Monthly Archives: October 2016
ડલાસ/ ફોર્ટવર્થ સાહિત્ય પ્રેમીઓ માટે આનંદના સમાચાર
“પુસ્તક પરબ”ગુજરાતી સાહિત્ય પરિવારના પ્રણેતા ડો. પ્રતાપ પંડ્યાના સહકારથી ડલાસ/ ફોર્ટવર્થ એરિયાના ગુજરાતી સાહિત્ય પુસ્તક પરબની સ્થાપના યોજાઈ રહી છે. તારીખ ૨૪ ઓક્ટોબરના રોજ ગુજરાતી સાહિત્ય રસિકોની એક મિટિંગ અરવિન ખાતે મળી હતી, જેમાં સુશ્રી. મીના દવે, સુશ્રી કલ્પના પંડિત, ડો. પ્રતાપ પંડ્યા, સર્વ શ્રી. સુધીર દવે, બી.કે. પંડિત, સુરેશ જાની અને સુભાષ શાહ ( ગુજરાત દર્પણ) હાજર રહ્યા હતા. આ મંડળનું નામ ‘ગુજરાતી સાહિત્ય સર્કલ’ સૂચવવામાં આવ્યું હતું. ‘પુસ્તક પરબ’ દ્વારા આ મંડળના પુસ્તકાલયને જૂદા જૂદા, નામાંકિત લેખકોનાં પુસ્તકોનો સેટ વિના મૂલ્યે આપવામાં આવશે. હાલના તબક્કે બે પુસ્તકાલયો સ્થાપવામાં આવશે. ૧) અરવિન/ આર્લિંગ્ટન વિસ્તારમાં અને ૨) પ્લેનો/ ફ્રિસ્કો વિસ્તારમાં. સૂચિત સર્કલની સભા દર મહિનાના પહેલા સોમવારે યોજવાનું સૂચવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક –
શ્રી. સુધીર દવે (૮૧૭–૬૫૮–૬૩૪૫)
શ્રીમતિ કલ્પના પંડિત (૩૧૨–૩૬૯–૯૧૨૪)
શ્રી. સુભાષ શાહ ( ૯૭૨–૨૦૦–૪૮૭૩)
પુસ્તક પરબ’ના ભિષ્મ પિતામહ એવા, ડો.પ્રતાપ પંડ્યાની તાજેતરની ડલાસ/ ફોર્ટ વર્થ ખાતેની મુલાકાત વખતે યોજાયેલ એક મૈત્રી મુલાકાત દરમિયાન ચર્ચાયેલી બાબતો –
- તારીખ ૨૪, ઓક્ટોબર – ૨૦૧૬
- સ્થળ અરવિન, ટેક્સાસ
- ભાગ લેનાર ગુજરાતી સાહિત્ય પ્રેમી વ્યક્તિઓ
- ડો. પ્રતાપ પંડ્યા
- શ્રી. સુભાષ શાહ
- શ્રી. બી.કે. પંડિત
- શ્રીમતિ કલ્પના પંડિત
- શ્રી. સુધીર દવે
- શ્રીમતિ મીના દવે
- શ્રી. સુરેશ જાની
- ચર્ચાયેલા મુદ્દાઓ
- ડો, પ્રતાપ પંડ્યાએ ગુજરાતમાં ‘પુસ્તક પરબ’ શરૂ કરવા માટેનાં કારણો અને તે શી રીતે કામ કરે છે, તે સમજાવ્યું હતું. અમેરિકામાં પણ તે શરૂ કરાઈ રહી છે, તેનો ખ્યાલ તેમણે આપ્યો હતો.
- ભાગ લેનાર સૌ મિત્રો ડલાસ/ ફોર્ટવર્થ વિસ્તારમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર, સંવર્ધન અને તેનાં મૂલ્યોની જાળવણી ની જરૂરિયાત બાબત સંમત થયા હતા.
- ખાનગી ઘરમાં, વ્યક્તિગત રીતે આવાં બે નાનાં પુસ્તકાલયો પ્રાયોગિક ધોરણે શરૂ કરવાનું વિચારવામાં આવ્યું હતું. આવું એક પુસ્તકાલય પ્લેનો/ ફ્રિસ્કો વિસ્તારમાં અને બીજું અરવિન/ આર્લિન્ગટન વિસ્તારમાં શરૂ કરવા માટે સૂચન/ પ્રસ્તાવ પણ કરવામાં આવ્યા હતા. આ અંગે હાજર રહેલ સ્થાનિક સાહિત્ય પ્રેમીઓએ ડો. પ્રતાપ પંડ્યાની દોરવણી હેઠળ, પોતાનાથી બની શકે તેટલી મદદ અને કામગીરી કરવા તૈયારી બતાવી હતી.
