કયા સંબંધે? (24)હંસા પારેખ

આપણા શાત્રો કહે છે કે માણસો એક્બીજાના ગયા જન્મની લેણદેણને હિસાબે આ જન્મમા ભેગા થાય છે. થોડા હંમેશ માટે અને થોડા ઓચિંતાના મળે; થોડીવાર માટે; ને પછી તેઓ પોતપોતાને રસ્તે છૂટા પડે. પતિપત્ની , મા-બાપ,સગાવહાલા,દોસ્તારો વધારે વખત માટે સાથે રહે છે પણ જે લોકો થોડા વખત માટે જ મળે છે ત્યારે પ્રશ્ન થાય કે તે કયા સંબંધે ભેગા થાય છે? આપણે વિચાર કરતાં થઈ જઈએ. એવો એક બનાવ નીચે આપ્યો છે.

અમારું કુટુંબના એક વાર દરિયાકિનારે ફરવા ગયા હતા. અમારા ઘરનાને બધાને દરિયામા તરવાનો શોખ છે. હું તરતી તરતી જરા લાંબે જવા ગઈ અને અચાનક વમળમા સપડાઈ ગઈ. બહાર નીકળવા કોશીશ કરું તેમ વધુ ઉંડી ખેંચાતી ગઈ. ઘરના બધાએ મને લાંબે કિનારા પરથી જોઈ ને ગભરાઈ ગયા; મદદ કરવા ફાંફા મારવા માંડ્યા. પણ એ કામ સહેલું નહોતું.

નસીબ જોગે એક બોટમા બે જણાએ મને જોઈ. તરત જ મારી તરફ આવ્યા ને મને બચાવી.

આના પરથી વિચાર આવે કે ક્યા સંબંધે મને બચાવી? ભગવાને મોક્લ્યા કે મારા ગયા જનમની લેણદેણ !?

હંસા પારેખ

કયા સંબંધે? (23)પી. કે. દાવડા

કયા સંબંધે?

છેલ્લા થોડા વર્ષોથી સંબંધો સંકોચાઈ રહ્યા છે. Single Child Norm માં આજે લોકોને મામા છે તો માસી નથી, ફઈ છે તો કાકા નથી, અને ક્યારેક કાકા, મામા, ફઈ કે માસી કોઈપણ નથી. આજે અમેરિકામાં ઉછરતા ભૂલકાઓ પૂછે છે કે મમ્મી કાકા એટલે તારા ભાઈ કે પપ્પાના ભાઈ?

એ સિવાય પણ છૂટાછેડા અને ફરી લગ્ન સામાન્ય થયા છે. આને લીધે નવા સંબંધો ઉમેરાયા છે. એકવાર કનૈયાલાલ મુનશી એ લીલાવતી મુનશીને કહેલું, “જરા જો તો તારા, મારા અને આપણા લડી રહ્યા છે.”

વર્તમાન સમયમાં પ્રવર્તતા સંબંધો વિષે મેં થોડા છપ્પા લખ્યા છે.

“દાવડા”સમાજમાં ફેરફાર થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,

સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,

રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય.

 

કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા,

કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,

દાવડા  સંબંધોની  ચોખવટ, લાગે સૌને  ફાલતુ   ઝંઝટ .

 

દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,

અર્ધા  ભાઈ ને  અર્ધી બહેન, હવે  નથી એ મારો વહેમ,

બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.

 

સંબંધની  વ્યાખ્યા  બદલાઈ, નથી  જરૂરી કોઈ સગાઈ,

સંબંધો  સગવડિયા  થયા, નફા  તોટાના  હિસાબે રહ્યા,

સંબંધોની ન રહી કોઈ જાત, નાત  જાતને  દીધી  માત.

 

ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,

દાવડા સરકારી કાયદો ફરે, પાંચ  વર્ષનો  કરાર જે  કરે,

ઇન્કમ ટેક્ષમા  છૂટ અપાય, જેથી  થોડા સંબંધ સચવાય.

અંતમાં સુરદાસે કહેલું જ માનવું પડે કે, “સબસે ઊંચી પ્રેમ સગાઈ”.

-પી. કે. દાવડા

“કયા સંબંધે”(22)અરૂણકુમાર અંજારિયા

નિંદાનો ખારો દરિયો

સ્તુતિની મધ મીઠી વાણી,

બંને નકામી છાવણીઓ છે

(આપણે) રાખવી અકબંધ કહાણી ( .મો.)

 

મનુષ્ય અન્ય પ્રાણીઓથી જૂદો પડે છે તેનું મૂળ કારણ તેની સામાજિક અનન્યતા છે.

અન્ય પ્રાણીઓમાં આપત્યભાવ અને સહચર્ય અલ્પજીવી હોય છે જયારે મનુષ્યમાં આવા સંબંધો મૃત્યુ પર્યંત સ્થાપિત થયેલા હોય છે. વળી, મોટેભાગે મનુષ્ય માત્ર બુધ્ધિ કરતાં હ્ર્ય્દયથી વધુ જીવે છે, વધુ જુવે છે, પરિણામે બહુયામી સંબંધોથી બંધાયેલો હોય છે.

પિતા-પુત્રી-માતા-પતિ-ભાઈ-સાસુ-નણંદ અને મિત્રના બહુરંગી વલયો આપણા સમાજને વહાલ, સમર્પણ, ફરજ વ. ની વિશિષ્ટ પરિપાટી અને અનુશાષિતજીવન માટે એક રંગમંચ-stage પૂરો પાડે  છે. તમે કેવું પત્ર ભજવો છો તે તમારામાં વિકસીત સંસ્કારો કે ઉછેર પર નિર્ભર છે. અને તેથીજ “મકાન” ને બદલે ‘ઘર’નું હોવું, ‘શાળા’ ને બદલે ‘મૂલ્યો અને જ્ઞાનના સંસ્કારધામનું હોવું’, એ હંમેશ પાયાની જરૂરીયાત રહી છે જે એક વ્યક્તિને તેના સંબંધો માટેની ખાસ તક પૂરી પાડે છે. પણ અહીં મિલન-વિયોગ, સુખ-દુઃખ, સ્વીકાર-રુખસદના સંસારિક વ્યવહારોમાં સપડાયેલાં  આપણે, સંબંધોની મૂલવણી અને પાલન પોતાની શક્તિ મુજબ કરતાં કરતાં સ્મરણોની સુખદ કે દુઃખદ યાદો અને તેના આઘાત-પ્રત્યાઘાતોને જોતાં, જીરવતાં  જીવનભર વાગોળીએ છે.

કેટલાક સંબંધો સ્વાર્થના કાચા તાંતણે બંધાયેલા હોય છે જે બંધાય છે જલદીથી અને તૂટે છે પણ જલદીથી. અહી છેતરાઈ જનારને પારાવાર દુઃખ અને યાતના ભોગવેજ છૂટકો. આવા સંબંધો માં મિત્ર-મિત્ર વચ્ચેના તેમજ પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધી ફલક વિસ્તરતું જોવા મળે છે. જેમાં દિનપ્રતિદિન વૃધ્ધિ વર્તાય છે અને માવિત્રો-સંતાનો વચ્ચે કે ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધોના કિસ્સા સામાજિક  સુરુચિનો ભંગ કરતા જોવા મળે છે.

સંયુક્ત કુટુંબના સહચર્યના કાંગરા એક પછી એક તૂટવાની સાથે વિભક્ત થયેલ કુટુંબમાં મન મિલાપ ની તીવ્રતા પણ ઘટતી જોવા મળે છે. ખાસ કરીને શેહેર જેવા વિસ્તારોમાં આજ કાલ ઘર ખર્ચને પહોચી વળવા અથવા ભૌતિક સુખો ભોગવવા પતિ-પત્ની બંને નોકરી પર જતાં ભારે મોટી સજા બાળકોને ભોગવવી પડે છે, જે આગળ જતાં, બાળકમાં એકલતાથી માંડી તોછડાપાણાંની ભાવના માં વિકસીત થવાની શક્યતા છે.

સંબંધોમાં પડતી નાની તિરાડો છેવટે મોટી થાય છે, અને પછી કોઈ પ્લાસ્ટર તેને સાંધી શકતું નથી.

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા

લાગણીને ટાંકણે  ટાંક્યા હતા

તેં કફન ખોલી કડી જોયું નહીં

મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા” (વિનોદ ગાંધી)

પણ કોઈ એવા સંજોગો ફરી આવે અને અરસ પરસ ગેર સમજ દૂર થાય તો પછી, પસ્તાવાના ઝરણાંનું પૂછવુંજ શું? કોઈ કવિએ સાચુંજ લખ્યું છે :

અશ્રુ પછીનાં સ્મિતનું દ્રશ્ય તો જુઓ,

વર્ષા પછીનો જાણે કે પેહેલો ઉઘાડ છે

સંબંધોમાં નૈતિકતા અને નમ્રતા સાથે નિઃસ્વાર્થપણું મોટો ભાગ ભજવે છે તે સાથે ભાષા જે આહત કરી શકે છે તે સમાધાન પણ કરાવી શકે છે. અહમથી દૂર અને નિસ્વાર્થ વ્યક્તિ હંમેશ અજાતશત્રુ રહે છે અને કોઈ પણ સંબંધ સાચવવા સમર્થ બની શકે છે.

અપેક્ષિત સંબંધોનાં આપણાં આદર્શ ક્ષેત્રો :

મુખ્યત્વે, આપણાં સંબંધોમાં આદર્શવાદ કેન્દ્રસ્થાને રહ્યો છે, પરિણામે વડીલોનું સ્થાન મુખ્ય રેહેવા પામ્યું છે. તેમાં પણ પુરુષ પ્રધાન કુટુંબોમાં તો સવિશેષ સામાજિક અનુશાસનની ભાવના રેહેતી આવી છે. રામાયણના વિવિધ પાત્રો વચ્ચેની કૌટુંબિક ભાવના આપણાં સમાજ નો આદર્શ રહી છે. તે સાથે અન્ય પાત્રો કૃષ્ણ-સુદામાની મૈત્રીનો સુક્ષ્મ પ્રેમ સંબંધ, રામનો આદર્શ પતિ-પુત્ર-ભાઈ અને શાસક તરીકેનો પારદર્શી સંબંધ, સીતાજીની પત્ની અને કુટુંબ તરફની ઉચ્ચ ભાવના, આપણાં સંબંધો માટે હંમેશ માર્ગસૂચક રહ્યા છે. તે સાથે ‘માં’ નું કુટુંબમાં સંસ્કારલક્ષ્મીનું સ્થાન છે, તેથી ‘માં’ જતાં એક શિરોબિંદુમાં બંધાયેલ સંબંધની દોરીઓ છૂટી પડી જાય છે.

આજે વીજાણું વિષયક સુવિધાઓ એક તરફ વિશેષ જ્ઞાન તેમજ સંબંધો જાળવવાના પર્યાય બન્યા છે. ટેલીવિઝન, લેપટોપ કે મોબાઈલે એક તરફ દુનિયા ને સાંકડી બનાવી છે, તો તેમાં ખર્ચાતો સમય કૌટુંબિક વ્યવહારો અને સંબંધો સાચવવાની મોકળાશ પર મોટી અસર પાડે છે. એક બીજા ના ઘરે જવા આવવાની બાબતો હવે અઠવાડિક કે માસિક છપાતાં સામાયિક જેવી બની ગઈ છે. ભારત અને અન્ય તેવા દેશોનું યૌવનધન, પોતાની ક્ષમતાને કારણે વિદેશોમાં સ્થાયી થતાં વિભક્ત કુટુંબો, સવિશેષ વિભક્ત બનવા લાગ્યાં છે. અને ખાસ કરીને ત્યાં ઉછરતાં બાળકો પોતાના અન્ય કુટુંબીઓ સાથે લગાવ ન રાખી શકતાં આ સંબંધો માત્ર નામ પૂરતાજ રહે છે. ક્યાં દરરોજ દાદા-દાદી પાસેથી વાર્તા સાંભળી પુલકિત થતું બાળક અને ક્યાં આઈ-પેડ પર હાથ હલાવતું અને વિસ્મયથી “હાઈ-હેલો કરતું બાળક !!

છેલ્લે એક બની ગયેલ વાત રજુ કરવાનું મન થાય છે :

લગ્નના અઠવાડિયા બાદ નૈષધ અને બીના પોતાના આયોજન મુજબ  ઉટી-કોડાઈકેનાલથી મુંબઈ આવી પહોચ્યાં. ત્રણ ચાર દિવસ રોકાઈ અમદાવાદ પરત જવાનો કાર્યક્રમ હતો. બીજા દિવસે ગુજરાતી અખબાર લેવા બંને રેલ્વે  સ્ટેશને ગયા અને ત્યાજ બાંકડા પર બેસી બંને છાપાં વાંચવામાં મશગૂલ હતા. પંદર મિનીટ પછી જેવા બાંકડા પરથી ઉઠવા ગયાં ત્યારે જાણ થઇ કે બીનાનું પર્સ કોઈ તફડાવી ગયું હતું !બંને બેબાકળા બની ગયાં …. પર્સનો ખભા પર રાખવા નો પટ્ટો કાપી પર્સ કોઈ સેરવી ગયું હતું !! હવે શું ???

