મિત્રો,
તમારે નદી,પહાડો,સાગનાં વૃક્ષો,જંગલો ,અરે! સમગ્ર પ્રકૃતિ સાથે વાતો કરતાં શીખવું છે? તેમની મૌન ભાષાને સમજી તેના પ્રેમરસને આંખોથી પીવો છે? સર્જનહારે સર્જેલ જડ ચેતન,પશુ-પંખી સમગ્ર કાયનાત સાથે મોજ માણતાં જીવતાં શીખવું હોય,સૃષ્ટિનાં સર્જેલ દરેક ગરીબ,ભણેલા ,અભણ,જંગલમાં રહેતા આદિવાસી,સાધુ ,ફકીર,ભૂત ભૂવા દરેકની સંવેદનાને તેના હ્રદય પર કાન ધરી સાંભળવી હોય,આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને શ્વસીને તેની હૂંફને માણવી હોય તો ધ્રુવદાદાની ‘તત્વમસિ’ નવલકથા જરૂર વાંચજો.તમારે જીવનરસને મનભરી પી તેમાં મસ્ત થવું હોય ,જીવનની સચ્ચાઈને જાણવી અને માણવી હોય તો આ નવલકથા વાંચો.
ન સમજાયું? હું સમજાવું ,તમને જે હું વાંચીને સમજી છું તે મારી બુધ્ધિ કક્ષા મુજબ.આપણે અનેક નવલકથા વાંચતાં હોઈએ છીએ. લેખક તેની કલ્પનાનાં દ્વાર ખોલીને આપણને કલ્પનાઓમાં જ ક્યાંય આકાશમાં ઉડાડે છે.અને પછી નવલકથા પતે એટલે નીચે લાવી પછાડે છે.તેમાં બધું જ કાલ્પનિક. અહીં આ નવલકથામાં દાદાએ આપણને જીવનની નકરી વાસ્તવિકતા,સકળ બ્રહ્માંડ સાથેની આપણી એકરુપતા ,તેમજ દુન્યવી સત્ય,કરુણા અને પ્રેમનાં દર્શન સહજતાથી કરાવ્યાં છે.
ભૌતિક સુખ ,પ્લાસ્ટિકની દુનિયા અને આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં શું ફરક છે? તે ઊંડાણપૂર્વક સરળતાથી આ નવલકથા દ્વારા સમજાવ્યું છે.
પરદેશમાં લાંબાં સમયથી રહેલ અને અનેક સગવડો વચ્ચે રહેલ વ્યક્તિ પણ જ્યારે ભારતીય પરંપરા,સંસ્કૃતિને પિછાણે છે અને સામાન્ય માનવીઓનાં હ્દયમાં રહેલી સંવેદનાને સંવેદે છે ત્યારે તેનાથી અભિભૂત થયા વગર રહી શકતો નથી.તેની ડાયરીનાં એક એક પાના પર તેણે અનુભવેલી એક એક લાગણીની ટશરોની ભીનાશ પથરાએલી અનુભવાય છે. અને નવલકથા વાંચીને તે ભીનાશમાં પલળવાની વાચકને પણ મજા પડે છે. આપણી સંસ્કૃતિ આપણી પરંપંરાને જાણી તેની અહલેકની પહેચાન થતાં તેની સાથે જીવનને માણી તેનો અનોખો આનંદ અનુભવે છે.આ આખી વાત તે પોતાનાં શબ્દોમાં ડાયરીમાં ઉતારે છે.
વિદેશથી પોતે કમને આવેલ પણ ધીરેધીરે વતનની માટીની સુગંધ,પ્રકૃતિની ગોદ,જંગલની હરિયાળી, નર્મદા કિનારો,નર્મદાનાં પરિક્રમા કરવાવાળા,તેમની માન્યતાઓ,નર્મદા તટવાસીઓ, અભણ ,અત્યંત ગરીબાઈમાં પણ ખુશ રહીને જીવતાં આદિવાસીઓ વિગેરે કેવીરીતે એક પરદેશીને ,આકર્ષી પોતાનો બનાવી દે છે તે વાતની ખૂબ સુંદર શબ્દ ગૂંથણી કરી ધ્રુવદાદાએ નવલકથાનું સર્જન કર્યું છે. એટલેજ આ નવલકથા સાહિત્ય પરિષદ અને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા હકદાર બની છે. તેના ઉપરથી બનેલ ફિલ્મ ‘રેવા’ ને પણ ણેશનલ એવોર્ડ મળ્યો છે કારણ વાર્તાની પટકથા જ એટલી મજબૂત અને ભારતીય મૂળ સાથે જોડાએલી છે ,કે પ્રેક્ષક અને વાચકનાં હ્રદયને તેની સંવેદના સ્પર્શી જાય છે.વાચકનાં હ્રદયને ,પરંપરાને સંસ્કૃતિનાં મૂળિયા હચમચાવી મૂકે છે અને ભારતીયતાની સમગ્ર ઓળખ બહારથી અને ભીતર સુધીકરાવે છે.