- ડો. પ્રતાપ પંડયાએ જણાવ્યું હતું કે, જો આવાં ઘરઘરાઉ પુસ્તકાલયો શરૂ કરવામાં આવે, અને તેના સંચાલનની જવાબદારી વ્યક્તિગત ધોરણે ઊઠાવવામાં આવે, તો ગુજરાત સ્થિત ‘પુસ્તક પરબ’ સંસ્થા કોઈ પણ ખર્ચ વિના પુસ્તકો પૂરાં પાડવાની જવાબદારી ઉપાડી લેશે.
- હાજર રહેલ મિત્રોએ ડલાસ/ ફોર્ટવર્થ ખાતે ગુજરાતી સાહિત્ય અંગે ચર્ચા, વિચાર વિમર્શ અને સાહિત્ય રચનાઓના સહિયારા સર્જન અને આદાન/ પ્રદાન માટે નિયમિત રીતે, દર મહિને એક વાર, ‘ગુજરાતી સાહિત્ય બેઠક’ યોજવા પર પણ ભાર મુક્યો હતો અને તે અંગે કાર્યવાહી હાથ ધરવા કબૂલ થયા હતા. સાહિત્યના બધા જ પ્રકારો ( કવિતા, વાર્તા, નવલથા, નાટક, લોકગીતો, સંશોધન, પ્રવાસ વર્ણન, નિબંધ, વિવેચન વિ.) ના વાંચન, સર્જન અને વિચાર વિમર્શ આવી બેઠકમાં કોઈ બાધ વગર સમાવી લેવામાં આવે તેમ સર્વાનુમતિએ નક્કી કરવામાં આવ્યું હતું. આવી બેઠકને ‘ગુજરાતી સાહિત્ય વર્તુળ/ સર્કલ’ નામ આપવું , તેમ પણ વિચારાયું હતું.
- આવી બેઠક યોજવામાં આવે તો અરવિનમાં પ્રાયોગિક ધોરણે, ભાડેથી આવી જગ્યાની વ્યવસ્થા કરવા શ્રી. સુરેશ જાનીએ તૈયારી બતાવી હતી. બીજું સૂચન એ પણ હતું કે, આવી બે જગ્યાઓ રાખવી – ૧) મેટ્રોપ્લેક્સના અરવિન/ યુલિસ જેવા મધ્ય સ્થળે અને ૨) ઉત્તર ભાગના વિસ્તાર જેવા કેમ પ્લેનો/ ફ્રિસ્કો વિ. જ્યાં વારાફરતી આવી બેઠકો યોજી શકાય.
- પ્રાયોગિક ધોરણે માર્ચ – ૨૦૧૭થી મહિનાના પહેલા સોમવારે સાંજના સાત વાગે આવી “બેઠક” યોજવાનું શરૂ કરવું, એમ પણ સર્વાનુમતે નક્કી થયું હતું.
- શ્રી પ્રતાપભાઈનો સંપર્ક :pratapbhai@gmail.com
- અમેરિકા :12643 paseo flores ,saratoga CA 95070
- ફોનનંબર 1-469-586-7482
- ભારત : A1/1 સામ્રાજ્ય, મુંજ મહુડા રોડ, વડોદરા-૨૦.
ફોન નંબર – 9825323617
એનાહેમ ગુર્જર સમુદાયએ દિવાળીના દિવસે માત્રુભાષાની ઓજસ જગાવી
૨૯મી ઑકટોબર,શનિવાર અને કેલિફોનિઁયાના એનાહેમ શહેર મધ્યે ગાયત્રી મંદિર ખાતે કાવ્યસંગૃહ વિમોચનનો અનેરો પ્રસંગ ઉજવાયો, આયોજક હર્ષદ શાહ ,કાન્તીભાઈ મિસ્ત્રી ,રસિકભાઈ પટેલ,ગુણવંતભાઈ પટેલ ,સુભાષ ભટ્ટ ,ગીતા ભટ્ટ ,શૈલેશ પરીખ અને નિમંત્રક કૌશિકભાઈ પટેલ (ગાયત્રી મંદિર પરિવાર )સુભાષભાઈ શાહ (ગુજરાત દર્પણ )પ્રવીણભાઈ મહેતા (સિનીયર ગ્રુપ )ના સહિયારા પ્રયત્નથી અનેક લોકોની હાજરી વાર્તાણી. કવિ શ્રી રમેશ પટેલ “ખેપીયો” કાવ્યસંગૃહ ‘હૃદયોમિઁ’ના અને “આકાશદીપ”ના “મઢેલા મોતી”વિમોચન .. થયું જેમાં ‘સપના’ વિજાપુરા જાણીતા ગઝલકારે ખાસ વિમોચક બની પ્રસંગને દીપાવ્યો અને લેખકને ઉત્સાહ આપી વધુ લખવાની પ્રેરણા આપી ….