હાં રે દોસ્ત હાલો અમારે દેશ -25) મેઘાણીની નવલિકા : ચંદ્રભાલની ભાભી!

આજના જમાનામાંય આપણને વાંચવી ગમે એવી ,જે આઉટ ડેટેડ ના લાગે તેવી સો વર્ષ જૂની વાર્તાઓમાં એવું ક્યુ તત્વ હોય જે આપણને આકર્ષિત કરે ?

મેઘાણીની બધી વાર્તાઓ નહીં પણ કેટલીક વાર્તાઓ એવી છે કે જે કાળના પ્રવાહમાં ,સ્થળ અને સમય પાર કરીનેય ટકી રહેશે .

મારી સમક્ષ એમની નવલિકાઓના પુસ્તક ભાગ અને ભાગ (2008) પડ્યા છે . એમાં મેઘાણીની કુલ દોઢસો જેટલી વાર્તાઓમાંથી વીણેલી ચાલીસ વાર્તાઓનો સંગ્રહ થયો છે . તેમાંથી દશેક જેટલી વાર્તાઓ ખરેખર કાળના પ્રવાહમાં ટકી રહે તેવી ગણી શકાય . જોકે અમુક વાર્તાઓ વાર્તા તત્વ સિવાય તત્કાલીન સમાજનું ચિત્ર અને તળપદી ભાષા વગેરેને લીધે પણ પ્રશંસીય બની છે .

ચાલો , આજે હું તમને મેઘાણીની નવલિકાઓ ભાગ) ની પહેલી વાર્તા ચંદ્રભાલની ભાભી! ની વાત કરું :

વાર્તાનો ઉઘાડ જુઓ :

વાર્તાલેખક ચન્દ્રભાલની સ્ત્રીનું જયારે અવસાન થયું ત્યારે આખાયે ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની! એની સ્ત્રી દશ બાર મહિનાનું બાળક મૂકીને મરી ગઈ હતી

હં, તમે કહેશો કે એમણે પોતાની વાત તો નથી લખી ને ?

ઝવેરચંદ મેઘાણી તો વાસ્તવના લેખક હતા .

એમને ગુજરાતની અસ્મિતા કે સઁસ્કૃતિની મહાનતાની વાતોના બણગા ફૂંકવામાં રસ નહોતો . નરી વાસ્તવિકતામાં ઝઝૂમતો માનવી એની મુશ્કેલીઓ અને તેમાંથી બહાર નીકળવાની તાલાવેલી અને વીટમ્બણાઓને મેઘાણી વાચા આપવા માંગતા હતા

, તેથી જ તો એ આપણને સ્પર્શી જાય છે !

ચંદ્રભાલને દિલાસાના પત્રો ઢગલાબંધ સવાર સાંજ અવિરથ મળતા હોય છે , પણ પેલા રડતા , માંદલા બાળકને કોણ સાચવે ? વાર્તાઓય લખાય કેવી રીતે ?

એના વાર્તા સંગ્રહને બહાર પાડવા પ્રકાશકે લોકો પાસેથી લવાજમના પૈસાયે લઇ લીધા છે !ચંદ્રભાલને કહે છે ; “ લ્યો વધારે રૂપિયા . છોકરા માટે આયા રાખી લો ને તમે માથેરાન જઈ આવો, મન ચાહે તો તાજમહાલની પ્રેમ યાત્રા કરો , પ્રેરણા મળશે !”

પોતાના બાળકને સાચવવાની ચિંતાનો ખ્યાલ ગરજુડા પ્રકાશકોને ક્યાંથી હોય ? ચંદ્રભાલને બાળકને સાચવવા કોઈ યોગ્ય વ્યક્તિ મળતી નથી .. મેઘાણી લખે છે ,

કેટલીક સ્નેહી સ્ત્રીઓ જેને ચંદ્રભાલે પોતાનાં વાર્તા સંગ્રહો અર્પણ કર્યા હતા , મા વિનાનાં બાળકોની વાર્તાઓ વાંચીને સ્નેહ મૂર્તિ બહેનો ચિત્રકારનાં ચિત્રોનેય વીસરાવે તેવી વ્યથાભરી રીતે રડી હતી , તેમણે પણ; ‘ મન કઠણ કરી ને કામમાં લાગી જજોએથી વિશેષ કાંઈ લખ્યું નહીં !

કોઈને મુશ્કેલી છે અને કોઈને તે ! બાળકને સાચવામાં રઘવાયો થઇ જાય છેને માંદલું બાળક સખ્ત હેરાન થાય છે અને હેરાન કરે છે

આપણને મેઘાણી વાર્તા પ્રદેશમાં ઘસડી જાય છે ..

એક વિધવા કણબણ છોકરાની સંભાળમાં આવે છે અને ; ‘ અહીં રાત રહેવાનું કહેતા લાજતો નથી? ચૂલામાં જાય તારો છોકરો ! હું આખી રાત તારાવાંઢાના ઘરમાં છોકરું સાચવવા રઉ ? મને તેં એવી નકટી જાણી ?’ કહી ગાળો આપીને જતી રહેછે .

છેવટે જેને આવવા માટે સ્પષ્ટનાનો તાર કર્યો હતો તેં ચંદ્રભાલની ભાભી આવીને ઉભી રહે છે !

નાનો તાર પોંચ્યોતો તોયે લાખ વાતે આયા વિના રઉ ?રઈ કેમ શકાય ?” લાંબી મુસાફરીએથી આવેલી ભાભી કહે છે!

ચંદ્રભાલ સમક્ષ પોતાની સાહિત્ય સખીઓ ને મિત્ર પત્નીઓના મધુર ચહેરા સળવળી રહ્યા હતા ત્યાં ઠેબું આવ્યું . જુના ઢેબરાંની ગંધમાં અપચાના ઝાડાંની વાસનું મિશ્રણ હતું . આવનાર સ્ત્રી [ ભાભી] ના હાથમાં વીસેક ચોમાસાં ખાધેલી એક જૂની ટ્રંક હતી . એણે ચંદ્રભાલનાં દુખણાં લીધાં.. એમાંથી છીંકણીની ગંધ આવી ..

મરતી મરતી પોગી હો ભાઈ ! રસ્તામાં સુરતથી મને ઝાડો ને ઉલ્ટી , ઝાડો ને ઉલ્ટી, શરૂ થિયાં ..તમારા પુણ્યે પોગી છું !’

અહીં મેઘાણી એક શબ્દ પણ દિયર ભોજાઈના વિષે કહ્યા વિના ઘણું કહી દે છે .. ચીસો પડતા બાળકને ચીંથરું છોડીને ભાભી ગાંઠિયાનો ટુકડો ખવડાવે છે ને બાળક શાંત થઇ જાય છે .

અઠવાડિયા પછી બાળકને પ્રેમથી ગંવાર સ્ત્રી પોતાની ઘેર લઇ જાય છે અને બાળકનાં રોગો પણ ગંવાર ભાઈ ભાભીના પ્રેમ હેઠળ અદ્રશ્ય થઇ જાય છે . બે વર્ષમાં બાળક સરસ થઇ જાય છે .. ચંદ્રભાલ પણ સાહિત્યમાં ખુબ આગળ વધી જાય છે .. એની હ્ર્દયસ્પર્શી વાર્તાઓ વાંચીને પેલી સખીઓ ; “ તમારી બધી વાર્તાઓ જેટલી વાર વાંચીએ છીએ એટલી વાર રડીએ છીએએમ લખે છે .

બે વાર્તા સંગ્રહ પોતાનાં ભાઈ ભાભીને અર્પે છે.

ભાઈ ભાભીને છોકરાં થતાં નહોતાં . ચંદ્રભાલ ક્યારેય પોતાના છોકરાને મળવા ગયો નથી .કહે છે , ‘ તો હવે એનો છોકરો છેજીવે કે મરે!

પણ ત્રણેક વર્ષે હવે ચંદ્રભાલને વિચાર આવે છે ,’ પરણવું નથી . મુક્ત જીવન શું ખોટું છે ?

બાળકને પાછું બોલાવી લઉં? મારે સોબત થશે અને કોઈ નોકર રાખીશ! એ પત્ર દ્વારા બાળક પાછું માંગવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ભાભી જેનના જીવનમાં બાળક ઓતપ્રોત થઇ ગયું છે , તે સહેજ પણ આનાકાની વિના બાળકને મુકવા આવે છે !

છોકરો ભાભીનો હેવાયો છે એટલે ચંદ્રભાલ ખિજાયો ; ‘ છોકરાને આટલો બધો શો હેડો? તમે એને પંપાળો .. એ ભાભીને કહે છે

હું શું કરું ભાઈ ? ‘ ભાભી છાનાં છાનાં રડતાં.

હેડો કેવી રીતે છોડાવવો ? પોતાના પરથી હેત ઉતારીને બીજાના કંઠે કેવી રીતે પહેવરાવવું ? ‘

તમે જશો એટલે તો એની જાતે ઠેકાણે આવી જશે !’

હવે એને ફરી પાછી ભાભીના નાહ્યા વિનાનાં દેહની , કપડાંની ,છીંકણીની ,દુર્ગંધ આવવા લાગી

અને છેવટે ભાભી અને બાળક ઉપર ગુસ્સો કરીને , જે ગાંઠિયા નો ટુકડો ભાભીએ ત્રણ વર્ષ પહેલાં બાળકનાં મોમાં મુકેલો અને બાળક શાંત થઇ જતાં ચંદ્રભાલે શાંતિ અનુભવેલી , બસ રીતે બાળકને ભાભીના ખોળામાં બેસીને ગાંઠિયા ખાતાં જોઈ વાડકી ખુંચવી લે છે અને પછાડે છે . વાર્તા ત્યાં પુરી થાય છે .

વાર્તા મને કેમ ગમી ? આજે પણ સમાજમાં અમેરિકા આવીને પોતાનું જીવન બનાવનારા માં બાપ વતનમાં બાળકોને મૂકીને પોતાને મરજી પડે ત્યારે બાળકોના દિલ સાથે ખેલતાં નથી ,શું ? જ્યાં લાગણીનો તંતુ બંધાઈ ગયો છે તેવાં ભાઈ ભાભી શું અપને સમાજમાં જોતાં નથી ? પોતાની સગવડનો વિચાર કરતાં મા કે બાપને આપણે જયારે સમાજ માં જોઈએ ત્યારેચંદ્રભાલનાં ભાભીવાર્તા યાદ આવે .. વાચકને બસ વિચારબિંદુએ છોડીને મેઘાણી આપણાં lમન માં રમ્યા કરે : શું થયું હશે પછી ? શું બાળક ભાભી સાથે પાછું ગયું હશે ? કે ચંદ્રભાલે એને પરાણે રાખ્યું હશે ? તમે શું માનો છો ? મેઘાણીના વાર્તા વૈભવ વિષે ઘણું લખી શકાય પણ અપને મહત્વના સીમા ચિન્હો વિષે જ જોઈશું

મેઘાણીની બહુજ પ્રસિદ્ધ વાર્તા વિષે આવતે અંકે.,

૨૫ – સદાબહાર સૂર- અવિનાશ વ્યાસ- રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ એટલે પત્થરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરે એવા ગીતકાર. શહેરોને પણ બોલતા કરી દે એવા ગીતકાર, બેજાન સડકોમાં પણ એમને કાવ્યત્વ દેખાય. પ્રકૃતિમાંથી પ્રગટતા સંગીતને એ શહેરોની ઈમારતોમાંય સાંભળી શકે અને આપણને પણ સંભળાય એવી રીતે એ શહેરોને બોલકા કરી દે.

મુંબઈ એક એવી નગરી જ્યાં હરએક પ્રતિભાવંત વ્યક્તિને પોતાની જાતને સિદ્ધ કરવાનું પ્લેટફોર્મ મળે. આપણા આ સવાયા ગુજરાતી ગીતકારને પણ મુંબઈમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ એટલે એમણે અમદાવાદની જેમ મુંબઈને પણ ગાતું કર્યું. અમદાવાદ એમની જન્મભૂમિ હતી તો મુંબઈ એમની કર્મભૂમિ બની રહી. સ્વાભાવિક છે જન્મભૂમિ માટે ગીતરચનાઓ કરી એવી રીતે કર્મભૂમિ માટે પણ કરી છે એટલું જ નહીં પણ એમણે મોહમયી મુંબઈથી માંડીને રંગીલા રાજકોટ અને પાટણને પણ પ્યારું ગણીને એની પર રચનાઓ કરી હતી. એમણે મુંબઈના લોકો, મુંબઈની રહેણીકરણી, મુંબઈની આબાદીને એક કરતાં વધારે ગીતોમાં ઢાળી છે. આજે એમાનાં કેટલાંક ગીતોનો અહીં ઉલ્લેખ કરવો છે.

