બધાજ લેખકોને ધન્યવાદ ,વિજયભાઈ શાહ અને કાનુકાકાનો ખુબ આભાર
મિત્રો આજે આપણા કવિત્રી કલ્પનાબેનનો જન્મ દિવસ ,તો દરેક શબ્દોના સર્જનના લેખકો લેખિકા ,અને વાચકો તરફથી કલ્પનાબેનને જન્મદિવસની ખાસ ખાસ વધાઈ,કલ્પનાબેન તમારી ઉંમર શું થઇ એમ પુછાય તો નહિ પણ તમે મોટા નથી લગતા એ વાત ચોક્કસ છે , આમ પણ શબ્દોના સર્જન પર તમે વાંચતા હશો કે સર્જનને ઉંમર સાથે સબંધ નથી ,
મિત્રો આપણે એમની કવિતા કે લખાણ માણીએ છીએ એના ઘણા કારણો છે ,
તો ચાલો આજે એમનીજ રેસીપી લઈને એમની કવિતા રૂપી birthday કેક બનાવ્યે, એમના જન્મદિવસની શબ્દોનીકેક એમની રેસીપી થી એમની જ રીતે કરીએ…
name -એક કલમને મળે લખવાનું “નીલું” આકાશ ……
. તો સામગ્રી નીચે મુજબ લેજો ……
સૌ પ્રથમ કલમને ઉપાડવા અંદરની સ્ફુરણા,તાજી કળી જેવી ઉર્મીઓ
સાથે નવા વિચારો ,અને નવું લખવાની તમ્મના
જે જોયું ,જે જાણ્યું અને અનુભવ્યું તેનો જ રસથાળ
એમાં કયારે સ્નેહીને યાદ કરી ઉકળતા આશુ અને ઠંડાગાર શ્વાસ ,
તો કયારેક પાંચ આંગળી માં તમારા પ્રિય પાત્રનો હાથ
દીકરો, વહુ કે સ્નેહી નો ઘીના મોણ જેવો સ્વાદ
ખભા પર પોત્ર કે પોત્રીનો સળવળતો મધ નીતરતો સાથ
અને તાજી તાજી જલેબી જેવા મિત્રોનો સંગાથ
એમાં ભેળવજો જ્ઞાન અને સત્સંગથી આત્મા અને પરમાત્મા નો વિશ્વાસ
ત્યારે કલમ ઉપડશે
અને શબ્દોથી થશે મોંન નો આવિષ્કાર
અને પછી મિત્રો તમારી કવિતાની કેક કલ્પનાબેનની કવિતા જેવી જ કેવી સુંદર ,સુગંધી અને તાજી થશે કે તમે એને મમળાવ્યા જ કરશો,
અને હા કલ્પના બેનની જેમ તમારી કલ્પનાને ભૂલતા નહિ
મિત્રો મારી પાસે એમના જન્મદિવસે દેવા માટે શબ્દો નથી પરંતુ એટલું જરૂર કહીશ કે આપણા શબ્દોનાસર્જન પર માત્ર હું જ નહિ બધા કલ્પના બેનની દેરેક કૃતિને માણે છે ,સરળ શબ્દોમાં દિલમાંથી નદીની જેમ વહેતું એમનું લખાણ બધાને સ્પર્શી જાય છે કલ્પના બેન આજ શબ્દોનાસર્જન નો આજ પુષ્પગુચ્છ જન્મદિવસે સ્વીકારજો અને મિત્રો હું જે કહું છું એ જરાય ખોટું નથી તેનો પુરાવો એમની રચના દ્વારા આપું છું ,જે વાચી આપ સર્વે તેમને મુબારક આપી વધાવશો ……
કલ્પનાબેન આપની કલમ સદાય અવિરત ચાલ્યા કરે એવી શુભેચ્છા……
જીવનનાં રંગો
પીછવાઇમાં પૂરેલા રંગો, જેવી છે આ જીન્દગી,
મોરપીંછનાં રંગો, જેવી છે આ જીન્દગી,
મેઘધનુષનાં રંગો, જેવી છે આ જીન્દગી,
ક્યારેક સોનેરી તો ક્યારેક રૂપેરી છે આ જીન્દગી.
એ રંગોનાં પૂરનારને હું શું કહું?
એની લ્હાણીમાં ક્યાંય ખોટ નથી,
ક્યાંય કસર નથી, ક્યાંય કચાશ નથી.
હૈયુ ભરાય છે એ ભારથી,
અને ગદ્ગદ્ થવાય છે મારા શ્યામની એ કરનીથી.
જે મારી આસપાસ છે અને એને હું દીઠી શકતી નથી.
માત્ર એક અહેસાસ છે એનો હોવાનો,
અને શ્વાસમાં શ્વાસ પૂરાતા જાય છે …
જીવનમાં રંગો પૂરાતા જાય છે, પૂરાતા જાય છે …
અને રંગીન જીન્દગી જીવાતી જાય છે.
