાનું હરામ ! કયો ધર્મ સાચવી રહી હતી તે ?ખરેખર શરદબાબુની આ કૃતિમાં સ્ત્રીનું આ પાત્ર કંઈક કેટલાય પ્રશ્નો ઉઠાવે છે મારા મનમાં ! વિશ્વાસની રેશમ ડોરે બંધાતા પતિ-પત્નીનાં આ પવિત્ર સંબંધને આજથી વર્ષો પહેલાં આપણી સમક્ષ મૂકનાર આ લેખકને બે પત્નીઓ હતી. કહેવાય છે તેમને પણ દાંપત્યજીવનમાં સુખ પ્રાપ્ત નોહતું થયું .

આજે પણ આવા જોડા અનેક જોવા મળે છે , ચૂપચાપ જીવનમાં સમજોતા જેવું કંઈક કરી જીવતાં હોય છે .ચિતામાં જાય ત્યાં સુધી નીભાવતાં હોય છે .આમ સમાજ ગઠબંધનોમાં વિટળાયેલો રહે છે.

ચાલો મિત્રો આવતા અંકે ફરી મળીશું.શરદચંદ્રની નવી કથા વાર્તા અને આસ્વાદ લઈને.

અસ્તું,
જયશ્રી પટેલ
૨૨/૫/૨૨

ઓશો દર્શન -17. રીટા જાની

wp-1644023900666




સાગર કિનારે નિરંતર આવતાં મોજાંઓની વચ્ચે મનમાં છવાય છે સાગરની વિશાળતા, અફાટ મોજાંના ઘૂઘવાટ વચ્ચે માણસનું મન વહેંચાય છે જળ અને સ્થળ વચ્ચે. દૃષ્ટિમાં છે પાણી પણ જેના પર ઊભા છીએ તે છે જમીન. જળ અને સ્થળના અનુભવ વચ્ચે ઊભેલો માણસ પણ વિચારોના વૃંદાવનની વાટે ખોવાય છે. આકાંક્ષા હોય મોતીની, પણ મુઠ્ઠીમાં પકડાય છે રેતીની ઢગલી અને મન આશા નિરાશાના આટાપાટા રમતું ક્યારેક અને ક્યાંક મોતી જુએ તો કેવો આનંદ થાય? આજે ઓશોના પુસ્તકમાં કંઇક નવા વિચારો જોઈને લાગ્યું કે નવીનતાની આ ક્ષણોનો પમરાટ સહુ વચ્ચે વહેંચાય અને આજની વિચાર કણિકાઓ ક્યાંક વિચાર પુષ્પ બનીને પ્રગટ થાય અને પોતાની સુગંધ પ્રસરાવે. પુષ્પ એ બીજનું અંતિમ ચરણ છે, જ્યાં બીજનું પ્રાગટ્ય એક છોડ બનીને વિકસે છે અને વિકસતાં વિકસતાં એ તબક્કે પહોંચે છે જ્યાં એક નવો પમરાટ, નવી સુગંધ હવાને મહેકાવવા આતુર બની વિકાસગાથાને અગ્રેસર બનાવી રહી છે. આજનો પ્રવાસ એ વૈચારિક સજ્જતાને વિકસાવવાનો છે. ‘ઓશો દર્શન’ એ કેલીડોસ્કોપ છે, જ્યાં નવું વિશ્વ શક્યતાના આકાશમાં ડોકિયાં કરી રહ્યું છે. તો આજનું ‘ઓશો દર્શન’ નવી શક્યતાઓના સંદર્ભમાં માણીએ નવા વિચારોની વાટે.

