સંસ્પર્શ-૪૦

કવિ ધ્રુવ ભટ્ટ એટલે પરમ અને પ્રકૃતિને પોતાનાં નોખા જ શબ્દાંકનો,ભાવ સાથે આલેખતા અને વાચકને જીવનનાં રહસ્યો જોતાં,સાવ સહજ રીતે શીખવતા કવિ અને લેખક.તેમના ગીતોમાં મધ મીઠી મધુરતા સાથે તમને અંદરથી ઝંઝોડી મૂકવાની તાકાત પણ છે. ધ્રુવદાદાનાં આલેખનમાં ,સમાજનાં રીત-રિવાજ, અંધશ્રદ્ધા ,ક્રિયાકાંડો પર કટાક્ષ આદ્ય કવિ નરસિંહ ,અખો ,કબીર જેવી જ સભાનતા બક્ષે છે ,તો પરમ સાથે સાંનિધ્ય અનુભવતા તેમના ગીતો અને નવલકથાનાં પાત્રોનાં સંવાદો આપણને આપણાં અસ્તિત્વનું ભાન કરાવે ,તો ક્યારેક અસ્તિત્વનો ઉત્સવ ઊજવાવે . તેમના ગીતો સુંદર લય અને ઢાળમાં ગાઈએ ત્યારે પરમ સાથે લીન થયા હોય તેવો આનંદ આપે. તો ક્યારેક પરમની શોધનાં અનેકાનેક પ્રશ્નાર્થોમાં આપણી જાતને વહેતી મુકાવે . તેમણે સહજતાથી રચેલ છતાં અનેક ગૂઢાર્થ ભરેલા ગીતો ગેય અને લયબદ્ધ છે જે સમજવી અઘરી ફિલસૂફીથી ભરેલાં છે. 

આવા નોખા અનોખા ગીત રચનાર કવિ ધ્રુવ ભટ્ટની સાહિત્ય યાત્રા ખૂબ ઊંચી ઉડાન ભરેલ હોવા છતાં તેમની વિનમ્રતા નીચેના ગીતમાં આપણને દેખાશે. 

આ ગીતમાં પોતાની ભાષા અને કવિતા માટે પોતાને ભાષાનાં ભૂષણ સમજતાં લોકોને પણ પોતને આવડ્યું તેમ લખ્યું કહી , પોતાને ઉતરતાં ચીતરીને એક સુંદર સંદેશ આપ્યો છે.ભારેખમ શબ્દોમાં ન કહેવાઈ હોય પણ સરળ અને સહજતાથી કહેવાએલી વાત પણ અલંકારીક શબ્દો જેવોજ પ્રભાવ પાડી શકે છે ,તે વાત આ ગીતમાં વર્ણવી છે.

અમે કહ્યા જે બોલ આવડ્યા તમે કહ્યું તે વાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

અમે ધૂળિયા રસ્તે ચાલ્યા, 

તમે ચમકતા આરસ મહાલ્યા

તમે ભણાવ્યા તો પણ અમને ,

કોઈ શબ્દ ક્યાં છે સમજાયા

અમે નાનકડી નીક વહ્યા ને તમે થયા સરવાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

તમે કહો જે નભ છલકાયું

અમે કહ્યો વરસાદ

રત્નાકર ને અમે કહીએ

દરિયો અનરાધાર

તમે કહ્યાં જે જળ ઝળહળતા અમે સમજતાં પાણી

તમે પ્રમાણ્યા ભાષા ભૂષણ અમે જીભ પરમાણી

કવિ ભારેખમ શબ્દોમાં પોતાની વાત કહેતા લોકોને કહે છે અમને સરળ બોલીમાં જે આવડ્યું તે લખ્યું. તમે જે લખો તે વાણી કહેવાય અને અમે સરળ બોલીમાં કહીએ તે બોલી કહેવાય પરતું બોલી કે વાણીનો ભેદ ન જોતાં તેમાં કવિ આપણને સમજાવવાં શું માંગે છે તે અગત્યનું છે.ધ્રુવદાદાને હંમેશા તેમની આસપાસનાં અભણ લોકોની બોલીમાં જ જીવનનાં સત્યો અને ગૂઢ રહસ્યોનાં ઉકેલ દેખાયા છે. કબીર અને ગંગાસતીનાં એક એક શબદમાં જે સનાતન સત્યો સાંપડ્યાં છે તેમાં શબ્દોની કરામતોની ક્યાંય જરુર પડી નથી. 

આગળ કવિ કહે છે અમે તો જે રચ્યું તે ઘૂળિયા માર્ગે ચાલતા ચાલતા જે જોયું, સાંપડ્યું તે સહજતા સાથે સંકેલ્યું. અમને આરસ પર મહાલવા મળ્યું જ નથી.ભણતરમાં સ્કુલે જવામાં ધ્રુવદાદાને ક્યારેય રસ નહોતો અને એટલે જ એમને કેટલીયે વાર ટાંગાંટોળી કરી નિશાળે મોકલવા પડતાં. કોલેજની પરિક્ષા સમયે પણ તેઓ પરિક્ષા આપતા હતાં ત્યારે સાહેબે તેમને કટાક્ષમાં કહ્યું કે ‘આખું વર્ષ ભણ્યા હોવ તો કંઈ આવડશે ને લખતાં તમને!”અને તે પ્રશ્નપત્રનો પેપરનો ડૂચો કચરાપેટીમાં નાંખી ઊભા થઈ ગયા. તેમના મતે આજકાલની બાળકો પર ખોટો ભાર લાદતી અને પોપટિયું જ્ઞાન આપતી આજની શિક્ષણ પધ્ધતિ તદ્દન ખોટી છે. તેઓ બાળકને હસતાં-હસતાં,રમતાં- રમતાં જ્ઞાન પીરસવામાં માને છે.એટલે અહીં લખે છે કે ‘ તમે અમને ભણાવ્યાં પણ અમને આ પોપટિયા જ્ઞાન થકી એક પણ શબ્દ ક્યાં સમજાયો છે? અહીં શબ્દ ક્યાં સમજાયો છે એટલે જીવનની ગૂઢતાનાં રહસ્યો, જીવનનું સત્ય ગમે તેટલું ભણતર હોય પણ ન સમજાય તો તે ભણતર વ્યર્થ છે. અને આજના યુગમાં બાળકોને એવું જ ભણતર અપાઈ રહ્યું છે તે કરુણતાને આ ગીતમાં રજૂ કરી છે. ઓશોની વાત મને અહીં યાદ આવે છે કે,”ખાલી હાથે જવા માટે માણસ આખું જીવન બે હાથે પૈસા ,મિલકત ભેગી કરતો રહે છે.” જીવનનો ખરો અર્થ સમજાવ્યા વગર બાળકોને આંધળી દોટ તરફ સૌ ધકેલી રહ્યા છે.તેનું દર્દ પણ આ ગીતની પંક્તિ” તમે ભણાવ્યા તો પણ અમને એક પણ શબ્દ ક્યાં સમજાયાં છે”માં દેખાય છે.

કવિ ધ્રુવ ભટ્ટ કહે છે અમે તો સાવ નાનકડી નીકમાં વહ્યા, તમે તો મોટી સરવાણીમાં વહ્યાં.અમે તો સરળ શબ્દોમાં જેને વરસાદ કહ્યો તેને તમે નભ છલકાયું તેમ કહ્યું.જેને અમે દરિયો કહ્યો તેને તમે રત્નાકર કહી નવાજ્યો.અને અમે જેને પાણી સમજતાં હતાં તેને તમે ઝળહળતાં જળ કીધાં. પરતું કવિનું કહેવું છે કે સરળ શબ્દોમાં પણ તેમણે જીવનનાં કુતૂહલ, આદર, વિસ્મય અને અહોભાવનાં સત્યો સહજતા અને સરળતાથી રજૂ કર્યા છે,અનુભવ્યા છે અને લોકોનાં હ્રદય સુધી પહોંચાડ્યાં છે. ભારે ભરખમ શબ્દોથી નહીં પણ અંતરની સહજ સરવાણી થકી ફૂટેલી ભાષા પણ એટલી જ અસરકારક છે તેમ કવિ સમજાવે છે.એમની નવલકથાનાં સાવ અંતરિયાળ પ્રદેશમાં રહેતા આદિવાસીઓ કે ગીરનાં જંગલવાસી કે દરિયા કિનારે વસતાં ખારવા —આ સૌનાં સાવ સરળ સંવાદોમાં દાદાને વેદ ઉપનિષદનાં સંદેશ સંભળાય છે. અને આજના બાળકોને માત્ર ભણતર નહીં પણ જીવવાની સાચી રીત શીખવવાની જરુર છે ,નહીંતો ગમે તેટલા ઊચ્ચ ભણતર સાથે પણ તેમનું જીવન વ્યર્થ છે. આમ કંઈક જુદો જ સંદેશ આપતું તેમનું ગીત સરળ ભાષામાં અમૂલ્ય વાતનો સંદેશ આપે છે.

જિગીષા દિલીપ

૧૬મી નવેમ્બર ૨૦૨૨

સંસ્પર્શ -૩૯

jigisha -સંસ્પર્શ -youtube

સ્પર્શ -૩૯

Posted on  by Jigisha Patel

સંસ્પર્શ -૩૯

મિત્રો,

આજે વાત કરવી છે એવી કે જે તમારા,મારા, દરેક કવિ,લેખક કે સામાન્ય માણસનાં માનસપટ પર પણ અનેક વાર આવી ગઈ હોય,તેવાં જ વિચારને રજૂ કરતાં ધ્રુવગીત ની. પહેલી બે પંક્તિમાં જ કવિ ધ્રુવ ભટ્ટ કહે છે,

 શું   હશે   પૂર્વમાં  ઊગતું  ને  પછી  પશ્ચિમે   આથમે   રોજ તે  શું  હશે

આ લીલા ચહુદિશે પાંગરી છે ઝીલી ગહન આકાશનો બોજ તે શું હશે

પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી પાંગરી રહેલી કુદરતને જોઈને સૌની જેમ ,કવિને પણ વિચાર આવે છે કે આ રોજ તેના નિત્યક્રમ મુજબ પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતા રવિનું રહસ્ય શું હશે? આ લીલીછમ ઓઢણી ઓઢીને બેઠેલ ધરા અને આ અસીમ આકાશનો ગુંબજ – આ અજાયબીઓ શું હશે?કુદરતની બધી કરામતો,અનોખી અજાયબીઓ એ શું હશે? આ વિચાર દરેક માનવને આવે છે. 

