સુખ એટલે…(14)પદમાં-કાન

padma- kant

માણસ હોય કે પશુ પંખી હોય દરેક જીવને સુખી થવું ગમે છે. સુખની વ્યાખ્યા શું છે? મનને અનુકુળ વાતાવરણ એટલે સુખ, અને પ્રતિફૂલ વાતાવરણ એ દુખ છે. માનવીના હ્રદયમાંથી પ્રેમ જન્મે, અને મગજમાંથી બુધ્ધિ. પ્રેમ હમશા સારો જ હોય, પણ બુધ્ધિ બે પ્રકારની. (૧)સદબુધ્ધિ એટલે સુમતિ ત્યાં સુખ (૨)બીજું કુમતિ ત્યાં દુખ.

સુખની વ્યાખ્યા કરવી અઘરી છે. કારણ કે દરેકની સુખની વ્યાખ્યા એટલે ‘તુંડે તુંડે મતિર્ભીન્ના”. જમવામાં કોઈને શ્રીખંડ, પૂરી ને પાતરામા સુખ લાગે તો કોઈને રોટલો અને કાંદામાં. કૃષ્ણ ભગવાનને તો માટી ખાવામાં સુખ લાધ્યું હતું. નાના બાળકોને માટી અને રેતીમાં જ રમવું ગમે છે. વયની સાથે સાથે સુખની વ્યાખ્યા બદલાતી જાય. થોડા મોટા થતા ક્રિકેટ, વોલીબોલ, હજી થોડા મોટા થતા સંગીત ખુરશી, બેઠા બેઠા રમી શકાય એવી હાઉઝી અને પત્તા રમવામાં સુખ માણે છે. કોઈને વાંચવામાં, તો કોઈને ગાવામાં, નૃત્યમાં સુખ લાધે છે.

ઊંઘ આવવા માટે મોટા પલંગની જરૂર નથી, પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જાય  તે સુખ છે. જેની પાસે સંપતિ હોય અને જુદે જુદે સ્થળે ફરવાનો શોખ હોય તો તે દુનિયાના કોઈ પણ છેડે અને ચન્દ્ર્લોકમાં પણ જઈ શકે છે. પણ આ સુખ માણવા તમારું સ્વાસ્થ્ય સારું હશે તો? ને એટલે જ કહ્યું છે કે “પહેલું સુખ તે જાતે નર્યા.” સ્વાસ્થ્ય સુખ, સંપતિ સુખ પત્ની સુખ અને સંતાન સુખ તો જેના ભાગ્યમાં હોય  તેને જ મળે છે. આ સંસારિક સુખ એક બીજા પર આધાર રાખે છે.

સુખ માણસની પ્રકૃતિ, પ્રવૃત્તિ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે.એક જ વસ્તુ કે વ્યક્તિનો પ્રેમ આજે સુખની ટોચે લઈ જાય છે, ને એ જ પ્રેમ બીજા દિવસે તેના મૃત્યુનું કારણ બની શકે છે. એટલે  સુખ સ્થાઈ નથી.

આમ જોઈએ તો સુખ અને દુઃખ બે જોડિયા ભાઈ જેવા છે, પણ તે બન્ને સાથે નથી રહેતા. એકની ગેરહાજરીમાં બીજો અચૂક હાજરી આપે છે.કદાચ ક્યારેક જોડિયા ભાઈ ભૂલેચૂકે સાથે જોડાઈ ગયા તો? તો એક અનોખા સુખની અનુભૂતિ થાય છે. તે કેવી રીતે?

દીકરીને સાસરે વિદાયવેળાનો પ્રસંગ, તે દરેકની આંખમાં આંસુ લાવી દે છે, તો પણ એ ધામધુમથી ઉજવાય છે.કારણ કે તેમની દિકરી પ્રભુતામાં પગલા માંડી રહી છે.એનો આનંદ પણ છે. બીજું એટલે કૃષ્ણના વિયોગમાં રાધા અને ગોપીઓ સહુ વ્યાકુળ છે, છતાં કૃષ્ણનો વિયોગ એ દુખ જેવું લાગતું નથી. કારણ કે વિરહમાં સતત સ્મરણમાં તેમનું મન જોડાયલું છે. કૃષ્ણ તેમનાથી દુર નથી, તો દુખ શાનું? વિરહ અને મિલન બંને ભાવ આમાં સમાયા છે. આ બન્ને પ્રસંગમાં સુખદુખ સાથે છે, દુખની સાથે સુખ છે એટલે દુખની અનુભૂતિ નથી થતી, ને કઈ અનોખું જ વાતાવરણ સર્જાય છે. સુખ દુઃખ અનુભવતા તેમાં જો આપણી દૃષ્ટિને બદલીશું અથવા તો બદલાવ લાવીશું તો એક અનોખા સુખનો અનુભવ કરી શકીશું.

સંસારિક સુખ એક ક્ષણિક સુખ, અલ્પ સુખ છે,આગિયાના ચમકારા જેવું. આધ્યાત્મિકતાના પંથે જતા મનને થોડું સમાધાન,શાંતિ મળે છે. તમે એવું વિચારતા થઈ જશો, કે જે કઈ થાય છે તે પ્રભુની મરજીથી થાય છે, અને જે થાય તે સારા માટે.આ વિશ્વાસ તમારી મનની શક્તિને વધારી દે છે. જે દુઃખ આવ્યું તે તો એક અણધાર્યો મહેમાનની જેમ આવ્યો અને તેની તરફ ધ્યાન ન દેતા તે દુઃખ હારીને ચાલ્યું જશે બસ, એટલું જ સમજી લો, બીજું કઈ નહી. તમે હળવા ફૂલ થઇ જશો.

એક કવિએ તો વળી એમ કહ્યું છે કે “કલહ વિના ન ઘટવાય સ્નેહની ઉત્કૃષ્ટતા”. તેવી જ રીતે સાચા સુખનો પરિચય દુઃખ જ કરાવી શકે છે. જીવનની પ્રગતિમાં સુખ કરતા દુઃખનો ફાળો મોટો છે. એ તમે સમજી જશો તો ને ધીરજથી કામ લેતા શીખી જશો તો દુઃખ ની હિમ્મત છે કે તમારા મનને સ્પર્શી શકે?

પદમાં-કાન

સુખ એટલે …

2010- KRS - Copy

સુખનું સરનામુ શોધવા માણસે ખૂબ પ્રયત્ન કર્યો. ગુગલ પર પણ સુખનું સરનામુ ના મળ્યું. છેવટે પાંચ ઘોડા પર સવાર થઇને પાંચેય ઇંદ્રિયોને કામે લગાડી. આ તમામ ઇંદ્રિયો બહિર્મુખ હતી. પરંતુ જ્યારે આ ઘોડાઓની લગામ મનને સોંપી અને મનને કેળવીને તેને અંદરની તરફ વાળ્યું કે તેની સુખની શોધ પૂરી થઇ. આ સફર કઠીન છે. પરંતુ જેવી જડીબુટ્ટી હાથ લાધે, સુખની શોધ ખુબ સરળ છે. કસ્તુરી મૃગની વાત ખૂબ જણીતી છે.

સ્વામી રામતીર્થે એક સુંદર ઉદાહરણ આપ્યું છે. ‘એક પિંજરું હતું. જેમાં ચારે તરફ અરીસા જડેલાં હતાં. પિંજરાંની વચ્ચોવચ એક ગુલાબનું ખીલેલું ફૂલ હતું. પિંજરાંમાં એક મેનાને મૂકવામાં આવી. એણે અરીસામાં ચારે તરફ ફૂલનું પ્રતિબિંબ જોયું. જ્યાં પણ એની નજર જતી ત્યાં એને ફૂલ જ દેખાતું. અને જેટલી વાર એ ફૂલને પકડવા ગઇ એટલી વાર એની ચાંચ અરીસા સાથે અથડાઇ. અંતે નિરાશ થઇ એણે અરીસા તરફથી મોઢું ફેરવ્યું. ત્યાં તો એને વચ્ચે પડેલું ગુલાબનું અસલ ફૂલ મળી ગયું. હે મનુષ્ય! સંસાર એ પણ એક પિંજરું છે. જે સુખને તું બહાર શોધે છે એ તારી અંદરજ છે’. પરમાંથી ખસીને સ્વમાં વસે તે સુખી.

મારા ગુરુ હમેશા કહે, ‘હર હાલમેં ખુશી’. તમારા બેડરૂમમાં તમારા બેડ પર ઘરનો કામવાળો બેસીને રીમોટથી ટી. વી. ચેનલ એઇન્જ કરતો તમને અચાનક નજરે પડે અને છતાંય તમે કોઇ પ્રતિભાવ ન આપો ત્યારે સમજવું, સુખ તમારાથી દૂર નથી.

માણસને આજે જે વસ્તુમાં સુખ લાગતું હોય એ કાલે આજુબાજુની પરિસ્થિતિ બદલાતાં તેજ વસ્તુ દુઃખમાં પલટાઇ જાય છે. અને માટેજ જે તે વસ્તુ કે પરિસ્થિતિને તે ક્ષણે તે જેવી છે તેવો તેનો સ્વીકાર કરો અને તેનો રીમોટ કંટ્રોલ માત્ર તમારી પાસે રાખો એ ખૂબ જરૂરી છે. કહેવાય છે ને કે ‘યે દિન ભી ચલા જાયેગા’.

ક્ષણનું આયુષ્ય પાણીના પરપોટા જેવું છે.પછી તે સુખની હોય કે દુઃખની. તો પછી શા માટે તેને મન પર હાવિ થવા દેવી? પુણ્યકર્મનાં ફળસ્વરૂપે મનુષ્યને સુખની પ્રાપ્તિ થાય છે. એ ચિરકાલ રહેતું નથી. આ એક મનની પરિસ્થિતિ છે. અને આત્મભાવ એ દુઃખને સુખમાં ફેરવવાની ગુરુચાવી છે. આ સમજનો પારસમણિ હાથ લાગે તો સ્થિતપ્રજ્ઞ બનવું સરળ બને છે.પોતાનાં અંતઃકરણને સમભાવવાળું રાખવાનો સ્વભાવ કેળવવા માટે સાધના જરૂરી છે. અને આ મોટામાં મોટો રાજયોગ કહેવાય. જેમ જ્ઞાનરૂપી દિવાસળી એક પળમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે, તેવુંજ સુખનું છે. ક્યાં તો પાગલ અથવા જ્ઞાની સૌથી સુખી હોય છે કારણકે કોઇ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ તેને ચલિત કે ભ્રમીત કરી શકતી નથી.

આ સુખ એટલે શું? દુઃખનો અભાવ એટલે સુખ.સુખ તમારી આસપાસ વિખરાયેલું છે … આનંદ તમારી ચારે બાજુ પથરાયેલો છે … પ્રસન્નતા તમારી સામેજ નૃત્ય કરે છે … સ્વસ્થતા બિલકુલ તમારી પાસેજ ફરે છે … પણ જો તમને શોધતા, અનુભવતા આવડે તો! કારણ કે સુખ નથી કોઇ ચહેરામાં, નથી ફૂલોનાં સહેરામાં, સુખ તો સંતાયેલું છે તમારી બે માસુમ પાંપણનાં પહેરામાં. સતત બહાર વહેતી આપણી પ્રાણશક્તિ, ઉર્જાને સંયમમાં રહી અંદર તરફ વાળીશું તો આપણને સુખ અવશ્ય મળશે. જે જાતને અંદરથી સતત ઉલેચતો રહે એ જ આજીવન ઉર્જાવાન કે સુખી રહી શકે. કારણકે પરમાત્માએ તો જગતમાં માત્ર સુખનું જ સર્જન કર્યું છે. દુઃખ એ તો માણસની પોતાની પેદાશ છે.