કલ્પના રઘુ
please read about kalpnaben-(https://shabdonusarjan.wordpress.com/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%98%E0%AB%81/)
મિત્રો આજે આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ..!! આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો ..વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ !આજના દિવસની આપ સર્વેને ખોબો ભરીને શુભેચ્છાઓ.આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છેદરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.,એક એવી માન્યતા છે કે ગુજરાતીઓ પોતાની ભાષાને જાળવવા પ્રત્યે ઉદાસીન છે. હું તો કહું છું કે આ સૌથી ખોટી માન્યતા છે .. તમે આપણું પુસ્તક પરબ, બેઠક કે શબ્દોનું સર્જન ના ચાહકોને જ જુઓને દિવસો કે મહિનો ન થાય ત્યાં તો ઈમૈલ અને ફોન આવા માંડે કે ગુજરાતી બેઠક કયારે છે પ્રોગ્રામ ક્યારે છે ?? આપણી ભાષાનો પ્રેમ નથી તો શું ..ફરી એકવાર .આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પદ્મામાસીનો પરિચય એમની ગુજરાતી ભાષાનો પ્રેમ છે .એમના શબ્દોમાં કહુતો … “સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે.” ..મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી ભાષા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ. ભાષા મારી ગુજરાતી પણાની ઓંળખ અને ગૌરવ છે
પદ્મા માસીએ “તો સારું”ને દરેક વ્યક્તિના મનમાં છુપાયેલી આશા તરીકે રજુ કરી છે. એમના લખાણ માં મુલાયમ લાગણીઓ ભરપુર ઉછાળા મારતી અનુભવાય છે.એમની ભાવનાઓ જ્યારે શબ્દેહ ધારણ કરે છે,ત્યારે ઉંમર નો બાધ દેખાતો નથી,આમ પણ સર્જન ને ઉંમર સાથે કોઈ સબંધ નથી ,ધણી વાર આપણને ખબર છે કે છે આશા ઠગારી તોય રોજ આશાઓ આપણે રોપ્યા કરીએ છીએ અને તો જ ઉંમર વર્તાતી નથી, .માટે જે સ્વપ્ના જોવે છે એ વૃદ્ધ થતા નથી બસ તો માસી પણ આવ જ સ્વપ્નો આજે પણ માણે છે તમે પણ માણો…..
હજુ આ ઉમ્મરે પણ કિશોર કિશોરી જેવા દિવાસ્વપ્ન આવ્યા કરે, જે નથી જોયુ, નથી જાણ્યું તે જોવાની અને જાણવાની ભાવના જાગૃત થાય છે.આ વાસ્તવિક હકીકત બને તો કેવુ સારું?
હું આભમાં ઉંચે ઉડી હિમ આચ્છાદિત ઊંચા પર્વતો, ઉંડી કોતરો, લીલાછમ ખેતરો આમ ધરતીની રમણીયતા નિહારવાનો આનંદ માણું તો સારું.ઉગતી ઉષાના સૂર્ય કિરણો રેતીના પટ પર પડતા અનેક રજકણને હીરા સમ ઝગમગતા કિરણો નિહારવામાં કેટલો બધો આનંદ થાય છે? આવો આનંદ સૌને મળી શકતો હોત તો કેટલું સારું?……..
દરિયાના પેટાળમાં ઉંડે ઉંડે ડૂબકી મારનાર તરવૈયા — ” ડાઈવર્સ ” – ની જેમ ડૂબકી મારી સુંદર આકર્ષક પરવાળાના રંગબેરંગી ખડકો અને અસંખ્ય ઝગમગતા કિંમતી રત્નો નિહાળી શકુ તો કેટલુ સારું?….
દેશની સરહદે ચોકી પહેરો ભરી રહેલા લશ્કરી યુવાનો જેઓ ચોકિયાત સંત્રીઓ છે જે દેશની સલામતીની રક્ષા કરે છે, જે દુશ્મનોના હૂમલાથી સજાગ રહે છે તેવા સૈનિકોનો હું મદદગાર બનું તો કેવું સારું?
” જનની જન્મભૂમિ:ચ સ્વર્ગાદપિ ગરિયસી ” જે ભૂમિમાં જન્મ લીધો હોય તે ભૂમિ સ્વર્ગથી પણ વિશેષ વ્હાલી લાગે છે આવી ભાવના દરેક માનવમાં હોત તો કેવુ સારું???
પદ્માબેન કનુભાઈ શાહ-( Sunnyvale, CA )
તરુલતા મહેતા
મારું અસ્તિત્વ પાછુ આપો તો સારું..તો સારું ..
મારી જીન્દગીમાં “ તો સારું”કયારે કયારે અને કેવી રીતે આવ્યું ,
મેં મારા હુદયને ઢંઢોળ્યું ,ભાવો તો નદીના જળની જેમ વહેતા રહે એમાંથી અનેક તરંગો ઉઠે ને શમે પરંતુ એ બધાંમાંથી એકવારના ભાવ પૂર લઇ આવ્યું,જેણે મારા અસ્તિત્વને હચમચાવી નાખ્યું,તીવ્રતાપૂર્વક “તો સારું”વેદના બની આવ્યું.
મારા બા,જેના થકી હું પૃથ્વી પર આવી,જેની આંગળી ઝાલી જીવનમાં પગલા માંડ્યા.મને યાદ છે એ દિવસો જયારે હું પાંચ સાત વર્ષની હોઈશ ત્યારે થતું બા સાથે આંગળી ઝાલીને સંતરામ મંદિરના મેળામાં જવાનું મળે તો સારું …,અને મેળામાં જવાનું મળતું ,પરીક્ષા આવી પરીક્ષા આપી પેપર ખુબ સારા લખ્યા પરંતુ પરિણામ ન આવે ત્યાં સુથી એક જ વિચાર આવતો પાસ થઇ જવાય “તો સારું”… અને બાના આશીર્વાદથી નોકરી પણ મળી ગઈ,હું પરણી પણ ગઈ.
