કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 20

વધુ લખું એ પહેલા આજે એક નજર અહીં કરએ.

 

કનૈયાલાલ મુનશીની જીવન સફર કરેલા કાર્યોની યાદગાર યાદી
૧૯૦૪ – ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના
૧૯૧૨ – ભાર્ગવ માસિકની સ્થાપના
૧૯૧૫ – ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું
૧૯૨૨ – ગુજરાત માસિકનું પ્રકાશન
૧૯૨૫ – મુંબઇ ધારાસભામાં ચુંટાયા
૧૯૨૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
૧૯૩૦ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
૧૯૩૩ – કોંગ્રેસના બંધારણનું ઘડતર
૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન
૧૯૩૮ – ભારતીય વિદ્યા ભવનની સ્થાપના
૧૯૩૮ – કરાચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
૧૯૪૮ – સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર
૧૯૪૮ – હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
૧૯૪૮ – ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
૧૯૫૨-૫૭ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
૧૯૫૭ – રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
૧૯૫૪ – વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
૧૯૫૯ – સમર્પણ માસિકનો પ્રારંભ
૧૯૬૦ – રાજકારણમાંથી નિવૃત્ત
કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત અને ખ્યાતનામ કૃતિઓ
ગુજરાતનો નાથ
પાટણની પ્રભુતા
પૃથ્વી વલ્લભ
કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮
રાજાધિરાજ
જય સોમનાથ
ભગવાન કૌટિલ્ય
ભગ્ન પાદુકા
લોમહર્ષિણી
ભગવાન પરશુરામ
વેરની વસુલાત
કોનો વાંક
સ્વપ્નદ્રષ્ટા
તપસ્વિની
અડધે રસ્તે
સીધાં ચઢાણ
સ્વપ્નસિદ્ધિની શોધમાં
પુરંદર પરાજય

मेरे तो गिरधर गोपाल – 20 : અલ્પા શાહ

हे री मैं तो प्रेमदिवानी : મીરાંબાઈનાં પ્રેમરસથી છલકતાં પદો

हे री मैं तो प्रेम-दिवानी मेरो दरद न जाणै कोय।
दरद की मारी बन बन डोलूं बैद मिल्यो नही कोई॥

મીરાંબાઈ પ્રેમલક્ષણા ભક્તિની પરાકાષ્ટા હતાં. મીરાંબાઈ માટે ગિરિધર ગોપાલ જ સર્વસ્વ હતા; પ્રિયતમ, પ્રેમી, પતિ બઘું જ. મીરાંબાઈનો શ્યામસુંદર સાથેનો અલૌકિક સંબંધ માત્ર અને માત્ર પ્રેમભાવનાં તાંતણે બંધાયેલો હતો. કહેવાય છે કે જયારે ચિત્તમાં કોઈ પણ ભાવનો પ્રમાણથી વધું માત્રામાં આવેશ જાગે ત્યારે મનુષ્યની મન:સ્થિતિ વશમાં નથી રહી શકતી અને એ પરિસ્થિતિમાં મનુષ્ય પોતાનાં હૃદયમાં ઊઠતું લાગણીઓનું પૂર શબ્દો દ્વારા વહાવી દેવાં વિવશ થઈ જાય છે. જો વિરહનો ભાવ અધિક માત્રામાં હોય તો શબ્દોમાં વિરહ વેદના વહે છે અને જો પ્રેમભાવનું પ્રાધાન્ય હોય તો શબ્દોમાંથી પ્રેમરસ છલકે છે. આજે આપણે મીરાંબાઈનાં અમુક પ્રેમરસથી છલકતાં પદોની છોળોમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

મીરાંબાઈનાં આ પ્રેમરસથી છલકાતાં પદોમાં ક્યાંક સખી બનીને પોતાના પ્રિયતમ માટેનો માધુર્યભાવ પ્રગટ કર્યો છે તો ક્યાંક પત્ની સ્વરૂપે પોતાના પતિ માટેનો આદરપૂર્ણ પ્રેમભાવ પ્રગટ કર્યો છે. તો વળી, ક્યાંક ઉત્કંઠા, પ્રતીક્ષા, આશા, કલ્પના અને ક્યાંક અવહેલનાનો ભાવ પણ પ્રગટ થયો છે. નીચેનાં સુંદર પદમાં મીરાંબાઈ શ્યામસુંદરનાં મનમોહક ચંદ્રવદન પર રૂપાસકત થઈ ગયાનો ભાવ કરે છે અને રજુ કરે છે કે, પ્રિયતમની સાંવરી મુખચંદ્રની અપૂર્વ છટા પર પોતે મુગ્ધ થઈ ગયેલ છે અને શ્યામસુંદરનાં કમલનયનની માધુરીએ તેમને આકુળ-વ્યાકુળ કરી દીધેલ છે.

चंद्र वदन पर म्हारो भंवरो बस्यो ए आली
जल बिच कमल कमल बिच कलियाँ
कलियाँने देख्यां म्हारो भवर हस्योँ ए आली
लगन लगी जड़यां लाज कहाँ गई
प्रीत करया पाछो पड़दो कश्यो ए आली
मीरांबाई के प्रभु गिरिधर नागर
हरि का चरणां में महारो जीवड़ो फँस्यो ए आली.

તો વળી, નીચેનાં પદમાં મીરાંબાઈનો પ્રેમરસ સમર્પણ ભાવે પ્રગટ થયો છે. મીરાંબાઈ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને જાણે પોતે હરિના હાથે વેચાઈ ગયાં હોય તેવો ભાવ પ્રગટ થયો છે. આટલા સરળ શબ્દોમાં આવો દ્રઢ પ્રેમાનુરાગ માત્ર મીરાંબાઈ જ રજૂ કરી શકે.

भाई मेरे नैनन बन परी री
जा दिन नैना श्याम न देखौ बिसरत नाही घरी री
चित बस गई सांवरी सूरत उरते नाही टरी री
मीरां हरि के हाथ बिकानी सरवस दे निबड़ी री

મીરાંબાઈનાં અમુક પ્રેમરસનાં પદો તેમણે નૈવૈદ્ય-સમર્પણના ભાવથી રચ્યાં છે. જે સામાન્ય રીતે થાળ તરીકે ગવાતાં હોય છે. નીચેનાં પદમાં તેમનો ભારોભાર વિનમ્રતાનો ભાવ પણ પ્રગટ થાય છે અને પ્રભુ તો ભાવનાં જ ભૂખ્યા છે. તેની પ્રતીતિ પણ મીરાંબાઈ આ પદમાં કરાવે છે.

હરિ મેં તો કીધી છે ઠાકોર થાળી રે, પધારો વનમાળી રે વનમાળી
પ્રભુ કંગાળ તોરી દાસી, હાંરે પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી
દાસીની પૂરજો આશી!
પ્રભુ સાકર, દ્રાક્ષ, ખજૂરી, માંહે નથી બાસુંદી કે પૂરી
મારે સાસુ નણદીની સૂળી
પ્રભુ ભાત ભાતના મેવા લાવું, તમે પધારો વાસુદેવા
મારે ભુવનમાં રજની રહેવાં
હાંરે મેં તો તજી છે લોકની શંકા, પ્રીતમ કે ઘર હે બંકા
બાઈ મીરાંએ દીધા ડંકા

શ્રીમદ ભાગવતના ૧૧મા સ્કંધનાં ૧૪મા પ્રકરણના નીચેના શ્લોકમાં ભગવાન પ્રભુપ્રીતિનું માહાત્મ્ય સમજાવે છે.

वाग् गद्गदा द्रवते यस्य चित्तं
रुदत्यभीक्ष्णं हसति क्व‍‍चिच्च
विलज्ज उद्गायति नृत्यते
मद्भ‍‍क्तियुक्तो भुवनं पुनाति २४

અર્થાત, હરિનું સ્મરણ કરતાં કરતાં જે મનુષ્યની વાણી ગદગદિત થઈ જાય છે, હૃદય દ્રવિત થઈ જાય છે તે ક્યારેક ઊંચા સ્વરે સ્મરણ કરે છે, ક્યારેક અશ્રુઓની વર્ષા થાય અને ક્યારેક બધી લાજશરમ છોડી મુક્ત મને નાચતાં નાચતાં હરિનું ગુણગાન ગાય છે. એ મનુષ્ય સ્વયં તો પવિત્ર આત્મા હોય જ છે પણ તે પોતાના સત્સંગથી તેની આજુબાજુનાં જગતને પણ પવિત્ર કરી દે છે. મીરાંબાઈ પણ આવો એક પવિત્ર આત્મા જ હતો. ગિરિધર ગોપાલ પ્રત્યેના પ્રેમમાં મીરાંબાઈની ઉત્કટતા પણ હતી અને ઉત્કંઠા પણ હતી, વિરહ પણ હતો અને વહાલ પણ હતું. મીરાંબાઈનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ unconditional (બિનશરતી) હતો. ઘણીવાર એવો વિચાર આવે કે, શું આ રીતે કોઈને ચાહવું આ કળિયુગમાં શક્ય છે? આ સંસારના મોટા ભાગના લૌકિક સબંધો conditional હોય છે કે જ્યાં બંનેને એકબીજા પાસેથી કંઈક અપેક્ષા હોય છે. માત્ર મા-બાપનો સંતાન સાથેનો સબંધ મહદંશે unconditional હોય છે. એટલે જ કદાચ મોટા ભાગના લૌકિક સબંધોમાં અપેક્ષા પૂરી ન થતાં હચમચવાં લાગે છે. મીરાબાઈનો કૃષ્ણપ્રેમ તો અલૌકિક અને અમાપ હતો અને એ જ તો પ્રેમ કરવાની સાચી રીત છે. The measure of love is to love without measure.

