વિસ્તૃતિ…૪૯ જયશ્રી પટેલ


98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

શ્રી વિષ્ણુપ્રભાકરજીની આવારા મસીહાને બે થી ત્રણવાર વાંચ્યા પછી ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવેજીને પણ વાંચ્યા અંતિમ પ્રકરણો તો હૃદયને સ્પર્શી ગયા.
ગાંધીજી સાથે આંદોલનમાં જોડાયા તો મન પણ
તે જ વિચારો કલમ દ્વારા પ્રગટ થવા લાગ્યાં. ‘પથેર દાબી’નું સર્જન થયું. પૂરા દેશભરમાં આ નવલકથાએ આંદોલન ઊભું કર્યું. ત્યાં સુધી કે ‘ બંગવાણીમાં’ ચોવીસ હપ્તામાં છપાઈ. પ્રકાશકોને અંદાજ આવી ગયો હતો કે સરકાર પથેર દાબી પુસ્તક રૂપે નહિ જ છાપવા દે.
આથી છેલ્લા હપ્તામાં ક્રમશઃ એમ લખી છાપી દીધું. તેથી પોલીસને એમ કે નવલકથા અપૂર્ણ જ છે. એ દરમ્યાન તે છપાઈ જ ગઈ. હોબાળો મચ્યો પુસ્તક જપ્તે કરાયું. બસ, શરદચંદ્રની ધરપકડ બાકી રહી. ક્રાંતિકારીઓમાં પુસ્તક ખૂબ પ્રિય થયું.

આ બાબતે ગુરુવર્ય રવિન્દ્રનાથનો પત્ર દ્વારા અભિપ્રાય માંગવામાં આવ્યો. તેઓએ જે ઉત્તર મોકલ્યો તેનાંથી શરદબાબુ નિરાશ થયાં. તેમણે આક્રોશ સહ
પત્રનો ઉત્તર લખી તેમને અંગ્રેજોના હિમાયતી કહ્યાં. ઉમાબાબુ પથેર દાબીની ફાઈલ લઈ તેમની સમક્ષ આવ્યા અને કંઈક લખી આપવા કહ્યું. થોડીવારની નિરાશા પછી પહેલાં પાના પર વચ્ચે ઉમાબાબુનું નામ લખ્યું. નીચે એમની જન્મ કુંડલી બનાવી. જન્મતિથિ અને જન્મ સમય પણ લખ્યો. પછી મૃત્યું શબ્દ લખી પાનું છોડી દીધું.ફાઈલના અંતિમ પાના પર લખ્યુંઃ
ધરતી પરે ઝરી પડે જે કળી,
મરુ પથે ખોવે ધારા જે નદી
જાણું છું જાણું છું હું
તે કદી લુપ્ત થતાં નથી.. લુપ્ત થતા નથી
( સૌજન્ય ઃ આવારા મસીહા)

આટલા થોડા શબ્દોમાં કેટલું બધું સમાવી દીધું.
તેમને અફીણ ખાવાની આદત હતી. પથેર દાબીને લીધે જેલમાં જવું પડશે તો ત્યાં અફીણ ખાવા નહિ મળે માની
અચાનક અફીણ છોડી દીધું. ડોઝ ટેપર કરવાને બદલે
અચાનક ત્યાગ્યું તેથી તેઓ બિમાર પડ્યા ઓપિયમ ફિવરનાં શિકાર બન્યા.
પથેરદાબી લખતા લખતા જ સુંદર કુદરતનાં સાંનિધ્યમાં તે જમાનામાં સત્તરથી અઢાર હજારનાં ખર્ચે
પોતાનું મકાન બનાવ્યું. ત્યાં રહેવા ચાલી ગયા. જિંદગીનાં ઉતાર ચઢાવમાં અનેક સ્વજન ખોયા. સંત સમાન ભાઈ પ્રભાસચંન્દ્રનું મૃત્યું તેમની સમક્ષ થયું. તેમણે તેની સમાધી તેમના નિવાસસ્થાન પાસે નદીકિનારે બનાવી. તેઓ ભાઈભાંડુને અંતઃકરણથી ચાહતા તેનો આ ઉત્તમ દાખલો હતો.
તેઓને ધર્મ પર ઈશ્વર પર ટીકા કરતા જોઈ લાગતું કે તેના વિરુદ્ધ છે , પણ એવું નહોતું. તેઓ તુલસીની માળા ને જનોઈ બન્ને ધારણ કરતાં. તેમને અંધશ્રદ્ધા ને સંકુચિતતા પર સખત ઘૃણા હતી. ગામમાં ગયા પછી તેઓમાં મોટું પરિવર્તન આવી ગયું હતું. તેમને નાના મોટા લેખકોની ચિંતા થતી તેઓ તેમને માટે કે તેમને એવોર્ડ મળે તે માટે અગાધ પ્રયત્ન કરતાં.
તેમની સાંઠમી વર્ષગાંઠ ગુરુવર્ય સાથે ઉજવાય હતી. એ બંગલા દેશની અદ્ભૂત ઘટના હતી. સૂર્ય ને ચંદ્ર સમાન બન્ને કલમના ધનાઢ્ય હસ્તી એક સાથે , કવિ ગુરુવર્ય રવિન્દ્રનાથે સરસ ને સરળતાથી આશિષ આપ્યા કે શરદ સાહિત્ય અમર છે, રહેશે.બંગાળે તેમના સાહિત્યને પોતીકું માન્યું છે.એમને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી.

એક વિદ્યાર્થી યુવકને એમણે કહ્યું હતું મારું સાહિત્ય
તને રડાવે છે તો બહુ રડવાથી આંખો બગડી જાય માટે હાસ્યપ્રધાન કથાઓ પણ વાંચો. આમ રમુજ પણ હળવી શૈલીમાં કરી લેતા. તેઓને પોતાની પ્રશંસા જરા પણ પસંદ નહોતી. એક વાર એક યુવકે તેમની પાસે આવી કહ્યું હતું કે સતી સુંદર નવલકથા છે, આવું તમે જ લખી શકો. તેમનો જવાબ હતો કે તમે રવીન્દ્રનાથની વાર્તાઓ વાંચી છે? પેલા યુવકે કહ્યું હતું કે હા, વાંચી છે પણ એટલી સારી નથી. શરદબાબુએ કહ્યું હતું કે ફરીથી વાંચો તો જ જાણશો કે એવી વાર્તાઓ વિશ્વ સાહિત્યમાં પણ મળવી મુશ્કેલ છે!
મિત્રો,આમ ગુરુવર્યના તેઓ મોટા પ્રશંસક હતા.
ધીરે ધીરે તબિયત લથડવા માંડી હતી. માથાના દુઃખાવાથી શરૂ થયું હતું બહુ ઉપાયોને અંતે ડોક્ટરોએ હવા ફેરની સલાહ આપી હતી.ડો. રમેશચંદ્રને પોતાના મજાકિયા સ્વભાવમાં લખ્યું હતું..કે
*વિધવિધ છાપની બાટલીઓ,*
*વિધવિધ માપના ડબ્બાઓ:*
*વ્યાધિની આંધી એવી ઉઠી!*
*ગઈ દેહને ખાલી ખોખું કરી,
*ડોક્ટર કહે,હવા બદલ ભાઈ દર્દી !
(*આવારા મસીહાના સૌજન્યથી)*

સ્થાન ત્યાગવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ખુદના
જીવનથી છૂટવાની તીવ્ર ઈચ્છા વૈરાગી જીવને જાગૃત થઈ હતી, તબિયતથી હારી લેખનવૃત્તિ બંધ થઈ ગઈ હતી. પ્રકાશકોએ આત્મકથા લખવાનું સૂચન કર્યું . તેમનો સ્પષ્ટ જવાબ હતો,”હું આત્મકથા ન રચી શકું, હું સત્યવાદી કે વીર નથી. આત્મકથાના લેખકમાં આ ગુણ હોવા જરૂરી છે.કહેવાય છે કે ગુરુવર્ય રવીન્દ્રનાથે પણ આ સૂચન કર્યું હતું, પણ શરદસાહિત્ય તો બંગાળની સામાન્ય ગરીબ પ્રજાની આસપાસ ને બંગાળની વિવિધ નારીઓની આસપાસ તેની કરૂણા, સમાજની બદી અને
તેમના સ્વાનુભવને આધીન હતું.

મિત્રો, આપણે પણ ધીરે ધીરે શરદબાબુના અંતિમ છોર પર પહોંચી ગયા છીએ. તેમના અંતિમ સમયની વાતો આવતા અંશમાં જોઈશું.

અસ્તુ
જયશ્રી પટેલ
૧૮/૨/૨૩

ઓશો દર્શન -43. રીટા જાની


અનુ કપૂર એવું કહે છે કે ઓશો સમજવા માટે નથી, અનુભવવા માટે છે. તેમને માત્ર સાંભળવાના નથી, ગણવાના પણ છે. તેઓ માત્ર પ્રવચન કરતા નથી, હકીમ પણ છે. તેઓ રોગનું માત્ર નિદાન જ નથી, કરતા ઔષધિ પણ આપે છે. ઓશોએ ઘણા લોકોને ગુલામીની બેડીઓ અને દીનતાની જંજીરોમાંથી મુક્ત કર્યા છે. તેમની વાતો ગાગરમાં સાગર છે જે પાંચ ચાર પાનામાં ન સમજાય તે એક નાનકડી વાર્તાથી સમજાવી દે છે. તેઓ પ્રભાવિત કરવા નથી બોલતા, સમજાવવા માટે બોલે છે. તેમના વિષયો ગંભીર હોવા છતાં કંટાળો નથી આપતા. ગત અંકમાં આપણે ઓશોના ‘સંસાર સૂત્ર ‘ અંતર્ગત પ્રેમની વિષદ ચર્ચા કરી. આ વખતે એ જ વિષય પર – સંસારને સાધવા, સફળ બનાવવા – ઓશો વધુ કયા સૂત્રો આપે છે તેની વાત કરીશું.

જીવનનું કેન્દ્ર પરિવાર છે. આ પરિવાર પ્રેમના કેન્દ્ર પર નિર્મિત થવો જોઈએ, પરંતુ તે નિર્મિત કરવામાં આવે છે વિવાહના કેન્દ્ર પર. પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે, વિવાહ માણસની વ્યવસ્થા છે. અને તેથી જ પ્રેમના અભાવમાં ગૃહસ્થી સંઘર્ષ, ક્લેશ, દ્વેષ અને ઉપદ્રવનું સ્થાન બની જાય છે. તો જે ઘર પરિવારમાં પ્રેમ હોય, ભરોસો હોય, સાંત્વના હોય ત્યાં સુખાકારીનું નિર્માણ થાય છે. જીવનમાં કેટલાક આયામ ફક્ત હારવાથી જ મળે છે. ગણિત અને તર્ક ફક્ત જીત શીખવાડે છે, પરિગ્રહ વધારે છે. પણ જો બાળકોની બુદ્ધિ સાથે હૃદય પણ ખીલે તો એક સંતુલિત વ્યક્તિત્વ ઘટિત થાય છે. જગતની પ્રત્યેક ઘટનાથી બોધ લઈ શકાય છે, આંખો ખુલ્લી હોય તો જ્ઞાન જરૂર મળે છે. જીવનને જો સાર્થક બનાવીએ તો વૃદ્ધાવસ્થા ખુબ સુંદર અવસ્થા છે. તે જીવનની પરાકાષ્ઠા છે, જીવનનો નિચોડ છે, તમારી સંપૂર્ણ કથા છે. જેનો વાનપ્રસ્થાશ્રમ સુંદર હોય, તેના માટે અમૃતના દ્વાર ખુલી જાય છે. પછી મૃત્યુ અંત નથી, ફક્ત નવી યાત્રાનો પ્રારંભ છે.

ઓશો જીવનમાં પરમાત્માને પામવાનું રહસ્ય સમજાવતા કહે છે કે સંસારને દોડી દોડીને પણ પામવો મુશ્કેલ છે. જ્યારે પરમાત્માને પામવા માટે દોડવાની જરૂર નથી, અટકી જવાની જરૂર પડે છે. ગીતા પણ કહે છે: સ્થિતપ્રજ્ઞ. પરમાત્મા અંદર આવી જાય ત્યાં નૃત્યનો જન્મ થાય છે, જેમાં કોઈ ગતિ નથી, જ્યાં બધું સ્થગિત છે, પરિપૂર્ણ શૂન્ય મૌન છે. કહેવું અને સમજવું ખૂબ કઠિન લાગે છે પણ તેને જ અનાહત નાદ કહે છે.