આ મુંબઈ છે, જ્યાં ભઈ કરતાં ઝાઝી બઈ છે..

આ મુંબઈ છે………..

નહી એકરંગી, નહી બેરંગી, જ્યાં પચરંગી વસ્તી,

અરે જોગી, ભોગી,રોગી સૌની સરખી તંદુરસ્તી,

અરે વાટે, હાટે, ઘાટે જ્યાં મોંઘવારી સસ્તી,

ને પેટ ભૂખ્યું પણ તનને માટે ટાપટીપ છે સસ્તી,

અરે છેલછબીલી અનેકની પણ કોઈની ક્યાં રહી છે? .

આ મુંબઈ છે…

મુંબઈના આ ગીતમાં તો સાચે જ એ દિવસોથી માંડીને આજના મુંબઈને એમણે આબેહૂબ વણવ્યું છે.  આ રંગબેરંગી મુંબઈને જે જાણે છે એમનેય ખબર છે કે અહીં એક તરફ જીવનભરની આબાદીના કિસ્સા છે તો એની બીજી બાજુ જીવવા માટે મરણીયા થતાં લોકોની બરબાદીનાય કારમા કિસ્સા છે.

મુંબઈમાં શેઠ, શરીફ, ગરીબ, નોકર અને ઘરઘાટીથી ઉભરાતી ચોપાટીની મદમાતી સાંજ પણ છે. અહીં પેટે પાટા બાંધીને જીવતા લોકો છે તો પત્થર પર પાટું મારીને પૈસા પેદા કરતાં લોકોય છે. અવિનાશ વ્યાસ પાસે શબ્દોનો એવો વૈભવ હતો જેનાથી એ આપણી નજર સમક્ષ મુંબઈને એમણે જેવું જોયું, જાણ્યું છે એવું તાદ્રશ્ય કર્યું છે.

આવા મુંબઈ માટે વળી એમણે બીજા ગીતમાં એમ પણ લખ્યું છે કે….

“લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી

પણ મુંબઈની કમાણી મુંબઈમાં જ સમાણી..

જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી,

એવી ના સૂકાયે કોઈ દિ મુંબઈની જવાની…”

મુંબઈમાં ચપટીમાં બસ્સો પાંચસો વાપરી નાખતા લોકો છે અને દિવસ દરમ્યાન માત્ર બસ્સો પાંચસો પર ટકી રહેતા લોકો પણ છે. મુંબઈની કમાણી કેમ કરીને મુંબઈમાં સમાણી એ તો મુંબઈના વતની જ જાણે પણ આજે આંધળી માનો કાગળ યાદ આવી ગયો. એવા કેટલાય મા-બાપ હશે જેમણે પેટે પાટા બાંધીને આ મહાનગરમાં કમાવા મોકલેલા સંતાનોની કમાણી અહીંની અહીં જ હોમાણી હશે !

અહીં મહેલ જેવા મકાનોમાં એકલદોકલ રહેતા લોકોની કથા છે અને ચાલીની બાર ફૂટની ઓરડીમાં માંડ સમાતા લોકોની વ્યથાય છે. મુંબઈમાં જેટલી કોમ એટલી ભાષા છે. કોણ ક્યાંથી આવ્યું છે એની પરવા કર્યા વગર એને સમાવી લેતું મુંબઈ છે અને અવિનાશ વ્યાસે આ મોહમયી, માયાવી મુંબઈના સારા-નરસાં પાસાને શબ્દોમાં ઢાળી સંગીતમાં મઢ્યા છે.

આખો દિવસ અફરાતફરીમાં જીવતાં લોકોથી ખીચોખીચ ભરેલા મુંબઈની સાથે એમણે રંગીલા રાજકોટને પણ મન મુકીને નવાજ્યું છે.

અવિનાશ વ્યાસ તો રાજકોટને તો માલિકની મહેરથી મહોરતા શહેર તરીકે ઓળખાવે છે. જ્યાં માલિકની મહેર હોય ત્યાં લોકો રૂડાં અને દિલના દિલેર હોય એ સહજ છે.

જેની પર માલિકની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે,

લોક રૂડાં ને દિલના દિલેર છે, રાજકોટ રંગીલું શહેર છે.

સૌ જાણે છે કે પેંડા તો રાજકોટના જ પણ રાજકોટના રસ્તા વિશે સાવ અનોખી રીતે અવિનાશ વ્યાસે એના વિશે કહ્યું છે કે

“રોડમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે,

હેમામાલિની નથી એટલી જ ખોડ છે,

અહીં પેંડાવાળાને લીલાલહેર છે,

રાજકોટ રંગીલું શહેર છે….

“હરિ મારું ગાડું તું ક્યાં લઈ જાય કાંઇ ન જાણું” કે “હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલુ ભારે” જેવા ચિંતનાત્મક ગીતોની રચના કરનાર ગીતકાર આવી હળવી શૈલીમાં, એકદમ મઝાના શબ્દોમાં આવી વાત કરી શકે એ એમની કવિ કલ્પનાના  બે અંતિમ છેડાની જાણે અવસ્થા દર્શાવે છે. કેટલી સરસ રીતે એ કોઈપણ વિષયના વૈવિધ્યને પણ એ ખુબ સરસ રીતે ન્યાય આપી જાણે છે !

૧૯૮૧માં પંખીનો માળો ફિલ્મ માટે લખાયેલા આ ગીત પછી તો કદાચ રાજકોટની સૂરત બદલાઈ ગઈ હશે પણ હજુ કેટલીક વાતો તો રાજકોટની પહેલાની જેમ અકબંધ હશે. પેઢી બદલાઈ હશે પણ રાજકોટનો સાંગણવા ચોક અને એનું નામ તો આજે પણ છે. રાજકોટના રેસકોર્સ પર ઘોડલાંના બદલે હાથમાં હાથ નાખીને ફરતાં પ્રેમીઓના જોડલાં ય આજે જોવા મળતાં હશે.

નામ જુઓ રેસકોર્સ મળે નહીં ઘોડલાં,

હાથોમાં હાથ નાખી ફરે અહીં જોડલાં,

પણ ઘોડલાં ને જોડલાંમાં ફેર છે, રાજકોટ રંગીલું શહેર છે….

રેસકોર્સ જ નહીં આજીનો ડેમ પણ જાણે કે નિર્જીવ છે પણ એની  પર વિહરતાં પ્રેમીઓને લઈને અવિનાશ વ્યાસે એને પણ જીવંત કરી દીધો છે.

હે આજીના ડેમ પર પ્રેમીઓનો ખેલ છે,

સૌ જાણે કુંવારા પણ ભાઈ પરણેલ છે,

એક રસ્તા પર ને બીજી ઘેર છે, રાજકોટ રંગીલું શહેર છે.

રાજકોટ રંગીલું શહેર તો છે જ પણ અહીં એક અનેરો ઈતિહાસ રચાઇ ગયો છે એની ક્યાં સૌને જાણ છે? અહીંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીબાપુએ અભ્યાસ કર્યો છે એનો ઉલ્લેખ કરીને રંગીલા રાજકોટ અને અહીંના ઉમદા ઉછેરને અવિનાશ વ્યાસે ગૌરવ પ્રદાન કર્યું છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

વિનું મર્ચન્ટ વાર્તા ૨૦૨૦ -પરિણામ

વિષય:”મને કેમ વિસરે રે”

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦ 

 પ્રથમ ઇનામ

-‘અજાણ્યો દેવદૂત’-વૈશાલી રળિયા પ્રથમ ઇનામ $125

બીજું ઇનામ

૨-એની રીંગ હજી ન વાગી -ઈલા કાપડિયા $40

૨-પુરાવો -સપના વિજાપુરા-$40

 ત્રીજું ઇનામ

૩-જીવનદાયિની”-આલોક ભટ્ટ -$31

૩-સહ પ્રવાસી –અલ્પા શાહ $31

આશ્વાસન

મને કેમ વિસરે રે –રાજુલ કૌશિક -$25

મારું તોફાની હનીમુન-જીગીષા પટેલ- $25

      મને આ વાર્તા સ્પર્ધાની બધી જ વાર્તા વાંચવાની ખૂબ મજા આવી. જે વાર્તાઓને ઈનામ મળ્યું છે તે વાર્તાઓ અને નથી ઈનામી ઘોષિત થઈ એ વાર્તાઓ વચ્ચે માત્ર ૧૯-૨૦નો ફરક રહ્યો છે. સાચા અર્થમાં તો દરેક વાર્તા એના આગવાપણાને કારણે કોઈને કોઈ સ્તર પર હ્રદયને સ્પર્શે છે. મારા માટે ઈનામી વાર્તાનું ચયન કરવું સહેલું નહોતું.

અહીં સાચા અર્થમાં તો દરેક પ્રતિસ્પર્ધી વિજેતા છે. સહુને મારા હાર્દિક અભિનંદન.
વિનુ મરચંટ વાર્તા હરિફાઈ પાંચ વર્ષોથી બેઠકના પ્લેટફોર્મ પર ચાલી રહી હતી. એમાં ઈન્ટરનેશનલ સ્તર પર સહુએ ઉમંગથી ભાગ લઈને એને સફળ બનવી એ બદલ હું બેઠકનો, બધાં હરીફોનો અને ઉત્સાહથી એને વાંચનારા ને સાંભળનારા વાચકો ને શ્રોતાગણનો અંતરથી આભાર માનું છું. આ સમસ્ત સફળતાના સાચા હકદાર આપ સહુ છો.
આ હરિફાઈનું હાલ માટે આ છેલ્લું વર્ષ છે. આશા રાખું છું કે હું આપ સાથે બીજી યોજના લઈને આવતા વર્ષે ફરી જોડાઈ શકું.
કોરોનાના આ મુશ્કિલ સમયમાં, આપ સહુ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો એવી જ શુભકામના.

-જયશ્રી વિનુ મરચંટ

દરેક વિજેતાને વિનંતી તમારો ફોન નંબર સાથે સરનામું જયશ્રીબેનને મોકલે. jayumerchant@gmail.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 23


ગત બે અંકમાં આપણે  પૌરાણિક ઐતિહાસિક નવલકથા
‘ ભગવાન પરશુરામ ‘ ના પ્રથમ બે ખંડનું મુનશીની કલમે આલેખાયેલ અદભુત ચિત્રણ માણ્યું. ત્રીજા ખંડની શરૂઆતમાં  ભદ્રશ્રેણ્ય અને ભાર્ગવને સમાચાર મળે છે કે સહસ્ત્રાર્જુન યાદવ અને ભૃગુઓના સંહાર માટે મોટું સૈન્ય મોકલી રહ્યો છે. ભાર્ગવ કહે છે કે સહસ્ત્રાર્જુન આવી પહોંચે એ પહેલાં બધાએ અહીંથી નીકળી જવું અને આર્યાવર્ત પહોંચી જવું. મુનશી ફરી અહીં એક માનવેતર પાત્ર આલેખે છે – કાપાલિકોની ગુરુ,બસો વર્ષની ઉંમરની, અઘોરચક્રઅધિષ્ઠાત્રી, ત્રિકાળદર્શી સિદ્ધેશ્વરી મહાદંતી. જેની કથા વાચકને ડર, આશ્ચર્ય, પ્રેરકતા જેવા વિવિધ ભાવોના સમુદ્રમાં ભીંજવે છે.

