સ્પંદન-45

સંસારનું આ સત્ય
કે જીવનનું રહસ્ય
આન, બાન, શાનથી
ક્યારેક સરતું આસમાનથી

કોણ સફળ, કોણ નિષ્ફળ
ક્યારેક કળ તો ક્યારેક બળ
અહીં પડકાર હર એક પળ
પ્રારબ્ધ છે કે પુરુષાર્થ સફળ

ક્યાંક મળે ઊંડો દરિયો
તો ક્યાંક મળે કિનારો
મનમાં જાગે વિચાર વમળ
જીવન સફળ કે વિફળ.

સ્વપ્નોની દુનિયા અને દુનિયાના સ્વપ્નો… રાત્રિનો અંતિમ પ્રહર…એક દુનિયા પૂરી થાય અને સોનેરી સૂરજની સાથે દુનિયાના સ્વપ્નો શરૂ થાય. સ્વપ્નોની દુનિયા કદાચ કલ્પનાની રંગીન પળો છે જે રાત્રિનો વૈભવ છે તો દુનિયાના સ્વપ્નો એ વાસ્તવિકતા પામવાની ઝંખના કરતાં હોય છે. તેનો રંગ વિશેષતઃ આશા નિરાશાનો કે શ્વેત શ્યામ હોય છે.  કોઈ તેને રાત દિનની ઘટમાળ ગણે તો કોઈ તેને પ્રારબ્ધ અને પુરુષાર્થનો ખેલ ગણે. જીવન વહેતું જાય, બનાવો અને ઘટનાઓ આકાર લે અને એક પળ એવી આવે કે લાગે કે આ જીવનની સફળતા છે. પણ સફળતા એ સીડી પણ છે અને શિખર પણ. એવરેસ્ટ પર આરોહણ કરી શકાય પણ ત્યાં રહી શકાતું નથી. સફળતાની પળોનો અનેરો સ્વાદ લઈએ ત્યાં પ્રારબ્ધનો ખેલ શરૂ થાય.

ક્યારેક વિચાર, ક્યારેક આચાર, ક્યારેક વ્યવહાર…માનવજીવન જાણે કે તલવારની ધાર. કોણ સફળ અને કોણ નિષ્ફળ…પુરુષાર્થ કે પ્રારબ્ધ? ક્યારેક કાંડાના ખેલ અને ક્યારેક નસીબના. નસીબની વાત કરીએ તો જૂની વાર્તામાં આવતું હતું તેમ હાથણીએ કળશ ઢોળ્યો અને અજાણ્યો પણ નસીબદાર પુરુષ રાજા બન્યો. પરીકથાઓ અને દંતકથાઓ વચ્ચે વહેતું જીવન ક્યારેક વિચારોમાં ગરકાવ થતું આપણને પ્રશ્ન કરે કે સફળતા એ પ્રારબ્ધ છે કે પુરુષાર્થ?

સફળતા ઝળકે ક્યારેક એવરેસ્ટના શિખરે, ક્યારેક સફળતા સરકે મહાસાગરોની સફરે, સફળતા ક્યારેક રંગીન પુષ્પોનો બાગ બની  અટકે આંખોના સ્વપ્નોમાં, તો ક્યારેક સફળતા એ બીઝનેસનો ખેલ અને ક્યારેક સફળતા એ ખેલનો બીઝનેસ. કોણ જાણી શકે તેની મુલવણી? પણ યાદ આવે વિલિયમ શેક્સપિયર…. ‘what is there in a name?’ સફળતા એ સ્વાદ છે, નશો છે. એ નશામાં જ માણસ ક્યારેક કળ અજમાવે અને ક્યારેક બળ.

કળ અને બળથી ઉપર ક્યારેક હોય છે નસીબ. નસીબ એ ઈશ્વરની બલિહારી છે. યાદ આવે એક સંસ્કૃત પંક્તિ, જેમાં કવિના નિરૂપણનો ભાવાર્થ કંઇક આવો છે. નવમંજરીઓમાં ફરતો ભમરો ચંપાની કળીને સૂંઘતો પણ નથી. શું તે સુંદર નથી? પરંતુ, बलियसी केवल ईश्वरेच्छा।’ આ ઈશ્વરની ઇચ્છા ક્યારેક પૌરાણિક સાહિત્યમાંથી નીકળે જે મહાભારતમાં કર્ણનું વચન બને. ” दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्।” કુળમાં જન્મ દૈવને આધીન છે પણ પુરુષાર્થ મારા આધીન છે. પણ એકલવ્યની કૂતરાના મુખને બાણથી બંધ કરી દેવાની  નિપુણતા  જોઈએ તો થાય કે વાહ, આવું જ હોવું જોઈએ ઓફ લાઈન શિક્ષણ. ભલે યુગ મહાભારતનો હોય કે આજનો – પરંતુ પરિણામ? ગુરુ દ્રોણ માગી લે છે એકલવ્યના હાથનો અંગુઠો. વાહને આહમાં બદલાતાં વાર લાગતી નથી. ગુરુના સ્વરૂપમાં નસીબ એકલવ્યને મળે છે અને ગુરુદક્ષિણા સ્વરૂપે એકલવ્ય જમણા હાથનો અંગુઠો ગુરુ દ્રોણને અર્પણ કરી દે છે. કોઈ  આને અન્યાય ગણે તો કોઈ નસીબનો ખેલ. વ્યવહાર એ વ્યવહાર છે. ક્યારેક તલવાર તો ક્યારેક તેની કપરી ધાર છે.

એકલવ્યની લાચાર આંખોનું દર્દ કદાચ અનુભવી શકાતું ન હોય તો ઇતિહાસની સાક્ષીએ એક વધુ કહાની ઉપલબ્ધ છે. નામ નિકોલા ટેસ્લા. એડિસનની કંપનીમાં કામ કરે છે ક્રોએશિયામાં 1856માં જન્મેલ આ વૈજ્ઞાનિક અને એન્જિનિયર, જેને 1882માં વિચાર આવે છે AC કરંટનો. એડિસન તેને પોતાની કંપનીમાં DC ડાયનામો બનાવવા સોંપે છે – વચન છે 50000 ડોલર આપવાનું. જ્યારે ટેસ્લા ડિઝાઇન પ્રસ્તુત કરી નાણાં માગે છે ત્યારે એડીસન કહે છે,”You donot understand humor.” મનથી ઘાયલ ટેસ્લા છોડે છે નોકરી. પોતાની કંપની સ્થાપવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે.

Battle of currants તરીકે ક્યારેક પ્રખ્યાત આ એસી -ડીસીની લડાઇમાં ટેસ્લા અને સાથે છે વેસ્ટીંગ હાઉસ. જીત તેમના પક્ષે આવી.  આપણા ઘર સુધી જે રીતે ઈલેક્ટ્રીસિટી આવે છે તેના માટેનો યશભાગી છે નિકોલા ટેસ્લા. પરંતુ ભાગ્યનું ચક્ર ફરે છે. 1895માં તેની લેબમાં આગ લાગે છે અને ઘણું નુકશાન પામ્યા બાદ પગભર થવા મથતો ટેસ્લા પછી સફળ થતો નથી. અને ટેસ્લા કોઇલનો આ શોધક 1943માં અવસાન પામે છે. સમયની રેતમાં દબાયેલી આ કહાનીનો સાર એટલો જ કે સામર્થ્ય અને સિદ્ધિ સાથે યશભાગી થવું એ પુરુષાર્થ ઉપરાંત નસીબનો ખેલ પણ છે. नसीब में जिसके जो लिखा था…किसी के हिस्से में प्यास आई’  પછી તે એકલવ્ય હોય, કર્ણ હોય કે ટેસ્લા હોય  – સફળતામાં ભાગ્યની ભૂમિકા અકળ છે.

નસીબનું ચક્ર ફરતું રહે છે. ખુશનસીબ કહો કે ભાગ્યશાળી –  વ્યક્તિના ભાગ્યમાં ક્યારેક એવો બદલાવ આવે છે કે સામાન્યમાંથી વ્યક્તિ અસામાન્ય કક્ષાએ પહોંચી જાય છે. સ્કોટલેન્ડમાં જન્મેલા અને પછી અમેરિકા પહોંચી માત્ર 1.20 ડોલરની આવકથી શરૂ કરી એન્ડ્રુ કાર્નેગી પહોંચે છે સ્ટીલ ઉદ્યોગની ઊંચાઈએ અને સ્થાપે છે વિશ્વનું મોટું સ્ટીલ સાહસ – US steel – કુલ સંપત્તિ  US ડોલર 475 મિલિયન. બીજું નામ યાદ આવે જોન. ડી. રોકફેલર.  શરૂઆત એક સાવ સામાન્ય એપ્રેન્ટિસ તરીકે, પરંતુ નસીબની યારી જુઓ. સ્ટાન્ડર્ડ ઓઇલના માલિક રોકફેલરની સંપત્તિ US ડોલર 500 મિલિયનથી વિશેષ. બંનેની પોતપોતાના ક્ષેત્રમાં અદ્વિતીય સફળતા. આ સફળતામાં ક્યાંક ભાગ્ય તો ક્યાંક પુરુષાર્થ તો ક્યાંક અદ્વિતીય બુદ્ધિ.  પણ પરિણામ? ઝળહળતી સિધ્ધિ.

શું છે રહસ્ય આ મેઘધનુષી સિદ્ધિનું? શું માત્ર ભાગ્ય કે માત્ર પરિશ્રમ? ના, સફળતા એ સીડી છે. તેના પર પગ ટેકવવા માટે પ્રયત્ન તો કરવો જ પડે પણ સાથે જ જોઈએ બુદ્ધિમતા, ખંત અને વ્યાપારિક વ્યવહારુપણું, હિંમત અને નિર્ણયશક્તિ. સાથે આ બધામાં તક ઝડપી લઈ અગ્રેસર થવાની મહત્વકાંક્ષા. યાદ રહે, મેઘધનુષના સાત રંગો દ્વારા જ સૌંદર્ય પ્રગટ થતું હોય છે. કાંચન મૃગ ભલે માયાવી હોય પણ રામ પણ તેને માટે ધનુષ- બાણ લઈ શિકાર માટે નીકળે છે. ગોવર્ધન પર્વત ઉપાડવાનું સામર્થ્ય હોવા છતાં જે કનૈયો પ્રયત્ન કરી ગોવર્ધન ઉપાડે છે તે જ અર્જુનને કુરુક્ષેત્રમાં કર્મયોગનો ઉપદેશ ગીતા દ્વારા આપી શકે છે. યુદ્ધ મહાભારતનું હોય કે સંસારના કોઈ પણ મોરચાનું, જ્યાં ગાંડીવનો ટંકાર નથી ત્યાં વિજય નથી. સંસ્કૃત સુભાષિત એ રહસ્ય ઉદ્દઘાટિત કરે છે.
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥

રીટા જાની
26/11/21

૪૫ વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

પિંજર-

પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી મારા વૈદકીય અભ્યાસ માટે પિતાજીએ એક એવા અનુભવી ગુરુની નિયુક્તિ કરી જે દેશી વૈદું જ નહીં પણ ડૉક્ટરી પણ જાણતા હતા. માનવ શરીર રચનાની જાણકારી માટે એમણે એક હાડપિંજર મંગાવ્યું અને એક રૂમમાં ગોઠવ્યું. આમ તો હાડપિંજર જોઈને નાનાં છોકરાંઓ તો શું કાચાપોચાની જેમ મારા પણ હાંજા ગગડી જાય એમ હતું. હું એ રૂમમાં એકલો જઈ શકતો નહી. મારો એક મિત્ર નિર્ભય હતો. એ એવું કહેતો કે જીવંત વ્યક્તિ જેટલું આપણને નુકશાન પહોંચાડે એટલી મૃત વ્યક્તિ નથી પહોંચાડતાં. અને આ તો હાડકાં છે થોડા સમયમાં માટીમાં ભળી જશે. જો કે મારી માન્યતા જુદી હતી. હું એવું માનતો કે આ તો એમનું માટીનું મકાન છે જ્યાં એમનો આત્મા હજુ રહેતો પણ હોય. અથવા સમયાંતરે આવીને લટાર મારી જાય. અને ખરેખર એવી ઘટના બની જેમાં મારી માન્યતા સાચી ઠરી.

થોડા દિવસ પહેલાંની જ વાત છે. કોઈ કારણસર મારે એ જ રૂમમાં ઊંઘવાનું થયું. ઊંઘ તો આવી નહીં. ઘણી વાર સુધી આમથી તેમ પાસા ફેરવતો રહ્યો. રાતના બાર વાગ્યાના ડંકા સંભળાયા. રૂમમાં મૂકેલો લેમ્પ ધીમો પડીને બંધ થઈ ગયો અને અંધારું છવાઈ ગયું. વિચાર આવ્યો કે માનવ જીવન પણ દિવસ,રાત અને પછી અનંતમાં ભળી જતાં ચક્ર જેવું જ છે. 

વિચારોમાં ગરકાવ હતો અને એવું લાગ્યું કે કોઈ અદીઠ ચીજ મારા પલંગની ચારેકોર ફરી રહી છે. કોઈ દુઃખી વ્યક્તિના ઘેરા વ્યથિત શ્વાસો અને ધીમા પગરવનો ધ્વનિ સંભળાયો.

સહસા હું બોલી ઊઠ્યો, “કોણ છે?”

કોઈ વ્યક્તિનો અવાજ સંભળાયો,“ હું છું, મારું પિંજર જોવા આવી છું.”

“હેં, આ તે કંઈ પિંજર જોવાનો સમય છે અને વળી કયું પિંજર જોવાની વાત છે?”

“સમય ગમે તે હોય, પિંજરું મારું છે, મને એ ગમે ત્યારે જોવાનો હક છે. આ જે પાંસળીઓ છે ને એમાં છવ્વીસ વર્ષો મારું હૃદય બંધ હતું. એ મારું ઘર હતું એ જોવા આવું એમાં તને શું વાંધો હોવો જોઈએ?