તમારી દ્રષ્ટિનું પરિપ્રેક્ષ્ય જ સૃષ્ટિ છે. જેવી તમારી ચિત્તદશા, તેવું અસ્તિત્વ તમને દેખાશે. જો તમે પ્રસન્ન હશો તો તમારો પરમાત્મા પણ પ્રસન્ન હશે. જો તમે દુઃખી છો તો તે તમારી પસંદ છે અને જો તમે આનંદિત છો તો એ પણ તમારી જ પસંદ છે. તેના માટે બીજું કોઈ જવાબદાર નથી. તમારા જીવનની સ્થિતિ માટે પૂર્ણતઃ તમે જ જવાબદાર છો. આ ખ્યાલ જેવો અંતરમાં ઘનીભૂત થશે કે જીવનમાં ક્રાંતિની શરૂઆત થશે. બીજા લોકોને બદલવાનું તમારા હાથમાં નથી. પરંતુ સ્વયંમાં રૂપાંતરણ કરવાની વાત તમારા હાથમાં છે. ઘણા લોકો દુઃખની વાત કરી બીજાની પાસે સહાનુભૂતિની અપેક્ષા કરે છે. સહાનુભૂતિ નકલી પ્રેમ છે. સાચો પ્રેમ તો અર્જિત કરવો પડે છે. જે પ્રેમ આપી શકે છે તેને જ પ્રેમ મળી શકે છે. આનંદ એ જાગૃતિની સતેજ અવસ્થા છે, જ્યાં ન તો સુખ છે કે ન દુ:ખ. અંતરનું નિરીક્ષણ કરો. જ્યાં જ્યાં દુઃખ પેદા થતું હોય તેના કારણો તમને તમારી અંદર જ મળશે. સમગ્ર ખેલનું બીજ તો અંદર છે. બહાર માત્ર તેની પ્રતિધ્વનિ સંભળાય છે. માટે બહાર દુઃખ પેદા થતું હોય તો સમજજો કે અંદર કંઈક અયોગ્ય ખેલ ચાલી રહ્યો છે, જેનું પ્રતિકૂલન જગતના પડદા પર દેખાય છે. કમનસીબે આપણી મનોદશા એવી છે કે એક પગ સંસારની નાવમાં અને એક પગ બુદ્ધ પુરુષોની નાવમાં રાખી જીવન જીવવું છે. માટે જ દ્વંદ્વમાં જીવન વ્યતિત કરતા રહીએ છીએ.

આપણી બુદ્ધિ એ અનંત વિચારોની જોડ છે. એ વિચારોની ભીડના કારણે જ જીવનમાં શાંતિ સંભવી શકતી નથી. મહાવીરનું વચન છે ‘મનુષ્ય બહુચિત્તવાન છે’, જેની સાથે આધુનિક મનોવિજ્ઞાન પણ સહમત છે. તમારી પાસે એક નહીં પણ અનેક મન છે, જે જુદી જુદી આજ્ઞાઓ આપે છે અને તમે વિક્ષિપ્ત અવસ્થાએ પહોંચી જાવ છો. બુદ્ધિ વશમાં થવાથી સત્વની સિદ્ધિ થાય છે અને ખરું સ્વાતંત્ર પ્રાપ્ત થાય છે. ત્યારે તમે નિર્ણાયક હો છો અને મન તમારી પાછળ ચાલે છે. કબીર કહે છે કે ‘બહાર અને અંદર એક જ છે. ઝેન સાધુઓ પણ કહે છે કે સંસાર અને મોક્ષ એક છે. આવું કઈ રીતે બને? આપણને એ સમજાતું નથી કારણ કે માન્યતા એવી છે કે સંસારમાં તમે પીડિત છો અને મોક્ષ તેનાથી વિપરીત છે. જો સંસારથી મુક્ત થશો તો જ શાંતિ અને આનંદ મળશે. વાસ્તવિક રીતે અહંકાર સમાપ્ત થતાં બહાર અને અંદરનો ભેદ સમાપ્ત થઈ જાય છે. પછી બધું જ એકરૂપ છે. સંસાર અને સંન્યાસ પણ એક જ છે, મોક્ષ અને મુક્તિ એ અનુભવની દશા છે. આ ગહન વાત ઓશો ફક્ત ત્રણ સૂત્રો દ્વારા યાદ રાખવાનું કહે છે. એક – મનનું માલિકીપણું તોડવાથી સાક્ષી ભાવ ફલિત થશે. બીજું – મનની વિરુદ્ધ જવાથી નહીં પણ મનની પાર જવાથી સંભવશે. ત્રીજું – મનનું અતિક્રમણ કરવાનું છે, જેથી બધા દ્વૈત સમાપ્ત થઈ જશે.

આંખ બંધ કરીએ તો અસીમના દ્વાર ખુલી જાય છે. આ તરફ દ્રશ્ય દેખાય છે પેલી તરફ દ્રષ્ટા દેખાઈ જાય છે. પરંતુ આપણે જ્યારે આંખો બંધ કરીએ ત્યારે પણ દ્રશ્ય તો બહારના જ જોઈએ છીએ. જેથી આંખો બંધ કરવાની કોઈ અર્થ રહેતો નથી. આંખ બંધ રાખવાનો અર્થ છે સ્વપ્નો અને વિચારોથી મુક્તિ- શૂન્યતાનો અનુભવ. વિચાર અને દ્રશ્ય વિલીન થયા પછી જે પ્રગટ થાય છે તે શાશ્વત ચૈતન્ય છે, સત્ છે, ચિત્ત છે, એ જ આનંદ છે. સત્યનો મહિમા ગાતા ઓશો સમજાવે છે કે સ્વયંના જૂઠથી ગભરાવાની જરૂર છે. જે માણસ ખોટું બોલે છે તે ન તો શાંતિથી સૂઈ શકે છે, ન આરામ કરી શકે છે, ન ધ્યાન કરી શકે છે કે ન પ્રેમ કરી શકે છે. સત્યથી ભવિષ્યમાં સ્વર્ગ મળશે એટલે સત્ય ધર્મ નથી. સત્ય એટલા માટે ધર્મ છે કે સત્યથી તમને અહીં અને હમણાં જ સ્વર્ગ મળી જશે. સ્વર્ગ એટલે એવું જીવન જેમાં ગહન વિશ્રામ અનુભવાય. સત્યના માર્ગે વિશ્રામ મળશે, જૂઠના માર્ગે તણાવ મળશે. આપણી આંખો દર્પણ છે. જ્યાં ગુરુ અને શિષ્યની આંખ મળે છે, ત્યાં જ માર્ગ છે. આ માર્ગે કઈ રીતે આગળ વધવું તે અંગે ઓશોનું દર્શન જાણવા મળીશું આવતા અંકે…..

રીટા જાની
10/02/2023

વિસ્તૃતિ….૪૭ જયશ્રી પટેલ



ગતાંકથી ચાલું.શરદ ચંદ્રની વાર્તા મંન્દિરનો થોડો અંશ આપણે આગળ જોઈ ગયાં. તેનો આગળનો બીજો ભાગ અહીં પ્રસ્તુત કરતાં મને આનંદ થાય છે કે આ વાર્તા એક એવી સ્ત્રીના મનોભાવને વ્યક્ત કરે છે કે તેને તેના મંન્દિર સિવાય બીજા કોઈની લાગણી સ્પર્શી શકતી નથી.

આપણે આગળ જોઇએ મિત્રો કે અપર્ણાનાં લગ્ન અમરનાથ સાથે થઈ જાય છે જતાં જતાં અપર્ણા પોતાના પિતાને જણાવે છે કે પોતે જે પૂજા ,પાઠ ને સેવાની મંદિર માટે વ્યવસ્થા કરી છે તેને તેમ જ રાખજો. તેને માટે સૂતા, ઊઠતા બેસતા સર્વસ્વ મંન્દિર જ હતું. તે ઉદાસ થઈ ગઈ મંન્દિર છોડીને જવું પડશે વિચાર માત્રથી. તે રડી પડી ,પિતાએ પણ રડતાં રડતાં વચન આપ્યું કે તેમાં કોઈ ત્રુટી નહીં રહે. તે જતાં પિતાને રડતા જોઈ રહી તે એક પણ વાર પાછી ન ફરી . તેણે પિતાના આંસુ ના લૂછ્યાં.પાછળથી તે આ વાતથી દુઃખી રહેવા લાગી ને મંન્દિરની કલ્પના કરી રડતી રહી. સાસરે જતાં પાલખી ખોલી રડી રહી ને તેના પિતા પણ મંનદિરમાં મૂર્તિ સામે દીકરીની કાલ્પનિક મૂર્તિ જોઈ રહ્યાં. પહેલે દિવસે સાસરીમાં આવી તે નવ વિવાહિત જીવનને ન સ્વીકારી શકી. પતિ અમરનાથ બે ચાર દિવસ પછી તેની ઉદાસીનું કારણ પૂછ્યું તો તેણીએ પિયર જવાની વાત કરી. અમરનાથે દુઃખી થઈ પૂછ્યું, “ શું મારાં માટે તને કોઈ લાગણી નથી ?”
અપર્ણાએ આવી વાત ન કરવા કહ્યું આવી વાતોથી પતિ-પત્નીમાં ઝઘડા થાય છે એમ સમજાવ્યું . ફરી તે પોતાની જાતને પૂજા પાઠ ધર્મમાં વાળી વૈરાગીની જેમ ઓતપ્રોત રહેવાસલાગી.
અમરનાથ એ તેને એક દિવસ ફરી કહ્યું ,” આવ અપર્ણા આપણે ઝઘડી જ લઈએ .”
અપર્ણા આ બધાથી દૂર રહેવા માંગતી હતી. મિત્રો એક પતિ પોતાની પત્નીનું આ શૂન્ય મનસ્ક વર્તન જોઈ અકળાઈ જતો .અપર્ણાને મન અમરનાથ સાથે આમ જ જીવન જીવવું એ સરળ હતું, પણ અમરનાથ સંસારી જીવ હતો. એકવાર તે બે અત્તરની બે અત્તરની શીશી લઈ આવ્યો ને એક સુંદર ડબ્બી લઈ તેની પાસે આવ્યો. જેની પર સુવર્ણ અક્ષરે અપર્ણાનું નામ કોતરેલું હતું.રેશમી કપડાંમાં વીંટાળેલી આ ભેટ અપર્ણાને ધરી થોડીવાર તેની સામે જોઈ રહી બોલ્યો,” અપર્ણા આ તારા માટે છે.”
તે પણ એકી નજરે તેની સામે જોઈ રહી .અમરનાથ એ પૂછ્યું ,”તને ન ગમી ?” તેણે જવાબ આપ્યો મૂકી દો એને વાપરવા વાળા ઘણાં છે . અમરનાથનું હૃદય તૂટી ગયું એને આઘાત લાગ્યો તે કાંઈ જ બોલ્યો નહિ .બે દિવસ સુધી તેની સામે પણ ના આવ્યો. બે રાત્રિ ઘરની બહાર રહ્યો. અમરનાથની માતાએ આ જાણ્યું ને એણે બંનેને મીઠી દાટ ફટકાર આપી. તે રાત્રીએ અપર્ણાએ તેની ક્ષમા માંગી.અપર્ણાએ તેને એ પૂછ્યું કે શું મારાથી રિસાયા છો ? તેણે ના પાડી ,પણ વિચાર્યું કે તે કેવી રીતે માની ગઈ કે હું રિસાયો નથી !
અમરનાથે જલ્દી કલકત્તા જવાનો નિર્ણય સંભળાવ્યો તો અપર્ણાએ કહ્યું ,”શું બે દિવસ ન રોકાઈ શકો ?” તે રોકાયો પણ અપર્ણા તો તે જ નિર્લેપ ભાવે તેની સાથે રહી . તેણીને કોઈ ફર્ક ન પડ્યો. આખરે અમરનાથ ને અંદરથી થયું કે તે દૂર ચાલ્યો જાય તે જ સારું. કલકત્તા જઈ તે મુરઝાયેલો ને અંતરમુખી થઈ ગયો. ના અભ્યાસમાં ચિત્ત લાગ્યું ન ખેલ કુંદમાં.બે મહિના બાદ માનસિક વિટંબણા, નિરાશાને કારણે તે માંદો પડ્યો . પથારી પકડી લીધી.માતા-પિતા પહોંચ્યા પણ અપર્ણા ના આવી . અમરનાથ કાંઈજ ન બોલ્યો. તેણે અંતરમાં જ આ વાત ધરબી લીધી. ધીરે ધીરે સાજા નહિ થઈ તેણે મૃત્યુને સ્વીકારી લીધું.
અમરનાથના મૃત્યુથી અપર્ણાને આઘાત ન લાગ્યો તેને થયું તે આ બંધનમાંથી જાણે સાચેજ મુક્તિ ઇચ્છતી હતી. પિતા આવ્યા ખૂબ રડ્યા પોતે પણ રડી .બીજા દિવસે પિતાએ તેને કહ્યું ,” બેટા મદનમોહન તારી રાહ જોઈ રહ્યાં છે ચાલ .” અને તે પિતા સાથે જવા તૈયાર થઈ. પોતાનું મંન્દિર જોવા આકુળવ્યાકુળ થઈ ગઈ હતી તેથી તે ચાલી ગઈ .

