૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

સૂર, શબ્દ અને સંગીતને ક્યારેય સરહદરૂપી સીમાડા નડ્યા સાંભળ્યા છે? સંગીત તો એક એવી ઊર્જા છે જે તન, મનની ચેતનાઓને ઊર્જિત પણ કરે અને ઘેરા ભાવમાં પણ ખેંચી શકે. આ ગીત સંગીત તો સદીઓથી આપણા તન, મનની ચેતાઓને માત્ર જાગ્રત કરતાં આવ્યા છે એના કરતાંય જીવનના અનેક ગૂઢ સત્ય સમજાવતા ય આવ્યા છે..

અવિનાશ વ્યાસના આવ્યા પહેલાં ય ગુજરાતી ગીતો લખાતા અને ગવાતા આવતા જ હતા. જે સમયે ગીતો કોને કહેવાય એવી સમજ ઉગે એ પહેલાંથી આપણા પહેલાની ઘણી બધી પેઢી પણ આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો ય લલકારતી જ હતી ને?  પરંતુ અવિનાશ વ્યાસ આવ્યા અને એમણે નવા જ પ્રકારના ગીતો લખ્યા-સંગીતબદ્ધ કર્યા અને સાવ અનેકવિધ રચનાઓ આપી અને ગુજરાતી સંગીતનાના પર્યાય કહી શકાય એવા ગીતકાર-સંગીતકાર તરીકે ઓળખાયા.

જેવી એમની રચનાઓ અનોખી એવા વ્યક્તિ તરીકે પણ અનોખા.

કહેવાય છે કે અવિનાશ વ્યાસ એટલા તો મોકળા અને ઉદાર મનના હતા કે ક્યાંક એમની ટીકા થઈ છે એવું લાગવા છતાં કોઈની સાથેના એમના સંબંધમાં ઉણપ, ઓટ કે ખોટ આવી નહોતી. સુગમ સંગીતની વ્યક્તિ હોવા છતાં ફિલ્મના પ્રોડ્યૂસર કે દિગ્દર્શકને પણ ક્યારેય નિરાશ કર્યા નહોતા.

આજ સુધી ઘણીવાર એવું સાંભળ્યું છે જે અવિનાશ વ્યાસે ‘ રાખના રમકડાં’ની રચના કરી એ એક માત્ર રચના આપી હોત તો પણ એ અમર થઈ ગયા હોત.

પણ આ ‘રાખના રમકડાં’ એમના માટે લાખના પૂરવાર થયા એવું એમની વાતમાં પડઘાય છે. એ કહે છે કે “ આ ગીત તો મને ગીત તરીકે ગમે જ છે પણ આ ગીતે તો મારી પર જે ઉપકાર કર્યો છે એના લીધે પણ ગમે છે.” એમના કહેવા મુજબ એમનું આ ગીત એટલું તો લોકપ્રિય, લોકભોગ્ય બન્યું હતું કે ને ૧૯૪૯ની સાલમાં એટલે કે ૭૧ વર્ષ પહેલાં એમને આ ગીતે એમને રોકડા પચીસ હજાર રૂપિયા અપાવેલા એટલે એમના માટે રાખના રમકડાં લાખના રમકડાં નિવડ્યા એટલું જ નહીં ‘મંગળફેરા’ ફિલ્મમાં રજૂ થયેલા તેમના આ ગીતનું તો વિક્રમી વેચાણ થયું. એ.એમ.વી કંપનીએ તેમને દસ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રોકડા રૂપિયા એ જમાનામાં આપ્યા.

સૌને યાદ તો હશે જ એ ભજન..

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

આજે અચાનક આ ભજન કેમ યાદ આવ્યુ હશે? ખબર નહીં કેમ પણ ગમે એટલો પ્રયત્ન કર્યા પછી આજે આ ભજન મનને ઘેરી વળ્યું છે કદાચ આપણી આસપાસના ઉદ્વિગ્ન વાતાવરણની મન પર અસર થઈ જ જતી હશે એટલે?

ચારેકોર કોરોનાના વણદિઠ્યા અને તેમ છતાં આખા વિશ્વને ભરડામાં લેતા આતંકની મન પર છવાયેલી અસર હશે?   એવું જ હશે….

પણ અવિનાશ વ્યાસ કહેતા કે, “ સુખ કે દુઃખની પારાકાષ્ઠાથી પીડતી કોઈ એક વ્યક્તિનું કાળજું ચીરીને કોઈ ચીસનો ચિત્કાર બહાર નીકળી પડે, કોઈ અજંપાનો ઉજાગરો વેઠીને વેદનાની વાણી ઘાયલ થઈને ગાય ત્યારે જ ઍબ્સોલૂટ પોયેટ્રી (પૂર્ણ કાવ્યસૌંદર્ય)નો જન્મ થાય. બાકી બધા ફાંફા.”

હવે આપણને એ તો ખબર નથી કે સુખ-દુઃખની કઈ પારાકાષ્ઠાની અનુભૂતિ એમને થઈ હશે કે કેવા અજંપાની, વેદનાની ઘાયલ ક્ષણો એમના જીવનમાં આવી હશે ત્યારે આ ભજનનો આવિર્ભાવ થયો હશે? પણ આજે આ ક્ષણે એ વાત કેટલી તથ્યવાળી બની રહી છે એ સમજાય છે. આપણે પણ સહુ રાખના રમકડાં જ છીએ અને અહીં આ સંસારમાં છીએ એ પણ આપણા કારણે તો નથી જ. આ ઉપર બેઠેલા રામે આપણને જ્યાં સુધી રમતાં રાખ્યા છે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ. એ પછીની ક્ષણે તો આ માનવદેહ પણ રાખનો ઢગલો જ ને? આપણી રમતો પણ એણે જ નિર્ધારેલી ને ? આપણે તો ખાલી અમથા જ એવા ભ્રમમાં રહ્યા કર્યા કે જે કંઈ છે એ આ સંસારમાં આપણે માંડેલી રમત છે.  જ્યારે એક સામટો, ઓચિંતો એ ભ્રમ ભાંગી ગયો કે આપણે તો માત્ર આ નિશ્ચિત કરેલો સમય પસાર કરી રહ્યા છીએ. નિશ્ચિત કરેલા જીવનપથ પરથી સાવ અજાણભાવે પસાર થઈ રહ્યા છીએ પણ કાળ તો એની પાંખો આમતેમ વીંઝતો ભમ્યા જ કરતો હોય છે. ભલેને એ કોઈપણ સ્વરૂપે કેમ ન હોય? આજે એ કોરોનાના સ્વરૂપે એની પાંખ વીંઝવા માંડ્યો છે ત્યારે એ કોને અને ક્યારે એની અડફેટમાં લઈ લેશે એની જ આપણને જરાય જાણ નથી હોતી પણ  એની ઝપટમાં જે આવે એ તો પળવારમાં રાખ…..એ વાત નિશ્ચિત.

આજે તો બસ આટલું જ……

Rajul Kaushik
http://www.rajul54.wordpress.co
m

કલમના કસબી : કનૈયાલાલ મુનશી -32

ગત અંકમાં આપણે મુનશીની કેટલીક નવલિકાઓ વિશે વાત કરી. જેમ સચિન તેંડુલકર ટેસ્ટ મેચ રમે, વન ડે રમે કે 20-20 રમે…..પ્રેક્ષકોને માટે તો એ રમત એક લ્હાવો જ હોય છે. મુનશી માટે પણ કંઇક એવું જ કહી શકાય. મુનશી ઐતિહાસિક નવલકથા લખે, પૌરાણિક નવલકથા લખે, સામાજિક નવલકથા કે નાટક લખે કે પછી એ નવલિકાઓ જ કેમ ન હોય….મુનશીને વાંચવા એક લ્હાવો છે.

આ વખતે વાત કરવી છે મુનશીની નવલકથા ‘ ભગ્ન પાદુકા ‘ ની. નામ સાંભળતાં જ વાચકોના મનમાં અનેક પ્રશ્નોની વણઝાર ખડી થશે.એ કોની પાદુકા હશે… ભગ્ન છે તો અતિ પુરાતન હશે…ત્યાં કોણ આવતું હશે…એનું કંઈ રહસ્ય હશે… કથા ઐતિહાસિક હશે કે કાલ્પનિક …વગેરે વગેરે…તો આવો જાણીએ….

મુનશીએ 1948માં આ નવલકથા લખવાની શરૂ કરી ને ‘જન્મભૂમિ’માં ક્રમશ: પ્રગટ થયા પછી 1955માં પુસ્તકરૂપે પ્રગટ કરી. આ કથામાં ઇ.સ. 1300ની આસપાસના સમયખંડની ગુજરાતની તવારીખ પર આધારિત ઇતિહાસ, પાત્રો અને સામાજિક જીવનની વાત છે. સલ્તનત સમયના રીત રિવાજો સાથે મુસ્લિમોનાં ગૃહ અને સામાજિક જીવનનું જ્ઞાન કે અનુભવ તો મુનશીને ક્યાંથી હોય..તેથી મુનશી કહે છે કે નવલકથાકારની સર્જનશક્તિને કેવા પ્રકારની મર્યાદા છે તેનો આ નવલકથા લખતાં તેમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો.

મુનશી પોતાની કથામાં માનવેતર પાત્રો પણ સર્જે છે. અહીં પણ યમુના નદીના કિનારે વડના ઝાડ નીચે ધૂળથી છવાયેલ ભગ્ન પાદુકા પર ઠંડા પ્રકાશના તણખા ઉડતા હોય, ત્યાં કોઈ ઠીંગણો માણસ પાદુકા પર ઊભો હોય, ચંદ્રકિરણોની બનેલી હોય એવી પારદર્શક,ગુજરાતી ઢબે પાટણની ચૂંદડી પહેરેલી, કપાળે સિંદૂર, આંખોમાં કાજળ, વાળમાં સિંદૂર, હાથો ગુલાલભર્યા હોય એવી અતિ સુંદર સ્ત્રી લાંબા વિખરાયેલા વાળ સાથે પાદુકા પર માથું ટેકવીને બેઠી હોય ને અચાનક અલોપ થઈ જાય એવા રહસ્યમય ઘટનાક્રમ સાથે કથાની શરૂઆત થાય છે. પછી આ પાદુકા પર આવતાં પાત્રો – દેવળદેવી, મલિક કાફુર અને ગજાનન પંડિતના મુખે આખી કથા કહેવાઈ છે.

કર્ણદેવ વાઘેલા સારો રાજકર્તા અને વીર યોદ્ધા હતો પણ તેનો સંસ્કારી બ્રાહ્મણ પ્રધાન એવો માધવ પ્રધાન વેર માટે મ્લેચ્છો  સાથે મળી સમસ્ત દેશનું સત્યાનાશ વાળે છે. એ અદ્ભૂત વીરતાના સમયમાં કર્ણદેવ વાઘેલા રણ છોડી નાસી જાય છે. તેની રાણી કમલાદેવી પણ જૌહર કરવાના બદલે સુલતાનના જનાનામાં રહે છે, જે તે કાળની ક્ષત્રિય કુલપરંપરાથી વિપરીત છે.

સુલતાન અલાઉદ્દીન ખીલજી ક્રુર, ઘાતકી ને ખટપટિયો હતો. તેના દુશ્મનો પ્રત્યે તે નિર્દય હતો. એને ધર્મની પરવા ન હતી. કાફૂર અને ખુશરુ જેવા વટલાયેલા મુસલમાનોની મદદથી એ રાજ્ય ચલાવતો. રાજપૂતો ટેક રાખી પ્રાણાર્પણ કરતા ગયા. છેવટે તેઓ એમના સમાજના,રાજ્યનીતિના અને યુધ્ધકલાના દોષોના કારણે હાર્યા. આ વાત પણ મુનશીએ બખૂબી આ કથામાં સજીવન કરી છે.

મલિક કાફુર  એ ઐતિહાસિક પાત્ર છે. એ અસલ હિન્દુ હતો ને પછી મુસ્લિમ બન્યો. એ ખ્વાજા હતો, હજાર દીનારે વેચાયેલો ખંભાતમાં રહેતો કોઈનો ગુલામ હતો, સાથે વિકૃત વાસનાથી  લોકોને મોહિત કરનાર હતો. તેણે પોતાની મોહિનીથી અલાઉદ્દીનને પણ વશ કરેલો. 