હું ભયભીત થઈ ગયો, છતાં હિંમત કરીને કીધું, “ભલે તારે જે જોવું હોય એ જોઈ લે. મને ઊંઘવા દે.” મનમાં થયું કે એ ક્યારે અહીંથી ખસે અને હું બહાર ચાલ્યો જાઉં.

પણ એ ક્યાં જાય એવી હતી? એણે સામે પૂછ્યું, “તું અહીં એકલો ઊંઘે છે? તો ચાલ વાતો કરીએ.”

આ વળી નવી ઉપાધી આવી. જાણે મોત મારી આંખોની સામે આવીને ઊભું. છતાં કહ્યું,“ ભલે બેસ અને કોઈ મનોરંજનવાળી વાત કર.”

“તો સાંભળ. પચ્ચીસ વર્ષ પહેલાં હું પણ તારી જેમ માનવ હતી અને માનવની જેમ વાત કરતી. હવે ભેંકાર સ્મશાનમાં ભમ્યા કરું છું. કેટલાય સમયથી જીવંત માનવ સાથે વાત કરવી હતી. સાચે ખુશ છું કે તેં મારી વાત સાંભળવાની તૈયારી બતાવી.” સામો અવાજ આવ્યો અને જાણે એ મારા પલંગની પાંગતે આવીને બેઠી હોય એવું લાગ્યું. હું ભયથી ફફડી ઊઠ્યો. એણે વાત શરૂ કરી.

“મહાશય, જ્યારે હું માનવરૂપમાં હતી ત્યારે એક વ્યક્તિ, માત્ર મારા પતિથી ડરતી હતી. જાણે એ પતિ નહીં મોતનો દેવતા હતો. કોઈ વ્યક્તિ માછલીને કાંટામાં ફસાવીને પાણીની બહાર લાવે એવી રીતે એ મારા માત-પિતાના ઘરમાંથી બહાર લઈ ચાલ્યો. મને ક્યાંય જવા દેતો નહીં. જો કે સારું થયું કે લગ્નના બીજા મહિને જ એ મરી ગયો. મેં લોકલાજે વૈષ્ણવ પરંપરા પ્રમાણે ક્રિયાકર્મ કર્યા, પણ અંદરથી હું ખૂબ ખુશ હતી. હાંશ, મારા જીવનનો કાંટો નીકળી ગયો. થોડા દિવસ પછી મને મારા માતા-પિતાના ત્યાં જવાની છૂટ મળી. હુ અત્યંત પ્રસન્ન હતી. હું ખરેખર સુંદર હતી એવું સૌ કહેતાં. તને શું લાગે છે હું સાચે જ સુંદર છું ને?”

“હું શું કહું? મેં તને ક્યાં જીવિત જોઈ છે.”

“કેવી રીતે તને વિશ્વાસ આપું કે મારી લજ્જાશીલ આંખો જોનારને ઘાયલ કરી દેતી. ખેર. મારા ચહેરાના આ અસ્થિ જોઈને તને ન લાગ્યુ કે મારું સ્મિત કેવું સુંદર હશે? મારા જીવનકાળ દરમ્યાન કોઈ ડૉક્ટરે પણ ક્યાં કલ્પના કરી હશે કે મારું હાડપિંજર અભ્યાસ માટે કામ આવશે? કોઈને પણ આસક્તિ થઈ જાય એવું મારું સૌંદર્ય હતું.  તેં મને યૌવનકાળમાં જોઈ હોત તો તારા હોશ ઊડી જાત અને આ વૈદુ ભૂલી જાત.

“મારા ભાઈએ લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો. મને મારા સૌંદર્ય પર ઘમંડ હતો. જમીન પર ચાલતી ત્યારે પગ નીચે કચડાતાં ઘાસમાં જાણે સમસ્ત સંસારના પ્રેમીઓને મારા પગ તળે ભાળતી પણ શું ધાર્યું હતું ને શું બની ગયું?

“મારા ભાઈનો એક મિત્ર, સતીશકુમાર જેણે ડૉકટરી પાસ કરી હતી. એ અમારા પરિવારનો પણ ડૉક્ટર હતો. એને જોઈને હું એના પર મોહી પડી.”

“હું સતીશકુમાર હોત તો કેવું સારું થાત?” ઊંડો શ્વાસ લઈને હું બોલ્યો

“પ્રેમાલાપ પછી કરજે. પહેલાં મારી વાત સાંભળી લે. વરસાદી મોસમમાં મને તાવ આવ્યો. મારા પ્રિય એવા ડૉક્ટર સતીશકુમાર મને જોવા આવ્યા. પહેલી વાર અમે એકમેકને જોયા. મને જોઈને એ સ્તબ્ધ બની ગયા. મારી રગ પારખતા એમની આંગળીઓ કાંપતી હતી. જાણે હું નહીં એ બીમાર હોય એવી એમની દશા હતી.

“થોડો સમય ગયો અને મને સમજાયું કે ડૉક્ટર સિવાય મારા મનને હવે કોઈ જચશે નહીં. સાંજ પડે વસંતી રંગની સાડી પહેરી, તૈયાર થઈ હું ઘરના ઉદ્યાનમાં ફરતી. દર્પણમાં જોતી તો મને મારા બે સ્વરૂપ નજરે આવતાં. સ્વંય સતીશકુમાર બનીને એની પર ન્યોછાવર થઈ જતી. કલાકો સુધી આમ સમય પસાર કરતી. સતીશકુમારના વિચારોમામ જ ગરકાવ રહેતી.” એ અટકી.

“તને ઊંઘ આવતી હોય તો હું જાઉં.”

“ ના…ના. તું તારી વાત કર.” હવે મારી ઉત્સુકતા વધતી ચાલી.

“અચ્છા તો સાંભળ. થોડા સમયમાં સતીશકુમારની વ્યસ્તતા વધી. એમણે અમારા મકાનની નીચે દવાખાનું ખોલ્યું. જ્યારે એમને ફુરસદ હોય ત્યારે હુ એમની પાસે જઈને બેસતી. થોડી ઠઠ્ઠા-મશ્કરીની સાથે દરેક જાતની દવા વિશે જાણકારી લેતી. સમય જતા મને એવું લાગ્યું કે જાણે ડૉક્ટરના હોશ-હવાસ ઠેકાણે નહોતા રહેતા. સમજાતું નહોતું કે કેમ પણ, હું એમની સન્મુખ જતી ત્યારે જાણે એમના ચહેરા પર મોતની છાયા પ્રસરી જતી.

“એક દિવસ ખબર પડી કે એના વિવાહ થવાના હતા. આ જાણીને હું અવાક રહી ગઈ, જાણે ચેતના ગુમાવી બેઠી હોઉં એવી માનસિક મૂર્છામાં સરી ગઈ. હું વર્ણન નથી કરી શકતી કે આ વાત મારા માટે કેવી અસહ્ય કષ્ટદાયી હતી. ડૉક્ટરે મને શા માટે વાત નહીં કરી હોય?  હું એમને રોકત એવું વિચારતા હશે?

“મધ્યાન સમયે ડૉક્ટર મળ્યા ત્યારે આ સમાચારનું સત્ય જાણવા એમને જ પૂછી લીધું. ડૉક્ટર જરા છોભીલા પડી ગયા. મેં ડૉક્ટરને એ પણ પૂછી લીધું કે, તમારા લગ્ન થશે પછી પણ તમે દર્દીઓની રગ પારખવાના? ડૉક્ટરો માટે એવું કહેવાય છે કે તમે શરીરના તમામ અંગોની દશાથી માહિત છો, પણ મને એ તો કહો કે, આમ તો હૃદય શરીરનું જ એક અંગ કહેવાય તો મને ખેદ છે કે ડૉક્ટર થઈને તમને કોઈના હૃદયના હાલ ના ખબર પડી?

“મારા શબ્દો એમને હૃદયમાં તીરની જેમ વાગ્યા હશે પણ એ મૌન રહ્યા.

“લગ્નનો સમય રાતના બાર વાગ્યાનો હતો. એ અને મારો ભાઈ રોજની જેમ શરાબ લઈને બેઠા. ધ્યાન ન રહ્યું અને વાતોમાં ઘણો સમય પસાર થઈ ગયો. એમને ઊભા કરવાના બહાને હું ત્યાં ગઈ અને તક મળતાં એમના શરાબમાં વિષની પડીકી ભેળવી દીધી. થોડા સમય પછી ડૉક્ટર તૈયાર થવા ઊભા થયા.

“હું મારા રૂમમાં ગઈ. નવી બનારસી ઓઢણી ઓઢી. માથે સિંદૂર ભરી સૌભાગ્યવતીની જેમ ઉદ્યાનમાં જ્યાં હંમેશા એમની પ્રતીક્ષા કરતી ત્યાં ગઈ. ધવલ ચાંદનીનો ઉજાસ રેલાઈ રહ્યો હતો. હવાની હળવી લહેર સાથે ઉદ્યાનમાં ચમેલીની સુગંધ પ્રસરી ગઈ. ડૉક્ટરના શરાબમાં ભેળવ્યા પછી વધેલી વિષની પડીકીને ઘૂંટડા પાણીમાં ભેળવીને મેં પી લીધી. થોડા સમયમાં ચક્કર આવવા માંડ્યા. આંખોની સામે ધુંધળાપણું છવાવા માંડ્યું. એવું લાગ્યું કે ચાંદનીનો પ્રકાશ ઝાંખો થવા માંડ્યો છે. પૃથ્વી, આકાશ, જળ, સ્થળ બધું જાણે એકાકાર થવા માંડ્યું. હું મીઠી નિંદ્રામાં સરવા માંડી.

“લગભગ ઘણા સમય પછી સુખ-સ્વપ્નમાંથી જાગી તો કંઈક અલગ અનુભવ થયો. ત્રણ વિદ્યાર્થીઓ મારા અસ્થિને લઈને તબીબી અભ્યાસ કરી રહ્યા હતા. એક આધ્યાપક એ વિદ્યાર્થીઓને વિભિન્ન અસ્થિના નામ કહી રહ્યા હતા. હાથની સોટીથી ઈશારો કરીને એક પોલાણ દર્શાવીને કહી રહ્યા હતા કે આ એ સ્થાન છે જ્યાં યૌવનકાળે ફૂલો ખીલી ઊઠે છે. અરે અહીં! અહીં તો મારું હૃદય રહેતું હતું જે સુખ-દુઃખના સમયે ધડકતું રહેતું. જ્યાંથી મારું હૃદય ડૉકટરના વિવાહ સમયે છેલ્લી વાર ધડક્યું હતું.

“બસ આટલી મારી કથા છે. હું હવે વિદાય લઈશ. તું શાંતિથી ઊંઘી જા.”

પણ પછી મારી આંખોમાં ઊંઘ ક્યાં આવવાની હતી?

રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘પિંજર’ પર આધારિત અનુવાદ.


Rajul Kaushik

http://www.rajul54.wordpress.com

HopeScope Stories Behind White Coat – ૪૨ / Maulik Nagar “Vichar”


લો..ચા

મસ્ત મજાની બોગનવેલ લહેરાતી હતી.
બંગલાના ગાર્ડનમાં એક સુંદર ગઝીબો હતો.
ઝારાઆંટી ગઝીબામાં મૂકેલ ફૅન્સી હીંચકા પર ઝૂલતા ઝૂલતા ઘરના ગાર્ડનમાં જ ઉગાડેલી હર્બલ ટી પીતા હતા.
ત્યાં જ દૂરથી લાલ રંગની એક લક્ઝરી કાર આવતા જોઇ.

“એ શોભા…એટલે દૂર ક્યાં પાર્ક કરે છે..અહીંયા લાવી દે આપણા બંગલાના ઝાંપા પાસે જ પાર્ક કર.” ઝારાઆંટીએ આખું જીવન લંડનમાં ગુજાર્યું હતું. હવે પંચાવન પાર થયા એટલે ઘડપણની મઝા માણવા ભારત શિફ્ટ થઈ ગયા હતા. એમને મન પચપન મેં બચપણ જેવી ભાવના જાગી હતી.

“અલી…તું તો કેવી જોરદાર રૂપાળી દેખાય છે. સો ગોર્જીયસ.” ઝારાઆંટીનું બચપણ અને જવાની બંને સાણંદ બાજુ એક ગામમાં વીત્યાં હતા.
લગ્ન બાદ લંડન ગયા અને ચહેરા પરના ચમકની સાથે શબ્દોનો ચળકાટ પણ બદલાઈ ગયો હતો.
તેઓ બોલે તો ગુજરાતી જ પણ શબ્દોને લકવો થઈ ગયો હોય એમ વાંકુંચૂકું બોલે.

શોભાને જોઈને ઝારાઆંટીમાં જવાની ફૂટી હોય એમ હરખાવા લાગ્યા.
શોભા એક પગ વાળીને એમની બાજુમાં જ હીંચકા પર બેસી ગઈ.

“જો હો..જોક્સ અપાર્ટ, આ તારી મૉમ હવે લચકાઈ ગઈ છે પણ હું તો હજી પણ છલકાઈ જ રહી છું..કૅન યુ સી ધીસ?” ઝારાઆંટીએ બેય હાથ ફેલાવીને પોતાના હૃષ્ટપુષ્ટ શરીર પર ઈશારો કરતા કહ્યું.
“ઍબ્સલૂટલિ આંટી, યુ આર સ્ટીલ હોટ.” શોભાએ પણ આંટીને ફ્લાયઇંગ કિસનો બુચકારો કરતા કહ્યું.
“ધીસ ઇસ ધ કી માય ડાર્લિંગ” ઝારાઆંટીએ પોતાના હાથમાં પકડેલા પારદર્શક હર્બલ ટી ભરેલો કપ બતાવતા કહ્યું.

“પણ તું આમ સવાર સવારમાં ક્યાં ભૂલી પડી?” બે ચાર અંગ્રેજીના લપેડા પછી ઝારાઆંટીએ પાછું લકવાગ્રસ્ત ગુજરાતી ચાલુ કર્યું.

