જીવન નૌકા સંબંધોનાં અફાટ સાગરમાં હિલોળા લેતી હોય છે. એક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ, પછી તે માનવ હોય, પશુ હોય કે પક્ષી સાથેનો. જીવન સફરમાં કયો સંબંધ કયારે ફૂટી નીકળે છે અથવા છૂટી જાય છે તે સંચિત કર્મો, ઋણાનુબંધ અને લેણદેણ પર નિર્ધારિત હોય છે.
જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ. સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોનાં સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જીવનમાં વ્યક્તિની પ્રાયોરીટી બદલાય તેમ સંબંધોનાં સમીકરણોમાં ફેરફારો થાય છે.
સંબંધનું નામ હોય કે ના હોય પણ સંબંધથી બંધાયેલો માનવ ફૂલે છે, ફાલે છે, તેની પ્રગતિ થાય છે. તેનું અસ્તિત્વ બને છે. એક બીજાની કાંધે કાંધે આગળ વધે છે. આમ વિચારીએ તો મૃત્યુ પામેલી વ્યક્તિને પણ ચાર જણનાં કાંધનાં સહારાની જરૂર પડે છે, સ્મશાને પહોંચવા! સંબંધો વગરની વ્યક્તિ એકલી અટૂલી પડી જાય છે.
જીવનનાં પ્લેટફોર્મ પર કયારેક એવી વ્યક્તિઓનો ભેટો થાય છે કે તેને જોઇને અણગમો, નફરત થઇ આવે. તો વળી કયારેક એવી વ્યક્તિઓ પણ મળે છે જેને જોવા માત્રથી ઉરે ઉર્મિઓ ઉછાળા મારે છે. એમ લાગે છે કયાંક જોયા છે. અંદરથી સ્પંદનો ફૂટે. ના ઓળખાણ, ના પીછાણ અને ઇશ્વરનો પયગમ્બર આવી પહોંચે છે … ‘મૈ હૂં ના!’ અને … એ સંબંધ યાદગાર બની જાય છે! ત્યારે વિચાર આવે છે કે એ વ્યક્તિ મળી’તી કયા સંબંધે. કોઇએ દરવાજા પર લખ્યું હતું ‘મને બોલાવશો નહીં … હું દુઃખી છું … !! એક સાચો દોસ્ત અંદર આવ્યો અને સ્મિત કરી ને કહ્યું ‘માફ કરજે, મને વાંચતાં નથી આવડતુ!’ આમ ન ધારેલી વ્યક્તિઓ જીવનમાં પ્રવેશીને તમારા અનેક સારા કાર્યોમાં નિમિત્ત બને છે તેમજ ખરાબ સમયે પડખે ઉભા રહીને પ્રેમ અને હૂંફ આપે છે. તો કયારેક લોહીના કે નજીકનાં સંબંધો ખોટા અને ભારરૂપ પૂરવાર થાય છે.
“જર્જરીત સંબંધોની યાદોનું પાનું ફાડવું સહેલું નથી. આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.
મન ભલેને કહે હિમાલય જઇને તું કર સાધના. પણ સ્વજનને છોડીને ભાગવું સહેલું નથી.”
પરંતુ જીંદગીની લાંબી સફર (પ્રવાસ)નો સોનેરી નિયમ છે “Travel Light” ભાર ઓછો રાખો. એમ કહેવાય છે કે સૂટકેસમાં જેમ ઓછો સામાન તેમ મુસાફરી આસાન. જીવન-યાત્રા દરમ્યાન કંઇક નવા સંબંધો ઉભા થવાનાં, માટે છોડવા જેવા કડવા સંબંધોને છોડીને ભૂલી જવાનું શીખવું જોઇએ તો મન ઉપર કોઇ બીનજરૂરી વજન રહેશે નહી. અને આપણે હળવાફૂલ રહીને જીવનયાત્રા નિર્વિઘ્ને પસાર કરી શકીશું.
સંબંધો અનેક પ્રકારનાં હોય છેઃ
જીવાત્માનો પરમાત્મા સાથેનો …
ચેતનનો જડ સાથેનો …
ચાતકને અષાઢી મેઘની પહેલી બુંદ સાથેનો …
મૃગલાને મૃગજળ સાથેનો …
રોમીયોનો જુલીયેટ સાથેનો …
ગુરૂને શિષ્ય સાથેનો …
ભકતને ભગવાન સાથેનો …
માનો બાળક સાથેનો …
પતિ પત્નીનો એકબીજા સાથેનો …
હા, સંબંધોને તાજા માજા રાખવા, નિભાવવા માટે કયારેક સમારકામ કરવું જરૂરી બની જાય છે. જીવન દરમ્યાન કેટલાંય પ્રકારનાં સંબંધોનાં જાળામાં માનવ ગૂંથાયેલો યોય છે.