કોઈએ મહત્વાકાંક્ષા વિશે ઓશોને તેમના વિચાર પૂછ્યા. તેમનો જવાબ હતો કે બહુ જ જૂજ માણસો સાચા અર્થમાં મહત્વાકાંક્ષી હોય છે. ક્ષુલ્લકથી તૃપ્ત થઈ જાય તે ખરા મહત્વાકાંક્ષી નથી. જે વિરાટને મેળવવા માંગે છે તે ખરેખર મહત્વાકાંક્ષી છે. જો કોઈ વિચારે કે મહત્વાકાંક્ષા ખરાબ કે અશુભ છે તો એવું નથી, તે તો માણસને ભગવાન તરફ લઈ જાય છે. જીવનને ધ્યેય આપો અને હૃદયને મહત્વાકાંક્ષા આપો. પોતાની જાતને ઊંચાઈના સ્વપ્નથી ભરપૂર કરો. એક લક્ષ્ય રાખો. એમ નહીં કરો તો તમારું વ્યક્તિત્વ વિકાસશે નહીં. જ્યારે વ્યક્તિ પોતાની શક્તિઓને એકત્રિત કરીને કોઈ એક જ લક્ષ્ય પર કેન્દ્રિત અને સમર્પિત કરે છે ત્યારે તે સફળ વ્યક્તિત્વ મેળવે છે, તેના જીવનમાં સંગીત પેદા થાય છે. તેથી વિપરીત જે પોતાનામાં જ સંગીન ન હોય તે શક્તિ, શાંતિ કાંઈ મેળવી શકે નહીં. શાંતિ અને શક્તિ એક જ સત્યના બે નામ છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે નોંધ્યું છે કે વરસાદના બિંદુએ ચમેલીના કાનમાં કહ્યું કે પ્રિય, મને હંમેશા તારા હૃદયમાં રાખજે. ચમેલી કંઈ કહે ન કહે ત્યાં બિંદુ જમીન પર પડે છે! જીવનના કહેવાતા સુખોની ક્ષણભંગુરતા સમજાવતી એક માર્મિક લોકકથા ઓશો કહે છે. એક ચકલી આકાશમાં ઉડી રહી હતી. તેને દૂર એક ચમકતું વાદળ દેખાયું. તે વાદળને લક્ષ્ય બનાવી પૂરી તાકાતથી ઉડવા લાગી. વાદળ ક્યારેક પૂર્વમાં તો ક્યારેક પશ્ચિમમાં જતું, ક્યારેક ઊભું રહી જતું તો ક્યારેક પોતાનામાં જ ફેલાઇ જતું. બહુ મહેનત કરવા છતાં ચકલી તેને પકડી ન શકી અને અચાનક એ વાદળનો છંટકાવ થઈ ગયો. મહાપ્રયત્ને ચકલીએ તેની પાસે પહોંચીને એટલું જ જાણ્યું કે ત્યાં તો કંઈ જ ન હતું! તેને મનમાં થયું કે મારે ક્ષણભંગુર વાદળને પકડવાનું લક્ષ્ય રાખવાના બદલે અનાદિ, સ્થિર અને અનંત એવા પર્વતના ઊંચા શિખરે પહોંચવાનું લક્ષ્ય રાખવાનું હતું. આપણામાંથી ઘણા એવા છીએ, જે ક્ષણભંગુર વાદળ જેવા સુખો પાછળ જવામાં જ જીવન લક્ષ્ય રાખે છે અને ભ્રમમાં પડે છે. આપણી નજીકમાં જ અનાદિ, અનંત આત્મા- પર્વત રહેલો છે. તેને પરમ લક્ષ્ય બનાવીએ તો જીવન કૃતાર્થ અને ધન્ય બને.

જીવનના રસ્તા પર ફૂલો અને કાંટા બંને છે, એ સાચું છે. ફૂલોને જોવાનું જેને આવડી જાય તેને માટે પછી કાંટા પણ ફૂલ બની જાય છે. જીવનમાં આવતા સુખ- દુખ અને આનંદના અનુભવનો સ્વાદ માણસની પોતાની દ્રષ્ટિ ઉપર નિર્ભર છે. કોઈ બે અંધારી રાત વચ્ચે એક નાનો દિવસ જોઈ શકે છે તો કોઈ બે પ્રકાશિત દિવસ વચ્ચે એક નાની રાત જોઈ શકે છે. પહેલી દ્રષ્ટિમાં એક નાનો દિવસ પણ અંધકારભર્યો થઈ જતો હોય છે અને બીજી દ્રષ્ટિમાં રાત્રિ પણ રાત્રિ રહેતી નથી!