તત્વમસિ – તત્+ત્વમ્+ અસિ = તે તુંજ છે. છાંદોગ્ય ઉપનિષદનાં ચાર મૂળ સિદ્દાંતોમાનો એક ‘ તે તુંજ છે’ને સુપેરે રજૂ કરતી નવલકથા એટલે તત્વમસિ.નર્મદાને અને આપણી પવિત્ર નદીઓ પાસેથી આપણે શું પામીએ છીએ ?અને તેને આપણી સંસ્કૃતિ માતા તરીકે કેમ ઓળખાવે છે ?તેની વાત કરીશું આવતા અંકે
તો ચાલો જોઈએ ,એવું જ કુદરત પાસે લઈ જતું અને આપણને જગાડતું જ નહીં ,ઢંઢોળતું ધ્રુવગીત,
ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ ક્યાંક વાગે છે ઢોલ ,ચાલ જાગીએ.
આઘેના ડુંગરમાં બોલે છે મોર એનો ઝીણો કલશોર,ચાલ જાગીએ.
ઝરમરતી વાદળીના ઝીણા વરસાદ ભીનો ચંદરવો ગોળ ,ચાલ જાગીએ.
ઝીલી લે ઝીલી લે વરસ્યાં આકાશ એમાં સપનાંઓ બોળ,ચાલ જાગીએ.
ઝીણેરી જાત એના ઝીણેરા ઓરતામાં રાચે છે કોક ,ચાલ જાગીએ.
ઝીણેરી ઝાંઝરીના ઝીણા રણકાર એમાં પગનો હિલ્લોળ ,ચાલ જાગીએ.
ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની આંખો હિંડોળ ,ચાલ જાગીએ.
ઝીણી ઘોડી ને એનો ઝીની અસવાર કહે દરવાજા ખોલ,ચાલ જાગીએ.
ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યો આખોયે ચોક,ચાલ જાગીએ.
ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ બધી ધારણાઓ ફોક,ચાલ જાગીએ.
આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર હવે પડછાયા છોડ,ચાલ જાગીએ.
ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર એમાં દર્પણને તોડ ,ચાલ જાગીએ.
કેટલું અદ્ભૂત ગીત લખ્યું છે !દાદાએ.કુદરત સાથે રહેતા અને સમગ્રતાથી તેને માણતાં દાદા આપણને પણ ઊગતાં પહોરે ક્યાંક વાગતાં અનહદનાં ઝીણા નાદને કાન માંડીને સાંભળવા ,જાગી જવાનું કહે છે.દૂર દૂર ડુંગરમાં બોલતાં મોરના ટહુકા અને ઝીણા કલશોરનો આનંદ લેવા દાદા આપણને જગાડે છે.ઝીણાં વરસાદનાં વરસતાં ચંદરવાને ઝીલીને એ વરસતાં આકાશમાં આપણા સપનાંઓને ઝબોળવાનું સૂચવે છે.અહો! કેટલી સુંદર કલ્પના! આવી વરસાદી રાતે એક ઝીણો અસવાર ઝીણી ઘોડી લઈને આપણા દ્વાર ખખડાવે છે ત્યારે આ ઝરમરતી રાતમાં ઉજાગરો કરજે ,નશીલી રાતમાં ઊંઘી ન જતો. આમ કહી દાદા બારણે આવીને દ્વાર ખખડાવતા એ પરમનાં અનાહત નાદને સાંભળવા આપણને જાગતાં રહેવાની સલાહ આપેછે.ફૂલ છે તો ફોરમ છે અને રંગ,રૂપનાં લોજીકમાં કે માથાકૂટમાં પડ્યા વગર ,તે ધારણાઓને તોડીને ,અતૂટ શ્રધ્ધા અને અખૂટ વિશ્વાસ સાથે ઝીણેરાં ઝાડમાંથી વેરાએલ પુષ્પોથી આચ્છાદિત ચોકની સુગંધ માણવા ,જાગવાનું દાદા કહેછે.અંધકારનાં પડછાયા છોડી, વીજળીનાં ઝબકારે ,પાનબાઈની જેમ મોતીડાં પરોવવાનું સૂચન દાદા કરી આપણને ભવાટવીની નીંદરમાંથી જાગી સત્યને પામવા જાગતા રહેવાનું સૂચવે છે.
આ ધ્રુવગીત જેવીજ વાતો દાદાએ એમની નવલકથામાં તેમનાં પાત્રો અને પ્રકૃતિ દ્વારા આપણને સૂચવી છે. એના માટે તમારે તેમની નવલકથા જ વાંચવી પડે!
જિગીષા દિલીપ
૨૯ જૂન ૨૦૨૨