અવલોકન-૬-ઘંટી –

millstone

      આવી  ઘંટી જોયે તો દસકા વીતી ગયાં – છેલ્લી એ ક્યારે જોયેલી એ યાદ પણ નથી. સોરી! એ તો ભુલાઈ જ ગયું કે, અમેરિકા આવ્યા પહેલાં નોકરી કાળમાં સાબરમતી પાવર હાઉસની કોલોનીમાં રહેતાં હતાં, અને ઘેર જ ઇલેક્ટ્રિક ઘરઘંટી હતી!  એને જોયે પણ સત્તર વર્ષ વીતી ગયાં. હવે તો કદીક દેશમાં જઈએ તો નજીકની કરિયાણાની દુકાનેથી લોટ જ લાવીએ છીએ. એ અમેરિકન રીત દેશવાસીઓએ પણ અપનાવી લાગે છે!

      તો પછી ઘંટી વિશે અવલોકન કેમ?

     વાત જાણે એમ છે કે, કલ્પના બહેન રઘુ કોઈને કોઈ જૂનો શબ્દ યાદ કરી, એના વિશે સંશોધન કરી, સરસ મજાના લેખ લખે છે.  એવો એક લેખ ‘ઘંટી’ વિશે તેમણે લખેલો – આ રહ્યો. આ જણને આમેય શબ્દ વિશેની રમતો ગમે છે. એમાં આમ જૂના શબ્દોને યાદ કરવાની તેમની પ્રવૃત્તિ ગમી છે. ઘંટી વિશેના તેમના લેખમાં યાદ ઉમેરવાની પણ બહુ મજા આવી. પણ એ પછી દાવડા ભાઈએ એ ચર્ચાને સરસ મજાનો વળાંક આપ્યો .

       એમનો પ્રતિભાવ આ રહ્યો ..

   “ચલતી ચાકી દેખકે, દિયા કબીરા’ રોય,
દો પાટનકે બીચમે બાકી બચા કોય.”

        અને બાપુ! આપણી અવલોકન યાત્રા શરૂ થઈ ગઈ.

       ઘંટી જેવા કાળના ચક્રના પડ વચ્ચે પીસાતા, રીબાતા,  માનવજીવનની યાતના વિશે કબીરજીનો આ દોહો બહુ જ જાણીતો છે. એવી જ માનવજીવનની યાતનાઓનું પ્રતીક ઘાંચીની ઘાણીનો બળદ છે. એ રૂપકમાં  પણ આપણા રગશિયા, એકધારા, બીબાંઢાળ જીવન પર આક્રોશ છે. ગરીબાઈની રેખાથી નીચે જીવતા માનવજંતુઓની વેદના તો એમાં પ્રતિબિંબિત થાય જ છે. પણ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો પણ એમાંથી બાકાત નથી. સૌ કોઈ ને કોઈ જાતની ઘંટીમાં ફસાયેલા હોય છે. બધા એમના બીબાંઢાળ જીવનથી ત્રસ્ત જોવા મળે છે. શહેનશાહથી સિપાઈ સુધી કોઈને ય  જીવે જંપ નથી.

     આમ કેમ છે? એનો ઉકેલ શો? એ પ્રશ્નો એટલા તો મોટા છે કે, એના પર શાસ્રોના ઢગલે ઢગલા લખાયા છે. મોટા ભાગની ફિલસુફીઓ, ધર્મો, સમ્પ્રદાયો આ હકીકતના કારણે ઉદભવ્યાં છે. કેટકેટલી કવિતાઓ અને ગઝલો?

Our sweetest songs are those,
that tell of sorrow.

    એ બધાંનો કોમન ફેક્ટર – ‘એમાંથી શી રીતે ઉગાર થઈ શકે?’ એ માટે જાતજાતના નૂસખાઓ શોધાયા!  પછી ‘આપણો નૂસખો શ્રેષ્ઠ’ એનો  વળી નવો વિવાદ. ઢગલાબંધ ચર્ચાઓ અને યુદ્ધો. નવી જાતની ઘંટીઓ અને  ઘાણીઓ. હાથથી ફરતી ઘંટીની જગ્યાએ ઈલેક્ટ્રિક ઘરઘંટી આવી- એટલો જ ફરક !

પણ પીસાવાનું તો એમનું એમ  જ રહ્યું.

બોલો! તમે એ માટે કોઈ નવો નૂસખો બતાવી શકો એમ છો?  

૯ – શબ્દના સથવારે – પાલવ – કલ્પના રઘુ

પાલવ

પાલવ એટલે પહેરેલા સાલ્લાનો લટકતો છેડો. દુપટ્ટો, પાઘડીનો કસબી છેડો, આશરો, શરણ. પાલવે (પલ્લે) પડવું એટલે કોઇનાં આશરે જવું. વ્યક્તિને દૂર કરવા માટે મારો ‘પાલવ છોડ’ અથવા ‘છેડો છોડ’ શબ્દ વપરાય છે.

 પાલવ એ તો ગુજરાતી સાડી પહેરેલી ગુજરાતણની ઓળખાણ છે. પરંપરાગત સાડીઓ, પછી તે બનારસી, કાંજીવરમ કે પટોળુ હોય, તેના પાલવનો મુખ્ય ઉદ્દેશ, સાડીને સુંદરતા અને ભવ્યતા બક્ષવાનો છે. પતિને સંબોધીને ગવાયેલ ગરબાના શબ્દો યાદ આવે છે. ‘પાલવ પ્રાણ બીછાવજો રે, પાટણથી પટોળા મોંઘા લાવજો.’ પાલવની પ્રીતને અનુભવવા પ્રભુને કનૈયો થઇને અવતાર લેવો પડયો’તો. પ્રભુને પ્રેમથી પોઢાડવા મા જશોદા પાલવનો ઉપયોગ કરતાં અને લાલજીને જયારે ભૂખ લાગે ત્યારે માનો પાલવ પકડતાં. સૌને બાંધનાર જશોદાનો જાયો, જશોદાના પાલવની નાનીશી ગાંઠે ગંઠાતો. આમ પુષ્ટિમાર્ગમાં કાન-જશોદાને પ્રેમથી સાંકળનાર પાલવ છે. દ્રૌપદીએ તેના પાલવની કોર ફાડીને શ્રીકૃષ્ણની લોહી નીતરતી આંગળીએ બાંધી હતી. બદલામા પ્રભુએ ભરી સભામાં તેનાં ચીર પૂર્યાં હતાં તે ક્યાં અજાણ્યું છે?

આ પાલવ, સ્ત્રીની લાજની રક્ષા કરે છે. એક મા, તેની જુવાન દીકરીને પાલવ સંકોરીને ચાલવાની સલાહ અચૂક આપશે. પહેલાની સ્ત્રી ચૂલા પરથી ગરમ વાસણ ઉતારવા માટે કે લારીમાંથી શાકભાજી કે બાગમાંથી ફળ-ફૂલ એકઠા કરવા ઝોળી તરીકે પાલવનો ઉપયોગ કરતી. સીમંત વખતે પાલવમાં ચોખા ભરીને ખોળો ભરવામાં આવે છે. ઇશ્વર પાસે ખોળો પાથરીને માંગણી કરતી સ્ત્રી તેનો પાલવ જ પ્રસારે છે.

પાલવ શબ્દમાં ‘લવ’ સમાયેલો છે. તેમાંથી પ્રીત નીતરે છે, ટપકે છે. થાકેલો પતિ રાત્રે પત્નીના ખોળામાં પાલવ તળે હૂંફ અનુભવે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારબાદ પતિ એટલેકે બાળકનો પિતા આ પાલવને અમુક સમય માટે છૂટો મૂકીને તેને બાળકનું છત્ર બનાવે છે. અને આ પાલવ તળે બાળક સુરક્ષીતતાનો અનુભવ કરે છે. મા ગરીબ હોય કે ધનિક, પાલવ ફાટેલો, ચીરાયેલો હોય કે કુંદન, મોતીથી જડીત હોય … માનો પાલવ તો તેના સંતાન માટે એકધારી પ્રીતથી જ ભીંજાયેલો હશે. મા જયારે સ્તનપાન કરાવે છે ત્યારે બાળક પર પાલવ ઓઢાડે છે અને બાળક નિશ્ચિંત થઇને પાલવની આડમાં, માની સોડમાં બ્રહ્માંડનું સુખ માણે છે. આ વખતે મા અને બાળકનો નાતો દુનિયાનો સર્વ શ્રેષ્ઠ નાતો હોય છે. મા તેના માતૃત્વની ચરમ સીમાએ હોય છે કારણકે તે તેના બાળકને દુન્યવી નજરથી બચાવીને તેને અમૃત સિંચન કરી રહી હોય છે. નાનુ બાળક રોતુ હોય છે ત્યારે એના આંસુ લૂછવા માતાની સાડીનાં પાલવ જેવી કોઇ અકસીર દવા નથી. આ જાદુઇ પાલવમાં બાળકના બાળપણની સમગ્ર યાદો સમેટાયેલી હોય છે.

બાળક મોટું થતુ જાય છે તેમ પાલવ છૂટતો જાય છે. પાછો તે પતિની સાથે જોડાય છે અને બાળક પર સુક્ષ્મ દેહે છાયા બનીને રહે છે. તેનું સ્વરૂપ બદલાય છે. હવે તે પાલવમાંથી આશિર્વાદ સ્વરૂપે તેના પર વરસે છે. બાળક યુવાનીમાં પ્રવેશીને પરણે છે ત્યારે સાસુ માંડવે પાલવ આડો કરીને વરરાજાને પોંખે છે. ચોરીમાં નવવધુના પાલવ સાથે તેના ગઠબંધન થાય છે આમ પાલવ સાથેનો નાતો ચાલુ જ રહે છે … પરંતુ પતિ-પત્નીમાંથી એકનું મૃત્યુ થાય છે અથવા છૂટાછેડા થાય છે ત્યારે પાલવનું ગઠબંધન છૂટે છે પરંતુ પાલવમાં ધરબાયેલી યાદો કયારેક ફૂટી નિકળે છે. ભારતીય સંસ્કૃતિની સ્ત્રી પાલવથીજ પુરૂષને જીતાડે છે અને જીવાડે છે કારણકે લોહીના અને લાગણીના સંબંધોને સાંધનાર પાલવ હોય છે.