તો “પુસ્તક પરબ” ગુજરાતી સાહિત્ય પરિવારના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાએ ફોન પર શુભેચ્છા સંદેશો આપતા કહ્યું કવિશ્રીની આ કલમને કેલિફોર્નીઆની ‘પરબ બેઠક’ ને આંગણે વધાવતાં મને આનંદ થાય છે. આપ સૌ આ કાવ્ય-સંગ્રહને વાંચો વંચાવોને ને માતૃભાષાના સ્નેહને વહાવો, એ અભિલાષા .આમ આ પ્રસંગે બંને લેખક અને સમગ્ર ગુજરાતીઓને “પરબ”ની પ્રેરણા આપી અને “પરબ”ના કોડીયાથી દીપમાળા પ્રગટાવી.આ પ્રસંગે કેલીફોર્નીયાની “બેઠક” ના આયોજક પ્રજ્ઞા દાદભાવાળાએ અતિથી વિશેષ તરીકે હાજરી આપી અને બંને લેખકને પુસ્તક પરબ ગુજરાતી સાહિત્ય પરિવાર તરફથી મેમેન્ટો આપી પ્રસંગને યાદગાર બનાવ્યો. અને કહ્યું કે તમે એનાહેમમાં આવું સાહિત્ય સેતુ શરુ કરવાનો વિચાર કર્યો છે એ વિચાર માત્ર જ પ્રશંસનીય છે. સૌ સાથે મળી વાંચન સાથે સર્જન કરશો તો આપણી ભાષા વહેતી રહેશે.
આમ ૮૪ વર્ષના રમેશભાઈ પટેલ “ખેપીયો”ના દિલના ખૂણામાં ઉદ્ભવલુ એક ઊર્મિસ્પંદન કેલિફોર્નિયાના લોસ એંજલસ શહેરના ગુર્જર સમુદાય પર છવાય ગયું.તો બધાના ઉત્સાહ અને પ્રેમ આવકાર થકી રમેશભાઈ પટેલ “આકાશદીપ”નું સ્વપ્ન ગાયત્રી મંદિરના આંગણે ગુજરાતી વાતાવરણમાં ફળ્યું.અને સપનાબેનની બે પંક્તિ આ પ્રસંગે ગુંજી રહી
લો કોડિયું પ્રેમનું બળતું મે મૂક્યુ છે
કોઈ ઓજસ જગાવો કે દિવાળી છે
ઘણાં સપનાં નયનમા હોય સહુ ને
સખા સપનાં સજાવો કે દિવાળી છે
અહેવાલ -પ્રજ્ઞા દાદભાવાળા
દિવડા પ્રગટાવજો
ઘરના આંગણે દિવડા પ્રગટાવજો પણ એના પ્રકાશનું કિરણ દિલમાં દીપાવજો.
ઘરના આંગણે રંગોળી સજાવજો પણ એ રંગબેરંગી ડિઝાઇન દિલમાં કોતરજો.
દિપાવલીમાં મેવા મિઠાઇ ચાખજો પણ એ મિઠાશ સમાજ ઘડતરમાં ફેલાવજો.
દિપાવલીમાં નવાં વસ્ત્રો ખરીદજો પણ કોઇ અનાથને વસ્ત્ર આપીને સજાવજો.
દિપાવલીમાં ધનપપૂજન કરજો ને એમાંથી સફાઇ,આરોગ્ય, વિદ્યામાં વાપરજો.
દિપાવલી ઉમંગથી મનાવજો પણ દેશ રક્ષા કાજે ઝઝુમતા જવાનો ના ભુલજો.
દિપાવલીમાં કાશ્મીરથી કન્યાકુમારી ને દિવથી દિબ્રુગઢ સુધી એકતા મનાવજો.