જે આદ્યાત્મમાં પ્રવેશે છે તેના માટે કહેવાય છે કે જેમ ઇચ્છાઓ ઓછી થાય અને વ્યક્તિ સંતોષી બને તેમ સુખ વધતું જાય છે. ઇશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છેઃ तेन त्यक्तेन भूजीथाः! ત્યાગીને ભોગવો. જે ત્યાગીને ભોગવે છે તે સુખી છે. સુખ સાચી ફકીરીમાં છે. અને ફકીર વ્યક્તિ સાચી બાદશાહી ભોગવી શકે છે. કારણકે કહેવાતા બાદશાહનું સુખ ક્ષણિક હોય છે. ગરીબને રોટલામાં સુખ મળે છે. અને ધનિકને અધિકને અધિક ધન મળે તો પણ ધરાતો નથી. સુખ અને સંતોષ બન્ને સાથે જરૂરી છે.

સુખ એ અગાધ દરિયો છે. કોને એમા ડૂબવું ના ગમે? કહેવાય છે, માહી પડયા તે મહાસુખ માણે. દેખનારાં દાઝે જોને … દરિયામાં ડૂબકી મારનાર મરજીવાને જ કિમતી રત્નો, મોતી પ્રાપ્ત થાય છે. કિનારે બેસીને માત્ર જોનારને કાંઇ મળતું નથી. માટે ડૂબકી મારવી જરૂરી છે.

પરંતુ આપણે તો બીજાને પણ સુખી કરવાનાં છે. બીજાને સુખી કરવાનો વિચાર એ આપણા સુખી થવાનો રાજમાર્ગ છે. જેટલું દિલથી વહેંચશો એનાથી વધુ પામશો. સુખનાં બી વાવ્યાં હોય તો સુખ મળશે. સુખ એવો પાક છે કે મનની, દિલની ધરતી પર જેટલો વાવશો તેનાંથી વધુ લણશો. સુખી બનવા જીવનને વહેતુ કરો. બીજાને કરેલી નાનીશી મદદની પ્રભુ જરૂરથી નોંધ લેશે. સામેની વ્યક્તિનાં આત્માનાં સ્પંદનો તમને સ્પર્શશે અને તમારા જીવનનાં ખાલીપાને ભરશે અને જીવનમાં ભાર ઓછો થશે. તમે ખુદ સુખમય બની જશો.

ક્યારેય સમાધાનથી સુખ ન મેળવો. આ રીતે મેળવેલા સુખને દુઃખમાં પલટાતાં વાર નથી લાગતી અને પછી જીવન ઘડીયાળનાં લોલકની સમાન બની જાય છે. માટે સુખની એ ક્ષણનો દિલથી સ્વીકાર કરો. અને હસતાં હસતાં તેને વળગી રહો.કહેવાતાં સુખ કરતાં સ્વસ્થતા વધારે ચઢિયાતી છે. પોતાને જે મળ્યું છે તે માટે આભાર માનવાની વૃત્તિ કેળવો. અને બીજાઓને એમની વર્તણૂંક માટે માફ કરવાની શક્તિ મેળવો. તો સુખ તમારા ચરણોમાં આળોટશે.

સુખથી જીવનને શણગારવાનું હોય. મન ભરીને માણવાનું હોય. છકી જવાનું ના હોય. સારાં કર્મો કરીને સારાં માર્ગે ચાલનાર માણસ સુખ પ્રાપ્ત કરે છે. અને પ્રભુનાં સાનિધ્યમાં પહોંચે છે. ખરાં ભક્તો તો કહે છે કે પ્રભુ દુઃખજ આપજે. જેથી તું યાદ આવે. નહીંતો તને ભૂલીને અમે છકી જઇશું. સાચાં ભક્તો માટે સુખ શું અને દુઃખ શું? માત્ર પ્રભુની શરણાગતિમાં જ તેમનું સુખ સમાયેલું છે અને આ તબક્કે યાદ આવે છે, ‘હનુમાન ચાલીસા’ની એ પંક્તિઃ

‘સબ સુખ લહૈ તુમ્હારી શરના

તુમ રક્ષક કાહેકો ડરના’

અને આજ છે સુખનું સરનામું. સુખ એટલે પ્રભુની શરણાગતિ. પછી ભલે ને હોય પ્રતિકૂળ કે અનુકૂળ, વસ્તુ, વ્યક્તિ, કે સંજોગો … સુખ તમને શોધશે જો પ્રભુ નિજ પાસ હશે. જો પ્રભુનું શરણુ હશે તો તમારા સુખનું સરનામું તમે ખુદ હશો.

કલ્પના રઘુ

સુખ એટલે- (11) ડૉ.લલિત પરીખ

 

  સુખ એટલે, આમ જોઈએ તો તે એક અનુભૂતિ માત્ર છે.પ્રતિકૂળ અનુભવ, જેમ દુખની અનુભૂતિ કરાવે તેમ જ   સાનુકૂળ અનુભવ સુખની અનુભૂતિ કરાવે.સમજુ શાણા લોકો પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તિત કરી સતત સુખ જ સુખની અનુભૂતિનો આનંદ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવે છે   સુખ હકીકતમાં મનની અને મન દ્વારા શરીરને મળતી  સાનુકૂળ અનુભવ-અવસ્થાનો સાક્ષાત્કાર છે. સુખનો આધાર આપણી  દૃષ્ટિ પર પણ આધારિત હોય છે. સુખનું સૂક્ષ્મતમ સ્વરૂપ આનંદ જ આનદનો અનુભવ કરાવે છે જે તન મનથી પર અને સૂક્ષ્મ એવા આત્માનો વિષય છે.આત્માનંદ જ પરમાનંદ છે,પરમાત્માના સાક્ષાત્કારનું સોપાન  છે.

દૃષ્ટિવાન શોધનારને દુઃખમાં પણ સુખ મળી જાય છે.દુઃખને સુખમાં ફેરવી શકે તેના જેવો સુખી કોઈ નહિ.નાનપણમાં એક દેવ ચકલીની વાર્તા વાંચતા કે સાંભળતાં જેમાં રાજા તેને અનેક પ્રકારની સજાઓ આપતો જાય પણ તો ય તે આનંદથી ગાયા કરે “કેવી મઝા ભાઈ કેવી મઝા !” એવું જ સુખિયા સ્વભાવના માણસના જીવનમાં પણ જોવા મળે છે.દુખના અનુભવમાંથી શીખવા મળે છે,નિષ્ફળતામાંથી સફળતા પ્રતિ આગેકૂચ કરવાની પ્રેરણા અને ઊર્જા મળે છે.નાનપણની એક વાર્તા તો ભૂલાય એવી જ નથી જેમાં દુખીરામ ક્ષણે ક્ષણે દુખ જ દુઃખનો અનુભવ કરી દુખી દુખી રહ્યા કરે છે જયારે સુખીરામ પ્રત્યેક સુખ દુખની સ્થિતિમાં સુખી સુખી રહ્યા કરે છે.બેઉના કપાળે રસોળી હોય છે પણ સુખીરામ તેને સહજ સ્વાભાવિક રીતે પોતાના કપાળની વિશિષ્ટ શોભા તરીકે જોઈ- સ્વીકારી સુખી સુખી રહ્યા કરે છે, જયારે દુખીરામ તેને કુરૂપતાનું લક્ષણ સમજી દુખી દુખી રહ્યા કરી રડ્યા કરે છે.સુખીરામ એક વાર  તેના માબાપની આજ્ઞાથી ગાયો ચરાવવા વનમાં ગયો  તો ત્યાં વહેંતિયાઓ રમવા આવી ગયા, જેમને  સુખીરામ સાથે રમવાની બહુ  મઝા આવી અને બીજે દિવસે પણ રમવા આવવા માટે કહ્યું અને તેની ખાતરી કરવા માટે નિશાની તરીકે સુખીરામની રસોળી જ લઇ લીધી કે “આપી દઈશું।કાલે- તું  રમવા આવશે ત્યારે”.

સુખીરામની રસોળી નીકળી ગઈ તે જોઈ દુખીરામ તો દુખી દુખી થઇ ગયો અને ફરી ફરી પૂછવા લાગ્યો “મને કહે, કેવી રીતે તારી રસોળી નીકળી ગઈ?” સુખીરામે માંડીને વાત કરી તો દુખીરામે જીદ કરી કે “મારે પણ  ત્યાં જવું છે.”દુખીરામે ત્યાં જવાની જગ્યા સમજાવી. વહેંતિયાઓને દુખીરામ સાથે રમવાની મઝા ન આવી અને ચીડાઈને બોલ્યા:”લઇ જા તારી આ નિશાની અને સુખીરામની લઇ લીધેલી રસોળી તેના કપાળે ચોંટાડી દુખીરામ હવે એકને બદલે  બબ્બે રસોળીઓ દીધી”.

કપાળે જોઈ દુખી દુખી થઇ પોકે ને પોકે રડવા લાગ્યો.આ વાર્તા એક બાળકને જયારે મેં કરેલી ત્યારે તેણે કોણ જાણે કેમ મને કહેલું “મારા પપ્પા દુખીરામ જેવા જ છે.” મને નવાઈ  લાગેલી;પણ સાચાબોલો બાળક પણ જોઈ શકે છે કે સ્વભાવ જ દરેકને દુખી દુખી કરી મૂકે છે.સ્વભાવ શબ્દ કેટલો સાર્થક છે? સ્વમાં જ હોય તેવા ભાવમાં રહેવું.સ્વમાં સુખ જ સુખ જોતા રહેનાર,સતત સુખ ભરતા રહેનારને સર્વત્ર,કોઈ પણ સ્થિતિમાં કાયમ  સુખ જ સુખનો અનુભવ રહ્યા કરે છે.ખોતરી ખોતરી,શોધી શોધી,સુખમાં ય દુખ જોનારાઓનો તોટો નથી હોતો.પણ દુઃખમાં ય સુખ જોનારાઓ સદા સર્વદા સુખી જ સુખી રહ્યા કરે છે.આખું ઘર સ્વચ્છ હોય તો ય ખૂણામાં પડેલી એકાદ રજકણને શોધનાર અજ્ઞાની જ નહિ મૂર્ખ કહેવાય.દુઃખમાં ય સુખ જોનાર, શોધી કાઢનાર જ સમજદાર અને જ્ઞાની કહેવાય.બાકી તો સુખ સારા મનસુખમાંજ હોઈ શકે,ધનસુખ કે તનસુખમાં નહિ જ એ તો બહુ સીધું સરળ ગણિત છે.સુખ ભાવનાગત હોવાથી પ્રસન્ન સાનુકૂળ પરિસ્થિતિમાં જે પદાર્થ  કે વ્યક્તિ સુખ આપી શકે, તે જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુખદાયી બની જાય છે એ તો આપણા  સહુનો કાયમી અનુભવ છે.