તો ચાલો, આજે મીરાંબાઈના અદભુત કૃષ્ણપ્રેમને મનમાં મમળાવતાં મમળાવતાં મારી કલામને વિરામ આપું છું.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૧૯-કબીરા

કબીરબીજક- કહરા

કબીરા વિશે શું કહું? જેમ જેમ હું એને જાણવા પ્રયત્ન કરતી જાઉં છું તેમ તેમ જાણે એના અસ્તિત્વના ઉઘાડથી અભિભૂત થતી જાઉં છું. કબીરનાં એક નવાં પાસાને તમારી સમક્ષ ઉઘાડવાં માંગું છું. આજે હું તમને કબીરબીજકનાં કહરા પ્રકરણ વિશે વાત કરતાં કબીરમાં રહેલ લોકકવિનાં દર્શન કરાવવાની છું.
કહરા એટલે કહાર નામની જાતિમાં લગ્ન અને બીજા મંગલ પ્રસંગે ગવાતું સમૂહ ગાન. ઉત્તરપ્રદેશમાં આજે પણ કહાર નામની જાતિના લોકો લગ્નપ્રસંગે આગવું નૃત્ય કરે છે. નૃત્ય સાથે ગાન જોડીને તેઓ ઉત્સવનું આકર્ષણ વધારી દે છે. ‘કહરા’ પ્રકરણમાં જે છંદનું માપ કબીરે ગોઠવ્યું છે તે પણ નૃત્યને અનુકુળ લાગે છે. કુલ ત્રીસ માત્રાની એક પંક્તિ છે. સોળ માત્રાએ યતિ રાખવામાં આવી છે. પછીની ચૌદ માત્રાએ પંક્તિ પૂર્ણ થાય છે.

લોકો જે ઢાળે કહરા ગાતા હતા તે ઢાળને પોતાની કથન શૈલીમાં ગૂંથી લઈને કબીરે તત્ત્વજ્ઞાનની ભારેખમ અને શુષ્ક લાગતી વાતોને રસિક બનાવી રજૂ કરી છે. આમ, કબીરે પોતાની આગવી રીતે કાવ્યસ્વરુપનો ઉપયોગ કર્યો છે તે નોંધનીય છે. કબીરે ભારતના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરીને, લોકોને સાખી, દુહા, પદ, ભજનો અને આવાં લોકસંગીતથી મઢેલાં કહરાનાં પદો દ્વારા જીવન જીવવાનો સાચો અને વ્યવહારુ માર્ગ ચીંધ્યો છે.
કહરાનાં પહેલાં પ્રકરણમાં કબીરે ગુરુનાં વચનનો વિશ્વાસથી અમલ કરી સહજ ધ્યાન કેવી રીતે કરાય તે સમજાવ્યું છે. આજે જ્યારે જગતના સર્વે સંપ્રદાયો ધ્યાનની અગત્ય પર ભાર મૂકતા થયા છે ત્યારે છસ્સો વર્ષ પહેલાં કબીરે ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમની ધ્યાન વિશેની સમજ પણ વિશિષ્ટ છે. ધ્યાનનાં બે પ્રકારનાં છે; સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન. સગુણ ધ્યાન કરતી વખતે સાધક કોઈ આકૃતિ કે પદાર્થનો આધાર લે છે. કબીર એવાં કોઈ આધાર લેવાની જરુરિયાત જોતા નથી. તે કહે છે, આલંબનથી કરવામાં આવતું ધ્યાન અસહજ છે. શરીરમાં રહેલાં ચૈતન્ય મનની ગતિવિધિ સાક્ષી બનીને જોયાં કરવું તે અસલ ધ્યાન છે. સાધકે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર જેવા દુર્ગુણોને ઓછા કરવાનો પ્રયત્ન કરીને ક્ષમા જેવા ગુણને કેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
કબીરે જીવનની નૌકાને સડસડાટ પાર કરવાના એવા સરળ રસ્તા બતાવ્યા છે કે જીવનનાં દરેક ડગલે તેની સૌ વાત સમાઈ જાય છે.
મન વહુ કહહુ રહહુ મન મારે, ખિજવા ખીજિન ન બાેલૈ હો
માનૂ મિત મિતૈવો ન છોડૈ, કમર ગાંઠિ ન ખોલેૈ હો… (કહરા ૧-૪)
કબીર આ કહરામાં પોતાના મન પર કાબુ રાખવાનું કહે છે. કોઈ આપણા પર ક્રોધ કરે તેની સાથે પણ શાંતિ રાખવાનું કહે છે. બીજી અગત્યની વાત આ કહરામાં એ કહી છે કે જેને તમે એકવાર મિત્ર માન્યા હોય તેની સાથે કદી મિત્રતા તોડવી નહી. આ વાત સાંભળી મને કૃષ્ણ – સુદામાની દોસ્તી યાદ આવી જાય છે. દોસ્તી પોતાની જાતને મળેલી, દોસ્તના વહાલનાં સગપણની ભેટ છે. વર્ષોનાં સંબંધમાં પ્રેમથી જે મેળવ્યું હોય તે વેડફાય નહીં તેની તકેદારી રાખવાનું શીખવે છે.

પ્રારબ્ધ તો ભોગવવું જ પડે તેને સાવધાની પૂર્વક ભોગવી લેવું તેમ શીખવે છે. દુઃખથી ડરવું નહીં અને સુખમાં પણ ખૂબ સાવધાની રાખી મન મિથ્યાભિમાનમાં સરકી ન જાય તે જોવાનું કબીર કહે છે.

જ્ઞાન થકી મોતનો સહજ સ્વીકાર કરવાનું કહે છે. મોત એ સર્વ માટે નિશ્ચિત છે જ. તે જ આપણું સાચું ઘર છે. અહીં તો આપણે થોડાં વર્ષોની સફરે આવ્યા છીએ તો તે સફરનો આનંદ લઈ નિર્લેપતાથી જીવન જીવી મોતને સ્વીકારવાની વાત કબીર કરે છે. જેણે પોતાનો સ્વપરિચય કર્યો હોય તે જ મોતની વેદનામાંથી બચી શકે છે.

કહરાના લોકસંગીત દ્વારા કબીર જીવનસંગીતને કેવી રીતે ગાતાં ગાતાં જીવવું તે સમજાવે છે. કબીર કુંભાર, નાવિક, વણકર વગેરે કામોનાં ઉદાહરણ આપી સરળ રીતે જીવનના સત્ય પર પ્રકાશ પાડે છે. વેપારીએ પ્રામાણિક્તાથી વેપાર કરવો જોઈએ કારણ કે આ જીવન તો માત્ર બે દિવસનું જ છે, બધું અહીં છોડીને જવાનું હોય તો દુષ્કર્મ કરી આપણી અંદર બેઠેલા રામને છેતરવાની શી જરુર? ધન કે સાધન સંપત્તિનું અભિમાન ભવસાગરમાં ડૂબાડનાર ચતુરાઈ છે- જેવાં બ્રહ્મવાક્યો જેઠ-જેઠાણી અને પતિ -પત્નીનાં રુપક દ્વારા કહાર પ્રજાને સમજાવતાં દુનિયાના સર્વ લોકોને સમજાવી દીધું છે.

નૌકા અછત ખેવૈ નહિ જાનહુ, કૈસે લગવહુ તારા હો,
કહંહિ કબીર રામરસ માતે, જુલહા દાસ કબીર હો….(કહરા – ૧-૧૬)

આ કહરામાં કબીર કહે છે શરીરરૂપી હોડી હોવાં છતાં તેનો સદુપયોગ કરવાનું જાણતાં ન હોઈએ તો સંસારસાગર પાર કેવી રીતે ઉતરાય? શરીરનો સદુપયોગ કરવાં માટે બુધ્ધિ અનિવાર્યપણે આવશ્યક છે, તેથી આજે પણ બૌધ્ધિક કેળવણી ખૂબ જરુરી છે. બીજી પંક્તિમાં કહે છે માત્ર રામનામના પોપટ પરાયણ કરાવનાર અજ્ઞાની ગુરુ શિષ્યનું આત્મકલ્યાણ કેવી રીતે કરી શકે?
બધી રીતે માયાથી પર થઈને જીવવાનું કબીર કહે છે. શું ભર્તુહરી જેવા જ્ઞાનીઓએ કરેલી વાતને લોકસંગીત દ્વારા લોકભોગ્ય બનાવનાર કબીર બધાંથી જુદા લોકકવિ પુરવાર થયા છે.