અત્યારની પેઢીને પાલવ કોને કહેવાય તે ક્યાં ખબર હશે કારણ કે આધુનિક સ્ત્રીએ પાલવને પ્રસંગોપાત જ ધારણ કરવામાં અને ફેશનમાં તેને સ્થાન આપ્યું છે. પાલવ ભીની પ્રીતની કહાણી ચાલુ છે … માત્ર પરિભાષા બદલાઇ છે. જયાં સુધી મા થકી બાળકનો જન્મ થશે અને મા-સંતાનનું અનુસંધાન ચાલુ રહેશે ત્યાં સુધી સૌ પાલવ ભીની પ્રીતનો અનુભવ કરશેજ. પરંતુ કળીયુગનું કડવું સત્ય અને વર્તમાન સમયની વાસ્તવિકતા અને કરૂણતા એ છે કે મા જે પાલવથી બાળકના આંસુ લૂછતી હતી એ પાલવ માના આંસુડે ભીંજાવા માંડયો છે!

અહેવાલ – ‘બેઠક’ નવેમ્બર ૨૪, ૨૦૧૭ – કલ્પના રઘુ

અહેવાલ

નવેમ્બર ૨૪ના રોજ મીલપીટાસ, કેલીફોર્નીયાની ICCમાં વર્ષ ૨૦૧૭ની છેલ્લી ‘બેઠક’ મળી. થેંક્સ-ગીવીંગ અને બ્લેક-ફ્રાઇડેના માહોલમાં ૨૨ સભ્યોની હાજરીમાં સૌએ ‘હજી મને યાદ છે’ વિષય પર બોલીને જૂની યાદોની લ્હાણી કરી. શરૂમાં પોટલક ડીનર પછીબેઠકની શરૂઆત થઇ. આજે દીપીકાબેન શેઠની વર્ષગાંઠ હતી. બધાએ તેમના સુખી અને તંદુરસ્ત જીવનની શુભેચ્છા પાઠવી. તેમના હાથે બનાવેલા રસગુલ્લા માણ્યાં.x_DSC0269

 કલ્પના રઘુએ બેઠકના ગુરુ દાવડાસાહેબ અને તરુલતાબેનને આમંત્રિત કરીને સ્તુતિ ગાઇને બેઠકની શરૂઆત કરી. આયોજક પ્રજ્ઞા દાદભાવાલાની અનુપસ્થિતિમાં તેમની ફોન પરની શુભેચ્છા સાથે અને મુ. પ્રતાપભાઇનાં શુભેચ્છા સંદેશ સાથે કલ્પના રઘુએ સૌને થેંક્સ ગીવીંગના હીસાબે ઇશ્વર, માતા-પિતા, ગુરૂજી, દેશ-કાળ, પોતાના સાથી, બેઠક, પ્રજ્ઞાબેન, પ્રતાપભાઇ અને પોત-પોતાનો આભાર માનવા જણાવ્યું. રાજેશભાઇની ગેરહાજરીની સૌએ નોંધ લીધી.

x_DSC0274x_DSC0278x_DSC0282x_DSC0294

દાવડા સાહેબે આજના વિષય અંગે રજૂઆત કરી. પોતાના જીવનના વળાંકની અંગત ઘટનાની ચર્ચા કરી જે હ્રદયસ્પર્શી હતી. જયવંતિબેને ‘ઋણ’ વાર્તા અંગે જીવનમાં આપણે કોઇનું ઋણ ક્યારે ચૂકવીએ છીએ તેની તેમના જીવનમાં બનેલી ઘટના વાંચી સંભળાવી. જીગીશાબેન તેમના સગા ભાઇ સાથેની ‘અબોલ’ની સંવેદનાની વાત કહી જે કરૂણ હતી. ત્યારબાદ દર્શના વારિયાએ ‘કુટુંબ એટલે ફ્રુટ જ્યુસ નહીં પણ સલાડ. મા સલાડ પર ડ્રેસીંગનુ કામ કરી દરેકની જરૂરીયાત પૂરી કરે છે’. આમ કહી ‘મા’ને ખૂબ હળવી રીતે યાદ કરી વાતાવરણને હળવું બનાવ્યું. ત્યારબાદ અમીતા ધારિયાએ ‘કબૂતરની ઊડાન’ વાર્તા વાંચી સંભળાવી. પતંગની દોરીમાં ફસાયેલા કબૂતરની ઊડાન તેમણે કેવી રીતે પાછી આપી! આ વાત બોધદાયક હતી. કુંતાબેને તેમની સંવેદનશીલ વાત કહી તો સતીશભાઇએ તેમના જીવનમાં બનેલા જીવલેણ અકસ્માતનુ તાદ્રશ્ય વર્ણન કર્યું. મોઢા પર આવેલા ૨૬ ટાંકા છતાં કેવી રીતે બચી ગયાં! તો વળી દીલિપભાઇએ ભાષા વાંચીએ છે કે લખાણ? તે કહીને લોકોને વિચાર કરતાં મૂક્યા.

This slideshow requires JavaScript.

દરેક વાતને અંતે, બન્ને ગુરુના અભિપ્રાયથી દરેકને શીખવા મળતું. તરુલતાબેને કહ્યું, ‘કેટલાક બનાવો યાદ રાખવા તો કેટલાક ભૂલી જવાના. દરેક વાતમાં આપણે સંકળાયેલા હોવા જરૂરી છે. શબ્દ પુરુષ છે તો વાણી સ્ત્રી છે. શબ્દથી વાણી બને છે’. તેમણે પોતાની વાર્તા ‘એક માની આંતરડી’ વિષે કહ્યું. નહીં આવેલાની લખીને મોકલેલી વાર્તાની ચર્ચા કરી. ‘બેઠક ચાલશે નહીં પણ દોડશે’ એવા આશીર્વાદ આપ્યા. સૌ બેઠકમાં ખૂલ્લા થઇને હળવા બન્યા. છેલ્લે દાવડાસાહેબે જોક કહીને બધાને હસાવ્યા.

ક્યારેય નહીં લખનારે બોલીને ભાગ લીધો અને કેટલાંકે શ્રોતા બનીને સહકાર આપ્યો. દરેક વોલન્ટરે સાથ અને સહકાર આપ્યો. રઘુભાઇએ આખા પ્રસંગને કેમેરામાં કંડાર્યો. કલ્પના રઘુએ આભારવિધિ કરી. લોંગ વિકએન્ડમાં બેઠક રખાતી હશે તેવું વિચારનારને તેનો જવાબ મળી ગયો. આનંદ, યાદો, જ્ઞાનની વહેંચણી, મન અને ખોરાકના જમણવાર સાથે તૃપ્તિનો ઓડકાર લઇને સૌ છૂટા પડ્યા.

