ઓશો દર્શન -46. રીટા જાની


હિન્દી ભાષાના યશસ્વી કવિ ડો. કિશોર કાબરા કહે છે કે ઓશોમાં કલા અને કવિતા બંને એકસાથે છે. એટલે અસ્મિતાનો વિસ્તાર અને પછી એમાંથી મુક્તિ એનું જ નામ છે રજનીશ દર્શન. ઓશો સમસ્તના સ્વીકારને સંન્યાસ કહે છે. એમનો સન્યાસ ત્યાગ નથી, પણ ઉપલબ્ધિ છે. એમના સન્યાસીને એમને ત્રણ સૂત્રો આપ્યા છે. “પરમાત્મા છે મંઝિલ, સંતોષ છે ચાવી અને અસુરક્ષા છે આધાર, ધ્યાન છે સ્વેચ્છયા સ્વીકૃત મૃત્યુ અને જો એ પૂરા જીવનમાં ફેલાઈ જાય તો માનવું કે સંન્યાસ ફલિત થયો.”

આ શ્રેણી અંતર્ગત આજે આપણે ડો.અમૃત રાણિંગા અનુવાદિત પુસ્તક ‘અગમ્ય જીવન યાત્રા’ ઉપર આધારિત ઓશોદર્શન જોઈશું. ઓશો કહે છે કે મૃત્યુની ઓળખાણથી જ સંન્યાસનો જન્મ થયો ધ્યાનનો જન્મ થયો આ સત્યની સ્વીકૃતિ સાથે જ તમે નવા બનવા લાગશે નાખશો. દેહ મંદિર છે પણ સંસારી લોકો મંદિરની દીવાલમાં જ ખોવાઈ ગયા છે. મંદિરમાં છુપાયેલી મૂર્તિ સુધી તેઓ પહોંચી શકતા નથી. મૃત્યુ નિશ્ચિત છે છતાં જાગૃતિ નથી. લોકો ક્ષુલ્લક વાતો પર લડી રહ્યા છે. લોકો ધન, પ્રતિષ્ઠા, પદ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે.

ઓશો કહે છે કે ત્યાગી હોય કે ભોગી -બંનેની નજર શરીર પર છે. શરીર સાથે મિત્રતા પણ ન કરો કે શત્રુતા પણ ન કરો. દેહનો સ્વીકાર કરો અને તેને જ પગથિયું બનાવી તેની ભીતર છુપાયેલા શાશ્વતની શોધ કરો. જીવન એક અવસર છે. તેને તમે વ્યર્થમાં ડુબાડી દો કે પછી સાર્થકની તપાસમાં લગાવી દો -તે તમારા પર નિર્ભર છે. જે સમ્યકરૂપે, ધ્યાનપૂર્વક, જળકમળવત જીવે છે તેમને મૃત્યુમાંથી પણ અમૃતનો સ્વાદ મળે છે. જે વ્યક્તિ બરાબર જીવવાનું જાણી લે છે, તે બરાબર મરવાનું પણ જાણી લે છે. તેમના માટે મૃત્યુ જીવનની સૌથી ઊંચી અનુભૂતિ છે. દેવસ્થાનોમાં વાગતી ઘંટડીઓ તમારા જીવનનો થાક કે ચિંતા દૂર નહીં કરી શકે. એ ઘંટડીઓ તમારા અંતસ્તલમાં વાગવી જોઈએ.

મૃત્યુને કોઈ હરાવી શક્યું નથી કે મૃત્યુને જીતવાની કોઈ સંભાવના પણ નથી. મૃત્યુ તો અંધકાર જેવું છે. એ માટે એક જ કામ થઈ શકે. જ્યોતિ પ્રગટાવો અને અંધારું નહીં રહે. ધ્યાનની જ્યોતિ જલતાં જ મૃત્યુને જાણી શકાશે. એકવાર મૃત્યુને જીવનનું અનિવાર્ય અંગ માનીને સ્વીકાર કરો તો જિંદગી તત્ક્ષણ બદલાવી શરૂ થઈ જશે. પછી તમે ક્રોધ નહીં કરો. સફળતા મળે કે વિફળતા, સુખ આવે કે દુઃખ -બધું બરાબર લાગશે. તમારી ભીતર સમ્યકત્વ પ્રવેશી જશે, સાક્ષીભાવ આવી જશે. જેનાથી સદાકાળ માટે છૂટા પાડવાનું છે, ત્યાં દૂર્ભાવ શા માટે પેદા કરીએ? થોડા ફૂલ ઉગાડીએ, ઉત્સવ ઉજવીએ, દીવા પ્રગટાવીએ. આ બે ઘડીના જીવનને સુગંધિત પ્રાર્થનામય, પૂજન બનાવી કૃતજ્ઞતા, ધન્યવાદ, આભાર વ્યક્ત કરીએ.

આ સંસાર ઇન્દ્રધનુષ્ય જેવો છે: દેખાય ખૂબ સુંદર, પણ મુઠ્ઠીમાં પકડો તો હાથમાં કંઈ જ ન આવે. મનુષ્ય પણ એ જ રીતે પદ, પ્રતિષ્ઠા અને ધનના ઇન્દ્રધનુષને પકડવા દોડતો રહે છે. લોભ અને ભય એક જ સિક્કાની બે બાજુ છે અને હંમેશા સાથે આવે છે. મોટાભાગે લોકો નર્કના ભયથી કે સ્વર્ગના લોભથી ધર્મના શરણે જતાં જોવા મળે છે. મોક્ષનો અર્થ છે ભય અને લોભથી મુક્તિ. જેના જીવનમાં ભય અને લોભ નથી તેની તમામ જીવન ઉર્જા પ્રેમ બની જાય છે અને પ્રેમની પરાકાષ્ઠા છે પ્રાર્થના.

અધ્યાત્મનું ગણિત અર્થશાસ્ત્રના ગણિતથી એકદમ વિપરીત છે. ઉપનિષદ પણ કહે છે: ‘ તેન ત્યક્તેન ભુંજીથા: ‘. ભીતરની સંપદા વહેંચવાથી જ વધે છે. વિચારોથી મુક્ત થઈ જવાથી સંતોષની વર્ષા થાય છે, મૃત્યુની પાર અમૃતનું આકાશ દેખાય છે.

ઓશો બીજના ઉદાહરણ દ્વારા સુંદર સમજ આપે છે. બીજ ખાલી છે. બીજમાંથી વૃક્ષ બને છે, વૃક્ષ ઉપર ફૂલ ખીલે છે, તેમાં ફળ પણ ખીલે છે. એ સંતોષ બીજ જો બીજરૂપે જ રહે તો એને ના મળે. માણસ પણ પરમાત્માનું બીજ છે. માણસ જ્યારે ફૂલેફાલે, ખીલે ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. માટે જ આપણે બુદ્ધ, મહાવીર, કૃષ્ણને ‘ભગવાન’ કહીએ છીએ. એનો અર્થ એ કે તેમના દ્વારા પરમાત્માનું તત્વ ખીલ્યું છે, દિવ્યતાની સુગંધ પથરાઇ છે.

વિચાર ઓછા કરો, અનુભવ વધારે કરો. જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ જીવનનું રહસ્ય ઉદ્ઘાટિત થતું જોવા મળશે. જીવન એ બે પરસ્પર વિરોધી ધ્રુવ છે અને તેના કારણે જીવન વધુ સમૃદ્ધ બને છે. ઓશો કહે છે કે જો તમે પ્રેમ કરશો તો બધી જ લાગણીઓ પછી તે નકારાત્મક હોય કે હકારાત્મક – પુનર્જિવિત થશે. આપણે પડછાયાને દૂર ન કરી શકીએ. તે જ રીતે નકારાત્મક લાગણીઓ હકારાત્મક લાગણીઓની સાથે જ રહેવાની છે. જો ક્રોધની જરૂર પડે પ્રેમ ક્રોધ કરવા તૈયાર છે. કોઈપણ બાળકને કદી માતા પિતા પ્રત્યે માઠું નહિ લાગે ભલે તેઓ પ્રેમથી ક્રોધિત થયા હોય. કારણ કે બાળક તમારા પ્રેમને સમજે છે. પણ જો મા-બાપ કે પતિ પ્રેમ વિના ક્રોધ કરે તો તે અહમ છે, તેને માફ ન કરી શકાય.

પક્ષીઓ ગાય છે, પુષ્પો ખીલે છે, સરિતા વહે છે, ઘટનાઓ સતત ઘટતી રહે છે, સમગ્રતયા રંગીન ઉત્સવો ઉજવાતા રહે છે અને આપણે એટલા બંધ છીએ કે એક કિરણ પણ તેમાં પ્રવેશી શકતું નથી. આ કેદને છોડીને બહાર આવીએ તો વાસ્તવિક જીવનનો અનુભવ મળશે. માટે ભવિષ્ય માટે જીવન મોકુફ રાખવું જરૂરી નથી. જીવન અહીં જ છે. જ્યારે ધ્યાનની અવસ્થામાં વિશ્રામ કરીએ તો જીવન કેટલું સુંદર અને મધુર છે તેનો કલ્પનાતીત અનુભવ થશે, સત્ – ચિત્ – આનંદનો અનુભવ થશે. સામાન્ય રીતે આપણે બહાર દ્રષ્ટિ રાખીને જીવીએ છીએ અને ધનની, સત્તાની પ્રતિષ્ઠાની શોધખોળ કરીએ છીએ. જ્યારે આપણું લક્ષ્ય તો ભીતર હોવું જોઈએ. ભીતર શાંતિ છે, મૌન છે, સ્થિરતા છે, પ્રભુતા છે. જે વ્યક્તિ ભીતરના પરમાનંદને જાણશે તે જ બીજાને એ વહેંચી શકશે. કબીર કહે છે કે પોતાના સ્વરૂપ તરફની યાત્રા એ જ પરમાત્મા તરફની યાત્રા.

રીટા જાની
14/04/2023

ઓશો દર્શન -45. રીટા જાની



ગત ત્રણ અંકથી આપણે ઓશો દર્શન અંતર્ગત સંસાર સૂત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓશોની સૂક્ષ્મ દ્રષ્ટિએ સંસારના વિવિધ પાસા ઉપર પ્રકાશ ફેંક્યો છે તેમજ તેની વિવેચના કરી છે. સંસાર સમુદ્રમાંથી સાચા મોતી મેળવવા હોય તો થોડું સાહસ રાખીને ઊંડાણમાં ઉતરવું પડે. પણ જો પાણીમાં ઉતરશો જ નહીં અને મોજાઓના તોફાન જોઈને પાછા ફરી જશો કે કિનારે બેસી રહેશો તો કંઈ પ્રાપ્ત નહીં થાય. આજે ઓશોની દ્રષ્ટિએ સંસારનું અવલોકન કરી વધુ સૂત્રો સમજીએ.