સુખ એટલે શાંતિ,સંપૂર્ણ સમાધાન,પરમ આનંદ તરફ લઇ જનારી સંતોષભરી અનુભૂતિ સુખ- દુઃખથી પર થવાનો ગીતાનો ઉપદેશ ન સમજાય તો ય દુઃખને સુખમાં પરિવર્તિત કરવાની સમજ,ટેકનીક અને આવડત તો આપણે  કેળવવી જ રહી.હુંપોતે તો હકીકતમાં એવો હકારાત્મક અભિગમ ધરાવું છું કે દરરોજ સૂર્ય મારા માટે નીકળે છે,પ્રાણવાયુ મારા માટે વહે છે,દુનિયાની આટલી બધી અસંખ્ય શોધો મારા માટે જ થઇ છે,દુનિયાની આટલી બધી સગવડો મારા માટે જ બની છે,મેડિકલ શોધો મારા માટે જ બની છે જે બધાનો લાભ મારી સાથે આખ જગતને પણ મળે છે એ વધારે સુખની વાત છે.એ સુખનો સાર- પ્રસાર જ સુખની સર્વોત્કૃષ્ટ અનુભૂતિ છે.સુખ એટલે સુખ જ સુખ,દુઃખને પણ સુખમાં બદલવાની ક્ષમતા ધરાવનાર અદભૂત, અનેરું,અનોખું, ચમત્કારપૂર્ણ ઊર્જાપૂર્ણ તત્વ.આ જ તત્વજ્ઞાન ! ગમતાનો ગુલાલ કરે તે જ સુખી સુખી સુખીરામ.

 

ડૉ.લલિત પરીખ

http://lalitparikh.wordpress.com/

અહેવાલ-“બેઠક”માં ​”​સુખ​”​છલકાણું-09/26/2014

 

26th

બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ બોલાવેલી “બેઠક”માં

​”​સુખ​”​છલકાણું”

બેઠક” ​છવ્વીસ મી સપ્ટેમ્બર ​ના ​ઇન્ડિયા કોમુયુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે યોજાઈ​.આ બેઠકનો વિષય હતો ​”સુખ એટલે “​આવા ​ગમતા વિષયને સર્જકોએ ખુબ વધાવ્યો.પ્રજ્ઞા દાદભવાળા​ એ બેઠકનું આયોજન કરી​,​રાજેશભાઈ શાહ તથા કલ્પનાબેન​ ​રઘુ શાહ​ના ​સહકાર સાથે ​સમગ્ર બેઠકનું સંચાલન કર્યું.શરુઆતમાં, બેઠકના  આયોજક  શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ  સૌને કવિતા દ્વારા આવકાર આપ્યો હતો.

આ બેઠકનું  ખાસ આકર્ષણ અને મહેમાન જયશ્રીબેન મર્ચન્ટ રહ્યા, તેમણે એક એક સર્જકની રજુઆતને બારીકાઈથી સાંભળી સચોટ અભિપ્રાય આપી પ્રોત્સાહિત કર્યા ,પ્રતભાઈ પંડ્યાએ   પુસ્તક પરબને પુસ્તક આપી નીવ તો નાખી પરંતુ માત્ર દાતા ન રહેતા બેઠકનું બળ બની રહ્યા,સર્જકોને માત્ર વાંચવાનું નહિ પણ સર્જનાત્મક લખવાનું પ્રોત્સાહન આપ્યું ,તેમજ ટુચકાઓ થી વાતાવરણ ને હળવું રાખ્યું ,મહેન્દ્રભાઈ મહેતાએ બેઠકમાં હાજરી આપી અને અંત સુધી બેસી શાંતિથી સર્જકોને સાંભળ્યા અને વચ્ચે વચ્ચે દાદ આપી લેખકોને વખાણ્યા આ સાથે જયશ્રીબેને અને પ્રતાપભાઈ પંડ્યાએ મનુભાઈ પંચોલી “દર્શક”  ની જન્મશતાબ્દી ની ઉજવણી બે એરિયામાં ઉજવાશે અને સહુ સાથે ઉજવશે એમ કહી સર્વે ગુજરાતી પ્રજાને લાભ લેવા આમંત્રણ આપ્યું ,આપણી ભાષા અને સાહિત્યનો આવો ઉત્તમ ઉત્સવ સહુ સાથે મળી ઉજવીએ તો જ લેખે ગણાય.આના અનુસંધાનમાં પ્રજ્ઞાબેને કહું મનુભાઈ પંચોળી ગુજરાતના એક સંસ્કૃતિ પુરુષ હતા,જેમના જીવનભરના કામ અને સાહિત્યએ ​દરેક ​ગુજરાતી નું સંસ્કાર સિંચન કર્યું છે અને ​ચિરંતન કરશે,આપ સહુ આ પ્રસંગે હાજરી આપી લાભ લઇ જ્ઞાન સાથે વૃદ્ધિ પામશો​.​

બેઠકની શરૂઆત સરસ્વતી વંદના કલ્પનાબેને ગાઈ​ને ​કરી,વિજયભાઈ શાહે હુસ્ટન  થી ફોન પર વાત કરી બધાને અભિનંદન આપ્યા​,​તો જયશ્રીબેને અને પ્રતાપભાઈ એ બેઠકના સર્જન કાર્યને નવાજ્યું ,કલ્પનાબેને સુખની ને પોતાના મૈલિક વિચારો દ્વારા બધાજ દર્ષ્ટિકોણથી સુખને રજુ કરતા,શાસ્વત આનંદ એજ સુખ છે, એમ કહી સુખ પીરસ્યું ,બ્યાસી વર્ષના પદ્મામાસીએ સુખના ઓડકાર સંતોષથી ખાધા,તો કુન્તાબેને સુખને છુટો પાડી પ્રકાર આપી વર્ણવ્યો ,દાવડા સાહેબે નાનીવાર્તા કહી સુખને સમજાવ્યું ,રાજેશભાઈએ સુખને કવિતામાં વર્ણયું,જયવંતીબે​ને ​​સુખને ​ખુબ સુંદર ઉદારણ દ્વારા સમજાવી અને સચોટ રજૂઆત કરી વિકસતી કલમને પુરવાર કરી. વસુબેને સુંદર પંક્તિઓ ગાઈ વાતાવરણ ને સંગીતમય બનાવ્યું. તો સુબોધભાઈ ત્રિવેદીએ શાહબુદ્દીન રાઠોડ ​ને  યાદ કરી હાસ્યના દ્વારા સુખ પીરસ્યું ..દિનેશભાઈ પટેલે સચોટ રીતે લેખને રજુ કર્યો ,તો દિલીપભાઈની વાતમાં મૈલિકતા વર્તાણી ,પીનાકીનભાઈએ સુખને કર્મનું ફળ કહી સ્વીકાર્યું ,જયોત્સનાબેને શીઘ્ર ​કવિની જેમ ત્યાને ત્યાં લખીને રજૂઆત કરી,​ઉર્મિલાબેને દુઃખને બેંકમાં મુકવાનું કહી સુખની ચાવી  વહેંચી,સતીશભાઈ માં  છુપાયેલી આવડત બહાર આવી,કોઈ પણ વ્યક્તિ લખવાનો  સાચા હૃદય માંથી પ્રયત્ન કરે તો શું ન થઇ શકે ?  આમ નવા લેખકોએ પહેલીવાર હિમત કરી ઉંબરા ઓળંગ્યા ​અને કલમ ઉપાડી અને પ્રેક્ષકોએ એમને તાળીઓથી વધાવ્યા,જયશ્રીબેન મર્ચન્ટે ​તેમની પોતાની લખેલી “સુખની વિલા ની વાર્તાની રજૂઆત કરી ​.પરંતુ કહેછે ને કે દુઃખ ના અનુભવ વગર સુખ નો અહેસાસ નથી થતો એ વાત વાર્તામાં પુરવાર થઇ.સમય આગળ વધતો હતો પણ બધા જ અંત સુધી માણતા હતા,​રેડિયો જિંદગી વાળા જાગૃતિ બેને ​ પોતાની હાજરી આપી, વડીલોના આશિર્વાદ લઇ સુખ મેળવ્યું ​ અને “આવો મારી સાથેને” બદલે “હું તમારી જ સાથે” વાતને પુરવાર કરી પ્રેમને મુકતી ગઈ.નાસ્તાપાણી ની ઉજાણી ,ફોટા ,અભિવાદન સાથે સહુ છુટા પડ્યા,સાથે “પુસ્તક પરબના” પુસ્તકો ​ ​હોંશે ​હોંશે  ઘરે લઇ ગયા,સહુ સભ્યો  ઉત્સાહ સાથે આવ્યા અને સુખને સાથે લઇ ગયા અહી સુખ વાંચન બનીને આવ્યું તો કોઈને રજુઆતમાં સુખ વરતાણું , ​આમ શુક્વારની સાંજે બેઠકમાં સૌએ પોતાના સુખને શોધ્યું અને મેળવ્યું,અંતે બધે સુખ અને સુખ  વરતાણું .​એમ કહો કે સુખ છલકાણું …

અહેવાલ -પ્રજ્ઞાબેન દાદભાવાળા

બેઠકનું આયોજન -પ્રજ્ઞા દાદભાવાળા, અતિથિ વિશેષ= જયશ્રીબેન મર્ચન્ટ .
બેઠકનું બળ- પ્રતાપભાઈ પંડ્યા,વિશેષ મહેમાન -મહેદ્રભાઈ મેહતા.
બેઠકનું સંચાલન -પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.
તસ્વીર -રઘુભાઈ શાહ અને રાજેશભાઈ શાહ (news media )
રેડિયો પ્રસારણ -જાગૃતિ શાહ sound -દિલીપભાઈ શાહ .
ભોજન -જયશ્રી શાહ ,વસુબેન શેઠ ,કુંતા શાહ ,નિહારીકાબેન શાહ ,ગૌરી ,જ્યોત્સના બેન.
_DSC0126

  સર્જક મિત્રોને પણ ખુલ્લુ આમંત્રણ

આવતા મહિનાના વિષયો – 

બેઠકનો  વિષય છે  ….“શુભેચ્છા સહ” ....

માણસમાણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા જ કરતો હોય છે…..વાર તહેવારે શુભકામનાઓ પાઠવામાં આવે છે ને ? કોઈ ને શુભેચ્છા પણ વ્યક્ત કરવા શું  શું  કરો છો ? …તો આ શુભેચ્છા છે શું.?…બસ તો કસો મગજને અને ચલાવો હં હં ચાલવો નહિ દોડાવો.. તમારી આંગળીઓને ટપ ટપ અવાજ સાથે ટપકાવો તમારા વિચારોને અને બસ લેખ તૈયાર એક વધુ એક બટન દબાવો અને send  કરી મોકલો।….. pragnad@gmail .com

તો મિત્રો આપની રજૂઆત 450 શબ્દો સુધી કરશો. –રજૂઆત માં સમય મર્યાદા છે. જે હાજર ન રહે તે પોતાનો લેખ 500  અથવા વધુ શબ્દો લખી મોકલશે  જે “શબ્દોનાસર્જન” પર મૂકી શકાશે,
ટાઈપ  કરી pragnad@gmail.com મોકલી શકેછે

.https://shabdonusarjan.wordpress.com/ 

તો મિત્રો સમજી ગયા ને  આપણા આવતા મહિનાનો બેઠકનો  વિષય છે  …
 “શુભેચ્છા સહ” ..….
Sahiyaru sarjan -Topic for October 2014
જુની આંખે નવા ચશ્મા – By Hemaben Patel
Article size is 1000 words Minimum
Last date to submit october 25, 2014
Please send typed matter in word document in shruti font 12 number
                                                         Please visit www.gadyasarjan.wordpress.com
                                                                  please send your article to
pragnad@gmail.com
 
                                                       
                                                                 Thanks
 
 
 

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર-(4)કલ્પના રઘુ

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર2010- KRS - Copy

જે જડ નથી તે ચેતન છે. પ્રાણ, ચેતના, ઉર્જાથી જે સભર છે તે ચૈતન્ય છે. આપણામાં વહેતી ચેતનાનો વિસ્તાર કરી વિશ્વવ્યાપી ચેતના સાથે એટલેકે આત્માને પરમાત્મા સાથે જોડી દઇને, એની શક્તિનો વિચાર અને ભાવ દ્વારા વારંવાર અનુસંધાન કરવાથી ભગવદ્‍તત્વની વધારે પ્રતિતિ થશે. અને તેની કૃપા આપણા પર અવિરત વહેશે. અને જીવનમાં પરમાત્મા પ્રગટ થશે. આ માટે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર જરૂરી છે.