બીજી પંક્તિમાં ,કવિ સર્વત્ર પથરાએલ કુદરતી મહેરની ,અજાયબીની વાત કરી ,પોતાની અંદર ઊઠતી મોજની બીજી અજાયબીની વાત કરે છે,

ક્યાંક બારી અચાનક ખૂલી જાય ને સહજમાં લહેરખી જેમ આવી ચડી

ઊછળતા ઉદધિ સમ ઊઠતી છલકતી રણકતી મન મહીં મોજ તે શું હશે

ધ્રુવદાદા આ બે પંક્તિમાં તેમને પોતાને થયેલા સ્વાનુભવની વાત કરે છે.મનની અનોખી મોજ માણનાર કવિ કોઈક અદ્ભૂત ક્ષણોમાં તેમણે અનુભવેલ પરમાનંદની વાત કરી રહ્યાં છે, તે અનુભવને વર્ણવતા દરિયાનાં મોજાની જેમ તેમની ભીતર ઊઠેલ છલકતી,રણકતી મોજની વાત કરે છે અને પંક્તિમાં વર્ણવે છે કે એ અનાહતનો નાદની ઊછળતી છોળો શું હશે?પરમ ચૈતન્યનો એ આભાસ શું હશે? તેમ કવિ આશ્ચર્ય સાથેનાં આનંદને પ્રશ્નાર્થે રજૂ કરી રહ્યાં છે.આગળની પંક્તિમાં કવિ કહે છે,

કોઈ સંદર્ભ ક્યાં હોય છે ને છતાં અકળ દોરે રહી ગૂંથતું સર્વે

એકએકે કહી જાય છે કે તમે આ રહ્યા છો અને છો જ તે શું હશે 

ગંધ   પૃથ્વી   કને  રૂપ  હુતાશને  રસ  જળે   સંચરે  સ્પર્શ  મારુતને 

નાદ આકાશને જઈ મળે છે છતાં ક્યાંક રહી જાય છે કો’ક તે શું હશે

આપણને એ અણજાણ સર્જનહારનો કોઈ સંદર્ભ મળતો નથી. કોઈ અકળ અલૌકિક શક્તિ આપણને સૌને દોરી રહી છે. તે આપણને એકબીજા સાથે અનોખા બંધનમાં બાંધી રાખે છે , આપણને આપણી હસ્તીનું, અસ્તિત્વનું જ્ઞાન અને ભાન કરાવે છે ,પરતું એ અજ્ઞાતશક્તિને આપણે કોઈ જોઈ શકતા નથી. હા, પૃથ્વી ગંધને,રૂપ અગ્નિને,રસ જળને, સ્પર્શ પવનને અને નાદ આકાશને મળે છે અને આપણે પૃથ્વી ,અગ્નિ,જળ,આકાશ, વાયુ -આ પંચ તત્વોને જોઈ શકીએ છીએ પરતું આ સૌનો સર્જનહાર ક્યાં છે? અને કેવો હશે તેની વાત કવિ કરે છે. 

દર્શનોમાં ઘણું સંભવે પણ પછી આ નથી આ નથી ના નહીં એમ વદતા રહી 

હર દરશ પર દરશ સામટાં તે જૂએ ને કરે સામટું ફોક તે શું હશે

પળ વિશે નજરથી આ સરી જાય છે એક પળ દ્રષ્ટિમાં ભાસતું જે હતું 

સતત આ કોણનો પ્રશ્ન તે શું હશે આ સતત શું તણી ખોજ તે શું હશે

દર્શન કરતાં ઘણી સંભાવનાઓ લાગે ,પણ વેદાંત ‘ નેતિ નેતિ ‘ કરી પોકારે કે હું આ પણ નહીં, હું આ પણ નહીં કહે,તો એ સર્વત્ર છવાએલો છે પરતું દેખાતો નથી. અને આ સૃષ્ટિનો રચનાર અને સંહારક કયાં હશે? અને કેવો દેખાતો હશે? એમ કવિને વિચાર આવે છે.

છેલ્લે કવિ ખૂબ સરસ વાત કરે છે કે તેઓ પોતાની ભીતર તેને શોધવા પ્રયત્ન કરે છે ત્યારે એક પળ માટે ક્ષણિક સુખ આપીને જે દ્રષ્ટિમાંથી સરી ગયું તે શું હતું? તેમનું મન સતત આ કોણ તણી ખોજ કરી રહ્યું છે ?આમ પરમના એકએક સર્જનથી અભિભૂત થયેલ કવિ એ કોણ હશે? અને ક્યાં સંતાયો છે એ? તે આશ્ચર્ય ને આ કવિતામાં સહજતાથી રજૂ કરે છે.જે આપણને નરસિંહનાં ભજન –

“જાગીને જોઉં તો જગત દિસે નહીં ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે;”

“જીવ ને શિવ તે આપ -ઈચ્છાએ થયો,ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;”

ની યાદ અચૂક અપાવે છે.

આજે દેવદિવાળી એટલે ગુરુ નાનકની જન્મજયંતિ છે ત્યારે નાનક સાહેબે રચેલ શીખ ધર્મની મહાઆરતીની યાદ અપાવે છે.જે પરમની અનોખી રચનાની તેમાં વાત કરી છે.કુદરતી તત્વો દ્વારા કરાએલી નાનકસાહેબની શીખ સંપ્રદાયમાં ગવાતી મહાઆરતી ધ્રુવદાદાની આ કવિતા વાંચતાં જ યાદ આવે છે. 

આપણી ફિલ્મોનાં જાણીતાં અભિનેતા સ્વર્ગીય બલરાજ સહાની ૧૯૩૦ના દસકામાં શાંતિનિકેતનમાં ભણાવતાં હતા. એક દિવસ એમણે કવિવર રવિન્દ્રનાથ ટાગોરનેકહ્યું,” ગુરુદેવ આપે ભારતનું રાષ્ટ્રગીત તો લખ્યું ,તો આપ આંતરરાષ્ટ્રીય ગીત કેમ નથી લખતાં ? ત્યારે ટાગોરે હસીને કહ્યું,” આંતરરાષ્ટ્રીય ગીત તો ૧૬મી શતાબ્દીમાં શ્રી ગુરુ નાનકે લખી નાંખ્યું છે. ગુરુદેવનો સંકેત શીખ આરતી પર હતો ,જેનો બીજો અર્થ ‘પ્રકાશ પર્વ ‘પણ થાય છે. ગુરુદેવ આ આરતીથી એટલા પ્રભાવિત હતા કે તેમણે તેનો બંગાળીમાં અનુવાદ પણ કર્યો છે.

આજે પણ રહરાસ સાહિબનાં પાઠ પછી બધાં ગુરુદ્વારાઓમાં ગુરુદ્વારાનો રાગી રાગ ધનશ્રીમાં તેમના મધુર અવાજમાં આ આરતી ગાય છે. આ આરતી એવી અદ્ભૂત છે કે તે સંગીતનાં માધ્યમથી સીધા આપણને નિરાકાર સાથે જોડી દે છે. ગુરુનાનક કહે છે જો ભગવાન સર્વ શક્તિમાન છે અને સર્વવ્યાપ્ત છે ,તો હું થોડાક દીવાઓ અને થોડીક ધૂપસળીઓ જલાવીને એમની આરતી કેવીરીતે કરી શકું? અને આ મહાઆરતીનું સર્જન થયું. ગુરુનાનકની આરતીનો ભાવાર્થ આ પ્રમાણે છે,”આખું આકાશ એક મહાથાળ છે.સૂર્ય અને ચંદ્ર દીવા છે.તારા અને સૌરમંડલનાં ગ્રહો હીરામોતી છે.પૌરાણિક મેરુ પર્વત તેના ચંદનવૃક્ષ સાથેની ધૂપસળી છે.ચારે તરફ વહેતી ચંદનથી સુગંધીત હવા ભગવાનનો પંખો છે.નાનક સાહેબ આગળ ગાય છે,હે જીવોનાં જન્મ મરણ અને નાશ કરવાવાળા ,કુદરત કેવી સુંદર રીતે તારી આરતી ઉતારી રહી છે! બધાં જીવોમાં ચાલી રહેલી જીવન તરંગો જાણે તારા આરતી સમયે ઢોલ નગારાં વગાડી રહ્યાં છે. પ્રભુ ,આપ જ ભયનાશક છો.આપના પવિત્ર નામની અવ્યક્ત ધ્વનિ ચારેબાજુ હંમેશા ગુંજતી રહે છે. બધાં જીવોમાં વ્યાપક હોવાને કારણે તારી હજારો આંખો છે, પણ નિરાકાર હોવાને કારણે ,હે પરમ ,તારી કોઈ આંખ નથી. તારા હજારો ચહેરા છે પણ તારો કોઈ ચહેરો નથી.તારા હજારો સુંદર પગ છે પણ નિરાકાર હોવાને લીધે તારો એક પણ પગ નથી. તારા હજારો નાક છે પણ તું નાક વગરનો જ છું. તારા આવા ચમત્કારે મને હેરાન કરી નાંખ્યો છે! બધાં જીવોમાં એક જ એ પરમાત્માની જ્યોતિ પ્રગટી રહી છે. એ જ્યોતિનાં પ્રકાશથી જ બધાં જીવોમાં પ્રકાશ (સૂઝબૂઝ) છે.જે જીવ પ્રભુની રજામાં રહે છે એ પ્રભુની આરતી જ કરી રહ્યો છે.સદ્ગુરૂની કૃપાથી જ પરમજ્યોતિ ભીતરમાં પ્રગટ થઈ શકે છે.અને દરેકની અંદર પ્રગટેલી જ્યોતિ ભાવથી પરમની આરતી ઉતારે છે.