જીવન એમ સરળ જતું હોત તો શું જોઈતું હતું?,ખરી કસોટીની વેળા આવી આજથી બારવર્ષ પહેલા ..એ વખતે મારા બા પથારીના બિછાને હતા અને એક દિવસ અચાનક ભાઈનો ફોન આવ્યો ,બાની તબિયત સારી નથી ,તું અહીં આવી જા તો સારું…પણ બાને શું થયું છે? તો કહે તું અહી આવી ને જો. .જેમ તેમ ટીકીટ મેળવી વિમાનમાં તો બેઠી પણ મન ચિંતા કરવા માંડ્યું ,વિમાનના અન્જીનનો અવાજ કોણ જાણે કેમ વધુ લાગવા માંડ્યો જાણે મને વ્હેરતો ન હોય,મન વલોવાતું હતું ,બા ને શું થયું હશે?,ભાઈએ માંદગીની વાત કરી પણ શું થયું હશે ?
બધા સારાવાના થઇ જાય “તો સારું”, સાનફ્રાન્સિસ્કોથી શિકાગો નો પ્રવાસ કોણ જાણે કેમ ખુબ લાંબો લાગ્યો,બાની વય બ્યાંસી વર્ષની,લાકડીના ટેકે અને વોકરથી બા ઘરમાં હાલતા ચાલતા હતા. અને હું શિકાગો જાઉં ત્યારે અચૂક ભાભી સાથે કારમાં બેસી જતા, એરપોર્ટ પર બા, ભાભીને ને ભાઈને જોઉં ત્યારે પિયર આવી છું તેવું લાગતું …તે દિવસે મારી બેગ લઇ ભાઈ એ જ કારમાં મૂકી દીધી,મેં અને ભાઈએ વાતો કરી પણ ખુબ ઠાલા શબ્દો અને મને બધું સારું હોય “તો સારું “એવા વિચાર આવવા લાગ્યા,ઘરમાં પણ વાતાવરણ ગંભીર દેખાયું,બધાના મો પર ગુંગળામણ, બોજ અને વમળમાં ફસાયાની લાગણી હતી.ભાઈ ભાભી મને બાના ઓરડામાં લઇ ગયા,બા તો ખાસ્સા બે તકિયાના ટેકે બેઠક માં બેઠા હતા ,ભાઈ ભાભી બા પાસે લઇ ગયા અને બાને કહ્યું જો કોણ આવ્યું છે ? હું હરખઘેલી થઇ બાને પડખે બેસી પડી, તો બા કહે અત્યારે નર્સ ને કેમ બોલાવી છે? વિચારોની અને લાગણીઓની એવી ભીસ મારા હૃદયમાં હતી કે મેં બાને હચમચાવી કહ્યું હું તમારી દીકરી તરુ …અને બાની આંખોમાં અજાણ્યાપણું તરી આવ્યું ! તું કોણ છે ? બાનો યક્ષપ્રશ્ન મને વીંધવા લાગ્યો,હું જાણે નાપાસ થઇ ગઈ,અજાણ્યાપણા અને પારકાપણા ના પુરમાં તણાઈ ગઈ,ભાઈએ મને આશ્વાસન આપ્યું કે બાને મીનીસ્ટ્રોક આવ્યો છે. અને ડીમેનસ્યા થયો છે.ત્યાં તો ભર બપોરે બા બોલ્યા કે હવે લાઈટ બંધ કરો હું સુઈ જાવ છું,બાને હવે સંબંધ, સ્થળ, સમયનું ભાન નહોતું ..અને બા હવે તેમની દુનિયામાં જ હતા.હું સ્તબ્ધ હતી,મારું હુદય દ્રવી ઉઠયું અને અંદરથી પોકારીને કહેતું હતું કે બા બા એકવાર તમારી તરુને ઓળખો તો સારું…હું ઓરડાની બહાર નીકળી ત્યારે થયું,કે મારું નામ અસ્તિત્વ અને મારી ઓળખ જે બા હતા તેણે મને પાછી ગર્ભમાં સમાવી લીધી ?ત્યારે મારું અસ્તિત્વ ગર્ભમાં તડફડતું હતું અને કહેતું હતું કે બા મને મારું અસ્તિત્વ પાછુ આપો તો સારું..
નખશીખ ગુજરાતણ -તરુલતા મહેતા
મિત્રો ,
સેન્ડીએગો કેલીફોર્નીયાથી આપણી બેઠકના વિષયને અનુરૂપ એક સુંદર કાવ્ય વિનોદભાઈ પટેલે મોકલ્યું છે ,તેઓ ખુબ જાણીતા લેખક અને અને બ્લોગર રહ્યા છે આપણા શબ્દોના સર્જન પર વારંવાર પોતાના પ્રોત્સાહનભર્યા અભિપ્રાય આપતા હોય છે ,ખુબ સરળ છે અને ઉંચી ભાવના સાથે લખે છે, તેમના શબ્દોમાં વાંચો…. .એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં….માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી…..અંધારાં ઉલેચતો ઘરદીવડો થવ. તો સારું ….
તો સારું ….