કેટલાંક હોય મીઠાં, તો કેટલાંક માઠા,
કેટલાંક કડવા, તો કેટલાંક તૂરા,
કેટલાંક રસઝરતાં, તો કેટલાંક સૂકા,
કેટલાંક ઉંડાં, તો કેટલાંક છીછરાં,
કેટલાંક પારિવારિક, તો કેટલાંક વ્યાવસાયિક,
કેટલાંક લોહીનાં, તો કેટલાંક મોં-બોલા,
કેટલાંક માનસીક, તો કેટલાંક શારીરિક,
કેટલાંક નામી, તો કેટલાંક અનામી,
કેટલાંક સ્વાર્થી, તો કેટલાંક નિસ્વાર્થી,
કેટલાંક જીવંત, તો કેટલાંક મૃત.
કયારેક મૃત્યુ પહેલાં સંબંધો મરી પરવારે છે. એ ઋણાનુબંધ નહીં તો બીજુ શું? અને સંબંધો જયારે મરી પરવારે ત્યારે જે વેદના થાય … ત્યારે વિચાર આવે કે અત્યાર સુધી આપણે સંધાયેલાં હતાં, બંધાયેલાં હતાં એ કયાં સંબંધે?
સંબંધોને જયારે નામ અપાય છે ત્યારે નામની સાથે તેનાં વળગણો જોડાયેલા હોય છે. અને આ વળગણ આજની પેઢીને માન્ય નથી હોતાં. નામ વગરનાં સંબંધ ખાલી તૂંબડા જેવા હોય છે. હલકા … અને એ તૂંબડા નીજ મસ્તીમાં જીવન સરિતાના પાણીનાં વમળમાં કે દરિયાના ખારા પાણીમાં તરતાં હોય છે.અમાસની ઓટ કે પૂનમની ભરતી તેને કંઇજ કરી શકતી નથી. પરંતુ જેવા અપેક્ષા, આસક્તિ, હક્ક કે ફરજનાં વળગણ એના પર ચઢે છે કે એ તૂંબડાને ડૂબવુંજ પડે છે. તેનું અસ્તિત્વ નાશ પામે છે. આધુનિક પેઢીને આ મંજૂર નથી અને માટે તેઓ માને છે, ‘લીવ-ઇન-રીલેશનશીપ’ … જયાં સંબંધને કોઇ નામ નથી અને નથી તેનાં વળગણ અને છતાંય તે સજાતીય કે વિજાતીયની સાથે રહીને જીન્દગી વિતાવે છે. સાથ છે, સહકાર છે પણ બન્ને પોતાનાં માલિક છે. નથી કોઇની ગુલામી, નથી કોઇ રોકટોક પણ સામાજીક સંબંધોનાં ફાયદા અને લાગણીઓથી આ બે વ્યક્તિ વંચિત રહે છે અને લગ્ન વ્યવસ્થા ભાંગી પડે છે. તેને કારણે કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ભાંગી પડે છે. આ પ્રકારનો સંબંધ આજકાલ સમાજમાં દરેક પેઢીમાં સામાન્ય બનતો જાય છે. તેમાં વ્યક્તિ, વ્યક્તિ સાથે જોડાય છે, નહીં કે તેનાં કુટુંબ સાથે. એટલે તે સ્વતંત્ર હોય છે. જયાં સ્વતંત્રતા છે, વાડો નથી ત્યાં સ્વચ્છંદતા અચૂક પ્રવેશે છે. આ સામાજીક અધોગતિની નિશાની છે. હા, વૈજ્ઞાનિક શોધખોળોને લીધે દેશ-કાળ આગળ વધી રહ્યો છે. પરંતુ સામાજીક વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જઇ શકે … અને આનો જવાબ આવનાર વર્ષોમાં જોવા મળી શકે.
