હેલીના માણસ – 49 | નફરત છે દિલમાં | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-49 ‘નફરત છે દિલમાં’ એની 48મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

મારી પ્રતિષ્ઠા ક્યાંય ગળે ઊતરે નહીં, 

મારા જ ગામલોકો મને ઓળખે નહીં! 

 

મારો શિકાર કરવાની હિંમત જો હોય તો, 

ઊભા રહો જમીન ઉપર માંચડે નહીં! 

 

આશિક છું હું મોહતાજ નથી તારા પ્રેમનો, 

એવું તે ક્યાં છે તારા વગર ચાલશે નહીં! 

 

આંધી તૂફાન જોઈ જે પાછાં વળી ગયાં, 

એ તો કોઈ બીજા જ હશે આપણે નહીં! 

 

નફરત છે દિલમાં હોઠે છે સંદેશ પ્રેમનો, 

અમને તો ભાઈ એવી રમત આવડે નહીં! 

 

શાયર છું મારા ખાતે જમા શાયરી જ છે, 

થાપણ તો ચોપડીમાં મળે ચોપડે નહીં! 

 

ત્યાં લગ ખલીલ આમ ભટકશે એ ચોતરફ, 

જ્યાં લગ હ્રદયને ઠેસ કશે વાગશે નહીં! 

ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

ખરેખર, આપણું બાળપણ જ્યાં વિત્યું હોય, તે ગામ, ફળીયુ, ગામનું પાદર અરે, ગામની માટી અને એનો કણેકણ સાવ પોતાનાં થઈ પડે! યાદ છે? ગામના લોકો આપણાં નામને લાંબુ કરીને કે પછી સાવ ટુકું કરીને આપણને બોલાવતા! આવી બધી વાતોનાં સંભારણાં પણ મીઠાં મીઠાં લાગે! કિરણને બદલે કિરણીયા કે, રાધાને બદલે રાધાડી કે, પછી રાજેન્દ્ર કુમારને બદલે રાજલા! એમાં આપણાં નામના ઉચ્ચારમાં ભળેલો પ્રેમ જીવનભરની મુડી બની રહે છે. આમાંનો કોઈ રાજલો કે કિરણીયો મોટો સાહેબ થઈને ગામમાં જાય તો તેને કોઈ ઓળખે નહીં. અને તેની આ સાહેબગિરી કોઈના ગળે ના ઉતરે તેવું પણ બને પણ તેને તો પેલું ગીત સાકાર થતું લાગે કે, 

સાલા મૈં તો સા’બ બન ગયા, 

સા’ બ બનકે કૈસા તન ગયા! 

યે રૂપ મેરા દેખો, યે શુટ મેરા દેખો 

જૈસે ગોરા કોઈ લંડનકા….. 

પણ એવું બને કે, બાળપણના દોસ્તોમાંથી ઘણાં તેની સાથે સ્પર્ધા કરતા પણ જણાય. આ સ્પર્ધા તંદુરસ્ત, ચોખ્ખી હોય તો આવકાર્ય થઈ પડે. બને કે, કોઈ અદેખાઈ પણ કરે અને નુકસાન પહોંચાડવા કંઈ કરે તેવું પણ બને. ખરેખર સ્પર્ધા જ કરવી હોય તો સામસામે ઉભા રહીને કરવી જોઈએ. પાછળથી વાર કરવો, કે નુકશાન પહોંચાડવું એ ક્યાંનો ન્યાય? એ દોસ્તી કહેવાય? 

મિત્રતા એ તો પ્રેમનો સંબંધ છે. બન્ને પક્ષે એ નિભાવવો પડે. એમાં કોઈ એક, બીજાનો મોહતાજ હરગીઝ નથી હોતો. કે એના વગર ન જ ચાલે તેવું પણ નથી હોતું. હોય છે તો માત્ર પ્રેમ. આવા સંબંધો આડે આવતી કોઈ સમશ્યા જ્યારે આડખીલી રૂપ બને અને તે દોસ્તી પર હાવી બને, ત્યારે તેનાથી હારી જવાય અને પછી સંબંધ પડે ખતરામાં! પણ આવા સંજોગોમાં હારે એ બીજા. સાચા મિત્રો નહીં, સાચા સગા કે સંબંધી નહીં. કોઈ પણ સંબંધમાં નિખાલસતા હોવી જરૂરી હોય છે. એમાં પછી ‘મુખમાં રામ બગલમાં છરી’ વાળી દાનત ન ચાલે. મોઢે મીઠી વાતો કરીને મનમાં દુશ્મનાવટ પાળતા હોય એ તો બિલકુલ ના ચાલે. 

મારો શિકાર કરવાની હિંમત જો હોય તો, 

ઊભા રહો જમીન ઉપર માંચડે નહીં! 

ખલીલ સાહેબ કહે છે, હું શાયર છું તો મારી પાસે મિલકતમાં માત્ર શાયરીઓ જ જમા હોવાની. પૈસા તો બેંકના ખાતામાં હોય, કોઈ ગઝલની કે ગીતની ચોપડીમાં તો ન હોય ને? કોઈ પોતાની મસ્તીમાં જ રહે અને ફર્યા કરે. દુનિયાદારીની કોઈ ફિકર જ ના કરે. પણ આવું ચાલે ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ એવો બનાવ બની જાય કે, તેના દિલને જોરદાર ઠેસ વાગે, બસ પછી તે સાવ બદલાઈ જશે. પોતાના દેખાવાથી પણ અને સ્વભાવથી પણ. તે ખુદ તેના આગવા બદલાયેલા પોતાપણાંથી  તે જાણે અલગ થઈ જશે. 

શાયર છું મારા ખાતે જમા શાયરી જ છે, 

થાપણ તો ચોપડીમાં મળે ચોપડે નહીં! 

મિત્રો, દુનિયા આપણને અનેક જુદાજુદા રંગો બતાવતી રહે છે. આપણાં પર એની અસર પણ થતી રહે. પણ અહીં મક્કમ રહેવું જરૂરી છે. બીજાથી ડરીને કે. બીજાની શેહમાં આવીને કે પછી કોઈ લોભામણાં પ્રલોભનથી આકર્ષાઈને આપણો પોતાનો સત્યનો માર્ગ છોડવો ન જોઈએ. આવી અનેક વાતો લઈને આવેલી આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. બીજી એક તગડા શેરવાળી ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.

રશ્મિ જાગીરદાર



Californiaની બેઠક અમદાવાદ ખાતે મળી-24/12/2022

YMCA clubમાં Californiaની બેઠક અમદાવાદ ખાતે મળી.બેઠકે ઉત્‍સાહભરી સંવેદના જગાડી અને સાહિત્યરસિક મિત્રો પરિવારની જેમ મળ્યા.
કોઇ પણ જાતનો ઔપચારિક ભાર રાખ્યા વગર બેઠકે
બધાને ખુલ્લા દિલે,આવકાર આપ્યો જેમાં ભોજન સાથે ભાવો અને મન મળ્યા. ભાષાથી સંબંધોને જોડયા,મનના ભોજન કર્યા,હસ્યા હસાવ્યા, વાતોના વડા અને ગમતાનો ગુલાલ કર્યો
ભાગયેશભાઇએ તો બધાને ખુબ હસાવી બધાની ભૂખ ઉઘાડી અને ચાલુ ભોજને પણ હાસ્યના બટકા દેતા જ રહ્યા તો કુષ્ણ દવેએ કવિતા પીરસી માહોલ રચ્યો,અન્નાબેન મિત્તલબેન,મકરન ,ભવેનભાઇ ,લતા હિરાણી પ્રદીપ રાવળ,ગોપાલી બુચ, જયશ્રી પટેલ,નિલમબેન,માયાબેન જીગ્ના કપુરીયા,મૌલિક નાગર,અરચિતા પંડયા,દીપક પંડયા. બીજા અનેકની હાજરીથી અન્નકોટ ખાધા જેટલો આનંદ કર્યો.સંતોષના ઓડકાર ખાધા. રીટા જાનીએ પોતાનું પુસ્તક “કલમના કસબી કનૈયાલાલ મુનશી “જે બેઠકે published કર્યું તે બુકના વિમોચનની જાહેરાત કરી.તો જીગ્નાએ પોતાની બુક ભેટ રુપે આપી.ખાણીપીણી ને ઉજાણી ભેટ સોગાત,ફોટા ,અભિવાદન સાથે સહુ છુટા પડ્યા,
આમ શુક્વારની સાંજે બેઠકમાં સૌએ પોતાના સુખને શોધ્યું અને મેળવ્યું,અંતે બધે સુખ અને સુખ વરતાણું .​એમ કહો કે સુખ છલ
કાણું

ઓશો દર્શન -41 રીટા જાની




ગતાંકમાં ઓશોદર્શન અંતર્ગત આપણે ધ્યાનસૂત્રની વાત શરૂ કરી, જેમાં તૃષ્ણા અને સંકલ્પ વિશે જાણ્યું. સાથે શરીર શુદ્ધિના અંતરંગ સૂત્રો પણ સમજ્યા. મનુષ્યના વ્યક્તિત્વમાં જ્યારે શરીર શુદ્ધ હોય, વિચાર શુદ્ધ હોય અને ભાવ શુદ્ધ હોય ત્યારે સાધનાનું પરિધ તૈયાર થાય છે. જો આ ત્રણ વાતો સધાઈ જાય તો જીવનમાં નવા પ્રકારના આનંદ અને શાંતિનો જન્મ થઈ જાય છે. આજના લેખમાં આપણે ચિત્ત શક્તિનું રૂપાંતરણ, વિચારશુદ્ધિનાં સૂત્રો, ભાવ શુદ્ધિનો કીમિયો, અને સમ્યક રૂપાંતરણનાં સૂત્રો જાણીશું.