— જિગીષા પટેલ

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 20 : મેઘાણીનાં વિવાદાસ્પદ કાવ્યો

પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડૂનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં,
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન
બનતા ધનવાન – જ્ઞાનવાન તેનું સ્થલ ના :
ગર્વોન્નત ગરુડ – બાજ, ભક્ષક ઓ પંખીરાજ !
તમ વ્હોણો સૂર્યકાલ તપવું નહિ ત્યાગે;
જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોક:
પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.

ઝવેરચંદ મેઘાણીનું આ કાવ્ય, તમે આને કાવ્ય કહેશો?

કદાચ કોઈ હેતુ માટે લખાયેલ લાગે! પણ એકાદ કાવ્યનો વિચાર કરવાને બદલે /અને આવાં અનેક કાવ્યો વિષે કાંઈ પણ વિચારતાં પહેલાં, ત્યારની પરિસ્થિતનો આછો ખ્યાલ મેળવવો જરૂરી છે. સાહિત્ય જો એ સમાજનું પ્રતિબિંબ ઝીલતું ના હોય તો એ સાહિત્ય લોકભોગ્ય કેવી રીતે બને?

આ સમય સાહિત્ય માટે પંડિતયુગ હતો અને ગાંધીયુગમાં પરિવર્તન લાવી રહ્યો હતો.

બ.ક.ઠાકોર ગાંધીજીના સમકાલીન અને પંડિતયુગનાં પ્રખર વિદ્વાન! એક જ વર્ષે જન્મેલ આ બન્ને એ ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ખૂબ મહત્વનું પ્રદાન કર્યું છે. તેઓ બન્નેએ સમાજ અને સાહિત્યનું માળખું બદલ્યું. ઉચ્ચ વાણી વૈભવ અને કડક છંદ રાગ માટેના હિમાયતી બ.ક.ઠાકોર (જેમણે ગુજરાતી સાહિત્યને સોનેટ જેવો સ્પષ્ટ માળખાનો પ્રકાર આપ્યો.)ને મન મેઘાણીનું સાહિત્ય સાહિત્ય હતું જ નહીં! અને આમ જુઓ તો જે ‘ગાંધી’ યુગની આપણે વાત કરીએ છીએ તે ગાંધીજીને માટે સમગ્ર દેશને એક વિચારે બાંધવો શું સહેલું હતું? દેશમાં સદીઓથી ઘર કરી ગયેલ માન્યતાઓ અને રહેણીકરણીને લીધે તો આ મહાન દેશ ગુલામીમાં ગરકાવ થઈ ગયો હતો! આપણે આપણાં એક ઘરની સફાઈ પણ સારી રીતે ઘરનાં સભ્યોને અકલાવ્યાં વિના કરી શકતાં નથી તો ગાંધીજીએ દેશની સફાઈ કરવાની હતી અને સદીઓથી લૂંટી રહેલ અંગ્રેજોને બહાર કાઢવાના હતા! સાચ્ચે જ છેલ્લાં હજાર વર્ષની મહત્વની વ્યક્તિઓમાં ગાંધીજીનું નામ આઈન્સ્ટાઈન પછીનું બીજા નંબરે આવ્યું! એ ગાંધીજીએ મેઘાણીનાં સાહિત્યને ઉમળકાથી વધાવ્યું કારણ કે એમાં લોકોનું પ્રતિબિંબ પડતું હતું! પણ એ જ ‘લોકોમાં’ વિદ્વાન વર્ગ સ્વીકારવાં તૈયાર જ નહોતો!

પ્રિય વાચક મિત્રો! સાહિત્યને જયારે તેનાં મૂળ સ્વરૂપે માણીએ છીએ ત્યારે તે વધારે હૃદયંગમ લાગે છે! એટલે મેઘાણીનું આ કાવ્ય ફરીથી વાંચીએ:

પૃથ્વી પર રાજ કોનાં ? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડુનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન
બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના :

વાત જરા વધારે રસપ્રદ બનાવું!

૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે ક.મા.મુન્શી હતા. બ.ક.ઠાકોરની જેમ તેઓ પણ લોકસાહિત્યને સાહિત્યનો દરજ્જો આપવા તૈયાર નહોતા. વળી ગાંધીવિચાર ધારાથી જુદું મન્તવ્ય ધરાવતા હતા. પણ ગાંધીજીને આ પરિષદમાં પ્રવચન આપવાં આમંત્રણ આપેલું. ત્યારે સ્પષ્ટવક્તા ગાંધીજીએ પ્રવચનમાં જણાવ્યું કે પાંડિત્યથી ઉભરાતું સાહિત્ય સમજનાર કેટલાં? વર્ધા આશ્રમમાં જ્યાં તે રહેતા હતા ત્યાં એ ગામમાં વાંચી શકે તેવાં માણસોની સંખ્યા બે ટકા હતી! એમને ભાર દઈને લોકભોગ્ય, સરળ ભાષામાં, સૌનાં જીવનને સ્પર્શતું સાહિત્ય રચવાં ગુજરાતી સાહિત્ય પરિષદને અનુરોધ કર્યો!

મેઘાણીએ લખ્યું : વિરાટ દર્શન કાવ્યમાં –

આખરે એની જ જીત, સમજી લેજો ખચીત જાગો, ભયભીત જાલીમો, વિરાટ આવે!
નૂતન શક્તિને ભાન, ગાતા શ્રદ્ધાનું ગાન
એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે!!


ચારણી છંદ જે ચારણ કોમમાં ખાસ પ્રસિદ્ધ એમાં મેઘાણીએ પુષ્કળ સાહિત્ય આપ્યું મેઘાણીનો હલકદાર કંઠ અને કહેવાની છટા અને એમાં ભળ્યું આ ચારણીછંદનું આગવું માધુર્ય! વેગીલી વાણી અને શબ્દોનો નાદ વૈભવ અને લોકભોગ્ય સરળ શબ્દોથી સાહિત્ય અને લોકજગત સૌએ એમને વધાવી લીધા!

મેઘાણીનાં કાવ્ય અને પદ્ય કૃતિઓનો આછો પરિચય મેળવ્યા બાદ, હવે એમની ગદ્ય કૃતિઓ; નવલકથા, નવલિકાઓ, નાટ્ય કૃતિઓ વગેરેનો આછો અભ્યાસ કરીશું – આવતે અંકથી….

૨૦ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

કુદરતનો ક્રમ છે આવન-જાવનનો. દિવસ શરૂ થાય અને સૂર્યદેવનાં આગમન સાથે ચંદ્ર વિદાય લે ત્યારે આકાશ કે પૃથ્વીને એનો જુદાગરો લાગતો હશે? પહાડોમાંથી વહી જતાં ઝરણાનું પાણી જોઈને પહાડનું હૃદય આર્દ્ર થતું હશે? પાંદડું ખરે ત્યારે ઝાડને પીડા થતી હશે? કે પછી પંખીને પાંખ આવે અને એ ઊડી જાય ત્યારે વૃક્ષને એનો વિરહ સાલતો હશે? એની તો આપણને કંઈ ખબર નથી હોતી પણ જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જુદી પડે ત્યારે એનો જરૂર જુદાગરો સાલતો જ હોય છે. આ જુદાગરોય પાછો જુદા જુદા પ્રકારનો હોં કે! અને આ સૌ જુદાગરામાં સૌથી વસમો જુદાગરો તો બે પ્રેમીઓનો.

આ પહેલા પ્રણયગીતોને માણ્યા અને પ્રણય હોય ત્યાં મળવાની સાથે જુદા પડવાનુંય આવે એટલે પ્રણયગીતોની જેમ જ આ વિરહ, વિયોગ, વલવલાટને કવિઓએ – ગીતકારોએ એવી રીતે તો શબ્દોમાં ઢાળ્યો છે કે એ વિરહ પણ જાણે મણવા જેવો અનુભવ ના હોય!

તો પછી આપણા લાડીલા ગીતકાર અવિનાશ વ્યાસ એમાંથી બાકાત રહે ખરા? એ તો વળી એવું કહે છે કે ઘણીવાર તો મળવામાં જે મઝા હોય એનાથી વધુ મઝા ઝૂરવામાં છે. પ્રિયતમ સાથે હોય ત્યારે જે પ્રીતનો પરિચય થાય એનાં કરતાંય વધુ એ દૂર થાય ત્યારે સમજાય છે.

પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઈમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગઈમાં

અને એટલે જ એ પ્રિયતમાને કહે છે કે, પ્રિયા તો આવે અને જાય પણ ખરી પણ એની યાદ તો સદાય સ્મરણમાં જ રહેવાની. પ્રિયતમાની હાજરી ઘડીભરનીય હોઈ શકે પણ એની યાદ તો દિલ સાથે સદાય જોડાયેલી… ઘણીવાર જે દેખાય એનાં કરતાં જે ન દેખાય એ વધારે સુંદર હોઈ શકે.

યાદ છે ને આ ગીત?

આવો ને જાઓ તમે ઘડી અહીં, ઘડી તહીં
યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી

આવો તોયે સારુ, ન આવો તોયે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

હવે  આ ગીતની મઝા જુઓ… એક રીતે જોઈએ તો પ્રિયતમા તો આવે એ જ ગમે પણ ન આવે તો મન તો મનાવવું પડે ને? પાછું મન મનાવવાની રીત પણ કેવી મઝાની?