રોકેટની ગતિએ દોડતા જગતમાં મનુષ્ય બસ દોડ્યા કરે છે. એ દોડ સત્તા માટે હોય, ધન માટે હોય, પદ માટે હોય, પ્રતિષ્ઠા માટે હોય, શિક્ષણ માટે હોય કે પછી મનોરંજન માટે અથવા બીજા કોઈ પણ કારણસર હોય; શાંતિ ખોવાઈ ગઈ છે. એ શાંતિની શોધમાં સમગ્ર જગત આજે ધ્યાનનો મહિમા ગાઈ રહ્યું છે. ઓશો કહે છે કે ધ્યાનની વિધિ સરળ છે. જે ક્ષણે શરીર વિશ્રાંત હોય છે, તે ક્ષણે શાંતિ આપોઆપ હૃદયમાં ઉતરી આવે છે. માટે સ્વાભાવિક રીતે જ હૃદય, શાંતિનો સ્ત્રોત છે. જ્યારે તમે શાંતિથી ભરેલા હોય ત્યારે બાહ્ય જગત પ્રત્યેનો તમારો વ્યવહાર વધુ પ્રેમમય અને વધુ નિકટ હશે. તમે જેવા છો તેવું જગત પ્રતિબિંબિત થાય છે.

મનનો સ્વભાવ એવો છે કે તે જ્યાં છે ત્યાંથી ભાગતું રહે છે અને જ્યાં નથી તેમાં રસ જાગે છે. જે મળ્યું છે તે વ્યર્થ લાગે છે અને જે નથી મળ્યું તે સારું લાગે છે. જ્યારે ધ્યાન કરો તો ભજનમાં રસ જાગે છે અને ભજન કરતા ધ્યાન કરવાનું મન થાય છે. ભોજન કરો તો ઉપવાસમાં રસ જાગે છે અને ઉપવાસ કરો તો ભોજન યાદ આવે છે. મનના ભટકવાથી મુક્ત થવું હોય તો જાગૃત થઈ જે કંઈ કરો તેને રસપૂર્વક કરો. તેનાથી એકાગ્રતા આપોઆપ આવશે. તમને જેમાં રસ પડે, જેમાં આનંદ આવે, ઉમંગ આવે પછી તે ગમે તે હોય પ્રાર્થના બની જશે. જ્યાં રસ છે ત્યાં જ પરમાત્મા છે. સચોટ ઉપાય બતાવતા ઓશો કહે છે કે તમે જ્યાં છો, હજી બહાર છો, ત્યાં જ ધ્યાન કરો. ભોજનને ધ્યાન બનાવો, ધનને ધ્યાન બનાવો, ક્રોધ પર ધ્યાન કરો અને એ સમાપ્ત થઈ જશે. ક્રોધ અને લોભ જતા રહેશે, માત્ર ધ્યાન રહી જશે. સંસાર પર ધ્યાન કરો, સંસાર ખોવાઈ જશે અને અંતર્યાત્રા શરૂ થઈ જશે. તમે એ જગ્યાએ પહોંચી જશો જ્યાં હજારો સુર્ય એક સાથે ઉગી રહ્યા છે અને જે કદી અસ્ત થતો નથી. તમારી અંદર જ પરમ સૂર્યોદય છુપાયેલો છે.

આપણા જીવન પર દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે કે નાના નાના સુખ-દુઃખ, ચઢાવ-ઉતાર આપણા મનને કેટલું વિચલિત કરી દે છે. જીવન અને મૃત્યુની ફિલસૂફીને સમજાવતા ઓશો કહે છે કે સારી રીતે જીવવાની કળા મૌન છે. જગતમાં આવતા તોફાન તમને કંપાયમાન ન કરે અને તમે શાંત ભાવથી જીવો, આંધી તમારા તપને હચમચાવી ના શકે, વસ્તુ નષ્ટ થાય છતાં તમે અસ્પર્શિત રહો એવું તમારું મન હોય તો તમે જીવવાની કળા જાણી તેવું સમજો. અને જે જીવનની કળાને જાણી રહેશે તે એક દિવસ મૃત્યુના પરમ રહસ્યને પણ સમજી શકશે.

સમગ્ર જીવનને પૂર્ણ રૂપે સ્વીકાર કરવાનું કહીને ઓશો સફળતાના 14 સૂત્રો આપે છે.
1. નિષ્કામ ભાવ : પરિણામની આકાંક્ષાથી મુક્ત રહી પોતાનું કાર્ય શ્રદ્ધા રાખીને યથા સંભવ કરતા રહો.
2. હોશ: હંમેશા હોશપૂર્વક, સંપૂર્ણ જાગૃત રહીને કામ કરો, મશીન કે રોબોટની જેમ નહીં.
3. ધ્યાન: કોઈપણ કામને નાનું કે મોટું ન ગણો. દરેક ચીજ પર ધ્યાન આપો. પરમાત્માને તમે દરેક જગ્યાએ શોધી શકો છો.
4. કેન્દ્રિત રહેવું : પોતાની ધારણાઓથી અથવા બીજા કોઈના માર્ગે ન દોરવાઓ અને કેન્દ્રિત રહી કાર્ય કરો.
5. ક્ષણ ક્ષણમાં જીવો : દરેક સંભાવના માટે ખુલ્લા રહો અને પૂર્વ અનુભવોની બહાર નીકળવા તૈયાર રહો.
6. ચિંતાનું સમર્પણ : ચિંતાથી સ્વયંને અલગ કરી સમર્પણ કરી દો અને અસ્તિત્વ પર બધું છોડી દો.
7. નિરાશામાં અટકી જાઓ: નિરાશા કાયમ રહેતી નથી. અંધારી રાત્રિ પછી સૂર્યોદય જરૂર થાય છે. માટે નિરાશા જતી ન રહે ત્યાં સુધી સતર્ક બની અટકી જાઓ.
8. સંઘર્ષ: તોફાનો અને આંધીઓમાંથી પસાર થઈને પણ આપણે સમૃદ્ધ બનીએ છીએ. માટે થોડો સંઘર્ષ પણ જરૂરી છે.
9. લીલા : યાદ રાખો કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો તે એક ખેલ છે. તેમાં તમારી ભૂમિકા ગંભીર બન્યા વગર નિભાવો.
10. યોગ્યતા: પોતાની યોગ્યતા સિદ્ધ કરવાની હોડમાં પોતાની જાતને એક વસ્તુ ન બનાવો. યાદ રાખો કે જીવનનો વિરાટતમ અનુભવ પ્રેમ અને ધ્યાનથી આવે છે.
11. લોભ : તમારી પાસે કરોડો રૂપિયા આવી જાય તેનાથી કોઈ ફરક પડવાનો નથી. લોભ દ્વારા જીવનને અર્થપૂર્ણ બનાવી લેવાનો પ્રયાસ એ નાસમજી છે.
12. અધિકાર, આધિપત્ય : જે લોકોને પોતાના પર વિશ્વાસ નથી, ભયભીત છે, તેઓ બીજા પર અધિકાર જમાવવા માંગે છે. તમે પૂરેપૂરા આશ્વસ્ત રહો, કોઈથી ડરવાની જરૂર નથી.
13. અપરિપક્વતા : જે વ્યક્તિ પોતાના અતીત તરફ જોઈ વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધે છે, તે અપરિપક્વ છે. કારણ કે આ પરિસ્થિતિને અતીત સાથે કોઈ સંબંધ નથી. માટે હંમેશા પૂરેપૂરું ધ્યાન વર્તમાન પરિસ્થિતિ પર કેન્દ્રિત કરી, વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધવું જરૂરી છે.
14. ઉત્તરદાયિત્વ : જીવનની દરેક સમસ્યાઓમાં પૂરેપૂરું ઉત્તરદાયિત્વ પોતાનું જ હોય છે. તમે એવી સ્થિતિમાં આવી જાઓ કે દુનિયા તમારી સાથે કંઈ પણ કરે, પરંતુ તમને વિક્ષિપ્ત ન કરી શકે.

ક્રોધ એક માનસિક તાણ છે. કોઈપણ વાતનો અસ્વીકાર કરવાથી ક્રોધ જન્મે છે. જે વસ્તુનો તમે સ્વીકાર કરી લો છો, પછી તેના પ્રત્યે ક્રોધ નથી થતો. ક્રોધ છે, બીમારી છે, માથું દુઃખે છે – જે પણ પરિસ્થિતિ છે – તેનો સ્વીકાર કરો. તમે જેવો સ્વીકાર કરી લો કે તમારા અંતરમાં ફૂલ ખીલી ઉઠે છે અને જેવો અસ્વીકાર કરો છો, તમારા અંતરમાં કાંટા ખુંચવા લાગે છે. માટે પરમ સ્વીકાર કરતા શીખો. ભૂલ કરો તો અચકાયા વગર કરો, પરંતુ એક જ ભૂલ ફરીથી ન કરો. પ્રેમ પણ આપણે ક્યાં પૂરેપૂરો કરીએ છીએ? જેને પ્રેમ કરતા હોઈએ તેમનામાં પણ આપણને હજારો ભૂલ દેખાય છે. ક્રોધ, લોભ, મોહ, કામના બધું જ સંયુક્ત છે, કરોળિયાના જાળાની જેમ જોડાયેલું છે. માટે તમે એક એક સમસ્યાને ના ઉકેલી શકો. એના નિશ્ચિત ઉપાયનું સૂત્ર છે – સાક્ષી બનો, દૃષ્ટા બનો. પ્રબુદ્ધ વ્યક્તિના ચૈતન્યની એવી સ્થિતિ હોય છે, જ્યાં ક્રોધ જન્મતો જ નથી. જો તમે ક્રોધને ધ્યાનપૂર્વક જોશો તો ક્રોધ ચાલ્યો જશે. જો તમે પ્રેમને ધ્યાનપૂર્વક જોશો તો પ્રેમ વધશે. સ્વીકારની શાંતિમાં જ સમજનો દીવો પ્રગટે છે. એ સ્થિતિમાં ચેતના એટલી સતેજ હોય છે કે ત્યારે ક્રોધ કરવાનો વિચાર પણ અસંભવ થઈ જાય છે. તમારા જાગૃત અવલોકનથી જે વધે તે પુણ્ય અને તમારા જાગૃત અવલોકનથી જે ક્ષીણ થાય તે પાપ.

જીવન કેવી રીતે આનંદથી ભરાઈ જાય? ઉત્સાહ વગરનું, ઢીલું, સુસ્ત, મંદ જીવન જીવવાનો કોઈ મતલબ નથી. જે લોકો ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવે છે, તેમને ક્યારેય આનંદનો અનુભવ થતો નથી. જે વ્યક્તિ પ્રતિક્ષણ જીવે છે, વર્તમાનમાં જીવે છે, જે કંઈ ઉપલબ્ધ છે તેને સ્વીકારી લે છે જાણે કે આ ક્ષણ અંતિમ ક્ષણ છે અને વર્તમાન ક્ષણ સિવાય કોઈ ચીજનું અસ્તિત્વ નથી તેના માટે વર્તમાનની ક્ષણ આનંદના અનુભવનું, પરમાત્માનું દ્વાર બની શકે છે.

