હેલીના માણસ – 45 | ચાર દિન | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-45 ‘ચાર દિન’ એની 44મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

 

જિંદગીના ઠાઠભપકા ધિંગામસ્તી ચાર દિન, 

ચાર દિ’ કચરામાં રોટી પેંડા બર્ફી ચાર દિન! 

 

રોશની અંધકાર આંસુ સ્મિત પીડા શાંતિ, 

સૌનું આ આવાગમન છે વારાફરતી ચાર દિન, 

 

છે બહું લાંબા વિરહના ચાર દિવસ આકરા,

ખૂબ ટૂંકી છે મુલાકાતોની અવધિ ચાર દિન! 

 

કોની પાસે છે સમય ને કોનો માંગું હું સમય! 

એ મને પણ ક્યાં કદી નવરાશ મળતી ચાર દિન! 

 

એ તરફ જોવાની ફુરસદ ક્યાં હતી મારી કને, 

એણે તો ખુલ્લી જ રાખી’તીને ખિડકી ચાર દિન! 

 

એ મને ભૂલી નથી એ વાત સાબિત થઈ ગઈ, 

આવવા માંડી મને હિચકી પે હિચકી ચાર દિન, 

 

પાંચમાં દિવસે ખલીલ એ સ્હેજ કંઈ બોલી શકી, 

દાંતમાં દાબીને ઊભી’તી એ ટચલી ચાર દિન! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

આખરે માણસને જિંદગી જીવતાં આવડી જ જાય છે. જેવા સંજોગો તેને અનુરૂપ આચરણ કરવાનું અનાયાસ આવડી જતું હોય છે. આમ છતાં ગમે તેટલી તકલીફ હોય, પૈસાની તંગી હોય છતાં, તહેવારોની ઉજવણી કરવી, તેને માટે યોગ્ય ખાણીપીણીની તેમજ પહેરવેશની વ્યવસ્થા કરવી, આ બધું પણ જીવતરનો જ એક ભાગ છે, તે માનવી જાણે છે. એટલે ખુશીની પળો માણી લેવાનું તે ચૂકતો નથી. પછી ભલે બીજા દિવસથી ફરી પાછી  રાબેતા મુજબની જ જિંદગી જીવવાની હોય! એટલે જેમ આપણે જાણીએ છીએ તેમ, દિવાળીના તહેવારો નજીક આવતા હોય ત્યારે આખું બજાર ખરીદી કરનારાઓથી ઊભરાતું હોય છે. આવું નાતાલ કે, બીજા નાના મોટા તહેવારોમાં પણ બનતું હોય છે. ગરીબ અને નિચલા મધ્યમવર્ગીય લોકો માટે આ અનિવાર્ય છે. કારણ કે, તેઓની પાસે એવા વધારાનાં કપડાં નથી હોતાં જે તહેવારમાં પહેરી શકે. એટલે એ ચાર દિવસ ઠાઠથી ફરી લે. પછી તો પાછું એનું એ જ! 

સુખ દુઃખ, દિવસ રાત, ઉજાસ અંધકાર, શાતી પીડા, હસવું રડવું, આ બધાં દ્વંદ્વ વારાફરતી બદલાતાં રહે છે. સ્થાયી કશું જ નથી. અહીં આપણને આ ગીત યાદ આવી જાય છે. 

રાત ગયી ઓર દિન આતા હૈ, 

ઈસી તરહ આતે જાતે હૈ, 

યે સારા જીવન જાતા હૈ. 

હો…. રાત ગયી. 

અને આ આવાગમનને લીધે જ માણસથી જીવી શકાય છે. વિચાર કરો કે, વર્ષો સુધી રાત જ રહે તો? પીડા કે દુઃખનો અહેસાસ કાયમ રહે તો? જીવન કેટલું દોહ્યલું થઈ પડે! આવાગમનને લીધે દુઃખના દિવસોમાં આપણાં મનમાં ધરપત રહે છે કે, આ સમય પણ જતો રહેશે. અને એ આશાએ કપરો સમય પસાર થઈ જાય છે. પણ હા, સુખના દિવસો વધુ હોય તો પણ જાણે, ઝડપથી પુરા થઈ જાય છે. અને દુઃખના ચાર દિવસ પુરા થતાં જ ન હોય તેવું લાગે છે. પ્રેમીઓ માટે મિલનનો સમય આંખના પલકારામાં પતી જાય છે. ને પાછી આવીને ઉભી રહે જુદાઈ! અને તેમાં ય વિરહના એ દિવસો તો યુગ જેવા લાંબા લાગે! અને ત્યારે પ્રેમી અનાયાસ જ આ ગીત ગાઈ ગદ્દગદીત થઈ ઉઠશે. 

ચાર દિનકી ચાંદની ઓર ફિર અંધેરી રાત હૈ! 

શેર છે :

છે બહું લાંબા વિરહના ચાર દિવસ આકરા, ખૂબ ટૂંકી છે મુલાકાતોની અવધિ ચાર દિન! 

ઘણીવાર આપણને એવો અનુભવ થાય છે કે. આપણે કોઈની જરૂર હોય પણ એને સમય જ ન હોય. એ પોતાના વ્યવસાયમાં, સંસારમાં, અને જવાબદારીના ભારણમાં બિલકુલ વ્યસ્ત હોય. એને ખરેખર સમયનો અભાવ હોવાથી તે આપણી મદદે નથી આવી શકતો પણ આપણું મન દુઃખ અનુભવે છે. આપણને ખોટું લાગે છે. પરંતુ આવા સમયે આપણે એ દિવસો યાદ કરવા જોઈએ, જ્યારે આપણને પણ નવરાશ નહોતી. આપણે પણ કોઈ માટે સમય નહોતા આપી શકતા. કોઈ આપણી ગમે તેટલી રાહ જોતું તો પણ આપણી પાસે એમની પાસે જવાનો કે, એ તરફ નજર કરવાનો પણ સમય નહોતો. કોઈ ગમે તેટલી રાહ જુએ છતાં આપણાંથી ના જ જવાય ત્યારે આપણને તે યાદ કરે છે તેનો અહેસાસ કેવીરીતે થાય ખબર છે? આપણને હેડકી આવવા લાગશે! લાંબા સમય સુધી. 

સ્નેહીના મિલનનો અભરખો તો ઘણો હોય છે. કાગ ડોળે એની રાહ જોવાતી હોય છે. પણ જ્યારે અચાનક સામનો થઈ જાય ત્યારે બોલતી બંધ થઈ જાય છે. હજારો વાતો કહેવા વિચાર્યું હોય પણ સમય આવે ત્યારે ના જ બોલાય! બધું જાણે બાષ્પીભવન થઈ જાય અને દાંતો તળે આંગળી દબાવીને બસ ઉભા રહ્યા સિવાય કશું જ ન થઈ શકે! એ દ્રશ્યને ખલીલ સાહેબ આ શેરમાં હુબહુ ખડું કરે છે.

પાંચમાં દિવસે ખલીલ એ સ્હેજ કંઈ બોલી શકી, 

દાંતમાં દાબીને ઊભી’તી એ ટચલી ચાર દિન! 

જીવનના જુદાજુદા પડાવો પર આવી મળતાં, ખુશી અને ગમ, ચડતી અને પડતીને સમતોલ રહીને જીવવાની વાતો કહી જતી આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. ફરીથી સુંદર મઝાની એક ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.

રશ્મિ જાગીરદાર

વિસ્તૃતિ…૪0–જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

વિસ્તૃતિ…૪૦
         જયશ્રી પટેલ.
         આપણે આગલા અંકમાં જોઈ ગયાં કે ચરિત્રહીન વિશે આપણે થોડી ઘણી વાત કરી. હવે આગળ વધીએ કે એમણે ‘યમુનાનાં’ સંપાદક ફણીન્દ્રનાથ પાલને જઈ સંભળાવી તેઓ એ મક્કમતાથી કહી દીધું આ વાર્તા યમુનામાં જ છપાવવી છે . એમને વચન આપી દીધું અને તે ધારાવાહિક રીતે છપાય એવો મક્કમ નિર્ણય લેવાયો તેઓ તો યમનાનાં પાના વધારવા પણ તૈયાર હતા, પણ નવલકથા ક્યાં પૂર્ણ હતી ? શરદ બાબુએ તેમને તેમની જૂની વાર્તા બોઝ છાપવા આપી. મિત્રો આ વાર્તા મેં દિલ્હી મુંબઈ અમદાવાદમાં ખૂબ જ શોધી પણ મને નિરાશા સાંપડી, પણ હું પણ જરૂર શોધીશ નહીં તો મારી યાદોને ઢંઢોળી વાર્તા યાદ કરી આપ સમક્ષ જરૂર રજૂ કરવાનો પ્રયત્ન કરીશ .આ વાર્તા પણ તેમના મિત્ર સૌરીન્દ્રમોહને તેમની મંજૂરી વગર છાપવા આપી હતી તેથી તેઓ દુઃખી થયાં હતા . તેમણે તેમના મિત્રોને તેમની જૂની વાર્તાઓ છાપવાની મનાઈ કરી દીધી હતી ,ભલે ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે પ્રશંસા કરી હોય, પણ શરદબાબુ પોતાના લખાણથી સંતુષ્ટ નહોતા. બધી જ જૂની વાર્તાઓ મઠારવા માંગતા હતા. તે જ સમય દરમ્યાન ગુરુવર્યને નોબેલ પારિતોષક મળ્યું અને શરદ બાબુ તેમજ આખા ભારતને ગર્વ થયો. તે જ વખતે ચરિત્રહીનનું લક્ષ વધુ મજબૂત થયું. 
         ફરી કલકત્તા આવ્યા ત્યારે અજ્ઞાતવાસ છોડી સર્વેને મળ્યા. લોકો હવે શરદબાબુને ઓળખવા લાગ્યા. એક સારા અને પ્રતિષ્ઠ લેખકનાં  ગણત્રી થવા લાગી એટલે સુધી કે તે કહેતા “ જો લેખન કાર્ય માટે તેમને મહિને ₹100 મળી જાય તો રંગૂનની નોકરી મૂકી તેઓ કલકત્તા પાછા આવી જાય “
       આનો ઉલ્લેખ શરૂઆતમાં મેં કર્યો હતો તે મિત્રો જવાબદારી ખાતર જ રંગૂન ગયા હતા. ખરેખર ભારતી અને યમુનાનાં સંપાદકોએ આટલી જોગવાઈ કરી આપવા તૈયાર હતા. પાલ મહાશય તો શરદસાહિત્યનાં ભક્ત બની ગયા હતા. તેમના માતા પણ તેમને પ્રેમથી જમાડતા રાખતા અને શરદબાબુ માટે ચિંતિત રહેતા. શરદબાબુ પણ તેઓમાં પોતાની માતાના દર્શન થતા.
        રંગૂનથી તેમને પ્રમનાથને પત્ર લખ્યો હતો અને પોતાની લેખનશક્તિ પરનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. ચરિત્રહીન માટે જુદા જુદા મંતવ્ય આવ્યા જુદા જુદા સામાયિકનાં સંપાદકો તેને છાપવા ઇચ્છતા હતા અને શરદ બાબુ એ પરમનાથનો અભિપ્રાય માગ્યો તેમને વધુ સમયે જવાબ આપ્યો વાર્તાનો પ્રારંભ નોકરાણીથી નહોતો કરવો . શરદબાબુએ પરત પાછી માંગી . ત્યારબાદ દ્વિજેન્દ્રલાલ રોયે કથા વાંચી તેને અશ્લીલમાં ખપાવી. હરિદત્ત ચટ્ટોપાધ્યાયે નવલકથાને અનૈતિક કહી, જો છપાશે તો લોકો નિંદા કરશે તેને નહિ સ્વીકારે .તેમ જ આવી નવલકથા નહોતી લખવી જોઈતી એમ પણ કહ્યું.
 
