“બેઠક” -અહેવાલ-05/30/2014

“ઇન્ડિયા કોમ્યુનીટી  સેન્ટર કેલીફોર્નીયા ખાતે  મળેલી ગુજરાતી “બેઠક” એટલે ગુજરાતીભાષાનું  જતન, સંવર્ધન અને વિકાસ

 _DSC0157

​તારીખ 30મીમે ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે મળેલી બેઠકમાં પુસ્તક પરબના પાયો  નાખનાર પ્રતાપભાઈ પંડ્યા હજારી આપી ઉત્સાહ વધાર્યો, કલ્પનાબેનની સરસ્વતી વંદના એ બેઠકની શુભ શરૂઆત કરી તો રાજેશભાઈ એ પ્રતાપભાઈ નો પરીચય આપતા કહું કે પ્રતાપભાઈનાપુસ્તક પરબના આ  આભિયાનમાં આપણે સહુ સહભાગી છીએ,ગામે ગામ ફરીને પુસ્તક ના પરબ ખોલનાર પ્રતાભાઈપુસ્તકો અને પરબ અહી લઇ આવી અમેરિકામાં લોકોની ગુજરાતી  વાંચનની  ભૂખ સંતોષવા પુસ્તકો ​પુરા પાડ્યા છે ,​પ્રતાપભાઈ એ ​બેઠકના સર્જકોને ઉત્સાહ અને માર્ગદર્શન આપતા કહું કે  આપ સૌ બેઠકમાં ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ભાષા ના દીવાને જલતો રાખજો,સર્જન કાર્યના દીવો જલતો રાખવા​,સારા પુસ્તકોના વાંચનથીલાભ જરૂર થશેઆપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા લેખક અને વાચક વચ્ચે કડી થવાનો  સેતુ -પુસ્તકપરબ,​ છે ​વાંચો અને વાંનચાવો,મારો હેતુ લોકોને સારા  સંસ્કારી સાહિત્ય સભર પુસ્ત​કો ​આપવાપુસ્તક દ્વારા  નવા વિચારો સમાજને આપવા ,વાંચન ની સંવેદના ખીલવ​વાનો છેઅહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે તે પ્રસંન્સ્નીય છે ,ત્યારબાદ બેઠકનો વિષય કહેવત હોવાથી પ્રજ્ઞા દાદભાવાળાએ કહેવત એટલે કહેવાતી વાત થી શરૂઆત કરતા કહું ​ગુજરાતીમાં ​ગણ્યા ગણાય નહીં એટલાં ડહાપણવાક્યો અને નીતિસૂત્રોનો ખજાનો છે. કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે. કહેવત સચોટ રીતેવાત રજુ કરી જ્ઞાન આપે છે​,અનુભવે કહેવત રચાય છે જે રોજીંદા જીવનમાં આપ સૌ વાપરો છે,દાદી કહેતા હશે ને માંએ સલાહ રૂપે ક્યારેક સમજાવતી હશે અને તમે તમારા બાળકોને પણ કહેતા હશો ,અને ત્યારબાદકલ્પનાબેને તેમની પહેલી રજૂઆત કરી ત્યારબાદ એક પછી એક સુંદર રજૂઆતે કહેવતથી બેઠકને ભરી દીધી,તો મહેશભાઈ અને દર્શના નાટકરણી એ કહેવતો ગઝલ અને કવિતા સ્વરૂપે રજુ કરી,જયાબેનની રજૂઆત વિષયને ખુબ અનુરૂપ રહી ,પદ્માબેન શાહે ધર્મ અને રાજકારણના દાખલા દઈ કહેવત સમજાવતા કહું માનવ સર્જિત કહેવતો ગોતવા જાવ તો તમારી આજુભાજુ ગમે ત્યાં મળશે।ભીખુભાઈએ સુરત ના જમણ ની વાતો ન કરતા કાશીના મરણ વિષે વાતો કરી,તો કુન્તાબેન ડુંગરા દુરથી રળીયામણા ની વાતો કરતા ઉમાશંકરની જેમ ડુંગરમાં ખોવાઈ ગયા ,રજૂઆત બધાની સારી રહી પછી દાવડા સાહેબ હોય કે હેમંતભાઈ ,બધાએ કહેવતોને માણી,તળપદી કહેવતોથી માંડીને ચાણક્ય વચનો જેવી કહેવત દેવીયાનીબેને એક પછી એક રજુ કરી લોકોને સ્તબ્ધ કરી દીધા, આપણી ભાષાના મૂળ સમાન ​આવક્યો કોઈ સામાન્ય વાક્ય નથી ,કેટલાય અનુભવ અને પેઢીનો નીચોડ છે કહેવતો સાથે રૂઢી પ્રયોગ આપણી ભાષાની સમૃધી સાથે મૂડી છે એમાં કોઈ શક નથી ,

​,​

​ ​

આમુખ-‘નિવૃત્તિનું વિજ્ઞાન’ -કલ્પના બેન રઘુ શાહ

મિત્રો,

આ બેઠકમાં જે પુસ્તક વિષે હું કહેવાની છું તેની પ્રસ્તાવના તેનાં લેખકે લખેલી છે. માટે હું તેનું આમુખ કહીશ. આમુખ એ પ્રસ્તવનાનો બીજો પ્રકાર છે.