રીટા જાની
24/02/2023

ઓશો દર્શન -44. રીટા જાની

wp-1644023900666

  ઓશોના વ્યક્તિત્વની વાત કરતા ‘કહૈ કભી દીવાના’ ની પ્રસ્તાવનામાં ડો. આરસી પ્રસાદ સિંહ કહે છે કે ઓશો સાહિત્યના ક્ષિતિજ ઉપર એક દાર્શનિક, ચિંતક, ગુરુ અને તત્વદ્રષ્ટા જ્ઞાનીની છબીમાં ઉભરે છે. છતાં તેઓ એક મહાન કવિ, કથાકાર અને કલાકાર પણ છે. તેમની કાવ્ય કલા ચિંતન, મનન અને દાર્શનિક શૈલીમાં રૂપાયિત થઈ છે, છતાં એમાં શાસ્ત્રીય જટિલતા કે દાર્શનિક શુષ્કતાનો નિતાંત અભાવ છે. બલ્કે એક અત્યંત પ્રખર તાર્કિક અને સર્વગ્રાસી સમીક્ષકનું ચિંતન હોવા છતાંય વિષય વસ્તુ અને પ્રસ્તુતિ એવી સ્નિગ્ધ, સરસ અને કમનીય છે કે સાંભળવા અને વાંચવામાં એક નવલકથા વાંચવાનો આનંદ મળે છે. તેનો પ્રવાહ એટલો વેગવાન અને શૈલી એવી સહજ સ્ફૂર્ત છે કે આદિથી અંત સુધી જે તાજગી અને મહેક સાથે તમે કોઈ પ્રવચન કે પુસ્તકની યાત્રા શરૂ કરો છો તે અંત સુધી કાયમ રહે છે. ઓશોના સાહિત્યનો કોઈપણ અંશ ગમે ત્યાંથી ઉઠાવી લો, એમાં સર્વત્ર એક જ પ્રાણધારા કલકલ સ્વરોમાં ઉચ્છલ પ્રવાહિત જોવા મળશે.

કવિ શ્રી બરકત વિરાણી કહે છે કે ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી’. છતાં સામાન્ય માણસને જીવનની સફરમાં મંઝિલ  કઈ દિશાએ મળશે, કયો માર્ગ પસંદ કરવો, ક્યાંક ભળતા માર્ગે તો નથી જતા રહ્યા ને એવી વિમાસણ હંમેશા રહેતી હોય છે. ત્યારે સંસારને સફળતાથી પાર કરવા કોઈ ફોર્મ્યુલા, કોઈ સૂત્ર હોઈ શકે કે કેમ તેવો વિચાર આવ્યા વગર રહેતો નથી. ઓશોએ ખૂબ સુંદર રીતે પ્રેમ, ભક્તિ-નૃત્ય, ધ્યાન, કુંડલિની-શક્તિપાત, ક્રોધ, સુખ-દુ:ખ, અહંકાર, આનંદ, પાપ-પુણ્ય વગેરે વિષયો પર ચર્ચા કરી સંસારના સુત્રો આપ્યા છે, જેની વાત આપણે ગત બે અંકથી કરી રહ્યા છીએ.  આજે સંસાર સૂત્રો અંતર્ગત પ્રાર્થના, ભક્તિ, સાધના, તીર્થયાત્રા, ભજન, શ્રદ્ધા, સંગત વગેરે વિષય ઉપર ઓશોનું દર્શન જોઈશું.

કબીરજીની વાત કહી ઓશો પ્રાર્થનાની સુંદર સમજ આપે છે. કબીરજીને કોઈએ પૂછ્યું કે આપ ક્યારે પ્રાર્થના કરો છો? ક્યારે પરમાત્માની સેવા કરો છો? ક્યારે મંદિરની પરિક્રમા માટે જાવ છો? તો કબીરજીનો જવાબ હતો: ઊઠું બેસુ એ પરિક્રમા અને ખાવું પીવું એ સેવા. એવું જરૂરી નથી કે માળા લઈને મંત્રના જાપ કે ઈશ્વરનું નામસ્મરણ કરીએ તે જ પ્રાર્થના કહેવાય. દરેક શ્વાસ સાથે અખંડ પ્રાર્થના થતી રહે તે સાચી પ્રાર્થના. હકીકતે, પ્રાર્થના એ એકાંતનું ગીત અને સંગીત છે, તે હૃદયનો ઉદગાર છે, એમાં કેટલી માળા ફેરવી તેનો હિસાબ રાખવાનો ના હોય. આ નાની એવી જિંદગી જે મળી છે, તેને પ્રાર્થના બનાવી દો એ જ જીવનની સાર્થકતા હશે.

ઓશો કહે છે કે ભક્તિ સાધના પણ છે અને સિદ્ધિ પણ છે. ભક્તિનો અર્થ છે પરમ પ્રેમ, અહોભાવ, સ્વયંને મિટાવવાની કળા. જ્યાં સુધી પરિણામની આકાંક્ષા છે, ત્યાં સુધી પ્રાર્થનાનું પરિણામ નહીં આવે. લોકોને જોઈએ તો ખ્યાલ આવે છે કે પ્રાર્થનામાં મોટાભાગે માગણી અથવા ફરિયાદ હોય છે. સાચી પ્રાર્થનામાં ન કોઈ અપેક્ષા હોય છે, ના કોઈ શબ્દ હોય છે, માત્ર સમર્પણભાવ હોય છે, ત્યારે પ્રાર્થના જ પરમાત્મા બની જાય છે.

ભક્તિ એટલી જીવનનો પરમ સ્વીકાર. આપણા અંતરમાં એક ઊર્જા છે, જેને આપણે પ્રીત કહીશું. આ પ્રીતતત્વના આધારે જ આપણે જીવંત છીએ. પ્રીતતત્વ શ્વાસ જેટલું જ અનિવાર્ય છે. પ્રીતના ત્રણ પ્રકાર છે. પોતાનાથી નાની ઉંમરના લોકો પ્રત્યે જે પ્રીત હોય તે સ્નેહ, સમાન સ્તર પર હોય તે પ્રેમ અને માતા-પિતા, ગુરુ પ્રત્યે હોય તે શ્રદ્ધા. આ ત્રણેય અવસ્થાઓ જ્યારે સમ્યક બને છે, ત્યારે પ્રીતની ચોથી અવસ્થા નિર્મિત થાય છે. તેનું નામ છે ભક્તિ. ભક્તિ એટલે પ્રીતની પરાકાષ્ઠા, સર્વસ્વ પ્રત્યે પ્રીત, પરમાત્મા પ્રત્યે પ્રીત. જે રીતે સહજતાથી બીજ અંકુરિત થઈ વૃક્ષ બને છે અને એક દિવસ તેમાં ફૂલ અને ફળ આવે છે એ જ રીતે મનુષ્યતા ભગવતતામાં રૂપાંતરિત થવી જોઈએ. પ્રીત, ભક્તિ બનવા માટે જ જન્મી છે. ભલે પ્રીતની ઉર્જાને ભક્તિ થવાના માર્ગ પર ઘણા અવરોધો હોય. સ્નેહ શુદ્ધ હોય તો પ્રેમ બને, પ્રેમ શુદ્ધ હોય તો શ્રદ્ધા અને શ્રદ્ધા શુદ્ધ હોય તો ભક્તિ. આ સ્થિતિમાં તમે કઈ તરફ જશો તે તમારા  પર નિર્ભર છે. જો અહંકાર તૂટે તો સંપૂર્ણ સ્વર્ગ તમારી પ્રતીક્ષામાં છે. સ્નેહથી ભક્તિ સુધીની તીર્થયાત્રા અવશ્ય લાંબી છે, પરંતુ ભક્તિ એ પરમ અવસ્થા છે, પ્રીતની પરાકાષ્ઠા છે.

ભક્ત ભજન કરે છે, ત્યારે પ્રશ્ન થાય કે ભજન એટલે શું? ભજન એ ઔપચારિકતા નથી, ભજન કોઇ વિધિ નથી. ભજન છે ભાવનું નિવેદન, હૃદયથી ઉતારેલી આરતી, વિરાટ સાથેની વાત, જે કરવાથી પરમાત્માની જ્યોત અંદર પ્રગટ્યા કરે છે. ભાવ હોય તો પ્રત્યેક કૃત્ય ભજન થઈ શકે છે. પરમાત્મા અનુમાન નથી, તર્ક નથી, સિધ્ધાંત નથી, અનુભવ છે. પરમાત્મા અને કૃતિ બે નથી, સ્રષ્ટા અને સૃષ્ટિ બે નથી, પરમાત્માનો પહેલો અનુભવ એનું નામ પ્રેમ છે. કૃષ્ણ, ભક્તિને શ્રેષ્ઠતમ યોગ કહે છે, જ્યારે ભક્ત અને ભગવાન બે ન રહેતા એકનો અનુભવ થાય છે. તેથી  તે છે યોગ, પરમ ઐક્ય. આ જગત એક પ્રતિધ્વનિ છે. તમારા હૃદયમાં જે કંઈ હોય તેને જ તમે સાંભળો છો. હૃદયમાં જ્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ ગહન થાય છે, એ અવસ્થામાં જે પણ કરો તે બની જશે પ્રભુ પૂજા.

શ્રદ્ધા એ વિશ્વાસ નથી. શ્રદ્ધા એક અનુભવનું પરિણામ છે. પ્રેમથી શ્રેષ્ઠ કોઈ અનુભવ નથી. તેથી જ ભક્તિ શ્રેષ્ઠતમ માર્ગ બને છે, કારણ કે તે પ્રેમનું જ રૂપાંતરણ છે. ઓશો કહે છે કે ભક્તિનો અર્થ છે કે પરમાત્માને બુદ્ધિ દ્વારા નહીં, હૃદય દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વિચાર દ્વારા નહીં, ભાવ દ્વારા  પ્રાપ્ત કરી શકાય છે. ચિંતન દ્વારા નહિ, પ્રેમ દ્વારા અનુભવી શકાય છે. જે ક્ષણે તમે સ્વયંને વિસ્મૃત કરી દો છો, તે જ ક્ષણે અમૃતની ઉપલબ્ધિ થાય છે.

બીજા માર્ગો – યોગ, તંત્ર, જ્ઞાન, તપ, ત્યાગ – આ બધાની સરખામણીમાં ભક્તિ વધુ સુલભ છે. કારણ અન્ય માર્ગો પર મનુષ્યને પોતાના માથા પર બોજો લઈને ચાલવું પડે છે, જ્યારે ભક્તિના માર્ગે સમર્પણ છે. તે બોજો પરમાત્માને આપી દે છે. હૃદય જીવંત હોય, હૃદયના સરોવરમાં તરંગો હોય, હૃદયના વૃક્ષ પર ફળફૂલ ઉગે તો ભક્તિ ખૂબ સુલભ છે. માટે જ ભક્તિના માર્ગનું અનિવાર્ય અંગ છે શ્રદ્ધા. ભક્તિનું સૂત્ર છે: તમે જે કંઈ કરો તેમાં તન્મય થઈ જાવ અને ભક્તિ ફલિત થશે. ભક્તિના માર્ગ પર ધૈર્ય અને અનંત પ્રતીક્ષા રાખવી જરૂરી છે. ભક્તિ કોઈ શાસ્ત્ર નથી, યાત્રા છે; કોઈ સિદ્ધાંત નથી, જીવનરસ છે. ભક્તિ જો તમારા હૃદયમાં થોડી લગની જગાડે તો તમારું જીવન સાર્થક બનશે.