યાદવો અને ભૃગુઓ જ્યાં કદી મનુષ્ય સંચર્યો ન હોય એવા રસ્તે આર્યાવર્ત જવા નીકળી પડ્યા. રસ્તામાં આતિથ્ય આપતાં જંગલોના બદલે રણ દેખાતાં, ઝરણામાં પાણી ન હતાં, તાપ અંગારા વરસાવતો, ભૂખ, તરસ અને રોગ તેમના નિત્ય સહચારી થઈ બેઠાં હતા. આવી વિષમ પરિસ્થિતિમાં પણ ભાર્ગવ ‘ અડગતામાં મરવું એ જ જીવન ‘ એવો સંદેશ આપી રહ્યા. એટલું જ નહિ પણ બધાને સરસ્વતી નદીના કાંપ પાર કરાવી નદીના બીજા કાંઠે લાવ્યા, જ્યાં સરસ્વતીના અમૃત સમા મીઠાં પાણીએ તેમને નવજીવન આપ્યું. પણ પાછળ સહસ્ત્રાર્જુના સેનાપતિ રુરુનું વિનાશક ઝનૂનભરેલું સૈન્ય પણ આવી પહોંચ્યું. દ્વેષનો દાવાનળ સળગી ઉઠયો ને  સૌ એકબીજાને મારવા ને ડુબાડવા લાગ્યા.

આર્યાવર્ત પહોંચતાં પહેલાં ભાર્ગવને જાણ થઈ કે તેમના બે ભાઈઓ પિતૃલોક સંચર્યા છે. ત્રીજા ભાઈ યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. પિતાજી ભૃગુશ્રેષ્ઠ કોઈ જોડે બોલતા નથી અને એકલા સરસ્વતીના તીરે આંટા મારે છે. તો માતા રેણુકા ઉર્ફે અંબા  આશ્રમ છોડી ગાંધર્વરાજને ત્યાં જઈ રહ્યા છે. આ જાણી ભાર્ગવ આશ્રમ પહોંચે છે. મહર્ષિ જમદગ્નિની કરુણાજનક સ્થિતિ જોઈ કંપતા હૃદયે ભાર્ગવ પિતાના ચરણોમાં પડી જાય છે.
વૃદ્ધ મહર્ષિ : ” હું પિતા નથી. મને પુત્ર નથી. તું કોણ છે, હું જાણતો નથી.”
ભાર્ગવ: પિતાજી! હું રામ – તમારો નાનો છોકરો – સહસ્ત્રાર્જુન ઉપાડી ગયો હતો તે. મહર્ષિ જમદગ્નિ!”
મહર્ષિ: એક હતો જમદગ્નિ. એ મરી ગયો ને યમલોકમાં ગયો. એ આર્યોનો વિનાશ અટકાવી ન શક્યો. વિશ્વામિત્રને વિજય અપાવી ન શક્યો. ભૃગુઓના તેજ, વીર્ય ને શુદ્ધિ સાચવી ન શક્યો. એના શિષ્યોમાં વિદ્યા ન હતી. ન એ જીતી શક્યો, ન એ સંહાર અટકાવી શક્યો. એના પુત્રોની માતાએ પતિની આજ્ઞા વિરુદ્ધ ગાંધર્વરાજ જોડે રહી પત્નીવ્રત લોપ્યું. મારો એક પણ પુત્ર એવો નથી કે રેણુકાનો વધ કરી પિતાનું ગૌરવ ને શુદ્ધિ સંભાળે…છોકરા! ચાલ્યો જા.”
થરથરતા પગે દૂર જતા પિતાને ભાર્ગવ જોઈ રહ્યા ને મહાદંતીના તેજને શરમાવાનારી આંખોમાંથી અશ્રુબિંદુ પડ્યું. ભાર્ગવ માતા પાસે જાય છે પણ તેમને માન્યામાં નથી આવતું કે લોકોની અંબા કલ્યાણી ગાંધર્વ જોડે નાસી ગયેલી પતિત આર્યા કઈ રીતે હોઈ શકે. ભાર્ગવ માતા પાસેથી સત્ય જાણવા માગે છે કે એવો કયો ધર્મ જણાયો કે તેમણે પતિની આજ્ઞા લોપી. માતા ભાર્ગવને ગાંધર્વરાજ પાસે લઈ જાય છે અને બતાવે છે કે રક્તપિત્તથી પીડાતા લોકોની સારવાર અર્થે તે અહીઁ રોકાઈ હતી. ભાર્ગવ તેને કહે છે “તેં જે સેવા કરી છે તે બીજું કોઈ ન કરી શકે. તું પતિપરાયણા છે. વિશુદ્ધિ હોય ત્યાં અધર્મ ન હોય.તેને કોઈ અપકીર્તિ નહિ મળે.જગતને આ માનવું જ પડશે.”  ભાર્ગવ રેણુકાને લઈને મહર્ષિ જમદગ્નિ પાસે જાય છે. મહર્ષિ તેનો શિરચ્છેદ કરવા કહે છે. ભાર્ગવ તે માટે તૈયાર થાય છે ને કહે છે કે પિતાની આજ્ઞાને માથે ચડાવીશ. પણ પછી મારે જીવવું નથી.
ભાર્ગવ : ” પિતાજી! અધર્મ આચારમાં નથી, એમાં રહેલી દૃષ્ટિમાં છે. નહીંતો મરણપથારીએ પડેલા રક્તપિત્તિયાની સેવા કરનાર અંબા પરમ કલ્યાણીને પાપાચારી માની બેસત નહીં. મિથ્યા અભિમાનથી નહિ, સામર્થ્યથી જ આર્યત્વ સચવાય છે.”
રેણુકા: “બેટા! મારી આજ્ઞા છે – છેલ્લી, મારો શિરચ્છેદ કર અને પિતાની ક્ષમા માગ.”
ભાર્ગવ: “પિતાજી ક્ષમા કરો. આપની આજ્ઞા માથે ચડાવું છું – અંબાનો વધ કરું છું. “
મહર્ષિ : ” અંબા, મેં તારો વધ કર્યો. તારા પુત્રે તને સજીવન કરી. રામ! પરશુ ફેંકી દે. હું મારી આણ પછી ખેંચી લઉ છું. “

ચક્રવર્તી સહસ્ત્રાર્જુને આર્યાવર્ત ને રાખમાં રોળ્યું પણ મહર્ષિ જમદગ્નિએ નમતું આપ્યું નહોતું. તેથી સહસ્ત્રાર્જુન મહર્ષિને ઝાડ સાથે બાંધી તેમના શરીરમાં તીર મારી તેમને પીડા આપી  રહ્યો હતો. ભાર્ગવે એવો વ્યૂહ રચ્યો કે  ત્રણે દિશામાંથી ભાર્ગવ આવી રહ્યા છે એવા સમાચાર સહસ્ત્રાર્જુનને મળ્યાં. એક દિશાએથી હરિતનું સૈન્ય, બીજી દિશાએથી ભરતોનું સૈન્ય અને ત્રીજી દિશાએથી ભાર્ગવ આવ્યા.આ સંહાર તાંડવમાં સહસ્ત્રાર્જુન અને ભાર્ગવ આમને સામને આવી ગયા ને છેવટે ભાર્ગવને હાથે સહસ્ત્રાર્જુને પરાજિત થઈને જાન ગુમાવ્યો.

આ કથામાં મુનશીની કલમનો કમાલ કથાના પાત્રોના મુખે સાંભળવા મળે છે. તેમાં જે શાણપણ અને સંદેશ છે તે કાલાતીત છે. કોઈ પણ સ્થળ, કાળ અને સમયને અતિક્રમીને આ સત્ય આજે પણ અપનાવવાની જરૂર હોય એવું લાગ્યા વગર રહેતું નથી.

વિશ્વામિત્ર: ‘ માનવી માત્રને માટે મારાં આંસુ વહ્યા છે ને મારી આંસુની સરિતામાંથી મને સત્યો દેખાયાં છે. માનવી માનવીના ભેદ મેં ટાળ્યા છે. આર્યત્વ નથી રંગમાં –  નથી કુળમાં  –  જ્યાં દેશને શરણ જવાની શક્તિ છે ત્યાં આર્યત્વ છે. મારે આર્ય – અનાર્યના ભેદ ટાળવા હતા. માનવી માનવીના ભેદ તો આર્યત્વને કલંકિત કરે છે. જ્યાં સંસ્કાર ત્યાં આર્યતવ. આર્ય ને દસ્યુઓના વર્ણભેદ પર રચાયેલ સૃષ્ટિ મહાન અસત્ય છે. મેં વર્ણભેદ ભુલાવ્યો – સંસ્કાર ભેદ શીખવ્યો. જે તપ ને વિદ્યા મેળવે તે આર્ય.

દુષ્યંત: ” કાલે જેને વીરતા કહેતા હતા તેમાં આજે બધાને મૂર્ખાઈ દેખાય છે. સહચર કોઈને ગમતો નથી. દરેક પોતાનો લાભ શોધી રહ્યા છે. “

ભાર્ગવ: ” પરાજય તો મહાન છે, હું તો એને સદા ભેટતો આવ્યો છું. એ વિપત્તિ વીરોને તાવે છે. તેમનું કાંચન પ્રગટાવે છે. એમાંથી જ સામાન્યો  છૂટા પડે છે, અને અધોગામી બને છે, અને શુરો અલગ થઈને ઉન્નત માર્ગે વિહરે છે. હાર શું? જીત શું? કાયરોની શબ્દજાળ ભેદીએ. હાર – જીત મૃત્યુ પામેલા વીરોની સંખ્યામાં છે?  વિનાશ થયેલી સમૃદ્ધિની ગણનામાં ? ના – ના. જીવન ઉન્નત કરે તે વિજય – જે ન કરે તે પરાજય. જ્યાં શ્રદ્ધાભર ઉત્સાહ નથી ત્યાં પરાજય; જ્યાં શ્રદ્ધા ને ઉત્સાહ છે ત્યાં પરાજય કદી હોય નહિ. વિજય તો ક્ષણજીવી ફૂલ છે. આ પળે વિકાસ, પેલી પળે કરમાય. એનાથી પર – ચિરંજીવ – છે આત્મશ્રદ્ધા, અણનમ શક્તિની જનેતા. જ્યારે આત્મશ્રદ્ધા ચળે ત્યારે પરાજય આવે. પ્રાપ્ય – અપ્રાપ્ય ની ચિંતા કરીને આપણે આત્મશ્રદ્ધા ખોઈએ છીએ. પ્રાપ્ય માટે લડે એ માનવી; અપ્રાપ્ય માટે લડે એ મહાત્મા. પ્રાપ્યતાની મર્યાદા શોધવામાં જ પરાજયના પાયા ચણાય છે. “

ભાર્ગવ: “હું તો અપ્રાપ્યનો મંત્રદૃષ્ટા છું. હું મરી જઈશ  તોયે મૃત્યુનો સ્વામી બનીને. મારા મરણમાંથી ઉત્સાહ અને શ્રદ્ધાની છોળો ઉડશે. તેની આંચ આજના નહિ તો આવતીકાલના વીરોને લાગશે. આર્યત્વનો ધ્વજ તે ફરી  ફરકાવશે ને અનંત કાળ સુધી આગળ ધપતો લઈ જશે. “

પરાશર મુનિ: “હિંસા કદી જીતી નથી. કદી જીતવાની નથી. દ્વેષ સળગે ત્યારે દ્વેષી થવામાં વીરતા નથી.  દ્વેષ જીતવામાં સામર્થ્ય છે. સમરાંગણમાં એક બીજા પર ઝેર ઉછળે છે. એકબીજાને વિનાશવાનું ઝનૂન ઉપાડે છે . ક્યારે તમે બધા આ વિનાશકતાની નિરર્થકતા સમજશો? હિંસાના બી વાવે ઝેરના વન ઊગશે. ક્યાં સુધી આ  નિરર્થક વિનાશ વેરશો? દ્વેષ તમને તારશે નહિ, બાળીને ભસ્મ કરશે.”
 
આજે જ્યારે વિશ્વ ધર્મ,સત્તા(આર્થિક, રાજકીય, સામાજિક),યુદ્ધ, સામ્રાજ્યવાદ અને અન્ય કારણોસર આતંકવાદ અને અત્યાચારનો સામનો  કરી રહ્યું છે ત્યારે પૌરાણિક નવલકથાની વાત કેટલી યથાર્થ લાગે છે! એ જ છે દીર્ઘદ્રષ્ટા અને આર્ષદ્રષ્ટા મુનશીની કલમનો કસબ!