અત્યારનો આપણો એટલેકે, નિવૃત્ત અને વૃધ્ધ લોકોનો સળગતો પ્રશ્ન એ નિવૃત્તિ અને વૃધ્ધાવસ્થા છે. આખી જીંદગી આપણે નૉવેલો વાંચી, ઇતિહાસ વાંચ્યો, હવે આપણે જ્યારે વૃધ્ધાવસ્થાને આરે પહોંચ્યા છે ત્યારે હવે આપણું ખુદનું જીવન વાંચવાનો સમય પાકી ગયો છે ત્યારે મેં પ્રસ્તાવના માટે પસંદ કર્યું છે પુસ્તક ‘નિવૃત્તિનું વિજ્ઞાન’ જેનાં લેખક છે હ્યુસ્ટન  નિવાસી શ્રી વિજ્યભાઇ શાહ. તેઓ નિવૃત્તિ પરના વિષયોમાં ખૂબજ ઉંડા ઉતરેલાં છે અને ‘સહિયારુ સર્જન’, ‘ગદ્ય સર્જન’, ‘વિજ્યનું ચિંતન જગત’, વિગેરે બ્લોગ ચલાવે છે.

તેમણે આ પુસ્તક હરિકૃષ્ણ મજમુદાર દાદાનાં અનુભવી માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે અને નામ આપ્યું છે ‘નિવૃત્તિનું વિજ્ઞાન’. વિજ્ઞાન એટલે પ્રયોગો અને વિજ્ઞાન માંગે પૂરાવા. કૈંક નિવૃત્ત લોકોનાં જીવનમાં બનેલી ઘટનાઓને પૂરાવા સ્વરૂપે રજૂ કરીને આ ઘટનાઓનું હવેની નિવૃત્ત પેઢીમાં પુનરાવર્તન ના થાય અને નિવૃત્તોની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરવા માટેનાં અનેક પ્રકારનાં ચિંતનો, સુવાક્યો, પોઝીટીવ વિચારો અને મહાન વ્યકિતઓનાં નોંધપાત્ર ઉદાહરણો ટાંકીને ઉત્તરાવસ્થા લીલીછમ કેવી રીતે થાય તે અંગેનું સચોટ માર્ગદર્શન એટલે ‘નિવૃત્તિનું વિજ્ઞાન’. આ પુસ્તકમાં મળતાં માર્ગદર્શન હેઠળ વૈશ્વિક સ્તરે દરેક નિવૃત્ત વૃધ્ધને પછી તે સ્ત્રી હોય કે પુરુષ, કેવી રીતે શેષ જીંદગી પસાર કરવી તે પોતાનાં ઘરની પરિસ્થિતિને અનુરુપ વિવેકબુધ્ધિ વાપરીને અન્ય કોઇ વ્યક્તિ નક્કી કરી શકે.

એ સિધ્ધ છે કે ગુરુ જેનું જ્ઞાન આપતાં હોય તેનુ આચરણ કરે તોજ તેની અસર શિષ્ય પર થાય છે. આ પુસ્તકનાં મૂળ સ્ત્રોત્ર દાદા કે જેઓ આજે ૯૫ વર્ષની ઉંમરે પણ રોજના ૧૦,૦૦૦ પગલાં ચાલે છે અને આ તેમની શતાયુ બનવાની એક જડીબુટ્ટી છે. જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કર્યો છે. તેમના મત મુજબ ‘શરીરને સાચવો, માણો અને ક્યારેય કોઇને ના નડો’. તે ઉપરાંત કેટલાક અનુભવી અને નિષ્ણાત લેખકોનાં આ પુસ્તક વિષેનાં મંતવ્યો પુસ્તકની શરૂઆતમાં આલેખ્યાં છે.

નિવૃત્ત થયા પછી એકલતાને સહારો બનાવ્યા વગર દિવસ કેવી રીતે પસાર કરવો? તે માટેના સફળ કિમિયા વાંચવા મળે છે. પાણીનાં પ્રયોગો, જરૂરી ખોરાક, જરૂરી યોગાસન અને ધ્યાનની માહિતિ કે જે તમને આરોગ્ય અને ઇશ્વરની અનુભૂતિ માટે અત્યંત આવશ્યક છે, તેનો પણ સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત વૃધ્ધો જ્યારે અસલામતીની ભાવનાથી પિડાતા હોય છે ત્યારે સૌથી મૂંઝવતો પ્રશ્ન નાણાંકીય બચત, ટેક્સ, વીમો અને વીલ અંગેનાં યોગ્ય માર્ગદર્શનનો હોય છે. એ જરૂરી માર્ગદર્શન આ પુસ્તકમાંથી મળે છે. ‘ઓબામાકેર’, ‘મેડીકેર’ અને ‘મેડીકેઇડ’ વિષેની માહિતિ પણ આપવામાં આવી છે. આમ નાણાંકીય અને કાયદાકીય બાબતોથી જ્ઞાત કરવાંમાં લેખક સફળ નિવડ્યા છે. પરંતુ જેમ દર્દીએ દર્દીએ દવા અલગ અલગ હોય છે તેમ દરેકે પોતાની બાબત માટે જે તે ઍડવાઇઝરની મદદ લેવી જોઇએ.

આમ આ કોઇ નવલકથા નથી પરંતુ વડીલો માટેની સંપૂર્ણ કાળજી લઇને, તેમની દ્વિધા અને તમામ પ્રશ્નનાં જવાબને સરળ ભાષામાં રજૂ કર્યાં છે.