આપણા ચિત્તમાંથી કશું જ લુપ્ત થતું નથી. એ જે પણ અનુભવો કરે છે તે સંગ્રહિત થાય છે. જો એ સ્મૃતિને ફરીથી જગાડવામાં આવે તો એ જ અનુભૂતિઓમાં પ્રવેશ કરી શકીએ છીએ. મોટાભાગે મનુષ્ય એવી ભૂલ કરતો હોય છે કે એ જે પણ ખોટું છે તેનું સ્મરણ કર્યા કરે છે. વર્ષો પહેલાં તમે ખૂબ ક્રોધિત થયા હતા, અશાંત બન્યા હતા, કોઈએ તમારું અપમાન કર્યું હતું કે કોઈની સાથે બદલો લીધો હતો એ બધી વાતનું સ્મરણ કરતા રહે છે, જે ઘાતક છે. પરંતુ જે વિધાયક છે, ઉપકારક બની શકે છે એ અનુભૂતિનું સ્મરણ જો વારંવાર કરવામાં આવે તો તે બહુ મહત્વનું બની રહેશે. માટે કાંટાને ભૂલી જાવ, ફૂલનું સ્મરણ કરો, શુભનું સ્મરણ કરો, શ્રેષ્ઠનું સ્મરણ કરો, શાંતિની અનુભૂતિ તમારી ચારે તરફ અનુભવો.

સ્વર્ગ કે નર્ક કોઈ ભૌગોલિક સ્થાન નથી, પરંતુ આપણી જ માનસિક, મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. માટે જીવનની એ ક્ષણોનું સ્મરણ કરો – જે અદભુત હતી, ઐશ્વર્યથી ભરેલી હતી. ધ્યાનમાં જે અનુભૂતિ થઈ હોય તેનું સ્મરણ રાખો. આજે દાંપત્યજીવનના પ્રશ્નોનું કારણ પણ એ જ છે કે બધા પ્રેમ માંગે છે પણ પ્રેમ આપતાં કોઈને આવડતું નથી. પાપમાં હંમેશા લક્ષ્ય હશે, પુણ્યમાં કોઈ જ લક્ષ્ય હોતું નથી અને જે પુણ્યમાં લક્ષ્ય હોય તે પાપનું જ સ્વરૂપ છે. પુણ્ય હંમેશા કરુણાથી થાય છે, પાપ કદી કરુણાથી થઈ શકતું નથી. જે ઈશ્વરની મરજી પ્રમાણે અનંત સત્તાના હાથમાં પોતાનું જીવન મૂકી દે છે, તેને કોઈ લક્ષ્ય નથી; ફક્ત અંતઃપ્રેરણા છે. ઓશો એક સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે આપણે એ નદીઓ છીએ જેવા છીએ જેની અંદર બરફના મોટા ટુકડા વહી રહ્યા છે, જે નદીના પ્રવાહની ગતિ મંદ કરે છે. આપણા જીવનમાં પણ તૃષ્ણા, ક્રોધ અને મોહના દબાયેલા આવેગો છે, જે આપણી ધારાને વહેવા દેતા નથી. પરંતુ આ આવેગોને વિસર્જિત કરી, ઓગળી એનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય.

હવે વિચારના સંબંધમાં વિચારણા કરીએ તો વિચારો પણ એક પ્રકારના તરંગો જ છે. વ્યક્તિ જે વિચારોથી આંદોલિત થાય છે, તેવું તેનું વ્યક્તિત્વ ઘડાય છે. મોટાભાગે વ્યક્તિ ધન, યશ કે કામના સંબંધમાં વિચારતા રહે છે. આ અશુદ્ધ વિચારો છે, જે બહિર્ગામી અને અધોગામી છે. તેનાથી તમે ક્યારેય જીવન સત્યને પ્રાપ્ત નહીં કરી શકો. શુદ્ધ વિચારનો અર્થ છે – સત્યમ્, શિવમ્ અને સુંદરમ્, જેની દિશા અંતર્ગામી અને ઉર્ધ્વગામી છે. આપણા વિચાર સત્યોન્મુખ, શિવોન્મુખ તથા સૌંદર્યોન્મુખ બને તે માટે પ્રત્યેક વિચાર, પ્રત્યેક વાણી, પ્રત્યેક ક્રિયા કરતાં પહેલા એક ક્ષણ થોભી જાવ. શુદ્ધ વિચારના કોઈ કેન્દ્ર પર તમારી ઉર્જા અને તમારી શક્તિને ભેગા થવા દો. સ્મરણપૂર્વક જે અશુદ્ધ છે તેનો ત્યાગ કરો અને શુદ્ધ ઉપર સ્વયમ્ ને સ્થિર કરો. કોઈ મારા ઘરમાં કચરો ફેકશે તો હું તેની સાથે ઝઘડો કરીશ, પણ કોઈ મારા મગજમાં કચરો ફેકશે તો હું ઝઘડવા જતી નથી. આ બાબતે જાગૃત રહો. આપણું મન ધર્મશાળા જેવું ન હોવું જોઈએ. મનની ઉપર પણ પહેરો રાખો.

આ જગતમાં અશુભ વિચારો ખૂબ પ્રમાણમાં છે અને તેનો ધુમાડો તમારા ચિત્તમાં પ્રવેશી તમને ઘેરી લે છે. પણ એ ન ભૂલીએ કે કેટલાક નાના નાના શુભ વિચારોના દીવા પણ ટમટમતા રહે છે. ભલે તેમની જ્યોતિ નાની હોય પણ તેમનો સંગ શોધનારના લગભગ ઓલવાઈ ગયેલા દીવાને પણ પ્રકાશમાન બનાવી શકે છે. માટે જ વિશેષ મહત્વ છે સત્સંગ, સત્પુરુષ અને પ્રકૃતિના સાંનિધ્યનું. માટે સત્ નો સંપર્ક, સત્ ની ઈચ્છા, સત્ ની ખોજ, સદ્ વિચારોનો જીવનમાં પ્રવેશ અને પ્રકૃતિના સાંનિધ્યને એક અનિવાર્ય અંગ સમજીને જીવનભર એનો પ્રયોગ કરતા રહેવાનો છે.

માત્ર વિચારના જગતમાં ચિંતનથી જીવનમાં કોઈ ક્રાંતિ થતી નથી. જીવનની મોટાભાગની ક્રિયાઓ વિચારના જગતમાંથી નહીં, પણ ભાવના જગતમાંથી જન્મી હોય છે. ભાવની ચાર જુદી જુદી દિશા છે – મૈત્રી, કરુણા, પ્રમુદિતા(પ્રફુલ્લતા) અને કૃતજ્ઞતા. આ ચાર ફોર્મમાં વ્યક્તિ શુદ્ધ ભાવમાં પ્રતિષ્ઠિત છે જ્યારે એથી વિપરીત ઘૃણા, હિંસા, વિષાદ અને અકૃતજ્ઞતા એ અશુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ ચિત્તની અવસ્થા છે, અશુદ્ધ ભાવ ચિત્તની વિકૃતિ છે. આપણી ચારે બાજુ સમગ્ર પ્રકૃતિ બહુ અદ્ભુત વસ્તુઓથી ભરેલી પડી છે. એમના પ્રતિ પ્રેમ વરસાવો. પણ આપણી આંખો તો ટેલિવિઝન જોવામાં મગ્ન છે, આપણું મન પત્તાની હાર-જીતમાં લાગેલું છે. આમ જ પ્રેમના તત્વોને વિકસિત કરવાનો અવસર નિરર્થક બની જાય છે. મૈત્રી અને પ્રેમના બિંદુને જગાડવા માટેનું એક સૂત્ર યાદ રાખો કે ચોવીસ કલાકમાં એક-બે એવા કામ જરૂર કરો જેના બદલામાં તમારે કંઈ જ પ્રાપ્ત કરવાનું ન હોય.

એક વાતનું સ્મરણ રહે કે જે બીજાને દુઃખ આપે છે તે અંતે દુઃખી થાય છે અને જે બીજાને સુખ આપે છે તે અંતે બહુ જ સુખ પ્રાપ્ત કરે છે. માટે જ્યારે કરુણાનું ભાન થશે ત્યારે તમે કોઈને દુઃખ પહોંચાડવાના બધા જ રસ્તા બંધ કરી દેશો અને શક્ય તેટલું સુખ આપવાના પ્રયત્ન કરશો. સાધનામાં પ્રવેશ કરવા કરુણાના ભાવને વિકસિત કરવો ખૂબ જરૂરી છે.

પ્રમુદિતા એટલે પ્રસન્નતા આનંદની સભાનતા, વિષાદનો અભાવ. ઉદાસી એક ટેવ છે, જે તમે પોતે પાડી છે. પણ એક એવી આદત પણ તમે પાડી શકો છો જેને જાળવી રાખવા તમે જિંદગીનો એ ભાગ જુઓ જે પ્રકાશિત છે. તમે જિંદગીને કઈ રીતે જુઓ છો તેના પર બધો આધાર છે. જે આનંદને પોતાની અંદર એકત્રિત કરે છે તે સાધનામાં ગતિ કરે છે.

કૃતજ્ઞતા એ ખુબ જ દિવ્ય છે. 21મી સદીમાં જો કંઈક ખોવાઈ ગયું હોય તો તે આ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાને સમજવાના અને વિકસિત કરવાના ઉપાય કરવાથી સાધનામાં ગતિ આવશે અને જીવન બદલાઈ જશે.