              શરદબાબુ ખૂબ ગુસ્સે થયા તેમણે કહ્યું કે આપણે લોકોને આપણી જાંઘ ખોલીને નથી બતાવતા પણ ઘા વાગ્યો હોય તો જગ્યા પણ ન બતાવીએ એવું તો સાંભળ્યું નથી. જિંદગીભર સૌંદર્યમય લખીને તે જ દ્રષ્ટિએ લખવું એ યોગ્ય તો નથી જ . કોઈએ સૂચન કર્યું ચરિત્રહીન બીજાને નામે છાપો તો એમને મંજૂર નહોતું . તેમણે પોતાને નામે જ છપાશે એ નિશ્ચય કર્યો .સારા માઠાં ફળ ભોગવવા તૈયાર થયા. નામ માટે આવો લોભ કેમ? જો એ જ કરવું હોત તો જિંદગીભર કષ્ટ ન જ ભોગવત!
 
          1913 ના ઓક્ટોબરમાં યમુનામાં ચરિત્રહીનનો પ્રથમ અંશ પ્રકાશિત થયો . આખા બંગાળી સમાજમાં એક વાવંટોળ ઉઠ્યો . આવું કોઈ જ પુસ્તક માટે નહોતું બન્યું . ફણીન્દ્રનાથ પાલે શરદને તારથી જણાવ્યું *“ચરિત્રહીન” ઇઝ ક્રિએટિંગ એલાર્મિંગ સેન્સ્શન”* (ચરિત્રહીને જાગૃતિ અને ક્રાંતિની સંસનાટી પેદા કરી છે)
          મિત્રો , બસ એ જ સમયે માહ્યલામાં રહેલા સાહિત્યકારને શરદે ઢંઢોળીને જાગૃત કરી દીધો હતો. કેટલાય વર્ષો સુધી લખાયેલી આ રચનાએ ઈતિહાસ બદલી નાંખ્યો હતો. આ વાર્તાની નાયિકા કરુણામયી હતી. આગળ આપણે આ વાર્તા જોઈ ગયા છીએ તેથી એની ચર્ચા નહિ કરું. *એક પુસ્તક ને વાર્તાઓ લેખકની કલ્પના હોય છે, જે સારી ખોટી વાંચક પર છોડી દેવામાં આવે છે* ખરેખર શરદબાબુની આ નવલકથાએ ભારત વર્ષમાં તહેલકો મચાવી દીધો હતો.
 
            મિત્રો, આશા રાખું છું કે હું સંક્ષેપમાં તમને સમજાવી શકી હોઈશ. નહિતો જરૂર તમે ‘આવારા મસીહા’ ગુજરાતી હિન્દીમાં મળે તો વાંચજો . આવતા અંકે ફરી આવી જ કંઈક અવનવી વાત શરદબાબુની આપણે માણીશું જાણીશું.
(સંપૂર્ણ)
 
અસ્તુ
જયશ્રી પટેલ

ઓશો દર્શન -39. રીટા જાની

wp-1644023900666



ગત અંકમાં આપણે બુદ્ધના ‘હૃદયસૂત્ર’ની પૂર્વ ભૂમિકાની ઓશોની કાવ્યાત્મક શૈલીમાં અનુભૂતિ કરી. ‘બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો, તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.’ આ મૂળભૂત સમજ સાથે આગળ વધવું છે.

જીવનમાં ત્રણ ચીજો અગત્યની છે -જન્મ, પ્રેમ અને મૃત્યુ.  જન્મ થઈ ચૂક્યો છે, તેનું કંઈ કરવાનું રહેતું નથી. જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે જન્મ લેવા માંગો છો કે નહીં એવું પણ તમને પૂછવામાં આવ્યું ન હતું. પ્રેમ પણ સંભવે છે. જ્યારે તમે કોઈકના પ્રેમમાં પડો છો ત્યારે તમે તમારી જાતને દૂર હડસેલી શકતા નથી. જેમ જીવન આપમેળે સંભવે છે, એમ જ પ્રેમ પણ આપમેળે સંભવે છે. જો જીવનની પ્રત્યક્ષ ક્ષણ ખૂબ જ સુંદર, વ્યક્તિગત, અનુકરણ ના થઈ શકે તેવી બની શકે છે; તો પ્રત્યેક ક્ષણ આશીર્વાદિત અને અનન્ય બની શકે છે. જેઓ પોતાની જેવા જ બનવા માંગે છે તેઓ આ ધરતીના સૌથી મૂલ્યવાન લોકો છે. ઓશો કહે છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, માટે મૃત્યુનું ચિંતન કરો. તમારે તેના માટે તૈયાર રહેવું જ પડશે. સાચો માર્ગ એ છે કે ભૂતકાળની પ્રત્યેક ક્ષણમાં મૃત્યુ પામો અને વર્તમાનમાં જન્મ લો. તે તમને તાજા, યુવાન, સ્ફૂર્તિલા અને  ક્રાંતિવાન રાખશે.  તે એક બહુ મોટી આવડત અને કલા છે.

વાસ્તવિકતા સાથે સુસંગત વિચારોથી પરમાનંદ ઊભો થાય છે.  તમારી અને સત્ય વચ્ચેનું વિભાજન એ અસંગતિ છે. જ્યારે તમે સત્ય સાથે ચાલતા નથી, ત્યારે તમને પીડા થાય છે, સંતોષ મળતો નથી. ઉદાહરણ તરીકે, લીલા ચશ્મા પહેરવાથી આખી દુનિયા લીલી દેખાશે. ચશ્મા હટાવી દેશો તો વાસ્તવિકતાના દર્શન થશે. બુદ્ધ કહે છે કે અંધકારમાં તમે દોરડાને સાપ સમજી બેસો અને ભાગવા માંડો છો અને કોઈ પથ્થર સાથે અફળાવ છો તો તમારા હાડકા ભાંગી જાય છે. સવારે તમને ખબર પડે છે કે તે કેવળ એક દોરડું હતું. ગેરસમજણ એ સમજણ જેવી જ વાસ્તવિક છે. તે સાચી નથી. પરંતુ વાસ્તવિક છે. વાસ્તવિકતા અને સત્ય વચ્ચેનો આ ફરક છે. માટે જ બુદ્ધ કહે છે કે કેવળ દીવો થઈને તમારી અંદર ઉતરો અને બરાબર નિહાળો કે સાપનું અસ્તિત્વ છે કે નહીં. વિચારો એ વિકૃતિકરણનું માધ્યમ છે. માટે જ બુદ્ધે શુન્યતા ઉપર, નિર્બુદ્ધી, નિર્વિકલ્પ અવસ્થા પર એટલો બધો ભાર મૂક્યો છે. જ્યારે તમે બિલકુલ ખાલી છો, ત્યારે આઈનો જ પ્રતિબિંબ પાડે છે. પરંતુ જો તમે કોઈ વિચાર ધરાવો છો તો તમે તેને વિકૃત કરશો.

ઓશો કહે છે કે આપણે વિશાળ સમુદ્રના બહુ નાના અંશો છીએ, ટીપાંઓ છીએ. અહીં સંદેશ છે- પ્રેમ, શરણાગતિ અને સ્વીકૃતિનો. અંશ પૂર્ણ સાથે ભળીને જ સમર્થ બની શકે. તમારું સામર્થ્ય સત્ય સાથે રહેવામાં રહેલું છે. નદીમાં સામા પ્રવાહે તરવાનો પ્રયાસ કરો તો તમે કમજોર સિદ્ધ થશો. પણ નદીના પ્રવાહમાં વહો, તો નદી તમને તે જ્યાં જતી હશે ત્યાં લઈ જશે.

ભવિષ્ય વિષમય છે. તમે જેટલું વધુ સંચય કરશો, તેટલી આંતરિક દરિદ્રતાનો અનુભવ કરશો. વર્તમાન ક્ષણ સુંદર અને મનોહર છે. જ્યારે તમે આ ક્ષણના શિખર પર સ્વાભાવિક, સ્વયંસ્ફૂર્ત, સરળ અને સામાન્ય જીવન જીવો છો, તે એક મહાન આશીર્વાદ છે. ઓશો સમજાવે છે કે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો અભાવ ડહાપણ છે. જેને બુદ્ધ પ્રજ્ઞા પારમિતા કહે છે- પરમોત્કૃષ્ટ પ્રજ્ઞા પારલૌકિક પ્રજ્ઞા.  એક વાર આ સત્ય તમારા અસ્તિત્વમાં પ્રવેશે છે, પછી મહાન પરિવર્તન આવશે. માટે સામર્થ્યની ઈચ્છાનો ત્યાગ કરી અવલોકન કરો.

ઓશો કહે છે કે જો તમે સફેદ દિવાલ પર સફેદ ચોકથી લખો તો વાંચી શકાશે નહીં. પણ જો બ્લેકબોર્ડ પર લખો તો સ્પષ્ટ દેખાઈ આવશે, માટે વિરોધાભાસ જરૂરી છે. દિવસ દરમિયાન પણ આકાશમાં તારાઓ હોય છે. પરંતુ રાત્રિના અંધકારમાં તેમને જોઈ શકાય છે. એ જ રીતે એક બાળક નિર્દોષતા ધરાવે છે, પરંતુ પાછળ કોઈ પાર્શ્વ ભૂમિકા નથી. એથી વિપરિત એક બુદ્ધ પોતાનું જીવન જીવી ચૂક્યા છે, સારું અને ખરાબ બંને ધ્રુવીયતાને સ્પર્શી ચૂક્યા છે. માટે જ બુદ્ધ કહે છે કે “મેં કશું પ્રાપ્ત કર્યું નથી. મેં કેવળ એ શોધી કાઢ્યું છે, જે હંમેશા હોય છે. ખરેખર કોઈ પ્રાપ્તિ નથી, મેં કેવળ તેને ઓળખી છે. તે શોધ નથી, પુનર્શોધ શોધ છે. જ્યારે તમે બુદ્ધ બનો છો ત્યારે તમે તમારો સ્વભાવ જુઓ છો. એ માટે તમારે પથભ્રષ્ટ થવું પડે છે, કાદવવાળી જગ્યાઓમાં પ્રવેશવું પડે છે. ત્યારે જ તમારી અણિશુદ્ધ, નિર્મળતા અને શુદ્ધતા જોઈ શકાશે.”

અહમ્ ના સાત દ્વાર છે જે બહુ સ્પષ્ટ અને એકબીજાથી જુદા નથી. જો વ્યક્તિ સાતે દ્વારમાંથી અહમ્ પ્રાપ્ત કરે છે, તો તે સંપૂર્ણ અહમ્ બને છે. જે રીતે ફળ કાચું હોય ત્યારે લટકતું રહે છે પણ જ્યારે પક્વ બને ત્યારે ખરી પડે છે, એવું જ અહમ્ નું પણ છે. વક્રતા એ છે કે ખરેખર વિકાસ પામેલો અહમ્ જ શરણે થઈ શકે છે, પૂર્ણ અભિમાની જ શરણાગતિ સ્વીકારી શકે છે કારણ કે એ અહમ્ નું દુઃખ જાણે છે. માટે બુદ્ધ બનતા પહેલા તમારે આ સાત દ્વારનો ઉપયોગ કરવો જ જોઈએ. અહમ્ નું પ્રથમ દ્વાર દેહમય જાત, દ્વિતીય આત્મઓળખ, ત્રીજું આત્મસન્માન, ચોથું આત્મવિસ્તરણ, પાંચમું આત્મ છબી, છઠ્ઠું સ્વ-નિજત્વ અને સાતમું દ્વાર યોગ્યતાની પ્રાપ્તિ છે. વ્યક્તિ અહમ્ ના સાત દ્વાર શરૂ થતા પહેલા બાળક છે અને અહમના સાત દ્વાર પૂર્ણ થયા બાદ બુદ્ધ છે. આ પૂર્ણ ચક્ર છે.