ભક્તિ એટલે દ્રષ્ટિ, ભક્તિ એટલે સ્વયંના અંતરમાં રૂપાંતરણ, ભક્તિ એટલે જીવનનો પરમ સ્વીકાર, ભક્તિ એટલે જીવનમાં સંગીત જન્માવવાની એક વિધિ. ભક્તિ તો અણુ શક્તિ સમાન છે, એક નાના અમથા અણુમાં છુપાયેલી વિરાટ શક્તિ છે. ભક્તિ  અંતરની આંખ ખોલે છે. ઓશો કહે છે કે અહીં જે કંઈ છે, તે પરમાત્મા જ છે, પ્રત્યેક વસ્તુ આરાધ્ય છે. મૂર્તિઓ ઘડવાની કે મંદિરો બનાવવાની જરૂર નથી. સમગ્ર અસ્તિત્વ તેનું મંદિર છે, સમગ્ર જગત જ તીર્થ છે. આકાશ તીર્થ છે, બધી નદીઓ ગંગા છે, સંપૂર્ણ પૃથ્વી પવિત્ર છે. જ્યાં તમારી દ્રષ્ટિ પડે તે ભજનીય છે. જગત પરમાત્માનું બાહ્ય રૂપ છે અને પરમાત્મા જગતનો અંતરાત્મા. જે રીતે દેહ અને આત્મા, તે જ રીતે માયા અને બ્રહ્મ  આ જગતમાં જે વિપરીતતા દેખાય છે – દિવસ અને રાત, શ્રમ અને વિશ્રામ, વસંત અને પાનખર, જીવન અને મૃત્યુ – તેને ગહનતાથી  શોધવાથી સમજાય છે કે તે પણ વિપરીત નથી, એકબીજાના પરિપૂરક છે. ઓશોના સંસારસૂત્રો અંતર્ગત જીવનના મુખ્ય આયામો – સંસાર, ધ્યાન, ગુરુ – શિષ્ય, સન્યાસ, સમાધિ વગેરે વિશે વાત કરીશું આવતા અંકે….

રીટા જાની
17/02/2023

વિસ્તૃતિ…૪૮ જયશ્રી પટેલ.



શરદબાબુની વાર્તાઓ સાથે આપણે તેમની જીવનીમાં પણ ડોકિયું કરીએ છીએ. શ્રી વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહાનો ગુજરાતી અનુવાદ શ્રી હસમુખ દવેએ
આપણી સમક્ષ રજુ કર્યો છે. તેમાંથી થોડા અંશ સંક્ષેપમાં જોઈએ.
દેશની સ્વતંત્રતાનાં આંદોલન સમયની વાત છે, શરદબાબુ મુક્તિ આંદોલનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા,
પરંતુ એના બધાં કાર્યક્રમોમાં તેમને શ્રદ્ધા ન હતી.ખાસ તો રેંટિયા અભિયાનમાં તો રજમાત્ર વિશ્વાસ નહોતો.છતાંય
નિયમિત કાંતતા, ખાદી પહેરતા. બને એટલા રેંટિયા કેન્દ્ર
ઊભા કરવા મહેનત કરવા માંડ્યા. તેમના મામાએ પણ નોકરી છોડી રેંટિયો કાંતવા માંડ્યો હતો ને તેમની સાથે રહેતાં.
એવું ઝીણું કાંતતા કે મહાત્મા ગાંધીએ પણ તેમના ઝીણા બારીક સુતરના વખાણ કર્યા હતા. તેઓએ બાપુને મોઢા પર કહી દીધું હતું કે તમે મને ગમો છો એટલે કાંતું છું નહિ તો નથી માનતો કે આનાથી આંદોલનમાં કંઈ
ફર્ક પડશે.ખાદી કાંતો ને સ્વયં ખાદી પહેરો એ તેઓ
લોકોને ઘરે ઘરે જઈ સમજાવતા.
એકવાર તેમનું કાંતેલું માથા પર લઈ મહાન વૈજ્ઞાનિક
પ્રફુલ્લચંદ્ર રોય નાચેલા. પ્રફુલ્લચંદ્ર રોયની બહુ ઈચ્છા હતી શરદબાબુને મળવાની, તો શરદબાબુને પણ બહુ ઈચ્છા હતી . એકવાર એક વિદ્યાર્થી શરદબાબુને પ્રફુલ્લચંદ્ર રોય પાસે લઈ ગયો. તેઓએ જોયું ચારે બાજુ
પેપર જ પેપર છે બેસવાની જગ્યા નથી તો શરદબાબુ પાટ પર જઈ બેસવા ગયા તો પ્રફુલ્લચંદ્ર રોયે તેમને વિદ્યાર્થી સમજી ત્યાં ન બેસવા કહ્યું ને બીજી ખુરશી પર બેસાડ્યા. વિદ્યાર્થીએ તેમને કહ્યું આ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય છે ,તો તેઓ દોડ્યા બધાં વિદ્યાર્થીને ભેગા કર્યા ને શરદબાબુને બતાવી જુઓ આ તેમના પુસ્તકો જુઓ કરી તેમના પગ પાસે બેસી જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ વાતો કરવા લાગ્યા. આ હતો શરદ સાહિત્યનો વાચક વર્ગ ને તેનો મહિમા.
મામા સુરેન્દ્રનાથે એકવાર એમને કહ્યું કે માત્ર કાતવાથી નહિ ચાલે શાળ બેસાડવી પડશે તો શરદબાબુએ ભાગલપુરમાં પાંચ સાત હાથશાળ નાંખી દીધી હતી.આમ તેમનો ગાંધીજી પ્રત્યેનો ભાવ ખૂબ ઉંડો હતો.
તેથી તનતોડ મહેનત કરી,કિંમતી વસ્ત્રોનો ત્યાગ
કર્યો હતો,તેલમાં તળેલી કચોરી ને સંકેલા ચણાં ખાઈ ગામે ગામ પ્રચાર કરવા નીકળી પડતાં.
ગાંધીજીને તેમણે કહ્યું હતું કે કાંતવાથી સ્વરાજ મળશે તેમ મને નથી લાગતું , સ્વરાજ તો સૈનિકો દ્વારા જ મળશે. સાંભળી ગાંધીજી ખૂબ હસ્યા હતાં.તેમણે સ્ત્રીઓ માટે “નારી કર્મ મંદિરની સ્થાપના પણ કરી હતી.
નારીની સંખ્યા વધી ત્યારે સંખ્યાબળમાં ન માનનારા શરદબાબુએ કહ્યું હતું કે વર્ષોથી ચૂલોચૌકો કરનારી સ્ત્રીઓ , જે વર્ષોથી ઘરની બહાર નથી નીકળી,
પ્રસૃતિઘર સિવાય કાંઈ ખબર નથી તે શું કરશે.. પણ
ગાંધીજીના વિશ્વાસને માની તેમણે લખ્યું કે કાદવમાં કમળ
એક દિવસ જરૂર ખીલશે ને દેશના સ્ત્રીધનમાંથી જ સૈનિકો મળશે.
મિત્રો આમ કલમ જ નહોતી પકડી પણ રેટિંયો કિતલી ને સુતર પણ તેમણે પ્રિય કર્યા હતાં. કલમ તેમની સમશેર
હતી તો ગાંધીજીની ચાહત તેમની તાકત હતી.
મિત્રો, આવતા અંકે ફરી આપણે શરદબાબુની નવીન વાત જાણશું.
અસ્તું,
જયશ્રી પટેલ
૬/૨/૨૩

વિસ્તૃતિ…૪૬ -જયશ્રી પટેલ.


શરદબાબુની પ્રથમ વાર્તા મન્દિર જ્યારે તેમણે સ્પર્ધામાં મોકલી ત્યારે પોતાના મામાને નામે મોકલી હતી ને તે પ્રથમ આવી હતી.તેઓ વાર્તા લખી બહાર મૂકતા તો તે મૂંઝાતા. તેમને ડર રહેતો કે કોઈને પસંદ નહિ આવે તો? આ વાત તે આપણે આગળ જોઈ ગયા છીએ. ખૂબ શોધ બાદ મને મન્દિર વાર્તા ટૂકડે ટૂકડે મળી જે આજે હું આપની સામે ગુજરાતીમાં સંક્ષિપ્તમાં લઈને આવી છું.
નદી કિનારે કુંભારના બે કુટુંબ રહેતા હતાં. બન્ને ઘરમાં બધી જ વ્યક્તિ માટી લાવવાથી લઈ તેને સાંચામાં ઢાળી વાસણ, રમકડાં બનાવતાં. ભઠ્ઠામાં તપાવી તેને સુંદર રંગરોગાન કરી વેચતા. તેમની સ્ત્રીઓ પણ રસોઈ માંથી પરવારી ભઠ્ઠામાંથી રમકડાં કાઢી તેને કપડાંથી સાફ કરતી. આમ આજ ધંધાથી તેમની રોજીરોટી ચાલતી. ત્યાં એક બ્રાહ્મણનો રોગગ્રસ્ત પુત્ર શક્તિનાથ પણ આવતો. તેણે કુંભારોના ઘરમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે કુંભારને તેના ઘરવાળા બધાં જ રમકડાંને રંગ કે શાહી લગાવતા તો કોઈવાર ભ્રમર રહી જતી તો કોઈવાર હોઠ, આંખો , કાન કે નાક રંગાયા વગર જ વેચવા લઈ જવાતાં. શક્તિનાથ પોતે આ બાબતમાં કુંભારને કહેતો કે સરકાર આને રંગરોગાન વ્યવસ્થિત રીતે કરો. જવાબ મળતો કે ગમે તેટલું સુંદર રૂપ આપીશું તો પણ તે વેચાશે તો એક પૈસામાંજ. આ વાત મમળાવતો તે ઘરે જતો, હાથમાં રહેલા ચણા મમરા અડધા વેરતો અડધા ખાતો ખાતો વિચાર મગ્ન થતો. ક્યારેક વાત સાચી લાગતી કે માટીનાં રમકડાં પાછળ કેટલાય પૈસા વાપરે પણ તે તૂટી ફૂટી જ જાય ને! ઘરમાં જતાં જ જોતો કે પિતા નથી , મધુસૂદન તો પૂજા પાઠ કરવા ગયાં હતા. ઘરમાં આવેલું બધું સીધુ એમાં પડ્યું હતું, ઘર સીધું સાદું હતું. કોઈ સાજ શ્રીંગાર ઘરમાં નહોતા. એક સ્ત્રી વગરનું ઘર વેરવિખેર પડ્યું હતું. તે આચરકૂચર ખાય બાપ બેટો પેટ ભરતા.ઘર કરતાં વધુ તે જંગલ લાગતું. ધીરે ધીરે સરકાર મહાશયે શક્તિનાથને રમકડું રંગતા શીખવવા માંડ્યું ને તે ખુરપી , માટી ગૂંદવું વગેરે કાર્ય પણ કરતો. તે એક રમકડું રંગવા અડધો દિવસ કાઢી નાંખતો તો પણ તેનું રમકડું એક પૈસામાં જ વેચાતું. કોઈ કોઈ વાર સરકાર તેની તસલ્લી ખાતર કહેતા કે તે બે પૈસામાં વેચાયું .તો તેની ખુશીનો પાર ન રહેતો.આમ દિવસો નીકળી રહ્યાં હતાં. શક્તિનાથના પિતા પણ ખૂબ બિમાર રહેતાં. તે પણ મા વગર માંદો સાજો રહેતો તેની તરફ ધ્યાન આપવાવાળું કોઈ જ નહોતું. આ ગામનાં જમીંનદાર કાયસ્થ હતા. તેમનું ઘર ખમતીધર હતું. સુંદર સજાવટ ભર્યું હતું. તેમના ઘરમાં એક સુંદર નકશીદાર મન્દિર હતું. તેમાં સુંદર રાધા ને મદનમોહનની મૂર્તિ સિંહાસન પર બિરાજમાન હતી. અન્ય દેવી દેવતા પણ તેમાં બિરાજમાન હતાં. તેમને તાજા સુગંધીદાર ફૂલો ચઢતાં ,ફૂલોનાં હારથી સજાવટ થતી. ચંદન અગરબત્તી ધૂપની સુગંધથી આખો ઓરડો મહેંકી જતો. જાણે વૃંદાવન જ જોઈ લો. જમીનદાર રાજ નારાયણ