જગત અને જગત નિયંતા જુદા નથી. કપાસ કપડું બને, લાકડું ખુરશી બને, ઘંઉ રોટલી બને પછી કપડું, ખુરશી અને રોટલી જ દેખાય છે. કપાસ, લાકડુ અને ઘંઉ ના દેખાય. એમ પરમાત્માનું જગતમાં રૂપાંતર થયા પછી પરમાત્મા ક્યાંથી દેખાય? માટે સમસ્ત વિશ્વમાં, પ્રાણીમાત્રમાં પરમાત્માનો અનુભવ કરો.

માનવી તો અખિલ બ્રહ્માંડનો એક અંશ માત્ર છે. બધુંજ ગોઠવે છે એ ચૈતન્ય સ્વરૂપ કરતાર. જરા વિચાર્યુ છે, એ કર્તા કોણ છે? માનવીનું શરીર ચાલે છે, જીવન ચાલે છે, સૂતાં-જાગતા એના શ્વાસ ચાલ્યાજ કરે છે. અરે! શરીરમાં નખ થી શીખ સુધી લોહીનું ભ્રમણ કોઇ પણ પમ્પ વગર થાય છે! ક્યારેય વિચાર્યુ છે દિવસ-રાતનું વર્તુળ, સૂર્ય ચંદ્રનું પરિભ્રમણ, તારાઓ, ગ્રહો-નક્ષત્ર અને તમામ અવકાશી પદાર્થોની ગતિ! બધુંજ સમયસર, નિયમિત, અથડાયા વગર ચાલે છે. કોનાથી ચાલે છે? કોણ ચલાવે છે? માનવી તો ઇશ્વરે સર્જેલી સમગ્ર વ્યવસ્થાનો એક ભાગ છે. એની યોજનાથી જ માનવીનાં શરીરમાં શ્વાસની આવન-જાવન ચાલ્યા કરે છે. આમ કર્તા ઇશ્વર છે. શરીર કાંઇજ કરી શકતું નથી. શરીર શું કરી શકે? જે પળે એ જીવાદોરી, શ્વાસ ખેંચી લેશે ત્યારે શરીર એક નિષ્પ્રાણ, જડ શબ બની જશે. જ્યાં સુધી શરીરમાં ચૈતન્ય હતું, માનવ પોતે કોઇના સહારા વગર પોતાનું વજન ઉપાડીને ચાલી શકતો હતો. ચૈતન્ય વગરનાં શરીરને ઉચકવા ૪ થી ૬ વ્યક્તિઓની જરૂર પડે છે. આ એક સત્ય છે અને માટેજ ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરેજ છૂટકો છે.

શરીરની આટલી જ કિંમત છે. એ સાધનરૂપ જ છે. એ પોતે કઇ કરી શકવા સમર્થ નથી. અને છતાં માનવી પોતાનાં શરીરને શક્તિશાળી માને છે. એની આળપંપાળ કરે છે. અને એ દ્વારા બધુ હું કરું છું, મારા વડે જ થાય છે અને મારી ઇચ્છા મુજબ થાય છે એવો અહમ્‍ સેવે છે. કર્તાપણાનો ભાવ ઇશ્વરથી દૂર કરે છે. કર્તા થાય એણે ભોકતા થવું જ પડે છે. ઇશ્વર કહે છે, સારું, કર્તા તું છે તો જા, તું જે કરે છે એનાં પરિણામ પણ તું ભોગવ! પછી ઇશ્વર મદદ કરવા કયાંથી આવે? એ શાંતિથી ખેલ જોયા કરે છે. આધુનિક માનવ લોજીકથી બધુ વિચારે છે. જ્યાં લોજીક આવે ત્યાં ઇશ્વરિય શક્તિ દૂર ભાગે છે. જો માનવીનું કર્યુ જ બધુ થતું હોત તો કહેવત પ્રમાણે “વૈદોનાં કદી મરત નહીં અને જોશીઓનાં રાંડત નહીં.” તેમજ ધનવાનો પર કદી આપત્તિ આવત જ નહીં. પરંતુ એવું બનતું નથી.

ચૈતન્ય શક્તિ સામે માનવ કંગાળ છે. કર્તાપણાનો ભાવ એની પાછળ બધાં દુઃખો ખેંચી લાવે છે. જ્યાં હરિ ઇચ્છા ને બળવાન માની, જ્યાં એનું ધાર્યુ બધુ સ્વીકારવાની તૈયારી બતાવી, જ્યાં ચૈતન્ય સ્વરૂપની શરણાગતિ સ્વીકારી ત્યાં મુસીબતોનો અંત આવે છે. કર્મનાં ફળ સ્વરૂપ મુસીબતો આવે તો પણ એમાંથી હસતાં હસતાં પાર ઉતરી જવાય છે. કારણ કે તારનાર અને ડૂબાડનાર બન્ને ઇશ્વર છે. માનવી કર્તા ન બને, માત્ર દ્રષ્ટા બની જાય. પોતાનાં શરીરને એક સાધન માને, ઇશ્વર ઇચ્છાને વહન કરવાનું નિમિત્ત માત્ર માને ત્યારે જીંદગી સરળ બની જાય છે. પર્વત પરથી વહેતાં ઝરણાં જેવી. વહેવાની શક્તિ ઉપરથી આવે છે. વહેવાની દિશા પણ ઉપરવાળો જ નક્કી કરે છે. કારણકે સમગ્ર સૃષ્ટિનો અને તમામ જીવ માત્રનો કરતાર માત્ર એક જ છે.

કબીરજીએ એક ઉદાહરણ આપતાં કહ્યું છે કે દળવાંની ઘંટીમાં ઘઉં દળતાં જે ઘઉં ખીલાને વળગીને રહે છે તે દાણા આખા રહે છે. અને જે છૂટાં પડે છે તે ઘંટીનાં બે પડ વચ્ચે પીસાઇને લોટ થઇ જાય છે. માનવે આ ગહન વાતને સમજવાની જરૂર છે. અર્થ ખૂબજ ઉંડો છે. માયા અને અવિદ્યા મનુષ્યને તેના આત્માથી દૂર કરે છે. આ કળિયુગમાં ઇશ્વર તત્વ સાથે પળેપળનાં અનુસંધાન માટે નામસ્મરણનું ભાગવતજીમાં ખૂબ મહત્વ સમજાવ્યું છે.

મનને અને જ્ઞાનેન્દ્રિયોને માંજીને આજને શણગારતાં શીખો. પતાંજલીનાં યોગસૂત્ર અનુસાર અષ્ટાંગ યોગનો અભ્યાસ રોજીંદા જીવનમાં અપનાવો. અને પછી સત્સંગ, ચિંતન, મનન અને આત્મદર્શનનાં અભ્યાસથી ચરણથી ચૈતન્ય સુધીની યાત્રા સરળ બની જશે. અને ચૈતન્ય સ્વરૂપનો સ્વીકાર સહજ બની જશે. પછી હું જ ચૈતન્ય છું એવા અનુભવો થવાં માંડશે. હું હું ન રહેતાં એકોહમ્‍ની અનુભૂતિ થશે. પછી જણાશે, ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે’ જે ભકત નરસિંહને દેખાતું હતું.

આ માટે સિધ્ધ સદ્‍ગુરૂની જરૂર હોય છે. જે આ યાત્રામાં અંતરનું તિમિર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને હાથ પકડીને ચૈતન્ય સ્વરૂપનું અનુસંધાન કરાવી આપે છે. સદ્‍ગુરૂની શરણાગતિનાં સથવારે ચૈતન્ય સ્વરૂપની શરણાગતિ સરળ બને છે. આ માર્ગ જેટલો દેખીતો કઠીન છે તેટલોજ આસાન છે. સિધ્ધ બનવું સંસારી માટે શક્ય નથી હોતું પરંતુ સિધ્ધતાનો કયારેક કયારેક અનુભવ યોગીક જીવનમાં શક્ય બને છે. અને તેના માટે કરવો પડે છે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર.

કલ્પના રઘુ

સુખ એટલે-(11)કુંતા શાહ

photo (10)

 

ગૌતમ બુધ્ધ્ની વાર્તા “સુખીનું પહેરણ” હૈયામાં કોરાઇ ગઇ છે.  દુનીઆમાં ખરેખર સુખી કેટલાં હશે?  બિલ ગેટ્સ, વોરન બફે, મધર ટેરેસા, જેવા ગણ્યા ગાંઠ્યા લોકો જે પોતાનું સર્વસ્વ બીજાઓને આપી દે અને આપવામાં જ ધર્મ સમઝે અને ખુશી રહે.  દુનીઆમાં કેટલાં તવંગરો, જૂના ઘરમાં રહે છે અને જૂની કાર ચલાવે છે? મધર ટેરેસા જેવા કેટલાં છે જે નિસ્વાર્થે સેવા કરે અને એ જમાનામાં લેપ્રસી ચેપી રોગ કહેવાતો, એની પણ એમણે પરવાહ કદી ના કરી. એમને પણ કદી શારીરિક વ્યથા થઇ હશે અને સગા વ્હાલા, મિત્રો જોડે મતભેદ થયા હશે, છતાં તેઓ લક્ષ્ય પર જ ધ્યાન રાખી સ્વયમ સત્ચિત્ત,આનંદ બની જીવી રહ્યા.

 

એક સાધુની વાત યાદ આવે છે.  એક યજમાને સાધુને ભિક્ષામાં ૫ રોટલા આપ્યા.  જ્યારે સાધુ ખાવા બેઠા ત્યારે એક ભુખ્યા માણસને પડી રહેલો અને કણસતો જોયો એટલે એમણે ૨ રોટલા એને ધર્યા.  પોતે ૩ આરોગ્યા.  યજમાને આ જોયું અને સાધુની પ્રમાણિકતાની પરીક્ષા લેવાનું એમને મન થયું.  યજમાને સાચુને પુછ્યુ “તમે કેટલા રોટલા ખધા?”  સાધુએ કહ્યુ “૨”.  યજમાન તો ગરમ થઇ ગયા.  “અરે! સાધુ થઇને તમે જૂઠ્ઠૂ બોલો છો?  મારી નજરે મેં જોયુ કે તમે ૩ રોટલા ખાધા.” “ભાઇ, મારા ખાધેલાને બીજી વાર ભુખ લાગે ત્યારે હું ભુલી જઇશ કે કેટલા ખાધેલા, પણ આ ગરીબ માણસ, જીવન ભર મેં એને ૨ રોટલા આપેલા એ હકિકતને યાદ રાખશે.  જેમ તમે મને ૫ આપેલા એ હું પણ કદી નહીં ભુલુ.”  આટલું કહી, સાધુ પોતાની મસ્તિમાં અલખ નિરંજન લલકારતા, રસ્તે આગળ વધ્યા.

