દ્રષ્ટિકોણ 37: હિમ નદી અને વૈશ્વિક ગરમાવો – દર્શના

શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ હું, દર્શના વારિયા નાડકર્ણી તમને આવકારું છું. આજે આપણે વૈશ્વિક ગરમાવો (ગ્લોબલ વૉર્મિંગ) અને હિમ નદી (ગ્લેશિયર) ઉપર થોડી વાત કરીએ.  તાજેતરમાં હું અલાસ્કાની સફર કરીને આવી અને ત્યાં સુંદર ગ્લેશિયર જોયા. ઘણા વર્ષો પહેલા હું હિમાલય માં પર્વત ચડાવ અભિયાન (માઉન્ટેઇન ક્લાઈમ્બીન્ગ એક્સપીડિશન) ઉપર ગયેલ ત્યારે અમે હિમ નદી ઉપર ચાલીને ગયેલા. તો આ હિમ નદી શું છે?..ઘણા સમયથી પડતો બરફ જયારે ઘટ્ટ થઇ જાય છે અને એક જ જગ્યા ઉપર રહે છે ત્યારે ધીમે ધીમે હિમ નદી બનવાની શરૂઆત થાય છે. પણ તે માત્ર એક જગ્યાએ પડતો બરફ નથી. બલ્કે હિમ નદી એક પાણી ની નદીની જેમ વહે છે અને આખરે હિમ તળાવ (ગ્લેશિયલ લેક) માં, નદીમાં અથવા દરિયામાં  જઈને ઠલવાય છે તેને ગ્લેશિયર તરીકે ઓળખાય છે. હાલ માં હિમનદીઓ વિશ્વના 10% જેટલા ક્ષેત્ર ઉપર છે. જોકે મૉટે ભાગે તેને આપણે જોઈ ના શકીએ કેમ કે પર્વતમાળાઓ વચ્ચે આવેલી હોય છે. 
 હિમ નદી અત્યંત ધીમી ગતિએ વહે છે તે છતાં તે વૈશ્વિક ગરમાવાના સંકેત અને તે વિશેની મહત્વની માહિતી આપે છે. વૈશ્વિક ગરમાવો વધવાને કારણે હિમ નદી પીછેહઠ કરે છે. તેનો મતલબ એ નથી કે તે વાસ્તવિકતામાં ઉંધી ગતિએ વહે છે પરંતુ નીચે વહેતો બરફ પીગળવા લાગે છે અને તેનું ઝડપથી પાણી થતું જાય છે. નવા સંશોધન પ્રમાણે હિમાલય ની હિમ નદીઓ ખુબ ઝડપથી અદ્રશ્ય થઇ રહી છે. નેપાળ અને ભૂતાન માં લગભગ ત્રણ ચતુર્થાંશ હિમનદી ના વિસ્તાર માં ઘટાડો થઇ ગયો છે. 
આ એકદમ ધીમી ગતિએ વહેતી હિમનદીઓ જે નીચે નદીઓમાં મળતી તે સદીઓ અને સદીઓ સુધી નીચે વસેલા ગામડાઓમાં પાણી પૂરું પાડતી. પરંતુ ઝડપથી ઓગળી રહેલ બરફ ને લીધે બે મહત્વની અસર થશે. એક તો, આ ઓગળી રહેલ હિમનદીઓ ને લીધે નીચે રહેલ નદીઓમાં અથવા હિમ તળાવ માં અને તેના આજુબાજુ વસતા ગામડાઓમાં પૂર આવાની શક્યતા વધી રહી છે. બીજું, ધીમે ધીમે વહેતી અને સદીઓ સુધી લોકોને પાણી પહોંચાડતી હિમનદીઓ બહુ ઝડપથી ઓગળી જશે તો ભવિષ્યમાં દુનિયા માં ઠેર ઠેર દુકાળ સર્જાવાની શક્યતા પણ વધી જશે.
હિમનદી ની પીછેહઠ ના ઘણા કારણો છે. પરંતુ અત્યાર સુધી બધી સુવિધા ન હોવાને કારણે હિમનદિની પુરી રીતે ઓળખ અને તેના સંશોધન માં કચાસ રહેલ। વૈજ્ઞાનિકો સેટેલાઇટ ને આધારે તે સંશોધન કરી રહ્યા હતા અને તેથી તે અભ્યાસ માં કચાસ રહેલ અને તેમાં અતિશયોક્તિ પણ થયેલ.  તે જ કારણો ટ્રમ્પ પણ પ્રસ્તુત કરે છે અને કહે છે કે આવું બનતું રહેશે અને તેમાં આપણે કઈ પણ મીનમેખ કરી શકે નહિ. પરંતુ હવે સચોટ સંશોધન કરવાની તાકાત માં વધારો થયો છે અને મોટા ભાગનો અભ્યાસ વૈજ્ઞાનિકો દૂર દૂર પર્વતમાળાઓ વચ્ચે વહેતી હિમ નદીઓ પાસે પહોંચીને ખુબ નજીકથી અને સુસંસ્ફુર્ત સાધનો અને ટેક્નોલોજી દ્વારા કરી રહ્યા છે.  દુનિયા ના મોટા ભાગના વૈજ્ઞાનિકો અને સંશોધન કર્તાઓ હવે સહેમત છે કે હિમ નદીની પીછેહઠ અને ઝડપથી બરફ પીગાળવામાં આપણી રહેણીકહેણી ઘણે અંશે જવાબદાર છે અને આપણે તેમાં ફેરફાર કરવો જોઈએ
બધા કારણો અહીં પ્રસ્તુત નહિ થઇ શકે.  પરંતુ વૈજ્ઞાનિકો ના મત અનુસાર છેલ્લા 200 વર્ષ દરમ્યાન વીજળી ઉત્પાદન અને ઇંધણ નો ઉપયોગ ખુબ વધી ગયો અને તેની પર્યાવરણમાં અસર વર્તાય છે.  ઉપરાંત માનવ પ્રવૃત્તિ ને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં 40 ટકાનો વધારો થયો છે, અને અન્ય વાયુઓ, જેમ કે મિથેન (કુદરતી ગેસ) પૃથ્વીની સપાટીથી ફેલાયેલી ગરમીને શોષી લે છે, અને આ તાપને લીધે પર્યાવરણમાં ગરમાવો વધતો જાય છે. ગ્રીન હાઉસ ગેસ તરીકે ઓળખાતી આ ગરમી-ફસાવતી વાયુઓ ને કારણે આબોહવામાં વધતું જતું ઉષ્ણતામાન આ ગ્લેશિયર ના પીછેહઠનું એક મુખ્ય કારણ છે. તે ઉપરાંત માણસની પ્રવૃત્તિ ના બીજા નાના મોટા કારણો પણ તે માટે જવાબદાર છે.  જેમ કે ભોજન માં વધતો જતો મીટ નો વપરાશ પણ પર્યાવરણ માટે હાનિકારક છે. 
આવતા અંકે આપણે પોતે ગ્લોબલ વોર્મિંગ (વિશ્વિક ગરમાવો) ને વધતો અટકાવવા માટે અને પર્યાવરણ ના રક્ષણ માટે શું કરી શકીએ તે વિષે થોડી વાતો કરીશું। પરંતુ આ અંકે થોડી ગ્લેશ્યર હિમ નદી ઉપર ની માહિતી પ્રસ્તુત કરી છે. અને બેક ફોટા મુકું છું. હિમ નદી નું દ્રશ્ય એટલું અદભુત અને ભવ્ય છે કે અમારી શિપ જયારે માર્જારી હિમ નદીની એકદમ સામે પહોંચી અને ત્યાં બે કલાક ઉભી રહી ત્યારે એક સમયે ડેક ઉપર લગભગ 60 થી 70 લોકો મુગ્ધ બનીને એ દ્રશ્ય ને નિહાળી રહ્યા હતા. એકદમ નીરવ શાંતિ થી. અને અચાનક ગાજવીજ ના ભડાકા સાથે હિમ નદી નો બરફ તૂટવાનો અવાજ આવ્યો અને બરફ તૂટીને દરિયામાં જવા લાગ્યો। અને એક સાથે આખી જનતા ના મુખ માંથી  ઓહ્હ્હ ના ઉદગાર સરી પડ્યા અને આંખ મટકયાં વગર અમે આ કુદરતની અદભુત છટાને નિહાળી રહ્યા. તો રહ્યો એક માત્ર સવાલ. શું આ પ્રકૃતિની બક્ષીશ અને સુંદરતાને બચાવવાની આપણી કોઈ જવાબદારી નથી? અને એક બીજો સવાલ. જો એ જવાબદારી આપણે બહુ ઓછી મહેનત થી નિભાવી શકીએ તો આપણે તેવી થોડી મહેનત કેમ ન કરીએ?
હેલન કેલરે એક વખત કહેલું – હું બધું કરી શકતી નથી; પરંતુ હું કંઈક કરી શકું છું; અને હું બધું કરી શકતી નથી એવા કારણસર હું જે કાંઈ કરી શકું તે કરવાનો ઇનકાર કરીશ નહીં.