પંજાબી ભાષામાં આ આરતી,આવી રીતે ગુરુનાનકે ગાઈ છે.

ગગનમેં થાલ,રવિ ચંદ દિપક બને,તારકા મંડલ જનક મોતી।

ધૂપુ મલ આનલેા,પવણ ચવરો કરેં,સગલ વનરાઈ ફૂલન્ત જ્યોતિ,

કૈસી આરતી હોઈ ,ભવ ખંડના તેરી આરતી ॥

અનહત સબદ બાજંત ભેરી,સહસ તવ નૈન નન નૈન હહિ તોહિ

કઉ સહસ મૂરતિ નના એક તોહી। સહસ પદ બિમલ નન એક પદ ગંધ

બિનુ સહસ તવ ગંધ ઈવ ચલત મોહી॥સબ મહિ જોતિ જોતિ હૈ સોઈ।

તિસ દૈ ચાનણિ ,સભ મહિ ચાનણુ હોઈ॥ગુરુ સાખી જોતિ પરગટ હોઈ॥

જો તિસુ ભાવૈ સુ આરતી હોઈ॥

જિગીષા દિલીપ 

૮મી નવેમ્બર ૨૦૨૨

.

ગંધ

સંસ્પર્શ-૩૮

jigisha -સંસ્પર્શ -youtube

છો પછી પળથી વધુ રોકાઉં નહીં તારા ઘેર

હું મને લીધા વગર આવું નહીં તારા ઘેર

હો તમારી હાજરી ની પણ અપેક્ષા ના મને 

કોઈ દાવો કોઈ હક લાવું નહીં તારા ઘેર

બારણું પરસાળ બારી ઓટલો નળિયા છજાં

રાહ જોતાં હોય ને આવું અહીં તારા ધરે

ક્યાંકથી પળમાં હવાની જેમ પણ આવી ચડું

જોઈ છે ખુલ્લી અમે બારી બધી તારા ધરે 

પ્રાર્થના સહુની અલગ સહુની જુદી રીતો હશે

ને અસર એક જ અમે દીઠા થતી તારા ઘરે

સ્લેટ પરના ચિત્ર જેવી હો પછી મારી સ્થિતિ

તું મને ભૂંસે કે તું ચીતરે નદી તારા ઘરે

આ કવિતામાં કવિ ધ્રુવભટ્ટે પરમ સાથે એક થવા કરાતી પ્રાર્થના કે ધ્યાનની પોતાની મનોસ્થિતિનું સહજ વર્ણન કર્યું હોય તેમ લાગે છે. પ્રાર્થના એટલે પરમ સાથે મળવા,પામવા કે પરમશક્તિની અનુભૂતિ કરવા કરાતું ધ્યાન.કવિ એવું કહેતા હોય તેવું તેમની કવિતાની પ્રથમ પંક્તિમાં જ લાગે છે.સંતો,મહાત્માઓ કે ગુણીજનો ,જે પણ ધ્યાન કરે છે ત્યારે માત્ર એકાદ ક્ષણ કે પળ માટે જ એ અનમોલ શક્તિ કે દિવ્યજ્યોતિનો કે પરમાનંદનો અનુભવ કરે છે એવું સાંભળ્યું છે. હા, પછી એ અનુભવ મેળવી તેને વાગોળતાં જરૂર લાંબો સમય એ અનુભૂતિનો નશો રહેતો હશે. પરતું આ તો જેણે આ રસ ચાખ્યો હોય તે જ જાણે ને?

એટલે જ કવિ પરમ સાથે વાત કરતાં હોય ત્યારે પરમ જાણે તેમને કહી રહ્યો છે કે ભલે હું એક પળથી જરાય વધુ તારા ઘેર રહું ,એટલે કે તને અનુભૂતિ થાય,મારા હોવાનો અનુભવ થાય ત્યારે હું જેટલો સમય તારી પાસે હોઈશ ત્યારે હું સંપૂર્ણ રીતે તારી પાસે હોઈશ. 

કવિની કલ્પના બહુ સરસ છે. પરમ જાણે કહી રહ્યો છે કે હું તારી હાજરીની અપેક્ષા પણ રાખતો નથી. પરમ તો કહે છે 

તું નહીં હોય તો ચાલશે પણ તારા ઘરનાં બારી,બારણાં, ઓટલો,છજા,પરસાળ બધાં મારી રાહ જોતાં હોય તેવું રાખજે. આમ કહી કવિ કહેવા માંગે છે કે તારો દુન્યવી વહેવાર ,તારા ઘરનું વાતાવરણ એટલું સ્વચ્છ,પ્રેમમય,કશાય વિહીન હોવું જોઈએ. 

સ્વચ્છ એટલે કામ,ક્રોધ,લોભ,મોહ,માયા વગરનું હોવું જોઈએ.જ્યાં દરેકે દરેક વ્યક્તિનો સ્વિકાર અને આવકાર હોય તેવી ફકીરાઈ અને દિવાનગી હોય, અહંકારનો નામોનિશાન ન હોય, તારા શરીર રૂપી ઘરનાં બધાં બારી,બારણાં, છજાં,ઓટલા પરસાળ એટલે મન,વચન,કર્મ,પંચેન્દ્રિયો,કર્મે્ન્દ્રિયો ,બુધ્ધિ- સર્વેન્દ્રિયોથી તું મારી રાહ જોતો હોઈશ, ત્યારે પવનની જેમ સડસડાટ તારી ખુલ્લી બારીમાંથી હું તારામાં આવી ચડીશ. 

પ્રાર્થનાની રીતો દરેક ધર્મમાં અલગ અલગ હોય છે. બધાં ભલે તેને જુદાંજુદાં નામથી બોલાવે,બધાંનાં રસ્તા જુદાજુદા છે પરતું બધાંને છેલ્લે એકજ જગ્યાએ પહોંચવું છે. પરતું સંતાન બધાં એકજ પરમેશ્વરનાં ,પરમપિતાનાં જ છે. લોકો ધર્મનાં ,જ્ઞાતિનાં ભેદભાવ રાખી કશું સમજ્યાં વગર એકબીજા સાથે લડે છે. તે સંદર્ભમાં કવિ કહે છે પ્રાર્થનાની રીત ભલે સૌની અલગ હોય પણ તે પહોંચેં છે એક જ મહાશક્તિને.કવિને એટલે તેની એક જ અસર થતી દેખાય છે. 

કવિ પરમને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ! તું મને કોરી સ્લેટ જેવો બનાવી દે! સાવ ખાલી. તે કોરી સ્લેટ જે સાવ વિકારરહિત હોય. તેમાં પછી તારે જે ચિતરવું હોય તે ચીતર. આમ કહી પરમ સાથે એકરૂપ થઈ જવાની વાત કવિ કરે છે. પરમસત્ય સાથે એકાકાર થઈ જવાની વાત કરે છે.

અને રાજેશ “મસ્કીન”ના શબ્દો યાદ આવે ,

જોજનો જેવું કશુંય ક્યાં રહ્યું અંતર હવે

આપણી વચ્ચેનું છેટું ,જન્મજન્માંતર હવે

આ વળી, કેવા હિસાબો તેં કર્યા સરભર હવે

બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે

જિગીષા દિલીપ 

૨જી નવેમ્બર ૨૦૨૨

સંસ્પર્શ-૩૭

jigisha -સંસ્પર્શ -youtubeટાઢ કે તડકો અને વરસાદનું પડવું કવિતા

આવવું જાવું બીછડવું ને ફરી મળવું કવિતા

એ મહામંત્રી શૂન્યમાંથી આવનાર આપણું

પૂર્ણતા કાજે જીવનભર આથડ્યા કરવું કવિતા

માત્ર શબ્દો ચીતરી કોઈ રચી શકતું નથી 

કોઈવારે શબ્દનું નિ:શબ્દ થઈ રહેવું કવિતા

આ જગ્યા તો એકલા ચાલ્યા જવાનો માર્ગ છે

આવીને આખર વિસામે કોઈનું મળવું કવિતા

પાંખમાં પ્રોવાઈ જઈ આકાશની સીમા વળોટી

પિચ્છનું હળવાશથી નીછે તરફ ખરવું કવિતા

હાથ લાગ્યા જીર્ણ કાગળિયે ઝીણું ટાંકણ કરી

હો રહો યા વત સવિતા એટલું કહેવું કવિતા

નવા વર્ષની નવલ પ્રભાતે જીવનસંગીતની જીવન કવિતા સમજાવતાં કવિ ધ્રુવ ભટ્ટ્ની ખૂબ સરસ કવિતા લઈને આવી છું.આવો ,નવા વર્ષે આપણે જીવન કવિતાની રચના કેવીરીતે કરવી તે સમજી જીવન તરફનો આપણો અભિગમ તે તરફ કેળવીએ.

ઉપરોક્ત કવિતામાં કવિ ધ્રુવ ભટ્ટે કવિતા કોને કહેવાય તે વાત સમજાવતાં જીવનની કવિતા સમજાવે છે.ટાઢ, તડકો અને વરસાદનું પડવું કવિતા છે એમ કહી શિયાળો,ઉનાળો અને ચોમાસું વર્ષની ત્રણ ઋતુ હોય છે,એને જીવનની ઋતુ સાથે જોડતાં કવિ કહે છે, જેમ ત્રણ ઋતુથી વર્ષ પૂરું થાય છે ,તેમ જગતમાં આવવું ,જવું અને છૂટાં પડવું અને ફરી મળવું એ ત્રણ ક્રિયાથી જ જીવન કવિતા રચાય છે.બીજી વાત જીવનચક્રની પણ કહેવાય. ગીતાનાં સિધ્ધાંત પ્રમાણે સમજીએ તો આત્મા અમર છે અને ચોર્યાશી લાખ યોનીઓમાં જીવ જન્મે છે ,જીવે છે બધાંને મળે છે અને છૂટો પડે છે. આ જીવનચક્ર ચાલ્યા જ કરે છે.આ જ જીવનકવિતા છે.