અવિનાશ વ્યાસ કહે છે કે,

મિલનમાં મજા શું, મજા ઝૂરવામાં
બળીને શમાના, પતંગો થવામાં.

આ પ્રીત છે જ એવી કે એમાં પડેલાને મળવાની સાથે બળવાની મઝાય લેવી હોય છે.

અવિનાશ વ્યાસની બીજી એક રચના યાદ આવે છે. અહીં, પ્રેમીની યાદમાં તડપતી પ્રિયાની લાગણીઓ વ્યક્ત થઈ છે. ગીતકાર કહે છે કે,

સપનામાં આવી તું કેમ સતાવે?
તારી યાદમાં મને નિંદરુ ન આવે.

વળી અહીં ફરિયાદની સાથે મીઠી મૂંઝવણ, મનની અકળામણ પણ છે ખરી..

એ કહે છે કે,

આમ તને જોઈને મને રોષ બહુ આવે, પણ પાંપણ તો પ્રીતનું પાથરણું બિછાવે

મનડાના મંથનમાં કેમ તું મૂંઝાવે, તારી યાદ મારે મને નિંદરું ન આવે.

અવિનાશ વ્યાસની ગીત રચનામાં એવી ખૂબી છે કે, એ પ્રિયતમ હોય કે પ્રિયતમાના ભાવ હોય, એ બંનેના ભાવ સાંગોપાંગ નિરૂપે છે. કેવી રીતે આવા ભાવ એમના મનમાં ઊગતાં હશે?

હવે જ્યારે મિલનની અને વિરહની વાત આવે ત્યારે પ્રેમની દુનિયામાં જેમનું નામ અને સ્થાન અમર છે એવી રાધા-કૃષ્ણની જોડી તો યાદ આવે જ અને રાધા-કૃષ્ણની કોઈપણ વાત તો કવિ, ગીતકાર, લેખકોની કેટલી માનીતી?

અવિનાશ વ્યાસે પણ રાધાના વિરહની વ્યથા અત્યંત ભાવવાહી રીતે શબ્દોમાં ઢાળી છે. રાધા એક એવું નામ કે જેના વગર કૃષ્ણ પણ અધૂરા લાગે. એટલે એવી રાધાને એણે કેમ છોડી, ક્યારે છોડી એ પ્રશ્ન જ આમ જોવા જઈએ તો અસ્થાને છે. સૌ જાણે છે કે ક્યારેય કૃષ્ણ મનથી રાધાથી અળગા રહી શક્યા નહોતા તો રાધાના દરેક શ્વાસની આવન-જાવન પર કૃષ્ણનું નામ હતું જ. સનાતન કાળથી અદેહી જોડાયેલા રહ્યા પરંતુ એ દૈહિક રીતે તો અલગ જ રહ્યાને? પાસે હોવાનાં, નજરની સામે હોવાનાં, જરા હાથ લંબાવીને એને સ્પર્શી લેવાનાં સુખથી તો એ વંચિત જ રહ્યાને?

રાધા-કૃષ્ણનો પ્રેમ જેમ અમર રહ્યો એમ એમના વિરહના સંજોગો પણ કાયમી જ રહ્યા. આવી રાધાની મનોસ્થિતિ, એની વેદના, વ્યાકુળતાને અવિનાશ વ્યાસે શબ્દોમાં અમર કરી છે.

કેમ રે વિસારી ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી

વગડાની વાટે હું વાટડીયું જોતી
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મુકીને મને મુરલી ધારી
તારી રાધા દુલારી

નિત્ય નિરંતર મુજ અંતરમા
તુજ વાજીંતર બાજે
કહે ને મારા નંદ દુલારા
હૈયું શેને રાજી

તારી માળા જપતી વનમાં
ભમતી આંસુ સારી

રાધાની વિરહ વેદનામાં પ્રેમનગરમાં વિહરતી સૌ પ્રેમિકાને પોતાની જ લાગવાની. જો કે, ઈચ્છીએ કે ભલે શબ્દોમાં આ ભાવ અજબ રીતે ઝીલાતો હોય પણ આવા સંજોગો કોઈના પ્રેમ આડે ન આવે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 19


સ્વપ્નસિદ્ધિ એક પ્રવાસ છે અને પ્રવાસ એ જુદા જુદા વાતાવરણમાંથી પસાર થવાનો અનુભવ છે. આ અનુભવો પ્રવાસને રસસભર બનાવે છે એટલું જ નહિ પણ તેને એક દિશા આપે છે. ગત ચાર અંકોમાં આપણે જોયું કે, સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળેલ લેખક પણ પ્રવાસના સહગામી છે. તેમના પ્રવાસના અનુભવો વિવિધ વાતાવરણના સાક્ષી છે; ક્યાંક તેમનું અંગત પ્રેમજગત છે, ક્યાંક સાહિત્યજગતની સૃષ્ટિ તો ક્યાંક આઝાદીની લડતની પશ્ચાદભૂમાં સમાવિષ્ટ વ્યક્તિસ્વાતંત્ર્ય. આમ, આપણે પણ કથાનાં વાતાવરણમાં ઓતપ્રોત થતા જઈએ છીએ.

મુનશીનું નાટક ‘અવિભક્ત આત્મા’ માત્ર આત્મકથા ન હતું. પણ અર્વાચીન જીવનના કઠણ કોયડાનો ઉકેલ એમાં હતો. સ્ત્રીઓ જ્યારે સુશિક્ષિત અને સ્વતંત્ર થઈ રહી હતી ત્યારે સમસંસ્કારી ને સમોવડિયા પ્રેમીઓના સંબંધને ઉન્નત કરવા, સપ્તપદીના ભાવને સુદ્રઢ અને અભેદ્ય બનાવવા પુરુષે અને સમાજે આ ભાવના સ્વીકારવી જ રહી. મુનશી અને લીલા માટે આ માટે સત્યનું દર્શન ન હતું. તેઓ બંને પોતાના લેખોથી, તેમનાં સાહચર્યથી ગુજરાતનાં હૃદયમાં વસ્યા હતા. ‘ગુજરાત’ માસિકે જ્યારે અગ્રગણ્ય નર ને નારીના નામની હરીફાઈ જાહેર કરી ત્યારે પહેલા દસ નામોમાં પુરુષોમાં મુનશીનું અને સ્ત્રીઓમાં લીલાનું હતું.

મુનશીની કલમ અને વ્યક્તિત્વ ત્રિવિધ રૂપે પ્રભાવ પાડી રહ્યાં હતાં.

1. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અને સાંસ્કારિક અસ્મિતા.

આ એ યુગની વાત છે જ્યારે બે સન્નારીઓ એ ઉત્સવનો પ્રારંભ કરવા ‘જય જય ગરવી ગુજરાત’ ગાયું ત્યારે નીતિનું આભ તૂટી પડ્યું! આજે જે સ્ત્રી સશક્તિકરણની વાતો સરકારી ધોરણે થાય છે તેના શ્રીગણેશ મુનશીએ કર્યાં હતાં. ત્યારે કોઈને ખબર ન હતી કે, લીલાનાં સાહચર્યથી ગુજરાતી જીવનને સંગીત અને નૃત્યથી કલામય કરવાનું મુનશીનું સ્વપ્ન આકાર લેવાં માંડયું હતું. લીલાએ એ વખતે ‘દ્રૌપદી’ પર લેખ લખી સ્ત્રીપુરુષની સમાનતા અને પરાવલંબનનો કોયડો ઉકેલ્યો હતો. દ્રૌપદીનું આ રેખાચિત્ર ભાષાની ભભકમાં, ચારિત્ર્ય લેખનની ખૂબીમાં અને મનુષ્ય હૃદયનાં પૃથક્કરણમાં અદ્વિતીય છે. પોતાનાં અંગત જીવનમાં પણ સામાજિક નિયમોને પડકાર કરતાં ખચકાયા નથી.

2.ગુજરાતની સાહિત્યિક અસ્મિતા.

સાહિત્ય સંસદ અને સાહિત્ય પરિષદનાં માધ્યમથી મુનશીએ તેમનું સૈન્ય ગુજરાતની અસ્મિતાની સિદ્ધિ અર્થે રણમાં ઉતાર્યું હતું. ‘ગુજરાતની અસ્મિતા’નો સંદેશ ગુજરાતને આપતાં તેમનામાં આત્મશ્રદ્ધા પ્રકટી હતી. ગુજરાતી સાહિત્ય સાધવાનો મનોરથ સેવ્યો, શુદ્ધ રસિકતા વિકાસવવાની ભાવના રાખી અને કલાના આદર્શો સેવવાનો ધર્મ સ્વીકાર્યો. એ માટે નક્કર કાર્ય કર્યું. દશ ખંડમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જુદા જુદા નિષ્ણાતો પાસે લખાવવો એમ નક્કી કર્યું. ઊભરાતા અને અગ્રગણ્ય સાક્ષરો વચ્ચેની રાજકીય પટ્ટાબાજીની વચ્ચે તેમણે કામ આગળ ધપાવ્યું હતું. મુનશી ‘કલાને ખાતર કલા’ના ઉપાસક ન હતા પણ ‘સરસતાને ખાતર સરસતા’ના ઉપાસક હતા. આજની પેઢીને પસંદ પડે એવી વાત તેઓ કહેતા કે વર્તમાનને પ્રાચીન કાટલે ન જોખો જે પ્રગતિને તિરસ્કારે, વિકાસની પરવા ન કરે. પ્રણાલિકા ધર્મ, નીતિ, પ્રતિષ્ઠા ને સત્યનો આડંબર ધરી પોતાની સત્તા બેસાડે છે. મુનશી ‘પ્રણાલિકાવાદ’ના વિરોધી હતા.  ગુજરાતમાં યુનિવર્સિટી કરવી એ ખ્યાલ મૂળે મુનશીનો હતો. જેમ તેઓ પ્રવૃત્તિમયતા વધારતા ગયા તેમ તેમના પ્રત્યેનો દ્વેષ વધ્યો ને મુનશીની સખત ટીકા થવાં લાગી. લીલાના પતિ લાલભાઈના અવસાનથી લીલાની એક કાચા તાર પર સંધાયેલી જિંદગીનો બંધ છૂટી ગયો. લીલાએ તેની મિલકતમાંથી કંઈ નહિ લેવાનું નક્કી કર્યું. મુનશીએ જીજીમા જોડે વાત કરી. તેઓ મુનશીના લીલા સાથે લગ્ન માટે તૈયાર હતાં.