ઓશો કઝાન્સાકીના પુસ્તક ‘ઝોર્બા ધ  ગ્રીક’ ને ટાંકીને કહે છે કે પુસ્તકને પ્રેમ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, ક્યારેય કોઈનું અનુકરણ કરવાની કોશિશ ન કરો. ઝોર્બા પાસેથી રહસ્ય શીખો, સહભાગી બનો, પછી તમારી રીતે આગળ વધી અને ‘તમે બનો’. જીવનને આનંદપૂર્વક સ્વીકારો, સહજતા અને સ્વસ્થતાથી જીવો. બહુ ગંભીર બનવાની જરૂર નથી, રમતિયાળ બનો. દરેક પળને તીવ્રતાથી જીવો. તીવ્ર પૂર્ણતાની એક ક્ષણ તમને ઈશ્વરનો સ્વાદ ચખાડવા પૂરતી છે. એ ક્ષણ તમને શાશ્વત બનાવી દેશે.

બુદ્ધનો સંદેશ છે કે ‘તમે તારણ પામેલા જ છો. તારણહાર આવવાની જરૂર નથી. તમે ગુનેગાર નથી. કોઈ દુઃખ નથી. સારિપુત્ર! દુઃખનું કારણ કે ઉદ્ભવ નથી. તેનો કોઈ નિરોધ નથી અને તેનો કોઈ માર્ગ નથી. તે કોઈ પ્રાપ્તિ નથી કે તે કોઈ અપ્રાપ્તિ નથી, તે છે જ. તે તમારો ખુદનો સ્વભાવ છે.’

બુદ્ધ સારિપુત્રને કહે છે કે “પ્રજ્ઞા પારમિતા” એટલે “ધ્યાન, પરમોત્કૃષ્ટની પ્રજ્ઞા”. તમે તેને ખોલી શકો. તમે તેને લાવી શકો નહીં. ધ્યાન બનવા માટે ચિત્ત અને મગજ શાંત થવું જોઈએ. એકાગ્રતા એ મગજનો પ્રયાસ છે, ધ્યાન એ ચિત્તરહિતાની અવસ્થા છે, શુદ્ધ જાગૃતિ છે. ધ્યાનમાં કોઈ ઉદ્દેશ નથી. ધ્યાન એક વૃક્ષ છે, જે બીજ વિના ઉગે છે. ધ્યાન એ સમજદારી છે કે ઈચ્છાઓ ક્યાંય દોરી જતી નથી. ધ્યાનમાં કોઈ કેન્દ્ર નથી, તમે શૂન્યતાના આધારે કામ કરો છો. શૂન્યતાને આધારે  ઉદ્દભવતો પ્રતિભાવ એ જ તો ધ્યાન છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા – કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો સમયની જરૂર પડે, પરિશ્રમની જરૂર પડે, તેને તત્કાલ મેળવી શકાય નહીં. પરંતુ કેવળ ધ્યાન હમણાં પ્રાપ્ત કરી શકાય છે, આ જ ક્ષણે, તત્કાલ. કારણ કે એ તમારો સ્વભાવ છે. એ માટે એક ક્ષણ પણ ગુમાવવાની જરૂર નથી. નિર્વાણ બીજું કશું નથી, પરંતુ પૂર્ણ ચક્ર કરેલી ધ્યાનાવસ્થા છે. ઈશ્વર બીજું કશું નથી, પરંતુ ધ્યાનની કુંપળનું ફૂલ બનવું છે. આ પ્રાપ્તિઓ નથી, આ તમારી જ વાસ્તવિકતાઓ છે, તે તમારી અંદર જ બિરાજમાન છે. ધ્યાન અર્થાત તેમાં હોવું, ધ્યાનસ્થ હોવું. એનો અર્થ કોઈના ઉપર ધ્યાન કરવું એવું થતો નથી. તે એક અવસ્થા છે, પ્રવૃત્તિ નથી. બુદ્ધ કહે છે કે તમે શૂન્યતાની આ અવસ્થામાં જાવ. પછી નિર્વાણ સ્વાભાવિક પરિણામ છે. તે આપમેળે આવે છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે આ શૂન્યતામાં કેવળ પ્રવેશો અને પછી શૂન્યતા વિશાળ અને વિશાળ થતી જશે. એક દિવસ તે તમારું સમગ્ર અસ્તિત્વ બની જશે. તેમનું એક માત્ર આશ્રયસ્થાન પ્રજ્ઞાની પરિપૂર્ણતા, ધ્યાનની પરિપૂર્ણતા છે. બુદ્ધ મહાગુરુ છે. એવા ગુરુ, જે તમને મુક્ત કરે છે, તમારા અંધકારનો નાશ કરે છે. તેમનો સંદેશ મનુષ્યને આપવામાં આવેલા સંદેશાઓમાંનો મહાનતમ સંદેશ છે.

રીટા જાની
25/11/2022

હેલીના માણસ – 44 | હાથની રેખાઓ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-44 ‘હાથની રેખાઓ’ એની 43મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ :

 

આમ તું નજદીક છે લેકિન ખરેખર દૂર છે, 

હું સદંતર તારી પાસે તું સદંતર દૂર છે! 

 

ભાગ્યરેખા ખુદ હથેળીમાં સલામત ક્યાં રહી, 

હાથમાં છાલાં પડ્યાં છે ને મુકદર દૂર છે! 

 

અંધશ્રદ્ધા પાસે મારા ઘરનું સરનામું નથી, 

એટલે તાવીજ પલીતા જાદૂમંતર દૂર છે! 

 

ફોડવા માથું કે માથું ટેકવામાં વાર શી? 

મારા માથાથી વળી ક્યાં કોઈ પથ્થર દૂર છે! 

 

હળવે હળવે સાચવીને ચાલજે નૂતન વરસ! 

પંથ લાંબો છે, વિકટ છે ને ડિસેમ્બર દૂર છે! 

 

એ ભલે ને તોપનાં મોઢામાં જઈ બેસી રહે, 

બાજ પક્ષીની નજરથી ક્યાં કબૂતર દૂર છે! 

 

એ ખલીલ ઊભા હો વરમાળા લઈને રૂબરૂ, 

એ રૂપાળું દ્રશ્ય એ રંગીન અવસર દૂર છે.

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

આ વિશાળ ગગનના કેન્વાસને ભૂરા રંગે રંગીને એમાં ચંદ્ર, સૂરજ, તારા કોણે ટાંક્યાં હશે? આ વિચાર જો તમને આવી જાય તો પછી નાસ્તિક રહેવાનો ચાંસ જ ન મળે. આ બધું કરનાર તો ભગવાન જ હોય ને! તેના સિવાય બીજા કોઈનું આવું ગજું ક્યાંથી હોય? આવી કેટલીયે બાબતો આપણને ભગવાનનાં સાંનિધ્યમાં લઈ જાય છે. આપણને લાગે કે, તે અહીં જ છે, બિલકુલ આપણી પાસે. પરંતુ ક્યારેય, ક્યાંય દેખાય નહીં ત્યારે થાય, તું કેટલો દુર છે ભગવાન! ભલે એ દુર હોય કે, પાસે પણ છે જરૂર તે વાતની ખાતરી કરાવતું આ ગીત ભૂલાય તેવું નથી. 

સ્કંધ વિના આખું આકાશ અટકાવ્યું, 

મહીં ચંદ્ર સૂરજ તારાનું તોરણ લટકાવ્યું. 

આવું આપણું આકાશ શું ધરતીથી દુર છે કે, પાસે? હા, આ ગીતમાં પણ કવિ એ જ પૂછે છે. કે,

‘ધરતી સે આકાશ હૈ કિતને દુર?’ 

આપણે પૃથ્વી પરથી ઊપર નજર કરીને, આકાશ તરફ જોઈએ તો અધધધ અંતર લાગે. પણ દુર છેક ક્ષિતિજમાં નજર કરીએ તો ધરતી-આકાશનું મિલન થતું હોય તેવો અણસાર આવી જાય. હા, જેઓ અંધશ્રદ્ધાળુ હોય તેઓ તો ઈશ્વરમાં માનવાને બદલે, તાવિજ, જાદુમંતર, વગેરે નુસખા અજમાવીને જીવતા હોય છે અને હાથની રેખાઓ બદલવા માંગતા હોય છે. જો હાથની રેખાઓ જ ભાવિનું લખાણ હોય તો છાલાં પડવાથી તે રેખાઓ નષ્ટ થશે? જેઓને અંધશ્રદ્ધા ન હોય તેઓ તો તેનાથી દુર જ રહે છે. 

અંધશ્રદ્ધા પાસે મારા ઘરનું સરનામું નથી, 

એટલે તાવીજ પલીતા જાદૂમંતર દૂર છે! 

પોતાના નસીબને બદલવા માટે કોઈ ગમે તેટલા પ્રયત્નો કરે. ભાગ્યે જ તેમાં કોઈ ફેર પડે છે. માથામાં પથ્થર વાગવાનું લખાયું હોય, તો તે વાગશે જ. કોઈ કબુતરની પાછળ શિકારી બાજ પક્ષી પડી જાય તો પછી, કબુતર તેનાથી બચવા ગમે તેવા સલામત સ્થળે સંતાવા જાય તોય બચશે નહીં. એ બાજ તો કબુતરની બિલકુલ પાછળ જ હોવાનું જરાય દુર નહીં. ખલીલ સાહેબ તો જાન્યુઆરીમાં શરૂ થતાં નવા વર્ષને પણ કહી દે છે કે, ડિસેમ્બર દુર છે! 

એ ભલે ને તોપનાં મોઢામાં જઈ બેસી રહે, 

બાજ પક્ષીની નજરથી ક્યાં કબૂતર દૂર છે! 

દરેકને પોતાનું એક સ્વપ્ન હોય છે. તેને સાકાર કરવા બનતું બધું કરવાનું કોઈ ચૂકતું નથી. પણ આ ક્યાં ફળ હતું કે, હાથથી તરત તોડી લેવાય? મહામુલું એ સપનું, આજ પુરું થશે, કાલ પુરું થશે એવી આશાને સહારે દિવસો વિતતા જાય. છતાં સપનું પુરૂં ન થાય પણ આશા તો અમર છે. કોઈ ધનવાન બનવાનું સપનું જોશે, કોઈ સંતાનપ્રાપ્તિનું સપનુ, તો કોઈ કુંવારા ભાઈ, પોતાના લગ્ન અંગે સપનું સજાવે પણ જ્યાં સુધી, તે પુરું ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે અને સપનું જોતાં રહેવું પડે. 

એ ખલીલ ઊભા હો વરમાળા લઈને રૂબરૂ, 

એ રૂપાળું દ્રશ્ય એ રંગીન અવસર દૂર છે. 