બીજી પંક્તિમાં કવિ કહે છે શૂન્યમાંથી આવનારા આપણે ,જીવનભર પૂર્ણતા મેળવવા કાજે આથડ્યા કરીએ છીએ.એ કવિતાને ઈશોપનિષદે શાંતિ પાઠમાં આમ ગાઈ,

ૐ પૂર્ણમદ: પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે ।

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિય્યતે ॥

ઈશ્વર પૂર્ણ છે,સૃષ્ટિ પૂર્ણ છે,એ પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે. 

પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવા છતાં પૂર્ણ જ બચી રહે છે.

આમ પૂર્ણ ઈશ્વરની શોધમાં ,પૂર્ણમાંથી છૂટા પડેલ આપણે જીવનભર ભટક્યાં કરીએ છીએ. કવિ આગળ કહે છે, કે જીવનકવિતા રચવા માત્ર શબ્દો રચવાની જરુર નથી કે શબ્દોથી બોલી પ્રાર્થના કરવાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ક્યારેક નિશબ્દ થઈ ,મૌન ધરી ,અંતરનાં ઊંડાણમાં ડોકિયું કરીને 

પણ પૂર્ણ ને પામી શકાય છે. જ્યાં કોઈનાં સંગાથની જરૂર નથી,તેવા એકાંતને વિસામે બેસી અનહદનો નાદ સાંભળી , તેનો અનુભવ કરવો એજ ખરી જીવનકવિતા છે. 

મનની અંદરનાં આયનામાં , અનેક વિચારોમાં ભટકીને,અનેક પ્રતિબિંબ દેખાય ત્યારે માત્ર પોતાનું જ પ્રતિબિંબ શોધવા પ્રયત્નશીલ બનવું તે જ છે જીવન કવિતા.

કવિ ધ્રુવ ભટ્ટે આગળની પંક્તિમાં એક પક્ષીની વાત કરી જીવનકવિતાને સુંદર રીતે સમજાવી છે.સાંજ પડે આકાશમાં ઊડતું ,પોતાનાં માળા તરફ પાછું ફરી રહેલ , પક્ષીની પાંખમાંથી એકાદ પીંછું ખરી પડી ,હળવેથી આકાશની સીમા ઓળંગી ,ટહેલતું ટહેલતું ધરા તરફ આવે છે. બસ! એવી જ રીતે દુન્યવી માયાનાં આકાશમાંથી ખરીને આપણે સહજતાથી,નિ:શબ્દ બનીને પરમ તરફ ગતિ કરવાની છે. આપણાં આ જીર્ણ શરીરની માયામાંથી બહાર આવીને ઝીણું ઝીણું કાંતીને , સૂરજની જેમ અચળ રહીને, પરમતેજને અનુભવવાનો પ્રયત્ન કરવાનો છે. પૂર્ણમાંથી છૂટા પડેલ આપણે પૂર્ણતામાં સમાઈ જવાનું છે. 

આ જ છે આપણું જીવનસંગીત.અને આ જ છે આપણી જીવન કવિતા.નવા વર્ષની સવારે નવી પ્રતિબદ્ધતા સાથે નવજીવન જીવવા પ્રયત્નશીલ બનીએ.

જિગીષા દિલીપ

૨૬મી ઓક્ટોબર

સંસ્પર્શ-૩૬

jigisha -સંસ્પર્શ -youtube

આલ્લે આ તો ખરેખરી થઈ અમે મજામાં તમે મજામાં

કૌતુક જેવી વાત બની ગઈ અમે મજામાં તમે મજામાં

નામ ઠામ ને નાણું -ભાણું ગોઠવતાંમાં રાત પડી ગઈ

જાતને આગળ ધરતાં ધરતાં આખે આખી જાત મરી ગઈ

અંદરખાને કબર બની ગઈ. અમે મઝામાં તમે મજામાં

આલ્લે આ તો ખરેખરી થઈ અમે મઝામાં તમે મજામાં

જાગ્યા ત્યારથી સૂતા સુધીમાં હસ્યા મહીંનું સાચું કેટલું

મન તો ઠાલું ઝળાંહળાં છે સાવ તૂટેલા કાચ જેટલું

હાથ મિલાવો ટેવ પડી ગઈ અમે મજામાં તમે। મજામાં

આલ્લે આ તો ખરેખરી થઈ અમે મજામાં તમે મજામાં

મિત્રો, 

કવિ ધ્રુવ ભટ્ટ તેમના દરેક ધ્રુવગીતમાં હંમેશા એક નવીન વિચાર અને જીવનની સચ્ચાઈ આપણી સમક્ષ રજૂ કરે છે. 

આ ગીતમાં કવિ આપણી દરેક જણ સાથે થતી સહજ વાતચીતની વાત મૂકીને બહુ જ ગહન વિચાર રજૂ કરી દીધો છે.

આમાં કૌતુક શું છે? કૌતુક એ છે કે આપણી અમૂલ્ય જિંદગી આપણે કંઈપણ ઠોસ હેતુ સાથે જીવ્યા વગર માત્ર લોકો સમક્ષ સારા દેખાવાનો દેખાડો કરી, ખબર પૂછી અને વ્યર્થ વાતોમાં ગુમાવીએ છીએ. આપણે અંદરથી કંઈ જુદું અનુભવતા હોઈએ છીએ અને બહાર મોં પર હસીને બતાવીએ છીએ કંઈ બીજું.આ દેખાડાથી મોટું બીજું શું કૌતુક હોઈ શકે!

આગલની પંક્તિમાં કહે છે ,આખી જિંદગી નામ કમાવવામાં,ઘર બનાવવામાં,પૈસા કમાવવામાં અને બેંક બેલેન્સ ભેગું કરવામાં જ પૂરી થઈ ગઈ. આપણે જે કરવા આવ્યા હતાં તે કર્યા વગર જ જાણે કોઈ હેતુ વગરનું જીવન જીવી ,પંચાત કરીને જીવન વિતાવ્યું અને જીવન પુરુ થઈ ગયું. ખબર જ ન પડી અને મોત બારણે ટકોરા મારવા આવી ગયું. જાતને લોકો સમક્ષ જુદી જ ચિતરવામાં અને જે છે તે નહીં બતાવવાનાં દંભ કરવામાં આપણી અંદર રહેલી સારપ ,આત્માની સુંદરતા જ મરી ગઈ. આપની ભીતર આપણે સ્મશાન ઊભુ્ં કરી દીધું અને જાતને તેમાં કબર બનાવી પૂરી દીધી.માત્ર ઉપરછલ્લું અમે મજામાં તમે મજામાં કરી જીવન પૂરું કર્યું ,તે તેમના અદ્ભૂત શબ્દોમાં રજૂ કરતા કહે છે કે ‘લે આ તો ખરેખરી થઈ ગઈ.’

જ્યારે કવિ નામ -ઠામ અને નાણું -ભાણું ગોઠવતાં રાત પડી ગઈ તેમ કહે છે ત્યારે મને ‘તિસરી મંઝીલ’ ફિલ્મનું શૈલેન્દ્રજીનું ગીત યાદ આવે છે,

લડકપન ખેલમેં ખોયા

જવાની નિંદ ભર સોયા

બુઢાપા દેખ કર રોયા

વહી કિસ્સા પુરાના હૈ

આમ જીવનની સફર ક્યારે શરુ થઈ અને જોતજોતાંમાં પૂરી થઈ જાય છે.આ કિસ્સો લગભગ સામાન્ય જીવન જીવતાં દરેક માણસનો છે.

ગીતની આગળની પંક્તિમાં કવિ આપણાં દંભી જીવનની વાત કરે છે. આપણે દિવસ ઊગે અને આથમે ત્યાં સુધીમાં અનેક લોકોને મળીએ છીએ. બધાં સાથે હસી મજાક કરીએ છીએ.આપણને ગમતાં અને ન ગમતાં સૌ સાથે બહારથી તો આપણે ખૂબ પ્રેમ હોય તેવો વ્યવહાર કરીએ છીએ. પરતું કેટલાયની સાથે હાથ મેળવતાં અંદરથી તો આપણે તેને નફરત કરતાં હોઈએ કે તેના પર ઈર્ષા થતી હોય પણ બહારથી આપણે તેને હસીને નવાજીએ છીએ. એટલે કવિ માણસની દંભી અવસ્થાની વાત કરતાં પૂછે છે? તમે જેટલાં લોકોને મળીને ભેટ્યા કે હસ્યાં તેમાં ખરેખર તમે અંતરથી સાચું કેટલાં જણને મળીને હસ્યાં?

તેનું સુંદર દ્રષ્ટાંત આપતા કવિ કહે છે કાચનો તૂટેલો ટુકડો,કટકો થઈ ગયો હોય છતાં આખો કાચ હોય તેના કરતાં પણ કાચનો ટૂકડો વધારે ચમકે છે. કવિ તૂટેલા મનને તૂટેલા કાચનાં ટુકડા સાથે સરખાવે છે.આપણને સૌને દરેક સાથે હાથ મિલાવી ઉપરછલ્લું હસવાની અને કેમછો,મજામાં છો કહી વ્યર્થ જીવન જીવવાની ટેવ પડી ગઈ છે. કાચ તૂટેલો વધારે ચમકે છે તેમ તૂટેલું મન બહાર હસવાનો દેખાવ કરી લોકો સામે પોતાની સારપની ચમક બતાવવાનો લૂલો પ્યાસ કરે છે. આમ કહી કવિ કહેવા માંગે છે કે તમારી અંદર રહેલ દ્વેષ,ઈર્ષા,ભેદભાવ મિટાવી દરેકને સાચો પ્રેમ અંદરથી કરવો જોઈએ. 