તે સમયે પ્રવર્તમાન ભયંકર સંઘર્ષનું દર્શન મુનશી દુઃખી, કચડાયેલી જનતા અને સ્વદેશભક્તોની દ્રષ્ટિએ  કરાવે છે. તુર્કો અને અફઘાનોના આક્રમણના કારમા કાળમાં હિન્દુ યોદ્ધાઓ કપાઈ મૂઆ પણ તેમણે પોતાના ધર્મ, રીતિ કે ટેક ન છોડ્યા.  યુદ્ધકલા અને વિનાશકતામાં કુશાણોને પહોંચી વળવાનું સામર્થ્ય ના ધરાવતા હોવાથી રાજવીઓ હાર્યા. છતાં સમસ્ત જનસમુદાયે અહિંસક બળથી  વિદેશી અને વિધર્મીઓનો પ્રતિકાર કર્યો એટલું જ નહિ પણ ધર્મ, નીતિ ને સામાન્ય વ્યવસ્થા સાચવ્યાં. શાંતિના સમયમાં ભલે આપણને સંકુચિત લાગે પણ સ્વરક્ષણ અને પ્રતિરોધ કરવાના આશયથી ન્યાતવ્યવસ્થા સુદ્રઢ કરી.

આ કથાના નાયક, જેમની ભગ્ન પાદુકાના દર્શન થકી દેવળદેવી, મલિક કાફુર અને ગજાનન પંડિત કૃતાર્થ થાય છે, એ ગુર્જરભૂમિના નર શ્રેષ્ઠ,ગંગેશ્વર મુનિ ઉર્ફે બાડા મહારાજ છે. જ્યારે અલાઉદ્દીનના સૈન્યે ગુજરાત ફૂંકી મારવાની શરૂઆત કરી ત્યારે બાડા મહારાજ જેવા સાધુઓની પરંપરા વડે જ આપણા ધર્મ અને સંસ્કાર ટકી રહ્યા. નહિ તો ગુજરાતમાં ધર્મ ને સંસ્કાર આજે છે તેટલે અંશે કાયમ રહે તે અસંભવિત છે. બાડા મહારાજ રાજા અને લોકો બંનેને માર્ગદર્શન આપતાં. જેની અસર હેઠળ ઘોર વિનાશકતાની સામે લોકોએ અસહકાર, આત્મસમર્પણ ને સ્વસંસ્કારને વળગી રહેવા મક્કમતાના અજેય કોટ ચણ્યા. તેથી જ તો અત્યાર સુધી ધર્મ, સંસ્કાર, સાહિત્ય, પ્રણાલિકા, આદર્શ  અને આત્મસિદ્ધિના માર્ગો સુરક્ષિત રાખ્યા. પોતાના સ્વમાન અને સ્વસંસ્કાર રક્ષ્યા.

આ નવલકથાનું આખું વહેણ જ વેદનાસભર છે. એનાં પર ઉગ્ર અને વ્યગ્ર વાતાવરણ હાવી થતું નજરે પડે છે. તેથી એમાં ઉલ્લાસ ને વિજયનો આનંદ આવી શક્યો નથી. અહીં વાચકને ચોતરફ નિરાશાના, ભયાનક, ઘૃણાભર્યા કે અધમ પાત્રો દેખાયા કરે છે. ‘ભગ્ન પાદુકા’  વાચકને એ યુગ તાદૃશ કરવામાં કામિયાબ રહે છે.

પાનખરના તૂટેલાં પર્ણો જ વાસંતી પુષ્પો તરફ દોરી જાય છે. નિરાશાની કાજળ ઘેરી રાત્રિઓ વચ્ચે જ આશાની ઉષાનો ઉદય થતો રહ્યો છે. માનવ ઇતિહાસ વિરોધાભાસોથી સભર રહ્યો છે. સત્ય, પ્રેમ, કરુણા તેના આદર્શો રહ્યા છે. પરંતુ યુદ્ધો, વેર અને ધિક્કાર તેમ જ શોષણની કહાનીઓ વચ્ચે થઈને જ આજનો માનવ સમાનતા અને વિશ્વબંધુત્વની વાતો કરતો થયો છે. વિનાશ એ નવસર્જનનું પ્રથમ ચરણ રહ્યું છે. શાંતિની શોધ યુધ્ધોની વિભિષીકાઓનો જ પરિપાક રહ્યો છે. સદીઓથી પાનખર આવતી રહી છે અને તેની સાથે જ વસંતના વાયરાનો અનુભવ થતો રહ્યો છે. આપણે ઇતિહાસને તટસ્થ સ્વરૂપે જોઈએ અને નવી વસંતની પ્રતિક્ષા કરીએ….

રીટા જાની

૩૩ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાંબાઈના પદોને સથવારે…. ગોપીઓનો અનન્ય પ્રેમ

निरपेक्षं मुनिं शान्तं निर्वैरं समदर्शनम् ।
अनुव्रजाम्यहं नित्यं पूयेयेत्यङ्‍घ्रिरेणुभि: ॥ १६ ॥

          ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અનન્ય હતો. ગોપીઓના અનન્ય પ્રેમને સ્વયં ભગવાને સ્વીકૃતિ આપેલ છે. શ્રીમદ ભાગવતના ૧૧માં સ્કંધના ઉપરના શ્લોકમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે જેઓ મન,વચન,કયાંથી મને પૂર્ણસમર્પિત હોય અને કામ,ક્રોધ,મોહ,અહંકાર જેવા માયાના આવરણોથી પર હોય તેવા મારા પ્રાણપ્રિય ભક્તોની ચરણરજથી મારી જાતને પવિત્ર કરવા હું સદા તેમની પાછળ પાછળ ફર્યા કરું છું. વ્રજમાં ભગવાન ગોપીઓ પાછળ આજ કારણથી ફર્યા કરતા હતા કારણકે ગોપીઓ તેમના શ્યામસુંદર ને સર્વસમર્પિત હતી. અહીં ભગવાનની ભક્ત પાછળ ઘેલા થવાની વાત છે – તેજ દર્શાવે છે કે ગોપીઓનો તેમના શ્યામસુંદર પ્રત્યેનો પ્રેમ એક શુદ્દદ્વૈત પ્રેમ હતો. એક નિર્મળ, નિર્વિકાર અને નિરુદ્દેશ્ય પ્રેમ હતો. ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલે માત્ર સર્વાત્મ સમર્પણ પૂર્વકના પ્રેમની પરાકાષ્ટા નો પર્યાય.

ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલે માધુર્યભાવ નો અનંત સ્તોત્ર. કહેવાયછે કે ભક્તિમાર્ગમાં ભક્ત પાંચ જુદા જુદા ભાવથી પ્રભુની સમીપે જઈ શકે. શાંત ભાવ, વાત્સલ્ય ભાવ, દાસ્ય ભાવ, સખ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ માધુર્યભાવ એક અલૌકિક ભાવ છે જેમાં પ્રભુને આપણા પ્રિયતમ કે પ્રિયજન તરીકે સ્થાપિત કરીએ છીએ. મીરાંબાઈ – જે પૂર્વજન્મના ગોપી હતા તે પણ ગિરિધર ગોપાલને માધુર્યભાવે જ ભજતાં હતા. મીરાંબાઈએ ગોપીઓના આ નિર્મળ, નિર્વિકાર અને નિરુદ્દેશ્ય પ્રેમને તેમના પદો દ્વારા ખુબ સુંદર રીતે પ્રગટ કર્યો છે. 

જેમકે નીચેના પદમાં મીરાંબાઇ ગોપીઓની પ્રેમસભર સંવેદના વહેતી મુકતા કહે છે કે આ મનમોહક શ્યામસુંદરે તો જાણે જંતર ભણીને અમારા પર કામણ કીધા છે અને આ લાલનના લોચનિયે અમારા દિલ લઇ લીધા છે.

લાલને લોચનિયે દિલ લીધા રે, લાલને લોચનિયે દિલ લીધા રે
જંતર ભણી વહાલો મુજ પર દરે વહાલો, વેળા-કવેળાના કામણ મને કીધા રે
જળ જમનાના જળ ભરવા ગયા તા વહાલા, ઘૂંઘટડામાં ઘેરી લીધા રે
ચુન ચુન કળીયો વાળી સેજ બનાવું વહાલા, ભ્રમર પલંગ સુખ લીધા રે
મીરાં બાઈ કે પ્રભુ ગિરિધર ના ગુણ, ચરણ કમલ મેં ચિત્ત ચોરી લીધા રે.

તો વળી નીચેના પદમાં મીરાંબાઈ ગોપીની  શ્યામસુંદર પ્રત્યેની અનન્ય પ્રીત છે તેની સંવેદનાઓને વાચા આપે છે અને કહે છે કે બીજી બધી સાંસારિક જંજાળ તૂટી ગઈ છે કારણકે મને તો મારા ગોપાલની લત લાગી છે.

मोरी लय लगी गोपाल में
मेरो काज तो कौन करेगा, मेरे चित नन्दलाल छे
वृन्दावन की कुञ्ज गलिनमे, जपती तुलसी माल छे
मोर मुकुट पीताम्बर शोभे, गाल मोतिन की माल छे
मीराँ के प्रभु गिरिधर नागर, टूट गई जंजाल छे

નીચેના સુંદર પદમાં મીરાંબાઈ ગોપીઓ વતી કનૈયાને વિનવેછે કે તું મારી પાસે છાનો-છપનો આવજે અને રસ્તો છોડીને ગલીમાંથી આવજે, અને કામલી ઓઢીને આવજે એટલે તને કોઈ ઓળખીના શકે.કેટલો સુંદર ભાવ? ગોપીઓ સાંસારિક બંધનોને આધીન છે પણ આ બંધનો તેને કનૈયાને મળવામાં અને પ્રભુ-પ્રાપ્તિ સુધી પહોંચવામાં રોકી શકતા નથી અને આવા નિર્મળ નિર્વિકાર પ્રેમના પ્રતિસાદ રૂપે કનૈયો ખરેખર વેશ બદલીને ગોપીઓને દર્શન દેવા પહોંચી પણ જતો હતો.  

कनैया प्यारे आवज्यो छाने छाने
रास्तो छोड़ गलीसे आज्यो सभी पिछाणे थाने
मैं समझाऊ तोय सांवरा बात करुली छाने
काली कमली ओढ़ कर आज्यो कोई न पिछाणे थाने
पड़ोसन के आय बेठ्यो वा कह देसी माने
दाऊदयाल को खबर पड़े न मैया देगी ताने

ગોપીઓનો કનૈયા વગર ચાલતું ય નહિ અને કનૈયાના તોફાનોથી ત્રાહિમામ પોકારી જવાય ત્યારે કનૈયા સાથ ફાવતું પણ નહિ…આવીજ કાંઈક સંવેદનાઓને મીરાંબાઈએ નીચેના પદમાં રજુ કરીછે.ગોપીઓ કનૈયાના નટખટ તોફાનો થી કંટાળીને ઘણી વખત મનમાં એવું કનૈયાની સાથેની પ્રીતને તોડી નાખવાનું વિચારતી અને કનૈયા થી રિસાઈ જવાનું પણ વિચારતી પણ તેનો કોઈ કાળે અમલ કરી શકતી નહિ.