ટુંકમાં જોઈએ તો ધિરજ રાખવાની ખાસ જરૂર હોય છે. આપણી ઉતાવળે બધું બને તે શક્ય નથી. આંબો રોપ્યા પછી કેરી આવતાં વર્ષો લાગે. અને કેરી આવ્યા પછી પાકતાં પણ સમય લાગે. ખરુંને મિત્રો? સહજપણે આ વાત કહી જતી આ ગઝલ આપ સૌને ગમી હશે બીજી આવી જ મઝાની ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

વિસ્તૃતિ …૩૯-જયશ્રી પટેલવિસ્તૃતિ …૩૯-

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શ્રી વિષ્ણુ પ્રસાદજીની આવારા મસીહામાંથી અને અનુવાદક શ્રી હસમુખ દવે દ્વારા મળેલ શ્રી શરદચંદ્રની જીવનની અને તેમની રચનાઓની અવનવી વાતો આપની સમક્ષ સંક્ષેપમાં રજૂ કરતા આનંદ અનુભવું છું.આજે તેમની બહુ ચર્ચિત નવલકથા ‘ચરિત્રહીન’વિશે જાણીએ. મિત્રો ,આ વાર્તા વિશે તો આપણે પહેલા જાણી ગયા છીએ, પણ તે નવલકથા સ્વરૂપે કેટકેટલી વિટંબણાઓ પછી જન્મ પામી તે ન જાણીએ તો તે નવલકથાને ન્યાય કેમ મળે ?

         ચરિત્રહીન કટકે કટકે લખાતી રહી શરદબાબુ કોણ જાણે કેમ સંતોષ જ નહોતા પામી શકતા !વારંવાર તેમાં ફેરફારો થતા રહેતાં. જ્યારે તે સંપૂર્ણતાને આરે હતી અને તે જ અરસામાં નારીનો ઇતિહાસ નામનો પ્રબંધ પણ પૂર્ણ થઈ ગયો હતો. પહેલીવાર શરદબાબુના મનમાં વિચાર આવ્યો કે આને છપાવીએ તો !

      એ વિચારમાં પડ્યાં કે બીજા મિત્રોનાં પુસ્તકો કરતાં તેના કોઈપણ પુસ્તક નિમ્નકક્ષાનાં તો નથી જ ! કોને સોંપવું આ કામ સૌરીનને,સુરેનને ,વિભૂતિને કે પ્રમથને? પ્રમથ અંગત અને વિશ્વાસુ હતો, પણ તેને મળ્યાંને વર્ષો પસાર થઈ ગયાં.બીજા બધાંને પણ મળ્યાંને વર્ષો પસાર થઈ ગયા તેઓ કલકત્તામાં હશે કે નહિ?

      કંઈ જ વિચારે કે નિર્ણય કરે તે પહેલા એક રાત્રે રંગૂનના એમના ઘરમાં આગ લાગી અને બધું જ બળીને ભસ્મ થઈ ગયું .પત્ની ,કૂતરો પશુ અને પક્ષી ને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા. ખૂબ જ કામના પુસ્તકો અને વસ્ત્રો લોખંડનાં ટ્રંકમાં ભર્યા અને તે લઈને બહાર દોડ્યા . લાકડાનું ઘર હતું જલ્દી બળ્યું. ટ્રંક નીચે ફેંકી પોતે કૂદી પડ્યાં.બાજુમાં ઊભા ઊભા અગ્નિ તાંડવ જોતા રહ્યાં. તેની ઘરની ચીજો તો ઘરમાં જ રહી ગઈ લાઈબ્રેરી , ચિત્રો ,હસ્તપ્રતો ,બધું જ નાશ પામ્યું .ધોબીની બકરીને પ્રાણના જોખમે બચાવી. નજરો સામે ઘર કકડભૂસ થઈ ગયું.

        આ બનાવ પછી શરદબાબુ કલકત્તા 1912 ઓક્ટોબરમાં પાછા આવ્યા. સાથે હિરણ્યમયી અને કૂતરો ભેલી પણ હતા. કલકત્તાના માર્ગો પર વધેલી નાની દાઢી , વિખરાયેલા વાળ,જાડું ધોતિયું ,પગમાં ચંપલ અને શરીર પર ચાઇના કોટ પહેરી ફરતા શરદબાબુ સૌની નજરે ચડ્યા સાથે તેમનો કૂતરો ભેલી અચૂક હોય જ.

             તે વખતે સૌરીન્દ્રમોહન મુખર્જી ભારતીનાં સંપાદક પદે હતા. તેમને મળ્યા બંને મિત્રોએ એકબીજાના સુખ દુઃખનાં લેખાજોખા ને રાવ કર્યા . ફરી મિત્રે તેઓને લખવા માટે પ્રોત્સાહિત કર્યા. શરદબાબુએ શરત કરી બધાં મિત્રો પણ લખશે તો તે જરૂર લખશે . બડીદીદીની વાત નીકળી રવીન્દ્રનાથની પ્રશંસાની વાત થઈ અને શરદબાબુએ સૌરીન્દ્રમોહનના મોઢે તે વાર્તા વંચાવી અને સાંભળી ખૂબ આશ્ચર્ય સાથે તેમણે કહ્યું કે ઊભા રહો, થોભો ,શું આટલું સારું મેં લખ્યું છે ?સાંભળી મન ભરાઈ ગયું . ગુરુવર્ય રવીન્દ્રનાથે પણ કહ્યું કે આ માણસ નહિ લખે તો નિષ્ઠુરતા ગણાશે !

       આખો બંધ કરી પૂરી વાર્તા સાંભળી અને તે જ હાલતમાં કહ્યું કે હા સરસ લખાય છે હવે હું લખતો જ રહીશ. સૌરીન્દ્રમોહને કહ્યું કે મારો એક મિત્ર ફણીન્દ્રનાથ પાલ તે ‘યમુના’નામનું સામયિક પ્રકાશિત કરવાની મહેચ્છા રાખે છે . તો તેમના પ્રકાશનમાં શરદબાબુએ લખવું જ પડશે .

         શરદબાબુએ ત્યારે નારીનો ઇતિહાસ વિશે વાત કરી તેની બળી ગયાની વાત કરી. મિત્રો ,પોતાના હાથે લખાયેલ પાંચશો પાનાનાં એ પ્રબંધ અનેક નારીનાં જીવન વૃત્તાંતો ઉપર રચાયેલો હતો.આવો અદ્ભૂત સંગ્રહ બળીને ભસ્મ થઈ જાય તો ! તે પણ ઝેરોક્ષનો જમાનો પણ નહીં ને પાંચશો પાના વિચાર કરીએ આપણે તો પણ કંપકંપી જઈએ !તો શરદબાબુનું તો શું થયું હશે ? વિચારો મિત્રો .

          મિત્રે પ્રોત્સાહિત કર્યા એમાંનું જેટલું યાદ હોય તે લખવાનું શરૂ કરી દે એમ પણ સમજાવ્યાં. શરદબાબુએ મિત્રને લખવાનું વચન આપ્યું .તે સમયે તેમણે મિત્રને કહ્યું કે બીજી વાર્તા પણ છે એક ચતુર્થાંશ લખાઈ છે . તે તમને વાંચવા આપીશ અહીં બચી ગયેલા ચરિત્રહીનનો તેમણે ઉલ્લેખ કર્યો. સાથે સાથે એ પણ કહ્યું કે તે પૂર્ણ કરશે તો પ્રચંડ નવલકથા હશે તે.

         સાથે લાવેલા ચરિત્રહીના થોડા પૃષ્ઠો તે ઇચ્છતા હતા કે પ્રતિષ્ઠિત સામાયિક ‘સાહિત્ય પત્રિકામાં’છપાય. જેના સંપાદક સમાજપતિ મહોદય હતા. તેમને મળ્યા ને સાથે સાથે વિભૂતિભૂષણ , નિરૂપમાદેવી જેવા લોકોને મળી પછી રંગૂન પાછા ગયા . ચરિત્રહીન લઈ પાછા કલકત્તા થોડો સમય રહી આવી પહોંચ્યા. ફરી મુખર્જી મહાશયને વાંચવા આપ્યા. સિત્તેરથી એંસી પાનાઓ લખાયા ત્યાં સુધી કથા નાયિકાનો પ્રવેશ પણ નહોતો થયો. એવી અદ્ભૂત વાર્તા પાનાઓ પર રચાય રહી હતી.

     મિત્રો ,આજ વસ્તુ આપણે આગળના અંકમાં જોઈશું ચરિત્રહીનની આ શરૂઆત લેખકે ધીરે ધીરે અને કટકે કટકે કરી હવે તે ક્યાં પહોંચશે તે આવતા અંકે આપણે જોઈશું ને માણીશું.
(ક્રમશઃ)

અસ્તુ ,
જયશ્રી પટેલ
૨૦/૧૧/૨૨–

સંસ્પર્શ-૪૦

કવિ ધ્રુવ ભટ્ટ એટલે પરમ અને પ્રકૃતિને પોતાનાં નોખા જ શબ્દાંકનો,ભાવ સાથે આલેખતા અને વાચકને જીવનનાં રહસ્યો જોતાં,સાવ સહજ રીતે શીખવતા કવિ અને લેખક.તેમના ગીતોમાં મધ મીઠી મધુરતા સાથે તમને અંદરથી ઝંઝોડી મૂકવાની તાકાત પણ છે. ધ્રુવદાદાનાં આલેખનમાં ,સમાજનાં રીત-રિવાજ, અંધશ્રદ્ધા ,ક્રિયાકાંડો પર કટાક્ષ આદ્ય કવિ નરસિંહ ,અખો ,કબીર જેવી જ સભાનતા બક્ષે છે ,તો પરમ સાથે સાંનિધ્ય અનુભવતા તેમના ગીતો અને નવલકથાનાં પાત્રોનાં સંવાદો આપણને આપણાં અસ્તિત્વનું ભાન કરાવે ,તો ક્યારેક અસ્તિત્વનો ઉત્સવ ઊજવાવે . તેમના ગીતો સુંદર લય અને ઢાળમાં ગાઈએ ત્યારે પરમ સાથે લીન થયા હોય તેવો આનંદ આપે. તો ક્યારેક પરમની શોધનાં અનેકાનેક પ્રશ્નાર્થોમાં આપણી જાતને વહેતી મુકાવે . તેમણે સહજતાથી રચેલ છતાં અનેક ગૂઢાર્થ ભરેલા ગીતો ગેય અને લયબદ્ધ છે જે સમજવી અઘરી ફિલસૂફીથી ભરેલાં છે. 

આવા નોખા અનોખા ગીત રચનાર કવિ ધ્રુવ ભટ્ટની સાહિત્ય યાત્રા ખૂબ ઊંચી ઉડાન ભરેલ હોવા છતાં તેમની વિનમ્રતા નીચેના ગીતમાં આપણને દેખાશે. 

આ ગીતમાં પોતાની ભાષા અને કવિતા માટે પોતાને ભાષાનાં ભૂષણ સમજતાં લોકોને પણ પોતને આવડ્યું તેમ લખ્યું કહી , પોતાને ઉતરતાં ચીતરીને એક સુંદર સંદેશ આપ્યો છે.ભારેખમ શબ્દોમાં ન કહેવાઈ હોય પણ સરળ અને સહજતાથી કહેવાએલી વાત પણ અલંકારીક શબ્દો જેવોજ પ્રભાવ પાડી શકે છે ,તે વાત આ ગીતમાં વર્ણવી છે.