કવિ ધ્રુવ ભટ્ટે એક મિત્ર સાથે હસતા હસતા કહેતા હોય તેમ સહજતાપૂર્વક આ કવિતામાં આલ્લે કહી, માણસોનાં જીવનનાં ખરેખરાં નગ્ન સત્યને રજૂ કર્યું છે.

જિગીષા દિલીપ

૧૯મી ઓક્ટોબર ૨૦૨૨

સંસ્પર્શ-૩૫-જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube

નામ સ્મરણને સ્તુતિકથા સહુ મારું લોલમલોલ છે લલ્લા

કારણ તરત જ હું કહેવાનો अब तू इनका मोल दे अल्ला

કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું

લે હું કદી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला

કલ્પ કલ્પથી આ શું માંડી સંતાકૂકડી જેવી ગમ્મત

આજ કહું છું ખૂલ જા સીમ સીમ अब दरवाजा खोल दे अल्ला

જાનીવાલીપીનારાને હવે રંગનો થાક ચડયો છે

નામ પડેલા રંગો લઈ बेरंग इश्क में घोल दे अल्ला

એથી આગળ શું કહેવાનું સમજદાર છે સમજી લેજે

ચાલ પરસ્પરને કહી દઈએ तुझ को मुझ में छोड दे अल्ला

મિત્રો,

કવિ ધ્રુવભટ્ટની આ હિંદી ગુજરાતી મિશ્ર રચનાને ધ્રુવગીત કહેવું કે ગઝલ કહેવી તે જરા અઘરુંછે. રચનાનાં સ્વરુપ અને કાફિયાદોષની વાત કર્યા વગર માત્ર કવિતા તરીકે જોઈએ તો આખીરચના ખૂબ સરસ અને જાનદાર છે.આમ પણ આજકાલ કેટલાય કવિઓ ગુજલીશ ભાષામાંકવિતા લખે છે.જેમાં અનેક અંગ્રેજી શબ્દપ્રયોગ થયો હોય છે.જેમ કવિ ચંદ્રકાંત શાહ તેમનીજીન્સની કવિતામાં લખે છે,

“ધોયેલાં જીન્સ સૂકવવા નથી અહીં કોઈ આંબાંવાડી

તડકા પણ છે અહીં sterilized

હવા અહીંની EPA controlled “

આવી રીતે અનેક કવિઓ અંગ્રેજી શબ્દો પોતાની કવિતામાં વાપરે છે તેમ,પરતું આ કવિતામાંકવિ ધ્રુવ ભટ્ટે  ગુજરાતી સાથે હિંદી મિશ્રભાષી રચના કરી છે.

નામ સ્મરણ અને ભગવાનનાં પ્રશંસાનાં ભજનો મંદિરમાં બેસીને ગાઈને તેના બદલામાં પ્રભુ પાસે,પોતાની માંગણીઓનું લીસ્ટ મૂકી, તે માંગણીઓ પ્રભુ પૂરી કરે તેવી આશા રાખનાર ભક્તોનોતોટો મળવો જગતમાં મુશ્કેલ છે. પોતે કરેલી પ્રભુભક્તિ કે નામસ્મરણ માટે બદલો માંગતાંભક્તો સામે કટાક્ષ કરતા ઘ્રુવદાદાએ લખ્યું કે ‘અબ તું ઈનકા મોલ દે અલ્લા’.

હું કોણ છું અને તમે કોણ છો અને ક્યાં છો? ની શોધ કરતાં લોકોની વાત કરતાં કવિ કહેછે,લોકો પોતાની ‘ હું કોણ છું’ ની શોધમાં આખી જિંદગી પૂરી કરે છે ,પણ પોતાની સાચીઓળખ તેમને મળતી નથી ત્યારે જે દુન્યવી નામ તેમને મળ્યું છે તેને જ પોતાની સાચી ઓળખમાની લે છે અને પોતાના ખરા સ્વરૂપથી દૂર અને દૂર ધકેલાતા જાય છે.આ બે પંક્તિના શેરમાંકવિ ધ્રુવ ભટ્ટે ખૂબ ઊંડાણ ભરી વાત કરી છે.જ્યારે માનવ પોતાને જે નામ દુનિયાએ આપ્યું ,તે જનામ સાચું સમજી લેવાની ભૂલ કરે છે,

ત્યારે તે અંધારામાં પડેલી દોરીને સાપ સમજવાની ભૂલ કરી દુન્યવી માયાજાળમાં ફસાઈ જાયછે.કવિ ધ્રુવ ભટ્ટે આ બે પંક્તિમાં આવા ગૂઢાર્થની વાત કરી છે.અને કહ્યું કે અલ્લાહ ,હું તારાનામનું રટણ કરું છું ,તું મને મારું સાચું નામ કહી દે. મારી સાચી ઓળખ મને બતાવ.હું કોણ છું?તે સમજાવ.આ કાવ્યપંક્તિ દ્વારા કવિએ માંગણ ભક્તોની સામે કટાક્ષ કર્યો છે. અને સમજાયતો ખૂબ ઊંડાણભરી વાત કરી છે.ભક્તો,ભક્તિ કેમ કરે છે ?એ પોકળ માનસિકતાને સરસરીતે છતી કરી છે.

કેટલાય કલ્પોથી ચાલી આવતી ભક્તોની ભક્તિ અને લોકોની ભગવાન સાથેની લેવડદેવડનીવાત પણ કેટલી સ્વાર્થ સભર છે તે હાસ્યાસ્પદ રીતે કવિતામાં મૂકતાં કવિ લખે છે કે પ્રભુ તારીસંતાકૂકડીની રમત હું તને ખૂલ જા સીમ સીમ કહું તો તારા દરવાજા ખોલીને પૂરી કર.કાવ્યત્વનેખૂબ જાનદાર અને શાનદાર બનાવતા અને ભક્તોની નાદાનિયતને સહજતાથી રજૂ કરતા આકટાક્ષમય ગઝલનુમાનાં છેલ્લા બે શેર મજેદાર છે.

ભક્તો કહે છે સપ્તરંગી મેધધનુષનાં રંગોને પોતાના નામના રંગનો થાક ચડ્યો છે,ભક્તિની સામેઈશ્કેમિજાજનો બેરંગ રંગ જોઈએ છે,મેઘધનુષી રંગોને તેમના નામના રંગોનો થાક ચડ્યોછે.એટલે માણસને પોતાના દુન્યવી નામનો થાક ચડ્યો છે એટલે એને બેરંગમાં સમાઈ જવું છે.તેઅલ્લાહને કહે છે કે અલ્લાહ તું મારામાં આવી જા ,આપણે એકમેકમાં સમાઈ જઈએ. પણ પ્રભુસાથેનો સોદો આટલો સરળ હોત તો ,મંદિરમાં ભીડ કરતાં બધાં ભક્તો અલ્લાહનાં દરબારમાંપહોંચી ગયાં હોત! માણસો સોદો કરવામાં અલ્લાહને પણ બાકી નથી રાખતાં. આ ધ્રુવભટ્ટનીહિંદી અને ગુજરાતી મિશ્ર જુદાજ મિજાજની કટાક્ષ અને સમજાય તો આપણી જ જાત પર હસીશકાય તેવી ગઝલ પણ જરૂર કહી શકાય. આ કવિતામાં આપણને કવિનો જુદોજ રંગ પણ જોવા

અને માણવા મળ્યો.

જિગીષા દિલીપ

૧૨મી ઓક્ટોબર ૨૦૨૨

સંસ્પર્શ -૩૩-જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube


Posted on  by Jigisha Patel

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું ના કણ કણ દેશભક્તિમાં ડૂબી રહે છે અનહદ

હું દેશના સેવક ચીતરે રંગ કળાયલ મોર 

અડધો રંગે આધ્યાત્મિક ને અડધેથી- પડધો ચોર

વસ્તી નામે હું જ કે જેને નહીં કામ કે નહીં ફૂરસદ

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું બોલે કે દેશ છે મારો ખોબા જેવો નાનો

વળી કહે કે સચરાચરમાં હું જ વસું છું માનો

ગમ્મે તેવી વાત કરો ને કોઈ ગણે નહીં અચરજ

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું દેશના વતની કરતાં તું-તારાને પ્રેમ

(સાચું ખોટું રામ જાણે ભૈ આ તો અમથો વ્હેમ )

વચગાળામાં વાત ઊડે કો’ક કરે છે નફરત

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

ઉપરોક્ત કવિતામાં કવિ ધ્રુવ ભટ્ટે અહંકારને દેશનું રૂપક આપી આખા કાવ્યને નાવીન્યતા પૂર્વક રજૂ કર્યું છે.માણસની અંદર રહેલ અહંકારનો વિસ્તાર એટલો મોટો છે કે ધ્રુવદાદા આ કવિતામાં અહંકારને,હું પણાને, દેશ તરીકે વર્ણવે છે. સૌમાં વિસ્તરેલ અહંકાર એટલો વિસ્તરેલ છે કે તેને કોઈ સીમાડા કે સરહ દ હોતા નથી.અહંકાર એ એટલો મોટો દુર્ગુણ છે કે તે વ્યક્તિના વિનાશને જ નોતરે છે. તેનું મોટામાં મોટું ઉદાહરણ રાવણ છે. જૂઓ આ મહિમ્ન સ્તોત્રનો શ્લોક,

અમુષ્ય તત્સેવાસમધિગતસાર ભુજવનં

બલાત્કૈલાસેઽપિ ત્વદ ધિવસંતૌ વિક્રમયત:।

અલભ્ય પાતાલેઽપ્યલસચલિતાં ગુષ્ટશિરસિ

પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહ્યતિ ખલ:॥

શિવ ભક્ત રાવણે મહાદેવની અનન્ય ભક્તિ કરી વીસ ભુજાનું બળ પ્રાપ્ત કર્યું.વર્ષોનાં તપ પછી તેનો ગર્વ રોમેરોમમાં વ્યાપી ગયો અને તે ત્રિપુરવર શિવજીનાં નિવાસસ્થાન કૈલાસને હલાવવા પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે શિવજીએ માત્ર પોતાનો એક અંગૂઠો જ દબાવ્યો અને રાવણ પાતાળમાં પોતે હલવા માટે પણ અશક્તિમાન થઈ ગયો. ઉપરોક્ત પુષ્પદંત રચિત મહિમ્નસ્તોત્રનાં શ્લોકમાં તેનું જ વર્ણન છે કે અહંકાર જ તપસ્વી રાવણના વિનાશનું કારણ બન્યું હતું. અને કહેવત બની ગઈ “અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી.”