અંતિમ સમયે થતાં વિષાદો અને તેનાં નિરાકરણો ઉદાહરણ અને ગઝલ દ્વારા દર્શાવ્યાં છે અને છેલ્લે મૃત્યુ વિષે અને ‘તારુ શરણુ પ્રભુ’ એ લેખ સાથે વિજય શાહે આ પુસ્તકમાં તેમની કલમને વિરામ આપ્યો છે.

અંતે, હું કહીશ કે ફરી ફરીને વાંચવાનું મન થાય તેવું સાહિત્યનું, નિવૃત્ત લોકો માટેનું એક ઉત્તમ કૃતિનું સર્જન છે, આ પુસ્તક ‘નિવૃત્તિનું વિજ્ઞાન’.

કલ્પના બેન રઘુ શાહ

સાંકડો બાંકડો-દર્શના નાટકરણી ​

 

સાંકડો બાંકડો 
બગીચા માં દીઠો એકલો અટૂલો બાંકડો
બે છૂટથી ન બેસી શકે એવો સાંકડો બાંકડો
જો કોઈ બેસે ભરખમ તગડો
તો તૂટી પડે તેવો સાંકડો બાંકડો
દુર રહેવા માંગતા બે વચ્ચે હોય જો ઝગડો
મોં ફેરવી બેસી ન શકે એવો સાંકડો બાંકડો
કોઈ ની જરૂરિયાત નથી પૂરી પાડતો
એકલો અટૂલો બિચારો રાંકડો બાંકડો
હાથ માં હાથ ભેરવી બેઠા બે પ્રેમી પંખીડા
હોઠ માં હોઠ પરોવ્યા- આ પ્રેમીનો સાંકડો બાંકડો 
 
Darshana –દર્શના નાટકરણી 

 

શબ્દો જ્યારે જીવતા થાય છે–પી. કે. દાવડા

શબ્દો જ્યારે જીવતા થાય છે

આજના આ ઘોંગાટ ભર્યા જીવનમા શબ્દો ક્યાં સંભળાય છે?અને સંભળાય તોયે ક્યાં સમજાય છે? આજની ફીલ્મોમાં loud music અને ઢંગધડા વગરના શબ્દો યાદ રાખવા જેવા પણ નથી.આજે વર્ષો બાદ ૧૯૪૭ના એક નાટક  ‘શંભૂમેળો’ નું ગીત યાદ આવ્યું છે. ફક્ત Harmonium અને ધીમા તબલા સાથે જ્યારેમોતીબાઈના કંઠે, પ્રભુલાલ દ્વિવેદીનું લખેલું આ ગીત ગવાતું ત્યારે મુંબઈના Princess Theater માં ભાગ્યે જ કોઈ એવું હશે,જેની આંખ ભીની ન થઈ હોય. હકીકતમાં શબ્દો જીવંત થતાં,નઝરની સામે આબેહુબ ચિત્ર ઉપસી આવતું.થોડા સમય પહેલાં જ પરણીને સાસરે આવેલી યુવતીને નવરાશની પળોમા એનું પિયરિયું યાદ આવે છે, અને એ ગાયછે,

“પિયરીયું     સાંભરે,    બાઇ,   મને

પિયરીયું  સાંભર…….સાંભરે    માડી ના     હેત  –૦

ગાડું વળાવ્યું   ત્યારે   રોતી’તી    માવડી

                                        બાપુ ઉભા’તા  અચેત    —૦

એકજ     ઓસરીએ     હતા    ચાર  ચાર     ઓરડા

                                        આંગણીયે લીમડા ની છાયા

ગાતી’તી   હું  ત્યારે ઘેરી ને બેસતી

                                                                                  ગાયું વાછરડા   સમેત —૦

ખેતર લીલુડા ને લહેરાતી વાડીયું

ખેલતા ધરતીને ખોળે.

મળતી જો હોત ફરી મહિયર  ની માયા

મોઢે માંગ્યાં  મૂલ દેત —O”

પિયરિયામાં સૌથી પહેલાં મા યાદ આવે છે, મા એ વરસો સુધી આપેલો પ્રેમ યાદ આવે છે, અને પછી તરત જ પોતાની વિદાયનું દ્રષ્ય નજર સામે આવે છે કે નહિં? શબ્દો જીવતાં થઈ, કંઈક કહી રહ્યા છે કે નહીં?

“ગાડું વળાવ્યું ત્યારે રોતી તી માવડી,

બાપુ ઊભાતાં અચેત…..બાઈ મને…”

 ગામડાંમા કોઈની પણ દીકરી પરણીને બીજે ગામ જતી હોય ત્યારે આખું ગામ તેને વળાવવા ભેગું થતું. ગાડું દેખાય ત્યાં સુધી ઉભા રહેતાં અને પછી ભીની આંખે ઘરે જતા. આજે આપશ્રી/બન્ને/સહકુટુંબ લખીને આમંત્રણ આપનારાઓને આ નહીં સમજાય.દિકરીને વળાવતી આંસુ સારતી મા અને શૂન્ય મસ્તક થઈ ગયેલા બાપને જોતી આ નવોઢએ જોયેલું આ દ્ર્ષ્ય નજર સામે આવે છે કે નહિં? શબ્દો જીવતાં થઈ, કંઈક કહી રહ્યા છે કે નહીં?છેલ્લી બે પંક્તિઓ ઘણું બધું કહી જાય છે, જે સમજી શકે એમના માટે છે.કદાચ “આતી ક્યા ખંડાલા?” અને “મસકઅલી, મટકઅલી..”સાંભળીને મોટા થતા લોકોને આ ન પણ સમજાય.