ઓશો શ્વાઈત્ઝરની વાત ટાંકીને આદર્શની અમાપ તાકાતનો પરિચય આપે છે. જીવન નૈયાને પાર ઉતારવા આપણો દરેક વ્યવહાર આદર્શ પ્રેરિત હોય તે જરૂરી છે. પાણીના ટીપામાં આપણને કોઈ તાકાત ન દેખાય, પણ એ જ પાણી જમીનની તિરાડમાં બરફ બનાવી દેવાય તો તે જમીનને તોડી નાખે છે. જરા જેટલા પરિવર્તનથી પાણીના ટીપાની શક્તિ અમાપ બને છે. આ વાત આદર્શ માટે પણ લાગુ પડે છે. આદર્શ અંધકાર તરફથી અજવાળા તરફ જવાની પ્રક્રિયા છે. આદર્શ માત્ર વિચાર કે આકાંક્ષા નથી, સાથે સાથે સંકલ્પ અને વ્યવહારુ પ્રયત્ન પણ છે, જે જીવન નૈયાનો નાવિક પણ છે.

મનની શાંતિને પકડી લેનાર ખુદમાં પ્રવેશ પામે છે અને આત્મામાં પ્રવેશ એ તો સત્યની પ્રાપ્તિ છે. જ્ઞાન મેળવવું હોય તો જ્ઞેયની પાછળ ન જાઓ. જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાતાની પાછળ ચાલવું જરૂરી છે. સત્યની શોધ કરનારે આત્મપરિવર્તન માટે તૈયાર રહેવું પડે કારણ તે પોતાની અંદર રહેલા સંસ્કાર અને શુદ્ધિની અંતિમ ચેતન અવસ્થા છે.

આજના સ્વપ્ન જ આવતી કાલનું સત્ય બની જતા હોય છે. એવું કોઈ સત્ય નથી જેનો જન્મ સ્વપ્નની જેમ ન થયો હોય. આપણો કેટલો બધો સમય સાવ નજીવી બાબતોમાં લડાઈ અને અહંકારથી થતા વાદવિવાદ, નિંદા અને ટીકા કરવામાં વેડફાઈ જતો હોય છે. આ સમયને જો શિક્ષણ, ચિંતન, મનન અને નિદિધ્યાસનમાં ગાળીએ તો તે ખૂબ મૂલ્યવાન બની જશે. તેનાથી એવાં ફૂલો ખીલે છે, જેની સુગંધ અલૌકિક હોય, એવું સંગીત નીપજે જે દિવ્ય હોય. માટે એ લોકો ધન્ય છે જે ખીણમાં રહીને પર્વતના શિખરના સ્વપ્ન જોઈ શકે છે, જે તેમને ઉંચાઈએ પહોંચવાનો સંકલ્પ અને શક્તિ બંને આપે છે. જીવનની દરેક ક્ષણ કેટકેટલી સંભાવનાઓથી ભરપૂર હોય છે અને તે ફરી પાછી આવતી નથી. માટે સ્વપ્ન માટે અમારી પાસે સમય નથી એમ કહી પોતાના હાથેથી પગ બાંધવાની જરૂર નથી. તમારી પાસે અપ્રતિમ સ્વતંત્રતા છે જે દ્વારા તમે સ્વપ્નને આંતરમાંથી બાહ્ય જગતમાં રૂપાંતરિત કરી શકો છો.

