HopeScope Stories Behind White Coat – ૨૯ / Maulik Nagar “Vichar”

“ડાઇપર”

કપડાંની ગડી વાળતા વાળતા મધુનું માતૃત્વ આંખથી જ દીકરા માધવને પંપાળતુ હતું ત્યાં જ ફુલ ટાઈમ રાખેલ બાઈ શકીરાના શબ્દો એનાં કાને પડ્યા.
“મૅડમ, હવે તો બમણો પગાર કરવો પડશે!”
મધુને આ બીજી વખતનું સફળ માતૃત્વ સુખ હતું. છતાંય બંને બાળકની વચ્ચે બાર વર્ષનું અંતર હતું.
બાર-બાર વર્ષ પછી મધુનું બીજું સંતાન શારીરિક રીતે તો તંદુરસ્ત લાગતું હતું પણ મોટા દીકરા ઈશાનની જેમ એની માનસિક સ્થિતિ તો બે-ચાર વર્ષ પછી જ ખબર પડે તેમ હતી.
લોકોના ડિપ્રેશન, આઘાત, ડર જેવાં માનસિક રોગોને દૂર કરવામાં માહેર મનોચિકિત્સક અને સ્પીચ થેરાપિસ્ટ ડૉ. મધુને પોતાનું આ બીજું બાળક પણ માનસિક રીતે નાદુરસ્ત હશે એ અંગે શંકા અને ડર બંને હતાં.
બાઈ શકીરાને માથે હવે બે બાળકને સંભાળવાની જવાબદારી હતી. એ પણ માનસિક રીતે ડામાડોળ.
બંને બાળકોને આવી કોઈ બાઈ પાસે મૂકીને ક્લિનિક જવામાં મધુનો જીવ તો ચાલતો ન હતો પરંતુ એ વગર કોઈ છુટકો પણ ન હતો.
આવાં અનેક વિચારોની વચ્ચે મધુને થોડાં સમય પહેલાં આવેલા એક પેશન્ટ યાદ આવી ગઈ અને એનાં વિચારોમાં સરી પડી.

થોડાક વખત પહેલાં મધુ પોતાની કેબિનમાં લંચ લીધાં બાદ મોઢામાં પાણીનો ઘૂંટડો ગડગડાવતી હતી તે જ સમયે રિસેપ્શનિસ્ટે “લય આવી ગયો છે” એમ જણાવ્યું.
પાણી ભરેલા ફુલાયેલા મોઢે મધુએ લયને અંદર લઇ આવવા ઈશારો કર્યો.
લયનો આજે સ્પીચ થેરાપીનો પ્રથમ સેશન હતો. આ અગાઉ મધુએ લયને એક જ વખત જોયો હતો. એની મમ્મી સાથે.
લબડતી લાળ, ઘસાઈ ગયેલું ખાખી પેન્ટ, ચાંદામાં કાણું પડ્યું હોય તેવી કાણાંવાળી ઑફ-વ્હાઇટ ટી-શર્ટ અને એક જ પિચમાં મહાપરાણે કોઈ બેસૂરો ગાયક ગાતો હોય તેવો ગણગણતો અવાજ.

“કમ ઈન બેટા!” પોતાના સગા દીકરા માધવ અને ઈશાનને બોલાવતી હોય તેવા જ વ્હાલ સાથે મધુએ લયને અંદર આવકાર્યો.
સૂરોના ગણગણાટનો અવાજ પોતાની દિશામાં આવતા અવાજની પિચ થોડી ઊંચી જવા લાગી.

મધુએ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી.
બે-ચાર ઔપચારિક પ્રશ્નો બાદ લયના સૂરોના લયની ઝડપ કોઈક ઈશારા સાથે વધી.
પહેલા તો મધુને એ ઈશારામાં કંઈ ખબર ન પડી.
મનોચિકિત્સક અને સાથે સ્પીચ થેરાપિસ્ટ મધુએ પોતાનું થોડું મગજ કસ્યું તો એનાં મૌન ઈશારાનો અવાજ પારખી ગઈ.
લય પોતાનાં લબડી ગયેલાં હાથે ઈશારો કરીને એનું પેન્ટ ઉતારવાનો ઈશારો કરતો હતો.
અજુક્તું તો હતું જ છતાંય મધુએ સ્ટાફને બોલાવી લયનું પેન્ટ કાઢવા જણાવ્યું.
મધુ અને સ્ટાફ બંનેને લાગ્યું કે લયને બાથરૂમ જવું હશે.
ક્યાં તો એણે પેન્ટ બગાડ્યું લાગે છે!
“હાશ! ડાઇપર તો પહેર્યું જ છે.” સ્ટાફના મોઢાનાં ભાવ પરથી મધુએ પારખી લીધું.
પણ ડાઇપર તો ચોખ્ખું જ હતું!
પેન્ટ કાઢતાની સાથે જ લયના ચહેરા પર અનુકૂળતાના ભાવ દેખાયા.
મધુના મધુર સ્વભાવના કારણે ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરમાં તે પ્રખ્યાત હતી.
ઘણાં ખરા વર્ષથી પ્રેક્ટીસ કરતી મધુ માટે આવો બનાવ પ્રથમ વખત બન્યો હતો.

પ્રથમ સેશનમાં એટલી સફળતા તો ન જ મળે પણ લય તરફથી મળતો પ્રતિસાદ માયાળુ લાગ્યો.

નિર્ધારિત સમયે બીજાં સેશનમાં પણ લય ટાઈમ પર આવ્યો. આ વખતે રિસ્પૉન્સ એવો જ પોઝિટિવ!
પરિણામમાં માત્ર મોંઢા પરનું સ્મિત થોડું વધ્યું હતું.
પરંતુ સેશન દરમ્યાન એ જ પેન્ટ કાઢવાના ઈશારાથી મધુના ચહેરા પરનું સ્મિત થોડું મંદ પડી ગયું.
મધુના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલુ થઇ ગયાં.
મધુને લાગ્યું કે નક્કી આ મેઇડ જ લયની કાળજી રાખવામાં કંઈક અધૂરું રાખે છે.
જોકે બંને સેશનમાં લયના માતા-પિતા તો આવ્યાં જ ન હતા.
લયની મમ્મી શરૂઆતમાં માત્ર એક જ વખત મળવા આવી હતી.
મર્સીડીઝમાં આવેલી એની માએ દરેક સેશન માટે ખાસ્સું એવું ડિસ્કાઉન્ટ પણ કરાવ્યું હતું.
ઘણી ખરી કચકચ સાથે “મારાં દીકરાને આમ, મારા લયને તેમ” જેવી આરતી પહેલાની અઢળક પ્રસાદી પણ આપીને ગઈ હતી. તે નફામાં.
લયની સાથે આવતી મેઇડ પહેરવા-ઓઢવામાં એકદમ સાફસૂથરી હતી.
“બાબા..બાબા” કરીને લયને સગા દીકરા કરતાંય સારી રીતે સાચવતી હશે એવું લાગતું હતું.

શેડ્યૂલ પ્રમાણે લય નિયમિત રીતે એનાં સ્પીચ થેરાપીના સેશનમાં આવવા લાગ્યો.
લગભગ પાંચ-છ સેશન થયા હશે. લયની સ્પીચના સુધારાની ગતિ થોડી મંદ હતી.
હંમેશની માફક એને એની મેઇડ જ લઈને આવતી હતી.
દરેક સેશનમાં લય જેવો મધુની સામેના ટેબલ ઊપર બેસે એટલે તરત જ પેન્ટ ખેંચીને એને કાઢવા માટે ઈશારો કરે.
સાથે સાથે આમ તેમ ડાફોળિયાં પણ મારે. જાણે કે બિલિયન ડૉલર્સ ખર્ચીને ચંદ્ર પર આવી ગયો હોય એમ.
વળી પાછું એ જ ટી-શર્ટ, એ જ પેન્ટ અને એ જ પ્રવૃત્તિઓ.
મધુને આ 12 વર્ષનાં છોકરાને ડાઇપરમાં બેસેલો જોઈને અજુક્તું તો લાગતું જ હતું પણ એનું કારણ જણાતું ન હતું.
લય ડાઇપરમાં જે કમ્ફર્ટ અનુભવતો તેવી જ કમ્ફર્ટ એણે પેન્ટ પહેર્યું હોય ત્યારે જણાતી ન હતી.
લયની મમ્મી તો એક પણ સેશન દરમ્યાન આવી જ ન હતી.
હકીકતમાં મધુની પણ એ જ ઈચ્છા હતી. કે એની મમ્મી ના જ આવે તો સારું!
મધુ મનમાં વિચારતી કે લયની મમ્મી સાથે કાઉન્સેલિંગ કરવાનું આવશે ત્યારે પાછું એનું એ જ “અમે તો આમ અને અમે તો તેમ”ની માથાઝીંક ચાલુ થશે.
લયની મમ્મી એક જ વખત મળી હતી પણ એ એપિસોડ ઘણો લાંબો ચાલ્યો હતો.

હવે તો મધુએ પણ પોતાની બાઈ પર નજર રાખવાનું ચાલુ કરી દીધું હતું.
પોતાના દીકરા ઈશાનની કાળજીમાં પણ બાઈ…..!!!