3. રાજકીય સામ્રાજ્યનો આદર્શ.

રાજકીય જીવનમાં મુનશીએ સાક્ષી બની સામ્રાજ્યના આદર્શને ચીતર્યો. ‘સામ્રાજ્યનો આદર્શ એવો જ હોઈ શકે કે જુદાં જુદાં સંસ્કારવાળાં રાષ્ટ્રોમાં એકતાનતા આણી સમૂહમાં વ્યક્તિત્વ પ્રકટાવવું. આ આદર્શ ત્યારે પૂરો પડે જ્યારે દરેક રાષ્ટ્રને પોતાના સંસ્કારો વિકસાવવાની અને સમાન હકો ભોગવવાની સ્વતંત્રતા હોય.’

મુનશીના અંગત જીવનમાં તેઓ લીલા સાથે પત્ર દ્વારા અદ્વૈત સાધતા રહ્યા. બંને ખૂબ પુસ્તકો વાંચતાં અને રોજ પત્ર દ્વારા એકબીજાને શ્રદ્ધા ને પ્રેરણા મોકલતાં અને અવિભક્ત આત્મારૂપે વિજયી થવાનો આશાવાદ સેવતાં. લીલાના તેના પતિ સાથેના તણાવભર્યા સંબંધો, તેની દીકરી બાલા, મુનશીના ત્રણ બાળકો અને માતાના પરિવારના તાણાવાણા વચ્ચે તેઓ બંને પ્રણયનું સ્વપ્ન સિદ્ધ કરવાં માટે મથી રહ્યા. લીલાને તેના પતિ કે મુનશી પાસેથી કઈ લેતા ગૌરવભંગ લાગતો તેથી તેણે ‘ગુજરાત’માં ઉપતંત્રીની નોકરી સ્વીકારી. જીજીમાએ લીલાને પોતાની દીકરી ને મુનશીના છોકરાંઓની મા બનાવી દીધી. લીલાએ કોન્વેન્ટમાં અભ્યાસ શરૂ કર્યો. લીલાને સામાન્ય રીતે છોકરાં બહુ ગમતાં નહિ પણ  મુનશીને છોકરાંઓ બહુ વ્હાલા હતા એટલે લીલાએ મુનશીના છોકરાંઓની મા થવામાં કોઈ કચાશ રાખી નહિ.

‘સ્વપ્ન સિદ્ધિની શોધમાં’ એ ગત શતાબ્દિનો  મુનશીએ જોયેલાં સ્વપ્નનો મનોપ્રદેશ છે. પણ સ્વપ્નો હંમેશા કાલાતીત હોય છે અને કાલાંતરે પ્રગટ થતાં રહે છે. સ્વપ્નોના રંગો આદર્શોના આસમાનમાં ઊભરે છે અને સર્જાય છે સ્વપ્નસૃષ્ટિ જેમાં ક્યાંક આદર્શો અને વાસ્તવનો તણાવ અનુભવતા સંબંધો પણ છે અને એ સંબંધોની પશ્ચાદભૂમાં પ્રગટતો પ્રેમ છે તો તેને સમાંતર સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સશક્તિકરણ, સાહિત્ય સાધના, પ્રણાલિકાનો વિરોધ, અને સાહિત્યિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય અસ્મિતાના રંગો પણ અનુભવાય છે. સ્વપ્ન ઊભરે છે ગત શતાબ્દિના સમયમાં પણ તેના રંગો આજે પણ આપણાં મન અને હૃદયના આસમાનને સ્વપ્નિલ રંગોથી રંગી દે છે. આ જ છે કસબ કલમના કસબી શ્રી કનૈયાલાલ મુનશીનો.

मेरे तो गिरधर गोपाल – 19 : અલ્પા શાહ

મીરાંબાઈના નીડર આત્મ-નિશ્ચયનાં  પદો.

सन्तुष्ट: सततं योगी यतात्मा दृढनिश्चय: |
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्त: स मे प्रिय: || 14||

શ્રીમદ ભગવદ્ ગીતાના ભક્તિયોગના ચૌદમા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે ભક્ત હંમેશા સંતોષી અને દ્રઢનિશ્ચયી બની મારી ભક્તિમાં જ મન અને બુદ્ધિ પરોવી રાખે એ ભક્ત મને ખૂબ પ્રિય છે. આમ, દ્રઢનિશ્ચય એ એક યૌગિક લક્ષણ માનવામાં આવે છે અને મન અને બુદ્ધિનાં સમન્વયથી જ તેનો જન્મ થાય છે. મન અને બુદ્ધિ એક સિક્કાની બે બાજુઓ હોય તેમ કલ્પી શકાય. મન અને બુદ્ધિ એકબીજાથી સાવ અલગ પણ તેઓની સરહદો એકબીજામાં ઓગળી જાય. મનુષ્યનનાં મનમાં કોઈપણ કાર્યના આરંભમાં  અનેકાનેક વિચારો હિલોળા લેવા માંડે છે. સારા-નરસા તર્ક-વિતર્કનાં ટોળાનું તુમુલ યુદ્ધ ચાલે છે. મનની આવી ડામાડોળ પરિસ્થિતિ હોય ત્યાં સુધી કાર્ય પૂર્ણ થવું અસંભવ છે. મન દ્વારા ઊમટતા વિચારોનાં ટોળાની વચ્ચે બુદ્ધિ સારા-નરસાનો વિચાર કરી પછી કાર્ય પૂર્ણ કરવાનો નિશ્ચય કરે છે અને ત્યારપછી જ એ કાર્ય પૂર્ણ થાય છે. પ્રતિજ્ઞા અને નિશ્ચયમાં થોડોક ફરક છે. પ્રતિજ્ઞાની મર્યાદા અથવા ક્ષેત્ર સીમિત હોય છે જયારે નિશ્ચયનું ક્ષેત્ર અમાપ અને વ્યાપક હોય છે. પ્રતિજ્ઞા ક્યારેક ભાવાવેશમાં કે આઘાતની સ્તિથીમાં લેવાઈ જાય છે જયારે નિશ્ચય હંમેશા વિવેક-બુદ્ધિનો ઉપયોગ કરી ને જ લેવાય છે.

આ સંસારમાં ઉચ્ચ કોટિના સંત-મહાત્માઓએ તેમનાં જીવનમાં પોતાની બુદ્ધિ દ્વારા વિવેકપૂર્વક નિશ્ચય કરીને દ્રઢતાપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવતા આવ્યા છે. મીરાંબાઈની પરિસ્થિતિ બીજા બધા સંતમહાત્માઓથી સર્વથા વિપરીત હતી. એક તો તેઓ અબળા નારી હતાં, પછી જન્મ રાજકુળમાં અને લગ્ન એક ક્ષત્રિયકુળમાં જ્યાં નારીઓ પર અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. જીવનના સંજોગોએ તેમને એકબાજુ સાંસારિક સંબંધો અને બીજી બાજુ પ્રભુભક્તિની વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની ફરજ પાડી અને તેમણે પ્રભુભક્તિની પસંદગી કરી. આમ, સર્વ પ્રકારની પરતંત્રતાની પરિસ્થિતિમાં પણ તેમના દ્રઢનિશ્ચયના લીધે તેઓ આત્મકલ્યાણનો માર્ગ પસંદ કરી શક્યાં.

મીરાંબાઈ માટે તેમનો દ્રઢનિશ્ચય પ્રભુ પ્રાપ્તિના ધ્યેયને સિદ્ધ કરવા માટેનું અવિભાજ્ય અંગ હતો. મીરાંબાઈનાં ઘણાં બધાં પદોમાં તેમણે આ ભાવ પ્રદર્શિત કર્યો છે.  એક વખત તેમણે દ્રઢનિશ્ચય કરી લીધા પછી તેમની સાધનામાં આવતાં બાધક તત્વોને પણ પોતાના નિશ્ચયની ચોખવટ ખૂબ જ સ્પષ્ટતાથી કરી દીધી છે. જેમકે, નીચેનાં પદમાં મીરાંબાઈ બાધક તત્વોને ખૂબ નીડરતાપૂર્વક ચેતવણીના સૂરમાં સંદેશો આપે છે.