” એટલું સારું કે મારું વોલેટ સહી  સલામત છે” નૈષધે પોતાનું  ખિસ્સું તપાસી બીના સામે જોયું।

” પણ તેમાં હવે શું પૈસા છે તે તો જુઓ ! “

“મને  ખ્યાલ છે કે હોટેલનું બીલ તો ભરી શકીશ હું. તારી પર્સમાં, વળવાની ટીકીટ, એ.ટી.એમ-ડેબીટ-ક્રેડીટકાર્ડ પણ ગયા…. બાપરે ! ભારે થઇ ! “

“તો હવે અહી  અજાણ્યાંમાં કરવું પણ શું ? મને મૂર્ખીને એ પણ ન સૂઝયુંકે પર્સ ને આમ લટકાવીને બાંકડે ન બેસાય!”

” હવે અફસોસ કરવો નકામો છે. પોલીસ લફરાંથી કોઈ કાંદો નહીં નીકળે ! હવે આવતા સોમવારે તો મારી રજાઓ પણ પૂરી થાય છે ” નૈષધે કહ્યું

” આપણે રેલ્વેની સાદી ટીકીટ  લઇએ તો પણ 800-1000 રૂપિયાની રકમ તો જોઈએજ !” બીનાએ ચિંતા દર્શાવી.નૈષધ-બીના રેલ્વે સ્ટેશનના બાંકડે બેસી હવે પાછું વળવા માટે જોઈતી રકમના વિકલ્પો વિચારતાં હતાં …..

” મારા બે અહીંથી ખરીદેલાં ડ્રેસ, અક્બંધ પડેલ છે, તે પાછા આપી દેશું, તો સેહેજે ચારેક હજાર રૂપિયા તો મળશેજ” બીના એ પ્રસ્તાવ મૂક્યો।

“નાં એવું હરગીઝ નહીં”

“તો બીજો કોઈ રસ્તો પણ નથી ” બીના એ કહ્યું

“હવે તો મિત્રો પૈકી કોઈ એકને ફોન કર્યા સિવાય કોઈ છૂટકો નથી ” નૈષધ એવું કહી ઉઠવા ગયો ત્યાતો બાંકડા ની પાછળના ભાગે બેસેલા 60-65 વર્ષના જૈફ સજ્જને નૈષધના ખભા પર હાથ મુકીને કહ્યું,

“બેટા, ખોટું ના માનતો, પણ હું ક્યારથી તમારા બંનેની વાતો સાંભળતો હતો. તમે બંને મારા સંતાન જેવાં છો, અને મારી મદદ લેવામાં તમને કોઈ હરકત પણ ન હોવી જોઈએ ! હું પણ અમદાવાદનોજ છું. ” ખૂબ સમજાવટ પછી, એક બીજા ના સરનામાંની આપ લે કરી, નૈષધે લોન સ્વરૂપે રકમ સ્વીકારી.અમદાવાદ પહોંચતાંની સાથેજ નૈષધે મુંબઈ ના સરનામે  સજ્જનને મની ઓર્ડર કરી દીધો….પણ ….. આશ્ચર્ય વચ્ચે મની ઓર્ડર પરત ફરે છે, જેના પર નોંધ હતી કે ” આ સરનામે કોઈ રેહેતું ન હોઈ પરત કરવામાં આવે છે “

નૈષધ ત્યાર પછી મુંબઈ રૂબરૂ જઈ, પેલા સજ્જને આપેલ સરનામે પણ જઈ આવ્યો, પણ તેના આશ્ચર્ય અને દુઃખ સાથે તેણે જોયું કે ત્યાં વરસોથી કોઈ રેહેતું ના હતું !

નૈષધે મને કહ્યું ” ત્યાર પછી ઘણી વખત હું મુંબઈ જઈ આવ્યો, દર વખતે પેલા રેલ્વે સ્ટેશનના બાંકડાને જોતો, પણ ત્યાં કોઈ ન દેખાતું ! આ વાતને પાંચ સાત વર્ષો વીત્યાં છતાં તે સજ્જનનો દયાળુ ચહેરો યાદ આવ્યા કરે છે. દસ મિનીટનો છતાં કાયમી સંબંધ !!! પેલો ચહેરો, પ્લેટફોર્મ પરનો તે બાંકડો મારું સંભારણું બન્યા છે ! “

આ કયો સંબંધ હતો? …. શું એ માત્ર હૈયાની ભીનાશ હતી ? … ઋણાનુબંધ હતો, ચમત્કાર હતો, કે પછી કોઈ અદભૂત સંબંધનો સાક્ષાત્કાર ? હોઈ શકે પોતાની એકની એક પુત્રીને ખોળતો કોઈ કોચમેન અલીડોસો હતો ? શું એ વર્ષો પેહેલા ગૂમ થયેલ એક ના એક પુત્રને શોધતો કોઈ કમનસીબ પિતા હતો ? …. એ કોઈ પણ હતો, પણ સંબંધ નિભાવી ગયો !!!

 unnamed

  • અરૂણકુમાર અંજારિયાનામ : અરૂણકુમાર એમ અંજારિયા – ઉ.વ. ૭૫,મૂળ વતન : ભુજ કચ્છ
  • એમ.એ. (ગુજરાતી), બી.એડ નિવૃત્ત : જીલ્લા શિક્ષણ નિરીક્ષક. (૧૯૯૬) Retiered as District Education Officer and recalled by Gujarat Govt. after 5 years of retirement, to a govt project. અન્ય : શિક્ષણ અને સામાજિક વિષયો પર આકાશવાણી – દૂરદર્શન પર પ્રસારણો.વાર્તા લેખન માં પ્રવૃત્ત.

“કયા સંબંધે”(21)કુંતા શાહ

ઉજ્વલ નારીનાં સંસ્થાપક, લતામા સવારે ૭ વાગે પત્રકારોથી વીંટળાયેલા હતાં.  આજે, જાનુયારીની ૯મીએ એ સંસ્થા સ્થાપ્યાને પચાસ વર્ષ પુરા થયા હતાં.  લતામાની બાજુમાં નિર્મળા એમનો પડ્છાયો બની બેઠી હતી.

અગ્ર પત્રકાર સુધીરભાઇએ શરુઆત કરી.  “અભિનંદન, મા. તમારી ભાવનાએ તમને અનેરું બળ આપ્યું છે – સમાજ સાથે લડવાનું.  આટલાં વર્ષોમાં લાખો બાલિકા, યુવતી, અને સ્ત્રીઓને તમે રક્ષણ અને શિક્ષણ આપ્યું છે જેથી તેઓ સમાજમાં સ્વમાનથી જીવતા શીખી ગયા છે.  આજે,  પાછલા અનેક વર્ષોની જેમ, ટપાલીને બદલે, તેમની કારમાં થેલા ભરી, ભરીને ટપાલ લઇ આવ્યાં છે.  તમારા કાર્યની સફળતા માટે અમને તો આનંદ છે જ, તમને પણ હશે!”

“આનંદ તો થાય જ છે કે પ્રભુએ મને આ કાર્ય કરવાને નિમિત્ત બનાવી. પ્રભુની મરજી વિના કશું થતું નથી.  હા,  નારીત્વનું અપમાન કરનારાઓએ પણ એવું ઘણી વાર કહ્યું છે કે પ્રભુની મરજીથી જ એવી ઘટના બને છે!  અત્યારે લગભગ ૬ કરોડ નારી જાતની વસતી ભારતમાં છે.  માનો, એમાંથી લાખને મારા જેવી સંસ્થા દ્વારા સહારો મળ્યો.  બાકીની કેટલીય પોતાની પરિસ્થિતીમાંથી ઊંચી આવી નથી શક્તી.  કારણ ઘણા છે.  હવે છેલ્લા દસેક વર્ષથી ગામડાઓમાં પણ હવે તમારી જ મહેરબાનીથી અમારા કામનો પ્રચાર થવા માંડ્યો છે.  અફ્સોસ એ વાતનો છે કે, આપણે ભારતીઓ જે પૃથ્વીને અને નદીઓને પણ માતા ગણી પૂજા કરે છે, સૌથી પહેલા “માતૃ દેવો ભવ” કહે છે તે પોતાની પુત્રી, બહેન અને માને દુઃખ આપે છે.  ઘણી દીકરી માને,  વહુ સાસુને અને સાસુ વહુને પણ દુઃખ દે છે. જ્યાં સુધી પોતાની શક્તીનું અભિમાન ખોટી રીતે અજમાવાનું માનવી નહીં છોડે ત્યાં સુધી આ ચાલવાનું જ. પણ એ અન્યાયનો અસ્વિકાર કરતાં શીખવાનુ એ સહુનું દાયિત્વ છે.”

“મા, સાંભળ્યુ છે કે તમારી તબિયત સારી નથી?”

“ભાઇ, ઉમર ઉમરનુ કામ કરે. ગાડી અટકવાની છે એવી સીટી તો હજી વાગી નથી.  અને કેટલીય જાગૃત બહેનો મારું  કામ ઉપાડી લેશે એની મને ખાત્રી છે.”

બધા પત્રકારોએ માને પ્રણામ કરી, કઇં પણ મદતની જરૂરત હોય તો દોડતા આવી જશું એમ કહી વિદાય લીધી.

નિર્મળા લતામાને સહારો આપતી એમની ઓફીસમાં લઇ ગઇ.  માને મોસંબીનો રસ અને મેથીના થેપલા આપતાં યાદ દેવડાવ્યું કે આજે બપોરે ૩ વાગે ડોક્ટર કશ્યપ આવવાના છે. આજે, કોણે શું કરવાનું છે તે પાછા વાંચી ગયા.  કોણ બીમારીને લીધે સોંપેલું કામ કરી નથી શકવાના, અને તેથી અગત્યતાને પહોંચી વળવા શું કરવું તેનો નિર્ણય લઇ દિવસનાં કામની વ્હેંચણી કરી દરેક કક્ષમાં ઇંટરકોમ દ્વારા જણાવ્યું.  રાત્રે તૈયાર કરેલી ભેટની વસ્તુઓ એક કાર્ટમાં મુકી આઠ વાગે મા અને નિર્મળા નિયમ પ્રમાણે પ્રથમ બાલીકા કક્ષમાં ગયા. દરેકને વ્હાલ કરી, નવા કપડા, દોરડા અને ચિત્રકળાના પુસ્તકો તથા સંગબેરંગી પેન્સીલો આપી, યુવતી કક્ષમાં ગયા. એ સહુને પણ વ્હાલ કરી, નવા કપડા, ડાયરી તથા પેન્સીલ આપી સુચના કરી કે આ ડાયરીમાં મનમાં જે આવે તે રાત્રે સૂતા પહેલાં લખો અને પછી જે પ્રાર્થનાથી તમારું મન શાંત અને સ્થિર થાય તે કરજો. એ વર્ગને સોંપાયેલી ગોદડીની રચના ક્યાં સુધી આવી તે જોઇ ખુશ થતાં થતાં “સુંદર” કહી ત્યાંથી પ્રોઢ સ્ત્રીઓના ઓરડામાં ગયા. તેમને પણ વ્હાલ કરીને એ જ વસ્તુઓ ભેટ આપી અને ડાયરી માટે એ જ સુચના આપી.  આ બહેનોએ બનાવેલા ચવાણા, ખાખરા, ફરસાણ અને મીઠાઇ સહેલાઇથી વેચાઇ જાય છે અને નવા ઘરાકો ઉમેરાતા જાય છે તેના અભિનંદન આપ્યા. ત્યાંથી વૃધ્ધકક્ષમાં ગયા. એમને પણ વ્હાલ કરી નવા કપડાં, ભજનની નવી સીડી આપી “કોઇને પણ વાત કરવી હોય તો સાંભળવા આતુર છું” એમ કહી એમને માટે રાખેલી ખુરશીમાં બેઠા.  મોટા ભાગની વૄધ્ધાઓ વિધવા હતી.  ક્યાંક તો સંતાન નહોતા કે હતાં તો પણ મા એમને ભારે પડતી હતી. આ સ્ત્રીઓ એક્બીજા જોડે વાત કરી હૈયુ ઠાલવતી, એકબીજાને માંદગીમાં મદત કરતી, અપંગને સહારો આપતી, આંધળીઓની આંખ બનતી.  રસોઇઘરમાં પણ બનતી મદત કરતી.  પ્રેમની ભૂખી બાળકીઓ અને યુવતીઓની નાની, પ્રૌઢાઓની બહેન કે મા બનવાના પ્રયાસો કરતી.

બાર વાગવા આવ્યા હતા.  નિર્મળા માને લઇ પાછી ઓફિસમાં ગઇ. રસોઇઘરમાંથી મા, નિર્મળા તથા પોતાને માટે ભોજન એક પ્રૌઢા લઇ આવી અને બધાએ મૌનમા જ પ્રસાદ આરોગ્યો. સાડાબારે બીજી  બધી પ્રૌઢા અને યુવતીઓ આવી ગઇ અને બધા ટપાલ ખોલવા બેસી ગયા. મોટે ભાગે ફાળા માટે ચેક હતા.  દરેક ચેકનો આંક્ડો, મોકલનારનાં નામ સરનામા સાથે દાનની લેજરમાં યુવતીઓએ નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. રસોઇઘર ની કમાણીના ચેક એ જ માહિતિ સહ જુદી  લેજરમાં નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા.  થોડા પત્રો દીકરી, બહેન, પત્નિ કે માની શોધ હેતુ હતા.  એ બધા ખોવાયેલ વ્યક્તિના નામના અનુક્રમે ફાઇલ કર્યા.  જો એ વ્યક્તિ એમની સંસ્થામાં  આશ્રયી હોય તો એ આશ્રયીની તૈયારી ના હોય ત્યાં સુધી એ પત્રનો ઉત્તર નહીં અપાતો.  પ્રૌઢ અને વૃધ્ધા જ્યારે પોતાની તૈયારી બતાવે ત્યારે તેમને એ પત્ર આપતા અને રજા આપતા.  યુવતી અને બાળકી માટે વધુ કડક તકેદારી રખાતી.  એક પત્ર નામ વગરનો હતો.  એ ભાઇને માની માફી માંગવી હતી.  પોતાના જીવનની છેલ્લી ઘડીએ એ માના દર્શન કરવા માંગતા હતા.  માએ એ પત્ર જોવા માંગ્યો.  અક્ષર પરિચિત હતા. માએ નિર્મળાને કહ્યું “જવાબમાં લખી દે કે કોઇ પણ દિવસે બપોરના ૪ પછી આવી શકે છે.  પહેલેથી જણાવે કે કયે દિવસે આવવાના છે,”  દરેક દાનીને મા લક્ષ્મીનો ફોટો મોકલવા માટે પરબીડીઆ ઉપર સરનામું લખી, સ્ટેમ્પ લગાડી તૈયાર કરાયા.