બીજી બાજુ શક્તિનાથ પોતાના રંગ રોગાન કાર્યમાં મસ્ત રહેતો. પિતા મધુસૂદનના પૂજા પાઠના વ્યવસાયમાં તેને બિલકુલ રસ નહોતો. ક્યારેક માંદગીમાં તો તે જમીનદારને ત્યાં પૂજાપાઠ કરી આવતો. આજે પણ પિતા બીમાર હતા તેથી સોમનાથ સ્વયં જમીનદારને ત્યાં પૂજા કરવા આવ્યો ત્યાં અપર્ણા ને જોઈ .અપર્ણાનાં આગમનથી મંન્દિરનાં ઠાઠ- માઠ બદલાયા હતાં. પૂજા નૈવેદ્ય,ફળ ફૂલ અગરબત્તીથી ઓરડો મહેંકી ઉઠ્યો હતો. શક્તિનાથ તેને જોઈ મૂંઝાયો જેમ તેમ જળ પાન ફૂલ ચોખા ચડાવી પૂજા પૂર્ણ કરી. સીધું ને સામગ્રી આપતા અપર્ણાએ તેને કહ્યું ,”મહારાજ બ્રાહ્મણપુત્ર થઈ પૂજા કરતા નથી આવડતી.”

મિત્રો અહીં વાર્તાએ નવા સ્વરૂપે વળાંક લીધો. મોટા મંન્દિરનાં પૂજારી પૂજા કરવા આવવા લાગ્યા અને તેમણે શક્તિનાથની થાય તેટલી બુરાઈ કરી. તે જ અરસામાં બિમાર મધુસૂદનનું મૃત્યું થયું. નરમ દિલ અપર્ણાને લાગ્યું કે બ્રાહ્મણપુત્ર છે ,તેની રોજી રોટી ન છીનવી લેવાય ! આથી તેને બોલાવી કહ્યું કે જેવી આવડે તેવી પૂજા કરશો ભગવાન સમજી જશે . શક્તિનાથ આ સુંદર સફેદ વસ્ત્રો અને રૂખા વાળમાં શોભતી યુવતી તરફ આકર્ષાયો . ધીરે ધીરે તે હવે સંપૂર્ણ ધ્યાનથી પૂજા કરતો. આપર્ણા પણ મહારાજ બ્રાહ્મણ પુત્રનું પૂર્ણ ધ્યાન રાખવા લાગી જમવું પહેરવું શું ખાવું, બધું જ .

એકવાર શક્તિનાથના મામાનો દીકરો તેને લેવા આવ્યો અને તે અપર્ણાની રજા લઈ કલકત્તા ગયો. ત્યાં બે-ત્રણ મહિનામાં જ તેનું મન ભરાઈ ગયું. અહીં અપર્ણાએ તેની ગેરહાજરીમાં બીજા બ્રાહ્મણને પૂજાપાઠ માટે રાખી લીધાં તે વધુ દિવસો થતા તેનાથી દૂર થવા લાગી . કલકત્તાથી પાછા ફરતા શક્તિનાથ અપર્ણા માટે બે અત્તરની સુગંધિત શીશી લઈ આવ્યો હતો પણ તે આપવાની હિંમત ન કરી શક્યો. અપર્ણા આમ પણ વૈરાગ્ય પૂર્ણ ભક્તિ ભાવથી જીવન જીવતી હતી.

તેણે શક્તિનાથના આવ્યા પછી જે મહારાજને રોક્યા હતા તેમને રજા આપી દીધી હતી. શક્તિનાથ પૂજા કરવા આવવા લાગ્યો. શક્તિનાથને બે દિવસ સખત તાવ આવ્યો અને તો પણ તે નાહી ધોઈને પૂજા કરવા આવતો. અપર્ણાને આ ખબર પડી કે બે દિવસથી તે જમ્યો પણ નથી . આથી અપર્ણાએ તેને પૂછ્યું ,”કેમ તમે તબિયત સારી નથી તો પણ આવ્યા કરો છો ?” શક્તિનાથે હિંમત જોડી પાસે ના રેશમી કપડાંમાં બાંધેલી બે અત્તરની શીશી કાઢી અને કહ્યું કે આ તમારા માટે છે તમને સુગંધ પસંદ છે ને ? એમ કરી બે શીશી તેને ભેટ સ્વરૂપે ધરી. અપર્ણા હવે જે સંપૂર્ણ વૈરાગ્ય તરફ વળી હતી તે તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તે બંને શીશી બહાર પડેલા સૂકા વપરાયેલા ફૂલોનાં ઢગલામાં જઈને ફેંકી દીધી.મહારાજ તમારાં મનમાં આ શું ચાલી રહ્યું છે કરી ધમકાવી કાઢ્યો.શક્તિનાથ દુઃખી થઈ ઘરે ચાલ્યો ગયો .એ પછી તે જમીનદારના ઘરે પાછો ન આવ્યો. અપર્ણાએ એ તેની ભાળ પણ ન કાઢી. તેને ગુસ્સો આવ્યો હતો કે મહારાજ ના મનમાં આટલું બધું મારા માટે ભર્યું હતું.હવે પાછા ન આવતા એમ કહી ને આંગળી બતાવી અને રસ્તો બતાવી દીધો હતો ,તેથી તે પણ તેની ભાળ કાઢવા ના ગઈ .

પૂજા કરવા મહારાજ રાખી દીધાં. યદુનાથ મહારાજ આવવા લાગ્યા હતા. અચાનક એક દિવસ બધો સામાન ભેગો કરતાં તેઓ બોલ્યા કે બિચારો બ્રાહ્મણ પુત્ર વગર ઈલાજે મૃત્યુ પામ્યો . ત્યારે અપર્ણાએ પૂછ્યું કે કોણ મૃત્યુ પામ્યું? મહારાજે કહ્યું તમે સાંભળ્યું નહીં મધુસુદનનો પુત્ર શક્તિનાથ મૃત્યુ પામ્યો . અપર્ણા બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ !શક્તિનાથના સમાચાર તેને માટે આઘાતજનક બન્યા મહારાજના ગયા પછી પૂજાનાં ઓરડાના દરવાજા બંધ કરી ભગવાન સામે જમીન ઉપર માથું મૂકી અને તે રડતી રહી ,કારણ તે હવે સમજી કે તેની આ જાણી જોઈને કરેલી અવગણના જ શક્તિનાથને મૃત્યુ સુધી લઈ ગઈ. જ્યારે યદુનાથે કહ્યું કે પાપી મનથી પૂજા કરે તેને આવી જ દશા થાય આવું જ મૃત્યુ મળે .ત્યારે તે મનોમન બોલી ઊઠી પાપી કોણ શક્તિનાથ કે પોતે ! ભગવાન આગળ માથું પછાડીને ખૂબ રડી .થોડીવાર સ્વસ્થ થઈ પાછળ ફેંકી દીધેલી અત્તરની શીશી ફૂલોમાંથી ઉપાડી લાવી અને સસ્નેહથી માથે લગાડી તેણે તે મંન્દિર ઉપર મૂકી દીધી અને પ્રભુને કહ્યું કે પ્રભુ આ હું ન લઈ શકી તમે લઈ લો આજ સુધી મેં પૂજા નથી કરી ,આજે પૂજા કરી રહી છું સ્વીકારજો . તે પૂજા કરવા લાગી .
મિત્રો અહીં વાર્તામાં એક સ્ત્રીની નાસમજ તેના પ્રેમીઓની અવગણના બની અને છતાં પણ પ્રેમ બતાવી એ સ્ત્રી બે બે પુરુષના મૃત્યુ માટે જવાબદાર બની. પાપી એ હતી કે પ્રેમની ભાવના રાખનાર અમરનાથ અને શક્તિનાથ !
*મંન્દિર* તરફનું અપર્ણાનું આ ઘેલું જોઈ શરદચંદ્ર ચટોપાધ્યાયે તેને મુખ્ય શીર્ષક આપીને સાર્થક કર્યું. શું સ્ત્રી અહીં હૃદય નથી કે તે જાણી જોઈને પુરુષોના હૃદયને ઓળખી ન શકી કે તેણે જાણી જોઈને તેઓની અવગણના કરી ! એ આ વાર્તાનાં અંતે કેવું કરુણાંત બની રહ્યું !

શરદચંદ્રની આ વાર્તાનો ગુજરાતી અનુવાદ મને નથી મળ્યો પણ એક હિન્દી ઓડિયો મને મળતા મેં તેનો ગુજરાતી અનુવાદ કરી અહીં મૂક્યો છે .છતાં પણ આપણા મહાઅનુભવોએ જો અનુવાદ કર્યા હોય અને કોઈની પાસે મળી આવે તો જરૂર મને કહેશો . આવી દોઢસો વર્ષ જૂની વાર્તા સાંભળતા કે વાંચતા પણ એવું અનુભવાય છે કે જાણે આજે જ વાર્તાનું નિરૂપણ થયું હોય. કરુણા સભર વાર્તા ત્યારે પણ પ્રથમ ક્રમાંકે હતી અને આજે પણ છે.

અસ્તુ
જયશ્રી પટેલ
૩૦/૧/૨૩

વિસ્તૃતિ…૪૬ -જયશ્રી પટેલ.


શરદબાબુની પ્રથમ વાર્તા મન્દિર જ્યારે તેમણે સ્પર્ધામાં મોકલી ત્યારે પોતાના મામાને નામે મોકલી હતી ને તે પ્રથમ આવી હતી.તેઓ વાર્તા લખી બહાર મૂકતા તો તે મૂંઝાતા. તેમને ડર રહેતો કે કોઈને પસંદ નહિ આવે તો? આ વાત તે આપણે આગળ જોઈ ગયા છીએ. ખૂબ શોધ બાદ મને મન્દિર વાર્તા ટૂકડે ટૂકડે મળી જે આજે હું આપની સામે ગુજરાતીમાં સંક્ષિપ્તમાં લઈને આવી છું.
નદી કિનારે કુંભારના બે કુટુંબ રહેતા હતાં. બન્ને ઘરમાં બધી જ વ્યક્તિ માટી લાવવાથી લઈ તેને સાંચામાં ઢાળી વાસણ, રમકડાં બનાવતાં. ભઠ્ઠામાં તપાવી તેને સુંદર રંગરોગાન કરી વેચતા. તેમની સ્ત્રીઓ પણ રસોઈ માંથી પરવારી ભઠ્ઠામાંથી રમકડાં કાઢી તેને કપડાંથી સાફ કરતી. આમ આજ ધંધાથી તેમની રોજીરોટી ચાલતી. ત્યાં એક બ્રાહ્મણનો રોગગ્રસ્ત પુત્ર શક્તિનાથ પણ આવતો. તેણે કુંભારોના ઘરમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે કુંભારને તેના ઘરવાળા બધાં જ રમકડાંને રંગ કે શાહી લગાવતા તો કોઈવાર ભ્રમર રહી જતી તો કોઈવાર હોઠ, આંખો , કાન કે નાક રંગાયા વગર જ વેચવા લઈ જવાતાં. શક્તિનાથ પોતે આ બાબતમાં કુંભારને કહેતો કે સરકાર આને રંગરોગાન વ્યવસ્થિત રીતે કરો. જવાબ મળતો કે ગમે તેટલું સુંદર રૂપ આપીશું તો પણ તે વેચાશે તો એક પૈસામાંજ. આ વાત મમળાવતો તે ઘરે જતો, હાથમાં રહેલા ચણા મમરા અડધા વેરતો અડધા ખાતો ખાતો વિચાર મગ્ન થતો. ક્યારેક વાત સાચી લાગતી કે માટીનાં રમકડાં પાછળ કેટલાય પૈસા વાપરે પણ તે તૂટી ફૂટી જ જાય ને! ઘરમાં જતાં જ જોતો કે પિતા નથી , મધુસૂદન તો પૂજા પાઠ કરવા ગયાં હતા. ઘરમાં આવેલું બધું સીધુ એમાં પડ્યું હતું, ઘર સીધું સાદું હતું. કોઈ સાજ શ્રીંગાર ઘરમાં નહોતા. એક સ્ત્રી વગરનું ઘર વેરવિખેર પડ્યું હતું. તે આચરકૂચર ખાય બાપ બેટો પેટ ભરતા.ઘર કરતાં વધુ તે જંગલ લાગતું. ધીરે ધીરે સરકાર મહાશયે શક્તિનાથને રમકડું રંગતા શીખવવા માંડ્યું ને તે ખુરપી , માટી ગૂંદવું વગેરે કાર્ય પણ કરતો. તે એક રમકડું રંગવા અડધો દિવસ કાઢી નાંખતો તો પણ તેનું રમકડું એક પૈસામાં જ વેચાતું. કોઈ કોઈ વાર સરકાર તેની તસલ્લી ખાતર કહેતા કે તે બે પૈસામાં વેચાયું .તો તેની ખુશીનો પાર ન રહેતો.આમ દિવસો નીકળી રહ્યાં હતાં. શક્તિનાથના પિતા પણ ખૂબ બિમાર રહેતાં. તે પણ મા વગર માંદો સાજો રહેતો તેની તરફ ધ્યાન આપવાવાળું કોઈ જ નહોતું. આ ગામનાં જમીંનદાર કાયસ્થ હતા. તેમનું ઘર ખમતીધર હતું. સુંદર સજાવટ ભર્યું હતું. તેમના ઘરમાં એક સુંદર નકશીદાર મન્દિર હતું. તેમાં સુંદર રાધા ને મદનમોહનની મૂર્તિ સિંહાસન પર બિરાજમાન હતી. અન્ય દેવી દેવતા પણ તેમાં બિરાજમાન હતાં. તેમને તાજા સુગંધીદાર ફૂલો ચઢતાં ,ફૂલોનાં હારથી સજાવટ થતી. ચંદન અગરબત્તી ધૂપની સુગંધથી આખો ઓરડો મહેંકી જતો. જાણે વૃંદાવન જ જોઈ લો. જમીનદાર રાજ નારાયણ