माई हूँ श्याम के रंग राची
मेरे बिच परो मत कोऊ. बात चहुँ दिशि मांची
जागत रैनि रहै ुर ऊपर, ज्यूँ कंचन मणि साँची
होय रही सब जग में जहर, फेरी प्रगट होइ नांची
मिली निसान बजाय कृष्ण सूं, जो कछु कहो सो साँची
जन मीराँ गिरिधर की प्यारी, मोहोबत है नहीं काची

મીરાંબાઈ જાણતાં હતાં કે તેમની સાધનાના માર્ગે આગળ વધવામાં તેમને ઘણી નિંદા-સ્તુતિનો સામનો કરવો પડશે અને પોતાના ધ્યેય સુધી પહોંચવાં તેમણે એ સર્વ વાતો મનમાં ના લાવતાં અવગણવી પડશે. આવો જ કંઈક  ભાવ મીરાંબાઈ પોતાનાં નીચેનાં પદમાં રજૂ કરે છે. મીરાંબાઈ દ્રઢનિશ્ચય સાથે દુનિયાનાં મહેણાંટોણાં સહન કરીને પણ પોતાના પથ પર આગળ વધતા રહેવાનો ભાવ આ પદમાં પ્રગટ કરે છે.

કોઈ કહે તેને કહેવાં રે દઈએ, આપણે હરિ ભજનમાં રહીએ રે,
ઉગત ભગત બે જુદાં બસે છે, તેમાં ભક્તપણું કોને કહીએ રે,
ભક્તપણું તબ જાણીએ આપણે, સૌનાં મેણાં સહીએ રે,
હીરા ને કંકર એક જ રંગા, તેમાં હીરાપણ કોને કહીએ રે,
હીરાપણું તબ જાણીએ આપણે, ઘાવ ઘણેરા સહીએ રે
બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર, ચરણ કમલ પર ચિત્ત દઈએ રે.

મીરાંબાઈનાં આ પદ પરથી એટલું ફલિત થાય છે કે, મીરાંબાઈએ સ્થિતપ્રજ્ઞની અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગના છપ્પનમાં શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તેમ: જે મનુષ્ય સુખ અને દુઃખ, પ્રસંશા અને નિંદાથી વિચલિત થયા વગર અનાસક્ત રહી શકે એ સ્થિતપ્રજ્ઞતાની અવસ્થા સુધી પહોંચવાને સમર્થ છે.

दु:खेष्वनुद्विग्नमना: सुखेषु विगतस्पृह: |
वीतरागभयक्रोध: स्थितधीर्मुनिरुच्यते || 56||

આપણે સામાન્ય મનુષ્યો તો માનવ સહજ સ્વભાવને લીધે કોઈપણ અપ્રિય પરિસ્થિતિનો સામનો થાય ત્યારે વિચલિત થઈ જ જઈએ છીએ. પણ આપણે જો એટલી સમજણ કેળવી લઈએ કે, આ દુનિયામાં આપણે ગમે તે દિશામાં આગળ વધીશું પણ આપણે નિંદા અને ટીકાનો સામનો તો કરવો જ પડશે. આ વિશ્વમાં નકારાત્મકતાનાં ઉદ્ભવસ્થાનોની કોઈ જ ખોટ નથી. દિવસે ને દિવસે એ વધતાં જવાનાં છે અને તેને અટકાવવાં આપણા માટે શક્ય નથી. આ નકારાત્મકતાઓ આપણને કેવી રીતે અસર કરે છે તે નક્કી કરવાનું આપણા જ હાથમાં છે.An entire sea of water can’t sink a ship unless it gets inside the ship. Similarly, the negativity of the world can’t put you down unless you allow it to get inside you.” જ્યાં સુધી આપણે આ નકારાત્મકતાઓને આપણી અંદર નહિ પ્રવેશવા દઈએ ત્યાં સુધી આપણી જીવનનૈયાની સફરને પ્રભુ સિવાય કોઈ ડગાવી નહિ શકે.

ચાલો આજે આ વિચાર સાથે અને સ્થિતપ્રજ્ઞતાની અવસ્થા તરફ એક ડગલું આગળ વધવાના દ્રઢ નિશ્ચય સાથે મારી કલમને વિરામ આપું છું.

