વિસ્તૃતિ…૪૬ -જયશ્રી પટેલ.


શરદબાબુની પ્રથમ વાર્તા મન્દિર જ્યારે તેમણે સ્પર્ધામાં મોકલી ત્યારે પોતાના મામાને નામે મોકલી હતી ને તે પ્રથમ આવી હતી.તેઓ વાર્તા લખી બહાર મૂકતા તો તે મૂંઝાતા. તેમને ડર રહેતો કે કોઈને પસંદ નહિ આવે તો? આ વાત તે આપણે આગળ જોઈ ગયા છીએ. ખૂબ શોધ બાદ મને મન્દિર વાર્તા ટૂકડે ટૂકડે મળી જે આજે હું આપની સામે ગુજરાતીમાં સંક્ષિપ્તમાં લઈને આવી છું.
નદી કિનારે કુંભારના બે કુટુંબ રહેતા હતાં. બન્ને ઘરમાં બધી જ વ્યક્તિ માટી લાવવાથી લઈ તેને સાંચામાં ઢાળી વાસણ, રમકડાં બનાવતાં. ભઠ્ઠામાં તપાવી તેને સુંદર રંગરોગાન કરી વેચતા. તેમની સ્ત્રીઓ પણ રસોઈ માંથી પરવારી ભઠ્ઠામાંથી રમકડાં કાઢી તેને કપડાંથી સાફ કરતી. આમ આજ ધંધાથી તેમની રોજીરોટી ચાલતી. ત્યાં એક બ્રાહ્મણનો રોગગ્રસ્ત પુત્ર શક્તિનાથ પણ આવતો. તેણે કુંભારોના ઘરમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે કુંભારને તેના ઘરવાળા બધાં જ રમકડાંને રંગ કે શાહી લગાવતા તો કોઈવાર ભ્રમર રહી જતી તો કોઈવાર હોઠ, આંખો , કાન કે નાક રંગાયા વગર જ વેચવા લઈ જવાતાં. શક્તિનાથ પોતે આ બાબતમાં કુંભારને કહેતો કે સરકાર આને રંગરોગાન વ્યવસ્થિત રીતે કરો. જવાબ મળતો કે ગમે તેટલું સુંદર રૂપ આપીશું તો પણ તે વેચાશે તો એક પૈસામાંજ. આ વાત મમળાવતો તે ઘરે જતો, હાથમાં રહેલા ચણા મમરા અડધા વેરતો અડધા ખાતો ખાતો વિચાર મગ્ન થતો. ક્યારેક વાત સાચી લાગતી કે માટીનાં રમકડાં પાછળ કેટલાય પૈસા વાપરે પણ તે તૂટી ફૂટી જ જાય ને! ઘરમાં જતાં જ જોતો કે પિતા નથી , મધુસૂદન તો પૂજા પાઠ કરવા ગયાં હતા. ઘરમાં આવેલું બધું સીધુ એમાં પડ્યું હતું, ઘર સીધું સાદું હતું. કોઈ સાજ શ્રીંગાર ઘરમાં નહોતા. એક સ્ત્રી વગરનું ઘર વેરવિખેર પડ્યું હતું. તે આચરકૂચર ખાય બાપ બેટો પેટ ભરતા.ઘર કરતાં વધુ તે જંગલ લાગતું. ધીરે ધીરે સરકાર મહાશયે શક્તિનાથને રમકડું રંગતા શીખવવા માંડ્યું ને તે ખુરપી , માટી ગૂંદવું વગેરે કાર્ય પણ કરતો. તે એક રમકડું રંગવા અડધો દિવસ કાઢી નાંખતો તો પણ તેનું રમકડું એક પૈસામાં જ વેચાતું. કોઈ કોઈ વાર સરકાર તેની તસલ્લી ખાતર કહેતા કે તે બે પૈસામાં વેચાયું .તો તેની ખુશીનો પાર ન રહેતો.આમ દિવસો નીકળી રહ્યાં હતાં. શક્તિનાથના પિતા પણ ખૂબ બિમાર રહેતાં. તે પણ મા વગર માંદો સાજો રહેતો તેની તરફ ધ્યાન આપવાવાળું કોઈ જ નહોતું. આ ગામનાં જમીંનદાર કાયસ્થ હતા. તેમનું ઘર ખમતીધર હતું. સુંદર સજાવટ ભર્યું હતું. તેમના ઘરમાં એક સુંદર નકશીદાર મન્દિર હતું. તેમાં સુંદર રાધા ને મદનમોહનની મૂર્તિ સિંહાસન પર બિરાજમાન હતી. અન્ય દેવી દેવતા પણ તેમાં બિરાજમાન હતાં. તેમને તાજા સુગંધીદાર ફૂલો ચઢતાં ,ફૂલોનાં હારથી સજાવટ થતી. ચંદન અગરબત્તી ધૂપની સુગંધથી આખો ઓરડો મહેંકી જતો. જાણે વૃંદાવન જ જોઈ લો. જમીનદાર રાજ નારાયણ

મંદિર પાસે પૂજા પાઠ કરતા ને મધુસૂદન મહારાજ પાસે પણ કરાવતા. ક્યારેક જમીનદાર પ્રભુની પ્રાર્થના કરતા રડી પડતાં કે તેમના પછી દીકરીની સંભાળ કોણ કરશે!
નાની દીકરી અપર્ણા આ દ્રશ્ય અનિમેષ જોયા કરતી. પિતાજીની આસપાસ દિનચર્યા જોઈ હવે ધીરે ધીરે તે હવે ચીવટ ચોકસાઈથી પૂજા પાઠ કરતી, કરાવતી ને મન્દિરમાં નાનું સૂકું તૃણ પણ પડેલું જોતી તો ન ચલાવી લેતી. જો પાણીનું ટીપું પણ પડેલું જોતી તો તેને પણ પોતાના વસ્ત્ર કે પાલવથી સાફ કરી દેતી. તે પ્રભુમાં લીન થઈ જતી. તેની આ બધી ક્રિયા જોઈ બ્રાહ્મણ મધુસૂદન ને જમીનદાર ચિંતામાં પડી ગયાં. જમીનદારે તેના માટે સરસ ખાનદાની જમાઈ અમરનાથને શોધી કાઢી વિવાહ નક્કી કરી દીધાં. દીકરી અર્પણા પણ એક કહ્યાગરી દીકરીની જેમ લગ્ન કરી સાસરે વિદાય થઈ. મિત્રો, અહીં વાર્તાનો મધ્યાહ્ન આવે છે. પાત્રો બધાં સુંદર રીતે ગોઠવાય ગયા છે. અર્પણાનાં પાત્રમાં એક સુંદર સ્ત્રી પિતાની ચિંતામાં જ સાસરે જાય ત્યારે તે તેની પાઠપૂજાની તેના મન્દિરની બધી જ વાતો વિચારતી. બીજી બાજુ મા વગર પૈસાના અભાવ સાથે જીવતો બિમાર મધુસૂદનનો દીકરો શક્તિનાથ પણ મોટો થઈ રહ્યો છે. પિતા સાથે તે પાઠપૂજા કરતા શીખતો પણ તેનું ધ્યાન તો પેલા રમકડાં રંગવામાં જ રહેતું. શરદબાબુની આ વાર્તા આગળ શું કહે છે આપણે આવતા અંકમાં જોઈશું. મિત્રો, આ વાર્તાને સવાસો વર્ષનો ગાળો વિતી હયો છે, પણ વાર્તા જ્યારે પહેલીવાર સાંભળી ત્યારે એવું જ લાગ્યું જાણે કાલે જ લખાય છે.

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૨/૧/૨૩

વિસ્તૃતિ …૪૫ જયશ્રી પટેલ.


વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહામાંની વિશાળ માહિતીને સહારે સંક્ષિપ્ત આલેખન આપ સમક્ષ લઈને આવી છું.
આપણે આગળ જોઈ ગયા તેમ મિત્રો તેમને પણ બે મિત્રો એવા અંગત મળ્યા કે વર્ષો સુધી તેમની સાથે તેમની દોસ્તી રહી .એ જ અરસામાં એમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થઈ. રવીન્દ્રનાથના તેઓ પરમ ભક્ત હતા રવીન્દ્રનાથ પણ શરદથી પ્રભાવિત હતા. તેઓ વારંવાર કહેતા કે તેને પકડી લાવો તે બંગાળનો ઉત્તમ સાહિત્યકાર છે બંગાળને તે ઉત્તમ ભેટ આપીને જશે .૧૯૩૪ના ઓક્ટોબરની બીજી તારીખે ગુરુવર્ય પ્રયાગ તરફ રવાના થયા અને તેમણે એ પ્રવાસ દરમિયાન જ શરદની કૃતિ પંડિત મોસાઈ આ કૃતિ આમ તો ૧૯૧૪ની સપ્ટેમ્બર ની ૧૫મી તારીખે પ્રકાશિત થઈ હતી. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે અસીત કુમાર હળદરને એકવાર લખ્યું હતું કે પંડિત મોસાઈ વાંચ્યા પછી મેં જે આલતું ફાલતુ વાંચવાનું છોડી દીધું હતું તે પછી આ કૃતિ અને તેની શૈલી એમને એટલે કે ગુરુવર્યને મરુ ભૂમિમાં વિરડી સમાન લાગી. એ દરમિયાન તેમણે શરદને મળવાની ઈચ્છા દર્શાવી કલકત્તા જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બધા મિત્રો શરદને ગુરુવર્યની સામે ખેંચી ગયા.

શરમાળ શરદ તો ગુરુવર્યને જોઈને એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને માનવતામાં ન આવ્યું કે આ કવિ પોતે છે.લાંબી દાઢી ,ખુલ્લા વસ્ત્રો અને સુંદર મિસ્ટ વાણી સાંભળી આ જોઈ તે તેને કોઈ બીજી જ દુનિયાના વ્યક્તિ સમજી બેઠો .આખી જિંદગી એ આ સ્વરૂપને વિમાશી રહ્યો ,બંને ગુરુ શિષ્ય વચ્ચે શું સંવાદ રચાયો એ તો કોઈ જ ન જાણી શકયું .શરદ હવે માનતો થયો હતો કે તેની કૃતિઓ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ જોડે સરખાવવામાં આવે છે .તે પણ મિત્રોને આનંદથી કહેતો કે હું કદાચ જરૂર લખી શકીશ ખરો અને દુનિયાને કંઈક નવું આપ્યા કરીશ ખરો !આમ સમય જતા ગુરુવર્ય એને મળ્યાનો આનંદ તેમના હૃદયમાં વસી ગયો હતો .

આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેને ત્રણ નવલિકા રામેર સુમતિ,પથ- નિર્દેશ અને બિંદૂર છેલે ને બિરાજબહુના પ્રકાશનના સર્વાધિકાર હરિદાસ ચટ્ટોપાધ્યાયને રૂપિયા ૩૦૦માં વેચી દીધી હતી .તે સમયે આ સોદો ખોટો નહતો. તેવી જ રીતે ફણીન્દ્રનાથ મારફત તેણે પરણીતા,પંડિતજી ,ચંદ્રનાથ, કાશીનાથ ,નારીનું મૂલ્ય અને ચરિત્રહીનના પ્રકાશન અધિકાર એમ.સી સરકાર એન્ડ સન્સને આપ્યા.ફક્ત એક જ આવૃત્તિ માટે જ.

ફણીન્દ્રનાથને ખુદને શરદની કૃતિઓ છાપવાની મહેચ્છા હતી,પણ ત્યારે તેઓની પરિસ્થિતિ આ કાર્ય કરી શકે તેમ નહોતી. સુધીરચંદ્ર સરકારે રૂપિયા ૨૦૦ની સહાય પણ કરી હતી .ખાલી તેમનો એક ઉદ્દેશ હતો કે શરદ આ યમુના સંસ્થા સાથે જોડાયેલો રહે. યમુના શરદને કોઈ પુરસ્કાર આપતું નહોતું ,ભારત વર્ષમાં છપાય તો તેને પુરસ્કાર પ્રાપ્ત થાય ભારત વર્ષનું પૂરું જૂથ  તેમનું ચાહક હતું. સમય જતા શરદના અમુક મિત્રો ખૂબ જ વિઘ્ન સંતોષી હતા તેઓએ શરદના કાન ભર્યા. શરદને કહેવાનાં આવ્યું કે બડીદીદીને કારણે ફણીન્દ્રનાથને ઘણો નફો મળ્યો છે,પણ તે તને આપતા નથી. બસ આ વાત શરદે એકદમ સાચી માની લીધી અને તેણે ફણીન્દ્રનાથ સાથે સંબંધો પૂરા કરી નાખ્યા. તેઓ પાછળથી પસ્તાયા પણ. યમુનામાં પછી કોઈપણ કૃતિ છપાઈ નહીં.