બસ આ કામ પુરુ થયું ને ડોકટર કશ્યપ આવી પહોંચ્યા.  માને પહેલાં પ્રણામ કરી, એક ચેક સહ અભિનંદન આપી, તપાસ્યા.  પછી જણાવ્યું કે બ્લડ પ્રેશર બહુ વધારે છે. સવારે ૬ વાગે ગાડી મોકલશે અને ડ્રાઇવર હોસ્પિટલમાં, બ્લડ, યુરિન અને એક્સરે માટે લઇ જશે.  પાણી સિવાય કશું લેવાનું નહી. બધું પતે એટલે ડ્રાઇવર તમને પાછા અહીં મુકી જશે. બ્લ્ડ પ્રેશરની દવાની ગોળીઓની બાટ્લી આપી પુછ્યું “ આજે બીજા કોઇને તપાસવાનું છે?”

“ના, આજે નાઝ અને વસુને સવારે તાવ હતો પણ અત્યારે સારું છે.”

“”તો હું નીકળું? આ ચેકના કોથળા લેતો જાઉં જેથી ખાતામા આજે જ જમા થઇ જાય.”  નિર્મળાએ તૈયાર કરેલા મિઠાઇ અને ચવાણાના ડબ્બા કશ્યપને આપ્યા પછી ચેકના કોથળા નિર્મળા કશ્યપની કારમાં મુકવા ગઇ. માને ફરી પ્રણામ કરી, કશ્યપ વિદાય થયો.

૨૦મી જાન્યુઆરીએ અનામી બપોરે ૪ વાગે આવી ઉભો.  રડી ને લાલ આંખોથી નિર્મળાને જોઇ એ જરા વિચારમાં પડી ગયો પણ માને જોઇ મા પાસે દોડી એમનાં ચરણ દબાવેલાં અશ્રુથી ધોવા લાગ્યો. માએ મા એના મસ્તકને પંપાળતા રહ્યા. એકાંતની જરુર છે એમ કહી નિર્મળાને બારણું બંધ કરી ફૂલોને પાણી આપવા મોકલી. જ્યારે અનામીના ડુસ્કા ધીમા પડ્યા ત્યારે માએ એનું માથું ઉંચુ કરી કહ્યું “નિધિનભાઇ, શાંત થઇ જાવ.”  રડતા રડતા નિધિને કહ્યુ “બહેન, તુ ગઇ ત્યારનો તને શોધું છું.  અચાનક ટીવીમાં તારી છબી મેં જોઇ, અવાજ સાંભળ્યો અને જાણી ગયો કે લતામા બીજું કોઇ નહી પણ મારી બહેન કુસુમ જ છે. તુ મને માફ કરશે કે નહીં એ વિચારમાં મેં મહીના કાઢ્યા.  પછી હિંમત કરી કે બહુ બહુ તો તું મને ના કહેશે, સમાજમાં મારી બદનામી કરશે પણ આજે જોવું છું કે તું ખરેખર મા જ છે.  તેં મને માફ કરી દીધો છે એ વગર બોલ્યે હું અનુભવી શકું છું.”

“ભાઇ,  જ્યારે આપણું ઘર છોડીને ભાગી ત્યારે હું ગુસ્સામાં હતી જ.  જાતને સંભાળી ન હોત તો કદાચ મારે હાથે હત્યા પણ થઈ જતે. એક સંતના આશ્રયમાં મારું મન શાંત થયું અને શિવ શક્તિની ઉપાસનાથી જાગૃત થઇ.  તમને મેં ત્યારનાં માફ કર્યા હતાં જે દિવસે આ માર્ગે પ્રયાણ કર્યું.  તમે તો મારા પર કૄપા કરી જેથી હું પણ મારા અહમને પંપાળવાને બદલે અઢળક લોકોને પંપાળવાનું સુખ ભોગવું છું.  બસ, હવે તમે જઇ શકો છો.”

“જતાં જતાં એક પ્રશ્ન પુછું? આ બહેન,જેને તેં બગીચામાં મોકલી એ કોણ? મદન  “ કુસુમ ફરી લતામા બની ગઈ.  “ભાઇ, કયા મદનની વાત કરો છો? અહંકાર અને વ્યસનોમાં ડૂબેલા બધાં જ તો મદન છે! હવે તમારા કોઇ પ્રશ્નનો જવાબ નહી મળે. અહીંના સર્વે આશ્રિતો અને કાર્યકર્તાઓનું માનસિક અને શારીરિક રક્ષણ કરવું એ આ સંસ્થાનો પહેલો ધ્યેય છે.  હવે તમે જાવ અને ફરી કદી આવશો નહીં”

નિધિન માને પ્રણામ કરી ફરી આંખ ભીંજવતો ચાલ્યો ગયો. અને મા ધ્યાનમાં વિલિન થઇ ગયા.

કુંતા શાહ

“કયા સંબંધે”(20)પદમા-કાન

 

સદીઓ પુરાની છે એની ટેવ આ તો લપાછપીનો છે ખેલ,

સંબંધ વગરના આવી પડે જીવનમાં “ક્યાં સમ્બન્ધે”પ્રસન ઉઠે મનમાં?

આવી પડે કો સમસ્યા જીવનમાં,બંધ નયને નિહાળવું અંતરમાં!

આ વિશ્વ છે એક વિશાલ રંગમંચ,ખેલવું નટ નટીને સંગ.

અટપટા છે આ જીવનના રંગ,મેળવે કદી મેઘ ધનુષના રંગ

અણધાર્યો આવી ચડે કો વાદળ કાળો કાળો ડીબાંગ?

ત્યારે વીજના થાય ચમકારા!  એજ, એજ ચમકારામાં પરોવી લો ધાગો સુઈમાં

પરોવાઈ જાય આત્મા પરમાત્મામાં  એક જ સંબંધમાં

ને એક જ તદ્રુપ માનતા ને માણતો જીવ  ગર્ભમાં ગર્વમાં

એજ ત્દૃરૂપના છીએ આપણે સ્વરૂપ સંસારમાં

સૌની અંદરનો પ્રાણરસ તો એક જ રસાયણથી સિંચાય

આંતર ચેતનામાં સો સમાન છે,આનો પ્રત્યક્ષ પરિચય થાય

એક જ પિતાના સંતાન,તે જ એક તત્વ છે જોડી રાખે સંબંધમાં

જીવ કરે પ્લાન જતા પહેલા સંસારમાં

કીયું ગામ ને કિયા માબાપ ,કિયા  સંબંધીની હું જોઈ  રહ્યો વાટ,

અનેક જન્મોના શેષ કર્મ ફેડી દઉં આ ફેરીમાં

નવ માસની અવધ પૂરી થઈને, ઉવા ઉવા કરતા પૃથ્વી પર અવતરે બાળ

અજનબી આ આલમમાં,રંગ બેરંગી દુનિયામાં,મોહમયી આ નગરીમાં

પ્રવેશતાની સાથે જ માયાનો પડદો,વીટાઈ  વળે ચોપાસ.

નગ્નાવસ્થામાં બાળક જન્મે છે,પછી કદી નવસ્ત્ર તે રહે છે

.મમતાની મુરત સમું મળે વસ્ત્ર માતનું ને પ્યાર ભર્યું તાતનું

ભાઈ,ભાભી બહેન બનેવી, કાકા કાકી,ફોઈ ફૂવા

મામા મામી,માસી માસા,લોહી સમ્બન્ધના આમ  વસ્ત્રો મલે ખાસ્સા.

વસ્ત્ર મળ્યું ગુરુદેવનું વિદ્યા દેતા પાઠશાળામાં

હસતા રમતા કદી ઝગડતા સાથે ભણતા આ શાળામાં

અનેક સમ્બંધ મિત્રોના મળિયા ભણતા ભણતા આ ગાળામાં.

પ્રભુતામાં પગલા માંડતા,  પતી કે પત્ની, સાસુ સસરાના મળે અનેક સમ્બંધી,

નવી પેઢીને જૂની પેઢીનો ત્રાસ,અહિયાં કેમ બેસે પ્રાસ ?કોણ પિતા ને દાદા કોણ?

આમ સંસારના  સંબંધોમાં અટવાય.,અસલ સંબંધ પરમેશ્વરનો, તેની ક્યાંથી આવે યાદ?

કોણ પરમેશ્વર?I DON’T KNOW,નજરે ના નિહાળું તો માનું કેમ?મુહ મોડતો એમ

પેઢીની પેઢી વીતી જાય, જન્મો જન્મના ફેરા થાય

કિયા  જન્મના કયા સમ્બન્ધો,તન,મન અને ધનથી ફેડાય તે ના કળાય   

આ વિશ્વ છે મોટું રંગમંચ ને ત્યાં શરુ થઇ જાય નિત નવા ખેલ.

ઈચ્છા અનિચ્છાનો સવાલ પેદા જ ન થાય, બસ ખેલતા રહો સહુ ખેલ.

આ વિશ્વ રંગ મંચની છે એક જ ખૂબી પાત્ર ના જાણે તેને કયો કરવાનો છે ખેલ!

જ્ન્મોજ્ન્માન્તરના પડદા આમ પડતા જાય જુના સમ્બન્ધ ભૂલાતા જાય   

ના જાણે એ  સદીયો સુધી,કિયા જનમના સમ્બન્ધ, તેની ના હોય શુધી

એક ટપકા જેવડી કીડી, ચોરની જેમ લોખંડના કબાટમાં જાય ઘુસી

કબાટમાં કાચની બોટલ,બોટલમાં અમેરિકાની બદામ

બદામ એવી ખાધી,ઉપરનું છોતરું અકબંધ રાખી

આમ્ સંબંધ વગરના છોતરા અને કીડીએ  મને પુરેપુરી છેતરી!

ચી ચી કરતી આવી ચકલી,ચાર દાણા ચણે ને ઉડી જાય,

કા કા કરતો આવ્યો કાગડો,બે ટુકડા રોટીના ચાંચમાં ભરતો જાય,

ભાંભરતી આવે ગાય બારણામાં ખાધી રોટલી ને ચાલતી થાય,

મુંબઈ પુનાના હાય વેની વાટમાં,રમકડા વેચતા નાના નાના બાળ

માં મારું રમકડું ખરીદો, મેં કીધું મારે ના એની ખપ,

તો એ કહે પેસા મળે તો ભૂખ મારી ભાન્ગું હું વિચારું કેમ જાય આ લપ !

બીજી જ ક્ષણે આવ્યો અંતરમાંથી દયાનો ભાવ

ચાલ મારી સાથે હોટેલમાં તને જમાડી દઉં

મને? પ્રશ્ન કરતા સંકોચાતો મારી પાછળ આવતો

બાજુમાં મારી બેસીને જમતા, ભાવ ના કળાય મને મારા કે તેના મનના!

અમેરિકાના કો ખૂણેથી હિલીંગ માટેની માગણીની આવે એક ઈમૈલ,

ના કદી નજરે નિહાળ્યા,તોય કર્યું હિલીંગ,ને સાજા થાય!

માનો કે ના માનો શ્રધ્ધા અને વિશ્વાસના સમ્બન્ધે પ્રારબ્ધે આવી મળે    

આવા આવા તો આવે કઈક જીવનમાં જાણ્યા અજાણ્યા

સહુ સહુનો ભાગ લઇ પડે રસ્તે “કયા સમ્બન્ધે?”

પ્રશ્ન ઉઠે મનમાં એક જ પિતાના છે સંતાન?તો ભિન્ન ભિન્ન દીસે કેમ?

પિતા એક છે પણ પુત્ર અનેક છે સર્વમાં ચૈતન્ય  તત્વ પણ  એક છે.

માટીના  મટીરીયલના જુદા જુદા રંગ છે,રંગના ભિન્ન ભિન્ન ગુણના એ ભેદ છે   

કોઈ કાળા  તો કોઈ ગોરા કોઈ લાલ તો કોઈ પીળા!

ઋણાનુબંધ ને લેણ દેણનો  સંબંધ, અટલ છે એ   “કર્મનો સિદ્ધાંત”

દુનિયાના તમામ કાયદે હોય કાઈ ને કાઈ અપવાદ

કિન્તુ કર્મના કાયદામાં?ના મળે ક્યાય અપવાદ કે બાંધછોડ!

પછી ભલે તે હોય દશરથરાજા,રાજા રામના પિતા?

દેહ ધારણ કરી પૃથ્વી પર પધારે,કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરે,

કર્માનુસાર પુત્ર વિયોગે,મૃત્યુને ભેટવું પડે.

શારીરિક કે માનસિક જે કોઈ નિત્ય ક્રિયા થાય,ખાવુપીવું,નાહવું ધોવું

નોકરી કરવી કે ધંધો,જાગવું કે ઊંઘવું, જન્મવું કે મરવું?

