જ્યારે કોઈ એક વાર્તા લખવી હોય ત્યારે મનમાં સ્ફૂરેલા વિચારને અનુલક્ષીને કે આસપાસ બનેલી અથવા સાંભળેલી ઘટનામાં થોડા કલ્પનાના રંગો ઉમેરી શકાય. ગીત, ગઝલમાં હ્રદયમાં છલકાતી ભાવનાને એના ચોક્કસ માળખા પ્રમાણે શબ્દોમાં પોરવી શકાય પણ જ્યારે કોઈ એક લેખ લખવો હોય અને એમાંય કોઈ એક વિશેષ વ્યક્તિ પર એ લેખ હોય ત્યારે લગભગ એના માટે એ વિશેષ વ્યક્તિ સાથે વિતાવેલા સમયના સંભારણાનું સ્મરણ કરવું પડે. વ્યક્તિના જીવનને લગતી હકિકત વિશે જાણવા પ્રયત્ન કરવો પડે. ભૂતકાળના વર્ષોમાં પાછા ફરવું પડે. ઘણું બધુ સંશોધન કરવું પડે.
આ વર્ષની મારી સદાબહાર સૂર-અવિનાશ વ્યાસની લેખમાળા માટે શ્રી અવિનાશ વ્યાસ વિશે થોડી મારી જાણીતી, થોડી સાંભળેલી અને ઘણી બધી જાણવા પ્રયાસ કરીને એકઠી કરેલી માહિતીના આધારે આજ સુધીમાં ૪૬ લેખ લખ્યા. સાથે એક વાત એ કે એમાં લેખની સાથે અવિનાશ વ્યાસના ગીત અને સંગીતની યાત્રાનો ફાળો તો સૌથી મોટો અને મહત્વ હતો. એમણે એટલી વિવિધ રચનાઓ આપણને આપી છે જે આજ સુધી આપણે યાદ કરીએ છીએ, માણીએ છીએ.
આજે એવી જ રીતે કશુંક નવું જાણવા પ્રયત્ન કર્યો. (જે જાણવા મળ્યું એમાં એ વાત જે વ્યક્તિએ લખી છે એમના નામનો ઉલ્લેખ પ્રયત્ન કરવા છતાં મારા ધ્યાનમાં આવ્યો નથી તેમ છતાં અહીં એ અજ્ઞાત વ્યક્તિનો આભાર માની યથાવત એ શબ્દો અહીં મૂકું છું અને જો કોઈને પણ એ નામની જાણ હોય કે થાય તો પ્લીઝ મને જણાવશો. એમના લખાણ પરથી એ જૂનાગઢના હશે એ સમજાયું છે.)
એમણે લખ્યું હતું કે..
“મને કવિતામાં રસ નથી. રમેશ પારેખની ગઝલો ગમે એટલે ગીતોય ગમે પણ અવિનાશ વ્યાસનું નામ નહોતું સાંભળ્યું. વર્ષ હતું 2008નું. જૂનાગઢની સરકારી લાઈબ્રેરીમાં મારી ઠોઠડી સાઈકલ લઈ નવલકથા લેવા માટે ગયેલો. એ વિચારે કે ઘરે જઈ સસ્પેન્સ થ્રીલરમાં આળોટશું. ખૂન થશે, લોહી વહેડાવશું, બે ચાર હત્યાઓનાં પગેરા શોધશું.
જ્યારે પાછો ફર્યો ત્યારે મારા હાથમાં અવિનાશ વ્યાસનું પુસ્તક ‘પાંદડુ લીલું ને રંગ રાતો’ હતું. જેમાં અવિનાશ વ્યાસના એકથી એક ચડિયાતા ગીતો હતા. મને તો પહેલી વખત ખબર પડી કે રાત ઉજાગરા વેઠીને બોલિવુડમાં 400 ઉપર ગીતોને સંગીતબદ્ધ કરનારા અવિનાશ ભાઈએ આ બધા ગીતો લખ્યા છે. લબૂક ઝબૂક થતી ટ્યૂબલાઈટની જેમ એક વિચાર મનમાં એ પેસી ગયો કે આ ગીતોને કાઢી નાખીએ તો નવરાત્રી આપણા કંઈ કામની નહીં.”