હળવેથી હૈયાને હળવું કરો-૧૩-

એમની માંદગી જાણે મારા જીવનમાં એક રૂટિન કામ બની ગયું,હું સવારથી સાંજ સુધી જાણે એમની એક નર્સ એમની દવા અને ખોરાકનું ધ્યાન રાખવું અને એમની પાસે બેસી મારુ વાંચન કરવું મેં મારી દિનચર્યા એમની આસપાસ ગોઠવી દીધી.મારા દીકરા મને મળવા અને એમની ખબર કાઢવા આવતા, અને અચાનક જરૂર પડે ત્યારે મારી પડખે ઉભા રહેતા,
       તે દિવસે મારે 911 બોલાવી જ પડી, એમની તબિયત હતી તેનાથી વધુ બગડી,હવે એમને રીહેબમાં મુક્યા સિવાય છૂટકો જ ન હતો.યાદશક્તિ ઓછી થઇ ગઈ હતી,એમને વધુ કાળજીની જરૂર હતી અમે આટલા વર્ષમાં ક્યારેય છુટા પડ્યા ન હતા, મારા માટે આ અસહ્ય હતું,છતાં આ નિર્ણય લીધો, હું રોજ એમને મળવા જતી એમની પાસે બેસતી એ બોલી પણ શકતા નહિ અડધું શરીર પેરેલાઇસ હતું મારુ નાનું શરીર એમને મદદ ન કરી શકતું તેનો મને સતત અફસોસ રહેતો, પણ મારુ ધ્યાન એમને કેન્દ્રિત હતું, બધું જેમ હતું તેમ રૂટીનમાં ચાલતું  કોઈ વસ્તુ સારી ન હતી પણ જીવન ચાલતું હતું. હું એમની માંદગી સાથે માત્ર લડતી હતી એમણે આ જીવનને માંદગીને અપનાવી લીધી હતી.
ભગવાનને આ મજુર નહોતું ફરી એકવાર એમની તબિયત બગડી હોસ્પિટલમાં લઇ ગયા પણ તેઓ કોમામાં ચાલ્યા ગયા, ઘણા પ્રયત્નો પછી ડૉ.રે અમને બોલાવ્યા  હવે આમાંથી એ પાછા ઉઠશે એમ લાગતું નથી.એમણે કોઈ અંતિમ ક્ષણની લેખિત ઈચ્છા દર્શાવી છે ? ન હોય તો તમે ઈચ્છો તો સારવાર બંધ કરી શકાય,મારા દીકરાએ મારી સામે જોયું મમ્મી તમે કહેશો એમ કરશું,નિર્ણય ઘણો અઘરો લેવાનો હતો હવે શું ?મેં કહ્યું મને વિચારવાનો સમય જોશે,
       અને તે દિવસે આખો દિવસ અને રાત હું એમનો હાથ પકડી બેસી રહી એમની સાથે વાતો કરતી રહી,એમને કહેતી તમે ધારો તો બેઠા થઇ શકો છો,આપણે ડૉ ને પડકારવાના છે,એમના શરીરમાં કોઈ હલચલ ન દેખાતી,ડૉ એ કહ્યું હતું કે કદાચ જાગશે તો પણ કદાચ યાદશક્તિ કે શરીર નહિ ચાલે,આમ પણ અલ્ઝાઈમાં તો હતો જ,શરીર પણ સુકાઈ ગયું હતું કદાચ શરીરમાં હવે લડવાની શક્તિ પણ નહિવત જ હશે,પણ મન માનતું ન હતું આપણી વ્યક્તિને એમ કેમ જવા દેવાય ?દરેક શરીર ને પોતાનું આયુષ્ય ભગવાનો પૂર્ણ અધિકાર છે એ લખીને પણ નથી ગયા તો હું એમના જીવન માટે કઈ રીતે નિર્ણય લઇ શકું,મારા દીકરાએ કહ્યું તમે આ ઉંમરે કેટલું કરશો ?હવે એમની આ ઉંમરે આ સ્થતિમાં દેખભાળ કરવી અઘરી છે,અમે પણ તમને કેટલો સાથ આપી શકશું ?     
          ડૉ  મારા દીકરાને કહ્યું કે સંભાળ લેનારાઓ ઘણીવાર અન્યની સંભાળ રાખવામાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ તેમના પોતાના ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની અવગણના કરે છે. પછી તમારી પાસે બે વ્યક્તિને સંભાળવાની જવાબદારી આવશે …મારે પણ જાણે એમ જ થયું, મારે માટે મારી પત્ની તરીકેની ભૂમિકાથી તેની દેખરેખકની ભૂમિકાને અલગ કરવી મુશ્કેલ હતી,હવે મને માત્ર તેમના ધબકારા સંભળાતા હતા.હું એમને કહેતી કે આપણી સંસ્કૃતિ જણાવે છે કે આપણે વય, માંદગી અને મૃત્યુ સામે સખત લડવું જોઈએ.હું તમને આમ કઈ રીતે જવા દઉં? તમારું જીવન સંકેલી લેવાનો નિર્ણય હું કઈ રીતે લઇ શકું.ઈશ્વરની યોજનામાં કોઈક અકળ નિયમ છે.દરેક શરીર ને પોતાનું આયુષ્ય ભગવાનો પૂર્ણ અધિકાર છે એ લખીને પણ નથી ગયા તો હું એમના જીવન માટે કઈ રીતે નિર્ણય લઇ શકું,મારા દીકરાએ કહ્યું તમે આ ઉંમરે કેટલું કરશો ?હવે એમની આ ઉંમરે આ સ્થતિમાં દેખભાળ કરવી અઘરી છે,અમે પણ તમને કેટલો સાથ આપી શકશું ?     
બીજે દિવસે ફરી એજ પ્રશ્ન લઈને મારા બન્ને દીકરાઓ આવ્યા. મમ્મી શું વિચાર કર્યો ?.મારા મૌનનો અર્થ એ સમજી ગયા. એટલે મને સમજવાની કોશિશ કરી, હવે પપ્પા ક્યારેય સાજા નહિ થાય, કોણ જાણે મારું દિલ માનવા તૈયાર ન હતું.આ વિષમતાનું નામ જ સંસાર છે. અણધાર્યું, અચાનક અને અકાળે આવતું મૃત્યુ સહજભાવે સ્વીકારવું સહેલું તો નથી જ. અકાળે, અણધાર્યાં, આકસ્મિક અને અકુદરતી રીતે આવતાં મૃત્યુ  કેમ આવવા દેવાય  ? આપણે વાસ્તવિકતાને સ્વીકારી આપણે સંવેદનશીલતાની સાથે જડ બનતા પણ શીખવું પડશે.અને મેં મક્કમતા પૂર્વક કહ્યું તમારા પપ્પાનું હું દયાન રાખીશ. પણ આપણે એમનું જીવન આમ સંકેલી નથી લેવું..આટલી હિમત મારામાં કેવી રીતે આવી એની મને ખબર નથી, પણ મેં એમની જવાબદારી ઉપાડી.દુઃખનો પરિઘ ગમે તેટલો મોટો હોય તો પણ દરેક માણસપોતા પૂરતું સુખનું કેન્દ્ર શોધી કાઢે છે.
દુઃખને અથવા પરિસ્થતિ સ્વીકારવાથી એને સાથેની લડત પૂરી થઇ જાય છે. મેં પણ ધીમે ધીમે વાસ્તવિકતાને સ્વીકારી અને નવી પરિસ્થિતિના પડકારોને પણ !મારા પતિ ત્યાર પછી છ વર્ષ જીવ્યા, વાત અહી વાસ્તવિકતાને સ્વીકારી આગળ વધવાની છે. એ મ્રત્યુ પામત તો પણ હવે હું તૈયાર હતી માત્ર આત્મ સંતોષ હતો કે મેં તેમને કુદરતી મૃત્યુ આપ્યું છે.

વેથી હૈયાને હલકું કરીએ છીએ ત્યારે ચપટીક સુખ મળે છે પરંતુ બીજાને એમાંથી માર્ગ મળે તો એ અઢળક સુખનો માર્ગ મેળવે છે માટે મિત્રો તમારા જીવનમાં બનતા પ્રસંગો અહી જરૂરથી મુકો. 

પ્રજ્ઞા દાદભાવાળા

૪૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 
ર્મો રક્ષતિ રક્ષિતઃ
મનુસ્મૃતિમાં કહ્યું છે, “ધર્મ એવ હતો હન્તિ, ર્મો રક્ષતિ રક્ષિતઃ।“ જેણે ધર્મનો પરિત્યાગ કર્યો છે, તેનો ધર્મ નાશ કરે છે. પણ જે ધર્મનું આચરણ કરે છે અને ધર્મની રક્ષા કરે છે, તેનું રક્ષણ ધર્મ કરે છે. એટલે કે રક્ષાયેલો ધર્મ માનવનું રક્ષણ કરે છે. હવે પ્રશ્ન એ છે કે ધર્મ એટલે શું? સમગ્ર પશુ-પક્ષી, સૃષ્ટિથી માનવને જૂદું પાડનારું તત્વ છે ધર્મ. નાનપણથી આપણે જે ઘરમાં જન્મ લઇએ ત્યારથી શીખીએ છીએ કે આપણે પૂજા પાઠ કરવાં.પણા માનસમાં જે બેસાડવામાં આવ્યું હોય અને જે રીતનો ઉછેર હોય તેનું આપણે સ્મરણ કરતાં કરતાં અનુસરણ કરીએ છીએ, જે સંસ્કારમાં પરિવર્તિત થઈને આપણા લોહીમાં વહે છે. જેને માનવ, તેના જીવનનો આધારસ્તંભ બનાવીને ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આમ પારંપારિક સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓ તેનો ધર્મ બની જાય છે.
બીજો ધર્મ છે, વ્યક્તિ, બાળક, પુરુષ, સ્ત્રી, પુત્ર, પુત્રી, પિતા, માતા, પડોશી કે મિત્ર તરીકેનો ધર્મ. ત્રીજો ધર્મ છે, માનવતાનો ધર્મ. એ જીવન જીવવાની કળા છે. માત્ર ટીલા ટપકા કરવાથી ધાર્મિક નથી થવાતું. જે પોતે પણ સુખી અને ખુશ રહીને બીજાને ખુશી આપીને સુખી રાખી શકે તે વ્યક્તિ ધર્મનું આચરણ કરે છે તેમ કહેવાય. ધર્મો ઈશ્વરે નથી બનાવ્યાં. માણસે પોતાની સગવડ અને માન્યતા માટે બનાવ્યાં છે. હિન્દુ, પારસી, ખ્રિસ્તી, ઈસ્લામ કે કોઈપણ ધર્મ હોય પણ તેના પાયામાં સનાતન ધર્મ હોવો જોઈએ, જે શાશ્વત ધર્મ છે. તેનું અસ્તિત્વ સૃષ્ટિના ઉદ્ભવથી અંત સુધી રહેશે. અનાદિકાળથી ચાલી આવતા સનાતન ધર્મમાં માત્ર પરબ્રહ્મ, દિવ્યપ્રકાશ, આત્માના પ્રકાશની વાત છે. હું કોણ છું? એ જ્યારે વ્યક્તિ સમજશે ત્યારે તે બીજાના અસ્તિત્વનું પણ રક્ષણ કરશે. આમ આત્મધર્મથી ઊંચો કોઈ ધર્મ નથી.
કોઈ ચોક્કસ હેતુ માટે આપણો જન્મ થયો છે ત્યારે તે ઉદ્દેશની પૂર્તિ માટે ચોક્કસ ફરજોનું પાલન કરવું તે મનુષ્યનો ધર્મ બને છે. નાના હતાં ત્યારે એમ કહેવામાં આવતું કે ધર્મ તારી રક્ષા કરશે એટલે ધર્મને તું જાણ. અને મોટા થયા તો એમ કહેવામાં આવે છે કે તારે ધર્મની રક્ષા કરવાની છે એટલે તું ધર્મને જાણ. વ્યક્તિની ખુદ માટેની, કુટુંબ, સમાજ અને દેશ માટેની ફરજો, એ તેનો ધર્મ છે. તે માટેની ક્રિયાઓનું નિયમન કરીને પાલન કરીશું તો જ આપણાં ધર્મની રક્ષા કરી શકીશું. ધર્મનું આચરણ કરવું એ ધર્મની મોટી રક્ષા છે. હિન્દુઓ વેદ, ગીતા તેમ જ અન્ય ગ્રંથોને તેમના આધ્યાત્મિક જીવનની દિવાદાંડી સમજે છે. ઉપનિષદમાં કહ્યું છે કે ધર્મ એ છે જે વિશ્વને ધારણ કરે છે. આજે અંદરોઅંદર અનેક પંથો, સંપ્રદાયો, ધર્મના નામે અંધાધૂંધી ફેલાવશે અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મતભેદો ઊભા કરશે તો માનવધર્મ હણાશે. હણાયેલો ધર્મ માનવનું રક્ષણ કેવી રીતે કરશે? કળિયુગમાં સામાજીક વિષમતા જેવાં અધર્મી કૃત્યોનો નાશ કરીને માનવમાત્રમાં માણસાઇ પ્રગટાવવાનું કાર્ય ધર્મ કરે છે. માણસાઇ હમેશા ત્યાગ-બલિદાન તેમજ પ્રેમની અપેક્ષા રાખે છે. આત્મધર્મનું રક્ષણ કરવું માનવની ફરજ બની જાય છે.
હિન્દુ ધર્મની વાત કરીએ તો પૂજા, પાઠ, ભક્તિ, નિસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન માણસનાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન માટે જરૂરી બની રહે છે. જે યોગ્ય અભ્યાસ દ્વારા શક્ય બને છે. મંત્ર જાપ દ્વારા વ્યક્તિ તેની પ્રકૃતિ પર લગામ મૂકી શકે છે. અંગત સમયનો ભોગ આપી સમાજમાં ઉપયોગી બનવાનું ધર્મ શીખવે છે. તેમાં સેવા અને નિસ્વાર્થ ભાવના વિકસે છે. ભક્તિથી તત્વજ્ઞાનનું ચિંતન, મનન અને ધ્યાન કરીને જીવ અને શિવનું મિલન શક્ય બને છે. આમ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગથી વ્યક્તિ કલ્યાણ માર્ગે જઇને આત્માની સમીપ જઇ શકે છે. અદ્વૈત માર્ગમાં આગળ વધે છે ત્યારે આપોઆપ ધર્મ તેનું રક્ષણ કરે છે.
કેટલી સુંદર વાત છે? આત્માની કેડી કંડારી, દ્‍ગુણોની સીડીને ધર્મ બનાવી, વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી શકે છે, એ જ મોક્ષ છે. ધર્મને શરણે જવું એટલે પરમતત્વને શરણે જવું. અંતે એકોહમ્‍ની સ્થિતિ પ્રાપ્ત કરવી. ના કોઈ ચિંતા, ના ડર. માત્ર શરણાગતિ. આ ધર્મ તમારૂં રક્ષણ કરશે.