-પી. કે. દાવડા

 

મળવા જેવા માણસ- (પ્રાધ્યાપક ડો. દિનેશ શાહ)

dineshbhaiડો. દિનેશ શાહ

દિનેશભાઈનો જન્મ ૧૯૩૮ માં મુંબઈમાં થયો હતો. એમનું મૂળગામ કપડવંજ. એમના પિતા મુંબઈમાં ગોદરેજ કંપનીમાં એકાઉંટ્સ વિભાગમાં નોકરી કરતા હતા. દિનેશભાઈની ઉંમર દસ વર્ષની હતી ત્યારે એમણે પિતાની છત્રછાયા ગુમાવેલી. પિતાની બિમારીના ખર્ચને લીધે કુટુંબની આર્થિક પરિસ્થિતિ પણ કથળી ગયેલી. એમના ચાર ભાઈ બહેન અને માતા મળીને છ જણનું કુટુંબ અનેક પ્રકારના નાનામોટા કામો કરીને જીવનવિર્વાહ ચલાવતા. કુટુંબનું લક્ષ્ય હતું કે મુશીબતોનો સામનો કરીને પણ વિદ્યા પ્રાપ્ત કરી લેવી જેથી કુટુંબ ફરી પગભેર થઈ શકે.

દિનેશભાઈનું બાલમંદિરથી મેટ્રીક સુધીનું શિક્ષણ કપડવંજમાં જ થયું. બાળપણથી જ વાંચનના શોખીન દિનેશભાઈએ શાળાના વર્ષો દરમ્યાન જ અનેક મહાપુરૂષોના જીવનચરિત્રો વાંચી લીધેલા. ૧૯૫૫ માં કપડવંજ સેંટરમાં સૌથી વધારે માર્કસ મેળવી, દિનેશભાઈ મેટ્રીકમાં ઉતિર્ણ થયા.

મેટ્રીક બાદ મુંબઈની એલફિસ્ટન કોલેજમાં પ્રવેશ મેળવ્યો અહીં એમને વાડિયા સ્કોલરશીપ મળી. ગોકુલદાસ તેજપાલ ચેરિટી બોર્ડીંગમાં ચાર વર્ષ રહી એમણે ૧૯૫૯ માં B.Sc. સુધીનો અભ્યાસ પુરો કર્યો. આ દરમ્યાન, આર્થિક પરિસ્થિતિને લીધે એમને ટ્યુશનો કરવા પડતા. એમણે આગળ ભણવાનું ચાલુ રાખી ૧૯૬૧ માં Bio-Physics માં M.Sc. ની ડીગ્રી પ્રાપ્ત કરી. એમના મનમાં હજી વધારે અભ્યાસ કરવાની ઈચ્છા હતી. એમના સદનશીબે ભૂલાભાઈ દેસાઈના કુટુંબની સહાય મળી અને Ph.D. કરવા માટે તેઓ ૧૯૬૧ માં અમેરિકા આવ્યા. અમેરિકામાં ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ૧૯૬૫ માં એમણે Ph.D. ની ઉપાધી હાંસિલ કરી. અહીં એમની મુલાકાત વડોદરાથી M.Sc. કરી Ph.D. માટે આવેલા સુવર્ણા શાહ સાથે થઈ અને વડિલોની મંજૂરીથી તેઓએ લગ્ન કર્યા.

અભ્યાસ પૂરો કરી, દિનેશભાઈ કોલંબિયા યુનિવર્સિટીમાં જ અધ્યાપક તરીકે જોડાયા. બે વર્ષ અહીં નોકરી કર્યા બાદ એક વર્ષ માટે અમેરિકાની વિખ્યાત સંસ્થા NASA  માં AMES રીસર્ચ સેંટરમાં કામ કર્યું અને ત્યારબાદ ફરી પાછા કોલંબિયા યુનિવર્સિટીમાં “લામોન્ટ જીઓલોજીકલ ઓબઝર્વેટરી” માં “બાયોલોજીકલ ઓશનોલોજી રીસર્ચ એસોસિયેટ” તરીકે જોડાયા. અહીં બીજા બે વર્ષ સુધી કામ કર્યું, આ પછી બીજા ૩૭ વર્ષ ફ્લોરિડા યુનિવર્સિટીમાં આસીસ્ટંટ પ્રોફેસર, પ્રોફેસર, ચેરમેન ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એંજીનીઅરીંગ, ડાયરેકટર સેન્ટર ફોર સરફેઈસ સાયન્સ એન્ડ એંજીનીઅરીંગ વગેરે કેપૅસીટીમાં કામ કર્યુ. ૨૦૦૭ માં નિવૃત થયા છતાં યુનિવર્સિટીમાં માનદ પદવીધારક તરીકે એમની ઓફીસ મોજૂદ છે.

આ ત્રીસ વર્ષ દરમ્યાન ૩૭૫ થી વધારે રીસર્ચ પેપર્સ લખ્યા, દસ પેટંટ્સ મેળવી અને અનેક દેશમાં અસંખ્ય સંસ્થાઓમાં પ્રવચન આપ્યા. એમની વિધ્વતા માટે એમને અનેક માન-સન્માન અને પારિતોષિકો એનાયત થયા છે.