“આંટી..આઈ નીડ યોર હેલ્પ.” શોભાના ચહેરા પર થોડી ગભરામણ સાથે આશાની ચમક આવી.
“એક જ શરતે હેલ્પ કરું”
“આંટી તમે કહો તે કરીશ? પ્લીઝ હેલ્પ….!!!” શોભાએ હીંચકા પર મૂકેલ લિનનની ખોલ ચઢાવેલ તકીયો હાથમાં લીધો અને મદદ માટે ઉછળી જ પડી.
“બસ આ જ…તું આંટી બોલવાનું બંધ કરે તો જ!” ઝારાઆંટીએ ચકચકાટ સ્મિત આપ્યું અને એ જ ગોળમટોળ લાલ લાલ હોઠપર સિસકારો કરતા હર્બલ ટી ગડગડાવી.
“આંટી જુઓ તમે બ્રાહ્મણ છો..હતાં.. છતાંય તમે નાત બહાર લગ્ન કર્યા અને આ તમારી બહેનપણી મને નાતમાં જ પરણાવવાની પાછળ પડી છે.”
“તો એમાં શું છે? એણે કોઈ સારો છોકરો શોધી રાખ્યો હશે!” આંટીએ કેટલમાં ઉકળતા ગરમા ગરમ પાણીને કપમાં કાઢી ઘરના ગાર્ડનમાં જ ઉગાડેલી હર્બલ ટી ભેળવી અને એ જ ગડડ..ગડડ..અવાજ સાથે પોતાની બહેનપણીએ છેડેલા સૂરમાં જ સૂર પૂરાવ્યો.
“પણ..આં..ટ..આઈ મીન ગોર્જીયસ, પ્રિટી…મિસસ કૈફ…!”
“શું પણ શોભા?” ઝારાઆંટીએ હર્બલ ટીથી છલોછલ કપ શોભાને આપ્યો અને એની ઝૂકેલી આંખમાં જ એને ઉત્તર જડી ગયો.
“ઑહ…એટલે મૅડમે..ઑલરેડિ ટિકિટ ખરીદી લીધી છે એમ!”
શોભાએ એક સીપ ટી પીધી અને હકારમાં ડોકું હલાવ્યું.
“વ્હોટ અ ગ્રેટ ન્યૂઝ માય બેબી. જા પ્રૉમિસ હું મારી દેશી બહેનપણી અને તારી ડોશી મમ્મીને મનાઈ લઈશ. પણ પ્રોબ્લેમ ક્યાં છે? તું તો ભણેલી ગણેલી ડૉક્ટર છે!” ઝારાઆંટીએ જેવો એમનાં કૉર્ટમાં બોલ આવ્યો એટલે સવાલો અને આશ્ચર્યનો મારો ચાલુ કર્યો.
“એ જ ને.. બસ નાત જાત…!”
“આઈ એમ સ્યોર હી મસ્ટ નોટ બી કૈફ, ક્રીસ કે કપુર…અને હોય તો પણ શું? સી આઈ એમ સો હૅપી..” જવાબ આપવાનો વારો હવે શોભાનો હતો. બંને એ ગ્રીન ટીની ચૂસ્કી સાથે મારી.
“એ મારી સાથે એમ.બી.બી.એસ જોડે કરતો હતો. પછી હું ડર્મેટોલોજિસ્ટનું ભણી અને એ ઇમર્જન્સી સ્પેશ્યલિસ્ટ.”
“ગ્રેટ..એમાં પ્રોબ્લેમ શું?”
“એનું નામ દિન્યાર છે. એ પારસી છે. અને તમારી બહેનપણીને…!”
“ઓહ…”
શોભાએ પોતાનો ચાનો કપ લીધો અને ટહેલવાનું ચાલુ કર્યું.
પોતાની લવ સ્ટોરી અને મમ્મીની દિન્યારને જ લઈને છેલ્લા ત્રણ વર્ષની ક્ચકચનો મોટો મજાનો નિબંધ ચાલુ કર્યો.
શરૂઆતમાં તો ઝારાઆંટીની હા, ઑકે, બરોબર, તો!.. એવાં ઉદ્દગાર સંભળાયા..પણ પછી તો જાણે શોભા પોતાની પ્રેમ કહાનીમાં જ મગ્ન હોય એમ ધ્યાનબહેરી જ થઇ ગઈ.
બે-ત્રણ મિનિટના લઘુ નિબંધ પછી શોભાની નજર જેવી ઝારાઆંટી પર પડી..અને જોઈને સ્તબ્ધ જ થઇ ગઈ.
ઝારાઆંટીના હાથ ખૂબ જ ધ્રૂજતા હતાં.
હાથમાં પકડેલ હર્બલ ટીનો કપ એમનાં ઝૂલઝૂલવાળા નાઈટ ડ્રેસ પર ઢોળાઈ ચૂક્યો હતો.
મોઢું સાવ ફીક્કું પડી ગયું હતું. કંઈક લવારી કરતા હતા.
ચોકીદારની મદદથી આંટીને કારમાં બેસાડ્યા.
ચાલું ગાડીએ જ દિન્યારને ગાડીના કનેક્ટેડ બ્લૂટૂથથી કૉલ કરીને હૉસ્પિટલ બોલાવ્યો.
એની મમ્મીને પણ ફોન કરીને ઝારાઆંટી વિશે સમાચાર આપ્યાં.
દિન્યાર, શોભા અને શોભાની મમ્મી ત્રણેયની ગાડી એક સાથે જ હૉસ્પિટલ પહોંચી.
હૉસ્પિટલ પહોંચતા સુધી શોભા ઝારાઆંટીને પ્રશ્નો પૂછીને કોઈકને કોઈક રીતે વ્યસ્ત રાખવાનો પ્રયન્ત કરતી હતી.
એક ખભેથી દિન્યાર અને બીજા ખભેથી શોભાએ ઝારાઆંટીને ટેકો આપીને એમને ઇમર્જન્સી વૉર્ડમાં લઇ ગયાં.
“દિન્યાર, શી ઇઝ ઈન ઑલટર્ડ સેન્સોરિયમ.” શોભાએ કહ્યું કે જયારે અમે ગાર્ડનમાં હીંચકે બેઠાં હતાં ત્યારે તેઓ એકદમ તંદુરસ્ત જણાતા હતાં.
દિન્યારે ઝારાઆંટીના દરેક જરૂરી ટેસ્ટ કરાવ્યા.
શોભાની મમ્મીને દિન્યાર તો જોવો પણ ન હતો ગમતો.
પરંતુ અત્યારે પોતાની બાળપણની સહેલીની ટ્રીટમેન્ટ કરતો હોવાથી એકાદ વખત કોરું કોરું સ્મિત તો આપ્યું હતું.
“શોભા, એમનું સુગર, હાર્ટ રેટ…એવરી થિંગ ઇઝ એટ હાયર સાઈડ”
“હાઉ કમ!! શી વોઝ પરફેક્ટલી ઓલરાઇટ! અમે બંને એ તો એમનાં ગાર્ડનમાં હીંચકા પર બેસીને ચા પીધી અને સડન્લી…!!”
“વેઇટ..તું તો ચા પીતી નથી!”
દિન્યારના આ વર્તનથી શોભાની મમ્મીને થોડો અણગમો થયો.
“મારી દીકરી છે..ગમે તે કરે…તારે શું!!” પણ આ શબ્દો શોભાની મમ્મી મનમાં જ ગળી ગઈ.
“અરે બાબા…ઈટ વૉઝ હર્બલ….” ટી બોલાય તે પહેલાં જ ડાયોગ્નોસ કરવાના નિષ્ણાત દિન્યારને ભાળ મળી ગઈ કે નક્કી આ હર્બલ ટીમાં જ લોચા છે.
અંતે એ જ નીકળ્યું.
થનાર મમ્મીને ઈમ્પ્રેસ કરવા દિન્યારે વાત કાઢી.
“પોતાની રેસીડેન્સીના સમયમાં પણ આવો જ એક કેસ આવ્યો હતો.”
“જે કન્સલ્ટન્ટ ડૉક્ટર શોધી ન હતા શક્યા પરંતુ મેં શોધી કાઢ્યો હતો.”
એ વાગોળતા ઝારાઆંટીના બેડની આસપાર ફરતા ફરતા “મેં આમ કર્યું હતું..મેં તેમ કર્યું હતું” ના લાંબા લચક નિબંધમાં દિન્યાર પણ ધ્યાન બહેરો થઇ ગયો.
ફરીને જોયું તો શોભા પણ….

By:Maulik Nagar “Vichar”

સ્પંદન-44




સંસાર ભલે સુખદુઃખનું વમળ
તેમાં પણ ઉગે સુંદર કમળ
નિર્દોષ આંખોમાં સુરક્ષિત કાલ
આજે મોજ મસ્તીભર્યું આ બાળ
બાળક છે સંસ્કૃતિનો સહારો
બાળક છે ખુશીનો ફુવારો
વ્હાલે ઉછેરી સહુ નાના બાળ
આનંદે વધાવીએ આવતી કાલ.

વિશ્વની અગ્રગણ્ય અવકાશી સંસ્થા નાસા, G -7, G-20 કે પછી COP26 જેવાં આંતરરાષ્ટ્રીય સંમેલનો કે પછી નેતાઓના વચનો હોય અથવા પ્રાચીનથી અર્વાચીન સુધીની માનવસંસ્કૃતિની યાત્રા – દરેકનો પાયો છે વિકાસ. વિજ્ઞાનની ક્ષિતિજો પર છે વિકાસ. કલા કે સંસ્કૃતિનું હાર્દ છે વિકાસ. પરંતુ આ વિકાસની વાતો ખરેખર કોના માટે? વિકાસની બાગડોરનો સૂત્રધાર કહો કે અંતિમ લાભાર્થી કોણ? એ તો છે પા પા પગલીનો પાડનાર, નાનો શો પ્રેમાળ બાળક, જેની મુઠ્ઠીમાં છે વિશ્વની તકદીર, આપણી સહુની તકદીર કે ભવિષ્ય. ‘નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં કયા હૈ?’ પ્રશ્ન સનાતન અને જવાબ પણ સનાતન. મુઠ્ઠીમેં હૈ તકદીર હમારી, હમને કિસ્મતકો બસમેં કિયા હૈ. પણ કૈસે?

શૈલેન્દ્રના ગીતનો સૂર છે બાળક, પંડિત નેહરુના જન્મદિન તરીકે ઉજવાતા બાળદિનનો નાયક છે બાળક, રાજા દુષ્યંતના ભૂતકાળને શકુંતલા સુધી દોરી જનાર અને સિંહના દાંત ગણનાર ભરત પણ એક બાળક, રાક્ષસરાજ હિરણ્યકશિપુને શ્રધ્ધાનો ચમત્કાર દેખાડનાર અને હોલિકાના દહનનું નિમિત્ત ભક્ત પ્રહલાદ પણ બાળક, યમરાજને પ્રશ્ન પુછી મૃત્યુનું રહસ્ય અને તત્વજ્ઞાન જાણનાર નચિકેતા પણ બાળક, રોમની સ્થાપના સાથે સંકળાયેલ રોમુલસ પણ બાળક. આ નિર્દોષ આંખોના સ્વપ્નોનો વિસ્તાર ક્યાં નથી? ધર્મ, સાહિત્ય, દેશ કે વિદેશ – બાળક છે અત્ર તત્ર સર્વત્ર.

માનવજાતિ એટલે કળા, સંસ્કૃતિ અને વિજ્ઞાનના વિકાસની ગાથા. પરંતુ માનવજાતિના આ બધા જ ગુણોનું પ્રાગટ્ય થાય છે બાળપણમાં. જેમ સુંદર ઈમારતનો પાયો એ પાયાની ઈંટ છે તેમ માનવ જાતિનું ભવિષ્ય એ બાળક છે અને આજનો બાળક એ જ આવતી કાલનો નાગરિક પણ છે, નાવિક પણ છે, વૈજ્ઞાનિક પણ છે અને સફળ ઉદ્યોગપતિ પણ. ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એવી કહેવત જેણે પણ બનાવી હશે તેણે બાળકમાં અપાર શક્યતાઓ જોઈ હશે. બાળપણના ગુણોનું વર્ણન રસપ્રદ તો હોય જ છે અને તેનો પુરાવો આપણા મહાપુરુષોના બાળપણમાંથી પ્રાપ્ત થાય છે. બાલવયના પ્રસંગોમાંથી જ માનવીનું વ્યક્તિત્વ ઘડાય છે. આજે સત્ય અને અહિંસાના પૂજારી તરીકે પૂજાતા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના બાળપણને યાદ કરીએ તો તેમના પર ‘રાજા હરિશ્ચંદ્ર’ના નાટક જોવાની કેવી અસર પડેલી તે જાણવા મળે છે. કદાચ તેમની સત્ય પ્રત્યેની આસ્થા આવા પ્રસંગોથી જ દ્રઢ થયેલી. કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું આરોપણ બાળપણમાં સાંદિપની આશ્રમમાં જ થયેલું.

આસ્થા અને શ્રદ્ધા એ સફળતાની એક બાજુ છે પણ ક્યારેક પ્રશ્ન હોય છે સામર્થ્ય કે શક્તિનો. આપણને થાય કે એક નાજુક, નિર્દોષ બાળક વિશ્વમાં શું કરી શકે? વિશ્વ એ બાળક માટે ક્યારેક વ્હાલ તો ક્યારેક વિપત્તિઓ અને વિમાસણનું સંયુક્ત નામ છે. ક્યારેક સૂર્યપુત્ર કર્ણ બની તેણે જીવનભર પોતાની ઓળખ માટે ઝઝૂમવું પણ પડે છે. કહેવાય છે કે રોમની સ્થાપના સાથે સંકળાયેલ ત્યજાયેલા બાળક રોમુલસને પણ માદા વરુએ ઉછેરેલો. ઇતિહાસ કદાચ વિવિધ સ્વરૂપે આપણી સમક્ષ પ્રસ્તુત થાય પણ ગોવર્ધનધારી તરીકે ઓળખાતા શ્રીકૃષ્ણએ બાળવયમાં જ ગોવર્ધન પર્વત ઉપાડીને ગોકુળનું રક્ષણ કરેલું તે દરેક ભારતીય શ્રદ્ધાપૂર્વક જાણે છે. આ સામર્થ્ય અશક્ય નથી પણ અદ્વિતીય છે.