શરદ બાબુની દરેક વાર્તા કે કૃતિઓમાં પાત્રો સાથે વાચકો તેમને જોડી દેતા જેમ કે શ્રીકાંત બહાર આવી તો વાચકોએ તેમને શ્રીકાંતના પાત્રમાં જોયા અને શ્રીકાંતની પ્રેયશી તરીકે રાજલક્ષ્મી ને શોધવામાં પણ લોકો ગાંડા થઈ ગયા , પણ એ ક્યાંથી જડે એ પાત્ર તો લેખકનું કાલ્પનિક પાત્ર હતું.લેખકની બાલ્યાવસ્થાની અત્તૃપ્ત કામનાઓની કલ્પના હતી એને એની બચપનની સખી ધીરુનાં આધારે દેવદાસમાં પારોનું સર્જન કર્યું અને પછી શ્રીકાંતની રાજલક્ષ્મી .એવી એક વાર્તા પણ સાંભળવા મળી કે ધીરુનું સાચું નામ રાજ્લક્ષ્મી જ હતું. ઘણાં લોકો હિરણ્યમયીને પણ રાજલક્ષ્મી માનતા.કોઈક સમયે બાબા વેશમાં તેણે હિરણ્યમયીને લક્ષ્મી તરીકે બોલાવી હશે .એના આધાર પર હિરણ્યમયીને કદાચ રાજલક્ષ્મી માનતા હોય ,પરંતુ કેટલાક જિજ્ઞાસુએ પોતાના મનને સંતોષવા તેણીને કેટલા બધાં પ્રશ્નો કર્યા હતાં. આવા પ્રશ્નો સાંભળી તો તે એટલી બધી દુઃખી થઈ કે તેને લોકોને મળવાનું જ બંધ કરી દીધું તે શ્રીકાંતની રાજલક્ષ્મી જેવી સુંદર નહોતી કે વૈભવ સંપન પણ નહોતી નૃત્ય તો બાજુ પર રહ્યું તે વાત પણ નહોતી કરી શકતી તે અબોધ સ્ત્રી હતી ધર્મપ્રિય હતી પતિવ્રતા અને સેવા પારાયણ હતી. શરદ માટે એને અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં .આ રખડું અને નિરાશ પતિને તે પ્રેમથી રાખતી એને દિશાભૂલેલાને રસ્તો નિશ્ચિત કરી બતાવતી. કેટલીએ વાર તે અતિનો શિકાર પણ બની હતી.શરદને માટે તે એક તપસ્યા મય દેવી હતી તેની શ્રદ્ધાએ શરદને એક મહાન સાહિત્યકાર બનાવ્યો હતો.શ્રીકાંતનું પાત્ર તેના જેવું રઝળું છે. શ્રીકાંતનાં અનેક પાત્રો શરદની આજુબાજુ વિટળાયેલા જીવનનાં પાત્રો હતા.શ્રીકાંત લોકોએ વાંચી અને શરદને જ તેનું પાત્ર સમજી લીધું. શ્રીકાંત પુસ્તક માટે પણ તે મૂંઝવણમાં હતા તેને શંકા હતી અને આથી તેને પોતાના પ્રકાશક ને પણ લખ્યું હતું કે એકાંતની ભ્રમણકથા ખરેખર છાપવા જેવી લાગે છે?તેમને હજુ પણ શંકા હતી ,છતાં પણ છપાસે તો લોકો મને તેમાં શોધશે એની ખાતરી છે.આમ શરદ બાબુ લખતા મહેનત કરતા અને છતાંય પોતાની કૃતિઓ માટે થોડા મૂંઝવણમાં પણ રહેતા.

ધીરે-ધીરે રંગૂનમાં તેમનો જીવ લાગતો નહીં તેમણે તેમના મિત્ર હરિદાસ ચટ્ટોપાધ્યાયને પત્ર લખ્યો કે જો તમે ૩૦૦રૂપિયાની મને મદદ કરશો તો હું આવી શકીશ હવે એટલું જરૂર કરી શકીશ કે મારું દેવું એક વર્ષ જો હું જીવ્યો તો બધું ચૂકતે થઈ જશે અને પછી હું એક વર્ષની રજા મૂકી અને લખવાનું કાર્ય હાથે ધરીશ. તેમના મિત્રે તેમને ખરેખર રૂપિયા મોકલ્યા અને એ જ સમયે રંગૂન ઓફિસમાં તેમને એક ખરાબ અનુભવ થયો સુપ્રિટેન્ડન્સ મેજર બર્નાર્ડને એક ફાઈલની જરૂર પડી શરદ તે ફાઈલના શોધી શક્યા અને અંતે તે ફાયલ તેમના જ ખાનામાંથી મળી. તેમને ગુસ્સો આવ્યો અને તેમને શરદને ખૂબ માર માર્યો આ બંનેની તકરાર ને ફરિયાદ અધિકારી પાસે ગઈ અને તપાસ કરતાં ખબર પડી કે મેજરનો જ વાંક હતો અને આથી મેજર ને સસ્પેન્ડ કરાયો અને મેજર પાસેથી રૂપિયા ૯૦નો દંડ પણ થયો.આ રૂપિયા મેજર શરદને આપે એમ નક્કી થયું. આ આ પ્રસંગે શરદનું મન તૂટી ગયું .તેણે રંગુન છોડવાનો દ્રઢ નિર્ણય કર્યો શરીર પણ તેમનું સારું રહેતું ન હતું .એમણે રાજીનામું આપી દીધું એની એક વર્ષની રજા ચડેલી હતી તે રજા લઈને કલકત્તા જવા રવાના થઈ ચૂક્યા.બસ ત્યાર પછી ક્યારેય તેણે પાછું ફરીને બર્મા સામે જોયું જ નહીં . બર્મા છોડતાં પહેલાં તેના ત્રણ પુસ્તકો ૧૯૧૫ની બીજી ડિસેમ્બરે મજલી દીદી ત્યારબાદ ૧૯૧૬ની ૧૫મીજાન્યુઆરીએ પલ્લી સમાજ અને ૧૯૧૬ની બારમી માર્ચે ચંદ્રનાથ પ્રકાશિત થઈ ગઈ હતી.બસ હવે દિશાની શોધ જાણે પૂર્ણ થઈ હતી એવું શરદ બાબુ ને લાગતું હતું .
તેઓ પાછા કલકત્તા ફર્યા. આમ જીવનનાં અમુક વર્ષો તેમને રંગૂનમાં મિત્ર દોસ્તો અને મજબૂરીથી નોકરી માં ગાળ્યા . મિત્રો,આમ હવે શરદ બાબુ એક જાણીતા બંગાળના લેખક બની ગયા.આ શરદ સાહિત્ય એટલું વખણાયું કે તેના અનુવાદો અનેક ભાષામાં થયા હિન્દી ની આવારા મસીહા બહાર આવી અને ત્યારબાદ તેનો અનુવાદ હસમુખ દવે ગુજરાતીમાં કર્યો ગુજરાતી ભાષાનાં ચાહકોએ શરદ બાબુના જીવન વિશે એમાંથી ઘણું ઘણું મેળવ્યું હતું.
મિત્રો, આવતા અંકે તેમના જીવનમાંથી કંઈક નવું જૂનું શોધી આપ સમક્ષ સંક્ષેપમાં લઈને જરૂર મળીશું.
અસ્તુ,
જયશ્રી પટેલ
૧૫/૧/૨૩

*વિસ્તૃતિ…૪૩* *જયશ્રી પટેલ*



ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયાં કે મિત્રો સત્યેન્દ્ર
નલિની પર સામાન્ય શુદ્ર વાત પર ક્રોધ કરી, રિસાયને તેનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડી ચૂક્યો હતો. વળી ધીરે ધીરે નલિની અને સરલાની વચ્ચે તુલના કરી તેની અવગણના કરવા લાગ્યો.
એક દિવસ નલિનીનાં ભાઈને બોલાવી તેના પિયર વિદાય કરી દીધી સાથે તેની દાસી માંતગીને પણ વિદાય કરી. સત્યેન્દ્રને કોઈ દુઃખ નહોતું તે પોતાના અભિમાનને પંપાળી રહ્યો હતો મનને બહેલાવી રહ્યો હતો. માએ નલિનીને પાછી બોલવવા કહ્યું નહિતો કાશી જવાની ધમકી આપી તો તેણે માને જવા માટે વ્યવસ્થા કરવાની
વાત કરી માનું પણ અપમાન કરી નાંખ્યું!
બે ત્રણ મહિના પછી સત્યેન્દ્રને ખૂબ પસ્તાવો થયો. ક્ષણભર નલિની વગર ન રહી શકનારો સત્યેન્દ્ર છટપટવા માંડ્યો , નલિનીના પત્રની રાહ જોવા લાગ્યો. નલિની પણ શુદ્ર કારણે મળેલી સજા હવે ન સહી શકી.
મનમાં વિચારવા લાગી કે વાંક શું? હવે નહિ સહે. વાતને છ મહિના વિતી ગયા. સત્યેન્દ્રે નવા લગ્ન કરવાનો નિર્ણય કર્યો, એમ કરી તે નલિનીની સાથે ભયંકર અપમાન કરી બદલો વાળવા માંગતો હતો. માને આ વાત મંજુર નહોતી તે કાશીવાસ ઈચ્છતી હતી. તેણે પુત્ર પાસે ભીખ માંગી મને આ યાતનામાંથી મુક્ત કર. સત્યેન્દ્ર હવે પહેલાં જેવો સરલાનો પ્રેમાળ પતિ નહોતો રહ્યો કે ન તો તે નલિનીનો સમજુ પતિ રહ્યો હતો તે તો પ્રતિશોધની જ્વાળામાં બળતો એક પુરુષ હતો. આખરે પોતાનું ધાર્યું કરનારો અંહકારી પતિ બની ગયો. ત્રીજા લગ્ન કરી તે ગિરીબાલાને લઈ જ આવ્યો. મા પોતાના પતિ હરદયાલમિત્ર ને યાદ કરી રડી પડી , નલિની જેવી ગુણિયલ વહુને યાદ કરી વધુ અશ્રું વહેવા લાગ્યા. ગિરીબાલા મુહફટ હતી. અવિચારી વાણી હતી એની.
લગ્ન સમયે તે કાંઈ ન બોલી પણ પછી તે માનસન્માન ન રાખતી. તેઓની લગ્નની ફૂલસજ્જાની રાત્રે ગૃહિણીને મળવા કોઈ મોટા ઘરની ભેટ સોગાદ લઈ આવી પહોંચ્યું. ગૃહિણીએ તેમાંથી મિઠાઈ વહેંચી દીધી. બનારસની સાડી ને ઊંચા પ્રકારના મલમલના કોટ ને ધોતી , દર દાગીનાની ભેટ કોઈ મિત્રે મોકલી છે જાણી સત્યેન્દ્રને નવાઈ લાગી.
ઘરમાં ગુસરપુસર નોકર નોકરાણીઓ વાતો કરી રહી હતી, મહોલ્લાની સ્ત્રીઓ એ નલિનીને કુલક્ષણા કહી. આ સાંભળી ગૃહિણી ખૂબ જ ક્રોધિત થઈ ગઈ. તેણે પુત્ર પાસે જીદ કરી નલિનીને બોલાવી મંગાવવા માટે.
આવેલી ભેટ સોગાદ જોતા સત્યેન્દ્રે ક્રોધિત થઈ તેનો ઇન્કાર કરી દીધો. મા દરવાજા બંધ કરી ગણગણતી રહી મારી પુત્રવધૂ કુલક્ષણા નથી. તેનું દર્દ સમજવા કોઈ નહોતું. માંતગી જ ભેટ લઈ આવી હતી તેને અંદર બોલાવી તેની પાસે નલિનીનાં હાલચાલ પૂછ્યા, તેમજ નલિની ને સત્યેન્દ્રના સામાન્ય ઝઘડામાંથી વણસેલી વાતની માહિતી આપી. ગૃહિણી પુત્ર સત્યેન્દ્રને માફ ન કરી શકી.તેની નજર બનારસની સાડી પર પડી. ખૂબ કિંમતી હતી પણ તેના પાલવે બાંધેલી ચબરખી ખોલી. વાંચતા ને અક્ષર ઓળખતા સત્યેન્દ્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો. તે નલિનીની ચિઠ્ઠી હતી. ગિરીબાળાને લખી હતી અને સત્યેન્દ્ર સાથે સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. ગિરીબાળાને નાની બેન ગણી ઘણી સરસ ભેટ મોકલી હતી. સત્યેન્દ્ર તે રાતે સૂઈ ન શક્યો તેનો ત્રીજો વિવાહ બોજ બની ગયો.
બે ચાર મહિના વિતી ગયા ને એક દિવસ ટપાલી એક પાર્સલ આપી ગયો. જેમાં એક વિંટી હતી અને એક પત્ર હતો. નલિનીનો ને એક પત્ર તેનાંભાઈ નરેન્દ્રનો હતો.
પવિત્ર ગંગા જેવી સતી જેવી નલિની મૃત્યું પામી હતી. તેણે સત્યેન્દ્રની આપેલી વિંટી ગિરીબાળા માટે પાછી મોકલી હતી. સત્યેન્દ્રને શીખ મોકલી હતી મારી નાની બેન ને દુઃખ ન પડે તે માટે સલાહ સૂચન કર્યા હતા.
સત્યેન્દ્રને હવે પસ્તાવો થઈ રહ્યો હતો, મા તો આ સમાચાર જાણી કાશી પ્રયાણ કરી ગઈ હતી. સત્યેન્દ્ર એક બોજ ભરી જીવન વંઢોરી રહ્યો હતો. તે સમાજ જેવો
કઠોર વિચાર શૂન્ય ધરાવતો સામાન્ય માનવી બની ગયો હતો.
મિત્રો , કરુણાંત ભરી આ વાર્તામાં સત્યેન્દ્ર દ્વારા અહમને દર્શાવે છે તો નલિની દ્વારા ધીરજ ને સહનશક્તિ
સહીને સ્વમાન ને દર્શાવે છે. એક નાનો મનભેદ કેવો બોજ બની જાય તે આ વાર્તાનું મૂળ કથન છે.
આવતા અંકે ફરી કંઈક નવીન શરદબાબુ વિશે તેમના આલેખન ને બંગાળી સમાજને સ્પષ્ટ આલેખતી વાર્તા વિશે જાણીશું.
(સંપૂર્ણ)

અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૧/૧૨/૨૨

ઓશો દર્શન -41 રીટા જાની




ગતાંકમાં ઓશોદર્શન અંતર્ગત આપણે ધ્યાનસૂત્રની વાત શરૂ કરી, જેમાં તૃષ્ણા અને સંકલ્પ વિશે જાણ્યું. સાથે શરીર શુદ્ધિના અંતરંગ સૂત્રો પણ સમજ્યા. મનુષ્યના વ્યક્તિત્વમાં જ્યારે શરીર શુદ્ધ હોય, વિચાર શુદ્ધ હોય અને ભાવ શુદ્ધ હોય ત્યારે સાધનાનું પરિધ તૈયાર થાય છે. જો આ ત્રણ વાતો સધાઈ જાય તો જીવનમાં નવા પ્રકારના આનંદ અને શાંતિનો જન્મ થઈ જાય છે. આજના લેખમાં આપણે ચિત્ત શક્તિનું રૂપાંતરણ, વિચારશુદ્ધિનાં સૂત્રો, ભાવ શુદ્ધિનો કીમિયો, અને સમ્યક રૂપાંતરણનાં સૂત્રો જાણીશું.