ઓશો કહે છે કે અહંકાર બહુ અટપટો છે. ધન, પદ, સત્તા મળે કે પછી ઈચ્છા અને વાસના કોઈપણ સ્વરૂપે તૃપ્ત થાય ત્યારે આંખમાં જે ચમક આવે છે તે અહંકાર છે. એવી ખોટી માન્યતા છે કે બહાર કોઈ પરિગ્રહ નહીં હોય તો ભીતર અહંકાર નહીં હોય. જે લોકો ખૂબ ધર્મ કરે છે, જ્ઞાન પ્રાપ્ત છે કે અપરિગ્રહ કરે છે તે દરેકને અહંકાર હોઈ શકે છે, કારણ કે તેઓ ‘હજુ વધારે’ની ગુલામીથી પીડાતા હોય છે.

સત્ય માત્ર શાસ્ત્રોમાં કે ગ્રંથોમાં નથી. તેનો સાચો પાર પામવા માટે ભીતરનું દ્વાર ખોલવું પડે. જ્ઞાન પોતાની આંખ છે. જે અંદર શોધે છે, તેને સત્ય મળે છે. સવારે ઉઠીને આશા રાખો કે આજનો દિવસ સત્યમ, શિવમ, સુંદરમની દિશામાં શુભફળદાયી બને. એવું કદી ન વિચારતા કે આવા થોડા બીમાં શું વળે, કારણ કે એક બીજમાંથી આખું ઉપવન ઊભું થઈ શકે છે. માટે પોતાની શક્તિ અને સમયનો થોડો ભાગ સત્ય, શાંતિ અને સુંદરતા માટે આપો તો જોઈ શકશો કે જિંદગીની એક અપ્રતિમ ઊંચાઈ તમારી પાસે આવી રહી છે, એક અભિનવ જગત પોતાનો દરવાજો ખોલી રહેલ છે. દરરોજ રાત્રે આત્મનિરીક્ષણ કરો કે ગઈ કાલ કરતા આજે તમે જીવન ઊંચાઇની વધુ નજીક જઇ શક્યા છો કે નહીં. જો આપણે સત્યના શિખરે પહોંચવું હોય તો એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણા દરેક ભાવ, વિચાર અને કર્મનું જોડાણ શુભ અને સુંદર સાથે હોય. સત્ય, સુંદર અને શુભની એક જ અનુભૂતિ સમગ્ર જીવનમાં આમૂલ પરિવર્તન આણી શકે છે.

રીટા જાની
20/05/2022

Vicharyatra : 17 Maulik Nagar “Vichar”

“ખોટા નિર્ણયનો સંતોષ જયારે સાચા નિર્ણયના આયુષ્ય કરતાં વધારે હોય તો સમજવાનું કે ઈશ્વર તમારી સાથે છે!” -મૌલિક “વિચાર”

મારો એક સ્વભાવ કહો કે દુર્ગુણ કહો, પરંતુ હું કોઈ પણ નિર્ણય લઉં તો ક્યારેય કોઈની સલાહ નથી લેતો. એ જ મને મારા માટેનો સદ્ગુણ લાગે છે.
મારા મતે કોઈ નિર્ણય સાચો કે ખોટો નથી હોતો. એ તો માત્ર સમયના માપદંડથી માપેલું પરિણામ છે. આપણે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે એમણે આપણને નિર્ણય લેવાં માટે સક્ષમ તો બનાવ્યાં.