બાળક વામન દેખાય પણ શક્યતાઓની રીતે વિરાટ છે. બલિરાજા પાસેથી વામન અવતાર વિષ્ણુએ ત્રણ ડગલાં પૃથ્વી માગી અને પછી બલિરાજાએ કરેલા દાનને યાદ કરી એટલું તો જરૂર કહી શકીએ કે વામન ક્યારેક વિરાટનું સ્વરૂપ લઇ શકે તેવી અપાર શક્યતાઓ ધરાવી શકે. આનું કારણ એ છે કે બાળકનું મૂલ્યાંકન તેની શક્યતાઓને આધારે કરીએ તો બાળક એ વિરાટ શક્તિમાં પરિવર્તિત થઈ શકે તેવો પરમાણુ છે. બાળકનું મન એટલે કલ્પનાઓની સૃષ્ટિ. બાળક અરેબિયન નાઇટ્સની સોનેરી શેતરંજી પર સવાર થઈ શકે છે, પંચતંત્રના પ્રાણીઓની સાથે વાત કરીને જીવનના રહસ્યો રસમય રીતે સમજી શકે છે તો ઈસપની બાલકથાઓનો નાયક પણ બની શકે છે. બાળક માટે કોઈ દેશ કે વિદેશ નથી કે નથી કોઈ ભેદભાવ. આ એવું આસમાન છે જ્યાંની મુક્ત કલ્પનાઓની સૃષ્ટિ ક્યારેક ડિઝનીલેન્ડ બની આશ્ચર્ય સર્જી શકે છે. ક્યારેક બાળકની મનોસૃષ્ટિમાં તે મિકી કે મીની માઉસ કે પ્લુટો સાથે ગેલ કરતાં આનંદ અનુભવે છે તો ક્યારેક તે સિન્ડ્રેલાના મહેલમાં પોતાની કલ્પનાસૃષ્ટિ વસાવે છે.

જે બાળકને આપણે ફૂલની ઉપમા આપીએ છીએ તે બાળકની કલ્પનાઓનું વિશ્વ એ કદાચ પત્તાંનો મહેલ છે. વાસ્તવ સાથે સંસર્ગમાં આવતાં જ તેના કાંગરા ખરવા લાગે છે. સમાજ તેને પોતાની રીતે ઘડવા કમર કસે છે. ફૂલની પાંખડીઓ જોર કરી ઉઘાડવાનો પ્રયત્ન કરીએ તો આપણી અઘીરાઈના કારણે ફૂલની પૂર્ણતા અને સુંદરતા બંને નષ્ટ થાય. એ યાદ રાખવું ઘટે કે ફૂલ સમાન બાળકને આપણી પૂરી ન થયેલી અપેક્ષાઓના ભાર તળે કચડી ન નાખીએ. આપણાં સ્વપ્નો અને ઈચ્છાઓની જંજીરોમાં બાળકને બંધક ન બનાવીએ.

બાળક એટલે મસ્તી અને મોજનો નિર્ભેળ આનંદ. બાળકની ખાસિયત એટલે નિર્દોષતા, કુતૂહલ, સહજતા, પ્રેમ અને વિશ્વાસ. તેને કોઈ આપણું કે પરાયું નથી. બાળક એ સમાનતાનો સંદેશ છે. વાસ્તવિકતાની લડાઇનો પડકાર ઝીલતાં માતાપિતા ક્યારેક સમય પણ આપી શકતાં નથી. ક્યારેક આ ખોટ પૂરવા તે રમકડાં, સાધનો કે ગેજેટ્સના ખડકલા કરે તો ક્યારેક ખોટી જીદ પણ પૂરી કરે છે. પણ આ બધામાં બચપણ ખોવાય છે. ભૂમિને હરિયાળી દેખાડવાના મોહમાં પ્લાસ્ટીકની લોન પાથરીએ તો સુંદર દેખાય પણ જમીનના જીવંતપણાનો ભોગ દેવાય, તેવો જ ઘાટ અહીંયા થાય. પરિણામ? શક્યતાઓ અને વાસ્તવિકતાઓની ઘંટીમાં બાળપણ પીસાય.

આજે એકવીસમી સદીનું બાળક …તેની માસૂમ નિર્દોષ આંખો…આપણને પ્રશ્ન કરી રહી છે કે શું તમે મારા માટે આવતી કાલ સુરક્ષિત રહેવા દેશો? આજે જે વિશ્વ વિભાજિત છે, ત્યાં શું સુરક્ષિત ખુશહાલ ભવિષ્યનો સોનેરી સૂર્ય ઉગશે ખરો? આપણે બાળકને ઘણું બધું શીખવવા માગીએ છીએ. પણ હકીકતે આપણે પણ બાળક પાસેથી ઘણું શીખવાનું છે. ચાલો, આપણે પણ આપણી અંદરના બાળકને જીવંત અને કાર્યરત રાખીએ.

મોબાઈલ અને ઓટોમોબાઇલ વચ્ચે અટવાતા આ બાળકને આજે જરૂર છે સાચી દિશાની. જ્યાં શક્યતાઓ અપાર છે, ત્યાં શક્તિ અને સાહસનો સમન્વય થાય તે જરૂરી છે. તનની તંદુરસ્તી, મનની મસ્તી અને સાહસિકતાથી ઘડાયેલ બાળપણ જ ભવિષ્યના પડકારો ઝીલી શકશે. ભવિષ્ય ક્યારેક રણમેદાન પણ બને તો ક્યારેક પર્યાવરણની અનિશ્ચિતતાઓનો પડકાર. બાલદિનની ઉજવણીના સંદર્ભમાં યાદ આવે એ ગુલાબ જે કાંટા સાથે જ ઉગીને પણ સુવાસ ફેલાવે છે. બાળકના વિકાસનું વિશ્વ એ રીતે ઘડાય કે પડકારો વચ્ચે પણ આ જ સુવાસ દરેક બાળકમાં પ્રગટે અને માનવજાત માટે એ ગર્વની પળ સિદ્ધ થાય જ્યારે ગીત ગુંજે…’હમને કિસ્મત કો બસમેં કિયા હૈ’…

રીટા જાની
19/11/2021

https://youtu.be/9pfczsgtQEM






૩૭  “જ્યાં ન પહોંચે રવિ ત્યાંપહોંચે કવિ”- અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું ફરી એક વાર સ્વાગત છે. હમણાં મેં એક બહુ ગૂઢ અર્થ ધરાવતું વાક્ય વાંચ્યું. “Every Breath possesses infinite possibilities”.  અર્થાત આપણા દરેક શ્વાસમાં અનંત શક્યતાઓ છુપાયેલી છે. આ શ્વાસ-ઉચ્છવાસની ઘટમાળ માતાના ગર્ભમાંથી ચાલુ થાય છે જે છેક અંત કાળ સુધી નિરંતર ચાલુ રહે છે. ના, આ શ્વાસ-ઉચ્છવાસની આ નિરંતર લયમાળા જ જિંદગીને વ્યાખ્યાયિત કરે છે એમ કહેવું વધુ યોગ્ય છે. આ શ્વાસ અને ઉચ્છવાસ એ તો “છે” અને “હતા” વચ્ચેની ભેદરેખા છે.

આજે આપણે  “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત જલાલુદ્દીન રૂમી દ્વારા રચિત શ્વાસ પરની એક બીજી સુંદર કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું.આ કવિતા પણ મૂળ પર્શિયન (ફારસી) ભાષામાં રચાયેલી છે. પણ તેનો અંગ્રેજી અનુવાદ તમે આ લિક પર વાંચી શકશો. https://allpoetry.com/Only-Breath

જલાલુદ્દીન રૂમી વિષે હું જેટલું વધારે જાણું છું તેટલી હું તેમની વિચારધારા તરફ અને તેમની કવિતાઓ વધારે આકર્ષિત થઉં છું. તેમની કવિતાઓમાં શબ્દે શબ્દે આધ્યાત્મિકતા પ્રગટે છે અને એ દિવ્ય શક્તિ તરફનું તેમનું ખેંચાણ નિખરે છે. દિવ્યશક્તિને કોઈ રૂપ કે નામમાં બાંધ્યા સિવાય રૂમીએ ખુબ નિકટથી પરમાત્માને નિહાળ્યા હોય તેવું તેમની કવિતાઓ પરથી ફલિત થાય છે. તેમને ભીતર સાથે સચોટ અનુસંધાન સાધી ભીતરના ભગવાન સાથે નાતો બાંધ્યો છે. તેમની કવિતાઓની એક બીજી ખાસ વાત મને સ્પર્શી તે છે વાચકની વિચારશક્તિને ઢંઢોળવાનું. તેમની કવિતાઓ એક ચોક્કસ વિચારસરણી ધરાવતા વાચકોને જ આકર્ષે છે. તેમની કવિતાઓનો ભાવ વાચકના અભિગમને આધારે બદલાઈ શકે છે. ટુંકાણમાં રૂમીની કવિતાઓ વાચકને એટલેજ પોતીકી લાગે છે કારણકે તેમાં તેનો પોતાનો અભિગમ ઉમેરાય છે. જેમકે આજની કવિતા “ફક્ત શ્વાસ”માં કવિ લખે કે આ શ્વાસને નથી કોઈ જાતિ કે ધર્મ, નથી કોઈ તત્વ કે મર્મ. કોઈ પણ જાતના ભેદભાવ વગર આ શ્વાસ તો સર્વે જીવોમાં સમાન પણે શ્વસી રહ્યો છે. અને આ શ્વાસજ તો જીવને જીવિત ગણાવે છે.

એક દ્રષ્ટિએ વિચારીએ તો આ કવિતા સમગ્ર જીવોને એક સમાન ફલક પર લાવીને મૂકે છે. ભલે આપણા રૂપ, રંગ,ગુણ, દેશ, પ્રદેશ અલગ અલગ હોય પણ અંતે તો સમગ્ર જીવશ્રુષ્ટિ એક તાંતણે બંધાયેલી છે. All living beings are interdependent, connected and one and we must learn to coexist. આ સહઅસ્તિત્વના સીમાડાથી થોડું આગળ વિચારીએ તો એમ પણ વિચારી શકાય કે રૂમી આ શ્વાસ-ઉચ્છવાસ દ્વારા આપણને એ દિવ્યશક્તિની ઓળખાણ કરાવી રહ્યા છે. એક ખુબ સરસ ગીતની બે પંક્તિ મેં સાંભળી છે તે અહીં રજુ કરું છું. “શ્વાસની આ તો આવન-જાવન, એને તારું નામ દીધું છે”. આ શ્વાસ સ્વરૂપે જ તો એ દિવ્ય ચેતના – મારો શ્યામ આપણી સાથે સતત નિરંતર રહે છે. જે દિવસે આ શ્વાસની ધમણ અટકશે તે દિવસે આપણું સૂક્ષ્મ શરીર એ દિવ્ય ચેતનામાં ભળી જશે અને સૂક્ષ્મ શરીર તેની અંતિમ ગતિ પ્રાપ્ત કરશે.

આ શ્વાસ-ઉચ્છવાસની પ્રક્રિયાનો પણ બહુ ગૂઢ અર્થ ધરાવતી ક્રિયા છે. અપાન (અંદર આવતો  શ્વાસ) આપણી ભીતર પ્રવેશે તે પહેલા આપણે પ્રાણ (બહાર જતો શ્વાસ – ઉચ્છવાસ)ને બહાર ધકેલવો પડે છે. જૂનો શ્વાસ ત્યજીને જ નવા શ્વાસનો સંચાર શરીરમાં કરી શકીએ છીએ… કંઈક મેળવવા માટે અહીં પણ પહેલા કંઈક છોડવું પડે છે, ભીતર થી હલકા થવું પડે છે  અને તોજ એક નવો શ્વાસ ભીતર પ્રવેશે છે, જે એક અનંત શક્યતાઓ થી ભરેલો હોય છે. Afterall, every breath possesses infinite possibilities…

તો ચાલો આજે આ શ્વાસની આવન-જાવન રૂપે રહેલ પરમ ચેતનાને વંદન કરતા હું મારી કલમને વિરામ આપું છે. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

  • અલ્પા શાહ

૪૪- વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

અંતરવ્યથા-

“આ કથા એવી વ્યક્તિની છે જે પોતાના જીવન સાથે જોડાયેલ નામ કોઈ એક વ્યક્તિ સુધી પહોંચાડવા માંગતી હતી.

“જેના મનની પીડા લઈને આ વાર્તા લખી છે એની સાથે એક વાર જ મુલાકાત થઈ હતી. હવે તો એનું નામ પણ યાદ નથી. એ જ્યારે મળવા આવી ત્યારે બીમારીના લીધે એનો સુંદર ચહેરો અને મનનો રંગ ફિક્કો પડી ગયો હતો. એને વિશ્વાસ હતો કે એની વ્યથા પર હું કથા લખીશ.

“એને લાગતું હતું કે એ લાંબુ નહી જીવે એટલે એવી આશાએ એની વ્યથાની કથા કપડાં સાથે મૂકી દેવા ઇચ્છતી હતી જેથી એ ચીઠ્ઠીઓ કોઈ વાંચે ત્યારે સાથે એની કથા જાણે. અત્યારે એને જે સમજી નથી શકતાં, શક્ય છે એ વાંચીને એને, એની પીડા સમજી શકે. એને બીજા કોઈની પરવા નહોતી, એનો દીકરો, જે અત્યારે નાનો છે, એ મોટો થઈને એને સાચી રીતે સમજે, એવું એ કહેતી હતી.