સ્વપ્ન જેસરવાકર
આપ સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.રમેશ પટેલ(આકાશદીપ)-
![]()
રાજા દીપોત્સવી તું………(છંદ–સુવદના_
રાજા દીપોત્સવી તું, સબરસ મધુરાં, પ્રાગટ્ય દિવડે રંગોળી આંગણેતો, તમસ વિજયશ્રી, આનંદ વરતે
મીટાવી શત્રુતાને , હરખ સભર હો, ચૈતન્ય સઘળું ફોડી વ્યોમે ફટાકા, ઘર ઘર ટહુકે, ઝૂમે જ ગરવું
ધર્યા છે અન્નકૂટો, પ્રભુ ચરણ મહીં, છે ધન્ય ધરણી આવો ભાવે પધારો, શુભ પથ જગ હો, ઉત્તમ કરણી
ભેટી દે સ્નેહ પૂંજી, જન જન હરખે, ઐશ્વર્ય ધરતો ઝીલી હૈયે ઉજાશી, વિનય સભર આ, સંસાર ગરવો રમેશ પટેલ(આકાશદીપ)
|
દિવાળી-ઇન્દુબેન શાહ
દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા
અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના
રોશની ફેલાવું ઘર ઘરમાં
પ્રગટાવી દીવા સહુના દિલમાં
ટમટમતા તારાઓ સૌ સાથ
વેરાયા પૃથવીપર આજ
ઉજાળવા પગદંડી ને પાથ
બારાત ઉતરી માણવા મહેફીલ
ફટાકડાની સાથે ફોડી દર્દના ફોલ્લા
બુરાઇ મનની બધી ધકેલી બહાર
વસાવું એવી દુનિયા
ન રહે કોઈ રાગ-દ્વેશ પીડા
મીઠાઇની મીઠાસ સદા દિલમાં વશે
પ્રતિજ્ઞા શુભ દિનમાં ઍવી લઈને
ભૂલી નાત જાત રંગ સીમા વાડા બધુએ
સહુના દિલ બહેલાવું મીઠા વર્તન વ્યવહારે
દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા
અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના
રોશની ફેલાવું ઘર ઘરમાં
પ્રગટાવી દીવા સહુના દિલમાં
ટમટમતા તારાઓ સૌ સાથ
વેરાયા પૃથવીપર આજ
ઉજાળવા પગદંડી ને પાથ
બારાત ઉતરી માણવા મહેફીલ
ફટાકડાની સાથે ફોડી દર્દના ફોલ્લા
બુરાઇ મનની બધી ધકેલી બહાર
વસાવું એવી દુનિયા
ન રહે કોઈ રાગ-દ્વેશ પીડા
મીઠાઇની મીઠાસ સદા દિલમાં વશે
પ્રતિજ્ઞા શુભ દિનમાં ઍવી લઈને
ભૂલી નાત જાત રંગ સીમા વાડા બધુએ
સહુના દિલ બહેલાવું મીઠા વર્તન વ્યવહારે
ઇન્દુબેન શાહ
સાંસ્કૃતિક સંઘર્ષ (૧૩) ભારત માને પત્ર -કલ્પનારઘુ
મા, મારી મા,
એવું તે શું છે, તારી ભીની માટીમાં? તારી માટીની મહેકથી મારું રોમરોમ તરબતર થાય છે. તારા સ્પર્શે ભીતરે અનેક સ્પંદનો જાગે છે.
મા, તું કેટલી વિશાળ છો? તેં કેટલું સમાવ્યું છે તારી અંદર? ખેતર, નદી, નાળા, વિશાળ સરોવર, પર્વત, ડુંગર અને મહાનગર. તારાથી સાત સમંદર દૂર વસેલો હું, હું એક તુચ્છ માનવ તારી યાદમાં ઝૂરૂં છું. કોઇ આવે મારા દેશથી તો એને ભેટવા દોડું છું. રખેને તારી માટી, તારો સ્પર્શ મને ફરી પાવન કરી દે. અને તારી આગોશમાં ભૂતનાં સંસ્મરણો તાજા થાય છે. એક રંજ કોરી ખાય છે આ તારા બાળને. મારો દેશભાઇ આ દેશમાં આવીને કેટલો બદલાઇ ગયો છે? અહીંની ધરતીનો મને ‘હાય’ કહે છે પણ મારો ભારતવાસી મારી સાથે આંખ પણ મીલાવતો નથી. મા, આ શું કળજુગની દેન છે?
માનવ ઉડતા શીખ્યો, તરતા શીખ્યો, લડતા ઝગડતા શીખ્યો, આકાશને આંબતા શીખ્યો, સ્વાર્થ હોય ત્યાં નમતા શીખ્યો, નવી સિધ્ધિઓ સર કરતાં શીખ્યો … પણ મારી મા, એક માનવ બનતા ના શીખ્યો. એક સાચો હિન્દુસ્તાની બનતા ના શીખ્યો.
પરંતુ એટલું સારૂં છે, આ ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં સૌ ભારતીયો, ભેગા મળીને તને યાદ તો કરે છે! રાષ્ટ્રધ્વજને વંદન તો કરે છે! તને મુક્ત કરવા માટે રેડાયેલા લોહી કે જેની બુનિયાદ પર મારી મા સ્વતંત્ર બની હતી તે તારાં પનોતા પુત્રોને યાદ તો કરે છે! અને મા તારી યાદ મને તાજી થાય છે અને મને થાય છે કે હું વિશ્વમાં જ્યાં પણ હોઉં, સ્વર્ગ તો મા તારાં ચરણોમાં જ છે … ચરણોમાં જ છે.