આ સઘળી ક્રિયા તે કર્મ કહેવાય.કર્મના પણ છે ત્રણ પ્રકાર.

(૧)ક્રિયમાણ કર્મ  (૨)સંચિત કર્મ (૩)પ્રારબ્ધ કર્મ

દિન દરમ્યાન કે જીવન દરમ્યાન થતી સઘળી ક્રિયા એ ક્રિયમાણ  કર્મ કહેવાય

આવા ક્રિયમાણ કર્મ અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય.

દા.ત.ભૂખ લાગી,ખાવાનું કર્મ કર્યું ને ભૂખ મટી ગઈ

તમે કર્મ  કર્યું નાહવાનું ને શરીર શુદ્ધ થઇ ગયું,  

તમને કોઈએ ગાળ દીધી, તમે તેને લાફો માર્યો

ક્રિયમાણ કર્મ આમ તત્કાલ  ફળ ભોગ્વાવીને જ શાંત થાય.

કેટલાક ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ ન દેતા સંચિત કર્મમાં  જમા થાય

દા,ત.આજે તમે પરીક્ષા આપી ને મહિના પછી આવે પરિણામ

 જવાનીમાં તમે દુઃખી કર્યા માબાપને,તો તમારી વૃદ્ધાવસ્થામાં તમને દુખી કરે તમારા સંતાન

બાજરી પાકે નેવું દિવસે,૧૨૦ દિવસે પાકે ઘઉં,આંબો ફળ આપે પાંચ વર્ષે,રાયણ ફળ આપે દસ વર્ષે/

જેવી જાતના ક્રિયમાણ કર્મ તે તદનુસાર ફળ મળતા લાગે વાર  

વધ શ્રવણનો કરતા,દશરથરાજાને મળે શ્રાપ,પુત્ર વિયોગે મૃત્યુ થાય,

જ્યાં પુત્ર જ ના હોય,ત્યાં કેમ લાગે શ્રાપ?ક્રિયમાણ કર્મ શાંત ન થતા સંચિત કર્મમાં જમા થાય

યુધ્ધમાં વિજયના અર્થે મળેલું દશરથરાજાનું જ દીધેલું વરદાન કૈકેઈનું પાકે?

દશરથ રાજાને મળેલો શ્રાપ પણ આહી પાકે?

ભરતને મળે ગાદી,ને રામને ચૌદ વર્ષનો વનવાસ એવું કૈકેઈ માંગે?

રામાયણ જોયું ને  હવે મહાભારતમાં ધ્રુતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પૂછે

આ જીવનમાં ના કીધું એવું પાપ મેં,જેથી ૧૦૦ પુત્રો એક સામટા મરી જાય?

કૃષ્ણ ભગવાને  દૃષ્ટિ આપી,પાછલા પચાસ જન્મ જોવા થકી,

પારધી જન્મે સળગતી જાળ નાખી,પકડવા પક્ષીઓને,બચવા માટે ઉડી ગયા કેટલાક,

કેટલાક સળગતી જાળની ગરમીથી  થયા અંધ,બાકીના નાના સો પક્ષી બળીને થયા ખાક

તેથી થયા તે અંધ,સો પુત્રનો થયો વધ, જાણ્યા પછી ના રહે કોઈ દ્વન્દ.

આમ સંચિત કર્મ પાકતા ફળ દેવા આવે તત્કાળ,તેને પ્રારબ્ધ કર્મ કહેવાય.

હજી ઘણા પ્રકારના છે કર્મ,શોધો જન્મો જન્મ,તોય ના પામો તેનો મર્મ

ખુદ ક્રષ્ણ ભગવાન ગીતામાં ગાય, ગહના  કર્મણો ગતિ,તો આપણી ચાલે ક્યાં મતિ?

કર્મની કરીએ સમાપ્તિ,ને બીજે કરીએ ગતી તો થાયે કાઈ પ્રગતી.

જીવન સમ્બન્ધના તાણાવાણાથી વણાયલ છે તેમાં કોઈ આડા તો કોઈ ઉભા છે.

હકીકતમાં ના તો કોઈ આડા છે ના કોઇ ઉભા છે.

જરા દૃષ્ટિને બદલી જુઓ,દિશાને ફેરવી જુઓ,આતો સમય સમયનો ખેલ છે.ખેલમાં સામેલ છીએ.

સમય સમયના સમ્બન્ધના સમ્બન્ધે દિન પછી રાત અને રાત પછી દિન એમ ચકરાવો ચાલે છે.

રાત્રીમાં કરવા નિરાતે પ્લાન,દિવસે કરવા સારા શાંતિથી કામ,

આડા ઉભા તાણા વાણાને ગુંથી લો ધૈર્યથી ,સુવિચારના સુઝથી એવી,રાત્રી ન લાગે ભેંકાર,દિન ના જાએ બેકાર

ભક્ત કબીર ભજનમાં ગાતા કહે છે “ઝીનીઝીનીરે બીની ચદરિયા” ત્યાં ન રહે કોઈ ઉભા કે આડા તાણા વાના

મનને રાખો સદા સત્સંગમાં,પ્રભુના સંગમાં,મિલન થશે આત્માનું પરમાત્મામાં ભક્તિના સમ્બન્ધમાં

છોડી દઈએ સમ્બન્ધ અને સિધ્ધાંત કર્મનો ,ના ભૂતને વતાવીયે, ના જાણીએ, ના ધૂણીએ

જગમાં છે માત્ર એક જ સમ્બન્ધ, પ્રેમ થકી સુતરના તાતણે બાંધી રાખે  છે જ્યમ  રાખી!

ભર સભામાં લાજ લુંટાતા એજ સુતરના તાંતણા થકી દ્રૌપદીની વહારે દોડી આવે ગિરિધારી

 

ખલીલ ઝીબ્રાને અમેરિકાના કવિયત્રી બાર્બરાને કહ્યું “તમને માત્રસાત જ શબ્દો મળે વારસામાં,તો તમે ક્યાં શબ્દો પસંદ કરો?”ત્યારે બાર્બરાએ કહ્યું “પ્રભુ,જીવન,પ્રેમ,સૌન્દર્ય,પૃથ્વી”ત્યારે ઝીબ્રાને કહ્યું કે જે બે શબ્દ વગર નિરર્થક છે “હું” અને તું”.જીવન એટલે “હું” થી “તું” તરફની યાત્રા.પ્રેમ જ આ શબ્દોની નૌકા બની શકે.ભક્ત સુરદાસના શબ્દો સબસે ઉંચી પ્રેમ સગાઈ. પ્રેમ સિવાય જીવનનું કોઈ રહસ્ય પ્રગટ ના થઇ  શકે.પ્રેમ દ્વારા માણસ માણસને જાણે છે. પ્રભુને જાણવાનો, પામવાનો રસ્તો પણ આજ છે.પ્રેમમાં આવી અમોઘ શક્તિ પડેલી છે. આસ્થા,શ્રધ્ધા,વિશ્વાસ,ભક્તિ,દયા,કરુણા,લાગણી,સેવા આ સર્વ ભાવો સમ્બન્ધે જીવનમાં  સહું પ્રેમ દર્શાવે એમ.

કર્મનો સિધ્ધાંત સમજાવતું સ્વરચિત ભજન

જીવ!તું શીદને ચિંતા કરે,પ્રભુને કરવું  હોય તે કરે  

નારાયણને કરવું હોય તે કરે

હવે બળાપો કરે શું વળે ખાલી ભેજામાં તું ભરે,ખાલી ભેજમાં ના ભારે.

જન્મોજન્મના કર્મ પ્રમાણે પ્રારબ્ધે આવી મળે,

જેનું જેટલું ઋણ બાકી, તે તો ચુકવવું પડે,

પ્રભુ તો અપાવીને જ જપે,એ તો કોઈનું ના બાકી રાખે …… પ્રભને

અટલ સિધ્ધાંત છે કર્મનો જેહ કરે એવું ભરે

કર્મની ગતિ અતિ છે ન્યારી,જ્યા જતી મતી  કામ ના કરે

એમાં પ્રભુ પણ ફેર  ના કરે …….પ્રભુને

માનવ ખોળિયું માતાએ દીધું તને,પ્રભુ પ્રાણ જ તેમાં પૂરે,

વિધિના લખિયા લેખ તેમાં મેખ ન મારી કોઈ શકે

ઈચ્છા કોઈની કામ ન આવે ……..પ્રભુને

માતા મુકે કોળીયો મોમાં તેથી પેટ ન આપણું ભરે

ચાવવો પડે,પચાવવો પડે તેથી માતાને દોષ નવ દીજે

તે તો શક્તિ ન આપી મને તેથી પેટ ન મારું ભરે ………પ્રભુને

શું ન આપ્યું પ્રભુ તુજને ઉડો વિચાર કેમ ના કરે?

માતા પિતા પતિ પુત્ર વેઈભવ,સંગ કળા ને વિદ્યા મળે

તારી સોય પ્રભુ સહુ પૂરી કરે,સફળતા ધેય્યમાં તને મળે …….પ્રભુને

સારા ખોટા કર્મ કર્યા તે જમા ઉધાર ખાતામાં જાતા,

પુણ્ય ખર્ચાઈ જાતા, ત્યાં તો પાપ જ ઉભા થઇ જાતા,

ત્યારે વ્હાલા જ વેરી બની જાતા……………..પ્રભુને

પાપ કર્મો સહુ ફેડાઈ જાતા , ભાગ્યનો ઉદય ત્યાં થાયે

સંબંધના તાણા વાના,પરત  આણામાં આવી મળે

ચક્રવર્તી વ્યાજ સહીત મળે ………………..પ્રભુને

જીવ તું! તારે કરવું હોય તે કરે,હવે દેર શાને કરે,

દેર નથી,અંધેર નથી તમારી રસીદ પાકી નથી,

તો એ કેમ મળે,પ્રતીક્ષા તેની કરવી પડે,પુરુષાર્થ તારે કરવો પડે ……..પ્રભુને

લગાવ લગની ,ધખાવ ધૂણી,તો એ કેમ ના ફળે

કર્મણ્યે વાધિકારસ્તે એ રસ્તે તું પડે ભલે એ ફ્લે કે ના મળે…………પ્રભને

લપા છપી નો ખેલ ખેલ્નતા પ્રભુ એજ આપણામાં રહે

પાપ કરતા, છાનો ઈશારો કરે પ્રભુ,તે તો ઉરમાં તું નવ ધરે!

જાણ્યા અજાણ્યા થઈને રહીએ તો “કયા સંબંધે”?

પ્રભુને દોષ કાં દઈએ,ફરિયાદ કદી ન ઓષ્ઠ પરે ………….પ્રભુને

શાંત ચિત્તે સખી સ્વરૂપે પ્રભુ સંગ ગોષ્ટી કરે

કેમ આપ્યું,કેમ ન આપ્યુ તારી મુઝવણ દુર કરે…………..પ્રભુને

પદમા-કાન  

 

ક્યા સંબંધે….?(19) પૂર્વી મોદી મલકાણ

  પ્રિયલ અને ક્ષિતિજના લગ્ન પછી રિશેપ્શનની પાર્ટીમાં સગાવહાલા, મિત્રો, ઓફિસ કલીકનો મેળો જામ્યો હતો. અલકમલકની વાતો સાથે હાસ્યની છોળ ઊડી રહી હતી. કોણ કોને મળીને ખુશ હતું કે કોઈ કેવળ દેખાડવા માટે હાસ્ય કરી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું. વિવિધ પ્રકારના કુઝિનની મન લલચાવતી સુગંધ ચારેકોર રેલાઈ રહી હતી, આજે પહેલીવાર પાર્ટી થઈ રહી હતી. રાજસ્થાની લોકગીતો વાતાવરણને સુમધુર સંગીતમય અને ઘોંઘાટીયું બનાવી રહ્યા હતાં. પ્રિયલના મમ્મી પાપા સુષ્મા અને તપનભાઈ ક્ષિતિજના સગાવહાલાઓને મળી રહ્યા હતાં. ક્ષિતિજની મમ્મી પલ્લવી અને પાપા શશાંકભાઈ પોતાના બધાજ સગાવહાલાઓનો પરિચય વેવાણ સુષ્માબહેન અને તપનભાઈ સાથે કરાવતા કરાવતા આગળ વધી રહ્યા હતાં. ત્યાં દૂરથી કોઈ આવ્યું. તેમને જોતાં જ પલ્લવીબેન લે હું ક્યારની તમારી જ રાહ જોતી હતી, બોલતા ઉમળકા સાથે આગળ વધી ગયા.     

થોડીવાર પછી  

એ સુષ્માબેન અહીંયા આવોને ……એમ કહી દૂરથી પલ્લવીબહેને હાંક મારી.  

એ આવી હો પલ્લવીબેન…… કહેતા સુષ્માએ હાથ ઊંચો કર્યો. ત્યાં જ પલ્લવીબહેન આગળ આવ્યા ને કહે સુષ્માબહેન મારે તમને ખાસ વ્યક્તિ સાથે મેળવવા છે તો આવો ને ……. 

હા….હા આ આવી…. એક મિનિટ તમારા ભાઈને કહી દઉં…? નહીં તો એ મને શોધતા રહેશે. કહેતા સુષ્માબહેન પતિ તપનભાઈ પાસે ગયા અને પલ્લવીબેન સાથે પોતે છે એમ જણાવી દીધું.  

સુષ્માબેન મારે તમને જેની સાથે મેળવવા છે તે મારા પિતરાઇ ભાઈ છે, પણ એમના એ ખાસ મિત્ર છે. ને તમને ખબર છે એય તમારા જ ગામના છે.  