મંદિર પાસે પૂજા પાઠ કરતા ને મધુસૂદન મહારાજ પાસે પણ કરાવતા. ક્યારેક જમીનદાર પ્રભુની પ્રાર્થના કરતા રડી પડતાં કે તેમના પછી દીકરીની સંભાળ કોણ કરશે!
નાની દીકરી અપર્ણા આ દ્રશ્ય અનિમેષ જોયા કરતી. પિતાજીની આસપાસ દિનચર્યા જોઈ હવે ધીરે ધીરે તે હવે ચીવટ ચોકસાઈથી પૂજા પાઠ કરતી, કરાવતી ને મન્દિરમાં નાનું સૂકું તૃણ પણ પડેલું જોતી તો ન ચલાવી લેતી. જો પાણીનું ટીપું પણ પડેલું જોતી તો તેને પણ પોતાના વસ્ત્ર કે પાલવથી સાફ કરી દેતી. તે પ્રભુમાં લીન થઈ જતી. તેની આ બધી ક્રિયા જોઈ બ્રાહ્મણ મધુસૂદન ને જમીનદાર ચિંતામાં પડી ગયાં. જમીનદારે તેના માટે સરસ ખાનદાની જમાઈ અમરનાથને શોધી કાઢી વિવાહ નક્કી કરી દીધાં. દીકરી અર્પણા પણ એક કહ્યાગરી દીકરીની જેમ લગ્ન કરી સાસરે વિદાય થઈ. મિત્રો, અહીં વાર્તાનો મધ્યાહ્ન આવે છે. પાત્રો બધાં સુંદર રીતે ગોઠવાય ગયા છે. અર્પણાનાં પાત્રમાં એક સુંદર સ્ત્રી પિતાની ચિંતામાં જ સાસરે જાય ત્યારે તે તેની પાઠપૂજાની તેના મન્દિરની બધી જ વાતો વિચારતી. બીજી બાજુ મા વગર પૈસાના અભાવ સાથે જીવતો બિમાર મધુસૂદનનો દીકરો શક્તિનાથ પણ મોટો થઈ રહ્યો છે. પિતા સાથે તે પાઠપૂજા કરતા શીખતો પણ તેનું ધ્યાન તો પેલા રમકડાં રંગવામાં જ રહેતું. શરદબાબુની આ વાર્તા આગળ શું કહે છે આપણે આવતા અંકમાં જોઈશું. મિત્રો, આ વાર્તાને સવાસો વર્ષનો ગાળો વિતી હયો છે, પણ વાર્તા જ્યારે પહેલીવાર સાંભળી ત્યારે એવું જ લાગ્યું જાણે કાલે જ લખાય છે.

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૨/૧/૨૩

વિસ્તૃતિ …૪૫ જયશ્રી પટેલ.


વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહામાંની વિશાળ માહિતીને સહારે સંક્ષિપ્ત આલેખન આપ સમક્ષ લઈને આવી છું.
આપણે આગળ જોઈ ગયા તેમ મિત્રો તેમને પણ બે મિત્રો એવા અંગત મળ્યા કે વર્ષો સુધી તેમની સાથે તેમની દોસ્તી રહી .એ જ અરસામાં એમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થઈ. રવીન્દ્રનાથના તેઓ પરમ ભક્ત હતા રવીન્દ્રનાથ પણ શરદથી પ્રભાવિત હતા. તેઓ વારંવાર કહેતા કે તેને પકડી લાવો તે બંગાળનો ઉત્તમ સાહિત્યકાર છે બંગાળને તે ઉત્તમ ભેટ આપીને જશે .૧૯૩૪ના ઓક્ટોબરની બીજી તારીખે ગુરુવર્ય પ્રયાગ તરફ રવાના થયા અને તેમણે એ પ્રવાસ દરમિયાન જ શરદની કૃતિ પંડિત મોસાઈ આ કૃતિ આમ તો ૧૯૧૪ની સપ્ટેમ્બર ની ૧૫મી તારીખે પ્રકાશિત થઈ હતી. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે અસીત કુમાર હળદરને એકવાર લખ્યું હતું કે પંડિત મોસાઈ વાંચ્યા પછી મેં જે આલતું ફાલતુ વાંચવાનું છોડી દીધું હતું તે પછી આ કૃતિ અને તેની શૈલી એમને એટલે કે ગુરુવર્યને મરુ ભૂમિમાં વિરડી સમાન લાગી. એ દરમિયાન તેમણે શરદને મળવાની ઈચ્છા દર્શાવી કલકત્તા જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બધા મિત્રો શરદને ગુરુવર્યની સામે ખેંચી ગયા.

શરમાળ શરદ તો ગુરુવર્યને જોઈને એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને માનવતામાં ન આવ્યું કે આ કવિ પોતે છે.લાંબી દાઢી ,ખુલ્લા વસ્ત્રો અને સુંદર મિસ્ટ વાણી સાંભળી આ જોઈ તે તેને કોઈ બીજી જ દુનિયાના વ્યક્તિ સમજી બેઠો .આખી જિંદગી એ આ સ્વરૂપને વિમાશી રહ્યો ,બંને ગુરુ શિષ્ય વચ્ચે શું સંવાદ રચાયો એ તો કોઈ જ ન જાણી શકયું .શરદ હવે માનતો થયો હતો કે તેની કૃતિઓ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ જોડે સરખાવવામાં આવે છે .તે પણ મિત્રોને આનંદથી કહેતો કે હું કદાચ જરૂર લખી શકીશ ખરો અને દુનિયાને કંઈક નવું આપ્યા કરીશ ખરો !આમ સમય જતા ગુરુવર્ય એને મળ્યાનો આનંદ તેમના હૃદયમાં વસી ગયો હતો .

આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેને ત્રણ નવલિકા રામેર સુમતિ,પથ- નિર્દેશ અને બિંદૂર છેલે ને બિરાજબહુના પ્રકાશનના સર્વાધિકાર હરિદાસ ચટ્ટોપાધ્યાયને રૂપિયા ૩૦૦માં વેચી દીધી હતી .તે સમયે આ સોદો ખોટો નહતો. તેવી જ રીતે ફણીન્દ્રનાથ મારફત તેણે પરણીતા,પંડિતજી ,ચંદ્રનાથ, કાશીનાથ ,નારીનું મૂલ્ય અને ચરિત્રહીનના પ્રકાશન અધિકાર એમ.સી સરકાર એન્ડ સન્સને આપ્યા.ફક્ત એક જ આવૃત્તિ માટે જ.

ફણીન્દ્રનાથને ખુદને શરદની કૃતિઓ છાપવાની મહેચ્છા હતી,પણ ત્યારે તેઓની પરિસ્થિતિ આ કાર્ય કરી શકે તેમ નહોતી. સુધીરચંદ્ર સરકારે રૂપિયા ૨૦૦ની સહાય પણ કરી હતી .ખાલી તેમનો એક ઉદ્દેશ હતો કે શરદ આ યમુના સંસ્થા સાથે જોડાયેલો રહે. યમુના શરદને કોઈ પુરસ્કાર આપતું નહોતું ,ભારત વર્ષમાં છપાય તો તેને પુરસ્કાર પ્રાપ્ત થાય ભારત વર્ષનું પૂરું જૂથ  તેમનું ચાહક હતું. સમય જતા શરદના અમુક મિત્રો ખૂબ જ વિઘ્ન સંતોષી હતા તેઓએ શરદના કાન ભર્યા. શરદને કહેવાનાં આવ્યું કે બડીદીદીને કારણે ફણીન્દ્રનાથને ઘણો નફો મળ્યો છે,પણ તે તને આપતા નથી. બસ આ વાત શરદે એકદમ સાચી માની લીધી અને તેણે ફણીન્દ્રનાથ સાથે સંબંધો પૂરા કરી નાખ્યા. તેઓ પાછળથી પસ્તાયા પણ. યમુનામાં પછી કોઈપણ કૃતિ છપાઈ નહીં.

શરદ બાબુની દરેક વાર્તા કે કૃતિઓમાં પાત્રો સાથે વાચકો તેમને જોડી દેતા જેમ કે શ્રીકાંત બહાર આવી તો વાચકોએ તેમને શ્રીકાંતના પાત્રમાં જોયા અને શ્રીકાંતની પ્રેયશી તરીકે રાજલક્ષ્મી ને શોધવામાં પણ લોકો ગાંડા થઈ ગયા , પણ એ ક્યાંથી જડે એ પાત્ર તો લેખકનું કાલ્પનિક પાત્ર હતું.લેખકની બાલ્યાવસ્થાની અત્તૃપ્ત કામનાઓની કલ્પના હતી એને એની બચપનની સખી ધીરુનાં આધારે દેવદાસમાં પારોનું સર્જન કર્યું અને પછી શ્રીકાંતની રાજલક્ષ્મી .એવી એક વાર્તા પણ સાંભળવા મળી કે ધીરુનું સાચું નામ રાજ્લક્ષ્મી જ હતું. ઘણાં લોકો હિરણ્યમયીને પણ રાજલક્ષ્મી માનતા.કોઈક સમયે બાબા વેશમાં તેણે હિરણ્યમયીને લક્ષ્મી તરીકે બોલાવી હશે .એના આધાર પર હિરણ્યમયીને કદાચ રાજલક્ષ્મી માનતા હોય ,પરંતુ કેટલાક જિજ્ઞાસુએ પોતાના મનને સંતોષવા તેણીને કેટલા બધાં પ્રશ્નો કર્યા હતાં. આવા પ્રશ્નો સાંભળી તો તે એટલી બધી દુઃખી થઈ કે તેને લોકોને મળવાનું જ બંધ કરી દીધું તે શ્રીકાંતની રાજલક્ષ્મી જેવી સુંદર નહોતી કે વૈભવ સંપન પણ નહોતી નૃત્ય તો બાજુ પર રહ્યું તે વાત પણ નહોતી કરી શકતી તે અબોધ સ્ત્રી હતી ધર્મપ્રિય હતી પતિવ્રતા અને સેવા પારાયણ હતી. શરદ માટે એને અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં .આ રખડું અને નિરાશ પતિને તે પ્રેમથી રાખતી એને દિશાભૂલેલાને રસ્તો નિશ્ચિત કરી બતાવતી. કેટલીએ વાર તે અતિનો શિકાર પણ બની હતી.શરદને માટે તે એક તપસ્યા મય દેવી હતી તેની શ્રદ્ધાએ શરદને એક મહાન સાહિત્યકાર બનાવ્યો હતો.શ્રીકાંતનું પાત્ર તેના જેવું રઝળું છે. શ્રીકાંતનાં અનેક પાત્રો શરદની આજુબાજુ વિટળાયેલા જીવનનાં પાત્રો હતા.શ્રીકાંત લોકોએ વાંચી અને શરદને જ તેનું પાત્ર સમજી લીધું. શ્રીકાંત પુસ્તક માટે પણ તે મૂંઝવણમાં હતા તેને શંકા હતી અને આથી તેને પોતાના પ્રકાશક ને પણ લખ્યું હતું કે એકાંતની ભ્રમણકથા ખરેખર છાપવા જેવી લાગે છે?તેમને હજુ પણ શંકા હતી ,છતાં પણ છપાસે તો લોકો મને તેમાં શોધશે એની ખાતરી છે.આમ શરદ બાબુ લખતા મહેનત કરતા અને છતાંય પોતાની કૃતિઓ માટે થોડા મૂંઝવણમાં પણ રહેતા.