લયની સ્પીચમાં કોઈ જ સુધારો જણાતો ન હતો એ તો મધુ માટે એક મોટો પ્રશ્ન હતો જ પણ સાથે લયના દર વખતના એ જ કપડાં, રૂમમાં ડાફોળિયાં મારવા અને જેવો ટેબલ પર બેસે એટલે ઠરાવી નાખે તેવાં એ.સીમાં પણ લય પેન્ટ કાઢવા માટે ઈશારો કરે.
કોઈ પણ પેશન્ટની મેઇડને પૂછવું એ મધુ માટે તો અયોગ્ય જ હતું છતાં પણ એક સેશન દરમ્યાન જેવો લયે ઈશારો કર્યો ત્યારે પોતાના સ્ટાફને બોલાવાની જગ્યાએ મધુએ એની મેઈડને અંદર મોકલવા જણાવ્યું.
મહારાષ્ટ્રીયન લિબાસમાં હિન્દી ભાષી બાઈ મધુની કેબીન-કમ-થેરાપી રૂમમાં પ્રવેશી.
“જી..મે’મ સા’બ?”
“બાઈ..દેખો યે ક્યાં કેહ રહા હૈ?”
લયનો ઈશારો જોઈને બાઈને જરાક પણ નવાઈ ન લાગી.
મધુએ વિચાર્યું કે બાઈને તો શું ખબર પડે! બાઈને એમ હશે કે મારે ઈન્જેકશન મારવું હશે એટલે લય આમ ઈશારો કરે છે.
“અચ્છા બહેન આપ કિતને સાલ સે લય કી દેખભાલ કરતે હો?”
“લયબાબા જબ એક સાલ કે થે તબ સે..”
બાઈના અવાજમાં લય માટે લાગણી છલકાતી હતી.
મધુને થયું કે આ યોગ્ય સમય છે પૂછવા માટે.
“એક બાત બતાઓ..ઇસે યે પેન્ટ પસંદ નહીં હૈ, ફીર ભી ઉસે યે હી પેન્ટ કયું પહેનાતે હો?” હિન્દીભાષાએ ગુજરાતી સાડલો પ્હેર્યો હોય એવાં ગુજરાતી લહેકામાં મધુએ બાઈને પૂછ્યું.
“મેડમ એક બાત બતાઉં…આજ તક બાબાને કભી પેન્ટ પહેના હી નહીં હૈ, યે સમજ લો કે કપડે હી નહીં પેહને હૈ!
ઉનકો પહેનાને કે લીયે માલકીનને હમે સિર્ફ યે એક પેન્ટ ઓર એક ટી-શર્ટ હી દીયા હૈ!
લયબાબા કભી ભી રૂમ કે બહાર નહીં નિકલ શકતે. ઓર ઠંડી હો યા ગર્મી ઉનકો પૂરા દિન સિર્ફ ડાઇપર મે હી રહેનેકા.
કિસી કો ઉનકી નહીં પડી હૈ…ઇન્સે અચ્છા તો ઘર કે ચાર કુત્તે…….”

“ડાઇપર મંગાવી લેજો મૅડમ…પતવા આયા સ..” સાંભળતા જ મધુ ઝબકી અને વાળવા માટે હાથમાં પકડેલ મોટાં દીકરાનું પેન્ટ આંસુથી ભીનું લથબથ થઇ ગયેલું જોતી જ રહી.

By:Maulik Nagar “Vichar”

સ્પંદન-28

જીવન રહે ઝંખના એવી ગતિની,
જયાં રાહ હો સંગતિ પ્રગતિની.

મહેકે  જીવન આ રાહે, જાણે મારગનું ફૂલ,
ધૂળીયો મારગ ભલે, પણ મનમાં એનાં મૂલ.

પડછાયાના વનમાં ઉડતો તેજીલો તોખાર,
ભાવિની નહીં ભાળ, તો પણ તેગનો ચમકાર.

અટવાય છો ને કંટકોમાં, મહેકે હરદમ આ  ફૂલ
આત્મવિકાસના મારગે જે રહે સદા મશગુલ.

મહેક હો પુષ્પોની કે ચહેક હો પંખીઓની જ્યાં સંકલન છે, ત્યાં છે વિકાસ. જો કળી વિકસિત ન થાય તો મહેક ક્યાંથી? જો પંખી પાંખ ફેલાવી ઊડતું આવે નહિ તો ક્યાંથી સંભળાય તેનો કલરવ? ગુરુપૂર્ણિમા જો પૂર્વાર્ધ છે, તો જ્ઞાન અને વિકાસ તેનો ઉત્તરાર્ધ છે. ગુરુનો સંદેશ ઝીલી જે આત્મવિકાસના માર્ગે આગળ વધે છે, તેને માટે  ગુરુપૂર્ણિમા અનેરો ઉત્સવ છે.  ગતિ અને પ્રગતિના આટાપાટામાં અટવાતા જીવનનો રાહ છે નિરંતર વિકાસનો. જે પળ પળ વિકાસની મંઝિલ સર કરે છે, તેનું  જીવન સફળ અને સાર્થક બને છે. જીવનના ક્રમો વિક્રમો બની શકે તેને, જે હોય વિકાસની વાટે. આત્મવિકાસ સાથે પૂર્ણતા તરફ આગળ વધો તો સિદ્ધિના સન્માન તો સહજ છે. પણ આત્મવિકાસનો માર્ગ ક્યો?

વ્યકિત એ પરિવારનો પાયો છે. જેમ પુષ્પગુચ્છની શોભા અને સુવાસ પુષ્પોમાં છુપાયેલી છે તે જ રીતે સમાજનો વિકાસ એ વ્યક્તિઓના વિકાસ  વિના શક્ય નથી. સમાજના વિકાસની યાત્રામાં રાષ્ટ્રીયતાનું  સંયોજન થાય એટલે દેશનો વિકાસ બને. દેશના વિકાસ અને કલ્યાણ થકી જ વિશ્વનું કલ્યાણ થઈ શકે. વિશ્વ એ પરસ્પરના અવલંબન પર આધારિત છે. આ જ વાતને અર્થશાસ્ત્રીઓ વૈશ્વિકરણના નામે  ઓળખે છે. આજે જ્યારે એક વાઇરસે વિશ્વને ધ્રુજાવી દીધું છે ત્યારે વિકાસ અને વિનાશની સીમાઓની સમજ જરૂરી છે. આ સમજ ક્યારે કેળવાય? આ પ્રશ્નનો ઊકેલ કદાચ મુશ્કેલ લાગે, પરંતુ ભારતીય પરંપરા અને તત્વજ્ઞાનમાં આ ઉકેલ છુપાયેલ છે. બીજને જોઈને કોઈને પણ વિશ્વાસ ન આવે કે તેમાં તડબૂચ જેવા મોટા ફળનું રહસ્ય છે. આ રહસ્ય અને ખૂટતી કડી એટલે જ બીજનો વિકાસ, જે અંતે ફળીભૂત થઈને ફળમાં પરિણમે છે. માનવને મહામાનવમાં પરિવર્તિત કરવાનું રહસ્ય એ પણ વિકાસની જ પ્રક્રિયા છે. આ જ ચિંતનને આગળ વધારીએ તો ખ્યાલ આવશે કે વિશ્વના વિકાસનું પ્રથમ ચરણ છે- આત્મવિકાસ.

આત્મવિકાસ એટલે સ્વયંનો વિકાસ. આત્મવિકાસને આત્મા સાથે જોડીએ કે નહીં, બંને  કંઇક અંશે સમાંતર માર્ગે ચાલે છે. આત્મનો વિકાસ કર્યા વગર આત્માનો વિકાસ શક્ય નથી. આત્માનો વિકાસ એ આત્મવિકાસનો અધ્યાત્મ સાથે સંકલિત માર્ગ છે. પરંતુ જે આત્મવિકાસ કરે છે તે જ અધ્યાત્મના માર્ગને પણ અજવાળી શકે છે. કારણ કે વ્યક્તિએ મન, વચન અને કર્મનું સામૂહિક અને શારીરિક સ્વરૂપ છે. વિકાસ એટલે જ નવી દિશા અને નવી ક્ષિતિજો તરફની આગેકૂચ. આત્મવિકાસ એ ઘ્યેયલક્ષી હોય છે. માર્ગ ભલે ભિન્ન હોય પણ ધ્યેય અગત્યનું છે. યાદ આવે છે એકલવ્ય. સ્વબળે ગુરુ દ્રોણના પ્રત્યક્ષ શિક્ષણ વિના અદ્વિતિય સિદ્ધિ  પ્રાપ્ત કરતો આ એકલવ્ય આત્મવિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વર્તમાન યુગ એ દ્રોણનો નહીં પણ ડ્રોનનો છે. મહાન મનોવિજ્ઞાની ડૉ.નેપોલિયન હિલ કહે છે કે જે વસ્તુનો તમે ખૂબ જ વિચાર કરો છો, એ તમારા ચિંતનની સાથે ઘૂંટાઈને જીવનનું અદ્ભુત રસાયણ બને છે. તમે ઇચ્છો એ  પ્રમાણે જીવન ઘડી શકો છો. મણિપુરનું એક નાનું ગામ. એક નાની બાળકી જંગલમાંથી પોતાની ઉંમરના પ્રમાણમાં ખૂબ મોટો ભારો ઉંચકીને લાવે. મોટા થઈને આત્મવિકાસના માર્ગે આગળ વધતા  વધતા 2021ના ટોકિયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક હાસલ કરે છે. જી હા, દેશને ગૌરવ અપાવનાર આ બાળકી છે મીરાંબાઈ ચાનુ.