સંવેદનાના પડઘા-૪૪ શું પુરુષ સ્ત્રીસમોવડીઓ થઈ શકે?

રેનુ રંગનાથનની આજે સુપ્રિમ કોર્ટની જજ તરીકેની શપથવિધિ હતી.હોલ હકડેઠઠ ભરેલો હતો. રેનુના માતા-પિતા ,બંને ડોક્ટરભાઈઓ, ખૂબ નામી વકીલ સસરા જનાર્દન રંગનાથન અને વકીલ પતિ રાજન રંગનાથન અને શહેરની અનેક મોટી હસ્તીઓની સામે શપથવિધિ ચાલી રહી હતી. આજે રેનુની ખુશી હ્રદયમાં સમાતી નહોતી.તે આજે તેના લક્ષને પાર કરી ગઈ હતી.
સામાન્ય દેખાવ છતાં કોટનની કડક સોનેરી બોર્ડરની સફેદ સાડી ,સૌભાગ્યનાં ચિન્હ જેવો ભાલ પર શોભતો કોરા કંકુંનો ચાંલ્લો અને  સેંથામાં પૂરેલ સિંદૂર – ભારતીય પહેરવેશ  સાથે આંતરિક પ્રતિભાથી રેનુનું મુખ પ્રથમ સુપ્રિમ કોર્ટની સ્ત્રીના સન્માન સાથે ઝળહળતું હતું.
રેનુ હૈદરાબાદ નજીકના એક નાનકડા ગામના મદયમવર્ગીય પરિવારમાંથી હતી.બંને ભાઈઓ ડોકટર
થઈ રહ્યા હતા ત્યારે સૌથી નાની બહેન રેનુની પણ ભણી ગણીને વકીલ બનવાની ઈચ્છા હતી.પિતા પાસે દીકરાને દેવા કરીને ભણાવવા પૈસા હતા પરતું દીકરી પાછળ પૈસા તેમને સોનાના દાગીના અને દહેજ માટે વાપરવા હતા.માતાને પોતાની હંમેશ માટે અવ્વલ રહેતી દીકરીના કૌવતની જાણ હતી પરંતુ પતિ અને પરિવાર સામે કંઈ। બોલી  શકતી નહી.
પિતાએ દીકરીને ભણાવવાને બદલે તેના લગ્ન ૧૯ વર્ષે જ નક્કી કરી દીધા.હજુ તો તે કોલેજના બીજા વર્ષમાં જ હતી.તેના બદનસીબ કહો કે સદનસીબ જે છોકરા સાથે લગ્ન નક્કી કર્યા હતા તે લગ્નના આગલા અઠવાડિએ જ એક્સીડન્ટમાં મૃત્યુ પામ્યો. હવે નાના ગામના અભણ લોકો રેનુ માટે નાસમજ વાતો કરવા લાગ્યા. રેનુને અભાગણી સમજીને ,તે અપશુકનિયાળ છે ,જે તેના મંગેતરને લગ્ન પહેલાં જ ભરખી ગઈ!! તેમ કહી કોઈ તેની સાથે સગાઈ કરવા તૈયાર નહોતું થતું.
મજબૂત મનોબળવાળી રેનુના મનમાં આવી વાહિયાત વાતોની કોઈ અસર થતી નહોતી.તેના પિતા આવી વાતોથી દુખી થતા પરંતુ રેનુની પડખે અડીખમ હૂંફ અને પ્રેમ વરસાવતી રેનુની માતા તેની સાથે જ હતી.રેનુએ લોકોની વાતો અવગણી ખૂબ ધગશપૂર્વક ભણવાનું ચાલુ કરી દીધું.કોલેજનાં છેલ્લા વર્ષમાં તે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી અને આગળ એલ.એલ.બી.કરવા તેને ફૂલ સ્કોલરશીપ મળી.એલ.એલ.બી. માં પણ તે યુનિવર્સિટીમાં ટોપ જ રહી.તે દરમ્યાન તે વકીલ જનાર્દન રંગનાથનના ત્યાં તેમના આસિસ્ટન્ટ તરીકે વકીલાત શીખવા બેંગલોર ગઈ.જનાર્દનભાઈને રેનુ ખૂબ તેજસ્વી લાગી .તેમણે પોતાના પુત્ર માટે આ સુશીલ,સંસ્કારી અને બુધ્ધિશાળી દીકરી તેમની પુત્રવધુ તરીકે તેના પિતા પાસે માંગી લીધી.
હવે રેનુ પરણીને બેંગલોર આવી ગઈ.મધ્યમવર્ગના પરિવારમાં ઉછરેલ રેનુ ઘરના કામકાજ ,રસોઈ
ઘરની સંભાળ અને વડીલોના સેવા-સન્માન બધામાં જ પારંગત હતી.તેથી પરણીને તરતજ સાસરાના ઘરને ઉપાડી લીધું.સાસરાનો પરિવાર ખૂબ સુખી હતો પણ રેનુના વિચાર અને વર્તન સાદગીપૂર્ણ હતા.ઘરનાં કામકાજ પતાવી તે ઘરમાં આવેલી પતિ અને સસરાની ઓફીસમાં જ બેસતી અને દરેક કેસ અંગે ખૂબ વાંચતી અને વિચારતી અને ડેડી જનાર્દનભાઈ સાથે ચર્ચા અને વિચારવિમર્શ કરતી.રાજેનને પોતાની પત્ની પોતાનાથી વધુ હોશિયાર છે અને તે પોતાથી આગળ નીકળી જશે એ વાત ગમતી નહી.તેના લીધે પતિ-પત્નીમાં અનેકવાર ચડભડ થતી.પરતું સમજુ રેનુ પુરુષસહજ અહંકારને સમજી હમેશાં પોતાની વાત છોડી તેના અહંકારને પોષતી.
રેનુના ત્યાં પુત્રનો જન્મ થયો પછી તો રાજેને તેને દીકરાની સંભાળ રાખવાના બહાને ઓફીસ પણ બંધ કરાવી પણ રેનુએ કેસના સ્ટડી અને વાંચન પોતાના રુમમાં પણ ચાલુ રાખ્યા.હવેતો અઘરા કેસમાં જનાર્દનભાઈ જ રેનુને ઓફીસમાં બોલાવી તેની સલાહ લેતા. તેની બુધ્ધિમતા પર ઓવારી જઈ જનાર્દનભાઈ હવે પોતાની સાથે કોર્ટમાં રેનુને લઈ જવા લાગ્યા.રાજેન પિતા સામે કંઈ બોલી શકતો નહી.
રેનુની સાદગી અને સૌમ્યતા છતાં તે જ્યારે ગુંચવાએલ કેસની જોરદાર દલીલો કોઈએ વિચાર્યા પણ ન હોય તેવા મુદ્દે કરતી ત્યારે આખી કોર્ટ અચંબિત રહી જતી.જેમ જેમ સમય સરતો ગયો તેમ તેમ રેનુ રંગનાથનના અતિ ઉમદા વકીલાતની ચર્ચા  ચારેકેર  ફેલાવા લાગી.હવે તો આખા ભારતમાં તેના નામનો ડંકો વાગી ગયો. આટલા ઊંચા પદ પર પહોંચ્યા છતાં તે રાજનની બધીજ લાગણીઓનો વિચાર કરતી અને તેને કોઈ વાતની ઠેસ ન પહોંચે તેનું પૂરતું ધ્યાન રાખતી.
જ્યારે સુપ્રિમકોર્ટમાંથી તેને જજ બનવાનું આમંત્રણ મળ્યું ત્યારે તે પત્ર વાંચીને જનાર્દન રંગનાથનની
આંખમાં પણ આનંદના આંસુ હતા.તેના પિયરના ગામના લોકોને પણ રેનુના સુપ્રિમ કોર્ટની જજ બનવાના સમાચાર મળ્યા ત્યારે જેને આપણે લોકો અભાગણી કહેતા હતા તે આજે આપણા ગામનું ગૌરવ બની ગઈ છે તેથી પોતાની કરેલ વાતો પર શરમિંદગી અનુભવવા લાગ્યા.
આજે રેનુ જ્યારે પહેલી સુપ્રિમ કોર્ટની સૌથી નાની ઉંમરની જજ બની છે ત્યારે એક વિચાર મનને હલબલાવી મૂકે છે……… સ્ત્રી ખરેખર પુરુષ કરતા ચડિયાતી નથી?????
એક હકારાત્મક અભિગમ સાથે જીવતી સ્ત્રી એક સાથે કેટલા ઘોડા પર સવારી કરેછે…….
તે ઘર સંભાળે છે…..રસોઈ કરેછે…….બાળકને જન્મ આપેછે…….પતિ અને તેના કુંટુંબીજનો અને બાળકો સંભાળે છે……પિતા અને પતિના ઘરની આબરૂ સાચવી એને ઉજાગર કરેછે….આજ કાલ તો લગભગ બધીજ સ્ત્રીઓ બહારનું કામ પણ પુરુષ સમોવડી થઈ કરે છે ત્યારે તે વકીલ ,ડોકટર,પત્રકાર ,એન્જિનીયર ,એકટર કે રાજકારણી હોય તોપણ સંપૂર્ણ જવાબદારીપૂર્વક પોતાનું કામ કરે છે………..અને બધા કરતા સૌથી મોટું કામ દરેકના મન અને લાગણી સાચવવાનું કામ ,પોતાની લાગણીની પરવા કર્યા વગર….. શું પુરષ સ્ત્રીના અને પોતાના કામ કરીને સ્ત્રી સમોવડીયો થઈ શકે??