આપણા ચિત્તમાંથી કશું જ લુપ્ત થતું નથી. એ જે પણ અનુભવો કરે છે તે સંગ્રહિત થાય છે. જો એ સ્મૃતિને ફરીથી જગાડવામાં આવે તો એ જ અનુભૂતિઓમાં પ્રવેશ કરી શકીએ છીએ. મોટાભાગે મનુષ્ય એવી ભૂલ કરતો હોય છે કે એ જે પણ ખોટું છે તેનું સ્મરણ કર્યા કરે છે. વર્ષો પહેલાં તમે ખૂબ ક્રોધિત થયા હતા, અશાંત બન્યા હતા, કોઈએ તમારું અપમાન કર્યું હતું કે કોઈની સાથે બદલો લીધો હતો એ બધી વાતનું સ્મરણ કરતા રહે છે, જે ઘાતક છે. પરંતુ જે વિધાયક છે, ઉપકારક બની શકે છે એ અનુભૂતિનું સ્મરણ જો વારંવાર કરવામાં આવે તો તે બહુ મહત્વનું બની રહેશે. માટે કાંટાને ભૂલી જાવ, ફૂલનું સ્મરણ કરો, શુભનું સ્મરણ કરો, શ્રેષ્ઠનું સ્મરણ કરો, શાંતિની અનુભૂતિ તમારી ચારે તરફ અનુભવો.

સ્વર્ગ કે નર્ક કોઈ ભૌગોલિક સ્થાન નથી, પરંતુ આપણી જ માનસિક, મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. માટે જીવનની એ ક્ષણોનું સ્મરણ કરો – જે અદભુત હતી, ઐશ્વર્યથી ભરેલી હતી. ધ્યાનમાં જે અનુભૂતિ થઈ હોય તેનું સ્મરણ રાખો. આજે દાંપત્યજીવનના પ્રશ્નોનું કારણ પણ એ જ છે કે બધા પ્રેમ માંગે છે પણ પ્રેમ આપતાં કોઈને આવડતું નથી. પાપમાં હંમેશા લક્ષ્ય હશે, પુણ્યમાં કોઈ જ લક્ષ્ય હોતું નથી અને જે પુણ્યમાં લક્ષ્ય હોય તે પાપનું જ સ્વરૂપ છે. પુણ્ય હંમેશા કરુણાથી થાય છે, પાપ કદી કરુણાથી થઈ શકતું નથી. જે ઈશ્વરની મરજી પ્રમાણે અનંત સત્તાના હાથમાં પોતાનું જીવન મૂકી દે છે, તેને કોઈ લક્ષ્ય નથી; ફક્ત અંતઃપ્રેરણા છે. ઓશો એક સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે આપણે એ નદીઓ છીએ જેવા છીએ જેની અંદર બરફના મોટા ટુકડા વહી રહ્યા છે, જે નદીના પ્રવાહની ગતિ મંદ કરે છે. આપણા જીવનમાં પણ તૃષ્ણા, ક્રોધ અને મોહના દબાયેલા આવેગો છે, જે આપણી ધારાને વહેવા દેતા નથી. પરંતુ આ આવેગોને વિસર્જિત કરી, ઓગળી એનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય.

હવે વિચારના સંબંધમાં વિચારણા કરીએ તો વિચારો પણ એક પ્રકારના તરંગો જ છે. વ્યક્તિ જે વિચારોથી આંદોલિત થાય છે, તેવું તેનું વ્યક્તિત્વ ઘડાય છે. મોટાભાગે વ્યક્તિ ધન, યશ કે કામના સંબંધમાં વિચારતા રહે છે. આ અશુદ્ધ વિચારો છે, જે બહિર્ગામી અને અધોગામી છે. તેનાથી તમે ક્યારેય જીવન સત્યને પ્રાપ્ત નહીં કરી શકો. શુદ્ધ વિચારનો અર્થ છે – સત્યમ્, શિવમ્ અને સુંદરમ્, જેની દિશા અંતર્ગામી અને ઉર્ધ્વગામી છે. આપણા વિચાર સત્યોન્મુખ, શિવોન્મુખ તથા સૌંદર્યોન્મુખ બને તે માટે પ્રત્યેક વિચાર, પ્રત્યેક વાણી, પ્રત્યેક ક્રિયા કરતાં પહેલા એક ક્ષણ થોભી જાવ. શુદ્ધ વિચારના કોઈ કેન્દ્ર પર તમારી ઉર્જા અને તમારી શક્તિને ભેગા થવા દો. સ્મરણપૂર્વક જે અશુદ્ધ છે તેનો ત્યાગ કરો અને શુદ્ધ ઉપર સ્વયમ્ ને સ્થિર કરો. કોઈ મારા ઘરમાં કચરો ફેકશે તો હું તેની સાથે ઝઘડો કરીશ, પણ કોઈ મારા મગજમાં કચરો ફેકશે તો હું ઝઘડવા જતી નથી. આ બાબતે જાગૃત રહો. આપણું મન ધર્મશાળા જેવું ન હોવું જોઈએ. મનની ઉપર પણ પહેરો રાખો.

આ જગતમાં અશુભ વિચારો ખૂબ પ્રમાણમાં છે અને તેનો ધુમાડો તમારા ચિત્તમાં પ્રવેશી તમને ઘેરી લે છે. પણ એ ન ભૂલીએ કે કેટલાક નાના નાના શુભ વિચારોના દીવા પણ ટમટમતા રહે છે. ભલે તેમની જ્યોતિ નાની હોય પણ તેમનો સંગ શોધનારના લગભગ ઓલવાઈ ગયેલા દીવાને પણ પ્રકાશમાન બનાવી શકે છે. માટે જ વિશેષ મહત્વ છે સત્સંગ, સત્પુરુષ અને પ્રકૃતિના સાંનિધ્યનું. માટે સત્ નો સંપર્ક, સત્ ની ઈચ્છા, સત્ ની ખોજ, સદ્ વિચારોનો જીવનમાં પ્રવેશ અને પ્રકૃતિના સાંનિધ્યને એક અનિવાર્ય અંગ સમજીને જીવનભર એનો પ્રયોગ કરતા રહેવાનો છે.

માત્ર વિચારના જગતમાં ચિંતનથી જીવનમાં કોઈ ક્રાંતિ થતી નથી. જીવનની મોટાભાગની ક્રિયાઓ વિચારના જગતમાંથી નહીં, પણ ભાવના જગતમાંથી જન્મી હોય છે. ભાવની ચાર જુદી જુદી દિશા છે – મૈત્રી, કરુણા, પ્રમુદિતા(પ્રફુલ્લતા) અને કૃતજ્ઞતા. આ ચાર ફોર્મમાં વ્યક્તિ શુદ્ધ ભાવમાં પ્રતિષ્ઠિત છે જ્યારે એથી વિપરીત ઘૃણા, હિંસા, વિષાદ અને અકૃતજ્ઞતા એ અશુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ ચિત્તની અવસ્થા છે, અશુદ્ધ ભાવ ચિત્તની વિકૃતિ છે. આપણી ચારે બાજુ સમગ્ર પ્રકૃતિ બહુ અદ્ભુત વસ્તુઓથી ભરેલી પડી છે. એમના પ્રતિ પ્રેમ વરસાવો. પણ આપણી આંખો તો ટેલિવિઝન જોવામાં મગ્ન છે, આપણું મન પત્તાની હાર-જીતમાં લાગેલું છે. આમ જ પ્રેમના તત્વોને વિકસિત કરવાનો અવસર નિરર્થક બની જાય છે. મૈત્રી અને પ્રેમના બિંદુને જગાડવા માટેનું એક સૂત્ર યાદ રાખો કે ચોવીસ કલાકમાં એક-બે એવા કામ જરૂર કરો જેના બદલામાં તમારે કંઈ જ પ્રાપ્ત કરવાનું ન હોય.

એક વાતનું સ્મરણ રહે કે જે બીજાને દુઃખ આપે છે તે અંતે દુઃખી થાય છે અને જે બીજાને સુખ આપે છે તે અંતે બહુ જ સુખ પ્રાપ્ત કરે છે. માટે જ્યારે કરુણાનું ભાન થશે ત્યારે તમે કોઈને દુઃખ પહોંચાડવાના બધા જ રસ્તા બંધ કરી દેશો અને શક્ય તેટલું સુખ આપવાના પ્રયત્ન કરશો. સાધનામાં પ્રવેશ કરવા કરુણાના ભાવને વિકસિત કરવો ખૂબ જરૂરી છે.

પ્રમુદિતા એટલે પ્રસન્નતા આનંદની સભાનતા, વિષાદનો અભાવ. ઉદાસી એક ટેવ છે, જે તમે પોતે પાડી છે. પણ એક એવી આદત પણ તમે પાડી શકો છો જેને જાળવી રાખવા તમે જિંદગીનો એ ભાગ જુઓ જે પ્રકાશિત છે. તમે જિંદગીને કઈ રીતે જુઓ છો તેના પર બધો આધાર છે. જે આનંદને પોતાની અંદર એકત્રિત કરે છે તે સાધનામાં ગતિ કરે છે.

કૃતજ્ઞતા એ ખુબ જ દિવ્ય છે. 21મી સદીમાં જો કંઈક ખોવાઈ ગયું હોય તો તે આ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાને સમજવાના અને વિકસિત કરવાના ઉપાય કરવાથી સાધનામાં ગતિ આવશે અને જીવન બદલાઈ જશે.

જ્યારે શુદ્ધિ અને શૂન્યતાનું મિલન થાય ત્યારે સમાધિ ઉત્પન્ન થઈ જાય છે અને સમાધિ પરમાત્માનું દ્વાર છે. માટે સમ્યક રૂપાંતરણ માટે જરૂરી છે -શરીર શૂન્યતા, વિચાર શૂન્યતા અને ભાવ શૂન્યતા.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે સાધનામાં ધ્યાન કોનું કરવાનું છે? મોટા ભાગે આપણે ધ્યાનને “કોઈના ધ્યાન”ના સ્વરૂપમાં વિચારીએ છીએ. ધ્યાન કોનું? પ્રાર્થના કોની? આરાધના કોની? પ્રેમ કોની સાથે? ધ્યાનનો અર્થ કોઈને સ્મરણમાં લાવવાનો નથી. ધ્યાન એ અવસ્થા છે. ધ્યાનનો અર્થ એ સઘળું કે જે આપણા સ્મરણમાં છે તેને પાડી નાખો એ છે. એવી સ્થિતિ લાવવાની છે કે માત્ર ચેતન જ રહી જાય, કેવળ અવેરનેસ રહી જાય. આપણે એક દીવો પ્રગટાવીએ અને બાકીની બધી જ વસ્તુઓ હટાવી લઈએ તો પણ દીવો તો સળગતો રહેશે એવી જ રીતે આપણા ચિત્તમાંથી બધા જ ઉદ્દેશો, વિચારો, કલ્પનાઓ હટાવી લઈએ તો ચેતનાની એકાકી અવસ્થા રહે – એ જ ધ્યાન છે. ધારણાના માધ્યમથી એક ક્ષણ એવી આવે કે શરીર વિલીન થઈ જાય, વિચાર પણ વિલીન થઈ જાય, જ્યારે સઘળું વિલીન થઈ જાય, ત્યારે જે શેષ રહે તેનું નામ ધ્યાન. આપણે શ્વાસની, ચક્રની, મૂર્તિની ધારણા કરીએ છીએ એ ધ્યાન નથી.

શુદ્ધિની ભૂમિકા પરમાત્માની સન્મુખ લઈ જાય છે. એના પછી શૂન્યની દ્રષ્ટિ પરમાત્મા સાથે મિલન કરાવે છે અને પરમાત્મા સાથે એકરૂપ કરી દે છે.

વિચારના દ્રષ્ટા બનવાનું છે, વિચારક નહીં. માટે જ આપણે ઋષિઓને દ્રષ્ટા કહીએ છીએ. મહાવીર અને બુદ્ધ પણ દ્રષ્ટા છે. સાધારણ માણસની અંદર એક ધારા હોય છે- માત્ર વિચારની. સાધકની અંદર બે ધારાઓ હોય છે- વિચારની અને દર્શનની. આપણે વિચારથી દર્શન સુધી પહોંચવાનું છે. એ માટે વિવેકને જગાડવો પડશે. અંતરંગ સાધનાના મૂળ તત્વ છે – સમ્યક નિરીક્ષણ- દેહની ક્રિયાઓનું, વિચારની પ્રક્રિયાઓનું, ભાવની અંતરંગ ધારાઓનું. આ ત્રણ સ્તરોને જે પાર કરીને સાક્ષીને પકડી લે છે, તેને લક્ષ્ય મળી જાય છે.

કેવળજ્ઞાનનો અર્થ છે ચેતનાની એ સ્થિતિ જ્યાં કોઈ જ્ઞેય નથી રહેતો, જ્યાં કોઈ જ્ઞાતા નથી રહેતો, માત્ર જ્ઞાનની શક્તિ જ રહી જાય છે. કેવળજ્ઞાનનો અર્થ છે શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરી લેવો જેને ઓશો અને પતંજલિ સમાધિ કહે છે, જૈનો કેવળજ્ઞાન કહે છે, બુદ્ધ પ્રજ્ઞા કહે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર છે. જ્યારે જ્ઞાન આવે છે, ત્યારે અહંકાર વિલીન થઈ આત્માનું દર્શન થાય છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. એ તો ચેતના, અંતિમ આનંદની અવસ્થા છે. ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એ અનુભૂતિને આપણે પરમાત્મા કહીએ છીએ.

ઓશોના આ સૂત્રો પર જો મહેનતપૂર્વક અને સંકલ્પપૂર્વક કામ કરશો તો બહુ જલ્દી તમારી અંદર એક નવી વ્યક્તિનો જન્મ થઈ જશે. એક એક પગલું ચાલતા રહો, તો અનંત અંતર પણ પૂરું થઈ જશે.

રીટા જાની
23/12/2022

ઓશો દર્શન -39. રીટા જાની

wp-1644023900666



ગત અંકમાં આપણે બુદ્ધના ‘હૃદયસૂત્ર’ની પૂર્વ ભૂમિકાની ઓશોની કાવ્યાત્મક શૈલીમાં અનુભૂતિ કરી. ‘બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો, તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.’ આ મૂળભૂત સમજ સાથે આગળ વધવું છે.