“એના જીવનની હાલત બહુ ગૂંચવાયેલી હતી. એને કેવી રીતે કથામાં સમાવવી એ સમસ્યા હતી. વચન કે વાયદો આપી શકાય એમ નહોતો, પણ લખવાનો પ્રયાસ કરીશ એમ આશ્વાસન આપ્યું. ઘણાં સમય સુધી એના વિશે લખી શકી નહીં.

“અંતે કથા પ્રકાશિત થઈ. એનો કોઈ અતો-પતો મારી પાસે હતો નહીં એટલે આ કથા એના સુધી કેવી રીતે પહોંચશે એની ખબર નહોતી.

“ઘણાં લાંબા સમય પછી દિલ્હીની બહારથી આભાર માનવા મારી પર ફોન આવ્યો. એ કહેતી હતી કે એની કથા “આંતઃવસ્ત્ર” એણે ઇચ્છી હતી ત્યાં મૂકી દીધી છે.

“વાત જાણે ખાના-બદોશ (ઘર-વખરી સાથે લઈને ફરનારી) જાતિની હોય એવી લાગતી હતી. ક્યાંક વાંચ્યું હતું કે આ લોકો કમરથી નીચે કોઈ વસ્ત્રો પહેરતાં નહોતાં. આ જાતિની સ્ત્રીઓ ઘાઘરી ઊતારતી નથી. મેલી ઘાઘરી બદલવી હોય તો માથેથી નવી ઘાઘરી પહેરીને અંદરથી મેલી ઘાઘરી ઊતારે. એમનું મૃત્યુ થાય ત્યારે સ્નાન કરવતાં નીચેની ઘાઘરી પહેરાવેલી રાખે. કહે છે, એમની ઘાઘરીના નેફાની ધારમાં પોતાના પ્રેમનું રહસ્ય સંતાડી રાખે છે. ત્યાં એ પોતાની પસંદગીના મર્દનું નામ કોતરાવીને રાખે, જેને ઈશ્વરની આંખ સિવાય કોઈ ન જોઈ શકે. કદાચ આ રિવાજ મર્દોમાં પણ હશે.

“પણ, આ નામ કોતરવાવાળો તો સ્ત્રી કે મર્દની કમરની ધારે નામ જોઈ શકે. કદાચ એક ક્ષણ માટે એને ઈશ્વરની આંખ નસીબ થતી હશે?

“અંતે એના જે દીકરાને ચીઠ્ઠી પહોંચડવા માંગતી હતી, એને ચીઠ્ઠી મળી ગઈ.

“હવેની વાત એ દીકરાના શબ્દોમાં……..

“કાલથી મા હોસ્પિટલમાં છે. એના શ્વાસ સાથે પ્રાણ નીચે ઊતરી રહ્યો છે. આવું પહેલાં બે વાર થયું હતું. પણ લાગે છે આ વખતે એને પોતાને જ જીવવાની ઇચ્છા નથી રહી. હોસ્પિટલમાં પાપા, મોટો ભાઈ, દાદી સૌ હતાં. છતાં એણે એની આંગળી પરની હીરાની વીંટી મને કબાટમાં મૂકવા આપી. એની પાસે કબાટની બે ચાવી હતી એમાંની એક ચાવી આપી. એક એણે પોતાની પાસે રાખી. પણ જેમ નસીબ બદલાઈ જાય છે એમ ચાવી બદલાઈ ગઈ. આપવાની ચાવી એની પાસે રહી અને પાસે રાખવાની ચાવી મને આપી. સાથે મુંબઈવાળા કાકાને દિલ્હી બોલાવવા એક પત્ર લખવાનું કહ્યું.

“ઘરમાં એક મા ની અને બીજી વધારાની ચીજો મૂકવાનાં એમ બે કબાટ હતાં. એમાં જૂના કપડાં હતાં. ઘેર પહોંચીને હું મા નું કબાટ ખોલવા મથ્યો, પણ એ ખૂલ્યું નહીં. અંતે એ ચાવીથી કોઠારનું કબાટ ખૂલ્યું. કબાટ સાવ જૂનું થઈ ગયું હતું. ખબર નહીં કેમ પણ મા એ એને ફેંક્યું નહોતું. કબાટ ખોલીને જૂનાં-ફાટેલાં કપડાંની ગડીઓ ખોલતો ગયો. જૂનાં પણ સાચી જરીનાં વણાંટવાળા કપડાં હતાં. પાપાનો ગરમ કોટ હતો. કદાચ મા એ આ કપડાંની સામે વાસણો લેવાં સાચવ્યાં હતાં. એ તો સમજી શક્યો પણ એમાં મારા તૂટેલાં રમકડાં હતાં એ જોઈને બહુ નવાઈ લાગી. ચાવીથી ચાલતી ટ્રેન એવી રીતે ઊંધી પડી હતી, જાણે ભયાનક દુર્ઘટનાના લીધે ટ્રેક પરથી ઊતરી ના ગઈ હોય? જાણે બધા મુસાફરો ઘાયલ અવસ્થામાં હતાં. પ્લાસ્ટિકની ઢીંગલીની એક આંખ કાણી થઈ ગઈ હતી. હાથીની સૂંઢ વચ્ચેથી તૂટી હતી, માટીના ઘોડાના આગલા પગ કપાઈ ગયા હતા. કેટલાક રમકડાંના હાથ, પગ, ધડ કે માથું માત્ર છૂટાંછવાયાં પડ્યાં હતાં. આ ઘાયલ રમકડાંની સાથે માટીની બનેલી શિવજીની મૂર્તિ હતી, જે બંને હાથોથી લૂલી પડી ગઈ હતી. એવું લાગ્યું કે મારા દેવ અપાહિજ ના થઈ ગયા હોય?

“જ્યાં સુધી મને યાદ હતું ત્યાં સુધી મારું બાળપણ આનંદમાં પસાર થયું હતું. મોટા ભાઈના જન્મ પછી સાત વર્ષે મારો જન્મ થયો, એટલે હું બહુ લાડ પામ્યો. પાપાની પદોન્નતિ થવા માંડી હતી. મારા માટે રમકડાંથી માંડીને કપડાંય સરસ મઝાના આવતાં..તો આ જૂના તૂટેલાં રમકડાં, ફાટેલાં કપડાં મા એ કેમ સંઘર્યા હશે? જાણે અભાનાવસ્થામાં મે મારી જાતને ગોટો વળીને એમની વચ્ચે પડેલો જોયો. મને જાણે કશી સમજણ નહોતી પડતી.

“હવે કબાટનાં ખાનામાં કાગળો જોયા. હર એક કાગળ પર કેટલીય વ્યથાઓ આલેખાયેલી હતી. હર એક તનના તાપની, હર એક તનના પસીના જેવી, જાત જાતની ગંધ એમાંથી ઊઠીને મારા શ્વાસમાં ભળી રહી હતી.

“આ બધા કાગળો મુંબઈવાળા કાકા અને મારી મા ના નામે હતા. કોઈક પત્રમાં ખુશી અને ઉદાસી મિશ્રિત ગંધ હતી. લખ્યું હતું, “વીનૂ, જે આદમ અને ઈવનું ઈશ્વરે સર્જન કર્યું છે, એ આદમ હું અને ઈવ તું હતી. વીનૂ, હું સમજુ છુ કે તું તારા પતિને અવગણી નહીં શકે. પણ મારી નજરે તારું શરીર ગંગાની જેમ પવિત્ર છે જેને શિવજીની જેમ હું જટામાં ધારણ કરી શકીશ.”

“કોઈ કાગળમાં લખ્યું હતું. “હું એવો રામ છું જે પોતાની સીતાને રાવણ પાસેથી નથી છોડાવી શકતો. કેમકે ઈશ્વરે આ જન્મમાં રામ અને રાવણને સગા ભાઈ બનાવ્યા છે.”

“ક્યાંક દિલાસાના ભાવમાં લખાયું હતું કે, “વીનૂ, તું મનમાં ગુનાનો ભાવ ન અનુભવીશ. ગુનો તો એણે કર્યો હતો જેણે મિસિસ ચોપ્રા જેવી સ્ત્રી માટે તારા જેવી પત્નીને વિસારે પાડી?”

“અચાનક એક કાગળ વાંચીને હું દંગ રહી ગયો. લખ્યું હતું કે, “તું કેટલી નસીબદાર કે આપણાં દીકરાને તું દીકરો કહી શકે છે, પણ હું ક્યારેય એને દીકરો નહીં કહી શકું. છતાં તું ઉદાસ ના થઈશ, હું અક્ષયની સૂરતમાં હંમેશા તારી પાસે રહીશ. દિવસે તારા ખોળામાં રમુ છુ, રાત્રે તારી સાથે સૂઈ જઉં છું.”

“એ ક્ષણે એવું લાગ્યું કે કદાચ આને જ પ્રલયની ક્ષણ કહેવાતી હશે. જે વ્યક્તિને આટલા વર્ષોથી પાપા કહેતો હતો, આજે એને પાપા કહેવા માટે મારી જીભ ખોટી પડતી હતી. બાકીના પત્રો વાંચવા જેટલી સૂધ હું ખોઈ બેઠો. પણ એટલું સમજાયું કે જન્મથી આજ સુધી મેં જે કપડાં પહેર્યાં હતા એ કપડાં, મારા રમકડાં મા એ એના પતિની કમાણીમાંથી ખરીદ્યાં નહોતા. અરે! સ્કૂલ કે કૉલેજની ફી પણ ઘરખર્ચમાંથી આપી નહોતી. મુંબઈ રહેતા એ આદમીના પત્રોમા મા ની ઝાટકણી,માફી, એવું ઘણું બધું હતું  માત્ર મા અને એ આદમીની અંગત કહેવાય એવી વાતો હતી. મા, પાપા, કાકા, મિસિસ ચોપ્રામાંથી કોઈ પેલી ખાના-બદોશ જાતિના નહોતાં, પણ એવું લાગે છે કે કદાચ એ જાતિની પરંપરા સમગ્ર મનુષ્ય જાતિને ક્યાંક લાગુ તો પડે જ છે. સૌનાં નીચેના અંતઃવસ્ત્રના નેફાની ધારીએ કોઈક એક નામ તો હશે, જે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે. જો ઈશ્વર જોઈ શકે તો એ એના માટે વરદાન છે, પણ કોઈ માનવીની આંખે ચઢે તો એના માટે શાપ બની જાય. એ સમયે એવું લાગ્યું કે એ શાપનો તાપ મારા જ નસીબમાં કેમ લખાયો હશે?”

અમૃતા પ્રિતમની વાર્તા “અંતરવ્યથા” પર આધારિત અનુવાદ.


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com



 
 
 
 

સ્પંદન-43




હર પળ જો બને રસલ્હાણ
જીવનમાં નહિ રહે તાણ
મહેકે રંગબેરંગી પુષ્પો
નવ વર્ષના નવસંકલ્પો
મહેકશે જીવન પળ પળ
પ્રેમનું છાંટીએ ગુલાબજળ.
આજે બતાવવાનું છે શૌર્ય
આજે નથી ખોવાનું ધૈર્ય
મનમાં રાખીએ ખુમારી
કરીએ વિજયની તૈયારી.

નવ વર્ષ …આસમાન વિખેરે અવનવા રંગો …અને તેની સાથે જ તાલ મિલાવે આપણું મન … માનસપટ પર આપણા સ્વપ્નોની રંગોળી હજી તાજગીની હવામાં શ્વાસ લેતી હોય …સંકલ્પોના પુષ્પો તેમાં સજાવ્યાં હોય અને હવાઓ જીવન સુવાસનો શુભ સંદેશ થાળમાં લઈને તૈયાર ઊભી હોય ત્યારે આ આનંદના અભિષેકની સાથે જ યાદ આવે આપણું કર્તવ્ય.

દિવાળી હોય દમદાર તો નવ વર્ષ પણ શાનદાર. પરંતુ શાન એમ જ નથી આવી શકતી. માર્ગ પરનો માઇલ સ્ટોન દર્શાવે છે કે મંઝિલ ક્યારેક દૂર હોઈ શકે પણ આપણે પ્રયત્નોથી આ પડકાર ઝીલ્યો છે. આપણો સંકલ્પ સિધ્ધિથી દૂર નથી. પ્રશ્ન થાય કે સંકલ્પથી સિદ્ધિનું અંતર કેટલું? આપણી શ્રદ્ધાના સામર્થ્ય અને અનિશ્ચિત ભવિષ્યની આ લડાઇ છે. ભવિષ્ય ભલે કદાચ ભવિષ્યવેત્તાઓનો વિષય હોય પણ સામર્થ્ય એ દરેક આશાવાન, શ્રદ્ધાવાન, પ્રયત્નશીલ માનવીનો વિષય છે. જે વ્યક્તિ દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે તેના માટે સિદ્ધિ એ સમયનો માત્ર એક માઇલ સ્ટોન છે. અશક્ય અને શક્ય વચ્ચેની ભેદરેખા સતત પ્રયત્નોથી ઓળંગી શકાય છે. કૃષ્ણ સારથી હોય તો પણ જે અર્જુન વિષાદયોગથી બેસી જાય તે મહાભારતનું યુદ્ધ ક્યારેય ન જીતી શકે. કર્મયોગની ચાવી આપનાર કૃષ્ણનું પ્રદાન જ્યારે આપણને પણ કર્મ કરવા પ્રેરે તો સિદ્ધિ દૂર નથી. ગાંડીવનો ટંકાર છે, ત્યાં વિજયનો રણકાર છે જ. જ્યાં વૃત્તિમાં પ્રવૃત્તિ છે, ત્યાં સિદ્ધિ એ આવૃત્તિ છે. એક નહિ અનેક સિદ્ધિઓ આપણી રાહ જોઈ માર્ગમાં વિજયની વરમાળા આરોપવા તૈયાર ઊભી છે. જરૂર છે માત્ર ગૌરવપથ પર કદમ માંડવાની, પ્રયત્નોના સાતત્યની. નવા વર્ષે પહેલું કદમ મંડાઈ ચૂક્યું છે. સાતત્યના સહારે મળશે જીવનપથ, એ જ બનશે વિજયપથ.