મહેનત, માનસિક શક્તિ અને ધીરજ જેવા પાયાના ગુણો એક અદના આદમીને પણ  આત્મવિકાસની ઊંચાઈ પર લઈ જઈ શકે છે તેનું તાજેતરનું ઉદાહરણ છે જોધપુર નગર નિગમની સફાઈ કર્મચારી આશા કંડારા. લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન રહેતા અલગ થઈ. બે બાળકોના પાલન પોષણ કરતાં ગ્રેજ્યુએટ થઈ.  2018માં રાજસ્થાન એડમિનીસ્ટ્રેટિવ સેવા(RAS)ની પરીક્ષા આપી. તેના 12દિવસ બાદ જ તેને સફાઈ કર્મચારી તરીકે નિયુક્તિ મળી. તે હિંમત ન હારી. બે વર્ષ સુધી રસ્તા પર ઝાડુ મારતી રહી.  પરીક્ષાનું પરિણામ આવતા તે RAS માં સફળ બની અને ડેપ્યુટી કલેકટર બની, આત્મવિકાસની એક અદ્ભુત મિસાલ બની.

આત્મવિકાસ એ કોઈનો ઈજારો નથી. આત્મવિકાસ જ ઋષિ વિશ્વામિત્રને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનાવી શકે છે. વૈદિક કાળથી આગળ વધીને  મોગલ યુગમાં પ્રવેશીએ. સંગીતસમ્રાટ તાનસેન તો અકબરના નવરત્નોમાં એક હતા જ પરંતુ સંગીતની અસરથી હરણ જેવા પ્રાણીઓને પણ પાછા બોલાવી શકવાની ક્ષમતા ધરાવતા બૈજુ બાવરા પણ યાદ આવે છે. સાથે જ યાદ આવે આપણા ગુજરાતની બે પુત્રીઓ તાના અને રીરી જેણે તાનસેનનો દીપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલો  શરીર દાહ મટાડવા માટે રાગ મલ્હાર ગાઈને વરસાદ પણ  વરસાવેલો. શું આ આત્મવિકાસની નાનીસૂની સિદ્ધિ છે?

આત્મવિકાસની વાત આવે તો કદાચ એક નામ અવશ્ય યાદ આવે-મહાત્મા ગાંધી. બાળપણના કંઇક અંશે શરમાળ પ્રકૃતિના ગાંધીજી વિલાયત જઈ બેરિસ્ટર થાય છે. પરંતુ કહાની એ રીતે આગળ નથી વધતી કે તે કંઈ કેટલા કેસ જીતે છે. કહાનીનો ટ્વીસ્ટ કે વળાંક આવે છે દક્ષિણ આફ્રિકાના એક રેલવે સ્ટેશન પર  તે માત્ર વકીલ મોહનદાસ ગાંધી જ નહીં પણ મહાત્મા ગાંધી તરીકે વિકસે છે. માનવ સંવેદનાઓને આત્મસાત કરીને ગાંધીજી એવા વિશ્વમાનવ બને છે કે ઇંગ્લેન્ડ જેવી મહાસત્તાઓએ પણ તેમની ગણના કરવી પડે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ માત્ર એક જ નહીં, અનેક ઉદાહરણો આપી શકે કે જ્યાં આત્મવિકાસ એ આત્મગૌરવ અને આત્મસમર્પણની ગાથા બને છે.

આત્મવિકાસ શરુ થાય છે આત્મજાગૃતિ અને આત્મગૌરવને ઓળખવાથી. માનવીની ક્ષમતાને વિકસાવવા માટે જરૂરી છે આત્મગૌરવની ઓળખાણ. જે પોતાની શક્તિઓને ઓળખીને વિકસાવી શકે તે જ કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ કરી શકે. આજનું વિશ્વ પછી તે જ્ઞાન વિજ્ઞાનનું હોય કે ઉદ્યોગ કે વ્યાપારનું- આત્મવિશ્વાસથી જે સ્વપ્રયત્ને આગળ વધે છે, પોતાના લક્ષ્યને ઓળખે છે, તે જ  સમયની રેતી પર પોતાનાં કદમોના નિશાન છોડી શકે છે. પુષ્પનો પમરાટ પામતા પહેલાં અંકુરણ કરીને સ્વનો વિકાસ કરીએ, આત્મ ચેતનાને વિકસાવીએ, અશક્યને શક્ય બનાવવાનો પુરુષાર્થ કરીએ, માનવમાંથી મહામાનવ બનવાનું સ્વપ્ન સેવી પ્રથમ ડગલું ભરીએ, કેમ કે આપણે સહુ છીએ અમૃતના અભિલાષી.

રીટા જાની
30/07/2021

૨૬ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં આપનું સ્વાગત છે. આ મહિને આપણે સ્વતંત્રતા or Freedom  વિષય પરની  વિવિધ  ભાષાની કવિતાઓને જાણી અને માણી રહ્યા છીએ. ગયા ગુરુવારે અનિવાર્ય સંજોગોના લીધે લેખ મૂકી શકી ન હતી તો તે બદલ માફી ચાહું છું. 

સ્વાતંત્ર્ય અને આધિપત્ય – એ આમ તો સિક્કાની બે બાજુ જેવા છે. કોઈના પર આધિપત્ય જમાવવું, તેની સ્વતંત્રતા હણી લેવી એ કદાચ બળ-સામર્થ્યની નિશાની હોઈ શકે પણ કોઈને સ્વત્રંતા બક્ષવી એ અવશ્ય કરુણા-સામર્થ્યની નિશાની છે. ઇતિહાસ પર નજર કરીએ તો દરેક દેશે પોતાના સ્વાતંત્ર્ય માટે ખુબ મોટી કુરબાની આપેલી છે. આપણો ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી. 

આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” અંતર્ગત ભારતના the Nightingale of India તરીકે જાણીતા શ્રીમતી સરોજિની નાયડુ  દ્વારા ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન અંગ્રેજીમાં રચાયેલી રચના “The Broken Wing” અર્થાત “ખંડિત પાંખો”  નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. મૂળ અંગ્રેજી રચના તમે  આ લિંક પર વાંચી શકશો. http://www.readingbifrost.com/poem-of-the-week-from-the-broken-wing-by-sarojini-naidu/

 

શ્રીમતી સરોજિની નાયડુને કોઈ ઔપચારિક પરિચયની તો જરૂર જ ક્યાં છે? ભારતના સ્વાતંત્ર્ય સેનાની તરીકે રહી ચૂકેલા શ્રીમતી નાયડુ એક ઉચ્ચ કક્ષાના લેખિકા અને કવિયત્રી પણ હતા. આ રચના તેમના The Broken Wing નામના 65 કાવ્યોના કાવ્ય સંગ્રહમાંની એક રચના છે જેનું શીર્ષક પણ The Broken Wing છે. એક આઝાદ ભારતની અમર આશાની જ્યોત પ્રજવલિત કરતી પ્રશ્ન અને જવાબના માળખામાં રચાયેલી આ રચનામાં અંગ્રેજોની ગુલામી હેઠળ રહેલ ભારતમાતાને એક ખંડિત પાંખ વાળા પક્ષીનું રૂપક આપી રજુ કરેલી છે. 

અંગ્રેજોની ગુલામી હેઠળના ભારતમાં જયારે સ્વત્રંતા મેળવવાનો જુવાળ ફેલાયેલો હતો, જયારે વર્ષોની ગુલામી પછી સ્વતંત્રતા ના પડઘમ વાગવા લાગ્યા હતા, એક લાંબી પાનખર પછી સ્વત્રંતાની વસંતનો સોનેરી સુરજ ઉગવાનો હતો ત્યારે કવિયત્રી ભારતમા ને એટલે કે ભારતની પ્રજાને પ્રશ્ન પૂછે છે કે હવે તો સ્વતંત્રતાની વસંત ઢૂંકડી છે તો શા માટે પંખી ની પાંખ હજી ખંડિત પ્રતિત થાય છે. અને વર્ષો સુધી ગુલામીની જંજીર થી ઘાયલ થતી ભારતમાતા તેનો ઉત્તર આપે છે. ઉત્તરમાં ભારતમાતાનો  phoenix birdની જેમ રાખમાંથી ફરી ઉઠવાનો જોમ, જુસ્સો કવિયત્રીએ આલેખ્યા છે

ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન અનેક કવિ/લેખક  અને કવિયત્રીઓ/લેખિકાઓએ પોતાની ક્લમ દ્વારા પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું અને આવી અનેક શ્રેષ્ટ રચનાઓનું સર્જન થયું. જન સમુદાયનો જુસ્સો, જોમ કપરી ગુલામીમાં ટકાવી રાખવો એ કઈ નાની સુની વાત નથી.

સ્વતંત્ર ભારતમાં  જન્મેલા દરેક વ્યક્તિએ તેમના જીવનકાળ દરિમયાન ભારતની સ્વતંત્રતાની ચળવળ વિષે વાંચ્યું હશે, જાણ્યું હશે પણ જે પેઢી અંગ્રેજોની ગુલામી હેઠળના ભારતમાં જીવતી હતી તેમને જેટલી સ્વતંત્રતાની કિંમત હતી તેટલી કદાચ તેમના પછીની પેઢીઓને નહિ હોય.  કપરી કુરબાની પછી મળેલી આ સ્વતંત્રતા માટે સર્વે સ્વતંત્રતા સેનાનીઓને વંદન સાથે આજે મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે એક નવા વિષય સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અનેઅભિપ્રાયોની અપેક્ષા સાથે….