અર્ધી સદીથી પણ વધારે વિદેશમાં ગાળ્યા છતાં તેઓ સ્વદેશને ભૂલ્યા નથી. ૨૦૦૮ માં એમણે નડિયાદમાં Shah-Schulman Center for Surface Science and Nanotechnology સ્થાપ્યું, અને આજે પણ એના Founder Director તરીકે સેવા આપે છે.

એમના પત્ની સુવર્ણાબહેને, પોતે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હોવાથી, દિનેશભાઈને ખૂબ જ સાથ સહકાર આપ્યો. ૨૦૦૦ માં સુવર્ણાબહેનનું અવસાન થતાં દિનેશભાઈને એક પ્રકારના ખાલીપાને અહેસાસ થયો, પણ એમણે વધારે પ્રવૃતિઓમાં ઓતપ્રોત થઈ એ ખાલીપાને સર્જનાત્મક ઢાળમાં ઢાળી દીધો.

અત્યાસ સુધી મેં દિનેશભાઈની academic સિધ્ધીઓની વાતો કરી. પણ મારી જેમ તમને પણ આસશ્ચર્ય થશે કે દિનેશભાઈ એક સારા કવિ અને લેખક પણ છે. સાહિત્યનો શોખ તો તેઓ શાળામાં હતા ત્યારથી જ કેળવેલો. છઠ્ઠા ધોરણમા હતા ત્યારે એમણે આ પંક્તિઓ લખેલી,

“મારા   જીવનના  બે   છે  સહારા, વહેતાં એ ઝરણાં, ને ખરતા સિતારા,

વિંધી  શિલાઓ  વહી  આગે  જાઉં, મળે  કદી  ના  જો  મુજને  કિનારા.

અંધારી  રાતે  ઝબકી  બૂઝી  જાઉં, ભૂલ્યા  પ્રવાસી,  ને કરતાં  ઈશારા.”

અને બસ એમણે એમની પંક્તિ પ્રમાણે જીવનમાં સાહિત્યના ઝરણાંને વહેતું રાખ્યું છે અને ધ્રુવ તારાની જેમ સ્થિર રહી, અનેક લોકોને સાચી દિશા બતાવી છે. એમની રચનાઓની સંવેદનશીલતા સમજવી હોય તો સળગતી ચિતાને જોઈને લખેલી આ પંક્તિઓ જૂવો,

“શંકા જાગી મુજ હ્રદયમાં દેખી શિખાઓ આખરે,

ન ચળ્યું પાષાણ  હૈયું, તે  તુજમાં જલસે  ખરે?”

એક પાષાણ હ્રદયના માણસના મૃત્યુબાદ એની જલતી ચિતા જોઈને એમણે આ શબ્દો લખેલા. દિનેશભાઈની પંક્તિઓ કવિ સંમેલનો અને મુશાયરાઓમાં લોકોને ખુશ કરી દે છે, એક ઉદાહરણ આપું,

“નથી જો તારલાની ભાત તો એ રાત સુની છે,

નથી છો છાપ પગલાની તો એ વાટ સૂની છે.”

પત્નીના મૃત્યુબાદ બે પંક્તિઓમાં જ જીવનમા આવેલા બદલાવ અંગે એ as a matter of fact કહે છે,

“હ્રદયની રાણી સ્વર્ગે વળાવી ઘરમાં એકલા રહેવાનું,

શાંત  પડી આ સગડી  મારી, આંધણ  જાતે મૂકવાનું.”

એમની મોટાભાગની રચનાઓમાં જીવનનું તત્વજ્ઞાન ભરેલું હોય છે, એમાં રહેલું ઊંડાણ સમજવા એકાગ્રતા હોવી જરૂરી થઈ જાય છે. સહેજ લાગતા શબ્દોમાં ઘણાં ગર્ભિત ઈશારા હોય છે,

“દુનિયા છે એક હાટ મોટું, જેમાં જુદા જુદા તોલ,

હોય ભલે ચીજો એકસરખી, પણ જુદા જુદા મોલ,

આપ ભલા તો જગ ભલા, એવા આતમના બોલ,

રંગીન કાચ છે માનવ મન, આંખો અંતરની ખોલ.”

આ ચાર પંક્તિઓમાં એમણે સંસારની કેટલી બધી વાતો કહી દીધી છે?

દિનેશભાઈનાગામકપડવંજમાંએમનીજનસેવાનાફળસ્વરૂપે  એકમાર્ગનુંનામ “આંતરરાષ્ટ્રિય  વૈજ્ઞાનિકદિનેશભાઈશાહમાર્ગ” નું  2009 માં  લોકાર્પણકરવામાંઆવેલું . આપ્રસંગોનોવિડીયોતેમજતેમનકોન્સર્ટમાંરજુથયેલાતેમનાગીતોયુટ્યુબ (You Tube, Search for Dinesh O. Shah Songs) ઉપરવાચકોનેજોવામળશે. તેઓએ   પોતાનાગામનીઅનેકજાહેરસંસ્થાઓનેઆર્થીકમદદકરીછે.

દિનેશભાઈનો પરિચય આ ત્રણ ચાર પાનામાં લખવાનું શક્ય નથી, એના માટે તો એક પુસ્તક લખવું પડે, પણ પુરું કરતાં પહેલાં આટલું જરૂર કહીસ કે દિનેશભાઈને બોલતા સાંભળવા એ પણ એક લહાવો છે. વર્ષો સુધી પ્રોફેસર હતા એટલે બોલતાં આવડે એમા કંઈ નવાઈ નથી, પણ તમે સમજી શકો એ રીતે બોલવું એ એમની આગવી વિષેશતા છે. મેં એમને ૨૫ મી એપ્રીલ, ૨૦૧૪ ના માત્ર અર્ધા કલાક માટે જ સાંભળેલા, પણ મને લાગ્યું કે મારો વીસ માઈલનો ફેરો વસૂલ થઈ ગયો.