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

— અલ્પા શાહ

૧૮ – કબીરા

કબીરબીજક – વિપ્રમતિસી
આજે જ્યારે હું કબીરબીજકની વિપ્રમતિસી વાંચું છું ત્યારે મને લાગે છે, જો કબીર સદેહે પાછા આવે તો જરુર પૂછે, “તમે લોકો ગુગલયુગમાં ઇન્ટરનેટ અને સેલફોન વાપરતા થઈ ગયા પણ હજુ તમારી માનસિકતા પંદરમી સદીમાં હતી તેવી જ છે? પાંચ પાંચ સદીઓ વીતી ગઈ તો પણ અંધશ્રદ્ધા, ઝનૂન અને કોમી વૈમનસ્ય ઘટવાનું નામ જ નથી લેતાં.”
કબીર જ્ઞાની હતા, કર્મયોગી હતા, ભક્ત હતા પણ સાથે સાથે ક્રાંન્તિકારી સમાજસુધારક પણ હતા. એ રીતે તે બીજા સંતો કરતાં જુદા પડે છે. પંદરમી સદીના ભારતમાં ધર્મનાં ક્ષેત્રે વ્યાપેલા દંભ, પાખંડ અને ભ્રષ્ટાચારને તેઓ આરપાર નીરખી શક્યા હતા, પારખી શક્યા હતા અને પડકારી પણ શક્યા હતા. સંત અને મહંત વચ્ચે, ફકીર અને મુલ્લા વચ્ચે તથા સેઈન્ટ અને બિશપ વચ્ચે ભેળસેળ થઈ ગયેલ ધર્મના ધતિંગોને તેમણે બેજિજક ખુલ્લા પાડ્યા હતા.
આજે પણ કબીરની કડવી વાણી ક્રાંતિકારી જણાય છે કારણ કે આપણે હજી ત્યાંના ત્યાં જ છીએ. કબીરની ક્રાંતિ અધૂરી રહી ગઈ હશે, તેથી આજે પણ કોમી હુલ્લડો થાય છે અને બની બેઠેલા ગુરુઓ પાછળ અણસમજુ પ્રજા દોડી રહી છે. એમની ક્રાંતિકારી સમાજ સુધારકની ઓળખ આપનારી આ વિપ્રમતિસીમાં તેમણે આવી ખોખલી ધાર્મિકતાને પડકારી છે. વિપ્રમતીસીમાં તેમણે વિપ્રકર્મની (બ્રાહ્મણોનું કર્મ) મીમાંસાનું વિશુધ્ધ વર્ણન કર્યું છે. દુનિયામાં જડ અને ચેતન બે જ પદાર્થ છે. એના સિવાય કોઈ જાતિ-વર્ણ નથી. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ પંચતત્વથી બનેલ બધાનાં શરીર એક સરખાં છે. બધામાં આત્મારૂપી એક જ ચેતના સમાએલી છે. કોઈ ઊંચ કે નીચ જાતિનો નથી. શ્રેષ્ઠ કર્મ દ્વાર વ્યક્તિ શ્રેષ્ઠ બને છે. નાતજાતના ભેદ માનવસર્જિત છે. ખરેખર જન્મથી કોઈ બ્રાહ્મણ નથી કે કોઈ જન્મથી શુદ્ર નથી. કબીરની આ વાત ગીતામાં શ્રી કૃષ્ણએ ગાયેલા શ્લોકનો જ પડઘો છે:
ન કુલેન ન જાત્ય વા ક્રિયાભિર્બ્રાહ્મણો ભવેત |
ચાણ્ડાલોપિ હિ વૃત્સ્થો બ્રાહ્મણઃ સ યુધિષ્ઠિર ॥
હે યુધિષ્ઠિર, કુળથી કે જાતિથી અને ક્રિયાકાંડથી કોઈ બ્રાહ્મણ કહેવાય નહીં. જો કોઈ ચાંડાળ પણ ગુણવાળો હોય તો બ્રાહ્મણ કહેવાય.
આપણે ત્યાં નીચ કુળમાં જન્મેલા ઘણા હરિ ભક્તો થઈ ગયા છે કે જે સાચા સંત ગણાયા છે. જેમકે, ચમારને ત્યાં જન્મેલા સંત રઈદાસ, ખાટકીને ઘેર જન્મેલા સદન કસાઈ કે કુંભારને ઘેર જન્મેલા ગોરા કુંભાર. તે સૌનું જીવન બ્રાહ્મણને પણ ટપી જાય તેવું હતું. તેઓ સદ્દગુણનો ભંડાર હતા.
‘ब्रह्म: जानातिती ब्राह्मणः’ આ વૈદિક વ્યાખ્યા અનુસાર ‘બ્રહ્મને જનનારો બ્રાહ્મણ કહેવાય.’ અને બીજાને પણ બ્રહ્મનો અનુભવ કરાવે તે બ્રાહ્મણ, પરંતુ તે સમયે બ્રાહ્મણો તો કર્મકાંડ અને પૂજાપાઠ કરી પોતાના ખિસ્સા ભરવામાં જ વ્યસ્ત હતા. જીવતાં પશુઓની બલિ ચઢાવી જડમૂર્તિને ભોગ ધરાવવાના હિંસક કર્મો
કરતા હતા. આ જોઈ કબીરનો આત્મા ઊકળી ઊઠતો. ‘શું ધર્મને નામે કતલ થઈ શકે?’
વિપ્રમતિસીની ત્રીજી ચોપાઈમાં તે ગાઈ ઊઠે છે-
પ્રેત કનક મુખ અંતર બાસા,આહુતિ સહિત હોમ કી આસા,
કુલ ઉત્તમ જગમાંહિ કહાવૈ, ફિરિ ફિરિ મધીમ કર્મ કરાવૈ.
પોતાને સોનાની ભૂખ હોવાથી, કોઈ મરી જાય ત્યારે તેનાં મુખમાં સોનું મૂકવાનો રિવાજ બ્રાહ્મણોએ ચાલું કરાવ્યો. દક્ષિણાની આશા હોવાથી યજમાનો પાસે હોમહવન કરાવવા શરૂ કર્યા. તેઓનું કુળ જગતમાં ઉત્તમ છે એવું મારી ઠોકીને કહી અને યજમાન પાસે હિંસા જેવા (મધીમ) હીન કૃત્યો પણ કરાવતા હતા.
આમ વિપ્ર+મતિ+સી એવા ત્રણ શબ્દનો સમાવેશ વિપ્રમતિસી શબ્દમાં થયેલો છે. બ્રાહ્મણોની બુધ્ધિ જેવી બુધ્ધિ એમ કહેવા પાછળનાે આશય, કળીયુગમાં બ્રાહ્મણો બ્રાહ્મણો જ રહ્યા નહોતા એવો હોઈ શકે. તેઓ કબીરની દૃષ્ટિએ કર્તવ્યચ્યુત થયા હતા. કેટલાક લોકો વિપ્રમતિસીનો અર્થ ‘ત્રીસ ચોપાઈમાં બ્રાહ્મણોની બુદ્ધિનું વર્ણન’ તેવો પણ કરે છે પરંતુ એમાં તો પંદર જ ચોપાઈ છે. કુલ પંક્તિ સાઈઠ છે. આ પદનો છંદ ચોપાઈ છે અને ચોપાઈમાં ચાર પંક્તિઓ હોય છે.
કબીરે એવી જીવનશૈલી વિકસાવી, જેમાં હિન્દુ કે ઇસ્લામ સાથે જોડાએલ કોઈ બાહ્યાચારને સ્થાન ન હતું. તેમનાં આવાં સત્યનિષ્ઠ વર્તનને કારણે તેમને બદનામ કરવા કાવતરું રચાયેલું. રાત્રે એક ગણિકાને છાનીમાની કબીરનાં ઘરમાં દાખલ કરી દેવામાં આવી. ફજેતી રોકડી બની. ફરિયાદ કાશીના રાજા સુધી પહોંચી. રાજદરબારમાં કબીરની જુબાની લેવામાં આવી. પણ ‘રામ રાખે તેને કોણ ચાખે?’ તે ન્યાયે છેલ્લી ઘડીએ ગણિકાનું હૃદયપરિવર્તન થયું અને કબીર કસોટીમાંથી હેમખેમ પાર ઊતર્યા. જેઓ પાખંડીઓની સામે પડે તેમને કેટલીયે કસોટીમાંથી પાર પડવું પડે છે.
કબીરે લોકોની વિચારહીન જડતાનું દર્દ વિપ્રમતિસીમાં રજૂ કર્યું છે. કબીરે કહ્યું છે કે, પોતાની વાત કોઈ માનતું નથી છતાં સંત તરીકે સમજાવવામાં તે કદી કંટાળતા નથી. પોતાનું દર્દ એક પંક્તિમાં દર્શાવ્યું છે, ‘સાધો! યે મુર્દો કા ગાંવ.’ અને ત્યારે આપણને લાગે છે કે આપણે સૌ કબીરના ગુનેગાર છીએ. હજી આપણે ધર્મનાં નામે અંદર અંદર લડીએ છીએ. ગાંધીજીએ સર્વ ધર્મ સમભાવની વાત કરી તેમાં એમને કબીરક્રાંતિની સુગંધ આવતી હતી તેમ લાગે છે. કબીરની એક એક પંક્તિમાં સાચા ધર્મનો મંગલધ્વનિ સંભળાય છે.
કબીર પદ સુધા-ઈશ્વરભાઈ પટેલ (વિપ્રમતિસીની ચોપાઈ)
કબીરા ખડા બાજારમેં-ગુણવંત શાહ (સંદર્ભ ગ્રંથ)

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 19 : મેઘાણી અને દાંડીકૂચ


હજારો વર્ષની જુની અમારી વેદનાઓ!
કલેજાં ચીરતી કંપાવતી અમ ભય કથાઓ.

હા, જીવનમાં ક્યારેક એવું બને કે ગુનો કર્યો ના હોય, કોઈ ખોટા પુરાવાઓ રજૂ કરે અને નિર્દોષને જેલમાં જવાનો વારો આવે! પણ તમે એવું જોયું છે કે જે ગુનો કર્યો જ નથી  તેને માટે જેલમાં જવાનો પણ આનંદ આવે? ગાંધીયુગમાં એવાં ઘેલાં લોકોનો તોટો નહોતો. ઝવેરચંદ મેઘાણી એ જ ગાંધીયુગના બડભાગી ઇન્સાન હતા!

૧૯૩૦ના માર્ચ મહિનામાં ગાંધીજીએ બ્રિટિશ રાજ્ય સામે ‘સવિનય કાનૂન ભંગ’નું એલાન કર્યું . એ વખતે ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમ અને ખુમારીથી ભરેલ ‘સિંધૂડો’ કાવ્ય સંગ્રહ લોકોને આપ્યો હતો. સરકાર મેઘાણીને પકડવા પેંતરો રચતી જ હતી કારણ કે મેઘાણીનાં કાવ્યો લોકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનો એક જુવાળ ઊભો કરતાં હતાં.

ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે
પૂરપાટ ઘોડલે છૂટો,
ઓતરાદા વાયરા ઊઠો, ઊઠો રે તમે ઓતરાદા વાયરા, ઊઠો!
મેઘાણી લખતાં, ગમે તે જુવાનિયાનું લોહી ગરમ થઈ જાય તેવા શબ્દો. આ પંક્તિઓ જુઓ :

આવો વિપ્લવ! આવો જ્વાળામુખી? આવો રૂડા ભૂમિકમ્પ રે!
મેઘાણીનાં એક એક કાવ્યમાંથી સ્વાતંત્ર્ય માટેની તીવ્ર અભિલાષા પ્રગટતી હતી: આઝાદીનો પવન ફરી વળ્યો હતો. દેશ દાઝ, દેશપ્રેમ અને આ દેશ્ભક્તિનાં કાવ્યો!

શિવજીનાં હાલરડાંના ઢાળ ઉપરની આ પંક્તિઓ જુઓ:

માતા તારો બેટડો આવે, આશાહીન એકલો આવે!
જ્વાળામુખી એને કાળજડે રે, ને આંખમાં અમૃત ધાર!
ભેળાં કાળ નોતરાં લાવે, માતા તારો બેટડો આવે!

ગાંધીજી માટે લખાયેલ આ આખું જ કાવ્ય સરસ છે. પણ અહીં, એનો ઉલ્લેખ માત્ર કરીને આપણે દાંડીકૂચના એ પ્રસંગ તરફ પ્રયાણ કરીએ.
..
દાંડી સત્યાગ્રહનો એ ૨૧મો દિવસ હતો. હજુ દાંડી સુધી પહોંચવાને ચાર દિવસની વાર હતી. સમગ્ર દેશ હવે શું થશે તેવા વિચારમાં હતો. ત્યાં રસ્તામાં અમુક સત્યાગ્રહીઓને ગિરફ્તાર કર્યાનાં સમાચાર મળ્યાં એટલે ઝવેરચંદ મેઘાણી એ લોકોને જેલમાં મળવા ગયા. પોલીસ ઇન્સ્પેકટર પાસે ‘સિંધૂડો’ દેશભક્તિનાં કાવ્યોનો સંગ્રહ લખનાર મેઘાણીનું નામ જાણીતું હતું જ. એણે જોધાણી નામના એક ભાઈને સ્થાને મેઘાણી લખીને ઝવેરચંદ મેઘાણીને ગિરફ્તાર કર્યા. પોલીસ કેસમાં ખોટી માહિતી ભરી દીધી, ‘ફલાણી જંગી સભામાં ભાષણ આપીને લોકોને ઉશ્કેરવાનું કામ એમણે કર્યું છે.’

મેઘાણીએ એ ઉપજાવેલી વાતની સ્પષ્ટતા કરી કે એ દિવસે હું મારે ગામ રાણપુરમાં હતો પણ આવી વાત ઉપજાવીને મને કીર્તિ બક્ષવા બદલ તેમને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું, ‘મને ફાંસીના માંચડાની ભેટ થઈ હોત તો હું તેને વધાવી લેવાં પણ તૈયાર છું. એ ભેટને હું મારું પરમ સૌભાગ્ય સમજીશ.’

