ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા એટલે ધૂમકેતુ. એમના વિષે ખાસ વાત આજે કરવી છે. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1892ના રોજ થયો હતો એટલે એમને મળવાનું આપણું ભાગ્ય કયાંથી હોય? પણ આ વખતે ભારત ગઈ ત્યારે તેમની વાર્તા ‘પોસ્ટ ઓફીસ’નું વાચિકમ સંભાળવાનો અવસર મને હિતેન આનંદપરાના એક પ્રેગ્રામમાં મળ્યો. ધૂમકેતુની અનેક વાર્તાઓ નાનપણમાં વાંચી હતી પણ આ વખતે ધૂમકેતુને જાણે અલીડોસાના રૂપે મળી.
નાનપણથી આપણે સૌ કોઈ વાર્તાઓ સાંભળતાં આવ્યા છીએ પણ કોઈ લેખક આટલાં વર્ષો પછી પણ આપણામાં જીવે તેને શું કહેવાય? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી પણ નહિ અને ‘ધૂમકેતુ’ પણ નહિ. આ લેખક અલીડોસા તરીકે દરેક ગુજરાતીમાં હજી પણ જીવી રહ્યો છે. વાત એમની કલમની તાકાતની છે. ઘણાને કદાચ ખબર નહિ હોય કે એમની નવલિકાઓમાં સામાન્ય, દીન-દરિદ્ર પાત્રોને એમણે પ્રવેશ આપ્યો પણ આ પ્રથમવારનો પ્રવેશ જ ક્રાંતિકારક હતો. તેમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં લાંબો સમય યાદ રહે તેવી છે. તેમની વાર્તાઓમાં વૈવિધ્ય ઘણું પીરસાયું છે. ધૂમકેતુએ લગભગ પોણા પાંચસો જેટલી વાર્તાઓ રચી છે.
ગુજરાતી સાહિત્યાકાશમાં ખળભળાટ મચાવી દેનાર ધૂમકેતુનું આગમન ૧૯૨૬માં તેમનો ‘તણખા’ નામે વાર્તાસંગ્રહ પ્રગટ થયો ત્યારે થયું અને લોકો જેને ઝંખતા હતા તેવી કલાઘાટવાળી ટૂંકી વાર્તાઓ તેમને મળી. એમની ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, ઉત્કટ આલેખન એ જ એમની કલમનું બળ બન્યું. વાર્તાલેખનથી તેમણે સર્જનનો ખરો આરંભ કર્યો અને ચિરંજીવી યશના અધિકારી પણ નવલિકાના સાહિત્ય સર્જને જ એમને બનાવ્યા. લેખકનો શબ્દકેમેરો ફરતો ફરતો આપણી સામાજિક પરિસ્થિતિ પર ફર્યો. વાર્તામાં વાસ્તવિકતા પ્રગટ કરી તો ક્યારેક સમાજસુધારણાના વિચારો પ્રગટ કર્યા, આમ ગાંધી ભાવનાના પડધા પણ એમણે ઝીલ્યા. ધૂમકેતુની વાર્તાઓમાં અનુભવાતું ભાષાનું બળ મને સદાય અનોખુ વર્તાયું. તેમની ઉત્તમ વાર્તાઓમાં સર્જનાત્મકતા દેખાઈ. મને હંમેશા તેમની કથાવસ્તુનું પણ એક અનોખું આકર્ષણ લાગ્યું. એના માટે એમ કહી શકાય કે આજના લેખકોને આ જ કથાવસ્તુને નિમિત્ત બનાવી નવલકથા રચવાં કે ફિલ્મ બનાવવાં પ્રેરણા આપે તો નવાઈ નહીં.
નાનપણથી સ્વભાવથી જ મનમૌજી એવા ગૌરીશંકરનું બાળપણ ડુંગરાળ ધરતી, નદીઓ અને વોંકળા વચ્ચે કુદરતનાં સાનિધ્યમાં વીત્યુ હતું. કુતૂહલ અને નિર્વ્યાજ આનંદથી પ્રકૃતિનાં સૌંદર્યને, કુદરત તરફના સહજ અનુરાગે એમની વાર્તા કે લેખનમાં એના પડઘા પડ્યાં અને એટલે જ એમની વાર્તામાં ક્યાય કૃત્રિમતા નથી દેખાઈ. જે કઈ લખ્યું તેનો સ્વયં આનંદ લીધો. તેઓ સ્વમાની, સમભાવપૂર્ણ, ઊર્મિલ અને ચિંતનશીલ પ્રકૃતિના હતા. તેઓ કેટલેક અંશે ધૂની પણ હતા અને એટલે જ કદાચ માતબર સર્જન કર્યું. એમની વાર્તામાં આપણે એમનાં પાત્રો સાથે વાર્તાલાપ કરતા હોઈએ તેવો અનુભવ થાય અને અંતે આપણે એ પાત્ર બની જીવીએ. પાત્રની વિશિષ્ટ મન:સ્થિતિ આપણે અનુભવીએ અને હૃદય અચાનક બોલી ઊઠે વાહ…!