એક ગુજરાતી તરીકે મારી સલાહ છે કે કયારે પણ દિનેશભાઈને સાંભળવાની તક મળે તો એને ઝડપી લેજો, જરૂર તમને મારી સલાહ સાચી લાગશે.

-પી. કે. દાવડા

વિજય કાવ્ય-સ્વપ્ન જેસરવાકર

કમલકી નિકલી સવારી...વિજય કાવ્ય

ભાજપાકી નિકલી સવારી કમલકી લીલા હે ન્યારી

એક તરફ રાજનાથ એક તરફ લાલજી …એક તરફ લાલજી

નરેન્દ્રજી બને  ભાજપાકે વિજય વિહારી…ભાજપાકે વિજય વિહારી…ભાજપાકી.

સારે ભારતમેં કેસરિયા છાયા, હર પ્રાંતમેં કમલ ખિલાયા (૨)

ગ્યારા અશોકાને દિવાલી મનાઇ, દશ જનપથમેં હોલી જલાઇ (૨)

યે તો કમાલકી હે નરેન્દ્રજીકી  બલિહારી…નરેન્દ્રજીકી બલિહારી…..ભાજપાકી.

કમલને કેસા કમાલ દિખાયા, જનતાને ખુશી માહોલ બનાયા (૨)

પંજાકો ગિરાયા જેડીયુકા સફાયા, હાથીકો ઇધર ઊધર ઘુમાયા (૨)

પંકચરવાલી સાયકિલ હુઇ બેચારી…. સાયકિલ હુઇ બેચારી…..ભાજપાકી

ગુજરાતસે એક સંદેશ જ ગુંજા નરેન્દ્ર તો સારે દેશમેં ઘુમા (૨)

અબ તો અચ્છે દિન આયેંગે ,ભારતકે ભાગ્યકો જગાયેંગે  (૨)

ગુંજી સાથ સબકા વિકાસકી ચિચીયારી..વિકાસકી ચિચીયારી…ભાજપાકી

સ્વપ્ન જેસરવાકર

સુખ-જયા ઉપાધ્યાય

   સુખ  

સુખ   નથી સંતાયુ  પત્થર   ના ભગવાન  માં

સુખ  છે  છલકાયું   ઈશ્વર   જેવા    ઇન્સાન  માં

સુખ નથી   મંદિર  ના  ઘંટ કે પ્રભુ ના  દૂધ સ્નાન માં

સુખ  માં કરો  દર્શન   બાળક  ના મધુર  મુસ્કાન માં

સુખ  નથી પૂજા અર્ચના કે  છપ્પન  ભોગ ના  થાળ માં

સુખ નો સૂર્યોદય  છે ભૂખ્યા   માનવ  ની   આશ માં

સુખ આપ્યું છે  જે  પ્રભુ   એ  , એને શું  આપશો   દાન માં

સુખ   અગર  જોઈએ   તો સુખ    વહેંચો    સંસાર   માં

ઓમ   માં  ઓમ

જયા   ઉપાધ્યાય

જિંદગી તો આ દુઆ થકી જ રૂડી છે….

પ્રિય પ્રજ્ઞાબેન,

મિત્રો 11મી મેં ના મારો જન્મદિવસ હતો અને હું બિન મોસમની પલળી ગઈ,બધા મિત્રો સ્વજનોએ મને આશીર્વાદ,અને શુભેચ્છા વરસાવી ,ફોન ઇમૈલ ફૂલો અને કેક છેલ્લા ત્રણ દિવસથી મળી રહ્યા છે મારા  દરેક પગલાના સાક્ષી એવા – શબ્દોનાસર્જના , બેઠકના સર્જકો, વાચકો – શ્રોતાઓને – મારા તરફથી ખૂબ ખૂબ આભાર .  આપે જે ઉમળકાથી મને શુભેચ્છા પાઠવી છે એ હંમેશા માટે મારા હુદયમાં અંકાઈ ગઈ છે..તમારા જેવા મિત્રો જ મારી મૂડી છે એનાથી વધારે બીજી કઈ વાત રૂડી છે…ખુદાએ  ભલે લખી તકદીર પણ જિંદગી તો આ દુઆ થકી જ રૂડી છે। ..

આમતો ઘણા મિત્રોની શુભેચ્છા આવી છે પણ એક બે શુભેચ્છા અહી મુકું છું

વહાલા પ્રજ્ઞાબેન, તમારા જન્મદિવસની શુભેચ્છા,પ્રભુ તમને તન ,મન,અને ધનથી સદા ભર્યા રાખે.ગુજરાતી સમાજના અને ગુજરાતી ભાષાના તમારા સેવા કાર્યને વેગવંતુ રાખે, અગણિત જન્મદિવસો આવે અને અમે સૌ હદયથી તમને શુભેચ્છાઓ પાઠવ્યા કરીએ.

તરુલતા મહેતા

પ્રિય પ્રજ્ઞાબેન,

પલકઝપકમાં પળ પસાર થઇ જાય છે.

નવી ક્ષિતિજો આંબવાને પ્રજ્ઞાબેન તૈયાર થઇ જાય છે.

‘શબ્દોનું સર્જન’ પરનાં મારાં સર્જનહારની આજે જન્મતારીખ છે.