એમ …કહેતા સુષ્માબહેન આગળ વધ્યાં.

 સુષ્માબેન જુઓ આમને મળો આ સુદીપભાઈ ને આ મારા જયશ્રી ભાભી. કહી પલ્લવીબહેને પરિચય કરાવ્યો.

કેમ છો? હું જયશ્રી તમારા વેવાણની ખાસ બહેનપણી ને પાછી સગીયે ખરી.

 ને આ મારા પતિ સુદીપ……

 સુદીપ …….હં…….? હં……. કહેતા સુષ્મા થોડી આડી ફરી, ને હલો કહેવા માટે હાથ લંબાવ્યો, ને સુદીપ તરફ નજર ફેરવી. પ્રૌઢતાને આરે એ ઉભેલા પુરુષને જોઈ એ સ્તબ્ધ થઈ વિચારવા લાગી કે ક્યાંક આ એજ તો જૂનો પરિચિત ચહેરો તો નથી ને…..? ને અણસારે ય કાંઈક એવી જ છે પણ ના….ના આટલા વરસ પછીક્યાંથી હોય ? ને હોય તો ય શું? એવી એણે કઇ પળો ને સાચવી રાખી છે જેને એ પ્રેમથી યાદ કરે……એટ્લે કેમ છો કેમ નહીં ઔપચારિકતા પૂરી કરી ઓળખાણ કાઢી. 

 વાતચીત કરતાં કરતાં સુષ્માને જાણવામાં આવ્યું કે આ એજ ક્ષણોની વ્યક્તિ છે જેને તે ઘણી જ કટુતાથી વર્ષો પહેલા પાછળ છોડી ચૂકી છે. તેથી વધુ સમય એજ અતીતના બારણે ગુજારવા કરતાં અહીંથી અજાણ્યા બનીને નીકળી જવું એજ બહેતર રહેશે. એમ માની સુષ્મા કહે પલ્લવીબેન લાગે છે કે તમારા ભાઈ મને બોલાવી રહ્યા છે, તમે વાત કરો હું આવી કહેતા સુષ્માબેન ત્યાંથી નીકળી ગયા.

અનેક સગાવહાલાઓ સાથે વાતચીત કરતાં કરતાં સુષ્માનું મન પળભરમાં ૩૦ વર્ષ પાછળ ચાલ્યું ગયું હતું. તેથી જ્યાં હતાં ત્યાં ઊભા ન રહી શકતા સુષ્માબેન ત્યાં રહેલી દૂર રહેલી ખુરશીમાં જઇ બેસી ગયા. અને ફરી એજ અતીતની જૂની ગલિયારીમાં ફરવા નીકળી પડ્યાં. જ્યાં હતી એક નવયુવતી સુષ્મા અને નવયુવાન સુદીપને…… કેટલો બધો પ્રેમ કરતી હતી, કદાચ યૌવનમાં આવી પ્રથમ પ્રેમનો અણસાર એ સુદીપ હતો. અનેક વડીલોની તીર જેવી નજરોમાંથી બચીને એક-બીજા તરફ જોઈ લેવું, ધક ધક કરતાં હૃદયથી તે સમયને માણી લેવો, થોડી પળોનો એકાંત મળતા એકબીજા સાથે વાતો કરી લેવી. આજુબાજુમાં જ રહેવા છતાં યે એકબીજાને પત્ર લખતાં. ને એક દિવસ બંને સાથે મળીને એક સુંદર બગીચો વસાવીસું એવું દીવા સ્વપ્ન પણ જોઇ લેતા.

 સુષ્મા તું ઠીક છે ને..? કેમ અહીં બેસી ગઈ? પતિ તપનનો સ્વર સાંભળી  સુષ્મા ફરી વર્તમાનમાં આવી ગઈ.

 એ તો જરા હું ઊભા ઊભા થાકી ગઈ એટ્લે બેસી ગઈ.

 તો હું અહીં રહું? તારી પાસે ? તપનભાઈ બોલ્યાં.

 એ ના..ના તમે તમારે મિત્રો સાથે મળો હું થોડીવારમાં આવી 

 તું ઠીક છો ને? તપનભાઈએ પૂછ્યું.

 હા…હા…સારું છુ તમે ચિંતા ન કરો સુષ્મા બોલી.

 સારું કહેતા તપનભાઈ ત્યાંથી ગયા અને મિત્રોના ટોળામાં ભળી ગયા.

 

આ ખુરશી ખાલી છે તો હું અહીં બેસી શકું કે? 

અવાજ આવતા સુષ્માએ હા….હા કહેતા બાજુની ખુરશી થોડી સાઈડમાં કરી.  

બાજુની ખુરશી પર બેસવાનો અવાજ આવતા તેણે તે બેસનાર સામે જોયું ને સુદીપને જોતાં ચોંકી ઉઠી પણ એ ચૂપ રહી.  

સુષ્મા તને એકલી બેસેલી જોતાં હું હિંમત કરીને આવ્યો, થોડી વાત કરવી છે. સુદીપ બોલ્યો.

 હા કહો શું કામ છે.

 સુષ્મા તારી માફી માંગવી છે આજે .

 શા માટે?

 વર્ષો પહેલા જે ભૂલ કરેલી તે ભૂલો માટે.

 જુઓ વર્ષો વીતી ગયા છે અને તે સમયે ય પસાર થઈ ગયો છે માટે તે સમયમાં કરેલી ભૂલોની માફી આજે માંગીને તે સમયને પાછો લાવવાની ભૂલો હવે ફરી કરવી નથી, કારણ કે આજે આપણે બંને અલગ અલગ માર્ગના રાહી છીએ. માટે જે સમય વીતી ગયો છે તે ભૂલી જાવ.

 સુષ્મા એકવાર મને માફી માંગી લેવા દે જેથી કરીને મારા મનને શાંતિ વળે સુદીપ બોલ્યો.

 જુઓ વાતને ખેંચી ખેંચી લાંબી કરવાથી કશું વળતું નથી આપણાં બંનેની આજ જુદી છે માટે વર્તમાનમાં ખુશ રહીએ તે જ યોગ્ય છે. માટે તમે ય …….

 તમે…..સુષ્મા હું તો તારે માટે તું હતો ને?

 તું એ ગઇકાલની સુષ્મા માટે હતો આજે તમારો ને મારો સંબંધ જુદો છે તો હું તમને ક્યાં સંબધે તું કારે બોલાવું?

 પણ સુષ્મા…….

 જુઓ આપણી આજ જુદી છે તેથી તમે તમારી આજ ને જ મહેસૂસ કરો ને તમારા જીવનસાથીના સાથને એન્જોય કરો, ને મારા ગઇકાલમાં રહેલા બ્લેકમેલરનું મારા આજમાં ક્યાંય અસ્તિત્વ નથી……કહેતા કટુતા સાથે સુષ્મા ત્યાંથી ઊભી થઈ અને દીકરી –જમાઈ તરફ ચાલી નીકળી.

 બ્લેકમેલર……આટલા વર્ષો પછી યે તે મને માફ નથી કર્યો તેની ખાતરી થઈ ગઈ સુષ્મા, પણ તે મને માફ કરી દીધો હોત તો….

 હવે એ સમય પાછો નહીં આવે જે સમયમાં તમે લટાર મારવા નીકળા છો. પાછળથી આવેલા અવાજે અને ખભા મુકાયેલ હાથને કારણે સુદીપ ચોંકીને જોવા લાગ્યો, ને પછી કહે તમે…? તમે કોણ…?

ઓહ હું તપન ……મે તમારી વાત સાંભળી

 એ તો…..અમે એમ જ વાતો કરતાં હતાં…..સુદીપ બોલ્યો.

 હા હું જાણું છુ. પણ તમને એક વાત કહું? એ તમને તું નહીં કહે. કારણ કે તું કારનો એ પ્રેમભર્યો અધિકાર તમે ખોઈ દીધો છે.

 તમને કેવી રીતે ખબર? સુદીપે પૂછ્યું.

 “જ્યારે સુષ્માના મમ્મી પપ્પાએ તમારો સંબંધ એની સાથે જોડાવા ન દીધો ત્યારે તમે એણે બ્લેકમેઈલ કરવાનું ચાલું કરેલું એના એજ જૂના પ્રેમ પત્રોને સહારે, એ વખતે એને પોતાના એ કાયર પ્રેમ માટે ખૂબ અફસોસ થયો તો, તે બધી જ વાત એણે મને કરી દીધી હતી.”

 “કરી દીધી હતી?” એટ્લે કે એ સમયે સુષ્માનું તમારી સાથે ય પ્રેમ પ્રકરણ ચાલતું હતું? 

ના એ સમયે તો નહોતું ચાલતું, પણ તમારી ને એમની વાત સાંભળ્યા પછી ચાલુ થયું. 

ઓહહ….. તો…તો તમે એમને સારી રીતે ઓળખતા લાગો છો સુદીપ બોલ્યો.  

હા…..બહુ જ સારી રીતે. એટ્લે જ કહ્યું કે એ તમને તું કારે નહીં બોલાવે, પણ મને બોલાવશે.  

એમ…? કેવી રીતે ? ક્યો સંબંધ છે તમારે એની સાથે ને ક્યા સંબંધે એણે તમને બધી યે વાત કરી દીધી?થોડા ઈર્ષાના ભાવથી કટાક્ષ કરતાં સુદીપ બોલી ઉઠ્યો.  

જુઓ જે સમયે એણે મને વાત કરી હતી તે સમયે તો મારો કોઈ જ સંબંધ ન હતો, પણ આજે એ ક્ષણોને ખાતર બહુ સરસ સંબંધ છે.  

એટ્લે ..? તમે શું કહેવા માંગો છો? સુદીપે પૂછ્યું.  

એ ક્ષણોને કારણે અમારી મિત્રતા થઈ, ને પછી એ મને એની સાથે પ્રેમ થયો ને પ્રેમના પરિણામે એના આજમાં અને આજના સંબંધમાં સુદીપનું નામોનિશાન ક્યાંય નથી તેના રોમ રોમમાં હું જ કિરણ રૂપે તપુ છુ.

 કેમ? ક્યા સંબંધે ? સુદીપે પૂછ્યું.

એના પ્રેમી પતિ હોવાના સંબંધે…….કહી તપનભાઈ ત્યાંથી ચાલી નીકળ્યા ને સુદીપ તેમને જતાં જોઈ રહ્યો.

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

Purvimalkan@yahoo.com

કયા સંબંધે! (18)તરુલતા મહેતા

સ્નેહી પ્રજ્ઞાબેન તથા સર્જક મિત્રો ,

શબ્દસેતુ દ્રારા તમારી સાથે પુનર્મિલનનો આનંદ અનુભવું છુ,શુભેછામાં કદી ગાડી ચૂકવાની ભીતિ નથી. માતૃદિનની શુભેછા પાઠવવામાં મોડું શું ને વહેલું શું?એક કવિ કહે છે :

લાખ લાખ પરબોથી છીપવી શકાય ના,એવી તરસ મને લાગી.

ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી ઝંખનાઓ જાગી.

મારી વાર્તા  પોતાના સંતાન માટે તરસી એક માની છે.

‘   લોહીના સબંધે ‘    તરુલતા મહેતા

મધર’સ ડે ની શુભેછા મનીષાના  કાનમાં હથોડાના ઘા જેવી વાગે છે.આજના દિવસે તેને બાથરૂમમાં પૂરાઈને પોક મૂકી રડવાનું મન થાય છે.કોઈ પૂછે છે ‘તારા બાળકો  ક્યાં છે?,’ તું એમને તારી પાસે કેમ રાખતી નથી ?મનીષા પોકારીને કહે છે,’મારાં બાળકો મારાં લોહીમાં ,મારા મનમાં હાથમાં પગમાં મારા સમગ્ર અસ્તિત્વમાં સમાયેલાં છે,તમને નથી દેખાતા કારણ કે તમારી પાસે મારી આંખો નથી.’ એ જાણે છે કે બીજા તેને કઠણ ,ક્રૂર હેયાની મા તરીકે ગણે છે.અરે,એના ફૂલ જેવાં બે બાળકો પિન્કી અને પિન્ટુ પણ મમ્મીને ધિક્કારતા હશે.સાત સમુંદરો વટાવી હજારો માઈલ વસતી માને તેઓ પાંચ વર્ષમાં એવા ભૂલી ગયા હશે કે સપનામાં  ય યાદ નહિ કરતા હોય!

મનીષા શિકાગોના એક નર્સિગહોમમાં હેલ્પરનું કામ કરે છે.એની સાથે નોકરી કરતા સૌ  પોતાની મા કે સંતાનો સાથે રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયાં હતાં। એણે  જુલિઆને માટે  લંચ તેયાર કરેલી ટ્રે એના બેડ પાસેની ટીપોઈ પર મૂકી જુલિઆના કાનમાં ‘હેપી મધર ‘સ ડે ‘કહ્યું।.જુલિઆ છેલ્લા બે મહિનાથી બેભાન જેવી હાલતમાં સૂઇ રહે છે.મનીષાને થયું એ પોતે પણ છેલ્લા પાચ વર્ષથી હાલતી ચાલતી પણ બેભાન જેવી તો ફર્યા કરે છે.એનું ચિત્ત સતત વડોદરાની પાસે આવેલા વાસદ ગામના મહાદેવ ફળિયામાં આવેલા બેઠાઘાટના  ઘરની પરસાળમાં ,રસોડામાં અને ઓટલા પર ચક્કર માર્યા કરે છે.એણે એના હાથને ચીમટી ભરી જોઈ ,એ જીવતે જીવ બાળકો માટે તડપતી ભૂત થઈ ગઈ કે શું?