–    અલ્પા શાહ

અજ્ઞાતવાસ-૨૮

હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો…


બે એક કલાક હું ઘસઘસાટ એરપોર્ટના રુમમાં બેન્ચ પર જ સૂઈ ગયો અને ઊઠ્યો ત્યાંજ એક ઓફીસરે મને પૂછ્યું,”R you ok? You need anything?” મેં ના પાડી અને તેણે મને કહ્યું કે “તમે હવે આ તમારો સામાન લઈ જઈ શકો છો.” મારી બધી તપાસ કરતાં હું ગ્રીનકાર્ડ હોલ્ડર હતો એટલે મને જવાનું કહ્યું. મેં મારી મોટી બહેન નીનાને ફોન કરી એરપોર્ટ પર લેવા આવવાનું કહ્યું. તે મારા કોઈને જણાવ્યા વગર ,અચાનક અમેરિકા આવી જવાથી જરા આશ્ચર્યચકિત હતી. પરતું તરત જ મને લેવા આવી ગઈ.નીના અને નરેનભાઈ તેના પતિએ મારી ખૂબ સારસંભાળ લીધી. નરેનભાઈનાં બેન અને બનેવી લોસએંજલસમાં સર્જન હતાં એટલે મને તેમણે L.A જઈ તેમની દેખરેખ નીચે સારવાર કરાવવાનું નક્કી કર્યું. બંને ડોક્ટર હોવાથી ખૂબ વ્યસ્ત હતાં એટલે મેં મારાં અંગત મિત્ર માધવરાજને ફોન કરી તેમને ઘેર રહેવાનું નક્કી કર્યું.

નરેનભાઈનાં બનેવીએ મારી એક નાની સર્જરી કરી પણ તેમનાં મતે મારે દર બે ત્રણ મહિને સ્ક્રેપીંગ કરાવવું પડશે અને કોલોસ્ટ્રોમી કરાવવી પડશે તેમ કહ્યું.કોલોસ્ટ્રોમીમાં મળદ્રારનાં બદલે પેટ પર હોલ કરી તેમાંથી ટ્યુબ નાંખી કોથળી રાખી તેમાં ટ્યુબથી મળ એકઠો થાય અને કોથળી બદલવી પડે વિગેરે ,જેને માટે હું જરાપણ તૈયાર નહોતો. એમણે બીજા નામી ડોક્ટરોને બતાવવા માટે સજેશન,એડ્રેસ અને ભલામણ પત્ર પણ લખી આપ્યા પણ મારી પાસે એ ડોક્ટરોને બતાવવા માટે કે સર્જરી કરાવવાનાં પૈસા નહોતા.ત્યારે તેમણે મને છેલ્લા વર્ષનાં U.S.C. નાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલતી હોસ્પીટલનું પણ સજેશન આપ્યું,જ્યાં બધી સવલતો સાથે ટ્રીટમેન્ટ ફ્રી થાય. હું ત્યાં બતાવવા ગયો.


ત્યાં મને એક સરસ અમેરિકન છોકરી લીઝા સાથે પરિચય થયો. તેણે મારામાં ખૂબ રસ લઈ ,રીસર્ચ કરી મને હિંમત અને આત્મવિશ્વાસ આપ્યા. તે કહેતી ,” નકુલ,તું એવા બેક્ટેરિયા સાથે આવ્યો છે ,જેનો ઈલાજ બહુ અઘરો છે પણ આપણે ગમે તેમ કરીને મટાડીશું. એણે રોજ જુદા જુદા એન્ટીબાયોટીક અને મહિને દોઢ મહિને સ્ક્રેપિગ કરવાનું ચાલુ રાખ્યું ,પણ મહિનો થતાં ,તો ખાડો સફેદ પ્રવાહીથી ભરાઈ જતો. હવે લીઝાએ રીસર્ચ ઈન્ટરનેટ પર શરુ કરી અને આખી દુનિયાનાં ડોક્ટરોને ચેલેન્જ આપતી ,મારી બધી વિગતો ઈન્ટરનેટ પર મૂકી. ત્યારે જર્મનીનાં એક ડોક્ટરનેા જવાબ આવ્યો કે ,”આનો રસ્તો મારી પાસે છે અને આનું સફળ ઓપરેશન મેં કર્યું છે ,પણ અમેરિકાનું લાયસન્સ મારી પાસે નથી અને અમેરિકાનાં મેડિકલનાં કાયદા ખરાબ છે તેથી ,હું ત્યાં આવી ઓપરેશન ન કરી શકું.”લીઝાએ તરત જ વળતાં ઈમેઈલમાં લખ્યું,” ડોક્ટર અમે તમને ટિકિટ મોકલાવીએ છીએ ,તમે અમારી સાથે ઓપરેશનમાં ઊભા રહો, તો તમે બતાવશો તેમ તમારી હાજરીમાં ,તમારી હાજરી અને દોરવણી હેઠળ ,અમે ઓપરેશન કરીશું.” ડોક્ટર તૈયાર થઈ ગયા આવવા માટે

તે દરમિયાન મારી અને લીઝાની આટલી દોસ્તી થવાનું કારણ શું હતું ખબર છે? લીઝા એક કાબિલ ડોક્ટર હતી પણ તેનાં પિતા સ્કોટલેન્ડનાં હતાં. તેમની પાસે ખૂબ મોંઘો પોતાનો ઘોડો હતો અને તે કંટકીની રેસમાં દોડતો. હું હોસ્પીટલનાં મારાં એકાંતવાસનો ટાઈમ પાસ કરવા ઘોડાની રેસ જોતો અને લીઝાને દરવખતે બતાવતો કે આ ઘોડો જીતશે. તે મારા ઘોડજ્ઞાનથી મારી પર આફરીન થઈ ,ઘોડા અંગે,મારાં જીવન અંગે,મારા એકલપણા વિશે વાત કરતી. મને ડ્રેસિંગ કરતાં પણ તે મારી તીણી ચીસો અને વેદનાને સમયે શરીર પર તેનાં હાથ પ્રસરાવી સાંત્વના આપવા કોશિશ કરતી.તેનો આ સુંવાળો સ્પર્શ મને પ્રેમ અને હુંફ પૂરતા , જે મારાં એકાંતવાસમાં સહિયારો બનતાં.


લીઝાનાં પ્રયત્ન,ભગવાનની મહેરબાનીઅને મારી ધીરજને અંતે મારું ઓપરેશન સફળ થયું. ડોક્ટર કહે તમારે જો ઘા રુઝાવો હોય તો સતત ચાલતાં રહેવાની નોકરી કરજો ,તો લોહી ફરતું રહેવાથી જલ્દી સારું થઈ જશે. પણ હજુ મારી પાસે અમેરિકામાં સર્વાઈવ થવા નોકરી હતી નહીં. માધવરાજ અને તેમનાં પત્નીએ મને છ સાત મહિના એમને ત્યાં રાખ્યો પણ મારાં દુર્ગંધ મારતાં શરીર અને કામવગરનાં માણસનો ભાર ,કોઈ અમેરિકામાં ક્યાં સુધી વેંઢારે? એક દિવસ હું તેમનાં બગીચામાં સાંજે બેઠો હતો ત્યારે માધવરાજે મારાં રુમમાં જઈ મારાં બધાં કપડાં એકઠાં કરી બેગ ભરી દીધી. ગાડીની ટ્રન્કમાં બેગ મૂકી દીધી.મને માધવરાજ કહે ,”ચાલ, નકુલ બિયર પીવા જઈએ.”મને બીયર પીવાને બહાને ગાડી સીધી એરપોર્ટ લઈ ગયાં
.

ત્યાં એરપોર્ટની રેસ્ટોરન્ટમાં બીયર પીવડાવતાં મને કહ્યું,” નકુલ,તું મારો ખૂબ સારો મિત્ર છે, પરતું મારી પત્ની અને હું તારાં શરીરની તેમજ તારાં કપડાંની ભરાએલ દુ્ર્ગંધને ઘરમાં હવે સહન નથી કરી શકતા.તારા પપ્પાનાં પણ તને પાછો ભારત બોલાવવા ફોન આવે છે.હું તારી ફ્લાઈટની ટિકિટ અને બેગ લઈને તને ભારત પાછો મોકલવા અહીં લઈને આવ્યો છું.”


હું તો એકદમ આભો જ બની ગયો! મને શું કરવું તે સમજાયું નહીં.પણ હું તેમને ખૂબ દિલગીરી સાથે ભારોભાર વેદનાથી કહેવા લાગ્યો ,” મને સમજી શકો એવા નિકટનાં મારા મિત્ર માત્ર તમે જ છો. તમે મને મારાં ખરાબ સમયમાં ખૂબ મોટી મદદ કરી છે. મારું ઓપરેશન ડોક્ટરોનાં કહેવા મુજબ સફળતાથી પાર પડ્યું છે. હું તમારી અને ભાભીની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. મને માત્ર પંદર દિવસનો સમય આપો. પંદર દિવસ પછી હું તમારા ઘરમાંથી ચાલ્યો જઈશ. કંઈ નહીં થાય તો ત્યારે મને તમે ઈન્ડિયા જવા એરપોર્ટ પર મૂકી જજો.”મને આમ ઢીલા અવાજે મારાં તબિયતની વાત કરતો અને પંદર દિવસ વધુ રહેવાની માંગણી કરતો સાંભળી તેમણે મને પૂછ્યું,”પંદર દિવસમાં એવું શું થશે? તું શું કરીશ?”મને પણ કંઈ ખબર નહતી કે હું શું કરીશ ?