મંદિર પાસે પૂજા પાઠ કરતા ને મધુસૂદન મહારાજ પાસે પણ કરાવતા. ક્યારેક જમીનદાર પ્રભુની પ્રાર્થના કરતા રડી પડતાં કે તેમના પછી દીકરીની સંભાળ કોણ કરશે!
નાની દીકરી અપર્ણા આ દ્રશ્ય અનિમેષ જોયા કરતી. પિતાજીની આસપાસ દિનચર્યા જોઈ હવે ધીરે ધીરે તે હવે ચીવટ ચોકસાઈથી પૂજા પાઠ કરતી, કરાવતી ને મન્દિરમાં નાનું સૂકું તૃણ પણ પડેલું જોતી તો ન ચલાવી લેતી. જો પાણીનું ટીપું પણ પડેલું જોતી તો તેને પણ પોતાના વસ્ત્ર કે પાલવથી સાફ કરી દેતી. તે પ્રભુમાં લીન થઈ જતી. તેની આ બધી ક્રિયા જોઈ બ્રાહ્મણ મધુસૂદન ને જમીનદાર ચિંતામાં પડી ગયાં. જમીનદારે તેના માટે સરસ ખાનદાની જમાઈ અમરનાથને શોધી કાઢી વિવાહ નક્કી કરી દીધાં. દીકરી અર્પણા પણ એક કહ્યાગરી દીકરીની જેમ લગ્ન કરી સાસરે વિદાય થઈ. મિત્રો, અહીં વાર્તાનો મધ્યાહ્ન આવે છે. પાત્રો બધાં સુંદર રીતે ગોઠવાય ગયા છે. અર્પણાનાં પાત્રમાં એક સુંદર સ્ત્રી પિતાની ચિંતામાં જ સાસરે જાય ત્યારે તે તેની પાઠપૂજાની તેના મન્દિરની બધી જ વાતો વિચારતી. બીજી બાજુ મા વગર પૈસાના અભાવ સાથે જીવતો બિમાર મધુસૂદનનો દીકરો શક્તિનાથ પણ મોટો થઈ રહ્યો છે. પિતા સાથે તે પાઠપૂજા કરતા શીખતો પણ તેનું ધ્યાન તો પેલા રમકડાં રંગવામાં જ રહેતું. શરદબાબુની આ વાર્તા આગળ શું કહે છે આપણે આવતા અંકમાં જોઈશું. મિત્રો, આ વાર્તાને સવાસો વર્ષનો ગાળો વિતી હયો છે, પણ વાર્તા જ્યારે પહેલીવાર સાંભળી ત્યારે એવું જ લાગ્યું જાણે કાલે જ લખાય છે.

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૨/૧/૨૩

વિસ્તૃતિ …૪૫ જયશ્રી પટેલ.


વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહામાંની વિશાળ માહિતીને સહારે સંક્ષિપ્ત આલેખન આપ સમક્ષ લઈને આવી છું.
આપણે આગળ જોઈ ગયા તેમ મિત્રો તેમને પણ બે મિત્રો એવા અંગત મળ્યા કે વર્ષો સુધી તેમની સાથે તેમની દોસ્તી રહી .એ જ અરસામાં એમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થઈ. રવીન્દ્રનાથના તેઓ પરમ ભક્ત હતા રવીન્દ્રનાથ પણ શરદથી પ્રભાવિત હતા. તેઓ વારંવાર કહેતા કે તેને પકડી લાવો તે બંગાળનો ઉત્તમ સાહિત્યકાર છે બંગાળને તે ઉત્તમ ભેટ આપીને જશે .૧૯૩૪ના ઓક્ટોબરની બીજી તારીખે ગુરુવર્ય પ્રયાગ તરફ રવાના થયા અને તેમણે એ પ્રવાસ દરમિયાન જ શરદની કૃતિ પંડિત મોસાઈ આ કૃતિ આમ તો ૧૯૧૪ની સપ્ટેમ્બર ની ૧૫મી તારીખે પ્રકાશિત થઈ હતી. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે અસીત કુમાર હળદરને એકવાર લખ્યું હતું કે પંડિત મોસાઈ વાંચ્યા પછી મેં જે આલતું ફાલતુ વાંચવાનું છોડી દીધું હતું તે પછી આ કૃતિ અને તેની શૈલી એમને એટલે કે ગુરુવર્યને મરુ ભૂમિમાં વિરડી સમાન લાગી. એ દરમિયાન તેમણે શરદને મળવાની ઈચ્છા દર્શાવી કલકત્તા જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બધા મિત્રો શરદને ગુરુવર્યની સામે ખેંચી ગયા.

શરમાળ શરદ તો ગુરુવર્યને જોઈને એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને માનવતામાં ન આવ્યું કે આ કવિ પોતે છે.લાંબી દાઢી ,ખુલ્લા વસ્ત્રો અને સુંદર મિસ્ટ વાણી સાંભળી આ જોઈ તે તેને કોઈ બીજી જ દુનિયાના વ્યક્તિ સમજી બેઠો .આખી જિંદગી એ આ સ્વરૂપને વિમાશી રહ્યો ,બંને ગુરુ શિષ્ય વચ્ચે શું સંવાદ રચાયો એ તો કોઈ જ ન જાણી શકયું .શરદ હવે માનતો થયો હતો કે તેની કૃતિઓ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ જોડે સરખાવવામાં આવે છે .તે પણ મિત્રોને આનંદથી કહેતો કે હું કદાચ જરૂર લખી શકીશ ખરો અને દુનિયાને કંઈક નવું આપ્યા કરીશ ખરો !આમ સમય જતા ગુરુવર્ય એને મળ્યાનો આનંદ તેમના હૃદયમાં વસી ગયો હતો .

આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેને ત્રણ નવલિકા રામેર સુમતિ,પથ- નિર્દેશ અને બિંદૂર છેલે ને બિરાજબહુના પ્રકાશનના સર્વાધિકાર હરિદાસ ચટ્ટોપાધ્યાયને રૂપિયા ૩૦૦માં વેચી દીધી હતી .તે સમયે આ સોદો ખોટો નહતો. તેવી જ રીતે ફણીન્દ્રનાથ મારફત તેણે પરણીતા,પંડિતજી ,ચંદ્રનાથ, કાશીનાથ ,નારીનું મૂલ્ય અને ચરિત્રહીનના પ્રકાશન અધિકાર એમ.સી સરકાર એન્ડ સન્સને આપ્યા.ફક્ત એક જ આવૃત્તિ માટે જ.

ફણીન્દ્રનાથને ખુદને શરદની કૃતિઓ છાપવાની મહેચ્છા હતી,પણ ત્યારે તેઓની પરિસ્થિતિ આ કાર્ય કરી શકે તેમ નહોતી. સુધીરચંદ્ર સરકારે રૂપિયા ૨૦૦ની સહાય પણ કરી હતી .ખાલી તેમનો એક ઉદ્દેશ હતો કે શરદ આ યમુના સંસ્થા સાથે જોડાયેલો રહે. યમુના શરદને કોઈ પુરસ્કાર આપતું નહોતું ,ભારત વર્ષમાં છપાય તો તેને પુરસ્કાર પ્રાપ્ત થાય ભારત વર્ષનું પૂરું જૂથ  તેમનું ચાહક હતું. સમય જતા શરદના અમુક મિત્રો ખૂબ જ વિઘ્ન સંતોષી હતા તેઓએ શરદના કાન ભર્યા. શરદને કહેવાનાં આવ્યું કે બડીદીદીને કારણે ફણીન્દ્રનાથને ઘણો નફો મળ્યો છે,પણ તે તને આપતા નથી. બસ આ વાત શરદે એકદમ સાચી માની લીધી અને તેણે ફણીન્દ્રનાથ સાથે સંબંધો પૂરા કરી નાખ્યા. તેઓ પાછળથી પસ્તાયા પણ. યમુનામાં પછી કોઈપણ કૃતિ છપાઈ નહીં.

શરદ બાબુની દરેક વાર્તા કે કૃતિઓમાં પાત્રો સાથે વાચકો તેમને જોડી દેતા જેમ કે શ્રીકાંત બહાર આવી તો વાચકોએ તેમને શ્રીકાંતના પાત્રમાં જોયા અને શ્રીકાંતની પ્રેયશી તરીકે રાજલક્ષ્મી ને શોધવામાં પણ લોકો ગાંડા થઈ ગયા , પણ એ ક્યાંથી જડે એ પાત્ર તો લેખકનું કાલ્પનિક પાત્ર હતું.લેખકની બાલ્યાવસ્થાની અત્તૃપ્ત કામનાઓની કલ્પના હતી એને એની બચપનની સખી ધીરુનાં આધારે દેવદાસમાં પારોનું સર્જન કર્યું અને પછી શ્રીકાંતની રાજલક્ષ્મી .એવી એક વાર્તા પણ સાંભળવા મળી કે ધીરુનું સાચું નામ રાજ્લક્ષ્મી જ હતું. ઘણાં લોકો હિરણ્યમયીને પણ રાજલક્ષ્મી માનતા.કોઈક સમયે બાબા વેશમાં તેણે હિરણ્યમયીને લક્ષ્મી તરીકે બોલાવી હશે .એના આધાર પર હિરણ્યમયીને કદાચ રાજલક્ષ્મી માનતા હોય ,પરંતુ કેટલાક જિજ્ઞાસુએ પોતાના મનને સંતોષવા તેણીને કેટલા બધાં પ્રશ્નો કર્યા હતાં. આવા પ્રશ્નો સાંભળી તો તે એટલી બધી દુઃખી થઈ કે તેને લોકોને મળવાનું જ બંધ કરી દીધું તે શ્રીકાંતની રાજલક્ષ્મી જેવી સુંદર નહોતી કે વૈભવ સંપન પણ નહોતી નૃત્ય તો બાજુ પર રહ્યું તે વાત પણ નહોતી કરી શકતી તે અબોધ સ્ત્રી હતી ધર્મપ્રિય હતી પતિવ્રતા અને સેવા પારાયણ હતી. શરદ માટે એને અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં .આ રખડું અને નિરાશ પતિને તે પ્રેમથી રાખતી એને દિશાભૂલેલાને રસ્તો નિશ્ચિત કરી બતાવતી. કેટલીએ વાર તે અતિનો શિકાર પણ બની હતી.શરદને માટે તે એક તપસ્યા મય દેવી હતી તેની શ્રદ્ધાએ શરદને એક મહાન સાહિત્યકાર બનાવ્યો હતો.શ્રીકાંતનું પાત્ર તેના જેવું રઝળું છે. શ્રીકાંતનાં અનેક પાત્રો શરદની આજુબાજુ વિટળાયેલા જીવનનાં પાત્રો હતા.શ્રીકાંત લોકોએ વાંચી અને શરદને જ તેનું પાત્ર સમજી લીધું. શ્રીકાંત પુસ્તક માટે પણ તે મૂંઝવણમાં હતા તેને શંકા હતી અને આથી તેને પોતાના પ્રકાશક ને પણ લખ્યું હતું કે એકાંતની ભ્રમણકથા ખરેખર છાપવા જેવી લાગે છે?તેમને હજુ પણ શંકા હતી ,છતાં પણ છપાસે તો લોકો મને તેમાં શોધશે એની ખાતરી છે.આમ શરદ બાબુ લખતા મહેનત કરતા અને છતાંય પોતાની કૃતિઓ માટે થોડા મૂંઝવણમાં પણ રહેતા.

