
ભલે પધાર્યા!
“સાંજે શું કરે છે, મિહિર?” સામે છેડેથી ધવલનો રણકતો અવાજ ફોન ઉપર સાંભળ્યો. ધવલ મારો નાનપણનો દોસ્ત અને અમે કૌટુંબિક મિત્રો એટલે સિંગાપુરથી હું જ્યારે મુંબઈ આવું એટલે ધવલ અને તેના પરિવાર સાથે મુલાકાત અચૂક થાય. તેના પરિવારના બધાજ પ્રેમાળ અને લાગણીસભર એટલે વારંવાર મળવાનું મન થાય અને એમાં ખાસ તો તેના માતાપિતા શશિકાન્તભાઈ અને મીનાબેન (અમારા માટે શશિઅંકલ અને મીનાઆન્ટી)!
“તારા માટે નવરો જ છું, રાજા! બોલ ક્યાં લઈ જાય છે?” મેં ગમ્મત કરતા જવાબ આપ્યો.
“Be ready for a surprise! તને પાંચ વાગ્યે લેવા આવું છું” કહી ધવલે ફોન મુક્યો.
આખી બપોર સાંજની આતુરતામાં પસાર થઈ. મને પ્રસંગની ખાતરી નહોતી તેથી મેં મારા સારામાં સારા કપડાં પહેર્યા. સાંજે ધવલ ગાડીમાં મને લેવા આવ્યો અને મને સુસજ્જ તૈયાર થયેલો જોઈ હસવા લાગ્યો. મેં કહ્યં “કેમ ભાઈ – શર્ટ ફાટેલું છે કે ખરાબ છે?” તે હસતા બોલ્યો “ના..ના .. પણ કદાચ ખરાબ થશે. આવ બેસ” કહી હસતા હસતા ગાડીનો દરવાજો ધવલે ખોલ્યો. હું માથું ખંજવાળતા ગાડીની સીટ પર ગોઠવાયો. ગાડી મુંબઈના નામાંકિત વિસ્તારમાં ફરી અને નવા ચણાયેલા વિશાળ બિલ્ડિંગમાં દાખલ થઈ.
” આ ક્યાં આવ્યા આપણે?” મેં ધવલને પૂછ્યું.
“આજ તો છે સરપ્રાઇસ. આપણે આ બિલ્ડિંગમાં ઘર નક્કી કર્યું અને એ દેખાડવા તને અહીં લઈ આવ્યો છું. હજી રૅનોવેશનનું (નવીનીકરણ) કામ ચાલે છે. ચાલ ઉપર” કહી ધવલે પ્રવેશ લોબી તરફ ઈશારો કર્યો.
હું ધવલને ભેટી પડ્યો અને ખુબ અભિનંદન આપ્યા. હું જાણતો હતો કે ધવલનો ઉછેર મધ્યમ વર્ગીય હતો પણ વિચારે તે ખુબ પ્રગતિશીલ હતો. ધવલ અને તેના ભાઈએ નાની વયથી ધંધાકિય સાહસ કર્યું અને નીતિથી ધંધો વિક્સાવ્યો સાથે શશિઅંકલનું સચોટ માર્ગદર્શન અને તેમની વ્યવહાર કુશળતા ભળી એટલે સારી સફળતા મળી. નાણાકીય અને પારિવારિક મુશ્કેલીઓ તો આવી પણ ખુબજ સ્થિરતાથી ગુંચવણ ઉકેલતા ગયા. તેમણે માણસાઈ ને પૈસા કરતા વધારે પ્રાધાન્ય આપ્યું અને એટલે મા શારદા અને લક્ષ્મી બન્નેની કૃપા રહી.
ધવલ એક પછી એક રૂમ દેખાડતો હતો. રૅનોવેશન કામ ચાલુ હતું. શશિઅંકલ પણ સાથે હતા. ઘરની એક અલગ જગ્યા તરફ આવી શશિઅંકલ બોલ્યા “આ જગ્યા અમે ખાસ મહેમાનો માટે રાખી છે. મને મિત્રોને ઘરે બોલાવી જમાડવા ગમે – સુખ દુઃખની વાત કરવી ગમે. એટલે છોકરાઓને ખલેલ ન થાય એ રીતે અહીં અમે અમારા મિત્રો સાથે હળી-મળી શકીયે અને બહારગામના મિત્રો અને સગાવહાલાઓ ને ઘરે ઉતારો પણ આપી શકે.”
