‘ શુભેચ્છા સહ ‘(12) હેમા બેન પટેલ

‘  શુભેચ્છા સહ ‘

શુભેચ્છા એ બીજા માટે આપણી શુભ ભાવના, સારી ઈચ્છાઓ છે.બીજા માટે સારું વિચારવું અને તે શુભ વિચારો તેને પાઠવવા. બીજાની ખુશીમાં આપણા શુભ વિચારો, શુભેચ્છાઓ પાઠવીને તેની ખુશીમાં સામેલ થઈને તેની ખુશી બમણી કરવી.શુભેચ્છાઓમાં દરેક વ્યક્તિનો એક બીજા માટે પ્રેમ છુપાયેલો છે.આ પ્રેમ ભાવને આધારે તો જગત ટકી રહ્યું છે.આધુનિક યુગમાં જ્યાં રાગ-દ્વેષ, એક બીજા માટે ઈર્ષા, જલન આવા મહોલમાં આ શુભેચ્છાઓ એ જીવનના અમૄત સમાન કહેવાય, કારણ દરેક માણસ તણાવયુક્ત જીવનમાં આ નાની નાની ખુશીઓમાં તો શ્રેષ્ઠ પળો જીવી લે છે. નાની નાની ક્ષણોમાં આનંદ શોધે છે. આ ક્ષણોને વાગોળીને તણાવયુક્ત જીવનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.આ સુખદ ક્ષણો જીવન જીવવાનુ સાધન બની જાય છે.

મંગળમય સારૂં વિચારવું એ આપણા હકારાર્મક વિચારો છે.પોતાની જાત માટે સારું વિચારવું અને બીજા માટે પણ સારું વિચારવું એ તો શ્રેષ્ઠ કહેવાય.સત્વગુણી માણસ હમેશાં સારા વિચારો ધરાવે અને બીજા માટે પણ સારુ વિચારી તેનુ પણ સારું જ ઈચ્છે.આ શુભ ભાવના એ હ્રદયની શુભેચ્છા છે .સુખ અને દુખ બંનેમાં શુભચ્છાઓ સ્ફુરે છે, આ ભાવના શબ્દો બની પ્રગટ થાય છે. ઘણી વખત બીજા માટે કંઈ બોલીએ નહી અને મનથી તેનુ ભલુ ઈચ્છીએ છીએ.શુભેચ્છા માટે પાઠવવામાં આવતા શબ્દો, ભેટ સોગાદ કરતાં શુભેચ્છા પાઠવનાર વ્યક્તિના હ્રદયના ભાવોનુ મહત્વ વધારે છે.

ઘણી વખત કોઈને દુખી નિસહાય જોઈને મનની અંદર દયાભાવ જાગે પછીથી દિલની અંદર શુભેચ્છાના ભાવો જાગૃત થાય છે.હૉસપિટાલમાં આપણુ સ્વજન બિમાર હોય, તેની ખબર કાઢવા માટે જઈએ, બાજુની રૂમમાં કે બાજુના બેડ પર કોઈ ત્રાહીત હોય જેને આપણે ઓળખતા પણ ન હોઈએ , તે અસાધ્ય રોગમાં પીડાઈ રહેલું જોઈએ તો તેની પીડા જોઈને દયા આવે અને તરત જ આપણુ હ્રદય બોલી ઉઠે હે પ્રભુ આની ઉપર દયા કરો, તેનુ દર્દ ઓછું કરીને તેને જલ્દીથી સાજો કરી દો. આમ કોઈને દુખી જોઈને પણ દિલમાંથી શુભેચ્છા પ્રગટ થાય છે.કોઈના સુખમાં સુખી અને કોઈના દુખમાં દુખી થવું એ મોટી માનવતા છે.કોઈની ખુશીમાં શુભેચ્છા સ્ફુરે તો કોઈને દુખી જોઈને પણ દયાભાવ પેદા થવાથી શુભેચ્છા સ્ફુરે છે. હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો બંનેના વાયબ્રેશન હોય છે અને બંનેની જીવનમાં આપણને અસર થાય છે, બીજા માટે જેવું વિચારીએ તો તેને પણ અસર થાય છે.માટેજ આપણે ભગવાન પાસે સદબુધ્ધિ માગીયે છીએ જેથી હમેશાં સારુ જ વિચારી શકીએ.

રસ્તા પર બેઠેલો ભિખારી આપણને જોઈ ભીખ માગે ત્યારે તેને પૈસા આપતા પહેલાં જ બોલે ભુખ્યાને કંઈ આપો ભગવાન તમારું ભલુ કરશે આપણે એક રૂપિયો આપીએ તરત જ બોલે  તમારા બાળ બચ્ચાં સુખી રહે ભગવાન તમારૂ ભલુ કરે.હવે આભિખારીને તમારા માટે કોઈ પ્રેમભાવ નથી પરંતું તેની પેટની ભુખ દાનીને શુભેચ્છા પાઠવવા માટે મજબુર કરે છે અને પૈસા આપવા વાળા પણ દયા નહી પણ પુણ્ય કમાવવા માટે ઈચ્છા ન હોવા છતાં ભિખારીને પૈસા આપે. હવે આ ભિખારીની શુભેચ્છામાં કેટલું તથ્ય છે ?

સવારે ઉઠીને નિત્યક્ર્મ પતાવીને ભગવાનની સેવામાં બેસીએ, ધુપ-દીપ પ્રગટાવીએ, પાઠ કરીએ, મંત્ર જાપ કરીએ, આરતી થાય.ત્યાર બાદ દરેક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના અવશ્ય કરે જ. આપણે બોલીએ હે પ્રભુ મને સદબુધ્ધિ આપજો, ગમે તેવા સંજોગોમાં મારી બુધ્ધિ ન બગડે, બીજું આપણે માગીએ, જગતમાં સૌનુ કલ્યાણ થાય. આ એક શુભેચ્છા છે. પ્રાર્થનામાં અગાધ શક્તિ રહેલ છે. સાચા દિલથી કરેલ પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે.કોઈ વ્યક્તિ બિમાર હોય તેના માટે જ્યારે ભગવાનને પ્રાર્થના કરવામાં અવે ત્યારે તે બિમાર માણસ માટે આપણી શુભેચ્છા જ છે. શુભેચ્છાઓ પાઠવવાની અનેક રીત છે.ભેટ-સોગાદ મોકલાવીને, ફુલો મોકલાવીને અનેક રીતે આપણે આપણા હ્રદયમાં રહેલ ખુશી-આનંદના ભાવો રજુ કરીએ છીએ.આખી જીંદગીમાં એન્વલોપ પર કંઈ કેટલી બધી વખત લખી ચુક્યા હોઈશું “With Best Wishes” બાળકોની પરિક્ષા વખતે બોલ્યા હોઈશું બેટા “Good Luck”. લગ્ન માટે છોકરા-છોકરી જોવા જતાં સંતાનોને બોલ્યા હોઈશું બેટા “Good Luck” જૉબ પર ઈન્ટર્વ્યુ પર જતા બાળકોને બોલ્યા હોઈશું બેટા “All the Best”. શબ્દો અંગ્રેજીમાં બોલાય કે ગુજરાતીમાં, કોઈ પણ ભાષા હોય હ્રદયનો ભાવ એક જ હોય છે. ‘શુભેચ્છા સહ’

સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી દિવસમાં કેટલી બધી વખત શુભેચ્છાઓ મળે છે અને સામે આપણે પાઠવવી પણ પડે છે . આતો જીવન જીવવાની આધુનિક શૈલી છે.

જીવનનો કોઈ પણ શુભ પ્રસંગ હોય અને સામેની વ્યક્તિ માટે મંગલ પ્રાર્થના કરવાની હોય ત્યારે આપણે ખુશી ખુશી તેને આપણી શુભેચ્છાઓ પાઠવીને તેની ખુશીમાં વધારો કરીએ છીએ.જીદંગીમાં અનેક સારા શુભ પ્રસંગ આવતા હોય છે.બીજાને માટે આપણી ખુશી-આનંદ વ્યક્ત કરવાની આ સુદંર રીત છે.પ્રસંગ જ એવો હોય કે તેના માટે અંર્તર ઉર્મીના ભાવો શબ્દ બની પ્રગટ થયા વીના ન રહે.પ્રસંગને અનુરૂપ શુભેચ્છાઓ અને શુભ કામના પાઠવવામાં આવે.વડીલોને તેમનાથી નાની ઉંમરના પગે લાગે ત્યારે તેમના મુખમાંથી શબ્દો અવશ્ય સરી પડે “સુખી ભવ” , “દિર્ઘાયુષ્ય ભવ”,બાળક પગે લગે તો બોલે “બેટા ખુબ ભણીને માતા-પિતાનુ નામ ઉંચું કરજે” નવી પરણેલ દુલ્હન હોય તેને આશિર્વાદના રૂપે “અખંડ સૌ ભાગ્યવતી ભવ”, “દુધો ન્હાવ પુતો ફલો” વગેરે શુભેચ્છા મળે. શુભેચ્છાઓ એ આપણા મનના હકારાત્મક વિચારો હોવાને કારણ તે જરૂર અસર કરે છે. જેમ પ્રાર્થનામાં ગજબની શક્તિ છે એવી જ રીતે આશિર્વાદમાં પણ ગજબની શક્તિ રહી છે.આશિર્વાદ આપીએ ત્યારે તેમાં શુભેચ્છા રહેલી હોય છે. અંતઃકરણના આશિર્વાદમાં શક્તિ રહેલી છે. માટેજ આપણી સંસ્કૃતિમાં આશિર્વાદ આપવાની અને આશિર્વાદ લેવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે.કોઈ વ્યક્તિને પગે લાગીએ ત્યારે તેમાં આપણી નમ્રતા દેખાઈ આવે અને એટલી ક્ષણો માટે વ્યક્તિ પોતાના અહમથી મુક્ત બની જાય છે. એક સ્ત્રી ગર્ભવતી થાય ,બાળકનો જન્મ થાય, લગ્ન થાય, લગ્ન તિથિ આવે,જીવનના દરેક શુભ પ્રસંગે આ શુભેચ્છાઓ પાઠવવાની રીત અનોખી અને બહુજ સુંદર છે. જેમાં શુભેચ્છાઓ પાઠવનાર અને શુભેચ્છાઓ લેનાર બધાજ ખુશી-આનંદમાં મ્હાલતાં હોય છે.

દિવાળીના દિવસોમાં અને નવા વર્ષે આશિર્વાદ લેવા માટે મંદિરોમાં કેટલી ભીડ જમા થાય છે. નિયમિત ન જનાર માણસ પણ આવનાર વર્ષ શુભ અને કલ્યાણ કારી બને એટલા માટે ભગવાનના આશિર્વાદ લેવા માટે ચોક્ક્સ મંદિર જાય છે.જો માણસોના આશિર્વાદમાં શક્તિ રહેલી છે તો ભગવાનના આશિર્વાદમાં કેટલી બધી શક્તિ રહેલી હોય તે આપણે સમજી શકીએ છીએ.

આપ સૌને માટે ઈશ્વરને એકજ પ્રાર્થના

નવુ વર્ષ મંગલમય અને કલ્યાણકારી બને એજ શુભેચ્છા.

હેમા   –   જય શ્રી ક્રિષ્ણ.

શુભેચ્છા સહ-(11) કુન્તાબેન શાહ –

       આ ઘડી, મારા અંતરથી તમને મનની શાંતિ, તંદુરસ્તી, મિત્રતા તથા જીવન સુધી ઉન્નતિ મળે તેની પ્રભુને પ્રાર્થના કરું છું.