જીવનમાં બધું સારું જ બનશે એવું હંમેશાં બનતું નથી
જ્યારે ખોટું બને ત્યારે મનથી ભાંગી ન પડાય તો સારું
જીવન એક દોડની હરીફાઈ જેવો ખરાખરીનો ખેલ છે
ભય કે નિરાશાથી દોડ છોડી ભાગી ન જવાય તો સારું
પાંચ ટકા પ્રેરણા અને પંચાણું ટકા પરિશ્રમ એક નિયમ છે
માટે ધ્યેય પ્રાપ્તિ માટે હંમેશાં ઝઝૂમતા રહીએ તો સારું
અમેરિકા એ અનેક દેશની સંસ્કૃતિઓનું મિલન સ્થાન છે
અતડા ના રહેતાં દેશના મુખ્ય પ્રવાહમાં ભળીએ તો સારું
નવી પેઠીને ગુજરાતી શીખવામાં બહું રસ જણાતો નથી
ભૂલકાંઓથી જ ગુજરાતીની શરૂઆત કરાવીએ તો સારું
સાહિત્ય સરિતાનો પ્રવાહ હંમેશાં વહેતો રહેતો જ હોય છે
એમાંથી ખોબલે સાહિત્ય રસ પીને તૃપ્ત થઈએ તો સારું
આ દેશમાં ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર સરળ નથી
બ્લોગ જગતમાં ડોકિયું કરતા-કરાવતા રહીએ તો સારું
સૌને ગુજરાતી ભાષા માટે સરખો રસ ન હોય એમ બને
એમ છતાં સાહિત્યની બેઠકોમાં હાજરી આપીએ તો સારું .
વિનોદ પટેલ , સાન ડિયેગો , કેલીફોર્નીયા
મિત્રો ,
મેઘલાતાબેન ને આપ સહુ જાણો છો ,તેમ છતાં કહીશ કે “શબ્દોનું સર્જન” ,કહો કે” બેઠક” દરેક વખતે માસી મારા પ્રેરણા મૂર્તિ તરીકે રહ્યા છે મને પ્રોત્સાહન આપી નદીની જેમ વહેતા શીખવ્યુ છે ,પોતે સારા લેખિકા છે ,કવિતા, નાટક, લેખો,અનુવાદ તો કર્યા છે…અરે એટલુજ નહિ રેડિયોના ખુબ જાણીતા કલાકાર પણ છે.એમની બોલવાની છટા પ્રેક્ષકોને જકડી રાખે છે ,આજે “તો સારું” ની બેઠકમાં હાજર ન હતા પરંતુ ધ્રુજતા હાથે “બેઠક” માટે કલમ ઉપાડી છે ….. ,માસીને દુખતા ઘુંટણે ,અને વિલચેર ના સહારે જિંદગીમાંથી હાસ્ય શોધતા આવડે છે ,આમ પણ પાછલી ઉંમરે જિંદગીની વાતો ને વાગોળી આનંદ માણવાનો હોય છે.માસીએ અમેરિકાની એક વાસ્તવિકતા હાસ્ય સ્વરૂપે લખી મોકલાવી છે,અમેરિકા સ્વતંત્ર દેશ છે અને એથી અહી privacy નો મહત્ત્વ ખુબ છે એ કરતા પણ એમ કહું કે જરા વધારે પડતું છે…. તો ખોટું ન લગાડતા।.અમેરિકામાં knock knock કર્યા વગર ક્યાય નથી બોલાતું કે નથી જવાતું … એજ વાત “તો સારું “ના વિવિધ ઉપયોગ કરી માસીએ પોતાની જ વાત,પોતાનો જિંદગીનો એક અમુલ્ય પ્રસંગ, કલમમાં ઉતારી રજુ કર્યો છે.
તો મિત્રો માણો જિંદગીની વાસ્તવિકતાને હસતા હસતા. …
“Knock-Knock” કરો તો સારું। ….
આ ઘણા વર્ષ પહેલાની વાત છે …..”તો સારું” શબ્દ કઈ રીતે આપણા જીવનમાં આવે છે એની વાત છે…..લગ્ન થાય એટલે ઘરના દરેક વ્યક્તિ ના મનમાં એક વિચાર આવે કે હવે પારણું બધાય તો સારું। …અને મારી પણ વ્યક્ત ન કરતી ઈચ્છા હતી કે પ્રભુ મને માતૃત્વનું વરદાન આપે તો સારું। …આખરે ડૉ ,દોરા ધાગા ,બાધા આખડી ના પરિણામ રૂપે હું ગર્ભવતી બની અને થયું આખરે મારા પ્રેમને સ્વરૂપ મળે “તો સારું “અને બંને પક્ષે જાણે ઉત્સવ આવ્યો ,અને આનંદની છોળો ઉછળી ,ત્યારે થયું મારા ઘરમાં કુળદીપક ની હવે જયોત પ્રગટવું તો સારું। ….અત્યાર સુધી ખુબ મેણા ટોણા સંભાળવા પડતા અને મનમાં થતું કે હવે આ બંધ કરો તો સારું। ….મેં કોઈ ગુનો નથી કર્યો ,પણ ભગવાન ને બાજી પલટતા આવડી અને મારી સામે જોયું ,મારા માનપાન વધી ગયા। …અને લોકો કહેતા તમે હવે કામ ન કરો હવે બધું રહેવા દો તો સારું। …વહું બેટા તમે આરામ કરો ,તમારી જાતને સાંભળો તો સારું। …અને મનમાં એમ ઈચ્છતા હોય કે કુળદીપક ને કોઈ આંચ ન આવે તો સારું। …..અંતે ખુબ આરામ કર્યા બાદ અને ખુબ ખાણી પીણી કર્યા બાદ જેની રાહ જોવાની હતી તે દિવસ નજીક આવ્યો ,બધા ડોક લાંબી કરી મુખ ઉપર આનંદ અને ચિંતા ના મિશ્રિત ભાવે રાહ જોતા, આંતરિક મનમાંથી બોલતા કે બધું હેમખેમ પાર પડે તો સારું। …