જ્યારે શુદ્ધિ અને શૂન્યતાનું મિલન થાય ત્યારે સમાધિ ઉત્પન્ન થઈ જાય છે અને સમાધિ પરમાત્માનું દ્વાર છે. માટે સમ્યક રૂપાંતરણ માટે જરૂરી છે -શરીર શૂન્યતા, વિચાર શૂન્યતા અને ભાવ શૂન્યતા.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે સાધનામાં ધ્યાન કોનું કરવાનું છે? મોટા ભાગે આપણે ધ્યાનને “કોઈના ધ્યાન”ના સ્વરૂપમાં વિચારીએ છીએ. ધ્યાન કોનું? પ્રાર્થના કોની? આરાધના કોની? પ્રેમ કોની સાથે? ધ્યાનનો અર્થ કોઈને સ્મરણમાં લાવવાનો નથી. ધ્યાન એ અવસ્થા છે. ધ્યાનનો અર્થ એ સઘળું કે જે આપણા સ્મરણમાં છે તેને પાડી નાખો એ છે. એવી સ્થિતિ લાવવાની છે કે માત્ર ચેતન જ રહી જાય, કેવળ અવેરનેસ રહી જાય. આપણે એક દીવો પ્રગટાવીએ અને બાકીની બધી જ વસ્તુઓ હટાવી લઈએ તો પણ દીવો તો સળગતો રહેશે એવી જ રીતે આપણા ચિત્તમાંથી બધા જ ઉદ્દેશો, વિચારો, કલ્પનાઓ હટાવી લઈએ તો ચેતનાની એકાકી અવસ્થા રહે – એ જ ધ્યાન છે. ધારણાના માધ્યમથી એક ક્ષણ એવી આવે કે શરીર વિલીન થઈ જાય, વિચાર પણ વિલીન થઈ જાય, જ્યારે સઘળું વિલીન થઈ જાય, ત્યારે જે શેષ રહે તેનું નામ ધ્યાન. આપણે શ્વાસની, ચક્રની, મૂર્તિની ધારણા કરીએ છીએ એ ધ્યાન નથી.

શુદ્ધિની ભૂમિકા પરમાત્માની સન્મુખ લઈ જાય છે. એના પછી શૂન્યની દ્રષ્ટિ પરમાત્મા સાથે મિલન કરાવે છે અને પરમાત્મા સાથે એકરૂપ કરી દે છે.

વિચારના દ્રષ્ટા બનવાનું છે, વિચારક નહીં. માટે જ આપણે ઋષિઓને દ્રષ્ટા કહીએ છીએ. મહાવીર અને બુદ્ધ પણ દ્રષ્ટા છે. સાધારણ માણસની અંદર એક ધારા હોય છે- માત્ર વિચારની. સાધકની અંદર બે ધારાઓ હોય છે- વિચારની અને દર્શનની. આપણે વિચારથી દર્શન સુધી પહોંચવાનું છે. એ માટે વિવેકને જગાડવો પડશે. અંતરંગ સાધનાના મૂળ તત્વ છે – સમ્યક નિરીક્ષણ- દેહની ક્રિયાઓનું, વિચારની પ્રક્રિયાઓનું, ભાવની અંતરંગ ધારાઓનું. આ ત્રણ સ્તરોને જે પાર કરીને સાક્ષીને પકડી લે છે, તેને લક્ષ્ય મળી જાય છે.

કેવળજ્ઞાનનો અર્થ છે ચેતનાની એ સ્થિતિ જ્યાં કોઈ જ્ઞેય નથી રહેતો, જ્યાં કોઈ જ્ઞાતા નથી રહેતો, માત્ર જ્ઞાનની શક્તિ જ રહી જાય છે. કેવળજ્ઞાનનો અર્થ છે શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરી લેવો જેને ઓશો અને પતંજલિ સમાધિ કહે છે, જૈનો કેવળજ્ઞાન કહે છે, બુદ્ધ પ્રજ્ઞા કહે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર છે. જ્યારે જ્ઞાન આવે છે, ત્યારે અહંકાર વિલીન થઈ આત્માનું દર્શન થાય છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. એ તો ચેતના, અંતિમ આનંદની અવસ્થા છે. ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એ અનુભૂતિને આપણે પરમાત્મા કહીએ છીએ.

ઓશોના આ સૂત્રો પર જો મહેનતપૂર્વક અને સંકલ્પપૂર્વક કામ કરશો તો બહુ જલ્દી તમારી અંદર એક નવી વ્યક્તિનો જન્મ થઈ જશે. એક એક પગલું ચાલતા રહો, તો અનંત અંતર પણ પૂરું થઈ જશે.

રીટા જાની
23/12/2022

હેલીના માણસ – 48 | ગુનો મંજુર | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-48 ‘ગુનો મંજુર’ એની 47મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

કોઈ વિષયવસ્તુ, સમજ, સંવેદના નક્કી કરો, 

એ પછી આ મત્લા, મક્તા, કાફિયા નક્કી કરો! 

 

લોક તો જ્યાં કહેશો ત્યાં નમવામાં નહીં પાછા પડે, 

તમતમારે કોઈ મનગમતો ખુદા નક્કી કરો. 

 

ચોંકી ઉઠશે એ બધા ખુદનો જ ચહેરો જોઈને, 

કોને કોને વહેંચવા છે આયના નક્કી કરો! 

 

પ્રેમ કરવો એ ગુનો છે તો ગુનો મંજૂર છે, 

માફ કરવો છે કે દેવી છે સજા નક્કી કરો! 

 

સાવ વણબોટી કોઈ મંઝિલ પ્રતીક્ષામાં હશે, 

કોઈ હિંમત ના કરે એવી દિશા નક્કી કરો! 

 

મન-મગજ બન્નેના સંપર્કમાં રહો થોડા દિવસ, 

શેમાં છે નુકશાન શેમાં ફાયદા નક્કી કરો! 

 

એ પછી આબાદ થઈ જાશે ખલીલ આખું જગત, 

પ્રેમમાં બરબાદ થવાનું બધાં નક્કી કરો! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કરતાં પહેલાં વિચાર કરવો પડે છે. ચાલવાનું શરૂ કરતાં પહેલાં, ક્યાં જવું છે, તેની ખબર હોવી જોઈએ એટલું જ નહીં, કઈ દિશામાં જવું, આગળ ચાલતાં કેટલા વળાંક આવશે અને તેમાંથી કયો વળાંક આપણને મંઝિલ સુધી લઈ જશે. તેની જાણકારી હોવી જોઈએ. ચિત્ર દોરવું હોય તો તેને માટેના જરૂરી સાધનો તૈયાર રાખવા પડે. શું દોરવું છે તે નક્કી કરવું પડે. કોઈ પણ કાર્ય કરવા માટે પૂર્વ તૈયારી કરવી આવશ્યક હોય છે. ગઝલ લખવી હોય તો સૌથી પ્રથમ વિષય નક્કી કરો, તેને લગતી સમજ અને મનમાં સંવેદના પણ હોવી જોઈએ. ત્યાર પછી કાફિયા, રદિફ, મત્લા, મક્તાનો અંદાજ લગાવીએ એ પછી જ એક સારી ગઝલ લખી શકાય છે. અરે આ દુનિયામાં તો આપણો ધર્મ નક્કી કરવામાં પણ ખાસ્સો વિચાર કરવો પડે. કારણ કે, આપણાં દેશમાં અનેક સંપ્રદાયો છે. દરેક પોતપોતાના ઈષ્ટ દેવને પૂજતા હોય છે. દરેક પોતાની આસ્થા પ્રમાણે ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય છે. આ બધામાં અમુક લોકો એવા પણ હોય છે જે એક ભગવાનની ભક્તિથી ઈચ્છીત ફળ ના મળે તો વારંવાર ભગવાન બદલતા રહે છે. ખાસ કરીને કોઈ વધુ સફળ વ્યક્તિ જે ભગવાનને ભજતી હોય તેનું શરણું લે છે. તો અમુક લોકો તો જોઈતી વસ્તુ મેળવવા માટે બીજો કોઈપણ રસ્તો અખત્યાર કરતા હોય છે. તેમનામાં એવી વરવી વાસ્તવિકતા આત્મસાત થયેલી હોય છે. એ વૃત્તિથી તેઓના અસલી ચહેરા એટલી હદે બગડેલા હોય છે કે, તેઓ ખુદ પોતાને ઓળખી નથી શકતા. હવે એવો કયો આયનો હોય જે તેમને પોતાનો અસલી ચહેરો બતાવી દે! અને આવા ચહેરા એક બે નહીં, આયના વહેંચવા બેસો તો ખુટી પડે એટલા હોય છે. 

ચોંકી ઉઠશે એ બધા ખુદનો જ ચહેરો જોઈને, 

કોને કોને વહેંચવા છે આયના નક્કી કરો! 

કોઈ પ્રેમીને પૂછશો તો એ કહેશે કે, પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી અને છતાં તમે એને ગુનો ગણો તો એ ગુનાની સજા શું છે? એ પણ મને મંજુર છે. એકવાર બધા પ્રેમીઓ પ્રેમમાં બરબાદ થવાનું સ્વિકારી લે તો પછી એવું પણ બને કે, બહુમતી તેમની થઈ જાય અને પછી પ્રેમ કરવો એ ગુનો જ ના ગણાય અને એ રીતે જોઈએ તો એ બધા જ આબાદ બની રહે!  મંઝિલની પ્રાપ્તિ માટે મંઝિલ પ્રતિ ચાલતા રહેવું જરૂરી તો છે પણ એને માટે ગાડરિયા પ્રવાહથી બચવું એટલું જ જરૂરી છે. બધા આમ જાય છે માટે ચાલો આપણે પણ જઈએ! એ વૃત્તિ છોડી દેવી જોઈએ. જ્યાં જવાની હીંમત કોઈ ન કરતું હોય અને જ્યાં હજુ સુધી કોઈ ના પહોંચ્યું હોય તેવી મંઝિલ નક્કી કરીને ત્યાં પહોંચવાની તૈયારી રાખવી જોઈએ. આમ કરતી વખતે મન અસમંજસમાં પડી શકે. ત્યારે મન કંઈ કહેશે અને મગજ કંઈ જુદું જ કહેશે. સરળ માર્ગ? કે પછી કપરો પણ વધુ ફાયદાકારક માર્ગ? આવા સમયે બધાં પાસાં વિચારીને ચોવીસ કલાક માટે મનને આરામ આપો. ઉતાવળે કોઇ નિર્ણય ન લો. બસ પછી તમારું મન શું કરવું તેનો ઉકેલ શોધી લેશે. 