કલ્પના રઘુ

અભિવ્યક્તિ -૮-ભેરૂમલનો ખુમચો-અનુપમ બુચ

ભેરૂમલનો ખુમચો
નાના-મોટા શહેરોના બિઝી ચાર રસ્તાની ફૂટપાથનો એક ખૂણો હોય કે કોઈ બંધ દૂકાનનો વળાંક, ભેરૂમલ ખુમચો લઈને ઉભો હોય. બે દિ’થી નાહ્યા વિનાનો, બંને કાનમાં મેલ ભરાયેલ સોનાની બુટ્ટી, ગાળામાં મંત્રેલું માદળિયું, સૂરમો કે કાજળ આંજી આંખો, ત્રાંસા ખીસાવાળું ખાદીનું બાંડિયું, ગોઠણ સુધીની મેલી ધોતી. મોઢા પર કોઈ ભાવ જ નહિ. કોઈ ચાલી કે છાપરામાં એક રૂમમાં પાંચ જણા સાથે રહીને બે જ કામ કરતો રહે છે, પાણી પૂરી વેચવાનું અને જીવવાનું.
ફૂટપાથના ખૂણા પર ભજવાતું આ જીવંત દ્રશ્ય આપણા દેશનો અરીસો છે.
વહેલી સાંજનો તડકો ઢળે એ પહેલાં એ ખૂણાની આસપાસ ભેરુમલની રાહ જોઈને પાંચચ-છ નગરજનો પાણીપૂરી માટે ટળવળે છે. એમની જીભ સળવળે છે. એમ જ કહોને કે એમને ભેરૂમલની પાણીપૂરીનું બંધાણ છે. ભેરૂમલ આ દૂનિયાનો એક માત્ર વેપારી એવો હશે જે કસ્ટમર્સની રાહ નથી જોતો હોતો,  કસ્ટમર્સ એમની રાહ જોતા હોય છે. બસ, ભેરૂમલ હળવેકથી ખુમચો ગોઠવી ઊભી જાય છે અને પાણીપૂરી ભૂખ્યા કાયમી ઘરાકોની આંખોમાં ચમક આવે છે.
ખૂમચો એટલે ભેરુમલની માલિકીની ખુલ્લી દુકાન. નેતરનું હલકું-ફૂલકું સ્ટેન્ડ, ઊપર ગોઠવેલ થાળા પર પતરાના ડબ્બામાંથી કાપેલ અર્ધ ગોળાકાર કવર પર ઘસાયેલ લાલ અક્ષરમાં વંચાય છે, ‘जय भोले पकोड़ी सेंटर’. આ એમનું બ્રાન્ડિંગ. રસ્તા પરથી પૂરીનો ઢગલો સ્પષ્ટ દેખાય છે. લાલ કપડું વીંટાળેલ મોટા માટલાની અંદર જાદુઈ પાણી ભર્યું છે. આ પાણી કે. લાલના ‘વોટર ઓફ ઈન્ડિયાની જેમ કદિ’ ખૂટતું જ નથી હોતું. બાજુમાં મોટી પ્લાસ્ટિકની થેલીઓમાં ઘૂઘરા જેવી પૂરીનો ભરપૂર સ્ટોક કરેલો છે. નાના-મોટા ડબ્બાઓમાં તીખી, ખાટી ચટણી, ‘ઉચ્ચ ક્વોલિટી’ના બાફેલ બટેટાં ચણા,  ઝીણી સમારેલી ડુંગળી અને કોરો મસાલો ભર્યા છે. ત્રણ ફૂટ દૂર નળવાળા કેરબામાં હાથ ધોવાનું અને સિસકારો બોલાવતા ઘરકો માટે પીવાનું પાણી ભર્યું છે.
અને બોણી શરૂ થાય છે. ભેરૂમલ ચાર જણને કાગળના પડિયા આપે છે. ઘડો ‘ડખળડખળ’ કરે છે ત્યારે ઊઠતો ધ્વનિ ટ્રાફિકના અવાજમાં પણ જૂદો તરી આવે છે. ભેરૂમલના અંગૂઠાના કાળા નખથી પૂરી ફોડવાનો અવાજ પણ જાણે જપતાલ! એક ચિત્તે પૂરી ફોડવી, બટેટા-ચણાના માવાથી ભરવી અને માટલામાં ઝબોળવી, બધું યંત્રવત ચાલે છે અને ભેરુમાંલના હાથ તરફ આઠ આંખો સ્થિર હોય છે. ઘરકો એક પછી એક ભિક્ષાપાત્રની જેમ પકડેલા પડિયાવાળો હાથ લંબાવે છે અને ભેરૂમલ તીખ પાણીથી છલકતી પૂરી મૂકે જાય છે. કોઈને આજુબાજુ શું બને છે એની કોઈને પડી જ નથી હોતી. બસ, એટેક અને સિસકારા!
કોઈ કહે છે, ‘થોડા ઓર તીખા બનાઓ’ કોઈ કહે, ‘થોડા મીઠા’. કોઈ કહે છે, ‘પ્યાજ જ્યાદા, ભૈયા!’ કોઈ પાણીપૂરી ગણીને ખાય છે કારણ કે ગણતરીના પૈસા લઈને આવ્યા હોય છે. અનલિમિટેડ પાણીપૂરી ખાનારની પૂરી ભેરૂમલ ગણતો હોય છે. આંખ લાલ ન થાય અને નાકમાંથી પાણીના ટીપાં ન પડે ત્યાં સુધી હાથ લંબાયા કરે છે. ‘કિતની હૂઈ?’ ‘બીસ’. અને એ ઘરાક ડોકું ધૂણાવી હા કે ના પાડે છે. એક પૂરી મોઢામાં મૂકી બીજી પૂરીના વારાની રાહ જોતા ઘરકોનું ડિસીપ્લીન દાદ માગી લે એવું છે. ભેરૂમલ વચ્ચે વચ્ચે ભીના હાથે બંડીના ખીસામાં રૂપિયાની નોટો નાખતો જાય છે. પીસ ગણવાની ક્યા ફૂરસત છે?
અનુભવી ‘ખવૈયા’ની ડોક  કપડાં પર સિક્રેટ પાણીના છાંટા ઊડે નહીં માટે જિરાફની જેમ લંબાય છે. એ કૃષ્ણએ જસોદાજીને મોં ખોલીને બ્રહ્માંડ બતાડ્યું’તું એટલું મોં ફાડે છે. કોઈ દસ પૂરી ખાઈને ડોકું ધૂણાવી ભેરૂમલને ઇશારાથી ‘હવે મારે બસ’ કહે છે અને પોતાના હક્કની કોરી પૂરી લઇને ચાલતી પકડે છે.
એમાં બે-ત્રણ તો એવા ચીટકુ છે કે પાછળ રાહ જોઇને ઊભેલા બીજા ઘરાકની ધીરજ ખૂટી જાય છે. ઝટ પડિયો હેઠો ન મૂકતા ગ્રુપ તરફ કોઈ પાણીપૂરી ભૂખ્યો ઘરાક દુશ્મનની નજરે તીરછી નજરે જોયા કરે છે, જાણે ન કહેતો ન હોય, ‘હવે બસ કર ગાંડીના, અમે અહીં ક્યારના લબડિયે છીએ’. એમનું ચાલે તો કદાચ ગુસ્સામાં કાંઠલો પકડે કે નાકમાંથી લોહી પણ કાઢે! ભેરૂમલ થોડી થોડી વારે માટલાનું મોઢું ખોલી લાકડાની જાદુઈ સ્ટિકથી ‘તામસી’ પાણીનું સમુદ્રમંથન કરી લે છે. ભેરૂમલ પોતાના કાયમી ઘરાકને ચહેરાથી ઓળખે છે પણ એમને મન હાથમાં પડિયો લંબાવીને ઊભેલા જૂના કે નવા, બધા ઘરાક સરખા છે.
અહીં આવનારા લગભગ બધા સંતાઈને પાણીપૂરી ખાય છે. લગભગ બધા લપાઈને આવે છે અને સરકીને જતા રહે છે. લગભગ બધાના ચહેરા પર એક જ ભાવ હોય છે, ‘મને કોઈ જોઈ નથી જતું ને!’
દૂર હોન્ડા સિટી પાર્ક કરીને આવેલાં યાશોધારાબેન હોય કે ટાંટિયા ઠોકીને શાક લેવા નીકળેલાં સવિતાબેન, પુરુષવર્ગ ઘેર આવે એ પહેલાં ‘કાયનેટિક’ પર નિયમિત પાણીપૂરી ખાવા આવતાં દેરાણી- જેઠાણી, અઠવાડિયે દસ દિવસે ફૂટપાથનો આ ખૂણો સૂંઘ્યા વિના ચેન ન પડે એવાં નણંદ-ભોજાઈ, સાસુથી છાની વહુ અને વહુથી છાની સાસુ, ભાગીદારીમાં પાણી પૂરી ખાવા આવેલી બે બહેનપણીઓ, આ બધા માટે આ છાની સ્વતંત્રતા છે.
ઓફિસથી પાછા ફરતાં પાણીપૂરી દબાવવા સાઈડમાં બાઈક દબાવી ભેરુમલના ખૂમચા સામે ઊભો રહી જતો પુરુષ અજાણ્યો બનીને ઘેર રોટલી-શાક ખાવા બેસી જ જતો હોય છે!
બધા પાણીપૂરીના નશાખોરો જ્યારે અહીં આવે ત્યારે હોંઠ ભીડેલા હોય છે પાણીપૂરી ખાધા પછી પડિયો પીપડામાં પધરાવે ત્યારે બધાના ‘તમતમતા’ હોંઠ ખૂલ્લા હોય છે. ભેરૂમલની રેસિપીની આ જ તો કમાલ છે!
ફૂટપાથનો આ ખૂણો એટલે દૂનિયાનો સૌથી નાનો મેળો. આ મેળામાં ભાતભાતના લોકો ભાગંભાગ આવે ને જાય છે. દીવાલ વિનાની દૂકાન પર રોજ સતત પાંચ કલાક ઊભા રહેતા ભેરુમલે પાણીપૂરી બંધાણીઓના ખર્ચે તો ડૂંગરપૂરમાં પાકું છાપરું બંધાવ્યું છે.

 

 