વાત્સલ્યની વેલી ૪૩) ફ્રેન્કીનું ફ્ર્સ્ટ્રેશન ! એટલે કે અધીરાપણું!

ફ્રેન્કીનું ફ્ર્સ્ટ્રેશન ! એટલે કે અધીરાપણું!
અમારે ત્યાં ડે કેરમાં વર્ષમાં બે – ત્રણ વાર ઉત્સવોની ઉજવણીમાં બાળકોનાં મા બાપ અને કુટુંબને પણ આમંત્રણ આપીએ. ક્રિશ્ચમસ દરમ્યાન તહેવારોનું સેલિબ્રેશન કરીએ ત્યારે અને ઉનાળામાં સ્કૂલ વર્ષ પૂરું થાય એટલે તમામ બાળકોને એમની કોઈક સુંદર લાક્ષણિકતા માટે સર્ટિફિકેટ આપીને નવાજીએ કરીએ ત્યારે !
એ બન્ને પ્રસંગોએ બાળકોનાં કુટુંબને પણ એ ઉજવણીમાં આમંત્રીએ! ( અને એ સિવાય , હેલોવીન ઉપર કોશ્ચ્યુમ પહેરીને બાળકોનાં કુટુંબમાંથી કોઈક આવે; જો કે એ તદ્દન જુદા પ્રકારની પાર્ટી હોય) ઉનાળામાં ગ્રેજ્યુએશન અને એવોર્ડ સેરિમનિમાં બાળકોને તેમની અમુક બાબતમાં સિદ્ધિ માટે સર્ટિફિકેટ અને કોઈ રમકડું પણ મળે!
‘સુંદર અવાજે ગીત ગાનાર ; કે સરસ રીતે વાર્તા કહેનાર ; કે નાનકડું વાંદરું બનીને ફાઈવ લિટલ મંકીનું નાટક કરવા બદલ ફલાણા ફલાણાને આ એવોર્ડ આપીએ છીએ ! ‘એમ દરેક બાળકને કાંઈક વખાણી ને પ્રોત્સાહન આપીએ! જેટલો આનંદ બાળકોને થાય તેનાથી બમણો આનંદ એ બાળકોનાં માતા પિતાને થાય તે સ્વાભાવિક છે.
પણ પાંચ વર્ષના ફ્રેન્કીને કઈ બાબતમાં એવોર્ડ આપવો એ અમારાથી નક્કી થઇ શકતું નહોતું ! તોફાની અને બેધ્યાન ફ્રેન્કી કોઈની સાથે મૈત્રી કરી શકતો નહીં. એ કોઈ વાર્તા શાંતિથી સાંભળી શકે નહીં, કે સર્કલ ટાઈમ ગીતો વખતે કોઈ બાળગીત પૂરું સાંભળી શકે નહીં! એનામાં ધીરજનો જ અભાવ હતો! વળી ભણવામાં પણ જરાયે રસ નહીં. કોઈ પઝલ આપી હોય તો, પચ્ચીસ ટુકડાની સાદી પઝલ પણ એ પુરી કરતાં પહેલાં જ અધૂરી મૂકી દે ! અને જાહેર પ્રોગ્રામોમાં તો એનાં જેવાં બાળકોને સાંભળવા અમારે માટે સૌથી મુશ્કેલ કામ હોય! અને આવાં બાળકો મા બાપનું પણ માને નહીં! ફ્રસ્ટ્રેશન જેટલું મા બાપને હોય તેટલું જ અમને ટીચર્સને પણ હોય; પણ અમે તો આવી પરિસ્થિતિઓ માટે પ્રતિબદ્ધ હોઈએ !
બાળકો આવી રીતે અધીરા થઇ જાય તે શું તેમનાં જીન્સમાં હશે ?
આ સ્વભાવ અનુવાંશિક છે કે વાતાવરણમાંથી કેળવાય છે? મને ઘણી વાર પ્રશ્ન થાય! પણ આટલાં વર્ષો બાળકો સાથે કામ કરીને , અને બાળકોનાં માતા પિતાને જે રીતે ઓળખવાની મને તક મળી તે ઉપરથી મને લાગે છે કે બાળકોનાં સ્વભાવમાં ઘડાતું ફ્રસ્ટ્રેશન એના ઉપર વાતાવરણની અસર વધારે હોઈ શકે !
આમ જુઓ તો આજનાં પેરેન્ટ્સ ગઈકાલનાં બાળકો જ હતાં ને? કેવી રીતે તેઓનો ઉછેર થયો ? ક્યાં મૂલ્યો સાથે ,કેવી પરિસ્થિતિમાં તેઓ ઉછર્યાં એ પરિબળો પણ મહત્વના છે.
આજે જયારે કોઈ યુવાન બંદૂક લઈને નિર્દોષની હત્યા કરે છે ત્યારે કે પોતે આત્મહત્યા કરે છે ત્યારે તેનું બેકગ્રાઉન્ડ તપાસતાં ભાંગેલું કુટુંબ ,ડ્રગ્સ અને દારૂ , પ્રેમ હૂંફનો અભાવ ,એકલતા કે કોઈ પરિસ્થિતિ સામેનો એનો ઉહાપો કે બળવો અને તેમાંથી ઉત્પન્ન થતું ફ્રસ્ટ્રેશન બહાર આવે છે!
પણ, મેં જે જોયું આટલાં વર્ષોમાં , તેમાં એક વાત સ્પષ્ટ નજરે પડી !આપણાં દેશ કરતાં અહીં અમેરિકામાં સુખ સગવડો અને અન્ય મદદવધારે મળે છે ; પણ બાળકોને સગવડ આપવામાં સમજણ આપવાનું વિસરાઈ જાય છે( જો કે હવે તો આપણા દેશમાં ઉચ્ચ મધ્યમ વર્ગમાં પણ આવું જ થઇ રહ્યું છે) બધું જ છે, પણ સમજણ કેળવવા જેટલો સમય જ નથી!
ફ્રેન્કીને એની મમ્મી સવારે મુકવા આવે ત્યારે પોતાને માટે કોફી ખરીદે સાથે મેક ડોનાલ્ડની કોઈ સ્વીટ ( એપલ પાઇ )એને માટે પણ લીધી હોય!
ભૂખ લાગે તો ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ, તરસ લાગે તો ડ્રાંઈવ થ્રુ રેસ્ટોરન્ટ, કંટાળો આવે તો રમવા માટે મમ્મીનો સ્માર્ટ ફોન !
કોઈ જ વસ્તુની કમી નહીં!
કોઈ વસ્તુ મેળવવા રાહ જોવાની જ નહીં!
જે વસ્તુ જયારે માંગી તે વસ્તુ તરત જ હાજર થઇ જાય! એ માટે સહેજ પણ મહેનત કરવાની નહીં!
આપણે ત્યાં કોઈએ લખ્યું છે:
લાડયેત પંચ વર્ષાણિ, દશ વર્ષાણિ તાડયેત ;
પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રમ મિત્રમ સમ આચરેત!
( પાંચ વર્ષ સુધી લાડ લડાવો , દશ વર્ષનો થાય ત્યાં સુધી મારી શકાય , પણ સોળ વર્ષના પુત્ર ( પુત્રી ) સાથે મિત્રની જેમ વર્તવું !
પણ અહીં ઘણું નાનું બાળક પણ માતા પિતાના ઝગડાઓમાં દરમ્યાનગીરી કરીને બાળપણ વહેલું પૂરું કરી દે છે! અને કદાચ એને સરભર કરવા મા બાપ બાળકોની બધી ઈચ્છાઓ પુરી કરે છે? લાડ લડાવવાનાં , પણ એમાં પોતાનો સ્વાર્થ ભળે! ફ્રેન્કી જેવાં ઘણાં બાળકોને નજીકથી જોવાની, જાણવાની અને ઉછેરવાની મને તક મળી છે; કે જે બાળકો જ ઘરના નિયમ ઘડતાં હોય! હા , “આજે પીઝા ખાવા છે કે ખીચડી ? “એમાં બાળકનો અભિપ્રાય માનીએ , પણ વેજિટેબલ્સ ખાવાં કે નહીં એ બાળકોને શીખવાડવું પડે ; એમાં બાળકનો અભિપ્રાય ના લેવાય ! પણ માતા પિતાને એવી સારી તેવો પાડવામાં રસ નથી , અને સમય પણ નથી! (અને એમને એમ ખરાબ બનવું પાલવે એમ નથી!)
અને એવી ( કુ )ટેવો લઈને બાળક સ્કૂલે આવે!
આ સમૃદ્ધ દેશમાં બે ટંક ખાવાનું સૌને મળી જ રહે છે. એટલે જીવન ઉતકર્ષના નિયમો ‘ આવું કરવું જોઈએ !’ એવું શીખવાડવાની પ્રથા જ નાબૂદ થઇ ગઈ !
એને બદલે ફ્રીસમાજમાં બધું નિયમ વિનાનું થઇ ગયું ! જેને જે કરવું હોય તે કરે!
અમારું ફ્રસ્ટ્રેશન હતું કે ફ્રેન્કીને કઈ બાબત માટે એવોર્ડ આપવો?
અમારું આ પ્રાઇવેટ ડે કેર સેન્ટર હતું, અને બાળકોને ઉછેરવા – સંભાળવા માટેની જવાબદારી એ શોખનો વિષય છતાં મુખ્યત્વે અર્થોપાર્જન જ કારણ હતું. અને એટલે જ ફ્રેન્કી મુશ્કેલ બાળક હોવા છતાં ડે કેરમાં ચાલું રહ્યો હતો !! એને ગણિત , વિજ્ઞાન , સંગીત ,રમત ગમત કશામાં રસ નહોતો ; એ કોઈ જગ્યાએ સ્થિર બે મિનિટથી વધારે( ઑકે, દશ મિનિટથી વધુ ) શાંત બેસતો નહોતો!
કઈ આવડત ઉપર એની પ્રસંશા કરીએ ? અમે સ્ટાફ વિચારતાં હતાં છેવટે બધાં બાળકોનું લિસ્ટ તૈયાર થઇ ગયું, અમે પ્રોગ્રામના દિવસ પહેલાં પ્રેક્ટિસ પણ શરૂ કરી.. ને વિચાર ઝબક્યો : દોડાદોડી અને અડપલાં કરતા ફ્રેન્કીને હાથમાં માઈક આપીને મેં કહ્યું ; “ તારે બધાં છોકરાઓનું નામ એનાઉન્સ કરવાનું છે!!”
ફ્રેન્કીને અમે એનાઉન્સર બનાવ્યો ! અને બેસ્ટ એનાઉન્સરનો એવોર્ડ પણ આપ્યો ! હા, એ પ્રોગ્રામ નિર્વિઘ્ને સરસ રીતે પત્યો !
અને ત્યાર પછી ઘણાંચેલેન્જિંગ ફ્રેંકીઓને અમે મહત્વની જવાબદારીનું કામ સોંપતા ! એવાં બાળકોનાં જીવનમાં થોડી સાચી દિશા ચિંધવમાં નિમિત્ત બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે.
પણ હમણાં તાજેતરમાં એક નજીકના મિત્રના ટીન એજર સંતાનના ફ્યુનરલમાંથી આવતાં એવાં અનેક ફ્રેંકીઓ યાદ આવ્યાં જે અધીરા બનીને ઉતાવળમાં અજુગતું કરી લેતાં હોય છે.. ગાડીમાં મા બાપ સાથે દલીલબાજી થતાં ગુસ્સામાં એણે અવિચારી પગલું લીધું હતું!
વાત્સલ્ય સાથે વ્હાલથી વઢવું, સમજાવવું , ટપારવું પણ જરૂરી નથી, શું? અને એ બાળકને નાની ઉંમરથી જ સમજાવવું પડે; પાણી વહી ગયાં પછી પાળ બાંધવામાં કદાચ ઘણું મોડું થઇ જાય.. અને આજે આપણે રોજ રોજ આવાં સમાચારો વધારે પ્રમાણમાં સાંભળીએ છીએ!
હજુ નવું સ્કૂલ વર્ષ તો શરૂ થયું નથી, પણ અસહીષ્ણુતાથી ઉદભવતા તોફાનો અને હિંસાના સમાચાર શરૂ થઇ ગયાં..!