રીટા જાની.

૨૪ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા –મીરાંબાઈના પદોને સથવારે…. – પ્રસ્તાવના

“कृष्णस्तु भगवान स्वयम”

શ્રી શુકદેવજીની ઉપરની ઉક્તિ અનુસાર, એક માત્ર શ્રી કૃષ્ણ જ પરમ પુરુષ ભગવાન છે.શ્રી કૃષ્ણને પૂર્ણ અવતાર ગણવામાં આવે છે કારણકે તેઓ ૧૬ કલાઓથી યુક્ત છે અને માનવજીવનના સમસ્ત પાસાઓની છણાવટ તેમણે તેમના જીવન દરમિયાન વિવિધ લીલાઓ દ્વારા કરેલ છે. તેમની દરેક લીલાઓની ભીતરમાં સર્વદા લોક-હિતની ભાવનાનો ઉદેશ્ય હતો. શ્રી કૃષ્ણજ એક એવા પરમેશ્વર છે કે જે સર્વગુણ સંપજ્ઞ છે અને જીવનના સર્વે ક્ષેત્રોમાં તેમનો અધિકારપૂર્વકનો પ્રભાવ ધરાવે છે.આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી કૃષ્ણએ તેમના જીવન ની મહત્તમ લીલાઓ વ્રજભૂમિમાં કરી હતી. શ્રી વૃંદાવનની આજુબાજુ નો ૮૪ કોશનો જે વિસ્તાર છે તે વ્રજભૂમિ તરીકે ઓળખાય છે.આ વ્રજ-ભૂમિનું હિન્દૂ સંપ્રદાયમાં એક વિલક્ષણ માહાત્મ્ય છે.અહીંની પાવન રજમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે સાકાર-સગુણ સ્વરૂપે લીલા કરેલ છે. આ અદભુત ભૂમિ માં વિચરણ કરતા કરતા અથવા આ ભૂમિનું સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણની વ્રજ લીલાઓમાં ડૂબી જઈને શ્રીકૃષ્ણ પ્રત્યે જે પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે તેજ વ્રજભાવ છે.મીરાંબાઈ કે જેમણે શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધેલું, તેમના માટે આનંદ,શાંતિ, પ્રેમ અને કલ્યાણ ના પરમાધાર રૂપ વ્રજભાવને આત્મસાત કરવો એ એક સાહજિક ઘટના હતી.

મીરાંબાઈના જીવન પર વ્રજભાવ અને વ્રજલીલાનો ખુબ ઊંડો પ્રભાવ છે.મીરાંબાઈએ વ્રજભાવ ને કેન્દ્રમાં રાખીને લગભગ ૪૦૦ જેટલા પદની રચના કરી છે.મીરાંબાઈના વ્રજભાવના પદોમાં મુખ્યત્વે ચાર ભાવોનું પ્રાધાન્ય જોવા મળે છે. પ્રથમ છે વાત્સલ્યભાવ. વાત્સલ્યભાવના પદો કે જેમાં મીરાંબાઈએ યશોદામૈયા બનીને તેમના લાલાની પ્રમુખ લીલાઓનું વર્ણન કર્યુંછે. આ પદોમાં મીરાંબાઈએ લાલાની બાળલીલાઓ થી માંડીને કિશોરાવસ્થાની નટખટ લીલાઓનું વર્ણન કરેલું છે અને લાલાને પોતાના વાત્સલ્યભાવથી તરબોળ કરી દીધો છે. બીજો ભાવ છે માધુર્યભાવ. માધુર્યભાવના પદોમાં મીરાંબાઈ એ શ્યામસુંદરના શૃંગાર,મોરમુકુટ, વાંકડિયા કેશ,પીળા પીતામ્બર, બંસીધરની ત્રિભંગી મરોડ અને મંદ મંદ મધુર મુસ્કાન નું તાદ્રશ વર્ણન કરેલ છે. જાણેકે મીરાંબાઈ પોતે સદેહે શ્યામસુંદરની સમીપ ના હોય! ત્રીજો પ્રમુખભાવ છે એ છે સખ્યભાવ. આ ભાવના પદોમાં મીરાંબાઈએ ક્યારેક રાધા બનીને પોતાના શ્યામમાટેની અલૌકિક પ્રીત પ્રગટ કરીછે તો ક્યારેક ગોપી બનીને શ્રીકૃષ્ણના સહવાસની તેમના હૃદયમાં જે ટીસ ઉઠતી હતી તેને શબ્દદેહ આપ્યો છે.ગોપીભાવના જે પદો છે તેમાં મીરાંબાઈ પૂર્વ જન્મમાં દ્વાપર યુગની ગોપી હતા તેનો પણ સંકેત મળે છે. તો વળી આ પદોમાં રાસલીલાને પણ મીરાંબાઈએ આવરી લીધી છે. અને ચોથો અને છેલ્લો ભાવ જે છે એ છે વિરહભાવ.મીરાંબાઈના વિરહભાવના પદોમાં જયારે કૃષ્ણ વ્રજભૂમિ છોડીને મથુરા પ્રસ્થાન કરી જાય છે ત્યારબાદ રાધાની અને ગોપીઓની શું હાલત થાય છે તે કરુણભાવોનો સમાવેશ કર્યોછે. તે ઉપરાંત આ પદોમાં ઉદ્ધવલીલાનો સમાવેશ પણ કર્યો છે.

આમ મીરાંબાઈએ તેમના વ્રજભાવના પદો દ્વારા શ્રી કૃષ્ણની સમગ્ર વ્રજ-લીલા ને આવરી લીધી છે. આપણે પણ આ લેખમાળામાં આ દરેક ભાવ પર રચાયેલા પદોનું ખુબ નજીકથી રસપાન કરીશું અને મીરાંબાઈના પદો થકી તેમના મનોભાવોની જરાક વધુ સમીપે જવાનો પ્રયત્ન કરીશું. મીરાંબાઈના વ્રજભાવના પદો તેમના પદસંગ્રહ ના શિરમોર જેવા છે.અને કેમ ના હોય? વ્રજ-ભૂમિ અને વ્રજ-રજ એતો પરમ પુણ્યકારક ભૂમિ છે જ્યાં પ્રભુએ સ્વયં વિચરણ કર્યું છે.જે સુખ-સુવિધા શ્યામસુંદરને વ્રજભૂમિમાં પ્રાપ્ત થઇ હતી, જે લાડ-પ્યાર પ્રભુને વ્રજભૂમિ માં મળ્યા હતા, જે ચેનની ઊંઘ પ્રભુને વ્રજભૂમિમાં પ્રાપ્ત થઇ હતી એવી વ્રજની બહાર ક્યારેય નથી થઇ શકી. જેવીરીતે શ્રીમદ ભાગવદનો બારમો સ્કંધકે જેમાં શ્રીકૃષ્ણના પ્રાદુર્ભાવની કથા છે તે શ્રી ઠાકોરજીનું હૃદય ગણવામાં આવે છે તેજ રીતે  મીરાંબાઈના વ્રજભાવના પદો એક રીતે હૃદયના સ્થાન પર છે તેમ કહી શકાય.

તો ચાલો, આપણે પણ આવતા લેખથી મીરાંબાઈના પદો થકી શ્રી કૃષ્ણના હૃદયની વધુ નિકટ જવાની સફર આદરીએ.આશા રાખુંછું કે તમને પણ મારી સાથે આ સફરે આવવું ગમશે. જય શ્રી કૃષ્ણ!

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

૨૩ – કબીરા

કબીરબીજક-વસંત-૩

કબીર એક એવું વ્યક્તિત્વ છે, જેણે પોતાના વિચારોને કોઈથી પણ ડર્યા વગર બેધડક લોકો સમક્ષ રજૂ કર્યા છે. જે વાત તેમને વ્યાવહારિક ન લાગે તે તેમણે સ્વીકારી નથી અને તેનો વિરોધ પણ ખુલ્લેઆમ કર્યો છે. વસંતમાં આલેખાયેલ કબીરની વિચારયાત્રાને અને કબીરવાણીને સમજવા કોશિશ કરીએ.

વસંતના ૯ થી ૧૨ પ્રકરણનાં કુલ ૨૧ દોહામાં તેમણે માનવ જન્મ કેટલો દુર્લભ છે તેની અને આપણા શરીરની ક્ષણભંગુંરતાને સરળ શબ્દોમાં સમજાવી છે. ગમે તેવો, આખી પૃથ્વીનો સમ્રાટ પૃથુ હોય કે બળવાન રાવણ કે દુર્યોધન હોય, ભક્ત હોય કે દાનવીર બલિરાજા હોય કે ભોગી હોય સૌએ મરણને શરણ તો થવું જ પડે છે. દરેક મનુષ્યનો અંત તો નક્કી જ છે એટલે જ કબીર કહે છેઃ

એસો દુર્લભ જાત સરીર, રામનામ ભજુ લાગૂ તીર….

એટલે ક્ષણભંગુર શરીરમાંથી પ્રાણ ચાલ્યો જાય તે પહેલાં અવિનાશી રામનું ભજન કરી લેવું જોઈએ.

વસંત-૧૦ માં તેમણે તે સમયની રાજકીય, ધાર્મિક અને સામાજિક સ્થિતિમાં સર્વે પંડિતો, યોગીઓ, મુલ્લાઓ વગેરે સૌ પર, કોઈની પણ બીક વગર આકરા પ્રહારો કર્યા છે. યોગીઓ હઠયોગનાં, પ્રાણાયામનાં પ્રદર્શન યોજીને પોતાની અંદર રહેલી અહંકાર વૃત્તિને પોષે છે. પંડિતો પોતાની પંડિતાઈનું અભિમાન કરે છે. મુસલમાનોમાં જ્ઞાની ગણાતાં મૌલવી કુરાન વાંચી મદમસ્ત રહે છે. સંન્યાસીઓને પોતાના આત્મજ્ઞાનનું અભિમાન હોય છે. તેનું ઉદાહરણ આપતા કબીર ઉદ્ધવની વાત કરે છે. ઉદ્ધવને પોતાનાં આત્મજ્ઞાનનું ખૂબ અભિમાન હતું. કૃષ્ણ ભગવાન પોતાનો સંદેશ લઈ ઉદ્ધવને ગોકુળ મોકલે છે ત્યારે ગોપ-ગોપીઓની અને ગોકુળવાસીઓની પ્રેમથી તરબતર કૃષ્ણભક્તિ જોઈ ઉદ્ધવ અભિભૂત થઈ જાય છે. ભાગવતમાં લખ્યું છે ‘ઉધો સીધો ભયો’ ઉદ્ધવજીનું આત્મજ્ઞાનનું બધું અભિમાન ઊતરી જાય છે. માત્ર જ્ઞાનથી જ નહીં કૃષ્ણની પરમ ભક્તિ થકી પણ કૃષ્ણ સુધી પહોંચી શકાય છે તે વાત ઉદ્ધવને સમજાઈ જાય છે.

કબીરે વસંતમાં આત્માજ્ઞાની શુકદેવજી, રાજનીતિજ્ઞ અક્રુરજી વિગેરેના દાખલા તેમનાં જ્ઞાન, ભક્તિ કે બુદ્ધિનાં અભિમાનની વાત સમજાવવા માટે આપ્યા છે. અરે! મહિમ્નસ્તોત્રનાં ‘હરિસ્તે સાહસ્ત્રમ્ કમલબલિ માદાય પદયો’ની વાત કરતાં વિષ્ણુ ભગવાન શિવની સ્તુતિ કરે છે અને હજાર કમળ ચડાવતાં એક કમળ ખૂટે છે તો પોતાનાં નેત્ર રૂપી કમળ ચડાવે છે તે વાત પણ કરી છે. આ ઉપરથી જ સમજાય છે કે કબીર શાસ્ત્રોના કે વેદોના વિરોધી ન હતા પરતું શાસ્ત્રો અને વેદોના જાણકાર હતા.