7-આવું કેમ ? અકુદરતી ધુમ્મ્સ અને પોલ્યુશન ! સ્મૉગ અને ફોગ !-ગીતા ભટ્ટ

દિલ્હીમાં હમણાં તાજેતરમાં આવા માનવસર્જિત હવાના પોલ્યુશને ઇન્ટરનેશનલ ન્યુઝમાં સ્થાન લીધું ! સન્ખ્યાબંધ અકસ્માતો સર્જાયા અને દિલ્હીની જનતાનો રોજિંદો વ્યવહાર દિવસો સુધી ખોરવાઈ ગયો ! કૈક જાનહાનિ પણ થઈ ,ઇમરજન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ !
અચાનક આવું કેવી રીતે બન્યું ?
એકવાર અમે દિલ્હીથી હરદ્વાર જવાં નીકળ્યા’તાં. પણ બપોરે નીકળવાને બદલે જરા મોડું થઇગયું ને તડકો જતો રહ્યો ! ને પછી તો જવું જ અશક્ય થઇ ગયું ! ના , ટ્રાફિક જામ નહોતો ; પણ ભયંકર ધુમ્મ્સ -ફોગના લીધે રસ્તા ઉપર એક હાથ આગળ જોવું પણ મુશ્કેલ હતું ! અમારી ગાડીની હેડ લાઇટમાં આગળની ગાડીની ટેઈલ લાઈટ નાનકડી મીણબત્તી જેવી ઝાંખી દેખાતી હતી ! આજુબાજુ પણ કાંઈ જ દેખાતું નહોતું ! ચારે બાજુએ ઘેરું ધુમ્મ્સ ઉતરી આવ્યું હતું! ઘડી ભર તો એમ લાગ્યું કે અમે વાદળોમાં ઉડી રહ્યાં છીએ! ચારે બાજુએ ઘેરાં વાદળથી જાણેકે આસપાસ કાંઈજ દેખાતું નહોતું !
પણ વહેલી સવારે હિમાલયની તળેટીમાં દેખાતું ધુમ્મસ અને આ ઘેરું પ્રદૂષણયુક્ત ધુમ્મસમા ઘણો ફેર હતો ! કોઈ સુંદર સ્વચ્છ ખુશનુમા સવારે શિયાળાની ઠંડીને લીધે હવા ની અંદર રહેલો ભેજ થીજી જાય તેને ધુમ્મસ કહેવાય ; પણ ડીઝલ પટ્રોલ અને અન્ય ખનીજ તત્વોના કચરાના બળવાથી ઉત્પ્ન્ન થયેલ વાયુઓના થીજી જવાને સ્મૉગ કહેવાય ! ફોગ હાનિકારક નથી કારણકે એ પ્રદૂષણથી નથી ઉભું થતું , એટલે એ તંદુરસ્ત માણસને નુકશાનકારક નથી( હા , ફેફસાના દર્દીજેઓને ભેજવાળી હવા સદતી નથી તેમની વાત અલગ છે ) પણ સ્મૉગએ શ્વાશમાટે હાનિકારકછે. જરા તરા રજકણો હોય તો એ સમજી શકાય પણ જયા હવામાં અનેક જાતના પ્રદૂષણો ભળે તો તંદુરસ્ત માણસ પણ શું કરે ?
અને એવું , કુદરત સાથે અડપલું કોણ કરે છે?
આ પ્રશ્ન માત્ર દિલ્હીનો નથી! વિકસતા દેશોમાં ઇન્ડસ્ટરીલાઈઝેશન ને કારણે આપણે માનવીએ કુદરતની ઇકો સિસ્ટ્મ સાથે પણ અડપલાં કરવા માંડ્યાં છે!
ભગવાને આપણને જીવવા પ્રાણવાયુની જરૂરિયાત આપી છે ! આપણું જીવન ટકાવી રાખવા આ વાયુ મહત્વનો છે અને એટલે જ તો એ ઓક્સિજન વાયુને આપણે પ્રાણ વાયુ કહીએ છીએ આપણે શ્વાસમાં પ્રાણવાયુ લઈ અંગારવાયુ બહાર કાઢીએ . વનસ્પતિ – ઝાડવાં જન્ગલો આ અંગારવાયુ લઈ આપણને પ્રાણવાયુ આપે ! આ થઈ ઇકો સિસ્ટમ ! ઇકો સિસ્ટમ એટલે કુદરતી રીતે જ કુદરતનું સચવાઈ રહેવું ! તળાવના પાણી પર સૂર્યનો તડકો પડે અને એ પાણીમાં ધીમે ધીમે લીલ અને સેવાળ ઉત્પ્પન થાય , એ તળાવમાં નાની નાની જીવાત થાય ને તેમાં માછલીઓ થાય , મગર પણ થાય.. મગર માછલીઓ ખાઈ ને જીવે , માછલી પેલી જીવાત ખાય , જીવાત સેવાળ પર જીવતી હોય.. પાણી પર સૂર્યનો તડકો પડે પાણીમાં લીલ અને સેવાળ ઉત્પ્પન થાય ………તો આ થઈ ઇકો સિસ્ટમ!
પણ માણસે ઝાડ કાપ્યાં ને જન્ગલો ગયાં !જંગલ ઓછાં થતાં ગયાં તે સાથે વરસાદ ઘટ્યો ! જન્ગલ ગયાં એટલે જમીન ખુલ્લી થઇ ગઈ ! ખુલ્લી જમીનોમાં રેતી ઉડે , માટી ઉડે , જે થોડો વરસાદ પડે તેમાં જમીનનું ધોવાણ વધ્યું ! પ્રદુષણ વધ્યું ને એનાં શુધ્ધિકરના પરિબળો ઘટ્યા ! આ તો આપણે જ આપણા પગ પર કુહાડો મારીએ છીએ !
આપણે પ્રગતિ કરવી છે ! આપણે દેશનું અર્થતંત્ર મજબૂત કરવા ઇન્ડસ્ટરીલાઈઝેશન કરવું છે. પણ વિકાસ માટે નિકાસ વધારવાના ઉત્સાહમાં આડ અસરોનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે. બે દાયકા પહેલા ચીનમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી
જો કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઓઇલ ઉત્પાદન શરૂ કર્યું તે પૂર્વે હજ્જારો એકરના વિસ્તારોમાં વૃક્ષઓનું વાવેતર કરાવ્યું છે જે નજરે જોવાનો લાભ મળ્યો છે. જે પેટ્રોલ અને ખનીજ ધરતીમાંથી બહાર આવે કે જેબધા વોલેટાઇલ ગેસ હતા – એટલે કે એ બધું બાષ્પીભવન થઈ ને હવામાં ભળી જઈને પ્રદુષણ ઉભું કરે તેવા ; એ રસાયણો – કેમિકલ્સ – જેનું ઉત્પાદન, સ્ટોરેજ અને વહેંચણી એ બધું જે માત્રામાં હવાને પ્રદુષિત કરે તેને શુદ્ધ કરવા જરૂરીમાત્રામાં વૃક્ષઓ વાવ્યા . તાજા ફળ આપે તેવા ઝાડ પાન અને બગીચા બનાવડાવ્યા !

આમ જોવા જઈએ તો માણસે હવાને પ્રદુષિત કરી છેતેમ ખોરાકમાં પણ એટલાજ જિનેટિકલી ઓલ્ટર કરીને અથવા તો કેમિકલ વાપરીને ઉગાડવામાં આવતાં અનાજ , શાક ભાજી -કેટલી જગ્યાએ આપણે , કોને કોને રોકીશું ?
જો વિકસતા દેશો ગરીબાઈને કારણે જન્ગલના ઝાડ કાપીને બળતણ માટે વાપરે છે અને જમીનનું ધોવાણ થાય છે ; તો વિકસેલા દેશો ડિસ્પોઝેબલ વસ્તુઓ વાપરીને ફેંકી દેવાય તેવી પેપર પ્રોડક્ટ માટે એ ઝાડના લાકડાનો ઉપયોગ કરે છે! આમ ધરતીપર આવા પ્રદૂષણો ઉભા થતા જ રહે છે! પ્લાસ્ટિકનો કચરો કે કેમિકલ વેસ્ટ આખરે આ બધો કચરો ધરતીમાં જ દાટવાનો ને ? એટલે આમ જોવા જઈએ તો હવા , પાણી, ખોરાક , આસમાન અને ધરતી બધે માનવી બેજવાબદાર બનીને રહે છે
દિલ્હીનું પ્રદુષણ એ તો એક માત્ર પાણી ઉપર દેખાતી ટીપ છે, નીચે તો મોટો પહાડ ડૂબેલો પડ્યો છે!
આવું કેમ ? જો આપણે આમ સાવ બેદરકાર બનીને આ સૃષ્ટિને વિજ્ઞાનની પ્રગતિને નામે અવિચારી બનીને બગાડશું તો આપણા પછીની પાંચમી પેઢી સુધીમાં તો ઘણી બધી વસ્તુઓ એક સ્વપ્નું બની જશે ! આજે જેમ ડાયનોસોર એ ઇતિહાસની વાર્તા બનીગયાં છે ,અમુક મિલિયન વર્ષ પહેલાં ડાયનોસોર અહીં પૃથ્વી પર હતા પણ આજે તો માત્ર તેના અવશેષો જ બચ્યા છે , તેમ અલાસ્કાના ગ્લેશ્યરસ અને આઇસબર્ગ – હિમશીલા પણ આવા જ કોઈ ગ્લોબલ વોર્મિંગ ને કારણે ભૂતકાળ બની જશે , જો આપણે ચેતસું નહીં તો!અને જાણ્યે અજાણ્યે માનવ સૃષ્ટિ અને પ્રાણી જગતમાં આફત નોતરીશું
આવું કેમ? કેમ માણસ પ્રગતિની દોડમાં આંધળુકિયા કરીને પોતાનો જ વિનાશ નોંતરે છે?વિજ્ઞાનિક રીતે સિદ્ધ થયું છેકે મની વેલ અને ફર્ન જેવા ચાર છોડ એક ઘરમાં રાખવાથી બે વ્યક્તિને જરૂરી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે. તો ઓક્સિજનની જેને ખાસ જરૂર છે તે ઘરમાં છોડવા ઉછેરે તોકેવું ?
અને જ્યાં પ્રદૂષણનો પ્રશ્ન ઘણો ગમ્ભીર છેતેવા વિસ્તારોમાં ઝાડ પાન વાવી ધરતીને ફરી સમૃદ્ધ કરીએ તોકેવું ?
અને વિકસિત દેશોમાં જ્યાં મબલખ ખાવ પીવાનું મળી રહેછે ત્યાં કેમઓર્ગેનિક નેચરલ શાકભાજી વધારે પ્રમાણમાં નથી ઉગાડવામાં આવતાં? વધુ પ્રાપ્ત કરવાની દોડમાં , વિકાસને નામે , પ્રગતિ કરવા હરણફાળ ભરતા આપણે કેમ કુદરત સાથે ચેડાં કરીએ છીએ ?
હું પૂછું છું આવું કેમ?

૧૦ – હકારાત્મક અભિગમ- જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ

એક ગામના પાદરે એક વૃક્ષ નીચે એક સાધુ પોતાની નાનીશી ઝૂંપડીમાં રહેતા અને સાધના કરતા.  એક વાર ત્યાંથી  પસાર થતા એક માણસે એમને પૂછ્યું ..

“ હું કોઇ સારા ગામમાં રહેવા માંગુ છું. આ ગામના લોકો કેવા છે ?

સાધુએ એ વ્યક્તિને સામો સવાલ કર્યો, “ પહેલા તમે રહેતા હતા એ ગામના લોકો કેવા હતા?”

“ સાવ નક્કામા, કકળાટીયા, એમના ત્રાસથી તો મેં એ ગામ છોડીને બીજે રહેવાનું નક્કી કર્યું.”

સાધુએ પ્રત્યુત્તર આપ્યો, “તો ભાઇ તને અહીં નહીં ફાવે, આ ગામના લોકો પણ એવા જ છે.”

એ વ્યક્તિ થાકેલી હોવાથી થોડીવાર સાધુની પરવાનગી લઈ ત્યાં પોરો ખાવા બેઠી.

ત્યાં એટલામાં બીજો મુસાફર ત્યાં આવી ઉભો. એણે પણ સાધુને પૂછ્યું.” હું કોઇ સારા ગામની શોધમાં છું. આ ગામના લોકો કેવા છે?”

