લાગણીને સમજવા ‘શબ્દોની’ ક્યાં જરૂર છે,
વાંચતા આવડે તો આંખ પણ કાફી છે.
અજ્ઞાત
એક વરસ, બાર મહિના અને ત્રણ ઋતુઓ….
મોસમ બદલાશે માહોલ બદલાશે.. વાતાવરણ બદલાશે. શ્રાવણના તહેવારો ગયા, ભાદરવાના શ્રાદ્ધના દિવસો ય પુરા થયા અને હવે આવશે નવલા નોરતાના દિવસો… પિતૃતર્પણમાંથી પરવારીને મોકળા મને મહાલવાના દિવસો.
પણ મનમાં રહી જશે એ શ્રાદ્ધના દિવસોમાં જોયેલી, થોડી સમજેલી અને ઘણીબધી દિલને સ્પર્શેલી ક્ષણો.
શ્રાદ્ધના નામે આસ્તિક-શ્રદ્ધાળુ, અતિશ્રદ્ધાળુઓને પિતૃતર્પણ કરતાં, શ્રાદ્ધની ક્રિયા-કર્મ કરતાં સાંભળ્યા છે અને એની પાછળ ઘણા બૌદ્ધિકો કે ધાર્મિક માન્યતા-પરંપરામાં ન માનનારાઓને એ અંગે વિશેષ ટીપ્પણી કરતાં ય સાંભળ્યા છે. શ્રાદ્ધમાં કાગવાસ નાખવાના ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક ,પ્રાકૃતિક અને તાર્કિક કારણો પણ જાણ્યા છે. એક સમય હતો જ્યારે લોકોને કોઈપણ કાર્ય કરવા કે ન કરવાનું સમજાવવા માટે વૈજ્ઞાનિક તર્ક નહીં પણ ધાર્મિક લાગણીઓનો આધાર લેવો પડતો હતો અને એ સમયથી શરૂ થયેલી પ્રથા-પરંપરા આજ સુધી કેટલાય ધાર્મિકોએ, આસ્થાળુઓએ જાળવી રાખી છે.
આજના વ્યસ્ત સમયમાં દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૄ ઋણમાંથી આજે પિતૃ ઋણ સુધીની પરંપરા જળવાઈ રહી છે ત્યારે આ શ્રાદ્ધના દિવસો દરમ્યાન કોઈને સાવ નોખી-અનોખી રીતે આ પરંપરાને અનુસરતા ય સાંભળ્યા છે.
વાત અહીં એ પરંપરા કે એની પાછળના કારણોની નથી કરવી, વાત કરવી છે એક એવી અનુભવેલી લાગણીની…..જે થોડા વર્ષ પહેલા અનુભવી હતી અને જેનો હમણાં ફરી એકવાર અનુભવ થયો.
વાત કરું એ દિવસની….મંદિરમાં પૂજારીજી પિતાના શ્રાદ્ધ માટે વિધિ કરાવતા હતા. એક પછી એક વિધિ થઈ રહી હતી. વિધિમાં થતા સંકલ્પ સાથે આચમન, ફૂલ વગેરેનું અર્પણ થતું રહ્યું. અત્યંત શાંત ચિત્તે આ સર્વ ક્રિયા કરનાર કોઈ અત્યંત ધાર્મિક કે પરંપરાગત માન્યતાને અનુસરનાર વ્યક્તિ હતી એવું પણ નહોતું. દેશ-વિદેશની મુલાકાત લેનાર, વિશ્વભરના વિષયો પર ગાઢ વાંચન અને વિચારોની મોકળાશ ધરાવનાર, અમેરિકાની ખ્યાતનામ હોસ્પિટલ સાથે જોડાયેલા ડૉક્ટર આ વિધિ સંપન્ન કરી રહ્યા હતા.
આવી જ રીતે થોડા વર્ષો પહેલાં થઈ રહેલી વિધિ સમયે પણ લગભગ આવો જ માહોલ હતો. પિતાની પહેલી પુણ્યતિથીએ સંપૂર્ણ સમર્પણ સાથે વિધિ કરનાર એવી જ પ્રબુદ્ધ વ્યક્તિ હતી જે આજની અદ્યતન ટેક્નોલૉજીની કંપની સાથે સંકળાયેલી હતી.
શું હતું આ? એમને આ શ્રાદ્ધ, પિતૃ તર્પણ ક્રિયા પર શ્રદ્ધા હશે ખરી?
ના, સાવ એવું ય નહોતું. તો પછી આ વિધિ કરીને પરંપરાને સમર્થન આપવાનું કારણ ?
કારણની કોઈ ચર્ચા એમની સાથે કરી નહોતી પણ જે વાત આ બંને વિધિ દરમ્યાન એક વાત નજરે આવતી હતી, જે મને સમજાઈ એ હતી છોડીને ચાલી ગયેલી વ્યક્તિ કરતાં હાજર છે એ વ્યક્તિને, એની લાગણી, એમની માન્યતાઓને માન આપવાની ભાવના. કદાચ શ્રાદ્ધની વિધિથી દૂર ચાલી ગયેલી વ્યક્તિને કંઇક પહોંચશે એવી પરંપરાગત માન્યતા કરતાં હવે જે સાથે છે અને એ જે ઇચ્છે છે એવી રીતે એને રાજી રાખવાની ભાવના, એને સંતુષ્ટ રાખવાની ખેવના એમાં હતી. કોઈ વાદ નહીં કોઈ વિવાદ નહીં, માત્ર સમર્પણની વાત અહીં જોઇ. શક્ય છે સદીઓથી ચાલી આવતી પરંપરા કે પ્રથા પર ચર્ચા કરવાની આવે તો કોઈપણ વ્યક્તિને સંમત કરી શકે એવું તર્ક સામર્થ્ય પણ એમની પાસે હતું પણ ના, અહીં બૌદ્ધિક નહીં હાર્દિક તત્વ કામ કરી રહ્યું હતું.
આજે એવા કેટલાય સંદેશા કે વાતો વહેતી થઈ છે કે વ્યક્તિના ગયા પછી એની પાછળ કારજ કરવાના બદલે એ હયાત છે ત્યારે એના માટે જે શક્ય છે એ કરો એમાં જ સંબંધોની સાર્થકતા છે.
એ બંને પ્રસંગે મને જીવિત સંબંધોની સાર્થકતા અનુભવાઈ. એ ક્ષણે એવું લાગ્યું કે આ સમર્પયામી કહીને પિતૃઓને અપાતા તર્પણ કરતાં આજે જે હાજર છે એના પ્રતિ લાગણીઓનું અર્પણ થઈ રહ્યું હતું.
દરેક સમયે જે વાંચ્યું છે, જે સાંભળ્યું છે, જાણ્યું છે એના કરતાં સત્યની પ્રતીતિ, લાગણીની અનુભૂતિ કંઇક અલગ પણ હોઈ શકે..બસ વાત છે માત્ર પૂર્વાપર કથિત વાતમાંથી બહાર નિકળીને નજર સમક્ષ જે બની રહ્યું છે એને સામેની વ્યક્તિની નજરે સમજવાની, અનુભવવાની…
જરૂરી નથી કે હંમેશા શબ્દાર્થ કે શાસ્ત્રાર્થ જ સત્ય છે..ક્યારેક પુસ્તકમાં લખાયેલી વાતોની બહાર જીવાતું સત્ય પણ સુંદર હોઈ શકે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com