વિસ્તૃતિ….૪૭ જયશ્રી પટેલ



ગતાંકથી ચાલું.શરદ ચંદ્રની વાર્તા મંન્દિરનો થોડો અંશ આપણે આગળ જોઈ ગયાં. તેનો આગળનો બીજો ભાગ અહીં પ્રસ્તુત કરતાં મને આનંદ થાય છે કે આ વાર્તા એક એવી સ્ત્રીના મનોભાવને વ્યક્ત કરે છે કે તેને તેના મંન્દિર સિવાય બીજા કોઈની લાગણી સ્પર્શી શકતી નથી.

આપણે આગળ જોઇએ મિત્રો કે અપર્ણાનાં લગ્ન અમરનાથ સાથે થઈ જાય છે જતાં જતાં અપર્ણા પોતાના પિતાને જણાવે છે કે પોતે જે પૂજા ,પાઠ ને સેવાની મંદિર માટે વ્યવસ્થા કરી છે તેને તેમ જ રાખજો. તેને માટે સૂતા, ઊઠતા બેસતા સર્વસ્વ મંન્દિર જ હતું. તે ઉદાસ થઈ ગઈ મંન્દિર છોડીને જવું પડશે વિચાર માત્રથી. તે રડી પડી ,પિતાએ પણ રડતાં રડતાં વચન આપ્યું કે તેમાં કોઈ ત્રુટી નહીં રહે. તે જતાં પિતાને રડતા જોઈ રહી તે એક પણ વાર પાછી ન ફરી . તેણે પિતાના આંસુ ના લૂછ્યાં.પાછળથી તે આ વાતથી દુઃખી રહેવા લાગી ને મંન્દિરની કલ્પના કરી રડતી રહી. સાસરે જતાં પાલખી ખોલી રડી રહી ને તેના પિતા પણ મંનદિરમાં મૂર્તિ સામે દીકરીની કાલ્પનિક મૂર્તિ જોઈ રહ્યાં. પહેલે દિવસે સાસરીમાં આવી તે નવ વિવાહિત જીવનને ન સ્વીકારી શકી. પતિ અમરનાથ બે ચાર દિવસ પછી તેની ઉદાસીનું કારણ પૂછ્યું તો તેણીએ પિયર જવાની વાત કરી. અમરનાથે દુઃખી થઈ પૂછ્યું, “ શું મારાં માટે તને કોઈ લાગણી નથી ?”
અપર્ણાએ આવી વાત ન કરવા કહ્યું આવી વાતોથી પતિ-પત્નીમાં ઝઘડા થાય છે એમ સમજાવ્યું . ફરી તે પોતાની જાતને પૂજા પાઠ ધર્મમાં વાળી વૈરાગીની જેમ ઓતપ્રોત રહેવાસલાગી.
અમરનાથ એ તેને એક દિવસ ફરી કહ્યું ,” આવ અપર્ણા આપણે ઝઘડી જ લઈએ .”
અપર્ણા આ બધાથી દૂર રહેવા માંગતી હતી. મિત્રો એક પતિ પોતાની પત્નીનું આ શૂન્ય મનસ્ક વર્તન જોઈ અકળાઈ જતો .અપર્ણાને મન અમરનાથ સાથે આમ જ જીવન જીવવું એ સરળ હતું, પણ અમરનાથ સંસારી જીવ હતો. એકવાર તે બે અત્તરની બે અત્તરની શીશી લઈ આવ્યો ને એક સુંદર ડબ્બી લઈ તેની પાસે આવ્યો. જેની પર સુવર્ણ અક્ષરે અપર્ણાનું નામ કોતરેલું હતું.રેશમી કપડાંમાં વીંટાળેલી આ ભેટ અપર્ણાને ધરી થોડીવાર તેની સામે જોઈ રહી બોલ્યો,” અપર્ણા આ તારા માટે છે.”
તે પણ એકી નજરે તેની સામે જોઈ રહી .અમરનાથ એ પૂછ્યું ,”તને ન ગમી ?” તેણે જવાબ આપ્યો મૂકી દો એને વાપરવા વાળા ઘણાં છે . અમરનાથનું હૃદય તૂટી ગયું એને આઘાત લાગ્યો તે કાંઈ જ બોલ્યો નહિ .બે દિવસ સુધી તેની સામે પણ ના આવ્યો. બે રાત્રિ ઘરની બહાર રહ્યો. અમરનાથની માતાએ આ જાણ્યું ને એણે બંનેને મીઠી દાટ ફટકાર આપી. તે રાત્રીએ અપર્ણાએ તેની ક્ષમા માંગી.અપર્ણાએ તેને એ પૂછ્યું કે શું મારાથી રિસાયા છો ? તેણે ના પાડી ,પણ વિચાર્યું કે તે કેવી રીતે માની ગઈ કે હું રિસાયો નથી !
અમરનાથે જલ્દી કલકત્તા જવાનો નિર્ણય સંભળાવ્યો તો અપર્ણાએ કહ્યું ,”શું બે દિવસ ન રોકાઈ શકો ?” તે રોકાયો પણ અપર્ણા તો તે જ નિર્લેપ ભાવે તેની સાથે રહી . તેણીને કોઈ ફર્ક ન પડ્યો. આખરે અમરનાથ ને અંદરથી થયું કે તે દૂર ચાલ્યો જાય તે જ સારું. કલકત્તા જઈ તે મુરઝાયેલો ને અંતરમુખી થઈ ગયો. ના અભ્યાસમાં ચિત્ત લાગ્યું ન ખેલ કુંદમાં.બે મહિના બાદ માનસિક વિટંબણા, નિરાશાને કારણે તે માંદો પડ્યો . પથારી પકડી લીધી.માતા-પિતા પહોંચ્યા પણ અપર્ણા ના આવી . અમરનાથ કાંઈજ ન બોલ્યો. તેણે અંતરમાં જ આ વાત ધરબી લીધી. ધીરે ધીરે સાજા નહિ થઈ તેણે મૃત્યુને સ્વીકારી લીધું.
અમરનાથના મૃત્યુથી અપર્ણાને આઘાત ન લાગ્યો તેને થયું તે આ બંધનમાંથી જાણે સાચેજ મુક્તિ ઇચ્છતી હતી. પિતા આવ્યા ખૂબ રડ્યા પોતે પણ રડી .બીજા દિવસે પિતાએ તેને કહ્યું ,” બેટા મદનમોહન તારી રાહ જોઈ રહ્યાં છે ચાલ .” અને તે પિતા સાથે જવા તૈયાર થઈ. પોતાનું મંન્દિર જોવા આકુળવ્યાકુળ થઈ ગઈ હતી તેથી તે ચાલી ગઈ .

બીજી બાજુ શક્તિનાથ પોતાના રંગ રોગાન કાર્યમાં મસ્ત રહેતો. પિતા મધુસૂદનના પૂજા પાઠના વ્યવસાયમાં તેને બિલકુલ રસ નહોતો. ક્યારેક માંદગીમાં તો તે જમીનદારને ત્યાં પૂજાપાઠ કરી આવતો. આજે પણ પિતા બીમાર હતા તેથી સોમનાથ સ્વયં જમીનદારને ત્યાં પૂજા કરવા આવ્યો ત્યાં અપર્ણા ને જોઈ .અપર્ણાનાં આગમનથી મંન્દિરનાં ઠાઠ- માઠ બદલાયા હતાં. પૂજા નૈવેદ્ય,ફળ ફૂલ અગરબત્તીથી ઓરડો મહેંકી ઉઠ્યો હતો. શક્તિનાથ તેને જોઈ મૂંઝાયો જેમ તેમ જળ પાન ફૂલ ચોખા ચડાવી પૂજા પૂર્ણ કરી. સીધું ને સામગ્રી આપતા અપર્ણાએ તેને કહ્યું ,”મહારાજ બ્રાહ્મણપુત્ર થઈ પૂજા કરતા નથી આવડતી.”

મિત્રો અહીં વાર્તાએ નવા સ્વરૂપે વળાંક લીધો. મોટા મંન્દિરનાં પૂજારી પૂજા કરવા આવવા લાગ્યા અને તેમણે શક્તિનાથની થાય તેટલી બુરાઈ કરી. તે જ અરસામાં બિમાર મધુસૂદનનું મૃત્યું થયું. નરમ દિલ અપર્ણાને લાગ્યું કે બ્રાહ્મણપુત્ર છે ,તેની રોજી રોટી ન છીનવી લેવાય ! આથી તેને બોલાવી કહ્યું કે જેવી આવડે તેવી પૂજા કરશો ભગવાન સમજી જશે . શક્તિનાથ આ સુંદર સફેદ વસ્ત્રો અને રૂખા વાળમાં શોભતી યુવતી તરફ આકર્ષાયો . ધીરે ધીરે તે હવે સંપૂર્ણ ધ્યાનથી પૂજા કરતો. આપર્ણા પણ મહારાજ બ્રાહ્મણ પુત્રનું પૂર્ણ ધ્યાન રાખવા લાગી જમવું પહેરવું શું ખાવું, બધું જ .

એકવાર શક્તિનાથના મામાનો દીકરો તેને લેવા આવ્યો અને તે અપર્ણાની રજા લઈ કલકત્તા ગયો. ત્યાં બે-ત્રણ મહિનામાં જ તેનું મન ભરાઈ ગયું. અહીં અપર્ણાએ તેની ગેરહાજરીમાં બીજા બ્રાહ્મણને પૂજાપાઠ માટે રાખી લીધાં તે વધુ દિવસો થતા તેનાથી દૂર થવા લાગી . કલકત્તાથી પાછા ફરતા શક્તિનાથ અપર્ણા માટે બે અત્તરની સુગંધિત શીશી લઈ આવ્યો હતો પણ તે આપવાની હિંમત ન કરી શક્યો. અપર્ણા આમ પણ વૈરાગ્ય પૂર્ણ ભક્તિ ભાવથી જીવન જીવતી હતી.