એક ભારતવાસી
સાંસ્કૃતિક સંઘર્ષ (૧૨) – છેક આવું?-રશ્મિબેન જાગીરદાર
અમેરિકા જેવા દેશોમાં સામાન્ય રીતે રસ્તે ચાલતા માણસો ભાગ્યે જ દેખાય, એવું સાંભળેલું. એ વાતે થોડું આશ્ચર્ય પણ થતું. આપણા દેશમાં તો રસ્તે ચાલતા વાહનો કરતાં પગે ચાલતા માણસોની સંખ્યા વધારે હોય તેવી સ્થિતિ જ સામાન્ય ગણાય. હા, આજ કાલ બેન્ક લોનની સહાયથી ખરીદી વધવાને લીધે, વાહનોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. હું જ્યારે પહેલી વાર અમેરિકા ગઈ ત્યારે એરપોર્ટથી ઘરે જતાં તો મને એવું જ લાગ્યું કે, સાચે જ રોડ પર માણસ તો નામે ના જ દેખાયા , બસ દેખાઈ તો ગાડીઓની વણથંભી લાંબી વણઝાર! ત્યારે મનમાં થયું, ગતીભેર ચાલતા વાહનોથી ભરચક અને ધમધમતા રસ્તા પણ માણસો વિના કેટલા નિર્જન-નિશ્ચેત લાગેછે!
હું રાત્રે ઘરે પહોંચી એટલે બધાને મળવાનું અને ખાવા પીવાનું પતાવીને ઊંઘવાનું જ બની શક્યું. બીજા દિવસની સવાર મારા માટે આશ્ચર્ય જનક નીવડી. સાત વાગ્યાની આસપાસ મેં મારી રૂમની બારીમાંથી બહાર જોયું તો નાનકડો માનવ મહેરામણ હિલોળા લેતો જણાયો. મને અમેરિકામાં રસ્તે ચાલતા માણસો દેખાયા ! કારણ એ હતું કે, અમારા ઘરની બિલકુલ સામે એક અતિ વિશાળ, લોનથી આચ્છાદિત પાર્ક હતો અને એને અડીને એકથી સાત ધોરણની શાળા હતી. સવારે શાળાએ જતાં બાળકો અને તેઓને મુકવા આવેલાં માંબાપ કે વાલીઓની અવરજવરથી માહોલ જીવંત બન્યો હતો. બે દિવસમાં મને ખ્યાલ આવી ગયો, કે સવારે ચાલવા આવતા લોકો અને શાળાના સમય દરમ્યાન બાળકો અને વાલીઓની ભીડ રહે છે . ત્રણ, સાડા ત્રણ વાગ્યા સુધી એની વસ્તી રહેતી. પછી માંડ એક કલાક નિર્જનતા વ્યાપી રહેતી. અને પછી તરતજ સાંજના વોક માટે આવતા લોકો અને પાંચ વાગે ચાલુ થતી લાફિંગ ક્લબના મેમ્બરોની આવનજાવન ચાલુ થતી તે છેક પાર્ક બંધ થાય ત્યાં સુધી વસ્તી રહેતી. આ વાત થી મારો દેશી જીવ ખુશ થઇ ગયો.