એમનું આખું બયાન હૃદયદ્રાવક છે. હા, અને એવું કહેનારાં એ વખતે અનેક હતાં. મા ભોમ કાજે ખપી જવાની તમન્ના. એમને બે વર્ષની જેલની સજા થઈ.

આજે અહીં આ પ્રસંગનો ઉલ્લેખ કરવાનું ખાસ કારણ છે. પ્રત્યેક સાહિત્યકાર કે નેતા આખરે તો એ સમયના સમાજ અને સંજોગોને સીધી કે આડકતરી રીતે પ્રતિબિંબિત કરે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસનથી વાજ આવેલી પ્રજાને જગાડનાર ગાંધી સાથે સમાજનો આવો વર્ગ પણ હતો. ગાંધીજીએ મેઘાણીને તેથી જ લોકોના કવિ કહ્યા હતા. મેઘાણીને સજા થઈ.

મેઘાણીએ એક આઈરીશ કવિ મેક્સવિનની કવિતાનું અનુસર્જન બુલંદ અવાજે કોર્ટમાં ગાઈ સંભળાવ્યું:

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભય કથાઓ.
મરેલાનાં રુધિર ને જીવતાનાં આસુડાંઓ
સમર્પણ એ પ્રભુ સહુ તારે ચરણ હો.
ન્યાયાધીશ આપણો દેશવાસી જ હતો ને? એમની આંખો પણ ભીંજાઈ ગઈ. બહાર બે હજાર લોકોની મેદની ઊભરાઈ હતી. સાબરમતી જેલમાં મેઘાણીને સરદાર વલ્લભભાઈ, મહાદેવભાઈ વગેરે સાથે રાખવામાં આવ્યા. આ પણ એક યોગાનુયોગ જ કહેવાયને? આ બધી મહાન પ્રતિભાઓને મળવાનો સંજોગ નહીંતો ક્યારે થાત?

એક આડ વાત, પ્રિય વાચક મિત્રોની જાણ માટે: અહીં બીજા એક કવિ રામનારાયણ વિ. પાઠક પણ હતા જેમણે આ તેત્રીસ વર્ષના નવયુવાન ઝવેરચંદ મેઘાણી ઉપર કાવ્ય લખ્યું હતું : ‘કોઈ કહેશો યુવાન ક્યાં સિધાવતો હતો?’ અને અહીં જેલમાં જ દેવદાસ ગાંધીએ એમને પેલું અંગ્રેજી કાવ્ય વંચાવ્યું હતું જે ઉપરથી મેઘાણીએ ‘કોઈનો લાડકવાયો’ કાવ્ય રચ્યું.

આ અને આવી ગાંધી યુગની, એનાં કાવ્યો અને કહાનીની રસપ્રદ કથા આવતે અંકે….

— ગીતા ભટ્ટ

૧૯ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

ગુજરાતી પદ્યનો વ્યાપ વિશાળ છે; ગીત, ગઝલ, કાવ્ય, મહાકાવ્ય, હાઈકુ…. વગેરે.

માત્ર સત્તર અક્ષરોમાં જ રચાઈ જતાં હાઈકુથી માંડીને ૧૮ પર્વનાં મહાકાવ્ય મહાભારત સુધી વિસ્તરેલો ગુજરાતી પદ્યનો વિશાળપટ છે. કાવ્યમાં જાણે છંદ, પ્રાસ, અનુપ્રાસનું બંધન છે પણ એવું લાગે કે, ગીતનો ઉદ્ભવ તો કદાચ કોઈક પંખીના કલરવમાંથી, કુદરતના ખોળેથી, વરસતા વરસાદમાંથી, વહેતાં ઝરણાં કે નદીનાં ખળખળ પાણીમાંથી કે લહેરાતા પવનના સરસરાટમાંથી થયો હોઈ શકે. ભાષાની ઉત્પત્તિ લયમાંથી થઈ હોવાનું મનાય છે. લયમાંથી શબ્દ, શબ્દમાંથી ગીત-સંગીત પ્રગટ્યું. ગીત અને ગીતના પ્રકારોનો સંબંધ લય અને ઢાળ સાથે તો હંમેશનો રહ્યો છે. મોટાભાગે લોકભોગ્યની કક્ષાએ ગીતો, લોકગીતોને મૂકી જ શકાય પરંતુ એથી કરીને ગીતકારને કવિ કહી શકાય?

અન્ય માટે તો ઝાઝી જાણકારી નથી પરંતુ એવું કહેવાય છે કે, અવિનાશ વ્યાસને કવિઓએ કવિ માન્યા નથી. કદાચ અવિનાશ વ્યાસ પણ પોતાને ગીતકાર-સંગીતકાર તરીકે જ ઓળખાવતા હશે પણ તેથી શું થયુ? ગીતો તો હૃદયની ભાષા છે અને એ કોઈપણ ઊર્મિશીલ વ્યક્તિનાં હૃદયમાં પાંગરી શકે અને એટલે જ અવિનાશ વ્યાસનાં ગીતોય જાણે શબ્દોમાં મઢેલું સંગીત સાંભળતાં હોઈએ એમ એ આપણાં ભીતરને સ્પર્શ્યા જ છે! એમનાં ગીતોના ભાવો આપણાં મનને ભીંજવે છે, તો ક્યારેક મનની લાગણીઓને રમાડે છે, તો ક્યારેક પ્રણયોન્મત કરી દે છે.

આજે અવિનાશ વ્યાસનાં આવાં પ્રણય ગીતો વિશે વાત કરવી છે.

પ્રેમમાં ચકચૂર બે વ્યક્તિઓ વચ્ચે એક શબ્દ બોલ્યા વગર ક્યારેક આંખના ઈશારે પણ વાત થઈ જાય, તો ક્યારેક એ નજરનું સંધાન જરા અમસ્તુ તૂટે તો ય જાણે ઘણું બધું અધૂરું રહી ગયાનો અહેસાસ થાય.

નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે?


જીવનને આંગણે આવેલી વસંત જાણે અકાળે મૂરઝાઈ ચાલી હોય એમ અજાણતા થઈ ગયેલી ભૂલની સાવ ગળગળા શબ્દોમાં માફી માંગી છે અને કહે છે;


મારી થઈ ગઈ છે ભૂલ મને માફ કરો,

મેં તો આપ્યું છે ફૂલ મને માફ કરો પણ આમ પ્રણયનાં ફૂલ કરમાવીને ચાલ્યા તો ના જાવ.

આમ તો તમે પૂનમની રાત થઈને આવ્યા હતા, જીવન પ્રભાત બનીને આવ્યા હતા તો પછી, એવી તે કઈ ભૂલ થઈ કે વિરહની આગ સળગાવીને ચાલ્યા?

વાત બહુ સાદી છે. નથી એમાં કોઈ ભારેખમ શબ્દપ્રયોગો કે નથી કોઈ અલંકારના આડંબર પણ તેમ છતાં અધૂરી રહી જતી રાત અને એની વાત તો આપણા સુધી પહોંચે જ છે.

તો વળી, નજરોથી થઈ જતી વાતની અધૂરપ ન રહી જાય એટલે ગીતકાર એને જરા જુદા શબ્દોમાં ઢાળીનેય એ જ વાત ફરી રમતી મૂકે છે. મઝાની વાત તો એ છે, આ બંને ગીતો ધીરગંભીર અવાજ ધરાવતા શ્રી મુકેશજીએ ગાયાં છે.

ઘડીક ઘૂંઘટ ઉઠાવો ને ઘડીક મુખ ઢાંકો,
કરો દિલબર જે કરવું હોય તે પણ નજર મારા તરફ રાખો,

નજરને કહી દો કે નિરખે ન એવું નાહકનું દિલ કોઈનું પાગલ બને છે,
અમથી જિગરમાં આંધી ચડે છે ને આંખો બિચારી વાદળ બને છે

મશહૂર છે મહોબ્બત તમારી ને આપ પણ મશહૂર છો
અફસોસ કેવળ એટલો કે તમે પણ દૂર છો.


આ એક ગીતમાં જ બે સાવ અલગ વાત કરી છે અને તેમ છતાં એકમેકની પૂરક પણ એટલી જ છે. સનમને જે કરવું હોય એ કરે પણ નજર તો મારા તરફ જ રાખે. વળી પ્રેમમાંય શરતો કેટલી મઝાની? નજર તો નજર સામે જ હોવી જોઈએ પણ પાછું એવી રીતે નજરસંધાન નહીં કરવાનું કે જેમાં કોઈનું દિલ પાગલપનની હદે પહોંચે.

હવે આવા ગીતો સાંભળીને અવિનાશ વ્યાસ જેવા ગીતકારને કવિઓ કવિ ન માને તો પણ શું ફરક પડે? કદાચ એમના ગીતો કોઈપણ કવિ કરતાં મારા તમારા જેવા, પ્રત્યેક સુગમ સંગીતના ચાહકોનાં દિલનાં તળ સુધી વધુ પહોંચ્યાં છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com