જીવનમાં ત્રણ ચીજો અગત્યની છે -જન્મ, પ્રેમ અને મૃત્યુ.  જન્મ થઈ ચૂક્યો છે, તેનું કંઈ કરવાનું રહેતું નથી. જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે જન્મ લેવા માંગો છો કે નહીં એવું પણ તમને પૂછવામાં આવ્યું ન હતું. પ્રેમ પણ સંભવે છે. જ્યારે તમે કોઈકના પ્રેમમાં પડો છો ત્યારે તમે તમારી જાતને દૂર હડસેલી શકતા નથી. જેમ જીવન આપમેળે સંભવે છે, એમ જ પ્રેમ પણ આપમેળે સંભવે છે. જો જીવનની પ્રત્યક્ષ ક્ષણ ખૂબ જ સુંદર, વ્યક્તિગત, અનુકરણ ના થઈ શકે તેવી બની શકે છે; તો પ્રત્યેક ક્ષણ આશીર્વાદિત અને અનન્ય બની શકે છે. જેઓ પોતાની જેવા જ બનવા માંગે છે તેઓ આ ધરતીના સૌથી મૂલ્યવાન લોકો છે. ઓશો કહે છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, માટે મૃત્યુનું ચિંતન કરો. તમારે તેના માટે તૈયાર રહેવું જ પડશે. સાચો માર્ગ એ છે કે ભૂતકાળની પ્રત્યેક ક્ષણમાં મૃત્યુ પામો અને વર્તમાનમાં જન્મ લો. તે તમને તાજા, યુવાન, સ્ફૂર્તિલા અને  ક્રાંતિવાન રાખશે.  તે એક બહુ મોટી આવડત અને કલા છે.

વાસ્તવિકતા સાથે સુસંગત વિચારોથી પરમાનંદ ઊભો થાય છે.  તમારી અને સત્ય વચ્ચેનું વિભાજન એ અસંગતિ છે. જ્યારે તમે સત્ય સાથે ચાલતા નથી, ત્યારે તમને પીડા થાય છે, સંતોષ મળતો નથી. ઉદાહરણ તરીકે, લીલા ચશ્મા પહેરવાથી આખી દુનિયા લીલી દેખાશે. ચશ્મા હટાવી દેશો તો વાસ્તવિકતાના દર્શન થશે. બુદ્ધ કહે છે કે અંધકારમાં તમે દોરડાને સાપ સમજી બેસો અને ભાગવા માંડો છો અને કોઈ પથ્થર સાથે અફળાવ છો તો તમારા હાડકા ભાંગી જાય છે. સવારે તમને ખબર પડે છે કે તે કેવળ એક દોરડું હતું. ગેરસમજણ એ સમજણ જેવી જ વાસ્તવિક છે. તે સાચી નથી. પરંતુ વાસ્તવિક છે. વાસ્તવિકતા અને સત્ય વચ્ચેનો આ ફરક છે. માટે જ બુદ્ધ કહે છે કે કેવળ દીવો થઈને તમારી અંદર ઉતરો અને બરાબર નિહાળો કે સાપનું અસ્તિત્વ છે કે નહીં. વિચારો એ વિકૃતિકરણનું માધ્યમ છે. માટે જ બુદ્ધે શુન્યતા ઉપર, નિર્બુદ્ધી, નિર્વિકલ્પ અવસ્થા પર એટલો બધો ભાર મૂક્યો છે. જ્યારે તમે બિલકુલ ખાલી છો, ત્યારે આઈનો જ પ્રતિબિંબ પાડે છે. પરંતુ જો તમે કોઈ વિચાર ધરાવો છો તો તમે તેને વિકૃત કરશો.

ઓશો કહે છે કે આપણે વિશાળ સમુદ્રના બહુ નાના અંશો છીએ, ટીપાંઓ છીએ. અહીં સંદેશ છે- પ્રેમ, શરણાગતિ અને સ્વીકૃતિનો. અંશ પૂર્ણ સાથે ભળીને જ સમર્થ બની શકે. તમારું સામર્થ્ય સત્ય સાથે રહેવામાં રહેલું છે. નદીમાં સામા પ્રવાહે તરવાનો પ્રયાસ કરો તો તમે કમજોર સિદ્ધ થશો. પણ નદીના પ્રવાહમાં વહો, તો નદી તમને તે જ્યાં જતી હશે ત્યાં લઈ જશે.

ભવિષ્ય વિષમય છે. તમે જેટલું વધુ સંચય કરશો, તેટલી આંતરિક દરિદ્રતાનો અનુભવ કરશો. વર્તમાન ક્ષણ સુંદર અને મનોહર છે. જ્યારે તમે આ ક્ષણના શિખર પર સ્વાભાવિક, સ્વયંસ્ફૂર્ત, સરળ અને સામાન્ય જીવન જીવો છો, તે એક મહાન આશીર્વાદ છે. ઓશો સમજાવે છે કે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો અભાવ ડહાપણ છે. જેને બુદ્ધ પ્રજ્ઞા પારમિતા કહે છે- પરમોત્કૃષ્ટ પ્રજ્ઞા પારલૌકિક પ્રજ્ઞા.  એક વાર આ સત્ય તમારા અસ્તિત્વમાં પ્રવેશે છે, પછી મહાન પરિવર્તન આવશે. માટે સામર્થ્યની ઈચ્છાનો ત્યાગ કરી અવલોકન કરો.

ઓશો કહે છે કે જો તમે સફેદ દિવાલ પર સફેદ ચોકથી લખો તો વાંચી શકાશે નહીં. પણ જો બ્લેકબોર્ડ પર લખો તો સ્પષ્ટ દેખાઈ આવશે, માટે વિરોધાભાસ જરૂરી છે. દિવસ દરમિયાન પણ આકાશમાં તારાઓ હોય છે. પરંતુ રાત્રિના અંધકારમાં તેમને જોઈ શકાય છે. એ જ રીતે એક બાળક નિર્દોષતા ધરાવે છે, પરંતુ પાછળ કોઈ પાર્શ્વ ભૂમિકા નથી. એથી વિપરિત એક બુદ્ધ પોતાનું જીવન જીવી ચૂક્યા છે, સારું અને ખરાબ બંને ધ્રુવીયતાને સ્પર્શી ચૂક્યા છે. માટે જ બુદ્ધ કહે છે કે “મેં કશું પ્રાપ્ત કર્યું નથી. મેં કેવળ એ શોધી કાઢ્યું છે, જે હંમેશા હોય છે. ખરેખર કોઈ પ્રાપ્તિ નથી, મેં કેવળ તેને ઓળખી છે. તે શોધ નથી, પુનર્શોધ શોધ છે. જ્યારે તમે બુદ્ધ બનો છો ત્યારે તમે તમારો સ્વભાવ જુઓ છો. એ માટે તમારે પથભ્રષ્ટ થવું પડે છે, કાદવવાળી જગ્યાઓમાં પ્રવેશવું પડે છે. ત્યારે જ તમારી અણિશુદ્ધ, નિર્મળતા અને શુદ્ધતા જોઈ શકાશે.”

અહમ્ ના સાત દ્વાર છે જે બહુ સ્પષ્ટ અને એકબીજાથી જુદા નથી. જો વ્યક્તિ સાતે દ્વારમાંથી અહમ્ પ્રાપ્ત કરે છે, તો તે સંપૂર્ણ અહમ્ બને છે. જે રીતે ફળ કાચું હોય ત્યારે લટકતું રહે છે પણ જ્યારે પક્વ બને ત્યારે ખરી પડે છે, એવું જ અહમ્ નું પણ છે. વક્રતા એ છે કે ખરેખર વિકાસ પામેલો અહમ્ જ શરણે થઈ શકે છે, પૂર્ણ અભિમાની જ શરણાગતિ સ્વીકારી શકે છે કારણ કે એ અહમ્ નું દુઃખ જાણે છે. માટે બુદ્ધ બનતા પહેલા તમારે આ સાત દ્વારનો ઉપયોગ કરવો જ જોઈએ. અહમ્ નું પ્રથમ દ્વાર દેહમય જાત, દ્વિતીય આત્મઓળખ, ત્રીજું આત્મસન્માન, ચોથું આત્મવિસ્તરણ, પાંચમું આત્મ છબી, છઠ્ઠું સ્વ-નિજત્વ અને સાતમું દ્વાર યોગ્યતાની પ્રાપ્તિ છે. વ્યક્તિ અહમ્ ના સાત દ્વાર શરૂ થતા પહેલા બાળક છે અને અહમના સાત દ્વાર પૂર્ણ થયા બાદ બુદ્ધ છે. આ પૂર્ણ ચક્ર છે.

ઓશો કઝાન્સાકીના પુસ્તક ‘ઝોર્બા ધ  ગ્રીક’ ને ટાંકીને કહે છે કે પુસ્તકને પ્રેમ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, ક્યારેય કોઈનું અનુકરણ કરવાની કોશિશ ન કરો. ઝોર્બા પાસેથી રહસ્ય શીખો, સહભાગી બનો, પછી તમારી રીતે આગળ વધી અને ‘તમે બનો’. જીવનને આનંદપૂર્વક સ્વીકારો, સહજતા અને સ્વસ્થતાથી જીવો. બહુ ગંભીર બનવાની જરૂર નથી, રમતિયાળ બનો. દરેક પળને તીવ્રતાથી જીવો. તીવ્ર પૂર્ણતાની એક ક્ષણ તમને ઈશ્વરનો સ્વાદ ચખાડવા પૂરતી છે. એ ક્ષણ તમને શાશ્વત બનાવી દેશે.

બુદ્ધનો સંદેશ છે કે ‘તમે તારણ પામેલા જ છો. તારણહાર આવવાની જરૂર નથી. તમે ગુનેગાર નથી. કોઈ દુઃખ નથી. સારિપુત્ર! દુઃખનું કારણ કે ઉદ્ભવ નથી. તેનો કોઈ નિરોધ નથી અને તેનો કોઈ માર્ગ નથી. તે કોઈ પ્રાપ્તિ નથી કે તે કોઈ અપ્રાપ્તિ નથી, તે છે જ. તે તમારો ખુદનો સ્વભાવ છે.’

બુદ્ધ સારિપુત્રને કહે છે કે “પ્રજ્ઞા પારમિતા” એટલે “ધ્યાન, પરમોત્કૃષ્ટની પ્રજ્ઞા”. તમે તેને ખોલી શકો. તમે તેને લાવી શકો નહીં. ધ્યાન બનવા માટે ચિત્ત અને મગજ શાંત થવું જોઈએ. એકાગ્રતા એ મગજનો પ્રયાસ છે, ધ્યાન એ ચિત્તરહિતાની અવસ્થા છે, શુદ્ધ જાગૃતિ છે. ધ્યાનમાં કોઈ ઉદ્દેશ નથી. ધ્યાન એક વૃક્ષ છે, જે બીજ વિના ઉગે છે. ધ્યાન એ સમજદારી છે કે ઈચ્છાઓ ક્યાંય દોરી જતી નથી. ધ્યાનમાં કોઈ કેન્દ્ર નથી, તમે શૂન્યતાના આધારે કામ કરો છો. શૂન્યતાને આધારે  ઉદ્દભવતો પ્રતિભાવ એ જ તો ધ્યાન છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા – કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો સમયની જરૂર પડે, પરિશ્રમની જરૂર પડે, તેને તત્કાલ મેળવી શકાય નહીં. પરંતુ કેવળ ધ્યાન હમણાં પ્રાપ્ત કરી શકાય છે, આ જ ક્ષણે, તત્કાલ. કારણ કે એ તમારો સ્વભાવ છે. એ માટે એક ક્ષણ પણ ગુમાવવાની જરૂર નથી. નિર્વાણ બીજું કશું નથી, પરંતુ પૂર્ણ ચક્ર કરેલી ધ્યાનાવસ્થા છે. ઈશ્વર બીજું કશું નથી, પરંતુ ધ્યાનની કુંપળનું ફૂલ બનવું છે. આ પ્રાપ્તિઓ નથી, આ તમારી જ વાસ્તવિકતાઓ છે, તે તમારી અંદર જ બિરાજમાન છે. ધ્યાન અર્થાત તેમાં હોવું, ધ્યાનસ્થ હોવું. એનો અર્થ કોઈના ઉપર ધ્યાન કરવું એવું થતો નથી. તે એક અવસ્થા છે, પ્રવૃત્તિ નથી. બુદ્ધ કહે છે કે તમે શૂન્યતાની આ અવસ્થામાં જાવ. પછી નિર્વાણ સ્વાભાવિક પરિણામ છે. તે આપમેળે આવે છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે આ શૂન્યતામાં કેવળ પ્રવેશો અને પછી શૂન્યતા વિશાળ અને વિશાળ થતી જશે. એક દિવસ તે તમારું સમગ્ર અસ્તિત્વ બની જશે. તેમનું એક માત્ર આશ્રયસ્થાન પ્રજ્ઞાની પરિપૂર્ણતા, ધ્યાનની પરિપૂર્ણતા છે. બુદ્ધ મહાગુરુ છે. એવા ગુરુ, જે તમને મુક્ત કરે છે, તમારા અંધકારનો નાશ કરે છે. તેમનો સંદેશ મનુષ્યને આપવામાં આવેલા સંદેશાઓમાંનો મહાનતમ સંદેશ છે.