“ તમે પહેલા રહેતા હતા એ ગામના લોકો કેવા હતા?” સાધુએ એને પણ પહેલી વ્યક્તિ જેવો જ સવાલ કર્યો.

“ અરે ! એ ગામના લોકો તો ખુબ સારી ભાવનાવાળા અને સાલસ હતા પણ ત્યાંના હવાપાણી મને માફક ન આવ્યા માટે ના છૂટકે મારે એ ગામ છોડવું પડ્યું.”

“ તો તમે આ ગામમાં જરૂર રહી શકો છો.’ સાધુએ જવાબ આપ્યો. પણ એ જવાબ સાંભળીને પહેલી વ્યક્તિ અત્યંત ગુસ્સે થઈ ગઈ. “ બાપજી, આ તે કેવી વિચિત્ર વાત? થોડીવાર પહેલાં તમે મને કહો છો આ ગામ રહેવા લાયક નથી અને હવે તમે આમને અહીં ખુશીથી વસવાટ કરવાનું કહો છો !”

સાધુએ સરસ જવાબ આપ્યો, “ જો ભાઇ જેનામાં ખરાબી હોય એને બધે ખરાબી જ દેખાવાની. એની ખરાબીનો ચેપ અન્યને પણ લાગી જાય આથી મેં તમને અન્ય ગામ શોધી લેવાનું કહ્યું. આ ભાઇને સ્વભાવ સારો છે એટલે એમને સૌ સારા લાગવાના.. સંગ એવો રંગ એ ન્યાયે એમની સારપથી એમની આસપાસના લોકોમાં ય સારી ભાવના કેળવાશે ને !”

મૂળ વાત છે દ્રષ્ટિકોણની. કારણ- જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.   કમળો હોય એને બધે જ પીળું દેખાવાનું. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. મન ચંગા તો કથરોટમેં ગંગા બાકી તો દૂધમાં પોરા કાઢતા લોકોની ક્યાં કમી છે?

રામદાસની વાત છે.. એ રામાયણ લખતા અને શિષ્યોને સંભળાવતા જતા હતા. હનુમાનજી પણ ગુપ્ત રૂપે તેમને સાંભળવા આવીને બેસી ગયા. સમર્થ રામદાસજીએ લખ્યું કે “ હનુમાનજી અશોક વનમાં ગયાં અને ત્યાં તેમણે સફેદ ફૂલો જોયા.”આ સાંભળતાની સાથે જ હનુમાનજી ત્યાં પ્રગટ થઈને બોલ્યા, “ મેં ત્યાં સફેદ ફૂલ જોયા જ નથી. તમે ખોટું લખ્યું છે. સુધારી લો.”સમર્થ રામદાસજીએ કહ્યું, “ મેં સાચું જ લખ્યું છે ફૂલો તો સફેદ જ હતા. ”હનુમાનજી પોતાની જીદ પર અડી રહ્યા. “ કેવી વાત કરો છો ! હું સ્વયં અશોખ વનમાં ગયો હતો ત્યાં મેં કોઇ સફેદ ફૂલો જોયા જ નથી.”  આખરે વાત ભગવાન રામચંદ્રજી પાસે પહોંચી. તેમણે કહ્યું ફૂલો તો સફેદ જ હતા પરંતુ હનુમાનજીની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી એટલે તેમને ફૂલો સફેદ ન દેખાતા તેનો રંગ લાલ દેખાયો.”આ નાનકડી વાતનો આશય પણ એ જ છે કે સંસાર તરફ પણ આપણી દ્રષ્ટિ જેવી હશે સંસારમાં પણ એવું જ દ્રષ્ટિ ગોચર થશે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

મારી ડાયરીના પાના -૧૪-૧૫-૧૬

14-બી.કોમ. પાસ

 

લાડવાડીના પુસ્તક વિભાગમાંથી બી.કોમ.ની બધી ચોપડીઓ મળી ગઈ. પુસ્તકાલયનો વહીવટ ડોક્ટર નરસિંહ લાલ કરતા. તેઓ નવાણું વરસ જીવ્યા અને મરતા સુધી પુસ્તકાલયની સેવા કરી હતી.જુલાઈમાં કોલેજ ચાલુ થઇ ગઈ અને ભણતર શરુ થયું. કોલેજ બપોરે એક થી સાડા ચાર સુધી હતી. રોજ ચાર પિરિયડ લેવાતા અમો સૌ ઉત્સાહમાં હતા અને પાસ થવાના સ્વપ્ના જોતા. ક્યારેક શનિવારે કિંગસર્કલથી મ્યુઝિયમ સુધી ટ્રામમાં જતા. એક કલાકથી વધારે સમય ટ્રામમાં બેસતા અને પાસ થયા પછી કેવી લાઈફ જીવીશું તેની ચર્ચા કરતા. પૈસા કમાઈ પગભર થઇ જવાની ઉતાવળ બધાને હતી. પાસ થઇ ભરપૂર પિક્ચર તથા નાટક જોવા તેમજ પ્રવાસ ખેડવા. પણ કોને ખબર કે ડેસ્ટીનીમાં મારે માટે શું છે ?

હવે સામેના મકાન રામ નિવાસમાં બંગલી મળી જવાથી ઘરમાં થોડી સંકડાશ ઓછી હતી. હું મનુભાઈ તથા મહેશ બંગલીમાં વાંચતા અને રાત્રે ત્યાં જ સુતા. ઉપાધ્યાય પણ વાચવા આવતો. બંગલી બહુ નાની હતી. લાકડા નું ફ્લોરિંગ હતું ને માંડ 7x 8 હશે. તેમાં ટેબલ અને ખુરસી પણ હતા. બે પથારી માંડ થતી. મનુભાઈ ટેબલ પર સુતો. આમ સાંકડ માંકડ રહેતા ને સવારના ગોદડું ફોલ્ડ કરી ગાદી બનાવતા. ઓશિકાનો તકિયો તરીકે ઉપયોગ કરતા. મોડે સુધી વાંચતા. મનુભાઈ વરસાદ ના હોય ત્યારે અગાશી માં સુતો ઉપર ટોઈલેટ ના હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર મકાનની બહાર ના ટોઇલેટ વાપરતાં. જ્યારે પરીક્ષા નજીક આવતી ત્યારે મોડે સુધી વાંચતા બા રાત્રે ચા બનાવી આપતી, તે નીચે જઈ પી લેતા.

અત્યાર સુધીમાં મોસાળમાં મોટી બા, દાદા જી ને મોટામામાંની ચિર વિદાય થઇ ચૂકી હતી. મોટામામા હાર્ટની બિમારી માં ગુજરી ગયા. મને યાદ છે કે તેમની રોટલી મામી ઘીમાં ડુબાડી આપતા કદાચ તે કારણ પણ હોઈ શકે.  તે વખતમાં લોકો હેલ્થ વિષે સભાન નહોતા અને તે વિશેની અજ્ઞાનતા પણ ખરી.. વરસ પૂરું થવા આવ્યું પરીક્ષા નજીક આવતી હતી. કુલે દસ સબજેક્ટ હતા. છેલ્લા દિવસોમાં એકસ્ટ્રા કલાસિસ લેવાતા ને કોર્સ પૂરો થતો. વાંચવાની રજા પડતી ત્યારે હું ઘેરથી કોલેજ લાયબ્રેરી જતો અને ત્યાં વાચતો ઘણા છોકરા આવતા અને જાત જાતની અફવા પરીક્ષા વિષે ઉડાવતા.અમે પરીક્ષા સવાલોની ચર્ચા કરતા પરીક્ષાનું સેન્ટર સીડનામ કોલેજ હતું. નંબર ને સિટિંગ એરેજમેન્ટ બહાર પડી ગયા હતા. હું સવેળા જઈ નંબર તથા ક્લાસ જોઈ આવ્યો હતો. રોજ બે પેપર હતા પરીક્ષા અગિયાર વાગે શરુ થતી અને છ વાગે પુરી થતી હતી. પરીક્ષા આવી ને ગઈ. છોકરાઓ મહેનત કરી થાક્યા હતા. બધા એ હાંશ કહી છુટકારો મેળવ્યો. યાદ છે કે એક છોકરા એ પાર્કર ઈન્ક નો ખડિયો કોલેજ બહાર પછાડી શુકન કર્યાં હતા. તે દિવસે બધા બહુ ખુશ હતા. પેપર કેવા ગયા તેની ચર્ચા થઇ. કેટલા એ પિક્ચર જવાના પ્લાન પણ કરી નાંખ્યાં.

અને વૅકેશન શરુ થયું. હું ઘરે  આવ્યો ચા પાણી પી થાક ઉતાર્યો. પછી કેબિનમાં પુસ્તકો ગોઠવાયા. પરીક્ષાના પેપર એકઠા કરી માર્ક આંકી જોયા અને મન મનાવ્યું. વૅકેશન હોવાથી ઉતાવળ કોઈ જાતની હતી નહિ ઘરમાં બાથરૂમ નહોતો. 4’x 4′ ચોકડીમાં નહાતા. રૂમનું બારણું બંધ કરતા જેથી સામેના મકાનમાં થી કોઈ જુવે નહિ. પાટલૂન પહેરી ને નહાતા. પણ મુસીબત એ હતી કે પડોશમાં રહેતા ટપુ બહેન ક્યારેક આવી જતા અને ખુરશી પર બેસી બારણા ખોલી કાઢતા. તેઓ શરીરે ભારી ને ઉંમરમાં વયોવૃદ્ધ હતા. હવા માટે બારણા ખોલી નાખતા. તેમને ક્યારેય ફિકર નોહતી પણ અમે શરમાઇ જતાને ઝપાટા બંધ ત્યાંથી નીકળી જતા. અમો આથી બાવડી પર નાહતા.ક્યારેક એ થતું કે ક્યાં આપણા ભૂરચના ઘરનો રૂમ જેટલો બાથરૂમ અને ક્યાં આ મુંબઈની ચોકડી. ભરૂચનો બાથ રૂમ સફેદ ટાઈલથી સજ્જ હતો. તેમાં ટોઇલેટ એક બાજુ હતું. ઉપરાંત ઠંડા પાણીની પીપ અને ગરમ પાણીનો બંબો અને છતાં મોકળાશ અને પ્રાયવસી હતા.