ધૂમકેતુની વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા ‘પોસ્ટઓફિસ’ કોઈ પણ સંવેદનશીલ માણસની આંખ ભીંજવી દેવા માટે સક્ષમ છે. અલી ડોસો અને તેની પુત્રી મરિયમ, એ માત્ર કથાનકનાં પાત્રો નહીં રહેતાં દુનિયાભરનાં પિતા-પુત્રીનાં પ્રતીક બની જીવી રહ્યાં છે. પુરુષમાં ઊગેલાં માતૃત્વને ધૂમકેતુ જેવી સબળ કલમ જ આલેખી શકે. ડોસાની પત્ર-પ્રતીક્ષાને બખૂબી વર્ણવી છે. પોતાની વહાલસોયી દીકરી મરીયમ, જે દૂર દેશાવર સાસરે હતી, તેનો પત્ર આજે ચોક્કસ આવશે જ એવી પૂર્ણ શ્રદ્ધા સાથે લાકડીના ટેકે ટેકે ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવે, પરંતુ પત્ર ન આવે ને ખાલી હાથે પાછો જાય. ફરી બીજા દિવસે આવે. પાછો જાય. આમ તેની શ્રદ્ધા – વિશ્વાસ સાથે પોસ્ટ ઓફિસે આવવાનો ક્રમ રોજેરોજ નિયમિત જળવાઈ રહે છે. પોસ્ટ ઓફિસનો સ્ટાફ પત્રની પ્રતીક્ષા કરનાર આ ડોસાને તડપાવવા માટે “કોચમેન અલી ડોસા…” એવી બૂમ પાડે અને અલી ડોસો એમ માને કે પોતાની દીકરી મરીયમનો પત્ર આવ્યો છે અને તે પોસ્ટ ઓફિસની બારીએ જાય પરંતુ પત્ર ન હોય. આખરે એક દિવસ ખરેખર પત્ર આવે છે. પછી શું થાય છે, એ જાણવાની ખરી મજા તો એ વાર્તા વાંચો તો જ આવે. ખેર, એ અલીડોસો આજે નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ આ ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા આજે પણ મારા દિલમાં હયાત છે. કહ્યું છે ને કે લેખક કદી મારતો નથી તેના શબ્દો અને કલમ તેમને જીવાડે છે.
— પ્રજ્ઞા દાદભાવાળા
વિશેષ માહિતી -સંકલન-
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ટેનટેલ’ નામની પસંદ કરેલી શ્રેષ્ટ દસ વાર્તાઓમાં ‘પોસ્ટ ઓફીસ’નું પણ સ્થાન છે. ‘પોસ્ટ ઓફીસ’ વાર્તામાં અલી ડોસાનો પુત્રી-પત્ર વિરહનો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી મળ્યું છે. અમેરિકામાં પ્રકાશિત થતુ stories from many landsમાં તણખા મંડળ-1માં ‘પોસ્ટ ઓફીસ’ વાર્તાને સ્થાન મળ્યુ છે. પોસ્ટ ઓફિસનું અંગ્રેજીમાં ‘ધ લેટર’ તરીકે અનુવાદ થયો છે.
એ અલી ડોસો નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ એ પોસ્ટ ઓફિસ ગોંડલમાં હયાત છે. થોડા સમય પહેલાં એ પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચોકનું ‘ધૂમકેતુ ચોક’ નામકરણ થયું છે. ધૂમકેતુ ગોંડલ રેલવેમાં ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાં ક્લેઈમ્સ ક્લાર્ક તરીકે નિમાયા હતા. એ નોકરીમાં મજા ન આવી એટલે સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે નોકરી કરી હતી. એ જમાનામાં કોઈ મેટ્રીક પાસ થાય તો પણ જાણે કે આઈએએસ પાસ થયા જેવું ગૌરવ ગણાતું! એ વેળા તેઓ મેટ્રીક થયા પછી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરી બીએ થયા હતા. ભણવાની સાથે તેમની સાહિત્યરુચિ પણ ઘણી ખીલેલી હતી. કોલેજકાળ દરમિયાન ‘સાહિત્ય’ માસિકે નિબંધ સ્પર્ધા યોજેલી, જેનો વિષય હતો ‘૧૯૧૭માં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો? અને શા માટે?’ તેમાં તેમણે ભાગ લીધો હતો અને દસ રૃપિયાનો પ્રથમ પુરસ્કાર પણ મેળવ્યો. કોલેજકાળ દરમિયાન ‘શૈલબાલા’ નામની વાર્તા રચેલી. તેમના પત્રો આનંદશંકર ધ્રુવના ‘વસંત’માં છપાયા હતા. તેમણે કુંકાવાવ, બાબરા, ગોંડલ અને અમદાવાદ એમ વિવિધ સ્થળોએ શિક્ષક તરીકે નોકરી કરી. ગોંડલ સાથે ધૂમકેતુને જાણે કે ઋણાનુબંધ હોય તેમ તેઓ પાંચમી અંગ્રેજી ભણવા ગોંડલ આવેલા હતા. નોકરી કરતાં કરતાં ગોંડલમાં જ ‘પોસ્ટ ઓફિસ’નું સર્જન કર્યું. એ સિવાય ઘણી વાર્તાઓ પણ ગોંડલમાં લખી.