શબ્દોના સર્જકોની અંતરની આશિષ છે.

દુઆઓનાં કાફલા વચ્ચે મારી પણ આ દુઆ છે.

માતૃદિનના સુંદર અવસરે અનેકનું માતૃહ્રદય જેમાં બિરાજે છે તે પ્રજ્ઞાબેનને કલ્પના રઘુની ખૂબખૂબ વધાઇ છે.

તમારી પૂરી થાય હર કામના, હર ઉદ્દેશ. હર હાલમાં છે ઇશ્વરનો આદેશ … એ સમજીને જો કરશો નવા વર્ષમાં પ્રવેશ તો સમજો સફળ છે તમારા જીવનનો ઉદ્દેશ.

રિધ્ધિ સિધ્ધિ સાથે ગણેશજીની કૃપા રહે. મા સરસ્વતી સદાય તમારી કલમે વસે. બસ એ જ પ્રાર્થના આપના જન્મદિને.

જન્મદિન મુબારક

કલ્પના રઘુ

 

‘મા’-જગથી જુદેરી એની જાત રે …-કલ્પના રઘુ

મિત્રો,

આજે મારા માટેનો એક ખાસ દિવસ છે. આજે જ્યારે હું મારા વર્તમાન અને ભૂતકાળને ભેગો કરું છું, ત્યારે મારા હ્રદયમાંથી સ્ફ્રુરે છે ‘મા’ … ૧૦મા ધોરણમાં શીખેલી એ કવિતા … ‘જનનીની જોડ સખી નહિં જડે રે લોલ’ ….. હું પહેલાં તમને તેનાં વિષે થોડું કહેવા માંગુ છું.

કવિશ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર. તેમનું જીવન ભાવનગર પાસેનાં બોટાદ ગામમાં સામાન્ય શિક્ષક તરીકે કામ કરવામાં વિત્યું હતું. અસહ્ય ગરીબી અને પાર વિનાની તકલીફો વચ્ચે તેમણે પોતાનાં સાહિત્ય રસને જાળવી રાખ્યો હતો. તેમની કવિતામાં ગ્રામજીવન અને ગૃહજીવનનાં સૌંદર્યનો ભાસ થાય છે. તેમની કવિતામાં અંગ્રેજી સાહિત્યનો સીધો પરિચય નહોતો. તેમની કવિતાઓમાં વિષયોનાં ભાવોની નવિનતા ઠીક પ્રમાણમાં જોવા મળે છે. કોઇકવાર વધારે સંસ્કૃતમાં તેમનું કથન સરળ, મધુર, પ્રાસાદિક પદાવલી વાળું, શુધ્ધ છંદોવાળું હોય છે. ૧૮૭૦થી ૧૯૨૪ સુધી તેમની જીવનયાત્રા રહી તે દરમ્યાન તેમનાં કાવ્યસંગ્રહમાં કલ્લોલીની, શ્રોતસ્વીની, નિર્ઝરીની, રાસતરંગીની અને કાવ્ય ઉર્મિલા પ્રચલીત છે. શ્રી બોટાદકર પ્રાચીન કવિ હતાં. યુગોનાં યુગો સુધી ચર્ચા થાય તેવું ધારદાર તેમનું લખાણ હતું. અને તેમની એક આ કવિતા ‘મા’ ઉપરની તમામ કવિતાઓમાં સર્વશ્રેષ્ઠ છે. આ લોકગીત તરીકે પણ પ્રખ્યાત છે. આ કવિતા આપને હું ટૂંકમાં સંભળાવીશ.

આ કવિતાનાં શબ્દો દરેક માતા માટે શ્રધ્ધાંજલી બની રહે તેવાં હ્રદયદ્રાવક છે …

મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે …

જનનીની જોડ સખી! નહિં જડે રે લોલ.

પ્રભુનાં એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે …

જનનીની જોડ સખી! નહિં જડે રે લોલ.

અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે …

જનનીની જોડ સખી! નહિં જડે રે લોલ.

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ …

ગંગાના નીર તો વધે ને ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે …

જનનીની જોડ સખી! નહિં જડે રે લોલ.

‘મા’ … ‘મા’નું વર્ણન કરી શકે તેવો વિરલો હજુ પાક્યો નથી. તેના માટે ‘મા’ બનવું પડે.

મિત્રો, મારી ‘મા’ને દેહ ત્યાગ કરે આજે ૩ દિવસ થયાં. ૨ વર્ષથી પથારીવશ અને છેલ્લાં ૧૫ દિવસથી પરમ સમીપે જવાની કોશીશ કરતી મારી ‘મા’ આંખ સામેથી ખસતી નથી. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમતી મારી ‘મા’ હું તેને મળીને મારા ઘરે જવા નિકળું ત્યારે હંમેશા કહેતી બસ જાય છે? … અને આજે એ હંમેશ માટે જતી રહી … જરૂરી હતું એના માટે જવું … જરૂરી હતું એનાં માટે એના શરીરને છોડવાનું … પરંતુ ‘મા’નું મૃત્યુ દિકરી માટે અસહ્ય હોય છે. કહેવાય છે ને કે ઇશ્વર ધરતી પર સદેહે આવી નથી શકતો માટે એને ‘મા’નું સર્જન કર્યું છે. સ્ત્રી શક્તિની ઉત્કૃષ્ટતા ‘મા’માં જોવા મળે છે. ‘મા’ ગમે તેવી ગાંડી, ઘેલી, અપંગ હોય, મૃત્યુનાં બિછાનેથી પણ તેની આંખો હમેશા સંતાનને આશીર્વાદ જ આપતી હોય છે, ‘મા’ની મમતાને મમળાવ્યા જ કરીએ અને તેની મધુરપનાં વારિ … બસ … પીધાં જ કરીએ. ‘મા’ તેનાં સંતાન માટે તો ઇશ્વરથી પણ શ્રેષ્ઠ હોય છે. ઇશ્વરને પણ ‘મા’ના દૂધનું અમૃત પીવા માનવ જન્મ લેવો પડયો હતો.