પણ ભારત જઈ મારે મારી તબિયતની અવદશા કોઈપણ હિસાબે થવા નહોતી દેવી. અહીં તો દવા અને ઓપરેશન પણ ફ્રી થતાં હતાં.મારાં નિરાશ કરગરતાં અવાજની માધવરાજનાં હ્રદય પર અસર થઈ. મને માધવરાજે વધુ પંદર દિવસ તેમના ઘેર રહેવા દીધો.તેમનાં પત્નીને મોં બતાવવાનું હવે મારે માટે ખૂબ કઠણ હતું. મારી રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પરતું મને ધીરે ધીરે રુઝ આવવા માંડી હતી એટલે એ વાતે ,હું ખુશ હતો. ડોક્ટરે મને ચાલવાનું કીધું હતું એટલે હું વહેલી સવારે ચાલવા જતો રહેતો અને માધવરાજ મને તેમની પત્નીને મોઢું મારું જોવું ન પડે એટલે ખિસ્સા ખર્ચીનાં ડોલર પણ આપતાં. હું લાઇબ્રેરીમાં બેસીને બહાર જ ખાઈ પીને સમય પસાર કરતો હતો.


આમ ને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું. હવે શું કરીશ? મારા કાળા ભવિષ્યની ચિંતા કરતો હું લાઈબ્રેરીમાં રવિવારનું જાહેરખબરોથી ભરપૂર ,છાપાનાં પાના ઉથલાવતો હતો અને મેં એક જાહેરાત વાંચી.તે એડવર્ટાઈઝ ‘Horseman’s Benevolent Protection Association ‘ની હતી.તે સમયે કેલિફોર્નિયાનાં રેસટ્રેક પર મોટેભાગે ઈલીગલ ,સેનડીયાગોની હદમાંથી ઘૂસેલા મેક્સીકનો જ ઓછા પગારે કામ કરતાં.INS ની મોટી રેડ પડતાં ,તેમાં આ બધાં ઈલીગલ મેક્સીકનો પકડાઈ ગયેલા.એટલે રેસટ્રેકનાં ઘોડાનાં ટ્રેનરોએ H.B.P.S.ને મોટી એડવર્ટાઈઝ લોસએન્જલસ ટાઈમ્સમાં આપવાનું કહ્યું કારણકે employee વગર ટ્રેઈનરો હેલ્પલેસ થઈ જાય.


એડવર્ટાઈઝમાં લખ્યું હતું. “જે માણસને ઘોડામાં રસ હોય, ગ્રીનકાર્ડ હોય અને અંગ્રેજી આવડતું હોય તેનાં માટે નોકરી તૈયાર છે.” હું એકપળનો પણ વિલંબ કર્યા વગર ત્યાં પહોંચી ગયો. મેં મને ઘોડા ખૂબ ગમે છે. અને મને ઘોડાની અને રેસની જાણકારી છે ,તેની વાત કરી.તેમજ મારી યુવાન વય અને ફ્લુઅન્ટ ઈંગ્લીંશ બોલવાની આવડતથી એ લોકોએ મને તરત જ નોકરી માટે હા પાડી દીધી. તેઓએ મને રેસટ્રેકની પાછળ જ સરસ એપાર્ટમેન્ટ એક બેડરુમ ,કીચન,હોલનુ બતાવ્યું. ગ્રોસરી પણ એ લોકો જ આપે. મને રહેવા ખાવાનું ફ્રી અને ઉપરથી અઠવાડિયાનો ૩૦૦ ડોલર પગાર પણ મળે. ભગવાને મારાં ખરાં હ્રદયની પ્રાર્થના સાંભળી લીધી. મેં ઘેર જઈ મારી બેગ ભરી માધવરાજને કહ્યું ,”મને મારી બે બેગ અને સામાન સાથે આ રેસટ્રેક પર ઉતારી જાઓ.”તેં તો મારી સામે જ જોઈ રહ્યાં. મને કહે,” ભાઈ, તું ત્યાં જઈને શું કરીશ?” મેં કહ્યું ,”મને નોકરી મળી ગઈ છે.”તે તો મારી સામું જોતાં જ રહ્યાં. રસ્તામાં મેં તેમને બધી વાત કરી. તેમણે મને કહ્યું,”હું તને ઉતારી દઉં છું. પણ તારે ક્યારેય પણ મારું કામ હોય તો ફોન કરજે.”હું તેમનાં લાગણીસભર બોલાયેલ શબ્દો અને મને છ મહિનાનાં મારાં ખૂબ ખરાબ સમયમાં આપેલ આશરાથી ગદગદીત હતો. તેમને ભેટીને હું છૂટો પડ્યો.


મારું પોતાનું સ્વતંત્ર ઘર ,મારી સુધરી રહેલ તબિયત,નોકરીમાં થોડા પૈસાની આવક અને કોઈનાં પણ ઉપકાર વગર મને ગમતાં ઘોડાઓ સાથે રહેવાનું. શનિ-રવિ રેસકોર્સ પર રેસ જોવાની – બધુંજ મારું ગમતું. હું ખૂબ ખુશ થતો સૂવાની તૈયારી કરતાં ,બારીમાંથી દેખાતાં પૂનમનાં ચંદ્રને શીતળ ચાંદની વેરતો જોઈ રહ્યો હતો અને મને એવીજ શીતળતા આપતાં મારા રુખીબા મારી પાસે હોય તેવી અનુભૂતિ થવા લાગી.નાનો હતો ત્યારે જેમના ખોળામાં માથું મૂકી મને સૂવાડતાં સૂવાડતાં ગાતાં હતાં તે વિનયપત્રિકાનું તુલસીદાસનું ભજન મારાં કાનમાં ગુંજવા લાગ્યું,

હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો,હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો,

કોટિન્ મુખ ,કહી ન જાત પ્રભુ કે ,એક એક ઉપકાર,

હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો,”


અને આમ રુખીબાનાં ખોળામાંજ, અસીમની કૃપાને માણતો કેટલાય મહિનાઓ પછી શાંતિથી સૂઈ ગયો.ભગવાન ખરેખર મારું ધ્યાન રાખે છે તેની ખબર તો મને બીજા દિવસથી મારે શું કામ કરવાનું છે તેની મને ટ્રેઈનીંગ અને સમજ આપવામાં આવી ત્યારે પડી.

જિગીષા દિલીપ

એક સિક્કો બે બાજુ : 28) ગુરુ અને ઢોંગી ગુરુ !