ધીરે-ધીરે રંગૂનમાં તેમનો જીવ લાગતો નહીં તેમણે તેમના મિત્ર હરિદાસ ચટ્ટોપાધ્યાયને પત્ર લખ્યો કે જો તમે ૩૦૦રૂપિયાની મને મદદ કરશો તો હું આવી શકીશ હવે એટલું જરૂર કરી શકીશ કે મારું દેવું એક વર્ષ જો હું જીવ્યો તો બધું ચૂકતે થઈ જશે અને પછી હું એક વર્ષની રજા મૂકી અને લખવાનું કાર્ય હાથે ધરીશ. તેમના મિત્રે તેમને ખરેખર રૂપિયા મોકલ્યા અને એ જ સમયે રંગૂન ઓફિસમાં તેમને એક ખરાબ અનુભવ થયો સુપ્રિટેન્ડન્સ મેજર બર્નાર્ડને એક ફાઈલની જરૂર પડી શરદ તે ફાઈલના શોધી શક્યા અને અંતે તે ફાયલ તેમના જ ખાનામાંથી મળી. તેમને ગુસ્સો આવ્યો અને તેમને શરદને ખૂબ માર માર્યો આ બંનેની તકરાર ને ફરિયાદ અધિકારી પાસે ગઈ અને તપાસ કરતાં ખબર પડી કે મેજરનો જ વાંક હતો અને આથી મેજર ને સસ્પેન્ડ કરાયો અને મેજર પાસેથી રૂપિયા ૯૦નો દંડ પણ થયો.આ રૂપિયા મેજર શરદને આપે એમ નક્કી થયું. આ આ પ્રસંગે શરદનું મન તૂટી ગયું .તેણે રંગુન છોડવાનો દ્રઢ નિર્ણય કર્યો શરીર પણ તેમનું સારું રહેતું ન હતું .એમણે રાજીનામું આપી દીધું એની એક વર્ષની રજા ચડેલી હતી તે રજા લઈને કલકત્તા જવા રવાના થઈ ચૂક્યા.બસ ત્યાર પછી ક્યારેય તેણે પાછું ફરીને બર્મા સામે જોયું જ નહીં . બર્મા છોડતાં પહેલાં તેના ત્રણ પુસ્તકો ૧૯૧૫ની બીજી ડિસેમ્બરે મજલી દીદી ત્યારબાદ ૧૯૧૬ની ૧૫મીજાન્યુઆરીએ પલ્લી સમાજ અને ૧૯૧૬ની બારમી માર્ચે ચંદ્રનાથ પ્રકાશિત થઈ ગઈ હતી.બસ હવે દિશાની શોધ જાણે પૂર્ણ થઈ હતી એવું શરદ બાબુ ને લાગતું હતું .
તેઓ પાછા કલકત્તા ફર્યા. આમ જીવનનાં અમુક વર્ષો તેમને રંગૂનમાં મિત્ર દોસ્તો અને મજબૂરીથી નોકરી માં ગાળ્યા . મિત્રો,આમ હવે શરદ બાબુ એક જાણીતા બંગાળના લેખક બની ગયા.આ શરદ સાહિત્ય એટલું વખણાયું કે તેના અનુવાદો અનેક ભાષામાં થયા હિન્દી ની આવારા મસીહા બહાર આવી અને ત્યારબાદ તેનો અનુવાદ હસમુખ દવે ગુજરાતીમાં કર્યો ગુજરાતી ભાષાનાં ચાહકોએ શરદ બાબુના જીવન વિશે એમાંથી ઘણું ઘણું મેળવ્યું હતું.
મિત્રો, આવતા અંકે તેમના જીવનમાંથી કંઈક નવું જૂનું શોધી આપ સમક્ષ સંક્ષેપમાં લઈને જરૂર મળીશું.
અસ્તુ,
જયશ્રી પટેલ
૧૫/૧/૨૩

વિસ્તૃતિ…૪૧-જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શરદબાબુની વાર્તા “પારસ”વિશે આજે આપણે જાણીશું એનો અનુવાદ મને નથી મળ્યો પણ ઘણાં સમય પહેલા તે વાંચી પણ હતી અને હિન્દીમાં પણ સાંભળી હતી.અહીં સંસ્કાર અને ઉછેરની વાત વીણી લેવાય છે.
બંગાળી સમાજની કૌટુંબિક ભાવના વિશે પણ સુંદર આલેખન થયું છે ને પૈસો શું ન કરાવે એની છણાવટ કરવામાં આવી છે.
આ વાર્તા બે સગા ભાઇઓની છે જેમાં શરદબાબુએ એક પાત્ર રચ્યું હતું ગુરુચરણનું, જે પાત્ર બંગાળના એક એવા પુરુષની વાત રચી છે જેમાં સજ્જનતાને કુટુંબભાવના ભરપૂર હતી. નાનાભાઈ હરિચરણ અને તેની પત્ની પર કટાક્ષ યુક્ત વાર્તા રચાય છે.ભાઈના પુત્રનું નામ પારસ હતું તેને મોટા તાઉ એટલે કાકા ગુરુચરણે સંસ્કાર સિંચી મોટો કર્યો હતો .ગુરુચરણ ઘરના કર્તા હર્તા હતા .તેઓ પુરા ગામનાં કર્તા હર્તા હતા એમ કહીએ તો ચાલે .ગામમાં મોટા મોટા મજમુંદારો હતાં, પણ ગુરુચરણનું નામ સદગૃહસ્થોમાં લેવાતું.

નાનો ભાઈ હરિચરણ પરદેશમાં રહેતો. તેની પહેલી પત્ની એક પુત્ર મૂકી મૃત્યુ પામી હતી તો તેણે બીજા લગ્ન કરી લીધાં હતા ગુરુચરણની પત્ની પણ મૃત્યુ પામી હતી .વચેટ ભાઈ મૃત્યું પામ્યો હતો,તેની પત્ની મજલીવહુ ઘરમાં રહેતી હતી ને બધાં જ કાર્ય કરતી હતી. ગુરુચરણ ને તે પિતા સમાન ગણતી હતી. હરીચરણની બીજી પત્નીનું તેના સાવકા પુત્ર પારસ પર કોઈ ધ્યાન નહોતું. તેણી તેને અવગણતી રહેતી હતી.તે મા માટે તલસતો .ગુરુચરણ ને મજલીવહુનો તે પ્યાર પામતો હતો ગુરુચરણને એક પુત્ર હતો તેનું નામ વિમલ હતું,પણ તે પિતા જેટલો સંસ્કારી ન હતો કુસંસ્કારી હતો. ગામમાં
ગુરુચરણની શાખ હતી તેઓ ખૂબ જ ભણેલા હતા પણ શ્રીકુંજપુરની પાસેના ગામમાં વિદ્યાલયમાં નોકરી કરવા ગયા પછી તે ત્યાં જ નોકરી કરતા રહ્યાં. જો તેઓ ધારી શકે તો નગરમાં જઈ અને કમાઈ શકે પણ તેમણે આ વિદ્યાલય ને પોતાનું જીવન જ માની લીધું હતું .તેઓ સજ્જન ચરિત્રવાન અને નિષ્ઠાવાન હતા અને સંપૂર્ણ ગુણવાન પણ હતા. તેઓ હવે નિવૃત્ત જીવન જીવતા હતા .તેઓની ઉંમર સાંઈઠ વર્ષની થઈ ગઈ હતી નાના ભાઈના દીકરા પારસને તેઓ ભણાવતા તેમનો દીકરો હતો પણ કુદરતની કેવી લીલા કે તેમની સજ્જનતા નો છાંટો તે પુત્રમાં ન હતો.

પારસ એમ.એ પાસ કરી કાનૂનનો અભ્યાસ કરી રહ્યો હતો પણ ગુરુચરણ હવે નિવૃત્તિમાં પેન્શન ઉપર જ જીવતા હતાં. તેમના જેવો સજ્જન વર્તાવ કે સદભાવના જો કોઈ બતાવતું તો ગામમાં યુવાનો તેઓને કહેતા કે અરે ,આ તો ગુરુચરણ બની ગયા છે. આમ તેમની તુલના થતી.

હરીચરણ યુદ્ધ પછી ગામમાં આવ્યો તો અચાનક જ પૈસાદાર થઈને આવ્યો હતો . એક દિવસ તેણે ઘર જમીનનાં બે ભાગલા કરવાની વાત કરી તો ગુરુચરણે તેને મજલી વહુના ત્રીજા હિસ્સાની વાત કરી. હરિ ચરણનું મન ખાટુ થઈ ગયું. તેણે તેનો વિરોધ કર્યો ગામને ન્યાય અન્યાય સમજાવનારા ગુરુચરણે તે વિધવા સ્ત્રી માટે ખૂબ લડ્યો હરીચરણની સ્ત્રી મજલી વહુને ખરી ખોટી સંભળાવતી હતી. તેને જુદી થવા કહેતી તેને પિયર જતી રહેવા મહેંણા મારતી. હરિચરણે હવે ત્રાસ વર્તાવા માડ્યો હતો .ઘરમાં ખાડા ખોદી કાઢ્યા હતા. વાસણ કુશળના ભાગ પાડવા માંડ્યા હતા. જમીનમાં પણ જેમ તેમ ભાગ પાડી લેવામાં આવ્યો હતો એક દિવસ ગુરુચરણની ગેરહાજરીમાં મજલી વહુ ને ખૂબ માર માર્યો હતો.ભણેલા ગણેલા ગુરુચરણે દીકરી સમાન મજલી વહુ માટે પોતાની ચેન વેચી કેસ લડ્યો પણ તેણી હાજર ન થઈ અને અચાનક પિયર ચાલી ગઈ . કેસ જીતવા પારસને બોલાવ્યો કલકત્તાથી તો તે પણ પિતાના પક્ષમાં જઈ બેઠો .

ચારે બાજુથી હતાશ નિરાશ ગુરુચરણ હવે બેચેન થવા લાગ્યા તેમની પાસે ઘરની જૂની દાસી પંચોલીનીમાં જ રહેતી હતી .પારસ આવ્યો છે તે જાણી તેવો મળવા ગયા તો કોઈએ તમને મળવા ન દીધા .અચાનક એકવાર વિમલ ઘરે આવ્યો હતો અને થોડા કાગળ ભરેલી એક બેગ મૂકી ગયો હતો. પારસ અવારનવાર હવે ગામમાં આવતો પણ અજાણે જેણે તેનામાં સંસ્કાર રેડ્યા હતા. પ્રેમ આપ્યો હતો તે તાઉજીને ન મળતો .પિતાને માતા ને પગલે ચાલતો થઈ ગયો હતો. એક સવારે દૂધવાળી જોર જોરથી રડતી આવી અને ફરિયાદ કરી કે ગુરુચરણે તેને લાત મારી ફેકી દીધી .ઘરના ખાડામાં પડતાં તેની નાકની નસકોરી ફૂટી અને લોહી લુહાણ થઈ ગઈ .તેને હરિચરણે ઉકસાવી કેસ કરવાનો કહ્યો અને ગુરુચરણ ને દંડ કરાવ્યો ,રૂપિયા દસની સજા કરી. ગુરુચરણના આ કૃત્યને તેની પત્ની અને પુત્ર અને બીજા બધાં કોઈ જ માનવા તૈયાર ન હતું પણ કદી જૂઠું ના બોલનારા ગુરુચરણે ખરેખર સત્ય બોલી ગુનો સ્વીકાર્યો હતો. હવે ગામમાં પણ બધાં બાળકો ગુરુચરણની પાછળ દોડતા અને તેને દૂધવાળી નું ગીત ગાઈચીઢવતા..વિમલની મૂકેલી બેગ પારસને બતાવી તો તેમાં તેની ગુનાખોરીનાં દસ્તાવેજો મળ્યા. તો પારસે પોલીસ બોલાવી તેમને સજા કરાવી અને વિમલને પણ સજા કરાવી .
આમ પારસ પણ માનવતા ભૂલી પિતાના પગલે ચાલવા લાગ્યો હતો. એકવાર ગામનાં બધાં સજ્જનો હરિચરણની બેઠકમાં બેઠા હતા લુહાર જાતિના લોકો વિશ્વકર્માની પૂજામાં નગરથી વેશ્યાઓ બોલાવી હતી તેઓનાં નાચગાનની વચ્ચે ગુરુચરણ પૈસા ઉડાવી રહ્યાં હતાં અને ધીમે ધીમે હસી રહ્યાં હતા. અવિનાશ નામનો એક ગામનો શખ્શ ત્યાં આવી આ સમાચાર આપ્યા કે ગુરુચરણ લુહારો ને વેશ્યાઓની વચ્ચે બેસીને મજા ઉડાવી રહ્યાં છે .બધાં ટીકા કરવા લાગ્યા ગુરુચરણની આ નીચતા પર ભાઈ પણ વિચાર કરતો રહી ગયો શુંઆ મારો મોટો ભાઈ સજ્જન સદગુણી ગુરુચરણ ?ના તે હસી શક્યો ના રડી શક્યો હજુ ત્યાં યક્ષ યજ્ઞમાં નાચ ગાન ચાલી રહ્યું હતું અને તે સમયે ચહેરો મોઢું છુપાવી એક સજ્જન આવ્યો અને ગુરુચરણ ના ખભે હાથ મૂકી અને કહ્યું,”ઘરે ચાલો.”
ગુરુચરણ ,”ઘર ,બોલી ઊભા થયા , આશ્ચર્ય વચ્ચે તે વ્યક્તિ પારસ જ હતો .તેને તાઉજીના ચહેરા પર નજર નાંખી નિસ્તેજ આંખો અને ભાવહિન ચહેરો જોઈ પારસને થયું ગુરુચરણ હવે કોઈ સીમા લાંછન લગાડવા માટે બાકી નહોતી રાખી.પારસે ધીરે રહી ગુરુચરણને કહ્યું ,”તાઉજી, તમારે કાશી જવું છે ને ? ગુરુચરણે કાશીનું નામ સાંભળી ડોકી હલાવી કહ્યું,” હા જવું છે ,પણ મને કોણ લઈ જશે ? પારસે ભારે હૈયે કહ્યું ,”તાઉજી હું લઈ જઈશ.”
ગુરુચરણે કહ્યું ,”હા તો ચાલો ઘરે જઈ બધું લઈ લઈએ.”