આવા માણસ ભૂખ્યા લોકો હવે સંસારમાં ક્યાં જોવા મળે છે? ‘રોટલો મળે પણ ઓટલો ન મળે’ એવા મુંબઈમાં મિત્રો અને સ્વજનોનો માટે રોટલો અને ઓટલો ફાળવવો એ બહુ જૂજ જગ્યાએ બને. સવાલ ક્ષમતાનો નહિ પણ ભાવ અને હોંશનો છે. શશિઅંકલની વાત સાંભળતા મને મારા દાદા અને પિતાની વાત યાદ આવી ગયી. મારા દાદા કાપડ બજારના દલાલ હતા અને અને સ્વભાવે ખૂબ મળતાવડા એટલે તેમના ઘણા મિત્રો હતા. બજારમાંથી ઘરે પાછાં ફરતા ક્યારેક તેમની સાથે કોઈ મિત્ર જોડાયો હોય અને ઘરે આવતાજ મારા દાદી ને કહે “રંભા.. શિરો હલાવજો. આર-52 (ઉંચા પ્રકારના કાપડ ઉપરથી મિત્રનું કોડ નામ પડતું) સાથે આવ્યા છે”. આવો જ વારસો મારા પિતાજીએ કાયમ રાખ્યો. સાહિત્ય સમ્મેલનથી ઘરે પાછા વળતા તેમની સાથે સાહિત્યિક મિત્ર જમવામાં હોયજ, પછી તો ઉંમર જતા ઘરે પિતાજીને મળવા દરરોજ ઘણા લોકો આવતા. બધાને પિતાજી ચા નાશ્તો કરાવતા. કેટલાકને જમાડતા પણ. પિતાજી કહેતા કે શરુવાતના વર્ષોમાં તેમના અમદાવાદના સાહિત્યિક વર્તુળના મિત્રો મુંબઈ આવી ઘણો સમય સાથે રહેતા અને પિતાજી પણ અમદાવાદ તેમને ત્યાં જઈ રહેતા. સાહિત્ય સાથે એક બીજાના જીવનની નાની મોટી વાતો અને ઘટનાઓની આપ-લે થતી અને સબંધો વધારે ગાઢ બનતા અને વર્ષોના સંભારણા બની રહેતા. જ્યાં એકબાજુ પિતાજી તેમના મિત્રોને આવકારતા ત્યાં નાનપણથી મેં જોયું હતું કે મમ્મી ઘરે આવતા કામ વાળા બહેનો-ભાઈઓને જમાડ્યા વગર પાછા ન મોકલતી. ઘણીવાર તો તમને આગ્રહ કરીને જમાડતી – અમને જરા અજુગતું લાગતું. પણ મમ્મીનું માનવું હતું કે આપણે માણસોનું પેટ ઠારશું તો આપણું પેટ પણ ઠરશે. એમાંય જે બહેનો કચરા સાફ કરવા આવતા, દૂધ આપવા આવતા એનો તે ખાસ ખ્યાલ રાખતી.
રહીમ સાહેબ કહે છે .. “રહિમન ઇસ સંસારમેં સબ સો મિલીઓ ધાય.. ના જાને કેહિ રૂપ મેં નારાયણ મિલિ જાય”. આપણે અતિથિ દેવો ભવઃ કહીએ છે અર્થાત્ અતિથિમાં દેવ જોવા. જ્યારે રહીમ સાહેબ કહે છે કે ખુદ દેવ અતિથિ નું રૂપ લઈ આવી પધારશે માટે કોઈની અવગણના ન કરો – ભલે આપવા માટે આપણી પાસે બોર હશે પણ દાનત જો શબરીની હશે તો રામ જરૂર આપણી કુટિયામાં પધારશે.
મુંબઈ જેવા શહેરમાં ઘરમાં મહેમાનનો આવરો જાવરો પુષ્કળ હોય. ક્યારેક એટલો બધો હોય કે તેમનાથી ભાગી જવાનું મન થાય. એમ થાય કે અતિથિ તુમ કબ જાઓગે? એટલે કેટલાક રજામાં ખાસ બહારગામ નીકળી જાય. બાર વર્ષ પહેલા અમે મુંબઈ છોડી પરદેશ રહેવા આવ્યા, ત્યારે શરુવાતમાં ત્યાંની નવી જગ્યા જોવી અને માણસોને મળવું ખુબ ગમતું. પણ પછી અમે મહેમાનોને ‘મિસ’ કરવાનું શરૂ કર્યું (પોતાની ખરી પ્રકૃતિ ઓળખાઈ). હજી નવા મિત્રો એટલા બન્યા ન્હાતા એટલે યજમાનના હોંશ પુરા નહોતા થયા. ત્યાં ખબર આવ્યા કે મુંબઈથી અમારી ખાસ મિત્ર બિજલના માતાપિતા સિંગાપોર આવી રહ્યા હતા અને અમારી સાથે થોડા દિવસ રહેવાના હતા. અમે ખુબજ આનંદમાં આવી ગયા અને અમારા સિંગાપોરના પહેલા મહેમાનના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. ત્યારે અમારા મનમાં એક જ વાતનું રટણ હતું : “અતિથિ તુમ કબ આઓગે?”
આપણે ઘણી વાર સાંભળ્યું છે કે પહેલાના સંબંધો બહુ જ સહજ હતા – તેમાં ઔપચારિકતા ન હતી અને માણસ-માણસ વચ્ચે પ્રેમ અને લાગણીનું જોડાણ હતું. મને લાગે છે કે આજે પણ આ જોડાણ તો છે પણ તેના ઉપર ભૌતિક જીવનની પ્રાથમિકતાઓના આવરણ આવી ગયા છે અને એટલેજ તેનું અવમૂલ્યન થતું વર્તાય છે. આપણે આ આવરણો ખસેડી દઈએ તો અનુસંધાન પાછું સ્થાપિત થઈ જશે.
-મિહિર ચંદુલાલ સેલારકા
સિંગાપોર (26-Apr-2022)