રીટા જાની
25/11/2022

*વિસ્તૃતિ….૩૬*. જયશ્રી પટેલ



શ્રી વિષ્ણુ પ્રભાકર અને ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવે દ્વારા આપણે શરદબાબુની કેટલા નજીક પહોંચી ગયા છીએ! તેઓના જીવનનાં એક એક પાસા આપણે જાણી રહ્યા છીએ . આ જીવન સંઘર્ષમય તો હતું જ પણ તેઓ એક વૈરાગી પુરુષ પણ હતા.
એક બાજુ શરદબાબુ બર્મા એટલે કે રંગૂન જઈને બેઠા હતા અને ત્યાં અવારનવાર કંઈક ને કંઈક નવું અનુભવી રહ્યા હતા. જે તેમના જીવનનું એક ઊંડું પાસું હતું. શરદબાબુ દિશાહીન થયા તો ત્યાં તેઓ કોઈ આસ્તિક નહોતા તેઓ પોતાની જાતને નાસ્તિક કહેતા અને ઈશ્વર પ્રત્યેની કોઈપણ રુચિ તેમને નહોતી અને ઈશ્વર છે જ નહીં તેવું પણ કહ્યા કરતા. તેમને ખૂબ વ્યસન હતા તેમનું મન વૈરાગી થઈ ગયું હતું છતાં બધાં દુર્ગુણોની સામે એક સદગુણ હતો વાંચનનો ઘણું ઊંડાણપૂર્વક સમાજ વિજ્ઞાન યૌન વિજ્ઞાન ,ભૌતિક વિજ્ઞાન તેમજ તત્વજ્ઞાન એવું ઘણું બધું વાંચન ધરાવતા. વાંચતા જ નહીં પરંતુ મિત્રો સાથે તત્વજ્ઞાન પ્રત્યે ખૂબ ચર્ચા કરતા. તેઓ રંગુનનાં રામકૃષ્ણ મિશનના સ્વામી શ્રી રામકૃષ્ણાનંદના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે તત્વજ્ઞાનની ચર્ચાઓ કરતા તેઓ નાસ્તિક હતા પણ ઈશ્વરની શોધ પણ તેમને કરવી હતી . તેઓના રંગુનના રહેઠાણ દરમિયાન તેમણે પ્લેગ જેવા મહારોગનો પણ ખૂબ સામનો કરવો પડેલો. આમાં તેમણે પોતાના મિત્ર અને પોતે પણ પ્લેગનો સામનો કરી પોતાનું જીવન સવાર્યું હતું . શરદએ ત્યાં પ્લેગમાં ઘણાં સાથીદાર મિત્રો ગુમાવ્યા હતા અને આથી તે ખૂબ જ નિરાશ થઈ ગયાં હતા.
રંગુનમાં તેમણે ત્યાંની પ્રસિદ્ધ લાઇબ્રેરી બર્નાર્ડના એક એક પુસ્તકોને વાંચી કાઢ્યા હતા. Tolstoy તેમના પ્રિય લેખક હતા ખાસ તો તેમને અન્ના કેરેનિના અને રિસરેક્શનના પ્રિય લેખક તરીકે પ્રેમ કરતા. તેમના પુસ્તકો તેમને પચાસથી વધારે વાર વાંચ્યા હતા.

જ્યારે હંમેશ માટે તેમને રંગૂન છોડ્યું ને ત્યારે તે કહેતા હતા રંગુનનું મને એક જ આકર્ષણ છે અને તે છે બર્નાર્ડ લાઇબ્રેરી ,કલકત્તાની ઇમ્પીરિયલ લાઇબ્રેરીમાં મને આટલી છૂટ નથી મળતી જે મને અહીં મળી.આ સમયે તેઓ ચારિત્રહીન તો લખતા જ હતા જેની ભારતમાં જ શરૂઆત થઈ હતી આપણે જોયું હતું કે ચરિત્રહીનનો નાયક સતીશ હોસ્ટેલમાં રહેતો હતો તેવી જ રીતે શરદબાબુ પણ બર્મામાં હોસ્ટેલમાં જ રહેતા હતા અને ત્યાં મિત્રોના હાસીને પાત્ર પણ થયા હતા, કારણ દિવસ આખો નોકરી કરી રાત્રે તેઓ લેખન કાર્યકર્તા મેસમાં રહેતા રહેતા બગચંદ્ર ડે ડે તેમના ખાસ મિત્ર બની ગયા હતા , પણ તેઓ પણ તેમને પ્લેગમાં છોડીને ચાલ્યા ગયાં હતા . તેમના ગયા પછી શરદ સાવ એકલા પડી ગયા અને વૈરાગી મન વધુ વૈરાગ્ય તરફ ઢળવા લાગ્યું .

એક દિવસ પોતે જ્યારે નોકરી પરથી પોતાના ઘરમાં પાછા આવ્યા હતા ત્યારે તેમનું ઘર અંદરથી બંધ મળ્યું .ત્યાં તેમના ઘરમાં તેમના જ ઇમારતમાં રહેતી ચક્રવતી મિસ્ત્રીની દીકરી શાંતિ પિતાના ડરથી તેમના શરણે આવી હતી .તેના પિતા તેને એક વૃદ્ધ વ્યસની પુરુષ સાથે પરણાવી રહ્યાં હતા . શરદચંદ્ર પોતે તે સ્ત્રીને પોતાના ઘરે રાખી રાત બહાર રહ્યાં .બીજે દિવસે તેના પિતા યજ્ઞેશવર મિસ્ત્રી પાસે ગયા સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમાં તે માણસ સમજ્યો જ નહીં અને ઉપરથી શરદચંદ્ર ને તેમની દીકરી સાથે પરણી જવાનું આહવાન આપ્યું .શરદચંદ્ર ત્યાંથી ચાલ્યા ગયા ,બીજે દિવસે આવી તેમણે શાંતિ સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને આ તેમના પહેલા લગ્ન હતા. શાંતિ સાથે તેઓ બે વર્ષ ખૂબ જ શાંતિથી રહ્યાં અને એક બાળકનાં પિતા પણ બન્યા .ભગવાનને મંજૂર ન હતું તેમના જીવનમાં સંઘર્ષ અને સંઘર્ષ જ લખાયેલો હતો. આથી એક દિવસ શાંતિ પ્લેગનો ભોગ બની ગઈ ખૂબ પ્રયત્ન છતાં ના બચી પહેલાં પ્રેમમાં તેઓ ઘણું પામ્યા હતા અને શાંતિના ગયા પછી તેઓ ખૂબ જ દુઃખી થયા જીવન તેમનું છિન્નભિન્ન થઈ ગયું . પીંછી સુકાઈ ગઈ ,સાહિત્ય સર્જન અલોપ થઈ ગયું અને પાગલની જેમ આમથી તેમ ભટકવાનું ચાલુ થઈ ગયું તે દરમિયાન જ પ્લેગના સકંજામાં સપડાઈને પુત્ર પણ મૃત્યુ પામ્યો .શરદ બાબુ હારી ગયા મિત્રોએ સલાહ આપી કે ક્યાંક બહાર ફરી આવ જેથી મનને કંઈક સારું લાગે.
આમ બર્મામાં તેમને સ્ત્રી તો મળી પણ બે વર્ષ જ તેની સાથે જીવન માણી શક્યા સંઘર્ષનો કોઈ અંત નહોતો ! હવે શું કરવું અને શું ન કરવું ના વમળમાં શરદ બાબુ બધું છોડી કંઈક ને કંઈક કાગળમાં ચીતર્યા કરતા જે શું હતું તે તેમને જ ખબર ન હતી હવે ઈશ્વર કંઈક મદદ કરે તો સારું એવી મનોભાવના સાથે તેઓ બર્મામાં ઘણું ફર્યા મિત્રો આમ વિષ્ણુ પ્રભાકરજી અને શ્રી હસમુખ દવે ના ગુજરાતી અનુવાદ દ્વારા જેટલું શરદબાબુની નજીક પહોંચાય તેટલું આપણે પહોંચવાનો પ્રયત્ન કરીશું.આ જે ભટકન હતું તેમાંથી જ શ્રીકાંત જેવી નવલકથા આપણને મળી.
મિત્રો, ફરી આપણે શરદબાબુની આગળની જીવન કથની વાંચીશું તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું .

અસ્તુ ,
જયશ્રી પટેલ.
૩૦/૧૦/૨૨

વિસ્તૃતિ….37 જયશ્રી પટેલ


વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહા જ્યારે મેં વાંચી ને તે પછી મને શ્રી હસમુખ દવેનો ગુજરાતી અનુવાદ પ્રાપ્ત થયો તો હું ખૂબજ ખુશ થઈ. એ પુસ્તકની વધુ નજીક જાણે પહોંચી ગઈ. અહીં સંક્ષેપમાં રજુ કરું છું.
બર્મા જવા નીકળેલ શરદબાબુના જીવનમાં પડેલા ઘણા સંઘર્ષો જાણવા મળ્યા ખરેખર તેઓ જ્યારે કલકત્તા છોડી રંગૂન જઈ રહ્યાં હતા ત્યારે નાની પતરાની ટ્રંક લઈને વહાણમાં બેસવા ગયાં હતાં,ત્યાં તેમને લાંબી લચક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું અને ત્યાં મેડિકલ ચેકઅપ કરાવવું પડ્યું હતું કારણ ભારતમાંથી પ્લેગ બર્મા ગયો હતો. તેઓને માંડ માંડ બેસવાની જગ્યા મળી હતી. પરંતુ આખા વહાણમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અનેક સ્ત્રી-પુરુષો બર્મા જઈ રહ્યાં હતાં , જાણે એવું લાગી રહ્યું હતું કે તેઓ ભારત દર્શન કરી રહ્યાં છે .તેમને બર્મા પહોંચતા ચાર દિવસ લાગ્યાં હતાં .
શરદ બાબુ માટે આ નવો જ અનુભવ હતો તેમાં એક દિવસ સમુદ્રમાં તોફાન પણ આવ્યું,મોટા મોટા મોજાં વહાણ સાથે અથડાતાં હતા .લોકો જોર જોરથી ચિત્કાર કરતા હતાં.લોકોને વહાણમાં સીકનેસ શરૂ થઈ ગઈ હતી. ખૂબ ઉલટીઓ થતી ,ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ડોક્ટરે આવી દવા અને સફાઈ કરાવી હતી. નવા અનુભવ સાથે શરદબાબુ રંગૂન પહોંચ્યા હતા .જેમ જેમ રંગૂનનુ બંદર નજીક આવતું હતું તેમ તેમ સંભળાવવા લાગ્યું કવોરોંટીન થવું પડશે. બધાં મુસાફરોને કવોરોંટીન કરી અને પછી શહેરમાં દાખલ કર્યા .
ત્યારબાદ તે એક હોટલમાં રહ્યાં અને પછી માસા અઘોરનાથને ત્યાં પહોંચ્યા .તેમની હાલત તો જાણે ભિખારી જેવી જ થઈ ગઈ હતી .મેલા દાટ ફાટેલાં કપડાં , પગમાં તૂટેલી ચંપલ અને ખભા પર ફાટેલી ચાદર ,અસ્તવ્યસ્ત વાળ ,શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું. માસા અઘોરનાથને જોઈને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. માસા અઘોરનાથ તેની હાલત જોઈને ગભરાઈ ગયાં,તેને કહ્યું કે તે મારું નામ કેમ ન દીધું તું મહા મૂર્ખ છે ભલભલા લોકો મારી ઓળખ આપીને છટકી જાય છે .અઘોરનાથ ત્યાં એક જાણીતા એડવોકેટ હતા તેઓ ખૂબ જ મુક્તમનના હતા. તેમને ત્યાં શનિવારે ઘર પાર્ટી યોજાતી તેમાં ખાવા પીવાનુ તથા સંગીતની મહેફીલ જામતી .સર્વ ધર્મ જાતિનાં લોકો ત્યાં આવતા.માસા માસી એ તેમનું પ્રેમપૂર્વક અને ઉમળકાથી સ્વાગત કર્યું. ભાગલપુર અને ભવાનીપુરમાં જે અપમાન અને અવહેલના સહી હતી તેને બદલે અહીં પ્રેમ મળ્યો.
તેને બર્મી ભાષા શીખવી પડશે જો કાયદાનો અભ્યાસ કરવો હોય તો, એવી સલાહ માસાએ આપી.ત્રણ મહિના પછી શરદને બર્મા રેલવેની ઓડિટ ઓફિસમાં નોકરી મળી ગઈ .તે માસીની દીકરીને સંગીત પણ શીખવાડતા. હવે તેમને લાગ્યું હતું કે દુઃખનાં દિવસો વીતી ગયાં. બર્મી ભાષાની પરીક્ષા તે પાસ ન કરી શક્યા અને તેની નોકરી છૂટી ગઈ અને તેથી તે વકીલ ના બની શક્યા. તેમના પ્રેમાળ સ્વભાવને કારણે ત્યાં બંગાળી સમાજમાં તેમણે ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો .તેમનું સંગીત સાંભળવા અઘોરનાથને ત્યાં અનેક ભદ્ર બંગાળી લોકો આવતા .તેમાં ગિરીન્દ્રનાથ સરકાર સાથે તેને સારા સંબંધો બંધાયાં. તેઓ વિશેવપ્રવાસી હતાં. ખૂબ જાણકાર હતાં.તેમની સાથે ખૂબ સાહિત્યક ચર્ચા પણ થતી.
એક દિવસ માસી દીકરીનું લગ્ન નક્કી કરવા કલકત્તા ગયાં હતાં અને ત્યાં અઘોરનાથ ન્યૂમોનિયામાં પટકાયા. રાત્ર દિવસ જોયા વગર શરદે માસાની તનતોડ સેવાચાકરી કરી ,પણ એ ના બચી શક્યા .ફરી એકવાર તે નિરાધાર થઈ ગયા. અઘોરનાથના મૃત્યુ પછી તે ઘણાં વ્યક્તિઓને મળ્યા,ઘણાં અનુભવો પણ મેળવ્યા પણ દિશા ભૂલેલા વ્યક્તિ જેવા તેઓ બની ગયા.આજે તે રંગૂન હોય કે કાલે પૈંગુ માં ,વળી કોઈ વાર ઉત્તર બર્મામાં તે બૌદ્ધ સાધુ બનીને ઘણું ફર્યા ,પણ આવું ક્યાં સુધી ચાલે પોતાના ભાઈ બેન નિરાશ્રિત મૂકીને આવ્યા હતા.
તેથી તેણે એક્ઝામિનર પબ્લિક વર્કસ એકાઉન્ટની ઓફિસમાં 30 રૂપિયાની નોકરી પણ સ્વીકારી લીધી.