શિવ કાશીના નિવાસી ગણાય અને કબીર પણ કાશીમાં રહેતા હતા. કાશી અંગે પ્રવર્તતી ભ્રમણાની ફરિયાદ તે શિવજીને કરે છે. તે સમયે કાશીમાં મરણ પામે તો મુક્તિ જ મળે એવી ભ્રામક માન્યતાઓ ફેલાવનાર પંડાઓનો અત્યાચાર એટલો વધી ગયો હતો કે કબીરથી રહેવાયું નહીં. મત્સ્ય પુરાણ, પદ્મપુરાણ, નારદીય પુરાણ અને મહાભારતમાં પણ કાશીનો મહિમા કરતાં લખાયું છે:

અવિમુક્તમ્ સમાસાદ્ય તીર્થસવી કુરુદ્રહ।
દર્શના દેવદેવસ્ય મુગ્યતે બ્રહ્મહત્યયા ॥

અર્થાત્- અવિમુક્ત એટલે કાશી, જે બ્રહ્મહત્યાનું પાપ કરે પણ દેવોના દેવ મહાદેવનાં કાશી આવીને દર્શન કરે તો તેનું બ્રહ્મહત્યાનું પાપ પણ નાશ પામે છે.

ક્રિયાકાંડી બ્રાહ્મણો દ્વારા થતા આવા પોપટીયા પાઠ સામે કબીરે જરાપણ ગભરાયા વગર બળવો પોકાર્યો. કબીરે લોકોને આવા અંધવિશ્વાસમાંથી બહાર નીકળવાનું કહ્યું અને સમજાવ્યું કે તમારા કર્મો સારાં હોય તો જ ભગવાનનું અનુસંધાન થાય. પંડાઓની વાતો પોકળ છે અને ગેરમાર્ગે દોરનારી છે. કબીરને શાસ્ત્રો અને પુરાણોની વાત પણ ખોટી લાગે તો ખોટી કહેતા. કોઈનાથી ગભરાતા નહીં એટલે તો તેને બધાથી ઊફરો ચાલતો કબીર કીધો છે.

આટલું ઓછું હોય તેમ પંડિતો કહેતા કે કાશીમાં મરે તેને સ્વર્ગ મળે અને મગહરમાં મરે તે ગધેડો બને તો કબીરે મોટાભાગની જિંદગી કાશીમાં ગુજારી છતાં પંડિતોને ખોટા પાડવા છેલ્લે મોત મગહરમાં સ્વીકાર્યું. પોતાના પરનો, પોતાની સચ્ચાઈ પરનો અને પોતાના રામ પરનો તેમનો વિશ્વાસ તો જુઓ!

શિવજી સામે પણ હસીને ફરિયાદ કરતાં કહે છે, ‘તમારાં ચાહકો તેમનાં મનમાં જે સુઝે તે કહે છે.’ બધાં ભલે કહે પણ મને શિવજી આવું કહેતાં હોય તેમ લાગતું નથી.

હમરે કહલકે નહિ પતિયાર,આપ બૂડે નલ સલિલ ધાર….(વસંત-૧૨ -૧)

અંધ કહે અંધા પતિયાય,જસ બિસુવાકે લગ્ન ધરાય
સો તો કહિયે ઐસા અબૂઝ, ખસમ ઢાંઢ ઢિંગ નાહિ સૂઝ (વસંત-૧૨-૨)

કબીર તો કહે છે, ‘મારા કથનમાં જે જીવ વિશ્વાસ કરતો નથી તે ખુદ સંસાર સાગરની ધારામાં ડૂબી જાય છે.’ કબીર તો જીવનમુક્ત અવસ્થા પર હોવાથી સંસારરૂપી સાગરને કિનારે ઊભા રહી સર્વ જીવોને ચેતવણી આપે છે કે, આંધળો માણસ આંધળાની વાણીમાં વિશ્વાસ મૂકે છે. બિસુવા એટલે વેશ્યા. વેશ્યાના લગ્ન નક્કી થયા એવી જૂઠી વાતને સાચી માની લેવા જેવી આ પંડિતોની વાત છે. જગતમાં અજ્ઞાની ગુરુઓને કબીર કડવી વાણીથી આંધળા કહે છે અને સમજ્યા વગર તેમની વાત માની લેનાર શિષ્યોને પણ આંધળાં કીધાં છે.

અવિવેકી અને અણસમજુ લોકોનાં વર્તનને કબીર વ્યભિચારી સ્ત્રી સાથે સરખાવતાં કહે છે કે વ્યભિચારી સ્ત્રી પોતાનો પતિ બાજુમાં ઊભો હોય તો પણ તેની પરવા કર્યા વગર બીજા પુરુષની ઈચ્છા કરતી રહે છે તેમ અણસમજુ લોકો પોતાની અંદર આતમરામ રૂપી સ્વામી બેઠો છે તેની દરકાર કર્યા વગર મંદિરોમાં અને તીર્થ સ્થાનોમાં જઈ અનેક દેવદેવીઓની પૂજા કરવામાં મસ્ત રહે છે.(ખસમ એટલે સ્વામી, ઢિંગ એટલે પાસે, ઢાઢ એટલે ઊભેલા)
કબીરનાં વાગ્બાણ અહીં અટકતાં નથી તે તો આગળ કહે છેઃ

છાંડહુ પાંખંડ માનો બાત,નહિ તો પરબેહુ જમ કે હાથ
કહહિં કબીર નર કિયા નખોજ,ભટકહિ મુવલ જસ બનકે રોઝ…..

ભોળા ,અજ્ઞાની લોકોને ભોળવતા નિર્લજ્જ ગુરુઓને કબીર કોઈપણ હિસાબે રોકવા માંગે છે.
બનકે રોઝ એટલે નીલગાય. તે જંગલી પશુ જરા જરામાં ડરથી ચમકે છે અને ચમકે તેવું તીવ્રગતિમાં ભાગે છે તેથી તે ક્યારેય નિરાંતે બેસી શકતું નથી. અહી તહીં ભટકતું રહે છે. અહીં રોઝનાં ઉદાહરણ થકી કબીર સમજાવે છે કે જે ભટકે છે તે પોતાની અંદરના આત્મતત્વની ખોજ નથી કરી શકતા. જે સ્થિર છે તે જ નિરાંતથી પોતાની જાતને ફંફોસી શકે છે. પોતાની ખોજ થકી આત્મસ્વરૂપને પામી શકે છે. માટે જે જીવ સ્થિર થઈ ચંચલ મનને સ્થિર કરી શકશે તે પોતાનું જીવન સફળ બનાવી શકશે.

આમ કબીરે સમાજનાં દંભી ગુરુઓ, પંડિતો, મૌલવીઓને ઉધાડા પાડી સમાજસુધારણા માટે પોતાનાથી બનતા બધાં પ્રયત્ન કર્યા છે. એક સામાન્ય ગરીબ, અભણ વણકર જેના પુરાણો અને શાસ્ત્રોનાં સાચાં જ્ઞાન માટે, લોકોને સાચા માર્ગે ચાલવા માટે અને સમાજમાં અવાજ ઉઠાવવા માટે કબીરને દાદ આપવી પડે. આ નાનીસુની વાત નથી. કબીર આજે પણ જીવંત છે તેનું મોટું કારણ આ પણ છે જ.

— જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ – 24 મેઘાણીનું વાર્તા વિશ્વ

મારી કલમ ઘણા સમયથી આ વિષય પર લખવા થનગની રહી હતી, મેઘાણીની વાર્તાઓ વિષે. અને કેમ નહીં? કેટલો રસપ્રદ વિષય છે આ!

તમે પોતે જ એક પ્રયોગ કરો. શાંતિથી એક નાનકડાં સમુદાયમાં વાત માંડો, “એક હતો રાજા-” અને તરત જ બધાના કાન સરવા થશે. “પછી શું થયું એ રાજાને?” કોઈ પૂછશે. અને તમે કહેશો, “એ રાજાને એકવાર શિકાર કરવાનું મન થયું!” અને શબ્દોને લડાવતા સ્વર સહેજ ઘેરો કરી તમે વાત આગળ ચલાવો છો. ‘રાજા જંગલમાં ગયો જ્યાં રાતનું મારણ કરીને ધરાયેલો એક દીપડો ધરતીના એક પોલાણમાં હાંફતો હાંફતો આરામ લેતો હતો.” વાત પાણીના રેલાની જેમ આગળ વહેવા માંડે. શ્રોતા હોય કે વાચક શરૂ કરેલી વાર્તા પૂરી ના થાય ત્યાં સુધી અધૂરી તો મુકાય જ શાની? બસ, મેઘાણીની વાર્તાઓ વાંચતાં આવી જ અનુભૂતિ થાય. જેટલું સુંદર એમનું પદ્ય સાહિત્ય છે; લોકગીતો, ગરબા, બાળગીતો, શૌર્ય ગીતો, સ્વરચિત અને અનુસર્જિત કાવ્યો, લગ્નગીતો અને ઋતુગીતો. તે સૌથીએ વધુ સુંદર તેમનું વાર્તા વિશ્વ છે. વાર્તા કહેવાની કલા તેમનામાં શાળા જીવનથી જ કેળવાયેલી. તેમાંયે ચારણ, રાજપૂત જેવાં વિવિધ જાતિના મિત્રોની એમના પર અસર પડી એટલે મેઘાણી વાર્તા કહેતા ખાસ શીખ્યા. પછી પિતાની રાજ્ય પોલીસની નોકરીને કારણે જયાં માથાભારે લોકો હોય તેવી ખીણ, કોતરો, ડુંગર, જંગલોમાં પિતાને રહેવાનું હોઈ મેઘાણી પણ રજાઓમાં ત્યાં જતા. અવનવા અનુભવો થાય. ક્યારેક પગપાળાં, ક્યારેક ઘોડા ઉપર, ક્યારેક ગાડામાં ને ક્યારેક ઊંટ સવારી કરીને પિતાનાં ઘેર જવું પડે. ક્યારેક વરસતા વરસાદમાં, નદી ગાંડી થઈ હોય ને પૂર આવ્યું હોય કે અંધારામાં જે તે જગ્યાએ કોઈ રબારીવાસ કે એકલદોકલની ઝુપડીમાંયે રાતવાસો કરવો પડે. આ બધું એમણે જીવનમાં અનુભવેલ અનુભવોનું ભાથું. ઝવેરચંદ મેઘાણીનાં વાર્તાવિશ્વમાં આ બધું એવું સુંદર રીતે ગુંથાઇને આવે છે કે સમગ્ર દૃશ્ય આપણી નજર સમક્ષ ઊભું થઈ જાય. આપણે તો સિંહની ત્રાડ સાંભળીએ અને ભડકી ઊઠીએ પણ મેઘાણી પોતે ખુલ્લી આંખે અને દિલથી બધું જોનારા સંવેદનશીલ વ્યક્તિ હતા. એમણે પોતે ઘણું બધું જે અનુભવ્યું છે તેમાં કલ્પનાના રંગો પૂર્યા છે. એમાં નરી કલ્પના નથી. એમની વાર્તાઓમાં વાસ્તવિકતાનું બીજ કલ્પનાથી પાંગર્યું છે એટલે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને યોગ્ય સ્થળે અભિવ્યક્તિ તેમની વાર્તાઓમાં આપણને જકડી રાખે છે.

લોકભારતી (સણોસરા)ના નિવૃત્ત આચાર્ય મનસુખભાઈ સલ્લા લખે છે તેમ, ‘મેઘાણી દેહ વર્ણન કરતા હોય કે સ્થળ વર્ણન, ભાવ છબી આપતા હોય કે વાસ્તવ, ચિત્ર આલેખતા હોય એવા તો એ અસરકારક હોય. એ પાત્રોને તાદૃશ્ય કરે છે.

