માર્ચ મહિનો એટલે પ્રકૃતિ નો મહિનો … થોડા વખત પહેલા મેં હેમંતભાઈ ઉપાધ્યાય ની પ્રકૃતિ ની કવિતા મૂકી હતી .. જે તમે માણી હશે .. આજે પદ્મામાસીની મનને ગમી જાય તેવી એક પ્રકૃતિ પર ની સુંદર રચના લાવી છું. પરમાત્માને અનુભવવાનો સહુથી સરળ માર્ગ છે પ્રકૃતિ.આમ જોવા જઈએ તો પરમાત્માની પ્રતિનિધિ પ્રકૃતિ છે. કુદરતના આનંદને અનુભવશો તો પરમાત્મા પોતે આપને અનુભવવા લાગશે….આપણા પર્યાવરણ દોષે આપણને પ્રકૃતિથી દૂર કર્યા છે. પ્રકૃતિ સાથે જોડાવાનો અર્થ છે..પોતાના અસ્તિત્વમાંથી અહંકારને દૂર કરવો. આપણે બુદ્ધિ અને અહંકારથી એટલા સરભર બની ગયા છીએ કે પરમાત્મા માટે કોઇ જગ્યા જ નથી બચાવી. પરંતુ માસીની કવિતામાં તમે પ્રકૃતિને માણી શકશો …. પ્રભુએ કરેલા દિવ્ય સર્જનનું દર્શન કવિતામાં કરાવ્યું છે..
પ્રકૃતિ છે વિશ્વમાં પ્રભુનું દિવ્ય દર્શન
આકાશ અને ધરતી ,દેવોનું ભવ્ય સર્જન
સૂર્ય ચંદ્ર તારા , વ્યોમે કરે છે નર્તન
વાયુ જલ પ્રકાશથી, આ ધરતીલાગે ઉપવન .
વૃક્ષ વેલ પર ફળફૂલ ધાન્ય ધરા પર પાકે,
લીલોતરીથી ધરતી ફળદ્રુપ થઈને શોભે.
ગ્રાન્ડ કેનિયન,લુરે કેવરન્સ ને નાયગરા ફોલ્સ ,
પ્રકૃતિએ આપેલા સૌંદર્ય અતિ અણમોલ
સુંદર દ્રશ્ય કૈલાસ અને માનસરોવર ,
માનવને પ્રભુએ, બક્ષ્યું સ્વર્ગ આ ધરતી પર .
રંગબેરંગી પતંગિયાને કીટ ભ્રમરનો ગુંજરવ ,
જાત જાતના પંખીડાઓ કરતા મધુરો કલરવ .
મેના પોપટ મોરને કોયલના ટહુકા મીઠા ,
પંચરંગી સુંદર રંગોને મોરપિચ્છમાં દીઠા .
ઊંટ ઘોડા ગાય ભેંશ ,બકરા અને ઘેટા
માનવ માત્ર ના સુખ માટે પ્રભુએ પ્રેમે દીધા .
મિત્રો અહી કવિતા એક નવો વળાંક લે છે . અહી શબ્દોના આટા પાટા છે . પ્રકૃતિ શબ્દોનો અર્થ નવી રીતે કવિતામાં વર્ણવ્યો છે ..પ્રકૃતિનો બીજો અર્થ એટલે .સ્વાભાવિક ગુણ…પાંચ ભૂત, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રકૃતિ.. સરળ ભાષામાં મનનું બંધારણ.માનવી ના ગુણોની વાત કવિતામાં આલેખી છે . તેમજ વેદમાં કરેલ વર્ણન – મૂર્ત, અમૂર્ત, સાકાર, નિરાકાર બધું તેશબ્દનો અર્થ પ્રકૃતિ થાય છે. …….ટુકમાં ………માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં કવિતાના બીજા ભાગમાં રજુ કરી છે અને અંતમાં પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે. એ વાતની પ્રતીતિ એમની શુભ ભાવના થી કરાવી છે ..
કાળા ગોરાને ઘઉં વર્ણા છે માનવ .
તામસિક ,રાજસિક અને સાત્વિક ગુણસભર .
દેવ દાનવ અને માનવ સૌના જુદાજુદા વર્તન
કર્મ છે સૌના જુદાજુદા વેદ કરે છે વર્ણન.
બલૂન હેલીકોપ્ટર વિમાન અને ટ્રૈઈન
આ સઘળી વસ્તુઓ છે માનવ બુદ્ધિની દેન .
ઈર્ષા કપટ અભિમાનને બુરો મનનો ક્રોધ .
માનવનાં અંતરમાં રહેતા દુર્ગુણભર્યા દોષ .
સંતો દેતા અહર્નિશ શિક્ષાનાં સાચા બોલ .
હૈયે ઉતારી આચરણમાં નિર્મળ મનથી તોલ
સૌ માનવનાં મુખ પર રહો અખંડસ્મિત ,
જગમાં રહે સઘળે સુખ સમૃદ્ધિ ને શાંતચિત્ત .
દરેક પામે અન્ન વસ્ત્ર અને રહેવા સહુનેસદન
વિશ્વેશ્વર હું કરું સદા ઉત્કર્ષ માટે નમન
પદ્માબેન કનુભાઈ શાહ