હમણાં જ આપણે ગુરુ મહિમા સમજાવતા એક તહેવાર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી .. આપણે બધાંએ ;
“ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાઃ” એમ ગાઈને ગુરુને ભગવાન સમાન ગણાવ્યા .
ગુરુ બિન કૌન બતાયે રાહ – કોઈએ કહ્યું , તો કોઈએ ,’ ગુરુ બિન ઔષધિ કૌન પિલાયે? એમ જ્ઞાન સાથે જીવનમાં સ્વસ્થ જીવન જીવાડનાર ગુરુને પણ યાદ કર્યા . કોઈએ ગાયું, “ ગુરુજીના નામની રે માળા છે ડોકમાં !” એમ અમુક ગુરુના નામની કંઠી પ્હેર્યાનું ગૌરવ પણ ગાયું ..
સાચે જ ગુરુ વિના આ સંસાર સાગર તરવો કઠિન છે . આપણે કહીએ છીએ .
પ્રશ્ન થાય છે કે શું ખરેખર ગુરુ વિના જ્ઞાન પામવું અશક્ય છે ? શું ગુરુ વિના સ્વસ્થ સુંદર જીવન શક્ય જ નથી ?
એ માટે આપણા વેદો અને પુરાણો તરફ નજર કરીએ .
હા ; વાત તો સાચી છે : જુઓ ને કૃષ્ણ – સુદામાને જ્ઞાન આપનાર સાંદિપની ઋષિ ની વાત તો આપણને ખબર જ છે .
એ જ રીતે મર્યાદા પુરુષ રામ -લક્ષમણના ગુરુ વિશ્વામિત્ર યાદ આવે .
તો મહર્ષિ કર્ણ ને વિદ્યા જ્ઞાન આપનાર પરશુરામ અને અર્જુન અને એકલવ્યના ગુરુ દ્રોણાચાર્ય એમને પણ યાદ કરીએ ..
પણ , એકલવ્ય અને અર્જુનના ગુરુ એક જ હોવા છતાં બંને પ્રત્યેનો ગુરુ દ્રોણચાર્યનો વ્યવહાર શું એક સરખો હતો ખરો ?
એકલવ્ય ભીલ કોમનો છોકરો હોવાથી દ્રોણે વિદ્યા આપવાનો ઇન્કાર કર્યો હતો ; અને એકલવ્યે ગુરુ દ્રોણનું પૂતળું બનાવ્યું હતું અને પોતે સ્વયં જાતે વિદ્યા શીખ્યો હતો ..
ને તેમ છતાં નિષ્ઠુર દ્રોણે એની પાસેથી ગુરુ દક્ષિણમાં શું માંગી લીધું ?
અંગુઠો !
એકલવ્ય પાસેથી એના જમણા હાથનો અંગુઠો ગુરુ દ્રોણાચાર્યે ગુરુ દક્ષિણમાં માંગી લીધો !!
કારણ એ હતું કે એમને પોતાના શિષ્ય અર્જુન પર અતિશય પ્રેમ હતો અને એ શ્રેષ્ટ ધનુર્ધારી બને એમ તેઓ ઇચ્છતા હતા . બસ , એ જ કારણથી એકલવ્યનો અંગુઠો કાપી નંખાવ્યો જેથી એ એટલો સારો ધનુર્ધારી બની શકે નહીં !
આ દર્શાવે છે કે ગુરુઓ પણ માણસ જ છે અને સ્વાર્થી હોઈ શકે છે !!
એ જ રીતે શિવ ભક્ત પરશુરામની વાત કરીએ ..
ક્ષત્રિયોના કટ્ટર દુશ્મન પરશુરામે પૃથ્વીને નક્ષત્રિય બનાવવાની નેમ રાખી હતી . ત્યારે કર્ણ જ્ઞાન પ્રાપ્તિ માટે ઠેર ઠેર ભટકતો હતો . એ ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો . તો એને સૂત પુત્ર હોવાથી દ્રોણે વિદ્યા આપવાનો દ્રોણે ઇન્કાર કર્યો ; એટલે કર્ણ પોતે એક બ્રાહ્મણ બનીને પરશુરામ પાસે ગયો . એણે વિદ્યા પ્રાપ્ત કરી . પણ , એક ભમરો કર્ણના પગ પર આવીને બેઠો અને ડંખ મારવા લાગ્યો .. ગુરુ પરશુરામનું મસ્તક પોતાના ખોળામાં હોવાથી , અને ગુરુની ઊંઘમાં ખલેલ ના પડે એવા દિવ્ય ભાવથી કર્ણ ત્યાં – એ જ સ્થિતિમાં સ્થિર બેસી રહ્યો .. અને ડંખને કારણે પગમાંથી વહેતુ લોહી ગુરુ પરશુરામને અડક્યું અને એ ઊંઘમાંથી જાગી ગયા . એમને શંકા પડી કે કોઈ બ્રાહ્મણનો દીકરો આટલો મજબૂત મનોબળનો હોઈ શકે જ નહીં ! અને પરિણામ શું આવ્યું ?
કર્ણને શ્રાપ મળ્યો ! કર્ણની ગુરુભક્તિથી પ્રભાવિત થઈને ,એના દ્રઢ મનોબળને કારણે પરશુરામે એને આશીર્વાદ આપવા જોઈતા હતા પણ શ્રાપ આપ્યો !
તો આ અને આવા અન્ય પ્રસંગો શું બતાવે છે ?
ગુરુ બિન જ્ઞાન કે ગુરુ બિન ઔષધિઓ મેળવવી શક્ય છે , અને જરૂરી પણ છે ..
આમ જુઓ તો ગાંધીજીએ કોઈનેય ગુરુ કર્યા નહોતા ! એમને મન હતું શ્રીમદ રાજચંદ્ર માટે , એમને અહોભાવ હતો ટોલ્સ્ટોય અને ટાગોર માટે , પણ એ એમના ગુરુ નહોતા !
એક કાવ્યમાં લખ્યું છે તેમ :
અમને કંઠી પહેરવાનું નહીં ફાવે ; અમે મુક્ત મન વિહારી લોક !અમે એક પંથના પંથી નહીં અમે ગુગલ ફમ્ફોળતાં લોક !
હા , ગુરુ મહિમાની આ બીજી બાજુ છે .
ગુરુઓ પોતાના વાક ચાતુર્યથી ભોળી પ્રજાને છેતરે છે એવા અનેક દ્રષ્ટાંતો દરેક યુગમાં જોવા મળે છે ..
સાચો ગુરુ પોતાના વિદ્યાર્થી માટે પોતાનું સર્વસ્વ તયાગી દે , પોતાના વિદ્યાર્થીને આગળ લાવવા જીવનનો સર્વ નિચોડ રેડી દે એ તો ઉત્તમ ભાવના છે , પણ એવું કાયમ બનતું નથી ..
સાંપ્રત સમાજમાં એનાથી વિરિદ્ધ દાખલાઓ અનેકે જોવા મળે છે ..
ચાલો , ફરી એક વાર આજના સમાજમાં ગુરુનું સ્થાન શું છે તે વિચારીએ .
તમારે કોઈ વિષયમાં સંશોધન કરવું છે ? તમારે કોઈ મહત્વના વિષય પર પી એચ ડી કરવું છે ? તો સાચો , વિદ્વાન શિક્ષક હોવો જરૂરી છે . એ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે .
પણ , ધારો કે એ શિક્ષક પોતે જ એ વિષયનો પૂરો જાણકાર નથી ! તો એ તમને દિશા ક્યાંથી સુઝાડશે ?
અથવા તો , એ કહેવાતો વિદ્વાન ગુરુ માત્ર વાચાળ છે , અંદરથી લંપટ કે લોલુપ છે – તો તમે શું કરશો ?
જવાબ એક જ છે – એને વહેલી તકે છોડી દો!
આજના જમાનામાં પાંખડી ગુરુઓની ખોટ નથી .
ધર્મને નામે અધર્મ કરનારા ઢોંગી બાબાઓથી આપણો સમાજ ઉભરાય છે !
તમે પૂછશો : “ પણ આવા ઢોંગી ધુતારા ગુરુઓને પ્રોત્સાહન કોણ આપે છે ?”
“ આપણે ! આપણે જ આ કહેવાતા સાધુ સંતોને ગુરુ બનાવીએ છીએ , એમને પોષીએ છીએ અને એમને સમાજમાં મજબૂત બનાવીએ છીએ !
હમણાં થોડા સમય પહેલાં જે ઢોંગી બાબાની વાત બહાર આવી હતી તે – કહેવાતા ‘સંત રામપાલ’ ની વાત યાદ કરો .
રાજસ્થાન , ઉત્તર પ્રદેશ ,માધ્ય પ્રદેશ અને પંજાબ સાથે મૂળ હરિયાણાનો આ ઢોંગી લાખ્ખો નહીં કરોડોની મિલ્કત ભેગી કરીને આશ્રમો સ્થાપીને એશ આરામ કરતો હતો .. ૪૨ વખત એ એની સામેના ખૂન કેસમાંથી છૂટી ગયો ! એને પકડવો એટલો સહેલો નહોતો ; એનો પ્રતિકાર કરતા છ જણ મરાયા ત્યાર પછી એ હાથમાં આવ્યો !! એના વાક્ચાતુર્યથી ભોળી પ્રજા અંજાઈ ગઈ હતી ; અને એનું કારણ શું ?
એ આ અભણ ગરીબ પ્રજાને પરલોકમાં સુખ આપવાની વાત કરતો હતો ! લોકોને મફતમાં ભોજન મળે અને ભજન કરવાનું સ્થાન મળે એટલે ભયો ભયો !
પણ દેશના અન્ય પ્રદેશોની વાત છોડીને , માત્ર ગુજરાતી પ્રજાનું કુખ્યાત નામ આસારામ બાપુની વાત કરું :
જયારે પણ દેશમાં જવાનું થાય ત્યારે અમદાવાદ ગાંધીનગર રસ્તે આસારામ બાપુનો આશ્રમ આવે . ત્યાં કાયમ કોઈ સપ્તાહ કે કોઈ ઉત્સવ ચાલતા જ હોય .
લોકોને આત્માના સુખની વાતો કરતો, પરલોક સુધારવાનું જ્ઞાન આપતો ,ભક્તોને પોતાના ભાવવાહી શબ્દોથી ભક્તિમય જીવનની વાતોમાં ભોળવતો આ આસારામ અને એનો દીકરો સેક્સ કૌભાંડમાં આખરે પકડાયા .
પોતાની કહેવાતી દીકરી જેવી સગીર વયનીછોકરી ઉપર બળાત્કાર કેસમાં આખરે એનો ભાંડો ફૂટ્યો . પરંતુ એ પહેલાં કેટલાય બાળકોના બલિ ચઢાવ્યાની વાતો બહાર આવી છે .. જે કોઈ સહેજ પણ માથું ઊંચું કરે અને એના કાળા કરતુકો વિષે બોલવા પ્રયત્ન કરે તો તેનો સદાય માટે નિકાલ થઇ જાય !
“આસારામ માટે આવા ખૂન કરનારાઓ કોણ છે ?” તમે પૂછશો .
“એ પણ બ્રેઈન વોશ થયેલ આસારામ પાછળ ગાંડો બનેલો સમાજ જ છે !
નહીં તો , સમગ્ર વિશ્વભરમાં ૫૦૦ જેટલા આશ્રમો શું એમ ને એમ બંધાઈ જાય ?

