કબીર આપણી આસપાસ છે એવો અહેસાસ કરાવે શબનમ વીરમનીજી
અઢાર અઢાર વર્ષથી જેમણે કબીરયાત્રા કરીને કબીર પ્રોજેક્ટ પર કામ કર્યું છે અને કબીરની સાચી ઓળખ પામવા અને દુનિયાનાં તમામ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે તેવા શબનમ વીરમનીજી કબીર માટે શું કહે છે તે ચાલો, આપણે જાણીએ.શબનમજી આપણા હ્રદયનાં તારને તેમના ગાયેલા કબીરનાં ભજનોથી હચમચાવી નાંખે છે.તેમની ઊંડું સંશોધન કરીને દિર્ગદર્શન કરેલ કબીરની દસ્તાવેજી ફિલ્મો જોઈને કબીરજીની હાજરી આપણી આસપાસ અનુભવવા લાગીએ છીએ.શબનમજીએ કબીરા ખડા બાજારમેં”,”હદ અહદ”,” ચલો હમારે દેશ”, “”કોઈ સુનતા હૈ”, અને “અજબ શહર” જેવી નેશનલ એવોર્ડ વીનીંગ ફિલ્મો બનાવી છે.
આપણે આજે વાત કરીશું ,કબીરની અને તેમના અનોખા ઉપદેશની વાત કરતી ફિલ્મોની,જેનું દિર્ગદર્શન શબનમજીએ ભારતનાં ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં અંતરિયાળ ગામોમાં ફરી કબીરનાં ભજનિકો,શેરીગાયકો,મહાત્માઓ,આમ જનતા સાથે બેસી તેમનાં વિચારો જાણી તેની ફલશ્રુતિ રુપે બનાવી છે.
કબીર બનારસમાં વર્ષો સુધી રહ્યાં અને બનારસ એમનાં જમાનાનું ધાર્મિક,રાજકીય અને વ્યાવસાયિક દ્રષ્ટિએ જાણીતું અને ધમધમતું શહેર હતું.બનારસનાં ઘાટ,ઘાટનાં પગથિયા,મહેલો,કિલ્લાઓ તેની વચ્ચેથી સમયનાં પ્રવાહ સમ વહેતી પવિત્ર ગંગા અને તેના ઘાટ પર ધોબીઘાટ,બાજુમાં ક્રિકેટ રમતાં બાળકો અને બાજુમાં સ્મશાનઘાટ પર જિંદગીને છેલ્લી સલામ કરીને ચિતા પર ચડતી લાશો,ગંગાનાં પવિત્ર પણ ડહોળા પાણીમાં પોતાનો મેલ ધોવા ડૂબકી લગાવતાં યાત્રીઓ-આ બધું કબીર જોતાં તેને આધ્યાત્મિક ઉદાહરણોમાં રૂપક બનાવી આલેખતાં.કબીર પોતે જોયેલ અને અનુભવેલ દુન્યવી સ્થિતિ અને દ્રશ્યોને સુંદર રીતે પોતાની રીતે સમજીને પદો અને ભજનોમાં ગાતા.કબીરનાં ભજનો અને દુહા શબનમજીએ પોતાનાં બુંલદ અવાજમાં ગાઈને “અજબ શહર”માં આપણને સમજાવ્યા.
અજબ શહર એટલે કબીરે આપણા શરીરને અજબ શહેર તરીકે વર્ણવ્યું છે.
તારા રંગમહલમેં અજબ શહરમેં આજારે હંસાભાઈ ,નિર્ગુણ રાજાપે સિરગુન સેજ બિછાઈ…
અરે ….હાંરે ભાઈ ……દેવલિયામેં દેવ નાહીં ઝાલર ફૂટે…ગરજ કસી
અરે…. હાંરે ભાઈ…. મંદિરીયામેં દેવ નાહીં ઝાલર ફૂટે…ગરજ કસી
કબીર આપણા શરીરને રંગમહેલ, નસમજી શકીએ તેવું અજબ શહેર કહે છે.જેને જાણવા આપણી પાસે નેવીગેટર નથી,તેમાં જોઈ ન શકાય તેવો નિર્ગુણ રાજા(આત્મા) છે.કબીર આત્મા રૂપી હંસને આ શરીર રૂપી રંગમહેલ (આનંદમહેલ) માં બોલાવે છે. આત્મા સાથે એકરૂપ થવા પ્રયત્ન કરે છે.આ શરીર રૂપી અજબ શહેરમાં ન જોઈ શકાય તેવો આત્મા ,રાજા થઈને આરામથી સૂતો છે.આ અજબ શહેરનાં દસ દરવાજા છે.(નાક,કાન,આંખ વિગેરે) એમાં ડકૈત પણ છે(કામ,ક્રોધ ,લોભ,મોહ,અહંકાર).આપણે સૌ આપણા નામથી આપણી જાતને ઓળખીએ છીએ ,પણ કબીર કહે છે “તું કોણ છે?” એને ખરેખર તું જાણવા કોશિશ કર.તારા અજબ શહેરમાં જોવા કોશિશ કરીશ તો ખરેખર તને સમજાશે કે તું કોણ છે ?અને નિર્ગુણની ઓળખ થતાં પરમાનંદ અનુભવાશે.શરીરને કબીર એટલે અજબ ઓળખાવે છે.શરીરને પવિત્ર કહે છે કારણ તેના દ્વારા જ આપણને નિર્ગુણનેા અનુભવ થાય છે ,અને અલૌકિક આશ્ચર્ય સાથે પરમાનંદનો આનંદ મેળવી શકીએ છીએ.કબીરઆગળ ગાય છે:
નિર્ગુણ આગે સગુણ નાચે,બાજે સોહાન્ગ તુર;
ચેલે કે પાંવ ગુરુ લાગે,યે હી અચંમ્ભા પુર…
કબીરની વાણીને રહસ્યવાદી કહી છે કારણ તેમનાં આધ્યાત્મિક ઊંડાણ ભરેલા રહસ્ય સમજવા અઘરા છે.કબીર શરીર રૂપી અજબ શહેરને કાયાનગરી તરીકે પણ નવાજે છે.નિર્ગુણ આગળ સગુણ નાચે છે.તે કબીરને ચેલાને ગુરુ પગે લાગતા હોય તેવું આશ્ચર્યજનક લાગે છે.
મન મથુરા,દિલ દ્વારકા,કાયા કાશી જાન;
દસ દ્વાર કા પીંજરા,યા મેં જ્યોત પીછાન…
તો આ દુનિયામાં આવેલ આ જૂઠનગરીનાં બજારનું પણ સુંદર વર્ણન તેમના દોહામાં કર્યું છે.
સાચ કોઈ ન પટીયાયી,જૂઠે જગ પટીઆયી,ગલી ગલી ગો રસ ફિરે,મદિરા બૈઠ બિકાઈ…
રામ નામ કી લૂંટ હૈ,લૂંટ સકે તો લૂંટ,અંતમે પસ્તાએગા,જબ પ્રાન જાએગા છૂટ…
કબીર આપણને કહે છે બાવરા! તેં દુનિયામાં આવીને ગોવિંદો ગાયો નહીં તો તું શું કમાયો?
આપણે આ જગરૂપી બજારમાં આવ્યા પણ જન્મારો ખોટા કામ કરવામાં ગુમાવી દીધો.ફેરો નકામો કરી દીધો ,મૂર્ખામી કરીને.અને ગાય છે:
કબીર સો ધન સંચીએ,જો આગે કો હોય,
સીસ ચઢાયે પોટલી,લે જાત દેખા ન કોય…
કબીર કહે છે”તું એવું ધન કમાય કે જેનાથી પરમને મળવામાં તે મદદ રૂપ થાય બાકી તો અહીં ભેગું કરેલ પોતાની સાથે માથે પોટલી બાંધીને લઈ જતું કોઈને જોયું નથી.”
શબનમજી સૂફી સંત શાહ લતીફની કવિતા સમજાવતાં એક સરસ વાત કહે છે.જૂનાગઢનો રાજા પોતાના મહેલમાં બેઠો હોય છે અને એક સુંદર વાજિંત્ર (સુરન્દો) વગાડતો શેરી ગાયકને સાંભળીને રાજા ખુશ થઈ જાય છે.ચોકીદારને એ ગાયકને મહેલમાં બોલાવી લાવવાનું કહે છે.તેનું નામ બીજલ હોય છે.બીજલને રાજા પોતાની સામે બેસાડી વગાડવાનું કહે છે.બીજલની વાજિંત્ર વગાડવાની કળા પર રાજા મંત્રમુગ્ધ થઈ જાય છે.રાજા તેને કહે છે “માંગ માંગ માંગે તે આપું!” બીજલ કહે છે “હું જે માંગીશ તે આપ નહીં આપી શકો.” રાજા કહે છે “હું રાજા છું મારી પાસે બધું છે હું કેમ નહીં આપી શકું?માંગી તો જો!” બહુ રકઝકનાં અંતે બીજલ કહે છે “આપવું જ હોય તો મને તમારું મસ્તક ઉતારીને આપી દો!” રાણીઓ,દરબારીઓ,સૌ જોતાં રહી જાય છે અને રાજા પોતાનું મસ્તક આપી દે છે!!!!
કવિ લતીફના મતે જૂનાગઢ એટલે આ દુનિયા,બીજલ એટલે આપણા ગુરુ જે આપણી પાસે આપવી ખૂબ અઘરી હોય તેવી વસ્તુ માંગે છે.રાજા એટલે સત્યની શોધ માટે ફરતો શિષ્ય અને બીજલે માંગેલી કિંમતી ભેટ એટલે ખુદી(અહંકાર) જે સૌને ખુદાને(પરમને) મળતાં રોકે છે.અને પરમને મળવા જેના થકી શક્ય બન્યું તે છે સંગીત.આ અનહદનો નાદ સાંભળવામાં મદદરુપ થાય છે સંગીત ,માટે જ કબીર અને શબનમજી સંગીત દ્વારા જ અનહદને પામવા કોશિશ કરે છે.ચાલો,આપણે પણ શબનમજીનાં સંગીત દ્વારા અનહદનાં નાદને સાંભળવા કોશિશ કરીએ.અને અજબ શહેરને જાણવા કોશિશ કરીએ.શબનમજીની કબીરયાત્રાને માણતાં મળીએ ફરી આવતા અંકે…
જિગીષા પટેલ