રન વે પરથી હમણાં જ ટેક-ઓફ થયેલા વિમાનના પાયલટની મનોસ્થિતિ કે કિનારો છોડી રહેલા જહાજના કેપ્ટનની મનોસ્થિતિ અને આપણી મનોસ્થિતિ વચ્ચે કદાચ બહુ અંતર રહેતું નથી. સામે અફાટ આસમાન હોય કે અમાપ સમુદ્ર, દરેક ક્ષણ એક પડકાર છે. સાથ છે માત્ર જેટ એન્જિનનો કે જે વહેતા વાયરાને નાથી શકે. લગાવવાની છે શક્તિ અને ખેડવાનું છે આસમાન. બીજી તરફ જહાજના કપ્તાનને પણ સમુદ્રના મોજાં સાથે બાથ ભીડવાની છે. આપણે પણ આવા જ પડકારની વચ્ચે આપણી જીવનનૈયાને તારવાની છે. થાય કે શું છે આપણી શક્તિ? પડકાર પહોંચી વળાશે કે કેમ?

નવું વર્ષ એટલે કઈંક નવું. કંઇક પણ નવું કરવું હોય તો નવી વિચારસરણી અને નવી દિશા જરૂરી છે. વિચાર એ કોઈ પણ આચારનો પાયો છે. પાયા વિના કોઈ ઈમારત સંભવી પણ ન શકે અને ટકી પણ ન શકે. પરંતુ વિચાર એ અડધો જ ખ્યાલ છે. વિચાર એ જ્યારે આચાર બનવા પામે ત્યારે ઉદભવ થાય છે કાર્યનો. કાર્યના તબક્કે વિચારને લઇ જવા માટે આપણે જરૂર છે સંકલ્પની. સંકલ્પ એ એવો દ્દઢ થયેલો વિચાર છે જેમાં હવે પાછા ફરવાનો કોઈ અવકાશ નથી. સંકલ્પનું આ સાચું સ્વરૂપ છે જે સિદ્ધિ સુધી પહોંચાડે છે.

સૌથી પહેલાં એ નક્કી કરવું જરૂરી છે કે સંકલ્પ દ્વારા આપણે શું પ્રાપ્ત કરવું છે. માટે સંકલ્પ વાસ્તવિક હોય અને આપણી વિઝન કેટલા સમય માટે છે તેની જાણકારી હોય તે જરૂરી છે. એમ કહેવાય કે જો ફૂલછોડ ઉગાડવા હોય તો 1વર્ષ ચાલે પણ જો વૃક્ષો ઉગાડવા હોય તો 10વર્ષનું કમિટમેન્ટ જોઈએ. સંકલ્પ દેખાદેખીથી કે દુનિયાને બતાવવા લઈએ તો સફળતા ન મળે. માટે સંકલ્પ પોતાનો અને અર્થપૂર્ણ હોય એ જરૂરી છે. સ્વની પ્રગતિ, વિકાસ કે સફળતા માટે સંકલ્પ કરવો સામાન્ય છે. સંકલ્પ એવો હોય જેમાં taker નહિ પણ giver બનીએ. આજે 66વર્ષની ઉંમરનો અશિક્ષિત હરેકલા હજાબ્બા મેંગલોરના બસ સ્ટેન્ડ પર 1977થી સંતરા વેચતો. એક વિદેશીએ એક વાર 1978માં તેને સંતરાનો ભાવ પૂછ્યો. પણ તેને અંગ્રેજી ન આવડતું હોવાથી સંવાદ શક્ય ન હતો. તેણે ત્યારે જ સંકલ્પ કર્યો કે તેના ગામમાં એક શાળા બંધાવવી. આ માટે તેણે રોજના 150 રૂપિયા બાજુમાં મૂકવાનું શરૂ કર્યું. તેનો આ સંકલ્પ બે દસકા બાદ પૂર્ણ કર્યો. આજે આ શાળામાં 175 વિદ્યાર્થીઓ ભણે છે. તેને 2021માં પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા. જ્યારે અધિકારીઓએ આ સમાચાર આપ્યા ત્યારે હજાબ્બા રેશનીંગની લાઇનમાં ઊભો હતો. પગમાં જૂતા પણ ન પહેરનાર આ નિસ્વાર્થ આદમીએ પોતાના ઇનામની રકમ પણ ગામમાં નવી શાળા અને શિક્ષણ માટે વાપરવાનો ઉમદા સંકલ્પ કર્યો. વિચારીએ, જો દરેક વ્યક્તિ પોતાનાથી શક્ય એવું કંઈ આપવાનો સંકલ્પ કરે તો આ વિશ્વ કેવું સુંદર બને! બીજા વિશે તો આપણે કોઈ નિર્ણય ન કરી શકીએ. પરંતુ, આપણો એક દીવો તો જરૂર પ્રગટાવી શકીએ.

સંકલ્પ સિદ્ધ કરવાની તાલાવેલી એવી હોય કે બધું જ ભૂલી જવાય – કામ કાજ, દુઃખ દર્દનો અહેસાસ, ક્યારેક ભૂખ અને તરસ પણ. તેમાં પરોવાઈને ઓતપ્રોત થઈ જવાય. હવે પ્રશ્ન એ થાય કે આ સંકલ્પ પાર પાડવા કેવી સ્ટ્રેટેજી જોઈએ? કોઈ પણ પડકાર સુસજ્જતા માગે છે. આ સુસજ્જપણું એટલે આપણી શક્તિઓ-તન, મન અને ધન. આ એવી ક્ષણોનો પડકાર છે જ્યાં જમાના સાથે રહીને પણ જમાના સાથે જ બાથ ભીડવાની છે. જાણે કે મહાભારતના યુદ્ધમાં અર્જુન. ઢીલાશ નહિ પાલવે. વિજયની કામના સાથે યાદ કરીએ યાદ કરીએ શ્રીકૃષ્ણને અને તેમના કર્મયોગને. આપણી શક્તિઓ એકત્ર કરી કર્મયોગના માર્ગે આગળ વધવાનું છે.

આ માટે William Arthur Ward કહે છે તેમ
Plan purposefully
Prepare prayerfully
Proceed positively
અને તકલીફ આવે તો પણ અટકવાનું નહીં, માટે
Pursue persistantly.

દિવાળી સાથે જોડાયેલો એક ઉત્સવ છે બલી પ્રતિપદા. પુરાણો અનુસાર બલી રાજાએ દાનનો સંકલ્પ કરીને વામન દેખાતા વિષ્ણુ ભગવાનને પૃથ્વી દાનમાં આપેલી. તેમના ગુરુ શુક્રાચાર્યને ખ્યાલ આવે છે કે આ વામન એ બીજું કોઈ નથી પણ ભગવાન વિષ્ણુ છે. તે પ્રયત્ન કરે છે કે વિધી પૂર્ણ ન થાય. પરંતુ આ છે રાજા બલીનો સંકલ્પ. વામન બને વિરાટ પણ જે અચલ રહે, અફર રહે – તે જ સાચો સંકલ્પ.
ચાલો, આપણે પણ આવો સંકલ્પ કરી સિદ્ધિ આત્મસાત કરીએ. નવ વર્ષે અવિચળ સંકલ્પથી સોનેરી ભવિષ્યના દ્વાર ખોલીએ.

રીટા જાની
12/11/2021

૩૬  “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”- અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. લગભગ એકાદ મહિના પછી આપ સૌને આ લેખમાળા થકી મળી રહી છું. જે લોકો નિયમિત લખતા હશે તેમને અનુભવ હશે જ કે ક્યારેક કલમથી લખતા લખતા એવા મુકામે પહોંચી જવાય અને કલમ જ અજનબી લાગવા માંડે… એવુજ કંઈક મારી સાથે સંજોગોવશાત થયું.ખેર, ફરી એક વાર કલમે મને પોતાની કરી લીધી છે એટલે એક નવી કવિતાના ભાવાનુવાદને  આજે તમારી સાથે વહેંચવો છે. 

છેલ્લા એક મહિનાના મારા વાંચન દરમિયાન મને એક એવા પ્રાચીન કવિની કવિતાઓને માણવાનો લ્હાવો મળ્યો કે જે કવિની સાથે સાથે એક આધ્યાત્મિક દ્રષ્ટા અને કંઈક અંશે ફિલસૂફ પણ હતા. આ આધ્યાત્મિક ગુરુ જેવા કવિ હતા જલાલુદ્દીન રુમી.બારમી સદીમાં થઇ ગયેલા આ આધ્યાત્મિક કવિની કવિતાઓ સામાન્યતઃ પ્રેમની અગાધતા, જીવનની વિલક્ષણતાઓ  અને એ દિવ્યશક્તિની અનંતતાની આજુબાજુ રચાયેલી હોય છે.  હાલના અફઘાનિસ્તાનમાં જન્મેલા આ સંત કવિની મોટાભાગની રચનાઓ દારી ભાષા કે જે બારમી સદીના પર્શિયાની લોકબોલી હતી તેમાં રચાયેલી છે. રુમીની કવિતાઓ વાંચતા એવો અહેસાસ થાય કે આ કવિએ જિંદગીની વિલક્ષણતાઓને પચાવી છે અને પોતાની ભીતર સાથે અનુસંધાન સાધીને  પોતાની અંદર રહેલા પરમાત્માને ખુબ નિકટથી નિહાળ્યો છે. જિંદગીના અનેકવિધ પાસાઓને ખુબ સાહજીકતાથી રજુ કરતી આ કવિતા રુમી ની પ્રખ્યાત કવિતાઓમાની એક છે જેનું શીર્ષક છે  “The Guest House” એટલેકે “અતિથિગૃહ”. આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપણે આ કવિતાના ભાવાનુવાદને જાણીશું અને માણીશું. દારી ભાષાની આ મૂળ રચનાનો અંગ્રેજી ભાવાનુવાદ તમે આ લિંક પર જોઈ શકશો. https://www.soulfularogya.com/guest-house-poem-rumi/

Maulana Jalaluddin Rumi was a 13th century Persian poet, and a Sufi mystic. He is regarded as one of the greatest spiritual masters and poetical intellects. He made use of everyday life’s circumstances to describe the spiritual world. Numerous poems written by the great poet have been translated to different languages.

“The Guest House” એટલેકે અતિથિગૃહ કવિતામાં રુમીએ માનવજીવનને એક અતિથિગૃહના રૂપક દ્વારા રજુ કરેલ છે. આ જીવનમાં દરેક પ્રભાત એક નવો પડકાર લઈને ઉગે છે. વિવિધ માનવ સહજ સંવેદનાઓનું આગમન અને અવગમન આપણા જીવનમાં સ્થળ અને સંજોગો પ્રમાણે થતુંજ રહેવાનું છે. આ સર્વે સારી-નરસી વેદના-સંવેદનાઓને આવકારી તેને સાક્ષીભાવે નીરખી તેમાંથી કંઈક શીખવાનું છે તે આ કવિતા દ્વારા કવિ રજુ કરે છે.

રુમી વિષે અને તેની કવિતાઓ વિષે મેં જેટલું વાંચ્યું છે તેના પરથી એક સ્પષ્ટ તારણ કાઢી શકાય કે રુમી પોતાના ભીતર સાથે અભિન્ન રીતે વણાઈ ગયા છે. તેમનો તેમના અંતઃકરણ સાથે એક સ્પષ્ટ સંવાદ રચાયેલો છે. “The very center of your heart is where life begins – the most beautiful place on earth” – Rumi. રુમીએ આ quoteને સમગ્ર રીતે પોતાના જીવનમાં ઘૂંટ્યો હોય તેમ લાગે છે. અને તેથીજ કદાચ કવિ માનવજીવન માં માનવ મનની સંવેદનાઓ અને અહેસાસોને સહજ રીતે આવકારી સાક્ષી ભાવે પસાર થતી જોવાની શિખામણ આપે છે. મનની સંવેદનાઓ અને મન:સ્તિથિને પારખવી, ઓળખવી અને નિર્લેપ ભાવે તેને પસાર થતી જોવી એ સ્થિતપ્રજ્ઞતાની દિશામાં પગલાં ભરવા બરાબર છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે કે…

सम: शत्रौ च मित्रे च तथा मानापमानयो: |

शीतोष्णसुखदु:खेषु सम: सङ्गविवर्जित: || 18||

तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् |

      अनिकेत: स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नर: || 19||

આજ ભાવને કવિએ થોડી અલગ રૂપે આ કવિતામાં રજુ કર્યો છે. આ સર્વે સંવેદનાઓને મન પર હાવી થવા ન દેતા તેને સાહજિકતાથી પસાર થતી નિહાળીએ તો જીવનમાં ઘણા બધા પ્રશ્નોનું આપોઆપ નિવારણ થઇ જાય એવું મારુ મંતવ્ય છે. This very poem is widely used in mindfulness circles and meditation circles around the world as the basis of their learnings. Being mindful and aware about our feelings is the best gift we can give to ourselves. રુમીએ તેમના જીવનકાળ દરમિયાન લગભગ 5000 થી વધુ કવિતાઓ અને દોહાઓની રચના કરી છે. આપણે તેમાંથી અમૂક ચૂંટેલી કવિતાઓ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત જાણીશું અને માણીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૪૩ -વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

‘ઈન્દુની દીકરી

ખીચોખીચ ભરેલી હોવાનાં લીધે માંડ ચાલી શકતી હોય એમ ગાડી પ્લેટફોર્મ પરથી ઊપડી. જીવ લેવા ગરમીથી ત્રાસેલા રામલાલે એક ઊંડો શ્વાસ લઈને બાજુમાં બેઠેલા પસીનાથી તરબતર , અર્ધ ઉઘાડા એવા ગામડીયા તરફથી નજર ફેરવીને સામેની સીટ પર બેઠેલી પત્ની તરફ કરી.

