૪૬ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

મીરાંબાઈના જોગીના પદો

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक: ।
           कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ ४६ ॥

શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકમાં સ્વયં ભગવાન કહે છે કે યોગી તપસ્વીઓથી,શાસ્ત્રોક્ત જ્ઞાનીથી અને સકામ કર્મ કરવા વાળાથી પણ શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી થા.

“યોગ” શબ્દ નું ઉત્પત્તિ સ્થાન સંસ્કૃતની “યુજ” ધાતુ છે.  युज्यते अनेन इति योगः  યોગનો સીધોસાદો અથવા તો સ્થૂળ અર્થ “જોડવું” અથવા “મેળવવું” થાય, પણ સૂક્ષ્મ અર્થમાં યોગ એટલે આપણા જીવાત્મા નું આપની અંદર રહેલા પરમાત્મા સાથેનું સાયુજ્ય સાધવું એટલે યોગ. યોગને સાધન તરીકે ઉપયોગ કરનારો યોગી અને સર્વોત્તમ યોગી એટલેકે સર્વે યોગીઓનો આરાધ્ય એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણ. વેદો અને ઉપનિષદ જેવા પુરાણો એ પણ યોગ શાસ્ત્રનો મહિમા ગાયો છે. યોગેશ્વર શ્રી કૃષ્ણે પણ સ્વમુખે થી શ્રી ગીતાજીમાં અનેક ઠેકાણે યોગ અને યોગીનું સમર્થન કરેલ છે. કહેવાય છે કે यज्ञात्वा नेह भूयोअन्य अज्ञातव्यमवशिष्यते  અર્થાત જેને યોગ દર્શનના સર્વે તત્વોને આત્મસાત કાર્ય હોય તેને વિશેષ કશુંજ જાણવાનું બાકી રહેતું નથી. યોગ દર્શન પર કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયનો અધિકાર નથી. જે આત્મા જન્મ લઈને પૃથ્વી પર આવ્યો છે તેને પરમાત્મા સાથે સાયુજ્ય સાધીને મુક્ત થવાનો પણ અધિકાર છે અને આજ યોગ નો મૂળભૂત સિદ્ધાંત છે.

મીરાંબાઈ તો શ્રી કૃષ્ણપ્રેમ માં પાગલ બની જીવનભર સગુણ ભક્તિમાં રત રહ્યા અને મીરાંબાઈના ઘણા પદોમાં “જોગી” અથવા તો “યોગી” નો ઉલ્લેખ જોવા મળે છે. મીરાંબાઈના જીવનકાળ દરમિયાન શ્યામસુંદર “જોગી” નો વેશ લઈને મીરાંબાઈને દર્શન દેવા ઉપસ્થિત થયા હતા માટે મીરાંબાઈએ તો યોગેશ્વર શ્રી કૃષ્ણમાંજ તેમના “જોગી” ના દર્શન કાર્ય હતા. આને આજ જોગી પાછળ મીરાંબાઈ સ્વયં મહેલ,વૈભવ અને પોતાનું સર્વસ્વ ત્યાગીને વૈરાગન બની ગયા હતા અને આજ ભાવ તેમના પદો દ્વારા વ્યકત થયેલ છે.મીરાંબાઈના “જોગી” ના પદો માં મીરાંબાઈએ પોતાના ગૂઢ આંતરમનના ભાવો ને શબ્દ દેહ આપ્યો છે જેમાં વિશેષ કરીને વિરહભાવ, દર્શનની ઉત્કંઠા, અને જોગણી રૂપે દાસી હોવાનો ભાવ મુખ્ય છે.