અહીં ઉગતા કવિ શ્રી મકરન્દભાઈનું કાવ્ય યાદ આવે :
આ ઢોંગી ધુતારાઓ
હવા ખાવા આશ્રમો બાંધે , ને ભક્તોને હવાઈ કિલ્લા બાંધી આપે .
પછી ફેફસામાં પહોંચતી હવા મસ્તકમાં પહોંચવા માંડે ;
પછી પોતે હવામાં રહે , ને પવનપાવડી પહેરીને પરદેશ ફરવા નીકળે ..
ને હવા ભરેલ અધ્યાત્મનો ફુગ્ગો વિદેશના ભક્તોને ય પકડાવી દે !
હવાની દિશા બદલાય ને દશા એ બદલાય .
ને હવા સાથે વાતો કરે , ને ઉત્તરો પણ હવામાં જ આપે !
ને બસ બધું આમ જ ચાલ્યા કરે પછી બીજા આશ્રમમાં આ ફુગ્ગો પહોંચાડે !…
આ જાતના કાવ્યો વાંચીને ક્યારેક દુઃખ થાય કે આપણી લાગણીઓ , આપણી આશા આકાંક્ષાઓ સાથે ભયન્કર રમત રમનારા આ ઢોંગી ગુરુઓથી ચેતતા રહેવાનું કોણ શીખવાડશે ?
સાચા ગુરુઓ તો પોતાના જીવન જોખમે પણ સત્ય સમાજ સમક્ષ લઇ આવે ! સોક્રેટિસ એવા ગુરુ હતા જેમના શિષ્ય હતા પ્લેટો . અને પ્લેટોના શિષ્ય બન્યા એરિસ્ટોટલ ! એ સૌ મહાન પ્રતિભાઓ માટે કહી શકાય કે,
‘ ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય? બલિહારી ગુરુ આપકી કે ગોવિંદ દિયો બતાય !’
બસ , અહીં એક જ વાત દોહરાવવાનું મન થાય છે કે આ કોરોના વાઇરસ જેવા કાતિલ ઢોંગી વાઇરસ પણ હવામાં છે જ . સમજણનો માસ્ક અને ભાવનાઓની દુરી રાખીને એવા ઢોંગી ધૂતારાઓથી દૂર જ રહેવું !
અસ્તુ !

૨૮- વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

નાછૂટકે માલતીને કલ્યાણીને મૂકીને જવું પડ્યું. જતાં પહેલાં એણે બુધિયાની મા ને પૂરતી તકેદારી રાખવાનું સમજાવી દીધું. કલ્યાણીને પણ પરદામાં રહેવાનું કહી દીધું પણ હવે બદલાતા સંજોગોમાં આગળ વધતી વાત કયો રંગ લાવે છે એ જોઈએ.

*********

હવે જયકૃષ્ણ ઑફિસે મોડા જતા અને વહેલા પાછા આવતા તો વળી ક્યારેક ઑફિસે જવાનું પણ માંડી વાળતા. જયકૃષ્ણના કડપથી ડરતી બુધિયાની મા એ ખાવા-ખવડાવવાની જવાબદારી કલ્યાણીને સોંપી દીધી. જયકૃષ્ણ એ જ તો ઇચ્છતા હતા.

“કલ્યાણી, તેં તારા ભાવિ માટે શું નિર્ણય કર્યો?” જમતા જમતા એક દિવસ જયકૃષ્ણે કલ્યાણીને પ્રશ્ન કર્યો.  આવા પ્રશ્નોના બહાને એ કલ્યાણીને વાતોમાં રોકી રાખતા. 

કલ્યાણી પાસે બહારી દુનિયાનો ક્યાં કોઈ અનુભવ હતો કે એ કોઈ નિર્ણય કરી શકે? ગામમાં વિધવા માસીનો આશરો હતો અને હવે અહીં જયકૃષ્ણનો. વિધવા માસી તો આ દુનિયામાં રહી નહોતી. એ જાય તો પણ ક્યાં જાય?

જયકૃષ્ણે સૂચવેલી પુનઃલગ્ન કે શાળામાં ભણવા જવાની વાતના પણ એની પાસે જવાબ હતા.

કલ્યાણી કહેતી કે જો લગ્નથી સુખ મળવાનું જ હોત તો વૈધવ્ય ના મળ્યું હોત, એટલે પુનઃલગ્ન માટે એનું મન માનતું નહોતું. મોટી ઉંમરે પહોંચ્યા પછી શાળામાં ભણવા જવાનીય શરમ આવતી હતી.

જયકૃષ્ણે સૂચવેલા તમામ ઉકેલો પર એને હસવું આવતું હતું અને એનું હાસ્ય જ જયકૃષ્ણના રોમે રોમ ઝંકૃત કરી દેતું.  આજ સુધી ઓઝલમાં રહેલી કલ્યાણીનું સૌંદર્ય આટલી નજીકથી એ આટલા વખતે જોઈ રહ્યો હતો.

એ  દિવસે વાતોમાં સમય સરતો જતો જતો. સાંજ રાતમાં ઢળવા માંડી હતી પણ જયકૃષ્ણ અને કલ્યાણીની વાતો ખૂટતી નહોતી. પહેરો દેવા નિયુક્ત કરેલી બુધિયાની મા નિરાંતે નસકોરાં બોલાવતી ઘોરી રહી હતી.

આટલા સમયથી ઘરમાં ચૂપચાપ રહેતી કલ્યાણીની વાચા આજે ખુલી હતી. એ કહેતી હતી,

“રાધારમણે તો દયાભાવથી પ્રેરાઈને મારું પાણિગ્રહણ કર્યું હતું એટલે મારામાં એમના પ્રત્યે અપાર શ્રદ્ધાના ભાવ જાગ્યા હતા, પણ મીલનના સંયોગ ઊભા થાય એ પહેલાં વિયોગ આવી ગયો. ન તો હું પતિનો પ્રેમ પામી શકી કે ન તો હું પતિને પ્રેમ કરી શકી. પરંતુ પ્રેમ કોને કહેવાય એનો પરિચય તો મને એ દિવસે થયો જ્યારે મેં તમને સીડી પર ચઢીને ઉપર આવતા જોયા હતા.  આજ સુધી  આપના પ્રત્યે માત્ર શ્રદ્ધા ધરાવતી હતી અને હવે આપને પ્રેમ પણ એટલો જ કરવા લાગી છું. તેમ છતાં આપની સાથે પુનઃલગ્નની વાત તો એકદમ અસંભવ છે.”

“કેમ કલ્યાણી, એમાં કઈ આપત્તિ નડે છે? “ કહેતા જયકૃષ્ણે કલ્યાણીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.

કલ્યાણીએ હળવેથી પોતાનો હાથ પાછો ખેંચી લેતા, જયકૃષ્ણ તરફ સંદિગ્ધ નજરે જોયું. જયકૃષ્ણ જરા ભોંઠા પડી ગયા અને તરત જ પોતાની ભૂલ સ્વીકારતા કલ્યાણીને આશ્વાસન આપ્યું કે ક્યારેય એની મરજી વિરુદ્ધ એનો સ્પર્શ નહીં કરે.

એક વાતે જયકૃષ્ણને સમજાતું નહોતું કે હિંદુ શાસ્ત્ર પ્રમાણે પુરુષ એકથી વધુ લગ્ન કરી શકતો હોય અને કલ્યાણી જો એમને ખરેખર પ્રેમ કરતી હોય તો લગ્નની અસંભવના કેવી રીતે હોઈ શકે? કલ્યાણીની મરજી હોય તો એના પુનઃલગ્ન કરાવવાનું તો રાધારમણ પણ કહી ગયા હતા. એ સૌભાગ્ય જો કોઈને પ્રાપ્ત થવાનું હોય તો એમને પ્રાપ્ત થઈ જ શકે ને?

“છીઃ પુનઃલગ્ન માટે તો વિચારવુંય મારા માટે તો અસંભવ છે. હિંદુ નારી એક વાર જેને પ્રેમ કરે એની પાછળ આખું જીવન સમર્પિત કરી દે. મેં આપને પ્રેમ કર્યો છે અને કરતી રહીશ. હું મારા પ્રેમનું પ્રતિદાન નથી માંગતી.” કલ્યાણીના અવાજનું ગાંભીર્ય જયકૃષ્ણને સ્પર્શી ગયું.

“કલ્યાણી, તું માત્ર તારું જ વિચારીશ? તારા મનની વાત તો તેં કહી દીધી પણ મારો તો વિચાર કર. તારા વગર તો હું પાગલ થઈ જઈશ. એક પળ પણ હવે હું તારા વગર રહી શકુ એમ નથી. પણ હા, સાથે એટલો વિશ્વાસ જરૂર રાખજે કે આજ સુધી તું મારી પાસે જેટલી સુરક્ષિત હતી એટલી જ સુરક્ષિત હંમેશા રહીશ. અડધી રાત્રે પણ એક સગા ભાઈ પાસે કોઈ બહેન સુરક્ષિત હોય એવી જ રીતે તું અહીં રહી શકીશ. હું પણ તને પ્રેમ કરુ છુ. તને પામવાની ઇચ્છા ધરાવું છું પણ સાચા અને સ્વીકૃત માર્ગે. કોઈ ખોટી રીતે તને પામવાનું તો દૂર સ્પર્શ પણ નહીં કરુ.” જયકૃષ્ણના અવાજમાં નરી આર્જવતા હતી.