સુખની ઓળખાણ દુઃખ, અને દુઃખની ઓળખાણ સુખ. જેમ રાત અને દિવસ, ઉન્નતી અને પડતી, ર્મિલન અને વિરહ, આકાશ અને ધરતી, પહાડ અને ખીણ.  જન્મ અને મ્રુત્યુ,  બેઉ એક બીજાના પુર્ણક.  એકલું  દુઃખ જ અનુભવ્યુ હોય તો સુખ કેવુ હશે તેની કલ્પના પણ કેવી રીતે કરાય? બેઉ સાથે જ ચાલે.  તેથી, તટસ્થ રહીએ તો આનંદમાં જ વિહારાય.

સુખ એટલે આનંદની માનસિક ઓળખાણ. કહેવાય છે કે પહેલુ સુખ તે જાતે નર્યા.  ભલે શરીરને મનની શક્તિથી કાબુમાં ઘણે અંશે રાખી શકાય પણ ૧૦૦ ટકા તો નહીં જ.  પરમ યોગીઓને પણ અનેક જાતની વ્યાધીઓથી  પિડાતા જોયા છે પરંતુ તેઓ સમઝે છે કે જેમ આ દેહ નિશ્ચિત સમય માટે મળ્યું છે તેમજ આ વેદના પણ ક્ષણભંગુર છે, અને સુખની પણ એક ઝલક માત્ર જ છે. તેથી સ્થિતપ્રન્ન જીવો સુખનો ગર્વ નથી કરતા અને દુઃખમાં વિશાદ નથી કરતા.  આપણું તન અને મન તંદુરસ્ત રાખીએ તો પરાધીન થવાનો વખત ભાગ્યે જ આવે અને સુખનું બીજું સ્વરુપ છે સ્વતંત્રતા.તમારી પાસે શું છે અને શું નથી કે તમે કયા સંજોગોમાંથી પસાર થયા છો એ તમને સુખી કે દુખી નથી બનાવતા, પરંતુ, એ વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને તમે કઇ દ્રશ્ટીએ વિચારો છો તે વિચારો ત્રાજવાંમાં તોલીને સુખ દુઃખની અનુભુતિ આપે છે.  આખરે, પોતાના મનની સમતુલા જ આપણને સુખી કરી શકે.

માગ્યા વગર જે મળે તેને જો પ્રભુની ક્રુપા માનીએ તો સુખ.  જ્યારે તમે જે વિચારતા હો તે જ તમારા કથન અને કર્તવ્યમાં આવે ત્યારે તમારી સચ્ચાઇ તમારુ પરમ સુખ બને.  બીજાની સમ્રુધ્ધી જોઇ ખુશ થાય અને પોતાની લઘુતાને પણ, સંતોષ તથા આનંદથી સ્વિકારે તે સુખી.  દરેક ક્ષણમાં જે સારું જુવે તેનો અરિસો સુખ.  પોતાની ભુલોનો સ્વિકાર કરી, માફી માંગે અને ફરી એવી ભુલો ના કરે તેની કાળજી કરે એ સ્વભાવની સરળતા અને તે સુખની ચાવી.  જ્યારે ઉન્નતીના પથ પર હોઇએ ત્યારે પણ બધા જોડે વિનમ્રતાથી વર્તવુ, કારણ, વિનમ્રતા સુખનું અણમોલ સાધન છે.

સાંભળ્યુ હશે “હસે એનુ વસે” અને “સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઇ”, ફૂટ્સ્ટેપ્સ વાંચ્યુ હશે. કેટલી સાચ્ચી વાત? બધાને પોતપોતાની સમસ્યાઓનો ભાર હોય છે.  સ્વજનો અને સાચા મિત્રોમાં વસતા પ્રભુનાં અંશ સિવાય કોઇ તમારા કપરા સમયમાં તમારો સાથ નહી દે.  દરેક ઘડીએ જે થાય છે તે સારા માટે જ થાય છે એવી શ્રધ્ધા રાખી અચાનક આવી પડેલી દુઃખદપરિસ્થીતિને પી જવાથી શિવનો અનુભવ થાય છે.

સુખના પ્રકાર ઘણા. ક્ષણિક આનંદ—એક કેંડી  મળી.

દિવસનો આનંદ — મનગમતુ ભોજન આરોગ્યુ.

અઠ્વાડીઆનો આનંદ – સરસ કાર્યક્રમ જોયો, લગ્ન થયા – નવી વહુ નવ દિવસ – અઠ્વાડીઆનો પગાર મળ્યો

મહિનાનો આનંદ – સરસ કાર્યક્રમ કર્યો,

વર્શોનાં વર્શોનો આનંદ – બાળકોની પ્રગતિ નિહાળવાનો લ્હાવો

ચિરંજીવી સમયનો આનંદ – જેને આપણે પ્રેમ આપ્યો, મદદ કરી તેઓના સ્મિતની સ્મ્રુતિ.

 

કુંતા શાહ

સુખ એટલે-(10)જયવંતીબેન પટેલ

jayvantiben” સંતોષી નર સદા સુખી ”    સુખ  એટલે સંતોષ, સ્નેહ, સરળતા, શાંતિ, સ્થિરતા, સૌમ્યતા, સુમેળ  અને સાધુતા, ક્યાંય મનની અશાંતિ ન હોય  ત્યાં સુખ.
ઘણી વખત ઘરમાં ખૂબ જાહોજલાલી હોય છતાં મન દુઃખી રહેતું હોય, તો એ જાહોજલાલી શું કામની? માણસનું મન ઉદ્પાદીયું છે, કંઈક ને કંઈક શોધી કાઢે અને તેની આડમાં દુઃખી થયા રાખે.દરેક માનવીએ મનને ખરેખર કેળવવાની જરૂરત હોય છે.  આપણને મળેલી કુદરતી શક્તિઓને આપણે  જ મર્યાદિત કરી દઈએ છીએ.  અભ્યાસથી એક માણસ અથવા મજુર પાંચ મણનો બોજો પીઠ પર નાખી ફર્લાંગ બે ફર્લાંગ જઈ શકે છે  અને આપણે દસ કીલો વજન ઉચકવાનું હોય તો થાકી જઈએ છીએ, કારેણકે આપણે શરીર પાસેથી, એ રીતનું કામ નથી લીધુ,  પણ તેની પાસેથી કામ લેવા માંડીએ તો એ ચોકકસ કરી શકે.  શરીરનું છે તેવું મનનું છે, બુદ્ધિનું છે, ચિતનું છે, ઇન્દ્રીઓનું છે. એક વિદ્યાર્થી સિનેમાના ઘણાં બધા ગીત યાદ રાખી શકે છે,  પરંતુ પાઠ્યપુસ્તકની કવિતાઓ  કે સંતોના પદો, પ્રાથનાઓ, શ્લોકો યાદ રહેતા નથી, કારણકે તે માટે જે ઊત્સાહ, ખંત, લગન જોઈએ તે તેની પાસે નથી  – તેને તેમાં રસ નથી,  એની શક્તિને એવે માર્ગે વાળવાનો તેને દૃઢ ભાવ થતો નથી કે જે માર્ગ તેને શાંતિ, આનંદ, સંતોષ, અને સ્થિરતા આપી શકે,  જીવનને  સુખી બનાવવું હોય તો આટલી વસ્તુ જરૂર કેળવવી પડે.

એક નાની વાત કહું!   એક ભાઈએ માનતા રાખી અને તે પૂરી કરવા અમુક ભૂખ્યા ગરીબ લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ – મીઠાઈ વાળાની દુકાનેથી બુંદીના લાડુ અને ગાઠિયાના 51 પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડયો. થોડાંક પડીકાં રસ્તામાં આવતાં જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણકે ત્યાં અથવા મંદિર પાસે વધારે ભીખારીઓ મળી રહે. ત્યાં લારીઓની થોડેક દુર એક ભિખારણ બે નાના છોકરાઓને લઈને બેઠી હતી. પેલા ભાઈએ તેની નજીક જઈ વ્યક્તિ  દીઠ એક એક એમ ત્રણ પડીકા આપ્યાં અને ચાલવા માંડયું  એટલે પેલી બાઈએ બૂમ પાડી,” ઓ સાહેબ, અરે ઓ શેઠ, ઊભા રહો “પાસે આવીને તેને કહે, કે સાહેબ, તમે ત્રણ જણના ત્રણ પડીકાં આપ્યા, પણ આ મારો નાનકો તો હજુ સાત મહિનાનો થ્યો છે,  ઈ કેમનો ખાઈ શકવાનો? લો આ એક પડીકુ પાછું લઇ જાવ,  કોઈ બિચારા ભૂખ્યાને કામ લાગશે .પેલા ભાઈની આંખમાં આસું આવી ગયા  – કેટલી ઈમાનદારી!  છતાં તેની પરીક્ષા કરવા પૂછયું, ” જો આ પડીકુ તે તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત,  સાંજે તું શું ખાઇશ ?  છોકરાને શું ખવડાવીશ ?તેણે હાથ જોડી જે જવાબ આપ્યો, તે સાંભળીને તેના ચરણસ્પર્શ  કરવાનું મન થઇ જાઇ. તેણે કહ્યું કે શેઠ, સાંજની  કે કાલની ચિંતા કરવાનું કામ મારું નથી, ઉપરવાળાનું  છે. તે જે આપે છે તેટલુંજ  મારું છે. જો મારા નસીબમાં હશે તો, અહીંજ ઝાડ  નીચે બેઠાં  બેઠાં પણ, તમારા જેવા કોઈ ગાડીવાળાને નિમિત બનાવીને પણ અમારું પેટ ભરસે, પણ તે માટે હું બેઈમાની તો નહિજ કરૂ. મારા નસીબનું હશે તેટલું  જ મને મળશે, નહિતર તમે આપેલું આ પડીકું પણ કોઈ કુતરું કે કાગડો આવીને ખુચવી જશે.

કેટલો સંતોષ !.

આને સાચું સુખ કહેવાય –  પ્રમાણિકતા, દીર્ધ સંતોષ  અને ભગવાન પર પૂરી શ્રદ્ધા  – સુખી થવાની ચાવી છે.