તેણે શક્તિનાથના આવ્યા પછી જે મહારાજને રોક્યા હતા તેમને રજા આપી દીધી હતી. શક્તિનાથ પૂજા કરવા આવવા લાગ્યો. શક્તિનાથને બે દિવસ સખત તાવ આવ્યો અને તો પણ તે નાહી ધોઈને પૂજા કરવા આવતો. અપર્ણાને આ ખબર પડી કે બે દિવસથી તે જમ્યો પણ નથી . આથી અપર્ણાએ તેને પૂછ્યું ,”કેમ તમે તબિયત સારી નથી તો પણ આવ્યા કરો છો ?” શક્તિનાથે હિંમત જોડી પાસે ના રેશમી કપડાંમાં બાંધેલી બે અત્તરની શીશી કાઢી અને કહ્યું કે આ તમારા માટે છે તમને સુગંધ પસંદ છે ને ? એમ કરી બે શીશી તેને ભેટ સ્વરૂપે ધરી. અપર્ણા હવે જે સંપૂર્ણ વૈરાગ્ય તરફ વળી હતી તે તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તે બંને શીશી બહાર પડેલા સૂકા વપરાયેલા ફૂલોનાં ઢગલામાં જઈને ફેંકી દીધી.મહારાજ તમારાં મનમાં આ શું ચાલી રહ્યું છે કરી ધમકાવી કાઢ્યો.શક્તિનાથ દુઃખી થઈ ઘરે ચાલ્યો ગયો .એ પછી તે જમીનદારના ઘરે પાછો ન આવ્યો. અપર્ણાએ એ તેની ભાળ પણ ન કાઢી. તેને ગુસ્સો આવ્યો હતો કે મહારાજ ના મનમાં આટલું બધું મારા માટે ભર્યું હતું.હવે પાછા ન આવતા એમ કહી ને આંગળી બતાવી અને રસ્તો બતાવી દીધો હતો ,તેથી તે પણ તેની ભાળ કાઢવા ના ગઈ .

પૂજા કરવા મહારાજ રાખી દીધાં. યદુનાથ મહારાજ આવવા લાગ્યા હતા. અચાનક એક દિવસ બધો સામાન ભેગો કરતાં તેઓ બોલ્યા કે બિચારો બ્રાહ્મણ પુત્ર વગર ઈલાજે મૃત્યુ પામ્યો . ત્યારે અપર્ણાએ પૂછ્યું કે કોણ મૃત્યુ પામ્યું? મહારાજે કહ્યું તમે સાંભળ્યું નહીં મધુસુદનનો પુત્ર શક્તિનાથ મૃત્યુ પામ્યો . અપર્ણા બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ !શક્તિનાથના સમાચાર તેને માટે આઘાતજનક બન્યા મહારાજના ગયા પછી પૂજાનાં ઓરડાના દરવાજા બંધ કરી ભગવાન સામે જમીન ઉપર માથું મૂકી અને તે રડતી રહી ,કારણ તે હવે સમજી કે તેની આ જાણી જોઈને કરેલી અવગણના જ શક્તિનાથને મૃત્યુ સુધી લઈ ગઈ. જ્યારે યદુનાથે કહ્યું કે પાપી મનથી પૂજા કરે તેને આવી જ દશા થાય આવું જ મૃત્યુ મળે .ત્યારે તે મનોમન બોલી ઊઠી પાપી કોણ શક્તિનાથ કે પોતે ! ભગવાન આગળ માથું પછાડીને ખૂબ રડી .થોડીવાર સ્વસ્થ થઈ પાછળ ફેંકી દીધેલી અત્તરની શીશી ફૂલોમાંથી ઉપાડી લાવી અને સસ્નેહથી માથે લગાડી તેણે તે મંન્દિર ઉપર મૂકી દીધી અને પ્રભુને કહ્યું કે પ્રભુ આ હું ન લઈ શકી તમે લઈ લો આજ સુધી મેં પૂજા નથી કરી ,આજે પૂજા કરી રહી છું સ્વીકારજો . તે પૂજા કરવા લાગી .
મિત્રો અહીં વાર્તામાં એક સ્ત્રીની નાસમજ તેના પ્રેમીઓની અવગણના બની અને છતાં પણ પ્રેમ બતાવી એ સ્ત્રી બે બે પુરુષના મૃત્યુ માટે જવાબદાર બની. પાપી એ હતી કે પ્રેમની ભાવના રાખનાર અમરનાથ અને શક્તિનાથ !
*મંન્દિર* તરફનું અપર્ણાનું આ ઘેલું જોઈ શરદચંદ્ર ચટોપાધ્યાયે તેને મુખ્ય શીર્ષક આપીને સાર્થક કર્યું. શું સ્ત્રી અહીં હૃદય નથી કે તે જાણી જોઈને પુરુષોના હૃદયને ઓળખી ન શકી કે તેણે જાણી જોઈને તેઓની અવગણના કરી ! એ આ વાર્તાનાં અંતે કેવું કરુણાંત બની રહ્યું !

શરદચંદ્રની આ વાર્તાનો ગુજરાતી અનુવાદ મને નથી મળ્યો પણ એક હિન્દી ઓડિયો મને મળતા મેં તેનો ગુજરાતી અનુવાદ કરી અહીં મૂક્યો છે .છતાં પણ આપણા મહાઅનુભવોએ જો અનુવાદ કર્યા હોય અને કોઈની પાસે મળી આવે તો જરૂર મને કહેશો . આવી દોઢસો વર્ષ જૂની વાર્તા સાંભળતા કે વાંચતા પણ એવું અનુભવાય છે કે જાણે આજે જ વાર્તાનું નિરૂપણ થયું હોય. કરુણા સભર વાર્તા ત્યારે પણ પ્રથમ ક્રમાંકે હતી અને આજે પણ છે.

અસ્તુ
જયશ્રી પટેલ
૩૦/૧/૨૩

વિસ્તૃતિ…૪૬ -જયશ્રી પટેલ.


શરદબાબુની પ્રથમ વાર્તા મન્દિર જ્યારે તેમણે સ્પર્ધામાં મોકલી ત્યારે પોતાના મામાને નામે મોકલી હતી ને તે પ્રથમ આવી હતી.તેઓ વાર્તા લખી બહાર મૂકતા તો તે મૂંઝાતા. તેમને ડર રહેતો કે કોઈને પસંદ નહિ આવે તો? આ વાત તે આપણે આગળ જોઈ ગયા છીએ. ખૂબ શોધ બાદ મને મન્દિર વાર્તા ટૂકડે ટૂકડે મળી જે આજે હું આપની સામે ગુજરાતીમાં સંક્ષિપ્તમાં લઈને આવી છું.
નદી કિનારે કુંભારના બે કુટુંબ રહેતા હતાં. બન્ને ઘરમાં બધી જ વ્યક્તિ માટી લાવવાથી લઈ તેને સાંચામાં ઢાળી વાસણ, રમકડાં બનાવતાં. ભઠ્ઠામાં તપાવી તેને સુંદર રંગરોગાન કરી વેચતા. તેમની સ્ત્રીઓ પણ રસોઈ માંથી પરવારી ભઠ્ઠામાંથી રમકડાં કાઢી તેને કપડાંથી સાફ કરતી. આમ આજ ધંધાથી તેમની રોજીરોટી ચાલતી. ત્યાં એક બ્રાહ્મણનો રોગગ્રસ્ત પુત્ર શક્તિનાથ પણ આવતો. તેણે કુંભારોના ઘરમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે કુંભારને તેના ઘરવાળા બધાં જ રમકડાંને રંગ કે શાહી લગાવતા તો કોઈવાર ભ્રમર રહી જતી તો કોઈવાર હોઠ, આંખો , કાન કે નાક રંગાયા વગર જ વેચવા લઈ જવાતાં. શક્તિનાથ પોતે આ બાબતમાં કુંભારને કહેતો કે સરકાર આને રંગરોગાન વ્યવસ્થિત રીતે કરો. જવાબ મળતો કે ગમે તેટલું સુંદર રૂપ આપીશું તો પણ તે વેચાશે તો એક પૈસામાંજ. આ વાત મમળાવતો તે ઘરે જતો, હાથમાં રહેલા ચણા મમરા અડધા વેરતો અડધા ખાતો ખાતો વિચાર મગ્ન થતો. ક્યારેક વાત સાચી લાગતી કે માટીનાં રમકડાં પાછળ કેટલાય પૈસા વાપરે પણ તે તૂટી ફૂટી જ જાય ને! ઘરમાં જતાં જ જોતો કે પિતા નથી , મધુસૂદન તો પૂજા પાઠ કરવા ગયાં હતા. ઘરમાં આવેલું બધું સીધુ એમાં પડ્યું હતું, ઘર સીધું સાદું હતું. કોઈ સાજ શ્રીંગાર ઘરમાં નહોતા. એક સ્ત્રી વગરનું ઘર વેરવિખેર પડ્યું હતું. તે આચરકૂચર ખાય બાપ બેટો પેટ ભરતા.ઘર કરતાં વધુ તે જંગલ લાગતું. ધીરે ધીરે સરકાર મહાશયે શક્તિનાથને રમકડું રંગતા શીખવવા માંડ્યું ને તે ખુરપી , માટી ગૂંદવું વગેરે કાર્ય પણ કરતો. તે એક રમકડું રંગવા અડધો દિવસ કાઢી નાંખતો તો પણ તેનું રમકડું એક પૈસામાં જ વેચાતું. કોઈ કોઈ વાર સરકાર તેની તસલ્લી ખાતર કહેતા કે તે બે પૈસામાં વેચાયું .તો તેની ખુશીનો પાર ન રહેતો.આમ દિવસો નીકળી રહ્યાં હતાં. શક્તિનાથના પિતા પણ ખૂબ બિમાર રહેતાં. તે પણ મા વગર માંદો સાજો રહેતો તેની તરફ ધ્યાન આપવાવાળું કોઈ જ નહોતું. આ ગામનાં જમીંનદાર કાયસ્થ હતા. તેમનું ઘર ખમતીધર હતું. સુંદર સજાવટ ભર્યું હતું. તેમના ઘરમાં એક સુંદર નકશીદાર મન્દિર હતું. તેમાં સુંદર રાધા ને મદનમોહનની મૂર્તિ સિંહાસન પર બિરાજમાન હતી. અન્ય દેવી દેવતા પણ તેમાં બિરાજમાન હતાં. તેમને તાજા સુગંધીદાર ફૂલો ચઢતાં ,ફૂલોનાં હારથી સજાવટ થતી. ચંદન અગરબત્તી ધૂપની સુગંધથી આખો ઓરડો મહેંકી જતો. જાણે વૃંદાવન જ જોઈ લો. જમીનદાર રાજ નારાયણ