શુભેચ્છા સહુને સાંભળવી  અને વાંચવી ગમે છે.
બાળકોનાં સ્મિત તથા કલરવ, સુંદર મઘમઘતા ફૂલો, મેઘધનુષ, કળા કરતા મોરને જોઇ, માતા, પિતા, દાદાજી, દાદીજી, નાનાજી, નાનીજી ની મમતાના સંભારણા, સહોદર, મિત્ર અને જીવનસાથી સાથે સંપનો ખળખળતો ઝરણાં જેવા પ્રવાહમાં ભીંજાતા હોઇએ ત્યારે શાનો અનુભવ થાય છે?  પ્રભુના આશિષનો અને સ્રુષ્ટિની ઉદારતાનો.  મારે માટે શું સારુ એ પ્રભુ સિવાય કોણ જાણે છે?
કોઇ પણ પ્રસંગ હોય,  દિવાળી, બેસતું વર્ષનાં અભિનંદન અને નવુ વર્ષ વધુ સુખદાયિ નિવડે, જન્મ દિવસની વધાઇ, લગ્નમાં કુર્યાત સદા મંગલમ, લગ્નની તિથી, નવશિષુનો જન્મ કે તારીખની વર્ષગાંઠ, કે હાઇ સ્કુલ, કોલેજ કે નોકરીમાંથી  નિવ્રુત થયા હોય ત્યારે વળી જુદી રીતના અભિનંદન, નવા ઘરમાં રહેવા ગયા હો ત્યારે પણ અભિનંદન તથા કોઇની તબિયત સારી ન હોય કે કોઇ પ્રભુને પ્યારુ થયું થયુ હોય ત્યારે
સ્વજનોને સહનશીલતા તથા શાંતિના આશિર્વાદ.   જુદી જુદી રીતે સજાવેલા હજારો શબ્દો આ ભાવનાંમાં જ સમાઇ જાય છે.
કહેવાય છે કે “સતી હોય તે શ્રાપ દે નહી અને શંખણીના લાગે નહી”.  તેમ જ ઠાલી શુભેચ્છાનું કોઇ મુલ્ય નથી  તેમ જ વ્હાલાઓનાં બોલ્યા વગર કે વાંચ્યા વગરનાં શબ્દો પણ આશિર્વાદ જ હોય છે.  આપણે ત્યાં, આપણાં સ્વર્ગસ્થ સ્વજનોને આવા દિવસે આપોઆપ યાદ કરીએ છીએ અને એમનાં આશિર્વાદ કે શુભેચ્છા છે જ એવું માનીને ખુશ થઇએ છીએ.  વિમાસણ થાય જ્યારે કે ખાસ કરીને વેસ્ટર્ન વર્લ્ડ્ના રિવાજ પ્રમાણે નોકરીમાંથી કે સંગતમાંથી કોઇ છુટ્કારો આપે ત્યારે પણ “વિષ યુ ધ બેસ્ટ” કહે છે.  આધ્યામિક્તા એ લોકોના જાણે જીન્સમાં વણાઇ ગઇ છે.  શ્રધ્ધાળુ લોકો માને જ છે કે જે થાય તે સારા માટે જ થાય છે.  આપણે પણ વ્યાકુળ થવાને બદલે, શું અને કેવી રીતે, ભુલો થઇ હોય તો  તે સુધારીને આગળ સ્વસ્થતાથી પગલું લેવું જેથી, શુભેચ્છા ફળે.  જે સમે જે મળ્યુ તે પ્રભુનો પ્રસાદ અને જેમણે શુભેચ્છા દર્શાવી તે પ્રભુના
સંદેશવાહક.
દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય ચાહે છે, સ્વજનોની ઉષ્મા ઝંખે છે, સ્વાવલમ્બી, સ્વાભિમાનથી જીવન વિતાવવાનું પસંદ કરે છે અને પોતાના અભ્યાસ, વ્યવસાય અને શોખની પ્રગતિ માટેની મહેનત સફળ થાય તે માટે આશિશ, શુભેચ્છા માગે છે.
બસ આનંદમાં રહો અને તમારી અને તમારે માટે પ્રભુની ઈચ્છા સરખી જ હો એ શુભેચ્છા સાથે વિરમું.

કુંતા શાહ 

“શુભેચ્છા સહ”-(10)પ્રજ્ઞા દાદભાવાળા

  • શુભેચ્છા-માથા પરનો હાથ..
  • ઈચ્છા અને શુભેચ્છા ને ખુબ સંબંધ છે.
  • શુભેચ્છા એજ તો ઈચ્છાનું સર્જન છે.
  • અને ઈચ્છાપુર્તીનું સાધન છે.
  • શુભેચ્છા માનવતાનું ઉદાહરણ છે.
  • મંગલસૂચક છે.,કલ્યાણની ભાવના છે.
  • શુભેચ્છા ના મૂળ અને ફળ શુભ, મધુર અને મંગલકારી છે
  • અમીની દૃષ્ટિ  છે..
  •  શુભેચ્છા સ્વસ્તિવચન છે.
  • તુષ્ટિવચન છે,
  • પ્રભુનો સ્પર્શ છે.
  • માનવીના બે ખુલા હાથોમાં શુભેચ્છા આવે ત્યારે ખોબો ભરાય જાય છે.
  • મેઘધનુષ્ય રચાય છે.ડુંગરા ઓળંગી જવાય છે.
  • જીવન વહેવા માંડે છે.શરીર ઉર્જા થી ભરાય છે.
  • શુભેચ્છા પોષણ આપે છે.કરુણાનો દીપક પ્રગટાવે છે.
  • સંવેદના ની સરવાણી ફૂટે છે.
  • શુભેચ્છા માનવીની તાકાત છે.
  • ઉજળા ભવિષ્યનો આવાહન છે.
  • કુદરતને પડકાર છે.
  • પોતીકો વિશ્વાસ છે.
  • હ્ય્દયમાંથી નીકળતી અભિવ્યક્તિ છે.
  • માનવને અહેસાસ કરાવે છે.કે તમે એક જીવંત,ધબકતા માનવી છો.
  • શુભેચ્છા સાંભળવી કાનને ગમે છે.આંખો ને વાંચવી ગમે છે.
  • માનવી શુભેચ્છા નો ભુખ્યો છે.
  • માનવીના હ્ય્દયને, સખત થતું અટકાવે છે.માનવતા ને પ્રજ્જવલિત રાખે છે,
  • શુભેચ્છા માનવીના જીવનનો ઔંશ છે.જીવનમાં અભિન્નપણે ગૂંથાયેલી છે.
  • શુભેચ્છા શબ્દો દ્વારા અભિવ્યક્તિ પામે છે.ક્યારેક કાર્ડ તો ક્યારેક ફુલો બની આવે છે.
  • દિવાળીમાં સાથીયા ને તોરણ જ શુભેચ્છા બને છે,તો  શુભ: લાભ: ઘરના ઉંબરા ને વધાવે છે.
  • ભેટ પણ શુભેચ્છાનું સ્વરૂપ છે.વિદ્યાર્થી માટે શુભેચ્છા બળ છે.
  • દર્દી શુભેચ્છાથી જીવે છે.માંના હાલરડામાં શુભેચ્છાનો  સંકેત છે.
  • શુભેચ્છા આંખની ભીનાશ રૂપે ટપકે છે.રાખડીમાં  બંધન જ શુભેચ્છા છે.
  • “અખંડ સૌભાગ્યવતી” શુભેચ્છા છે.જે કુમ કુમ ભાગ્ય લાવે છે.
  • અચાનક ખરતો તારો શુભેચ્છા બને છે.
  • હ્ય્દયના ઊંડાણમાંથી ફૂટી નીકળતી મંગળ ભાવના છે.
  • શુભેચ્છા મેળવતો માનવી ભાગ્યશાળી છે.
  • પણ હવે દુર્લભ કેમ  થઈ રહી છે.?ક્યાંય દેખાતી નથી,
  • શબ્દો છે,ફુલ છે,સાથીયા અને તોરણ પણ છે.
  • હાર્દિક શુભેચ્છા હવે ,માત્ર શુભેચ્છા છે.
  • અંદરની ભીનાશ વિના શુભેચ્છા કોરી છે.
  • sms ,email ,કાર્ડ બધું મોનોટોનસ છે.
  • ટેપરેકોર્ડ માં વાગતા હાલરડામાં સંવેદનાની ખામી છે.
  • શુભેચ્છા હવે સમાજ,વ્યવહાર,દેખાવ અને વેપાર છે.હા માત્ર વેપાર છે.
  • communication ,અને formality છે.
  • શુભેચ્છાએ કાર્ડના વાઘા પહેર્યા છે.
  • હાથ હવે ફુલ બની ને આવે છે.
  • જય શ્રી કૃષ્ણ નું સ્થાન હવે માત્ર good morning પ્રણાલી છે.
  • લુપ્ત થતી શુભેચ્છા હવે Best of luck  છે.
  • માત્ર અભિવાદન છે.
  • અને “શુભેચ્છા” હવે “સહ”ને થઇ આવે છે.
  •                         with best compliments છે.બધું ફોર્મલ ફોર્મલ છે. ……..                    
  •    પણ માથા પરનો હાથ…
  • બોલ્યા વગર ઘણું કામ કરે છે.
  • સાચા હૃદયથી એક લાગણી
  • એક હૃદય ની શુભ સંવેદના
  • રૂ -બ- રૂ જોડાણ છે   
  • એજ શુભેચ્છા છે.
  • અને એજ સાચી શુભેચ્છા છે.
  • પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