પારસે આંખોના અશ્રું લૂછી કહું,”આ ઘરમાંથી હવે આપણે કાંઈ જ નથી લેવું.”

ગુરુચરણે થોડીવાર તેની સામે જોયું અને ગણગણ્યા “હા ,હા એ ઘરેથી આપણે કાંઈ જ નથી લેવું. કાંઈ જ નથી લેવું.” પારસની આંખ ભરાઈ આવી તેણે તાઉજીનો હાથ પકડ્યો અને તે તેમને લઈ ચાલી નીકળ્યો.

મિત્રો જોયું ને આખરે સંસ્કાર જીત્યાં.ત્યાં ગુરુચરણ જોડે નો હરિચરણનો વ્યવહાર વિટંબણા સતામણીએ એક સજ્જનને દુર્જન બનાવી દીધો પણ સિંચેલા સંસ્કાર જીતી ગયા અને ઉછેર આખરે હારી ગયો . બંગાળની આ કૌટુંબિક દશાનું વર્ણન આપણે આજે પણ આખા વિશ્વમાં જોઈ શકીએ છીએ .જે શરદબાબુ એ સો સવાસો વર્ષ પહેલાં પણ વાર્તા રૂપે આપણી સમક્ષ દર્શાવી ગયા હતા.

મિત્રો આવતા અંકે ફરી આવી ક્યાંક ને ક્યાંક અદ્રશ્યમાન વાર્તાઓ શોધી નાખીશું અને તમારી સમક્ષ સંક્ષિપ્તમાં રજૂ કરીશું જેમાં વિશ્વના સ્તર ઉપર રહેલી દશા અને દિશા ની વાતો માંણીશું.

અસ્તુ,
જયશ્રી પટેલ
૪/૧૨/૨૨

                  

વિસ્તૃતિ…૪0–જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

વિસ્તૃતિ…૪૦
         જયશ્રી પટેલ.
         આપણે આગલા અંકમાં જોઈ ગયાં કે ચરિત્રહીન વિશે આપણે થોડી ઘણી વાત કરી. હવે આગળ વધીએ કે એમણે ‘યમુનાનાં’ સંપાદક ફણીન્દ્રનાથ પાલને જઈ સંભળાવી તેઓ એ મક્કમતાથી કહી દીધું આ વાર્તા યમુનામાં જ છપાવવી છે . એમને વચન આપી દીધું અને તે ધારાવાહિક રીતે છપાય એવો મક્કમ નિર્ણય લેવાયો તેઓ તો યમનાનાં પાના વધારવા પણ તૈયાર હતા, પણ નવલકથા ક્યાં પૂર્ણ હતી ? શરદ બાબુએ તેમને તેમની જૂની વાર્તા બોઝ છાપવા આપી. મિત્રો આ વાર્તા મેં દિલ્હી મુંબઈ અમદાવાદમાં ખૂબ જ શોધી પણ મને નિરાશા સાંપડી, પણ હું પણ જરૂર શોધીશ નહીં તો મારી યાદોને ઢંઢોળી વાર્તા યાદ કરી આપ સમક્ષ જરૂર રજૂ કરવાનો પ્રયત્ન કરીશ .આ વાર્તા પણ તેમના મિત્ર સૌરીન્દ્રમોહને તેમની મંજૂરી વગર છાપવા આપી હતી તેથી તેઓ દુઃખી થયાં હતા . તેમણે તેમના મિત્રોને તેમની જૂની વાર્તાઓ છાપવાની મનાઈ કરી દીધી હતી ,ભલે ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે પ્રશંસા કરી હોય, પણ શરદબાબુ પોતાના લખાણથી સંતુષ્ટ નહોતા. બધી જ જૂની વાર્તાઓ મઠારવા માંગતા હતા. તે જ સમય દરમ્યાન ગુરુવર્યને નોબેલ પારિતોષક મળ્યું અને શરદ બાબુ તેમજ આખા ભારતને ગર્વ થયો. તે જ વખતે ચરિત્રહીનનું લક્ષ વધુ મજબૂત થયું. 
         ફરી કલકત્તા આવ્યા ત્યારે અજ્ઞાતવાસ છોડી સર્વેને મળ્યા. લોકો હવે શરદબાબુને ઓળખવા લાગ્યા. એક સારા અને પ્રતિષ્ઠ લેખકનાં  ગણત્રી થવા લાગી એટલે સુધી કે તે કહેતા “ જો લેખન કાર્ય માટે તેમને મહિને ₹100 મળી જાય તો રંગૂનની નોકરી મૂકી તેઓ કલકત્તા પાછા આવી જાય “
       આનો ઉલ્લેખ શરૂઆતમાં મેં કર્યો હતો તે મિત્રો જવાબદારી ખાતર જ રંગૂન ગયા હતા. ખરેખર ભારતી અને યમુનાનાં સંપાદકોએ આટલી જોગવાઈ કરી આપવા તૈયાર હતા. પાલ મહાશય તો શરદસાહિત્યનાં ભક્ત બની ગયા હતા. તેમના માતા પણ તેમને પ્રેમથી જમાડતા રાખતા અને શરદબાબુ માટે ચિંતિત રહેતા. શરદબાબુ પણ તેઓમાં પોતાની માતાના દર્શન થતા.
        રંગૂનથી તેમને પ્રમનાથને પત્ર લખ્યો હતો અને પોતાની લેખનશક્તિ પરનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. ચરિત્રહીન માટે જુદા જુદા મંતવ્ય આવ્યા જુદા જુદા સામાયિકનાં સંપાદકો તેને છાપવા ઇચ્છતા હતા અને શરદ બાબુ એ પરમનાથનો અભિપ્રાય માગ્યો તેમને વધુ સમયે જવાબ આપ્યો વાર્તાનો પ્રારંભ નોકરાણીથી નહોતો કરવો . શરદબાબુએ પરત પાછી માંગી . ત્યારબાદ દ્વિજેન્દ્રલાલ રોયે કથા વાંચી તેને અશ્લીલમાં ખપાવી. હરિદત્ત ચટ્ટોપાધ્યાયે નવલકથાને અનૈતિક કહી, જો છપાશે તો લોકો નિંદા કરશે તેને નહિ સ્વીકારે .તેમ જ આવી નવલકથા નહોતી લખવી જોઈતી એમ પણ કહ્યું.
 
              શરદબાબુ ખૂબ ગુસ્સે થયા તેમણે કહ્યું કે આપણે લોકોને આપણી જાંઘ ખોલીને નથી બતાવતા પણ ઘા વાગ્યો હોય તો જગ્યા પણ ન બતાવીએ એવું તો સાંભળ્યું નથી. જિંદગીભર સૌંદર્યમય લખીને તે જ દ્રષ્ટિએ લખવું એ યોગ્ય તો નથી જ . કોઈએ સૂચન કર્યું ચરિત્રહીન બીજાને નામે છાપો તો એમને મંજૂર નહોતું . તેમણે પોતાને નામે જ છપાશે એ નિશ્ચય કર્યો .સારા માઠાં ફળ ભોગવવા તૈયાર થયા. નામ માટે આવો લોભ કેમ? જો એ જ કરવું હોત તો જિંદગીભર કષ્ટ ન જ ભોગવત!
 
          1913 ના ઓક્ટોબરમાં યમુનામાં ચરિત્રહીનનો પ્રથમ અંશ પ્રકાશિત થયો . આખા બંગાળી સમાજમાં એક વાવંટોળ ઉઠ્યો . આવું કોઈ જ પુસ્તક માટે નહોતું બન્યું . ફણીન્દ્રનાથ પાલે શરદને તારથી જણાવ્યું *“ચરિત્રહીન” ઇઝ ક્રિએટિંગ એલાર્મિંગ સેન્સ્શન”* (ચરિત્રહીને જાગૃતિ અને ક્રાંતિની સંસનાટી પેદા કરી છે)
          મિત્રો , બસ એ જ સમયે માહ્યલામાં રહેલા સાહિત્યકારને શરદે ઢંઢોળીને જાગૃત કરી દીધો હતો. કેટલાય વર્ષો સુધી લખાયેલી આ રચનાએ ઈતિહાસ બદલી નાંખ્યો હતો. આ વાર્તાની નાયિકા કરુણામયી હતી. આગળ આપણે આ વાર્તા જોઈ ગયા છીએ તેથી એની ચર્ચા નહિ કરું. *એક પુસ્તક ને વાર્તાઓ લેખકની કલ્પના હોય છે, જે સારી ખોટી વાંચક પર છોડી દેવામાં આવે છે* ખરેખર શરદબાબુની આ નવલકથાએ ભારત વર્ષમાં તહેલકો મચાવી દીધો હતો.
 
            મિત્રો, આશા રાખું છું કે હું સંક્ષેપમાં તમને સમજાવી શકી હોઈશ. નહિતો જરૂર તમે ‘આવારા મસીહા’ ગુજરાતી હિન્દીમાં મળે તો વાંચજો . આવતા અંકે ફરી આવી જ કંઈક અવનવી વાત શરદબાબુની આપણે માણીશું જાણીશું.
(સંપૂર્ણ)
 
અસ્તુ
જયશ્રી પટેલ

સંસ્પર્શ-૪૦

કવિ ધ્રુવ ભટ્ટ એટલે પરમ અને પ્રકૃતિને પોતાનાં નોખા જ શબ્દાંકનો,ભાવ સાથે આલેખતા અને વાચકને જીવનનાં રહસ્યો જોતાં,સાવ સહજ રીતે શીખવતા કવિ અને લેખક.તેમના ગીતોમાં મધ મીઠી મધુરતા સાથે તમને અંદરથી ઝંઝોડી મૂકવાની તાકાત પણ છે. ધ્રુવદાદાનાં આલેખનમાં ,સમાજનાં રીત-રિવાજ, અંધશ્રદ્ધા ,ક્રિયાકાંડો પર કટાક્ષ આદ્ય કવિ નરસિંહ ,અખો ,કબીર જેવી જ સભાનતા બક્ષે છે ,તો પરમ સાથે સાંનિધ્ય અનુભવતા તેમના ગીતો અને નવલકથાનાં પાત્રોનાં સંવાદો આપણને આપણાં અસ્તિત્વનું ભાન કરાવે ,તો ક્યારેક અસ્તિત્વનો ઉત્સવ ઊજવાવે . તેમના ગીતો સુંદર લય અને ઢાળમાં ગાઈએ ત્યારે પરમ સાથે લીન થયા હોય તેવો આનંદ આપે. તો ક્યારેક પરમની શોધનાં અનેકાનેક પ્રશ્નાર્થોમાં આપણી જાતને વહેતી મુકાવે . તેમણે સહજતાથી રચેલ છતાં અનેક ગૂઢાર્થ ભરેલા ગીતો ગેય અને લયબદ્ધ છે જે સમજવી અઘરી ફિલસૂફીથી ભરેલાં છે. 