तोड़ी टूटे नाय सखी सांवरा की प्रीतलड़ी
वृन्दावनमे धेनु चरावे, गावे गीतलड़ी
गोरख के मिस बाँह मरोड़ी, या काई रीतलड़ी
कुञ्ज कुंजमे भटकत डोले, करके प्रीतलड़ी
मोहन हर गला का तोडा, करे अनिताड़ली
दासी करि पटरानी सांवरो, आड़ी भीतलड़ी
मीराँ कहे प्रभु गिरिधर नगर, आवे रिसदली

ચાલો આજે ગોપીઓના ગોપાલ પ્રત્યેના અનન્ય પ્રેમનું ચિંતન કરતા હું મારી કલમને આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ

Image Courtesy: https://tamilandvedas.com/tag/gopis/

૩૨ – કબીરા

કબીરની ઓળખ જનસમાજ સાથે કરાવનાર હજારીપ્રસાદ દ્વિવેદીની નજરે કબીર

હજારીપ્રસાદ દ્વિવેદી હિન્દી સાહિત્યનું એવું મોટું નામ કે તેમણે ૧૯૫૭માં પદ્મભૂષણથી નવાજવામાં આવેલા.ઉત્તરપ્રદેશનાં બલિયા જિલ્લાનાં દુબેકા છપરા ગામમાં તેમનો જન્મ થયો હતો,અને પ્રારંભિક શિક્ષણ તેમણે સંસ્કૃતમાં લીધું હતું.કાશી વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષશાસ્ત્રમાં આચાર્યની પદવી લઈ વીસ વર્ષ સુધી શાંતિનિકેતનમાં હિન્દીભવનનાં નિર્દેશક રહ્યા અને કવિવર ટાગોર અને ક્ષિતિ મોહન સેન અને તેમના જેવા અનેક વિદ્વાનો સાથે સાહિત્યગોષ્ટી કરી.મારા પ્રિય વાચકો,તમને થશે કબીરની વાતમાં હજારીપ્રસાદની વાત ક્યાં આવી?

હા,તો તેનું કારણ એ છે કે વિદ્વાન હીન્દી સાહિત્યકાર પચૌરી અને હરીશ નવલનું કહેવું છે કે”આજ કબીર ,દ્વિવેદીજી કી વજહ સે દુનિયા કે સામને હૈ,ઔર દ્વિવેદીજીને હી જનમાનસકો કબીર કા પરિચય કરવાયા હૈ.દ્વિવેદીજીને હિંદી સાહિત્યકા ઈતિહાસ નયે ઢંગ સે લિખા જો પરંપરા ઔર આધુનિકતા કા દ્યોતક હૈ.”

દ્વિવેદીજીને  સંસ્કૃત,પાલી,પ્રાકૃત,અપભ્રંશ ,હિંદી,ગુજરાતી,પંજાબી આવી કેટલીયે ભાષાનું ઊંડું જ્ઞાન હતું.તો ચાલો જોઈએ કબીરને તેમની નજરે….

વિદ્વાન હજારીપ્રસાદે કબીરનાં જટિલ વ્યક્તિત્વનું ,સત્ય સ્વરુપ શોધવાનું શ્રેય પ્રાપ્ત કર્યું છે.તેમણે કબીરની સાચા અર્થમાં કરેલી આત્મખોજ કોઈ આવિષ્કારથી ઓછી અંકાય તેમ નથી.તે પણ એમ જ કહે છે કબીરને શોધવા અને સમજવા કબીર જ બનવું પડે.તેમણે ૧૯૭૧માં લખેલ ‘કબીર ‘ પુસ્તકમાં તે ટાંકે છે “કબીર બનવા માટે માનવ માનવ વચ્ચે રહેલા કૃત્રિમ ભેદ મિટાવીને,જાતિ-પાંતિની દિવાલો તોડીને,બાહ્યાડંબરની જાળને તોડીને,નશ્વર શરીરથી ઈશ્વરનાં અમૃતરસનું પાન કરી જે આત્માથી પરમાત્માનું દર્શન કરી શકે તે નર્કને મોક્ષમાં બદલી શકે છે અને તે જ કબીર બની શકે છે.કબીરની માન્યતાઓને મોટા મોટા વિદ્વાન અને જ્ઞાનીઓએ પણ નતમસ્તક થઈ સ્વીકારી છે.એટલે જ કબીર સમાજમાં હંમેશા લોકપ્રિય રહ્યા છે અને લોકોએ તેમનો સહજ સ્વીકાર પણ કર્યો છે.”
પોતાની સાચી વાત કે માન્યતાને, પોતાની જાત પર અડગ આત્મવિશ્વાસ રાખી ,દુનિયાથી નહીં ડરીને, તેની પર દટાયેલા રહેવાની અદ્ભૂત વાત કબીરે આપણને શીખવી છે.

દ્વિવેદીજીએ ‘કબીર ‘પુસ્તકમાં કબીરને ખૂબ ઝીણવટથી નિરુપ્યા છે.” કબીર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને માનતા એટલે પંડિતો અને શેખો પર આક્રમણ કરવામાં તે ક્યારેય પાછા ન પડ્યા.કબીર હિદું કે મુસ્લિમ નહીં પણ બધાં જ ધર્મને એક સમાન માનતા હતા.કબીરની વ્યક્તિત્વની વિશેષતા વર્ણવતા તે કહે છે કબીર મસ્તમૌલા સ્વભાવે ફક્કડ,ભક્તો સામે આદતથી અક્કડ,ભેદધારીઓ સામે પ્રચંડ,દિલના સાફ,દિમાગથી દુરસ્ત અને દિલનાં કોમળ,બહારથી કઠોર ,જન્મથી અસ્પૃશ્ય,કર્મથી વંદનીય,અને જે કંઈ કહે તે પોતાના જાત અનુભવથી”કેવું સુંદર કબીર દર્શન!!!!

કબીરે ક્યારેય તેમના જ્ઞાન કે ગુરુને કે પોતાની સાધનાને સંદેહભરી નજરે નથી જોઈ.પોતાની જાત પરનો આત્મવિશ્વાસ પણ ક્યારેય ડગ્યો નથી.કબીર વીર સાધક હતા.વીરતા અખંડ આત્મવિશ્વાસ પર વિજય મેળવ્યા વગર પનપતી નથી.કબીરનાં યુગમાં પોતાનાં વિચારો પર દટાઈને રહેવું અને સમાજનો સામનો કરવો તે કબીર માટે એક વિકટ સંગ્રામ જ હતો.કબીર નિર્ગુણ નિરાકારમાં માનતા હતા.પંડિતો અને શેખોએ તેમની પર આક્રમણ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું.

દ્વિવેદીજીએ કબીરમાં એક અનોખા સર્જકનું રૂપ પણ જોયું હશે નહીં તો ઉલટવાસિયોંમાં જીવનદર્શન કેમ શોધે?હિંદી સાહિત્યનાં ઇતિહાસમાં સુરદાસ અને તુલસી પછી કબીરસાહિત્યને ઊચ્ચસ્થાને પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય દ્વિવેદીજીને જાય છે.’કબીર ‘પુસ્તકમાં તે લખે છે”કબીરદાસનો રસ્તો જ ઉલ્ટો હતો પણ સૌભાગ્યવશ એમને સુયોગ સારો મળ્યો હતો.સંસ્કાર પડવાનાં બધાં રસ્તા તેમના માટે બંધ હતા.જૂઓ તે મુસલમાન હોઈને પણ મુસલમાન હતા નહીં,હિદું હોઈને પણ તે હિંદુ નહોતા,સાધુ હોઈને એ સાધુ નહોતા.વૈષ્ણવ હોઈને વૈષ્ણવ ન હતા,યોગી હોઈને યોગી ન હતા- ભગવાને તેમને સૌથી જુદા બનાવી જાણે તેમની તરફથી ખુદાબક્ષ બનાવી મોકલ્યા હતા.કબીર પર ઈશ્વરની એટલી બધી કૃપા હતી જે તેમણે બખુબી નિભાવી હતી.”

દ્વિવેદીજીએ કબીરનાં દરેકે દરેક વિચાર અને વર્તનનું ઝીણામાં ઝીણું વિશ્લેષણ કર્યું છે.કબીર જુલાહા જાતિમાં જન્મ્યા હોવાથી નાથપંથી વિશ્વાસ તેમનામાં સહજ રીતે વિદ્યમાન હતો,તે નામના જ મુસલમાન હતા.એમનું મન યોગીઓનાં સંસ્કારથી સુસંસ્કૃત હતું.યૌગિક સિદ્ધાંતોનું જ્ઞાન તેમને તેમની પાલકમાતા નીરુ પાસેથી મળ્યું હતું.
કબીરની ભક્તિની રીત એટલી સરળ સહજ હતી કે જનસમાજને તે ખૂબ ગમી ગઈ હતી કારણ પોતાનાં જીવનનિર્વાહ ચલાવતાં અને સામાન્ય જીવન જીવતા જીવતા જ તે સૌએ કરવાની હતી.તેને માટે ઘર કે વ્યવસાય છોડવાની વાત જ કબીરે ક્યારેય કરી નથી.આવી ભક્તિ કોઈ યોગીઓ,સિધ્ધો,કર્મકાંડી પંડિતો કે કાજીઓ પાસે હતી નહીં.રામ અને તેની ભક્તિ કબીરને તેમના ગુરુ રામાનંદજીની દેન હતી જેને પામીને કબીર સૌથી ઉપર અને સૌથી આગળ હતા અને એટલે જ કબીરે ગાયું:

“ભક્તિ દ્રવિડ ઉપજી લાયે રામાનન્દ

પ્રગટ કિયા કબીર સપ્ત દીપ નવખંડ”

અનુનાદ પુસ્તકમાં ડો. શશિ પાંડેએ લખ્યું કે દ્વિવેદીજી માને છે “કબીર એ લત્તા છે જે યાેગનાં ક્ષેત્રમાં ભક્તિનું બીજ પડીને અંકુંરિત થઈ છે.અને કબીરનાં સ્વભાવનું વર્ણન કરતાં કહે છે કબીર સત્યના જિજ્ઞાસુ હતા.કોઈ મોહ મમતા એમને એમના માર્ગ પરથી વિચલિત ન કરી શકે.તે માથાથી પગ સુધી મસ્તમૌલા હતા.એવા મસ્ત કે જે પોતાનાં જૂના કર્મોનો હિસાબ નહોતા રાખતા,વર્તમાન કર્મોને સર્વસ્વ નહોતા સમજતાં અને ભવિષ્યની ફિકર નહીં કરી આજમાં જ આનંદ લઈ જીવતાં હતા.”

દ્વિવેદીજી કબીરને તેમના યુગનાં મોટામાં મોટા ક્રાંતિકાર પણ માનતા હતા.કબીરનાં સમયગાળામાં પંડિત,શેખ,મુનિ,પીર,ઓલિયા,કુરાન,રોજા-નમાજ,એકાદશી,મંદિર,મસ્જિદ- આ બધાંએ લોકોના મગજ પર કબજો કરી લીધો હતો.જડ અંધશ્રદ્ધા અને વહેમોથી સામાજિક વાતાવરણ સડી રહ્યું હતું. કબીરને લાગતી બધી ખોટી અંધશ્રદ્ધાનો વિરોધ કરતાં કબીર કોઈનાથી ડર્યા નહીં તેથી તે ખરાઅર્થમાં ક્રાંતિકારી ગણાયા.કબીર કાર્લમાર્કસની જેમ રક્તરંજિત ક્રાંતિની વાત નથી કરતા,તે તો શ્રમને સાચી પૂ્ંજી માની,વિશ્વભરનાં સૌને સુખી જોવા ઈચ્છે છે,અને બીજાનાં દુ:ખમાં દુ:ખી થઈ રાત રાત ભર રડે છે.ભારતીય સંસ્કૃતિનાં સિદ્ધાંતને અનુસરી ,દરેકમાં સમત્વભાવ જોઈ, સંતોષધનને ગળે લગાડવાનો ઉપદેશ આપતા ગાઈ ઊઠે છે:

ગોધન,ગણ ધન,વાણી ધન ઔર રતન ધન

ખાનજબ આવૈ સંતોષ ધન સબ ધન ધુરિ સમાન.

કબીરની પ્રગતિશીલ વાણી,ન કોઈ પૂંજીપતિઓને લલકારે છે કે કોઈની સામે ગિડગિડાય છે તે તો માત્ર સામાન્ય જનસમુદાયને ધનની લાલસાથી બચવાનું કહે છે.

કબીરને તેમણે વાણીનાં ડિક્ટેક્ટર કીધાં કારણ કબીર જેવું ભાષા પરનું પ્રભુત્વ, છંદ સંયોજન,ઉક્તિ વૈચિત્ર્ય,અલંકારોનું સહજતાથી કરેલ વર્ણન અદ્ભૂત હતું.ભાષા પણ જાણે એમની સામે લાચાર થઈને ઊભી હોય તેમ કબીરને જે વાત જે રૂપે પ્રગટ કરવી હોય તેમ તે સચોટ રીતે તેમના મુખમાંથી વાણી પ્રગટ કરી શકતા.