“શુભેચ્છા સહ”(10)પલક આશિષ વ્યાસ

Slide11મિત્રો  ,આપ સહુ નિહારીકાબેન થી તો પરિચિત છો અને એમની અભિવ્યક્તિ પણ ખુબ સુંદર હોય છે ,તો આજે એમની દીકરી પલક જે બે એરિયાની ખુબ જાણીતી ગાયિકા છે જે  બેઠકમાં પણ આવી છે  અને એણે  સંગીતની સુંદર રજૂઆત કરી છે એના વિચારોની અભિવ્યક્તિ આજે આપ માણો।.. અને વાચ્યા પછી જરૂરથી કહેશો કે કહે છે ને મોરના ઈંડા ને ચિતરવા ન પડે….. 

શુભેચ્છા સહ…….

 

માલવણ નામના ગામ માં વિધવા શાન્તાબહેન રેહતા હતા. તેઓ ભણેલા નહિ હોવાથી ગામ માં લોકો ના ઘર ના કામ કરી ગુજારો કરતા હતા. તેમની એક દીકરી મીના પણ તેમને કામ માં મદદ કરતી અને ભણતી. મીનાએ ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી અભ્યાસ છોડી તે માતા ને કામ કરવામાં મદદમાં રેહતી. દીકરી મીના ને જુવાન થયેલી જોઈ શાંતાબહેન તેના લગ્ન ની ચિંતા કરતા હતા. મા- દીકરી તેજ ગામના ભીખુભાઈ શેઠને ત્યાં કામ કરતા. ભીખુભાઈ તેમના પત્ની અને દીકરો આમ ત્રણ નું સુખી જીવન હતું.

મીના નો સુશીલ સ્વભાવ જોઈ ભીખુભાઈ ના દીકરા નવીન ને તે પસંદ પડી ગઈ. નવીને તેના માતા- પિતાને મીનાને  પસંદ કરી અને લગ્ન માટે હા પાડી પરંતુ શાન્તાબહેન પાસે લગ્ન કરવા માટે રૂપિયા ન હતા તેથી તેઓ ખુબ દુઃખી હતા. આ વાત ની ખબર તેજ ગામમાં રેહતા ગંગાબા ને પડી. તે સામાન્ય સ્થિતિના હતા. તેઓ એ ૫૦૦૦ રૂપિયા એમની પાછલી જિંદગી માં અણધારી જરૂરિયાત માટે બચાવેલા હતા. તેમણે મીનાને ઘેર બોલાવી હાથમાં કવર આપ્યું. મીનાએ માતાને કવર આપ્યું. શાન્તાબહેને કવર ખોલ્યું તો તેમાં ૫૦૦૦ રૂપિયા હતા અને ચબરખી માં લખ્યું હતું કે શુભેચ્છા સહ  સ્વીકારશોજી.

પલક આશિષ વ્યાસ

“શુભેચ્છા સહ” (9)દર્શના વારિયા નાડકરણી

“શુભેચ્છા સહ” – With Best Wishes


આ વખતની “બેઠક” નો વિષય હતો “શુભેચ્છા સહ”. તે વિષય ઉપર નીચે રચના પ્રસ્તુત કરું છું.

નથી એવી કઈ જરૂર શબ્દોની, વગર શબ્દોએ ઘણું કહી શકાય છે
શુભેચ્છા, અભિનંદન, મમતા, લાગણી, ચિંતા, પ્રેમ દર્શાવાય છે

રાહના પત્થર તમારા ઘરની કોર જાય ને કાંકરે કાંકરે દિલ પીઘલતું
વાચા વગરજ નીચી પાંપણોમાં થી કેમનો પ્રેમ થઇ જાય છે

બાળકના મોઢામાં દુધની સેર પંહોચી નથી, કે ઉભરાય છે મમતા
તેને છ ફીટની કાયામાં જોયને એજ મમતા ગૌરવમાં બદલાય જાય છે

પ્યારી સહેલીના પ્રિય પાત્રને મળતા પહેલાજ થાય છે હર્શઘેલું દિલ
પ્યારભરી મસ્તીથી ચીડવવામાં જ તેને અભિનંદન પહોચી જાય છે

અને છતાય જે વર્તાવાય “શુભેચ્છા સહ” શબ્દોના સહારે
અમર થાય છે એ લાગણી જયારે તે શબ્દોમાં પીરસાય છે.