ધીરે-ધીરે રંગૂનમાં તેમનો જીવ લાગતો નહીં તેમણે તેમના મિત્ર હરિદાસ ચટ્ટોપાધ્યાયને પત્ર લખ્યો કે જો તમે ૩૦૦રૂપિયાની મને મદદ કરશો તો હું આવી શકીશ હવે એટલું જરૂર કરી શકીશ કે મારું દેવું એક વર્ષ જો હું જીવ્યો તો બધું ચૂકતે થઈ જશે અને પછી હું એક વર્ષની રજા મૂકી અને લખવાનું કાર્ય હાથે ધરીશ. તેમના મિત્રે તેમને ખરેખર રૂપિયા મોકલ્યા અને એ જ સમયે રંગૂન ઓફિસમાં તેમને એક ખરાબ અનુભવ થયો સુપ્રિટેન્ડન્સ મેજર બર્નાર્ડને એક ફાઈલની જરૂર પડી શરદ તે ફાઈલના શોધી શક્યા અને અંતે તે ફાયલ તેમના જ ખાનામાંથી મળી. તેમને ગુસ્સો આવ્યો અને તેમને શરદને ખૂબ માર માર્યો આ બંનેની તકરાર ને ફરિયાદ અધિકારી પાસે ગઈ અને તપાસ કરતાં ખબર પડી કે મેજરનો જ વાંક હતો અને આથી મેજર ને સસ્પેન્ડ કરાયો અને મેજર પાસેથી રૂપિયા ૯૦નો દંડ પણ થયો.આ રૂપિયા મેજર શરદને આપે એમ નક્કી થયું. આ આ પ્રસંગે શરદનું મન તૂટી ગયું .તેણે રંગુન છોડવાનો દ્રઢ નિર્ણય કર્યો શરીર પણ તેમનું સારું રહેતું ન હતું .એમણે રાજીનામું આપી દીધું એની એક વર્ષની રજા ચડેલી હતી તે રજા લઈને કલકત્તા જવા રવાના થઈ ચૂક્યા.બસ ત્યાર પછી ક્યારેય તેણે પાછું ફરીને બર્મા સામે જોયું જ નહીં . બર્મા છોડતાં પહેલાં તેના ત્રણ પુસ્તકો ૧૯૧૫ની બીજી ડિસેમ્બરે મજલી દીદી ત્યારબાદ ૧૯૧૬ની ૧૫મીજાન્યુઆરીએ પલ્લી સમાજ અને ૧૯૧૬ની બારમી માર્ચે ચંદ્રનાથ પ્રકાશિત થઈ ગઈ હતી.બસ હવે દિશાની શોધ જાણે પૂર્ણ થઈ હતી એવું શરદ બાબુ ને લાગતું હતું .
તેઓ પાછા કલકત્તા ફર્યા. આમ જીવનનાં અમુક વર્ષો તેમને રંગૂનમાં મિત્ર દોસ્તો અને મજબૂરીથી નોકરી માં ગાળ્યા . મિત્રો,આમ હવે શરદ બાબુ એક જાણીતા બંગાળના લેખક બની ગયા.આ શરદ સાહિત્ય એટલું વખણાયું કે તેના અનુવાદો અનેક ભાષામાં થયા હિન્દી ની આવારા મસીહા બહાર આવી અને ત્યારબાદ તેનો અનુવાદ હસમુખ દવે ગુજરાતીમાં કર્યો ગુજરાતી ભાષાનાં ચાહકોએ શરદ બાબુના જીવન વિશે એમાંથી ઘણું ઘણું મેળવ્યું હતું.
મિત્રો, આવતા અંકે તેમના જીવનમાંથી કંઈક નવું જૂનું શોધી આપ સમક્ષ સંક્ષેપમાં લઈને જરૂર મળીશું.
અસ્તુ,
જયશ્રી પટેલ
૧૫/૧/૨૩

હેલીના માણસ – 51 | પ્રારબ્ધ કે પુરૂષાર્થ? | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-51 ‘પ્રારબ્ધ કે પુરૂષાર્થ?’ એની 50મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ – 

સાવ એવું નથી કે મને શું મળ્યું, 

જે મળ્યું એ બધું ખૂબ મોડું મળ્યું! 

છેક લગ એ ઊણપ, એ શિકાયત રહી, 

જે ગુમાવ્યું છે તે ક્યારે પાછું મળ્યું! 

હા નદીકાંઠે પણ ક્યાંક પ્યાસો રહ્યો, 

ક્યાંક રણમાંય દરિયાનું મોજું મળ્યું! 

દ્રાક્ષ પણ કાંકરા જેવી લાગી કદી, 

કાળજું ક્યાંક પથ્થરનું પોચું મળ્યું! 

મારા દીવે પ્રકાશિત થયા છો તમે, 

તમને અજવાળું પણ ઝાંખું ઝાંખું મળ્યું! 

જો ખલીલ આ જે કંઈ મળ્યું છે મને, 

મારી મહેનત અને મારા હકનું મળ્યું! 

ખલીલ ધનતેજવી 

રસાસ્વાદ :

માનવજીવન આશાના સહારે ટકી રહે છે. પળ પ્રતિ પળ એમાં અપેક્ષાઓ ઉમેરાતી રહે છે. એક અપેક્ષાની પૂર્તિ થાય ના થાય ત્યાં બીજી અપેક્ષા ઉદભવતી રહે છે. ધારેલું બધું જ મળી જાય તેવું બનતું નથી. જે મળે તે આપણા ધારેલા સમયે મળે તે પણ શક્ય નથી. દરેક જણને અપેક્ષા પ્રમાણે કંઈ ને કંઈ જરૂર મળે છે. પણ એમ બને કે, જે સમયે જરૂર હોય તેનાથી થોડું મોડું મળે. આ મોડું મળવાની ઘટના કોઈ વાર એટલી હદે મોડી હોય છે કે, મળ્યાનો આનંદ તો દુર મળ્યાનો અર્થ પણ નથી સરતો. કેટલીકવાર તો સમયસર ન મળતી વસ્તુથી માણસ કાયમ માટે વંચિત રહી જાય છે. અને જિંદગીભર એ વાતનો વસવસો દરેકને રહી જાય છે. એ ગુમાવેલી તક ફરી ક્યારેય પાછી નથી મળતી. આપણે જોઈએ છીએ કે, આપણા દેશમાં લાયક વ્યક્તિને જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જો આવો કોઈ એવોર્ડ આપવામાં વધારે મોડું થાય ત્યારે તેને મરણોત્તર એવોર્ડ આપવાનો વારો આવે છે. ખરેખર તો કદર સમયસર થવી જોઈએ. જીવનમાં આવેલી તક અને ગયેલી પળ કદિ પાછી નથી મળતી. છતાં સદનસીબે જો ફરી તક મળે તો મોડી મોડી પણ આશા પુરી થાય છે છતાં પહેલીવાર ગુમાવેલી એ પળ તો પાછી ન આવી એનો વસવસો જીવનભર રહી જાય છે. 

છેક લગ એ ઊણપ, એ શિકાયત રહી, 

જે ગુમાવ્યું છે તે ક્યારે પાછું મળ્યું! 

સમુદ્રમાં નાવડી લઈને નીકળેલો નાવિક સાથે પીવાનું પાણી લઈને ન નીકળે તો આસપાસ આવડી મોટી જળરાશિના હોવા છતાં તે તરસ્યો રહે છે. કોઈ માને કે ના માને પણ નસીબ જેવી વસ્તુ ચોક્કસ હોય છે. નહીં તો ઘણીવાર નદી કાંઠે ઊભેલો માણસ તરસ્યો રહી જાય અને રણમાં ચાલનારાને પાણીની વિરડી મળી જાય તેવી સ્થિતિ માણસની કેવીરીતે બને? આપણાં મનને સમજવું મુશ્કેલ છે. ખૂબજ ભાવતી વાનગી જે જિંદગીભર પૂરા ચાવથી ખાતા રહ્યા હોઈએ, તે પણ જ્યારે મન દુઃખી હોય, ઉદ્વેગમાં હોય, ત્યારે બિલકુલ ભાવતી નથી. તો વળી મન સુખમાં હોય, આનંદમાં હોય ત્યારે ક્યારેય ન ગમેલી વસ્તુ પણ ગમી જાય છે!

દ્રાક્ષ પણ કાંકરા જેવી લાગી કદી, 

કાળજું ક્યાંક પથ્થરનું પોચું મળ્યું! 

કોઈ વિષય શીખવા માટે કોઈ ગુરૂ કે શિક્ષક હોવો જરૂરી છે. એ રીતે મેળવેલું જ્ઞાન ગુરૂ કરતાં શિષ્ય પાસે ઓછા પ્રમાણમાં હોઈ શકે. કારણ કે, ગુરૂને તે વિષયનું જ્ઞાન મેળવતાં વરસો લાગ્યાં હોય છે. સૂરજ કે ચંદ્ર પાસે જેટલો પ્રકાશ હોય છે તેના પ્રમાણમાં ઘણો ઓછો પ્રકાશ આપણને પૃથ્વી પર મળે છે. મુળ સ્રોત દેખીતી રીતે જ વધુ સમૃદ્ધ હોવાનો. સ્વપ્રકાશિત એવો સૂર્ય અને સૂર્યના પ્રકાશના પરાવર્તનથી પ્રકાશતો ચંદ્ર જોઈએ તો ચંદ્ર પ્રમાણમાં ઓછી ગરમી હોવાથી શિતળ છે જ્યારે સૂર્ય પ્રખર ગરમી વરસાવે છે. 