આમ દ્વિવેદીજીએ તેમના આલોચના ગ્રંથ ‘કબીર’ માં સ્પષ્ટ કહ્યું છે કે”કબીર માનવો દ્વારા બનાએલા ભેદો વચ્ચે પણ માનવીય રુપની જ સ્થાપના કરવા માંગતા હતા.એમણે તેમના સંવાદોમાં માનવીય એકતાનું જ બીજ રોપ્યું હતું જે પુષ્પ બની ખીલી ઊઠ્યું હતું ,જે વિશ્વને માનવતાવાદની ભાવનામાં આોતપ્રોત કરવા સમર્થ છે.

દ્વિવેદીજીએ કબીરનાં જીવન,કવન,સ્વભાવ,તેમની ભાવના તેમના વ્યક્તિત્વ,તેમનાં કાર્યો અને ગુણોનું જે રીતે અંશત: વર્ણન કર્યું છે તેમાં શું કબીરસાધનાનું જ દર્શન નથી થતું?

જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 32) મેઘાણીની મર્દાનગીની વાતો

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ ! હા , કસુંબીનો રંગ એટલે કે હિંમત અને મર્દાનગી !
“કુરબાનીની કથા ‘ થી જેમણે સાહિત્ય ક્ષેત્રમાં પ્રવેશ કરેલો( ૧૯૨૦) એ ઝવેરચંદ મેઘાણી પોતે જ પોતાની જાતને પહાડનું બાળક કહેવડાવે છે .
પહાડી પ્રદેશની મુશ્કેલીઓથી ઘડાયેલ મેઘાણી , પિતાનાં મર્દાનગીનાં સંસ્કાર ગળથુથીમાં જ લઈને જન્મ્યા હતા . એટલેકે ગીરના જંગલો અને પહાડોની વચ્ચે પોલીસ થાણામાં ફરજ બજાવતા પિતાની જેમ તેઓ પણ નાનપણથીજ બહાદ્દુરીનાં ગુણ ધરાવતા હતા .

ઝવેરચંદ મેઘાણીમાં રહેલ માણસાઈ ની વાતો , નાનામાં નાની અસહાય , અશક્ત વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને દયાની વાતો આપણે ગયા અઠવાડીએ જાણી . રસ્તેજનાર વટેમાર્ગુની સેવા સુશ્રુષા કરી એને નવજીવન આપ્યું હતું ! પણ એ જ મેઘાણી જે “ધણ રે બોલે ને એરણ સાંભળે “એમ સામાન્ય માનવીની વાત કરે છે એ જ મેઘાણીએ “ સોરઠી બહારવટિયાઓની વાતોય લખી છે ! અરે , એ એવું મર્દાનગી ભર્યું જીવન પણ જીવ્યા છે !
તો નિર્દોષ પ્રજાને બહારવટિયાઓ રંજાળતાં હતાં ત્યારે મેઘાણી બન્દૂક લઈને ખાબક્યા હતા !
હા , એ તો પોતાનો માનવ ધર્મ જ બજાવતા હતા !

એમની મર્દાનગી એમની કલમમાં પણ દેખાતી હતી

પોતાની પાસે કલમની તાકાત હતી એટલે એનો ઉપયોગ દેશની , માતૃભાષાની અને સામાન્ય લોકની ઉન્નતિ કાજે જ કર્યો ! ગાંધીજી જેવા મિતભાષી , જે શબ્દને તોળી તોળીને જ બોલે એમણે મેઘાણીને રાષ્ટ્ર કવિનું આટલું ઉચ્ચ આસન એમ જ નહોતું આપ્યું .
ગાંધીજીએ દેશનાં રજવાડાઓનું એકીકરણ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે ઘણાં રાજવીઓનાં દિલ દુભાયાં હતાં.( ૧૯૩૯ -૧૯૪૦ ) અને એટલે એ સૌએ ફૂલછાબ સાપ્તાહિકને પોતાનાં રાજવાડાંઓમાંથી હદ પાર કરેલ .

( યાદ કરાવું કે સત્યાગ્રહની લડતમાં 1931-32 મેઘાણીને બે વર્ષની સજા થઇ તે દરમ્યાન મેઘાણીનું સૌરાષ્ટ્ર છાપું બંધ થઇ ગયું હતું , જીવનના અતિ કપરા દિવસોમાંથી એ પસાર થઇ રહ્યા હતા . એક તરફ ગાંધીજીની સત્યાગ્રહની લડત શરૂ થઇ હતી અને સદીઓથી ઊંઘતો દેશ અજગરની જેમ પડ્યો રહેલ દેશ ધીમે ધીમે જાગૃત થઇ રહ્યો હતો , ત્યારે જે પણ કારણ હોય – પણ ઝ મે ના પ્રથમ પત્ની દમયંતીબેને નાનકડા ચાર બાળકો મૂકીને અગ્નિ સ્નાન કરેલું ૧૯૩૪ , અને દુઃખ ભૂલવા , એ સ્થાન છોડીને એ હવે મુંબઈ આવીને વસ્યા હતા. જન્મભૂમિમાં નોકરી શરુ કરેલી , પણ નવું શરુ કરેલ ફૂલછાબ માટે પાછા આવેલા ) પણ એ ફૂલછાબ સામે પણ વિરોધના વંટોળો હતા !
મેઘાણીને આ રજવાડાઓ સાથે મિત્રતા હતી એટલે એ રાજવીએ મેઘાણીને પોતાને ત્યાં આમંત્ર આપ્યું . પણ ; “જે ફૂલછાબ સાથે નહીં – જ્યાં ફુલછાબનું અપમાન -તેની સાથે હું નહીં કહીને એમણે એનો અસ્વીકાર કર્યો હતો !” અનુકૂળ પવનમાં તો સૌ પતંગ ચગાવે , આ તો સામે પવને ટકી રહેવાનું હતું !પોતાના સિદ્ધાંતો માટે ઝૂઝવાનું હતું ! પરિસ્થિતિ કેવી વિકટ હતી ! વાચક મિત્રો ! યાદ રાખો કે ફુલછાબમાં તેઓ તંત્રી તરીકે નોકરી કરતા હતા – તેના માલિક નહોતા !
તો બીજી તરફ સાહિત્ય જગતમાં પણ એમનો વિરોધ કરનારો સુજ્ઞ સમાજ હતો જ કે જે એમના સાહિત્યને હજુ પણ શિષ્ટ સાહિત્ય ગણવા તૈયાર નહોતો! ત્યારે રાજા રજવાડાઓનું આમંત્રણ એક પ્રેસ્ટિજ ગણાય ! ત્યારે આમંત્રણ અસ્વીકાર કરવાનું સહેલું નહોતું જ . પન્નાલાલ પટેલ ના “ મળેલાં જીવ” કે રઘુવીર ચૌધરીની સામાન્ય જનની વાર્તાઓ જન્મવાનો હજુ વાર હતી . મેઘાણીના વાવેલ બીજ ઉપર તો આ સૌ સાહિત્યકારો ફૂલ બની ને ઉગવાના હતા !
પ્રજામાં જાગૃતિ આણવા સાહિત્ય રૂપી યજ્ઞ જાણેકે એમણે શરૂ કરેલો !
પણ , આ શબ્દોની તાકાત પણ સો ટચના સોના જેવી હતી , હોં ! જેટલું મનોબળ પાકું હતું એટલું
જ નિર્ભય મન પણ હતું !
કોર્ટમાં મેઘાણીને સજા થઇ ત્યારે બુલંદ અવાજે એમણે ગાયું હતું :
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ !
કલેજાં ચીરતી કંપાવતી આ ભય કથાઓ !
મરેલાંનાં રુધિરને જીવતાંનાં આસુડાંઓ
સમર્પણ એ સહુ વ્હાલા પ્રભુ તારે ચરણ હો !

પોતાના બાળપણની વાતો કરતા એમણે કહ્યું હતું કે લાખાપાદર – જે ગીરના જંગલો પહાડોનું નાકું હતું ત્યાંના આજુબાજુનાં થાણાઓ પણ એમના પિતા સાંભળતા . અને વેકેશનમાં મેઘાણી પિતા પાસે આવે ત્યારે રસ્તામાં ક્યારેક વરસાદ , તોફાન , નદીમાં પૂર આવ્યું હોય કે ઘોડો , ઉંટ કે બીજું કોઈ સાધન ન મળતા , રાતવાસો ગમેતે નેસડામાં – ઝૂંપડામાં કરવો પડતો , એવે સમયે હૈયામાં આભ જેટલી હામ ને બાવળામાં પુરી તાકાત લઈને જ એ નીકળતા !

એક વાર રાણપુર નજીક – એટલેકે જ્યાં ફુલછાબનું કાર્યાલય હતું તે ગામની નજીકના નાનકડા ગામ નાગનેશની ભાગોળે બહારવટિયાઓ ચઢી આવ્યા .. વાવડી અને ધાગરડી ગામના બહારવટિયાઓ લોકોને રંજાડતા . પોલીસોએ આખી રાત ખાડીઓમાં સંતાઈને બહારવટિયાઓને પકડવા પ્રયત્નો કર્યા . ડુંગરોની કોતરોમાં ઉછરેલ , પોલીસ અમલદારનો આ ભડનો દીકરો પણ પોતાની બંધુક લઈને બહારવટિયાઓને પકડવા પોલીસો સાથે જોડાઈ ગયો !! અને આખી રાત જીવન મરણ વચ્ચે કટોકટીની પરિસ્થિતિમાં ગામની રક્ષા કરી !
આજે પણ એ દરશ્ય જો તમે નજર સમક્ષ ઉભું કરશો તો આ કવિની તાકાત પર ફિદા થઇ જશો … જેવું લખવું એવું જ જીવવું !

આ મહાન વ્યક્તિની સામાન્ય વાતોની અસામાન્યતા ની- વાતો આવતે અંકે !

૩૩ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

આમ તો આજે થઈ ૨૪ ઓગસ્ટ…તારીખ વાર બદલાતા જાય એમ ઘરમાં કૅલેન્ડરના પાના પણ ફેરવાતા જાય અને આપણે એક નવા દિવસની શરૂઆત કરવા સજ્જ થઈએ. ગઈકાલ ભૂતકાળ બનીને સ્મરણરૂપે અંકિત થઈ જાય. આ સ્મરણો વહાલા હોય કે વસમા પણ બંને રીતે આપણા મન પર એની અંકિત થયેલી છાપ તો રહી જાય.

આવી આપણા મન પર અંકિત થયેલી યાદ ફરી એકવાર આ ૨૦ ઓગસ્ટના દિવસે સળવળી. ૨૦ ઓગસ્ટ એટલે ગુજરાતી સુગમ સંગીતને એક નવા આયામ સુધી લઈ જનાર અવિનાશ વ્યાસની પુણ્યતિથિ.

આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૫ની ૨૦મી ઓગસ્ટે સૌના લોકલાડીલા અને અતિ ખ્યાતનામ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસે લખેલા સાત ગરબાઓનું આલ્બમ “તાળીમાં કંકુ વેરાય”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આલ્બમના તમામ ગરબાઓ આશા ભોંસલેએ ગાયા છે. અવિનાશ વ્યાસ માટે આશા ભોંસલે જેવી અનેક પ્રખ્યાત વ્યક્તિઓ અત્યંત સન્માન ધરાવતા હતા એ વાત જાણીતી છે.

આટ-આટલા માન સન્માન પછી કોઈ વ્યક્તિ આપખુદ બનતી જાય. એનામાં આપખુદી આવતી જાય પરંતુ એવું લાગે છે અહીં વાત જરા જુદી છે. અવિનાશ વ્યાસની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અનન્ય હશે એવું એમની અનેક રચનાઓ પરથી અનુભવાય છે. જ્યારે જે મળ્યું એ ઈશ્વરની ઇચ્છાનુસાર છે, ઈશ્વરે નિર્ધારેલું છે માટે એ યથાયોગ્ય જ હોય એવી એમની સ્વીકૃતિ, એવી ભાવના એમના ભજનો કે ગીતોમાં વર્તાય છે.

એ કહે છે,

“મારા રામના રખવાળા ઓછા હોય નહીં,

એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહીં.