Home work assignment for this “bethak” meeting -(English translation)

Words are not required, without words, much can be said
Goodluck, love, concern, and worry can all be expressed

Each little stone on the path to your home, melts my heart
Without words, from under closed eyelids, heart has loved

Milk has not reached baby’s mouth, but heart overflows with awe
It changes into pride when into 6 feet man, the child is transformed

Before even meeting dear friend’s new love, heart feels happy
From teasing and jokes, good wishes are all conveyed

And yet, when with “best wishes” feelings are expressed
They live forever, when with words, emotions are served

http://darshanavnadkarni.wordpress.com/

શુભેચ્છા સહ…(8)વિનોદ પટેલ

 

શુભેચ્છા શબ્દ બે શબ્દોનો બનેલો છે – શુભ + ઇચ્છા . કોઈના પ્રત્યે સારી ઈચ્છા રાખો અને એને વ્યક્ત કરો એટલે શુભેચ્છા દર્શાવી એમ કહેવાય.

દરેક વ્યક્તિની શુભેચ્છા વ્યક્ત કરવાની નીતિ રીતી જુદી જુદી હોય છે.શુભેચ્છા એ પ્રેમ જેવી એક પ્રકારની હૃદયની લાગણી છે. હૃદયનો ભાવ છે.એ એક જાતનું પવિત્ર ભાવનું ઝરણું છે જે દરેકના હૃદયમાં વત્તા ઓછા અંશે વહેતું રહેતું જ હોય છે.

પૂજ્ય મુની ચિત્રભાનુની એક જાણીતી કાવ્યરચનાની આ બે પંક્તિઓમાં હૃદયનો કેટલો સુંદર ભાવ વ્યક્ત  થયો છે !…                મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

                   શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

શુભેચ્છા અનેક માધ્યમો દ્વારા વ્યક્ત કરી શકાય છે. અન્યોન્ય મળીને વાણીથી, વડીલોને પ્રણામ જેવા શારીરિક હાવભાવથી,ઇન્ટરનેટમાં ઈ-મેલથી, આવી રીતે બ્લોગમાં કાવ્ય કે લેખ લખીને વિગેરે અનેક રીતે શુભેચ્છાઓ  પાઠવવામાં આવે છે .

દિવાળીના જેવા સપરમા પર્વ નિમિત્તે  સદીઓથી સગાંઓ, વ્હાલાંઓ, મિત્રો એક બીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને અન્યોન્યની પ્રેમની લાગણીને બહાર લાવે છે.

ઋગ્વેદમાં એક ખૂબ જાણીતો શ્લોક છે :

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः’ 

જેનો અર્થ છે આખી દુનિયામાંથી જે શુભ અને સુંદર વિચારો છે તે દરેક દિશાઓમાંથી અમારામાં આવો.!

દરેક મનુષ્યે પોતાના જીવનને દીપોત્સવીના પર્વ જેવું પ્રકાશમય, આનંદ અને ઉલ્લાસભર્યું બનાવવા માટે એ જરૂરી છે કે એણે એના  ઈષ્ટદેવની આરાધના કરતી વખતે વિશ્વમાં જે કંઈ શ્રેષ્ઠ, સારૃં, સર્વોત્તમ છે એની મંગળ કામના કરવી પડે જે ઉપરના શ્લોકમાં સરસ વ્યક્ત કરવામાં આવી છે .આવી ઉન્નત ભાવનાઓ વ્યક્ત કરવી એ આપણી ભારતીય સંસ્કૃતિની એક દેન છે જેને જાળવી રાખવાની આપણી ફરજ બને છે.શુભેચ્છા વ્યક્ત કરીને જો આપણે કોઈના જીવનમાં ખુશી અને કોઇના હોઠો પર ફક્ત સ્મિત લાવી શકીએ તો પણ એ એક મોટી સેવા છે. એમાં જીવનની સાર્થકતા છે.આપણા વેદો અને પુરાણોમાં ઋષિ મુનીઓએ દરેક પ્રસંગોએ બીજાઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ વ્યક્ત કરવાનું શીખવ્યું છે. વડીલો દ્વારા દરેક શુભ પ્રસંગોએ અપાતા આશીર્વાદ એ શુભેચ્છાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. આવા આશીર્વાદ મળે એના જેવો આનંદ બીજો શું હોઈ શકે !નીચેના શ્લોકમાં જુઓ, આપણા ઋષિ મુનિઓએ કેટલી સુંદર શુભેચ્છાની લાગણી વ્યક્ત કરી છે !                                                          સર્વે ભવન્તુ સુખીન 

સર્વે સન્તુ નિરામયા:  

સર્વે ભદ્રાણી પશ્યન્તુ

મા કશ્ચિદ દુ:ખ માપ્નુયાત્  

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

 

કવિ ઉશનસે પણ એમના એક કાવ્ય “ નુતન વર્ષ શાંતિ –સૂક્ત” માં આવી જ ભાવના રજુ કરી છે .

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;

સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,

વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

જીવનની દરેક નવી સવાર નવી આશાઓ લઈને ઉગતી હોય છે . આખા દિવસ દરમ્યાન માણસ પોત પોતાના નિયત કામકાજ માં વ્યસ્ત રહે છે .રાત પડે એટલે એ નિંદ્રા દેવીના શરણે જપીને નિશ્ચિંત બનીને સુઈ જાય છે .એક રીતે એ એક પ્રભુ શરણું પણ બને છે .જ્યારે એ ઘસઘસાટ સુએ છે ત્યારે જાણે કે એ મૃત દશામાં હોય છે .જ્યારે સવારે જાગે છે ત્યારે એક નવા દિવસ માટે એનો ફરી જન્મ થાય છે .

આપણને સવારે જીવતા ઉઠાડવા માટે અને એની આ રોજના જન્મ-મરણની અદભુત લીલાઓ માટે ભૂલ્યા વિના પ્રભુનો પાડ માનીને આપણું રોજ બરોજનું કામ કરીએ તો કેવું સારું ! આપણા ઉપર અનેક ઉપકારો કરનાર કૃપાળુ પરમાત્મા ઉપર આટલી આભારવશતા તો આપણે જરૂર બતાવી શકીએ ..

અંતે, આ દીપોત્સવી-નવા વર્ષ નિમિત્તે જેની રચના થઇ એ મારું એક શુભેચ્છા કાવ્ય પ્રસ્તુત કરી આ લેખ પૂરો કરું છું.

 

નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ

 

સમય સરિતા હંમેશ વહેતી જ રહેતી,

જૂની યાદો પાછળ મૂકી વર્ષ એક થયું પસાર

આવી ઉભા એક નવા વર્ષને પગથાર.

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,

નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.

ખામીઓ, કમજોરીઓ હોય એ દુર કરીએ

નકારાત્મકતા છોડીને ,સકારાત્મક બનીએ.

નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,

નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,

નવું વર્ષ હળીમળી પ્રેમથી સૌ ઉજવીએ,

નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.

કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,

નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,

રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,

સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,

એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.

 

સૌને સ્નેહી મિત્રોને નવા વર્ષની અનેક પ્રેમભરી શુભેચ્છાઓ .

વિનોદ પટેલ ,સાન ડીયેગો , કેલીફોર્નીયા

શુભેચ્છા સહ (૭) ડૉ .લલિત પરીખ


Best wishes

કારણ વિના આપણા અનેક ધર્મોએ ઈચ્છાને દુઃખનું કારણ કહી આપણી  સ્વાભાવિક સહજ મનોવૃત્તિને વગોવી મૂકી છે. ઈચ્છા જન્મની સાથે જ જન્મે છે અને જીવન થી લઈને  મૃત્યુ સુધીની  મંગળ યાત્રામાં હુંફાળો સથવારો આપે છે.ઇચ્છા પોતામાં કાયમ શુભ જ હોય છે,પોતાનું અને બીજાઓનું શુભ જ ઈચ્છે છે.આપણી સેક્યુરિટીનું ધ્યાન રાખનાર ઈચ્છાને વગોવીને આપણે આપણી  જાતનું,આપણી આસપાસના જગતનું,પરસ્પર જોડાયેલા જ જોડાયેલા રહેવા ઈચ્છતા સંબંધોનું અકારણ અહિત કરી બેસીએ છીએ.પરહિતમાં  જ આપણું  હિત સમાહિત  છે એ અને એટલે જ ઇછાપ્રેરિત આપણું  દરેક કાર્ય, સ્વધર્મની રક્ષા કરતું રહી આપણી સાથે સમસ્ત જગતનું સદાસર્વદા   કલ્યાણ  કરતુ  રહી,જાતનો ,સમાજનો સતત  વિકાસ કરતુ રહ્યું છે.પ્રસ્તર યુગથી પવનયુગ સુધીની આપણી વિકાસયાત્રાના મૂળમાં આપણી,આપણા સહુ કોઈની શુભ ઈચ્છા જ માનવ વિકાસનું મજબૂત પાસું છે, એ જ મૂળ તત્વ છે એ તો દીવા જેવી ચોખ્ખી વાત છે.ભગવાન પણ સહુનું ભલું જ ઈચ્છે છે તો આપણી  અશુભ ઇચ્છા હોય તો ય અંતે તો દરેકનું શુભ જ શુભ થઈને રહેવાનું છે.

ઈચ્છા અશુભ હોઈ જ કેવી રીતે શકે?આપણું  મન,આપણું તન,આપણો આત્મા સદૈવ ‘સ્વાન્ત :સુખાય’ જ  સંચાલિત થાય છે,પ્રવૃત્ત રહ્યા કરે છે.સહુના હિતમાં જ નિજ હિત સમાહિત છે એ ચરમ -પરમ સત્ય આપણા મનને દોરે છે,આપણી  સાનને ઠેકાણે રાખે છે,આપણને સાચા અને ઊંડા આનંદનો અનુભવ કરાવે છે.સહુના કલ્યાણમાં જ આપણું કલ્યાણ છે એ સમજીને તો આપણે “સહુનું કરો કલ્યાણ પ્રભુજી,સહુનું કરો કલ્યાણ”એમ ગાતા આવ્યા છીએ,”સર્વે જના: સુખીનૌ  ભવંતુ” એમ પોકારતા રહ્યા છીએ.આપણે પાગલ નથી કે બીજાઓના ભલા,સુખ અને કલ્યાણના ગીતડાં ગયા કરીએ. આપણે  જે કંઈ વિચારીએ છીએ,કરીએ છીએ એ અંતતોગત્વા તો આપણા  સુખ માટે જ કરીએ છીએ.સહુના સુખમાં જ આપણું સુખ સમાહિત  છે એ બરાબર સમજેલા આપણા  મહાકવિઓ એટલે જ ગાતા રહ્યા:-“પર હિત સરિસ ધર્મ નહિ કોઈ “(તુલસીદાસ) “સહુનું કરો કલ્યાણ પ્રભુજી સહુનું કરો કલ્યાણ ” , “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે”(નરસિંહ મેહતા).માતા બાળક માટે રાત રાત જાગે છે,ભૂખી તરસી રહે છે, એ પણ અંતે તો આ બધું પોતાના સુખ માટે જ કરે છે.બાળકનું દુખ પોતાનું દુખ બની જાય છે;બાળકનું સુખ પોતાનું સુખ બની જાય છે.આપણું પ્રત્યેક કાર્ય આત્મસુખ માટે જ હોય છે.પોતાનો અને પારકાનો ભેદ, અભેદમાં પરિણમી જાય છે,આપણો વસ્તાર આપણો   વિસ્તાર છે,આખું જગત, આખી જીવસૃષ્ટિ આપણો જ વિસ્તાર છે,આપણું જ પ્રતિબિંબ છે,હકીકતમાં એ બધું આપણે જ છીએ.એકમાં અનેક અને અનેકમાં એક જ આત્મતત્વ છે એ તો નિર્વિવાદ સત્ય છે.”બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે” એ પણ સમજીએ તો આપણે  જ આપણા પ્રતિબિંબ સમાન સમસ્ત જગતના પદાર્થો અને જીવોને જોઈએ છીએ,અનુભવીએ છીએ.ભૂખ્યાને જમાડી જે ધરવ થાય છે,કોઈને સુખી કરીને જે સુખનો સાક્ષાત્કાર થાય છે એ આપણી  શુભ ઈચ્છાની જ ફલશ્રુતિ છે.સાહિત્ય પણ આપણને એ જ શીખવે છે,સમજાવે છે.સાધારણીકરણ આપણને પાત્રો સાથે,પરિસ્થિતિઓ સાથે એકરૂપતાનો અનુભવ કરાવે છે.સાહિત્યમાં પણ ‘સ્વ હિત’ અને ‘પર હિત સમન્વિત’ છે જ છે.સત્યમ,શિવમ અને સુંદરમનો સમન્વય શું સાહિત્યમાં અને શું જીવનમાં સમાહિત છે જ છે.

સમસ્યા એ છે કે આપણી જીવનદૃષ્ટિ સંકુચિત થઇ ગઈ છે,આપણી  વિચારસરણી સંકીર્ણ  થઇ ગઈ છે, માંકડું મન સાંકડું થઇ ગયું છે અને એટલે સ્વમાં સર્વને જોવાનું ભૂલી, સહુમાં  પોતાને જોવાનું ભૂલી પોતાના – પારકાના ભેદ કરવા માંડ્યા છીએ.