આ શીર્ષકનું વિધાન વાંચવામાં બહું અટપટું લાગે છે. સમજવામાં એનાથી વધું અટપટું છે. પણ જો એ એક વાર સમજાઈ જાય તો આપણે જે સામાજીક કે પારિવારિક બંધનમાં પીસાઈએ છીએ તેમાંથી આપણે મુક્ત થઇ જઈએ. આ સમસ્યા હજી પણ સંયુક્ત કુટુંબમાં જોવાં મળે છે. છોકરી હોય, નાનોભાઈ હોય કે નાનાભાઈના સંતાનો હોય બધાએ એક કહેવાતા વડીલનો નિર્ણય માન્ય રાખવો પડે છે. આમ તો કંઈ ખોટું નથી. વડીલનો નિર્ણય એ આપણા માટે હીતકારી જ હોય. પરંતુ પોતાની ઈચ્છઓને મારીને એ નિર્ણય સ્વીકારવો પડે તે પણ જાણ્યે અજાણ્યે એક સામાજીક જુલમ જ છે. હું તો એવું માનું છું કે પોતાની નીતિમય ઈચ્છઓને મારી નાખવી તે ઈશ્વરની આસ્થાને દફનાવવા બરાબર છે.
એક દિવસ આવા જ કોઈક મુદ્દા પર ચર્ચા ચાલતી હતી અને મેં પણ સહજતાથી મારી આવી વાત રજૂ કરી. ત્યાં એક વડીલે સામે દલીલ કરી કે, “ભાઈ, આપણે તેમની બધી ઈચ્છઓ પૂર્ણ કરવા દઈએ તો તે લોકો માથે ચડી જાય.” જવાબમાં મેં મારાં સ્વભાવ પ્રમાણે “વાત સાચી” કહીને એ ચર્ચાને ત્યાં જ દફનાઈ દીધી. પરંતુ જો મેં તેમને પૂછ્યું હોત કે “ભાઈ, તે લોકો એટલે….??”
આ તો કંઈ હરીફાઈ છે? તે લોકો અને અમે લોકો? અને તે લોકોમાં આવે કોણ? તમારા જ સગા દીકરા-દીકરી, ભાણ્યા-ભત્રીજા, પત્ની, ઘરની બધી જ વહુઓ…! હમણાં જ પરિવાર દિવસ ગયો. અનેક મેસેજીસ આવ્યાં. બધાએ પોતાનાં પરિવાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. ખૂબ ગમ્યું. એમાં એક મેસેજ મને બહુ જ ગમ્યો. તે હતો કે “ગ્રુપમાં ફેમીલી હોય તો આનંદ આવે પણ ફેમીલીમાં ગ્રુપ હોય ત્યારે….?

મેં મારાં માટે લીધેલાં દરેક નિર્ણયનો હંમેશા મને સંતોષ મળ્યો છે. બની શકે કે બીજા કોઈને એવું લાગે કે આનો આ નિર્ણય ખોટો છે. પણ તે જ શુભેચ્છક કે પરિવારની દ્રષ્ટિથી લાગતો સાચો નિર્ણય મને એટલું સુકુન ન આપત જેટલું મને મારા લીધેલા ખોટાં નિર્ણયથી મળે છે. હવે તો હું આ સાચાં ખોટાની ગણતરીમાંથી પરે છું. કેમ કે, મારાં બધાં જ નિર્ણય નીતિથી મંજાયેલા હોય છે. અને એટલે જ મને લાગે છે કે ઈશ્વર મારી સાથે છે.
ઈશ્વર બધાને પોતાનું ધાર્યું કરવાની શક્તિ અને હિંમત આપે! -મૌલિક “વિચાર”

સંસ્પર્શ-૧૭

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો,મહાભારતની આપણી દ્રૌપદીનું પાત્ર જ એટલું તેજસ્વી વ્યાસમુનિએ સર્જ્યું છે કે તેની આભાથી દરેક વ્યક્તિ અંજાઈ જાય. અનેક કવિઓ અને લેખકોએ દ્રૌપદીનાં પાત્રને પોતપોતાની નોખી રીતથી મૂલવ્યું છે. કોઈએ એની અનોખી પ્રતિભાની વાત કરી છે .તો વળી કોઈકે ,દુર્યોધન જ્યારે પાંડવોનાં ઈન્દ્રપ્રસ્થ નગરીનાં મહેલમાં પાણીમાં પડી જાય છે ,ત્યારે દ્રૌપદીએ કટાક્ષમાં હાંસી ઉડાવતાં કહેલાં કટુવચન” આંધળાના દીકરા આંધળા “ નાં લીધે જ મહાભારતનું યુધ્ધ થયું તેમ કહી દ્રૌપદીને યુધ્ધનાં કારણરુપ દોષિત ઠરાવી છે.પરતું આપણા ધ્રુવદાદાએ તો હંમેશાં તેમનાં સ્ત્રી પાત્રોને તેજસ્વી,પ્રતિભાવંત અને સશક્ત જ સર્જ્યા છે. અગ્નિકન્યામાં દાદાએ તેમની દ્રૌપદી કેવી કલ્પી છે તેની મારે આજે વાત કરવી છે.