મન-મગજ બન્નેના સંપર્કમાં રહો થોડા દિવસ, 

શેમાં છે નુકશાન શેમાં ફાયદા નક્કી કરો! 

કોઈ નિર્ણય કરતાં પહેલાં સતર્ક થઈ જવું પડે. દીર્ઘ દ્રષ્ટિથી વિચારવું પડે શેમા ફાયદો છે શેમાં નુકસાન? એ બાબતે આપણને વિચારતા કરતી આ ગઝલ આપ સૌને ગમી મિત્રો? આવી જ મઝાની બીજી એક ગઝલ લઈને મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

 

હેલીના માણસ – 47 | ખામોશી | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-47 ‘ખામોશી’ એની 46મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

આ વાહવાહમાં ય જો ફરિયાદ હોય તો, 

ખામોશી પણ સરસ મઝાની દાદ હોય તો! 

 

દરરોજ પેદા થાય છે અહીં સેંકડો ખુદા, 

સજદો કરી શકું હું જો એકાદ હોય તો! 

 

તાજા ગુલાબ જેવો એ રંગીન છે છતાં, 

ભીતરથી એ માનવી બરબાદ હોય તો! 

 

તું ભીખ એને દે ન દે અપમાન ન કરીશ, 

ઊંચા કો’ ખાનદાનની ઓલાદ હોય તો! 

 

બોલો સમયનો તમને શું સાચે અભાવ છે? 

સીધી સરળ આ વાતમાં વિખવાદ હોય તો! 

 

માન્યું કે, આપ કોઈને પણ ચાહતા નથી, 

એમાં ખલીલ એકલો અપવાદ હોયતો! 

 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

માનવ સહજ સ્વભાવ પ્રમાણે જ્યારે પણ આપણે, કોઈ રચના લખીએ કે, ગીત ગાઈએ, તરત જ આપણી તે રચના કે, રજુઆત માટે લોકોનો કેવો પ્રતિસાદ છે તે જાણવાની ઇંતેજારી હોય છે. કોઈ સમારંભમાં સ્પિચ આપીએ તો તાળીઓના ગડગડાટની અપેક્ષા હોય છે. આપણા કામના વખાણ થાય તે ગમતું હોય છે. પરંતુ કેટલીકવાર કોઈ એવું પણ કહી દે કે, તમે ખૂબ સરસ ગાયું પણ એક બે જગ્યાએ સુર છુટી ગયો હતો કે, તાલ ગયો હતો. તો એમણે કરેલા વખાણમાં પણ ફરિયાદનો સુર આપણને ચોક્કસ સંભળાય! આ સમયે બે કામ થઈ શકે. ક્યાં તો આપણે ભૂલો સુધારી લઈએ કે પછી એ વાતનો રંજ કરીએ. ત્યારે એવું પણ થઈ જાય કે, આના કરતાં તો જેઓ મૌન રહ્યા એમની દાદ સારી! 

આપણાં સમાજમાં અનેક જુદા સંપ્રદાય છે અને દરેક સંપ્રદાયના વડા, પોતાને ભગવાનનો દરજ્જો આપવામાં માહેર હોય છે. એ પોતે નહીં તો એમના અનુયાયીઓ એમને ભગવાન બનાવીને પૂજવા લાગે છે. આવામાં સામાન્ય માનવી વિચારે કે, આટલા બધા ભગવાન છે એમાંથી કયા ભગવાન મારે ભજવા? 

દરરોજ પેદા થાય છે અહીં સેંકડો ખુદા, 

સજદો કરી શકું હું જો એકાદ હોય તો! 

દરેક વખતે માણસનો બહારનો દેખાવ અને અંદરની હાલત એક સરખી નથી હોતી. સંસારમાં હર પળે નોખા અનુભવો થતા હોય છે. આપણી સામે આવતા સંજોગો પ્રમાણે આપણે ચાલવું પડે છે. થોડા સમય પહેલાં જ કોઈ ગમગીન સમાચાર કે, બનાવથી આપણે દુઃખી હોઈએ છતાં હસવું પડે છે. તમાચો મારીને ગાલ રાતા રાખવા પડે છે. તાજા ગુલાબની જેમ ખુશહાલ હોવાનો ડોળ કરવા છતાં કોઈ અંદરથી સાવ ભાંગી પડેલું હોય તેવુ બનતું હોય છે. આવી વ્યક્તિ તમને મળે ત્યારે તે બહારથી જેવી દેખાય તેવી અંદરથી ન પણ હોય. કોઈપણ સ્વરૂપે તે મળી શકે. કદિક તે ભિખારી જેવા વેશમાં પણ મળે. સામાન્ય રીતે જોઈએ તો આ સંજોગોમાં સૌ તેની સાથે તોછડું અને અપમાનજનક વર્તન કરતા હોય છે. પરંતુ ખરેખર તો આપણે એ વિચારવું જોઈએ કે, કંગાળ સ્વરૂપે મળેલો આ જણ કદાચ કોઈ ખાનદાન ઘરનો નબીરો પણ હોય! બને કે, આજે તેના સંજોગો વિપરીત હોય. અને સમય તો કોઈનો ય એક સરખો ક્યાં રહે છે? 

તું ભીખ એને દે ન દે અપમાન ન કરીશ, 

ઊંચા કો’ ખાનદાનની ઓલાદ હોય તો! 

ઘણી વ્યક્તિઓ એવી હોય છે જેની સાથે આપણે વારંવાર મળવાનું કે સંપર્કમાં રહેવાનું ન બનતું હોય છતાં અમુક ખાસ પ્રસંગે આપણે જરૂર તેમને યાદ કરીને મળતા હોઈએ કે પછી ફોનથી વાત કરતા હોઈએ છીએ. સાંપ્રત સમયમાં તો સોસીયલ મિડિયાની મદદથી જ વાત થઈ જતી હોય છે. આવા સમયે કોઈ આપણને કહી દે કે, હમણાં સમય નથી. તો તરત આપણને વિચાર આવે કે, ખરેખર સમયનો પ્રશ્ન છે કે, આગળના કોઈ વિખવાદથી મન કચવાયું હોય તેને લીધે કાઢેલું બહાનું છે. અમુક વ્યક્તિઓનો સ્વભાવ એવો હોય છે કે, દરેક સગાસબંધી સાથે તેને કોઈ ને કોઈ વિખવાદ હોય જ. આવામાં કોઈની સાથે તે પ્રેમથી વાત કરે તે શક્ય નથી હોતું. તેમ છતાં એકાદ જણ એમાં અપવાદ હોય તેવું બને. અને એ અપવાદ ખુદ આપણે જ હોઈએ તો એ આનંદનો વિષય બની રહે ખરૂં ને મિત્રો? આશા છે કે, આ ગઝલ આપ સૌને ગમી હશે બીજી આવી મસ્ત ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

 

વિસ્તૃતિ…૪2-જયશ્રી પટેલ.વિસ્તૃતિ-

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

વિસ્તૃતિ… ૪૨
જયશ્રી પટેલ.

શરદચંદ્રની એક કરૂણાંતક વાર્તા *બોઝ વિવાહ* મને હિન્દી ઓડિયો દ્વારા સાંભળવા મળી, ગુજરાતી અનુવાદ
મને મળ્યો નથી . આ વાર્તામાં સ્ત્રીઓની મનોવેદના ને સ્વાભિમાનનું અદ્ભૂત આલેખન થયું છે.બીજી બાજું પુરુષના અભિમાનને કારણે પ્રેમની અવહેલનાને કારણે
બે બે સ્ત્રીની માનસિક યાતનાનું આલેખન હૃદયદ્રાવક
શરદબાબુએ આલેખ્યું છે.