મંદિર પાસે પૂજા પાઠ કરતા ને મધુસૂદન મહારાજ પાસે પણ કરાવતા. ક્યારેક જમીનદાર પ્રભુની પ્રાર્થના કરતા રડી પડતાં કે તેમના પછી દીકરીની સંભાળ કોણ કરશે!
નાની દીકરી અપર્ણા આ દ્રશ્ય અનિમેષ જોયા કરતી. પિતાજીની આસપાસ દિનચર્યા જોઈ હવે ધીરે ધીરે તે હવે ચીવટ ચોકસાઈથી પૂજા પાઠ કરતી, કરાવતી ને મન્દિરમાં નાનું સૂકું તૃણ પણ પડેલું જોતી તો ન ચલાવી લેતી. જો પાણીનું ટીપું પણ પડેલું જોતી તો તેને પણ પોતાના વસ્ત્ર કે પાલવથી સાફ કરી દેતી. તે પ્રભુમાં લીન થઈ જતી. તેની આ બધી ક્રિયા જોઈ બ્રાહ્મણ મધુસૂદન ને જમીનદાર ચિંતામાં પડી ગયાં. જમીનદારે તેના માટે સરસ ખાનદાની જમાઈ અમરનાથને શોધી કાઢી વિવાહ નક્કી કરી દીધાં. દીકરી અર્પણા પણ એક કહ્યાગરી દીકરીની જેમ લગ્ન કરી સાસરે વિદાય થઈ. મિત્રો, અહીં વાર્તાનો મધ્યાહ્ન આવે છે. પાત્રો બધાં સુંદર રીતે ગોઠવાય ગયા છે. અર્પણાનાં પાત્રમાં એક સુંદર સ્ત્રી પિતાની ચિંતામાં જ સાસરે જાય ત્યારે તે તેની પાઠપૂજાની તેના મન્દિરની બધી જ વાતો વિચારતી. બીજી બાજુ મા વગર પૈસાના અભાવ સાથે જીવતો બિમાર મધુસૂદનનો દીકરો શક્તિનાથ પણ મોટો થઈ રહ્યો છે. પિતા સાથે તે પાઠપૂજા કરતા શીખતો પણ તેનું ધ્યાન તો પેલા રમકડાં રંગવામાં જ રહેતું. શરદબાબુની આ વાર્તા આગળ શું કહે છે આપણે આવતા અંકમાં જોઈશું. મિત્રો, આ વાર્તાને સવાસો વર્ષનો ગાળો વિતી હયો છે, પણ વાર્તા જ્યારે પહેલીવાર સાંભળી ત્યારે એવું જ લાગ્યું જાણે કાલે જ લખાય છે.

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૨/૧/૨૩

વિસ્તૃતિ …૪૫ જયશ્રી પટેલ.


વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહામાંની વિશાળ માહિતીને સહારે સંક્ષિપ્ત આલેખન આપ સમક્ષ લઈને આવી છું.
આપણે આગળ જોઈ ગયા તેમ મિત્રો તેમને પણ બે મિત્રો એવા અંગત મળ્યા કે વર્ષો સુધી તેમની સાથે તેમની દોસ્તી રહી .એ જ અરસામાં એમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થઈ. રવીન્દ્રનાથના તેઓ પરમ ભક્ત હતા રવીન્દ્રનાથ પણ શરદથી પ્રભાવિત હતા. તેઓ વારંવાર કહેતા કે તેને પકડી લાવો તે બંગાળનો ઉત્તમ સાહિત્યકાર છે બંગાળને તે ઉત્તમ ભેટ આપીને જશે .૧૯૩૪ના ઓક્ટોબરની બીજી તારીખે ગુરુવર્ય પ્રયાગ તરફ રવાના થયા અને તેમણે એ પ્રવાસ દરમિયાન જ શરદની કૃતિ પંડિત મોસાઈ આ કૃતિ આમ તો ૧૯૧૪ની સપ્ટેમ્બર ની ૧૫મી તારીખે પ્રકાશિત થઈ હતી. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે અસીત કુમાર હળદરને એકવાર લખ્યું હતું કે પંડિત મોસાઈ વાંચ્યા પછી મેં જે આલતું ફાલતુ વાંચવાનું છોડી દીધું હતું તે પછી આ કૃતિ અને તેની શૈલી એમને એટલે કે ગુરુવર્યને મરુ ભૂમિમાં વિરડી સમાન લાગી. એ દરમિયાન તેમણે શરદને મળવાની ઈચ્છા દર્શાવી કલકત્તા જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બધા મિત્રો શરદને ગુરુવર્યની સામે ખેંચી ગયા.

શરમાળ શરદ તો ગુરુવર્યને જોઈને એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને માનવતામાં ન આવ્યું કે આ કવિ પોતે છે.લાંબી દાઢી ,ખુલ્લા વસ્ત્રો અને સુંદર મિસ્ટ વાણી સાંભળી આ જોઈ તે તેને કોઈ બીજી જ દુનિયાના વ્યક્તિ સમજી બેઠો .આખી જિંદગી એ આ સ્વરૂપને વિમાશી રહ્યો ,બંને ગુરુ શિષ્ય વચ્ચે શું સંવાદ રચાયો એ તો કોઈ જ ન જાણી શકયું .શરદ હવે માનતો થયો હતો કે તેની કૃતિઓ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ જોડે સરખાવવામાં આવે છે .તે પણ મિત્રોને આનંદથી કહેતો કે હું કદાચ જરૂર લખી શકીશ ખરો અને દુનિયાને કંઈક નવું આપ્યા કરીશ ખરો !આમ સમય જતા ગુરુવર્ય એને મળ્યાનો આનંદ તેમના હૃદયમાં વસી ગયો હતો .

આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેને ત્રણ નવલિકા રામેર સુમતિ,પથ- નિર્દેશ અને બિંદૂર છેલે ને બિરાજબહુના પ્રકાશનના સર્વાધિકાર હરિદાસ ચટ્ટોપાધ્યાયને રૂપિયા ૩૦૦માં વેચી દીધી હતી .તે સમયે આ સોદો ખોટો નહતો. તેવી જ રીતે ફણીન્દ્રનાથ મારફત તેણે પરણીતા,પંડિતજી ,ચંદ્રનાથ, કાશીનાથ ,નારીનું મૂલ્ય અને ચરિત્રહીનના પ્રકાશન અધિકાર એમ.સી સરકાર એન્ડ સન્સને આપ્યા.ફક્ત એક જ આવૃત્તિ માટે જ.

ફણીન્દ્રનાથને ખુદને શરદની કૃતિઓ છાપવાની મહેચ્છા હતી,પણ ત્યારે તેઓની પરિસ્થિતિ આ કાર્ય કરી શકે તેમ નહોતી. સુધીરચંદ્ર સરકારે રૂપિયા ૨૦૦ની સહાય પણ કરી હતી .ખાલી તેમનો એક ઉદ્દેશ હતો કે શરદ આ યમુના સંસ્થા સાથે જોડાયેલો રહે. યમુના શરદને કોઈ પુરસ્કાર આપતું નહોતું ,ભારત વર્ષમાં છપાય તો તેને પુરસ્કાર પ્રાપ્ત થાય ભારત વર્ષનું પૂરું જૂથ  તેમનું ચાહક હતું. સમય જતા શરદના અમુક મિત્રો ખૂબ જ વિઘ્ન સંતોષી હતા તેઓએ શરદના કાન ભર્યા. શરદને કહેવાનાં આવ્યું કે બડીદીદીને કારણે ફણીન્દ્રનાથને ઘણો નફો મળ્યો છે,પણ તે તને આપતા નથી. બસ આ વાત શરદે એકદમ સાચી માની લીધી અને તેણે ફણીન્દ્રનાથ સાથે સંબંધો પૂરા કરી નાખ્યા. તેઓ પાછળથી પસ્તાયા પણ. યમુનામાં પછી કોઈપણ કૃતિ છપાઈ નહીં.