હકીકતમાં તો પોતે તો અત્ર તત્ર સર્વત્ર છે જ છે ;પણ દૃષ્ટિ એવી સૃષ્ટિના કારણે

‘અભેદ’માં ‘ભેદ’ જુએ છે.વહાલા-દવલાનું વિશ્વ ઊભું કરે છે.બાકી તો ઈચ્છા તો હમેશા, શું પોતા માટે શું,શું બીજા માટે શુભ જ શુભ હોવાની હોવાની અને હોવાની જ.અશુભ ઈચ્છા પણ અંતે તો પોતાનાઅને જીવ માત્રના,સમસ્ત જગતના  શુભ માટે શુભમાં જ પરિવર્તિત થવાની,એમ થઈને જ રહેવાની.અસત્યોમાંથી સત્ય તરફ સહજ સ્વાભાવિક રીતે જનારું આપણું મન,ઊંડા અંધારેથી તેજ જનારું આપણું મન શત પ્રતિશત અશુભમાં  થી શુભ તરફ જ જવાનું તેમાં લવલેશ સંદેહને સ્થાન નથી.કોઈનું અશુભ ભૂલથી,દ્વેષથી ,તિરસ્કારથી ઈચ્છો તો પણ શુભનું બળ એવું અને એટલું છે કે જેનું અશુભ ભૂલથી ઈચ્છ્યું હોય તો ય તેનું  તો શુભ જ શુભ થવાનું,થઈને જ રહેવાનું.વિકાસ,પ્રગતિ અને ઉન્નતિનું જોર એવું જબરું હોય છે કે અંતે તો શુભનો જ વિજય થઈને રહે છે.તેથી જ સહુનું શુભ ઇચ્છવું જોઈએ,”જા  સુખમ” કહેવું જોઈએ.ભગવાન તારું ભલું કરે એ જ મનમાંથી નીકળવું જોઈએ,જેથી આપણને પોતાને સારું લાગે,સામાને સારું લાગે અને પ્રભુ તો જે સારું કરવાના જ  છે, તો થોડો યશ આપણે પણ  પણ અનાયાસ કેમ કમાઈ ન લઈએ ?

ગમે તેટલું અંધારું ઉમટ્યું હોય -અમાસની રાતે; બીજી સવારે સૂર્યને,સૂર્યના પ્રકાશને જગતની કોઈ કરતા કોઈ તાકાત રોકી શકતી નથી-તેનું અજવાળું,તેનો ઉજાસ,તેનું તેજસ્વી તેજ ફેલાવવામાં.તે જ પ્રમાણે અશુભનું જોર કેટલું? શુભ જ બળવાન હોય છે, શુભ જ શક્તિશાળી હોય છે,શુભ જ વિકાસશીલ હોય છે એટલે “શુભેચ્છા સહ” તો આપણા શ્વાસોચ્છવાસ સમાન હોય છે,પ્રાણવાયુ સમાન હોય છે.શુભની દિશા અને દૃષ્ટિ નિશ્ચિત હોય છે.સુખડ બળીને ય સુગંધ જ પ્રસરાવે છે,પુષ્પ ચીમળાઈને ય સુવાસ જ ફેલાવે છે,મેહંદી પીસાઈનેય મહેકે છે,. તળાવ અને સમુદ્રનું જળ સૂર્યના કિરણોથી બળીને ય વાષ્પ બનીને પુન:વાદળ સ્વરૂપે જીવન સ્વરૂપે -જળ  સ્વરૂપે વરસે જ વરસે છે.તે જ પ્રમાણે અશુભ અંતતોગત્વા તો શુભ જ શુભમાં પરિણમીને રહે છે. તેથી જ “શુભેચ્છા સહ” માં શુભ જ શુભ સમાહિત છે જે આપણા  સહુના હિતમાં જ છે.તેથી હેતે હેતે ગાતા રહેવું જોઈએ કે “સહુનું કરો કલ્યાણ પ્રભુજી સહુનું કરો કલ્યાણ !” ‘શુભેચ્છા સહ’ની પાછળ “ઓમ સહના વવતુ, સહનૌ ભુનકતુ , સહ વીર્યમ કરવા વહૈ,તેજસ્વિના વધી તમસ્તુ,મા  વિદ્વિષા વહૈ,ઓમ શાંતિ:શાંતિ: શાંતિ: “. શુભેચ્છાનો સંદેશો શુભ જ શુભમાં પરિણામે છે એ મહા સત્ય છે,અચળ સત્ય છે, અડગ સત્ય છે,ચરમ અને પરમ સત્ય છે.એ સત્યની સામે અશુભનું વજૂદ કેટલું બધું બેવજૂદ છે?

ડૉ .લલિત પરીખ

 

(સમાપ્ત)

શુભેચ્છા સહ..(6)નિહારિકા શશીકાંત

ભારતીયો જ્યાં રેહતા હોય ત્યાં ભારતીય તહેવારો આનદથી ઉજવે છે. ભારતીયો નવુંવર્ષ કારતક મહિનાની એકમના દિવસે ઉજવે છે. આ દિવસે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે.

” નવુંવર્ષ દરેક વ્યક્તિને સુખદાયી, લાભદાયી, યશસ્વી નીવડે, ઉમંગો જીવનને નવો આનંદ આપી મધુરતાથી ભરી દે, આપણે બધા ધરતીમાતાની ઉદારતા અને આકાશ જેવી વિશાળતાથી એકબીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહીએ. દરેકના જીવનમાંથી ભય, દુઃખ, નિરાશા નો નાશ થાય અને સુખશાંતિથી જીવન ખુશખુશાલ બને, ભગવાનની ભક્તિ કરી જીવનને આદર્શ બનાવીએ”
વિજ્ઞાનની પ્રગતિ સાથે દુનિયામાં અશાંતિ પણ વધી છે.” જે પોષતું તે જ મારતુ એવો દિશે ક્રમ કુદરતી.” તે પ્રમાણે અત્યારના જમાનામાં લોકો કુદરતે આપેલી અને બીજાઓએ આપેલી તેવી ઘણી મુશ્કેલીયોનો સામનો કરે છે ત્યારે શુભેચ્છા સાથે મારે એટલું જ કહેવું છે કે,” એકબીજા તરફ દેવ દ્રષ્ટિથી જુઓ, દરેક માં રહેલા દેવત્વને જાણી, એકબીજાનું મંગલ ઇચ્છો અને જગત માં માંગલ્ય વરસાવો, વિચાર વાણી અને વર્તનમાં એકતા આચરી એકબીજા ને આશીર્વાદ આપો. દરેકનું ભલું ઈચ્છો, એકબીજા ને મદદ કરી તારક બનો અને સર્વકલ્યાણ ઈચ્છી સુખી કરો. સત્કર્મ કરી જગત નું  કલ્યાણ કરો. મંગલકામનાઓથી જગતને તમામ સુખ શાંતિ  થી ભરી દો.”
આપણા ભારતદેશની મહાનતાના ગુણગાન ગાતા આપણા જીવનને મહાન બનાવીએ તેવી શુભેચ્છા સહ
નિહારિકા શશીકાંત વ્યાસ ના પ્રણામ