આગળની પંક્તિમાં દાદા સૂચવે છે કે હું દેશના સેવક એટલે ,અહંકાર જે શરીરમાં રહ્યો છે તેવાં લોકો બહારથી આડંબર કરે કે તે કળા કરતો મોર ચીતરી રહ્યાં છે – આ વાત મને લોકોને આધ્યાત્મિકતાનો આંચળો ઓઢીને લોકોને ગેરમાર્ગે દોરતા બગભગત સાધુસંતો માટે લખાએલ લાગે છે. બની બેઠેલા બાપુઓ ,ઠગ ભગતો પર કટાક્ષ કરતા દાદા કહે છે,બહારથી સંત હોવાનો તેઓ ડોળ કરે છે અને અંદરથી કાળા ચોર જેવા ધંધા કરે અને ભોળા લોકોને સાધુ બની છેતરે છે.આ અહંકારની વસ્તી એટલે સૌમાં એટલો અહંકાર વ્યાપ્ત હોય છે કે તેની કોઈ સીમા કે સરહદ છે જ નહીં. આ નાનો અમથો લાગતો અહંકાર સચરાચર વ્યક્તિત્વોમાં વ્યાપેલો છે.એટલે જ નરસિંહે ગાયું,

“હું કરું હું કરું એજ અજ્ઞાનતા ,શકટનો ભાર જેમ શ્વાન તાણે

સૃષ્ટિ મંડાણ છે સર્વ અણી પેરે,જોગી જોગેશ્વરા કો’ક જાણે.

ગાડા નીચે કૂતરું ચાલે અને એમ માને કે હું આ ગાડા પર ભરેલા માલસામાનને ઊંચકી રહ્યો છું. દુનિયાનાં સૌ માનવો પણ આવો જ ,પોતે જ સર્વસ્વ છે ,તેવા અભિમાનમાં રાચી રહ્યા હોય છે. લોકો પોતાનાં નજીકનાંને જ પ્રેમ કરતા હોય તેવું બતાવતાં હોય છે પણ ખરેખર તે પણ સાચો પ્રેમ હોય છે કે કેમ? એટલે દાદા હાસ્યભરી શૈલીમાં કહે છે કે રામ જાણે ભૈ નજીકનાં સ્નેહી પણ પ્રેમ કરે છે તેવો વ્હેમ હોય ! અંદરની વાત તો તેની જાત સિવાય કોણ જાણે? 

સંત કબીર અહંકારની વાત કરતાં ખૂબ સુંદર વાત સમજાવે છે,

મત કર માયા કો અહંકાર,મત કર કાયા કો અભિમાન

કાયા ગાર સે કાચી….

હો,કાયા ગારસે કાચી રે…જૈસે ઓસરા મોતી

ઝોકા પવન કા લગ જાય,ઝપકા પવનકા લગ જાય

કાયા તેરી ધૂલ હો જાતી…..

આમ ધ્રુવદાદાએ પણ આપણા સૌમાં સર્વત્ર વ્યાપ્ત અહંકાર સીમા અને સરહદને ઓળંગી જાય તેવો છે તેમ સમજાવ્યું છે અને તેના પર આપણે કોઈપણ રીતે નિયંત્રણ રાખવું જોઈએ અને દુન્યવી ઠગભગતોથી ચેતતા રહેવું જોઈએ.

જિગીષા દિલીપ

૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૨

સંસ્પર્શ -૩૨

jigisha -સંસ્પર્શ -youtube

નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુનાશ્રુતેન ।

યમેવૈષ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ ।।

આત્મા પ્રવચનોથી નથી મળતો,મેધા(બુધ્ધિ) થી નથી મળતો

બહુશ્રવણ કરવાથી પણ મળતો નથી.

આત્મા પોતે જેનું વરણ કરે છે તેને જ તે પ્રાપ્ત થાય છે.

(કઠોપનિષદ)

ધ્રુવ ગીત

એમ અમે અચરજને મારગ સાવ અચાનક વહેતા થઈ ગ્યા,

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા.

એવા સમતળનાં રહેનારા અમે એકલે પંડે,

રિક્ત છલકતા અંધકારના સદા અખંડિત ખંડે

હવે અચાનક ઊર્ધ્વ અધોના પટમાં આવી રહેતા થઈ ગ્યા.

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા

નામ ન’તુ કોઈ ઠામ વગરના હતા અમે હંમેશ,

તમે ગણ્યું જે અંતરીક્ષ તે હતો અમારો વેશ.

અવ ઓચિંતા અમે અમારું નામ જગતને કહેતાં થઈ ગ્યા,

એમ અમે અચરજને મારગ સાવ અચાનક વહેતા થઈ ગ્યા.

ઉપનિષદનાં રહસ્ય ખોલતું અને ધ્રુવદાદાનાં ગહન આધ્યાત્મિક અવલોકનનો ઉઘાડ કરતું આ ગીત એક નવા જ વિચારને આપણાં દ્રષ્ટિપટલ પર લઈ આવે છે.કઠોપનિષદની વાત રજૂ કરતા દાદા કહે છે કે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો એ એક મોટી અચરજની વાત છે.કઠોપનિષદનાં શ્લોક પ્રમાણે આત્માએ આપણા શરીરની પસંદગી કરી અને આત્મા અને શરીર એક થઈ ગયા.એટલે દાદાએ ગાયું- ‘ હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગયા’ આ અચરજ કેટલું મોટું છે! 

તો આપણા ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ આજ કલ્પનાને પોતાની રીતે આલેખે છે,

“ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,

બહુ એકલો હતો એને પાડવીતી તાળી.

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીધો અફાળી,

કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી

કરતા અકરતા બંને છે ,ને નથી કશું યે,

વીંટળાઈ ખુદ રહ્યો છે,છે ખુદ રહ્યો વીંટાળી.”

આપણા ધ્રુવદાદા તેમજ ઋષિકવિ જેવા વિદ્વાન કવિઓએ તેમની કવિતાઓમાં વેદ અને ઉપનિષદોનો રસ ઘોળીને આપણને પીવડાવ્યો છે. 

આગળ ગીતમાં દાદા કહે છે,અવકાશનાં અંધકારમાં એકલો આત્મા સમતળમાં રહેતો હોય છે. અવકાશમાં કશું ઊંચું નીચું કે દૂર સુદૂર નથી.પરતું પરમશક્તિનો અંશ જેવો આત્મા ,શરીર નક્કી કરી તેમાં પ્રવેશે છે અને આ પૃથ્વીનાં ઊર્ધ્વ પટમાં આવીને રહેતો થઈ જાય છે.આ એક અચરજ નથી તો શું છે? અને આ અચરજના મુગ્ધ ભ્રમણને ઋષિ કવિ વર્ણવે છે,

નિરુદેશે

સંસારે મુજ મુગ્ધ ભ્રમણ

પાંશુમલિન વેશે 

(પાંશુ-ધૂળ)

અને ધ્રુવદાદા કહે છે અવકાશમાં અમારું કોઈ નામ ઠામ કે સરનામું હતું નહીં અને જેવા પૃથ્વી પર નામધારી બન્યા કે તરત તારું મારું શરૂ થઈ ગયું.અને અમારા નામનાં ગર્વ સાથે જીવતાં થઈ ગયાં.આમ ઓચિંતા અચરજને માર્ગે આપણે સૌ વહેતા થઈ ગયાં.પ્રકૃતિએ કે પરમે રચેલી આ જીવનની રચનાથી વધીને બીજું મોટું અચરજ શું હોઈ શકે?

આજ વાતને આપણા અશરફભાઈ ડબાવાલા ગઝલમાં આવીરીતે વર્ણવે,

આંખમાં દ્રશ્યોને રોપી, ટેરવે આતંક દઈ,

સ્વપ્ન ક્યાં ચાલ્યું ગયું આ વાણીપતનો જંગ દઈ.

આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર ! આપણે,

તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ.

આ સૌ કવિએ આપણા પૃથ્વી પરનાં અવતરણનાં અને મૃત્યુ પછી આત્માનાં અવકાશ ભ્રમણની વાતને પોતપોતાનાં અંદાજમાં રજૂ કરી છે. પણ આ એક ઓચિંતું મળેલ અચરજ તો દાદાનાં કહેવા મુજબ છે જ ! તેની ખરી સચ્ચાઈ તો કોઈ જાણતું નથી. બધાંએ પોતપોતાની રીતે કરેલ અટકળો જ છે! એવું મને ચોક્કસ લાગે છે. તમારા મંતવ્ય લોજીકલ પુરાવા સાથે જાણવા જરુર ગમશે.