શરદ બાબુની દરેક વાર્તા કે કૃતિઓમાં પાત્રો સાથે વાચકો તેમને જોડી દેતા જેમ કે શ્રીકાંત બહાર આવી તો વાચકોએ તેમને શ્રીકાંતના પાત્રમાં જોયા અને શ્રીકાંતની પ્રેયશી તરીકે રાજલક્ષ્મી ને શોધવામાં પણ લોકો ગાંડા થઈ ગયા , પણ એ ક્યાંથી જડે એ પાત્ર તો લેખકનું કાલ્પનિક પાત્ર હતું.લેખકની બાલ્યાવસ્થાની અત્તૃપ્ત કામનાઓની કલ્પના હતી એને એની બચપનની સખી ધીરુનાં આધારે દેવદાસમાં પારોનું સર્જન કર્યું અને પછી શ્રીકાંતની રાજલક્ષ્મી .એવી એક વાર્તા પણ સાંભળવા મળી કે ધીરુનું સાચું નામ રાજ્લક્ષ્મી જ હતું. ઘણાં લોકો હિરણ્યમયીને પણ રાજલક્ષ્મી માનતા.કોઈક સમયે બાબા વેશમાં તેણે હિરણ્યમયીને લક્ષ્મી તરીકે બોલાવી હશે .એના આધાર પર હિરણ્યમયીને કદાચ રાજલક્ષ્મી માનતા હોય ,પરંતુ કેટલાક જિજ્ઞાસુએ પોતાના મનને સંતોષવા તેણીને કેટલા બધાં પ્રશ્નો કર્યા હતાં. આવા પ્રશ્નો સાંભળી તો તે એટલી બધી દુઃખી થઈ કે તેને લોકોને મળવાનું જ બંધ કરી દીધું તે શ્રીકાંતની રાજલક્ષ્મી જેવી સુંદર નહોતી કે વૈભવ સંપન પણ નહોતી નૃત્ય તો બાજુ પર રહ્યું તે વાત પણ નહોતી કરી શકતી તે અબોધ સ્ત્રી હતી ધર્મપ્રિય હતી પતિવ્રતા અને સેવા પારાયણ હતી. શરદ માટે એને અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં .આ રખડું અને નિરાશ પતિને તે પ્રેમથી રાખતી એને દિશાભૂલેલાને રસ્તો નિશ્ચિત કરી બતાવતી. કેટલીએ વાર તે અતિનો શિકાર પણ બની હતી.શરદને માટે તે એક તપસ્યા મય દેવી હતી તેની શ્રદ્ધાએ શરદને એક મહાન સાહિત્યકાર બનાવ્યો હતો.શ્રીકાંતનું પાત્ર તેના જેવું રઝળું છે. શ્રીકાંતનાં અનેક પાત્રો શરદની આજુબાજુ વિટળાયેલા જીવનનાં પાત્રો હતા.શ્રીકાંત લોકોએ વાંચી અને શરદને જ તેનું પાત્ર સમજી લીધું. શ્રીકાંત પુસ્તક માટે પણ તે મૂંઝવણમાં હતા તેને શંકા હતી અને આથી તેને પોતાના પ્રકાશક ને પણ લખ્યું હતું કે એકાંતની ભ્રમણકથા ખરેખર છાપવા જેવી લાગે છે?તેમને હજુ પણ શંકા હતી ,છતાં પણ છપાસે તો લોકો મને તેમાં શોધશે એની ખાતરી છે.આમ શરદ બાબુ લખતા મહેનત કરતા અને છતાંય પોતાની કૃતિઓ માટે થોડા મૂંઝવણમાં પણ રહેતા.

ધીરે-ધીરે રંગૂનમાં તેમનો જીવ લાગતો નહીં તેમણે તેમના મિત્ર હરિદાસ ચટ્ટોપાધ્યાયને પત્ર લખ્યો કે જો તમે ૩૦૦રૂપિયાની મને મદદ કરશો તો હું આવી શકીશ હવે એટલું જરૂર કરી શકીશ કે મારું દેવું એક વર્ષ જો હું જીવ્યો તો બધું ચૂકતે થઈ જશે અને પછી હું એક વર્ષની રજા મૂકી અને લખવાનું કાર્ય હાથે ધરીશ. તેમના મિત્રે તેમને ખરેખર રૂપિયા મોકલ્યા અને એ જ સમયે રંગૂન ઓફિસમાં તેમને એક ખરાબ અનુભવ થયો સુપ્રિટેન્ડન્સ મેજર બર્નાર્ડને એક ફાઈલની જરૂર પડી શરદ તે ફાઈલના શોધી શક્યા અને અંતે તે ફાયલ તેમના જ ખાનામાંથી મળી. તેમને ગુસ્સો આવ્યો અને તેમને શરદને ખૂબ માર માર્યો આ બંનેની તકરાર ને ફરિયાદ અધિકારી પાસે ગઈ અને તપાસ કરતાં ખબર પડી કે મેજરનો જ વાંક હતો અને આથી મેજર ને સસ્પેન્ડ કરાયો અને મેજર પાસેથી રૂપિયા ૯૦નો દંડ પણ થયો.આ રૂપિયા મેજર શરદને આપે એમ નક્કી થયું. આ આ પ્રસંગે શરદનું મન તૂટી ગયું .તેણે રંગુન છોડવાનો દ્રઢ નિર્ણય કર્યો શરીર પણ તેમનું સારું રહેતું ન હતું .એમણે રાજીનામું આપી દીધું એની એક વર્ષની રજા ચડેલી હતી તે રજા લઈને કલકત્તા જવા રવાના થઈ ચૂક્યા.બસ ત્યાર પછી ક્યારેય તેણે પાછું ફરીને બર્મા સામે જોયું જ નહીં . બર્મા છોડતાં પહેલાં તેના ત્રણ પુસ્તકો ૧૯૧૫ની બીજી ડિસેમ્બરે મજલી દીદી ત્યારબાદ ૧૯૧૬ની ૧૫મીજાન્યુઆરીએ પલ્લી સમાજ અને ૧૯૧૬ની બારમી માર્ચે ચંદ્રનાથ પ્રકાશિત થઈ ગઈ હતી.બસ હવે દિશાની શોધ જાણે પૂર્ણ થઈ હતી એવું શરદ બાબુ ને લાગતું હતું .
તેઓ પાછા કલકત્તા ફર્યા. આમ જીવનનાં અમુક વર્ષો તેમને રંગૂનમાં મિત્ર દોસ્તો અને મજબૂરીથી નોકરી માં ગાળ્યા . મિત્રો,આમ હવે શરદ બાબુ એક જાણીતા બંગાળના લેખક બની ગયા.આ શરદ સાહિત્ય એટલું વખણાયું કે તેના અનુવાદો અનેક ભાષામાં થયા હિન્દી ની આવારા મસીહા બહાર આવી અને ત્યારબાદ તેનો અનુવાદ હસમુખ દવે ગુજરાતીમાં કર્યો ગુજરાતી ભાષાનાં ચાહકોએ શરદ બાબુના જીવન વિશે એમાંથી ઘણું ઘણું મેળવ્યું હતું.
મિત્રો, આવતા અંકે તેમના જીવનમાંથી કંઈક નવું જૂનું શોધી આપ સમક્ષ સંક્ષેપમાં લઈને જરૂર મળીશું.
અસ્તુ,
જયશ્રી પટેલ
૧૫/૧/૨૩

હેલીના માણસ – 51 | પ્રારબ્ધ કે પુરૂષાર્થ? | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-51 ‘પ્રારબ્ધ કે પુરૂષાર્થ?’ એની 50મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ – 

સાવ એવું નથી કે મને શું મળ્યું, 

જે મળ્યું એ બધું ખૂબ મોડું મળ્યું! 

છેક લગ એ ઊણપ, એ શિકાયત રહી, 

જે ગુમાવ્યું છે તે ક્યારે પાછું મળ્યું! 

હા નદીકાંઠે પણ ક્યાંક પ્યાસો રહ્યો, 

ક્યાંક રણમાંય દરિયાનું મોજું મળ્યું! 

દ્રાક્ષ પણ કાંકરા જેવી લાગી કદી, 

કાળજું ક્યાંક પથ્થરનું પોચું મળ્યું! 

મારા દીવે પ્રકાશિત થયા છો તમે, 

તમને અજવાળું પણ ઝાંખું ઝાંખું મળ્યું! 

જો ખલીલ આ જે કંઈ મળ્યું છે મને, 

મારી મહેનત અને મારા હકનું મળ્યું! 

ખલીલ ધનતેજવી 

રસાસ્વાદ :

માનવજીવન આશાના સહારે ટકી રહે છે. પળ પ્રતિ પળ એમાં અપેક્ષાઓ ઉમેરાતી રહે છે. એક અપેક્ષાની પૂર્તિ થાય ના થાય ત્યાં બીજી અપેક્ષા ઉદભવતી રહે છે. ધારેલું બધું જ મળી જાય તેવું બનતું નથી. જે મળે તે આપણા ધારેલા સમયે મળે તે પણ શક્ય નથી. દરેક જણને અપેક્ષા પ્રમાણે કંઈ ને કંઈ જરૂર મળે છે. પણ એમ બને કે, જે સમયે જરૂર હોય તેનાથી થોડું મોડું મળે. આ મોડું મળવાની ઘટના કોઈ વાર એટલી હદે મોડી હોય છે કે, મળ્યાનો આનંદ તો દુર મળ્યાનો અર્થ પણ નથી સરતો. કેટલીકવાર તો સમયસર ન મળતી વસ્તુથી માણસ કાયમ માટે વંચિત રહી જાય છે. અને જિંદગીભર એ વાતનો વસવસો દરેકને રહી જાય છે. એ ગુમાવેલી તક ફરી ક્યારેય પાછી નથી મળતી. આપણે જોઈએ છીએ કે, આપણા દેશમાં લાયક વ્યક્તિને જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જો આવો કોઈ એવોર્ડ આપવામાં વધારે મોડું થાય ત્યારે તેને મરણોત્તર એવોર્ડ આપવાનો વારો આવે છે. ખરેખર તો કદર સમયસર થવી જોઈએ. જીવનમાં આવેલી તક અને ગયેલી પળ કદિ પાછી નથી મળતી. છતાં સદનસીબે જો ફરી તક મળે તો મોડી મોડી પણ આશા પુરી થાય છે છતાં પહેલીવાર ગુમાવેલી એ પળ તો પાછી ન આવી એનો વસવસો જીવનભર રહી જાય છે. 