અમે કહ્યા જે બોલ આવડ્યા તમે કહ્યું તે વાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

અમે ધૂળિયા રસ્તે ચાલ્યા, 

તમે ચમકતા આરસ મહાલ્યા

તમે ભણાવ્યા તો પણ અમને ,

કોઈ શબ્દ ક્યાં છે સમજાયા

અમે નાનકડી નીક વહ્યા ને તમે થયા સરવાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

તમે કહો જે નભ છલકાયું

અમે કહ્યો વરસાદ

રત્નાકર ને અમે કહીએ

દરિયો અનરાધાર

તમે કહ્યાં જે જળ ઝળહળતા અમે સમજતાં પાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

કવિ ભારેખમ શબ્દોમાં પોતાની વાત કહેતા લોકોને કહે છે અમને સરળ બોલીમાં જે આવડ્યું તે લખ્યું. તમે જે લખો તે વાણી કહેવાય અને અમે સરળ બોલીમાં કહીએ તે બોલી કહેવાય પરતું બોલી કે વાણીનો ભેદ ન જોતાં તેમાં કવિ આપણને સમજાવવાં શું માંગે છે તે અગત્યનું છે.ધ્રુવદાદાને હંમેશા તેમની આસપાસનાં અભણ લોકોની બોલીમાં જ જીવનનાં સત્યો અને ગૂઢ રહસ્યોનાં ઉકેલ દેખાયા છે. કબીર અને ગંગાસતીનાં એક એક શબદમાં જે સનાતન સત્યો સાંપડ્યાં છે તેમાં શબ્દોની કરામતોની ક્યાંય જરુર પડી નથી. 

આગળ કવિ કહે છે અમે તો જે રચ્યું તે ઘૂળિયા માર્ગે ચાલતા ચાલતા જે જોયું, સાંપડ્યું તે સહજતા સાથે સંકેલ્યું. અમને આરસ પર મહાલવા મળ્યું જ નથી.ભણતરમાં સ્કુલે જવામાં ધ્રુવદાદાને ક્યારેય રસ નહોતો અને એટલે જ એમને કેટલીયે વાર ટાંગાંટોળી કરી નિશાળે મોકલવા પડતાં. કોલેજની પરિક્ષા સમયે પણ તેઓ પરિક્ષા આપતા હતાં ત્યારે સાહેબે તેમને કટાક્ષમાં કહ્યું કે ‘આખું વર્ષ ભણ્યા હોવ તો કંઈ આવડશે ને લખતાં તમને!”અને તે પ્રશ્નપત્રનો પેપરનો ડૂચો કચરાપેટીમાં નાંખી ઊભા થઈ ગયા. તેમના મતે આજકાલની બાળકો પર ખોટો ભાર લાદતી અને પોપટિયું જ્ઞાન આપતી આજની શિક્ષણ પધ્ધતિ તદ્દન ખોટી છે. તેઓ બાળકને હસતાં-હસતાં,રમતાં- રમતાં જ્ઞાન પીરસવામાં માને છે.એટલે અહીં લખે છે કે ‘ તમે અમને ભણાવ્યાં પણ અમને આ પોપટિયા જ્ઞાન થકી એક પણ શબ્દ ક્યાં સમજાયો છે? અહીં શબ્દ ક્યાં સમજાયો છે એટલે જીવનની ગૂઢતાનાં રહસ્યો, જીવનનું સત્ય ગમે તેટલું ભણતર હોય પણ ન સમજાય તો તે ભણતર વ્યર્થ છે. અને આજના યુગમાં બાળકોને એવું જ ભણતર અપાઈ રહ્યું છે તે કરુણતાને આ ગીતમાં રજૂ કરી છે. ઓશોની વાત મને અહીં યાદ આવે છે કે,”ખાલી હાથે જવા માટે માણસ આખું જીવન બે હાથે પૈસા ,મિલકત ભેગી કરતો રહે છે.” જીવનનો ખરો અર્થ સમજાવ્યા વગર બાળકોને આંધળી દોટ તરફ સૌ ધકેલી રહ્યા છે.તેનું દર્દ પણ આ ગીતની પંક્તિ” તમે ભણાવ્યા તો પણ અમને એક પણ શબ્દ ક્યાં સમજાયાં છે”માં દેખાય છે.

કવિ ધ્રુવ ભટ્ટ કહે છે અમે તો સાવ નાનકડી નીકમાં વહ્યા, તમે તો મોટી સરવાણીમાં વહ્યાં.અમે તો સરળ શબ્દોમાં જેને વરસાદ કહ્યો તેને તમે નભ છલકાયું તેમ કહ્યું.જેને અમે દરિયો કહ્યો તેને તમે રત્નાકર કહી નવાજ્યો.અને અમે જેને પાણી સમજતાં હતાં તેને તમે ઝળહળતાં જળ કીધાં. પરતું કવિનું કહેવું છે કે સરળ શબ્દોમાં પણ તેમણે જીવનનાં કુતૂહલ, આદર, વિસ્મય અને અહોભાવનાં સત્યો સહજતા અને સરળતાથી રજૂ કર્યા છે,અનુભવ્યા છે અને લોકોનાં હ્રદય સુધી પહોંચાડ્યાં છે. ભારે ભરખમ શબ્દોથી નહીં પણ અંતરની સહજ સરવાણી થકી ફૂટેલી ભાષા પણ એટલી જ અસરકારક છે તેમ કવિ સમજાવે છે.એમની નવલકથાનાં સાવ અંતરિયાળ પ્રદેશમાં રહેતા આદિવાસીઓ કે ગીરનાં જંગલવાસી કે દરિયા કિનારે વસતાં ખારવા —આ સૌનાં સાવ સરળ સંવાદોમાં દાદાને વેદ ઉપનિષદનાં સંદેશ સંભળાય છે. અને આજના બાળકોને માત્ર ભણતર નહીં પણ જીવવાની સાચી રીત શીખવવાની જરુર છે ,નહીંતો ગમે તેટલા ઊચ્ચ ભણતર સાથે પણ તેમનું જીવન વ્યર્થ છે. આમ કંઈક જુદો જ સંદેશ આપતું તેમનું ગીત સરળ ભાષામાં અમૂલ્ય વાતનો સંદેશ આપે છે.

જિગીષા દિલીપ

૧૬મી નવેમ્બર ૨૦૨૨

હેલીના માણસ – 43 | આંખો હજી ઝમે છે | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-43 ‘આંખો હજી ઝમે છે’ એની 42મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

 

હું સાંજને શું ચાહું, અજવાળાં આથમે છે, 

સૂરજને મરતો જોવો શાથી તને ગમે છે! 

 

ક્યાંથી રુદનનું મોઢું સંતાડું સ્મિત પાછળ,

ડૂસકાં શમી ગયાં છે, આંખો હજી ઝમે છે! 

 

વાગી’તી માસ્તરની સોટી તારા કહ્યાથી, 

ભૂલ્યો નથી હજી પણ આ પીઠ ચમચમે છે! 



ખાટીમીઠી આમલીના ઘેઘૂર ઝાડ નીચે, 

આજેય ગિલ્લીદંડા એક છોકરો રમે છે! 

 

ક્યાં એકલો પ્રિયતમા પાસે નમી પડું છું, 

ધરતીને ચૂમી લેવા આકાશ પણ નમે છે! 

 

જો ને નવોદિતોના ઉત્સાહી ઉમળકાથી, 

શું કાફિયા ચગે છે, શું ગઝલો ધમધમે છે! 

 

ટેવાઈ ગઈ છે આંખો સૌંદર્ય જોઈ જોઈ, 

એથી તારા ચહેરાના આ તેજને ખમે છે! 

 

મેં તો ખલીલ કાયમ અંધારાં ઉલેચ્યાં છે, 

જ્યાં ત્યાં મારી ગઝલના દીવાઓ ટમટમે છે! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ – 

દિવસ આખો, સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. ઘણીવાર તો આખો દિવસ એટલી ઝડપથી પતી જાય છે કે, સવારની સાંજ ક્યારે પડે તેની ખબર નથી પડતી. આ સમયે આપણે થાકેલા હોઈએ છીએ, એનો કંટાળો આવતો હોય છે અને એમાં દિવસ પુરો થવા આવ્યો હોય, સૂરજ આથમવાને આરે હોય. આવી આ સાંજ ગમગીની લઈને આવે છે. સૂરજને ડૂબતો જોવો, અજવાળાંને આથમતાં જોવાં અને અંધકારના ઘેરામાં આવવું કોને ગમે? આવા સમયે કોઈ સામે મળે તો પણ સ્મિત લાવી શકાતું નથી. આમ પણ જ્યારે રડવું આવતું હોય, ત્યારે તે છુપાવવાના આશયથી હસવા જઈએ તો તે હાસ્ય તો રુદનથી પણ વધુ કરુણ બની રહે! મન ગમગીન હોય, અંતર રડી રહ્યું હોય અને ખરેખર એકદમ ડૂસકાં આવી જાય, તેવી સ્થિતિ હોય ત્યારે આંખમાંથી રેલાતા આંસુઓ રોકવા શક્ય નથી હોતાં. 

બાળપણની યાદો ખાટીમીઠી હોય છે. સાથે ભણતા મિત્રો સાથે કેટકેટલી મઝા માણી હોય છે. જે જિંદગીભર ન ભુલાય તેવી હોય છે. કોઈવાર તો એવું પણ બન્યું હોય છે કે, આપણા મિત્રનો દોષ આપણે ઓઢી લીધો હોય અથવા મિત્રે દોષનો ટોપલો આપણે માથે ઢોળ્યો હોય અને તે ન કરેલા ગુનાની સજા પણ આપણે ભોગવી હોય! અને એનો ચરચરાટ હજુ આજે પણ અનુભવી શકાય તેટલો તાજો હોય! આવી બધી યાદો જ્યારે મનમાં ઉભરાય ત્યારે એની અસરથી બાળપણમાં રમ્યા હોઈએ તે દ્રશ્યો આપણને સપનામાં દેખાય છે. જેમ કે, એ જ ઘેઘૂર આમલી અને એની નિચે ગિલ્લીદંડા રમતો છોકરો, એટલે ખૂદ આપણે!

ઘરતી અને આકાશ એ બેની વચ્ચેનો સ્નેહ સંબંધ પણ અલૌકિક છે. બંને વચ્ચે જોજનોનું અંતર અને છતાં આપણી નજરો ના પહોંચે ત્યાં, દૂર દૂર ક્ષિતિજમાં તેમનું મિલન સર્જાય છે, તેનો અહેસાસ પણ થાય છે. કોઈ પ્રેમી પણ, પોતાની પ્રેમિકા સંગે આવા મિલનની કલ્પના કરીને હરખાયા કરે તો ખોટું શું? આપણે અચાનક ઘરની બહાર નીકળીએ તો ધોમ ધખતા તડકાથી આપણી આંખ અંજાઈ જાય છે. પણ પછી બહાર જ રહેવાનું થાય તો આંખો ટેવાઈ જાય છે. જાજરમાન સુંદરતા નિરખતાં નિરખતાં પણ આંખો જાણે ટેવાઈ જાય છે. સુંદરતા ખુદ, આંખમાં સમાઈ ગઈ હોય ત્યાર પછી કોઈના ચહેરાની ચમકથી આંખ અંજાઈ જશે તેવો ભય ક્યાંથી રહે?