ચાલો, હું તમને એકાદ બે પ્રસંગોથી મારી વાતની પુષ્ટિ કરાવું. હા, એમણે દોઢસો જેટલી વાર્તાઓ લખી છે. આમ તો લોકોએ એમને લોકસાહિત્યના સંશોધક અને સંવર્ધક તરીકે ઓળખ્યા. સાહિત્ય જગતમાં એમના પગરણ મંડાયાં અને સાતેક વર્ષમાં તો રણજિતરામ સુવર્ણ ચંદ્રક પણ એ વિષયમાં એનાયત થયો. જોકે, એમની સાહિત્ય કારકિર્દીની શરૂઆત ટૂંકી વાર્તાઓથી થયેલી. એ કલકત્તા હતા ત્યારે કવિ નાન્હાલાલના પુત્ર અનુપમ કવિને ઘેર સાહિત્ય પ્રવૃત્તિઓમાં જોડાતા. પોતે બંગાળી વાર્તા સંગ્રહ ‘કથાઓ કહાની’માંથી ગુજરાતીમાં વાર્તા કરતા. એમનું સાહિત્ય જગતનું પ્રથમ પુસ્તક પણ આ વાર્તાઓનું રૂપાંતર ‘કુરબાનીની કથાઓ (૧૯૨૨)’ હતું. એમની અમુક વાર્તાઓ મને ગમતી. સાહિત્ય જગતમાં સ્થાન પામેલી વાર્તાઓનું અહીં વિહંગલોકન કરવાનો ઈરાદો છે. આમ તો એમની વાર્તાઓનું વિષય વૈવિધ્ય અપાર છે. પણ આજે હું તમને ‘શિકાર’ વાર્તાની વાત કરું. એક તો એમાં દેશી રજવાડાઓનું ચિત્ર ઊભું થયું છે તેથી મેં એને પસંદ કરી છે. આપણો ભારત દેશ કેવી ભયંકર ગુલામીમાં સબડતો હતો, આપણે કેવી દયાજનક કફોડી સ્થિતિમાં રહેતાં હતાં તેની યાદ અપાવવાનો પણ પ્રયાસ છે. કલકત્તા સ્થિત જયંતીલાલ મહેતાએ ઝવેરચં મેઘાણી શતાબ્દી ગ્રંથમાં ‘શબ્દોનો સોદાગર’ માં લખ્યું છે તે મુજબ : દેશી રજવાડાના ‘બાપુ’ની લાચારી, ગોરા અમલદારની ક્રૂર ને છતાં કાયરતાભરી વર્તણુકની હાંસી ઉડાવતી આ વાર્તા કટાક્ષ કડવી શૈલીથી શોભે છે. જોકે, પ્રિય વાચક મિત્રો, જયારે પહેલી વાર મેં આ વાર્તા વાંચી ત્યારે વાંચતાં વાંચતાં હું દુઃખ, આક્રોશ અને દિલગીરીથી ઘેરાઈ ગઈ હતી. મારા પોતાના જ દેશમાં, સો વર્ષ પૂર્વેની મારા દેશબંધુઓને સહેવી પડતી આવી લાચારી અને અંગ્રેજોની જોહુકમીએ મને અસ્વસ્થ કરી દીધી. હું એ સમયના ઇતિહાસ તરફ ખેંચી ગઈ.

વાર્તાનું કથાવસ્તુ આવું છે :

અંગ્રેજ અમલદાર મહેમાન થઈને ગામમાં આવ્યો છે. એને દીપડાનો શિકાર કરવો છે પણ એને પકડવા જંગલો કોતરોમાં દોડવું નથી. એ દીપડાને એક જગ્યાએ ખીણમાં ખૂણામાં લઈ જવાનું કામ બિચારાં ગ્રામવાસીઓનું છે.
મેઘાણી લખે છે, ‘ચાર પાંચ રજપૂતો, ચાર છ સંધીઓ, કોળી પગીઓ, રબારી ને આહિરો સૌ એમાં જુવાનિયાઓ અને બુઢ્ઢાઓ હાથમાં લાકડીઓ અને ગાંઠવાળા ગોબા અને બંદુકો લઈ નીકળ્યા હતા પણ એમાં શિકારે નીકળેલા સેલાણીની છટા નહોતી. આશા અને ચિંતાની ગંગા જમની ગુંથાયેલી હતી. દીપડાને પકડવાનો છે પણ મારી નાખવાનો નથી. એ કામ તો ગોરા અમલદારે મોટો શો કરીને ડઝન જીપ ભેગી કરીને બધાને પોતાનું પરાક્રમ બતાવવા બાકી રાખવાનું છે. અંધારું થાય તે પહેલાં દીપડાને એ કોતરનાં એક ખૂણામાં ઘાયલ કરીને રાખવાનો છે.

જુવાન છોકરા આ નાટકથી કંટાળ્યા છે. અકળાઈને બાપાને કહે છે, ‘તમે બાપુ કોઈ ધિંગાણે પડકારતા હોત તો અમારાંય પારખાં થાત પણ આ અઘરણીનાં પગલાં ભરતા કુત્તા માથે અમારું શું જોર ચાલે? કયો તો લાકડિયે લાકડિયે ટીપી નાખીયે. એ દીપડો એક કવાડીનો ઘરાક છે.”
“ના બાપ, જીવતો ને જીવતો જ એને ગવન્ડર સા’બ સામે પોગાડજો નીકર વાટકીનું શિરામણ રિયું છે એય આપણે હારી બેસશું.” ને અંગ્રેજ ગવન્ડર (ગવર્નર)નો માણસ -અમલદાર – ન સંભળાય તેવી ગાળો વરસાવતો દીપડાને ફસાવવા આ લોકોને સંભળાવે છે, “દોડો , મલકના ચોરટાઓ,” એણે દાંત ભીંસીને કહ્યું, “ભેંસુના ખાડુને વાળી આવો, ને નાખો જરમાં (ધરતી- ધરતીના એ ખાડામાં આખાં ગામની ભેંસોને એક દીપડાનાં મોઢામાં ઓરવાની વાત) થીજી કેમ રિયા છો ?” અધિકારી જીભ પરઘસતા વિશેષણો દબાવી બોલ્યો, “આ દી આથમશે ત્યારે તમે ને તમારાં છોકરાં….” અધિકારી દાટી ભિડાવે છે. લાચાર બે જુવાનિયા કોતરમાં બખોલમાં સંતાઈ રહેલા દીપડાને છંછેડવા નીચે ખીણમાં ઊતરે છે. નીચે કરાડમાં બેઠેલા દીપડાએ છલાંગ મારી. નીચે ઊતરેલા સંધીની ગરદન દીપડાના દાંત વચ્ચે ગઈ. નીચે પાણીનો ખાડો ભર્યો હતો ને ખાડામાં દીપડાએ સંધીનું માથું ઝબોળી નાખ્યું. પોતાના ભાઈને ચુંથાતો જોઈ પાછળ પહોંચેલા સંધીએ ચીસ પાડી, “પગી, પગી, ભડાકો કર મારા ભાઈ ..!” પણ હાકેમ (મોટા સાહેબ)ના શિકાર માટે નક્કી થયેલ દીપડાને પગી કેમ મારી શકે?’

અહીં આપણાં હૃદયના ધબકારાય વધી જાય છે. પણ મેઘાણીની કલમનો જાદુ જુઓ. એ લખે છે, ‘સંધીએ બંધુકની વાટ જોવાનું છોડી દીધું ને દોટ કાઢી. લાકડીનો ઘા કર્યો. દીપડાનાં જડબામાં ઝીક્યો. એ ભાગ્યો.’

જુવાનિયો બચી ગયો તેનો આપણે હાશકારો અનુભવીએ છીએ. અંદરથી અમલદાર તરફ જુગુપ્સા ને ગ્રામવાસીઓ માટે પ્રાર્થના કરતું આપણું હૈયું વાર્તા સાથે ઐક્ય ધારણ કરે છે. આખરે અંગ્રેજ સાહેબ ઘવાયેલા લંગડા દીપડાનો શિકાર કરે છે અને આપણને ત્રાસ, દુઃખ અને હાશકારો થાય છે. મેઘાણીની વાર્તાઓની વધુ રસપ્રદ વાતો અને તેનું રસદર્શન આવતે અંકે…..

૨૪ -સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

આપણે વાત કરતા હતા અમદાવાદની… કોઈ એક શહેરને જોવાની, જાણવાની સૌની અલગ અલગ દૃષ્ટિ હોવાની. ક્યાંક કોઈને એના ઈતિહાસમાં રસ પડી જાય તો કોઈને શહેરની બાંધણીમાં કે એની શૈલીમાં રસ પડી જાય. વિચાર આવ્યો કે એક  લેખક, કવિ કે ગીતકાર કોઈ એક શહેરને કઈ નજરે નિહાળે કે એમને કેવી સંવેદનાઓનો અનુભવ થાય? ઈંટ-પત્થરનાં બનેલાં શહેરમાંય એમને પ્રાણ જણાય ખરો?

જ્યારે લેખક, કવિ કે ગીતકારની સંવેદનાઓ વિશે વિચારીએ ત્યારે અવિનાશ વ્યાસ અને એમનાં અમદાવાદ જેવાં અનેક શહેરોને લગતી ગીત રચનાઓ યાદ આવે.

ગયા વખતે આપણે ભારતની આઝાદી અપાવવામાં પાયારૂપ અમદાવાદની સાબરમતીનાં પાણી અને અમદાવાદ શહેરના પાણીદાર લોકોની વાત કરી.

આજે અમદાવાદનું સાવ થોડી મિનિટોમાં દર્શન કરાવતાં એક ગીતને યાદ તો કરવું રહ્યું. કિશોરકુમારના અલ્લડ અને રમતિયાળ અવાજમાં ગવાયેલાં આ ગીતમાં એક લહેરીલાલા જેવો રિક્ષાવાળો હોય તો એ કેવી રીતે અમદાવાદને ઓળખાવે? બસ, એ કલ્પનાને સાકાર કરતી હોય એવી વાત અવિનાશ વ્યાસે કરી છે. શહેરનાં સાંકડા રસ્તા પરથી પણ સર્પાકારે સડસડાટ રિક્ષા હાંકી જતા રિક્ષાવાળાનો તો અમદાવાદમાં રહેનારાને અનુભવ છે. ડાબે જમણે વળવા માટે રિક્ષામાંથી હાથના બદલે પગ બહાર કાઢતા કોઈપણ રિક્ષાવાળાના અસલી મિજાજ સાથે શરૂ થતું આ ગીત…..

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષા હાંકું, હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

આ ગીતમાં અમદાવાદની બહારથી આવતા મુલાકાતીઓનેય અમદાવાદની અસલી ઓળખ થઈ જાય એવી રીતે રિક્ષાવાળાના સ્વરૂપે અવિનાશ વ્યાસે આપણને શાબ્દિક રિક્ષામાં ફેરવ્યા છે.

રિક્ષાવાળાની જેમ એ આપણને રીચી રોડનાં ફાફડા-જલેબી જમાડે તો ચેતનાની દાળ પણ એ દાઢે લગાડે. ભદ્રકાળીના દર્શને પણ એ આપણને લઈ જાય. રાત પડે અને અમદાવાદીઓના અને મુલાકાતીના માનીતા માણેકચોક અને એની મોડર્ન પ્રતિકૃતિ જેવા લૉ કે લવ ગાર્ડનની સફર પણ કરાવે..

સાવ મોજીલા શબ્દોમાં ખાવા-ખવડાવવાની વાત કરીને વર્ષો સુધી ભારત પર પોતાની હકૂમત સ્થાપનાર અંગ્રેજો સામે અઝાદીની લડત માંડનાર બાપુને એ ફરી એકવાર યાદ કરતાં કહે છે કે, સાબરમતીનાં પાણીની તાકાત એવી છે કે આ પાણી પીનાર સાચો અમદાવાદી ક્યારેય કોઈની સામે ઝૂક્યો નથી કે ઝૂકવાનો નથી.  

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઈને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

કિશોર કુમાર પાસે ગીત ગવડાવવું કેવું કઠીન છે એ તો સૌ જાણે છે અને તેમ છતાં અવિનાશ વ્યાસે એમની પાસે આ ગીત ગવડાવીને સિદ્ધ કરી બતાવ્યું હતું કે એક ગુજરાતી ધારે એ કરી શકવાને શક્તિમાન છે.

આવી જ બીજી એક રચના છે જેમાં અવિનાશ વ્યાસે અમદાવાદની કેટલીક ખૂબીઓ દર્શાવી છે.

વાત તો એ જાણે કરે છે કોઈ એક ગુલઝારીની નામની કાલ્પનિક વહુની. એ ગુલઝારીને મિજાજી બાદશાહનો ડારો દેતા, મિજાજી બાદશાહની દહેશત બતાવતા આ અમદાવાદી નગરી જોવા જતાં રોકવાની કોશિશ તો કરે છે સાથે આ અમદાવાદી નગરીમાં શું જોવા જાણવા જેવું છે એ કહેતા જાય છે.