છેક લગ એ ઊણપ, એ શિકાયત રહી, 

જે ગુમાવ્યું છે તે ક્યારે પાછું મળ્યું! 

સમુદ્રમાં નાવડી લઈને નીકળેલો નાવિક સાથે પીવાનું પાણી લઈને ન નીકળે તો આસપાસ આવડી મોટી જળરાશિના હોવા છતાં તે તરસ્યો રહે છે. કોઈ માને કે ના માને પણ નસીબ જેવી વસ્તુ ચોક્કસ હોય છે. નહીં તો ઘણીવાર નદી કાંઠે ઊભેલો માણસ તરસ્યો રહી જાય અને રણમાં ચાલનારાને પાણીની વિરડી મળી જાય તેવી સ્થિતિ માણસની કેવીરીતે બને? આપણાં મનને સમજવું મુશ્કેલ છે. ખૂબજ ભાવતી વાનગી જે જિંદગીભર પૂરા ચાવથી ખાતા રહ્યા હોઈએ, તે પણ જ્યારે મન દુઃખી હોય, ઉદ્વેગમાં હોય, ત્યારે બિલકુલ ભાવતી નથી. તો વળી મન સુખમાં હોય, આનંદમાં હોય ત્યારે ક્યારેય ન ગમેલી વસ્તુ પણ ગમી જાય છે!

દ્રાક્ષ પણ કાંકરા જેવી લાગી કદી, 

કાળજું ક્યાંક પથ્થરનું પોચું મળ્યું! 

કોઈ વિષય શીખવા માટે કોઈ ગુરૂ કે શિક્ષક હોવો જરૂરી છે. એ રીતે મેળવેલું જ્ઞાન ગુરૂ કરતાં શિષ્ય પાસે ઓછા પ્રમાણમાં હોઈ શકે. કારણ કે, ગુરૂને તે વિષયનું જ્ઞાન મેળવતાં વરસો લાગ્યાં હોય છે. સૂરજ કે ચંદ્ર પાસે જેટલો પ્રકાશ હોય છે તેના પ્રમાણમાં ઘણો ઓછો પ્રકાશ આપણને પૃથ્વી પર મળે છે. મુળ સ્રોત દેખીતી રીતે જ વધુ સમૃદ્ધ હોવાનો. સ્વપ્રકાશિત એવો સૂર્ય અને સૂર્યના પ્રકાશના પરાવર્તનથી પ્રકાશતો ચંદ્ર જોઈએ તો ચંદ્ર પ્રમાણમાં ઓછી ગરમી હોવાથી શિતળ છે જ્યારે સૂર્ય પ્રખર ગરમી વરસાવે છે. 

આપણી આસપાસ નજર દોડાવીએ તો એવું લાગે છે કે, અમુક વ્યક્તિઓ ખૂબ કાબેલ હોય છે, બુધ્ધિશાળી પણ હોય છે અને છતાં તેમને તેમની હેસિયતના પ્રમાણમાં સાવ ઓછું મળ્યું હોય. જ્યારે અમુક વ્યક્તિઓ સાવ સામાન્ય હોય, છતાં તેઓને તેમની હેસિયતના પ્રમાણમાં ઘણું વધારે મળ્યું હોય. આવા સમયે વિચાર આવી જાય કે, શું આપણને બધું આપણાં નસીબથી મળતું હશે? પરંતુ એવા કિસ્સા પણ હોય છે જેમાં વ્યક્તિએ પોતાની સખત મહેનતથી જ ઘણુંબધું પ્રાપ્ત કરી લીધું હોય છે. માનવમન જેવા અનુભવમાંથી પસાર થાય છે, તેની અસર  તેના વર્તનમાં જણાતી હોય છે. તે સુખમાં છે કે, દુઃખમાં, તે શાંત છે કે, આક્રોશમાં તે વાતની અસર માનવીના વર્તન પર  જુદીજુદી રીતે પડતી હોય છે. 

આજે આપણે ખલીલ સાહેબની 50મી ગઝલને વાંચી અને માણી.

‘હેલીના માણસ’ આ શ્રેણીની સફર દરમ્યાન જીવનને જાણવા-સમજવા જેવી અનેક વાતો ઉજાગર થઈ. અનેક પાઠ શીખવા મળ્યા. આ ઉપરાંત ગઝલના પઠન અને રસાસ્વાદ દરમ્યાન ગઝલના બંધારણ વિશે પણ જ્ઞાન વધ્યું. કાફિયા, રદિફ, શેર અને શેરિયતની અનોખી પ્રસ્તુતિ માણવા મળી.

આપ સૌને પણ આ શ્રેણી ખૂબ ગમી હશે એમાં શંકાને માટે અવકાશ છે જ નહીં. ગઝલ હોય, તે પણ ખુદ હેલીના માણસની, તે માણી ન શકીએ તો જ નવાઈ!

આજે આપણે આ શ્રેણી ‘હેલીના માણસ’ પુરી કરીશું. આશા છે કે, આપ સૌએ આ સફર માણી હશે. બીજી એક મઝાની નવી જ શ્રેણી લઈને નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

વિસ્તૃતિ…૪૪. *જયશ્રી પટેલ*




શરદબાબુ વિશે આવારા મસીહા દ્વારા ઘણી ઘણી માહિતી શ્રી વિષ્ણુ પ્રભાકરજીએ હિન્દી સાહિત્ય સમાજને આપી. તેને વાંચતા ગુજરાતી સાહિત્યમાં તેનો અનુવાદ કરી હસમુખ દવેએ ગુજરાતી સાહિત્યકારોને અભિભૂત કરી દીધાં. આપણે પહેલાંના અંશમાં ચરિત્રહીન વિશે જાણ્યું , મિત્રો આજે તેમના બે એવા અનાયાસે મળેલ
મિત્રોની મિત્રતા વિશે જાણીએ.
યમુના કાર્યાલયમાં સાહિત્યિક બેઠકો યોજાતી. તેમાં શરદબાબુને એ યુગના ઘણાં સાહિત્યકારો સાથે
પરિચય થયો.આમાના એક સાહિત્યકાર હતા હેમેન્દ્રકુમાર રાય. એ ફણીન્દ્ર પાલના સહાયક હતા. એક
દિવસ સમી સાંજે યમુના માટે આવેલી કૃતિઓને જોઈ તપાસી રહ્યાં હતા ત્યાંજ શરદબાબુનું આગમન થયું તેમણે ફક્ત આંખ ઉઠાવી દ્રષ્ટિ કરી, નિસ્તેજ ચહેરો,
દૂબળો દેહ, શ્યામ વર્ણ, પગમાં ચંપલ, માથા પર સૂકા વાળ તેં પણ વીંખાયેલા, આછી-પાતળી દાઢી, મેલા કપડાં અને સાથે એક દેશી ડાઘિયો કૂતરો તેઓ એ તેની સામે ઉપેક્ષાસહ પૂછ્યું,’ કોનું કામ છે?’
ઉત્તરમાં ફણીબાબુનો ઉલ્લેખ થયો તેથી તેમને એક પાટ પર બેસાડ્યા. મનમાં વિચાર્યું કે કોઈ પટાવાળો જ હશે. ખુરશીઓ તો સાહિત્યકારો ને શોભે.પાટ પર બેસવાનો ઇશારો કર્યો ને કામે વળગ્યા. જુઓ મિત્ર વેશ પહેરવેશ પરથી અનુમાન લગાવ્યું ને તેમણે આટલામોટા
લેખકને તિરસ્કૃત કર્યા. છતાં નિખાલસ શરદબાબુએ પણ પોતાની ઓળખ ન આપી. કૂતરો જ્યારે હેમેન્દ્રબાબુ પાસે પહોંચી ગયો અને એમનું ધોતિયું પકડવા લાગ્યો. એમણે છી…છી કરી મોં બગાડ્યું.
ત્યાં ફણીબાબુ આવી પહોંચ્યાં અને શરદબાબુને આમ પાટલી પર બેઠેલા જોયા તો બૂમ પાડી ઉઠ્યા ,” અરે, શરદબાબુ પાટલી પર કેમ બેઠા છો?
શરદબાબુએ હસતાં હસતાં હેમેન્દ્રબાબુ સામે આંગળી ચિંધી. ફણીબાબુએ શરદબાબુને ખુરશી પર બેસાડી ને તેમની ઓળખ હેમેન્દ્રબાબુને આપી. જે માણસને પટાવાળો સમજ્યા હતા તે એક મહાન લેખક હતાં. તે પછી તો હેમેન્દ્રબાબુ ને શરદ પાક્કા મિત્રો બની ગયાં. બધે જ સાથે ફરતાં ને સાહિત્ય માણતાં. જુઓ મિત્રો પોતાના માન અપમાન ખાતર ઝઘડ્યાં વિના શરદબાબુએ તેમાંથી એક મિત્ર શોધ્યો.