હું મોટે ભાગે સાંજના જુહુ ફરવા જતો. ત્યાં કોલેજના દોસ્તારો મળતા ઉદેસી ભીખુ ચંદ્રકાંત અને ઓઝા એ કોલેજના દોસ્તારો હતા. ખબર નહિ આજે કેટલા તેમાંના જીવે છે ?જો કે ચદ્રકાંતના મોટા ભાઈ જે અહીં રહેતા અને ઇન્ડિયન સેન્ટર માં આવતા. તેમણે ચંદ્રકાંત માટે લાસ વેગાસની ટુરની ભલામણ કરી હતી. ચંદ્રકાંત ન્યુજર્સી રહે છે. વૅકેશન હવે પૂરું થવા આવ્યું હતું. દોસ્તો સાથે પાસ થયા પછી શું કરવું તેની ચર્ચા થતી. રિઝલ્ટ નો દિવસ આવી ગયો. ડિગ્રી એકઝામનું રિઝલ્ટ છાપામાં ન આવતું. યુનિવર્સિટીમાં મુકાતું, હું બપોરે યુનિવર્સિટી પહોંચ્યો રસ્તે અનેક વિચાર આવતા કે મારું શું થશે ? રિઝલ્ટ ના બોર્ડ આગળ ગરદી હતી. જગા કરી બોર્ડ પર નજર કરી. મારો નંબર દેખાયો, ફરીથી જોયો એમ ત્રણ વાર જોઈ ખાત્રી કરી લીધી કે હું પાસ થઇ ગયો. ઉત્સાહમાં આવી ગયો ને ઝડપ ભેર ગાડી પકડી પાર્લા આવ્યો. રસ્તે વિચારોની ભરમાળ ચાલી. ઘર પહોંચ્યો ત્યારે બા તેની સ્ત્રી મંડળી સાથે ઓટલે બેસી સિઝન ના ઘઉં વીણતી હતી. આખા વરસ નું અનાજ અમો સીઝનમાં ભરી લેતા મેં શુભ સમાચાર આપ્યા અને કહ્યું કે હું હવે નોકરી કરીશ અને એલ. એલ. બી નું ભણીશ. બા એ કહ્યું એ તારા બાપાને કહેવાનું હું કઈ ના જાણું. સ્ત્રી મંડળ વિખરાયું. હવે સાંજ ઢળવા આવી હતી. મોટાઈ ને આવવા નો સમય થયો. મોટાઈ આવ્યા ને શાકની થેલી મૂકી ઉપર કપડા બદલવા ગયા. આજે ખુશી ના ખબર હતા પણ બતાવતા નહિ. એ ઉપર ગયા ને હું કૅબિનમાં ગયો. મોટાઈ થોડો આરામ કરી જમવા નીચે ગયા. તેમને જમાડતા બાએ મારા વિશે અને મારા પ્લાન વિશે વાત કરી. મોટાઈ એ તેમનો ચુકાદો આપ્યો કે મારે તો આગળ ભણવાનું છે અને તે પણ સી. એ બીજું કંઈ જ નહિ. હું નીચે જમવા ગયો ત્યારે એમણે મને કહ્યું કે કારકુની નથી કરવી આગળ ભણવાનું છે અને તે પણ સી. એ. અને તેને માટેના પગલાં લેવાની કાલ થી જ શરુઆત કરવા જણાવ્યું. એમનો વિચાર મને મનુભાઈ અને મહેશને સી. એ કરવાનો. અને પોતાને આટલા વરસ ના અનુભવ અને ભણતર ને લઈને લાઈસન્સ મળશે તો મુંબઈ, સુરત ને અમદાવાદમાં ફર્મ ખોલવી અને ત્રણે છોકરાને ઠેકાણે પાડવા. પણ ડેસ્ટીની ને શું તે મંજુર હતું?

 15-સી.એ.માં દાખલ

મોટાઈની બહુ ઈચ્છા હતી કે મારે જી.પી કાપડિયા કુ માં આર્ટિકલ કરવા. આર્ટિકલ એટલે ત્રણ વરસ વગર પગારની નોકરી પણ ઓડિટરની કંપનીમાં જેથી ઓડિટ ને ઇન્કમ ટેક્સ નો અનુભવ મળે. મોટાઈ સમય કાઢી ગોપલદાસને મળવા ગયા. પણ ત્યાં જગા ના હોવાથી આવતા વરસનો વાયદો આપ્યો ને એક વરસ મફત કામ કરવા કહ્યું. મોટાઈ સમય માગી નીકળી ગયા. પછી થોડા દિવસ હું અને મોટાઈ સી. એ ના લિસ્ટ માં સરનામાં જોઈ બધાને મળતા. પણ પત્તો લાગતો નહિ. મોટાઈ પાચ હજાર સુધી પ્રિમિયમ આપવા તૈયાર હતા અને રોકડા પૈસા ખીસ્સામાં રાખતા. તેમાં વળી એક નવી ગુંચ નીકળી કે આર્ટિકલ ત્રણ નહિ પણ ચાર વરસના હશે જો જુલાઈ પહેલા સાઇન ન થાય તો. હું દોસ્તોને મળતો તેમની પાસે પણ વિગતો મેળવતો અને ભરપૂર કોશિશ કરતો. બધા એક પછી એક દાખલ થઇ ગયા મારું ઠેકાણું પડતું નહિ. આથી બહુ નિરસ થઇ જતો. મોટાઈ એ બધી સારી સારી ફર્મમાં કોશિશ કરી હતી પણ નાકામયાબ રહ્યા. એ અરસા માં મોટાઈ એક દિવસ મુંબઈ ગયા હતા અને પાછા વળતા ઈમ્પીરીયલ સિનેમામાં હીરાલાલને મળવા રોકાયા. હીરાલાલ સગપણે મારા માસીના સસરા થતા. નસીબ જોગે હરિદાસ પટેલ ત્યાં હાજર હતા હરિદાસ ચાર્ટર્ડ અકાઉન્ટટંટ હતા. અને તેમની ફર્મ હતી. મોટાઈની ઓળખાણ હીરાલાલે તેમને કરાવી. ત્યાં જ નક્કી થઇ ગયું કે તેઓ મને આર્ટિકલ લેશે. મારા માસા રાજુભાઈ જેઓ ત્યાં જ આર્ટિકલ કરતા તેમને મળી આર્ટીકલ્સ માટેનું અગ્રીમેન્ટ હરિદાસની સહી માટે મોકલવાનું નક્કી થયું. તે દિવસ મોટાઈ ને મારે માટે બહુ આનંદનો હતો. મોટાઈ ના પાંચ હજાર બચી ગયા અને મને આગળ વધવાની તક મળી.  હું વિના વિલંબે રાજુમાસા પાસે પહોંચી ગયો. તે વખતે માસી ચર્ની રોડ ભટવાડીમાં રહેતા હતા. મારા અગ્રીમેન્ટની વીધી તેમણે પૂરી કરી હતી. મારે રોજ ઓફિસમાં કેમ જવાનું અને કોને રિપોર્ટ કરવાનો તે વિશે પૂછ્યું. તેમણે જણાવ્યું કે હરિદાસની ઓફિસ નથી અને તારે અહીં આવવાનું અને મને રિપોર્ટ કરવાનો. માસા પરણેલા તો હતા જ તેમને એક છોકરો પણ હતો. નામ અશોક. માસાને પગાર તો મળતો નહિ ઉપરાંત પોતાના ફેમિલીની જવાબદારી તેથી કમાવું પડતું. ચોપડા લખવા ના કામ લેતા અને બપોરે શેર બજાર જતા અને કમાઈ કરતા મારું ઓફિસ જવાનું સરુ થયું. મારી ઓફિસ એટલે માસીનું ઘર. હું રોજ માસીના ઘરે જતો. થોડી માસી કને વાતચીત કર્યાં પછી હું માસા સાથે આગલા રૂમમાં બેસતો જે મારી ઓફિસ હતી. મારું કામ માસાના ચોપડા લખવાનું રહેતું. મોડી બપોરે માસી સરસ મસાલાની રોજ ચા પીવડાવતા. સાંજે માસા આવી કામ ચેક કરતા. અને બીજા દિવસનું કામ નક્કી કરતા. હું સાડા પાંચે ઘરે જતો. આમને આમ સમય વહેતો ગયો ન તો મેં બોસ હરિદાસને જોયા કે મળ્યો ,ના તો એમનું ઘર કે ઓફિસ જોઈ. હકીકતમાં મારા બોસ મારા માસા હતા. હરિદાસ કંપનીની ટપાલ નોબલ ચેમ્બેર્સમાં આવતી. એક માણસ તેને માટે હતો. જે દર બે ત્રણ દિવસે ટપાલ ભેગી કરી તેમના ઘરે પહોંચાડતો.અચાનક આ કામ થોડા દિવસ માટે મારે મારી પાસે આવ્યું હું કરતો હતો પણ કંટાળતો. કેટલીક વાર વિચાર આવતો કે હું નાહકનો મારી લાઇફ વેડફી રહ્યો છું. પણ થોડા વખતમાં કોંગ્રેસ હાઉસ નું ઓડિટ મળ્યું. અને બીઝી થઇ ગયો.સરસ મજાની કેબિનમાં બેસતો અને કોંગ્રેસ ના ચોપડા તપાસ તો. હજુ સુધી મેં મારા બોસ ને જોયા નહોતા. પછી તો હિન્દુસ્તાન ઇલેક્ટ્રિક નું તેમજ યુનિવર્સલ ઈન્સ્યુરન્સ અને એશિયન ઇન્સ્યુરન્સ ના ઓડિટ મળ્યા. આમ ગાડી પાટે ચડી ગઈ.