આપણી આસપાસ નજર દોડાવીએ તો એવું લાગે છે કે, અમુક વ્યક્તિઓ ખૂબ કાબેલ હોય છે, બુધ્ધિશાળી પણ હોય છે અને છતાં તેમને તેમની હેસિયતના પ્રમાણમાં સાવ ઓછું મળ્યું હોય. જ્યારે અમુક વ્યક્તિઓ સાવ સામાન્ય હોય, છતાં તેઓને તેમની હેસિયતના પ્રમાણમાં ઘણું વધારે મળ્યું હોય. આવા સમયે વિચાર આવી જાય કે, શું આપણને બધું આપણાં નસીબથી મળતું હશે? પરંતુ એવા કિસ્સા પણ હોય છે જેમાં વ્યક્તિએ પોતાની સખત મહેનતથી જ ઘણુંબધું પ્રાપ્ત કરી લીધું હોય છે. માનવમન જેવા અનુભવમાંથી પસાર થાય છે, તેની અસર  તેના વર્તનમાં જણાતી હોય છે. તે સુખમાં છે કે, દુઃખમાં, તે શાંત છે કે, આક્રોશમાં તે વાતની અસર માનવીના વર્તન પર  જુદીજુદી રીતે પડતી હોય છે. 

આજે આપણે ખલીલ સાહેબની 50મી ગઝલને વાંચી અને માણી.

‘હેલીના માણસ’ આ શ્રેણીની સફર દરમ્યાન જીવનને જાણવા-સમજવા જેવી અનેક વાતો ઉજાગર થઈ. અનેક પાઠ શીખવા મળ્યા. આ ઉપરાંત ગઝલના પઠન અને રસાસ્વાદ દરમ્યાન ગઝલના બંધારણ વિશે પણ જ્ઞાન વધ્યું. કાફિયા, રદિફ, શેર અને શેરિયતની અનોખી પ્રસ્તુતિ માણવા મળી.

આપ સૌને પણ આ શ્રેણી ખૂબ ગમી હશે એમાં શંકાને માટે અવકાશ છે જ નહીં. ગઝલ હોય, તે પણ ખુદ હેલીના માણસની, તે માણી ન શકીએ તો જ નવાઈ!

આજે આપણે આ શ્રેણી ‘હેલીના માણસ’ પુરી કરીશું. આશા છે કે, આપ સૌએ આ સફર માણી હશે. બીજી એક મઝાની નવી જ શ્રેણી લઈને નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 50 | બાંધછોડ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-50 ‘બાંધછોડ’ એની 49મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.   સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

જોને તાળાં પણ હવે લાગી ગયાં દરબારને, 

જો હવે ભંગારમાં વેચી દે આ તલવારને! 

 

એ નહીં ભાંગે તો એની હામ તો ભાંગી જશે, 

એ તને પડકારે એ પહેલાં જ તું પડકારને! 

 

માથે ગોરંભાય છે પણ એ વરસતો કાં નથી, 

વાંસડો લઈ આવને વાદળમાં ગોદો મારને! 

 

એ અચાનક હરતાંફરતાં સ્હેજમાં ફૂટી ગયાં, 

હું અવેરું ક્યાં જઈ પરપોટાના ભંગારને! 

 

બદદુવા દેતો નથી તો પણ નિસાસા લાગશે, 

ખૂબ નિર્દયતાથી તેં ઠુકરાવ્યો મારા પ્યારને! 

 

એ પરાજીત થાય એ પહેલાં હું હારી જાઉં છું, 

મેં હંમેશાં પાછી ખેંચી છે મારી તકરારને, 

 

એનાં સૌ રિસામણાં, એની ખુશી, નારાજગી, 

હું નિભાવું છું ખલીલ એના સળંગ વહેવારને, 

ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

1947 માં આઝાદી મળી ત્યાર પછી 1950માં આપણો દેશ  પ્રજાસત્તાક થયો. તે પહેલાં આખો દેશ નાનાં મોટાં અનેક રાજ્યોમાં વહેંચાયેલો હતો. તે વખતે દરેક રાજયની પાસે અમુક શસ્ત્રસરંજામ રહેતો. રાજ્યો ગયાં ને લોકશાહી સ્થપાઈ પછી રાજ્યો પાસેની તલવારો નકામી પડી. જે વસ્તુનો ઉપયોગ ના રહે તે ભંગાર જ ગણાય. હવે આ ભંગારને કરવાનું શું? પસ્તિવાળાને ભંગાર સાથે વેચી મારવું એ જ ને! કોઈ પણ વસ્તુ જ્યાં સુધી ઉપયોગી હોય ત્યાં સુધી જ તેની કિંમત. પણ હા, ભંગારમાં પણ અમુક વસ્તુઓ જ લઈ જાય છે. આમ તો કોઈ તુટેલી ફુટેલી વસ્તુ એટલે ભંગાર. પણ પરપોટો ફુટે તેનો ભંગાર થાય ખરો? થાય તો પણ એને કોણ લઈ જાય? 

કહેવાય છે કે, પહેલો ઘા રાણાનો. યુધ્ધ જો અનિવાર્ય જ હોય તો સામેવાળાની કે, તેના હુમલાની રાહ  જોવાને બદલે આપણે પોતે હુમલો કરી દઈએ તે વધુ યોગ્ય રહે. કોઈ શા માટે આપણને પડકારને? હુમલાના સતત ડરથી આપણી હામ ભાંગી પડે તે પહેલાં આપણે જ પડકાર ફેંકીને આપણો હાથ મજબૂત કરી લેવો એ હિતાવહ ગણાય. 

ચોમાસુ હોય છતાં કેટલીક વાર એવું બને કે, ઘનઘોર ઘટા છવાઈ જાય, ગગન ગોરંભે ચઢે, કાળાં ડિબાંગ વાદળો એકબીજા સાથે અથડાઈને ગાજે, એ ગર્જના સાથે કડાકાભેર વિજળી પણ ચમકે, આ બધું થાય પણ વરસાદ ના પડે! આવામાં આપણને દલપત પઢિયારનું આ ગીત યાદ આવી જાય. 

ગગન ચઢ્યું ગોરંભે એક પડે ના ફોરૂં, 

તારે ગામે  ધોધમાર ને મારે ગામે કોરૂં, 

 આવામાં આકાશમાં ઘેરાયેલા વાદળને વાંસડા વડે ગોદો મારીને વરસાદને લાવવાની વાત ખલીલ સાહેબ જ કરી શકે. એમનો આ શેર જોઈએ – 

માથે ગોરંભાય છે પણ એ વરસતો કાં નથી, 

વાંસડો લઈ આવને વાદળમાં ગોદો મારને! 

 

છોરૂં કછોરૂં થાય પણ માવતર કમાવતર ના થાય. એ વાત તો સાવ સાચી, સૌએ જોયેલી, જાણેલી અને અનુભવેલી. પણ આ બાબતે સંતાનોએ નિશ્ચિંત બનવાની જરૂર બિલકુલ નથી કારણ કે, માવતર ના ઈચ્છે છતાં પણ જો તમારા નિર્દયી વર્તનથી તેમની આંતરડી કકળશે તો તેઓ નિસાસા નાખે કે ના નાખે, તેમના દિલમાંથી નિકળેલી હાય તમને ચોક્કસ લાગશે. ખુદ માવતર કે પ્રેમી ઈચ્છે તો પણ એ હાયની અસર ટાળી નહીં શકે. 

કોઈ પણ સંબંધ સચવાઈ રહે તે માટે બન્ને પક્ષે પ્રયત્ન કરવો પડે છે. એક બીજાનાં મન સાચવવાં પડે છે. અહીં મોટેભાગે દરેકનો વ્યક્તિગત સ્વભાવ સારો એવો ભાગ ભજવે છે. એવું પણ બને છે કે, બેમાંથી એક વ્યક્તિ વધુ સહકાર આપતી રહે અને બીજી વ્યક્તિ તેમ કરવામાં ઊણી ઉતરે. સંબંધનું મહત્ત્વ હોય તો સહકાર આવશ્યક છે. પછી ભલે તે એક પક્ષીય કેમ ન હોય. જે પ્રેમાળ છે સમજદાર છે તે બીજી વ્યક્તિની ખુશીનો ખ્યાલ રાખે છે. કઈ વાતથી તે નારાજ થશે તે વિશે સજાગ રહે છે. ટુંકમાં એ ગમે તેવો વહેવાર કરે તેને પોતાનું ગણીને નિભાવી લે છે. બન્ને પક્ષે વારાફરતી આવી સમજપૂર્વકની વર્તણૂક કરવામાં આવે તે જરૂરી હોય છે.  તો જ સંબંધ ટકી શકે છે. પણ દરેક વખતે તેમ થતું ન હોય તો છેવટે કોઈ એક પક્ષે બધું સંભાળીને સંબંધ ટકાવી રાખવો પડે છે. 

એનાં સૌ રિસામણાં, એની ખુશી, નારાજગી, 

હું નિભાવું છું ખલીલ એના સળંગ વહેવારને, 

આમ જીવનના કોઈપણ સંબંધને સાચવવા માટે, સ્નેહ. અને સહકાર જેટલાં જરૂરી છે તેટલી જ જરૂરી છે બાંધછોડ, જતું કરવાની ભાવના. મિત્રો, કોઈને માટે, કોઈની ખુશી માટે કંઈક જતું કરવાથી આપણને પણ ખુશી મળી શકે છે. આવી વાતો લઈને આવેલી આ ગઝલ આપને ગમી? વધુ એક મસ્ત ગઝલ લઈને ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

 