જિગીષા દિલીપ 

૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૨

સંસ્પર્શ-૩૧


સપનું સ્વપ્ન પરીનું સ્મિત

સપનું હાર્યા જણની જીત

સપનું બાળકની આંખોમાં 

સપનું ફૂટી રહ્યું પાંખોમાં

સપનું ચરકલડીનો માળો

સપનું પર્વતનો પડછાયો

સપનું ધરતી ભીતર પેસે

સપનું નીકળે અંકુર વેશે

સપનું તળિયેથી ઊંચકાય

સપનું નળિયા ચીરી જાય

સપનું હાલક ડોલક નાવ

સપનું મનમાં જાગ્યો ભાવ

સપનું સપનાનો પડકાર

સપનું બેધારી તલવાર

સપનું ઓણસાલ વરસાદ

સપનું હીરાઘસુના હાથ

સપનું જુએ એનું થાય

સપનું ક્યાંય નહીં સમાય 

સપનું સ્વયં બ્રહ્મનું રૂપ

સપનું ભ્રમણાઓનો સ્તૂપ

સપનું દરમાં બેઠો સાપ

સપનું જોગંદરનો જાપ

સપનું એક બિલાડી પાળે 

સપનું પોપટને પંપાળે

સપનું એકડે મીંડે સો

સપનું તરત મળેલી ખો

સપનું નહીં પાટી નહીં પેન

સપનું સરસ્વતીનાં બેન

મિત્રો,

ધ્રુવદાદાએ આ કવિતામાં એમનાં મનમાં રમતાં સપનાંના અનેક મેઘધનુષી રંગોનો લસરકો આપણા વિચારપટલ પર પ્રસરાવી દીધો છે.તેની શરૂઆત જ સપનાંને સ્વપ્ન પરીનું સ્મિત કહીને કરી છે. અને પછી તરતજ કહ્યું ,સપનું હાર્યા જણની જીત. બે લીટીમાં કેટલી મોટી વાત કહી દીધી. માણસ જીવનમાં અનેક અભીપ્સાઓને પામવા હવાતિયાં મારતો હોય છે. પોતાની ઇચ્છાની ટોપલી ભરાતી નથી ત્યારે તે પૂરી કરવાનાં વિચારોમાં સૂઈ જાય છે. તેની બધી ઈચ્છાઓ તેને સપનામાં પૂરી થતી દેખાય છે. અને તે તેને સ્વપ્ન પરીનાં સ્મિત જેવું ભાસે છે અને જીવનમાં જે નહીં મેળવતાં હારી ગયો હોય છે તે સપનામાં મળી જતાં જીતનો અનુભવ કરતો ,પોતાની જાતને ભાસે છે.આ સાથે યાદ આવે મુકુલ ચોકસીની કવિતાની પંક્તિઓ,

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઈએ,

ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઈએ.

આગળની પંક્તિમાં બાળકની આંખોમાં પાંખો થઈ ફૂટતું સપનું દાદાને દેખાય છે તો સપનું ચકલીનાં માળા જેવું અને ક્યારેક પર્વતના પડછાયા જેટલું વિશાળ પણ દાદાની કલ્પનામાં આવે છે.સપનું ધરતી ભીતર પેસે અને નીકળે અંકુર વેશે – આ પંકિત મને જાણે આપણા અંતરરૂપી ધરતીની ભીતરમાં પેસી ,અનહદનાં તારના એક અંકુરનો અનુભવ કરીને પરમને પામવા ઈચ્છતો માણસ,સપનામાં તેવો વિચાર કરતો હોય તેવું મને લાગે છે. પરમ હાજરાહજૂર ન મળે તો સપનામાં તેને મળવાનો એક ક્ષણિક આનંદ તો માણસ લે. જેમ રમેશ પારેખ કહે છે તેમ,

મારા સપનામાં આવ્યાં હરિ,મને બોલાવી ,ઝુલાવી વ્હાલી કરી.

સામે મર્કટ મર્કટ ઊભાં,મારી મનની દ્વારિકાનાં સૂબા,

મારાં આંસુંને લૂછ્યાં જરી…..

અને આવું ભીતરથી અંકુર સમું ફૂટેલું સપનું તળિયેથી ઊચકાઈને ઘરનાં છતનાં નળિયાંને ચીરીને ઉપર ઊઠી જાય છે.સપનું

મનમાં જાગેલો હાલક ડોલક નાવ જેવો ભાવ છે કારણકે સપનું સ્થાયી નથી. હાલક ડોલક થતી નાવને સ્થિર રાખવા આપણે સમતોલન જાળવવું પડે ,તેવીરીતે સપનામાંથી જાગી જઈએ તો સપનું તૂટી જાય અને દાદાને સપનામાં મજા માણતાં સપનું સપનાને જ પડકાર આપતું બેધારી તલવાર જેવું લાગે છે. બે બાજુથી ધારવાળી તલવારને જરાપણ કોઈપણ બાજુથી અડવા જાઓ તો હાથ કપાઈ જાય તેમ ,સપનું એક અવસ્થા જ છે જેવા ઊંઘમાંથી જાગ્યા કે સપનું તૂટી જાય અને બધું હતું નહતું થઈ જાય.

પછી આગળ જે વાત કરી છે તે ખૂબ સરસ છે. સપનું ઓણસાલ વરસાદ – એટલે ભારત ખેતીપ્રધાન દેશ અને ખેડૂતોની ફસલનો આધાર અને આશા,વરસાદ કેટલો સારો પડે તેના પર હોય ,એટલે દાદાએ તેમની નોખી અદાથી લખ્યું કે જેમ ઓણસાલ વરસાદ સારો થશે તો ફસલ સરસ થશે એવી આસ ખેડુતને હોય ,તેમ સપનાં જોઈને માનવ માત્ર સારું સપનું જોઈ એટલો સમય પૂરતો ખુશ રહે છે. હીરાઘસુનાં હાથમાં હીરા હોય છે તે તરાશે એટલો સમય હીરા એના હાથમાં હોય છે.પછી એ હીરાને અને હીરાઘસુને હીરા સાથે કંઈ લેવાદેવા હોતી નથી. હીરાઘસુનાં હાથને તો થોડીવાર હીરા ઘસ્યાં ત્યાં સુધી તેનાં હાથમાં તે હતાં અને જોયાં તેનો ક્ષણિક જ આનંદ લેવાનો છે ,સપનાનું પણ સૌ માટે તેવું જ છે.સપનું જે જૂવે એનું જ હોય.બીજા કોઈને તે અંગે કંઈજ ખબર ન હોય.એટલે દાદાએ કહ્યું ,” સપનું જૂવે એનું થાય,સપનું ક્યાંય નહીં સમાય.”

દાદા સપનાને બ્રહ્મસ્વરૂપ આલેખતાં કહે છે સપનાઓ ભ્રમણાઓનો સ્તૂપ છે.અહીં દાદાએ ઉપનિષદની બહુ મોટી વાત કહી દીધી. જગતમાં માયાના આવરણમાં અને મોહજાળની ભ્રમણામાં આપણે સૌ ફસાયેલા છીએ. કાથીની વળ વાળેલી દોરી અંધારામાં આપણને સાપનો ભ્રમ કરાવે છે. પરતું અજવાળું થતાં સમજાય કે આ દોરી છે. તેમ જ્યારે મોહમાયાનું આવરણ જ્ઞાનનાં અજવાળાંથી તૂટે છે. એટલે સપનું બ્રહ્મ સ્વરુપ દાદાએ આલેખ્યું અને ભ્રમણાઓનો સ્તૂપ સપનું છે એટલે સપનું તૂટે એટલે ભ્રમણાઓનો સ્તૂપ કડડડભૂસ કરતો તૂટે તો જીવનની સચ્ચાઈનું સ્વરૂપ ઊઘડે. જેમ માયાનું આવરણ તૂટે તો ‘અહમ્ બ્રહ્માસ્મિ’ કે ‘શિવોહમ’સમજાય તેમ.

સપનાને દાદા દરમાં બેઠેલા સાપ સાથે સરખાવે છે.અને આપણી અંદર બેસીને સપના રુપી જોગંદર જાણે જાપ જપતો બેસી રહ્યો છે તેમ કહે છે.આપણે જેવા ઊંઘનાં દરમાં જઈએ કે સાપ સારા ખરાબ સપનાં લઈ ડોલવા લાગે છે. સપનાંની ગુફામાં જાપ જપતાં જોગીની જેમ દુનિયાથી સાવ અજાણ્યો અને અલખનાં ઓટલે એકાંતમાં એકલા અટૂલા જોગી સાથે દાદા સપનાને સરખાવે છે કારણ આપણાં સપનાંને આપણા સિવાય કોઈ જોઈ કે જાણી શકતું નથી. કેટલી સુંદર કલ્પના!

સપનું એક બિલાડી પાળે અને પોપટને પણ પંપાળે.એટલે આપણને આવતા સારા નરસા બંને સપનાંની બિલાડી અને પોપટનાં ઉદાહરણ દ્વારા વાત કરી છે.સપનું એકડે મીંડે સો એટલે અનેક જાતનાં સારાં-નરસા , ભયંકર,રોમાન્ટિક તો ક્યારેક સાત્વિક સપનાંઓ આપણે જોતાં હોઈએ છીએ. ખોની રમત સાથે સરખાવતાં દાદા કહે છે. ખોની રમતમાં રમતવીર ક્યારે આપણી પાછળ આવીને ઊભો રહી જશે તેવી રમનારને ખબર નથી હોતી,તેમ સપનું તરત મળેલ ખોની જેમ આપણને ખબર વગર ગમે ત્યારે ગમે તે સારું કે ખરાબ સ્વપ્ન આપણી નીંદરમાં આવી વસી જાય છે.સપનું પાટીમાં પેનથી લખાએલું નથી હોતું કે આપણે ફરી તેને વાંચી શકીએ.અને સપનાને અનેકવિધ ઉપમાઓ આપીને છેલ્લે તેને સરસ્વતીનાં બેન તરીકે દાદા બિરદાવે છે.