આ વાંચ્યુ ત્યારે વિચાર આવ્યો કે એવી તે કેવી મસ્ત રચનાઓ અવિનાશ વ્યાસે કરી હશે કે જે લીલા પાંદડામાં રાતા રંગથી મહોરી ઊઠી હશે !
આ મસ્તીથી મહોરવાની સાથે યાદ આવી એમની બે રચના..
“ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે..
વિખરાયેલા વાળ તમારા કેવા અસ્તવ્યસ્ત છે”
અને
“નયન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે..”
અવિનાશ વ્યાસની રચનાઓમાં અનેક રંગ છે. એમની ભાતીગળ રચનાઓમાં ભાવસભરતા છે. તત્વદર્શન જેવા ભક્તિ ગીતો, આત્માને સ્પર્શી જાય એવા ભજનો અને એનાથી સાવ અલગ છેડાના અત્યંત રમતિયાળ કહી શકાય એવા મસ્તીભર્યા ગીતોય છે.
એમની પાસે પ્રેમથી છલકાતી લાગણીઓની વાણી છે. સૌ જાણે છે કે પ્રચુર પ્રેમમાં ડૂબેલી વ્યક્તિને આખું વિશ્વ, કદાચ ત્રણે લોક એક જ વ્યક્તિમાં સમાઈ જતા લાગે. એના દિલો-દિમાગમાં એની પ્રિયતમા માટે સુંદરતમ વિચારો જ ઉદ્ભવતા હોય. એનો ચહેરો પણ પૂનમનો ચાંદ લાગે. પ્રિયતમા જરાક આંખોથી ઓઝલ થાય તો અચાનક અમાસની રાત ઉતરી આવી હોય એવી અનુભૂતિ થાય. એવા બેબાકળા પ્રેમી માટે અવિનાશ વ્યાસ લખે છે કે..
“ભર્યું કુમકુમ ભાલે આંખમાં સુરમો સજાવ્યો છે
કહી દો ક્યાં ઘૂંઘટમાં ચંદ્ર પૂનમનો છુપાવ્યો છે..
વળી બીજી રચનામાં કહે છે કે,
“છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે..
ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે..
આ ઘૂંઘટમાં છ્પાયેલો ચાંદ, આંખમાં ઉતરી આવેલું મસ્તીખોર આકાશ, કંઠમાં રમતો મોર… એવા વાતાવરણનું ચિત્ર ઊભું કરે છે જેમાં માત્ર બે પ્રેમપ્રચુર વ્યક્તિની જ હાજરી હોય.
“કદી સીધી કદી વાંકી નજર રાખી જિગરને ઘર
તમે જાતે જ આવ્યા છો અમારા દિલની અંદર
ક્યાં દૂર છે મળ્યાં જ્યાં ઉર છે..
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.”
આ સઘળું મંજૂર ત્યારે જ હોય જ્યારે એ સાથે હોય..આ સાથ જ્યારે આદત બની જાય ત્યારે અવસ્થા કંઈક જુદી થઈ જાય.
“ કરું હું શું તમારી આંખની આદત નિરાળી’તી
અમે પણ ઝૂરી ઝૂરીને વિરહમાં રાત ગાળી’તી”
અવિનાશ વ્યાસે એમના ગીતોમાં પ્રેમ સજાવ્યો છે અને વિરહનેય જાણે ઉજવ્યો છે. મઝાની વાત તો એ છે કે આવા ગીતો પણ કોઈ ગુજરાતી નહીં પર પ્રાંતિય, અન્ય ભાષી ગાયકોએ ગાયા છે.
હવે શરૂઆતમાં લખ્યું હતું એ “અજ્ઞાત”ની જ એક વાત સાથે લેખનું સમાપન કરું છું
એમણે લેખમાં ટાંક્યુ હતું કે, “સાચી વાત એ કે અવિનાશ વ્યાસ ન હોત તો દરેક નવરાત્રી હિરા મોતી વિનાનો ખોટો નવલખો હાર થઈ જાય..”
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com