પણ અંદરથી બિરાજેલા મહાશયને આરામ ફાવી ગયો ,પૃથ્વીપર પ્રગટ થવાની ઉતાવળ હોય તેમ લાગ્યું નહિ પછી તો મુખ પરની આનંદની રેખાઓ લુપ્ત થઇ ગઈ અને ચિંતામાં ફેરવાઈ ગઈ,પછી તો સમય પૂરો થઇ ગયો અને એ ફુગ્ગાની જેમ વધુ ને વધુ વિસ્તરતો જતો હતો। …મારી તકલીફનું પૂછવું જ શું। .. બધાને થયું .કુળદીપકને સ્વાદ ચાખવાની ભાવના અતૃપ્ત રહી હશે એટલે મને જાત જાતની વાનગી ખાવા આપતા જે કમને હું ખાતી ત્યારે થતું હવે બસ કરો તો સૌ તો સારું। ….છેવટે ડૉ પાસે ગયા। …ભય હતો ઓપરેશન કરવાનું ન કહે તો સારું। ….મને કરવું પણ નહતું ,ઘરના ડૉ પેટ પર સેથોસ્કોપ રાખી અંદર બિરાજેલા આત્માને પ્રગટ થવા વિનંતી કરી કે હવે બહાર આવો તો સારું। ….
ડોક્ટર સાહેબે કહું ફોન જોડ્યો હતો શું જવાબ આપ્યો છે, જાણવું છે ?ડૉ live me alone please, you know America is free country.
મારે શું કરવું અને શું નહિ એ હું નક્કી કરીશ ,મને આરામ કરવા દો ,અને please do not heart my privacy જરા સાચવો અને અંદર જાંખતા પહેલા “Knock-Knock” કરો તો સારું। ….
-મેઘલતાબેન મહેતા-
મિત્રો ,
તેં પલવડે બાંધી મારી પ્રીત, અને રાત્યું ગઇ અનમીટ.
નજર્યુંમાં મળી નજર્યું, અને બીડાઇ ગઇ આંખ્યું.
પ્રીત એકમેકમાં સમાણી અને સરજાઇ રંગોળી સપનાની …
આભ ને તારા, ચાંદ ને ચકોર, બન્યા સાક્ષી સહુ સપનાનાં …
કોયલ ટહુકી ને પાલવમાં થયો સળવળાટ … સૂરજનાં સોનેરી કીરણોથી તૂટયું એ સપનું.
રાત ગઇ ભોર ભઇ, હું જાગી તું જાગ્યો, એક નિઃશબ્દ તૃપ્તિનો આભાસ ભયો
બસ હું અને તુ, તુ અને હું … અને મારે પલવડે તારી પ્રીત્યુ સમાણી.
કલ્પના રઘુ
મિત્રો,
આજ વેલેન્ટાઈન ડે ના દિવસે બધાને શબ્દોનાસર્જન
તરફથી પ્રેમ ભર્યા નમસ્કાર અને હેપ્પી વેલેન્ટાઇન ડે .
પ્રમિલાબેન – માસી તો કહે છે કે ફેબ્રુઆરી મહિનો એટલે જાણે પ્રેમની મોસમ ,પ્રેમ જાણે બધે છલકાય…..પ્રકૃતિની દરેક વસ્તુમાં પ્રેમ વરસી પડે ,પ્રેમ ફૂટી નીકળે ,આપણે જેને વસંત કહીએ છીએ ને.સાચી વાત છે પ્રેમમાં ઈશ્વરતા છે ,ઈશ્વર એટલે કુદરત એટલે પ્રેમ અને વસંત એટકે પ્રેમનું પ્રતિક માસી કહે છે,વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન
“જાણે પ્રેમ ની મોસમ”……
વસંત અને વેલેન્ટાઈન ડે બંને ફેબ્રુઆરીમાં આવે છે….જાણે પ્રેમ ની મોસમ ,મહા સુદ પાંચમને દિવસે વસંત પ્રવૃત થાય છે….વસંતપંચમી આવ્યાની સાથે પ્રકૃતિ તુરંત નવ પલ્લીત થાય છે. તેમ આંબાના વૃક્ષમાં મંજરીઓ પર ભંમરાઓનો ગુંજરાઉ કોયલના મીઠાં ટહુકા સંભળાય છે. વૃક્ષમાં નવા નવા કુપરની દર્શન થાય છે. પ્રકૃતિમાં નવીન માદકતા આવે છે.જ …તો મિત્રો ..ઋતુઓની રાણી વસંતરાણીના આગમનને વધાવીએ તથા પ્રકૃતિનો આનંદ માણીએ , અમેરિકામાં આવ્યા પછી પ્રેમનું પર્વ વેલેન્ટાઈન ડે……વસંતોત્સવ ની જેમ જ ઉજવાય છે.14મી ફેબ્રુઆરીએ યુવક યુવતીઓ સંત વેલેન્ટાઈન ને અંજલિ આપી ઉજવણી કરે છે..પ્રેમના સંદેશા અને ફુલ પાઠવવાની પરંપરા છે અને એટલે જ કાર્ડની અને ગુલાબની આ દિવસે બોલબાલા વધતી જાય છે …બીજા શબ્દોમાં એમ કહો કે વેલેન્ટાઈન ડે એટલે શાશ્વાત્પ્રેમ અને લાગણીને અભિવ્યક્ત કરવાનો અનોખો દિવસ ,વેલેન્ટાઇન ડે એટલે દિલના સંદેશા સાથે ગુલાબનું ફૂલ પાઠવી પ્રેમ વ્યક્ત કરવાનો શુભ અવસર, અને વસંતપંચમી એટલે વસંતના આવણાંનો પહેલો પડઘમ. ઝાડોએ રંગોના નવા વસ્ત્રો પહેરવાની મોસમ…….