જિગીષા દિલીપ

૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨

સંસ્પર્શ-૩૦

આમ જૂઓ તો રામલાને કોઈ વાતનો નથી ડર હા ખાલી બીક છે એને સાવ પોતાના પડછાયાની

નંઈને એ ક્યાંક સાવ સચોસાચ આયના જેવો કોક દી ઊભો થાય તો સાલું પંડની સામે પછડાયાની

થાય એને કે અમથો ક્યારેક ઊંઘમાં સરી જાઉં ને ઓલો પડછાયો જો જીવતે જાગતો ફરે તો

દુનિયા ભેગી થાય ને પાછી આપણી સામે હાથની ઉપર હાથ પછાડી કેય કે બારો આવ્ય ને હવે કો

આમ ટાણે શું કરવું એની રામલાને એક ચંત્યા બાકી આમ તો એની ભડની છાતી જેમ ઘેલાશા બરવાળાની

આમ જૂઓ તો રામલાને કોઈ વાતનો નથી ડર હા ખાલી બીક છે એને સાવ પોતાના પડછાયાની

એટલે તો આ રામલો રોજેય હાથ જોડીને પ્રાર્થના કરે રામ કે મને રાખજો અડીખમ તે જગે હાંકલા નાખું

હેય તારું નામ લીધે હું જટ તરી જાંવ દરિયા આખા સાત ને તારા નામનું છોગું ફરતું રાખું 

પ્રાર્થના હજી સાવ પૂરી થઈ છે કે નથી રામલાને એક લાગણી જાગે માગણીમાં ક્યાંક સલવાયાની

આમ જૂઓ તો રામલાને કોઈ વાતનો નથી ડર હા ખાલી બીક છે એને સાવ પોતાના પડછાયાની

નંઈને એ ક્યાંક સાવ સાચોસાચ આયના જેવો કોક દી ઊભો થાય તો સાલું પંડની સામે પછડાયાની

મિત્રો, 

આ કવિતામાં ધ્રુવદાદાએ આપણી સૌની અંદર રહેલા આપણી જાતને, રામલો કહી, આપણાં બધાંની એક સાવ સાચી વાતને ઉઘાડી પાડી છે. આ ઢાકપિછોડો ઉઘાડી જે રહસ્ય ખુલ્લું કર્યું છે ,તે સૌએ સ્વીકારવું જ રહ્યું. આપણી સૌની ડબલ પર્સનાલિટીની વાત દાદાએ અહીં ચોંટદાર રીતે કહી છે. રામલો એટલે આપણા સૌનું પોતાપણું કે પોતાની જાત અને આપણો પડછાયો એટલે આપણે જે ખરેખર છીએ તે. જગતનો દરેકે દરેક માનવ અહીં દોરંગીની જેમ જીવતો હોય છે. પેલી કહેવત લખાઈ ભલે હાથી માટે હોય ,પણ લાગુ બધાંને પડે છે.

હાથીનાં ચાવવાનાં જુદા અને દેખાડવાનાં જુદા”

આપણે અંદરથી જુદા હોઈએ છીએ ને દુનિયાને આપણે આપણું જુદું જ રૂપ બતાવીએ છીએ.દંભનો અંચળો ઓઢીને આપણે જીવીએ છીએ.પડછાયો એ માણસનાં સાચા સ્વરૂપનું પ્રતિબિંબ છે. આપણે સૌ ખોટા આડંબર સાથે છાતી કાઢીને ફરીએ છીએ,આપણે જૂઠની ચાદર ઓઢીને ફરીએ છીએ પણ જો આપણા પડછાયા જેવું આપણું સાચું સ્વરૂપ લોકો સમક્ષ બહાર આવી જાય તો આપણો ભાંડો ફૂટી જાય ,તેનાથી બહુ જ ડરીએ છીએ ,એટલે દરેકને પોતાના પડછાયાનો જ ડર લાગે છે. આપણી અંદર રહેલો આપણો અંતરાત્મા જ આપણાં કાળાધોળાની બધી જ વાત જાણતો હોય છે. એટલે આપણા મન રૂપી એ આયનો કોઈક વાર આપણી સામે જ ઊભો થઈ જાય અને આપણો સાચો ચહેરો આપણને બતાવે તો આપણે લાજી મરીએ તેનો સતત ભય માણસને સતાવે છે. રખેને દુનિયા આપણી સચ્ચાઈ જાણી જાય! 

દાદાએ આ બીજી પંક્તિમાં

પોતાની સામે પોતાનો પડછાયો આવી જાય તો વાટ લાગી જાય! આપણી સૌની જૂઠની ચાદર ઓઢી જીવાતી જિંદગી સામે દાદાએ અખાનાં છપ્પા જેવો ચાબખો માર્યો છે. પોતાનો પડછાયો પોતાની સામે આવી જાય તો તમે તમારી સચ્ચાઈ તમારી સામે આવી જાય ત્યારે તમે જ તમારી જાત સાથે અથડાઈ પછડાઈ જાવ છો . તમારો ટકરાવ તમારી સાથે જ થાય અને પંડના ટકરાવમાં ,તમારા પછડાઈને ભુક્કા થઈ જાય છે. પણ લોકો સામે તો તમે તમારું જુદું જ રૂપ બતાવો છો! અને રામલાને પોતાની જાત સાથે ટકરાવનો જ ડર લાગે છે.

રામલાને બીજી કોઈ વાતનો ડર નથી એની છાતી તો ઘેલાશા બરવાળા જેવી છે અને એતો દુનિયાની સામે છાતી કાઢીને ફરે છે પણ એને એક જ બીક છે કે એ ક્યાંક ઊંઘી ગયો હોય ,ક્યાંક ગાફેલિયતમાં એનો સાચો ચહેરો દુનિયા સમક્ષ દેખાઈ જાય ! અને પેલા કોર્ટનાં જજની જેમ લોકો હાથ પર હાથ પછાડી તેની સચ્ચાઈ જાણી તે અંગે સવાલ પૂછે તો એવા સમયે તેની ચોરી પકડાઈ જશે ,તો તે શું કરશે? માત્ર તે જ ચિંતા રામલાને ઉર્ફ આપણને સૌને છે.દાદાએ આપણી સૌની અંદરથી કંઈ ઓર અને બહારથી કંઈ ઓર જેવી દંભી અને અપારદર્શક જિંદગી સૌ કેવીરીતે જીવી રહ્યાં છીએ તેનું તાદ્રશ્ય ચિત્ર રજૂ કર્યું છે. 

આગળ વાત કરતાં દાદા કહે છે કે આપણે ખોટી રીતે જીવીએ તો છીએ અને પાછા મંદિરમાં જઈને ભગવાન પાસે પ્રાર્થના કરીને માંગીએ છીએ કે ભગવાન મારા દંભનાં આંચળાંને અંકબંધ રાખજે.મારી ચોરી પકડાઈ ન જાય, સત્ય દુનિયા સામે બહાર ન આવી જાય ,પ્રભુ તેનું તું ધ્યાન રાખજે એટલે લોકો સામે હું કોલર ઊંચા રાખીને ગુમાન સાથે ફરી શકું. ભગવાનને પણ લાલચ આપતો માનવ પ્રભુને પણ છેતરવાની વાત કરે છે કે હું તારા નામનું સ્મરણ કરીશ ,પણ તું મારી સચ્ચાઈનો ઢાંકપીછોડો કરતો રહેજે ,તો હું સાતે દરિયા પાર કરી શકીશ અને તારું નામ સ્મરણ કરી તારું છોગું ફરકાવતો ફરીશ. આમ પ્રાર્થના કરી ભગવાનને પણ છેતરવાની વાત કરતાં માણસ શરમાતો નથી. પોતે પ્રાર્થના કરે છે ત્યારે પણ એને પોતે જે માંગી રહ્યો છે તે ખોટું છે તેની પણ ખબર જ હોય છે એટલે જ પ્રાર્થનામાં ખોટી માંગણી કરી પોતે ખોટું કર્યાનાં ભાવ સાથે ,સલવાઈ ગયો હોય તેવો અનુભવ કરે છે.!કેટલી સરસ !અને સચ્ચાઈ ભરેલી અને જે સમજે તેને હાડોહાડ લાગી જાય તેવી વાત દાદાએ સલુકાઈથી રજૂ કરી છે.

આપણે સૌ દંભભર્યું જીવન જીવી રહ્યાં છીએ. આપણો અંતરાત્મા જ આપણો આયનો છે તે આપણને આપણે ખોટું કરતા હોય ત્યારે રોકે પણ છે ,છતાં આપણે તેની સામે આંખ આડા કાન કરીએ છીએ. એટલે જ આપણે આપણા પ્રતિબિંબથી ડરીએ છીએ.કારણ તે આપણને આપણી સચ્ચાઈ દર્શાવે છે. અને જો માણસ ખરેખર પોતાની જાતને ઢંઢોળીને જૂવે તો તે સંત જ હોય અને કબીર જેવા સંત જ્યારે પોતાની જાતને જૂવેતો ગાય,

બુરા જો દેખન મેં ચલા,બુરા ન મિલિયા કોય,

જો દિલ ખોજા આપના,મુજસા બુરા ન કોય.

આમ કહી દાદા આપણને સમજાવે છે કે તમારે ક્યાંય જવાની કે કોઈને કંઈ પૂછવાની જરુર નથી,માત્ર તમારા અંતરાત્માનાં અવાજને સાંભળશો તો તમે પારદર્શક જીવન જીવી શકશો. અને જો તમે પારદર્શક જીવન જીવશો તો તમને કોઈનો ડર નહીં રહે અને ભગવાનને પ્રાર્થવાની પણ જરૂર નહીં રહે. આપણી ભીતર પરમનો જ વાસ છે અને તે હંમેશા આપણને સત્યની રાહ પર ચાલવા કહે છે પણ આપણે તેની વાત સાંભળ્યા વગર આપણે જે કરવું હોય તે જ કરીએ છીએ. તો આપણે આપણાં અંતરાત્માની વાત સાંભળીને સચ્ચાઈથી દંભ વગરનું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેવો ગુઢાર્થ આ કાવ્યમાં સમાએલ છે. 

જિગીષા દિલીપ

૭મી સપ્ટેમ્બર ૨૦૨૨