રામલાલના બે વર્ષનાં લગ્ન જીવનમાં હવે પહેલાં જેવી તાજગી રહી નહોતી. આમ પણ થોડા સમય પછી  ગૃહસ્થીમાં અન્ય જવાબદારીઓનું ભારણ વધી જતું હોય છે. માતૃત્વ-પિતૃત્વની ભાવના, સમાન વિચારો, વીતેલા દિવસોની યાદો એક બીજાને જોડેલાં રાખે બાકી તો ક્યારેક મનના ક્લેશ એ જૂની તાજગીને ભૂસી નાખે એવું બને.

રામલાલના જીવનમાં આવું કશું જ નહોતું, સંતાન પણ નહોતું. જો હોય તો એ એક બીજાને સંતાપ્યા હોવાની યાદ માત્ર હતી. બસ  એ પોતે કમાઈ લાવે અને પત્ની ઘર સંભાળે એમ એક બીજાની સગવડ સાચવી લેતાં. જો આને સુખ કહેવાય તો એ સુખી હતા.  રામલાલ બી.એ. પાસ હતા. ક્યારેક એમને થતું કે પત્નીને એ ખબર હોવી જોઈએ કે પતિને ઘરમાં બે સમયની રોટી સિવાય બીજી અપેક્ષાઓ હોય છે.

વિચારોમાં ગરકાવ રામલાલની પત્ની માટેની ચીઢ ક્રોધમાં પલટાવા માંડી. એક તીખી નજર પત્ની પર નાખી.  નથી એનો રંગ ગોરો, નથી એ જરાય સુંદર દેખાતી, આવી ગમાર એને ગમી ક્યાંથી ગઈ?  જોકે પહેલી વાર જોઈ ત્યારે એટલી ખરાબ નહોતી લાગી. અને એને જાણ્યાં વગર જ માની લીધું હતું કે જીવનનો બધો ભાર એને સોંપી દઈને એ નિશ્ચિંત થઈ શકશે.

રામલાલે ઈન્દુ તરફ ફરી એક તીખી દૃષ્ટિ નાખી અને તરત ફેરવી લીધી. એમાં એવો ભાવ હતો જાણે કોઈ ગોવાળ મંડીમાંથી હટ્ટી-કટ્ટી ગાય ખરીદીને લઈ આવ્યો હોય અને પછી આવીને ખબર પડે કે એ દૂધ આપી જ નથી શકતી. સારું થયું કે એ દૃષ્ટિ પર ઈન્દુની નજર નહોતી.

એટલામાં ગાડીની ગતિ ધીમી પડી.  દર એક સ્ટેશને ધીમી પડતી આ લોકલ ગાડીની સાથે રામલાલની જીભે એક બિભત્સ ગાળ આવીને અટકી જતી.

એની પત્નીએ બહાર નજર કરીને પૂછ્યું,” સ્ટેશન આવ્યું?”

રામલાલને એના પ્રશ્ન પર ખૂબ ચીઢ ચઢી. સાથે એમ પણ થયું કે નાહક પત્ની પર રોષ કરે છે. આનાથી વધારે સમજણવાળો સવાલ એ કરી એટલે એનામાં અક્કલ જ ક્યાં હતી.

વળી ગાર્ડની સીટી વાગી, લીલી ઝંડી ફરકી અને ગાડી ઊપડી.

ગાડીની સાથે રામલાલના વિચારોએ ગતિ પકડી, “ મેં પણ એની સાથે કયો સારો વ્યહવાર કર્યો છે? ભણી-ગણીને જો મારામાં આટલી સમજ નથી આવી તો એની પાસે શું ખાક હોય?  સમજવાનું કામ સમજદારે કરવાનું છે. મેં વળી કયા દિવસે એની સાથે  પ્રેમથી વાત કરી છે, પણ મનમાં એવો ભાવ જાગતો જ ન હોય તો ઢોંગ કરવાનો મતલબ શું?

વળી સ્ટેશન આવ્યું અને ગાડી અટકી. ઈન્દુએ બહાર નજર કરતા કહ્યું,” તરસ લાગી છે.”

રામલાલને એ અવાજ સાંભળવો પણ ન ગમ્યો. આવી રીતે કહેવાય? જરા આગ્રહપૂર્વક એવું કહેવું જોઈએ  કે, સ્વામી મને તરસ લાગી છે. મને પાણી પીવડાવશો? બસ, બોલી લીધું. જાણે કોઈ પણ પાણી લાવીને પીવડાવશે તો ય એ પી લેશે, નહીંતર એમ પાણી પીધા વગર ચલાવી લેશે. છે જરા જેટલી પણ ઉત્સુકતા?

મન મારીને રામલાલે પાણીનો લોટો લીધો અને બહાર  પ્લેટફોર્મ પર નજર કરી. થોડે દૂર લોકો ધક્કામુક્કી કરી રહ્યા હતા. રામલાલે ઊતરીને એ તરફ ચાલવા માંડ્યું.

ગામડામાં રહીને રામલાલ માંડ થોડું કમાઈ લેતો એટલે વધુ કમાણીના આશયથી  શહેરમાં સ્થાયી થવા માંગતો હતો. શહેરમાં એક આદમીને રહેવાનું ભારે ન પડે. ખર્ચોય ઓછો થાય. પણ ખર્ચાનું વિચાર્યા વગર પત્નીને સાથે લીધી હતી.

વિચારોમાં ડૂબેલો રામલાલ પાણીના નળ સુધી પહોંચ્યો. એટલામાં ગાર્ડે સીટી મારી, લીલી ઝંડી ફરકી અને ગાડી ઊપડી. વિચારોમાં મગ્ન રામલાલને થોડી વાર સુધી તો ખબર ના પડી. રામલાલ પાછો ન આવ્યો અને ગાડી ઊપડી એટલે ઈન્દુને ચિંતા થઈ. આકળવિકળ થઈને કંપાર્ટમેન્ટના બારણાં સુધી દોડી. દૂરથી રામલાલને પાણીનો લોટો લઈને દોડતો જોયો. એ પોતાના ડબ્બા સુધી તો ન પહોંચી શક્યો, પણ પાછળના ડબ્બાનું હેન્ડલ પકડીને ગાડીની સાથે દોડતા એને જોયો. ગાડીની ગતિના લીધે એ ડબ્બામાં ચઢી પણ નહોતો શકતો.  

હવે? એ પાછળ રહી તો નહીં જાય ને?  એ ડરી ગઈ.  ક્ષણમાં તો કેટલાય વિચારો ગાડીની ગતિથી મનમાં આવીને પસાર થઈ ગયા. પરદેશમાં એ એકલી છે. પાસે પૈસા નથી. અરે! પૈસા તો ઠીક અત્યારે હાથમાં ટિકિટ પણ નથી. ટિકિટ ચેકર ટિકિટ માંગશે એ શું કહેશે? 

એ જેટલું બહાર વળી વળીને જોતી એટલી વાર એને રામલાલ ગાડીનું હેન્ડલ પકડીને દોડતો દેખાતો. એના પગની ગતિ પરથી સમજી શકતી હતી કે એને ખૂબ ઝડપથી દોડવું પડી રહ્યું છે. પોતાની જાત પર ગુસ્સો આવ્યો. એવી તે કઈ પાણી પીધા વગર મરી જતી હતી કે રામલાલને દોડાવ્યો?

એટલામાં રામલાલ પાછળના એ ડબ્બાના બારણાંની ઘણી નજીક આવીને ચઢવા મથ્યો. ઈન્દુને થયું કે હવે એ ચઢી ગયો હોય તો સારું. જોવા નજર કરી. એ જ ક્ષણે અંધકારમાં જાણે કોઈ ડૂબ્યું. એક લાલ છોળ ઊઠી અને ગાડી ભયંકર ચિચિયારી કરતી ઊભી રહી ગઈ. ગાડી ઊભી રહેતાની સાથે કારણ સમજ્યા વગર દોડીને રામલાલ પહેલાં બેઠા હતાં એ ડબ્બામાં ઘૂસ્યો. ઈન્દુ ક્યાંય નજર ન આવી.

રામલાલને જોવા ઝૂકેલી ઈન્દુનો હાથ છૂટી જતાં એ ગાડી અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. એના સાથળ અને ખભા શરીરથી છૂટા પડી ગયા હતાં. ચહેરા પર બીજી કોઈ ઈજા નહોતી, પણ એક આંખ સૂજીને બંધ થઈ ગઈ હતી. લોહીથી લથપથે વાળ જટા જેવા બની ગયાં હતાં.

જરા વારે એકઠાં થયેલા ટોળામાં રામલાલ પણ ઘૂસ્યો. થોડી વારે ઈન્દુની એક આંખમાં કંપન થયું. રામલાલ તરફ નજર કરીને અનુમતિ માંગતી હોય એમ એ બોલી,” હું તો ચાલી.” અને સદાના માટે આંખ મીચી દીધી. રામલાલના હાથમાંથી પાણીનો લોટો સરી પડ્યો.

ડૉક્ટરે આવીને ઈન્દુના માથે એની સાડીનો પાલવ ખેંચીને એનો ચહેરો ઢાંકી દીધો. થોડી વાર ઊભી રહીને ગાડી ચાલી ગઈ.

રામલાલને થયું,ગાડી તો શું દુનિયા પણ ક્યાં કોઈના માટે અટકે છે?

******

એ વાતને વીસ વર્ષના વહણાં વહી ગયાં છે. આજે કલકત્તાથી રૂપિયા કમાઈને રામલાલ સેકંડ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરી રહ્યો છે. આજે એને ગાડી પર કોઈ ખીજ નથી, એ વતન પાછો ફરી રહ્યો છે. થોડો થાકેલો છે.

એક નાનકડાં સ્ટેશન પર ગાડી અટકી. રામલાલ હડબડાઈને બેઠો થઈ ગયો. પ્લેટફોર્મ પર ઊતર્યો. કુલીને ના જોતા, જાતે સામાન ઉતારીને એક બાંકડા પર ગોઠવાયો. નાના સ્ટેશન પર લાઇનમેન અને કુલી બધું કામ એક જ વ્યક્તિ કરતી હતી. દૂરથી એણે રામલાલને જોયો. પાસે આવી ઊભો રહ્યો. એણે આવો સરસ સૂટ-બૂટ પહેરેલી વ્યક્તિ પહેલાં ક્યારેય જોઈ નહોતી.

“બાબુજી, કેમ આવવાનું થયું? ક્યાં જવાના? રોકાવાના છો? “

“ના, કાલે સવારની ગાડીમાં જતો રહીશ.”

“બહાર ક્યાંક રોકાવું પડશે. અહીં તો વેઇટિંગ રૂમ નથી.”

“અહીં બેંચ પર જ બેસીશ.”

લાઇનમેન ઉલઝનમાં પડ્યો. આ આખી રાત અહીં ઠંડીમાં બેસીને ઠરી જશે.

“તમે અહીંયા કેટલાં વર્ષથી છો?” રામલાલે વાત કરવા સવાલ કર્યો.

“અરે ભાઈ! શું કહું, આખી ઉંમર અહીં જ પસાર થઈ છે.”

“તમે હતા અને કોઈ દુર્ઘટના બની છે?”

જરા વિચારીને એ વૃદ્ધ આદમીએ કહ્યું, “હા સાહેબ, થોડે દૂર ત્યાં એક ઓરત ગાડીની નીચે કપાઈ મરી હતી.”

“હમ્મ..”

હવે એ વૃદ્ધ લાઇનમેને વર્ણન શરૂ કર્યું. રામલાલને થયું કે એણે આ નહોતું પૂછવું જોઈતું. એને વાત કરતાં અટકાવવા એણે પૈસા આપીને વિદાય કર્યો. લાઇનમેને ત્યાંનો એક માત્ર લેમ્પ હાથમાં ઊઠાવીને ચાલતી પકડી. વિચારોના ચક્રવાતમાં અટવાતા રામલાલે પ્લેટફોર્મ પર ટહેલવા માંડ્યુ. એને થયું,આદમી ક્યારેક વીસ વર્ષો વીસ મિનિટ કે વીસ સેકંડમાં જીવી લે. અને ક્યારેક એ વીસ સેકંડ કે વીસ મિનિટ વીસ વર્ષ જેવા લાગે. અંધકારમાં એકલતા વધુ સાલવા માંડી.

ચાલતા ચાલતા પ્લેટફોર્મ પરથી રેલ્વે ટ્રેક પર ઊતરી આવ્યો.  આગળ જતા રેલ્વે ટ્રેક પર જાણે લાકડાંની સ્લીપરો પર લોહીના ધબ્બા દેખાતા હતાં.

“આવું તો ના હોય, મનમાં આવેલી શંકાને ધક્કો મારતાં બબડ્યો. આ વીસ વર્ષમાં તો કેટલીય વાર સ્લીપર બદલાઈ હશે. પણ મન કહેતું હતું કે સ્થળ તો આ જ હતું. આંખો બંધ કરીને ફરી એ વીસ વર્ષ પહેલાંનું દૃશ્ય જોઈ રહ્યો. એણે જાણે પોતાની જાતને ઈન્દુના હવાલે કરી દીધી. એટલમાં ક્યાંકથી એને સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. એ અવાજ તરફ એણે ચાલવા માંડ્યું, જો કે  ઈન્દુ તો ક્યારેય રડી નહોતી. તો આ અવાજ કોનો? આ અવાજમાં આટલી કશિશ કેમ અનુભવાય છે?  કોણ છે આ?

કોઈ જવાબ ન મળ્યો. પણ રેલ્વે ટ્રેક પર ઘેરા રંગના આવરણમાં લપેટાયેલી એક સ્ત્રી જાણે દેખાઈ.  રામલાલ એની પાછળ દોરવાયો.  હજુ આગળ, વધુ આગળ એ ચાલતી રહી. રામલાલ એની પાછળ દોરવાતો રહ્યો, ત્યાં પગમાં જાણે કશો મુલાયમ સ્પર્શ થયો. એણે વાંકા વળીને સ્પર્શી જોયું. એક રેશમી  પોટલીમાં  લપેટાયેલું નાનું બાળક હતું. રામલાલે એને ઊઠાવી લીધું. ઠંડીની રક્ષણ આપવા ઓવરકોટ નીચે ઢાંકી દીધું. સવારની પાંચ વાગ્યાની ગાડીમાં એ પેલી પોટલી સમેત ગોઠવાયો.