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

‘લાલ દરવાજો’ એટલે તો જૂનાં અમદાવાદમાં પ્રવેશવાનો દરવાજો. અહીંથી શરૂ થાય એક એવું અમદાવાદ જે આજે ‘જૂનું અમદાવાદ’ તરીકે ઓળખાય છે.

એ સમય તો મને પણ યાદ છે જ્યારે સાબરમતીના પટમાં તંબુ તાણીને દિવસો સુધી સરકસના ખેલો થતાં. અત્યારે તો કોઈ કોટ કે કોટ ફરતે કાંગરીય રહી હોય એવું યાદ નથી આવતું પણ અવિનાશ વ્યાસની એ રચના જરૂર યાદ આવે છે. અમદાવાદનો ઈતિહાસ યાદ છે ને?

કહેવાય છે કે બાદશાહ જ્યારે શહેર ફરતે કોટ બનાવે અને માણેકબાવા સાદડી વણે. એ સાદડી વણે ત્યાં સુધી કોટ બંધાય અને માણેકબાવા સાંજ પડે સાદડી ખોલી નાખે અને કોટ પડી જાય. છે ને રસપ્રદ? અને પછી તો સાંભળ્યા પ્રમાણે આ માણેકલાલ બાવાજીએ બાદશાહ પહેલાં એમનાં નામનો બુરજ બાંધે તો આગળના કામમાં એ નડતર નહીં ઊભું કરે અને એ માણેક બુરજ હશે ત્યાં સુધી બાદશાહનું શહેર સલામત રહેશે એવી ખાતરી આપી અને કોટ બંધાયો. એલિસબ્રિજના છેડે ઊભેલા આ માણેક બુરજને જોયાનું યાદ છે?

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નો જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

અમદાવાદના આ કોટની, માણેકબાવાની મઢીની વાત આ રચનામાં અવિનાશ વ્યાસે કરી છે. સીદી સૈયદની જાળી, કાંકરિયાનું પાણી અને ભદ્રકાળીમાં બિરાજેલા માડીને પણ આ ગરબામાં ગાયા છે.

કહે છે કે ભદ્રકાળી મંદિરના ચોકથી ગરબો ચઢતો અને ત્રણ દરવાજા સુધી ફરીને પાછો આવતો. દસ-વીસ હજાર લોકોના પગ ઢોલીડાના તાલે ઝૂમે. આપણે તો જરા આંખ બંધ કરીને આ મેદનીની કલ્પના જ કરવાની રહી.

લોકકથા જેમ વરસો વરસ યાદ રહે એમ આ લોકકથાને વણીને લખેલો ગરબોય વરસો વરસ યાદ રહેશે.

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નો જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એકદમ લોકગીત લાગે એવા તળપદી શબ્દોમાં લખાયેલા આ ગરબાના તાલે તો કેટલીય ગુજરાતણો શેરીમાં, સ્ટેજ પર ઉત્સાહભેર ઘૂમી હશે. તમે પણ એ લહાવો લીધો તો હશે જને?

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 22


ભારત એ માત્ર ભૂખંડ નથી પણ એક સંસ્કૃતિ છે, જે હજારો વર્ષોના સમયગાળામાં વ્યાપ્ત છે. વિશેષતા એ છે કે આ ભૂમિએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે, જેનું સ્મરણ કરીને આપણે જે તે સમયખંડની પળોને જીવંત કરી શકીએ છીએ. આ સંસ્કૃતિનું સ્વરૂપ મેઘધનુષી છે. તેથી તેનાં રંગચિત્રો આપણાં માનસપટને રંગી દે છે. આવી એક વિભૂતિ એટલે પરાક્રમી અને દૂર્જેય, પ્રતાપી અને અડગ વિજેતા – ભગવાન પરશુરામ. ગત અંકમાં આપણે  મુનશીની પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ના પ્રથમ ખંડની વાત કરી હતી. 

દ્વિતીય ખંડની શરૂઆત થાય છે ‘રેવાના તટ પર’.
પ્રાગૈતિહાસિક નિ:સીમતામાં વહી જતી નર્મદાના તટ પર માહિષ્મતી નગરી આવી હતી. આર્યાવર્તની વન્ય સંસ્કૃતિમાં ઊછરેલાને અમાનુષ શંભુમેળો લાગે એવા ભાતભાતના લોકો – આર્યો, દ્રવિડો, નાગો, કોલ્લો, પાતાળવાસીઓ, શોણિતવાસીઓ – જુદી જુદી બોલીમાં ઘાંટાઘાંટ કરી મૂકતા. ત્યાં ભૃગુકુળનાં કોઈ સંતાનને પુરોહિત પદે સ્થાપવાની જરૂર ઊભી થઈ.  આજે પણ જે રીતે રાજરમતના આટાપાટામાં એક વિષયના નિષ્ણાતને બીજા વિભાગના પ્રધાન બનાવી દેવાય એવું જ અહીઁ પણ બન્યું. ત્યારે મિસર જતાં વહાણોમાં નાનકડો વેપાર કરતા અઠંગ વેપારી મૃકંડને રાતોરાત ગુરુ બનાવી દીધો. તે પૈસાની આપ-લેના બદલે સ્વર્ગ અને સંતાન આપવાનો વેપાર કરવા લાગ્યો. રાજા સહસ્ત્રાર્જુનને ઘણી રાણીઓ હતી પણ મૃગારાણીની તેમાં ગણના થતી ન હતી. એ તેની પરિણીતા ન હતી પણ એની મોરલી પર સહસ્ત્રાર્જુન નાચતો. રાજા, રાણી ને મહારથીઓ એનાં રમકડાં હતાં. રાજા સહસ્ત્રાર્જુન ,તેની રાજ્યલક્ષ્મી મૃગારાણી અને સેનાપતિ ભદ્રશ્રેણ્ય ત્રણેયે રાજસત્તાને પ્રબળ બનાવી. પણ સહસ્ત્રાર્જુનના અત્યાચારોમાં  ભદ્રશ્રેણ્ય સામેલ ન થયા માટે તેને સેનાપતિપદેથી ભ્રષ્ટ કર્યા ને એને જાનથી મારવાની પેરવી થઈ રહી હતી.

પરશુરામના આવવાથી સત્તાનાં સમીકરણો બદલાઈ ગયાં. મૃકંડને લાગતું હતું કે ભાર્ગવને વશ કરવા શક્ય નથી. હવે ભુગુઓ તેમના કહ્યામાં નહિ રહે. તેમણે કુલપતિ હોવાનો ઢોંગ છોડી દેવો પડશે. કારણ, હીરાની ઉપસ્થિતિમાં સ્ફટિકની કિંમત કોણ કરે? મૃગા રામને ભગાડવા કે પૂરો કરવા ઘાટ ઘડતી હતી. પણ ભાર્ગવને જોતાં એનો ગર્વ ઓગળી ગયો અને પૂજ્યભાવ એને અનિચ્છાએ જકડી રહ્યો. પોતે પતિવ્રતા છે પણ પરિણીતા નથી, રાજ્યલક્ષ્મી નથી તેનું ભાન થયું. ભાર્ગવ રાજરમતના દાવપેચ પારખી ગયા. તેમણે મૃગા અને મૃકંડને ચેતવણી આપી કે ભદ્રશ્રેણ્યને મારવાનો સંકલ્પ કર્યો હોય તો છોડી દે. મૃકંડે  ભાર્ગવને ભયંકર રુદ્રાવતાર બનતા જોયા. ભાર્ગવની ભભૂકતી આંખોનું કારમું તેજ જોઈ તેના હાંજા ગગડી ગયા. રામની વિકરાળ આંખો, વાણીમાં સત્યનો ટંકાર, અવાજમાં દ્રઢ સંકલ્પ જોઈ સામેની વ્યક્તિ થરથર કાંપતી.

લોમા અગ્નિ સાંનિધ્યે ભાર્ગવની અર્ધાંગના, ભગવતી લોમહર્ષિણી બની. મહાગુરુઓની કુલતારિણી શક્તિ એનામાં આવી, જાણે ભાર્ગવનું સૌમ્ય ને સુખકર સ્વરૂપ હોય. ભાર્ગવનાં સ્વરૂપ અને શબ્દોમાંથી શ્રદ્ધા અને ભક્તિની ભેદી સરિતાઓ ચારેતરફ વહેતી ને બધાને તરબોળ કરતી. તો ભગવતી ભૃગુઓનાં નયનોનાં નૂર હતાં. એવું કોઈ શસ્ત્ર ન હતું જે અદભુત કળાથી તે ન વાપરી શકે. ભાર્ગવ તો જાણે પશુપતિના અવતાર હોય એમ એક સ્થળે બેસી રહેતા. તેમની શક્તિના આવિર્ભાવ સમા ભગવતી ચારેતરફ તેમનું તેજ પ્રસરાવતાં. ભાર્ગવે આરંભેલા  એકવીસ દિવસના યજ્ઞનાં કારણે જનમાનસનાં હૈયામાં શ્રદ્ધા, ભક્તિ ને ઉલ્લાસ અનુભવાતાં હતાં. ભાર્ગવને પ્રતીતિ થઈ હતી કે તેઓ સહસ્ત્રાર્જુને સ્થાપેલા ભયનાં સામ્રાજ્યને પડકારી વિદ્યા, તપ અને ધર્મનું સામ્રાજ્ય સ્થાપી રહ્યા હતા. યજ્ઞના બારમા દિવસે અંધારી મોડી રાત્રે ભાર્ગવને મારવા અઘોરી વેશે છરો લઈને જ્યામઘ આવ્યો હતો. પણ એકદમ ઊઘડેલાં બે ભયંકર નેત્રોમાંથી વહેતી તેજધારા ને અંધકારમાં બે ચકચક થતાં તેજબિંદુ જોઈ તે જીવ લઈને ભાગી ગયો. આજનો યુવાન  ભગવાન પરશુરામ પાસેથી પ્રેરણા મેળવી શકે કે જો હૃદયમાં આત્મશ્રદ્ધા હોય તો પડકારો તમને ડરાવી કે હરાવી શકતાં નથી.

રાવણના સૈન્યને હરાવી સહસ્ત્રાર્જુન માહિષ્મતી આવી પહોંચ્યો. પણ અહીં જોયેલાં પરિવર્તનથી એનો વિજયોલ્લાસ ખાટો થઈ ગયો હતો. લોકોનાં હૃદયમાં પ્રસરતાં ભાર્ગવ ઘેલછાના તરંગો,  ભદ્રશ્રેણ્યનો વધતો પ્રતાપ, રામ અને લોમાનાં લગ્ન, ગુરુદેવ ભાર્ગવની ખ્યાતિ જોઈ તેને લાગ્યું કે લોકહૈયામાં એ પદભ્રષ્ટ થઈ ગયો હતો. એટલું જ નહિ, મૃગાએ પણ ગુરુદેવને અપનાવી લીધા હતા. જ્યારે મૃગાએ તેનું અગ્નિ સાંનિધ્યે પાણિગ્રહણ કરવા કહ્યું તો સહસ્ત્રાર્જુનનો સંયમ જતો રહ્યો ને તેણે મૃગાને ગુસ્સાના આવેશમાં મારપીટ કરી, અપશબ્દો કહ્યા. વિચારો, આ પુરુષપ્રધાન સમાજમાં ત્યારથી લઈને આજ સુધી કેમ એવું બને છે કે કોઈ ન ગમતી વાત સ્ત્રી કરે કે કોઈ ન ગમતું આચરણ કરે તો ન્યાય બાજુ પર મૂકી પોતાની શારીરિક શક્તિનો પ્રયોગ સ્ત્રી પર કરવામાં આવે છે? દુઃખ સાથે  કહેવું પડે કે સમય જતાં તેનું પ્રમાણ તો ઓછું થયું છે પણ નામશેષ નથી થયું.