*વિસ્તૃતિ…૪૩* *જયશ્રી પટેલ*



ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયાં કે મિત્રો સત્યેન્દ્ર
નલિની પર સામાન્ય શુદ્ર વાત પર ક્રોધ કરી, રિસાયને તેનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડી ચૂક્યો હતો. વળી ધીરે ધીરે નલિની અને સરલાની વચ્ચે તુલના કરી તેની અવગણના કરવા લાગ્યો.
એક દિવસ નલિનીનાં ભાઈને બોલાવી તેના પિયર વિદાય કરી દીધી સાથે તેની દાસી માંતગીને પણ વિદાય કરી. સત્યેન્દ્રને કોઈ દુઃખ નહોતું તે પોતાના અભિમાનને પંપાળી રહ્યો હતો મનને બહેલાવી રહ્યો હતો. માએ નલિનીને પાછી બોલવવા કહ્યું નહિતો કાશી જવાની ધમકી આપી તો તેણે માને જવા માટે વ્યવસ્થા કરવાની
વાત કરી માનું પણ અપમાન કરી નાંખ્યું!
બે ત્રણ મહિના પછી સત્યેન્દ્રને ખૂબ પસ્તાવો થયો. ક્ષણભર નલિની વગર ન રહી શકનારો સત્યેન્દ્ર છટપટવા માંડ્યો , નલિનીના પત્રની રાહ જોવા લાગ્યો. નલિની પણ શુદ્ર કારણે મળેલી સજા હવે ન સહી શકી.
મનમાં વિચારવા લાગી કે વાંક શું? હવે નહિ સહે. વાતને છ મહિના વિતી ગયા. સત્યેન્દ્રે નવા લગ્ન કરવાનો નિર્ણય કર્યો, એમ કરી તે નલિનીની સાથે ભયંકર અપમાન કરી બદલો વાળવા માંગતો હતો. માને આ વાત મંજુર નહોતી તે કાશીવાસ ઈચ્છતી હતી. તેણે પુત્ર પાસે ભીખ માંગી મને આ યાતનામાંથી મુક્ત કર. સત્યેન્દ્ર હવે પહેલાં જેવો સરલાનો પ્રેમાળ પતિ નહોતો રહ્યો કે ન તો તે નલિનીનો સમજુ પતિ રહ્યો હતો તે તો પ્રતિશોધની જ્વાળામાં બળતો એક પુરુષ હતો. આખરે પોતાનું ધાર્યું કરનારો અંહકારી પતિ બની ગયો. ત્રીજા લગ્ન કરી તે ગિરીબાલાને લઈ જ આવ્યો. મા પોતાના પતિ હરદયાલમિત્ર ને યાદ કરી રડી પડી , નલિની જેવી ગુણિયલ વહુને યાદ કરી વધુ અશ્રું વહેવા લાગ્યા. ગિરીબાલા મુહફટ હતી. અવિચારી વાણી હતી એની.
લગ્ન સમયે તે કાંઈ ન બોલી પણ પછી તે માનસન્માન ન રાખતી. તેઓની લગ્નની ફૂલસજ્જાની રાત્રે ગૃહિણીને મળવા કોઈ મોટા ઘરની ભેટ સોગાદ લઈ આવી પહોંચ્યું. ગૃહિણીએ તેમાંથી મિઠાઈ વહેંચી દીધી. બનારસની સાડી ને ઊંચા પ્રકારના મલમલના કોટ ને ધોતી , દર દાગીનાની ભેટ કોઈ મિત્રે મોકલી છે જાણી સત્યેન્દ્રને નવાઈ લાગી.
ઘરમાં ગુસરપુસર નોકર નોકરાણીઓ વાતો કરી રહી હતી, મહોલ્લાની સ્ત્રીઓ એ નલિનીને કુલક્ષણા કહી. આ સાંભળી ગૃહિણી ખૂબ જ ક્રોધિત થઈ ગઈ. તેણે પુત્ર પાસે જીદ કરી નલિનીને બોલાવી મંગાવવા માટે.
આવેલી ભેટ સોગાદ જોતા સત્યેન્દ્રે ક્રોધિત થઈ તેનો ઇન્કાર કરી દીધો. મા દરવાજા બંધ કરી ગણગણતી રહી મારી પુત્રવધૂ કુલક્ષણા નથી. તેનું દર્દ સમજવા કોઈ નહોતું. માંતગી જ ભેટ લઈ આવી હતી તેને અંદર બોલાવી તેની પાસે નલિનીનાં હાલચાલ પૂછ્યા, તેમજ નલિની ને સત્યેન્દ્રના સામાન્ય ઝઘડામાંથી વણસેલી વાતની માહિતી આપી. ગૃહિણી પુત્ર સત્યેન્દ્રને માફ ન કરી શકી.તેની નજર બનારસની સાડી પર પડી. ખૂબ કિંમતી હતી પણ તેના પાલવે બાંધેલી ચબરખી ખોલી. વાંચતા ને અક્ષર ઓળખતા સત્યેન્દ્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો. તે નલિનીની ચિઠ્ઠી હતી. ગિરીબાળાને લખી હતી અને સત્યેન્દ્ર સાથે સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. ગિરીબાળાને નાની બેન ગણી ઘણી સરસ ભેટ મોકલી હતી. સત્યેન્દ્ર તે રાતે સૂઈ ન શક્યો તેનો ત્રીજો વિવાહ બોજ બની ગયો.
બે ચાર મહિના વિતી ગયા ને એક દિવસ ટપાલી એક પાર્સલ આપી ગયો. જેમાં એક વિંટી હતી અને એક પત્ર હતો. નલિનીનો ને એક પત્ર તેનાંભાઈ નરેન્દ્રનો હતો.
પવિત્ર ગંગા જેવી સતી જેવી નલિની મૃત્યું પામી હતી. તેણે સત્યેન્દ્રની આપેલી વિંટી ગિરીબાળા માટે પાછી મોકલી હતી. સત્યેન્દ્રને શીખ મોકલી હતી મારી નાની બેન ને દુઃખ ન પડે તે માટે સલાહ સૂચન કર્યા હતા.
સત્યેન્દ્રને હવે પસ્તાવો થઈ રહ્યો હતો, મા તો આ સમાચાર જાણી કાશી પ્રયાણ કરી ગઈ હતી. સત્યેન્દ્ર એક બોજ ભરી જીવન વંઢોરી રહ્યો હતો. તે સમાજ જેવો
કઠોર વિચાર શૂન્ય ધરાવતો સામાન્ય માનવી બની ગયો હતો.
મિત્રો , કરુણાંત ભરી આ વાર્તામાં સત્યેન્દ્ર દ્વારા અહમને દર્શાવે છે તો નલિની દ્વારા ધીરજ ને સહનશક્તિ
સહીને સ્વમાન ને દર્શાવે છે. એક નાનો મનભેદ કેવો બોજ બની જાય તે આ વાર્તાનું મૂળ કથન છે.
આવતા અંકે ફરી કંઈક નવીન શરદબાબુ વિશે તેમના આલેખન ને બંગાળી સમાજને સ્પષ્ટ આલેખતી વાર્તા વિશે જાણીશું.
(સંપૂર્ણ)

અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૧/૧૨/૨૨

હેલીના માણસ – 49 | નફરત છે દિલમાં | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-49 ‘નફરત છે દિલમાં’ એની 48મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

મારી પ્રતિષ્ઠા ક્યાંય ગળે ઊતરે નહીં, 

મારા જ ગામલોકો મને ઓળખે નહીં! 

 

મારો શિકાર કરવાની હિંમત જો હોય તો, 

ઊભા રહો જમીન ઉપર માંચડે નહીં! 

 

આશિક છું હું મોહતાજ નથી તારા પ્રેમનો, 

એવું તે ક્યાં છે તારા વગર ચાલશે નહીં! 

 

આંધી તૂફાન જોઈ જે પાછાં વળી ગયાં, 

એ તો કોઈ બીજા જ હશે આપણે નહીં! 

 

નફરત છે દિલમાં હોઠે છે સંદેશ પ્રેમનો, 

અમને તો ભાઈ એવી રમત આવડે નહીં! 

 

શાયર છું મારા ખાતે જમા શાયરી જ છે, 

થાપણ તો ચોપડીમાં મળે ચોપડે નહીં! 

 

ત્યાં લગ ખલીલ આમ ભટકશે એ ચોતરફ, 

જ્યાં લગ હ્રદયને ઠેસ કશે વાગશે નહીં! 

ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

ખરેખર, આપણું બાળપણ જ્યાં વિત્યું હોય, તે ગામ, ફળીયુ, ગામનું પાદર અરે, ગામની માટી અને એનો કણેકણ સાવ પોતાનાં થઈ પડે! યાદ છે? ગામના લોકો આપણાં નામને લાંબુ કરીને કે પછી સાવ ટુકું કરીને આપણને બોલાવતા! આવી બધી વાતોનાં સંભારણાં પણ મીઠાં મીઠાં લાગે! કિરણને બદલે કિરણીયા કે, રાધાને બદલે રાધાડી કે, પછી રાજેન્દ્ર કુમારને બદલે રાજલા! એમાં આપણાં નામના ઉચ્ચારમાં ભળેલો પ્રેમ જીવનભરની મુડી બની રહે છે. આમાંનો કોઈ રાજલો કે કિરણીયો મોટો સાહેબ થઈને ગામમાં જાય તો તેને કોઈ ઓળખે નહીં. અને તેની આ સાહેબગિરી કોઈના ગળે ના ઉતરે તેવું પણ બને પણ તેને તો પેલું ગીત સાકાર થતું લાગે કે, 

સાલા મૈં તો સા’બ બન ગયા, 

સા’ બ બનકે કૈસા તન ગયા! 

યે રૂપ મેરા દેખો, યે શુટ મેરા દેખો 

જૈસે ગોરા કોઈ લંડનકા….. 

પણ એવું બને કે, બાળપણના દોસ્તોમાંથી ઘણાં તેની સાથે સ્પર્ધા કરતા પણ જણાય. આ સ્પર્ધા તંદુરસ્ત, ચોખ્ખી હોય તો આવકાર્ય થઈ પડે. બને કે, કોઈ અદેખાઈ પણ કરે અને નુકસાન પહોંચાડવા કંઈ કરે તેવું પણ બને. ખરેખર સ્પર્ધા જ કરવી હોય તો સામસામે ઉભા રહીને કરવી જોઈએ. પાછળથી વાર કરવો, કે નુકશાન પહોંચાડવું એ ક્યાંનો ન્યાય? એ દોસ્તી કહેવાય? 

મિત્રતા એ તો પ્રેમનો સંબંધ છે. બન્ને પક્ષે એ નિભાવવો પડે. એમાં કોઈ એક, બીજાનો મોહતાજ હરગીઝ નથી હોતો. કે એના વગર ન જ ચાલે તેવું પણ નથી હોતું. હોય છે તો માત્ર પ્રેમ. આવા સંબંધો આડે આવતી કોઈ સમશ્યા જ્યારે આડખીલી રૂપ બને અને તે દોસ્તી પર હાવી બને, ત્યારે તેનાથી હારી જવાય અને પછી સંબંધ પડે ખતરામાં! પણ આવા સંજોગોમાં હારે એ બીજા. સાચા મિત્રો નહીં, સાચા સગા કે સંબંધી નહીં. કોઈ પણ સંબંધમાં નિખાલસતા હોવી જરૂરી હોય છે. એમાં પછી ‘મુખમાં રામ બગલમાં છરી’ વાળી દાનત ન ચાલે. મોઢે મીઠી વાતો કરીને મનમાં દુશ્મનાવટ પાળતા હોય એ તો બિલકુલ ના ચાલે. 

મારો શિકાર કરવાની હિંમત જો હોય તો, 

ઊભા રહો જમીન ઉપર માંચડે નહીં! 

ખલીલ સાહેબ કહે છે, હું શાયર છું તો મારી પાસે મિલકતમાં માત્ર શાયરીઓ જ જમા હોવાની. પૈસા તો બેંકના ખાતામાં હોય, કોઈ ગઝલની કે ગીતની ચોપડીમાં તો ન હોય ને? કોઈ પોતાની મસ્તીમાં જ રહે અને ફર્યા કરે. દુનિયાદારીની કોઈ ફિકર જ ના કરે. પણ આવું ચાલે ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ એવો બનાવ બની જાય કે, તેના દિલને જોરદાર ઠેસ વાગે, બસ પછી તે સાવ બદલાઈ જશે. પોતાના દેખાવાથી પણ અને સ્વભાવથી પણ. તે ખુદ તેના આગવા બદલાયેલા પોતાપણાંથી  તે જાણે અલગ થઈ જશે. 

શાયર છું મારા ખાતે જમા શાયરી જ છે, 

થાપણ તો ચોપડીમાં મળે ચોપડે નહીં! 

મિત્રો, દુનિયા આપણને અનેક જુદાજુદા રંગો બતાવતી રહે છે. આપણાં પર એની અસર પણ થતી રહે. પણ અહીં મક્કમ રહેવું જરૂરી છે. બીજાથી ડરીને કે. બીજાની શેહમાં આવીને કે પછી કોઈ લોભામણાં પ્રલોભનથી આકર્ષાઈને આપણો પોતાનો સત્યનો માર્ગ છોડવો ન જોઈએ. આવી અનેક વાતો લઈને આવેલી આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. બીજી એક તગડા શેરવાળી ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.

રશ્મિ જાગીરદાર