જયવંતીબેન  પટેલ

વરિષ્ઠ નાગરિકનુ સુખ તે જાતે નર્યા (5) તરુલતા મહેતા

  photo-1-e1399487161796સુખનું સરનામું આપો
સુખનું સરનામું હાસ્ય ,સૌ મિત્રોએ વરિષ્ઠ નાગરિકને સુખી થવા માટેની અતિ ઉપયોગી થેરાપી દર્શાવી ,પહેલું   સુખ તે તન (મન) નિરોગી સો ટકા સાચી થેરાપી,મને મનમાં વિચાર આવેલો કે કેટલાક માણસોને શરીરના રોગ હોય તો ય હસતા હોય છે.સૌથી જાણીતા હાસ્ય લેખક જ્યોતિન્દ્ર  દવે શરીરના ખૂબ નબળા હતા ,એમને શરીરની જાતજાતની ઉપાધિઓ હતી.
પણ ઉત્તમ હાસ્ય લેખક હતા,તક મળે એમના લેખો વાંચશો તો તબિયત સુધરી જવાની ગેરંટી  .ભગવતીકુમાર શર્માને હું આત્મીયયતાથી જાણું છુ ,એમની નબળી આંખો અને નાજુક તબિયત છતાં ‘નિર્લેપ’ની કોલમમાં ‘ગુજરાત મિત્રમાં કટાક્ષયુકત હાસ્યથી લોકોને હસાવે છે વિનોદ ભટ . રઈશ મણીયાર અશોક દવે ,રવીન્દ્ર પારેખ વગરેના હાસ્ય લેખો વાંચવાથી અને ,કોમેડી સીરીયલો જોવાથી દિન પ્રતિદિન ટામેટા જેવાં લાલ ગાલ થાય છે. બીજા કેટલાક જાણીતા માણસો બીજાને હસાવે પણ મનથી રોગી હોય પોતાના જીવનના દુઃખને સહન કરી શકતા નથી.
તાજેતરમાં રોબીન વિલ્યમ્સના કરુણ અંતની વાત આપણે સૌ જાણીએ છીએ.એટલા માટે મેં તનની સાથે મન શબ્દ મૂક્યો છે.હસવાથી શરીર અને મન બન્ને પુષ્પની જેમ ખીલે છે.આપણી ભાષાનો ‘ફુલ ‘શબ્દ જો હું વાપરું તો તમને જરૂર થાય કે અમથા હસવાની વાત કરનાર પોતે  ફૂલ ( fool) છે,અને વાચકને ફૂલ બનાવે છે,સન્નારીઓ અને સજ્જનો હસીને ,કારણ વગર હસવાથી ફૂલ જેવા હળવા થઈ જવાય.
પ્રજ્ઞાબેનનો ‘અરર ‘હાસ્ય લેખ વાંચી હસો કે કલ્પનાબેનની ‘અરર ‘ ભગવાન ઉપરની પેરોડી વાંચી હસો તબિયત સુધરશે  .મેં હાસ્યની ક્લબ જોઈ ,કારણ વિના  હસીને લોકો નીરોગી રહે છે.હાસ્યની થેરાપી ખાસ કરીને  સિનયર માટે અકસીર છે.કારણકે આપણે વડીલ એટલે આપણને હસતાં જોઈ કુટુંબીજનોને શાંતિ ,કોઈ કહેશે ગાંડા ગણે ,ડાગળી ચસકી ગઈ માને તો ! હોટેલના રૂમની બહાર ડોન્ટ ડીસ્ટર્બ નું બોર્ડ લટકાવી દેવાય તેવું કરવાનું અથવા ‘હાસ્યનું સેસન ચાલે છે,’ એવું બોર્ડ લટકાવી દેવાનું ,બગીચામાં બે ચાર મિત્રો ભેગા થઈને હસવાનો પ્રોગામ કરતા હો તો બોર્ડ માદળિયાની જેમ ગળે લટકાવી દેવાનું,
જો ધણા બધાં ભેગા થઈ એલીઝાબેથ લેકના ગાર્ડનમાં હાસ્યની પિકનીક કરતા હો તો રોડ કન્સ્ટ્રકશન ચાલતું હોય ત્યારે ઓરેજ કલરનું બોર્ડ હોય છે,તેવું ‘લાફીગ ક્લબ’નું બોર્ડ રાખવું ,લોકો ભલે સ્લો મોશનમાં જતા તમારે’ હાય સ્પીડ’માં હસતા રહેવાનું  .આ કાઈ નવી થેરાપી નથી ,ઠેર ઠેર હાસ્ય ક્લબો ચાલે છે,મેમ્બર હો તો અભિનન્દન,નવા મેમ્બર હોશથી આવકારવામાં આવે છે.મને લાફીગ કલબના મેમ્બર થવાની તક કેવી રીતે મળી તેની વાત કરું   .

તાજેતરમાં ભારત ગયેલી.શિયાળાના દિવસો હતા ,સવારે અમદાવાદના લોં ગાર્ડનના વિસ્તારમાં ફરતા બગીચામાં ગઈ, મોટાભાગના જેમાં સીન્યર હતાં તેવું  એક ગ્રુપ પવનમાં ડોલતાં વુક્ષોની જેમ હસી હસીને ઝૂમતા હતા,અરે,કેટલાક તો હસતાં હસતાં બેવડા વળી જતાં હતાં,’હો હો આહા આહાહા ‘,એવા હાસ્યના પડધાથી બગીચામાં આનંદની રેલમછેલ થતી,પછી તો એ  હાસ્ય સંગીતમાં બગીચામાં ફરતા કેટલાય લોકો આપમેળે જોડાયા, સૌ પોતાનો સૂર દિલખોલીને હાસ્યથી પૂરાવતા હતા.હું અનાયાસે એમાં જોડાઈ ગઈ,બસ પછી તો ખુલ્લા મોએ ,ખિલખિલાટ ,આંખમાં પાણી આવી જાય ,એવું  હા,હા,હા હાસ્યનો સાગર મોજાં છલકાવતો રહ્યો,કલાકેક હાસ્યમાં તરબોળ સૌએ હસતા હસતા વિદાય લીધી.હાસ્યની એ ક્લબ હતી ,એમાં જોડાવાનું ફ્રી અને ઢગલાબંધ હસવાનું ફ્રી ,હાસ્ય કલબના નિર્માતા એક ડોક્ટર હતા ,એઓ સિનયર હોવા છતાં યુવાનની જેમ દોડત્તા અને હસતા હતા.તમને થશે શું હાસ્ય વુદ્ધ હોઈ શકે ! હા.,ખોખલું કે માંદલું હાસ્ય, તે ફાટેલા જૂના પહેરણ જેવું ,પ્યાલાબરણીવાળી મો બગાડી ફેકી દે,અમેરિકામાં સીધું ગારબેજમાં પધરાવવાનું, પણ  બોખા મોએ નિર્દોષ બાળક જેવું હસતાં દાદા દાદીને જોઈ ફોટો પાડી લેવાનું મન થાય.લો ,હવે તો આઈ ફોન હાથમાં જ છે.સૌ ગ્રાંડ પેરેન્ટ્સ જલેબી ફાફડા ખાતા હોઈએ તેવું હસીએ  .અમદાવાદના એ ડોક્ટર ધૂમ કમાણી કરતા હતા.ડોક્ટર હતા એટલે નિરોગી રહેવાની દવાઓ પોતાના જ  પ્રિસ્ક્રીપ્શનથી લેતા હતા,પણ એક છુપા ચોર જેવા  ટેન્શન નામના  રોગે  સ્ટ્રોક આપીને એમને હોસ્પિટલ ભેગા કરી દીધા ,હોસ્પીટલમાં એમના એક  રમુજી મિત્ર જોક્સ કહેતા,ડોક્ટરને હસવું આવતું ,સારું ફિલ થતું,પહેલાં પ્રેકટીસમાં બીઝી હતા ત્યારે તેમને જોક્સ સાંભળવાનો ટાઇમ નહોતો,હોસ્પિટલમાં જોક્સ સાભળીને એમનું મન હળવું થઈ જતું  ,નર્સ આવીને બી.પી.માપતી ત્યારે નોર્મલ આવતું.ડોક્ટરને સમજાઈ ગયું કે આ ચમત્કાર હાસ્યનો જ છે.એમને  જોક્સ વાચવા,કોમેડી શો જોવા ,કોમેડી મુવી જોવાનો શોખ લાગ્યો। હસવા અને હસાવવા માટે લાફીગ ક્લબ બનાવી ,છેલ્લા દસ વર્ષથી લાફીગ ક્લબ ચાલે છે.વકીલો ,ડોકટરો ,બીઝનેસ કરનારા સ્ત્રીઓ પુરુષો ,નાના ,મોટા સોં કોઈ હસી હસીને રોગને ભગાડે છે.અમદાવાદમાં હતી ત્યાં સુધી મેં હસવાનો લાભ લીઘો હતો.ધરમાં ભાઈ ભાભી બધાને હસવાનો ચેપ લાગેલો ,ભાભી ,ભાઈ સવારે બગીચામાં લાફીગ ક્લબમાં આવી શકતા નહિ સાંજે નિરાંતે અમે લાફીગ સેશન રાખતાં ,બહાર ડોર ઉપર બોર્ડ લટકાવેલું નહિ ,ડોર બેલની સ્વીચ ઓફ કરી દીધેલી ,તે દિવસે એવું બન્ત્યું કે અમારા કરસનમાસા વઢવાણથી નોટીસ વગર મળવા આવેલા।બહારથી ડોર બેલનું બટન દબાવ્યા કરે ,અમારું હાસ્યનું સેશન અંદરના બેડ રૂમમાં ‘હા હા હીહી ‘એમ પુર જોશમાં ચાલતું હતું,’હસો રે હસો ,મીટ જાએ ગમ ‘,અમે હસવામાં જાતને ભૂલી ગયાં હતાં ,દુનિયાનું  દુખ ભૂલી ગયાં હતાં ,બહાર કરસનમાસા રાહ જોઇને થાકી ગયા ,ઘરના કકળાટથી કંટાળી કરસનમાસા બે ઘડી બેસવા અમદાવાદ અમારે ત્યાં આવેલા ,કેટલીક વાર એમની બે ઘડી બે દિવસ ચાલતી ,છેવટે એમની ધીરજનો  અંત આવ્યો ,નીચે જઈ ચોકીદારને કહે સાત નમ્બરમાં મારો ભાણો બહાર ગયો નથી ,એની ગાડી છે,તો બારણું કેમ ખોલતા નથી.ચોકીદારે  ઉપર આવી ડોર બેલ રણકાવ્યો ,અમારું હાસ્યનું સેશન પૂરું થયું હતું।બારણું ખોલ્યું તો કરસનમાસાનો કાળી શાહી પડી હોય તેવો દુઃખી દુઃખી ચહેરો જોયો,અમે તો હાસ્યની મદીરા પીને ડોલતા હતા.માસા મો ચઢાવી સોફામાં ઉભડક બેઠા,અગ્નિમાંથી ધૂમાડો નીકળે તેમ બોલ્યા ,’ઘરનાને કે સગાંને કોઈને મારી પડી નથી ,આ હું કાંકરિયામાં ડૂબકી મારવા ચાલ્યો ,’પણ ગયા નહિ ,ચા નાસ્તો આરોગી ઠંડા થયા.તેમણે પૂછ્યું ,’આજે તમે બધા ‘ખી ખી ‘હસ્યા કેમ કરો છો! ભાંગ વાટી હોય તો મનેય પરસાદી આપો ,’ અમે કરસનમાસાને લાફીગ ક્લબનું સરનામું આપ્યું ,એમની તબિયત સુધરી ગઈ ,વઢવાણ માસીને મળવા ઉપડી ગયા.હાસ્ય એન્ટાઈઓક્સી ડનટ છે.દુઃખના વાયરસને ભગાડે છે.એની સાઇડ ઈફેક્ટ જાણમાં નથી ,એનો ડોઝ પોતાની મેળે નક્કી કરવાનો ,સવાર ,સાંજ લઈ શકાય ,ધરના સાથે ,મિત્રો સાથે ગમે ત્યારે છુટથી લેવાય,તમારા  હિસાબે ને જોખમે,

‘સુખને નાની ક્ષણમાં જીવો ,શાને માણસ એને ગોતે? જેનું સરનામું એ પોતે ‘

(હસવામાં કવિનું નામ ભૂલાય ગયું છે.)