સંબધોનાં તાણાવાણા ઇશ્વરે વણકર બનીને તેની કઇ હાથશાળામાં વણ્યા હશે? તે તો ઇશ્વરજ જાણે. કૃષ્ણને જનમ આપ્યો વાસુદેવ-દેવકીએ અને ઉછેર કર્યો નંદ-યશોદાએ … રાધા અને કૃષ્ણનો પ્રેમ … છે કોઇ નામ, આ સંબંધનું? મંદિરમાં મૂર્તિ રાધા-કૃષ્ણની જોવા મળે છે … કયા સંબંધે? આદમ અને ઇવથી સૃષ્ટિનુ સર્જન થયું હતું. સંસારની ઉત્પત્તિ પતિ-પત્નીનાં સંયોગથી થાય છે. દરેક સંબંધનાં મૂળનું સ્ત્રોત દંપતિ છે. પતિ-પત્ની અને લોહીનાં સંબંધો ઇશ્વરે સર્જેલાં હોય છે જયારે બાકીનાં સંબંધો માનવ સર્જિત હોય છે. પતિ-પત્નીનું ગઠબંધન જીવનનાં અતિમ શ્વાસ સુધી ગંઠાયેલુ રહે છે. પતિ-પત્નીનાં સંબંધમાં પણ એવાં પ્રેમી દંપતિ હોય છે, જેમનો પ્રેમ જનમોજનમનો હોય છે અને એવોજ એક પ્રેમી પતિ જીવનની ઢળતી સંધ્યાએ પત્નીનાં મૃત્યુબાદ વલોપાત કરી રહ્યો છે … પૂછી રહ્યો છે …
કયા સંબંધે
તુ મને મળી, હું તને મળ્યો,
જીન્દગી વિતાવી, તારા-મારામાં બન્નેએ.
જીવન-સરિતાનાં ખળખળતાં વારિમાં,
વારી ગયો’તો, તુજપર મુજને હારીને.
એકમાં થી થયાં બે ને બેમાંથી ચાર,
ચારમાંથી આઠ, પણ અંતે રહ્યો એક.
પરિવારને રહેવા બનાવ્યો ન્યારો બંગલો,
તેમાં અનેક ખંડો, રળિયામણો બગીચો.
બાંધ્યાં શમીયાણાં ને ઝૂલતો હિંચકો,
આખરે રહ્યાં બે અને બેમાંથી એક.
અંતે એક ખંડમાં બનાવ્યો તારો ચોકો,
તને સૂવાડીને પૂછતો રહ્યો પ્રશ્નો.
મને છોડીને તું કયાં ચાલી પ્રિયે?
અને તું મળી’તી કયાં સંબંધે પ્રિયે?
ને સાથ કેમ છોડયો? શી હતી ઉતાવળ?
હું આવું છું હાલ, તુજ સંગાથે પ્રિયે!
હવે છેટું ના હાલે, સંસાર છે અસાર,
હું અહીં, તું ત્યાં, ના હાલે પળવાર.
આ જવાબમાં પૂછ ના … કયાં સંબંધે?
આ જનમો જનમનાં તારા-મારા સંબંધે.
બેમાંથી એક થઇને, એક જ રહીશું,
ફગાવીશ આ સ્વાર્થનાં સંબંધોનાં બંધન.
નિજ ધામમાં પહોંચીને પૂછીશું પ્રશ્ન,
હે માધવ! તેં મેળવ્યાં’તાં કયાં સંબંધે?!
અને છેલ્લે, ઇશ્વર નિર્મિત તમારી દરેક જવાબદારી નિભાવીને તમે જયારે જીવન-સંધ્યામાં પ્રવેશ કરો છો ત્યારે દરેક વ્યક્તિએ વિચારવું રહ્યું કે સાચો સંબંધ કયો? આ માયાવી સંસારના માયાના પડળો વટાવીને આતમને સાધવાનો સમય આવી ચૂકયો છે. જયાં પારકાને પોતાના અને પોતાનાને પારકા બનતા પળની પણ વાર નથી લાગતી ત્યાં માત્ર ઇશ્વર સત્ય છે, કહેવાતાં સ્વજનો મિથ્યા છે એ ભૂલવું ના જોઇએ. જેની સાથે સંબંધ તૂટે છે તેનો આભાર માનવોજ રહ્યો તો જ તમે આત્મા સાથે સંબંધ બાંધી પરમાત્મા તરફ પ્રયાણ કરી શકશો અને બાકીની જીન્દગીમાં ક્ષણોને નહીં જીવનને ઉમેરીને જીવન સાર્થક કરી શકશો. પરમાત્માજ એક છે જેની સાથે તમે માતા, પિતા, પુત્ર, મિત્ર કે પ્રેમી થઇને સંબંધ બાંધી શકો છે તેના માટે તમને કોઇ પૂછનાર નથી … ક્યા સંબંધે … ?
કલ્પના રઘુ