હું પણ સવારે વોક માટે અને સાંજે લાફિંગ ક્લબમાં જવા લાગી, થોડા જ સમયમાં કેટલાય ઓળખીતા બની ગયા. ધીમે ધીમે સરખા સમયે આવી શકનારા અમે ચાર બહેનો તો ખાસ મિત્રો બની ગયા. એમાંય રેવતી સાથે મને ખાસ ફાવતુ. અમે એક બીજાના વૉટ્સએપ નંબર પણ લઇ લીધા જેથી સમય નક્કી કરીને મળી શકીએ. એક દિવસ અમે ચાર મિત્રોએ ચાર વાગે પાર્કમાં મળવાનું નક્કી કર્યું. અમે ચારેય જણા એ કાવ્યો લખેલા તેની ચર્ચા કરવાના હતાં . બાકીના બે બહેનો સુચેતા અને શૈલા ને મારા ઘર પાસેથીજ નીકળવાનું થતું, એટલે તેઓ મારા માટે ઘર આગળ થોભ્યાં. મારો પૌત્ર શાળાએથી આવ્યો ત્યારે થોડો તાવ હતો એટલે મને નીકળતાં ખાસ્સું મોડું થયું. તે દરમ્યાન અમે રેવતીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પણ તેનો ફોન ઉપડ્યો નહિ. મેં વિચાર્યું સાડા ત્રણ થી ચારની આસપાસ પાર્કમાં ખાસ વસ્તી નથી હોતી, રેવતી એકલી પડશે. એટલે અમે તરત નીકળ્યાં. અમે ચારે તરફ આંટો માર્યો પણ રેવતી ક્યાંય ના દેખાઈ. અમે ફરી ફોનથી સંપર્ક કર્યો પણ મેળ ના પડ્યો. ત્યાં તો લાફિંગ ક્લબનો સમય થયો, છતાં રેવતી ના આવી. એટલે અમે ત્યાં ગયાં. લાફિંગ ક્લબના માસ્ટરજી આવ્યા તેમણે સમાચાર આપ્યા કે, એક ગુજરાતી બેનના ગળામાં પહેરેલી સોનાની ચેન ખેંચીને છોકરાઓ ભાગી ગયા, એવી વાત સાંભળી. ચાર વાગે અહીં વસ્તી નથી હોતી તેનો લાભ લઈને આવા બનાવો બનતા હતા. મને ફરી થયું એ રેવતી તો નહિ હોય? છેવટે લાફિંગ એક્સરસાઇઝ પતાવીને અમે રેવતીના ઘરે જવાનું નક્કી કર્યું.
અમે ત્રણે જણ રેવતીના ઘરે પહોંચ્યાં, એ લોકો આ વર્ષે જ અહીં આવ્યા હતા. રેવતીના પુત્ર અને પુત્રવધુ બંને અમને નીચા નમીને પગે લાગ્યાં. એ જ તો આપણી સંસ્કૃતિ છે. વડીલોને આદર આપવો અને નમસ્કાર કરી તેમના આશીર્વાદ લેવા. અમે રેવતી માટે પૂછ્યું તો કહે મમ્મી અંદર સુતા છે આવો. રેવતી ઓઢીને સુતેલી હતી. અમને જોઈ તેણે મોં ઢાંકી દીધું, અમને નવાઈ લાગી શું થયું રેવતી આજે કેમ ના દેખાઈ? જવાબમાં તેનું ડૂસકું સંભળાયું. અમે પૂછતાં રહયા ને તે રડતી રહી. અમને અંદાજ આવી ગયો કે તેની ચેન ખેંચી લેવામાં આવી છે, બીજી રૂમમાં જઈને તેમની પુત્રવધુને મેં પૂછ્યું,” શું તેમની ચેન તૂટી છે.?” પુત્રવધૂએ કહ્યું, “હા ચેન તો તેમની જ તૂટી છે એ તો ગઈ, પણ એ બે છોકરાઓની હિમ્મત તો જુઓ ધોળા દિવસે ચેન તો તોડી પણ કોઈ ના દેખાયું એટલે બદતમીઝી પણ કરી. જોરથી ચેન ખેંચી એટલે મમ્મી પડી ગયાં એટલે ચેન તો લઇ લીધી પણ પડેલા મમ્મીજીની પાસે તે છોકરો સુઈ ગયો અને છેડતી કરી અને બીભત્સ માંગણી કરી. મમ્મીમજી ખુબ ગભરાઈ ગયાં ને ચીસો પાડી પણ કોઈ હતું નહિ, એટલે બીજો છોકરો પણ ત્યાં બેસી ગયો.એટલું સારું થયું કે તે જ સમયે ત્યાંથી એક ગાડી પસાર થઇ. તેમાં બેસેલા કપલે આ જોયું અને ગાડી ઉભી રાખીને ઉતર્યા એટલે છોકરાઓ ગાડીમાં બેસીને ભાગી ગયા. એ ભલું કપલ મમ્મીજીને ઘરે મૂકી ગયું. તેમણે કહ્યું બંને છોકરાઓ માંડ સત્તરેક વર્ષના હશે.
એ દિવસે તો શરમ અને આઘાતથી સ્તબ્ધ થયેલી રેવતી એક અક્ષર પણ બોલી ના શકી, પણ પછી અમે જ્યારે મળ્યાં ત્યારે કહે, ” આપણા દેશમાં માતાની કે દાદી ની ઉંમરની વ્યક્તિ મળે તો છોકરાઓ પગે પડે, જ્યારે આ દેશમાં છોકરાઓ દાદીની ઉંમરની સ્ત્રીની પણ છેડતી કરે! કેવી સંસ્કુતિ ? કેવા સંસ્કાર!
અસ્તુ.