મિત્રો હાસ્ય થેરાપી પછી મારી તબિયત ઘોડી જેવી (મર્દ હો તો ઘોડા જેવી) થઈ ગઈ છે,હું થનગનાટ કરતી પનામા ક્રુઝ માં ઉપડું છુ ,તમને હાસ્યના સંદેશા મોકલીશ.

તરુલતા મહેતા 20મી સપ્ટેમ્બર 2014.

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર-(3)હેમાબેન પટેલ

photo 2

આ બહુજ ઘહેરો વિષય છે, તેમાં ઉંડું તત્વચિંતન સમાયેલું છે અને તેને સમજવું આસાન કામ નથી.છતાં પણ આપણે સૌ સિનીયર માટે ઈન્ટ્રેસ્ટીંગ વિષય છે.કારણ આપણે એવા પડાવ પર આવીને ઉભા છીએ જ્યાં ચિંતનની ખુબજ જરૂર છે.દરેકે આગળનુ ભાથુ તૈયાર કરીને રાખવું પડે છે.આખી જીંદગી પરિવાર પાછળ વ્યસ્ત રહ્યા હોઈએ.,ઈશ્વર માટે બહુ સમય ન મળ્યો હોય એટલે મોટા ભાગના લોકો ઘડપણમાં ભગવાનને યાદ કરે પરંતું આ ખોટુ છે. ઈશ્વર ચિંતન માટે આપણો એક જન્મ ઓછો પડે. કેટલા જન્મોથી તેને ભજતા આવીએ ત્યારે અનેક જન્મના ઈશ્વર ચિંતન પછીથી આપણો ઉધ્ધાર થાય.જન્મ-મૃત્યુના ચક્ક્રરમાંથી નિકળવું હોય તો આ વિષયને સમજવો બહુજ જરૂર છે.

આપણે સૌ દુનિયાની પંચાત કરવામાં રચ્યા પચ્યા રહેતા હોઈએ છીએ, ક્યારેય આપણી પોતાની અંદર ઝાંખવાનો પ્રયત્ન પણ નથી કરતા. પરંતું જો એક વખત પણ આપણી જાતને સવાલ કરીએ હું કોણ છું ? તો આપણી અંદર જે છે તેની ખોજ ચાલુ થઈ જશે.ચૈતન્ય સ્વરુપને સમજવા માટે આપણી જાતને ઢંઢોરવી પડે.

( ચૈતન્ય સ્વરૂપ આત્મા અને પરર્માત્મા છે.જો ચૈતન્ય સ્વરૂપનો પુર્ણ પણે સ્વિકાર કરવામાં આવે તો જ પરમતત્વને પામી શકાય )

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર એટલે સ્વને જાણવું, સ્વને માણવું, સ્વની સ્વભાવિક શુધ્ધ નિર્મલ દશા, સ્ફટિક જેવી સ્વચ્છ –નિર્મળ- અવિકારી સ્વરૂપનો અનુભવ કરવો. પૂર્ણ, નિત્ય,નિર્લેપ,સત-ચિત-આનંદ સ્વરૂપને સમજવું. સ્વમાં સ્થિર થઈને સ્વમાં સમાઈને નિજાનંદનો અનુભવ કરવો. હું ચૈતન્ય દ્રવ્ય સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મા મારે મારું દર્શન કરવું છે. ‘હું આત્મા છું’ એ પોતાના સ્વરૂપને અનુભવીને પૂર્ણ પણે તેના સ્વિકાર ભાવમાં રહેવું.

પુરા બ્રમ્હાંડમાં પરમાત્મા અને આત્મા બે ચૈતન્ય સ્વરૂપ છે. બાકી બધું જ એક માયા અને નાશવંત છે.પરમાત્માએ માયાથી સૃષ્ટિ ઉભી કરી, માટે આપણને જે ભાસે છે તે માયામય હોવાથી આ જગતમાં આપણી આંખોએ જે દેખાય છે તે સર્વ નાશવંત છે. જે જોઈએ છીએ તે તદન ખોટું, અસત્ય, એક ભ્રમ છે, છતાં તેની આશક્તિમાં આપણે જીવીએ છીએ.જેનો નાશ છે તે જડ ગણાય. જે વસ્તુ આપણે આપણી આંખોથી નથી જોઈ શકતા તે આપણો આત્મા અને પરમાત્મા છે. આત્મા પોતાના મૂળભુત સ્વરૂપમાં શાંત હોવાથી એ શાંતિની પ્રાપ્તિ અર્થે નિત્ય નિરંતર આત્માનુ જ ચિંતન, આ શાંત સ્વરૂપનુ ચિંતન કરીને સ્વમાં સમાઈ જઈ, સ્વમાં એકરાર થઈને જ અનુભુતિ થાય ‘ હું આત્મા છું‘. આત્માને કોઈ રૂપ નથી.આત્માની સુષુપ્તિ-સમાધી અવસ્થા ને કારણ તેની પ્રતિતી થતી નથી. અજ્ઞાનને કારણ પંચમહાભુતથી બનેલ આપણુ આ સ્થુલ શરીર તેને જ સત્ય માની લીધું છે,.અંદર બેઠેલ આત્માને આપણે ઓળખી નથી શક્યા. જે અસલ સ્વરુપ છે તેને જાણવુ, સમજવું બહુ કઠીન છે.આ નાશવંત સ્થુલ શરીરને સર્વસ્વ માનીને ભ્રમમાં જીવીએ છીએ, તેને કારણ હું સ્ત્રી છું કોઈની દિકરી, બહેન, માસી ભાભી છું એમ માનીને બેઠા.મનની અંદર જે ‘હું’ બેઠેલ છે તેને કાઢવાની જરૂર છે. અજ્ઞાન દુર થાય અને જ્ઞાન થાય ત્યારે તેનો ભ્રમ દુર થઈને  હકીકતમાં તો હું આત્મા છું એમ સમજાય ત્યારે હુ આત્મા મારુ ચૈતન્ય સ્વરૂપ આ મારી પહેચાન છે.

જ્યારે સ્વની ચેતનાનો અનુભવ થાય ત્યારે આત્મશાક્ષાત્કાર થાય.શ્રવણ-મનન તથા નિદિધ્યાસાન એ ત્રણ આત્મશાક્ષાત્કાર થવાના સાધન છે.આત્મશાક્ષાત્કાર એ મોક્ષ મેળવવાનુ મુખ્ય સાધન છે.અને આ બધું  શક્ય છે બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે થી વેદાંતનુ જ્ઞાન મળે ત્યારે.

‘ શ્રવણ મનન નિદિધ્યાસ કરી, કરીએ શાક્ષાત્કાર

સચ્ચિદાનંદ પરબ્રહ્મ હું , કહે છે વેદ પુકાર ‘

હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એ માનવું અને સમજવું સહેલું છે પરંતું તેની અનુભુતિ કરવી કઠીન કામ છે.તેને માટે ધ્યાન-યોગ સાધનાથી શુધ્ધાત્માનુ ચિંતનથી આપણા મનને તૈયાર કરવું પડે.જ્યારે મન માને આ સ્થુલ શરીર એ હુ નથી ‘હું આત્મા છું’.મનની અંદર અનેક તર્ક વિતર્ક હોય પરંતુ તેની નિવૃતિ થઈને મન મક્કમ થાય ત્યારે આત્મ સ્વરૂપને સમજી શકીએ. આ વસ્તુ યાજ્ઞવલક્ય ૠષિએ ઉપનિષદમાં વેદાંતની અંદર સમજાવ્યું છે. તેનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આત્મા શું છે એ સરળ રીતે સમજાય. વેદાંતમાં સ્થુલ શરીર અને આત્મા વચ્ચેનો તફાવત બંને વચ્ચેનો ભેદ  સમજાવ્યો છે. માટે જ વેદાંતનો અભ્યાસ, શ્રવણ તેનુ મનન કરી જ્ઞાન પ્રાપ્ત થયા વીના આત્માને બરોબર ન ઓળખી શકીએ.આપણા ચૈતન્ય સ્વરૂપને ઓળખવા માટે,જાણવા માટે વેદાંતનો અભ્યાસ બહુજ જરૂરી છે. વેદાંતમાં પંચીકરણના સિધ્ધાંત દર્શાવ્યા છે, જે આત્માને અને સ્થુલ શરીર વચ્ચેનુ અંતર સમજાવે છે.આત્માને ઓળખીએ તો જ પરમ તત્વની પ્રાપ્તિ થાય.

પોતાનુ સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ આત્મ સ્વરૂપને જાણવા માટે, સમજવા માટે તેની અનુભુતિ કરવા માટે જાતેજ પ્રયત્ન કરવો પડે. ગુરુ અને ગ્રંથો જ્ઞાન આપીને માર્ગ દર્શન કરાવે, ચૈતન્ય સ્વરૂપનુ જ્ઞાન આપે તેનો સ્વિકાર આપણે જ કરવો પડે.આત્મ જ્ઞાન બીજા પાસેથી મળી શકે પરંતું મન નિર્વિકલ્પ બનાવી મક્કમ કરીને તેનો શાક્ષાત્કાર-અનુભુતિ જાતે કરવી પડે છે. બીજુ  કોઈ ન કરાવી શકે.

जीसको नही है बोध तो गुरु ज्ञान क्या करे ?

नीज रूपको जाना नही पुरान क्या करे ?

આપણે સૌ જાણીએ છીએ હજારો વર્ષ પહેલાં આ પરમ તત્વની પ્રાપ્તિ માટે ૠષિમુનીઓ વર્ષો તપસ્યા કરતા હતા.આપણું ચૈતન્ય સ્વરૂપ સહજ રીતે ન સમજાય, તેના માટે એકાગ્રતાથી કઠીન સાધનાની જરૂર છે.આ માનવ દેહ મહા મુલ્યવાન છે, જેના થકી પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે. પરમ તત્વની પ્રાપ્તિ પછીથી કંઈજ બાકી નથી રહેતું, પૂર્ણતા આવી ગઈ.

                                ૐ पूर्णमदः पूर्णमिदं पूर्णात पूर्णमुदच्यते

                          पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते

                                અર્થાત

                              પૂર્ણ છે તે , પૂર્ણ છે આ ,પૂર્ણમાંથી પૂર્ણ ઉદ્ભવ્યું

                               પૂર્ણનુ પૂર્ણ ગ્રહી લેતાં પૂર્ણ જ બાકી રહી ગયું.