વૃક્ષોની ડાળેખીલેલી લીલી કુંપળોને જોઈને દરેકના મનમાં પ્રેમના અંકુરણ પણ જાણે-અજાણે ખીલે છે. વસંતપંચમીના દિવસે જ કામદેવ અને રતિએ પહેલી વાર મનુષ્ય હૃદયમાં પ્રેમ તથા આકર્ષણનો સંચાર કર્યો હતો. વસંતપંચમી એટલે કામદેવ અને રતિના પ્રથમ મિલનનો દિવસ અને એટલે જ એને મદનોત્સવ પણ કહે છે.વસંત અને વેલેન્ટાન ડે માં ખુબ સામ્યતા છે જેમ પ્રેમ સોળે કળાએ વેલેન્ટાઈન ના દિવસે ખીલે છે તેમ પ્રકૃતિ પણ વસંત આવતા ખીલે છે ,વસંતને પ્રકૃતિનું યૌવન ગણવામાં આવે છે,વસંત એટલે ફરીથી ખીલવું તેમ પ્રેમ કયારે પણ મરતો નથી મુરજાય ગયેલો પ્રેમ પ્રકૃતિની સાથે ખીલે છે. પશ્ચિમના દેશોમાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે પણ આપણા ભારતમાં જોવા જઈએ તો પ્રેમના સૌથી મહત્વના દિવસ તરીકે કદાચ વસંતપંચમીની જગ્યા કોઈ ન લઈ શકે.વસંત એ સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંત ઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, માદક સુવાસથી મહેકી ઊઠેલું અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગ…તેમાંય કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે અને એટલે જ વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન ડે’
નિસર્ગના સનીધ્યથી માનવીના મનમાં ઉલ્લાસ પ્રેમ અને ચેતના પ્રગટે છે વેલેન્ટાઇન ,અને વસંતપંચમી બન્ને માં આશાનું પ્રતિક છે ,પ્રકૃતિ પણ પાનખરને, નિરાશા ને ખંખેરી પુલકિત થાય છે તેમ માનવી પ્રેમની કુંપણો ખીલવી પોતાના પ્રેમને જગાડે છે,જેમ પ્રેમ અહંકારને પોસ્તો નથી તેમ નિસર્ગ અહ્સુન્ય છે ,પ્રેમ અને પ્રકૃતિ સુખ અને દુઃખથી પર પ્રભુનો સ્પર્શ છે અને તેથીજ મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં વસંતનું સુંદર ચિત્ર આલેખ્યું છે,કોઈ કવિ કે લેખકની કલમ પ્રેમ અને વસંત પર લખ્યા વગર રહી નથી, ભગવાન કૃષ્ણે ભાગવત ગીતામાં વસંતને ઋતુરાજ અને પોતાની વિભૂતિ તરીકે બિરદાવ્યો છે,જીવન અને વસંતને જેણે એક રૂપ કરી નાખ્યા છે તેવા માનવને આપણી સંસ્કૃતિ સંત કહીને બિરદાવે છે,પોતાના કે કોઈના જીવનમાં વસંત પ્રગટાવે તે સંત અને વસંતપંચમી એટલે સૂર અને શબ્દના દેવી મા સરસ્વતી……
પ્રમિલાબેન મેહતા
મિત્રો,
આપણા શબ્દોના સર્જનના લેખિકા પ્રેમલતા બેન મજમુંદાર ને એમના જન્મદિવસના વધામણા,આમ તો આપણે થોડા મોડા પડ્યા છે ,પરંતુ નેવું વર્ષ પછી દરેક દિવસ જાણે જન્મદિવસ બા વિષે હું કહું એના કરતા એમનું કાર્ય વધુ બોલે છે, શબ્દોનું સર્જન મેં તો હમણાં શરુ કર્યું ગણાય ,પણ બાએ તો સર્જનાત્મક લેખન પ્રવૃત્તિ ઘણા વર્ષ પહેલા શરુ કરી હતી ,આજથી ઘણા વર્ષ પહેલા એમનું આ સમણું હતું કે લોકો કલમ ઉપાડે… એમણે એમની બે પંક્તિમાં કહું છે …..કે પાંચીકા રમું ને ઊછાળુ આકાશમાં ,એક સપનું મખમલી મનમાં …
સૌથી મોટીવાત એ છે કે લેખન ,સમાજ સેવા ,પ્રોત્સાહન આપતા આપતા તેઓ એક માયાળુ સહ્ચારિણી બન્યા ,દાદા સાથે ખભે ખભા મિલાવી તેમના વિચારોને માન દઈ હુદયથી સાથ આપ્યો ,એટલુજ નહિ એમની પ્રવૃતિમાંથી પોતાને ગમતી સર્જનાત્મક પ્રવૃત્તિ શોધી બા (પ્રેમલતા બેન )એક લેખિકા બન્યા ,અને દુઃખતા ઘુટણ ની ફરિયાદ ન કરતા હાથમાં થેલો અને લાકડી લઇ પોતાની આકાશમાં ઉડવાની ઝંખના આજે પણ પંચાણું વર્ષે ઉત્સાહ સાથે ચાલુ રાખી છે, એવા પ્રેમલતા બેનને દરેક વાચકો તરફથી અને લેખક ,લેખિકા,અને ગુજરાતી સમાજવતી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા। …
આ સાથે આપણા બ્લોગના નવા લેખિકા ચંદ્રિકાબેન વિપાણી ને પ્રેમે આવકારું છું અને એમની લખેલ કવિતા બા ને શબ્દોનાસર્જન પર અર્પણ કરું છું.