ભગવતી લોમાને સહત્રાર્જુનથી બચાવવા ભાર્ગવ તેને દૂર મોકલી દે છે. સહસ્ત્રાર્જુન ભાર્ગવને મળવા બોલાવે છે. ભાર્ગવ સહસ્ત્રાર્જુનને સમજ અને સંયમ રાખવા સમજાવે છે. ભાર્ગવ કહે છે કે ધર્મથી સુરક્ષિત રાજ્ય તેને અપાવશે અને ઉદ્ધારનો પંથ બતાવશે પણ સહસ્ત્રાર્જુન ભાર્ગવને જાનથી મારવા ઈચ્છે છે ત્યારે ભાર્ગવ તેને શાપ આપે છે તેથી, સહસ્ત્રાર્જુન ભાર્ગવને સેનાપતિની મદદથી કેદ કરે છે. સહસ્ત્રાર્જુન, અંધારું થાય એટલે બધા જ ભૃગુઓનો શિરચ્છેદ કરવાનો હુકમ આપે છે ને ગાંડાની જેમ કોટના કાંગરા પર આથમતા સૂર્યે રચેલાં તેજપુંજ તરફ જોઈ રહે છે. ભાર્ગવ કાંગરા પર ઊભા હતાં. એમના મુખ પર સહસ્ર સૂર્યનો પ્રકાશ ઓપતો હતો. તેમની પરશુમાંથી કિરણો ચમકતાં હતાં. એમનું કદાવર શરીર અથમતા પ્રકાશમાં ગગનને સ્પર્શતું દેખાયું. ધીમે ડગલે બે ભભૂકતી આંખે ભાર્ગવ કાંગરા પરથી નીચે ઊતર્યા ને ગઢની બહાર ચાલ્યા ગયા. બધાં જોનારના હૈયા થંભી ગયા ને સહસ્ત્રાર્જુનના હાથમાંથી ખડગ પડી ગયું.

મુનશીની નવલકથાઓના પાત્રો ખૂબ ચોટદાર તો હોય જ છે પણ તેમાં માનવેતર પાત્રો પણ હોય છે. જેમ કે બાબરો ભૂત. આ કથામાં આવું જ એક પાત્ર છે ગુરુ ડડ્ડનાથ અઘોરીનું. મૃગા ભાર્ગવને કેદમાંથી છોડાવી ચંદ્રતીર્થ જવા વિનંતી કરે છે ને હોડીમાં ત્યાં જવાની વ્યવસ્થા ગોઠવે છે. પણ એક ખલાસી હોડીમાં બાકોરું પાડી હોડી ડુબાડે છે ને ભાર્ગવ અઘોર વન પહોંચી જાય છે.  અહીં તેઓ ગુરુ ડડ્ડનાથ અઘોરીના પણ ગુરુ બની જાય છે. અહીં અઘોરીના વિશ્વની વાતો, ભાર્ગવ અને લોમા કઈ રીતે તેમનો વિશ્વાસ જીતે છે અને તેમનું પુનર્મિલન થાય છે તેની રસપ્રચૂર વાતો વાચકને કોઈ અન્ય દુનિયામાં લઈ જાય છે. બીજી તરફ મૃગા પોતાની વાત પર અડગ રહે છે કે જ્યાં સુધી સહસ્ત્રાર્જુન તેનું પાણિગ્રહણ ન કરે ત્યાં સુધી એ તેની વાસનાને તાબે નહિ થાય.  તેથી  સહસ્ત્રાર્જુન તેને પકડે તે પહેલાં મૃગાએ કટાર પોતાની છાતીમાં ભોંકી ભગવાન પરશુરામનું રટણ કરતાં અંતિમ શ્વાસ લે છે.

પરાક્રમી પરશુરામ અને સિતમગર સહસ્ત્રાર્જુનની ટક્કરની રસપ્રચૂર કથાના તૃતીય એટલે કે અંતિમ ખંડની વાત કરીશું આવતા અંકે…

રીટા જાની.

૨૩ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

ऐरी मैं तो दर्श दीवानीरे….

આપણા પુરાણોમાં ભગવદ દર્શનનું માહાત્મ્ય અનેકવિધ રીતે સમજાવ્યું છે. અહીં દર્શનનો અર્થ મંદિરમાં રહેલા સ્વરૂપના દર્શન કરવા ત્યાં સુધી સીમિત નથી, પણ દર્શનનો અર્થ તો ભક્ત એ પરમાત્માનું દર્શન કરી શકે જે તેના પોતાના હૃદય-મંદિરમાં બિરાજેલ છે. જેમકે શ્રી બ્રહ્મસંહિતાના નીચેના શ્લોકમાં કહ્યું છે કે જયારે ભક્ત પોતાના નેત્રોમાં પ્રેમ રૂપી અંજન આંજીને ભક્તિથી રંગાયેલા નેત્રો દ્વારા પોતાના હૃદયના પડળમાં દ્રષ્ટિ કરે છે ત્યારે ભક્તને હૃદયમાં વિરાજમાન શ્રી શ્યામસુંદર કે જે અચિંત્ય અને સગુણ છે તેના દર્શન થાય છે.

प्रेम अञ्जन च्छुरित भक्ति विलोचनेन
सन्तः सदैव हृदयेषु विलोकयन्ति |
यं श्याम सुन्दरम् अचिन्त्य गुण स्वरूपं
गोविन्दम् आदि पुरुषं तमहं भजामि ॥ ३८ ॥

મીરાંબાઈએ પણ આજ રીતે પોતાના નેત્રોમાં પ્રેમરૂપી અંજન આંજીને ગિરિધર ગોપાલના સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપના દર્શનમાં લિન થઇ જતા. તો વળી શ્રીમદ ભગવદ ગીતાના  સાંખ્યયોગના આ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં કહે છે કે જે ભક્ત મારા દર્શન સર્વત્ર કરે છે અને સર્વ ને મારામાં લીન થતા સમજે છે તે ભક્તથી હું કદી પણ વિખૂટો પડતો નથી અને ભક્તને મારાથી વિખૂટો પડવા દેતો નથી.

यो मां पश्यति सर्वत्र सर्वं मयि पश्यति |
तस्याहं प्रणश्यामि मे प्रणश्यति || 30||

મીરાંબાઈના નેત્રો શ્યામસુંદર પર હંમેશા સ્થિર રહેતા તો શ્યામસુંદર પણ મીરાંબાઈને પોતાની નજરોથી ક્ષણભર પણ અળગી ના થવા દેતા. જાણે બંને એકબીજામાં એકાકાર ન થઇ ગયા હોય! મીરાંબાઈ ગિરિધર ગોપાલના દર્શનના બંધાણી હતા અને એટલેજ એ પોતાની જાતને દર્શદીવાની તરીકે ઓળખાવતા. મીરાંબાઈ ને તેમની પ્રેમસાધનાની પરાકાષ્ટાની અનુભૂતિ થઇ ગયેલ હતી અને પરમાનંદનો સાક્ષાત્કાર થઇ ગયેલ હતો.મીરાંબાઈ સાંવરિયાની છબી પર સર્વથા મુગ્ધ હતા અને તેમના નેત્રો દર્શનઆનંદ લેતા ક્યારેય થાકતા ન  હતા અને આ ભાવનું નિરૂપણ તેમણે નીચેના પદમાં સુંદર રીતે કર્યું છે.

नैणा लोभी, रे बहुरि सही नहीं आय
रोम-रोम नख सिख सब निरखत, ललकि रहे ललचाय
मैं ठाढ़ी ग्रिह आपने री, मोहन निकसे आय
बदन चंद परकासित हेली,मंद-मंद मुस्काय
लोक कुटुम्बी बरजि बऱजहीं, बतिया कहत बनाय
चंचल निपट अटक नहीं मानत, पर-हाथ गए बिकाय
भलो कहौ कोई बुरी कहौ में, सब ले सीस चढ़ाय
मीरां प्रभु गिरिधरलाल बिन,पल छीन रह्यो न जाय

હકીકતે મીરાંબાઈ માટે પ્રભુના દર્શનનો આનંદ એવો મધુરાતીમધુર અને પરમ મંગલકારી હતો કે તેમના માટે આલોક અને પરલોક ની સર્વ ચીજ નિઃસત્વ બની રહી છે અને આજ ભાવ તેમણે નીચેના પદમાં વહેતો મુક્યો છે.

जबसे मोहि नंदनंदन, दृष्टि पड्यो माई
तबसे परलोक लोक, कछु न सोहाई
मोरन की चन्द्रकला, सीस मुकुट सोहे
केसर को तिलक भल, तीन लोक मोहे
कुण्डल की ालक,झलक कपोलन पर धाई
मनो मीन सरवर तजि, मकर मिलान आई.

અને આ દર્શનાનંદમાં મીરાંબાઈ એટલી હદ સુધી કૃષ્ણમય થઇ જાય છે કે તેમને  પોતાના દેહ સુધ્ધાનું ભાન રહેતું નથી. અને ગિરિધર ગોપાલ તેમની દ્રષ્ટિની આગળ સદૈવ હાજર રહે તેવી પ્રાર્થના આ પદ દ્વારા મીરાંબાઈ કરે છે.

મારી દ્રષ્ટિ સામે રહેજો રે, બાલમુકુન્દ
મારી નજરી આગળ રહેજો રે નાગરનંદ
કામ કાજ મને કઈ સુજે નહિ , ભૂલી ઘરના ધંધા રે
આડું અવળું જોયું ગમે ના, જોયા પૂનમના ચાંદા રે
મીરા કહે પ્રભુ ગિરિધર ના ગન, મોહિમોહિની ફંદા રે

અને મીરાંબાઈનો આ દર્શનાનંદ જયારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે મીરાંબાઈ તેમના અને ગિરિધર ગોપાલ વચ્ચેના સઘળા આવરણો હટાવીને પોતાની પ્રાણ જ્યોતિ ને ભગવદ્જ્યોતિ સાથે એકાકાર કરીને તેમનામાં સમાઈ જાય છે. નીચેના પદમાં આ ભાવના સુપેરે પ્રગટ થઇ છે.

आई देखन मजमोहन को,मोरे मनमो छबि छाय रही
मुख पर का अंचल दूर कियो तब,ज्योत से ज्योत समय रही
सोच कर अब होत कहा है, प्रेम के फंदे में आय रही
मीरां के प्रभु गिरिधर नगर, बूंदमो बून्द समय रही

મીરાંબાઈની  શ્યામસુંદરની ઝાંખી માટેની જે ઝંખના હતી, જે અંતરનો વલોપાત હતો, તે સમજવા માટે હું કે તમે કદાચ સક્ષમ નથી કારણકે તે સમજવા માટે આપણે પહેલા મીરાંબાઈની કક્ષાએ પહોંચવું પડે. આમ તો મારા તમારા સૌના હૃદય માં વધતે- ઓછે અંશે મીરા-તત્વ રહેલું છે.પણ આપણે તેની સાથે જોડાણ સાધી શકતા નથી કારણકે વચ્ચે માયા અને અહમ નો અંચળો આવે છે જેને આપણે હટાવવો પડે, પ્રભુ પાસે મનથી અને હૃદયથી અનાવૃત થવું પડે.મીરાંબાઈ ની જેમ ગિરિધર ગોપાલ ની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી પડે.

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

અને કવિશ્રી સુરેશ દલાલ ઉપરની પંક્તિઓમાં લખે છે તેમ મીરાંબાઈ ની જેમ દર્શન માટે આંખ ઝરૂખે મુકવી પડે, સૂરજમુખી બનીને શ્યામ નામના સુરજ સામે મીટ માંડવી પડે અને તોજ કદાચ ગિરિધર ગોપાલ સાથે અંતરથી તાદામ્ય સાધીને એકરૂપ બની શકીએ. મીરાંબાઈતો એક અજરામર વ્યક્તિત્વ હતા જે દર્શદીવાની બનીને આ સંસારને નવધા ભક્તિની એક અણમોલ મિસાલ આપતા ગયા. 

મારી તો પ્રભુને એકજ પ્રાર્થના છે કે પ્રભુ મને મારામાં રહેલા મીરા-તત્વ સાથે હું સંધાન સાધી શકું તેવી સ્તિથિ,સદબુદ્ધિ અને સંજોગો આપે. અને એ સાથે હું આજે મારી કલમને વિરામ આપું છું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