 

હેમાબેન પટેલ

 

ચેતન્ય સ્વરૂપનો પર્ણ પણે સ્વીકાર – (2)તરુલતા મહેતા

photo-1-e1399487161796ચર-અચર સહિત સમગ્ર જગતમાં અજરા અમર ચેતન્ય સ્વરપે જે વિલસી રહ્યું છે તેનો સ્વીકાર,પૂર્ણ સ્વીકાર કોણ અને ક્યારે કરી શકે?વિનાશી તત્વોમાં માનવનો પણ સમાવેશ થાય છે.વિનાશી મર્યાદિત સમયમાં નાશ પામે છે.પણ જગતના પ્રત્યેક તત્વમાં ચેતન્યનો  અંશ રહેલો છે સમગ્ર જીવસમુદાયમાં એક માત્ર મનુષ્ય ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરવાની ક્ષમતા ધરાવે છે.એટલે જ મનુષ્ય અવતાર મહામુલો માનવો .મનુષ્ય પોતામાં રહેલા ચેતન્યઅંશને શ્રધા,ઝંખના ,પ્રયત્ન ,સાધના ,તપસ્યા ,ભક્તિ કે જ્ઞાન દ્રારા સિદ્ધ કરવા ચાહે છે.કોઈ પણ વાત કે વસ્તુનો  પૂર્ણ સ્વીકાર જેનામાં અહંકાર અને મમતા છે તે કદાપી ન કરી શકે ,જેને ભય છે,સતત મુત્યુનો ડર છે,તે સ્વીકાર કરી શકતો નથી.મનુષ્ય સ્વમાં ચેતન્ય અંશની પ્રતીતિ કરે તો અનંત ,અમર ,સત્ય અને આનંદરૂપ પરમ ચેતન્ય સ્વરૂપનો સ્વીકાર થાય છે.બધા ભેદભાવો ઓગળી જાય ,જીવમાંથી શિવ બને.

જેનધર્મની પરંપરામાં તીર્થંકરોને ચેતન્યસ્વરૂપ સિધ્ધ થયું હતું.ચેતન્યસ્વરૂપનો સ્વીકાર એટલે પોતાના અહં ,મન,ધનનો નિશેષ -પૂર્ણપણે ત્યાગ શરીર પુદગલ બની જાય,આ માર્ગ અત્યંત કઠીન અને દુર્ગમ છે.સામન્ય માનવો ધર્મની પરંપરાને અનુસરે છે,કેટલાક શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરે છે,કોઈક જ્ઞાન મેળવવા શ્રમ કરે છે.વિરલાઓ તપસ્યા અને ત્યાગ કરે છે.

ચેતન્યરૂપનો પૂર્ણપણે સ્વીકાર એટલે સંપૂર્ણપણે તેને આઘીન,પછી તો સુખ દુઃખ ,મારું તારું ,ગમા અણગમા ,જીવન  કે મુત્યુ સો સમાન થઈ જાય છે.નાનપણમાં બાળક સહજપણે માનો પૂર્ણપણે સ્વીકાર કરે છે.કુદરતની એવી રીત છે.મા બાળકને પ્રેમ કરે ,વઢે ,શિક્ષા કરે ,ખવડાવે કે ભૂખ્યો રાખે, તે માને આધીન છે.પણ આપણે જાણીએ છીએ મા સદેવ બાળકને સાચવે

છે.ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરનાર અભય અને ત્રણે કાળથી પર છે. સ્વયમ સુખનું ધામ છે.સ્વયમ જ્યોતિરૂપ છે.આ જગતના ક્ષણિક સુખ દુઃખ સાથે કઇ લેવાદેવા નથી.

અંદરથી જાગ્રત માણસને જીવનના કોઈ સંજોગોમાં સંસારના ભોતિક સુખો ,સામાજિક દુઃખો કે પોતાની જ આધિ વ્યાધિ પ્રત્યે નિર્વેદ આવી જાય છે.સંસારની સૌ ચીજોને ક્ષય પામતી જોઈ પોતાના દેહની નશ્વર સ્થિતિ સમજે છે.એનામાં ચેતન્ય સ્વરૂપનો અહેસાસ કરવાની તરસ ,ઝંખના અગ્નિ રૂપે જલે છે.એની ભૂખ તરસ બધ્ધું અગ્નિમાં  હોમાતું જાય છે.એ હમેશા જાગ્રત રહે છે.એક પળનો પ્રમાદ કે બગાડ તે કરતો નથી.ઋષિ મુનીઓ યજ્ઞ  તેમની તપસ્યાના સંકેતરૂપે કરતા હતા ,યજ્ઞના અગ્નિમાં ‘હોમ  સ્વાહા  ‘ના મંત્રોથી દેહની વાસનાઓ મનના પ્રમાદને આહુતિ રૂપે હોમી દેતા,પછીના સમયમાં યજ્ઞના નામે ઘણા અનિષ્ટો આવ્યાં એ સમાજની અંધશ્રધ્ધા બતાવે છે.હરપળ જાગ્રત અને સંયમી ચેતન્ય સ્વરૂપના પૂર્ણ સ્વીકારથી  માનવ જન્મને સાર્થક કરે છે.

મારા  પ્રશ્ન ,દ્વિધા,શંકા આશંકા ચેતન્ય સ્વરૂપના પૂર્ણ પણે સ્વીકારના માર્ગે કાંટા પાથરે છે. તથા જગતનાં દુષ્ટ તત્વોની લીલા મારી શ્રધાને ટેરરીસ્ટ એટેકની જેમ ડગમગાવી નાખે છે’.ગીતા’માં અર્જુનને મહાભારતની યુધ્ધભૂમિમાં નિર્વેદ ઉપજે છે,શ્રી કુષ્ણ એના રથના સારથી ઉપરાંત એના જીવન રથને ધર્મ અને સત્યના માર્ગે દોરનાર છે.અર્જુનના પ્રશ્નોના જવાબ શ્રી હરિ આપે છે,જ્ઞાન ,કર્મ અને ભક્તિ યોગથી ‘ન હન્ય્તે હન્યમાને શરીરે ‘એવા પરમાત્મ સ્વરૂપને પામવાનો માર્ગ બતાવે છે.વાસ્તવમાં એ ત્રણમાંથી કોઈ પણ રસ્તો ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર કરાવી શકે,પણ કેવી કરામતથી આ મોહ માયામાં વળગી ગયેલા જીવને ,માથે લટકતી જરા મુત્યુના ભયની તલવારથી મુક્ત કરાય? ‘કાંટો કાંટાને કાઢે ‘ વિરલાઓ જીવનને  અંતિમ છેડા  જેવું પૂરી તાકાતથી જીવી જાણે છે,નિર્ભય અને વિરક્ત ,જેણે જીવનમાં સર્વત્ર ભયને જીતી લીધો છે,તેઓ ‘માહી પડ્યા તે મહાસુખ માણે ,દેખનહારા દાઝે જો ને ‘ સ્થિતિમાં હોય છે,નરસિહ ,મીરાં તો આપણા લાડીલા નામો છે.સમગ્ર ભારતમાં અને જગતભરમાં સંતોએ  ચેતન્ય સ્વરૂપના પૂર્ણ સ્વીકારથી આત્માનું અને સમાજનું કલ્યાણ કર્યું છે,અને કરી રહ્યા છે.કોલસામાંથી હીરો પારખે તેને આજના જમાનામાં પણ સાચા સંત કે ગુરુ મળી શકે છે.ચેતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર કરનાર સમગ્ર જગતના સૂક્ષ્મ કે સ્થૂળ તત્વોને સમાન નજરે જુએ છે,જલક્મલવત રહે છે.શ્રી રામકૃષ્ણ પરમહંસ ,સાઈબાબા જેવા સંતોને કૂતરામાં ભગવાનનાં દેખાતા હતા.મારી પામર બુદ્ધિ મને કહે છે,જીવનમાં જેનું વળગણ હોય ,જેને ગુમાવી દેવાનો ભય હોય ,તેને આપમેળે ધીરે ધીરે છોડવાથી  જગતમાં વ્યાપ્ત ચેતન્ય સ્વરૂપના સ્વીકાર તરફની બારી ખૂલે ,મારાપણાના કોમ્ફોર્ટ ઝોનમાં રહેવાની

આદતમાં બધી જ બારીઓ બંધ કરી દેવાથી ચેતન્ય સ્વરૂપના સ્વીકારની બધી જ શક્યતાઓ ઉપર પડદો પડી જાય છે.

મારો એક સામાન્ય અનુભવ કહું ,નાનપણથી મને નદી તળાવના પાણીમાં જવાનો જાન નીકળી જાય તેવો ડર લાગતો,દરિયાનું આકર્ષણ ખૂબ પણ ઉછળતા મોજામાં પલળવાની હિમત નહી.પાણીમાં તરવું એ મારી કલ્પનામાં પણ ન

વિચારું ,પછી બન્યું એવું કે બેકની ઇન્જરીથી કેડનો દુઃખાવો ધર ઘાલી ગયો ,સર્જરી કરવાની નોબત આવી,સર્જરીનો અતિશય ડર લાગે,ડોકટરે બીજો ઓફ્સન કહ્યો,પાણીમાં કસરત કરો અને ધીરે ધીરે સ્વીમીગ કરો,સારું થશે.મારા મોતિયા મરી ગયા ,પાણીમાં પડવાની તો મરવા જેટલી બીક લાગે,બીજી બાજુ સર્જરીની બીક,છેવટે મેં પાણીમાં જવાના ડરને સ્વીકાર્યો ,સ્વીમીગપૂલના પાણીમાં  થોડું તરવાની હિમત આવી ત્યારે કેડનો દુઃખાવો ઓછો થયો,પાણીમાં મળતા નિર્દોષ આનંદની દુનિયાના બારણા મારે માટે ખૂલી ગયાં ,હવે સાગર -મહાસાગરને કિનારે ખૂલ્લા પગે દોડતી દૂરથી આવતા પિતાને બાળકી ભેટી પડે તેમ સાગરના મોજાને ભેટી પડું છું ખારા પાણીના હેલારા મારી વય ,વસ્ત્રોને ધોઈ નાંખે છે.બદલામાં આનંદના મહામૂલા મોતી મળે છે.હું વિચ્રારું છુ પાણીનો સાગર એમાં ભીજાવાથી આવો  આનંદ આપે છે તો કાલાતીત ચેતન્ય સ્વરૂપના મહાસાગરનો પૂર્ણ પણે સ્વીકારનો અનુભવાન્દ કેટલો અદભુત હશે! દુનિયાના બધા આનંદો છેવટે ક્ષણિક હોય છે,આ ક્ષણિકના કોચલમાથી બહાર આવી   સદેવ વિરાજમાન ચેતન્ય સ્વરૂપના પૂર્ણપણે સ્વીકારનો માર્ગ મનુષ્યજીવનની સાર્થકતા માનવી.

એક પ્રાર્થના સાથે મારી કલમને વિરમું છુ  .

પૂર્ણમદ:પૂર્ણમિદમ પૂ ર્ણાતપૂર્ણમુ દ્ચ્ય્તે

પૂર્ણસ્ય પૂર્ણમાંદાય પૂર્ણમેવાવશીશ્ય્તે :

તરુલતા મહેતા 16 સપ્ટેમ્બર 2014

તા.ક.વિચારવા માટે ,મંથન કરવા કાજે અને વ્યક્તિગત જીવનને કસી જોવા માટે ‘ચેતન્ય સ્વરૂપનો પર્ણ પણે સ્વીકાર ‘ વિષય પસંદ કર્યો તે બદલ અભિનન્દન વિજયભાઈ ,

પ્રજ્ઞાબેન તથા સૌ સંયોજકો ,નમસ્તે।


,

,