૪૫ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકી….
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી
આખાય વાતાવરણને ભરી દે એવો નાદ ગૂંજ્યો અને ચારેકોર ઉલ્લાસનું મોજું સૌને ઘેરી વળ્યું….આ તો વિશ્વભરના લાડીલા કૃષ્ણના જન્મનો સમય..સૌને પોતાના ઘરમાં પારણું બંધાયું હોય એટલો ઉમંગ હતો. નાના-મોટા સૌ સ્નેહથી સજીને આવ્યા હતા..મોરપીચ્છમાં હોય એટલા રંગોથી જાણે આખાય મંદિરનું પરિસર પણ રંગીન બની ગયું. આ કૃષ્ણ એક એવા લાડીલા ભગવાન છે જેમના તમામ સ્વરૂપો પૂજાય છે અને એમાંય આ તો બાલસ્વરૂપ, એને તો અદકેરા લાડ જ હોય ને? ફૂલોના પારણામાં બિરાજેલા લાલજીનું પારણું ઝૂલાવવા તો સૌ અધિરા….કોણ એનો લ્હાવો પહેલા લે એવી જાણે હોડ લાગી પણ આ આખાય સમુહમાં એક એવી વ્યક્તિ જોઇ જે એકદમ અલગ તરી આવતી હતી. સાદા પણ સુરૂચિપૂર્ણ વસ્ત્રોમાં એ મહિલાને આ આખા માહોલથી કોઇ જ લેવાદેવા ન હોય એમ એક બાજુ હાથમાં માળા લઈને બેઠી હતી. એમને ન તો આ ઉલ્લાસના ઉછાળામાં ભળવાની ઉત્સુકતા હતી કે ન તો પારણું ઝૂલાવવાની ઉતાવળ હતી…
એમના ચહેરા પરની સૌમ્યતા, શાંતિએ મારું ધ્યાન એમની તરફ ખેંચ્યુ અને ક્યાંય સુધી એમની પર ટકી રહ્યું. આવા ઉમંગભર્યા માહોલમાં આટલી હદે કોઈ અલિપ્ત રહી શકે ખરું? નજરમાં હતી તો માત્ર કૄષ્ણ તરફની તન્મયતા. લાલજીને લાડ લડાવવાના બદલે હાથમાં ફરતી માળાના એક એક મણકાની સાથે બાળ ગોપાળ સાથે મમત્વ સંધાતુ હોય એવો ભાવ હતો.
કૃષ્ણ તો સદીઓથી પૂજાતા આવ્યા છે. એમના દરેક સ્વરૂપ– વાસુદેવનો વંશ, યશોદાનો લાલો, રાધા અને ગોપીઓ સંગની રાસલીલા, એમની મિત્રતા, એક રાજકારણી તરીકેનો અહોભાવ આજ સુધી ઓસર્યો નથી. કૃષ્ણ વિશે આજ સુધી ઘણું બધુ કહેવાયું છે, કહેવાતું રહેશે. આજ સુધી ઘણું સાંભળ્યું છે અને તેમ છતાં આ ક્ષણે પણ એમના વિશેની વાતો  સાંભળવા, વાંચવા- જાણવા અને સમજવાની આતુરતા અકબંધ રહી છે.
પણ તે ક્ષણે કોણ જાણે પેલા બહેનને જોઈને મનમાં કંઇક જુદો જ વિચાર આવ્યો. આજ સુધી મોટાભાગે કૃષ્ણને- કૃષ્ણ વાસુદેવ, નંદલાલ, જશોદાના જાયા તરીકે જાણ્યા છે પણ જેણે નવ નવ મહિના કોખમાં ગર્ભ ધારણ કર્યો, પ્રસુતિની વેદના ય ભોગવી હશે અને એ પછી ય એક ક્ષણ માતૃત્વને માણવાનો મોકો ન મળ્યો એવા દેવકી, દેવકીના માતૃત્વના ત્યાગનો મહિમા કેમ આજ સુધી અજાણ્યો રહ્યો?
રામની સાથે સીતાએ વનવાસ વેઠ્યાની વાતો ઘણી થઈ પણ મહેલમાં રહીને પણ વિયોગની વેદના સહી એવી ઉર્મિલાની વ્યથાનું શું?
કૃષ્ણનો જન્મ અને જીવન જેને આભારી છે એવી દેવકીની તો વળી સાત સાત સંતાનનો બલિ આપ્યા પછી ય ગોદ તો ખાલી જ ને? કૃષ્ણના જન્મ પહેલાં જ કંસ માટે ભાવિ નિશ્ચિત થઈ ગયું હતું કે દેવકીનું આઠમું સંતાન કંસના મૃત્યુનું નિમિત્ત બનશે. દેવકી અને કંસ તો ભાઈ-બહેન. બહેન માટે તો કેવું ય અદકેરું વ્હાલ ભાઈના મનમાં હોય પણ મોતની ભીતિએ ભાન ભૂલેલા કંસે તો બહેનને સાવ સંતાનવિહોણી કરી દીધી. કારાવાસનો સંસાર અને સંતાનોની હત્યાએ દેવકી પર  કેવી ય વિતી હશે?
કૃષ્ણના બાળપણ સાથે જોડાયેલી જશોદાની મમતા તો સૌએ જાણી. યશોદામૈયાએ અદભૂત લાડ લડાવ્યા. પાલક માતા તરીકે જો ક્યારેય કોઈની સરખામણી કરવાની આવે તો સૌથી પ્રથમ યશોદાનું નામ લેવાય. એમના લાલનપાલનની ય ઘણી ગાથાઓ ગવાઈ ત્યારે ય દેવકીની વ્યથા તો સાવ વિસરાઈ જ ગઈ ને? જે કનૈયાના નટખટ બાળપણની વાતો અઢળક કહેવાઈ અને ભવિષ્યમાં પણ કહેવાતી રહેશે એ બાળપણ દેવકીના નસીબમાં ક્યાં? જન્મ આપીને ય જતન કરવાની તક ન રહી એવી દેવકીની કૃષ્ણને જોવાની ઝંખના કેવી હશે? માતા માટે સૌથી અમૂલ્ય સમય હોય પોતાના સંતાનના બાળપણનો. એને પા પા પગલી માંડતા જોવાનો. એ સમય પણ દેવકીના નસીબમાંથી છીનવાઈ ગયો હોય ત્યારે એની વ્યથા ચરમ સીમાએ પહોંચી નહીં હોય? યશોદાએ જે બાળ ગોપાળના મુખમાં બ્રહ્માંડના દર્શન કીધા એ બાળકનું મુખ જોવા દેવકી કેવા તરસ્યા હશે ? જગતભરની માતા ઇચ્છે કે પોતાનું બાળક કૃષ્ણ જેવું બને એવા કૃષ્ણની માતા- જન્મદાત્રીને તો એના પુત્રને જોવા-મળવા સુધીની ક્ષણો તો યુગ જેટલી લાંબી લાગી હશે ને?
કોણ જાણે પેલી સાવ અજાણી મહિલાનું એક ટકે લાલાની સામે જોયા કરવું અને મને દેવકીનું યાદ આવવું એક સાથે બન્યું અને મારા મનમાં થોડા સમય પહેલાં વાંચેલી એક રચના ઝબકી ગઈ.
શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
છાતીમાં ધગધગતી કેવી એ લ્હાય?
કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,
વદપક્ષની રાતે મુજ હૈયું વ્હેરાય.
લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કા’ને?
ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ!
જગ તો ના જાણે ઝાઝુ,દેવકીને આજ.
વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,
ને તોયે થાઉં રાજી,જોઇ યશોદાનું સુખ.
આઠમની રાતે જીવે ચૂંથારો થાય,
કેમે ખમાય? બહુ પીડા અમળાય..હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય
કાવ્ય રચના- દેવિકા ધ્રુવ
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

હળવેથી હૈયાને હળવું કરો-૧૨-નિરંજન મહેતા

હૈયાને હળવું કરવું એટલે તેનો અર્થ કે હૈયું ભારે છે. કોઈ મૂંઝવણ સતાવે છે જે આર્થિક, સામાજિક કે કૌટુંબિક હોઈ શકે. આ મૂંઝવણ ન કહેવાય કે ન સહેવાય એવી હોય ત્યારે તેનો બોજો અસહ્ય થઇ પડે છે. આ માટે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જેના ખભે માથું ટેકવી આંસુ સારી અવરની વ્યથા કહી હૈયાને હળવું કરી શકાય. આ વ્યક્તિ મિત્ર હોય શકે કે કૌટુંબિક કે જેના પર વિશ્વાસ રાખી વાત કરી શકાય અને મૂંઝવણમાં રાહત મેળવી શકાય.