રામના રખવાળા પર જેને અપાર શ્રદ્ધા હોય, અગમનિગમની વાણી પર ભરોસો હોય, ઈશ્વરે આપેલી એંધાણીના અણસારા પારખવા જેટલી જાગૃતિ હોય એને વળી આવતીકાલની શું ચિંતા?

એનુ ઢોલ અગમથી વાગે, અગમ-નિગમની વાણી ભાખે

એજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહિ

કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે

એજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહિ  

ઈશ્વર પર જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેનામાં એના રામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણની ભાવના હોય એ જ ઈશ્વરે નિર્ધારેલા માર્ગ પર નિશ્ચિંત થઈને ચાલી શકે છે. મીરાંબાઈ પણ એમ જ જીવ્યા હતા…

રામ રાખે તેમ રહીએ ઓધવજી

આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ ઓધવજી

આશરે ૧૫મી સદીમાં કહેલી મીરાંબાઈની વાત ઘણા વર્ષો પછી એવા જ ભાવ આપણા ગીતકાર અવિનાશ વ્યાસના શબ્દોમાં પડઘાય છે ત્યારે એમ થાય કે ફક્ત સમયનું જ અંતર છે બાકી આ બે પેઢીના ભાવોમાં અનેરું સામ્ય હતું.  રામ નામમાં રહેલી એમની શ્રદ્ધાએ એમને વિચારો, ભાવનાની એક સમાન સપાટીએ લાવીને મુક્યા હતા.

સુખ દુ:ખના તડકા છાયા, માયામાં મૂંઝાતી કાયા

એજી એના પાપણનાં પલકારા ઓછા હોય નહિ .

મારા રામના રખવાળા ઓછા હોય નહીં…

રામ પરની અવિનાશ વ્યાસની શ્રદ્ધા અડોલ હોવા છતાં એ મનથી એકદમ તટસ્થ છે. દિલ અને દિમાગમાં વિચારોની સરવાણી જો અલગ રીતે વહેતી હોય તો વ્યક્ત કરવામાં એ એકદમ સ્પષ્ટ છે.

સદીઓથી આપણા આ પુરુષપ્રધાન સમાજમાં સઘળું પુરુષની દ્રષ્ટિએ તોળાય છે. પુરુષ જે કહે, જે કરે એ જ સત્ય એમ માનીને સ્વીકારી લેવાની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ વધતા-ઓછા અંશે એમ અકબંધ છે ત્યારે અવિનાશ વ્યાસ કહે છે કે રામ ભલે ભગવાન તરીકે પૂજ્ય હશે  પણ એક પતિ તરીકે તો ઊણા ઉતર્યા છે અને એ વાત એમણે ડંકાની ચોટ પર કહી છે.

રામ …..

દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને,

છોને ભગવાન કહેવરાવો

પણ રામ તમે સીતાની તોલે ન આવો..

એક બાજુ એમ કહેવાય છે કે  ‘યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા…જ્યાં નારીને પૂજનીય ગણવામાં આવે ત્યાં દેવતાનો વાસ હોય અને તેમ છતાં આ દેવ તરીકે પૂજાતા રામે સીતાનો ત્યાગ કર્યો? અને માટે જ ભલે …..

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ પણ

રામ તમે સીતાની તોલે તો ન જ આવો.

એક બાજુ જો પતિને પરમેશ્વર માનવામાં આવે છે તો જે પરમેશ્વર પત્નીના સતને પારખી ન શક્યા અને એક અદના આદમીની વાત માત્રથી જેણે ચૌદ વરસ એમની સાથે વનવાસ વેઠ્યો એવા સીતાની અગ્નિ પરીક્ષા લેવા તૈયાર થઈ ગયા એ યોગ્ય કહેવાય?

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન
તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ

પણ મારા રામ તમે સીતાની તોલે ન આવો.

વિચારોની ભિન્નતા હંમેશા રહેવાની જ. જેમને રામ તરફ માત્ર શ્રદ્ધા જ છે એ તો રામે કર્યું એ સાચુ એમ આજેય માને છે. થોડા દિવસ પછી વિજ્યાદશમી આવશે. ઠેર ઠેર રામનો જય જયકાર થશે અને રાવણના પૂતળા બળશે પણ એવી ભક્તિને , એવા ભક્તો માટે અવિનાશ વ્યાસ એક સવાલ કરે છે કે ભલે તમે રામને વિજયી કહેવડાવો. પણ શસ્ત્ર ઉપાડ્યા વગર માત્ર પોતાના સ્ત્રીત્વના બળે સીતાએ રાવણમાં રહેલા પુરુષને હંફાવ્યો, રાવણમાં રહેલા દૈત્યને જે રીતે હરાવ્યો એવા રાવણને માર્યો એમાં રામે કયું પરાક્રમ કર્યુ?

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે.

રામને, રામમાં રહેલા દૈવત્યને ભજવું એ વાત સાચી પણ સાથે એમના સીતા સાથેના વ્યહવારથી મનને જે પીડા પહોંચી છે એને આવી નિર્ભિકતાથી વ્યકત અવિનાશ વ્યાસ જ કરી શકે.

ત્રાજવાનું પલ્લુ એકપણ તરફ ન નમે એવી તટસ્થતા રાખીને જે સારું છે એને સરસ કહેવું અને યોગ્ય હોય ત્યાં સત્યને ઉજાગર કરવું એ અવિનાશ વ્યાસે આપણને શીખવ્યું છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી -31

સવાર પડે છે …
પ્રભાતના પુષ્પો ખીલે છે…
ઉષાના રંગો પ્રગટે છે…
સૂર્યનો સારથી અરુણ સાત અશ્વો સહિત આદિત્યની સવારી લઈ આવી પહોંચે છે…
ઉષાના  રંગોથી આસમાન છવાઈ ગયું છે…
કદાચ આજે સાહિત્યના આસમાનમાં પણ આપણે કંઇક આવું જ અનુભવી રહ્યા છીએ…
ગુજરાતી સાહિત્યના આસમાનમાં કનૈયાલાલ મુનશીની નવલિકાઓના રંગો માણી રહ્યા છીએ…
તો ચાલો વિહરીએ…એક નવા આસમાનમાં…નવા રંગો સાથે…

મોટા ભાગની વાર્તાઓમાં લેખકે કથિતવાર્તાની આયોજનરીતિ સ્વીકારી છે. સમાજમાં પ્રવર્તતા અનેક અનિષ્ટો, રૂઢિના નામે ખોટા આડંબર અને કુરિવાજો, સ્ત્રીશિક્ષણ, સ્ત્રી સ્વાતંત્ર્ય અને સમાજમાં સ્ત્રીઓની દયનીય સ્થિતિને વાર્તાના માધ્યમથી રજૂ કરી લોકજાગૃતિ આણવાનો મુનશીનો પ્રયાસ પ્રશંસનીય છે.

વાચકને મુનશી નામ સાથે જ ઉચ્ચ અપેક્ષાઓ બંધાઈ જાય  છે. મુનશી જેટલા સમર્થ નવલકથાકાર છે તેટલા સમર્થ નવલિકાકાર નથી એવું વાચકને લાગે તો એમાં નવાઈ નથી.
મુનશી પાસેથી એક જ વાર્તાસંગ્રહ ‘મારી કમલા અને બીજી વાતો’ (૧૯૨૧, પછીથી ‘નવલિકાઓ’) મળ્યો છે. નવલિકાઓના માધ્યમથી તેમણે હિંમતભેર  ત્યારના સમાજમાં પ્રવર્તતા સામાજિક અનિષ્ટો અને રૂઢિચુસ્ત માનસને તીવ્ર કટાક્ષ દ્વારા ખુલ્લા પાડયા. વાચકોના દિલને સ્પર્શી જાય, વાચકને એ સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવા મજબૂર કરે એવો ઘા તેમની નવલિકાઓ વાંચીને થતો. ‘ગોમતીદાદાનું ગૌરવ’,  ‘શામળશાનો વિવાહ’ ,‘ખાનગી કારભારી’ આ શ્રેણીમાં આવી શકે. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ અને ‘ખાનગી કારભારી’માં રમૂજ, કટાક્ષની સાથે સાથે લેખકની વસ્તુગ્રથનની દ્રષ્ટિ પણ જોવા મળે છે.

‘ગૌમતિ દાદાનું ગૌરવ’ એ જ્ઞાતિવાદ પર તીવ્ર કટાક્ષ છે. ઉચ્ચ જ્ઞાતિમાં જન્મના કારણે અવાસ્તવિક કુલાભિમાન અને જાતિઅભિમાન ધરાવતા કુટુંબનો ભરમ ભાંગતી  આ હળવી શૈલીમાં લખાયેલ વાર્તા સુંદર રીતે આલેખાયેલ છે.  હાસ્ય સાથે નિષ્પન્ન થતો બોધ ખૂબ સચોટ છે. આપણી આસપાસ નજર કરીશું તો આજે પણ અવાસ્તવિક અભિમાનમાં રાચતાં કુટુંબ આપણને જોવા મળી જશે.

‘શામળશાનો વિવાહ’માં મોટી ઉંમરે નાની બાળકી સાથે લગ્ન કરતા ધનિક શેઠની ઠેકડી ઉડાવાઈ છે. તો બાળવિવાહના સામાજિક દુષણ અને સ્ત્રીઓની દયનીય પરસ્થિતિ ઉઘાડી પાડી છે. ‘શામળશાનો વિવાહ’ વાંચીને જો લોહી ઉકળી ન ઉઠે તો જ નવાઈ. મુનશીની હળવી શૈલીમાં લખાયેલી આ વાર્તા પચાસથી ઉપરની ઉંમરના ધનવાન શેઠના 5-6 વર્ષની કન્યા સાથેના પાંચમા લગ્નની વાત છે. બાળવિવાહ તો કદાચ હવે આ યુગની વાત નથી પણ ધનના જોર પર હજુ આજે પણ કેટલીય કોડીલી કન્યાના જીવન દાવ પર લગાવાય છે. વાર્તાનું છેલ્લું વાક્ય બધું જ કહી જાય છે અને વાચકનું દિલ સળગી ઉઠે છે. શેઠે હાથ લંબાવી શેઠાણીને ગલીપચી કરી ને શેઠાણીનો તીણો ઘાંટો ગજી ઉઠયો: ‘ઓ બા! આ ડોસો મને મારે છે.’

મુનશી પોતે ખૂબ કલ્પનાશીલ અને તેજસ્વી છે.
‘ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર’  એ બની બેઠેલા, કોપી પેસ્ટ કરતા અને પોતાની જાતને મહાન કવિ, લેખક કે સાહિત્યકાર ગણાવતી વ્યક્તિઓ પરનો કટાક્ષ છે. એમાં એક એવી વ્યક્તિની વાત છે જેનામાં સર્જનની કોઈ ક્ષમતા નથી. છતાં પોતાને કલાપી, નરસિંહરાવ, પ્રેમાનંદ, મણિશંકર, નાનાલાલ કરતા ઊંચા ગજાના કવિ ને શ્રેષ્ઠ સાહિત્યકાર છે એવો ભ્રમ ધરાવે છે. આ વાર્તામાં મુનશી હાસ્ય સાથે તીવ્ર કટાક્ષ કરે છે. આજે તો માનો કે એવા લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે. યથાશક્તિ સાહિત્ય સર્જન કરવું એ સારી વાત છે. પણ થોડા શબ્દો આમતેમ મૂકીને પોતે મોટા સાહિત્યકાર છે એમ માનવું ભૂલભરેલું છે.

સ્ત્રી – પુરુષ સમાનતાની વાતો કરતાં આપણા સમાજમાં જો પતિ કરતાં પત્ની વધુ હોશિયાર, તેજસ્વી હોય તો એ સદભાગ્ય નહિ પણ દુર્ભાગ્ય બની જાય છે. આવી જ કથાવસ્તુ પર આધારિત છે નવલિકા ‘હું શું કરું?’  આવી વસ્તુસ્થિતિ આજથી સો વર્ષ પૂર્વે મુનશીના યુગમાં હતી તેના કરતાં આજના યુગમાં અનેકગણી વધી છે. સ્ત્રી કેળવણી વધી છે, સ્ત્રીઓ દરેકે દરેક ક્ષેત્રમાં આગળ વધી છે, બોર્ડના ટોપ ટેનમાં પણ વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ હોય છે – ત્યારે સમાજ માટે એ જરૂરી છે કે સ્ત્રીઓ પ્રત્યે વધુ તંદુરસ્ત અભિગમ કેળવે.