ધ્રુવદાદા તો હંમેશા તેમના નવલકથાનાં પાત્રોને આગવી ,નોખી રીતે જ કલ્પે છેને!સૌ પ્રથમ તો સામાન્ય રીતે કોઈ લેખક કોઈ સ્ત્રીનાં વર્ણનું વર્ણન કરે,તો સ્ત્રી સંગેમરમર જેવી ગોરી કે શ્યામ કે ઘઉંવર્ણી જેવું વર્ણન હોય. પરતું દાદાએ દ્રૌપદીનાં વર્ણનું ખૂબ નોખું જ વર્ણન કર્યું છે. અગ્નિમાંથી જન્મેલ બાળકી ,અગ્નિની શિખા પૂરી થાય અને ધ્રૂમસેર શરુ થાય તે સ્થળે પ્રગટતા રંગ જેવો બાળકીનો રંગ હતો એમ ધ્રુવદાદાએ કહી દ્રૌપદીનો વર્ણ રક્તશ્યામ હતો તેવું વર્ણન કર્યું છે. વર્ણનું પણ કેટલું નોખું વર્ણન!

રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીનાં ,પિતા સાથેનાં અને મોટાભાઈ શિખંડી સાથેના સંવાદોમાં પણ તેની જિજ્ઞાસા,વાકચાતુર્ય અને ઉચ્ચ બુધ્ધિમતાંનાં દર્શન કરાવ્યાં છે. તેને પૂછ્યા વગર થયેલાં તેના સ્વંયંમવર રચવાની વાત અને અર્જુન તેના સ્વયંવરમાં લક્ષવેધ કરી તેને વરશે તે વાત તેને ખૂંચે છે ,તે વાત દાદાએ પોતાના નાના સંવાદમાં દર્શાવી છે. આ સંવાદ થકી મહાભારતનાં સમયથી સ્ત્રીઓને પિતાની અને વડીલોની ઈચ્છા મુજબ લગ્ન કરવા પડતા તેમ પણ સૂચવ્યું છે.નવલકથાની પૃષ્ઠભૂમિ સુંદરરીતે બાંધી દ્રૌપદીનાં પાત્રનું સર્જન કેમ થયું છે? તેની અદ્ભૂત રજૂઆત કરી,વિધિએ દરેક વ્યક્તિનું નિર્માણ ચોક્કસ ભૂમિકા માટે કર્યું હોય છે તે નિયમ આપણને સમજાવ્યો છે.