પોતાના ગામ પહોંચીને રામલાલે પાકું મકાન બાંધી દીધું છે. એમાં પેલી નાનકડી શિશુ-કન્યા સાથે રહે છે. એનું નામ ઈન્દુકલા રાખ્યું છે. એક આયા છે છે જે ઈન્દુકલાનું ધ્યાન રાખે છે.

ગામના લોકોને રામલાલ ગાંડો લાગે છે. જ્યાં ઈન્દુ જાય છે ત્યાં આંગળી ચીંધીને કહે છે, “ પેલી જાય, પાગલ બુઢ્ઢાની દીકરી.”

કોઈ વ્યંગમાં પૂછે છે,” દીકરી કે પાપનું પોટલું?” પણ રામલાલને કોઈની પરવા નથી. એના હૃદયમાં વિશ્વાસ છે કે, એની ક્ષમાશીલ ઈન્દુએ જ પોતાના સ્નેહપૂર્ણ પ્રતીક સમી દીકરીની ભેટ આપી છે.

સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સયાયન-અજ્ઞેયની વાર્તા ‘ઈન્દુ કી બેટી’  ને આધારિત ભાવાનુવાદ

રાજુલ કૌશિક


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

સ્પંદન-42




આજે આવી ગયું નવ વર્ષ
ઉર ઉમંગની હેલી અને હર્ષ
જીવનના સોણલાં સજાવીએ
જિંદગીની હર પળ ઉજાળીએ
દિવાળીના હર દીપકની આશા
સોનેરી પ્રભાતની અભિલાષા
જીવન છે રંગબેરંગી માળા
અનુભવના અમૃતની શાળા
તેમાં ઉત્તીર્ણ થઈને બતાવીએ
નવલા નવ વર્ષને વધાવીએ.

નવ વર્ષનું પ્રભાત ઉગે છે. દરેક પ્રભાત નિરાશાઓની ભરમારને ખંખેરી ઉગતી આશાનો પાવન સંદેશ છે. દિપાવલીની રાત્રિએ મનમાં સમાયેલાં દૃશ્યો ગમે તેટલાં સુંદર કે ભવ્ય હોય પણ આજે નવ વર્ષે તે ગઈ કાલ બનીને ઇતિહાસના ગર્ભની ટાઇમ કેપ્સ્યુલમાં દટાઈ ગયાં છે. દિપાવલીના ઝઝૂમી રહેલા કોઈ દીપકે શુભ પ્રભાતનો રાહ દેખાડતાં આપણને રાહ ચીંધ્યો છે. ઉપવનની કળીઓ પણ વીતી ચૂકેલી રાત્રિનો સંદેશ પામીને ઝાકળની ભીની ભીની કુમાશ માણતી માણતી આજે પુષ્પોમાં પરિવર્તન પામી ચૂકી છે. જીવનના ઉપવનમાં પ્રત્યેક પળે ચાલી રહેલા આપણા માટે નવ વર્ષનો શું છે સંદેશ? એક તરફ છે પુષ્પ પરિમલ સાથેની સુંદર સવાર, દિવાળીની ભવ્યતા વચ્ચે પણ ઝઝૂમી રહેલા દીવાઓએ અનુભવેલો પડકાર, આશાઓ અને અભિલાષાઓ વચ્ચે આસોપાલવના તોરણે ઝૂલી રહેલું ભવિષ્ય, અસીમ પળોનો પડકાર ને બીજી તરફ પ્રશ્નોની ભરમાર. કેવી હશે આવતી કાલ? સમયનું લોલક ક્યાં લઇ જશે સંસારસાગરમાં આપણી જીવનનૈયાને? કોઈની નૈયા સ્થિર તો કોઈની સાગરની લહેરોને માણી રહેલી તો કોઈની દરિયાના મોજાંઓની થપાટોને ઝીલતી આગળ વધી રહી છે. માર્ગ કોણ બતાવે? આપણે જ આપણી નૈયાના નાવિક. શું હોય છે નાવિકનો માર્ગ? અફાટ સમુદ્ર અને અસીમ જળરાશિથી ઘેરાયેલો નાવિક, તેનો માર્ગ છે હૈયાની હામ અને હાથમાં હલેસાંઓની શક્તિની શ્રધ્ધા અને આત્મવિશ્વાસ.

દિવાળી અને બેસતું વર્ષ એટલે વિક્રમ સંવતની યાદીમાં એક નવા વર્ષની શરૂઆત. નવું વર્ષ એટલે નવા હિસાબની શરૂઆત અને વીતેલા વર્ષના લેખાજોખા. સાથેજ ભવિષ્યની રૂપરેખા આંકવાનો સમય. ક્યારેક વીતેલા વર્ષ પર નજર જાય તો વસમી વેદનાઓના ચિત્કાર વચ્ચે દેખાય આહ, આહટ અને વેદનાની કોરોનામય વસમી પળના વમળ વચ્ચે કોઈના થીજેલાં આંસુ. તો ક્યાંક એમ્બ્યુલન્સની સાઈરન વચ્ચે છુપાયેલી સીમટી ગયેલી સાઇલેન્સ અને મર્યાદા સભર મૌન અને વેક્સિનની વિમાસણ વચ્ચે ફસાયેલી માનવજાત અને તેનું સાક્ષી આ આકાશ. ચાલો, આપણે પણ એક નજર કરીએ આપણી આ વર્ષની આશા, અપેક્ષા અને ઉપલબ્ધિઓ પર.

ઉપલબ્ધિની વાત આવતા સાથે જ આપણું મન આકલન કરવા લાગશે કે આપણી સંપત્તિમાં કેટલો વધારો થયો, નોકરીમાં પ્રમોશન મળ્યું, કેટલાં સુખ સગવડોના સાધનો વસાવ્યા વગેરે વગેરે. જરા થોભો, તમારી ગાડી ખોટા પાટા પર જઈ રહી છે. બહિરંગ ઉપલબ્ધિઓનું આકલન કરવાનું ખૂબ સરળ છે. પણ આ પ્રસંગે સરવૈયું કાઢવાનું છે અંતરંગ ઉપલબ્ધિઓનું. આ મહામૂલ્યવાન માનવજીવનને સફળ બનાવવું હોય તો હંમેશા આપણી અંતરંગ બાજુને ઉજાળવા તરફ જાગૃત રહીએ. આ બાબતોને વિગતવાર સમજીએ. આપણે જાતને પ્રશ્ન કરીએ કે આ વર્ષમાં આપણો અહંકાર વધ્યો કે ઘટયો, આપણે અન્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી? આપણે અન્ય પ્રત્યે કેવી કરુણામય દૃષ્ટિ રાખી….

* અહંકાર
આ વર્ષમાં આપણે આપણા અહંકાર પર કેટલો કાબૂ મેળવ્યો? અહંકાર વ્યક્તિને એ હદે ગ્રસી લે છે જેની ન તો કોઈ સીમા છે ન કોઈ સંતોષ. જાણે અજાણે તેની લાલસા વધતી જ રહે છે. અહંકાર ફક્ત સંપત્તિ કે સત્તાનો જ હોય એવું નથી. સંપત્તિ કે ધનદોલત મળતાં જ ગર્વનો પર ન રહે. જેમ જેમ ધન કે નફો વધે એમ અહંકારમાં પણ વૃદ્ધિ થાય. અહંકારી વ્યક્તિ સહુને પોતાની ગૌરવ ગાથા સંભળાવતો રહે છે પરંતુ અન્યની અભિવ્યક્તિ સાંભળી કે સમજી શકતો નથી.

સાચું જ્ઞાન હોય તેનો અહંકાર ન હોય. પણ મન જાગૃત ન હોય તો જ્ઞાનનો પણ અહંકાર આવે. જ્ઞાનની વૃદ્ધિ સાથે ગર્વની પણ વૃદ્ધિ થતી રહે. સત્તાનો અહંકાર તો નશાકારક હોય છે. પોતાની સત્તાનું પ્રદર્શન કરવાનો મોહ રોકી શકાતો નથી. અહંકારનો વ્યાપ સત્તાની વૃદ્ધિ સાથે વધતો રહે છે.

કેટલાક લોકોને સિદ્ધિનો પણ અહંકાર હોય છે. જ્યાં અને ત્યાં પોતાની સિદ્ધિના ગુણગાન ગાયા કરે છે. તેઓ એવા જ મિત્રો પસંદ કરે છે જે તેની પ્રશંસા કરે અને તેનો અહંકાર પોષે. એટલું જ નહિ પણ પૈસા ખર્ચીને સિદ્ધિ ખરીદનાર પણ જોવા મળે. જેમકે ડોનેશન આપી એવોર્ડ મેળવવો, પુસ્તક પબ્લિશ કરવું, સભામાં મુખ્ય મહેમાન બનવું વગેરે આજકાલ સામાન્ય બાબત છે.

એક વર્ગ એવો પણ છે કે જે સેવા, દાન અને ત્યાગ જેવા ઉમદા કાર્યનો પણ અહંકાર કરે. દાન સાથે તેની તેની જાહેરાત કરવી, તકતી લગાડવી એ ખૂબ સામાન્ય વાત છે. તો જે લોકો ત્યાગ કરે એ પણ ઘણી વાર પોતાના ત્યાગ વિશે ઢોલ નગારાં વગાડતાં જોવા મળે છે, જેનાથી તેમનો અહંકાર સ્પષ્ટ નજરે પડે છે.

આમ વાત સંપત્તિ, જ્ઞાન, સત્તા, દાન, ત્યાગ કે સિદ્ધિની હોય, પરિણામે ગર્વ અને અહંકારની વૃદ્ધિ થાય છે અને અંતે તે ક્યારે એનો ગુલામ બની જાય તેની ખબર પણ પડતી નથી. આપણે એનાથી બચીએ.

*કૃતજ્ઞતા
અનેક નાના મોટા પ્રસંગો એવાં બને છે, જેમાં આપણે બીજાની મદદ કે સેવા મેળવીએ છીએ પણ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં નથી. જેમ કે કોઈએ આપણને રસ્તો બતાવ્યો, રેસ્ટોરન્ટમાં, ઓફિસમાં સારી સર્વિસ આપી, કોઈ ટોપિક સમજાતો ન હતો તેની સરળતાથી સમાજ આપી, લિફ્ટ આપી, કોઈએ કામમાં મદદ કરી વગેરે વગેરે. જાતને પ્રશ્ન કરીએ કે શું આવા પ્રસંગોએ હંમેશા કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ?

*કરુણા
દરેક વ્યક્તિ પાસે એવી શક્તિ કે ક્ષમતા જરૂર હોય છે જે સામેની વ્યક્તિની તકલીફ સમજી શકે અને યથાશક્તિ મદદ કરી શકે. એમાં પણ ખાસ કરીને કોરોના કાળ બાદ આપણે અનુભવ્યું કે કરુણા બતાવી મદદ અર્થે બહુ દૂર જવાની જરૂર નથી. આપણી દૃષ્ટિમાં અન્ય પ્રત્યે કરુણા હશે તો આપણી આસપાસ જ અનેક વ્યકિત એવી હશે જેને મદદની જરૂર હોય. છતાં સંજોગોને આધીન મદદ માગતાં સંકોચ થતો હોય. ત્યારે આવી વ્યક્તિઓને ઉપકારનો ભાર ન લાગે એ રીતે મદદ કરીએ છીએ?

ઘણી વાર આપણે સમસ્યાના મૂળ સુધી જતાં જ નથી અને થાગડ થીગડ કરીને ઉકેલના બદલે નવા પ્રશ્નોને જન્મ આપીને છીએ. જેમ ટાયરમાં પંચર કરીએ એમ જીવનના પ્રશ્નોનો ઉકેલ ન મળે. એથી ગૂંચ ઉકેલાય નહીં પણ કોકડું વધુ ગૂંચવાય. પરિણામે જીવનની વ્યથા અને વ્યગ્રતા વધે. કારણ કે બહારથી દેખાડો કરવાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે અંદરથી પરિવર્તન આવે તો જીવન પણ બદલાઈ શકે છે. જ્યારે સત્ય અને શ્રદ્ધાથી આપણી સીમાને લાંઘીએ તો આપણી ક્ષમતા કરતાં પણ વધુ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ દીપાવલીએ આપણે આંતરખોજ કરીએ અને એક વધુ ઉમદા માનવી બનીએ. અહંકારનો ત્યાગ કરીએ અને નવા વર્ષે કૃતજ્ઞતા અને કરુણાના નવા દીપ પ્રગટાવીએ.

દરેક નવ વર્ષ નફા નુકસાનનો હિસાબ કરવા પ્રેરે. પરંતુ જીવનના યુદ્ધમાં આપણા સંગાથે કોણ? આપણા આપ્તજનો અને મિત્રો સહુની શુભેચ્છાઓ અને ઈશ્વરના આશિષ તો ખરા જ. પરંતુ આપણી જીવન નૈયાના હલેસાં એટલે આપણા તન અને મન. તનને સશક્ત રાખવાની જવાબદારી સમજીને નિયમ અને સંયમને જીવનમાં વણી લઈએ. મનને નિરર્થક આચાર, વિચાર, પ્રચાર અને સંચારના માધ્યમોથી દૂર એક પ્રફુલ્લિત મન તરીકે વિકસાવીને શુભ સંકલ્પો સાથે નવ વર્ષને વધાવીએ. મંગલ ક્ષણો સાથે ઊગ્યો છે નવો સોનેરી સૂરજ. સુખ અને શાંતિની અપેક્ષા સાથે નવી આશા, અરમાનો અને સંકલ્પોથી શોભી રહેલી આ ઘડીઓ છે રળિયામણી. તેને જાણી લઈએ, માણી લઈએ. ચાલો, આપણે પણ શહેનાઈના સૂરો સાથે નવ વર્ષનું મંગલાચરણ કરીએ. નૂતન વર્ષાભિનંદન.

રીટા જાની
05/11/2021