મુનશી એટલે અમર્યાદ કલ્પનાવિહાર. ‘નવી આંખે જૂના તમાશા’ માં તેમણે કલ્પનાના ઘોડાઓને છુટ્ટા મૂકી દીધા છે. નવા જમાનાના પુરસ્કર્તા, સુધરેલા, ફેશનેબલ એવા મિ. રેવડિઆ પૂર્વજોને મતિમંદ માનતા અને તેમના તરફ તિરસ્કાર ધરાવતા. તેઓ માનતા કે તેમના સિદ્ધાંતો જો પૂર્વજોને શીખવ્યા હોત તો હિન્દુસ્તાનનો બેડો પાર થઈ જાત, ઇતિહાસ પલટાઈ જાત, લોકો જંગલી રહેવાને બદલે સુધરી જાત. અને કાલ્પનિક સૃષ્ટિમાં આ મિ. રેવડિઆ સ્વર્ગમાં જઈને કેવા સુધારા કરે છે અને મહાત્મા વસિષ્ઠ, મહાત્મા મનુ, ભગવાન ચાણક્ય, શિવાજી મહારાજ, સત્યવાન અને સાવિત્રીને પોતાના પ્રતાપે રંગી રેવડિઆ પંથનો ચારે દિશામાં જયજયકાર કરાવે છે તેની હાસ્યસભર કટાક્ષ કથા છે. જે સાચી સમાજ વિનાના કહેવાતા સુધારાવાદીઓનાં ખોખલા ખ્યાલ અને નીતિરિતીઓનો તીવ્ર ઉપહાસ છે.

‘મારા બચાવમાં’ એ કાલ્પનિક ચિંતા કરતા લોકો પર કટાક્ષ છે. આવી જ એક બીજી નવલિકા કલ્પનાની સૃષ્ટિમાં વિહરતાં શંકાશીલ વ્યક્તિની છે – ‘સ્મરણદેશની સુંદરી’.

‘અગ્નિહોત્રી’ માં સનાતન ધર્મના મોહક સ્વપ્નો નીરખતા, પોતાના પ્રયત્નોથી ગામના વાતાવરણને શુદ્ધ ને ધાર્મિક બનાવનાર, વેદ ને સ્મૃતિને  પોતાના દિનરાતના સાથી બનાવનાર ભોળા બ્રાહ્મણ પિતા, એકના એક પુત્રને ભણાવી ગણાવી પોતાની ભાવનાની સુવાસ ચારે દિશામાં ફેલાવવા મુંબઈ મોકલે છે. તેનામાં અધમતા પામી રહેલી અવનીને ઉદ્ધારવાની શક્તિ છે, એમ પિતા માનતો.  થોડા વખતમાં પુત્રના સમાચાર આવતા બંધ થતાં તે જાતે મુંબઈ જાય છે. તેની ધારણાથી તદન વિરુદ્ધની પરિસ્થિતિ તેની નજરે પડે છે. જે પુત્રને તેણે ધર્મધુરંધર માનેલો તે ગંદી, માનવજંતુઓથી ઉભરાતી ચાલીમાં સંસ્કારવિહોણા  સ્ત્રીપુરુષો સાથે રહેતો હતો. મેલઘેલા કપડાં, માથે ફાટેલી હેટ, મોઢામાં સિગારેટ સાથે તેના સંસ્કારભ્રષ્ટ દેખાતાં નરવાનરને ઓળખ્યો. તેની સૃષ્ટિ બળીને ભસ્મ થઈ ગઈ હોય તેવો ભાસ થયો. તે મંદિરમાં ગયો તો ત્યાં પણ રૂપિયા માટે અસત્ય આચરતા પૂજારી જોયા. તે સાગર પર ગયો, સ્નાન, સંધ્યા અને પૂજા કરી, તે સમુદ્રમાં સમાઈ ગયો.નાદ બંધ થઈ ગયો, અંધકાર છવાઈ ગયો અને અગ્નિહોત્રીની આહુતિઓ પૂરી થઈ. મુનશીની વાર્તા તો એક સદી પહેલાની છે. આજે સ્થળ ને પાત્રો બદલાય છે પણ વાર્તા હજુ પણ એવી જ છે. જરૂરી નથી કે બધા એવા નીકળે. પણ આજે પણ ગામડાના પિતાના પરદેશ મોકલેલ પુત્રની આવી જ કંઈ કાંઈ વાર્તાઓ વાસ્તવિક જીવનમાં જોવા મળે છે….

પુષ્પગુચ્છ કહો કે ગુલદસ્તો, સુવાસનું સામ્રાજ્ય એ જ છે …
ઉષા કહો કે સંધ્યા, રંગોની સવારી એ જ છે…
નવલિકા કહો કે નવલકથા કલમના કસબીનો પ્રભાવ એ જ છે…
રંગો નવી રંગછટા  સાથે ઉભરતા રહે છે..
આપણે બાળકની જેમ નિહાળીએ..
પુષ્પો સુવાસ વિખેરતાં રહે છે, બુલબુલના ગીતો માણીએ ..
સાહિત્યના સ્વામીઓ સર્જન કરતા રહે છે…
સાહિત્યરસિક આપણે સહુ આ માણતા રહીએ…
મળીશું આવતા અંકે…

રીટા જાની

૩૨ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. ગોપી મહિમા

“ગોપી” શબ્દ સાંભળતાજ આપણી આંખ સમક્ષ શ્યામસુંદર પાછળ ઘેલી બનેલી વ્રજાંગનાનું ચિત્ર ખડું થઇ જાય છે જેના શ્વાછોશ્વાસ શ્યામસુંદરની બંસીના સુર સાથે ગુંથાઈ ચૂકેલ છે.શ્રી રાધાજી પ્રમુખ ગોપી હતા પણ તેમની સાથે સાથે ગોપાંગનાઓનું આખું વૃંદ પણ શ્યામસુંદરના બંસીના સુરે હિલોળા લેતું હતું. વ્રજની ગોપીઓનો શ્રી શ્યામસુંદર પ્રત્યેનો પ્રેમ એ પ્રેમની પરાકાષ્ટા ગણી શકાય. ગોપીઓનું  ચિત્ત બધી બાજુથી પોતાની વૃત્તિઓનો વિસ્તાર સંકેલીને માત્ર અને માત્ર પોતાના સર્વસ્વ શ્યામસુંદરમાં કેન્દ્રિત થયેલ હતું. ગોપીઓ નિરંતર શ્રી કૃષ્ણમય રહેતી અને સામે શ્રી કૃષ્ણ પણ સદૈવ ગોપીમય બની ગયેલા. ગોપીઓ દિવસ રાતનું ભાન ભૂલીને પોતાના શ્યામના સ્વપ્નમાં ખોવાયેલી રહેતી અને બંસીધરીની બંસીના સુર તેમના કાનમાં નિરંતર ગૂંજ્યા કરતા.

આ વ્રજની ગોપાંગનાઓ તો બીજું કોઈ નહિ પણ શ્રી રામાવતાર દરમિયાન શ્રી રામના આશીર્વાદ પામેલા દંડકારણ્યના સાધુસંતો હતા જે પૂનઃઅવતાર લઈને શ્રી કૃષ્ણાવતાર દરમિયાન ગોપીઓ બનીને અવતરેલા હતા. એટલે પૂર્વ-સંસ્કાર વશ, ગોપીઓને આ અભેદ્ય જ્ઞાન હતુજ કે પ્રાણીમાત્ર નું અંતિમ આશ્રય-સ્થાન અને  પરમ ગતિ, માત્ર શ્રી કૃષ્ણજ છે. પ્રાણીમાત્રના માતા-પિતા, ગુરુ, બાંધવ,પરમ પતિ માત્ર શ્રી કૃષ્ણજ છે. ગોપીઓ શ્રી કૃષ્ણને પોતાના પ્રિયતમ માનીને અનન્ય વિશુદ્ધ પ્રેમ ભાવથી મન-વચન-કાયાથી પ્રેમ કરતી હતી.

મીરાંબાઈ પણ પૂર્વજન્મ માં બરસાના-વ્રજની ગોપાંગનાજ હતા. મીરાંબાઈની સ્મૃતિમાં પૂર્વજન્મના ગિરિધરની છબી જે અંકિત થયેલી હતી તે આ જન્મમાં પણ અકબંધ રહી હતી. તેથી જ તેમનાં દરેક પદનાં અંતમાં ‘ગિરિધર’ ના હસ્તાક્ષર શબ્દો રૂપે રહેલા હોય છે. મીરાંબાઈના અમુક પદોમાં પોતાના પૂર્વજન્મનો ઉલ્લેખ પણ તેમણે કરેલ છે. મીરાંબાઈએ જે રીતે ગિરિધર ગોપાલ ને ચાહ્યો હતો તે પરથી એવું ચોક્કસ ફલિત થાય છે કે તેમોન પ્રેમ પણ ગોપીઓની જેમજ પરાકષ્ટાએ પહોંચેલ હતો. મીરાંબાઈએ ગોપી ભાવને પ્રદર્શિત કરતા ઘણા પદો ની રચના કરેલ છે.

આ ગોપાંગનાઓમાંથી અમુક ગોપાંગનાઓ કુંવારી હતી તો અમુક પરિણીત હતી. પરિણીત ગોપાંગનાઓને  પોતાના પતિ-બાળકો અને ઘરસંસાર પણ હતા. પણ આતો થયા તેમના લૌકિક સબંધો. તેમનો એકમાત્ર સાશ્વત સબંધતો માત્ર શ્યામસુંદર સાથે જોડાયેલો હતો. ગોપીઓ  સાશ્વત સંબંધને  નિભાવવામાં લૌકિક સંબંધોની મર્યાદા ક્યારેક વિસરી જતી અને તેનો પ્રતિસાદ ગોપીઓના મનને ક્યારેક આકુળ વ્યાકુળ કરી મુકતો. આવા જ ભાવને  મીરાંબાઈએ  તેમના પદો દ્વારા શબ્દોમાં વહેતા મુક્યા છે.

જેમકે નીચેના પદમાં, વૃંદાવનને મારગ ચાલતા ચાલતા જયારે ગોપીને શ્યામસુંદરના દર્શન થાય છે ત્યારે તેમના ચિત્ત કેવા હરાઈ જાય છે તેનો ભાવ મીરાંબાઈના નીચેના પદમાં બહુ સહજ શબ્દોમાં રજુ થયેલ છે. ગોપીઓને તે એવુજ લાગે છે કે આ મોહનલાલે કંઈક ભૂરકી નાખી છે એટલેજ અમારા ચિત્ત હરાઈ ગયા છે.

આંખલડી વાંકી, અલબેલા તારી આંખલડી વાંકી
નૈન કમલનો પલકારો રે ભારે, તીર માર્યા તાકી
વૃંદાવનને મારગ જતા તન રે જોયા ઝાંખી
ચાલવનિયામાં વહાલે ચિત્ત હરિ લીધા, મોહનલાલે ભૂરકી નાખી
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધર ના ગુણ, ચરણ કમલ ચિત્ત રાખી.

ગોપીઓ પોતાના ઘરબાર છોડીને શ્યામના બંસીના સુરની પાછળ ઘેલી દોટ મુકતી  હતી અને શ્યામસુંદર ના સંગમાં તેઓ સમય અને સ્થળનું ભાન ભૂલી જતી હતી અને ક્યારેક પોતાની કેટલીક કિંમતી જણસો અને આભૂષણો પણ વિસરી જતી હતી. મીરાંબાઈએ આવોજ ભાવ નીચેના પદમાં રજુ કર્યો છે જયારે ગોપી તેનો લાખેણો હાર જમુના નદીને તીરે વિસરી જાય છે અને જયારે તેને આ વાતનું ભાન થાય છે ત્યારે લૌકિક સબંધો ને શું જવાબ આપવો પડશે તે વિચારે ગોપીની શું મનોદશા  થાય છે તે નીચેના પદમાં મીરાંબાઈએ દર્શાવેલ છે.