‘સિસ્ટર ,માય મધર વોન્ટ લિસન યુ ‘ જુલિઆની દિકરી સૂઝીએ કહ્યું

મનીષાએ બારી પાસે જઈ પડદા ખોલ્યા,તે ‘બોલી આજે સરસ દિવસ છે.’

સૂઝી એની માને માથે હાથ ફેરવે છે.’મોમ ,મોમ ‘કહી જુલિઆને જગાડવા પ્રયત્ન કરે છે.બારીની બહાર જોતી મનીષાની આંખો  બહાર  સૂર્ય ચમકતો હતો છતાં  વાદળોથી ઘેરાય છે.પિન્કી ,પિન્ટુ મને નહિ ઓળખે તો શું કરીશ?તું અમારી મમ્મી નથી.તેઓ મમ્મી કહેતા  રીટાને વળગી પડશે.શું રીટાએ મારા ફોટા ઘરમાં રાખ્યા હશે! અમેરિકામાં શિકાગોમાં છોકરાઓ માટે રાતદિવસ મહેનત કરતી મમ્મીની વાત કરી હશે! મનીષા પાંચ વર્ષ પહેલાં ગ્રીનકાર્ડ લઈ અમેરિકા આવી હતી,ત્યારે પ્લાન એવો હતો કે બાળકોના ભવિષ્ય માટે પહેલાં મનીષા અમેરિકા જાય.એ સેટ થાય

પછી એનો પતિ અને બાળકો આવે.ભાઈને ત્યાં આવ્યા પછી એને સમજાયું કે ભાઈની સાથે એના કુટુંબસહ  એનાથી વધુ વખત રહેવાય નહિ,એણેપગભર થવું પડશે.અલગ અપાર્ટમેન્ટ રાખ્યા પછી જ બાળકોને લવાશે.

સિસ્ટર , આઈ ડોન્ટ નો ,વોટ હેપન ટુ માય મોમ ? સુઝીના ગળામાં રુદન અટકી ગયું ,છતી માએ આજે માવિહોણી હોવાના શોકમાં તે ડૂબેલી હતી.મનીષા સૂઝીની પાસે ગઈ ,છતાં સંતાને સંતાન માટે તડપતી મા આશ્વાસન ના શબ્દો શોઘતી હતી,છેવટે સૂઝીને ખ્ભે હાથ મૂકી બોલી :

યુ આર ગુડ ડોટર,ગોડ બ્લેસ યુ ‘ એના મનમાં થયું ‘શું હું સ્વાર્થી મા છુ ? ભગવાન મને માફ નહિ કરેં? સૂઝી લાલ રંગના ગુલાબનો ગુચ્છો મૂકીને ઘીમા પગલે રૂમની બહાર જતી હતી અને મનીષા દોડતી ઓફિસમાં પહોચે છે.એ કાકલૂદીભર્યા અવાજે કહે છે.’સર પ્લીઝ મને બે વીકની રજા આપો ,મારે ફેમીલી ઈમરજન્સી છે.મારે જવું જ પડશે.ઘણું મોડું કર્યું ,મારે વહેલા જવાની જરૂર હતી.’

મનીષાએ એકાએક વતનમાં જવાનું વિચાર્યું તેથી સૌને નવાઈ  લાગી. એના  પતિ પરેશની  વાસદની બેંકમાંથી  બીજે ગામ બારડોલીની  બેંકમાં બદલી થઈ હતી, મનીષા આવવાના સમાચારમાં  તેણે  કોઈ   રસ કે ઉત્સુક્તા બતાવી નહિ.એના  ભત્રીજાને અમદાવાદ એરપોટ પર મનીષાને લેવા મોકલી આપ્યો। મનીષાને અમેરિકા જવાનું થયેલું ત્યારે ભત્રીજો રમેશ  અને તેની પત્ની રીટા  ખુશીથી એમની સાથે રહેવાં આવ્યાં હતાં,રમેશ સેલ્સનું કામ કરતો હતો.એમને બાળક નહોતું. રીટાને બાળકો બહુ વહાલાં હતાં,મનીષા વહેલી સવારે અમદાવાદ એરપોટ પર ઉતરી  ત્યારે ચકાચોંધ થઈ ગઈ,અમદાવાદ એરપોટ અમેરિકાના એરપોટને ટક્કર મારે તેવું વિશાળ અને સુવિધાવાળું હતું.વાસદ જવા પુરપાટ હાઈ વે પર દોડતી કારમાં મનીષા વારંવાર રમેશને પિન્કી અને પિન્ટુની ખબર પૂછે છે.છેવટે રમેશ કંટાળીને કહે છે ,’એ બન્ને જણા રીટા જોડે એવા હળી ગયા છે કે તમારી સાથે અમેરિકા આવવા પણ તેયાર  થશે નહી’,મનીષાને ઘરતીકંપનો આંચકો લાગ્યો ,બઘુ રસાતાળ થતું દેખ્યું ,એને લાગ્યું કાર ક્દી વાસદ પહોચશે નહિ ,એ કોઈ મોટી શિલા નીચે દબાઈ ગઈ છે.એનાં બાળકો અને બીજા સૌ ઊભાં ઊભાં હસે છે,પણ હાથ લંબાવી એને મદદ કરતા નથી.એ રડી કકળી ઉઠે છે.’મને મદદ કરો ,હું તમારા ભલા માટે ,તમારાં ભવિષ્ય માટે દુઃખ વેઠીને અમેરિકા ગઈ હતી.પાંચ વર્ષ રાત દિવસ તમારી ચિતા કરતી રહી ,અને તમે મને પડેલી જોઈ હશો છો અને દૂર ભાગો છો.પિન્કી ,ઓ પિન્ટુ આવો આપણી લોહીની સગાઈ કાળે કરી વિસરાય નહિ.!

વાસદમાં ઘરના આગણે કાર ઊભી રહી તો ય મનીષા માથું નમાવી બેસી રહી.રમેશ બોલ્યો ,’રીટા, છોકરાંઓને લઈ  મંદિર  ગઈ છે.આવતી જ હશે.તમે આરામ કરો,મારે  કામે નીકળવું પડશે। એણે મનીષાની બેગો અંદરના રૂમમાં મૂકી। પાણીનો ગ્લાસ અને બોટલ આપી.મનીષા ચમકી ગઈ ,મારા જ ઘરમાં હું પારકી થઈ ગઈ ,હું મહેમાન ! એણે મોટા અવાજે કહ્યું ,’મારી ચિતા ના કરીશ।

મારું જ ઘર છે’.રમેશ કામે જતો રહયો.મનીષા પરસાળના બાંકડે બાળકોની રાહ જોતી બેસી રહી.પણ એના મનમાં  એરપોટ પરના  પ્લેનની ઘરઘરાટી પડઘાયા કરે છે.ઘરમાં બેઠાની’ હાશ ‘

થતી નથી .ઉનાળાની સવારની થંડક છે, આંગણામાં ઊગેલા આંબા પર કોયલ કુહૂ કુહૂ ટહુકે છે.પણ મનીષાને ચેન નથી ,તે વિચારે છે,બહાર બધું હજી એના મનને પ્રસન્ન કરે તેવું છે,તો પાંચ વર્ષમાં ઘરમાં એવું તે શું બદલાય ગયું?ત્યારે આ બાંકડો પણ હતો ,સવારના કૂમળા તડકામાં એ એના ભીના વાળને સૂકવતી ,પિન્કીને પોની ટેલ કરી દેતી ,પિન્ટુ ત્યારે કાંસકો લઈ દોડી જતો .પરેશ સામેની આરામ ખુરશીમાં બેસી છાપું વાંચતો.આજે એ આવી ત્યારે એને એમ હતું કે પરેશ અને બાળકો ખુશખુશાલ કેટકેટલી વાતો કહેશે.જુદાઈના દિવસોનું દુઃખ બધાને મળી પાંદડા પરનું ઝાકળ તડકામાં ઉડી જાય તેમ ભૂલાઈ જશે.પણ આ સૂનું પારકું લાગતું ઘર એના રોમેરોમમાં ખાલીપાની  ચાડી કરે છે દુકાળના .સૂકા કુવા .જેવી એની તરસી આંખો   બાળકોની

રાહ જોઈ રહી છે.દૂરથી એ જુએ છે,એક માતાને વળગી બાળકો ફળિયાના રસ્તા પરથી જઈ રહ્યાં છે.એ બેબાકળી ‘મારો પિન્ટુ ,પિન્કી ‘ બોલી દોડીને વળગી પડે છે.બાળકો ડરીને એની માને

વળગી પડે છે.પેલી મા મનીષાને અવગણી ઝડપથી જતી રહે છે.

અરે ,મનીષાકાકી ,તમે બહાર કેમ ઊભા છો?કયારે આવી ગયાં ?રીટા મનીષાને ઘરમાં લઈ ગઈ ,એક કિશોરીએ એને બાટલીમાંથી પાણી આપ્યું ,મનીષાએ રીટાને પૂછ્યું પિન્કી અને પિન્ટુ ક્યાં ગયાં ?બધાં નવાઈ પામી ગયાં,મમ્મી મજાક કરે છે.એમ માની કિશોરી એને ભેટી પડી ! મનીષા માની કે ઓળખી શકતી નથી,પિન્કીના ફોટા અનેક વાર જોયા હતા પણ પાંચ વર્ષની એની દિકરી આજે એના ખભા સુધી આવી ગઈ ! થોડી વાર પહેલાં જોયેલાં પેલા બે નાના બાળકો તો એ અમેરિકા ગઈ ત્યારે જોયેલાં એનાં  બાળકોની યાદ હતી , ,આજે એ પેલી જુલીઆની જેમ પિન્કીને ઓળખી શકી નહિ ,પિન્ટુ ક્યાં ગયો? પિન્કી એ હસીને પિન્ટુને મમ્મી પાસે બેસાડ્યો।રીટાએ રસોડામાંથી પિન્કીને બોલાવી.પિન્ટુ કાર્ટુનબુક લઈ મનીષા પાસે બેઠો પણ એ છટકવાની રાહ જોતો
હતો.એણે  કહ્યું ,’ચાલ ,પિન્ટુ આપણે રસોડામાં જઈએ.’ પિન્કી દોડતી આવી કહે ,’મમ્મી ,તમે અહી બેસો,હું ચા ,નાસ્તો લાવું છું.’મનીષા રડી પડી.’મમ્મીને તમે કહેવાનું કોણે શીખવાડયું ?

એ બન્ને સંતાનોની સાથે રસોડામાં ગઈ.કેમ જાણે એના આવવાથી ઘરમાં  ભીડ વઘી ગઇ કે પછી  ઘરના સહજ ચાલતા ક્રમમાં કોઈ વિઘ્ન આવી પડ્યું ,પોતાના ઘરમાં ,પોતાના બાળકો સાથે

ખૂલ્લા દિલથી કઈ થતું નથી.સામે પક્ષે રીટા અને બાળકો ની  દુનિયામાં તે મહેમાન જેવી છે.હજારો માઈલોનું અંતર કાપીને એ દોઢ દિવસમાં આવી તો ગઈ પણ વીતેલા  પાચ વર્ષનું અંતર

કેમ કાપી શકાય?એનીગેરહાજરીમાં એનાં સંતાનોના  વીતી ગયેલા બાળપણથી એ જોજન દૂર ફેકાઇ ગઈ હતી. રીટા પાસેથી બાળકોને લઈ જવાશે?

પિન્કી અને પિન્ટુ ખૂબ ખુશ હતાં ,મમ્મી ચોકલેટના બોક્સ અને ગિફ્ટો લાવી હતી.ઘરમાં મનીષાને માટે નવી વાનગીઓ બને છે.વચ્ચે પરેશ આવીને મળી ગયો.એને નોકરી છોડી અમેરિકા જવાની જરા પણ ઈચ્છા નહોતી। મનીષાએ બાળકોને સાથે લઈ જવાની બઘી તેયારી કરી લીઘી। પણ રીટા કે છોકરાંઓને ખૂલ્લા દિલે કહેવાતું નથી, બાળકોને રીટાથી દૂર લઈ જવાની વાતથી જાણે પોતાના જ બાળકોનું અપહરણ કરતી હોય અને કોઈ અક્ષમ્ય અપરાધ કરી રહી હોય તેવું મહેસૂસ કરતી હતી.આગણામાં કોયલ ટહુકતી હતી,પણ કાગડી
 માળામાંથી બચ્ચાંને છીનવી લેવાયા હોય તેમ કાગારોળ કરતી હતી.રીટા કાગડીને કહેતી હોય તેમ બોલી,’કાળા રંગમાં કાગડી છેતરાઈ ગઈ ‘મનીષાને પૂછવાનું મન થયું ,’રીટા ,તું જાણે છેકે હું બાળકોને લઈ જઈશ? રીટા હસી હસીને મનીષાના બધાં કામો કરે છે.પિન્કી તેને મદદ કરે છે.પિન્ટુ ફળિયામાં રમવા

દોડી જતો,પણ રીટા બોલાવે એટલે કહે,રીટામા ,બે મિનીટ રમવા દે ‘ રીટા ખિજાઈને કહેતી ,’આ તાપમાં રમી રમીને તાવ ચઢી જશે ,’ બાંકડા પર બેઠેલી મનીષાને કહે છે :’તમે આ તોફાની બારકસને ઓળખતા નથી તાવ ચઢે ત્યારે મારા ખોળામાંથી આઘો ખસતો નથી.’ મનીષા મનોમન પિન્ટુને ખોળામાં સૂવાડી માથે હાથ ફેરવ્યા કરે છે.આજે દશ દિવસ વીતી ગયા ,એકે વાર
પિન્ટુએ જીદ કરી મમ્મી પાસે કાઈ માગ્યું નથી,કે રીટામાને ખોળે માથું મૂકી સૂઈ જાય ,તેમ સૂતો નથી.પિન્કી જાણે મમ્મીને ખુશ રાખવા એની બઘી સગવડ સાચવે છે.મનીષાએ રીટાની બૂમથી

દોડતી પિન્કીનો હાથ ઝાલી પ્રેમથી કહ્યું ‘ઘડીક મારી પાસે બેસ ,મારે કશું જોઈતું નથી ,’ પિન્કી ઉતાવળી બોલી ,ના,ના,રીટામાએ કહ્યું છે ,તમને તકલીફ ના પડવી જોઈએ.કેટલાં વર્ષો પછી

મમ્મી તમે આવ્યાં છો! મનીષાએ એને પૂછ્યું’ તું રાજી થઈ ?’ પિન્કી મનીષાને આશ્ચર્યથી જોયા કરે છે.પેન્ટ અને ટોપ એણે પહેર્યા છે.કાપેલા વાળને છુટ્ટા રાખ્યા છે.બહાર જવાની હોય તેમ

તેયાર થઈને બેસી છે.આ મમ્મી અમેરિકાથી અમારા માટે બઘું લાવે છે.પણ અહી રહેતી નથી.ધણા દિવસથી એના મનમાં અને ધરમાં સોના મનમાં ધુમરાતો પ્રશ્ન પૂછી નાખ્યી : મમ્મી ,તમે ક્યારે જશો?