હાલમાં ગઝલ લખનાર ઘણા મિત્રો, ખૂબ ઉત્સાહિત હોય છે. તેમની ગઝલમાં સરસ કાફિયા લીધા હોય છે, જે અર્થ સભર પણ હોય અને રચનાને સુંદરતા બક્ષતા હોય છે. એટલે તેમની ગઝલો પણ મહેફિલો ગજવતી હોય છે. એમાંનાં ઘણા મિત્રો તો તકલીફોથી ઘેરાયેલા હોય તેવું પણ હોય છે. કોઈ ખાસ સગવડ વગર, પુરતાં સાધનોના અભાવ સાથે પણ, માત્ર અને માત્ર ગઝલની ઉત્તમ રચના અને પ્રસ્તુતિને કારણે ઠેર ઠેર તેઓનું નામ ગાજતું થઈ જાય છે. 

મેં તો ખલીલ કાયમ અંધારાં ઉલેચ્યાં છે, 

જ્યાં ત્યાં મારી ગઝલના દીવાઓ ટમટમે છે! 

ધરતી અને આકાશના સુભગ મિલનની યાદ સાથે દીવાની જેમ ટમટમતી, આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. આવી જ મઝાની બીજી એક ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. 

નમસ્કાર 

રશ્મિ જાગીરદાર



વિસ્તૃતિ…૩૮ જયશ્રી પટેલ


વિષ્ણુ પ્રસાદજીની આવારા મસીહામાંથી અને અનુવાદક શ્રી.હસમુખ દવે દ્વારા મળેલી શ્રી શરદચંદ્રના જીવનની અવનવી વાતો આપની સમક્ષ સંક્ષેપમાં રજૂ કરતા આનંદ અનુભવું છું .
મિત્રો, શરદબાબુના ભટકન પછી શાંતિનાં મૃત્યું પછી તેમના જીવનમાં બીજી કોઈ સ્ત્રી પ્રવેશી શકી નહોતી. હા ,સમાજ અને સમાજના લોકો તેને માટે ખૂબ જાતજાતની વાયકાઓ કરતાં કોઈકે કહ્યું હતું કે તે કોઈ નીચ જાતિની સ્ત્રી સાથે રહે છે ,તો કોઈ કહેતું તેનું નામ વિરાજ વહુ છે ,તો કોઈ કહેતું ના ના એનું નામ નયનતારા છે , તો વળી કોઈ કહેતું ના ભાઈ ના એનું નામ તો શશી તારા છે .કેટલાય ભદ્રલોક પોતાની જાતને એને અભદ્ર કહીને એ બાજુ જતા નહીં ,તો કેટલાક જતા તેના ઘરની બેઠકમાં જ બેસી નીકળી જતાં, ઘણાંને તો લાગતું કે ઘરની સજાવટ તો સ્ત્રીનાં હાથની જ છે ,પણ કોઈ ઘરમાં ડોકાવાની હિંમત કરતું નહીં. માઘોત્સવનો પર્વ આવતા ભજન કીર્તન માટે મૃદંગની જરૂર પડી એક ભજન ગાનારે કહ્યું કે શરદને ત્યાં મૃદંગ છે ત્યાંથી લઈ આવીશ .
જે લેવા આવ્યો હતો તે પણ પહેલીવાર આવ્યો હતો .તેણે શરદને પૂછ્યું કે મૃદંગ કોઈ આપી જશે કે ઉચકશે ?એવો પ્રશ્ન કર્યો ત્યારે રસોડામાંથી કોઈ સ્ત્રીનો કટાક્ષયુક્ત અવાજ સંભળાયો ,”જે લેવા આવ્યો છે તેને મૃદંગ ઉપાડવા માટે અન્ય કોઈની સહાયતાની શી જરૂર પડી ભલા ? આમ તો અવાજ સાંભળી અવાચક જ રહી ગયો . ના ,હા કર્યા વગર મૃદંગ લઈને ચાલ્યો ગયો .આ સ્ત્રી એટલે મોક્ષદા અને શરદચંદ્રની બીજીવારના પત્ની જેને તેવો હિરણ્યમયી કહેતા .
શાંતિ પછી બર્મામાં તેમના જીવનમાં ત્રણ વ્યક્તિ પ્રવેશી .જેમાની પહેલી વ્યક્તિ આ હિરણ્યમયી હતાં. નિર્દોષ સુખ આપનારા શુદ્ધ કંચન જેવા અંતરથી ઉજવળ . હિરણ્યમયીના પિતા કૃષ્ણદાસ અધિકારી બંગાળથી કમાવા જ પુત્રી સાથે રંગૂન આવ્યા હતા. ધીરે ધીરે શરદના પરિચયમાં આવ્યા .દીકરી મોક્ષદા માટે મુરતિયો શોધવાનું કામ શરદ પર આવી પડ્યું .આ કામ સફળ ન જ થયું. પત્તો ન જ ખાધો કોઈ મુરતિયાનો!આખરે તેમણે શરદને લગ્ન કરી લેવા કહ્યું ,પણ શરદનું અંતર મન શાંતિ પછી ક્યાંય લાગતું નહોતું જ .
તે અરસામાં શરદબાબુ ખૂબ બીમાર પડ્યા અને મોક્ષદાએ દિવસ રાત્ર તેમની સેવા કરી તેના પિતાએ તેને કહ્યું કે જો તમે મોક્ષદા સાથે નથી પરણવા માંગતા. તો થોડા રૂપિયા ઉધાર આપો. હું તેને દેશમાં લઈ જઈ પરણાવી દઉં મને ત્યાં એક જણ ઓળખે છે અને તૈયાર પણ છે .બે દિવસમાં તો શરદે મોક્ષદા સાથે લગ્ન કરી લેવાની તૈયારી બતાવી. ખૂબ જ સાદાયથી બંને પરણી ગયા કાયદાથી નહીં પણ અંતર મનથી બંને એકબીજાના થઈ ગયા.
શરદબાબુના જીવન મૂલ્યો ફરીથી બદલવા લાગ્યા. ફરી તેના મનમાં સૌંદર્ય ભાવના જાગી ,પ્રેમના ફૂલોથી ઘર મહેક્યું .એને પુસ્તક પર પ્રેમ હતો , તો પશુ પક્ષી પર પણ પ્રેમ હતો એ પ્રેમ ફરી જાગૃત થયો. આંગણામાં હિરણ્ય મયીએ તુલસી વાવી અને પાઠ પૂજા શરૂ થઈ .
સૌપ્રથમ એક મૈના પાળી હતી .તેને પ્યારથી ભૌના કહેતા હતા .શરદબાબુને તે મૃત્યુ પામી અને જાણે દિકરી મૃત્યુ પામી હોય તેવું દુઃખ થયું .ત્યારબાદ એક સિંગાપુરી કાકા- કૌવા પાળ્યો એનું નામ પાડ્યું બાટૂ બાબા .શરદ એ તેને બોલતા શીખવ્યું . રાત્રે વારંવાર ઊઠી તેને જમાડતો .એને માટે તો એણે ચાંદીનો સ્તંભ અને સોનાની સાંકળ, સ્પ્રિંગ વાળું ગોદડુ આ બધું તૈયાર કરાવ્યું ,રેશમી તકિયા અને ઓઢવાનું અને મચ્છરદાની ની વ્યવસ્થા કરી રાત્રે સાંકળ છોડી દેતો તો તે સ્તંભ પરથી નીચે ઉતરી મચ્છરદાનીની અંદર જઈ તકિયા પર માથું મૂકી સુઈ જતો. આ બાટૂ બાબા જેટલો સુંદર વ્હાલો હતો તેટલો બદમાશ પણ હતો. શરદબાબુ તેની ચાંચ ચૂમતા તો તે ગળગળો થઈ તેના ગાલ ઉપર પોતાનું મોઢું રગડતો .તે કંઈ નવા માણસને ઘરમાં ન પ્રવેશ કરાવા દેતો .એકવાર નોકરાણી ઘી ચોરી લઈ જતી હતી તો તેને સાંકળ તોડી તેની પર હુમલો કર્યો હતો તેને બચકાભરી ઘાયલ કરી દીધી હતી . એટલી વારમાં કામવાળી બાઈ પકડાઈ પણ ગઈ શરદના હાથે.
મૃત્યુ તો નક્કી જ હોય છે તેમ બાટૂ બાબા પણ મરી ગયો અને શરદની જિંદગીમાં ફરી અંધકાર છવાયો બહુ સમય ઘરમાં પુરાઈ રહ્યો તેની સોનાની સાંકળ જ તેને ગળામાં ફાંસો દઈ ગઈ હતી .તેના શોકમાં તો તે શોકાકૂળ ને નિરાશ બની ગયો .બાળક ગુજરી ગયો હોય તેટલો તેને શોક લાગ્યો હતો.
એકવાર કૂતરો પણ પાળ્યો તે દેશી ખુંખાર અને બિહામણો હતો અને અસભ્ય પણ .કોઈ ફકીરે હિરણ્ય દેવીને કહ્યું હતું કે આ કૂતરો ઘરે લઈ જાવ અને પાળો તમારું નસીબ ખીલી ઉઠશે ખરેખર નસીબ ખીલી ઉઠ્યું તે પણ કૂતરાને લીધે ! હિરણ્યમયીએ તેનું નામ “બંસી વદન” પાડ્યું હતું પરંતુ શરદે તેનું નામ રાખ્યું હતું. “ભેલી” આ કૂતરાને પણ શરદ ખૂબ પ્રેમ કરતો હતો.

મિત્રો ,આમ શરદ બાબુની જિંદગીમાં હિરણ્યમયી સાથે સાથે પશુ પંખીઓએ આનંદ અને પ્રેમની લહેરખી પ્રસરાવી .પોતાના વ્હાલા પશુ પંખીનાં મૃત્યુનો ખેદ પણ એમને એટલો જ રહ્યો.

મિત્રો,આવતા અંકમાં કંઈક આવી જ નવીન વાતો કરીશું અને જાણીશું શરદબાબુ વિશે.

અસ્તુ,
જયશ્રી પટેલ.
૧૩/૧૧/૨૨

jigisha -સંસ્પર્શ -youtubeસ્પર્શ -૩૯

સંસ્પર્શ -૩૯

મિત્રો,

આજે વાત કરવી છે એવી કે જે તમારા,મારા, દરેક કવિ,લેખક કે સામાન્ય માણસનાં માનસપટ પર પણ અનેક વાર આવી ગઈ હોય,તેવાં જ વિચારને રજૂ કરતાં ધ્રુવગીત ની. પહેલી બે પંક્તિમાં જ કવિ ધ્રુવ ભટ્ટ કહે છે,

 શું   હશે   પૂર્વમાં  ઊગતું  ને  પછી  પશ્ચિમે   આથમે   રોજ તે  શું  હશે

આ લીલા ચહુદિશે પાંગરી છે ઝીલી ગહન આકાશનો બોજ તે શું હશે

પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી પાંગરી રહેલી કુદરતને જોઈને સૌની જેમ ,કવિને પણ વિચાર આવે છે કે આ રોજ તેના નિત્યક્રમ મુજબ પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતા રવિનું રહસ્ય શું હશે? આ લીલીછમ ઓઢણી ઓઢીને બેઠેલ ધરા અને આ અસીમ આકાશનો ગુંબજ – આ અજાયબીઓ શું હશે?કુદરતની બધી કરામતો,અનોખી અજાયબીઓ એ શું હશે? આ વિચાર દરેક માનવને આવે છે. 