 હું પણ  આવો જ મૂંઝારો અનુભવી રહી હતી. પણ તે મૂંઝવણ એવી હતી કે ન કહેવાય ન સહેવાય એટલે કોની આગળ દિલ ખોલું તેની મને  સમજ ન હતી અને અંદરને અંદર હિજરાઇ રહી હતી.

 મારા લગ્નને ત્રણેક વર્ષ થવા આવ્યા હતા. આમ તો અમે બન્ને એક જ કોલેજમાં ભણતા હતા પણ એમની સાથે કોઈ ખાસ નિકટતા નહીં અને એ પણ અભ્યાસમાં મગ્ન. કોઈ છોકરી સાથે તેનું નામ ન લેવાતું એટલે કોઈ સાથે પ્રેમલગ્નનો સવાલ જ ન હતો. પણ નિયતિ ક્યારે શું કરશે તે કોણ જાણે છે? એમના કુટુંબની કોઈ વ્યક્તિ મારા પિતાને ઓળખતી હતી અને તેમને ખબર હતી કે મારા માટે મારા વડીલ મુરતિયો શોધી રહ્યા છે એટલે તેમણે મારા પિતાને એમના દીકરા માટે કહેણ મોકલી વાત કરી. બંને બાજુ યોગ્ય ચકાસણી બાદ અને જરૂરી વાતચીત બાદ આ સંબંધ નક્કી થયો અને સમય વીત્યે લગ્ન લેવાઈ ગયા.

 લગ્ન પહેલા જ્યારે અમે પહેલીવાર મળેલા ત્યારે અમે એક જ કોલેજમાં હોવાની જાણ થઇ હતી. ત્યારે મેં એમને  કહ્યું હતું કે જો તે વખતે મિત્રતા થઇ હોત તો અન્ય કોલેજીયનો પ્રેમલગ્ન કરે છે તેમ કરવાની તક મળી હોત જે આપણે ગુમાવી. આ ઉપર અમે બંને હસ્યા પણ હતાં.   

લગ્નના શરૂઆતના દિવસો તો દરેક નવદંપતિ માટે હોય છે તેવા જ રહ્યા. મારા પતિ એક કંપનીમાં સારા હોદ્દે હતા એટલે ઠીક ઠીક કમાઈ લેતા એટલે મને કોઈ નોકરી કરવાની જરૂર ન રહી. હું ગૃહસ્થીની જવાબદારી ખુશીથી અને સુપેરે નિભાવતી હતી. ઘરમાં સાસુ સસરા, જેમની જરૂરિયાતોનો ખાસ ખ્યાલ રાખતી અને આમ તેમને માટે પણ પ્રિય પાત્ર બની ગઈ હતી. આમને આમ બે વર્ષ ક્યાં વીતી ગયા તેની અમને ખબર ન રહી પણ હજી સુધી પોતાના કુટુંબને વધારવાનો સમય નથી એમ તેઓ માનતા. અન્યો પણ તે વાત સમજતા. પણ ત્યારબાદ ક્યારેક સાસુ તરફથી આ વિષે આડકતરો ઈશારો થયા કરતો પણ તે તરફ હું વધુ ધ્યાન ન આપતી.

આમને આમ વધુ છ-સાત મહિના પસાર થઇ ગયા પણ પરિસ્થિતિ જેમની તેમ રહી એટલે સાસુએ એક દિવસ મને સીધું જ પૂછ્યું કે હવે ક્યારે આ ઘરની વસ્તીમાં વધારો કરવાની છે. મારી પાસે કોઈ જવાબ ન હતો એટલે હજી સમય છે કહી વાત તો ટાળી પણ મને પણ લાગ્યું કે હવે સમય આવી ગયો છે માતૃત્વપદ પ્રાપ્ત કરવાનો. જો કે હજી સુધી તેવા કોઈ ચિન્હ જણાતા ન હતાં.

 એક સ્ત્રી એમ જ માને કે તેનામાં કોઈ ખોડ હશે એટલે હજી સુધી માતૃત્વ મેળવવાનું તેના નસીબમાં નથી. મેં પણ તેમ જ માની વિચાર્યું કે આ વ્યથા કોને કહેવી.દરેક દીકરી આવી વ્યથા એક જ વ્યક્તિને કહી શકે અને તે તેની મા. એટલે એક દિવસ મેં માને અચકાતા અચકાતા બધી વાત કરી. મા પણ સમજદાર. તેણે સલાહ આપી કે આ મૂંઝવણ કોઈ સ્ત્રીરોગ નિષ્ણાત જ દૂર કરી શકે એટલે અમે એક નજીકના સ્ત્રીરોગ નિષ્ણાતની મુલાકાત લીધી.

 બધી જરૂરી તપાસ પછી તેમણે જણાવ્યું કે હું મા બનવા માટે સક્ષમ છું.. એનો અર્થ એમ થયો કે જો કોઈ ખામી હોય તો તે કદાચ મારા પતિમાં હોય શકે. પણ કોઈ પણ પુરૂષને તે નપુંસક છે તેમ સીધેસીધું તો ન જ કહેવાય. વળી તેમ છે કે કેમ તે જાણવા માટે યોગ્ય તપાસની જરૂર રહેવાની અને તે માટે તે પુરૂષને તૈયાર કરવો પડે. પણ આ વાત મારા માટે સરળ નહોતી. તેમની પાસે વાત છેડતાં પહેલાં કેટલો વિચાર કરવો પડે? વળી કોઈ મારફતે તેમને વાત કરવી એટલે પુરુષના મગજમાં અવિશ્વાસની લાગણી પેદા થવાની. આ વાત પણ હું સારી રીતે જાણતી હતી. આટલા સમયના સહવાસ બાદ હું એમના સ્વભાવને સમજી શકી હતી. અન્ય સમસ્યાઓ માટે તો હું નિખાલસપણે એમને વાત કરી શકતી પણ કોણ જાણે કેમ માતૃત્વની વાત કરતાં હું અચકાતી હતી અને તેમાં પણ એમની ચકાસણી કરાવવાની વાત કરવી તે તો અતિ મુશ્કેલ. તો હવે કરવું શું? સાસુની પણ આમાં મદદ લેવી યોગ્ય ન હતી અને મારી માએ તો કહ્યું કે આ તમારા પતિ-પત્ની વચ્ચેની વાત છે એટલે હું જમાઈરાજ  સાથે કોઈ ચર્ચા નહીં કરૂં.

આમ બધા તરફથી આવો પ્રતિભાવ મળ્યો એટલે મારી માતૃત્વ માટેની મૂંઝવણ મારા હૃદય પર બોજ બની બેઠી હતી. હવે સાસુ આ વાત કાઢતા ત્યારે આકરું લાગતું પણ મારા માટે વાત ટાળવી હવે શક્ય નહોતી. તેમ કોઈની મજાક પણ સોંસરવી ઉતરી અજાણતા જ મને પીડા આપતી હતી. આમને આમ થોડા વધુ દિવસ પસાર થઇ ગયા બાદ મને લાગ્યું કે હવે હું વધુ વખત આ બોજ સહન નહીં કરી શકું. કોઈ પણ હિસાબે એમની સાથે વાત કરી હૈયાને હળવું કરવું જ રહ્યું અને એક દિવસ હું વાત કરીને રહી.

એક રાત્રે જમીપરવારી જ્યારે હું બેડરૂમમાં ગઈ ત્યારે તેઓ હજી જાગતા હતા અને ઓફિસના કોઈ કાગળો વાંચતા  હતા. મેં ધીરેથી કહ્યું કે મારે એક વાત કરવી છે જે કેટલાય દિવસથી મારા હૈયાનો બોજ બની ગઈ છે. પણ તેમના તરફથી કોઈ પત્રીભાવ ન દેખાણા,કયાંથી મળે?તેઓ કાગળ જોવાનું બાજુ પર રાખે તો તે વાત કરી શકાય ને ! હું એમને જોતી રહી અને થોડીવારે તેમણે કાગળિયાં બાજુ પર મુક્યા અને મેં અચકાતા વાત માંડી. મેં કરાવેલી તપાસની વાત કહી. એમણે કહ્યું સારું..મેં આગળ વાત કરી કે મેં ડોક્ટરને પુછ્યું બધું બરાબર છે તો હું મા હજી સુધી કેમ નથી થઇ શકી? એટલે ડોકટરના જવાબ મુજબ જો આપ પણ તપાસ કરાવો તો ખબર પડે. જો બધું બરાબર હોય તો બાળક ન થવાના શું કારણો છે તેની તપાસ કરી યોગ્ય પગલાં પણ લઇ શકાય અને આ સમસ્યાનો હલ મળી જાય. મારી વાત સાંભળી એ મલકાયા અને કહ્યું કે બસ, આટલી જ વાત છે? અને તું આજ સુધી મારી આગળ દિલ ન ખોલી શકી? શું આપણા સંબંધો એવા છે? અરે, મને પહેલાં કહ્યું હોત તો ક્યારનો તપાસ માટે તૈયાર થઇ ગયો હોત. કદાચ તપાસમાં મારામાં કોઈ ખામી જણાઈ હોત તો શું થઇ ગયું? આજનું મેડિકલ વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે તે દૂર કરવા માટે પણ રસ્તા છે. હું તો ત્યાં સુધી કહીશ કે છેલ્લે કોઈ પણ માર્ગ કારગત નહીં નીવડે તો યોગ્ય બાળક દત્તક લેવા પણ હું તૈયાર છું. આ સાંભળી મારું હૈયું કાબુમાં ન રહ્યું અને તે જ વખતે હું એમને વળગી પડી ને મારા હૈયાને અશ્રુધારા વડે હળવું કર્યું.