ત્યાં તેમની મણીન્દ્રકુમાર મિત્ર સાથે મુલાકાત થઈ .તેઓને તેના ગીતો ખૂબ ગમતા શરદ પર તેમને ખૂબ સ્નેહ હતો.તેઓને લાગતું કે શરદના કંઠમાં અલોકિક માધુર્ય છે .બરમામાં એક પછી એક અનેક નોકરીઓ બદલી વચ્ચે વચ્ચે બેકારી પણ આવી જતી. આ બેકારીનાં સમયમાં તે વાંસળી વગાડતા, શતરંજ રમતાં,શિકાર કરતાં,ક્યારેક ક્યારેક ભગવા વસ્ત્રોને શરણે પણ જતા પૌંગી બૌદ્ધ સાધના વેશમાં એની ચીર પરિચિત અને દિશાહીન યાત્રામાં નીકળી પડતા.જ્યારે થાકી જતા ત્યારે રંગૂન પાછા આવી જતાં.છેવટે તેમને મિત્ર મહોદયની કૃપાથી સ્થાયી નોકરી મળી ગઈ .પગાર પંચાસ રૂપિયા જો કે ત્રણ મહિના પછી સંતોષજનક કામને લઈને 65 રૂપિયા થયો હવે તેમનું સ્થાયી જીવન શરૂ થયું અને પગાર ₹90 રૂપિયા સુધી પહોંચી ગયો.
મણીન્દ્રનાથ મિત્ર સાથે જ રહેતા.બંને જણા સંગીત અને તત્વજ્ઞાનની ચર્ચા કરતા તે મિત્ર મહોદાયના બાળકોને પણ સંગીત શીખવાડતા બર્મામાં તેં સરકારી નોકરી કરતા માટે તેને ત્યાં બેંગોલ સોશિયલ ક્લબમાં પણ મેમ્બરશીપ મળી ગઈ .ક્લબના સભ્યો માટે મુખ્ય ગીત ગાયક થઈ ગયા.એમના મધુર કંઠે રવીન્દ્રનાથના ગીતો સાંભળી શ્રોતા ખુશ ખુશ થઈ જતાં.રંગુનમાં ત્યારે એક વાર શ્રી નવીનચંદ્ર પધાર્યા હતાં .બેંગાલ ક્લબમાં તેમના સન્માન નિમિત્તે શરદને ગાવાનું કહેવામાં આવ્યું અને શરદે પડદા પાછળ રહી ગાયું. ત્યારે તે નવીનચંદ્રને મળ્યા નહીં બહુ જ આગ્રહ છતાં પણ તે નવીનચંદ્રની સામે હાજર થતા નહીં કારણ સમજાતું નહીં .એકવાર કંઈ કામને અર્થે તેઓ નવીનચંદ્રના ઘરે પહોંચ્યા ત્યારે ન્યાયાધીશ શ્રી યતીન્દ્રનાથ સરકાર ત્યાં હાજર હતા શરદ આ જોઈને ઊભી પૂછડિયે ભાગી ગયા હતા .શ્રી નવીનચંદ્ર સેનના ત્યાં ત્તેમને જવું પડ્યું ત્યારે તેમણે કહ્યું કે હું તમારી ચાતકની જેમ રાહ જોતો હતો ,પણ શરદચંદ્રે તેમના પુત્ર નિર્મળ ચંદ્રના વખાણ કર્યા અને કહ્યું તે જો પહેલા ગાશે તો જ હું ગાઈશ .એ સમયે રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ સ્વામી રામકૃષ્ણનંદ પણ ત્યાં હાજર હતાં. તેમણે કહ્યું કે નિર્માણચંદ્ર, શરદચંદ્ર અને નવીનચંદ્ર બધા જ હાજર છે ,પણ મારે તો શરદ સુધા પાન કરવું છે .ત્યારે પણ ત્યારે પણ તેમણે ગાયું નહીં અને નિર્મળ ચંદ્ર પાસે ગવડાવ્યું ,ત્યારબાદ જ તેમણે ગાયું .નવીનચંદ્ર ભાવવિભોર થઈ ગયા અને તેમને *રંગૂન રત્નનો* ખિતાબ આપ્યો .શરદચંદ્ર આ ખિતાબ પચાવી શક્યા નહીં કે સાચવી શક્યા નહીં .ઉપેક્ષા અને અભિમાન્ય કારણે એક દિવસ એમણે કંઠનું માધુર્ય ગુમાવી દીધું અને ધીરે ધીરે સંગીત પ્રત્યે તેમને અરુચિ થઈ આવી .ક્યાંય પણ પહેલું ગીત ગાતા અને તેઓ અધૂરું મૂકીને ભાગી જતા .બીજું ગાવાનો તો પ્રશ્ન ઊઠતો જ નહીં ,પરંતુ એનો બીજો એક છુપાયેલો શોખ હતો વાંચન કોને ખબર હતી કે આ શોખ તેમને માટે ઊંચો શોખ બની જશે તેમના આ વારંવાર નાસી જવા કે ગાયબ થઈ જવા પાછળ એક અદભૂત લેખકની મૌન સાધના હતી .જે આપણને અમૂલ્ય શરદ સાહિત્ય આપી ગઈ .
મિત્રો આવતા અંકમાં ફરી આપણે શરદબાબુ વિશે નવું કંઈક જાણવાનો પ્રયત્ન કરશું.

અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૩/૧૦/૨૨

ઓશો દર્શન -35. રીટા જાની

wp-1644023900666

જીવન એટલે ક્ષણોની સમજણનો સરવાળો. મહાન પુરુષો કે શ્રેષ્ઠ તત્વજ્ઞાનનો ઉદભવ જીવનની સાચી સમજમાંથી ઉદભવે છે. જીવનમાં શું કરવું અને શું ન કરવું તેવા બે માર્ગોની સાચી સમજણ એ જીવનની ચાવી છે. આ ચાવીથી સુંદર ભવિષ્યનું તાળું ખૂલે છે. આપણા સ્વપ્નો અને આપણો વ્યવહાર, સફળતાની સીડીનું રહસ્ય શું? સફળતાની સીડી સહુના માટે અલગ છે. આપણે સફળ થયા તેમ વિશ્વ તો કહે, પણ આપણું મન અને આત્મા કહે તો જ આપણે સફળ. જીવનની સમૃધ્ધિની વચ્ચે પણ કંઇક હજુ મેળવવાની કામના કે ઈચ્છા રહે તો તે તૃપ્તિ કે સંતોષ નથી, પણ અતૃપ્તિ છે. શ્રાવણની સરી ગયેલી ક્ષણોના તત્વજ્ઞાન અને આત્મચિંતનને એકત્ર કરીએ તો ક્ષણની સફળતા એ આત્મસંતોષ છે અને જીવનની સફળતા એ પણ આત્મસંતોષ છે. ભરપૂર જીવ્યાનો આનંદ, સૃષ્ટિને માણ્યાનો આનંદ અને વિશેષ પામવાની કામનામાંથી મુક્તિ એ સફળ જીવનનું રહસ્ય છે. આ રહસ્ય ધર્મોનું સત્વ છે.

ઓશો દર્શન અંતર્ગત ગત અંકમાં આપણે જોયું કે ‘જીવન જ ઈશ્વર છે’. આજે આ જ વિષય પર વધુ ઊંડાણથી વિચારીશું.
ઈશ્વરની ખોજ કરતા લોકો પૂછશે કે ઈશ્વર છે એની સાબિતી શું? ઓશો કહે છે કે જેઓ આ પ્રશ્ન પૂછે છે તેઓ બંધ આંખો રાખીને જ જીવન જીવે છે. નહિ તો ખીલતા ફૂલના હાસ્યમાં, કોકિલના કલરવમાં, મેઘધનુષના રંગોમાં, ખળખળ વહેતા ઝરણાંમાં, આસપાસ જ્યાં નજર નાખે ત્યાં ઈશ્વર જ ઈશ્વર છે. બને છે એવું કે જેઓ આંખો ખુલ્લી રાખીને જીવે છે તેમને આ બધી જગ્યાએ ઈશ્વર દેખાય છે. પ્રકૃતિ પર નજર નાખો અને તમને લાગશે કે જ્યાં નજર પડે ત્યાં કણ કણમાં પરમાત્મા છે. પણ તેમની મૂંઝવણ એ છે કે ઈશ્વરની સાબિતી તો બધે મળે છે પણ ઈશ્વર ખુદ ક્યાં ગુમ છે? માછલી સાગરમાં ડૂબકી મારે છે એમ આપણે પણ પરમાત્માના સાગરમાં ડૂબકી મારીએ છીએ. માછલી સાગરમાં સર્વત્ર પાણીનો અનુભવ કરે છે તે જ રીતે આપણે પણ સર્વત્ર પરમાત્માના પ્રેમને અનુભવી શકીએ છીએ. જરૂર છે તર્કને થોડો બાજુએ મૂકી જાગૃત થવાની, ચૈતન્યનો અહેસાસ કરવાની. ચૈતન્યનો જરા સરખો જ સ્પર્શ, તર્ક નહીં, પણ ધ્યાન- આપણને પરમાત્માના પ્રેમમાં તરબોળ કરી દેશે.

ઓશો સાગરના મોજાંના માધ્યમથી આ ગહન તત્વજ્ઞાનને સુપેરે સમજાવે છે. મોજાં સાગર વિના ન હોઈ શકે માટે સાગર એ મૂળ છે મોજાં આવે છે અને જાય છે, સાગર ન આવે છે ન જાય છે. મોજાં કદી જન્મે છે, કદી મટે છે. સાગર જન્મતો પણ નથી અને મટતો પણ નથી. આપણે એમ ન કહી શકીએ કે સાગર હતો, સાગર સદાય છે, સાગર વર્તમાન છે. એ જ રીતે ભવિષ્યકાળ અને ભૂતકાળ આપણા કાળ છે. પરમાત્મા હંમેશા વર્તમાનમાં છે. ઈશ્વર હતા અથવા ઈશ્વર હશે એમ કહેવાનો કોઈ અર્થ નથી, ઈશ્વર છે. સાગર અને મોજું એક છે, તેમ છતાં મોજાં ઉઠે છે અને પડે છે. પરમાત્મા અને આપણે પણ એક છીએ, આપણે આવીએ છીએ અને જઈએ છીએ. એનો અર્થ એ નથી કે આપણે પરમાત્માથી અલગ છીએ. મોજું પણ ક્યાં સાગરથી અલગ છે? કોઈ મોજું એકલું ઉઠતું નથી, કરોડો મોજાંની જાળમાં પેદા થાય છે. તેને ચારે તરફ મોજાં દેખાય છે, સાગર દેખાતો નથી. આપણને પણ મનુષ્ય, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ દેખાય છે, પરમાત્મા દેખાતા નથી. ધ્યાન એ અંદર ઉતારવાની કળા છે, જેમાં આપણને ખબર પડે છે કે હું સાગરનું મોજું નથી, સાગર છું. એ અનુભૂતિ બાદ જીવનનો અર્થ જ બદલાઈ જશે, કારણ કે મટવાનો કે મરવાનો કોઈ ડર રહેશે જ નહીં, કારણ કે સાગર કદી નથી મટતો. દરેક માણસ મરણથી ભયભીત છે, એને ખબર જ નથી કે નીચે કંઈક છે જે મરી જ શકતું નથી. આ વાતની ખબર પડી જાય તો ભય સમાપ્ત થઈ જશે, નષ્ટ થઈ જશે. જીવન જીવવાની મજા કંઈ જુદી થઈ જશે. કારણ કે ત્યારે આપણે મોજાંની જેમ નહીં, સાગરની જેમ રહીશું; માણસની જેમ નહીં, પરમાત્માની જેમ રહીશું.

પરમાત્માની જેમ રહેવું એટલે ઐશ્વર્યમાં રહેવું. ઈશ્વરનો અર્થ છે- માલિક. બધું ઐશ્વર્ય જેનું છે, તેની સાથે ઐકયનો અનુભવ કરવો. સન્યાસી તે નથી, જેણે ઘર છોડી દીધું છે, જેને માટે બધાંના ઘર પોતાના થઈ ગયા તે સન્યાસી. સન્યાસી એ નથી જેણે પોતાનો પરિવાર છોડી દીધો, પણ સમગ્ર જગતનો પરિવાર તેનો પોતાનો થઈ ગયો. જેવું મોજું નીચે ઉતરે છે, તે સાગરને મળી જાય છે અને તેને ખબર પડે છે કે બધા મોજાં સાગરના જ છે. સવાલ તમામ લહેરના અલગ અસ્તિત્વના છે, જવાબ બધાં સાગરમાં છે. જ્યારે લહેર સાગરમાં સમાઈ જાય છે, તો સવાલ ખોવાઈ જાય છે. કબીર કહે છે કે શોધતાં શોધતાં હું પોતે જ ખોવાઈ ગયો અને જ્યારે ખુદ ખોવાઈ ગયો ત્યારે એ મળી ગયો, જેની હું શોધ કરતો હતો. લહેરની અને સાગરની મુલાકાત ક્યારેય થતી નથી પણ લહેર અને સાગરનું મિલન થાય છે. જે લોકો જ્ઞાની છે તેઓ એવા લોકો નથી, જેમને બધા સવાલોના જવાબ મળી ગયા. તેઓ એવા લોકો છે જેમની પાસે કોઈ સવાલ જ ન રહ્યો. ધ્યાન એ સવાલોની ખતમ કરી દેવાની પ્રક્રિયા છે. મન એ આનંદમાં પહોંચી જાય છે, જેમાં આપણે એવી રીતે લીન થઈ જઈએ છીએ કે સવાલ પૂછીને પણ એને ખંડિત કરવાની હિંમત આપણે નહીં કરીએ. અંધ વ્યક્તિ પ્રકાશ વિશે જાણતો નથી, તો પ્રકાશના સંબંધમાં યોગ્ય સવાલ કઈ રીતે પૂછી શકે? દ્રષ્ટીવાળો વ્યક્તિ પ્રકાશ વિશે જાણે છે, માટે સવાલ પૂછવાની કોઈ જરૂર નથી. જ્ઞાન એ સવાલના જવાબ નથી. જ્ઞાન સવાલોનો અભાવ છે. ધ્યાન એ પ્રયોગ છે, જ્યાં બધું અનુપસ્થિત થઈ જાય છે અને લહેર ધીરેથી ઉતરીને સાગર સાથે એક થઈ જાય છે.