બીજી પંક્તિમાં ,કવિ સર્વત્ર પથરાએલ કુદરતી મહેરની ,અજાયબીની વાત કરી ,પોતાની અંદર ઊઠતી મોજની બીજી અજાયબીની વાત કરે છે,

ક્યાંક બારી અચાનક ખૂલી જાય ને સહજમાં લહેરખી જેમ આવી ચડી

ઊછળતા ઉદધિ સમ ઊઠતી છલકતી રણકતી મન મહીં મોજ તે શું હશે

ધ્રુવદાદા આ બે પંક્તિમાં તેમને પોતાને થયેલા સ્વાનુભવની વાત કરે છે.મનની અનોખી મોજ માણનાર કવિ કોઈક અદ્ભૂત ક્ષણોમાં તેમણે અનુભવેલ પરમાનંદની વાત કરી રહ્યાં છે, તે અનુભવને વર્ણવતા દરિયાનાં મોજાની જેમ તેમની ભીતર ઊઠેલ છલકતી,રણકતી મોજની વાત કરે છે અને પંક્તિમાં વર્ણવે છે કે એ અનાહતનો નાદની ઊછળતી છોળો શું હશે?પરમ ચૈતન્યનો એ આભાસ શું હશે? તેમ કવિ આશ્ચર્ય સાથેનાં આનંદને પ્રશ્નાર્થે રજૂ કરી રહ્યાં છે.આગળની પંક્તિમાં કવિ કહે છે,

કોઈ સંદર્ભ ક્યાં હોય છે ને છતાં અકળ દોરે રહી ગૂંથતું સર્વે

એકએકે કહી જાય છે કે તમે આ રહ્યા છો અને છો જ તે શું હશે 

ગંધ   પૃથ્વી   કને  રૂપ  હુતાશને  રસ  જળે   સંચરે  સ્પર્શ  મારુતને 

નાદ આકાશને જઈ મળે છે છતાં ક્યાંક રહી જાય છે કો’ક તે શું હશે

આપણને એ અણજાણ સર્જનહારનો કોઈ સંદર્ભ મળતો નથી. કોઈ અકળ અલૌકિક શક્તિ આપણને સૌને દોરી રહી છે. તે આપણને એકબીજા સાથે અનોખા બંધનમાં બાંધી રાખે છે , આપણને આપણી હસ્તીનું, અસ્તિત્વનું જ્ઞાન અને ભાન કરાવે છે ,પરતું એ અજ્ઞાતશક્તિને આપણે કોઈ જોઈ શકતા નથી. હા, પૃથ્વી ગંધને,રૂપ અગ્નિને,રસ જળને, સ્પર્શ પવનને અને નાદ આકાશને મળે છે અને આપણે પૃથ્વી ,અગ્નિ,જળ,આકાશ, વાયુ -આ પંચ તત્વોને જોઈ શકીએ છીએ પરતું આ સૌનો સર્જનહાર ક્યાં છે? અને કેવો હશે તેની વાત કવિ કરે છે. 

દર્શનોમાં ઘણું સંભવે પણ પછી આ નથી આ નથી ના નહીં એમ વદતા રહી 

હર દરશ પર દરશ સામટાં તે જૂએ ને કરે સામટું ફોક તે શું હશે

પળ વિશે નજરથી આ સરી જાય છે એક પળ દ્રષ્ટિમાં ભાસતું જે હતું 

સતત આ કોણનો પ્રશ્ન તે શું હશે આ સતત શું તણી ખોજ તે શું હશે

દર્શન કરતાં ઘણી સંભાવનાઓ લાગે ,પણ વેદાંત ‘ નેતિ નેતિ ‘ કરી પોકારે કે હું આ પણ નહીં, હું આ પણ નહીં કહે,તો એ સર્વત્ર છવાએલો છે પરતું દેખાતો નથી. અને આ સૃષ્ટિનો રચનાર અને સંહારક કયાં હશે? અને કેવો દેખાતો હશે? એમ કવિને વિચાર આવે છે.

છેલ્લે કવિ ખૂબ સરસ વાત કરે છે કે તેઓ પોતાની ભીતર તેને શોધવા પ્રયત્ન કરે છે ત્યારે એક પળ માટે ક્ષણિક સુખ આપીને જે દ્રષ્ટિમાંથી સરી ગયું તે શું હતું? તેમનું મન સતત આ કોણ તણી ખોજ કરી રહ્યું છે ?આમ પરમના એકએક સર્જનથી અભિભૂત થયેલ કવિ એ કોણ હશે? અને ક્યાં સંતાયો છે એ? તે આશ્ચર્ય ને આ કવિતામાં સહજતાથી રજૂ કરે છે.જે આપણને નરસિંહનાં ભજન –

“જાગીને જોઉં તો જગત દિસે નહીં ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે;”

“જીવ ને શિવ તે આપ -ઈચ્છાએ થયો,ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;”

ની યાદ અચૂક અપાવે છે.

આજે દેવદિવાળી એટલે ગુરુ નાનકની જન્મજયંતિ છે ત્યારે નાનક સાહેબે રચેલ શીખ ધર્મની મહાઆરતીની યાદ અપાવે છે.જે પરમની અનોખી રચનાની તેમાં વાત કરી છે.કુદરતી તત્વો દ્વારા કરાએલી નાનકસાહેબની શીખ સંપ્રદાયમાં ગવાતી મહાઆરતી ધ્રુવદાદાની આ કવિતા વાંચતાં જ યાદ આવે છે. 

આપણી ફિલ્મોનાં જાણીતાં અભિનેતા સ્વર્ગીય બલરાજ સહાની ૧૯૩૦ના દસકામાં શાંતિનિકેતનમાં ભણાવતાં હતા. એક દિવસ એમણે કવિવર રવિન્દ્રનાથ ટાગોરનેકહ્યું,” ગુરુદેવ આપે ભારતનું રાષ્ટ્રગીત તો લખ્યું ,તો આપ આંતરરાષ્ટ્રીય ગીત કેમ નથી લખતાં ? ત્યારે ટાગોરે હસીને કહ્યું,” આંતરરાષ્ટ્રીય ગીત તો ૧૬મી શતાબ્દીમાં શ્રી ગુરુ નાનકે લખી નાંખ્યું છે. ગુરુદેવનો સંકેત શીખ આરતી પર હતો ,જેનો બીજો અર્થ ‘પ્રકાશ પર્વ ‘પણ થાય છે. ગુરુદેવ આ આરતીથી એટલા પ્રભાવિત હતા કે તેમણે તેનો બંગાળીમાં અનુવાદ પણ કર્યો છે.

આજે પણ રહરાસ સાહિબનાં પાઠ પછી બધાં ગુરુદ્વારાઓમાં ગુરુદ્વારાનો રાગી રાગ ધનશ્રીમાં તેમના મધુર અવાજમાં આ આરતી ગાય છે. આ આરતી એવી અદ્ભૂત છે કે તે સંગીતનાં માધ્યમથી સીધા આપણને નિરાકાર સાથે જોડી દે છે. ગુરુનાનક કહે છે જો ભગવાન સર્વ શક્તિમાન છે અને સર્વવ્યાપ્ત છે ,તો હું થોડાક દીવાઓ અને થોડીક ધૂપસળીઓ જલાવીને એમની આરતી કેવીરીતે કરી શકું? અને આ મહાઆરતીનું સર્જન થયું. ગુરુનાનકની આરતીનો ભાવાર્થ આ પ્રમાણે છે,”આખું આકાશ એક મહાથાળ છે.સૂર્ય અને ચંદ્ર દીવા છે.તારા અને સૌરમંડલનાં ગ્રહો હીરામોતી છે.પૌરાણિક મેરુ પર્વત તેના ચંદનવૃક્ષ સાથેની ધૂપસળી છે.ચારે તરફ વહેતી ચંદનથી સુગંધીત હવા ભગવાનનો પંખો છે.નાનક સાહેબ આગળ ગાય છે,હે જીવોનાં જન્મ મરણ અને નાશ કરવાવાળા ,કુદરત કેવી સુંદર રીતે તારી આરતી ઉતારી રહી છે! બધાં જીવોમાં ચાલી રહેલી જીવન તરંગો જાણે તારા આરતી સમયે ઢોલ નગારાં વગાડી રહ્યાં છે. પ્રભુ ,આપ જ ભયનાશક છો.આપના પવિત્ર નામની અવ્યક્ત ધ્વનિ ચારેબાજુ હંમેશા ગુંજતી રહે છે. બધાં જીવોમાં વ્યાપક હોવાને કારણે તારી હજારો આંખો છે, પણ નિરાકાર હોવાને કારણે ,હે પરમ ,તારી કોઈ આંખ નથી. તારા હજારો ચહેરા છે પણ તારો કોઈ ચહેરો નથી.તારા હજારો સુંદર પગ છે પણ નિરાકાર હોવાને લીધે તારો એક પણ પગ નથી. તારા હજારો નાક છે પણ તું નાક વગરનો જ છું. તારા આવા ચમત્કારે મને હેરાન કરી નાંખ્યો છે! બધાં જીવોમાં એક જ એ પરમાત્માની જ્યોતિ પ્રગટી રહી છે. એ જ્યોતિનાં પ્રકાશથી જ બધાં જીવોમાં પ્રકાશ (સૂઝબૂઝ) છે.જે જીવ પ્રભુની રજામાં રહે છે એ પ્રભુની આરતી જ કરી રહ્યો છે.સદ્ગુરૂની કૃપાથી જ પરમજ્યોતિ ભીતરમાં પ્રગટ થઈ શકે છે.અને દરેકની અંદર પ્રગટેલી જ્યોતિ ભાવથી પરમની આરતી ઉતારે છે.

પંજાબી ભાષામાં આ આરતી,આવી રીતે ગુરુનાનકે ગાઈ છે.

ગગનમેં થાલ,રવિ ચંદ દિપક બને,તારકા મંડલ જનક મોતી।

ધૂપુ મલ આનલેા,પવણ ચવરો કરેં,સગલ વનરાઈ ફૂલન્ત જ્યોતિ,

કૈસી આરતી હોઈ ,ભવ ખંડના તેરી આરતી ॥

અનહત સબદ બાજંત ભેરી,સહસ તવ નૈન નન નૈન હહિ તોહિ

કઉ સહસ મૂરતિ નના એક તોહી। સહસ પદ બિમલ નન એક પદ ગંધ

બિનુ સહસ તવ ગંધ ઈવ ચલત મોહી॥સબ મહિ જોતિ જોતિ હૈ સોઈ।

તિસ દૈ ચાનણિ ,સભ મહિ ચાનણુ હોઈ॥ગુરુ સાખી જોતિ પરગટ હોઈ॥

જો તિસુ ભાવૈ સુ આરતી હોઈ॥

જિગીષા દિલીપ 

૮મી નવેમ્બર ૨૦૨૨

સંસ્પર્શ -૩૯

jigisha -સંસ્પર્શ -youtube

સ્પર્શ -૩૯

Posted on  by Jigisha Patel

સંસ્પર્શ -૩૯

મિત્રો,

આજે વાત કરવી છે એવી કે જે તમારા,મારા, દરેક કવિ,લેખક કે સામાન્ય માણસનાં માનસપટ પર પણ અનેક વાર આવી ગઈ હોય,તેવાં જ વિચારને રજૂ કરતાં ધ્રુવગીત ની. પહેલી બે પંક્તિમાં જ કવિ ધ્રુવ ભટ્ટ કહે છે,

 શું   હશે   પૂર્વમાં  ઊગતું  ને  પછી  પશ્ચિમે   આથમે   રોજ તે  શું  હશે

આ લીલા ચહુદિશે પાંગરી છે ઝીલી ગહન આકાશનો બોજ તે શું હશે

પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી પાંગરી રહેલી કુદરતને જોઈને સૌની જેમ ,કવિને પણ વિચાર આવે છે કે આ રોજ તેના નિત્યક્રમ મુજબ પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતા રવિનું રહસ્ય શું હશે? આ લીલીછમ ઓઢણી ઓઢીને બેઠેલ ધરા અને આ અસીમ આકાશનો ગુંબજ – આ અજાયબીઓ શું હશે?કુદરતની બધી કરામતો,અનોખી અજાયબીઓ એ શું હશે? આ વિચાર દરેક માનવને આવે છે. 