વાર્તાની શરૂઆત સાંરગપુરના જમીનદાર હરદયાલમિત્રના પુત્ર સત્યેન્દ્રના વિવાહની ધામધૂમના વર્ણનથી કરી છે. એક અઠવાડિયાથી ગામમાં ચહલ પહલ છે. શહનાઈ, વિવિધ ત્રાંસ ઢોલ, ખાણી પીણી
અને ઢોલ નગારાથી ગામ જીવંત થઈ ઊઠ્યું હતું.સત્યેન્દ્ર
નાબાલિગ હતો . તે એન્ટ્રસની પરીક્ષા આપી રહ્યો હતો.
તેની પત્ની વર્તમાન જીલ્લાના દિલજાનપુરના શ્રીયુક્ત કામખ્યાત ચરણની પુત્રી હતી. તેની ઉંમ્મર દસબાર વર્ષની જ હતી. તેનું નામ સરલા હતું. હરદયાલમિત્ર ખૂબ જ પૈસાદાર હતા. વાર્ષિક આવક છવ્વીસહજાર હતી. નાબાલિગ પુત્રને પરણાવવાનું એકમાત્ર કારણ તેમની પત્નીની વહુ જોવાની ને લાવવાની મહેચ્છા જ હતી.
પુત્રને પરણાવી જ્યારે વહુને વિદાય કરી ઘરે લાવ્યા તો નાની સરલા પોતાના સસરા સાથે હળીમળી ગઈ હતી. તે સત્યેન્દ્રનું ખૂબ ધ્યાન રાખતી પૂર્ણ મદદ કરતી.તેના અભ્યાસના સમયને સાચવતી. લગ્ન બાદ તેને
દિલજાનપુર થોડા સમય માટે મોકલવાનાં આવી તો સત્યેન્દ્ર ચાર પાંચ દિવસમાં ફરિયાદ કરવા માંડી મારાં પુસ્તકો પર ધૂળ ચઢી ગઈ છે, ખડિયામાં શાહી સુકાય ગઈ છે કોઈ મારાં પુસ્તકનું ધ્યાન નથી રાખતું વગેરે વગેરે ને સરલાને પાછી બોલાવી લેવામાં આવી. સરલા ત્રણ વર્ષ સુધી પછી ગઈ જ નહિ એ દરમ્યાન બન્ને વચ્ચેનો પ્રેમ
ને મિત્રતા ગાઢ થતા ગયા. બેમાંથી એકે એકબીજા વિના જીવી જ નહિ શકતા. સરલાની મોટીબેન સુશિલાનાં પુત્રની શાસ્ત્રીયવિધિ માટે તેના પિતાને ભાઈ તેને અને સત્યેન્દ્રને લેવા આવ્યાં. પ્રસંગ પત્યા પછી સત્યેન્દ્ર બે ચાર દિવસ રહી પાછો ફર્યો તેની પરીક્ષાઓ નજદીક હતી. સરલાએ તેને દસ દિવસ પછી લઈ જવા કહ્યું. સત્યેન્દ્ર પાછો ફર્યો પણ તેનું ચિત્ત જ નહોતું લાગતું તે માંડ વીસ પચ્ચીસ પાનાં જ વાંચી શકતો. એક બાજુ તે વિચારતો સરલા નથી તો વધુ વાંચી લઉં પણ તે નિષ્ફળ રહ્યો. લેવા જવાનું વિચારી રહ્યો હતો ત્યાં જ તાર આવ્યો
કે સરલા બહુ જ બિમાર છે તે કદાચ નહિ બચે. સત્યેન્દ્ર ને પિતા હરદયાલમિત્ર ત્યાં પહોંચ્યાં. પિતા સમાન સસરાનો અવાજ સાંભળી સરલાની જાનમાં જાન આવી
તે સમજી ગઈ સત્યેન્દ્ર તેને લેવા આવી પહોંચ્યો છે, પણ ભગવાનને બીજુ જ મંજુર હતું સવાર પડતા જ સરલાનું મૃત્યું થયું. સત્યેન્દ્ર ભાંગી પડ્યો. તે પરીક્ષા ન આપી શક્યો . તે નાપાસ થયો, પરીક્ષામાં પણ ને જીવનમાં પણ.

થોડા સમય પછી માતાએ ને પિતાએ તેને બીજા લગ્ન કરવા સમજાવ્યો તે સરલાની જગ્યા બીજાને ન આપી શક્યો. તેની બીજી વારની પત્ની નલિની ખૂબ જ પ્રેમાળ હતી. પહેલી રાત્રે જ સત્યેન્દ્ર તેને સ્વીકારી શક્યો
નહિ. નલિની વિચારતી રહી તેનો શું વાંક? સરલાની યાદો ને તેના મોહમાંથી મુક્ત થઈ શક્યો નહિ. નલિની તેના મનને સમજાવતી રહી અને સત્યેન્દ્રને સાચવતી રહી. ધીરે ધીરે સત્યેન્દ્ર પણ નલિનીને સમજતો થયો. તે રડતી તો તેનાં આંસુ લુછતો રહ્યો. જૂની વાતો તેની સાથે કરતો. એકલો સત્યેન્દ્ર જ બોલતો તેવું નહોતું નલિની પણ તેની વાતો સાંભળવા ઉત્સુક રહેતી. નલિનીએ ધીરે ધીરે સત્યેન્દ્રને જાણે પોતાનો કરવા માંડ્યો .એક પતિવ્રતા સ્ત્રી જેટલું કરી શકતી તે બધું કરતી. હવે તેની ઉપેક્ષા નહોતી થતી.ગૃહિણી ને હરદયાલમિત્ર તેને ખૂબ પ્રેમ કરતાં. ભણી રહ્યાં પછી સત્યેન્દ્ર પાવનાનો ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ થયો. પાવનામાં નલિનીનાં દૂરના કલકત્તામાં સાથે રહેતા કાકા પણ રહેતા .બન્ને વારંવાર જતાં. બન્ને ઘરનો ઘરોબો હતો. નલિનીની ત્રૃટીઓ જોઈ સત્યેન્દ્ર ક્યારેક સરલા સાથે તુલના કરી બેસતો શું સરલા હોત તો આવું બનત? આ માનવનો સ્વભાવ છે. શાંતિ ને પ્રેમ હોય ત્યાં અશાંતિ શોધતો ફરે. નલિની હોશિયાર હતી તે સત્યેન્દ્રને એકલો ન મૂકતી.તેથી તેની યાદોથી તેને છીનવી રહી હતી ને સાચવી રહી હતી.
સત્યેન્દ્રને થતું પાણીમાં જાળમાં ન ફસાતી માછલી જ મોટી થાય કે શું? વારંવાર સરલાને યાદ કરતો. નલિનીને કોઈ દુઃખ નહોતું કારણ હવે સત્યેન્દ્ર તેની ઉપેક્ષા કે અવગણના નહોતો કરતો , હા, તે સરલા જેટલો પ્રેમ પણ ન કરતો. કાકાની દીકરી તેની સખી હતી.
તેનું નામ હેમ હતું. એકવાર નલિની ચિત્ર બનાવી રહી હતી. હેમ આવી પહોંચી. કચેરીથી આવતા જ સત્યેન્દ્ર તેણી ને ન જોતો તો ક્યાં ગઈ હશે? તે શોધતો તેથી નલિની ક્યાંય ન જતી. હેમ આવી હતી તેથી વારંવાર તેને ત્યાં જતા આવતા નલિનીને મોડું વહેલું થઈ જતું. પિયરથી સાથે આવેલી દાસી માંતગી નલિની પર ગુસ્સો કરતી, તેને સમય પર આવવા કહેતી. સોળ વર્ષે તો તે ક્યારેય રિસાય નહોતી પણ હવે અઢાર વર્ષે નલિની પ્રેમ ભાવની ખામીથી ક્યારેક સ્વાભિમાનથી રિસાતી. સત્યેન્દ્ર એક દિવસ રાતના દસ વાગે આવી તેથી ગુસ્સે થઈ બહાર સૂઈ ગયો ને પછી ક્યારેય ન માન્યો.

 

મિત્રો આ વાર્તાને વધુ આવતા અંકે જાણીશું. ફરી શરદબાબુ એક એવી વાસ્તવિકતા આપણી સમક્ષ લાવ્યા છે કે દામ્પત્ય જીવન ભરોસા પર જીવે છે ને એમા અભિમાન સ્વાભિમાન જોડે ટકરાય તો તેનું પરિણામ ક્યારેક અસહ્ય બની જતું હોય છે.ચાલો મિત્રો શરદબાબુની કરૂણામય વર્તાનો આ અદ્ભૂત ભાવ આવતા અંકે!

જયશ્રી પટેલ
૧૧/૧૨/૨૨

ઓશો દર્શન -40




ધર્મયુગના વરિષ્ઠ પત્રકાર દેવી શંકર ‘પ્રભાકર’ કહે છે કે તેમણે ઓશોમાં ઈમાનદારી અને ઘોર સચ્ચાઈનું દર્શન કર્યું છે, જે એક સાધારણ વ્યક્તિને દિવ્ય પુરુષના પદ ઉપર બેસાડી દે છે. તેઓ ખુદીને એ બુલંદી સુધી લઈ ગયા છે અને ઇન્સાનિયતને ભગવત્તાનું ગૌરવ પ્રદાન કર્યું છે. આ કર્મયોગી સિદ્ધે માણસની પછાત વૃત્તિઓની પ્રવૃત્તિને લલકારી છે, એનામાં અદમ્ય, અનંત ઉર્જા શક્તિને ઉજાગર કરી છે અને ગૌરવપૂર્ણ સ્થાને પહોંચાડી છે. ઓશો ઇન્સાનને ભયમુક્ત કરવા ઈચ્છે છે, તેની ભીતરની અદમ્ય શક્તિને જાગૃત કરવા ઈચ્છે છે; જેથી તે સંપૂર્ણ માનવ બને અને કોઈ પણ સામાજિક કુંઠા વિના, કોઈ ધાર્મિક દબાવ વગર, પરંપરાઓના બંધનથી મુક્ત એવું ખુબસૂરત જીવન જીવી શકે. તેમના મતે ઓશો એ આત્મદર્શી દિવ્ય પુરુષ હતા, આ યુગના સ્વયંસિદ્ધ વિચારક, ઋષિ અને તત્વવેતા હતા. આવા ઓશો ધ્યાન સૂત્ર વિશે જે વાત કરે છે તે આ લેખમાં આપણે જાણીશું.