આવા નોખા અનોખા ગીત રચનાર કવિ ધ્રુવ ભટ્ટની સાહિત્ય યાત્રા ખૂબ ઊંચી ઉડાન ભરેલ હોવા છતાં તેમની વિનમ્રતા નીચેના ગીતમાં આપણને દેખાશે. 

આ ગીતમાં પોતાની ભાષા અને કવિતા માટે પોતાને ભાષાનાં ભૂષણ સમજતાં લોકોને પણ પોતને આવડ્યું તેમ લખ્યું કહી , પોતાને ઉતરતાં ચીતરીને એક સુંદર સંદેશ આપ્યો છે.ભારેખમ શબ્દોમાં ન કહેવાઈ હોય પણ સરળ અને સહજતાથી કહેવાએલી વાત પણ અલંકારીક શબ્દો જેવોજ પ્રભાવ પાડી શકે છે ,તે વાત આ ગીતમાં વર્ણવી છે.

અમે કહ્યા જે બોલ આવડ્યા તમે કહ્યું તે વાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

અમે ધૂળિયા રસ્તે ચાલ્યા, 

તમે ચમકતા આરસ મહાલ્યા

તમે ભણાવ્યા તો પણ અમને ,

કોઈ શબ્દ ક્યાં છે સમજાયા

અમે નાનકડી નીક વહ્યા ને તમે થયા સરવાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

તમે કહો જે નભ છલકાયું

અમે કહ્યો વરસાદ

રત્નાકર ને અમે કહીએ

દરિયો અનરાધાર

તમે કહ્યાં જે જળ ઝળહળતા અમે સમજતાં પાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

કવિ ભારેખમ શબ્દોમાં પોતાની વાત કહેતા લોકોને કહે છે અમને સરળ બોલીમાં જે આવડ્યું તે લખ્યું. તમે જે લખો તે વાણી કહેવાય અને અમે સરળ બોલીમાં કહીએ તે બોલી કહેવાય પરતું બોલી કે વાણીનો ભેદ ન જોતાં તેમાં કવિ આપણને સમજાવવાં શું માંગે છે તે અગત્યનું છે.ધ્રુવદાદાને હંમેશા તેમની આસપાસનાં અભણ લોકોની બોલીમાં જ જીવનનાં સત્યો અને ગૂઢ રહસ્યોનાં ઉકેલ દેખાયા છે. કબીર અને ગંગાસતીનાં એક એક શબદમાં જે સનાતન સત્યો સાંપડ્યાં છે તેમાં શબ્દોની કરામતોની ક્યાંય જરુર પડી નથી. 

આગળ કવિ કહે છે અમે તો જે રચ્યું તે ઘૂળિયા માર્ગે ચાલતા ચાલતા જે જોયું, સાંપડ્યું તે સહજતા સાથે સંકેલ્યું. અમને આરસ પર મહાલવા મળ્યું જ નથી.ભણતરમાં સ્કુલે જવામાં ધ્રુવદાદાને ક્યારેય રસ નહોતો અને એટલે જ એમને કેટલીયે વાર ટાંગાંટોળી કરી નિશાળે મોકલવા પડતાં. કોલેજની પરિક્ષા સમયે પણ તેઓ પરિક્ષા આપતા હતાં ત્યારે સાહેબે તેમને કટાક્ષમાં કહ્યું કે ‘આખું વર્ષ ભણ્યા હોવ તો કંઈ આવડશે ને લખતાં તમને!”અને તે પ્રશ્નપત્રનો પેપરનો ડૂચો કચરાપેટીમાં નાંખી ઊભા થઈ ગયા. તેમના મતે આજકાલની બાળકો પર ખોટો ભાર લાદતી અને પોપટિયું જ્ઞાન આપતી આજની શિક્ષણ પધ્ધતિ તદ્દન ખોટી છે. તેઓ બાળકને હસતાં-હસતાં,રમતાં- રમતાં જ્ઞાન પીરસવામાં માને છે.એટલે અહીં લખે છે કે ‘ તમે અમને ભણાવ્યાં પણ અમને આ પોપટિયા જ્ઞાન થકી એક પણ શબ્દ ક્યાં સમજાયો છે? અહીં શબ્દ ક્યાં સમજાયો છે એટલે જીવનની ગૂઢતાનાં રહસ્યો, જીવનનું સત્ય ગમે તેટલું ભણતર હોય પણ ન સમજાય તો તે ભણતર વ્યર્થ છે. અને આજના યુગમાં બાળકોને એવું જ ભણતર અપાઈ રહ્યું છે તે કરુણતાને આ ગીતમાં રજૂ કરી છે. ઓશોની વાત મને અહીં યાદ આવે છે કે,”ખાલી હાથે જવા માટે માણસ આખું જીવન બે હાથે પૈસા ,મિલકત ભેગી કરતો રહે છે.” જીવનનો ખરો અર્થ સમજાવ્યા વગર બાળકોને આંધળી દોટ તરફ સૌ ધકેલી રહ્યા છે.તેનું દર્દ પણ આ ગીતની પંક્તિ” તમે ભણાવ્યા તો પણ અમને એક પણ શબ્દ ક્યાં સમજાયાં છે”માં દેખાય છે.

કવિ ધ્રુવ ભટ્ટ કહે છે અમે તો સાવ નાનકડી નીકમાં વહ્યા, તમે તો મોટી સરવાણીમાં વહ્યાં.અમે તો સરળ શબ્દોમાં જેને વરસાદ કહ્યો તેને તમે નભ છલકાયું તેમ કહ્યું.જેને અમે દરિયો કહ્યો તેને તમે રત્નાકર કહી નવાજ્યો.અને અમે જેને પાણી સમજતાં હતાં તેને તમે ઝળહળતાં જળ કીધાં. પરતું કવિનું કહેવું છે કે સરળ શબ્દોમાં પણ તેમણે જીવનનાં કુતૂહલ, આદર, વિસ્મય અને અહોભાવનાં સત્યો સહજતા અને સરળતાથી રજૂ કર્યા છે,અનુભવ્યા છે અને લોકોનાં હ્રદય સુધી પહોંચાડ્યાં છે. ભારે ભરખમ શબ્દોથી નહીં પણ અંતરની સહજ સરવાણી થકી ફૂટેલી ભાષા પણ એટલી જ અસરકારક છે તેમ કવિ સમજાવે છે.એમની નવલકથાનાં સાવ અંતરિયાળ પ્રદેશમાં રહેતા આદિવાસીઓ કે ગીરનાં જંગલવાસી કે દરિયા કિનારે વસતાં ખારવા —આ સૌનાં સાવ સરળ સંવાદોમાં દાદાને વેદ ઉપનિષદનાં સંદેશ સંભળાય છે. અને આજના બાળકોને માત્ર ભણતર નહીં પણ જીવવાની સાચી રીત શીખવવાની જરુર છે ,નહીંતો ગમે તેટલા ઊચ્ચ ભણતર સાથે પણ તેમનું જીવન વ્યર્થ છે. આમ કંઈક જુદો જ સંદેશ આપતું તેમનું ગીત સરળ ભાષામાં અમૂલ્ય વાતનો સંદેશ આપે છે.

જિગીષા દિલીપ

૧૬મી નવેમ્બર ૨૦૨૨

jigisha -સંસ્પર્શ -youtubeસ્પર્શ -૩૯

સંસ્પર્શ -૩૯

મિત્રો,

આજે વાત કરવી છે એવી કે જે તમારા,મારા, દરેક કવિ,લેખક કે સામાન્ય માણસનાં માનસપટ પર પણ અનેક વાર આવી ગઈ હોય,તેવાં જ વિચારને રજૂ કરતાં ધ્રુવગીત ની. પહેલી બે પંક્તિમાં જ કવિ ધ્રુવ ભટ્ટ કહે છે,

 શું   હશે   પૂર્વમાં  ઊગતું  ને  પછી  પશ્ચિમે   આથમે   રોજ તે  શું  હશે

આ લીલા ચહુદિશે પાંગરી છે ઝીલી ગહન આકાશનો બોજ તે શું હશે

પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી પાંગરી રહેલી કુદરતને જોઈને સૌની જેમ ,કવિને પણ વિચાર આવે છે કે આ રોજ તેના નિત્યક્રમ મુજબ પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતા રવિનું રહસ્ય શું હશે? આ લીલીછમ ઓઢણી ઓઢીને બેઠેલ ધરા અને આ અસીમ આકાશનો ગુંબજ – આ અજાયબીઓ શું હશે?કુદરતની બધી કરામતો,અનોખી અજાયબીઓ એ શું હશે? આ વિચાર દરેક માનવને આવે છે. 

બીજી પંક્તિમાં ,કવિ સર્વત્ર પથરાએલ કુદરતી મહેરની ,અજાયબીની વાત કરી ,પોતાની અંદર ઊઠતી મોજની બીજી અજાયબીની વાત કરે છે,

ક્યાંક બારી અચાનક ખૂલી જાય ને સહજમાં લહેરખી જેમ આવી ચડી

ઊછળતા ઉદધિ સમ ઊઠતી છલકતી રણકતી મન મહીં મોજ તે શું હશે

ધ્રુવદાદા આ બે પંક્તિમાં તેમને પોતાને થયેલા સ્વાનુભવની વાત કરે છે.મનની અનોખી મોજ માણનાર કવિ કોઈક અદ્ભૂત ક્ષણોમાં તેમણે અનુભવેલ પરમાનંદની વાત કરી રહ્યાં છે, તે અનુભવને વર્ણવતા દરિયાનાં મોજાની જેમ તેમની ભીતર ઊઠેલ છલકતી,રણકતી મોજની વાત કરે છે અને પંક્તિમાં વર્ણવે છે કે એ અનાહતનો નાદની ઊછળતી છોળો શું હશે?પરમ ચૈતન્યનો એ આભાસ શું હશે? તેમ કવિ આશ્ચર્ય સાથેનાં આનંદને પ્રશ્નાર્થે રજૂ કરી રહ્યાં છે.આગળની પંક્તિમાં કવિ કહે છે,

કોઈ સંદર્ભ ક્યાં હોય છે ને છતાં અકળ દોરે રહી ગૂંથતું સર્વે

એકએકે કહી જાય છે કે તમે આ રહ્યા છો અને છો જ તે શું હશે 

ગંધ   પૃથ્વી   કને  રૂપ  હુતાશને  રસ  જળે   સંચરે  સ્પર્શ  મારુતને 

નાદ આકાશને જઈ મળે છે છતાં ક્યાંક રહી જાય છે કો’ક તે શું હશે

આપણને એ અણજાણ સર્જનહારનો કોઈ સંદર્ભ મળતો નથી. કોઈ અકળ અલૌકિક શક્તિ આપણને સૌને દોરી રહી છે. તે આપણને એકબીજા સાથે અનોખા બંધનમાં બાંધી રાખે છે , આપણને આપણી હસ્તીનું, અસ્તિત્વનું જ્ઞાન અને ભાન કરાવે છે ,પરતું એ અજ્ઞાતશક્તિને આપણે કોઈ જોઈ શકતા નથી. હા, પૃથ્વી ગંધને,રૂપ અગ્નિને,રસ જળને, સ્પર્શ પવનને અને નાદ આકાશને મળે છે અને આપણે પૃથ્વી ,અગ્નિ,જળ,આકાશ, વાયુ -આ પંચ તત્વોને જોઈ શકીએ છીએ પરતું આ સૌનો સર્જનહાર ક્યાં છે? અને કેવો હશે તેની વાત કવિ કરે છે. 

દર્શનોમાં ઘણું સંભવે પણ પછી આ નથી આ નથી ના નહીં એમ વદતા રહી 

હર દરશ પર દરશ સામટાં તે જૂએ ને કરે સામટું ફોક તે શું હશે

પળ વિશે નજરથી આ સરી જાય છે એક પળ દ્રષ્ટિમાં ભાસતું જે હતું 

સતત આ કોણનો પ્રશ્ન તે શું હશે આ સતત શું તણી ખોજ તે શું હશે

દર્શન કરતાં ઘણી સંભાવનાઓ લાગે ,પણ વેદાંત ‘ નેતિ નેતિ ‘ કરી પોકારે કે હું આ પણ નહીં, હું આ પણ નહીં કહે,તો એ સર્વત્ર છવાએલો છે પરતું દેખાતો નથી. અને આ સૃષ્ટિનો રચનાર અને સંહારક કયાં હશે? અને કેવો દેખાતો હશે? એમ કવિને વિચાર આવે છે.