આગળ ઉપર તો બધું થાળે પડી ગયું. એમનામાં જ ખામી હતી તે સમય જતાં દૂર થઇ અને હું  યોગ્ય સમયે એક સુંદર પુત્રની મા બની. જો મેં હિંમત હારી પોતાના હૈયાની વાત એમને ન કરી હોત તો? એટલે જ સ્વજન આગળ સંકોચ ન રાખતા હૈયાને હળવું કરવું હિતાવહ છે. અને હા, એમણે પણ વાસ્તવિકતાને સ્વીકારી સહકાર આપ્યો. આમ જિંદગીમાં સ્નેહ,સહકાર સ્વીકાર કેટલા પાસા બદલી શકે છે.

મિત્રો વાસ્તવિકતાનો સ્વીકાર કરવાથી જિંદગીની અનેક સમસ્યા ઉકેલી શકાય છે બસ માત્ર તેને સ્વીકારવાનું જીગર કેળવવાનું છે તમને કે તમારી આસપાસ અનેક વ્યક્તિ હશે જેમના હ્યુદયમાં કદાચ એક વાત ડુમો બની પડી હશે તો ક્યારેક તેમના હ્યુદયની વાત હળવેકથી ખોલાવી એમને હળવા કરજો. એમની એ વાત કદાચ કોઈને માર્ગ સુજાડશે.

 નિરંજન મહેતા 

૪૨ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પચે તો જ બચે

પચે તો જ બચે. પછી એ જ્ઞાન હોય, અન્ન હોય, ધન હોય કે પ્રેમ! આ વાત જ્ઞાનીઓ કહી ગયાં છે, જે દરેક વ્યક્તિના જીવન માટે લાગુ પડે છે.

હમણાં સાઇરામ દવેના ડાયરામાં તેમણે કહ્યું, “આપણા કરતાં વધારે હોશિયાર, કાંકરિયાની પાળે બેઠેલાં જોવા મળશે. આ તો આપણા પર ઈશ્વરની કૃપા છે એટલે આ પદ, પ્રતિષ્ઠા મળે છે.” કેટલી સાચી વાત છે? “ઇદમ્ ન મમ”નો ભાવ રાખનાર વ્યક્તિએ જ્ઞાન, પદ-પ્રતિષ્ઠાને, હુંપણાને પચાવ્યું કહેવાય. એ જ તેના જીવનની મૂડી હોય છે. માન અપમાનને પણ પચાવતાં આવડવું જોઈએ. આ માટે સમાધિ દશામાં સ્થિત રહેતાં શીખવું જોઈએ, તેવું સંતો કહી ગયાં છે. દાદા ભગવાન કહે છે કે જ્યારે દુનિયાની અન્ય વ્યક્તિએ કરેલું માન કે અપમાન તમને અસર ના કરે ત્યારે સમજવું કે આપણે જ્ઞાનને પચાવી જાણ્યું છે. અપમાન પચાવવું અઘરું છે તેમ માનને પચાવવું પણ અઘરું છે. એમાં માન, પદ-પ્રતિષ્ઠા, હોદ્દો, અહંકારને આમંત્રણ આપે છે અને અહમ્‍ને પોષે છે, જે વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિમાં દિવાલ ઊભી કરે છે. તેના આત્માથી તેને દૂર લઈ જાય છે. પરિણામે કંઈ બચતું નથી અને એ પતનનું કારણ બને છે. કોઝ અને ઈફેક્ટ એક સિક્કાની બે બાજુ છે. તેના માટે કોઈ નિમિત્ત બને છે. માટે માન કે અપમાનનું પરિણામ ભોગવી, પચાવીને જીવનમાં આગળ વધવાનું છે. ત્યાં અટકીને બીજા કોઝ ઉભા કરવાનાં નહીં. કડવાશને પણ મીઠાશથી પચાવતાં આવડવું જોઈએ.

પ્રતિષ્ઠાનો પણ નશો હોય છે. કોઇપણ વ્યસનનો નશો ઉતારવો સહેલો હોય છે પણ માન-પ્રતિષ્ઠાનો નશો ઉતારવા તેને પચાવવી જરૂરી બને છે. ઇદમ્ ન મમ કહીને તેને કૃષ્ણાર્પણ કરવું જ રહ્યું. એક સરસ વાત એક મિત્રે વોટ્સઅપ પર મોકલી, “ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો, તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો રાખ બનીને પડ્યાં છે!”

અન્નનાં પચવા માટે એમ કહેવાય છે કે, ના પચે તો ચૂર્ણ કે હવાબાણ હરડે લેવાય છે. અપચો થયો હોય ત્યારે નહીં પચેલો ખોરાક ઝાડા-ઊલટી દ્વારા બહાર ફેંકાય છે. પાચન થયેલો ખોરાક જ બચે છે. જેનાથી શરીરનું બંધારણ થાય છે. મન અને શરીરને સીધો સંબંધ છે, માટે તંદુરસ્ત શરીર માટે મનની તંદુરસ્તી હોવી જરૂરી છે. દ્વેષીલું, અસંતુષ્ટ કે ચિંતિત મન અન્નનું પાચન વ્યવસ્થિત નથી થવા દેતું. જેથી શરીરને યોગ્ય પોષણ મળતું નથી અને શરીર રોગોનું ઘર બને છે. અન્ન પચે તો જ શરીરને પોષણ મળે અને તંદુરસ્ત રહેવાય.

ધનને ગર્ભશ્રીમંત વ્યક્તિ જ પચાવી શકે, આ વાત વ્યક્તિની વાણી, રહેણીકરણીમાં દેખાઈ આવે છે. વ્યક્તિના ધનનો અપચો દેખાયા વગર રહેતો નથી. લક્ષ્મીને ધારણ કરવાં વિષ્ણુ જેવાં ગુણ કેળવવાં પડે. રાતોરાત કરોડપતિ બનનારને રોડપતિ થતાં વાર નથી લાગતી. લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે. જે રીતે આવી હોય તે રીતે ચાલી જાય છે. તેને યોગ્ય રીતે વાપરીને, વહેંચીને, તેનો સદ્‍માર્ગે ઉપયોગ કરવાથી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને તેની કૃપાનું ફળ મળે છે.

પ્રેમની ભૂખ માનવમાત્રને મરણપર્યંત રહેતી હોય છે. વિશ્વનું સૌથી મોટામાં મોટું ટોનિક પ્રેમ છે. જેને સતત પ્રેમ મળતો રહે છે તે ક્યારેય વૃદ્ધ થતો નથી. પ્રેમ મળે તો વ્યક્તિ સૂકો રોટલો ખાઈને પણ સુખપૂર્વક જીવન જીવી શકે છે. પણ બત્રીસ પકવાન વચ્ચે પણ પ્રેમ ના મળે તે વ્યક્તિ મુરઝાઈ જાય છે. પ્રેમ વગર જીવનમાં વેક્યુમ ઊભું થાય છે. પણ અતિશય પ્રેમ પચાવવો અઘરો છે. પ્રેમનો અતિરેક ક્યારેક બંધન પણ બની જાય છે. જે માણસને ગૂંગળાવે છે. જે પ્રેમને પચાવે છે તે જીવન જીવી જાણે છે.

સુખને પચાવવું અઘરું છે. દુઃખને પચાવવા માણસને આધ્યાત્મિકતા તરફ વળવું પડે છે. દુઃખના ઘૂંટડા ગળવા વ્યક્તિએ શિવત્વ ધારણ કરવું પડે છે. જેને કારણે તે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જળકમળવત્ રહીને સંસારસુખ માણી શકે છે. આ તમામ જ્ઞાન માટે ખુદને જાણવું જરૂરી બને છે, કે “હું કોણ છું?” આ તમામ જ્ઞાન ત્યારે જ પચે જ્યારે વિદ્યા સાથે વિનય અને વિવેક હોય. જ્ઞાન ભંડાર છે અને વિવેક તેની ચાવી છે. જ્ઞાન પચે નહીં તો ગર્વનું રૂપ લે છે. પરિણામે પતન નિશ્ચિત બને છે .આત્મજ્ઞાન વગર આ તમામ ચીજોનું પચવું મુશ્કેલ હોય છે કારણ કે “પચે તો જ બચે.”