રશ્મિ જાગીરદાર
સર્જક સાથે સાંજ -તરૂલતા મહેતા
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા માનનીય શ્રી રઘુવીર ચૌધરી સાથે યાદગાર સાંજ
મુ.દાદા હરિકૃષ્ણભાઈ,મહેન્દ્રભાઈ,બાબુભાઇ સુથાર પ્રજ્ઞાબેન દાદભાવાળા,જયશ્રીબેન,તરુલતાબેન,કલ્પનાબેન રઘુ ,દાવડા સાહેબ સૌએ જીવંત ભાગ ચર્ચામાં લીધો હતો.જયશ્રીબેને સ્વાગતના મધુરા શબ્દોથી રઘુવીરભાઈને સ્ટેજ પર આવકાર્યા હતા. અનૌપચારિક સાહિત્યની આ ગોષ્ટિમાં ખુરશીમાં વિરાજેલા રઘુવીર ચૌધરીને સૌ શ્રોતાઓએ એમની સર્જનયાત્રા વિષે,નવલકથાના પાત્રો,તેમની કવિતા ,વાર્તા વિષે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછ્યા.વાતચીતનો દોરચાલતો રહ્યો. તેમ શ્રોતાઓ દિલ ખોલીને મનની મૂઝ્વણોની ગાંઠ ખોલતા ચાલ્યા.ફળના ભારથી નમેલા વુક્ષની ડાળીઓ ભૂમિ તરફ ઢળે તેમ જ્ઞાનપીઠ જેવા એવોર્ડની પ્રાપ્તિ પછી પણ રઘુવીરભાઈ ખૂબ સહજ રીતે અતિ નિકટના મિત્રની જેમ પ્રત્યેકના પ્રશ્નોના જવાબ આપતા હતા.પ્રજ્ઞાબેનનો પ્રશ્ન હતો ખેડૂતમાંથી લેખક થવાની યાત્રા વિષે.હું અનુભવી રહી કે તેમનું ખેડૂતનું હદય અને લેખકની સંવેદના એકબીજામાં ઓતપ્રોત થઈ ગઈ છે.તેમના વતન બાપુપુરામાં વીતેલા બાળપણમાં તેમણે ધરતીનું ધાવણ,ખેડૂતો સાથેની આત્મીયતા ,ભજનો ,મા-પિતાનું વાત્સલ્ય એવું મનભરીને કોઠામાં પચાવ્યું છે કે ‘ખર્ચે ન ખૂટે ચોર ન લૂંટે ‘બસ વધ્યા જ કરે.મને રવિન્દ્રનાથ ટાગોરને બાઉલ ભજનોમાંથી મળેલી પ્રેરણા યાદ આવે છે.આપણા નરસિંહ ,મીરાં ને અન્ય ભક્તકવિઓના ભજનોના પ્રેરણાપીપુષ ગુજરાતી કવિઓએ પીધા છે.
દાવડાસાહેબે જોડણી અંગેના વિવાદનો મુદ્દો રજૂ કર્યો.જેના તારણરૂપે રઘુવીર ચૌધરીએ ભાષા અને લિપિનો ભેદ દર્શાવી લેખકની વાત વાચક સમજી શકે તેવી ભાષા હોય તે અપેક્ષિત છે.’બાર ગાઉએ બદલાતી બોલી ‘ભાષા વહેતી નદી ,વહેતી રહે ,માતુભાષાનું મધમીઠું માધ્યમ ટકી રહે તે જરૂરી છે.તેથી શુદ્ધ ભાષા આદર્શ અને સ્વપ્ન હોવા છતાં વર્તમાન સમયમાં બ્લોગ કે છાપાઓમાં ગુજરાતીમાં જણાતી જોડણીને ક્ષમ્ય માનવી.રઘુવીરભાઈ જીવનની હકારત્મક દિશાને આવકારે છે.એક ખેડૂત છોડની જીવાત હળવા ઉપાયોથી દૂર કરવા પ્રયત્ન કરે છે.છોડ ખીલે ,જીવતો રહે તેમાં જ તે રાજી.તેઓ આપણને મળેલા મહામૂલા જીવનને આંનદથી સભર કરવા પ્રેરે છે.
જયશ્રીબેનને રઘુવીરભાઈની નવલકથામાં ઉપસતી ગાંધીજીની વિચારસરણી,અસ્ત્તિત્વવાદ,નિત્સેની વાત છેડી.ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ એટલે સત્ય ,અહિંસા ,સમાનતા,દરિદ્રનારાયણનો આદર.સાદગી અને પ્રત્યેકના હિતનો વિચાર.રઘુવીર ચૌધરીએ તેમના જીવનમાં અને લેખનમાં ગાંધીભાવનામાં શ્રદ્ધા રાખી છે.પૂ.વિનોબાભાવેની ભૂદાનસેવામાં તેઓ ગામડે ફર્યા છે,ખેડૂતોના હિતને માટે પોતાના શરીર અને મનથી સેવા કરી છે.ખેડૂતો વિષે વાત કરતાં તેમના મુખ પર મેં જે આત્મીયતા અને હર્ષ જોયા તેથી લાગ્યુ કે ખેડૂતનો માજણ્યો ભાઈ બોલે છે.તેઓ એક જાગ્રત ખેડૂત સાહિત્યકાર.