એવી બીજી મોટી વ્યક્તિ તેમની મિત્ર બની તે હતા ‘ભારતવર્ષ’ ના સંપાદક . સ્વનામધન્ય રાયબહાદુર
જલધર સેન. એકવાર તેઓ તેમના મિત્ર સાથે શરદબાબુને મળવા યમુનાની ઓફિસમાં આવ્યા. ફણીન્દ્રબાબુ તેમની ઓળખાણ કરાવા ગયા તો શરદબાબુએ જણાવ્યું કે દાદા સાથે મારી બહુ જૂની ઓળખાણ છે. આમ ન મોટાઈ ન અંહકાર ! તેમની વાતથી જલંધર સેનને નવાઈ લાગી. શરદબાબુએ તેમને
કુન્તીલ પુરસ્કાર પ્રતિયોગીમાં જીતેલી વાર્તા ‘મન્દિર’ વાર્તાનાં નિર્ણાયક હતા તે યાદ અપાવી.
જલધર સેનને યાદ આવતા નિખાલસતા કહ્યું કે ૧૫૦ વાર્તાઓમાં શ્રેષ્ઠ વાર્તા હતી કેમ ભૂલાય ? પણ તેના લેખક તો ભાગલપુરના શ્રીમાન સુરેન્દ્ર ગંગોપાધ્યાય હતા ને?
શરદે હસતાં હસતાં કબૂલ્યું એ વાર્તા મારી હતી પણ મારું નામ આપતા મને સંકોચ થતો હતો તેથી મેં મામાના નામે મોકલી હતી.

બસ તેમની નિખાલસતા જોઈ જલધર સેન બોલ્યા મારા માટે ગર્વની વાત છે .. તેમણે ત્યારે પણ આ હીરાને પારખી લીધો હતો.

આમ એક નવા પ્રગાઢ્ય મિત્ર જલધર સેન તેમને મળ્યાં.શરદ સાહિત્યનું સૌથી વધુ શ્રેય જલધર સેનને જ અપાય.

શરદબાબુએ ૧૯૩૩માં ખુદ સ્વીકાર્યું હતું કે દાદા જો તેમની પાછળ ગુરુની જેમ ન પડ્યા હોત કે લખાણ માટે તકાદા ન કર્યા હોત તો તેમના જેવા આળસુની અડધી કૃતિઓ તો શું ચોથાભાગની કૃતિઓ અપ્રકાશિત જ રહી ગઈ હોત.

મિત્રો, નિખાલસ લેખક અને અંહકાર રહિત ભોળા
ભંડારી હતાં શરદબાબુ . તેમના જીવનનાં ઉતાર ચઢાવ
વખતે મળેલા મિત્રોએ તેમને પ્રસિદ્ધિઓની ટોચ પર પહોંચાડ્યા હતાં.

મિત્રો, આવતા અંશમાં આપણે જોઈશું તેમના જીવનનું એક અગત્યનું પાસું જે ખૂબ જ સુંદરને રોમાંચિત
છે.તેમની દિશાની શોધ ધીરે ધીરે નજીક આવતી જતી હતી.

જયશ્રી પટેલ
૭/૧/૨૩

ઓશો દર્શન-42. રીટા જાની




આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ નવલા વર્ષનો. 2022ની વિદાય અને 2023નું આગમન. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું. પણ આશાની ક્ષિતિજ પર ઉભરે છે એ જ પ્રશ્ન. સદીઓ વીતે, યુગો બદલાય તોય પ્રશ્ન એ જ કે નવા વર્ષના નવ પ્રભાતે શું માનવજાતિ સુખનું સરનામું શોધી શકી છે ખરી?

ઓશો બહુ સુંદર વાત કહે છે: ‘મારો સંદેશ નાનો એવો છે. આનંદથી જીવો અને જીવનને એના સમસ્ત રંગો, સમગ્ર સ્વરો સાથે જીવો. જે કંઈ છે તે અર્થપૂર્ણ છે. આમાંથી કશાનો પણ ઇન્કાર કરવો એ પરમાત્માનો જ ઇન્કાર કરવા બરાબર છે. જ્યારે તમે સમગ્રને સ્વીકાર કરી આનંદથી જીવવા લાગો છો, ત્યારે એક અપૂર્વ ક્રાંતિ ઘટિત થાય છે. તમારી અંદરનું આખું રસાયણ જ બદલાવા લાગે છે. ક્રોધ કરુણા બને છે, કામ રામ બની જાય છે અને તમારી અંદરના કાંટા ફુલ બનીને ખીલવા લાગે છે.’

ઓશો કોઈને ખોટી સાંત્વના આપતા નથી. તેઓ કહે છે કે તમે અંદરથી ખળભળી ઉઠો, વિચારતા થઈ જાવ અને જાગૃત થવા માટે તૈયાર થઈ જાવ. જો વિચારતા થશો તો સત્ય, પ્રેમ, કરુણા, દયા, અહોભાવ – પ્રકૃતિ પ્રત્યે, આનંદ તરફ જવાનો ભાવ જરૂર જાગશે. માટે વર્તમાનમાં જીવો. જો વર્તમાન સારો હશે, આનંદિત થશે, પ્રેમાળ હશે, સત્યમય હશે અને જાગૃતિમાં જીવતા હશો તો ભવિષ્ય સારું જ હશે. જાગૃત વ્યક્તિ ક્યારેય ખોટું કામ કરી શકશે નહીં. જાગૃતિની સાથે જીવન જીવવાનો અભિગમ બદલાતો જાય અને સત્ય શું છે, અસત્ય શું છે તેનો ખ્યાલ આવતો જાય. જાગૃતિ અનેક રીતે આવી શકે -બાળસહજતા, સરળ ચિત્ત, નિખાલસતા, પ્રેમમય, ભક્તિમય થવું અને અસ્તિત્વ પ્રત્યે અહોભાવ.

ઓશોનું કામ એક અજ્ઞાત પથ પર વ્યક્તિને અત્યંત ઋજુતાથી યાત્રા કરાવતા ભોમિયા જેવું છે. પણ યાત્રા તો આપણે પોતે જ કરવી પડે. જ્યાં સુધી વ્યક્તિ સ્વયં યાત્રા પર ચાલે નહીં, ત્યાં સુધી તેને ઓશોની વાત સમજાશે નહીં. તેણે સજાગ રીતે જીવન જોવું પડે, સાક્ષી થઈને અંતરયાત્રાના અનુભવો પ્રત્યે પણ તટસ્થ રહેવું પડે, મોટી સિદ્ધિ મળે કે આનંદથી ભરી દેતા અનુભવ થાય તો પણ આ માર્ગ પર અચલ ચાલવું પડે.

ઓશો કહે છે કે ભય મનુષ્યને આત્મવાન બનવા દેતો નથી. માટે ભયથી જાગો. જેનાથી તમે ડરો છો, તેને તમે ક્યારેય પ્રેમ નહીં કરી શકો. માટે ઈશ્વરથી પણ ડરો નહીં. ભયથી ઘૃણા, ક્રોધ, હિંસા ઉપજે છે. પ્રેમથી કરુણા ઉપજે છે. માનવાથી ભય પેદા થાય છે, જાણવાથી પ્રેમ પેદા થાય છે. માટે માનવું નહીં જાણવું. તમારા બાળકોને, પત્નીને, પતિને, મિત્રને, પરિવારને, પ્રિયજનોને, મનુષ્યને, પશુ પક્ષીને, ફૂલ છોડને સૌને પ્રેમ કરો. જેમ તમારો પ્રેમ ફેલાતો જશે, તેમ પરમાત્માની ઝલક આવવી શરૂ થઈ જશે. જ્યારે તમારો પ્રેમ વિરાટ થઈ જાય છે, તમે પ્રેમમય બની જાવ છો, ત્યારે તમારું અને પરમાત્મા વચ્ચેનું અંતર ઘટતું જશે અને એક દિવસ તમે પરમાત્મામાં પહોંચી જશો. પ્રેમમાં વ્યક્તિ ફેલાય છે, ભયમાં વ્યક્તિ સંકોચાય છે. પ્રેમમાં વ્યક્તિ શ્રદ્ધા કરે છે, ભયમાં વ્યક્તિ શંકા કરે છે. પ્રેમની સાથે તમે અખંડતા, એકતાની અનુભૂતિ કરો છો. સંભવ હોય તેટલા લોકોને મળો, લોકોથી શીખો અને તમારી અંદર એક નવી ઉર્જાને જાગૃત થતા જોશો. એ ઉર્જા જ પ્રેમ છે, જે તમને ધન્યતાનો અનુભવ કરાવશે અને તમે અસ્તિત્વ પ્રત્યે અહોભાવથી ભરાઈ જશો.

પ્રેમને શોધવા જવાની જરૂર નથી. તેને સ્વયંની અંદર ઝાંખો અને પામી જાઓ. પ્રેમ આપણી પ્રકૃતિ છે. તમે જેટલો વધુ પ્રેમ કરો છો, અસ્તિત્વ એટલો વધારે પ્રેમ ચારે તરફથી તમારા પર વરસાવી દે છે. પ્રેમ જીવન ઊર્જાનું શિખર છે, જીવનની પરમ સમાધિ છે, સમર્પણની દશા છે, અદ્વૈત છે. જેણે પ્રેમને જાણ્યો, તેણે બધું જાણી લીધું.

પ્રેમ ત્રણ પ્રકારના છે. પહેલો પ્રેમ વસ્તુઓ પ્રત્યે, ધન, મકાન પ્રત્યે; 99% લોકો એમાં જ અટવાઈ જાય છે. બીજો પ્રેમ વ્યક્તિઓનો પ્રેમ, જેમાં એક લગની પેદા થાય છે, જીવન અર્થપૂર્ણ લાગે છે, પણ તે ક્યારેય પૂર્ણ પ્રેમ થઇ શકતો નથી કારણ કે તેમાં એક બીજાની ઝુકાવવાની વાત છે અને જે ઝુકે તે વસ્તુ જેવો થઈ જાય છે. ત્રીજા પ્રકારનો પ્રેમ છે – પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, જે પૂર્ણ પ્રેમ છે કારણ કે ત્યાં તમે ઝૂકી જાઓ છો, પણ કોઈ ઝુકાવનારો નથી.