भूली मोतन को हार, सखी जमना किनारे
एक एक मोती मारू लाख टका नु वा’ला परोव्यू सुवर्ण के रे तार
सासु अमारी अति बढ़कारी वा’ला, नणदल विखडा नु ज़ार
परण्यो हमारो परम सोहागी,मार्या छे मोहना बाण
बाई मीराँ के प्रभु गिरिधर ना गुण, चरण कमल चित ध्यान

તો વળી નીચેના પદમાં ગોપી માઞલ રાત્રે પોતાનો બાજુબંધ શ્યામસુંદર સમીપે ભૂલી આવે છે.અને સવારે તેને પ્રતીત થાય છે તેનો બાજુબંધ ખોવાઈ ગયો છે અને તેની શું મનોવ્યથા થાય છે તે મીરાંબાઈએ ખુબ સુંદર રીતે રજુ કરેલ છે અને અંતિમ પંક્તિમાં મીરાંબાઈએ ગોપી કેવી રીતે શ્યામસુંદર ને પોતાનો નાથ માનતી હતી તે જણાવી દીધું છે.

बाजूबन्ध भूली हूँ जी माज़ल रात
भूल गई में सेज पिया की जी, याद आयो परभात
नणद जेठानी मेरी कदीकी बैरन,ताना मोसे सयो न जात
वृज नंदनजी महारी सास लड़ेगी जी, देख अडोला महारा हाथ
मीराँ के प्रभु गिरिधर नागर जी, वर पायो दीनानाथ

ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને આસક્તિનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. મીરાંબાઈએ ગોપી મહિમા દર્શાવતા પદોની રચના કરી આ પ્રેમ અને આસક્તિને શબ્દ દેહ આપેલ છે. ગોપીઓ અને મીરાબાઈ નો પ્રેમ નિસ્વાર્થ, નિર્વિકાર અને શુદ્ધાતવૈદ મનાય છે.આ પ્રેમના ઊંડાણમાં માત્ર પ્રેમ અને પ્રેમ છે ક્યાંય કોઈ આછકલાઈ નથી. ગોપીઓ અને મીરાંબાઈ બંને શ્યામસુંદરને પોતાના પ્રિયતમ સ્વરૂપે ભજી પ્રેમમગ્ન જીવન સ્વીકાર્યું હતું તો સાથે સાથે ગિરિધર ગોપાલને પોતાના તારણહાર તરીકે સ્થાપિત કરી તેમની સંપૂર્ણ શરણાગતિ પણ સ્વીકારી હતી. આપણે આગળના મણકાઓમાં ગોપી અને શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું રસપાન મીરાંબાઈના પદો થકી કરીશું. ત્યાં સુધી ગોપીનાથના ચરણોમાં મારી  કલમને વિરામ આપું છું 

આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૩૧-કબીરા

 

જેના રોમ રોમમાં કબીર વસે છે એવા ફરીદ અયાઝની નજરે કબીર 

ગુરુ બિન કૈસે ગુન ગાવેં,ગુરુ ન માને તો ગુન નહીં આવે,ગુનિયનમેં બે ગુની કહાવે,

આવું ગાનાર મશહૂર કવ્વાલ,કવ્વાલીની દુનિયાનાં બેતાજ બાદશાહ ,ફરીદુદ્દીન અયાઝ અલ હુસેન જન્મેલ ભારતનાં હૈદરાબાદમાં,પણ સાવ નાની ઉમંરમાં જ કરાંચી જઈ વસ્યા.કબીર માટે તેઓ એક દીકરી તેની મા માટે હોય તેટલાં પઝેસીવ છે.તે તો કહે છે હું કબીરનો ફેન નથી ,ફેન શબ્દ તેમને તેમના કબીર સાથેનાં સંબંધ માટે બહુ નાનો લાગે છે.તે તો કહે છે તેમનો કબીર સાથેનો સંબંધ આશિક અને માશુકાનાં સંબંધ જેવો છે.તેમનાં શબ્દમાં જ જોઈએ:

“કબીરને મેં ગહેરાઈથી વાંચ્યો છે,સમજ્યો છે,મારામાં ઉતાર્યો છે.હું કબીરને મળ્યો છું.કબીર કેવો છે?તે હું જાણું છું.કબીર ક્યાં છે તેનો હું રાઝદાર છું.એનું રહસ્ય મને ખબર છે.કબીર મારો વિષય છે.હું કબીર માટે કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને મારા કબીરને હું કોઈની સાથે વહેંચવા પણ તૈયાર નથી”

મંત્રમુગ્ધ કરી નાંખે તેવાે તેમનો કબીરપ્રેમ,અને પછી તે સમજાવે છે કબીર શું છે? ફરીદજી કહે છે:“કબીરને સમજવા પહેલાં તમારાં મગજને બિલકુલ સાફ કરી દો.કબીરને આપણે શબ્દમાં અને ભાષામાં શોધીએ છીએ પણ કબીરે તો શબ્દનો ચોલો પહેર્યો જ નથી.કબીરનું કોઈ લેબલ નથી. કબીર તો એક કોસેપ્ટ છે.કબીર એક વિચારધારા છે.કબીર તમને કોઈ સ્કોલર,પ્રોફેસર કે યુનિવર્સિટી પાસેથી જાણવા નહીં મળે.કબીરને જાણવા તમારે બધાં બંધનો તોડી ખુદ કબીર પાસે જવું પડશે.કબીર પાસે પહોંચવાનો વિઝા ખુદ કબીર આપે છે.કબીર પોતે પોતાની જાતમાં જ એક યુનિવર્સિટી છે.ફિલોસોફર છે,આખેઆખું કલ્ચર છે,કમ્પલીટ ટીચર છે,કમ્પીલીટ માણસ છે.કબીરનો શિખવાડવાનો અંદાઝ પોતાનો અલગ છે.રોજિંદા જીવનનાં દાખલા આપીને તે તેમના શિષ્યોને ભણાવે છે.સચ્ચાઈની વાતમાં ધર્મને નામે થયેલ વાતોને પણ તે સાંભળતા નથી.”

કબીરને સમજાવતાં ફરીદજી કહે છે”દુનિયાની બુનિયાદી જરુરિયાત સામે આવે ત્યારે મજહબ(ધર્મ ) પાછળ રહી જાય છે .“અને તે ગાઈ ઊઠે છે:

ના કુછ દેખા રામ ભજનમેં,ના કુછ દેખા પોથીમેં;

કહત કબીરા સુનો ભાઈ સાધુ,જો દેખા વો દો રોટીમેં.

 

કબીર અત્યારે હાજર નથી પણ તેમની વિચારધારા જીવંત છે.આખી દુનિયામાં તે વીખરાયેલો,છૂટો છવાયો હાજર જ છે.પાકીસ્તાનથી લઈ અમેરિકા અને કાશી -બનારસથી ફ્રાંન્સ ,યુ.કે અને હિમાચલપ્રદેશથી મધ્યપ્રદેશનાં માલવા જેવા નાના નાના ગામોમાં સાવ નાના પણ દિલનાં સંત માણસો એકતારો અને કરતાલ લઈને કબીરને આજે પણ ગાઈ રહ્યાં છે અને કાલે પણ જરૂર ગાશે…..

Fariduddin Ayaz says “I learnt Kabir from a donkey-cart man”ફરીદ અયાઝજીની વાત સાંભળી અચંબામાં ન પડી જતાં!!

આ તદ્દન સાચી વાત છે.જ્યારે તે નવ દસ વર્ષનાં હતાં ત્યારે સમશેર નામનો ગધેડા-ગાડી ચલાવતો માણસ એક નાનકડાં ઢોલ પર કબીરનાં પદો દસ પંદર માણસને ચોતરા પર બેસાડીને ગાઈ સમજાવતો હતો. તેને સાંભળીને અયાઝજી રડવા લાગ્યા અને તેમને કબીર માટે પ્રેમ જાગ્યો. તેમની પાસેથી તેઓએ કબીરનાં ગવાએલ દોહા સાંભળ્યા અને તેને સમજ્યા.તે માણસે જ તેમનામાં કબીરને ઠાંસી ઠાંસીને ભર્યો.કબીર ખાલી વિદ્વાનો પાસેથી કે ચોપડીઓમાંથી નથી મળતો.બધાં બંધનો તોડીને કરેલ પૂરેપૂરી મહોબત્ત,ચાહત,ડીવોશન જેની પાસે છે તેની પાસેથી કબીર મળેછે.તેમણે કહ્યું “કબીરને સમજવા બધાં ખોટા ખ્યાલોને દૂર કરી શુધ્ધસાફ હ્રદય અને મનથી કબીરને સમજવા કોશિશ કરીશું તો જ કબીર સમજાશે.”

ફરીદ અયાઝનાં સ્વરમાં કબીરનાં પદો,સાખી અને ગઝલો સાંભળી તમે કબીરમાં ખોવાઈ ન જાઓ તો જ નવાઈ!! એવો અદભૂત છે એમનો ગાયકીનો પ્રભાવ.તેમણે કબીરનાં પદો,સાખી,ભજનો ઉર્દૂ,સીન્ધી,પંજાબી,પુશ્તો, હીન્દી,પુરબી,પર્શિયન,એરેબિક,અને તુર્કીશ ભાષામાં મનને મદમસ્ત કરી કબીરનાં રંગમાં રંગી દે એવીરીતે ગાયા છેઃ

રામ નાામકી ખૂંટી ગાડી,સૂરજ તાના તનકા,ચડતે ઉતરતે સબકી ખબર લે,ફિર નહીં આના બનતા….કબીરા…જાનના….પહેંચાનના….કબીરા…..

શરીર રૂપી સૂરજમાં રામ નામની ખૂંટી મારી ઉપર નીચે જતાં શ્વાસો શ્વાસમાં તન્મય બની જ્યારે ભીતરમાં ખોવાઈ જાઓ પછી આ જન્મ મરણનાં ફેરામાંથી હંમેશ માટે છૂટી જવાય.ફિર નહીં આના બનતા,વાહ,બે પંક્તિમાં જીવન જીવવાની ચાવી બતાવી દીધી.

કબીરા કૂઆઁ એક હૈ ઔર પાની ભરે અનેક,

ભાંડે હી મેં ભેદ હૈ ઔર પાની સબમેં એક.

પરમ તત્ત્વ તો દરેકનાંમાં એક જ છે .બધાંનાં શરીર રૂપી ભાંડાં(વાસણ) જુદા જુદા છે.પાની તો એક જ કૂઆનું છે.જાણે નરસિંહનું”જૂજવે રૂપે અનંત ભાસે” યાદ આવી જાય.

કબીર કેમ તેમને સાચો અને પોતાનો લાગે છે તે સમજાવતાં તે કહે છે.કબીર હીન્દુસ્તાન- પાકીસ્તાનની પેલે પાર છે.કબીર એવા મુલ્કનો શહેરી છે જેની કોઈ સરહદ જ નથી. જેમ પંખીઓને વીઝા લેવા નથી પડતા કારણકે તેમને માટે કોઈ સરહદ નથી.તેવું જ કબીરનું છે.કબીર સામાન્ય માણસ છે,તમે તેને સુપરપાવર સમજશો તો ક્યારેય કબીરને નહીં પામી શકો.બીજા સુફી સંતોએ વાત તો આવી જ કરી છે પણ કબીર બધાંથી જુદા પડે છે.કારણ કબીરે જે સત્ય જોયું ,જે અનુભવ્યું તે કહેવામાં કોઈ સમાધાન ન કર્યું.નગ્ન સત્ય લોકો સમક્ષ પોતાના ભજન અને દોહા મારફતે રજૂ કર્યું.કબીર નાગી તલવાર લઈને બેઠાં છે ,તેમની વાણીને એટલે જ કડવી વાણી કીધી છે.સમાજ કે દેશ-દુનિયા અને બાદશાહથી પણ ડર્યા વગર ,જે પોતાને સત્ય લાગ્યું તે કહેવાની હિંમત કોઈનામાં હતી નહીં.તેથી જ આજે પણ તે યુવા પેઢીનો પ્રિય છે અને કાલે પણ રહેશે.