જન્મદિવસના હાર્દિક અભિનંદન.
સદા બહાર બનીને હસતા રમતા આપણા આ બેન.
સન્માન આપી સહુને ખુશખુશાલ રાખતા આપણા બેન.
વ્યથા કથા સંભાળવી સહુની ,સાચો રાહ દેખાડે આપણા વ્હાલા બેન.
આગળ વધવા ઉત્સાહી કરે, ના પાછળ હઠતા કદી બેન.
બચપણ, જવાની વિતાવ્યા, તે હામ ભીડી મારી બેન
જીવન એક પડકાર છે ,એવો દીધો સહુને સંદેશ તે મારી બેન
રુકવાનું કામ નહિ ,આગળ વધવું એવું બસ લક્ષ તારું બેન
સુંદર કર્યો એવા કર્યા કે અમે અનુસરીએ તને સહુ મારી બેન.
દાદાજીને આપી સહકાર, મધમધતું બનાવે તું જીવન બેન.
પુરક બન્યા એકબીજાના,જાણે એ ગાંધી તું કસ્તુરબા મારી બેન.
વૃધાવ્સ્થાના આ સુવર્ણકળશને પ્રેમ થી દીપાવે બેન.
જીવન નદી સમું સહજ બનાવી ,પરિપૂર્ણ બનાવે અમારી વ્હાલી બેન.
—ચંદ્રિકાબેન વિપાણી—-
—
જીવનમુલ્યો
સમાજની પ્રગતિ માટે જીવનમુલ્યો જરૂરી છે. મનુષ્ય એકલો જીવતો રહી શકે પણ સમાજમાં એકલો ન જીવી શકે. સમાજમા રહેવા માટે સ્વાર્થ અને પર્માથ વચ્ચેસમન્વય સાધવો જરૂરી છે. આ સમન્વય જીવનમુલ્યો લાવી શકે. સમાજના ભલા માટે થોડા ત્યાગની વૃતિ જરૂરી છે.આ જીવનમુલ્યો એટલે સમાજ પ્રત્યેનું વર્તન, વિશ્વાસ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા. સમાજ માટે થોડો સ્વાર્થ જતો કરવાની તૈયારી જ સમાજનીપ્રગતિ શક્ય બનાવે છે.
જીવનમુલ્યોના બે મુખ્ય આધાર છે કુટુંબ અને સમાજ. માત્ર એક ઉપર જ ધ્યાન આપવું એ પુરતું નથી. જે સમાજના લોકો આ બન્ને ઉપર લક્ષ આપે છે, એ સમાજપ્રગતિ કરે છે.આપણે ત્યાં કુટુંબ પ્રત્યેની વફાદારી તો ખૂબ જોવા મળે છે. મા-બાપ પોતાના બાળકો માટે બહુ મોટા ત્યાગ આપે છે, બાળકો પગભેર થાય ત્યાં સુધીની જવાબદારી મા-બાપ સંભાળે છે. બાળકો પણ મોટા થયા પછી મા-બાપની સંભાળ રાખવી એને પોતાની ફરજ સમજે છે. ભાઈ બહેન પણ એકબીજા માટે બધું જ કરી છૂટે છે. લગ્નને તોપવિત્ર સમજવામા આવે છે, પતિ-પત્ની જીવનભર એકબીજાના થઈને રહે છે. સંયુક્ત કુટુંબ, કુટુંબની ભલાઈ માટે એકઝુટ થઈ કામ કરે છે. આ કુટુંબ ભાવના એઆપણી એક મોટી તાકાત છે.