16-અમારી ઓફિસ

આમ ને આમ વરસ પૂરું થાય તે પહેલા એક ગૂંચ આવી. ગૂંચ એ આવી કે મારે ફર્સ્ટ સી. એ ની પરીક્ષા આપવાની કે નહિ ? તેની જોરદાર પૂછ પરછ કરવા માંડી. પણ કાંઈ સુજ પડતી નહિ. આખરે ઘાટેલ્યા કુ ના ઘાટેલ્યા ને મળ્યો. તેમણે કહ્યું કે કોઈ નોટીફીકેશન હજુ આવ્યું નથી. પણ આપી દેવી સારી. કારણ કે બે પરીક્ષા ફર્સ્ટ અને ફાઇનલ વચ્ચે અગીઆર મહિનાનો ગેપ જોઈએ. આથી મેં ઉતાવળે પરીક્ષા આપી દીધી. પરિણામ સારું ન આવ્યું. પણ હું હિંમત હાર્યો નહિ. મોટાઈ પણ હિંમત હાર્યા નહિ. તેમણે ગુસ્સો કરી બુમો જરૂર પાડી. તેમની ઓફિસ માં સ્ક્રૂવાલા સાહેબે તેમને કહ્યું કે છોકરાનું ગજું હોઈ તેમ લાગતું નથી. નકામી જીંદગી વેડફે છે. પણ મોટાઈ મક્કમ રહ્યા. તેમને ત્રણ શહેરમાં ફર્મ ખોલવીતી. છ મહિના પછી હું પાછો પરિક્ષા માં બેઠો અને પાસ થયો. હવે સી. એ થવાશે ની આશા બંધાઈ. કેટલાક દિવસ પછી મને દિલ્હીથી અમારી સંસ્થાનો પત્ર આવ્યો કે તમારે ફર્સ્ટ સી. એ ની પરિક્ષા આપવાની જરૂર નથી. જે છોકરાઓએ ચાર વરસ ના આર્ટિકલ સાઇન કર્યા હોઈ તેમણે આપવી પડશે. હવે પોદાર ચેમ્બેર્સમાં અમને ઓફિસ મળી હતી.  અમે ત્રણ આર્ટીકલ્સ હતા. માણેકલાલ શાહ અને આરડી પટેલ નવા આર્ટીકલ્સ હતા જૂનમાં પટેલ (નિરંજન પટેલ ના ભાઈ) ને રાજુભાઈએ આર્ટીકલ્સ પુરા કર્યા હતા નિરંજન મારા કોલેજ મિત્ર હતા. રાજુભાઈ તેમના ભાઈબંધ ની ઓફિસમાં મેનેજર થઇ ગયા. પટેલ હું માનું છું કે તેમના ભાઈ નિરંજન જોડે લંડન જતા રહ્યા. સંપટ પણ જુના આર્ટીકલ્સ હતા. તેઓ પોતાની પ્રેક્ટિસ કરતા. હું તેમની ઓફિસમાં અવારનવાર જતો. તેમના પિતાશ્રી તેમની ઓફિસનો કારભાર કરતા. મારી તેમની સાથે બેઠક હતી.  હવે અમને કોંગ્રેસ હાઉસ, યુનિવર્સલ ઇન્સ્યોરન્સ, એશિયન ઇન્સ્યોરન્સ, હિન્દુસ્તાન ઇલેક્ટ્રિક વગેરે ઓડિટ મળ્યા. અમે ક્લાયન્ટની ઓફિસમાં ઓડિટ કરતા. પોદાર ચેમ્બેર્સમાં શર્મા અને બીજા એક આફ્રિકા ના પટેલ બેસતા. બંને કામ વગરના હતા.  સિગારેટ પીતાં ને ગપ્પાં મારતાં ને ચા પીતા.  હવે બોસ હરિદાસે એક સિપાઈ રાખ્યો હતો. તે ઓફિસની ટપાલ નોબલ ચેમ્બેર્સમાં થી લાવી શર્માને આપતો. અને શર્મા હરિદાસને પહોંચાડતા. પોદાર ચેમ્બેર્સ પહેલા અમને યુનિવર્સલ ઇન્સ્યોરન્સના બિલ્ડીંગમાં પહેલા માળે ઓફિસ આપી હતી. અત્યાર સુધી અમે ઘરની ઓડિટ પેન્સિલ વાપરતાં. અમારે પૈસે ઓફિસમાં ચા પીતા અને મફત નોકરી કરતા. ઓડિટ મળ્યા પછી કલાયન્ટ તરફથી ચા અને નાસ્તો મળતો.  આમ વરસ નિકળી ગયું. હરિદાસ ક્યારે પણ ઓફિસ માં આવતા નહિ. તે બે ત્રણ કંપની માં ડિરેક્ટર હતા. તેમાં વિઝિટ મારી બપોરે ઘરે જતા. લંચ કરી. બપોરે પત્તા રમતાં. સાંજે મોટરમાં બેસી ઈમ્પીર્યલ સિનેમા જતા અને હીરાલાલ પાસે બેઠક જમાવ તા. રાત્રે જમી પરવારી પત્તા સેશન શરુ થતું. મારા મિત્ર તલવલકરની ઓફિસ માં કામ ખાસ હતું નહિ. એમની રીક્વેસ્ટને કારણે હું તેમને ઓડિટ માટે કલાયન્ટની ઓફિસે  બોલાવતો. તે આવતા ને શીખતા. શર્માને લીધે બીજા ફાલતુ લોકો પણ પોદાર ચેમ્બરની  ઓફિસ માં આવતા.

ધનંજય સુરતી  

૮-મોતીચારો-ડો.આઈ.કે.વીજળીવાળા

મે જ્યારથી ગુજરાતી પુસ્તકો વાંચવાની શરૂઆત કરી ત્યારે મે વાંચેલા શરૂઆતના ૫ પુસ્તકોમાનું એક પુસ્તક એટલે ડો.આઈ.કે.વીજળીવાળાનું પુસ્તક ‘મોતીચારો’! હું આજે પણ એમના પુસ્તકો મારી પાસે રાખું અને મારા ઘરે આવનારાં વ્યક્તિઓ જયારે મારી લાયબ્રેરી જોઈ પ્રભાવિત થાય અને વાચવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે હું ડો.આઈ.કે.વીજળીવાળાના પુસ્તકો અવશ્ય આપું. એકદમ સરળ ભાષા, અદ્ભુત પ્રસંગો, એક-બે પાનની વાર્તા અને રસ પડે એવી તો ખરીજ!
ડો.આઈ.કે.વીજળીવાળા વ્યવસાયે બાળરોગ નિષ્ણાત છે. એમના જીવનકાળ દરમિયાન થયેલા અનુભવોને સુંદર રૂપે પુસ્તકમાં લખ્યા છે એ પુસ્તકનો સંગ્રહ એટલે ‘સાયલન્સ પ્લીઝ’. અને ઈન્ટરનેટ પરથી મળેલી અનેક સુંદર વાર્તાઓનો સંગ્રહ એટલે ‘મોતીચારો’. આ પહેલું પુસ્તક એટલે મોતીચારો અને એ પછી એની જ શ્રેણીમાં બીજા ૬ પુસ્તકો છે (એના વિષે ફરી ક્યારેક).
કિંમત: ૬૦ રૂ.
પાન : ૮૦
u0aaeu0acbu0aa4u0ac0u0a9au0abeu0ab0u0acb.jpg
ટુકમાં ‘મોતીચારો’માં લેખકે ઈન્ટરનેટ પરથી અંગ્રેજી ભાષામાં પ્રાપ્ત થયેલી સુંદર રચનાઓનો પોતાના શબ્દોમાં ભાવાનુવાદ કરીને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. આમાંની ઘણી વાર્તાઓ તમે વાંચી પણ હોઈ શકે પણ લેખકની ભાવાનુવાદ કરવાની શૈલી ખુબ સુંદર છે. હું એમ માનું છું કે એવો કોઈ વ્યક્તિ નહિ હોય જે વાંચતા વાંચતા રડ્યો ન હોય અને રડતાં રડતાં વાંચ્યું ન હોય ! એક વાર આ પુસ્તક લઈને બેસો એટલે એક જ બેઠકે વાંચી જવાનું મન થાય એવું છે અને આરામથી ૨ કલાકમાં વાંચી શકો છે, પણ એ વાંચીને પ્રગટતા વિચારો કેટલાય દિવસો સુધી ચાલશે, એ નક્કી 🙂
બધી જ વાર્તાઓ બહુ સુંદર છે પણ મને જે સૌથી વધારે ગમી એ મુકું છું.

દીપલ પટેલ

ટ્રાફિક સિગ્નલ – સુરેશ જાની

       ટ્રાફિક સિગ્નલના ત્રણ રંગ- લાલ, પીળો અને લીલો. લાલ રંગ થોભવા માટે; લીલો ચાલતા થવા માટે; અને પીળો ચાલતા હો, તો ધીમા પડવા માટે.

            લાલ અને લીલો તો સમજી શકાય. જવું કે ન જવું – બે વિકલ્પ. પણ પીળો પણ રાખ્યો છે – ખાસ અલગ જરૂરિયાત માટે.  રસ્તા પર  જેઓ પૂરપાટ ધસી રહ્યા છે – તેમને ખાસ, આગોતરી ચેતવણી માટે તે હોય છે. હવે થોડાક જ વખતમાં  તેમનો રસ્તો બંધ થવાનો છે અને ડાબી/જમણી બાજુના રસ્તા વાહન વ્યવહાર માટે રસ્તો  હવે ખૂલવાનો  છે. માટે તે લેમ્પ થોડેક દૂરથી જ ધીમા પડવા સૂચના આપે છે. જો ક્રોસિંગની સાવ નજીક હો તો, બનતી ત્વરાથી એને ઓળંગી જવાનો છે- એમ પણ તે સમજાવી દે છે.