કબીરની ઓળખ આપતું એક સુંદર ચિત્ર ફરીદજીએ બનાવ્યું છે.જેનું નામ તેમણે “Symbol Quake “આપ્યું છે.જેમાં એક તરફ તૂટેલી મસ્જિદ છે.તો એક તરફ તૂટેલું મંદિર અને ચર્ચ છે.એક બાજુ બંસરી લઈને સૂતેલા કૃષ્ણ છે.એક કબીર નામનો ધરતીકંપ આવ્યો અને બધું તૂટી ગયું પણ બધાની ઉપર કબીર ઊભા છે.ચિત્રનો અર્થ હતો કબીર કહે છે આ મંદિર-મસ્જિદ અને ચર્ચથી ઉપર ઊઠો.આવી મંદિર-મસ્જિદને તોડવાની હિંમત ખાલી કબીરામાં જ છે એટલેજ એ બધાંથી જુદો પડે છે અને આખા વિશ્વમાં છવાયેલો અને ગવાયેલ છે.અને આજે પણ આપણા અંતરની લગોલગ ઊભેલ દેખાય છે.

કબીરની વાત કહેતાં અયાઝજી કહે છે”ભક્તિની કેડી પર આગળ નીકળી ગયેલા કબીર તો કહે છે કે મારો સાહેબ તો ગગનમંડળની મધ્યમાં વિદેહ રૂપે રહે છે. મારા સાહેબને કેવળ ચાર ભુજા નથી, એ તો અનંત-ભુજાળો છે.”

ચાર ભુજા કે ભજન મેં ભૂલી પરે સબ સંત,

કબીરા સુમરે તાસુકે જાકે ભુજા અનંત.

સંતનો સંસાર જોડેનો સંબધ જલકમલવત્ હોય છે. સંસારમાં હોય છે ,પણ સંસારમાં રચ્યાંપચ્યાં નથી હોતા. સંસારસુખને જલાવી દઈને પ્રભુભક્તિની મશાલ જલાવતાં હોય છે. એ મશાલને અજવાળે સર્વવ્યાપક પરમાત્માને જુએ છે અને એટલે આ સ્તરે વાણી છલકાઈ ઊઠે છે

ઉર્દૂ જબાનમાં કબીરને જેણે ખૂબ સરસ રીતે અનુસર્જયા હોય તેવા ઝહીન શાહનાં બે સરસ શેર રજૂ કરી ,તેમાં પણ કબીરને નવાજતાં અયાઝજી કહે છે:

બન ગયે વો મંઝીલે મકસુદ આપ,

જો તલાશે યાર મેં ગુમ હો ગયે.

એય દોસ્તો,’ઝહીન’ કો પહેચાનતા હુઁ મૈં ;

સબસે અલગ,જો સબમેં હૈ શામિલ,યે હી તો હૈ.

જેના લોહીમાં કબીર વહે છે અને જે કબીરમય બની તેની મસ્તીમાં આપણને ઝબોળીને અનહદને પેલે પારનો અનુભવ,તેની ગાયકી થકી કરાવવા કોશિશ કરે છે તે બે લીટીમાં કબીરની ઓળખ કરાવતાં ગાઈ ઊઠે છે:

હદ હદ ટપે સો ઓલિયા ઔર બેહદ ટપે સો પીર;

હદ અનહદ દોનોં ટપે સો વાકો નામ કબીર;

હદ હદ કરતે સબ ગયે ઔર બેહદ ન ગયો કોય;

અનહદ કે મેદાનમેં રહા કબીરા સોય,ભાઈ રહા કબીરા સોય.

અને કબીરને યાદ કરી તેમની અનહદ અવસ્થાનું વર્ણન કરતાં કહે છેઃ

માલા જપું ન કર જપું ઓર મુખસે કહું ન રામ,

રામ હમારા હમેં જપે રે,હમ પાયો બિશ્રામ…..

ફરીદ અયાઝજીને સો સો સલામ

જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 31) માનવતાની મ્હેક મેઘાણી !


આજે દુનિયાને સૌથી વધારે જો કાંઈ જરૂર હોય તો છે કોઈ હકારાત્મક , સારા વિચારોની ! ચારે બાજુએ ગમગીની અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે અને કરોના કાળમાં જયારે અનિશ્ચિતતા અને અજાણનો ભય વર્તાય છે ત્યારે જરૂર છે આપણને આશ્વાસન આપે તેવા સારા પ્રસંગોની !
મેઘાણીના સર્જનમાં એવાં કાવ્યો , પ્રસંગો તો ઠેર ઠેર પથરાયેલાં છે ! પણ એ માત્ર શબ્દોનો વૈભવ જ નહોતો ; જીવનમાં સામાન્યમાં સામાન્ય માનવી પ્રત્યેનો એમનો અભિગમ પણ પ્રેમનો , અનુકંપા ને લાગણી ભીનો રહ્યો હતો.
વાચક મિત્રો , આજે એવાજ એક માનવતાના રંગે અભિભૂત પ્રસંગ ની વાત કરવી છે. દેશમાં અને સૌરાષ્ટ્રનાં એ નાનકડાં ગામ રાણપુરમાં ત્યારે કોલેરાનો ઉપદ્રવ હતો . ઝવેરચંદ મેઘાણી પોતાના બોટાદના ઘેરથી સવારે ટ્રેનમાં રાણપુર સ્ટેશને ઉતરીને પ્રેસ પર આવતા હતા ત્યારે રસ્તામાં કોઈ ગરીબ કાકાને એમણે જોયા હતા. એ જ કાકા હવે બપોર વેળાએ તેમની ઓફિસની બહાર રસ્તા પર બેભાન હાલતમાં પડ્યા હતા . કોઈએ આવીને જણાવ્યું એટલે પ્રેસના સહ કાર્યકર બાબુભાઇ ત્યાં બહાર જોવા ગયા અને સારવારમાં લાગી ગયા . પછી મેઘાણી પણ એમાં જોડાયા. બાબુભાઇ ને કહ્યું એટલે એ પોતાની ઘેરથી કોફી બનાવીને લઇ આવ્યા. કાકા ને ઝાડો પેસાબ ને ઉલ્ટી થઇ ગયેલ એટલે કોરું ધોતિયું મંગાવીને પહેરાવ્યું . તાવ હતો, એટલે પ્રેસની લારી – રેંકડીમાં સુવડાવીને ડોક્ટર પાસે લઇ ગયા .
પણ ડોક્ટરમાં કદાચ માનવતા ઓછી હશે , કે એ વધારે વ્યવહારુ હશે – એણે આ ગરીબની સારવાર કરવાની ચોખ્ખી ના પડી દીધી .
એમને વિનંતી કરી કે આપણા રાણપુરના રસ્તે કોઈ બિચારું એમ જ મરી જશે! ‘થોડી સહાય કરો , ફાળો ઉઘરાવીને પૈસા આપી દઈશું !’ બાબુભાઈ એ કહ્યું ; પણ ડોકટરે એમને જણાવ્યું કે એને વઢવાણ કે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જાઓ !’
મેઘાણીભાઈનું દિલ કકળી ઉઠ્યું ; બોલ્યા , “ માણસાઈ જેવુંયે રહ્યું નથી !”
એમના સહ કાર્યકર્તાઓ પણ ઊકળી ઉઠ્યા; “ આવા ડોક્ટરને ઉઘાડા પાડવા જોઈએ.એક લેખ લખી દઈએ! અને ફુલછાબને પહેલે પાને જ ચડાવી દઈએ . ભલે ને લોકોનેય એની ખબર પડે કે આ ડોક્ટર કેટલો નિર્દય છે !!”
પણ , દિલાવર દિલના મેઘાણી તરત જ બોલ્યા ; “ ના ભાઈ , આપણાંથી એવું તો નહિ થાય ! એનો રોટલો તૂટે !” અને પછી વાસ્તવિક પરિસ્થિતિ પણ દર્શાવી ; “ બીજો ડોક્ટર આવે ત્યાં સુધી ગામ બિચારું ડોક્ટર વિનાનું જ રહે ને ?”
પેલા અજાણ્યા આદમીને નજીકની ધર્મશાળામાં રાખ્યા . ત્યાં તેમની સારવાર શરૂ કરી . ફરીથી ઝાડો પેશાબ થઇ ગયેલ એ મેઘાણીએ જાતે સાફ કર્યા . ફરીથી કોરું ધોતિયું પહેરાવ્યું .
આપણાં જાણીતા સાહિત્યકાર ધૂમકેતુનાં પુત્રી પ્રો. ઉષાબેન જોશી લખે છે; “ સંત દેવીદાસ’ ના સર્જક આનંદથી માનવસેવાના કાર્યમાં કોઈ પણ જાતની જરાયે સૂગ વિના જોતરાઈ ગયા ! ધર્મશાળામાંથી બીજા પણ ઘણાં માણસો દોડી આવ્યાં… એક ઘોડાગાડીવાળો યુવાન પણ એ ટોળામાં હતો . એણે હક કરીને બળજબરીથી એ કામ પોતાના હાથમાં લઇ લીધું . કહે , “ હું તો ઘોડાનાં મળ મૂત્ર ચૂથુ છું ; આ તો આદમી છે ! અને આ ડોસાની જગ્યાએ મારો બાપ હોય તો !” યુવાન બોલ્યો .
જાણે કે અહીં તો માનવતાની મહેક ઉભરાઈ રહી હતી !
મેઘાણીએ પરાણે એ ડોસાનું ધોતિયું ધોયું …કાકા પાસે માત્ર એક રૂપિયો જ હતો . એમની ઘણી ના છતાં , એને બીજા ચારેક રૂપિયા આપીને મેઘાણીએ એ કાકાને થોડા દિવસ એ ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરી આપી ! સોરઠી સંતવાણી’ માં એક ઠેકાણે મેઘાણીએ લખ્યું છે; ‘ એ રે નાવમાં હીરા માણેક છે, ખોજે ખોજનહારા રે !’ તે કદાચ ઝવેરચંદ મેઘાણી માટે જ શું સત્ય લાગતું નથી ? પ્રસંગોપાત એમનામાં રહેલ હીર આમ ઝળહળી ઉઠે છે !
મેઘાણીએ લોકમુખે , લોક ભાષા – વાણીમાં છુપાયેલું અમુલખ સાહિત્ય આપણને આપ્યું છે પણ એવું જીવન પણ એ જીવ્યા છે તેમ કહેવાનું તાતપર્ય છે .લોક મુખે જળવાયેલાં ભજનોનું એમણે સંપાદન કર્યું છે જેમાંનું એક સંપાદન “પુરાતન જ્યોત !” જેમાં સંત દેવીદાસની વાત આવે છે . શાર્દુળ ભગત અને અમરબાઈની વાત છે , જેઓ રક્તપિત્તિયાઓની સેવા શુશ્રુષા કરે છે અને ગાય છે ; “ બાવજી , તમારા હશે તે તમને ભજશે !’

એમણે જે સંત કથાઓ આપણને આપી , તેનું સંશોધન કરવા એ ગામડે ગામડે અને શહેરો ,ગલીએ ભમ્યા અને અત્તરનો વેપાર કરતા હોય તેમ એ સંતોની સુગન્ધથી પોતે પણ રંગાયા છે ! અથવાતો કહો કે એ મધમાખીનું મધ હતા , ને એમણે મધપૂડાઓ જ ઉભા કર્યા હતા !
સંત મેકરણ ની વાત કર છે : કચ્છનો આ સંત મેકરણ કાપડી પોતાના લાલિયા ગધેડાને માથે છાલકું મુકતા અને તેમાં પાણી ભરેલાં માટલાં ગોઠવતાં અને પોતાના મોતિયા કૂતરાની નિશાની પ્રમાણે ગધેડાને ત્યાં મોકલતા . રણમાં પાણી વિના કોઈ તરસ્યે મરતું હોય તો તેને આ ગધેડા દ્વારા પાણી પહોંચતું અને જીવંત દાન મળતું !!
લખિયો મુંજો લખને લખાણે જેડ઼ો , હું દો ભાયા જેડ઼ો ભા !
અર્થાત , લખિયો મારા ભાઈ જેવો ભાઈ છે !!
કેવી ઉમદા કલ્પના !!
મેઘાણીના આ સંત ચરિત્રોની વાત આવતે અંકે કરીશું !!!