સંવત વર્ષ ૨૦૭૧ માટે નૂતન વર્ષાભિનંદન

નવા વર્ષના પ્રવાસમાં આપનું સ્વાગત અને સાથે સાથે અભિનંદન. અભિનંદન એટલા માટે કે શબ્દોનુંસર્જન ના બ્લોગને   આપ સૌએ તેને સુંદર રીતે વધાવી અને ઉત્સાહદાયક પ્રતિભાવ આપ્યા. સહિયારા સર્જનમાં સાથે કામ કરવાનો અનુભવ અવર્ણનીય રહ્યો.કેટલાક સહયાત્રીઓએ (વિજયભાઈ શાહ ) આપણા લેખને પુસ્તક સ્વરૂપે  પ્રસિદ્ધ કરવા પ્રેરણા આપી.પુસ્તક પ્રકાશિત થતાં જ તેને સારો આવકાર મળ્યો વાચકો દ્વારા..  . વાચકો આપના પ્રતિભાવ વગર “શબ્દોનુંસર્જન” બ્લોગ સુનો હોત  તેમજ  નમ્રતાપૂર્વક કહી કે મહેશભાઈ રાવલ ,દેવિકાબેન ધ્રુવ ,દિનેશભાઈ શાહ ,જયશ્રીબેન મર્ચન્ટ ,જેવા અનુભવી લેખકોના માર્ગદર્શને સર્જકોને પ્રેરણા આપી.આ સાથે બીજા અનેક બ્લોગરે આ બ્લોગને અનેક રીતે પ્રોત્સાહન પણ આપ્યું.આ બ્લોગના સર્જકો થકી બ્લોગ સદાય લીલોછમ રહ્યો એમાં કોઈ શંકાને સ્થાન નથી સૌથી મોટીવાત કે જે ધ્યેય સાથે આ બ્લોગને શર્યું કર્યો હતો તે ધ્યેય ને સર્જકો દ્વારા જ પરિપૂર્ણ થતા જોઈ રહી છું   વડીલોને મોંન તોડી ભાષાને અભિવ્યક્ત કરતા જોઉં છું ત્યારે થાય છે હાશ. હવે આપણા વડીલોના  જીવનમાં શબ્દો  મહોરી ઉઠેશે . એને  કરચલીવાળા  મોઢા પર સ્મિત  જોઇશ.આભાર માની કોઈને અળગા નથી કરવા છતાં આ બ્લોગનો શ્રેય સર્જક અને વાચક આપને જાય છે તે નમ્રતાપૂર્વક કહીશ.

પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા

દિવાળીની શુભેચ્છા

મિત્રો દિવાળીના આ શુભ દિવસે ચાલો આજે ઘરના દ્વાર ખોલી, શુભ લાભના પગલા સાથે આવકાર નો દીપ પ્રગટાવીએ..ચાલો આપણે પણ દરેક ના જીવનને પ્રજવલ્લિત કરીએ  પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે દિવાળી ના દિવા જેવુ આપનુ જીવન પ્રકાશિત રહે..દિવાળી ના રંગ, મધુરતા, ઉજાશ, ઉલ્લાસ અને નવા વર્ષના સપનાઓ ચાલો  આપણે સાથે ઝીલીએ…

શબ્દોની  ની આતશબાજી કરીએ…

આપ સર્વેએ મારા નાનકડા દીવડામાં આપના સહકારથી દીપમાળા પ્રગટાવી છે..આખા વર્ષ દરમ્યાન સુંદર લખાણો  નો થાળ અને મધુર પ્રતિભાવોનો  અન્નકૂટ  આપે  પીરસી ને ભાષા ને જાગ્રત રાખી છે. ગુજરાતી સાહિત્યના અદભુત તારામંડળ “શબ્દોનુંસર્જન” બ્લોગમાં આપની  સમક્ષ રજુ કરતા મને પણ ખુબ આનંદ થયો છે  …  શબ્દોનાસર્જન પર આપનું હમેશા સ્વાગત છે.   આપ જ મારો પરિવાર છો માટે આપ સર્વેને ખુબ ખુબ અઢળક વ્હાલભરી દીવડાની જ્યોતભરી ,ઘૂઘરા અને મઠીયામા  પ્રેમભરી,તનક્તારા,ચકરડીમાં  ચકમક ભરી , રંગોળીના રંગભરી, સ્વજનના સંગભરી શુભેચ્છાઅને ખુબ શુભેચ્છા ।..સૌ વ્હાલા સર્જક અને વાચક મિત્રો/શુભેચ્છકો, તમને અને તમારા પરિવારજનો ને હ્રધ્યથી  ખોબલે ખોબલે દિવાળીના આ શુભ પર્વની  શુભકામના।   

પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા 

Picture1શુભેચ્છા સહ નૂતન વર્ષાભિનંદન   ૨૦૭૧

બે હઝાર એકોત્તેરનું વર્ષ લાવે ઉમંગ, ઉન્નતિ ને ઉત્કર્ષ

કીર્તિ વળી ને મળે જશ, જન જનને મળે તન્દુરસ્તીની નસે નસ

તન દુરસ્તી મનમાં મસ્તી, લક્ષ્મીની કૃપા દૃષ્ટિ પ્રેમની પુષ્ટિ,

પ્રભુ ભક્તિમાં, ના રહે કોઈ ત્રુટી, પ્રજવલિત રહે હર  દિપની જ્યોતિ

બે હઝાર એકોત્તેરમાં સહુને રાખે હસતી,પંચામૃતની એ શક્તિ!

પરિવાર પ્રેમ  સહિત સહુને  પાઠવતી

અભિનંદન, અભિનંદન, નૂતન વર્ષાભિનંદન

પદમાં –કાન