કમનશીબે આપણી સમાજ પ્રત્યેની ભાવના આપણી કુટુંબ ભાવના જેવી નથી.આપણે ગમેત્યાં કચરો ફેંકીએ છીએ, રસ્તાની વચ્ચોવચ્ચ ચાલીએ છીએ, કરેલા વાયદામાથી ફરી જઈએ છીએ. ટુંકમા સમાજ પ્રત્યે બેદરકાર છીએ.પશ્ચિમના લોકો આપણા કરતાં સમાજ પ્રત્યે વધારે જવાબદાર છે. ત્યાં લોકો બીજાની સગવડ અગવડ પ્રત્યે પૂરતું ધ્યાન આપે છે. રસ્તા, બાગ બગીચા વગેરેમા કચરોફેંકતા નથી. પબ્લીક ટોઈલેટ્સ પણ સ્વચ્છ હોય છે, એમા ગંદા લખાણો લખતા નથી. નાની નાની વાતોમા પણ આપણે લાંચ રૂશ્વતનો સહારો લઈએ છીએ, દા.ત.સિગ્નલ તોડી હવાલદારને દસ રૂપિયા આપી છટકી જઈએ છીએ, પશ્ચિમમા આવું શક્ય નથી, કારણ કે ત્યાંની પોલીસ સમાજના ભલાને વધારે મહત્વ આપે છે. આવીજ રીતે ત્યાં બધા સરકારી ખાતાઓમા લાંચ આપ્યા વગર જ, તમારૂં કામ, જો કાયદેસરનું હોય તો, થઈ જાય છે.
રૂશ્વતખોરીએ ભારતના આત્માને શૂન કરી દીધું છે. ટેક્ષ ચોરી, છેતરપીંડી, રૂશ્વતખોરી વગેરે હવે આપણા માટે સામાન્ય થઈ ગયા છે. પૂરા પૈસા લઈને પણ કોંટ્રેકટરોરસ્તા, પૂલો, મકાનો વગેરેમા હલકું કામ કરી, સમાજના પૈસા ઘર ભેગા કરે છે. લોકો આ ચલાવી લે છે. પૈસા લઈ ઓછી પાત્રતાવાળા લોકોને નોકરી આપવામા આવેછે, પૈસા આપી ડીગ્રી સર્ટિફીકેટ્સ ખરીદવા આવે છે. પરિણામે સમાજની પડતી થાય છે.સામાજીક પ્રશ્નોની ઉપેક્ષાને લીધે સમાજની પ્રગતિ ધીમી ગતિથી થઈ રહી છે. આપણને સમસ્યાઓની જાણ છે, પણ એના ઉકેલ માટે આપણે સમય કે ધન ખર્ચ કરતાનથી. પશ્ચિમના લોકો સામાજીક સમસ્યાઓ પર ધ્યાન આપી, એમને સમય રહેતા દુર કરે છે. આપણે જો પ્રગતિ કરવી હોય તો આ માનસિકતા બદલવી પડસે. જેમણેપ્રગતિ કરી છે તેમની પાસેથી શિખવું પડસે.
એક બીજી વાત પણ આપણે પશ્ચિમના દેશો પાસેથી શિખવાની છે, અને તે છે જવાબદારી. તમે ગમે એટલા મોટા માણસ હો તો પણ તમારી બેદરકારી માટે તમનેજવાબદાર ગણી તમને સજા થવી જ જોઈએ. આપણા દેશમા તમે જેટલા મોટા માણસ, તેટલી તમારી ભૂલ માટે સજા થવાની શક્યતા ઓછી.
પશ્ચિમના લોકો કામ કરવામા ગર્વ માને છે, પછી ભલે એ કામ કોઈ પણ પ્રકારનું હોય. તેઓ મહેનતની કમાઈથી આત્મસંતોષ અનુભવે છે. ભારતમા અમુક કામ હલકુંઅને અમુક કામ ઊંચું એવી ગણત્રી ખૂબ સામાન્ય છે. ભારતમા લોકો એંજીનીઅર, ડોકટર અને વકીલોને સાહેબ માને છે. ખરેખર તો સમાજની પ્રત્યેક વ્યક્તિ મહત્વનીછે. એક કંપનીમા સી.ઈ.ઓ. પોતાનું કામ કરે છે તો સ્ટાફને ચા આપતો પટાવાળો પણ પોતાનું કામ કરે છે. બન્ને જો પોત પોતાનું કામ ઈમાનદારીથી કરે તો જકંપનીની પ્રગતિ થાય.
ભારતમા ઓળખાણ લાગવગને બહુ મહત્વ આપવામા આવે છે. સિફારસવાળાનું કામ જલ્દી નિપટાવવામા આવે છે, ભલે એનાથી આગળના બધા વાટ જોતા હોય !!ભારતમા ઓળખીતાની ભૂલ ચલાવી લેવામા આવે છે જ્યારે વગર ઓળખીતાને સજા કરવામા આવે છે. પશ્ચિમમા એવું નથી, ઓળખીતાને પણ એની ભૂલની સજાઆપવામા આવે છે.સમય સાચવવામા પણ આપણે કાચા છીએ. સામો માણસ આપણી વાટ જોતો હશે એની આપણે ઓછી ચિંતા કરીએ છીએ. સામા માણસના સમયની આપણે કોઈકીમત કરતા નથી. આપણા મોટા ભાગના કામો પણ સમયસર પૂરા થતા નથી. આપણે આ બધું ચલાવી લઈએ છીએ.
કાયદાનું પાલન કરવામા આપણે પછાત છીએ. આપણું ધ્યાન પકડાઈ ન જઈએ એ રીતે કાયદો તોડવા પાછળ વધારે હોય છે.
એકવાર ગાંધીજીએ કહ્યું હતું, “આપણી પાસે બધાને પુરૂં થાય એવું બધું જ છે, માત્ર બધાની લોભી વૃતિને પુરૂં થાય એટલું નથી.
-પી.કે.દાવડા
(શ્રી નારાણમૂર્તિના પ્રવચન ઉપર આધારિત)