ઓશો કહે છે કે ‘ધ્યાન છે તો બધું છે ધ્યાન નથી તો કશું જ નથી’. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ધ્યાનમાં પ્રવેશ કરવા માટે શું પૂર્વ તૈયારી કરવી? ધ્યાનની પ્રક્રિયા શું છે? ધ્યાન કઈ રીતે સાધ્ય થઈ શકે? આ માટે સૌથી પહેલા એ જરૂરી છે કે સમગ્ર પ્રાણને સંકલ્પ કરવા દો કે ધ્યાનમાં પ્રવેશ થશે. સત્યની પ્રાપ્તિ એટલી મહત્વપૂર્ણ નથી, જેટલું સત્યને માટે સાચા અર્થમાં તૃષ્ણા કે ઝંખનાનું જાગવું છે. ક્ષુલ્લક વસ્તુની પણ તરસ જાગે, પણ ક્ષુલ્લક વસ્તુઓની પ્રાપ્તિ પછી આનંદની અનુભૂતિ થતી નથી. જ્યારે વિરાટની અભિલાષા એવી છે કે જેને પ્રાપ્ત ન કરી શકાય તો પણ જીવન આનંદથી ભરાઈ જાય.

ઝંખનારૂપી બીજ અંકુરિત થવા માટે બીજી ઘણી સુવિધાઓની આવશ્યકતા હોય છે. માત્ર કુતુહલથી સાધનામાં પ્રવેશ કરી શકાતો નથી. ભગવાન બુદ્ધનું એક સુંદર દ્રષ્ટાંત છે. દરેક માણસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, પણ દરેકને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ખરી? માટે પહેલું સૂત્ર એ યાદ રાખવું જરૂરી છે તમારી અંદર જાગેલી તૃષ્ણા જ તમને માર્ગ બતાવશે. આ સાથે સાધનાના સંબંધમાં આશાપૂર્ણ અભિગમ હોવો ખૂબ જ જરૂરી છે. દરેક બીજમાં અંકુરિત થવાની સંભાવના છે. છતાંય કેટલાયે બીજ અંકુરિત થઈ વૃક્ષમાં પરિણામતા નથી અને નષ્ટ થઈ જાય છે, સડી જાય છે. જ્યારે કેટલાક બીજ પૂર્ણરૂપે વિકસિત થાય છે. એ જ રીતે બીજ સ્વરૂપે તમારામાં એટલી જ શક્તિ રહેલી છે જેટલી શક્તિ બુદ્ધની છે, મહાવીરની છે, કૃષ્ણની છે, જીસસની છે. દરેકમાં સંભાવના એકસરખી જ છે, પણ બધાની વાસ્તવિકતા અલગ છે. કારણ કે મોટા ભાગના લોકો આ સંભાવનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન જ કરતા નથી. માટે વિશ્વાસ રાખો કે તમારામાં એ યોગ્યતા છે. હૃદયમાં એવી આશા ભરીને ચાલીએ કે ઘટના જરૂર ઘટે. જ્યારે તમે આશાથી ભરેલા હોય, ત્યારે તમારી અંદરનો પ્રત્યેક કોષ પણ આશાથી છલકાઈ જાય છે, તમારા વિચારોમાં આશાનો પ્રકાશ પથરાઈ જાય છે અને તમારા પ્રાણના સ્પંદનમાં આશા વ્યાપ્ત થઈ જાય છે. ત્યારે આત્મિક જીવનનું અભિયાન સફળ બને છે. અંધકાર ગમે તેટલો વ્યાપક હોય, કિરણ ભલે નાનકડું હોય, પણ જો એક કિરણની જ દિશા પકડીએ તો ત્યાં સુધી પહોંચી શકાશે, જ્યાંથી આ કિરણ પ્રગટ્યું છે – જ્યાં સૂરજ છે.

માટે સાધનામાં એક નાનકડી આશાની ઝલક પણ મળે તો એને આધાર બનાવજો. સ્મરણપૂર્વક જેટલું આવશ્યક હોય એટલું જ બોલો, બાકી મૌન રાખો. ભીડમાં ઘેરાયેલા રહેવાની બદલે થોડા એકાંતમાં જાઓ. ભીડમાં જીવનના શ્રેષ્ઠ સત્યની અનુભૂતિ થઈ શકે નહીં. તેનો અનુભવ અત્યંત એકાંતમાં અને એકાકી અવસ્થામાં જ થાય છે. નિરર્થક વાતો બંધ કરીએ આપણી અંદર જે વ્યર્થ બકવાસ નિરંતર ચાલે છે, તેને પણ શિથિલ કરીએ. આપણી અંતર ચેતનાનો અવાજ, જે પ્રત્યેકની અંદર ગુંજી રહ્યો છે, તેને સાંભળવો હશે તો બીજા બધા જ અવાજો બંધ કરવા પડશે. પ્રકૃતિના સાંનિધ્યમાં વ્યક્તિ પરમાત્માની નજીક પહોંચી જાય છે. સમૂહનું કોઈ ધ્યાન નથી હોતું, સઘળા ધ્યાન વૈયક્તિક જ હોય છે.

ઓશો કહે છે કે શરીર એક સાધન છે, યંત્ર છે. સંસારનું પણ અને સત્યનું પણ. શરીર મિત્ર પણ નથી કે શત્રુ પણ નથી. તમે ધારો તો સંસારમાં પ્રવેશ કરી શકો ને ધારો તો પરમાત્મામાં પણ પ્રવેશ મેળવી શકો. શરીર એ સાધનાનો પરિઘ છે અને આત્મા એ સાધનાનું કેન્દ્ર. સાધનાનો પ્રારંભ છે શરીર શુદ્ધિ. શરીરનો સમ્યક ઉપયોગ શીખી લઈશું તો તે આપણા જીવનમાં ક્રાંતિ લાવી દેશે. તેથી પુરાણી ગ્રંથિઓનું વિલીનીકરણ અને નવી ગ્રંથિઓનો સર્જનાત્મક ઉપયોગ એ શરીર શુદ્ધિ માટેના બે મહત્વના પ્રાથમિક સોપાન છે. આ માટે યોગ અને પ્રાણાયામનો પણ ઉપયોગ કરી શકાય. ઓશો કહે છે કે સૃજન સ્વર્ગ છે અને વિનાશ નર્ક છે. માટે જીવનની શક્તિઓ અને ઊર્જાઓનો સર્જનાત્મક ઉપયોગ કરો તો તમે સ્વર્ગ તરફ પ્રયાણ કરવાનો પ્રારંભ કરી દીધો છે. ભગવાન બુદ્ધે શક્તિ પરિવર્તનથી અંગૂલિમાલને પણ સન્યાસી બનાવ્યો, જે શક્તિઓનો સર્જનાત્મક ઉપયોગ હતો. સર્જનાત્મક એટલે એવું કામ જે તમે માત્ર નિજાનંદ માટે જ કરતા હો. તમે મૂર્તિ બનાવો, ગીત લખો, ગીત ગાવ, જે કંઈ કરો તે વ્યવસાય માટે નહીં, પણ નિજાનંદ માટે કરો.

શરીર અને મન અભિન્ન છે. શરીરનો અતિ સૂક્ષ્મ ભાગ મન છે અને મનનો અત્યંત સ્થૂળ ભાગ શરીર છે. માટે શરીરમાં જે બનશે તેના પરિણામ મનમાં પ્રતિધ્વનિત થવાના છે. એ જ રીતે જો મન બીમાર હોય તો શરીર સ્વસ્થ ન રહી શકે. ભોજન અને આહારની બાબતમાં વિવેકપૂર્ણ હોવું જરૂરી છે. જે ભોજન સ્ફૂર્તિ આપે, આળસ ન લાવે, ઉત્તેજના ન જગાડે, માદકતા ન જગાડે તેટલું જ પર્યાપ્ત, તેટલું જ શુદ્ધ ગણાય. શરીર માટે વ્યાયામ પણ જરૂરી છે અને વિશ્રામ પણ જરૂરી છે. સમ્યક આહાર અને વિહાર હશે તો આંતરિક પ્રવેશ થવાનો પ્રારંભ થશે.

પરિઘના ત્રણ ચરણ છે: શરીરશુદ્ધિ, વિચારશુદ્ધિ, અને ભાવશુદ્ધિ. કેન્દ્રના પણ ત્રણ ચરણ છે: શરીરશૂન્યતા, વિચારશૂન્યતા અને ભાવશૂન્યતા. જ્યારે આ છ ચરણ પૂર્ણ થાય છે ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે.
પ્રભાતના ધ્યાનના પ્રયોગની પ્રક્રિયા ઓશો આ પ્રમાણે સમજાવે છે.
* સંકલ્પ: શ્વાસને પૂર્ણપણે ઊંડો અંદર લઈ જાઓ. મનમાં એ ભાવ રટો કે હું સંકલ્પ કરું છું કે મારો ધ્યાનમાં પ્રવેશ થઈને જ રહેશે. ફેફસાને શક્ય એટલા પૂર્ણપણે ભરી દો, ક્ષમતા અનુસાર શ્વાસ રોકો અને ત્યારબાદ શ્વાસ છોડો. આ પ્રક્રિયાને યોગમાં પૂરક, કુંભક અને રેચક કહે છે. આ રીતે અંતઃકરણ સુધી આ સંકલ્પ પ્રવેશી જશે. આ સંકલ્પ પાંચ વાર કરવો.
* ભાવના : આશા, આનંદ અને વિશ્વાસની ભાવના બે મિનિટ માટે કરવી જેનાથી એવી અનુભૂતિ થશે કે તમે બહુ જ સ્વાસ્થ્યથી ભરેલા છો, પૂરા શરીરના કણ કણ પ્રફુલ્લિત થઈ ગયા છે અને બહુ આશાભરી સ્થિતિ છે.
* ધ્યાન: પીઠને ટટ્ટાર રાખી, હલન ચલન કર્યા વગર આરામથી બેસવાનું છે. સમગ્ર શરીરના કંપનને છોડી દેવા છે. આંખો બંધ કરી ધીમો શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે. નાકની પાસે જ્યાં શ્વાસ સ્પર્શે છે ત્યાં શ્વાસને જોતા રહેવાનું છે અથવા નાભિ પાસે પેટ ઉપર નીચે થાય તે જોતા રહેવાનું છે. આ પ્રયોગ દસ મિનિટ સુધી કરવાનો છે.