તરુલતા મહેતાએ પ્રશ્ન કર્યો કે રઘુવીર ચૌધરીના ‘આ એક નદી ‘કાવ્યમાં સૂકાયેલી સાબરમતીમાં નર્મદાયોજનાથી ફરી પાણી વહેતુ થયું તો શું માતુભાષા ગુજરાતીમાં પણ ફરી નવું બળ આવશે?આપણે સૌ વિદિત છીએ કે વર્તમાનમાં દેશમાં અને પરદેશમાં ગુજરાતી ભાષા સાવકીમા થતી જાયછે.ગુજરાતી જાણવા છતાં ગુજ્જુઓ ઘરમાં અને મિત્રોમાં અંગ્રેજીમાં બોલે છે.તેના જવાબરૂપે તેમણે સરસ કહ્યું કે આજના ફેસબુક જેવા સોસ્યલ મીડિયાને કારણે ગુજરાતીનું ચલણ વધ્યું છે,પણ દાદા -દાદી ગુજરાતીમાં બાળકો સાથે બોલે તે મોટો ભાગ ભજવે છે.તેમના પૌત્ર -પૌત્રીઓ દાદી પાસેથી ગુજરાતી શીખ્યા.ભારતીય સંસ્કુતિની માં-બાપને પોતાના કુટુંબમાં રાખવાની પ્રથા જાળવી રાખીએ તો બાળકો થોડું ગુજરાતી બોલે ,સમજે.
વર્તમાન રાજકારણની ,ભારતની બદલાતી જતી સુરતની એવી અનેક રસપ્રદ વાતો રઘુવીરભાઈએ કરી.બાબુભાઈ સુથારના પ્રશ્નો માટે રઘુવીરભાઈની બીજીવારની મુલાકાત જોઈશે.કારણકે શ્રોતાઓને રઘુવીરભાઈની સાલસતાને કારણે જાણે છુટ્ટો દોર મળ્યો.મને તો એની પણ મઝા આવી.ભગવાનને બધા ભક્તો વહાલા,સર્જકને સૌ વાચકો સરખા,અરે વાંચે કે સાંભળે ,કષ્ટ વેઠીને રઘુવીરભાઈને જોવા,સાંભળવા આવ્યા એ પણ આજની તારીખમાં ગુ.સાહિત્યના ઇતિહાસની ગર્વ લેવા જેવી ઘટના.એમને મળેલો જ્ઞાનપીઠ એવોર્ડ સમગ્ર ગુજરાતી બોલનાર પ્રજાને આનન્દ અને ગૌરવથી પુલકિત કરે છે.મુ.દાદાએ અંતમાં રઘુવીરભાઈને કહ્યું કે લખનારાઓ અંગ્રેજી અને બીજી ભાષાનું ઉત્તમ સાહિત્ય વાંચે તે જરૂરી છે.હું મુ.દાદાની વાત સાથે સંમત છું,રઘુવીરભાઈએ જગતસાહિત્યને વાંચ્યું છે,હિંદી ,બંગાળી ,મરાઠી સાહિત્યમાંથી અનુવાદો કર્યા છે.
પ્રજ્ઞાબેને ‘બેઠક’ના જાણીતા કવિ રમેશ પટેલ ‘આકાશદીપ’નો કાવ્યસંગ્રહ શ્રી રઘુવીર ચૌધરીને અર્પણ કર્યો ,જેની પ્રસ્તાવના પણ પ્રજ્ઞાબેને લખી છે.આપણે સૌ રમેશભાઈને અભિનન્દન પાઠવીએ અને એમની સર્જનધારા વહેતી રહે તેવી શુભેચ્છા.
ઘડિયાળના કાંટા સર્જક સાથેની સુનહરી સાંજને પૂરી કરવાનો નિર્દેશ કરતા હતા,પણ સાહિત્યરસિયાની તરસ બૂઝાતી નહોતી. છેવટે સૌએ પોતાના ગોરવવંન્તા રઘુવીર ચૌધરી પ્રેમભરી સલામ કરી.આવતી કાલના મિલનનો ઉત્સાહ સૌના ચહેરા પર હતો.સૌ આયજકોનો આભાર,માતુભાષાનો પ્રેમ અમર રહો.
તરુલતા મહેતા 22મી ઓક્ટોબર 2016