જિંદગી વહેણ છે, મહાનતા તરફની યાત્રા છે, વિરાટ તરફની મંઝિલ છે. નદી સાગરમાં ખોવાઈ જાય તો સાગર બની જાય છે. પણ જો સાગરમાં જવાનો ઇનકાર કરી દે તો પછી તળાવ કે ખાબોચિયું બનીને મર્યાદિત બની જાય છે, તેને સાગરનું મહાજીવન મળી શકતું નથી. માણસ બીજ છે, પરમાત્મા વૃક્ષ છે. જેમ બીજ તૂટીને વૃક્ષ બની જાય છે, તેમજ માણસ જ્યારે તૂટવાની હિંમત એકઠી કરી લે તો પરમાત્મા બની જાય છે. ધ્યાન વિલીન થવાની ક્રિયા છે, પોતાના મૂળ સ્ત્રોતમાં પોતાને ખોવાની ક્રિયા છે. ઘરની બહાર સુરજ ઉગ્યો છે અને ઘરમાં અંધકાર છે કારણ કે દરવાજા બંધ છે સૂરજના કિરણો અંદર લાવવા હોય તો ફક્ત દરવાજા ખોલવાની જરૂર છે. એ કિરણોને પકડીને આપણે અંદર નહીં લાવી શકીએ. એ જ રીતે પરમાત્માની અનંત શક્તિઓને પ્રાપ્ત કરવા આપણે વચ્ચે નહીં ઊભા રહીએ, તો એ આપણને સરળતાથી પ્રાપ્ત થશે. જીવન જેવું છે, તેવું સ્વીકાર્ય બને, સ્વીકારનું દ્વાર ખુલે, તો શાંતિનો સાગર અંદર પ્રવેશી જશે. જ્યારે સાક્ષી કે દ્રષ્ટા બની જઈએ ત્યારે ધીરે ધીરે અંદરના દ્વાર ખુલી જશે, શાંતિ વરસી પડશે, પ્રકાશ છવાઈ જશે, આનંદના ઝરણાં ફૂટી નીકળશે, જે રોમે રોમને પુલકિત કરી દેશે. આ શાંતિમાં, આ આનંદમાં, આ પ્રકાશમાં પરમાત્માનો અનુભવ ઉપલબ્ધ થશે, ચારે તરફ એની હાજરીની પ્રતીતિ થશે.

રીટા જાની
30/09/2022

ઓશો દર્શન-32. રીટા જાની

wp-1644023900666

ગત અંકમાં આપણે સ્વામી આનંદ વીતરાગના ‘મહાવીર દર્શન’ પર આધારિત ઓશો દ્વારા ભગવાન મહાવીરે આપેલા બાર તપ પૈકી છ બાહ્ય તપની વાત કરી હતી. આજે ઓશો દર્શનમાં આપણે બાકીના 6 આંતર તપને સમજીશું. ઓશોની ખૂબી એ છે કે તે જે વિષયને સમજાવે છે તેની આંતરિકતામાં એટલી ઊંડી ડૂબકી મરાવે છે કે એ આંતરિકતાના મહાસાગરના મોતી, માણેક અને રત્ન આપણી નજર સામે તાદૃશ થાય છે, એટલું જ નહીં પણ વાચક સ્વયં એ ઊંડાણમાં ઉતરીને પાછો આવ્યો હોય એવો અનુભવ તેને કરાવે છે.

અંતર તપમાં પ્રવેશ માટેનું દ્વાર પ્રાયશ્ચિત છે. ભગવાન મહાવીરે પ્રાયશ્ચિતને પહેલું અંતર તપ કહ્યું છે. ઓશો આપણને પ્રાયશ્ચિત અને પશ્ચાતાપનો ભેદ સુપેરે સમજાવે છે. ત્રણ પ્રકારના માણસ હોય છે. એક પ્રકારના લોકો બીજાની ભૂલ જુએ છે, તેઓ પશ્ચાતાપ પણ કરતા નથી. બીજા પ્રકારના લોકો કર્મની ભૂલ જુએ છે, તે પશ્ચાતાપ કરે છે. ત્રીજા પ્રકારના લોકો જે સ્વયંની ભૂલ જુએ છે, તે પ્રાયશ્ચિત કરે છે. પશ્ચાતાપ બહુ સાધારણ ઘટના છે, પરંતુ પ્રાયશ્ચિત સાધના છે. પશ્ચાતાપ ખોટા કામ સાથે સંબંધિત છે અને પશ્ચાતાપ કરનાર એવો ને એવો જ રહે છે, જ્યારે પ્રાયશ્ચિત ‘હું જ ખોટો છું’ એવા બોધ સાથે સંબંધિત છે. માટે પ્રાયશ્ચિત કરનારે પોતાની જીવન ચેતનાને રૂપાંતરિત કરવી પડે છે. પ્રાયશ્ચિત આપણને બદલે છે. જેમનું ધ્યાન કર્મ પર છે, તેઓ પશ્ચાતાપ કરીને ત્યાંના ત્યાં જ રહે છે. ક્રોધ થઈ ગયો, ભૂલ હતી, એવો ખ્યાલ આવ્યો એટલે પશ્ચાતાપ કરી પગલું પાછું લીધું. આમ એકની એક જગ્યા પર દોડ્યા કરવા જેવું થશે. પસ્તાવો કરી માણસ પ્રસન્ન થાય છે અને આશ્વાસન લે છે કે હું કેટલો સારો માણસ છું. પરંતુ પ્રાયશ્ચિતનો અર્થ જુદો છે. ભૂલ મારા પૂર્વ કર્મની નથી પરંતુ મારી છે, મેં ખોટું કામ કર્યું છે. તો એક મનોમંથન શરૂ થાય છે, એ માણસ ખરેખર પ્રાયશ્ચિત કરે છે અને સુધરી શકે છે. જે વ્યક્તિ કર્મની ભૂલ હોવાનું માનતો નથી અને સ્વયંની ભૂલ જોવાનું શરૂ કરે છે, તેની અંતરયાત્રા શરૂ થઈ જાય છે. તથ્યનો સ્વીકાર પ્રાયશ્ચિત છે, ભૂલને ભૂંસી નાખવાનો પ્રયત્ન પશ્ચાતાપ છે. પશ્ચાતાપ બીજા સામે પ્રગટ કરવો પડે છે, પ્રાયશ્ચિત સ્વયંની સામે પ્રગટ કરવાનું છે.

વિનય એ બીજું અંતર તપ છે. સૌ પ્રત્યે સહજ આદર એટલે વિનય. જ્યારે બીજાના દોષ જોઈને પોતાના અહંકારને પોષણ આપવાનું બંધ કરીએ, ત્યારે વિનય પેદા થાય. મન હંમેશા એવું ઈચ્છે કે બીજા નિંદિત રહે, બીજાના દોષ દૂરથી પણ આપણને દેખાય, પણ આપણા દોષ નિકટ હોવા છતાં આપણે જોઈ શકતા નથી. જ્યારે કોઈ પણ ભેદભાવ વિના આદર અપાય ત્યારે વિનય પેદા થાય છે – જીવન પ્રત્યે આદર, અસ્તિત્વ પ્રત્યે આદર, જે છે તેના પ્રત્યે આદર, શ્રેષ્ઠત્વનો કોઈ સવાલ નથી- એ વિનય છે. દરેક પ્રત્યે આદર સંભવે, એ તમારું અંતર તપ છે. મહાવીર સ્વામી વિનયને આંતરિક ગુણ ગણાવે છે. સુરજ તમને પ્રકાશ આપે છે ત્યારે તમને પૂછતો નથી, હવા તમને ઓક્સિજન આપવાની ના નથી પાડતી, આકાશ એમ નથી કહેતું કે તે જગ્યા નહીં આપે કે તમે સારા માણસ નથી. સમગ્ર અસ્તિત્વ કોઈપણ શરત વિના તમારો સ્વીકાર કરે છે. આ જીવન પ્રત્યે સહજ સન્માન એ જ વિનય છે.

ત્રીજું અંતર તપ છે – વૈયા વૃત્ત્ય એટલે કે સેવા. ભગવાન મહાવીર સેવાનો અર્થ જુદો જ કરે છે. જે સેવામાં કોઇ પ્રયોજન હોય તો તે સેવા નથી. એનાથી પુણ્ય મળશે તેવો ભાવ પણ ન હોવો જોઈએ. ભૂતકાળમાં આપણે જે કર્મ કર્યા છે તેના વિસર્જન માટે સેવા કરવી પડે છે એમ ભગવાન મહાવીર કહે છે. જે કંઈ ખોટું અર્ચિત થઈ ગયું છે તેની નિર્જરા કરવાની છે, વિસર્જન કરવાનું છે. સેવક બન્યા વિના સેવા થઈ જાય તો જ એ સેવા છે. પુણ્ય પણ ભવિષ્યોન્મુખ હોય તો તે પાપ બની જાય છે. પુણ્ય જો પાછલા કર્મોનું વિસર્જન હોય તો તે એક સંતુલન છે. કોઈ સેવા કરવાનો અવસર ઉભો થાય તો સેવા કરો. વૈયા વૃત્યનો અર્થ છે ઉત્તમ સેવા. સેવા કરવાનો ભાવ ભીતરમાંથી ઉઠતો હોય તો તમારી જાતને રોકશો નહિ, જો ભાવ ન ઉઠતો હોય તો ચૂપચાપ આગળ વધી જાવ. કોઈને ખબર ન પડે કે તમે સેવા કરી છે તો એ વૈયાવૃત્ય છે. સેવા દવા જેવી છે. દવાથી કાંઈ મળતું નથી, રોગ દૂર થાય છે. જો સેવા કરવામાં કોઈ પ્રકારનું ગૌરવ, ગરિમા કે અસ્મિતાની ભાવના મનમાં ગહન બને તો એ સેવા વૈયા વૃત્ય નહીં બને. સેવા એવી હોય કે જે કરવા કોઈ રાજી ના હોય, ત્યારે તમે અંતર તપમાં પ્રવેશ પામશો.

આંતર તપનું ચોથું પગથિયું છે – સ્વાધ્યાય. સામાન્ય રીતે એવો અર્થ કરવામાં આવે છે કે શાસ્ત્રોનું અધ્યયન, પઠન અને મનન સ્વાધ્યાય છે. પરંતુ મહાવીર સ્વામી અનુસાર સ્વયંનું અધ્યયન સ્વાધ્યાય છે, શાસ્ત્રોનું નહીં. માનવી સ્વયં એક પરમ શાસ્ત્ર છે, કારણ કે જે કાંઈ જાણી શકાય છે, જે જાણી શકાશે, તે પણ માનવી જ જાણે છે. માટે જ મહાવીર કહે છે કે એક સ્વયંને જાણી લેવાથી બધું જાણી લેવાય છે. જ્ઞાતાને જાણવો એ ધર્મ છે. ધર્મ સ્વયંને જાણવામાં છે. સ્વયંનું અધ્યયન કરો તો તે શાસ્ત્ર છે, પરંતુ ક્રોધ કે રાગ વિશે શાસ્ત્રોમાં જે સમજાવ્યું છે તેનું અધ્યયન કરો તો તે સ્વાધ્યાય નથી. આપણું બધું ધ્યાન બહારની તરફ છે માટે ભીતરમાં અંધારું છે. સ્વાધ્યાયનો અર્થ છે ધ્યાનનો પ્રકાશ ભીતરની તરફ વાળવો, જેથી ભીતરમાં શું છે તે દેખાવાનું શરૂ થાય. કોઈ માણસ તમને ગાળ આપે અને તમારામાં ક્રોધ ઉઠે ત્યારે તમારું ધ્યાન શેના પર છે? ગાળ પર કે ક્રોધ પર? જો ગાળ પર ધ્યાન હશે તો સ્વાધ્યાય નહીં બને અને જો ક્રોધ પર ધ્યાન હશે તો સ્વાધ્યાય થઈ જશે.

અંતર તપનું પાંચમું ચરણ છે સામાયિક એટલે કે સ્વભાવમાં સ્થિર થવું તે. મહાવીરે ધ્યાન શબ્દનો ઉપયોગ નથી કર્યો જેટલો સામાયિક શબ્દનો કર્યો છે. મહાવીર આત્માને સમય કહે છે અને જે વ્યક્તિ પોતાના આત્મામાં હોય છે ત્યારે એ સામાયિકમાં છે એમ કહે છે. કારમાં બેસીને તમે ઘેરથી ઓફિસ જાવ છો સાથે એક પથ્થર પણ રાખ્યો હોય તો એ પણ ઓફિસ પહોંચી જશે. પરંતુ કારમાં બેઠેલું તમારું મન એક અન્ય ગતિ પણ કરે છે, એની ગતિ સમયમાં છે. તમારી કાર તમારા ઘરની બહાર જ ઉભી હોય છતાં તમારું મન ગતિ કરીને ઓફિસમાં પહોંચી ગયું હોઈ શકે. પથ્થર તમારી સાથે બેસીને એવો જ રહેશે તેની ભીતરમાં કંઈ ફરક નહીં પડે. પરંતુ તમે જ્યારે કારમાં બેસો છો ત્યારે તમારું શરીર સ્થાનમાં યાત્રા કરી રહ્યું છે અને તમારું મન સમયમાં યાત્રા કરી રહ્યું છે. ચેતનાની- મનની ગતિ સમયમાં છે. એટલે મહાવીર કહે છે કે ચેતના સમય છે અને ધ્યાન સામાયિક છે. જો ચેતનાની ગતિ સમયમાં હોય તો ચેતનાની ગતિનું સ્થિર થઈ જવું તેનું નામ સામયિક છે, શરીરની ગતિ સ્થિર થઈ જાય તેનું નામ આસન છે અને ચિત્તની ગતિ સ્થિર થઈ જાય તેનું નામ ધ્યાન છે. મહાવીરનું ધ્યાન એવું નથી જેમાં પ્રકાશના કિરણને બુઝાવી દેવાનું હોય, એ તો એવું ધ્યાન છે જેમાં ઓરડાનું આખું છાપરું જ ખોલી નાખવાનું હોય જેથી આખો ઓરડો પ્રકાશથી ભરાઈ જાય. આ ધ્યાનમાં ઉતરતા પહેલા બાહ્ય અને આંતરિક તપના જે 10 સૂત્રો છે તેમાંથી પસાર થવું અત્યંત જરૂરી છે. આ પ્રકારના ધ્યાનની પ્રક્રિયામાં પ્રવેશના ત્રણ પગથિયાં છે, જેને માટે મહાવીર સ્મૃતિ (Remembering), પ્રતિક્રમણ (Returning), જાતિ- સ્મરણ(Re-living) શબ્દ પ્રયોજે છે. પ્રતિક્રમણ ભૂતકાળ અને ભવિષ્ય બંનેથી છુટકારો મેળવવાની વિધિ છે. જ્યારે કોઈપણ ઘટના પૂરેપૂરી જીવાય છે, ત્યારે એવી ઘટના ફરીથી જીવવાની આકાંક્ષાથી મુક્ત થઇ જવાય છે.