ધ્યાનની પ્રક્રિયાની જાણકારી માત્રથી એ અર્થ બોધ નહીં થાય. એનો પ્રયોગ કરવાથી જ તેનો અર્થ સમજાશે. ધ્યાનના સૂત્રો ખૂબ ગહન છે. ચિત્ત શક્તિઓનું રૂપાંતરણ કઈ રીતે થાય એ અને અન્ય બાબતો વિશે વાત કરીશું આવતા અંકે….

રીટા જાની
09/12/2022

હેલીના માણસ – 46 | ઉભા રહો | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-46 ‘ઉભા રહો’ એની 45મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

 

જાવ છો ક્યાં એકલા ઊભા રહો, 

હું ય આવું છું જરા ઊભા રહો! 

 

ના હવે બહું વાર નહીં લાગે મને, 

આવું લઈ માની દુવા ઊભા રહો. 

 

એ તો કહેતા જાવ મારો વાંક શું? 

શેની આપો છો સજા ઊભા રહો! 

 

છું નદી ઓળંગી જાશો ના મને, 

બે ઘડી પાણી પીવા ઊભા રહો! 

 

લોક પાદર લગ વળાવા આવશે, 

ખૂબ કરગરશે બધા ઊભા રહો!

 

સામે ચડતો ઢાળ આવે છે હવે, 

ધીમી પડવા દો હવા, ઊભા રહો! 

 

ઊભા રહેવાની ખલીલ આદત નથી, 

લોક તો કહેતા રહ્યા ઊભા રહો! 

 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

 

કોઈ રચના ઘણીવાર એટલી સુંદર બને કે, મત્લાના શેરથી જ એક સરસ મઝાનું દ્રશ્ય આપણને હુબહુ દેખાવા માંડે. અને જેમ આગળ વધીએ ને વાંચીએ તેમ વાત જાણે આગળ વધે. ખલીલ સાહેબની અમુક ગઝલો સુંદર મઝાની શીખ આપતી હોય છે. તો કેટલીક, આખા એક પ્રસંગને આવરી લે છે. આજની આ ગઝલમાં પણ વાંચવાનું શરૂ કરીએ એટલે તરત જ એક સુંદર નવયોવના, નવોઢા બનીને મનપટલ પર ઊપસી આવે. તે જાણે પોતાના નવા બનેલા જીવનસાથીની સાથે લગ્ન પછી જવાની તો હોય જ છે. પરંતુ પોતે તો બધું છોડીને જવાનું હોય અને પતિ કરે ઉતાવળ, તો એ જોઈને તે જાણે બોલી ઉઠે છે. 

‘અરે, તમે એકલા કેમ  ચાલવા લાગ્યા. મારે પણ સાથે આવવાનું છે, ઉભા તો રહો. અને હા, હું પણ તૈયાર જ છું મને જરાય વાર નહીં લાગે. તમારે તો તમારે પોતાને ઘેર જવાનું છે પણ મારે મારું બધું જ છોડીને આવવાનું છે. માતા, પિતા, ભાઈ ભાંડુ, ઘરબાર સઘળું! એટલે થોડીવાર તો લાગે ને? બસ થોડી જ વારમાં માતાને મળીને, તેના આશીર્વાદ લઈને તરત આવુ જ છું એટલામાં કંઈ મોડું નહીં થઈ જાય. ઉભા તો રહો.’

પરંતુ આગલો શેર વાંચતાં જ આપણું કલ્પના ચિત્ર પણ આગળ વધે છે.  કન્યાની ઉપરોક્ત વાતો સાંભળવા છતાં, પતિ તો જાણે આગળ વધતો જ રહે છે. અટકતો નથી. ત્યારે થોડી નિરાશા અને થોડા ગુસ્સાથી, તે પૂછી બેસે છે. ‘કેમ ચાલ્યા? તમે મારો સાથ ટાળવા માંગો છો કે શું? મારો કંઈ વાંક થયો છે? કોઈ ગૂનો થયો છે? શાની સજા તમે આપવા માંગો છો? એ તો કહો. અરે! તમારા સાથ માટે તો લો, હું એક નદી બનીને પણ સાથે વહેવા લાગું. પણ તમે મને ઓળંગીને જતા રહેશો એવું તો નહીં બને ને? થોડીવાર પાણી પીવા ઉભા રહેશો ને?’ પતિ સાથે સાસરે સિધાવતી કન્યાને વિદાય આપવા માટે, વરઘોડિયાને વળવવા માટે, ગામ આખું, છેક પાદર સુધી આવે છે. તે વખતે પણ સૌને મળીને, ભેટીને વિદાય લેવા રોકાતી ગામની દીકરી, પાછળ પડી જાય છે. અને વરરાજા ઉતાવળ કરીને આગળ ચાલી જાય છે. આ સમયે આવેલા સૌ લોકો વરરાજાને રોકવા વિનંતી કરે છે કે, ઉભા રહો, જમાઈ રાજા, આમ ચાલ્યા ક્યાં? થોભો, અમારી દીકરી આવે જ છે. અમને બધાને મળી તો લેવા દો! 

લોક પાદર લગ વળાવા આવશે, 

ખૂબ કરગરશે બધા ઊભા રહો!

આમ છતાં વરરાજાને ઘેર પહોંચવાની એટલી ઉતાવળ છે કે, તે તો પોતાની ઝડપે ચાલ્યે જ જાય છે. એ ભાઈ તો અટક્યા જ નહીં. નાજુક એવી કન્યા, ઢાળવાળા એ રસ્તા પર ઝડપથી ચાલતાં હાંફી જાય છે. અટકી જાય છે. ત્યારે બધા ગામલોકો ફરી કરગરે છે કે, સામે ઢાળ છે ને અમારી દીકરી ઘણી નાજુક! તમે થોડીવાર થોભો, ઠંડી હવામાં શાંતિનો શ્વાસ લેવા દો. પણ ના, ભાઈ સાહેબને તો ઉભા રહેવાની, થોભવાની કે, પોરો ખાવાની જાણે આદત જ નથી! એ તો બસ ચાલ્યે જ જાય છે!

ઊભા રહેવાની ખલીલ આદત નથી, 

લોક તો કહેતા રહ્યા ઊભા રહો! 

એક મઝાનું દ્રશ્ય મનમાં ઉદ્ભવે અને નાનકડી વાર્તાનું દ્રશ્ય તાદ્દશ થાય તેવી આ ગઝલ આપ સૌને ખૂબ ગમી ખરુંને મિત્રો? આવી જ મસ્ત મઝાની ગઝલ લઈને ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, નમસ્કાર.

રશ્મિ જાગીરદાર

વિસ્તૃતિ…૪૧-જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શરદબાબુની વાર્તા “પારસ”વિશે આજે આપણે જાણીશું એનો અનુવાદ મને નથી મળ્યો પણ ઘણાં સમય પહેલા તે વાંચી પણ હતી અને હિન્દીમાં પણ સાંભળી હતી.અહીં સંસ્કાર અને ઉછેરની વાત વીણી લેવાય છે.
બંગાળી સમાજની કૌટુંબિક ભાવના વિશે પણ સુંદર આલેખન થયું છે ને પૈસો શું ન કરાવે એની છણાવટ કરવામાં આવી છે.
આ વાર્તા બે સગા ભાઇઓની છે જેમાં શરદબાબુએ એક પાત્ર રચ્યું હતું ગુરુચરણનું, જે પાત્ર બંગાળના એક એવા પુરુષની વાત રચી છે જેમાં સજ્જનતાને કુટુંબભાવના ભરપૂર હતી. નાનાભાઈ હરિચરણ અને તેની પત્ની પર કટાક્ષ યુક્ત વાર્તા રચાય છે.ભાઈના પુત્રનું નામ પારસ હતું તેને મોટા તાઉ એટલે કાકા ગુરુચરણે સંસ્કાર સિંચી મોટો કર્યો હતો .ગુરુચરણ ઘરના કર્તા હર્તા હતા .તેઓ પુરા ગામનાં કર્તા હર્તા હતા એમ કહીએ તો ચાલે .ગામમાં મોટા મોટા મજમુંદારો હતાં, પણ ગુરુચરણનું નામ સદગૃહસ્થોમાં લેવાતું.