બાળકનાં જન્મતાની સાથે તેનો umbilical cord કાપવામાં આવે છે પરંતુ spiritual cordથી બાળક ‘મા’ સાથે હંમેશા જોડાયેલું રહે છે અને એ સંધાન ‘મા’નાં મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. સતત આશિર્વાદ વરસાવીને … માટે તો ‘મા’ને કરુણામૂર્તિ, વાત્સલ્યમૂર્તિ કહીને નવાજવામાં આવે છે. સંતાનની દુનિયામાં નીતનવી વ્યક્તિઓની આવન-જાવન ચલુ હોય છે પરંતુ ‘મા;ની દુનિયા, તેનો સંસાર તેનાં સંતાનની આસપાસ જ હોય છે. ‘મા’ના ખોળામાં માથુ મુકો અને દરેક દુઃખ ગાયબ. ‘મા’ની ઝપ્પીમાં એક નવી ચેતના, નવા જીવનનો અનુભવ થાય. હું તો કહીશ, દુનિયાનો ‘સર્વશ્રેષ્ઠ જાદુગર’ એટલે ‘મા’.

‘મા’, હું તારું આપેલું તને શબ્દો દ્વારા અર્પણ કરું છું. હું તારા માટેની શ્રધ્ધાંજલી વ્યક્ત કરું છું. મને આશા છે એ દરેક વ્યક્તિની ‘મા’ માટે હશે …

માતૃદેવો ભવઃ

હે મા! મારૂં સ્થાન હમેશા તારા ચરણોમાં છે. આજે તારી શ્વાસની લીલા સમેટાઇ ગઇ છે. તારાં લોહી થકી તેં સિંચેલા સંસ્કારોથી તારૂં આ સંતાન-વૃક્ષ ફૂલેલું-ફાલલું છે. તેં સિંચેલા સંસ્કારોનું પ્રતિબિંબ એ મારૂં વર્તમાન અને ભવિષ્યનું જીવન છે. અને તેનાંથી મારો જીવનબાગ ફળદ્રુપ છે. મારું જગ ઉજીયારું છે. પણ માંહ્યલામાં તારી મમતા એક છાને ખૂણે પોકારી પોકારીને તારી યાદો તાજી કરે છે. ક્યારેક મૂળ વગરનાં વૃક્ષ જેવી લાગણી અનુભવું છું. મા, હું જાણું છું સ્થુળ શરીર નાશવંત છે પરંતુ સૂક્ષ્મદેહે તુ હમેશા મારા દિલો-દિમાગમાં મારા શ્વાસમાં, સંસ્કારમાં અને આવનાર પેઢીમાં આશિર્વાદ વરસાવ્યાં જ કરીશ. તે મારામાં સહનશીલતા, સ્વચ્છતા, ચોકસાઇ, કરકસર, આધ્યાત્મિકતા, રસોઇકળા તેમજ અનેક સ્ત્રી સહજ કળાઓનું નિરૂપણ કર્યું છે તે માટે હું તારો આભાર માનું છું. તારા હૃદયની કુમાશ અને તારા સ્પર્શની હૂંફ આજેય હું ભૂલી નથી શકતી. તારી શક્તિનો અહેસાસ છે મારા જીવનનો રાસ. તારા વિષે હું જેટલું લખું, કલમ-કાગળ ખૂટી પડશે … હું અને મારો પરિવાર તારો આભારી છે. તારો પવિત્ર આત્મા, પરમાત્મામાં ભળી જાય એજ ઇશ્વરને પ્રાર્થના. ઓ મા તને મારા શત્‍ શત્‍ પ્રણામ.

કલ્પના રઘુ

એક બીજાને ગમતા રહિયે…-પી. કે. દાવડા

એક બીજાને ગમતા રહિયે

ચાલો આપણે એક બીજાને ગમતા રહિયે,

ગમવાની આ રમત આપણે રમતા રહિયે.

તારા મારા સ્વભાવ જુદા, પણ તેમાં શું?

લોકો  ઉપર પ્રભાવ જુદા, પણ તેમાં શું?

લોકોના આ રામ-સીતાના ભરમમા રહિયે,

ચાલો આપણે એક બીજાને ગમતા રહિયે.

તને ભાવે એ મને ન ભાવે, પણ તેમાં શું?

ચા કોફી પણ નોખા આવે, પણ તેમાં શું?

રોજ રાતના  ભેગા બેસી જમતાં જઈએ,

ચાલો આપણે એક બીજાને ગમતા રહિયે..

ઘરની વાતું ઘરમા રહેતી, પણ તેમા શું?

દુનિયા છો ભરમમા રહેતી, પણ તેમા શું?

અભિનય આપણે આપણો કરતા જઈયે,

ચાલો આપણે એક બીજાને ગમતા રહિયે..

-પી. કે. દાવડા