મનીષાના દિલમાંથી કાંટો નીકળ્યા જેવી રાહત થઈ.તેણે પિન્કીને માથે વહાલથી હાથ ફેરવી કહ્યું ,’ચાર દિવસ પછી આપણે બધાં સાથે જઈશું,મઝા આવશે ને?

પિન્કી ઉત્સુક્તાથી પૂછી રહી ,’રીટામા આવશે?’મનીષાએ કહ્યું ,’તું જ પૂછી લેજે ને?પિન્કી ખુશ થઈ બોલી ,’હું અને પિન્ટુ જીદ કરીશું તો રીટામા  આવશે જ’.

જવાના  દિવસે મનીષાને ધણા કામ આટોપવાના હતા,છોકરાં અમેરિકા જવા રાજી થઈ ગયા છે.પિન્કી કહે છે ,’મમ્મી ,રીટામાની બેગ પણ તેયાર છે.આપણે બધાં ય સાથે ટેક્ષીમાં જઈશું.’મનીષા

વિચારતી હતી,’ટેક્ષીમાં સાથે જઈશું ,પ્લેનમાં કેમ કરી જઈશું?છેલ્લી ઘડીએ રીટા એરપોટના ગેટની બહાર ઊભી રહી જશે તો ,છોકરાંઓ રીટાને વળગી રહેશે ,એ એમની મા ને હું મમ્મી !રીટામા

જીતી ગઈ.કારની આગલી સીટમાં બેઠેલી રીટા નડિયાદ આવતાં પહેલાં બોલી ,’રમેશ ,મારે નડિયાદ ઊતરી જવું પડશે,તને ખબર છે ને ,મારી મા પડી ગઈ છે.’રમેશ જાણતો હતો.પિન્કી અને

પિન્ટુ બોલી ઉઠયા ,’રીટામા ,તારાથી નહિ જવાય ,આપણે મોડું થશે.’કાર થોભી એટલે રમેશે રીટાની બેગ કાઢી,છોકરાંઓ રીટાને વળગી પડ્યાં ,રીટાએ એમને પ્રેમથી સમજાવ્યાં ,’મારે મારી

મા પાસે જવું જ પડે ,તમારે તમારી મમ્મી સાથે જવાનું,લોહીનો સમ્બન્ધ જીવનભરનો! મનીષા ઉતાવળમાં કારની બહાર આવી ,રીટાને ‘થેંક યુ ‘કહે તે પહેલાં રીટા પોતાની બેગ લઈ રોડની બીજી

તરફ અદ્રશ્ય થઈ ગઈ ,મનીષા અને એના બાળકો વચ્ચે ત્રણ અક્ષર ‘ રીટામા ‘ નો ખલીપો છવાઈ ગયો.

તરુલતા મહેતા 15મી મે 2015.

કયા સંબંધે! (17)જયવંતીબેન પટેલ

દિલનાં સબંધ તો એવા કે વર્ષો વિતિ જાય પણ તે અતૂટ રહે. કોઇ સમય કે દૂરી એને તોડી ન શકે. મેઘધનુષના સાત રંગે ન રંગાયો હોય પણ પ્રેમનાં ભીના રંગે એવો રંગાયો હોય કે તેનો રંગ ઝાંખો ન થાય. અને વખત આવે હાથ ઝાલી લ્યે.

દીકરો – વહુ બે દિવસ માટે બહારગામ ગયા હતા.  ઘરમાં હું ને મારી પોત્રી શીતલ બેજ વ્યક્તિ હતા.  ચોમાસાનો સમય હતો. અંધારી રાત હતી. સમીરના સુસવાટા બહારની વનરાજીને આમથી તેમ ડોલાવતો હતો.  અને તેનો અવાજ ડરામણો લાગતો હતો.  મને થયું ચાલ, શીતલના ઓરડામાં જઈ તેને જોઈ આવું.  એટલે ઊઠીને તેનાં ઓરડામાં ગઈ તો તે હજુ સૂતી ન હતી બારી ખુલ્લી હતી અને તેમાંથી વાછટો અંદર આવતી હતી. મેં તરત બારી બંધ કરી અને શીતલને કહયું, “બેટા, હવે સુઇ જા.” ” સવારે ઊઠવામાં તકલીફ પડશે ” તે કહે,” દાદીમાં, મને આજે જરાયે નિંદર નથી આવતી.  તમે કોઈ વાર્તા કહોને!  જેમ હું નાની હતી ને કહેતા હતા તેમ. દાદીમાં, તમે મને કેટલો પ્રેમ આપો છો શા માટે?  હું તમારી પોત્રી છું એટલેને?  “હા, શીતલ, એટલે જ તને ખૂબ પ્યાર કરું છું  તું મારું વ્યાજ છે પણ બેટા, એવા નિસ્વાર્થ પ્રેમ પણ હોય છે આ દુનિયામાં.

“દાદીમાં, મને આજે એવા નિસ્વાર્થ પ્રેમ અને સબંધની વાત કહોને!”  હું તેની નજીક ગઈ અને તેનો હાથ પકડીને બેઠી અને શું કહું અને કોની વાત કહું તેનો વિચાર કરી રહી.

નિસ્વાર્થ પ્રેમ અને સબંધ – જેમાં જરાયે દગો ન હોય  મને તરત દ્રોપદી યાદ આવી. અને મેં વાતની શરૂઆત આ રીતે કરી.

ઘણાં વર્ષો પહેલાં, નહીં , હજારો વર્ષ પહેલાંની આ વાત છે તને “મહાભારત” ની કથા તો ખબર જ છે  મહાભારતની કથામાંથી દરેકને કંઈક ને કંઈક શીખ મળે છે  હવે તો આજકાલના છોકરાઓ યાને યંગર  જનરેશન, જુવાન પેઢી પણ મહાભારત અને રામાયણ જેવાં મહા ગ્રંથો ને માન આપી  આવકારે છે તેનાં પાત્રોને નાટકમાં ભજવવા પણ તેયાર થઈ જાય છે અને શાં માટે ન થાય ? દરેક પાત્ર એક એકથી ચઢિયાતું છે. હવે દ્રૌપદીને જ જોને.  

તને તેના શબ્દોમાં તેની વાતકહું.

તેનાં જીવનમાં જે બની ગયું તેને આજે વર્ષો વિતિ ગયા એ વાતને, એ પ્રસંગને પણ દ્રૌપદીની નજર સમક્ષ એ દ્રશ્ય ચલચિત્રની જેમ ચાલતું હતું.  એક એક બની ગયેલો પ્રસંગ, તેની ક્રુરતા, તેની વિત્મ્બના અને તેનાં પ્રત્યાઘાતો.  દ્રોપદી વિચારમાં ગરકાવ થઇ ગઈ.  દેખાવે બહું રૂપાળી નહોતી પણ પોતે કેટલી સૌમ્ય, કમલનયની, લાંબા કેશવાળી, સૌદર્યવાન હતી તેની પ્રતિતિ તેને હતી. એટલુંજ નહિ – તે પાંચ પાંડવોની જાજરવાન  પત્ની હતી, માતા કુંતાની વહાલસોયી પુત્રવધૂ હતી. “પાંચાલી” કહેવાતી દ્રોપદી પાંચાલ પ્રદેશનાં રાજા દ્રુપદની પૂત્રી હતી.. તેની ચાલવાની છટામાં સ્ત્રીસહજ લજ્જાને બદલે સ્ત્રીગર્વ દેખાતો હતો,એક એવું વિલાશી સૌંદર્ય હતું,જે પહેલી વખતે જોતા,સામાન્ય લાગે પણ એક વાંર એ આંખમાં પરોવાઇ જાય તો અસામાન્ય બની જાય…અને છતાંય દુષ્ટ દુશાશન એને એનો ચોટલો પકડી, ખેંચીને ભરસભામાં ઘસડી લાવ્યો.  કેટલાં કાલાંવાલા કર્યા હતા, ધમકી પણ આપી હતી, ગુસ્સો પણ બતાવ્યો હતો.  પોતે રજ્સ્વાલા હોય રાજ્યસભામાં આવવાની પરિસ્થિતિમાં  ન્હોતી એ પણ કહયું પણ એક પણ વાત તે દુષ્ટને રોકી ન શકી.ભર રાજ્યસભામાં ગુરુદેવ દ્રોણને, કૃપાચાર્યને, પિતામહ ભીસ્મને, શ્વસુર અંધ ધૃતરાષ્ટ્રને, વડીલ વિદુરને અને ત્યાં બેઠેલાં અન્ય સભાજનો અને વડીલોને પડકાર ફેંક્યો પણ વિતામ્બના તો જુઓ દરેકને કોઈ ને કોઈ બંધન બોલતાં અટકાવતું હતું  વિદુરે ઊભા થઇ બની રહેલાં અઘટિત કર્મને રોકવા શબ્દ ઉચાર્યો તો તેને દુર્યોધને તરત બેસાડી દીધાં.  દ્રૌપદીએ આટલી ભીડમાં પણ એકલતા અનુભવી.  તેને આખે શરીરે કંપકંપા આવ્યા.  કેટલી વેદનાથી સર્વેને મનાવી રહી હતી – ધર્મ અને ન્યાય ની ઠેકડી ઊડતી અટકાવવા અને એક અબળાને સહાય કરવા આજીજી કરી હતી.  પણ કોઈની નજર ઊચી થઇ ન હતી પાંચે પતિઓ નત મસ્તક દુર્યોધન સામે બેઠાં હતા.  દ્રૌપદીને એકજ પ્રશ્ન મુંઝવતો હતો કે એ બધાં સભાજનો અને તેનાં પતિઓ શાની રક્ષા કરતાં હતા? જે રક્ષણ માંગી રહી છે તેને રક્ષણ ન આપ્યું અને ખોખલા વચન અને ધર્મને વળગી રહયા.  આ કેવો ન્યાય !  ન્યાય હતો જ નહિ – હળોહળ અન્યાય થયો હતો.  છેવટે હારી, થાકી તેણે શ્રી કૃષ્ણને, તેનાં સખાને સાદ કર્યો, ” હે ગોવિંદ , હે ગોપાલ, હે અવિનાશી – હવે તો તારા શરણમાં છું”

 

દુશાસન વસ્ત્રો ખેચતો જ રહયો  આખી સભા દુઃખી નજરે જોતી રહી.  ત્યારે કૃષ્ણને દ્રોપદીનો પૂકાર સંભળાયો,  પટરાણીઓને પડતી મૂકી અનાથનો નાથ સભામાં હાજર થઇ ગયો.  જેવું છેલ્લું વસ્ત્ર પૂરું થાય તે પહેલાં બીજું વસ્ત્ર સંધાઇ ગયું  દુશાસન ખેચતો જ રહયો અને સાડીઓના ઢગલાં થઇ ગયા.  શીતલ, પાંચ સાડી વધારાની બેગમાં લાવવાની હોય તો વજન વધી જાય છે અને એરપોર્ટ ઉપર કાઢી નાખવી પડે છે તો વિચાર કર, હજારમાં એક જ ઓછી, નવસો નવાણું સાડીઓનું વજન કેટલું થયું હશે! અને સાડીઓ પણ કેવી કેવી!  ઝરીની ભરત વાળી, અનેક જુદા જુદા રંગો વાળી, પોમચા વાળી, છીંદડી વાળી, બંગાળી ભરતની , અમ્મર મખીયા, નગદ જરી ભરેલી, મૂલ્ય ન થાય એવી અમૂલ્ય કારીગરી વાળી, મોતીની કોર ભરેલી અને ખૂબ સુંદર દેખાતી અનેક ભાતો વાળી સાડીઓ.  આખી સભા ચકિત રહી ગઈ, સભામાં સન્નાટો છવાઈ ગયો સાડીઓનો ખેચનાર થાકીને લોથ પોથ થઇ ધરતી પર ઢળી પડ્યો.