બીજી પંક્તિમાં ,કવિ સર્વત્ર પથરાએલ કુદરતી મહેરની ,અજાયબીની વાત કરી ,પોતાની અંદર ઊઠતી મોજની બીજી અજાયબીની વાત કરે છે,

ક્યાંક બારી અચાનક ખૂલી જાય ને સહજમાં લહેરખી જેમ આવી ચડી

ઊછળતા ઉદધિ સમ ઊઠતી છલકતી રણકતી મન મહીં મોજ તે શું હશે

ધ્રુવદાદા આ બે પંક્તિમાં તેમને પોતાને થયેલા સ્વાનુભવની વાત કરે છે.મનની અનોખી મોજ માણનાર કવિ કોઈક અદ્ભૂત ક્ષણોમાં તેમણે અનુભવેલ પરમાનંદની વાત કરી રહ્યાં છે, તે અનુભવને વર્ણવતા દરિયાનાં મોજાની જેમ તેમની ભીતર ઊઠેલ છલકતી,રણકતી મોજની વાત કરે છે અને પંક્તિમાં વર્ણવે છે કે એ અનાહતનો નાદની ઊછળતી છોળો શું હશે?પરમ ચૈતન્યનો એ આભાસ શું હશે? તેમ કવિ આશ્ચર્ય સાથેનાં આનંદને પ્રશ્નાર્થે રજૂ કરી રહ્યાં છે.આગળની પંક્તિમાં કવિ કહે છે,

કોઈ સંદર્ભ ક્યાં હોય છે ને છતાં અકળ દોરે રહી ગૂંથતું સર્વે

એકએકે કહી જાય છે કે તમે આ રહ્યા છો અને છો જ તે શું હશે 

ગંધ   પૃથ્વી   કને  રૂપ  હુતાશને  રસ  જળે   સંચરે  સ્પર્શ  મારુતને 

નાદ આકાશને જઈ મળે છે છતાં ક્યાંક રહી જાય છે કો’ક તે શું હશે

આપણને એ અણજાણ સર્જનહારનો કોઈ સંદર્ભ મળતો નથી. કોઈ અકળ અલૌકિક શક્તિ આપણને સૌને દોરી રહી છે. તે આપણને એકબીજા સાથે અનોખા બંધનમાં બાંધી રાખે છે , આપણને આપણી હસ્તીનું, અસ્તિત્વનું જ્ઞાન અને ભાન કરાવે છે ,પરતું એ અજ્ઞાતશક્તિને આપણે કોઈ જોઈ શકતા નથી. હા, પૃથ્વી ગંધને,રૂપ અગ્નિને,રસ જળને, સ્પર્શ પવનને અને નાદ આકાશને મળે છે અને આપણે પૃથ્વી ,અગ્નિ,જળ,આકાશ, વાયુ -આ પંચ તત્વોને જોઈ શકીએ છીએ પરતું આ સૌનો સર્જનહાર ક્યાં છે? અને કેવો હશે તેની વાત કવિ કરે છે. 

દર્શનોમાં ઘણું સંભવે પણ પછી આ નથી આ નથી ના નહીં એમ વદતા રહી 

હર દરશ પર દરશ સામટાં તે જૂએ ને કરે સામટું ફોક તે શું હશે

પળ વિશે નજરથી આ સરી જાય છે એક પળ દ્રષ્ટિમાં ભાસતું જે હતું 

સતત આ કોણનો પ્રશ્ન તે શું હશે આ સતત શું તણી ખોજ તે શું હશે

દર્શન કરતાં ઘણી સંભાવનાઓ લાગે ,પણ વેદાંત ‘ નેતિ નેતિ ‘ કરી પોકારે કે હું આ પણ નહીં, હું આ પણ નહીં કહે,તો એ સર્વત્ર છવાએલો છે પરતું દેખાતો નથી. અને આ સૃષ્ટિનો રચનાર અને સંહારક કયાં હશે? અને કેવો દેખાતો હશે? એમ કવિને વિચાર આવે છે.

છેલ્લે કવિ ખૂબ સરસ વાત કરે છે કે તેઓ પોતાની ભીતર તેને શોધવા પ્રયત્ન કરે છે ત્યારે એક પળ માટે ક્ષણિક સુખ આપીને જે દ્રષ્ટિમાંથી સરી ગયું તે શું હતું? તેમનું મન સતત આ કોણ તણી ખોજ કરી રહ્યું છે ?આમ પરમના એકએક સર્જનથી અભિભૂત થયેલ કવિ એ કોણ હશે? અને ક્યાં સંતાયો છે એ? તે આશ્ચર્ય ને આ કવિતામાં સહજતાથી રજૂ કરે છે.જે આપણને નરસિંહનાં ભજન –

“જાગીને જોઉં તો જગત દિસે નહીં ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે;”

“જીવ ને શિવ તે આપ -ઈચ્છાએ થયો,ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;”

ની યાદ અચૂક અપાવે છે.

આજે દેવદિવાળી એટલે ગુરુ નાનકની જન્મજયંતિ છે ત્યારે નાનક સાહેબે રચેલ શીખ ધર્મની મહાઆરતીની યાદ અપાવે છે.જે પરમની અનોખી રચનાની તેમાં વાત કરી છે.કુદરતી તત્વો દ્વારા કરાએલી નાનકસાહેબની શીખ સંપ્રદાયમાં ગવાતી મહાઆરતી ધ્રુવદાદાની આ કવિતા વાંચતાં જ યાદ આવે છે. 

આપણી ફિલ્મોનાં જાણીતાં અભિનેતા સ્વર્ગીય બલરાજ સહાની ૧૯૩૦ના દસકામાં શાંતિનિકેતનમાં ભણાવતાં હતા. એક દિવસ એમણે કવિવર રવિન્દ્રનાથ ટાગોરનેકહ્યું,” ગુરુદેવ આપે ભારતનું રાષ્ટ્રગીત તો લખ્યું ,તો આપ આંતરરાષ્ટ્રીય ગીત કેમ નથી લખતાં ? ત્યારે ટાગોરે હસીને કહ્યું,” આંતરરાષ્ટ્રીય ગીત તો ૧૬મી શતાબ્દીમાં શ્રી ગુરુ નાનકે લખી નાંખ્યું છે. ગુરુદેવનો સંકેત શીખ આરતી પર હતો ,જેનો બીજો અર્થ ‘પ્રકાશ પર્વ ‘પણ થાય છે. ગુરુદેવ આ આરતીથી એટલા પ્રભાવિત હતા કે તેમણે તેનો બંગાળીમાં અનુવાદ પણ કર્યો છે.

આજે પણ રહરાસ સાહિબનાં પાઠ પછી બધાં ગુરુદ્વારાઓમાં ગુરુદ્વારાનો રાગી રાગ ધનશ્રીમાં તેમના મધુર અવાજમાં આ આરતી ગાય છે. આ આરતી એવી અદ્ભૂત છે કે તે સંગીતનાં માધ્યમથી સીધા આપણને નિરાકાર સાથે જોડી દે છે. ગુરુનાનક કહે છે જો ભગવાન સર્વ શક્તિમાન છે અને સર્વવ્યાપ્ત છે ,તો હું થોડાક દીવાઓ અને થોડીક ધૂપસળીઓ જલાવીને એમની આરતી કેવીરીતે કરી શકું? અને આ મહાઆરતીનું સર્જન થયું. ગુરુનાનકની આરતીનો ભાવાર્થ આ પ્રમાણે છે,”આખું આકાશ એક મહાથાળ છે.સૂર્ય અને ચંદ્ર દીવા છે.તારા અને સૌરમંડલનાં ગ્રહો હીરામોતી છે.પૌરાણિક મેરુ પર્વત તેના ચંદનવૃક્ષ સાથેની ધૂપસળી છે.ચારે તરફ વહેતી ચંદનથી સુગંધીત હવા ભગવાનનો પંખો છે.નાનક સાહેબ આગળ ગાય છે,હે જીવોનાં જન્મ મરણ અને નાશ કરવાવાળા ,કુદરત કેવી સુંદર રીતે તારી આરતી ઉતારી રહી છે! બધાં જીવોમાં ચાલી રહેલી જીવન તરંગો જાણે તારા આરતી સમયે ઢોલ નગારાં વગાડી રહ્યાં છે. પ્રભુ ,આપ જ ભયનાશક છો.આપના પવિત્ર નામની અવ્યક્ત ધ્વનિ ચારેબાજુ હંમેશા ગુંજતી રહે છે. બધાં જીવોમાં વ્યાપક હોવાને કારણે તારી હજારો આંખો છે, પણ નિરાકાર હોવાને કારણે ,હે પરમ ,તારી કોઈ આંખ નથી. તારા હજારો ચહેરા છે પણ તારો કોઈ ચહેરો નથી.તારા હજારો સુંદર પગ છે પણ નિરાકાર હોવાને લીધે તારો એક પણ પગ નથી. તારા હજારો નાક છે પણ તું નાક વગરનો જ છું. તારા આવા ચમત્કારે મને હેરાન કરી નાંખ્યો છે! બધાં જીવોમાં એક જ એ પરમાત્માની જ્યોતિ પ્રગટી રહી છે. એ જ્યોતિનાં પ્રકાશથી જ બધાં જીવોમાં પ્રકાશ (સૂઝબૂઝ) છે.જે જીવ પ્રભુની રજામાં રહે છે એ પ્રભુની આરતી જ કરી રહ્યો છે.સદ્ગુરૂની કૃપાથી જ પરમજ્યોતિ ભીતરમાં પ્રગટ થઈ શકે છે.અને દરેકની અંદર પ્રગટેલી જ્યોતિ ભાવથી પરમની આરતી ઉતારે છે.

પંજાબી ભાષામાં આ આરતી,આવી રીતે ગુરુનાનકે ગાઈ છે.

ગગનમેં થાલ,રવિ ચંદ દિપક બને,તારકા મંડલ જનક મોતી।

ધૂપુ મલ આનલેા,પવણ ચવરો કરેં,સગલ વનરાઈ ફૂલન્ત જ્યોતિ,

કૈસી આરતી હોઈ ,ભવ ખંડના તેરી આરતી ॥

અનહત સબદ બાજંત ભેરી,સહસ તવ નૈન નન નૈન હહિ તોહિ

કઉ સહસ મૂરતિ નના એક તોહી। સહસ પદ બિમલ નન એક પદ ગંધ

બિનુ સહસ તવ ગંધ ઈવ ચલત મોહી॥સબ મહિ જોતિ જોતિ હૈ સોઈ।

તિસ દૈ ચાનણિ ,સભ મહિ ચાનણુ હોઈ॥ગુરુ સાખી જોતિ પરગટ હોઈ॥

જો તિસુ ભાવૈ સુ આરતી હોઈ॥

જિગીષા દિલીપ 

૮મી નવેમ્બર ૨૦૨૨

.

ગંધ