છેલ્લે કવિ ખૂબ સરસ વાત કરે છે કે તેઓ પોતાની ભીતર તેને શોધવા પ્રયત્ન કરે છે ત્યારે એક પળ માટે ક્ષણિક સુખ આપીને જે દ્રષ્ટિમાંથી સરી ગયું તે શું હતું? તેમનું મન સતત આ કોણ તણી ખોજ કરી રહ્યું છે ?આમ પરમના એકએક સર્જનથી અભિભૂત થયેલ કવિ એ કોણ હશે? અને ક્યાં સંતાયો છે એ? તે આશ્ચર્ય ને આ કવિતામાં સહજતાથી રજૂ કરે છે.જે આપણને નરસિંહનાં ભજન –

“જાગીને જોઉં તો જગત દિસે નહીં ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે;”

“જીવ ને શિવ તે આપ -ઈચ્છાએ થયો,ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;”

ની યાદ અચૂક અપાવે છે.

આજે દેવદિવાળી એટલે ગુરુ નાનકની જન્મજયંતિ છે ત્યારે નાનક સાહેબે રચેલ શીખ ધર્મની મહાઆરતીની યાદ અપાવે છે.જે પરમની અનોખી રચનાની તેમાં વાત કરી છે.કુદરતી તત્વો દ્વારા કરાએલી નાનકસાહેબની શીખ સંપ્રદાયમાં ગવાતી મહાઆરતી ધ્રુવદાદાની આ કવિતા વાંચતાં જ યાદ આવે છે. 

આપણી ફિલ્મોનાં જાણીતાં અભિનેતા સ્વર્ગીય બલરાજ સહાની ૧૯૩૦ના દસકામાં શાંતિનિકેતનમાં ભણાવતાં હતા. એક દિવસ એમણે કવિવર રવિન્દ્રનાથ ટાગોરનેકહ્યું,” ગુરુદેવ આપે ભારતનું રાષ્ટ્રગીત તો લખ્યું ,તો આપ આંતરરાષ્ટ્રીય ગીત કેમ નથી લખતાં ? ત્યારે ટાગોરે હસીને કહ્યું,” આંતરરાષ્ટ્રીય ગીત તો ૧૬મી શતાબ્દીમાં શ્રી ગુરુ નાનકે લખી નાંખ્યું છે. ગુરુદેવનો સંકેત શીખ આરતી પર હતો ,જેનો બીજો અર્થ ‘પ્રકાશ પર્વ ‘પણ થાય છે. ગુરુદેવ આ આરતીથી એટલા પ્રભાવિત હતા કે તેમણે તેનો બંગાળીમાં અનુવાદ પણ કર્યો છે.

આજે પણ રહરાસ સાહિબનાં પાઠ પછી બધાં ગુરુદ્વારાઓમાં ગુરુદ્વારાનો રાગી રાગ ધનશ્રીમાં તેમના મધુર અવાજમાં આ આરતી ગાય છે. આ આરતી એવી અદ્ભૂત છે કે તે સંગીતનાં માધ્યમથી સીધા આપણને નિરાકાર સાથે જોડી દે છે. ગુરુનાનક કહે છે જો ભગવાન સર્વ શક્તિમાન છે અને સર્વવ્યાપ્ત છે ,તો હું થોડાક દીવાઓ અને થોડીક ધૂપસળીઓ જલાવીને એમની આરતી કેવીરીતે કરી શકું? અને આ મહાઆરતીનું સર્જન થયું. ગુરુનાનકની આરતીનો ભાવાર્થ આ પ્રમાણે છે,”આખું આકાશ એક મહાથાળ છે.સૂર્ય અને ચંદ્ર દીવા છે.તારા અને સૌરમંડલનાં ગ્રહો હીરામોતી છે.પૌરાણિક મેરુ પર્વત તેના ચંદનવૃક્ષ સાથેની ધૂપસળી છે.ચારે તરફ વહેતી ચંદનથી સુગંધીત હવા ભગવાનનો પંખો છે.નાનક સાહેબ આગળ ગાય છે,હે જીવોનાં જન્મ મરણ અને નાશ કરવાવાળા ,કુદરત કેવી સુંદર રીતે તારી આરતી ઉતારી રહી છે! બધાં જીવોમાં ચાલી રહેલી જીવન તરંગો જાણે તારા આરતી સમયે ઢોલ નગારાં વગાડી રહ્યાં છે. પ્રભુ ,આપ જ ભયનાશક છો.આપના પવિત્ર નામની અવ્યક્ત ધ્વનિ ચારેબાજુ હંમેશા ગુંજતી રહે છે. બધાં જીવોમાં વ્યાપક હોવાને કારણે તારી હજારો આંખો છે, પણ નિરાકાર હોવાને કારણે ,હે પરમ ,તારી કોઈ આંખ નથી. તારા હજારો ચહેરા છે પણ તારો કોઈ ચહેરો નથી.તારા હજારો સુંદર પગ છે પણ નિરાકાર હોવાને લીધે તારો એક પણ પગ નથી. તારા હજારો નાક છે પણ તું નાક વગરનો જ છું. તારા આવા ચમત્કારે મને હેરાન કરી નાંખ્યો છે! બધાં જીવોમાં એક જ એ પરમાત્માની જ્યોતિ પ્રગટી રહી છે. એ જ્યોતિનાં પ્રકાશથી જ બધાં જીવોમાં પ્રકાશ (સૂઝબૂઝ) છે.જે જીવ પ્રભુની રજામાં રહે છે એ પ્રભુની આરતી જ કરી રહ્યો છે.સદ્ગુરૂની કૃપાથી જ પરમજ્યોતિ ભીતરમાં પ્રગટ થઈ શકે છે.અને દરેકની અંદર પ્રગટેલી જ્યોતિ ભાવથી પરમની આરતી ઉતારે છે.

પંજાબી ભાષામાં આ આરતી,આવી રીતે ગુરુનાનકે ગાઈ છે.

ગગનમેં થાલ,રવિ ચંદ દિપક બને,તારકા મંડલ જનક મોતી।

ધૂપુ મલ આનલેા,પવણ ચવરો કરેં,સગલ વનરાઈ ફૂલન્ત જ્યોતિ,

કૈસી આરતી હોઈ ,ભવ ખંડના તેરી આરતી ॥

અનહત સબદ બાજંત ભેરી,સહસ તવ નૈન નન નૈન હહિ તોહિ

કઉ સહસ મૂરતિ નના એક તોહી। સહસ પદ બિમલ નન એક પદ ગંધ

બિનુ સહસ તવ ગંધ ઈવ ચલત મોહી॥સબ મહિ જોતિ જોતિ હૈ સોઈ।

તિસ દૈ ચાનણિ ,સભ મહિ ચાનણુ હોઈ॥ગુરુ સાખી જોતિ પરગટ હોઈ॥

જો તિસુ ભાવૈ સુ આરતી હોઈ॥

જિગીષા દિલીપ 

૮મી નવેમ્બર ૨૦૨૨

સંસ્પર્શ-૩૮

jigisha -સંસ્પર્શ -youtube

છો પછી પળથી વધુ રોકાઉં નહીં તારા ઘેર

હું મને લીધા વગર આવું નહીં તારા ઘેર

હો તમારી હાજરી ની પણ અપેક્ષા ના મને 

કોઈ દાવો કોઈ હક લાવું નહીં તારા ઘેર

બારણું પરસાળ બારી ઓટલો નળિયા છજાં

રાહ જોતાં હોય ને આવું અહીં તારા ધરે

ક્યાંકથી પળમાં હવાની જેમ પણ આવી ચડું

જોઈ છે ખુલ્લી અમે બારી બધી તારા ધરે 

પ્રાર્થના સહુની અલગ સહુની જુદી રીતો હશે

ને અસર એક જ અમે દીઠા થતી તારા ઘરે

સ્લેટ પરના ચિત્ર જેવી હો પછી મારી સ્થિતિ

તું મને ભૂંસે કે તું ચીતરે નદી તારા ઘરે

આ કવિતામાં કવિ ધ્રુવભટ્ટે પરમ સાથે એક થવા કરાતી પ્રાર્થના કે ધ્યાનની પોતાની મનોસ્થિતિનું સહજ વર્ણન કર્યું હોય તેમ લાગે છે. પ્રાર્થના એટલે પરમ સાથે મળવા,પામવા કે પરમશક્તિની અનુભૂતિ કરવા કરાતું ધ્યાન.કવિ એવું કહેતા હોય તેવું તેમની કવિતાની પ્રથમ પંક્તિમાં જ લાગે છે.સંતો,મહાત્માઓ કે ગુણીજનો ,જે પણ ધ્યાન કરે છે ત્યારે માત્ર એકાદ ક્ષણ કે પળ માટે જ એ અનમોલ શક્તિ કે દિવ્યજ્યોતિનો કે પરમાનંદનો અનુભવ કરે છે એવું સાંભળ્યું છે. હા, પછી એ અનુભવ મેળવી તેને વાગોળતાં જરૂર લાંબો સમય એ અનુભૂતિનો નશો રહેતો હશે. પરતું આ તો જેણે આ રસ ચાખ્યો હોય તે જ જાણે ને?

એટલે જ કવિ પરમ સાથે વાત કરતાં હોય ત્યારે પરમ જાણે તેમને કહી રહ્યો છે કે ભલે હું એક પળથી જરાય વધુ તારા ઘેર રહું ,એટલે કે તને અનુભૂતિ થાય,મારા હોવાનો અનુભવ થાય ત્યારે હું જેટલો સમય તારી પાસે હોઈશ ત્યારે હું સંપૂર્ણ રીતે તારી પાસે હોઈશ. 

કવિની કલ્પના બહુ સરસ છે. પરમ જાણે કહી રહ્યો છે કે હું તારી હાજરીની અપેક્ષા પણ રાખતો નથી. પરમ તો કહે છે 

તું નહીં હોય તો ચાલશે પણ તારા ઘરનાં બારી,બારણાં, ઓટલો,છજા,પરસાળ બધાં મારી રાહ જોતાં હોય તેવું રાખજે. આમ કહી કવિ કહેવા માંગે છે કે તારો દુન્યવી વહેવાર ,તારા ઘરનું વાતાવરણ એટલું સ્વચ્છ,પ્રેમમય,કશાય વિહીન હોવું જોઈએ. 

સ્વચ્છ એટલે કામ,ક્રોધ,લોભ,મોહ,માયા વગરનું હોવું જોઈએ.જ્યાં દરેકે દરેક વ્યક્તિનો સ્વિકાર અને આવકાર હોય તેવી ફકીરાઈ અને દિવાનગી હોય, અહંકારનો નામોનિશાન ન હોય, તારા શરીર રૂપી ઘરનાં બધાં બારી,બારણાં, છજાં,ઓટલા પરસાળ એટલે મન,વચન,કર્મ,પંચેન્દ્રિયો,કર્મે્ન્દ્રિયો ,બુધ્ધિ- સર્વેન્દ્રિયોથી તું મારી રાહ જોતો હોઈશ, ત્યારે પવનની જેમ સડસડાટ તારી ખુલ્લી બારીમાંથી હું તારામાં આવી ચડીશ. 

પ્રાર્થનાની રીતો દરેક ધર્મમાં અલગ અલગ હોય છે. બધાં ભલે તેને જુદાંજુદાં નામથી બોલાવે,બધાંનાં રસ્તા જુદાજુદા છે પરતું બધાંને છેલ્લે એકજ જગ્યાએ પહોંચવું છે. પરતું સંતાન બધાં એકજ પરમેશ્વરનાં ,પરમપિતાનાં જ છે. લોકો ધર્મનાં ,જ્ઞાતિનાં ભેદભાવ રાખી કશું સમજ્યાં વગર એકબીજા સાથે લડે છે. તે સંદર્ભમાં કવિ કહે છે પ્રાર્થનાની રીત ભલે સૌની અલગ હોય પણ તે પહોંચેં છે એક જ મહાશક્તિને.કવિને એટલે તેની એક જ અસર થતી દેખાય છે. 

કવિ પરમને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ! તું મને કોરી સ્લેટ જેવો બનાવી દે! સાવ ખાલી. તે કોરી સ્લેટ જે સાવ વિકારરહિત હોય. તેમાં પછી તારે જે ચિતરવું હોય તે ચીતર. આમ કહી પરમ સાથે એકરૂપ થઈ જવાની વાત કવિ કરે છે. પરમસત્ય સાથે એકાકાર થઈ જવાની વાત કરે છે.

અને રાજેશ “મસ્કીન”ના શબ્દો યાદ આવે ,

જોજનો જેવું કશુંય ક્યાં રહ્યું અંતર હવે

આપણી વચ્ચેનું છેટું ,જન્મજન્માંતર હવે

આ વળી, કેવા હિસાબો તેં કર્યા સરભર હવે

બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે

જિગીષા દિલીપ 

૨જી નવેમ્બર ૨૦૨૨