કૃષ્ણનાં મુખે દાદાએ મૂકેલ આ સંવાદ મહાભારતમાં દ્રૌપદીનાં પાત્રની મહાનતા અને દાદાનાં સ્ત્રીપાત્રની સબળતાનું સર્જન સૂચવે છે.કૃષ્ણ કહે છે,” હું તમને મળવા અને જે કહેવા અહીં રોકાયો છું તે આ વાત છે, કૃષ્ણા! તમારે ઘણું કરવાનું છે. કદાચ બધું જ પ્રિય હોય તેવું ન પણ બંને; પરતું પાંચાલકુમારી, ધ્યાનથી સાંભળો, કેટલાક માનવીઓ ચોક્કસ કાર્ય માટે જન્મ લેતા હોય છે. તેમને અંગત લાગણીઓ અને ગમા-અણગમાને અવગણીને પણ આનંદથી જીવવું પડે છે; અને દ્રૌપદી, કદાચ તમે પણ એમાંનાં એક છો, જેમની આર્યાવર્તને અત્યારે ખૂબ જરૂર છે.” જ્યારે દ્રૌપદી આનાં જવાબમાં કૃષ્ણને કહે છે કે “આપ પુરુષ છો અને સમર્થ છો ; જ્યારે હું તો સ્ત્રી છું” તેવું કહેવા જાય છે ત્યારે કૃષ્ણ કહે છે,” આપ સ્ત્રી છો અને સમર્થ વ્યક્તિ છો. હું પુરુષ છું માટે કરી શકું અને તમે સ્ત્રી છો માટે ન કરી શકો તે હું સ્વીકારતો નથી. તમે સમર્થ છો જ. કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. પ્રશ્ન માત્ર શ્રધ્ધાનો છે.” આમ સ્ત્રીઓ દરેક પડકાર જનક પરિસ્થિતિમાં અવિચળ રહી પુરુષથી પણ વધુ સામર્થ્ય પૂર્વક જીવન જીવી સમાજ સામે પડકાર ફેંકી શકે છે તે દાદાનો પોતાનો વિચાર દ્રૌપદી માટે મૂકી દાદાએ સ્ત્રીનાં સામર્થ્યને બિરદાવવાની વાત કરી છે.

તેમજ વ્યાસમુનિ દ્રૌપદીને જે વાત કહે છે તે સંવાદ દ્વારા દાદા દ્રૌપદીનાં પાત્રની અપ્રતિમ વિશેષતા દર્શાવે છે,” પાંચે પાંડવો એક તંતુએ બંધાઈ રહે તેમાં આર્યવર્તની પ્રજાનું હિત અમે જોયું છે. પાંચે જણા જુદુંજુદું વ્યક્તિત્વ ધરાવે છે અને પાંચે જણા અપ્રતિમ છે. એમને બાંધી રાખવાનું કામ આ જગતમાં ફક્ત બે જ જણ કરી શકે છે. એક તારી સાસુ , જે હવે વૃધ્ધ થયાં છે અને બીજી પાંચાલી તું. તારે માથે ઘણો મોટો બોજો છે. પાંચેય પાંડવ કુમારો સળગતા અંગારા જેવા છે. તે ક્યારેય બુઝાય નહીં એ તારે જોવાનું છે.”

આમ ધ્રુવદાદાએ દ્રૌપદીનાં પાત્રની અગ્નિકન્યામાં ઉત્તમ ભૂમિકા દર્શાવી છે.જગતને સ્ત્રીઓનું સર્જન પ્રભુએ કરેલ અનોખી ભેટ છે તેમ તેમના સ્ત્રી પાત્રો થકી દાદા સૂચવે છે.

આમ અગ્નિકન્યાનાં અનેક સંવાદો સામાજિક જીવનની સત્યતાને રજૂ કરે છે અને સ્ત્રીઓએ મુશ્કેલીઓ સામે લડતાં જીવનમાં કેવો અભિગમ રાખવો જોઈએ તેનું આડકતરું સૂચન પણ છે.આ સાથે આ ધ્રુવગીતને પણ માણીએ.

નિજના તમામ દોષને આગળ ધરી ગયા 

એના ગુનાઓ એમ અમે છાવરી ગયા

લો દાઢ ગઈ,દંશ ગયા,દંશવું ગયું

ઉત્પાત બધાં ઝેરની સાથે ઝરી ગયા

મારા પછીયે હું જ ઊભો છું કતારમાં 

જાણ્યું કે તુર્ત દ્રશ્યને દ્રષ્ટિ ફરી ગયાં

માંડો હિસાબ કોઈ કસર રાખીશું નહીં

આ જેટલું જીવ્યા તે બધુંયે મરી ગયા

ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા 

રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા

હોવું અમારું વૃક્ષ સરળ એમ થઈ ગયું 

પર્ણોની જેમ નામના અક્ષર ખરી ગયા

જિગીષા દિલીપ

૧૮ મી મેં ૨૦૨૨