જેમકે નીચેના પદમાં મીરાંબાઈએ એજ જોગીની વિરહવેદના વ્યકત કરી છે.આનંદસ્વરૂપ પરમાત્માના અંશ સમાન આ જીવ સ્વાભાવિક રીતેજ એ આનંદરૂપમાં તદ્રુપ થઇ જવામાટે વ્યાકુળ થઇ જાય છે પણ પરમાત્માના માં એકાકાર થવું એમ કઈ સુલભ નથી…અને જીવને એ મિલનની વિરહવેદના થાય  છે. કંઈક આવોજ ભાવ મીરાંબાઈએ આ પદમાં વ્યક્ત કર્યો છે

जोगियाजी छाई रह्या परदेश
जबकिबिछड्या फेर न मिलिया, बहोरि न दियो संदेस
या तन ऊपरी भसम रमाउ खोर करू सिर केस
भगवा भेख धरु तुम कारण, ढूंढत च्यारूं देस
मीरां के प्रभु राम मिलणकूँ जीवनी जनम अनेस

મીરાંબાઈ જાણતા હતાકે આ જોગીનો સાક્ષાત્કાર થવોએ સ્થૂળ ઇન્દ્રિયોના અનુભવનો વિષય નથી. એ એક રહસ્યમય આંતરિક અનુભૂતિ માત્ર છે. કંઈક આવોજ ભાવ મીરાંબાઈએ નીચેના પદમાં રજુ કર્યો છે.  

तेरो मर्म नहीं पायो रे जोगी
आसान मांडी गुफा में बैठो, ध्यान हरी को लगाया
गल बिच सेली हाथ हाजरियो, अंग भभूति रमायो
मीरां के प्रभु हरि अविनाशी, भाग लिख्यो सही पायो

મીરાંબાઈ નીચેના પદમાં શ્યામસુંદર પ્રત્યે સંપૂર્ણ શરણાગતિનો ભાવ વહેતો મુકતા કહે છે કે જે રીતે આંગણાની બહાર ઝરમર ઝરમર વરસાદ પડવાથી કાદવ કીચડ થાય છે તેજ રીતે સંસારની અનેક ઈષ્ટ-અનિષ્ટ પરિસ્તિથીઓ ના લીધે ચિત્ત અસ્થિર થઇ જાય છે પણ જેમ લોઢું અગ્નિની જ્વાળાઓ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ રહે છે તેમ અવિચલિત એવા ગિરિધારી ગોપાલના ચરણોની શરણાગતિ હું સ્વીકારું છું

कोई दिन याद करोगे रमते राम अतीत
झिरमिर झिरमिर मेहा बरसे, आँगन मच गई कीच
लोहा औंधे लोहा पहिरे, अग्नि कुंड अधबीच
इत गोकुल उत मथुरा नगरी, मंदिर बना अधबीच
मीरां के प्रभु गिरिधर नगर, हरि चरण दिया चित

તો વળી નીચેના પદમાં મીરાંબાઈ ગિરિધરગોપાલ સાથે તેમનો સંબંધ પૂર્વજન્મથી હતો તે ફરી એક વાર પ્રસ્થાપિત કરે છે.

माई म्हने रमइयो दे गया भेष
हम जाने हरि परम सनेही पूरब जनम कौ लेष
अंग भभूत गले मृगछाला घर घर जपत अलेष
मीरां के प्रभु हरि अविनाशी साईं मिलण की टेक

આમ મીરાંબાઈ એ તેમના જોગીના પદો દ્વારા પણ પરમાત્મા શ્રી કૃષ્ણને જ આરાધ્યા છે. શ્યામસુંદર યોગેશ્વર શ્રી કૃષ્ણ કે જે અનાસક્ત અને નિર્દ્વંદ્વ છે તેમના દર્શન માટે મીરાંબાઈ સર્વસ્વ છોડીને જોગણ બની રહ્યા.આજ  તેમની શ્યામસુંદર પ્રત્યેની અનન્ય નિષ્ટા અને ભક્તિની સાક્ષી પુરે છે. તો ચાલો આજે મારા ઇષ્ટના ચરણોમાં અનન્ય અને દ્રઢ વિશ્વાસ કરતા હું મારી કલમને આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે મીરાંબાઈના પ્રભુપ્રીતિ ને ઉજાગર કરતા અન્ય પદો ને માણીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

1 thought on “૪૬ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.