કાયોત્સર્ગ અંતિમ અંતર તપ છે, શરીરનું છૂટી જવું એનું નામ કાયોત્સર્ગ છે. મૃત્યુ સમયે બધાંના શરીર છૂટી જાય છે, પણ મનની આકાંક્ષા નથી છૂટતી. જ્યારે ધ્યાન પ્રગાઢ બનશે, ત્યારે સાધકમાં શરીરને પકડવાનો ભાવ ન ઉઠે તો એ સાધનાનું નામ કાયોત્સર્ગ છે. કાયાનો ઉત્સર્ગ થવો એટલે કાયાનો આપણને ખ્યાલ જ ન આવે એવી પરિસ્થિતિ. જેમ નદીના બે કિનારાને જોડતો પુલ નદીમાં પડી જાય અને બે કિનારા અલગ થઈ જાય, તેમ ધ્યાનમાં વિચાર અને વાસના અદ્રશ્ય થતા ચેતના અને શરીર અલગ થઈ જાય છે. આ સમયે જો સાધકને મૃત્યુનો ભય રહેતો નથી, તો કાયોત્સર્ગ થયો એમ કહી શકાય, ‘હું શરીરથી ભિન્ન છું’ એ જાણી લેવાની તૈયારી છે. હું શરીર નથી એ પ્રતીતિ પ્રગાઢ થઈ જશે તો હું આત્મા છું એ બોધ પ્રગાઢ થઈને જાગશે. આ જગતમાં કોઈપણ ચીજનો નાશ નથી, રૂપાંતર છે. જેવું શરીર છૂટે છે, તેવી જ ચેતના આપણી પકડની બહાર જતી રહે છે, તેનો નાશ નથી થતો. જ્યારે શરીરનો દીવો ફૂટી જાય છે, ત્યારે એમાંથી ચેતનાની જ્યોતિ અદ્રશ્ય થઈ જાય છે, પણ નાશ થતી નથી. આપણું શરીર જેમાંથી બનેલું છે, તેને સમર્પિત કરવાનું છે. ધ્યાન સાથે આ ચેતનાનો પ્રયોગ કરવાથી કાયોત્સર્ગ થઈ શકશે. ત્યારે મૃત્યુની પાર જે અમૃત છે તેનો અનુભવ થશે. મૃત્યુ શરીરના મોહનું પરિણામ છે. અમૃત્વનો બોધ શરીરની મુક્તિનું પરિણામ છે. કાયોત્સર્ગને મહાવીરે 12 મું તપ કહ્યું છે. એના પછી બીજું કંઈ કરવાનું બાકી રહેતું નથી. ઓશો કહે છે કે મહાવીરના આ બાર તપ માત્ર સમજવાથી કાંઈ નહિ બને, પણ એ સમજીને કૃત્ય કરવાની કોઈ દિશા ખુલી જાય તો જીવન સાર્થક બની જશે.

રીટા જાની
09/09/2022

ઓશો દર્શન -31. રીટા જાની

wp-1644023900666



જીવનમાં ભક્તિ સાથે ત્યાગને પણ કઈ રીતે સ્થાન આપી શકાય તે પર્યુષણ પર્વનો મહાધ્વનિ છે. જૈન સમુદાયનું પર્યુષણ મહાપર્વ ધર્મના શ્રેષ્ઠ આદર્શો, જ્ઞાન, ભક્તિ અને ત્યાગ તથા સહનશીલતા સાથે તપ અને ક્ષમાભાવ સાથે શ્રેષ્ઠ સામાજિકતાનો પરિચય આપે છે. ત્યાગ એ ભારત ભૂમિનો આદર્શ છે. આ આદર્શને વાસ્તવિક જીવનમાં કઈ રીતે પ્રતિબિંબિત કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અને સાથે ભક્તિનું સંયોજન અહીં જોવા મળે છે. જ્યારે ઉપવાસ સાથે સંકળાયેલ આરાધના અને અન્ય મહાતપ માનવજીવનને મોહના સ્થાને ત્યાગનો જયઘોષ કરાવે છે, ત્યારે આદર્શોની ઉચ્ચતા સિદ્ધ થાય છે. જીવનનો આદર્શ મોહ નથી પણ ત્યાગ છે, જીવન એક સાધન પ્રાપ્તિની દિશા તરફની દોડ નથી પણ તપસ્યા છે. તેનો હેતુ વસ્તુ અને વ્યક્તિઓ પ્રત્યેનો સમભાવ છે, એવી ભાવના અહીં દ્રઢ થાય છે. જો પરસ્પર વ્યવહારમાં ક્ષમા ભાવના પ્રગટ થાય તો આ જ સમભાવ સમાજમાં પ્રવર્તે. ‘મિચ્છામી દુક્કડમ’ એ આનું આદર્શ ઉદાહરણ છે. આવા ઉચ્ચ આદર્શોનું ચિંતન, મનન અને વ્યવહાર ‘વસુધૈવ કુટુમ્બકમ’ને પણ સિદ્ધ કરે છે.

ભગવાન મહાવીરના વિચારો, આદર્શો અને આચારો આજના યુગમાં સાકાર કરવાની તાતી જરૂર છે. ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર પણ નૈતિકતા સાપેક્ષ, સંયમ સાપેક્ષ અને અનુકંપા સાપેક્ષ છે. આવી પરિસ્થિતિમાં પ્રભુ મહાવીરનો સંદેશ, એમણે આપેલી ભાવનાઓ, વિચારો અને આદર્શ આપણને જાગૃત થવા પોકારી રહ્યા છે. એ સંદર્ભમાં આજે ઓશો દર્શનમાં આપણે સ્વામી આનંદ વીતરાગ દ્વારા લિખિત ‘મહાવીર દર્શન’ની વાત કરીશું, જેમાં ઓશો પ્રત્યેક તપની વિશદતા અને વિસ્તારથી વાત કરે છે. આ વાત માત્ર જૈન સાધકો માટે જ નથી, પણ સર્વ ધર્મના સાધકો માટે પથ પ્રદર્શક બની શકે.

મહાવીર સ્વામીએ છ બાહ્ય તપ અને છ આંતર તપ એમ કુલ બાર તપ સમજાવ્યા છે. ઓશો આ બાર તપની ઊંડાણપૂર્વક છણાવટ કરે છે. આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ એક જ વ્યક્તિત્વના બે હિસ્સા છે. માટે જેણે સાધના કરવાની છે તેણે બધા તપ સાથે જ સાધવાના છે, નહીં તો પૂર્ણતા ઉપલબ્ધ નહીં થાય.

આજે આપણે છ બાહ્ય તપની વાત કરીશું. પ્રથમ બાહ્ય તપ છે અનશન એટલે કે ઉપવાસ. ભોજન તમારી અને તમારા શરીર વચ્ચેનો સેતુ છે. એટલે જો તમારો અનુભવ હોય કે ‘હું શરીર નથી’ તો શરીરમાં જ્યારે બિલકુલ ભોજન નહીં હોય ત્યારે આ જાણવું સહેલું છે. ત્યારે પ્રજ્ઞા પોતાની શુદ્ધ અવસ્થામાં હોય છે, કારણ કે ત્યારે શરીરની બધી ઊર્જા મગજને જ મળે છે. જ્યારે ભોજન નહીં અને ભોજનનું ચિંતન પણ નહીં, ત્યારે અનશનનું બાહ્ય તપ સાર્થક બને. અનશન આપણા મનની માલિકી તરફની યાત્રાની શરૂઆત છે.

બીજું બાહ્ય તપ છે ઉણોદરી એટલે કે અપૂર્ણ આહાર. ઉણોદરીનો અર્થ છે કે તમારા સામર્થ્યની સીમાની અંદર રોકાઈ જવું. આપણે રોજ ત્રણ રોટલી ખાતા હોઈએ અને અઢી રોટલી ખાઈએ તો તેથી ઉણોદરી થતી નથી. પ્રત્યેક ઇન્દ્રિયના ‘ઉણ’ પર રોકાઈ જવું, એ ઇન્દ્રિયને જીતવાનો માર્ગ છે. ઉણોદરી અનશન કરતાં વધારે કઠીન પ્રયોગ છે. જે વ્યક્તિ અનશન કરી શકે છે, તે જ ઉણોદરી કરી શકે છે. જો પૂર્ણ ભોગવવા જશો નહીં, તો તમે ધીમે ધીમે તમારી શક્તિના માલિક બની જશો.

ત્રીજું તપ છે વૃત્તિ સંક્ષેપ એટલે કે વૃત્તિઓનું સંકોચન કરવું. આપણી ભીતર દરેક વૃત્તિના પોતપોતાના કેન્દ્ર છે. વૃત્તિ સંક્ષેપનો અર્થ છે કે દરેક વૃત્તિને એના કેન્દ્ર પર રહેવા દઈએ. આપણી બધી ઇન્દ્રિયો લગભગ બુદ્ધિની આસપાસ એકઠી થઈ ગઈ હોય છે. આપણે બુદ્ધિની જેમાં જરૂર ન હોય તેવા કામ પણ તેની પાસેથી લઈએ છે. તેથી તેને જે કામ કરવાનું છે તે કામ બુદ્ધિ કરી શકતી નથી. અને પરિણામે માણસો બુદ્ધિહીન દેખાય છે. આપણે ભોજન પણ મનથી કરીએ છીએ, કપડાં પણ મનથી પહેરીએ છીએ અને ઓફિસ પણ મનથી જઈએ છીએ. જે પણ વૃત્તિને એની સમગ્રતામાં જીવી શકાશે, તે વ્યર્થ બની જશે. આત્મદર્શન પહેલાં વૃત્તિઓનું વ્યર્થ થવું અત્યંત જરૂરી છે.

બાહ્ય તપનું ચોથું ચરણ છે રસ-પરિત્યાગ. સ્થૂળ દ્રષ્ટિએ જોતાં એમ લાગે કે સ્વાદ વસ્તુમાં છે માટે વસ્તુ છોડો. પરંતુ હકીકતે, વસ્તુમાં સ્વાદ કે રસ નથી, વસ્તુ તો માત્ર નિમિત્ત છે. સ્વાદ અને રસના અનુભવના ત્રણ હિસ્સા છે – જીભ, મન અને ચેતના. પ્રશ્ન થાય કે કયો હિસ્સો સ્વાદનો પરિત્યાગ કરશે? વસ્તુને છોડવાથી રસમાંથી મુક્તિ મળી શકે? એ તો વીજળીનું બટન દબાવવા જેવું છે. બટન બંધ કરવાથી વીજળી નષ્ટ નથી થતી, ફક્ત ઈલેક્ટ્રિસિટી અને બલ્બ વચ્ચેનો સંબંધ તૂટી જાય છે. એ જ રીતે વસ્તુ અને જીભ વચ્ચે સંબંધ સ્થાપિત થતાં જ એ રસ ફરીથી પ્રગટ થઈ જાય છે. મન અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટવાથી જ રસ-પરિત્યાગ માટેનું વાસ્તવિક રૂપાંતર શક્ય બને છે. એ માટેનો એક માત્ર રસ્તો છે સાક્ષી ભાવ કેળવવાનો.

પાંચમું બાહ્ય તપ છે – કાયાકલેશ. ઓશો કહે છે કે મહાવીરના સાધના સૂત્રોમાં સૌથી વધારે ખોટી રીતે સમજાયું હોય તો તે કાયા કલેશ છે. મહાવીર રસ્તા પર ચાલશે તો પગ દુખશે, કોઈ પથ્થર મારશે, કોઈ કાનમાં ખીલા ઠોકશે તો શરીર દુ:ખ ભોગવશે, પરંતુ મહાવીર દુઃખી નહીં થાય. દુઃખના સ્વીકાર સાથે એક મોટું રૂપાંતરણ થાય છે. અને એ જ દુઃખમાંથી મુક્તિનો ઉપાય પણ છે. સ્વીકાર જ દુઃખનું અતિક્રમણ છે.

બાહ્ય તપનું છઠઠું અને અંતિમ તપ છે – સંલીનતા, જે બાહ્ય તપ અને અંતર તપ વચ્ચેનો સેતુ છે. શરીર અકારણ હાલે નહીં કે સંયત રહે એનું નામ સંલીનતા. એ તો બહુ ઉપરછલ્લી વ્યાખ્યા થઈ. જ્યાં સુધી આપણી ચેતના કંપાયમાન ન થાય, ત્યાં સુધી આપણા શરીર, મન અને પ્રાણમાં હલન ચલન થઈ શકતું નથી. કંપન અંદર ચેતનામાંથી આવે છે, સૂક્ષ્મમાંથી આવે અને સ્થૂળ સુધી ફેલાય. જ્યારે ભીતરમાં બધું એટલું શાંત થઈ જાય કે કોઈ તરંગ કે કંપન બહાર શરીર પર ના દેખાય ત્યારે સાચી સંલીનતા સધાઈ છે એમ કહી શકાય. કોઈ બીજામાં લીન થવું એ તલ્લીનતા છે, જ્યારે પોતાનામાં લીન થવું તે છે સંલીનતા. ક્રોધ બહાર લઈ જાય છે, કરુણા બહાર નથી લઈ જતી. શત્રુતા બહાર લઈ જાય છે, મિત્રતા બહાર નથી લઈ જતી. શાંતિના ભાવમાં સંલીનતા સહજ છે. સંલીન થયા વગર આંતર તપમાં પ્રવેશ નથી. સંલીનતા માત્ર દ્વાર છે. પહેલા પાંચે તપ શરીરની શક્તિના સંરક્ષણ માટે છે, જ્યારે છઠ્ઠું બાહ્ય તપ સંરક્ષિત શક્તિનો અંદર જતો પ્રવાહ હોય છે. મહાવીર સ્વામીએ એક સુંદર શબ્દનો પ્રયોગ કર્યો છે -પ્રતિક્રમણ, જેનો અર્થ છે ભીતર પાછા ફરવું તે, સ્વગૃહે પાછા ફરવું તે. પ્રતિક્રમણની યાત્રા સંલીનતામાં ડુબાડે છે.

બારે બાર તપ સંયુક્ત છે, એકબીજા સાથે જોડાયેલા છે. એમાંથી એક છોડશો તો બીજું નહીં થઈ શકે. આંતર તપની વાત લઈને મળીશું આવતા અંકે….

રીટા જાની
02/09/2022