પ્રેમના ત્રણ અર્થ થાય છે. પહેલો અર્થ સામાન્ય રીતે જે આપણે કહીએ છીએ -પ્રેમમાં પડવું. તેનો અર્થ એ થાય કે તેણે પોતાની સ્વતંત્રતા નીજતા કોઈને દીધી, તમે તેના પર નિર્ભર બન્યા. દરેક પરિવારમાં, દરેક વ્યક્તિમાં ચાલી રહેલો આ બહુ સરળ પ્રેમ છે. આનાથી ઊંચો બીજો પ્રેમ છે -જેને પ્રેમમાં હોવું કહીએ છીએ. તેનો સ્વભાવ મૈત્રીનો છે. તે ન તો બહુ દૂર છે, ન બહુ નજીક. જેથી એકબીજાની સીમામાં હસ્તક્ષેપ નથી. આવો પ્રેમ બહુ કઠિન છે. બીજો પ્રેમ મનુષ્યનો પ્રેમ છે, જેમાં થોડી ગરિમા છે, થોડો બોધ છે, પ્રતિભા છે. ત્રીજા પ્રેમમાં બીજા સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રેમની ચૈતન્ય દશા છે. એ અંદરથી આવતો અસ્તિત્વ પ્રત્યેનો પ્રેમ છે. જ્યારે પ્રેમ કરુણા બને છે, ત્યારે પરમાત્માનું દ્વાર બને છે. ત્રીજો પ્રેમ કરુણા છે. આવા પ્રેમનું નામ ભક્તિ છે. આવો પ્રેમ ધ્યાનનું પરિણામ છે, જે બહુ વિરલાઓને ઉપલબ્ધ થાય છે.

પ્રેમ એ અદભુત કલા છે. સંવેદનશીલતા વધે તેની સાથે તમારી પ્રેમની કલા પણ વધતી જશે. જ્યારે તમને એ રહસ્ય સમજાઇ જાય કે પ્રેમની મજા પ્રેમ આપવામાં છે તો તમે ચકિત થઈ જશો કે પ્રેમ હજાર ગણો થઈને તમને પાછો મળે છે. જ્યારે તમે પ્રેમથી કોઈનો હાથ હાથમાં લો છો, ત્યારે તેના બુઝાતા દીવાને ફરી જ્યોતિ મળે છે. જ્યારે કોઈને પ્રેમથી ભેટો છો, તો એનું આયુષ્ય વધે છે. પ્રેમ કોઈ ઘટના નથી પણ જીવનનું બીજું નામ છે. પ્રેમ માટે શબ્દો આવશ્યક નથી. જેણે પ્રેમ જાણ્યો તેણે જીવન જાણ્યું. પ્રેમનું બીજ તમારી અંદર જ છે, જે વૃક્ષ બનવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં ભય છે, ત્યાં પ્રેમ સંભવ નથી. જ્યારે માગ્યા વગર કંઈ આપો છો તો પ્રેમ ધીરે ધીરે પ્રાર્થના બની જાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, ત્યાં શાંતિ છે. ધ્યાનમાં સ્વયંને મળાય છે, પ્રેમમાં બધાને મળાય છે. પ્રેમ એક સદભાવના છે, એક આનંદ છે. પ્રેમનો અર્થ જ એ છે કે મારો આનંદ, મારા જીવનની ખુશી બધા સુધી પહોંચે.

ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા અને અંતિમ સૂત્રને સમજવું હશે તો સાધારણ ગણિત કામ નહીં લાગે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય છતાં પણ પૂર્ણ જ શેષ રહે છે. આ સૂત્રને સમજવા માટે પ્રેમને સમજવો પડશે. આપ ગમે તેટલો પ્રેમ આપો તો પણ એટલો જ પ્રેમ બચે છે. જે વ્યક્તિએ પ્રેમને જાણ્યો તેણે પરમાત્માને પણ સમજી લીધા. પરમાત્માનો અર્થ છે -જે બધાની અંદર છે, જે અસ્તિત્વ છે એ જ. માટે જે દિવસે સમજાઇ જશે કે મારી પાસે એવો પ્રેમ છે જે હું આપી દઉં તો પણ એટલો જ બચે છે, તે દિવસે બીજા પાસે પ્રેમ માગવાનો બંધ થઈ જાય છે. આપણી તકલીફ એ છે કે આપણે જિંદગીભર પ્રેમ શોધીએ છીએ અને પ્રેમ માંગતા રહીએ છીએ. પણ ઓશો સુંદર અને સરળ રીતે આ સૂત્ર સમજાવી આપણું કામ આસાન કરી દે છે.

રીટા જાની
06/01/2023

હેલીના માણસ – 50 | બાંધછોડ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-50 ‘બાંધછોડ’ એની 49મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.   સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

જોને તાળાં પણ હવે લાગી ગયાં દરબારને, 

જો હવે ભંગારમાં વેચી દે આ તલવારને! 

 

એ નહીં ભાંગે તો એની હામ તો ભાંગી જશે, 

એ તને પડકારે એ પહેલાં જ તું પડકારને! 

 

માથે ગોરંભાય છે પણ એ વરસતો કાં નથી, 

વાંસડો લઈ આવને વાદળમાં ગોદો મારને! 

 

એ અચાનક હરતાંફરતાં સ્હેજમાં ફૂટી ગયાં, 

હું અવેરું ક્યાં જઈ પરપોટાના ભંગારને! 

 

બદદુવા દેતો નથી તો પણ નિસાસા લાગશે, 

ખૂબ નિર્દયતાથી તેં ઠુકરાવ્યો મારા પ્યારને! 

 

એ પરાજીત થાય એ પહેલાં હું હારી જાઉં છું, 

મેં હંમેશાં પાછી ખેંચી છે મારી તકરારને, 

 

એનાં સૌ રિસામણાં, એની ખુશી, નારાજગી, 

હું નિભાવું છું ખલીલ એના સળંગ વહેવારને, 

ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

1947 માં આઝાદી મળી ત્યાર પછી 1950માં આપણો દેશ  પ્રજાસત્તાક થયો. તે પહેલાં આખો દેશ નાનાં મોટાં અનેક રાજ્યોમાં વહેંચાયેલો હતો. તે વખતે દરેક રાજયની પાસે અમુક શસ્ત્રસરંજામ રહેતો. રાજ્યો ગયાં ને લોકશાહી સ્થપાઈ પછી રાજ્યો પાસેની તલવારો નકામી પડી. જે વસ્તુનો ઉપયોગ ના રહે તે ભંગાર જ ગણાય. હવે આ ભંગારને કરવાનું શું? પસ્તિવાળાને ભંગાર સાથે વેચી મારવું એ જ ને! કોઈ પણ વસ્તુ જ્યાં સુધી ઉપયોગી હોય ત્યાં સુધી જ તેની કિંમત. પણ હા, ભંગારમાં પણ અમુક વસ્તુઓ જ લઈ જાય છે. આમ તો કોઈ તુટેલી ફુટેલી વસ્તુ એટલે ભંગાર. પણ પરપોટો ફુટે તેનો ભંગાર થાય ખરો? થાય તો પણ એને કોણ લઈ જાય? 

કહેવાય છે કે, પહેલો ઘા રાણાનો. યુધ્ધ જો અનિવાર્ય જ હોય તો સામેવાળાની કે, તેના હુમલાની રાહ  જોવાને બદલે આપણે પોતે હુમલો કરી દઈએ તે વધુ યોગ્ય રહે. કોઈ શા માટે આપણને પડકારને? હુમલાના સતત ડરથી આપણી હામ ભાંગી પડે તે પહેલાં આપણે જ પડકાર ફેંકીને આપણો હાથ મજબૂત કરી લેવો એ હિતાવહ ગણાય. 

ચોમાસુ હોય છતાં કેટલીક વાર એવું બને કે, ઘનઘોર ઘટા છવાઈ જાય, ગગન ગોરંભે ચઢે, કાળાં ડિબાંગ વાદળો એકબીજા સાથે અથડાઈને ગાજે, એ ગર્જના સાથે કડાકાભેર વિજળી પણ ચમકે, આ બધું થાય પણ વરસાદ ના પડે! આવામાં આપણને દલપત પઢિયારનું આ ગીત યાદ આવી જાય. 

ગગન ચઢ્યું ગોરંભે એક પડે ના ફોરૂં, 

તારે ગામે  ધોધમાર ને મારે ગામે કોરૂં, 

 આવામાં આકાશમાં ઘેરાયેલા વાદળને વાંસડા વડે ગોદો મારીને વરસાદને લાવવાની વાત ખલીલ સાહેબ જ કરી શકે. એમનો આ શેર જોઈએ – 

માથે ગોરંભાય છે પણ એ વરસતો કાં નથી, 

વાંસડો લઈ આવને વાદળમાં ગોદો મારને! 

 

છોરૂં કછોરૂં થાય પણ માવતર કમાવતર ના થાય. એ વાત તો સાવ સાચી, સૌએ જોયેલી, જાણેલી અને અનુભવેલી. પણ આ બાબતે સંતાનોએ નિશ્ચિંત બનવાની જરૂર બિલકુલ નથી કારણ કે, માવતર ના ઈચ્છે છતાં પણ જો તમારા નિર્દયી વર્તનથી તેમની આંતરડી કકળશે તો તેઓ નિસાસા નાખે કે ના નાખે, તેમના દિલમાંથી નિકળેલી હાય તમને ચોક્કસ લાગશે. ખુદ માવતર કે પ્રેમી ઈચ્છે તો પણ એ હાયની અસર ટાળી નહીં શકે. 