ચક્ષુ બંધ કરી દ્રોપદી આજે પણ વિચારોમાં તલ્લીન થઇ ગઈ. ગોવિંદની સાથેનું સગપણ શોધવા પ્રયત્ન કરી રહી.  મારે ને તારે શું સબંધ ?  આંખોમાંથી નીર વહી જાય છે – માનવીની સંવેદના, તેની સરળતા, નિખાલસતા તેને પહેલી હરોળમાં મૂકી દે છે બાકીનું બધું વિસરાઈ જાય છે આ બધી દુનિયાદારી શું કામની મારે ?  મેં તો બધા સાથે સગપણ સાચવ્યું.  આજે હું નોધારી બની ગઈ.  બધા હોવા છતાં કોઈ મારું નથી. આજે મૃત્યું આવે તો પણ આવકાર્ય છે – કેટલો વિશ્વાસ હતો સગપણમાં અને તેનાં વ્યવહારમાં.  એક જ ક્ષણમાં ભાંગી પડયું એ સપનું, એની લાગણીઓ દુભાય અને હૈયું જોરશોરથી બૂમો પાડવા માંડયું.  મારો વિશ્વાસ તારામાં અટલ રહયો।  હે કૃષ્ણ, મારી નાનીશી સેવા તે સો ઘણી કરી તેનું વળતળ વાળ્યું। કેટલી માણસાઈ ને કેટલી પ્રભુતા બતાવી.  કોઈએ ન ઝાલ્યો ત્યારે તે લાંબો હાથ કરી મારો હાથ ઝાલી લીધો ને મને બચાવી લીધી કેવી રીતે તારો ઉપકાર માનું!  શબ્દો નથી મારી પાસે.  ખાલી અંતરની આજીજી ને યાચના છે – મારો હાથ કદી ન છોડતો.
તો શીતલ, તું જ કહે આ કેવું સગપણ?  શીતલ ખૂબ શાંત અને નિખાલસતાથી બોલી ,” દાદીમાં, મેં તમને ભજનમાં ગાતા સાંભળિયા છે એટલે કહી શકુ છું કે ” સબસે ઊચી પ્રેમ સગાઇ ”  ખરૂને ?”

હા” શીતલ, તદન ખરૂ.  તને દ્રૌપદીની વાત ગમી ?  સબંધોની વાત કરીએ તો આવા નિસ્વાર્થ પ્રેમ યાદ આવી જાય છે વૃક્ષો નિસ્વાર્થ પણે તેનાં ફળ, ફૂલ અને છાયડો માનવીને અને દરેક પ્રાણીને આપે છે બદલાની આશા વગર.  આપણે કેમ વૃક્ષો જેવાં ન બની શકીએ !!”

જયવંતીબેન પટેલ

કયા  સંબંધે! (16) શૈલા મુન્શા

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય  મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.

આપ્તજનોના સંબંધમા ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે.

વાત આજે એ સંબંધની કરવી છે જેનુ કોઈ નામ નહોતુ અને ક્યારે એ સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.

સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનુ બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતુ. મમ્મી સરસ તૈયાર થઈને હાથમા પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?

એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.

મમ્મી ની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”

સીમાને રાકેશ ઉનાળાની રજામા સ્કુલના કેમ્પમા દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામા પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ  સ્કુલમા ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે બન્ને જણ આ કેમ્પમા ભાગ લઈ શક્યા હતા.

કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ જેમા દરેકને એમના સપના વિશે પુછવામા આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતુ તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતુ કે મારે એક ભાઈ હોય, મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!! બોલતા બોલતા એની આંખો છલકાઈ ઊઠી”

રાકેશના દિલમા સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો.  એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે. કયા સંબંધે!!

સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમા માને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી પણ મમ્મી નાની બેન અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યુ કે શું રહ્યુ એની કોઈ હજી સમજ નહોતી એમનો સાથ હતો, અને રાકેશ અને જ્યોતિમાસીને માસાની હુંફ હતી. નાના, નાની ને મામા માસી સહુએ આર્થિક અને માનસિક સથવારો આપ્યો હતો.

જ્યારે મમ્મીનુ ચાર જ વર્ષમા એકસિડન્ટમા નિધન થયું ત્યારે સીમા સાવ નોંધારી બની ગઈ. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ સીમા જે માનસિક યાતના મા થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને વીસ વર્ષના રાકેશે.

નાના એ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત કોઈ સવાલ ન કરે, અને રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલી હવામા બહાર લઈ જવા માંગે છે.

સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલી હવામા બહાર લઈ આવે, સોસાયટી ના બગીચામા થોડો સમય મૌન બની સાથે બેસે, નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે, જાણે કાંઈ ન કહેવા છતાં કેટલુંય કહી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”

એ સધિયારો એ હિંમત જીવનભર સીમાની સાથે રહ્યા છે.

કયા  સંબંધે!

શૈલા મુન્શા  તા.૦૫/૦૭/૨૦૧૫

કયા સંબંધે ! (૧૫) રાજુલ કૌશિક

“હું મારા ચારે છોકરાઓની જ કાંધે ચઢીને જઈશ. અને મને અગ્નિદાહ તો મારો આશિર જ આપશે.”

 હવે આવું કોઇ સાંભળે તો એમાં નવુ શું લાગે? કોઇ પણ મા-બાપ હોય તો અંતિમ સફરે જવાની ઇચ્છા તો પોતાના છોકરાની કાંધે ચઢીને જ જવાની હોય ને? પણ ના! આ એક એવી વ્યક્તિની વાત છે જે આ ચારે છોકરાની નથી મા કે નથી બાપ. નથી કોઇ લોહીનો સંબંધ કે નથી સગપણનો સંબંધ.

તો પછી આવી ઇચ્છા ? કયા સંબંધે ! 

 વાત જરા માંડીને કરીએ તો આજથી લગભગ ૬ દાયકા વળોટીને ભૂતકાળની સફરે જવું પડે.નાની અમસ્તી દિકરીને મુકીને દવાખાને જવું એ જ વાત ડૉ. અનિતાને ભારે વિમાસણમાં મુકી દેતી હતી. પણ કોઇ રસ્તો તો શોધવો જ પડે એમ હતો. દવાખાનું કેટલા દિવસ બંધ રાખી શકાય? અને એક રસ્તો મળી ગયો. ઋજુતાને સાચવે એવા એક માયાળુ બેન મળી ગયા. શારદાબેન એમનું નામ. પરિવારમાં આગળ પાછળ કોઇ બંધન નહોતું . હતા તો ફક્ત એમના પતિ કાંતિલાલ, પણ એ ક્યારે કેમ અને ક્યાં જતા રહ્યા હતા એની માહિતી શારદાબેન તો શું કાંતિલાલના ભાઇ-બહેન કે એમના ધંધાના ભાગીદારને પણ નહોતી. શારદાબેનને કોઇના ઓશિયાળા બનીને રહેવું નહોતું નહીંતર એમનો ય હર્યો ભર્યો સંયુક્ત પરિવાર હતો. દિયર-જેઠ અને એમના ય બાળકો મળીને સૌ શારદાબેનને અત્યંત માન આપતા અને પ્રેમ પણ એટલો જ કરતા પરંતુ જેમના નામનો ચુડો પહેરીને આવ્યા હતા એ નામધારી વ્યક્તિ જ જો ન હોય તો એમના પરિવારને આધારે શું કામ રહેવું?

 એટલે પોતાની રીતે સ્વતંત્ર થવાનો માર્ગ શોધી લીધો. અને ડૉ. અનિતાબેનના ઘેર ઋજુતા માટે રહી ગયા. અને એ માત્ર ઋજુતા જ નહીં ડૉ. અનિતા અને અજયભાઇના પણ વડીલ બની ગયા. જે  કાળજી અને મમતાથી એમણે ઋજુતાને જ નહીં પણ ઘરને પણ સંભાળી લીધુ હતું એનાથી ડૉ. અનિતાને હવે  ઋજુતા કે ઘરની કોઇ ચિંતા રહી નહોતી. ઋજુતા જ નહીં પણ એ ડૉ. અનિતાના ય મા બની ગયા કારણકે ડૉ. અનિતાએ એની અગિયાર જ વર્ષની ઉંમરથી મા ગુમાવી હતી.

 જેટલી મમતાભરી કાળજી શારદાબા લેતા એટલો રૂઆબ પણ જમાવતા. અનિતાને એ ય મંજૂર હતું કારણકે એમાં ય કોઇ અપેક્ષા વગરનું વ્હાલ જ હતું. ઋજુતાને મોટી કરતા તો નવ નેજા પાણી ઉતર્યા કારણકે અવાર-નવાર એને માંદગી નડી જતી અને માંદગી ય એવી કે સૌના શ્વાસ અધ્ધર થઈ જતા. ક્યારેક તો એ ભગવાનના ઘરનું બારણું ખખડાવીને પાછી આવી હોય એવી ક્ષણો પસાર થઈ જતી. અનિતા અને અજયની સાથે શારદાબા પણ રાતોની રાતો જાગતા. ડૉકટરની દવા સાથે શારદાબાની દુવા કામ લાગતી. ઋજુતા આંખો નહીં ખોલે ત્યાં સુધી પાણીનું ટીપું પણ મ્હોં માં નહી મુકુ એવી આકરી બાધા ય શારદાબા લઈ લેતા. આવા તો કેટલાય પ્રસંગો બન્યા કે જ્યાં શારદાબાની પ્રેમહઠ જીતી જતી. ખેર ઋજુતા મોટી થઈ .એ પછી નમિતા ,અનિકા અને છેલ્લે આશિર.  શારદાબા એ સૌને સાચવી લીધા. પણ આશિર પર તો એમનું અદકેરુ વ્હાલ. એક બાજુ આશિર અને બીજી બાજુ આખી દુનિયા હોય તો આશિર તરફનું એમનું પલ્લુ નીચે ઢળેલું હોય જ. શારદાબા આશિરની વાત આવે ત્યાં શારદા મટીને યશોદા બની જતા. જે નિર્વ્યાજ પ્રેમથી યશોદાએ કૃષ્ણના લાલન-પાલન કર્યા એવા અદ્કેરા પ્રેમથી આ યશોદા એ એમના કૃષ્ણના લાલન-પાલન કર્યા. કાનુડાના તોફાનોથી વાજ આવી કયારેક યશોદાએ એમને પાશથી બાંધી – ખાંડણીયા સાથે બાંધી દીધાનું સાંભળ્યુ છે પણ યશોદાને મન તો એનો કાનુડો અને તોફાન ? ? અને ભુલ ? કરે જ નહી ને !  વિતેલા વર્ષોમાં લગ્નની ઊંમરે પહાચેલી ત્રણેય દિકરીઓને એક પછી એક વળાવી. દિકરીઓ વળાવતા પરિવારમાં ખાલીપો સર્જાવાના બદલે આ પરિવાર કંઇક વધુ વિસ્તર્યો  વધુ બહોળો બન્યો. દિકરીઓ ને વળાવીને દિકરાઓ એ પરિવારમાં ઊમેરાયા.

 બહારથી આવનાર વ્યકિત કયારેય સમજી ના શકી કે આ કોના બા છે ?  ચારે ભાઇ-બહેનોના ? અનિતાના ? અજયના  ? પણ અનિતા અજય માટે તો આ બધુ ગૌણ હતુ. મહત્વનો હતો શારદાબાના સ્નેહના તાંતણે બંધાયેલો એમનો પરિવાર.

 શારદાબાના આ નિર્વ્યાજ પ્રેમની સામે કયારેય જો કોઇ અપેક્ષા હોય તે એક જ માત્ર.  એને પોતાની અંતિમયાત્રા એના ચારે છોકરાઓને એટલે કે ઋજુતા , નમિતા, અનિકા અને આશિરના ખભે ચઢીને કરવી હતી. દિકરી અગ્નિદાહ આપે તે તો હવેની વાત થઇ પણ આજથી પચીસ વર્ષ પહેલા દિકરીઓના ખાંધે ચઢવાની વાત તો શારદાબા  જ કરે. એવું નહોતું કે એમને પોતાના સગા-વ્હાલા નહોતા પોતાના સગા તો હતા પણ વ્હાલા તો આ ચારે ભાઇ-બહેન.  – સગાઓ એ એમની એ ઇચ્છા પણ સ્વીકારી લીધી. ગંગાજળ કે અંતિમ સંસ્કાર તો આશિર જન્મ્યો ત્યારથી જ શારદાબા એ એના માટે નિશ્ચિત કરી દીધા હતા. અને દોણી પકડવા હવે તો ઋજુતાનો દિકરો તો હતો જ.- પાંચ વર્ષની ઉંમરે દોણી કોને કહેવાય એની એને ખબર નહી પણ બા ને વિદાય આપવા માટે દિવો લઈને રસ્તો બતાવવો પડે એવું કંઇક એણે માની લીધુ. 

 સૌ પાસે શારદાબાના તો અઢળક સંસ્મરણો હતા પણ એ નાનકડા બાળકે – એ દોહિત્રએ પોતાની રીતે બા ની યાદ સાચવી લીધી – બા એ આપેલા કાલુના ફૂલમાંથી ઝાડ વાવી દીધુ – જાણે ઝાડ જેમ ફાલશે તેમ ફાલશે તેમ બા ની છાયા પણ અનુભવાશે – વળી બા ના અસબાબમાંથી શારદાબાનો એક સુંવાળો સાડલો કાઢી પોતાના ખજાનામાં મૂકી બા ની યાદને ચિરસ્મરણીય બનાવી.

આજ સુધી કોઇને તો શું પણ આ પરિવારને પણ સમજણ નથી પડી કે કયા સંબંધે આ સ્નેહગાંઠથી એ સૌ બંધાયેલા હતા.

 રાજુલ કૌશિક