        રસ્તાઓ ભેગા થતા હોય; ડાબે કે જમણે વળવાના કે સીધા જ ચાલુ રહેવાના અથવા પૂરેપૂરી પીછેહઠ કરવાના ( U-Turn)  વિકલ્પો જ્યાં  સર્જાતા હોય છે; તેવા ત્રિભેટા કે ચતુષ્ભેટા આગળ આવી ચેતવણીની જરૂર પડતી હોય છે. આવી જગ્યાઓએ અથડામણો ઊભી થવાની ઘટનાઓ  વધારે સર્જાતી હોય છે.

…..

      આ વાત રસ્તાની તો છે જ; પણ જીવનને પણ તે બહુ લાગુ પડે છે. જીવનમાં જ્યારે રસ્તો બદલાના વિકલ્પો ઊભા થાય છે; અથવા અથડામણ કે પછડાટ ખાવા પડે તેવી શક્યતાઓ ઊભી થાય છે; ત્યારે આપણને કોઈ ચેતવણીની/ દિશાસૂચનની જરૂર પડે છે. સીધે સીધું જીવન વીતતું હોય; ત્યારે તો જીવનની ગાડી એક જ પાટા પર સડેડાટ ઝડપથી કે ધીમી ગતિએ પણ ચાલ્યા કરે છે – જેવી જેની શક્તિ. પણ આવા બદલાવના સંજોગો આવે તો – ડાબે વળવું કે જમણે અથવા સીધા આગળ ધસે રાખવું કે આમ જવામાં કશીક પાયાની ભૂલ થઈ હોય એમ લાગે તો, બહાદુરીથી પીછેહઠ કરવી કે કેમ – આવા બધા નિર્ણયો જીવનની એ નિર્ણયાત્મક અવસ્થામાં લેવા પડતા હોય છે. અને ત્યાં જ અલગ દિશાના, આડા પડનારા જીવો સાથે મૂઠભેડ થવાની શક્યતાઓ ઊભી થતી હોય છે.

      અને ત્યાં જ પીળી લાઈટનું કામ પડે છે; ગતિ બદલવાની જરૂર પડવાની  છે; એવી ચેતવણી જરૂરી બને છે. અથવા લાલ કે લીલી લાઈટની – હવે સમો આડા જનારાઓનો આવ્યો છે, કે હજુ આપણો ચાલુ છે – એની જાણ જરૂરી બને છે!

પણ અરેરે!
જીવનના પથ પર
ક્યાં આવી બહુ જરૂરી
સિગ્નલ લાઈટો
મળતી હોય છે?

      કોઈ આપ્તજન, મિત્ર કે સંબંધી, હિતચિંતક કે પથદર્શક ગુરૂ આપણને આવી ચેતવણી આપે પણ ખરા. અને આપણે ન માનીએ અને પછડાઈએ – એમ પણ નથી બનતું? મોટા ભાગે એમ જ બનતું હોય નથી હોતું?

    જીવનના અસિધારા જેવા પથ પર તો અંતરમાં ઉઘડેલા ટ્રાફિક સિગ્નલ જરૂરી છે – નહીં વારૂ?

 

૮ – શબ્દના સથવારે – ઘંટી – કલ્પના રઘુ

ઘંટી

કેલીફોર્નીયામાં એક જાણીતા સીનીયર ડૉક્ટરની મહેમાનગતિ માણી ત્યારે જાણવા મળ્યું કે તેમના પત્ની કે જે ડૉક્ટર છે તે પોતે રોજ સવારે ભારતથી મંગાવેલી બાજરીને ઘંટીમાં ઘરે દળીને તેના લોટના રોટલા અને દહી પતિને બ્રેકફાસ્ટમાં આપે છે. વાહ! અને મને આ ઘંટી વિષે લખવાનું મન થઇ ગયું. સારૂં છે, આધુનિક જમાનામાં ઇલેક્ટ્રીક ઘંટીની શોધ થઇ છે નહીં તો આ ડૉક્ટર પત્નીની હાલત શું થાત?image1

શબ્દકોશ પ્રમાણે ઘંટીને નાનો ઘંટ, ઘંટડી, ઘૂઘરી, ઝાલર, અનાજ દળવાનું પત્થરના બે પડવાળું સાધન, ચક્કી, દળવાનો સંચો, વિગેરે તરીકે ઓળખવામાં આવે છે. પહેલાના વખતમાં ઘંટી એ ગ્રામ્ય સંસ્કૃતિનું અભિન્ન અંગ હતું. ધાન્ય અનાજ હાથ વડે દળીને લોટ તૈયાર કરવા માટે તેનો વપરાશ થતો. દરેકના ઘરમાં ઘંટીનુ ચોક્કસ સ્થાન રહેતુ.

અનાજ દળવાની ઘંટીનો પણ ઇતિહાસ છે. શરૂમાં ઘંટી ન હતી, અનાજને સાંબેલાથી, ખાંડણીમાં ખાંડીને કે પત્થર પર લસોટીને લોટ બનાવાતો. ત્યારબાદ ઘંટીની શોધ થઇ. તેને અર્ધગોળ ચલાવવામાં આવતી અને માણસો પર આધાર રાખવો પડતો. પછી પશુઓ, પાણી, વરાળ અને અત્યારે વીજળીથી ચલાવી શકાય તેવી ઘંટીની શોધ થઇ છે. પવનચક્કીથી ચાલતી ઘંટીઓ પણ જોવા મળે છે. તો વળી કેટલાંક ટાપુઓ પર ખાંડણી અને સાંબેલાનો ઉપયોગ હજુ પણ થાય છે.

ઘંટીનો આકાર ગોળ હોય છે. બે ખરબચડા પત્થર વચ્ચે ખીલાથી જોડાયેલી હોય છે. ઘંટીને ટંકાવીને ખરબચડી કરવી પડે, ઘંટી ટાંકનારો ટંકારો કહેવાય. ઉપરના પત્થર સાથે લાકડાનો હાથો જોડાયેલો હોય છે. જ્યાં ઘંટીનો લોટ ભેગો થાય તેને થાળુ કહેવાય. ઘંટી નાની પણ હોય, મોટી પણ હોય. ક્યારેક બે જણ સામસામે બેસીને પણ દળતાં. ઘંટીમાં ક્યારેક મસાલા પણ દળવામાં આવતા.

ઘંટી ઉપર અનેક કહેવતો અને ગીતો રચાયા છે. એક કહેવત પ્રચલિત હતી, ‘ઘોડે ચડેલો બાપ મરજો પણ ઘંટી દળતી મા ન મરજો’. વહેલી પરોઢે મૂઠીએ મૂઠીએ અનાજ ઘંટીના ગાળામાં ઓરાય અને જમણા હાથે ઘમ્મરડા લેતી ઘંટીનો લય દળણું દળતી સ્ત્રીના ગળામાંથી વહેતા પ્રભાતિયા સાથે ભળી જાય એ વાતાવરણનું પૂછવું જ શું? ‘ઘંમરે ઘંટી ઘંમ ઘંમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઇ નવ ખાય’. આ ગીત જાણીતું છે. ‘મારા શ્રીનાથજીની સોનાની ઘંટી, એમાં દળાય નહીં, બાજરોને બંટી, કેસર દળું તો, સામગ્રી થાય, એલચી દળું તો મારો વા’લો ખાય’, આ પ્રચલિત છે.

હિન્દુ સમાજમાં તે વખતે વિધવાના જીવનને ઘંટી સાથે સરખાવાતું કારણકે ઘંટીના અનાજની જેમ અનેક સામાજીક વિષમતાઓ વચ્ચે તેમનું જીવતર પીસાતું. જેમ ઘંટીમાં દળેલા અનાજના રોટલામાં મીઠાશ હોય છે તેવી રીતે સંસારની ચક્કીમાં પીસાયેલી વ્યક્તિઓમાં અનુભવ અને નરમાશની મીઠાશ અનુભવાય છે. આમ તો દરેક વ્યક્તિનું પેટ એક ઘંટી જ છે. તેમાં ગમે તેટલું ઓરયા કરો, પેટનો ખાડો ક્યારેય પૂરાય નહીં. જીવનચક્કી ચાલ્યાજ કરે.

ઘંટીનો આદ્યાત્મિકતામાં પ્રવેશ કબીરજીએ કરાવ્યો છે. તેમણે કહ્યું છે, ઘંટી ચાલે ત્યારે જે દાણા ખીલાને વળગીને રહે છે તે સાબૂત એટલેકે આખા રહે છે. તેને આંચ નથી આવતી પરંતુ જે દાણા ખીલાથી દૂર જાય છે તે પીસાઇ જાય છે તેનું નામોનિશાન મટી જાય છે, લોટ થઇ જાય છે. આ જ રીતે માનવ જીવનચક્કીમાં જે ઇશ્વરને પકડીને રાખશે તે સાબૂત રહેશે અને જે ઇશ્વરથી દૂર જશે તે તેનુ અસ્તિત્વ ગુમાવી બેસશે! કેટલી ઊંચી વાત છે કબીરજીની વાણીમાં!

વીરપુરમાં જલારામબાપાના મંદિરમાં આજેય લોકોને અનાજ પીસવાની પ્રાચીન ઘંટી જોવા મળે છે. જાંબુઘોડા પાસે હેડમ્બાવન તરીકે ઓળખાતા વનમાં આવેલી ભીમની ઘંટી અનેક માણસો થઇને હલાવે તો પણ હાલતી નથી જ્યારે ભીમ એકજ હાથે આ ઘંટી ફેરવતો હતો. તેવી દંતકથા છે.

ઇલેક્ટ્રીક ઘરઘંટીનો પ્રવેશ થતાં હાથે દળવાની ઘંટી એન્ટિકપીસ બની ગઇ છે. અમારા ઘરનાં દિવાનખાનામાં સેન્ટર ટીપોઇ તરીકે ઘરઘંટીના મોટા થાળા પર કાચ ફીટ કરીને તેમાં ક્યારેક જૂના સિક્કા તો ક્યારેક આલબમના ફોટા મૂકતાં. આ એન્ટિક ટીપોઇ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેતી!