કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 03

આપણી આંખ મંઝિલ કે લક્ષ્ય જોવામાં એટલું રોકાયેલી હોય છે કે એ મંઝિલે પહોંચવાના રસ્તા પર જે ખજાનો છે તેને જોતી જ નથી. આપણે ક્યાંય પણ પૂર્ણપણે નથી. હંમેશા વેરાયેલા ને વિખરાયેલા રહીએ છીએ. તેથી એ રળિયામણી અને સોહામણી સફરની મજા ગુમાવીએ છીએ. જીવનના રસ્તાના એ વિવિધ રંગો, મન મૂકીને વરસતાં પ્રકૃતિના તરંગો, માનવ સંબંધોનું એ ઐશ્વર્ય મનના ટ્રાફિકજામમાં એવું અટવાઈ જાય છે કે આપણે મહિમાહીન પૂર્ણવિરામને તાકતાં રહીએ છીએ અને ચૈતન્યની વસંતના રસ્તાને માણવાથી વંચિત રહી છીએ. મુનશીના સાહિત્યવૈભવને જાણવા તેમનાં જીવનના રસ્તાની સફર પણ કરવી  જ રહી.

કોઈપણ સર્જન અથાગ પરિશ્રમ અને કલ્પનાનો આવિષ્કાર હોય છે. મુનશીનાં સર્જનને સમજવા માટે, તેમનાં જીવન અને ઉછેરની બારાખડી ઉકેલવા માટે તેમની જીવન કથાની ત્રણ કૃતિઓ સૌ પ્રથમ વાંચવી જરૂરી છે.

1.  ‘અડધે રસ્તે’ પહેલો ભાગ 1887થી 1906 સુધીનો

2. ‘સીધાં ચઢાણ’ બીજો ભાગ 1906થી 1922 સુધીનો

3.’સ્વપનસિદ્ધીની શોધમાં’ ત્રીજો ભાગ 1923થી 1926 સુધીનો.


છ બહેનોના ભાઈ કનૈયાલાલ મુનશીનો જન્મ ઈ.સ. 1887ની ડિસેમ્બરની 3મી તારીખે થયો હતો. માતૃપાલવમાં છુપાયેલું બાળપણ એ સમૃદ્ધિનો આસોપાલવ છે. આ એ સમય છે જેમાં વ્યક્તિત્વનો અણસાર અને ભણકાર રહેલો છે. વ્યક્તિનું કૌશલ્ય, તેનાં સ્વપ્નો, તેની સમજણ, તેના સ્વભાવનો નકશો તેના બાળપણમાં અભિપ્રેત છે.  તેથી જ ‘અડધે રસ્તે’ની શરૂઆત થાય છે ‘ટેકરાના મુનશીઓ’થી. ચારિત્ર્યઘડતર પર મુખ્યત્વે ત્રણ પરિબળો અસર કરે છે:

1. વારસાગત પરિબળો

2. ઉછેરગત પરિબળો

3. રાજકીય, આર્થિક પરિબળો

‘ટેકરાના મુનશીઓ’ વાંચતાં કનૈયાલાલ મુનશીના સંદર્ભમાં આ તમામ પરિબળોનો તેમનાં જીવન પર કેવો પ્રભાવ રહ્યો હશે તેનો અંદાજ આવે છે. તેમાં ટેકરાનું સ્વામિત્વ અને ગૌરવની વાત આપણી સમક્ષ તાદૃશ થાય છે. ટેકરાના મુનશીઓની કૌટુંબિક વાતો, ભરૂચના ભાર્ગવ બ્રાહ્મણનો મિજાજ, તેમની ઉગ્રતા અને મુત્સદ્દીગીરી, સામાજિક સ્થાન, તેમની ન્યાત, પૂર્વજોની કીર્તિ, મુનશીગીરીનો રૂઆબ અને કારભાર આપણને જાણે તે સમયખંડમાં લઈ જાય છે. મુનશીઓની વિદ્વતા, વાક્પટુતા અને ઔદાર્યની મિસાલ લેવાતી હતી. તો ધીરજકાકા જેવા વિનોદવૃત્તી ધરાવતા વડીલો પણ હતા. વિદ્યાવ્યાસંગી, ગર્વિષ્ઠ, બાહોશ અને કર્તવ્યનિષ્ઠ કુળના મુનશીઓએ પરદેશી રાજ્યતંત્રની વફાદારી કરી મુનસફગીરી મેળવી.  મુનશીજી એ સમયની સામાજિક, રાજકીય, કૌટુંબિક સ્થિતિનો તાદૃશ ચિતાર રજૂ કરે છે. 

એ સમયની સ્ત્રીઓનું જીવન કેવું હતું, તેમનું સ્થાન કેવું હતું તેની વિસ્તારપૂર્વક વાતો મુનશી કરે છે. રુખીબા જેવી સ્ત્રીઓ કે જેના પ્રતાપે ભાર્ગવની ન્યાત થરથર કાંપતી. તેઓ ભયંકર ગાળોનો લાવા સમા દઝાડતા વરસાદથી ગામના છેડે આવેલાં ઘરમાં આગ ઉડાડી શકતી. તેનાથી બીજી સ્ત્રીઓનું જીવન અનુકંપાપાત્ર બની જતું. તો ગામના ઝગડા,  કુટુંબના ઝગડા, મિલકતના ભાગ માટે યાદવાસ્થળીની વાતોમાં એ સમયનું સમગ્ર સમાજજીવન સુપેરે ઊભરી આવે છે. મુનશીના માતાપિતા-બાપાજી અને બા- માણેકલાલ ઉર્ફે માણકાભાઈ અને તાપીનું પાત્રાલેખન ખૂબ સુંદર છે. બંને વચ્ચે પ્રેમ છે, સમજણ છે, આદર્શમય ઐક્ય છે અને સાથે મળીને જીવનના પડકારોનો સામનો કરવાની તૈયારી પણ છે. એ યુગના લોકોનાં અભિમાન અને બાલીશતા કેવાં હતાં તે કલ્પવા જઈએ તો આજે કલ્પના પણ ન ચાલે. એવું જ સ્ત્રીઓની બાબતે પણ કહી શકાય. સ્ત્રી કેળવણી વિરુદ્ધનો પવન હતો. બાળલગ્ન અને બાળવૈધવ્ય ખૂબ સામાન્ય હતાં. મુનશીની બે બહેનો 17 અને 19 વર્ષની વયે વિધવા બની. આ જમાનાને તો ‘ન્યાત મળી’  કે ‘ન્યાતની પટલાઈ’ નો અર્થ સમજતાં પણ વાર લાગશે.

કેટલાક શબ્દચિત્ર મુનશીની કલમમાં જ માણીએ.

મુનશી પોતાના માટે કહે છે:

* ઘરનાં છજામાં બેસી લીમડો જોઈ વન, ઉદ્યાનની કલ્પના કરી આનંદ લેતો. છેક નાનો હતો ત્યારે, સરસ્વતી મને એમની મારફતે વિદ્યા મેળવવાના સંદેશા મોકલતી એમ હું માનતો.

*  હું જન્મ્યો ત્યારે ઘણો મોંઘો અને માનીતો હતો. મારા પગલે બાપાજી મામલતદારીમાં કાયમ થયા. હું નાનો હતો ત્યારે મારામાં ઘણું ડહાપણ છે એવી માન્યતા મેં પ્રસારી હતી, કેવી રીતે તે મને ખબર નથી.

* મૃત્યુલોકમાં હું મારી મેળે, દેવોની મહેરબાની વગર આવી ચડ્યો. ઊતરતી વયે બાએ બાધા લીધી કે પુત્ર આવે તો કોઈ દેવદેવીને કંઈ ન કરવું: ને હું આવી પડ્યો. મારામાં દેવો વિશે અશ્રદ્ધા અને આચાર વિચારની ભખળતા આજ કારણથી આવી છે એમ ઘરડાં સંબંધીઓ ખાતરીથી માને છે.

* મોંઘા દીકરાનું જતન કરવા બધાં, સકારણ કે અકારણ, કંઈ ને કંઈ કર્યા જ કરતાં, તેથી મને ટેવ પડી ગઈ. એવું કરતાં ચૂકી જાય તો મારો જીવ ગૂંગળાઈ જાય, મને જીવન નિરર્થક લાગે અને વૈરાગ્ય પર પ્રેમ આવી જાય.

* હું ટેકરા પર વૈરનું ફળ બનીને આવી પડ્યો. બાપાજી એ છેલ્લીવારના છોકરા માટે ભાગ માંગ્યો. ચાલીસ વર્ષ પછી મોટાકાકાના કારભારમાં હાથ નાંખવાનો પ્રયત્ન થયો…ગજબ થઈ ગયો! યુદ્ધનાં ડંકા નિશાનો વાગવા માંડ્યા, શંખનાદ ફૂંકાયા, પ્રતિશબ્દ થયા ને ટેકરા પર યાદવાસ્થળીનો પ્રારંભ થઈ ગયો.

આ ઝાંખી પરથી ખ્યાલ આવશે કે  કનૈયાલાલ મુનશીના જીવનની શરૂઆત કઈ રીતે થઈ. બાળપણ એક ઉંબરો છે. તે ઉંબરો છોડ્યા પછી કિશોરાવસ્થા અને યુવાવસ્થા આવે છે. બંને ચિત્રમાં રંગ જુદા છે. બાળપણનાં સંસ્મરણોમાં હજુ બાળક પોતાની આસપાસનાં  કૌટુંબિક જીવનનો પરિચય મેળવે છે. મુખ્ય રંગ હોય છે વાત્સલ્ય કે તોફાનમસ્તીનો. કિશોરાવસ્થામાં પ્રવેશ્યા બાદ વિકસતી સમજણ વડે ચારિત્રઘડતર થાય છે.


એ જોઈશું આવતા વખતે…..

— રીટા જાની

मेरे तो गिरधर गोपाल – 03 : અલ્પા શાહ

पायो जी मैं ने राम रतन धन पायो
पायो जी मैं ने राम रतन धन पायो

वस्तु अमोलिक दी मेरे सतगुरु, किरपा करी अपनायो

जनम जनम की पूँजी पा{ई} जगमें सभी खोवायो

खरचै न खूटै, चोर न लूटै, दिन दिन बढ़त सवायो
सत की नाव, खेवटिया सतगुरु,भवसागर तर आयो

मीरा के प्रभु गिरिधर नागर हरख हरख जस गायो .

મીરાંબાઈ રચિત સર્વે પદોમાં આ કદાચ સૌથી વધારે પ્રચલિત પદ.  રાગ ખમાજમાં સ્વરબદ્ધ થયેલું આ પદ જયારે લતા મંગેશકરના સુમધુર સ્વરમાં તમે કોઈકવાર પરોઢિયાની  નિરભ્ર શાંતિમાં સાંભળજો. એક અનોખી દિવ્યતાનો અનુભવ થશે. મીરાંબાઈનું સેવ્ય સ્વરૂપ તો ગિરિધર ગોપાલ જ હતા પણ તેમનાં અમુક પદોમાં  મર્યાદા પુરુષોત્તમ એવા શ્રી રામનો પણ ઉલ્લેખ છે. અમુક વિદ્વાનોનું એવું માનવું છે કે અહીં શ્રી રામનો ઉલ્લેખ કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એ પરમ ચેતનાને, એ પરમાત્માને દર્શાવવા માટે કરવામાં આવેલ છે નહિ કે, દશરથનંદન શ્રી રામને સંબોધ્યા છે. આ પદ હું જેટલીવાર સાંભળું તેટલીવાર એક નવા દૃષ્ટિકોણથી જ તેનો અર્થ મારી સામે આવે છે. એ પણ એનાં ભાષાકીય અર્થઘટનની પેલે પાર. મને આ પદમાં જે બે વાત સૌથી વધારે સ્પર્શી ગઈ એની રજૂઆત મારે આજે કરવી છે.

મીરાંબાઈની શ્રીકૃષ્ણ ગિરિધર ગોપાલ પ્રત્યેની અનન્ય પ્રીતથી તો કોઈ અજાણ નથી પણ મારી દૃષ્ટિએ જે અનન્ય પ્રભુભક્તિ મીરાંબાઈ ધરાવતાં હતાં તે જ તેમનું passion હતું. બાકી, આટલી ઉત્કટતાથી ગિરિધર ગોપાલનાં સેવ્ય સ્વરૂપ સાથે એકાકાર થઈને પ્રેમ કરવો એ કંઈ નાનીસુણી વાત છે? આ passion એટલે ઝનૂન કે ઉત્કટતા કહીએ, એ કોઈ વ્યક્તિ પરત્વે પણ હોઈ શકે કે કોઈ ક્રિયા કે કલા પરત્વે પણ હોઈ શકે. દરેક વ્યક્તિ માટે passionની પરિભાષા અને પરિમાણ અલગ અલગ હોઈ શકે પણ આ passion થકી જે આંતરિક,  આત્મિક ઊર્જાનો સંચાર થાય તે દરેક વ્યક્તિ માટે એકસરખો જ હોય. ઘણા લોકો passion ને hobby એટલે કે શોખ તરીકે નિહાળે છે પણ મારી દૃષ્ટિએ બંને ઘણા અલગ છે. શોખ એટલે તમે તમારા ફાજલ સમયમાં જે કરો એ અને passion એટલે ગમે તેવી વ્યસ્ત જીવનશૈલિમાં પણ તમે તમારો સમય જેના માટે ફાજલ કરો એ. Passion વગર વ્યક્તિ કેવળ સૂતેલી તાકાતનો પુંજ અને એક સંભાવનાઓનો કુંભ છે. ઘણીવાર વર્ષોનાં વર્ષો સુધી આપણી passion સાથે આપણી મુલાકાત જ ના થાય પણ જે ઘડીએ એ passionના સંપર્કમાં આવીએ, આપણે એને એક ક્ષણમાં ઓળખી જઈએ છીએ. જેમ મીરાંબાઈએ તેમનાં પદમાં લખ્યું છે તેમ, જયારે તમારાં passion સાથે તમારી મુલાકાત થઈ જાય ત્યારે એવું લાગે કે આપણે જન્મોજન્મની પુંજી એકત્રિત કરી લીધી છે. એવી પુંજી કે જેને કોઈ ચોર લૂંટી ના શકે અને ખર્ચતાં ખૂટે નહીં. એ passionમાં આપણે વધુ ને વધુ એકાકાર થતાં જઈએ અને પછી તો જેમ શ્યામ પ્રત્યેની અનન્ય ભક્તિ મીરાંબાઈની ઓળખ બની ગઈ છે તેમ આપણી passion આપણી ઓળખ બની જાય.

મીરાંબાઈએ આ પદમાં ગિરિધર ગોપાલની સાથે સાથે ગુરુનું માહાત્મ્ય પણ દર્શાવ્યું છે. કહેવાય છે કે મીરાંબાઈનાં ગુરુજી સંત રઈદાસ હતા. ગુરુનાં મહત્વ વિષે ઘણું બધું કહેવાયું છે અને ગવાયું પણ છે. એવું જરૂરી નથી કે આ ગુરુ એટલે કે mentor કોઈ ભગવાધારી જ હોય. ગુરુ એટલે કે કોઈ વ્યક્તિ કે કોઈ એવો અનુભવ કે જે આપણાં જીવનમાં એક ચિનગારી બનીને આવે અને આપણામાં રહેલી સુષુપ્તતાને સજીવન કરે. આપણને આપણાં જીવન ચાલકબળ સાથે એકરૂપ કરે. આપણી passion સાથે આપણને ઓગાળી દે. કોઈ વ્યક્તિને કે કોઈ અનુભવને ગુરુપદે સ્થાપિત કરવાની પ્રથમ શરત એ છે કે આપણે દરેકમાં રહેલા સદગુણોને સમજવાની અને અવગુણોને અવગણવાની દૃષ્ટિ કેળવવી પડે. આપણે વિનમ્રભાવે આપણો દૃષ્ટિકોણ બદલવો પડે. તો જ આપણે એ ગુરુને આપણાં અંતરમનમાં પ્રવેશ આપી શકીએ. મીરાંબાઈ એ લખ્યું છે તેમ, એ ગુરુ આપણી જીવનનૈયાનો  ખેવટિયો બની ને આપણને પરમાનંદનો અનુભવ  કરાવી દે.

તો ચાલો આપણે સૌ પણ આપણાં passionની ખોજ કરીએ અને જો passionની ઓળખ છતી થઈ ગઈ હોય તો મીરાંબાઈની જેમ જ આપણાં passionમાં તલ્લીન બની કોઈક ગુરુના સહારે અને સથવારે આપણી અંદર રહેલા પરમાનંદને પામવાનો પ્રયત્ન કરીએ. શ્રીમતિ કૌશિકી ચક્રવર્તીના સુમધુર અવાજમાં આ પદનું શ્રવણ કરતાં કરતાં તેના હાર્દને વધુ મમળાવીએ.

જેમ મેં અગાઉ લખું હતું તેમ, હું લેખનની દુનિયામાં હજુ પા પા પગલી ભરું છે એટલે આપ સૌ વાચકોના પ્રતિભાવો અને માર્ગદર્શનની મને અપેક્ષા છે. આપ સૌ વાચકો લેખનની દુનિયામાં મારા ગુરુ બની રહો તેવી આશા સાથે વિરમું છું.


— અલ્પા શાહ

૩-કબીરા

કબીરો મારો ફકીર
ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર,
ફિકર કી જો ફાકી કરે, ઉસકા નામ ફકીર.
ફકીરનું નામ સાંભળતા જ આપણા દ્રષ્ટિપટ પર ભગવા વસ્ત્રધારી,સફેદ દાઢી અને લાંબા વાળવાળો, હાથમાં ચીપિયો કે કમંડળ લઈ ભીખ માંગતો સાધુ આવી જાય છે.કબીરો તો ફકીરનો અનોખો અર્થ સમજાવે છે.કબીરો કહે છે ફકીર એટલે “ફિકરને ઘોળીને જે ફાકી કરીને પી જાય તે “.
      આજની પેઠીને એક પ્રશ્ન થાય કે ફકીર એટલે શું ? ફકીર એટલે બધી જ જવાબદારી અને સમસ્યાઓની સાથે તાલમેળ બેસાડતાં પ્રભુભક્તિની અંદર લીન રહેવું. નિજાનંદમાં મસ્ત રહે તે ફકીર.
ફકીરી એ મનની નિસ્પૃહ,અનાસક્ત,સ્થિતપ્રજ્ઞ અવસ્થા છે.કબીરજીએ બે જ લીટીમાં આખેઆખી ગીતાનો અનાસક્તિયોગ અને સ્થિતપ્રજ્ઞતાનો સાર સમાવી લીધો છે.ફકીર થવા તમારે તમારા વ્યવસાય કે દુન્યવી જવાબદારીઓને છોડવાની જરુર નથી.બધીજ જવાબદારી સાથે પ્રભુભક્તિમાં લીન રહી,પરમ સાથે તાદાત્મ્ય કેળવવાનું છે.સંસારમાં રહી જળકમળવત રહેવાનું છે.પનિયારી તેની સહેલીઓ જોડે મજાકમસ્તી કરે છે પણ તેના માથે પાણી ભરેલ બે ઘડા પરથી તેનું ધ્યાન હટતું નથી તેમ સંસારમાં રહી પોતાની મસ્તીમાં મસ્ત રહે તે સાચો ફકીર.સંસારની ચિંતાથી ઘેરાઈને પીર,ભૂત-પ્રેત કે બાવાઓ પાસે જવાની જરુર નથી.ફિકરને ઘોળીને પી જવાની જરુર છે.ફકીરીએ મનની સ્થિતિ છે.કબીરદાસ જેવા ફકીર જે કપડાં વણતા-વણતા ફકીર બની ગયાં. રૈદાસ જેવા ફકીર જે જુતા સીવતાં-સીવતાં ફકીર બની ગયાં.
      શાશ્વત જીવન પુસ્તકમાં જ્ઞાનદાસજી કહે છે”સ્વજન,પરજન,સમાજ,દેશ તથા વિશ્વના કલ્યાણ માટે પોતાની પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરવો તે માણસનું કર્તવ્ય છે પરંતુ સમાધિમાં પહોંચવું તેનું પરમ આવશ્યક કર્તવ્ય છે અને સાચી ફકીરી થકી જ તમે તે સમાધિ સુધી પહોંચી શકો.”
કોઈક કવિએ ફકીરની મોજને સરસ રીતે વર્ણવતા કહ્યું છે કે….,
                 
                  “જો આનંદ સંત ફકીર કરે , વો આનંદ નાહી અમીરી મેં
                   સુખ દુ:ખ સમતા સાધ રહે,કુછ ખોફ નહીં જાગીરી મેં.”
     ફકીર થઈને ગરીબીમાં ગુજરાન કરવું અને માનાપમાનથી રહિત થઈ લોકોની સ્તુતિ અને નિંદાને અવગણીને રહેતા કબીરાએ બધાને અનુભવતા,જોતા,સહન કરતા અને આગળ વધતા એટલે ફકીર થયા. ખુશી કે ગમ મળે એમની એમને પરવા જ ક્યાં હતી ! “કશાની ના ખબર એજ ફકીરી”.કેટલો લઘુતમ ભાવ? એ તો મસ્ત મરજીવા મઝધારેય તરનારા હતા,લેપાયા વગરનું; અનાસક્ત વ્યક્તિત્વ,એ તો હર એક ક્ષણના માણનારા અને બીજાની ઉજળી-મીઠી સવારો થઈને ઉગનારા માટે કબીર એક ફકીર હતા.
                      પેટ સમાતા અન્ન લે,તન હી સમાતા ચીર.
                    અધિક હી સંગ્રહ ના કરે,તિસકા નામ ફકીર.
એમના પદો અને વિચારો જ એમના ફકીરીપણાને છત્તા કરે છે.
        ફકીરની ફકીરી સમજાવતા કબીરજીએ જીવન જીવવાનો સાચો માર્ગ સમજાવ્યો છે.બીજું તેમના જ્ઞાન અને ભક્તિના આ પ્રવાહમાં કોઇ જાતિ કે વર્ણનો ભેદ ન હતો. કોઇ ચોક્કસ વિધિ-વિધાન કે બાહ્ય ક્રિયાકાંડનું પણ તેમાં વિશેષ મહત્‍વ ન હતું. નામ સ્‍મરણનો મહિમા અને પરમ તત્‍વ તરફની ગતિ એજ તેની ચાવીરૂપ બાબત હતી. કબીરે ભક્તિ અને સમર્પણના નવા ચીલા પાડ્યા અને એકતારો વગાડતા અમર સાહિત્‍યનું સર્જન કર્યું. આખા જગતને આ આશા-તૃષ્ણા રુપી ઝેરી નાગણે ડંખ માર્યો છે તેનું ઓસડ-દવા- સંતોષ જ છે .કબીર જીવનના અનેકવિધ રંગોમાં પ્રભુની પ્રસાદીરુપ જીવનને માણતા રહ્યા,સુખદુખમાં સમાન અવસ્થા,નિરહંકારી સંતોષે તેમને ફકીરના સ્થાને મૂકી દીધા.એમના એક એક પદની રચના તો જુઓ ..
                            ગોધન,ગજધન,ગોપીધન,ઓર રતનધન ખાન,
                            પર જહાઁ આવે સંતોષધન,તો સબ ધન ધૂલ સમાન.
                            મારીયે આશા અપની,જીને ડસ્યા સંસાર
                            તાકા ઓખડ તોષ હય,કહે કબીર વિચાર.
જે ક્યારેય સ્કુલમાં ભણવા નથી ગયા એવા કબીરજીની વાણીમાં મને ગીતાનાં બારમા ભક્તિયોગ અધ્યાયના ૧૮ ને ૧૯ શ્લોકનાં પડઘા સંભળાય છે.
       કબીરા બધા જ ધર્મના સારતત્વને અપનાવ્યું અને લેપાયા વગરનું અનાસક્ત જીવન કબીરો જીવ્યો ફકીર કહેવાયૌ.એમણે અનેક પદો રચ્યા પણ ક્યાંય દુનિયાને આકર્ષિત કરવા માટે નહી.અહીં કબીરની પ્રાણ ઉર્જાનું વિજ્ઞાન સમજવા જેવું છે .એ નિર્લેપ રહી બધું જ કાર્ય કરતા,વણકર ખરા પણ ક્યાંય લોલુપતા તેમને ન સ્પર્શી, કર્મ કરતાં નિર્લેપ રહીને પ્રાણ ઉર્જા પોતાની અંદર વહેતી કરી.આ પ્રાણશક્તિથી પોતાના આવરણ તો હટાવ્યા અને મુક્ત થયા પણ સાથે સાથે બીજાને પદો દ્વારા જાગૃતતા આપી.કબીરાને શત્રુ-મિત્ર, માન-અપમાન,ટાઢ-તાપ અને સુખદુ:ખ સરખા જ લાગ્યા અને આસક્તિરહિત,નિંદા અને સ્તુતિને સમાન સમજી દ્રષ્ટા બની જીવ્યા.જે મળ્યું તેને સહજપણે સ્વીકારી સંતોષના ઓડકાર લીધા.આને શું કહેવો? મમતારહિત સ્થિર બુધ્ધિવાળો ભક્તિમાન પુરુષ કે ફકીર અને આજ ફકીરીએ એમને સંત બનાવ્યા અને માટે જ તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ શીખ ધર્મમાં તથા બીજા અનેક સૂફી-પંથમાં જોવા મળે છે.કબીર અહિંસા,સત્ય,સદાચાર આદિ ગુણોના પ્રશંસક હતાં.આમ ફકીરે પોતાની સ્વાનુભવની સરળ અને સહજ ભાષામાં જીવનના અણમોલ સિધ્ધાંતો વર્ણવ્યા.
         ઓશો જેવી મહાન વ્યક્તિને પણ કબીર અત્યંત પ્રિય છે તેથી જ તે કહે છે કે,“મહાવીર અને બુધ્ધ રાજમહેલનાં ઉપવનના ફૂલ છે પણ કબીર તો હિમાલયના જંગલની શોભા વધારતું અપ્રાપ્ય અનોખું સહજ કુદરતની દેનરુપ ફૂલ છે.”.
        કબીરાની પોતાની સરળતા,ફકીરી સ્વભાવ તથા સંત પ્રવૃત્તિના કારણે આજે વિદેશોમાં પણ તેમનો આદર થઈ રહ્યો છે.તેમની અણમોલ વાણીના મનન થકી હું પરમની નજીક મારી જાતને અનુભવું છું. તમને પણ તેમાં ભીંજવી તરબતર કરવા મળીશું આવતા અંકે……
જિગીષા પટેલ

હાં રે દોસ્તત હાલો અમારે દેશ-3) આપણું ઝવેરાત : ઝવેરચંદ !

આપણું ઝવેરાત : ઝવેરચંદ !
જાગરણની એ રાત્રીએ ગરબાની રમઝટ જામી હતી ; “ રાધાજીનાં ઉંચા મંદિર નીચાં મો’લઝરૂખડે દિવા બળે રે લોલ !” એક પછી એક ‘ ઘરવાળાના’ નામ અને એની ગોરાંદેને ગીતમાં ગાઈને મજાક મશ્કરી ચાલતી હતી ! અહીં ક્યાં કોઈ પુરુષ વર્ગ હતો ?કોણે રચ્યાં હતાં આટલાં સુંદર લયબદ્ધ , તાલબદ્ધ સરળ ગીતો ? સુજ્ઞ શિક્ષિત સમાજ સમક્ષ ઝવેરચંદ મેઘાણીએ સૌ પ્રથમ વાર મોટી સંખ્યામાં આવાં લોકગીતોના સંગ્રહ સંપાદન કર્યાં!
પણ શું તેથી જ આપણે એમને યાદ કરીએ છીએ ?
એક વાચક મિત્રનો પ્રશ્ન હતો કે જે સવાસો વર્ષ પહેલાં જન્મ્યા અને માત્ર પચાસેક વર્ષનું જ આયુષ્ય ભોગવવા પામ્યા , એમના સાહિત્ય પ્રદાન વિષે આજે એકવીસમી સદીમાં લખવાનું ?
કેમ ? શા માટે ?
શું હતું એમનું એવું તે વિશિષ્ટ પ્રદાન ?
તો એ પ્રશ્નના જવાબ માટે આપણે એમના જીવન માર્ગ પર અસર કરતાં પરિબળો ઉપર નજર નાંખીએ….
એ યુગમાં ( સાહિત્યની ભાષામાં એ સમય ગાળાને ગાંધી યુગ કહેવા છે ) તો ગાંધીયુગનાં સાહિત્યકારોમાં જે સંજોગો અને પરિસ્થિતિમાંથી મેઘાણી પસાર થયા તેવાં સંજોગો સ્થિતિ જવલ્લેજ કોઈ અન્યનાં જીવનમાં આવી .. એમનું મૂળ વતન તો સૌરાષ્ટ્રનું બગસરા , પણ એમના પિતાની સરકારી નોકરીને કારણે એમનો જન્મ ચોટીલામાં . ઓગસ્ટ ,૧૮૯૭ . પણ એમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ જેવા શહેર ઉપરાંત નાનાં નાનાં ગામડાંઓ દાઢા અને પાળિયાદમાં! વળી પાછું માધ્યમિક શિક્ષણ મૂળ વતન બગસરા અને અમરેલીમાં ! અને કોલેજ કરી ભાવનગર અને જૂનાગઢની કોલેજોમાં !
છે ને કાંઈક અસામાન્ય ?
લાગે છે ને આ છોકરો કાંઈક અસામાન્ય કરી બતાવશે ?
આ બધાં રખડપાટને કારણે એમના અનુભવોનો ખજાનો વધી ગયો !
વળી કોલેજમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે B. A. બી એ કર્યું હોવાથી શિષ્ટ સાહિત્યની પરિભાષાનું જ્ઞાન પણ ખરું !
પછી આવ્યું યૌવન દ્વાર ! એમની ઈચ્છા હતી કે પોતે કોઈ શાળાની નોકરી લઇ ને વતનમાં સ્થિર થઇ ને રહે . વળી પોલિશ ખાતામાં રાજ્યની નોકરીની દોડ ધામમાંથી પિતાને મુક્ત કરીને મા બાપ ને પોતાની પાસે બોલાવીને સૌ સાથે ઠરીઠામ થઇને રહે !
પણ ભગવાને એમના માટે કાંઈક જુદું જ ધાર્યું હતું !
હજુ નોકરીની શરૂઆત કરે તે પહેલાં કલકત્તામાં રહેતા મોટાભાઈની તબિયત બગડતાં એમને ભાઈ પાસે જવાનું થયું . ભાઈ તો સાજો થઇ ગયો પણ નાનકડા ભાઈ ઝવેરને, ત્યાં , કલકત્તામાં જ નોકરીએ લગાડી દીધો !એટલે કે જીવનની કારકિર્દીની શરૂઆત એક એલ્યુમિનિયમ કંપનીથી થયો ! એના મલિક મૂળ કાઠિયાવાડના , ને ઝવેરચંદ એમને ગમી ગયો .. નસીબ પણ એવું જોરદાર કે યુરોપની બિઝનેસ મિટિંગમાં છેલ્લી ઘડીએ મુનીમજી ન આવી શક્યા એટલે માલિક જીવણલાલ,ઝવેરચંદ મેઘાણીને પોતાની સાથે લઇ ગયા ! ત્યાં ચાર મહિનામાં મેઘાણીએ ઘણું જોયું, ઘણું સમજ્યા દુનિયા કેવી વિશાલ છે તેનો ખ્યાલ આવ્યો !
આપણે આજે ‘ગુગલ યુગ’માં જીવીએ છીએ ! ગુગલ એટલે જ્ઞાનનું સર્ચ એંજીન! જે જાણવું હોય તે એમાંથી મળે ! પણ આજથી સો વર્ષ પહેલાં તો કહેવાતું, પૂછતાં નર પંડિત થાય ! ઘણું બધું જ્ઞાન પગપાળા ચાલીને જ મેળવવું પડતું ! એ સમયે , મેઘાણીને જીવન પથ પરની રઝળપાટને લીધે ફરજીયાત રખડપટ્ટી કરવાનું આવ્યું ! એમનાં પિતાને મળવા માટે ગામડાઓ,ખેતરો,જંગલ ખીણ અને પહાડો વીંધતા, ક્યારેકપગપાળા,ક્યારેક ઘોડા ઉપર ઝવેરચં મેઘાણી ખુબ રખડ્યા છે ! જયારે સમય આવ્યો ત્યારે એમણે આ રખડપટ્ટી યાદ કરી છે અને ગામેગામ, ખોરડે ખોરડે બગલથેલો લઈને એ લોકસાહિત્યની ખોજ કરી છે ! વરસાદની અંધારી રાતે એ ક્યાંક જંગલમાં કે ડુંગરો વચ્ચે અટવાઈ ગયા હોય અને કોઈ આદિવાસીને નેસડે ઉતારો લીધો હોય ને એમની રહેણી કરની જાતે અનુભવી હોય અને એક સંસ્કૃત સમાજથી કાંઈક જુદી જ સંસ્કૃતિનો અનુભવ કર્યો હોય …. એ બધ્ધું જ એમનાં સ્મૃતિપટ પર અંકિત થઇ ગયું હતું ! એ ઘણું બધું અનુભવેલું હતું !
પચ્ચીસ વર્ષની ઉંમરનો એ નવયુવાન કલકત્તાની ઉંચી પદવીની નોકરી છોડીને પાછો વતન પધારે છે ! એમનો મિત્ર ઉપર આ નિર્ણયનો લખેલો પત્ર ‘હું આવું છું ‘ જેમાં મારે પાછાં ફરવાનો સમય થઇ ગયો છે એમ જણાવે છે .તે વિષે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશું ! હમણાં આપણે એમની જીવન નૌકાની સફર આગળ વધારીએ ..ફરી પાછા ભગવાન એમની મદદે આવ્યા !
રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર ‘ સાપ્તાહિક માટે સારા સંચાલકની જરૂર હતી , અને મેઘાણી એ માટે યોગ્ય ઉમેદવાર લાગતાં તરત જ એમને તંત્રી ખાતામાં રાખી લીધા! અને આ સ્થાન તે એમનાં ભાવિ વિકાસનું પ્રથમ સોપાન  બન્યું !
તેમણે સાપ્તાહિક માટે દર અઠવાડીએ નિયમિત લખવા માંડ્યું ! પોતાના જીવનમાંથી જડેલા,જોયેલા, અનુભવેલા પ્રસંગો !જો કે, લોકસાહિત્ય સંશોધન કરનારા એ પ્રથમ વ્યક્તિ નહોતા,બલ્કે એમની પહેલાં અમુક લોકસાહિત્ય ભેગું કરનાર નામી અનામી કેટલાક સાહિત્યકારો હતાં ખરા, પણ એમનાં જેટલું માતબર કામ કોઈએ કર્યું નહોતું !
ફરી પાછી, અમારાં જામનગરના એ મોહલ્લાની વાત પર આવું ! એ મધરાતે અમારાં વૃંદમાંથી અચાનક બે આધેડ વયની બહેન ગાયબ થઇ ગઈ હતી તે અચાનક કોટ , પાટલુન અને માથે હેટ પહેરીને પ્રગટી!! પછી બન્ને જણે પારસી શૈલીમાં ‘ એવન ટેવન’ અને અંગ્રેજી ગોટ પીટ ચાલુ કર્યું ..આનંદ મજાક અને હસી ખુશી સાથે અમારું જાગરણ પૂરું થયું ..પણ મિત્રો અહી એક વાતનો ખાસ નિર્દેશ કરીશ કે, ઝવેરચંદ મેઘાણીએ આ જાતનાં લોકસાહિત્ય અને શુદ્ધ લોક્સાહિત્યનાં તફાવત દર્શાવ્યા છે . પેલી જાગરણની રાતે અમે ઉભો કરેલ માહોલ જાણે કે લોકસાહિત્યનું પ્રતિબિંબ લાગે, પણ વાસ્તવમાં એમાં મોટો તફાવત હતો,જયંત કોઠારીએ “રેલ્યો કસુંબીનો રંગ” માટે લખેલ “ મેઘાણીનું લોકસાહિત્યવિવેચન’ માં લખ્યું છે એ મુજબ :
ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય વિશેની સમજ આપી એટલું જ નહીં, લોક્સાહિત્યનાં સર્વ પ્રકારો વિષે વિગતે વિચાર કર્યો છે. એના પ્રકારો અને પેટ પ્રકારોની સમાન અને વ્યાવર્તક રેખાઓ પકડી છે ..જયારે મેઘાણી કહે છે કે ;”એમને તો પ્રેમાનંદના આખ્યાનો અને શામળની ગરબીઓ પણ લોક હૈયે રમે છે, એ લોકભોગ્ય જરૂર ગણાય, પણ લોકસાહિત્યમાં એની ગણના ના થાય. શુદ્ધ લોકસાહિત્ય એમાં પોતાપણું હોય, કેવળ કરામત નહીં જીવનને વફાદાર તત્ત્વ પણ હોય” .. પ્રેમાનંદ – શામળની કથાઓમાં ઇષ્ટ સ્મરણ, નગર વર્ણન વગેરે વગેરે વિસ્તાર પૂર્વક આવે, જયારે લોક કથા ઘટનાના પ્રવાહની મઝદારમાં ઝુકાવે !
મિત્રો ,’ હાલો અમારે દેશ’માં સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અને મેઘાણી એમની સાથે કામ કરતી અનેક વ્યક્તિ વિષે ખુબ ખુબ રસપ્રદ વાતો કરવી છે. હું એવું માનું છું કે તેઓ એક વ્યક્તિ નહોતા, પણ એક ક્યારેક જ બનતી અનન્ય ઘટના હતા!
ઉમાશંકર જોશીએ એમને કૃષણની બંસીની સેવા કરતા નવાજ્યા છે.“ મેઘાણી એટલે સાક્ષાત સૌરાષ્ટ્ર . .. એ ભૂમિનું બધું મેઘાણીના વાણી સ્પર્શથી સજીવન થઈને ગુજરાતી ભાષામાં અમરપદ પામ્યું !”
પણ એ પહેલાં તપાસીએ એમનાં જીવનને સ્પર્શતા પ્રસંગો ! ઝવેરચંદ મેઘાણીના જીવનમાં જીવનની શરૂઆતે એક બીજી પણ મહત્વની ઘટના બની જેની તેમના સમગ્ર જીવન ઉપર અને સાહિત્ય જીવન પર વિશિષ્ટ અસર પડી ; અને એ હતું એમનું પ્રથમ લગ્ન ..તો આવતે અંકે પ્રથમ પત્નીનું અગ્નિ સ્નાન અને બીજું લગ્ન.અને સ્ત્રી સંવેદનો વિષયમાં સાહિત્ય પ્રદાન વિષે જોઈશું ..

 

 

૦૩ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

શ્રી અવિનાશ વ્યાસ નામની મને ઓળખ થઈ ‘મેંદી રંગ લાગ્યો’ ફિલ્મનાં ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે’ ગીતથી. પણ એ પછી તો આજ સુધી એમનાં ગીત-ગરબાનો રંગ મારાં મન પર એટલો જ છવાયેલો છે. આ ગીત આજે પણ સ્મૃતિમાં સળવળાટ કરતું બેઠું થાય છે. અવિનાશ વ્યાસ માટે કહેવાયું છે;: એ એક અમરત્વ લઈને ગયા છે. એક ભવ્ય વારસો મૂકીને ગયા છે. વાત એકદમ સાચી છે. કોણ જાણે કેટલાય વર્ષોથી આ મેંદી અસ્ત્તિત્વમાં તો આવી હશે? પણ જાણે એની સાચી ઓળખ, એનો ખરો રંગ પરખાયો અવિનાશ વ્યાસની આ રચનાથી!


‘કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર,

ઘુંઘટમાં જોબનની જ્વાળા, ઝાંઝરનો ઝમકાર,

લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર,

લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર,

અરે….ભાઈ જુઓ ગુર્જરી નાર…’ના નાદથી શરૂ થતો મારી અંદરની ગુજરાતણને આજે પણ જગાડે આ ગરબો. મેંદીનું ગીત તો મેં, તમે અને કોણ જાણે કેટલાય લોકોએ કેટલીય વાર ગાયું હશે, નહી? મારી જેમ તમે સૌએ પણ આ ગીત કેટલીય વાર ગણગણી લીધું હશે. કેટલીય વાર આપણે એના તાલે ગરબે ઘૂમી પણ લીધું હશે, નહીં? પણ લોકસમાજને હૈયે રમતી રચના જેમ ભૂલાતી નથી તેમ અવિનાશ વ્યાસ યાદ આવ્યા વગર રહેતા પણ નથી.

અવિનાશ વ્યાસે ગાયેલાં ગીત સ્મૃતિમાં આજે પણ તાજાં છે. એમનાં ગીતોમાં એવું તે શું છે કે યાદ કરી, ફરી ફરી વાગોળી, ગાઈ, ગરબે ઘૂમવાનું મન થાય? એના શબ્દો કે એની ધૂન? શબ્દોની કે તેની સાથે જોડાયેલી વાર્તા વિશે તમને આછો પાતળોય અંદાજ હશે? આ આખાં ગીતમાં પ્રિયતમના વિરહમાં ઝૂરતી એક પરણિતાની વાત છે. પતિ પરદેશ છે અને દિયર તેને મેંદી લગાવવાનું કહે છે ત્યારે પત્નીનાં મનમાં ઊઠતા ભાવો તે ગીતમાં વ્યક્ત કરે છે. પણ એ ભાવો પ્રાચીન છે. મૂળ વાત તો ગાયકીની અને સૂરીલા અવાજની છે. એ ક્યાં સૌના નસીબની વાત છે! પણ કેટલાય ગીતો એવા છે જે આજે પણ સામાજિક પ્રસંગોથી માંડીને સ્ટેજ પર ગવાયાં છે અને ગવાતાં રહેવાનાં છે.

જે ગેય છે એટલે કે ગાઈ શકાય છે એવી રચાનાઓનું પણ કેટકેટલું વૈવિધ્ય? નરસિંહ મહેતાનાં પ્રભાતિયાથી માંડીને મધ્યકાલિન ગીતપરંપરા, પ્રાચીન રાસ-ગરબા, સમકાલીન ગુજરાતી ગીતો, આધુનિક જેને રેપ સોંગની કક્ષામાં મૂકી શકાય એવાં ગીતો, ગઝલોની સમૃદ્ધિ, રંગભૂમિને ગજવતાં ગીતોનો વૈભવ અને ફિલ્મો દ્વારા પ્રચલિત ગીત-સંગીત. આ ફિલ્મોને તો એટલે યાદ કરવી પડે છે કે ઘણીવાર વર્ષોથી સાંભળતાં આવેલાં ગીતો કાનની આદત બની જાય. શબ્દો માટે સંગીત પણ એટલું જ અસરકારક માધ્યમ ખરું હો કે. મોઝાર્ટ કે બિથોવનની સિમ્ફની હોય તો એ પણ કાનને તો એટલી જ ગમવાની. કેટલીક વાર એવું ય બને કે જેમાં શબ્દ ન પકડાય કે ન સમજાય પરંતુ એનું સંગીત ચિત્તને, આત્માને ઝંકૃત કરી દે. અવિનાશ ભાઈનાં એવાં કેટલાય ગીતો છે કે જે સીધાં જ આપણી પ્રકૃતિ સાથે આપણને એકાત્મ કરી દે અને એ જાણે આપણાં જ હોય એટલાં સ્વાભાવિક લાગે.

એવી જ રીતે, લોકગીતોનો પણ અનોખો ઈતિહાસ છે. ક્યારે, કોણે એ રચ્યા છે એનાં મૂળ સુધી ઊતર્યા વગર સાવ સરળતાથી સ્વીકારી લેવાયેલાં ગીતો. આ લોકગીત માટે એવું કહેવાય છે કે ‘લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત. કંઠસ્થ સાહિત્ય પરંપરાથી ચાલ્યાં આવતાં કે કોઈ અજ્ઞાત ગીતકારે જોડીને વહેતાં મૂકેલાં ગાન.’

એક સમય હતો જ્યારે સ્ત્રીઓને એટલી મોકળાશ ન હતી કે સૌની વચ્ચે આવીને પોતાની વાત કહે. ત્યારે એ ઘરમાંજ રહીને ઘંટી પર ધાન દળતી વખતે, ઘમ્મર વલોણામાંથી માખણ તારતી વખતે કે પછી સરખે સરખી સહિયર સાથે કૂવાના કાંઠે પોતાનો રાજીપો કે વ્યથા વ્યકત કરતી વેળા મનમાંથી આપોઆપ સ્ફૂરી ઊઠેલા શબ્દોને એ એક હલક સાથે ગણગણી લેતી હશે અને સમય જતા એ લોકગીત તરીકે સ્વીકારાઈ ગયાં હશે.

અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. પછી તો તેમના ગીતો અને ગરબા ઘર ઘર સુધી પહોંચ્યાં અને એટલી હદે કે એ સૌને પોતાનાં લાગ્યાં. એના કર્ણપ્રિય શબ્દ અને સંગીતના લીધે કંઠસ્થ થવાં લાગ્યાં. અને પછી તો, એના ગીતકાર-સંગીતકાર કોણ છે એટલાં ઊંડાણ સુધી જવાના બદલે એને લોકગીત માની લેવામાં આવ્યાં અને એ રીતે જ ઝીલતાં રહ્યાં.એનાં તાલે સૌ કોઈ તન-મનના થનગનાટ સાથે ઝૂમ્યા.

એની પરવા ક્યાં આ સંગીતકારને હતી. પોતાનો નિજાનંદ લઈ એક પછી એક રચના કરતા ગયા અને પોતાની સાથે બીજા અનેક કવિઓની રચનાઓને સ્વરબદ્ધ કરીને સમૃદ્ધ કર્યા. પછી તો, એમની ગુજરાતી ગીતોની ધૂનનો પ્રયોગ હિંદી ફિલ્મોમાં પણ થયો. આ ગુજરાતી ગીત-ગરબા શેરીથી માડીને સ્ટેજ સુધી તો પહોંચ્યા જ સાથે એની લોકપ્રિયતાને લઈને કંઈ કેટલીય ગુજરાતી ફિલ્મોમાં પણ એ ગવાયાં. તેમનાં ગીતોમાં સાહિત્યિકતા ઘણાને ઓછી જણાય પણ, વાર્તાને અનુરૂપ, ગીતલેખનની સૂઝને ગુજરાતી ફિલ્મોમાં તેમણે બરાબર અમલમાં મૂકી. તેને લઈને ગુજરાતી ફિલ્મી ગીતોમાં અવિનાશભાઈની કલમ બરાબર નિખરી.

ઉપેન્દ્ર ત્રિવેદી એ કહ્યું હતું કે, “અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.”

ગુજરાતના લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતાં અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં  ‘પાંદડુ લીલુ ને રંગ રાતો, હેજી મારી મેંદીનો રંગ મદમાતો….’ ગીત હોય કે ‘‘નયન ચકચૂર છે’ ગીત પણ આજે ક્યાં ભૂલાય છે? કેવા મઝાનાં ગીતો?

કહેવાય છે કે એ અવિનાશ વ્યાસ હતા જેમણે સુગમ સંગીતને શિખરે બેસાડ્યું. ગુજરાતી સંગીતના ભીષ્મપિતા એમ નેમ કહેવાય છે? આ શિખરને આંબવાનો આયાસ આપણે કરીશું ને?  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“वाचिकं सर्व वाङ्ग्मयम ”

મિત્રો

વાંચન સાથે સર્જન અને સર્જનનું વાચિકમ કરતા સાહિત્યનું રસપાન

તો સાંભળો કથા પઠન: નયનાબેન પટેલ

 

ખુલ્લી બારીએથી ..વાચક- વસુબેન શેઠ

 

પરિચયના અલપઝલપ આ પ્રવાસમાં આજે મળીએ કવિયત્રી ગંગાસતીને
     જીવન માં ઘણી વખત અચાનક કાને એવા શબ્દો સંભળાય છે જેના ઊંડા વિચારો મને આજે પણ સ્પર્શી જાય  છે.જીવનની ક્ષણભંગૂરતા અને મોક્ષ પ્રાપ્તિ માટે જીવને જરૂરી સમજણ મને આપે છે.હું નાની હતી ત્યારે બા ગંગાસતીના ભજનો સંભાળતા સવાસો વર્ષ પહેલા થઈ ગયેલા ગંગાસતીના ભજનો હ્ર્દયને એવા સ્પર્શી ગયા છે કે ભૂલતા નથી.
         લોકકથાઓ અનુસાર ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં જન્મેલા ગંગાસતી સુંદર,સૌમ્ય અને રાજપૂત નારી,સુરીલો અવાજ,નામ ગંગા પણ સતી પછીથી ઉમેરાયું સતીનો અર્થ છે આત્મામાં સ્થિર થયેલી સુરતા. ..શીલ એટલે ચારિત્ર ચરિત્ર એટલે મર્યાદા અને મર્યાદા એટલે ધર્મ  આ ત્રણેનો સમન્વય વાળી સ્ત્રી અને સંજોગો પણ જોવો એમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમળિયાના ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા અને કહળસંગ ભક્તિ આંદોલનના નિત્ય  અનુયાયી.ગંગાને તો જાણે ભાવતું હતું ને તેજ મળ્યું. તેમને અજોભા નામનો પુત્ર થયો  જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા,કહળભા ગંગા સતીને ખુબજ માનથી બોલાવતા..પછી તો .ગંગાસતી અને કહળસંગનું ઘર ધાર્મિક સંત્સગ નું કેન્દ્ર બન્યું.લોકોનો અને સાધુ સંતનો કાફલો વધવા લાગ્યો જેથી નાના ઘરમાં સમાવેશ ન થતા બન્ને પતિ પત્ની ખેતરમાં ઝૂંપડી બાંધી અને રહેવા લાગ્યા અને ત્યાં સતસંગ ચાલુ રાખ્યો.એવું કહેવાય છે કે એક ખેડૂત ની ગાય સર્પના કરડવાથી મૃતયુ પામી .માનવ સ્વભાવ છે,કોઈયે વ્યગ માં કહ્યું,ભગત ને કહો કે એમની સિદ્ધિ નો ઉપયોગ કરે.કળુભા આવેશમાં આવીને સિદ્ધિનો પ્રયોગ કરવા પ્રેરાયા,ગાય સજીવન થઈ ,ગામમાં વાત ફેલાઈ. આવી પ્રસિધ્ધી એમના સંત્સગમાં બાધા ઉત્તપન કરશે,એમ સમજતા તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો.
       ગંગાસતી રજપૂતાણી હતી તેણે પણ દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો પણ કાળુભાઈએ સમજાવ્યા અને કહ્યું  તમને પાનબાઇનું આધ્યાત્મિક શિક્ષણ પૂરું ના થાય ત્યાં સુધી રોકાઈ જવાની મારી આજ્ઞા છે.
ગંગાસતીએ પાનબાઈને ઉદેશીને ભજન રચ્યા આ પદ એક પછી એક આવતાં ગયાં અને ગવાતા ગયાં ને આધ્યાત્મિક શિક્ષણ સરળ ભાષામાં ભજન દ્વારા સમજાવા માંડ્યું.એ બાવન ભજનોનું સત્વ એટલું છે કે તેના બાવન ગ્રંથો રચી શકાય.ગંગાસતી સાહિત્યકાર નથી છતાં તેમનું  પરંપરાગત તથા સત્વશીલ સાહિત્ય તેની આંતરશકિતથી સામન્ય હૈયાના દ્વારે કાયમી સ્થાન મેળવવામાં સફળ બન્યું ભજનવાણીના વિષયમાં ગંગાસતીનું વિરાટઅને વ્યાપક યોગદાનની આજે પણ સાહિત્યમાં નોંધ લેવાઈ છે.ગંગાસતીને ઓળખવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિ કેળવી પડે.ગંગાસતીએ જ્ઞાન માર્ગ અપનાવ્યો બ્રાહ્મસ્થિતિને પામ્યા,યોગમાર્ગ દ્વારા નિર્વિકલ્પ સમાધી પામ્યા અને ભક્તિમાર્ગે જઈ ભક્તિ સાથે વચન વિવેક સિદ્ધ કર્યા.અને માટે જ ગંગાસતીને સૌરાષ્ટ્રની મીરાં નહિ સવાઈ મીરાં કહેવામાં આવે છે. 
       જ્ઞાનની અમૃતધારા આ મધ્યયુગના સતીએ સરળ ભાષામાં મઠો અને મંદિેરોની બહાર લોકદરબારમાં લાવીને મૂકી હતી.આ એક અસાધારણ ઘટના હતી. પ્રેમલક્ષણા ભકિતના રંગે અનેક લોકહૈયા રંગાયા હતા.
વીજળીના ચમકારે મોતીડાં પરોવો રે
પાનબાઈ નહીતર અચાનક અંધારા થશે જી,
જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ,
એકવીસ હજાર છસોને કાળ ખસે જી…
        શાસ્ત્રોના વચનો તથા અનેક વિચારકોના તત્વચિંતનને સુપાચ્ય તથા સરળ બનાવીને આ પાનબાઈએ એમની સરળ ભાષામાં થોડામાં ઘણું સમજાવી મુક્યા જાણે દુનિયાના બધાજ ધર્મમાં ગ્રંથોનું જ્ઞાન ભજનમાં સમેટી મૂકી દીધું. ઉપરની આ પંક્તિઓ જયારે જયારે સાંભળું કે વાંચું ત્યારે થાય છે જીવન એક વીજળી ના ચમકારા જેવું છે અંધકારમાં ક્યારે ભળી જશે તેની ખબર નથી.સામાન્ય રીતે માણસ દર મિનિટે પંદર સ્વસો શ્વાસ સેવતો હોય છે. આ ગણતરી પ્રમાણે એક દિવસના એકવીસ હજાર છસો શ્વાસોશ્વાસ લે છે..કેવડી  મોટી વાત ? અને એમણે સરળતાથી જીવનનું મહત્વ ગળે ઉતારી દીધું.એમના પ્રસિદ્ધ ભજન વીજળીને ચમકારેમાં એમની કોઠાસૂઝ કે ગણિતની આવડત અનોખી રીતે છતી થયા વગર રહેતી નથી.
      ગંગાસતીએ ભજનો દ્વારા પાનબાઈ ને સાધુસંતો ના લક્ષણો,ભક્તિ માર્ગ,અહ્મથી થતો નાશ,ગુરુનો મહિમા વગેરે બાવન દિવસમાં નવી નવી રચના કરી પાનબાઈ ને સંભળાવતા અને સમજાવતા.ગંગાસતી ને પુત્રવધુ પણ એવી મળી જે સતીના પંથે ચાલી.ધન્ય છે આ ટ્રિપટી આત્મા ને…. અને બાવન દિવસમાં તો આઘ્યાત્મિક શિક્ષણ પૂરું થયું અનેક સંતો ભક્તોની હાજરીમાં,ચોપ્પન જેટલા ભજનો પુરા કરી,સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વરણ કર્યું……ત્યાર બાદ પાનબાઈએ પણ ગંગાસતીના શરીરના ત્યાગ પછી ત્રણ દિવસ બાદ શરીરનો ત્યાગ કર્યો. જાત તરફની જાત્રાનું મહત્વ આ સતીએ ગાયું અને સમજાવ્યું …સંસાર વચ્ચે રહ્યાં અને ઉજળા જીવનના આદર્શોની સ્થાપ્ના કરતાં ગયા …સવાસો વર્ષના વ્હાણા વીતી ગયા પણ હજુ ગંગા સતીના ભજનો તો અનેકના કંઠમાં જીવિત છે. આજે પણ તેમની કાળજયી રચનાઓ સમાન આદર ભાવથી અનેક લાકેો સાંભળે છે.આ ભવ્ય વારસાની અનેક વાતો આજે પણ એટલીજ પ્રચલિત છે.મારા બા આ ભજનો ગાતા આને હું પણ ગાઉં છું અને મારી દીકરી આ ટાઈપ કરતા રસથી સંભાળે છે.
સંતવાણી કે ભજનવાણી એ આપણાં સાહિત્યનો એક મહત્વનો તથા સત્વ ધરાવનારો પ્રવાહ છે. આથી આ સાહિત્યનું તેના શૂધ્ધ સ્વરૂપે જતન થાય તે જોવાની આપણી ફરજ છે.
વસુબેન શેઠ
અહી ભજન સાંભળો -http://www.mavjibhai.com/bhajan/034_vijaline.htm

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 02

કનૈયાલાલ મુનશીનો પરિચય.

વ્હાલા વાચકમિત્રો,

ક, ખ, ગ….. ગુજરાતી મૂળાક્ષરો ‘ક’થી શરૂ થાય છે. બાળકને જ્યારે કક્કો શીખવાતો ત્યારે ‘ક કમળનો ક’ અથવા ‘ક કલમનો ક’ એમ શીખવાતો.  જ્યારે સાહિત્યની વાત હોય ત્યારે તો ‘ક કલમનો ક’ હોય. એ કલમ; જેમાંથી શબ્દો ઝરે અને સાહિત્ય રચાય, જેની તાકાત તલવાર કરતા પણ વધુ કહેવાય છે, જેની પવનપાવડીએ ઊડી કવિ કે લેખક એક નવી સૃષ્ટિનું સર્જન કરે, જે કક્કાના છત્રીસ વ્યંજનો અને બાર સ્વરોનો ઉપયોગ કરી થોકબંધ સાહિત્યનું સર્જન કરે છે, જે ક્રાંતિની વાહક બને, જે લાગણીઓને વાચા આપે, જેમાં તણખાંની જેમ બાળવાની તાકાત છે તો ચંદનલેપ કરવાની પણ તાકાત છે, જે હાંફતા માણસને શાતા આપી શકે છે, જે મનનાં તળિયાંને સપાટી પર લાવી શકે છે, જે સત્તા પલટી શકે, જે બે હૈયાને જોડી શકે કે તોડી શકે છે. આ છે કલમની તાકાત. કસબી એટલે આવી તાકતવર કલમમાં જે કુશળ છે, નિપુણ છે તેને આપણે કલમનો કસબી કહીએ. જ્યારે ગુજરાતી સાહિત્યની વાત હોય તો કલમના કસબી તરીકે જે પહેલું નામ હોઠે ચડે તે છે કનૈયાલાલ મુનશી.

શ્રી કનૈયાલાલ મુનશી એક બહુમુખી પ્રતિભાના ધની હતા. તેમનાં સર્જનની વાત તરફ આગળ વધીએ એ પૂર્વે તેમનો વ્યક્તિગત પરિચય કરવો જરૂરી છે. આમ તો, તેમની ખ્યાતિ એટલી છે કે ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હોય જે તેમનાં નામ અને કામથી પરિચિત ન હોય પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે બહુ જાણીતી વ્યક્તિનું નામ તો સૌ જાણતાં હોય પણ તેમની અંતર્ગત સિદ્ધિઓ, તેમની લાક્ષણિકતાઓ કે તેમની વિશેષ ઉપલબ્ધિઓ વિશે જાણકારી કદાચ ન પણ હોય.

કનૈયાલાલ માણેકલાલ મુનશી કે જેઓ ક. મા. મુનશી તરીકે જાણીતા હતા . તેમણે ઘનશ્યામ વ્યાસનાં નામથી લેખનની શરૂઆત કરી હતી, જેની બહુ ઓછાં લોકોને જાણ હશે. વિધિની વિચિત્રતા કહીએ તો પ્રથમ શિષ્ટ – સંસ્કારી સાપ્તાહિક ‘ગુજરાતી’એ જ્યારે તેના લેખકને ગુજરાતી વાચકવર્ગ સમક્ષ પ્રથમ વાર રજૂ કર્યા, ત્યારે તેઓ પોતાનું ખરું નામ જાહેર કરતાં ડર્યા હતા કે તેમની કૃતિને ગુજરાતી વાચકવર્ગ સ્વીકારશે કે કેમ અને તેને સફળતા મળશે કે કેમ! તેથી તેમણે ‘ઘનશ્યામ’ તખલ્લુસ ધારણ કર્યું હતું. 30 ડિસેમ્બર 1887માં ભરૂચમાં જન્મ અને 8 ફેબ્રુઆરી 1971માં મુંબઈમાં નિધન. 83 વર્ષના તેમના જીવનકાળમાં તેમના મેઘધનુષી વ્યક્તિત્વનાં સપ્તરંગી કિરણો નિખરી ઊઠ્યાં.

પહેલો રંગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના  લડવૈયા તરીકેનો.

બીજો રંગ, તેઓ એક વિદ્વાન ધારાશાસ્ત્રી હતા અને કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા.

ત્રીજો રંગ, તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય હતા. ભારત સ્વતંત્ર બન્યું એટલે નવાં રાષ્ટ્ર માટે કેવું બંધારણ હોવું જોઈએ તે માટે બાબાસાહેબ આંબેડકરની આગેવાની હેઠળ બંધારણ સભાની રચના થઈ જેના સભ્ય તરીકેનું સન્માનનીય સ્થાન તેમને મળ્યું.

ચોથો રંગ, તેઓ એક રાજકારણી હતા. તેઓ સંસદ સભ્ય બન્યા એટલું જ નહિ, પણ કૃષિ અને ખાદ્ય મંત્રાલય પણ સંભાળ્યું.  પાછળનાં વર્ષોમાં તેમણે ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે પણ સેવા આપી. મુંબઈ રાજ્યના ગૃહ મંત્રી,  હૈદરાબાદ સ્ટેટના એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા તરીકે સેવાઓ આપી. તેઓ સ્વરાજ પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, સ્વતંત્રતા પાર્ટી અને જનસંઘના સભ્ય રહેલા .

પાંચમો રંગ, તેઓ એક શિક્ષણવિદ્ હતા. 1938માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી.

છઠ્ઠો રંગ પત્રકારિતાનો. તેઓએ એક ગુજરાતી માસિક ભાર્ગવ પણ શરૂ કરેલ. તેઓ યંગ ઇન્ડિયાના  સહતંત્રી પણ રહ્યા. તો ભારતીય વિદ્યાભવને ભવન્સ જર્નલ પણ શરૂ કરેલ જે આજ સુધી ચાલે છે.

સાતમો અને સૌથી શિરમોર રંગ એક સાહિત્યકાર તરીકેનો. ગુજરાતી સાહિત્યમાં તેઓ ખૂબ પ્રખ્યાત છે. તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેખન કર્યું છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના  પ્રમુખ પણ હતા. તો હિન્દી સાહિત્ય સંમેલનના પણ પ્રમુખ હતા. ઐતિહાસિક વિષય પર તેમણે ઘણું સાહિત્ય રચ્યું. ખાસ કરીને 10મી સદીનું ગુજરાત, માળવા અને દક્ષિણ ભારત. તેમની નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ પરથી ફિલ્મ પણ બની.

કહેવાય છે કે વિચાર જ વ્યવહાર બને છે અને વિચાર અને સંસ્કારનો પાયો છે બાળપણ. બાળકની સમૃદ્ધિનો ઇતિહાસ માતાના પાલવથી જ શરૂ થાય છે અને બાળપણની યાદોનાં બીજમાંથી સર્જન થાય છે વિચાર અને વ્યવહારનું. આ વિચાર અને વ્યવહાર જ્યારે વ્યક્તિત્વ બને છે ત્યારે એ વ્યક્તિ બને છે વ્યક્તિવિશેષ. તેથી જ મુનશીનું બાળપણ આપણને દોરી જાય છે તેમના વ્યક્તિત્વની સમૃદ્ધિ તરફ. મુનશીનાં બાળપણના પ્રદેશમાં વિહરવાં માટે કદાચ આપણે અડધે રસ્તે છીએ… તો આપણો વિરામ છે હવે અડધે રસ્તે…
પ્રિય વાચકો,
આપણે મળીશુ હવે અડધે રસ્તે..
મારા.. તમારા.. અડધે રસ્તે…
મુનશીના સર્જન ‘અડધે રસ્તે’માં…

— રીટા  જાની

 

 

 

मेरे तो गिरधर गोपाल – ૦૨ : અલ્પા શાહ

મીરાંબાઈ : શબ્દ, સંગીત અને સાહિત્ય ને જોડતી કડી



मेरे तो गिरधर गोपाल કોલમમાં આપનું સ્વાગત છે. આજે આપણે મીરાંબાઈનાં પદો અને મીરાંબાઈનાં જીવનચરિત્રનો અર્વાચીન યુગમાં સાહિત્યક્ષેત્રે જે પ્રભાવ જોવા મળે છે તેના વિષે જાણકારી મેળવીશું

મીરાંબાઈની ગણના મધ્યકાલીન યુગની એક અગ્રગણ્ય કવિયત્રી તરીકે થાય છે. મીરાંબાઈનાં પદોનો અભ્યાસ કરતા એમ લાગે છે કે, મીરાંબાઈએ પોતાના અનુભવ, ઉપદેશ અને પોતાના ગિરિધર ગોપાલ પ્રત્યેના તમામ ભાવને શબ્દ સ્વરૂપે તેમની રચનાઓમાં વહાવી દીધા છે. આપણી ગુજરાતીમાં એક પ્રખ્યાત કહેવત છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’. એટલે કે, જ્યાં સૂર્યનાં કિરણો પણ પહોંચવા અશક્ય છે ત્યાં કવિ તેમની કલ્પનાથી ગતિ કરી શકે છે. કવિ આ સ્થૂળ જગતમાં રહીને પણ આંતરમનનાં સૂક્ષ્મ જગત સાથે કવિતા દ્વારા જોડાણ કરાવે છે. કવિ તેમની કવિતા દ્વારા એક શાબ્દસૃષ્ટિની સાથે સાથે એક ભાવનાત્મક સૃષ્ટિનું નિર્માણ કરે છે. અને જયારે આ ભાવનાત્મક સૃષ્ટિમાં ભક્તિરસનો ઉમેરો થાય ત્યારે તો ભગવાન સાથે સીધું જોડાણ સધાય છે. એજ રીતે  મીરાંબાઈની રચનાઓ માં પણ ગિરિધર ગોપાલ સાથેનું તાદાત્મ્ય અનુભવાય છે.

મીરાંબાઈએ તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૧૫૦૦થી વધુ પદોની રચના કરી. આ ઉપરાંત  ૧) બરસી કા માયરા ૨) ગીતગોવિંદ પર ટીકા ૩) રાગ સોરઠ અને ૪) રાગ ગોવિંદ નામના સંગ્રહ પણ તેમના દ્વારા રચવામાં આવ્યા છે.  મીરાંબાઈનાં પદોમાં એક નારી હૃદયની પોતાના પ્રિયતમ, પ્રાણનાથ, સ્વામી પ્રત્યેની દરેક સંવેદનાઓ એકદમ નક્કર સ્વરૂપે અનુભવાય છે. સાહિત્યની દૃષ્ટિએ મીરાંબાઈનાં પદો કદાચ સુરદાસ કે તુલસીદાસ જેટલાં ઉચ્ચ કોટીનાં ન હતાં પણ એમનાં પદોમાં જોવા મળતી નારી સહજ સંવેદના અને કોમળતા બીજે ક્યાંય જોવાં નથી મળતાં.

મીરાંબાઈની રચનાઓની ભાષા વિષે અમુક મતમતાંતરો પ્રસરેલા છે. મોટાભાગની તેમની રચનાઓ રાજસ્થાની ખડી બોલીમાં રચાયેલ છે તો અમુક પદોમાં વ્રજ ભાષાની પણ છાંટ જોવા મળે છે. તો પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે, મીરાંબાઈનાં ભજનો ગુજરાતી ભાષામાં કેવી રીતે પ્રચલિત થયાં. એક વાયકા પ્રમાણે, મીરાંબાઈ તેમના છેવટના જીવનકાળમાં દ્વારકાપુરીમાં આવીને વાસી હતી. તો તે સમયે તેમણે ગુજરાતીમાં રચનાઓ કરી હોઈ શકે. કાળક્રમે મીરાંબાઈનાં ભજનો બધી જ ભારતીય ભાષાઓમાં પ્રચલિત અને લોકપ્રિય થયાં.


અર્વાચીન સમયમાં તો મીરાંબાઈનાં પદો અને ભજનો ભાષાઓના, દેશના સર્વે સીમાડા ઓળંગી ગયાં અને મીરાંબાઈનાં પદોનું અંગ્રેજીમાં ભાષાંતર થવાં માંડ્યું. ૧૯૮૦માં A.J. Alstonએ લગભગ ૨૦૦ જેટલાં મીરાંબાઈનાં પદોનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને The Devotional Poems of Mirabai પુસ્તક પ્રગટ કર્યું (https://www.amazon.com/Devotional-Poems-Mirabai-English-Hindi/dp/8120804414).


મીરાંબાઈનાં જીવન પરથી પ્રથમ ફિલ્મ ‘મીરાં’ ૧૯૪૭માં બની. એમાં શાસ્ત્રીય સંગીતની પ્રખર ગાયિકા  M.S. Subbalakshmi એ પ્રમુખ અભિનેત્રી તરીકે અભિનય આપ્યો છે અને સાથે સાથે આ ફિલ્મમાં મીરાંબાઈનાં ૨૦ જેટલાં પદો M.S. Subbalakshmiના સુમધુર કંઠે ગવાયેલાં છે.

શબ્દોની સાથે સાથે મીરાંબાઈને સૂર અને તાલની પણ સ્વામીની માનવામાં આવે છે. તેમણે પોતે પોતાનાં મોટાભાગનાં પદોને સૂરબધ્ધ કરેલાં અને આજે પણ એ કર્ણપ્રિય ભજનો આખાં વિશ્વમાં પ્રસિદ્ધિને પામ્યાં છે. એક વાયકા પ્રમાણે, ‘મીરાંબાઈ કી મલ્હાર’ નામનો રાગ મીરાંબાઈ દ્વારા રચવામાં આવ્યો હતો. મહાન ગાયિકા શોભા મુદ્ગલ આ વાતનું સમર્થન આપી રહેલ છે. કહેવાય છે કે, જયારે રાણાએ મીરાંબાઈને ઝેરનો કટોરો મોકલ્યો અને રાણાનું મોકલેલ વિષ પીવા છતાં મીરાંબાઈનો વાળ પણ વાંકો ના થયો ત્યારે રાણાએ તેના સેવકને બે ટીપાં ઝેર પીવાનું કહ્યું, ઝેરની અસરકારકતા પુરવાર કરવા. અને સેવક ત્યાં જ મૃત્યુ પામ્યો. એ વખતે મીરાંબાઈ એ રાગ મલ્હાર ગઈને મેઘરાજાને આહવાન આપ્યું અને તરત જ મેઘરાજાનું આગમન થયું અને સેવક જીવિત થયો. મીરાંબાઈ કી મલ્હાર આજે પણ શાસ્ત્રીય સંગીતનો એક વિશેષ રાગ ગણાય છે.


મીરાંબાઈનું જીવન અને ખાસ કરીને તેમની એક સ્ત્રી તરીકે જીવનમાં આવેલા સંઘર્ષની નોંધ સાહિત્ય જગતે  પણ લીધેલ છે.  અનેક  સાહિત્યકારો એ મીરાંને પોતાની કલમ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના સાહિત્યમાં જીવિત કરી છે. વિશ્વકવિ  રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા “સ્ત્રીર પત્ર” (A Wife’s Letter)માં જયારે નાયિકા પોતાના પતિને છોડીને જાય છે ત્યારે પત્રમાં આ લખી ને જાય છે: Do not fear that I will kill myself. I am not going to play that old joke on you. Meerabai too was a woman like me, and her chains were by no means light, but she did not seek death in order to live. આ સ્ત્રી પાત્ર પણ મીરાંબાઈનાં જીવનમાંથી અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમીને પણ એક નવું જીવન શરૂ કરવાની પ્રેરણા લે છે. તો અમેરિકા સ્થિત ભારતીય લેખિકા Tanmeet Sethiએ પોતાની નવલકથા Blue Tyrstમાં મુખ્ય નાયિકાનું ચિત્રણ પણ મીરાંબાઈનાં જીવન ચરિત્ર પરથી કરવામાં આવ્યું છે. એમાં મીરાંબાઈને  પ્રાચીન અને અર્વાચીન વિચારધારાની જોડતી કડી તરીકે નિહાળવામાં આવી છે. આવા તો બીજા ઘણા સાહિત્યકારો છે જેને મીરાંબાઈનાં જીવનચરિત્રનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના સાહિત્યમાં સમાવેશ કર્યો છે.


આમ જોઈ તો, મીરાંબાઈ એક એવું જીવન જીવી ગયાં કે જેની સુવાસ હજુ સુધી અર્વાચીન યુગમાં પણ એટલી જ તાજી રહેલ છે. એક સોળમી સદીની રાજપૂત ઘરાનાની સ્ત્રી જે પિતાંબરધારી મુરલીધર ગિરિધર પાછળ પ્રેમદિવાની થઈ ગયેલ હતી અને જેનું સમગ્ર જીવન જ સંઘર્ષનો પર્યાય હતો છતાંય એ સંઘર્ષો સામે ઝઝૂમતો પોતાની પસંદગી મુજબનું જીવન જીવી ગઈ.  અને કદાચ એટલે જ દેશ વિદેશના સાહિત્યકારો એ પણ તેમનાં જીવનચરિત્રની નોંધ લીધી છે.

મીરાંબાઈ કે જે તેમના પોતાના અતરંગીઓએ પાથરેલા આટાપાટા વચ્ચે પણ,  તેમના શબ્દો, સંગીત અને શ્રદ્ધાના સથવારે અમર થઈ ગયા.


તો ચાલો આવતાં અઠવાડિયાથી આપણે આ અમરત્વ અપાવનાર મીરાંબાઈનાં પદો કે જે તેમની તેમના ગિરિધર ગોપાલના પ્રેમની ઉત્કૃષ્ટ પરાકાષ્ટાને છતી કરે છે તેને જરા વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું અને આજના અર્વાચીન યુગના લેન્સથી નિહાળવાનો પ્રયત્ન કરીશું. મીરાંના ગિરિધર ગોપાલના ચરણોમાં આ શબ્દ પુષ્પો સમર્પિત કરી વિરમું છું.

અંતરંગીઓ એ પાથરેલા બેરંગી આટાપાટા વચ્ચે પણ,
તુજ કૃપા થી મેઘઘનુષના રંગો પૂરાયા મુજ જીવનમાં.
ઓ ગિરિધર, મને તારાં મોરપીંછનો એક રંગ બનાવી લે.



— અલ્પા શાહ

ર -કબીરા-જીગીષા પટેલ

આ કબીરો છે કોણ?
ઘર ફૂંકા મૈ આપના,લૂકા લિન્હા હાથ
વાહુ કા ઘર ફૂંક દૂઁ જો ચલે હમારે સાથ.
 
 ફાક્કાનું પુસ્તક વાંચન અંગે કહેલ વાક્ય જે મને બહુ ગમી ગયેલ તે ટાંકીને કહું તો,
 
“ખચ્ચ દઈને હુલાવી દે,ઊંડો ઘા કરે કે માથું ફોડીને સફાળા અડધી ઊંઘે બેઠા કરી મૂકે એવા શબ્દો નહોય તો વાંચ્યું શા કામનું?
 
કબીર મારાે કબીરાે બની ગયા કારણ તેમનો મિજાજ પણ તેમની સાહેબીમાં કંઈક ફાક્કા જેવો જ સંભળાય છે.ઉપરના દોહામાં સાથે ચાલવાની એમની પૂર્વશરત કપરી છેઃસ્વયંનું ઘર તો ફૂંકી માર્યું છે,તારુંય ફૂંકી મારવું છે.અહીં ફાક્કાનો અને કબીરનો ક એકાકાર થઈ જાય છે! કબીરતો કહે છે,હમ ધૂર ઘર કે ભેદી લાયે હુકુમ હજુરી’ એ તો ખુદ ખુદાનો ખબરી,સુરત શબ્દનો જોગટો હતો.શરીર મન અને ચૈતન્યના બારીક નકશાઓનો રહસ્યવેત્તા હતો.
મધ્યકાલીન ભક્તિપરંપરામાંથી બોલવે-ચાલવે આટલો તોછડો,તીરછો અને છતાં જેની મોહિનીમાંથી છૂટવું બિલકુલ અસંભવ હોય તેવો પ્રેમી કવિ બીજો તો શોધ્યો જડતો નથી.કબીરની કોઈક અણજાણ કવિએ કરાવેલ ઓળખ મારા મનને અડી ગઈ.
 
કોઈ સાધુ ફકીરને ઓળખ.
તે પ્રથમ આ શરીરને ઓળખ.
 
ધન વગર મોજશોખ માણે છે
કોક એવા અમીરને ઓળખ.
 
તું જ આસન લગાવ અંતરમાં
તું જ તારા કબીરને ઓળખ.
 
 કબીરનો કોઈ ધર્મ નથી ,કોઈ જાત નથી ,કોઈ સંપ્રદાય નથી તેના પદોને કોઈ જોડણીકોશના અર્થનું વળગણ નથી .કબીરને સીધો સંબધ છે હ્રદયના શુધ્ધભાવ સાથે ,જેને લીધે એ મુક્તિનો અનુભવ આપી શકે છે.એ બધા સાથે છે પણ છતાં જાત સાથે જોડાયેલા છે.પોતાના કર્મને કર્તાભાવ વિના સાક્ષીભાવે જોઈ શકે એ કબીર છે.
સહજભાવે જે સુઝે તે જ એકતારાના તારમાં પ્રગટે, કબીર માણસને ઓળખે  છે.કાવાદાવા, છળકપટ,નાતજાતના વાડા -બધાને જાણે છે છતાં આ સંતની મહત્તાતો જુઓ એ માણસને ચાહ્યા વિના ક્યાં રહી શકે છે?.
કબીર સાક્ષર ન હતાં- ‘મસિ કાગદ છૂવો નહીં, કલમ ગહી નહિં હાથ’ તેમણે સ્વયં ગ્રંથ નથી લખ્યાં, મોં થી ભાખ્યાં અને તેમના શિષ્યોએ તેને લખી લીધાં …કવિ કબીર સ્વીકૃતિના કવિ છે એના બધા પદો સંભાળતા જ માણસ વાતને સ્વીકારી લે.એમના શબ્દો ઉપાધિનું સમાધિમાં રૂપાંતર કરી શકે તેવી શક્તિવાળા.પદોના અનુભવની પરાકાષ્ટા તો જુઓ તમને આધ્યત્મના શિખરે લઇ જાય ..
અભિલાષ દાસ તો કબીરજીની વાણીથી ઓળઘોળ થઈકહે છે ,
“જ્યારે તમે જગત અને જગતની વાતોથી ઉપર ઊઠી જાઓ છો ત્યારે પ્લેનમાં આકાશમાં પહોંચી બારીમાંથી નીચે જોઈએ તો મોટા મોટા બિલ્ડીંગ સાવ નાના ,નદીઓ પાણીના રેલા જેવી અને હર્યા ભર્યા ખેતર ચોરસમાં પૂરેલ રંગોળી જેવા લાગે છે.તેમ પોતાના વિચારોથી ઉપર ઊઠી જાઓ ત્યારે દુનિયાની વાતો અને વસ્તુઓ સાવ નાની અને બાલિશ લાગે છે.”
આજનો માણસ એમના એક એક પદમાં ઉજાસ ભાળે છે. કબીરની જીવન અને જગત પ્રત્યેની નિસ્બત જ અલગ છે આવા કબીરના પદો વાંચતા મને કબીર કબીરો મારા મિત્ર જેવો ભાસે છે.માટે હું એને કબીર ન કહેતા ક્બીરો કહું છું.મારા દરેક સવાલના જવાબ કબીરા પાસે છે.એના પદોમાં ભલે શબ્દની સૃષ્ટિ દેખાતી હોય પણ કબીર પાસે કોઈ યમ નથી કોઈ નિયમ નથી કોઈ ક્રમ નથી બધું જ અકળ આપમેળે ચાલ્યા કરે ,આવે અને જાય, કોરી પાટી જેવું મન અને હૃદય.એ સ્નાન કરે છે ત્યારે પણ ઈશ્વરના અનુગ્રહનો અનુભવ કરે છે.નદીએ ન્હાતા અને ક્રિયા કરતા બ્રાહ્મણને જોઇને સ્ફુરે છે પદ અને એમના માથા પર ઝરે છે કૃપાનું જળ. શરીરનો મેલ અને મનમાંથી મલિનતા દુર થવા માંડે.પગથી માથા સુધી પવિત્રતાના પર્યાય જેવી સ્વચ્છતાનો અનુભવ થાય છે.હું પણ એમના આ પદ વાંચતા એક નિરાળો અનુભવ મેળવું છું. ફૂલ જેવી હળવાશ……એક નિરાળી સુગંધ બાથરૂમના બંધ બારણે ………કબીરના દોહાના સાનિધ્યમાં હું માણું છું.
મારું એકાંત…….અને….. એકાંતમાં એક માત્ર મારો સાથીદાર મારો આત્મા.
 કબીર મન નિર્મળ કરો, જેવું ગંગા નીર;
પાછળ-પાછળ હરી ફરે, કહિ કબીર કબીર
પોથી ભણીને જગ મર્યુ, પંડિત થયો ન કોઈ;
અઢી અક્ષર પ્રેમના, જે ભણે તે પંડિત હોઈ
જિગીષા પટેલ