નાનો ભાઈ હરિચરણ પરદેશમાં રહેતો. તેની પહેલી પત્ની એક પુત્ર મૂકી મૃત્યુ પામી હતી તો તેણે બીજા લગ્ન કરી લીધાં હતા ગુરુચરણની પત્ની પણ મૃત્યુ પામી હતી .વચેટ ભાઈ મૃત્યું પામ્યો હતો,તેની પત્ની મજલીવહુ ઘરમાં રહેતી હતી ને બધાં જ કાર્ય કરતી હતી. ગુરુચરણ ને તે પિતા સમાન ગણતી હતી. હરીચરણની બીજી પત્નીનું તેના સાવકા પુત્ર પારસ પર કોઈ ધ્યાન નહોતું. તેણી તેને અવગણતી રહેતી હતી.તે મા માટે તલસતો .ગુરુચરણ ને મજલીવહુનો તે પ્યાર પામતો હતો ગુરુચરણને એક પુત્ર હતો તેનું નામ વિમલ હતું,પણ તે પિતા જેટલો સંસ્કારી ન હતો કુસંસ્કારી હતો. ગામમાં
ગુરુચરણની શાખ હતી તેઓ ખૂબ જ ભણેલા હતા પણ શ્રીકુંજપુરની પાસેના ગામમાં વિદ્યાલયમાં નોકરી કરવા ગયા પછી તે ત્યાં જ નોકરી કરતા રહ્યાં. જો તેઓ ધારી શકે તો નગરમાં જઈ અને કમાઈ શકે પણ તેમણે આ વિદ્યાલય ને પોતાનું જીવન જ માની લીધું હતું .તેઓ સજ્જન ચરિત્રવાન અને નિષ્ઠાવાન હતા અને સંપૂર્ણ ગુણવાન પણ હતા. તેઓ હવે નિવૃત્ત જીવન જીવતા હતા .તેઓની ઉંમર સાંઈઠ વર્ષની થઈ ગઈ હતી નાના ભાઈના દીકરા પારસને તેઓ ભણાવતા તેમનો દીકરો હતો પણ કુદરતની કેવી લીલા કે તેમની સજ્જનતા નો છાંટો તે પુત્રમાં ન હતો.

પારસ એમ.એ પાસ કરી કાનૂનનો અભ્યાસ કરી રહ્યો હતો પણ ગુરુચરણ હવે નિવૃત્તિમાં પેન્શન ઉપર જ જીવતા હતાં. તેમના જેવો સજ્જન વર્તાવ કે સદભાવના જો કોઈ બતાવતું તો ગામમાં યુવાનો તેઓને કહેતા કે અરે ,આ તો ગુરુચરણ બની ગયા છે. આમ તેમની તુલના થતી.

હરીચરણ યુદ્ધ પછી ગામમાં આવ્યો તો અચાનક જ પૈસાદાર થઈને આવ્યો હતો . એક દિવસ તેણે ઘર જમીનનાં બે ભાગલા કરવાની વાત કરી તો ગુરુચરણે તેને મજલી વહુના ત્રીજા હિસ્સાની વાત કરી. હરિ ચરણનું મન ખાટુ થઈ ગયું. તેણે તેનો વિરોધ કર્યો ગામને ન્યાય અન્યાય સમજાવનારા ગુરુચરણે તે વિધવા સ્ત્રી માટે ખૂબ લડ્યો હરીચરણની સ્ત્રી મજલી વહુને ખરી ખોટી સંભળાવતી હતી. તેને જુદી થવા કહેતી તેને પિયર જતી રહેવા મહેંણા મારતી. હરિચરણે હવે ત્રાસ વર્તાવા માડ્યો હતો .ઘરમાં ખાડા ખોદી કાઢ્યા હતા. વાસણ કુશળના ભાગ પાડવા માંડ્યા હતા. જમીનમાં પણ જેમ તેમ ભાગ પાડી લેવામાં આવ્યો હતો એક દિવસ ગુરુચરણની ગેરહાજરીમાં મજલી વહુ ને ખૂબ માર માર્યો હતો.ભણેલા ગણેલા ગુરુચરણે દીકરી સમાન મજલી વહુ માટે પોતાની ચેન વેચી કેસ લડ્યો પણ તેણી હાજર ન થઈ અને અચાનક પિયર ચાલી ગઈ . કેસ જીતવા પારસને બોલાવ્યો કલકત્તાથી તો તે પણ પિતાના પક્ષમાં જઈ બેઠો .

ચારે બાજુથી હતાશ નિરાશ ગુરુચરણ હવે બેચેન થવા લાગ્યા તેમની પાસે ઘરની જૂની દાસી પંચોલીનીમાં જ રહેતી હતી .પારસ આવ્યો છે તે જાણી તેવો મળવા ગયા તો કોઈએ તમને મળવા ન દીધા .અચાનક એકવાર વિમલ ઘરે આવ્યો હતો અને થોડા કાગળ ભરેલી એક બેગ મૂકી ગયો હતો. પારસ અવારનવાર હવે ગામમાં આવતો પણ અજાણે જેણે તેનામાં સંસ્કાર રેડ્યા હતા. પ્રેમ આપ્યો હતો તે તાઉજીને ન મળતો .પિતાને માતા ને પગલે ચાલતો થઈ ગયો હતો. એક સવારે દૂધવાળી જોર જોરથી રડતી આવી અને ફરિયાદ કરી કે ગુરુચરણે તેને લાત મારી ફેકી દીધી .ઘરના ખાડામાં પડતાં તેની નાકની નસકોરી ફૂટી અને લોહી લુહાણ થઈ ગઈ .તેને હરિચરણે ઉકસાવી કેસ કરવાનો કહ્યો અને ગુરુચરણ ને દંડ કરાવ્યો ,રૂપિયા દસની સજા કરી. ગુરુચરણના આ કૃત્યને તેની પત્ની અને પુત્ર અને બીજા બધાં કોઈ જ માનવા તૈયાર ન હતું પણ કદી જૂઠું ના બોલનારા ગુરુચરણે ખરેખર સત્ય બોલી ગુનો સ્વીકાર્યો હતો. હવે ગામમાં પણ બધાં બાળકો ગુરુચરણની પાછળ દોડતા અને તેને દૂધવાળી નું ગીત ગાઈચીઢવતા..વિમલની મૂકેલી બેગ પારસને બતાવી તો તેમાં તેની ગુનાખોરીનાં દસ્તાવેજો મળ્યા. તો પારસે પોલીસ બોલાવી તેમને સજા કરાવી અને વિમલને પણ સજા કરાવી .
આમ પારસ પણ માનવતા ભૂલી પિતાના પગલે ચાલવા લાગ્યો હતો. એકવાર ગામનાં બધાં સજ્જનો હરિચરણની બેઠકમાં બેઠા હતા લુહાર જાતિના લોકો વિશ્વકર્માની પૂજામાં નગરથી વેશ્યાઓ બોલાવી હતી તેઓનાં નાચગાનની વચ્ચે ગુરુચરણ પૈસા ઉડાવી રહ્યાં હતાં અને ધીમે ધીમે હસી રહ્યાં હતા. અવિનાશ નામનો એક ગામનો શખ્શ ત્યાં આવી આ સમાચાર આપ્યા કે ગુરુચરણ લુહારો ને વેશ્યાઓની વચ્ચે બેસીને મજા ઉડાવી રહ્યાં છે .બધાં ટીકા કરવા લાગ્યા ગુરુચરણની આ નીચતા પર ભાઈ પણ વિચાર કરતો રહી ગયો શુંઆ મારો મોટો ભાઈ સજ્જન સદગુણી ગુરુચરણ ?ના તે હસી શક્યો ના રડી શક્યો હજુ ત્યાં યક્ષ યજ્ઞમાં નાચ ગાન ચાલી રહ્યું હતું અને તે સમયે ચહેરો મોઢું છુપાવી એક સજ્જન આવ્યો અને ગુરુચરણ ના ખભે હાથ મૂકી અને કહ્યું,”ઘરે ચાલો.”
ગુરુચરણ ,”ઘર ,બોલી ઊભા થયા , આશ્ચર્ય વચ્ચે તે વ્યક્તિ પારસ જ હતો .તેને તાઉજીના ચહેરા પર નજર નાંખી નિસ્તેજ આંખો અને ભાવહિન ચહેરો જોઈ પારસને થયું ગુરુચરણ હવે કોઈ સીમા લાંછન લગાડવા માટે બાકી નહોતી રાખી.પારસે ધીરે રહી ગુરુચરણને કહ્યું ,”તાઉજી, તમારે કાશી જવું છે ને ? ગુરુચરણે કાશીનું નામ સાંભળી ડોકી હલાવી કહ્યું,” હા જવું છે ,પણ મને કોણ લઈ જશે ? પારસે ભારે હૈયે કહ્યું ,”તાઉજી હું લઈ જઈશ.”
ગુરુચરણે કહ્યું ,”હા તો ચાલો ઘરે જઈ બધું લઈ લઈએ.”

પારસે આંખોના અશ્રું લૂછી કહું,”આ ઘરમાંથી હવે આપણે કાંઈ જ નથી લેવું.”

ગુરુચરણે થોડીવાર તેની સામે જોયું અને ગણગણ્યા “હા ,હા એ ઘરેથી આપણે કાંઈ જ નથી લેવું. કાંઈ જ નથી લેવું.” પારસની આંખ ભરાઈ આવી તેણે તાઉજીનો હાથ પકડ્યો અને તે તેમને લઈ ચાલી નીકળ્યો.

મિત્રો જોયું ને આખરે સંસ્કાર જીત્યાં.ત્યાં ગુરુચરણ જોડે નો હરિચરણનો વ્યવહાર વિટંબણા સતામણીએ એક સજ્જનને દુર્જન બનાવી દીધો પણ સિંચેલા સંસ્કાર જીતી ગયા અને ઉછેર આખરે હારી ગયો . બંગાળની આ કૌટુંબિક દશાનું વર્ણન આપણે આજે પણ આખા વિશ્વમાં જોઈ શકીએ છીએ .જે શરદબાબુ એ સો સવાસો વર્ષ પહેલાં પણ વાર્તા રૂપે આપણી સમક્ષ દર્શાવી ગયા હતા.

મિત્રો આવતા અંકે ફરી આવી ક્યાંક ને ક્યાંક અદ્રશ્યમાન વાર્તાઓ શોધી નાખીશું અને તમારી સમક્ષ સંક્ષિપ્તમાં રજૂ કરીશું જેમાં વિશ્વના સ્તર ઉપર રહેલી દશા અને દિશા ની વાતો માંણીશું.

અસ્તુ,
જયશ્રી પટેલ
૪/૧૨/૨૨