કોઈ પણ સંબંધ સચવાઈ રહે તે માટે બન્ને પક્ષે પ્રયત્ન કરવો પડે છે. એક બીજાનાં મન સાચવવાં પડે છે. અહીં મોટેભાગે દરેકનો વ્યક્તિગત સ્વભાવ સારો એવો ભાગ ભજવે છે. એવું પણ બને છે કે, બેમાંથી એક વ્યક્તિ વધુ સહકાર આપતી રહે અને બીજી વ્યક્તિ તેમ કરવામાં ઊણી ઉતરે. સંબંધનું મહત્ત્વ હોય તો સહકાર આવશ્યક છે. પછી ભલે તે એક પક્ષીય કેમ ન હોય. જે પ્રેમાળ છે સમજદાર છે તે બીજી વ્યક્તિની ખુશીનો ખ્યાલ રાખે છે. કઈ વાતથી તે નારાજ થશે તે વિશે સજાગ રહે છે. ટુંકમાં એ ગમે તેવો વહેવાર કરે તેને પોતાનું ગણીને નિભાવી લે છે. બન્ને પક્ષે વારાફરતી આવી સમજપૂર્વકની વર્તણૂક કરવામાં આવે તે જરૂરી હોય છે.  તો જ સંબંધ ટકી શકે છે. પણ દરેક વખતે તેમ થતું ન હોય તો છેવટે કોઈ એક પક્ષે બધું સંભાળીને સંબંધ ટકાવી રાખવો પડે છે. 

એનાં સૌ રિસામણાં, એની ખુશી, નારાજગી, 

હું નિભાવું છું ખલીલ એના સળંગ વહેવારને, 

આમ જીવનના કોઈપણ સંબંધને સાચવવા માટે, સ્નેહ. અને સહકાર જેટલાં જરૂરી છે તેટલી જ જરૂરી છે બાંધછોડ, જતું કરવાની ભાવના. મિત્રો, કોઈને માટે, કોઈની ખુશી માટે કંઈક જતું કરવાથી આપણને પણ ખુશી મળી શકે છે. આવી વાતો લઈને આવેલી આ ગઝલ આપને ગમી? વધુ એક મસ્ત ગઝલ લઈને ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

 



*વિસ્તૃતિ…૪૩* *જયશ્રી પટેલ*



ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયાં કે મિત્રો સત્યેન્દ્ર
નલિની પર સામાન્ય શુદ્ર વાત પર ક્રોધ કરી, રિસાયને તેનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડી ચૂક્યો હતો. વળી ધીરે ધીરે નલિની અને સરલાની વચ્ચે તુલના કરી તેની અવગણના કરવા લાગ્યો.
એક દિવસ નલિનીનાં ભાઈને બોલાવી તેના પિયર વિદાય કરી દીધી સાથે તેની દાસી માંતગીને પણ વિદાય કરી. સત્યેન્દ્રને કોઈ દુઃખ નહોતું તે પોતાના અભિમાનને પંપાળી રહ્યો હતો મનને બહેલાવી રહ્યો હતો. માએ નલિનીને પાછી બોલવવા કહ્યું નહિતો કાશી જવાની ધમકી આપી તો તેણે માને જવા માટે વ્યવસ્થા કરવાની
વાત કરી માનું પણ અપમાન કરી નાંખ્યું!
બે ત્રણ મહિના પછી સત્યેન્દ્રને ખૂબ પસ્તાવો થયો. ક્ષણભર નલિની વગર ન રહી શકનારો સત્યેન્દ્ર છટપટવા માંડ્યો , નલિનીના પત્રની રાહ જોવા લાગ્યો. નલિની પણ શુદ્ર કારણે મળેલી સજા હવે ન સહી શકી.
મનમાં વિચારવા લાગી કે વાંક શું? હવે નહિ સહે. વાતને છ મહિના વિતી ગયા. સત્યેન્દ્રે નવા લગ્ન કરવાનો નિર્ણય કર્યો, એમ કરી તે નલિનીની સાથે ભયંકર અપમાન કરી બદલો વાળવા માંગતો હતો. માને આ વાત મંજુર નહોતી તે કાશીવાસ ઈચ્છતી હતી. તેણે પુત્ર પાસે ભીખ માંગી મને આ યાતનામાંથી મુક્ત કર. સત્યેન્દ્ર હવે પહેલાં જેવો સરલાનો પ્રેમાળ પતિ નહોતો રહ્યો કે ન તો તે નલિનીનો સમજુ પતિ રહ્યો હતો તે તો પ્રતિશોધની જ્વાળામાં બળતો એક પુરુષ હતો. આખરે પોતાનું ધાર્યું કરનારો અંહકારી પતિ બની ગયો. ત્રીજા લગ્ન કરી તે ગિરીબાલાને લઈ જ આવ્યો. મા પોતાના પતિ હરદયાલમિત્ર ને યાદ કરી રડી પડી , નલિની જેવી ગુણિયલ વહુને યાદ કરી વધુ અશ્રું વહેવા લાગ્યા. ગિરીબાલા મુહફટ હતી. અવિચારી વાણી હતી એની.
લગ્ન સમયે તે કાંઈ ન બોલી પણ પછી તે માનસન્માન ન રાખતી. તેઓની લગ્નની ફૂલસજ્જાની રાત્રે ગૃહિણીને મળવા કોઈ મોટા ઘરની ભેટ સોગાદ લઈ આવી પહોંચ્યું. ગૃહિણીએ તેમાંથી મિઠાઈ વહેંચી દીધી. બનારસની સાડી ને ઊંચા પ્રકારના મલમલના કોટ ને ધોતી , દર દાગીનાની ભેટ કોઈ મિત્રે મોકલી છે જાણી સત્યેન્દ્રને નવાઈ લાગી.
ઘરમાં ગુસરપુસર નોકર નોકરાણીઓ વાતો કરી રહી હતી, મહોલ્લાની સ્ત્રીઓ એ નલિનીને કુલક્ષણા કહી. આ સાંભળી ગૃહિણી ખૂબ જ ક્રોધિત થઈ ગઈ. તેણે પુત્ર પાસે જીદ કરી નલિનીને બોલાવી મંગાવવા માટે.
આવેલી ભેટ સોગાદ જોતા સત્યેન્દ્રે ક્રોધિત થઈ તેનો ઇન્કાર કરી દીધો. મા દરવાજા બંધ કરી ગણગણતી રહી મારી પુત્રવધૂ કુલક્ષણા નથી. તેનું દર્દ સમજવા કોઈ નહોતું. માંતગી જ ભેટ લઈ આવી હતી તેને અંદર બોલાવી તેની પાસે નલિનીનાં હાલચાલ પૂછ્યા, તેમજ નલિની ને સત્યેન્દ્રના સામાન્ય ઝઘડામાંથી વણસેલી વાતની માહિતી આપી. ગૃહિણી પુત્ર સત્યેન્દ્રને માફ ન કરી શકી.તેની નજર બનારસની સાડી પર પડી. ખૂબ કિંમતી હતી પણ તેના પાલવે બાંધેલી ચબરખી ખોલી. વાંચતા ને અક્ષર ઓળખતા સત્યેન્દ્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો. તે નલિનીની ચિઠ્ઠી હતી. ગિરીબાળાને લખી હતી અને સત્યેન્દ્ર સાથે સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. ગિરીબાળાને નાની બેન ગણી ઘણી સરસ ભેટ મોકલી હતી. સત્યેન્દ્ર તે રાતે સૂઈ ન શક્યો તેનો ત્રીજો વિવાહ બોજ બની ગયો.
બે ચાર મહિના વિતી ગયા ને એક દિવસ ટપાલી એક પાર્સલ આપી ગયો. જેમાં એક વિંટી હતી અને એક પત્ર હતો. નલિનીનો ને એક પત્ર તેનાંભાઈ નરેન્દ્રનો હતો.
પવિત્ર ગંગા જેવી સતી જેવી નલિની મૃત્યું પામી હતી. તેણે સત્યેન્દ્રની આપેલી વિંટી ગિરીબાળા માટે પાછી મોકલી હતી. સત્યેન્દ્રને શીખ મોકલી હતી મારી નાની બેન ને દુઃખ ન પડે તે માટે સલાહ સૂચન કર્યા હતા.
સત્યેન્દ્રને હવે પસ્તાવો થઈ રહ્યો હતો, મા તો આ સમાચાર જાણી કાશી પ્રયાણ કરી ગઈ હતી. સત્યેન્દ્ર એક બોજ ભરી જીવન વંઢોરી રહ્યો હતો. તે સમાજ જેવો
કઠોર વિચાર શૂન્ય ધરાવતો સામાન્ય માનવી બની ગયો હતો.
મિત્રો , કરુણાંત ભરી આ વાર્તામાં સત્યેન્દ્ર દ્વારા અહમને દર્શાવે છે તો નલિની દ્વારા ધીરજ ને સહનશક્તિ
સહીને સ્વમાન ને દર્શાવે છે. એક નાનો મનભેદ કેવો બોજ બની જાય તે આ વાર્તાનું મૂળ કથન છે.
આવતા અંકે ફરી કંઈક નવીન શરદબાબુ વિશે તેમના આલેખન ને બંગાળી સમાજને સ્પષ્ટ આલેખતી વાર્તા વિશે જાણીશું.
(સંપૂર્ણ)

અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૧/૧૨/૨૨