સંવેદનાના પડઘા- ૪૩ ધર્મ અને સાહિત્ય

ચોપાટીનાં દરિયા કિનારે વહેલી સવારનાં ઊગતાં સૂરજનાં કિરણોની લાલિમાને દરિયામાં પ્રતિબિંબિત થયેલ જોઈને ,કુદરતની કરામતને બેઘડી માણી લેવા હું ઊભી રહી ગઈ. દૂર દૂર ક્ષિતિજને પેલે પાર દરિયો અને આકાશ એક થઈ ગયા હતા. મને પણ આવી જ રીતે મારા અસ્તિત્વને શિવત્વમાં એકરૂપ કરી દેવું હતું.
આદિ શંકરાચાર્યના નિર્વાણ શતકને વાગોળતી ,હું આંખ બંધ કરીને દરિયાના ઉછળતાં મોજાનાં અવાજમાં અદ્વૈતને અનુભવતી દરિયા કિનારાના એક પત્થર પર બેસી ગઈ.
મનોબુધ્ધયહંકાર ચિત્તાનિ નાહં, ન ચ ક્ષોત્રજિહ્વે ન ચ ઘ્રાણનેત્રે ।
ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ: ,ચિદાનંદરુપઃ શિવોહમ્ શિવોહમ્ ।।
મન,બુધ્ધિ,ચિત્ત,અહંકાર હું નથી,હું પાંચ ઈન્દ્રીય નથી, હું આકાશ,ભૂમિ,વાયુ કે તેજ નથી હું તો આ બધાથી ઉપર ઊઠેલ ચિદાનંદ રુપ શિવત્વમાં સમાઈ ગયેલ શિવસ્વરુપ છું.
આ નિર્વિકલ્પ સમાધિ એટલે શું? નિર્વિચાર અવસ્થામાં પહોંચવું કેવીરીતે??
શિવત્વમાં અસ્તિત્વને ઓગાળવા માટે આપણને ઓશોએ સમજાવ્યું કે
“આંખ અને કાન બંધ કરી ભીતર હોશ નો દીપ પ્રગટાવો પછી વિચારને ક્યાંથી અવકાશ?? આંખો થી જોઈને અને કાનોથી સાંભળીને વિચારોનાં ઢગલા આપણી અંદરથઈ જાય છે.ચેતનાની ભાષા જ ભૂલાઈ જાય છે.આંખો થી જોયેલું અને કાનથી સાંભળેલું બહાર જ છોડી દો ,એ કચરાને આપણી ભીતર ઘૂસવા જ ન દો,તો જ ક્યારેય નહી  સાંભળેલો એ અનોખો અવાજ સંભળાશે.તોજ એક નવી જ્યોતિ અંતરમાં જાગૃત થશે.અને એવી ઘડી આવશે ત્યારે આકાશ અંતરમાં ઊતરી આવશે.આપણા જીવ રુપી બૂંદ ,શિવસાગરમાં સમાઈ જશે.”
આપણા વેદ,ઉપનિષદો,ગીતા બધાંજ ધર્મગ્રંથ સાહિત્ય જ છે.જે શિવોહમ્ ની વાત વર્ષો પહેલાં આદિ શંકરાચાર્યજીએ કરી તેને ખૂબ જ સરળ શબ્દોમાં આદ્ય કવિ નરસિંહ મહેતાએ કહી
“જાગીને જોઉંતો જગત દિસે નહિ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે…..
ચિત્ત- ચૈતન્ય- વિલાસ તદ્રુપ છે,બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે.”
ખરા અર્થમાં તમે જાગી જાઓ ત્યારે પરબ્રહ્મ સાથે બ્રહ્મને એટલે જીવ સાથેના શિવની એકાત્મતાને અનુભવી
શકશો.વેદ અને શ્રુતિ-સ્મૃતિ તો પુરાવા આપે છેકે એક જ સોનામાંથી બનેલ કંકણ અને કુંડળમાં ફરક નથી. ઘાટ ઘડ્યા પછી નામ અને રુપ જુદા છે.અને નરસિંહ ગાઈ ઊઠેછે ,
“અંતે તો હેમનું હેમ હોયે”
આપણે સૌ પરમાત્મામાંથી જ છૂટા પડેલા તેના એક અંશ જ છીએ.બધાં નાત-જાત ધર્મના ભેદભાવ,રાગ-દ્વેષ,તારું-મારું,ભૂલીને સમત્વ ભાવથી દરેક પ્રાણીમાત્રને પ્રેમ કરો …..નરસિંહ તો ખરા અર્થમાં જ્ઞાન,વૈરાગ્ય અને ભક્તિનો સમન્વય છે.કોઈ શાસ્ત્ર ન વાંચો અને ખાલી નરસિંહની કવિતાઓ અને ભજન વાંચો અને જીવનમાં ઉતારો તો પણ બેડો પાર….તેમજ બધાં શાસ્ત્રોનો સાર સમાએલો છે.
તો વળી “તમસો મા જ્યોતિ્ર્ગમય “ ની વાત સરળતાથી પ્રાર્થના રુપે આપતા કવિ નાન્હાલાલ કહે છે
“અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા,ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા….
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા; હીણો હું છું તો તુજ દરશના દાન દઈજા”
આમ શબ્દ થકી સાહિત્યનું સર્જન થાય છે .સાહિત્યકારો અને કવિઓ આપણને ઘર્મ ,સાહિત્ય અને કવિતા થકી સમજાવે છે.
અરે સાહિત્ય અને ધર્મ એક જ સિક્કાની બે બાજુ છે. કોઈ પણ આજના સાહિત્યકાર કે કવિની વાત કરો તો -આપણા હરિન્દ્ર દવે કે કાજલ ઓઝા વૈદ્ય ના “કૃષ્ણ મારી નજરે” કે “કૃષ્ણાયન” વાંચી તમે સાહિત્ય દ્વારા ધર્મ
કેટલો સરળતાથી સમજી શકો છો ,ખરુંને? અને ગોપીભાવની ભક્તિને હ્રદયમાં સાંગોપાંગ ઉતારવા
રમેશ પારેખનું એક ભજન જ કાફી છે
“મારા સપનામાં આવ્યા હરિ,મને બોલાવી,ઝુલાવી વહાલી કરી”
જેને સપનામાં પણ હરિ સામે ઊભા રહી વહાલ કરી પોતાના આંસુ લૂંછતાં દેખાય તેને દુન્યવી વાતોથી શું લેવા દેવા?અને એટલેજ તે તેના કંસાર માટે મૂકેલા પાણીના આંધણમાં સંસાર ઓરી દે છે અને પ્રભુને તેના હ્રદયરુપી દ્વારકાના સૂબા બનાવી પરમાત્માને પોતાની અંદર જ નિહાળે છે.
આમ આપણી અંદર જ જે બિરાજેલો છે તેને શોધવા બહાર ક્યાંય ફાંફાં ન મારો એવી સુંદર અને શાસ્ત્રોક્ત રીતે પુરવાર થયેલ ,દરેક ધર્મોએ કરેલ વાત આપણા દરેક યુગના સાહિત્યકારો આપણને સરળતાથી અદ્ભૂત રીતે સમજાવે છે.
Sent from my iPad

૪૪ – કવિતા શબ્દોની સરિતા – રાજુલ કૌશિક

બહુ મઝાની વાત બની. હમણાં બે દિવસ પહેલાં ફેસબુક પર પતિને રાખડી બાંધતી પત્નિએ ફોટો શેર કર્યો હતો. શક્ય છે એ ભાઈની બહેન દૂર દેશાવરમાં રહેતી હશે અને ભાઈને સ્વહસ્તે રાખડી બાંધવા આવવાની તક કે શક્યતા નહી હોય અને વળી આ નાનકડા પરિવારમાં અન્ય કોઈ એવી વ્યક્તિ નહી હોય જે એ દૂર રહેતી બહેન વતી રાખડી ભાઈને બાંધી શકે.
અને ત્યારે જ એવો વિચાર આવ્યો કે રક્ષાબંધન એ માત્ર ભાઈ-બહેનનો જ તહેવાર કેમ?
આમ જોવા જઈએ તો રક્ષાબંધન માટે પુરાણથી માંડીને શાસ્ત્રોમાં, ઇતિહાસમાં પણ અનેક અલગ સંદર્ભો જોવા મળે છે.  એવા જ એક સંદર્ભની વાત જોઈએ તો કહ્યું છે કે સિકંદરની પત્નિએ પોતાના પતિના હિંદુ ક્ષત્રુ પોરસને રાખડી બાંધીને પતિને યુદ્ધમાં ન મારવાનું વચન લીધું હતું. મેવાડની રાણી કર્માવતીએ હૂમાયુને રાખડી મોકલીને રક્ષાનું વચન માંગ્યું હતું. હૂમાયુ ક્યાં હિંદુ હતો અને તેમ છતાં એ કાચા સૂતરને તાંતણે બાંધેલી રાખડીનું માન તો એણે ય જાળવ્યું જ હતું ને? ઇતિહાસને ફંફોળીશું તો આવા એક નહીં અનેક ઉદાહરણો મળશે. ઇતિહાસથી આગળ વધીને પુરાણ તરફ જઈએ તો દેવ અને દાનવના યુદ્ધ દરમ્યાન દેવો સામે દાનવોની સર્વોપરિતા જોઈને ઇંન્દ્રની રક્ષા માટે ઇંદ્રાણીએ મંત્રોની શક્તિથી ઉર્જિત રેશમી દોરાને ઇંદ્રના કાંડે બાંધી દીધો. યોગાનુયોગે એ દિવસ શ્રાવણી પૂનમનો દિવસ હતો.
અર્થાત આ નાજુક તાતણાંમાં એટલી તાકાત, એટલી શક્તિ છે જે એક અભયવચન કે કવચ બનીને ક્યાંક કોઈના રક્ષણનું નિમિત્ત બને છે.
અને તો પછી એનો એક અર્થ એવો ય ખરોને કે રક્ષાબંધન એટલે માત્ર ભાઈ-બહેન જ નહીં સંસારના કોઇપણ સંબંધોની રક્ષા કરવાનું બંધન એટલે રક્ષાબંધન?
ભાઈ-બહેન તો સહોદર છે. માતા-પિતા પછી મોટાભાગે ભાઈ-બહેન જેવો અતુટ પ્રેમ તો ભાગ્યેજ કોઈનામાં જોવા મળશે. કદાચ ભાઇ-ભાઈ વચ્ચે સ્નેહની ઉણપ ક્યારેક ઊભી થશે પણ ભાઇ-બહેનના પ્રેમનો તો એ કોઇપણ જાતના વ્યહવાર વગરનો તહેવાર છે. એમાં રક્ષા કરતાંય પ્રેમના, ભાઈ-બહેનના વ્હાલના બંધનની વાત છે. રક્ષા બાંધતી બહેન તો એ સમયે મોટાભાઈ માટે માન-આદર અને નાનાભાઈ માટે ભરપૂર વ્હાલની જ લાગણી જ ઠલવતી હોય છે. એમાં ક્યાંય કોઈ વચન-બંધન કે અપેક્ષા હોતી જ નથી. આ તો સ્નેહ-સંબંધોના બંધનની ગાંઠ છે જે રાખડીરૂપે બંધાઈ રહી છે.
જો રાખડીનો એક અર્થ એવો હોય કે કોઈ વ્યક્તિને પોતાની સુરક્ષા માટે બાંધી લેવી તો ત્યાં વાત માત્ર ભાઈની જ ક્યાં છે? પિતાને તો ક્યારેય રાખડી બાંધી નથી અને તેમ છતાં ક્યારેય પુત્રી હ્રદયમાં આજીવન એની રક્ષા માટે પિતાની બાહેંધરીની ખાતરી હોય છે ને?  
અને પિતાની જેમ જ એવી એક વ્યક્તિ છે જેની સાથે પળે પળ જ નહીં , સાત જન્મ પણ નહીં જન્મ-જન્માંતર સુધી જીવન વિતાવવાનું વચન આપ્યું છે, જેને જીવનના તમામ સુખ-દુઃખમાં સાથ આપવાનું વચન આપ્યું છે, જીવનભર પરસ્પર એકતા, વિશ્વાસ, મનમેળ અને અત્યંત સ્નેહપૂર્ણ વ્યહવાર રાખવાનું વચન આપ્યું છે એની તરફથી પણ વણકહી બાંહેધરી છેડાબંધન સમયે મળી જ જતી હોય છે ને? એટલે જ તો પુરેપુરી નિશ્ચિંત થઈને એ લગ્નવેદી પર સાત ફેરા લે છે ને?
રક્ષાબંધન હોય કે છેડાબંધન, વાત છે દરેક બંધનની,
વળી એક નવો વિચાર- સંબંધોનું બંધન ? સંબંધોમાં બંધન હોય ખરું? એમાં તો માત્ર એકમેકની પરવા હોય. મઝા તો ત્યારે છે જ્યારે સંસારના પ્રત્યેક સંબંધોમાં અને એ પરવાની, એ પ્રેમની, સ્નેહની સૌને ખબર હોય.
એટલે જ બેફામ સાહેબની રચના.. થોડા અલગ શબ્દોમાં
ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તમને-મને ય ખબર હોવી જોઇએ.
આ બહારનું જગત તો વ્યહવારોના ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.
 અને એટલે આજે તો આ ભીતરની દુનિયાનું સૌને સ્નેહ મુબારક.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com