“હું નથી મારું વિચારતી કે નથી હું તમારું વિચારતી. હું તો માત્ર માલતીદીદીનું વિચારું છું કે અજાણતાંય મારાથી એમના સૌભાગ્ય પર કોઈ કઠુરાઘાત ન થઈ જાય. મારા ખરાબ સમયમાં એમણે મને આશ્રય આપ્યો છે. એમનું હું ભલુ ઇચ્છું છું. મને મારા પ્રેમનું બલિદાન આપવાનું મંજૂર છે પણ એમના જીવનમાં કાંટો બનીને નહીં રહું.”

“પણ મારું જીવન કંટકમય બની જશે એનું શું?” જયકૃષ્ણે ઠંડી આહ ભરતા, એક તૃષ્ણા સાથે કલ્યાણીની સામે જોયું.”

“આ એક માનસિક વિકાર છે. થોડા દિવસમાં એ દૂર થઈ જશે. તમે એમ માનો છો કે મને કોઈ કષ્ટ નથી? એક સ્ત્રી થઈને પણ હું બધું જ સહન કરવા તૈયાર છું. એક પુરુષ થઈને કઠિનાઈ સામે હારી જાવ એ કેમ ચાલે? મેં માલતીદીદીને પત્ર લખી દીધો છે. એ આવશે એટલે હું અહીંથી વિદાય લઈશ. વિદાય લેતા પહેલાં એક પ્રાર્થના છે. ફક્ત જતા પહેલાં હું તમારી ચરણરજ  માંગું છું . બસ મારે આટલું જ જોઈએ છે. તમે મારા માટે દેવ સમાન છો.” કલ્યાણી હજુય સ્વસ્થ હતી.

“અરે! તેં માલતીને ક્યારે પત્ર લખ્યો? લખતાં પહેલાં મને પૂછ્યું સુદ્ધા નહીં.” જયકૃષ્ણના પગ નીચેથી જમીન ખસી ગઈ.

“મેં માત્ર એવું લખ્યું છે કે ઉપમા વગર ઘરમાં ગમતું નથી, બસ, બને એટલા જલદી પાછા આવી જાવ. હું એવું તો ન લખી શકું ને કે તમારી સાથે એકલા રહેવાનું મારા માટે ઉચિત નથી. એવું પણ ન લખી શકું ને કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને ખરેખર એવું ઇચ્છતી નથી કે અજાણ ભાવે આપણી વચ્ચે એવું કશું બની જાય જે જીવનભર કલંક બની રહે.” કલ્યાણીએ માત્ર હસીને જવાબ આપ્યો

“તેં જે કંઈ કર્યું એ યોગ્ય જ છે કલ્યાણી. ઘણી રાત વિતી ગઈ છે. હવે તું જઈને સૂઈ જા.”

કલ્યાણી ઊભી થઈને જયકૃષ્ણને પગે લાગી. એની ચરણધૂલિ માથે લગાવીને હળવેથી ઉપર ચાલી ગઈ.

જયકૃષ્ણ આખી રાત પાસા બદલતા રહ્યા પણ એમને ઊંઘ ન આવી.

બીજા દિવસે ઑફિસેથી આવીને જયકૃષ્ણે જોયું તો માલતી આવી ગઈ હતી. ઉપમા રમી રહી હતી. આખી રાતના ઉજાગરાના લીધે એમનો ચહેરો સાવ નિસ્તેજ દેખાતો હતો. જયકૃષ્ણની તબીયતની આશંકાથી માલતીને ફફડી ઊઠી. એણે તરત જ કહ્યું કે,

“કલ્યાણી હજુ ઘરમાં છે તો આમ બનવાનું જ હતું, એ અભાગણીની છાયાથી આજ સુધી સૌ બચ્યા પણ ક્યાં સુધી બચી શકાશે કોણ જાણે? કહ્યુ હતું કે એને ક્યાંક મોકલી દો પણ મારું કોણ સાંભળે છે?”

તો જયકૃષ્ણના મનમાં બીજી જ આશંકા હતી કે માલતી આવે કે તરત કલ્યાણી જવાનું કહેતી હતી તો કોણ જાણે એ હશે કે કેમ?

“કલ્યાણી છે ક્યાં? મેં એને એક કન્યા શાળામાં ભણવા મોકલવાનો નિર્ણય કર્યો છે. જરા એને બોલાવો, એની મરજી જાણી લઈએ.” ધડકતા હ્રદયે એ પૂછી બેઠા.

હાંશ, માલતીનો જીવ હેઠો બેઠો. હવે કલ્યાણી અહીંથી જશે. ક્યાં જશે એની એને ચિંતા નહોતી પણ એ જશે એ વાતથી એને નિરાંત થઈ. જે જલદી વાતનો નિવેડો આવે એ હેતુથી એણે કલ્યાણીને બોલાવવા ઉપમાને મોકલી.

“કાકી તો ઉપર નથી.” ઉપમાએ ઉપરથી જવાબ આપ્યો. ગભરાયેલી માલતી અને પાગલ જેવી હાલતમાં જયકૃષ્ણે આખા ઘરમાં જોઈ લીધું. કલ્યાણી ક્યાંય નહોતી. માત્ર એની પથારી પર એના ઘરેણાંની પેટી અને એની ઉપર એક પત્ર હતા, જેમાં લખ્યું હતું કે,

“જઉં છું. મારી ઉપસ્થિતિથી આપને જે કષ્ટ પડ્યું કે મારાથી કોઈ અપરાધ થયો હોય તો એના માટે માફી માંગું છું. મારી ભાળ કરવાના પ્રયત્નો વ્યર્થ જશે. મારા ઘરેણાં ઉપમા માટે છે.”

અભાગી કલ્યાણી.

સુભદ્રા કુમારી ચૌહાણની વાર્તા ‘કલ્યાણી’ પર આધારિત અનુવાદ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

HopeScope Stories Behind White Coat – ૨૮ / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

‘ડૉક્ટર ડૉક્ટર’

“ભાભી, ચા લેશો કે કૉફી?”
“નાનકી…મારે ઑફિસ જવાનું મોડું થાય છે. ફરી ક્યારેક આવીશું. તું અત્યારે ચેક અપ પતાવી દે ને!” નાનકી સાંભળીને ડૉ. કાવ્યાને પિતરાઈ ભાઈ અનંત સાથે ગાળેલા બાળપણના દિવસો યાદ આવી ગયાં. કોઈ પણ પ્રસંગે જયારે આખો પરીવાર ભેગો થતો ત્યારે કાવ્યા ડૉક્ટર બનતી હતી અને બીજાં પિતરાઈ ભાઈ-બહેનો પેશન્ટ અને પેશન્ટના સગાવ્હાલા બનતા.
“પંદર મિનિટ પછી પાછું ચેક કરવું પડશે ભાભી હો! ભાઈનું બ્લડ પ્રેશર બહું જ હાઈ આવે છે.” ભાઈની દોર હંમેશા ભાભીના હાથમાં હોય એમ સમજીને ડૉ. કાવ્યાએ ભાભીને સંબોધીને જ પાછો ચા માટે આગ્રહ કર્યો.
અનંતભાઈની આનાકાની વચ્ચે ત્રણેય જણાએ ચાની ચૂસ્કી મારી અને કાવ્યા પાછી ડૉક્ટરના રોલમાં આવી ગઈ.
બચપણમાં કરતી હતી તેવી જ રીતે અનંતને તપાસ્યો અને એવાં જ કાકલુદીભર્યા અંદાજમાં કાવ્યાએ એ જ કીધું જે બચપનમાં રમતી વખતે કહેતી હતી.
“ભાઈ! તમારે રોજ દવા તો લેવી જ પડશે.”
સાથેસાથ નિયમિત કસરત કરવી પડશે. અને ખાવાપીવામાં ધ્યાન પણ રાખવું પડશે.”
ફરક એટલો જ હતો કે આ વખતે એ બાળપણની ‘ડૉક્ટર ડૉક્ટર’ રમત નહીં પણ હકીકત હતી.
“અંગતભાઈ છેલ્લા ચાર મહિનાથી તમે આમને આમ જ મારા ક્લીનીકે આવો છો. ચેક કરવો છો. પણ તમે ન તો દવા લો છો! અને ન તમારી લાઈફ સ્ટાઇલમાં સુધારો આવે છે.”
“પ્લીઝ ડૉન્ટ ટેક ઈટ લાઇટ્લી. ભાભી પ્લીઝ!!” અંગતના હાઈ બ્લડ પ્રેશરની ગંભીરતા પિતરાઈ બહેન ડૉ. કાવ્યના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. હી વૉઝ ઓન હાઈ રિસ્ક.
“આઈ વિલ બી કેરફુલ નાઉ, પ્રોમિસ! ચલ હવે અમારે નીકળવું પડશે કાવ્યા, કાકા કાકીને યાદ આપજે.”
“ચોક્કસ. ઘરે બે ત્રણ દિવસ નિયમિત તમારું પ્રેશર ચેક કરતા રહેજો અને મને જણાવજો.”
ઓકે કાવ્યા..બાય બાય..”
બાય ભાઈ..બાય ભાભી!!”

==============================

“અનંત કાવ્યા રોજ મને રિમાઇન્ડર મેસેજ કરીને તમારા બ્લડ પ્રેશરના રીડિંગ પૂછે છે.”
“તમે આટલાં બેદરકાર કેમ રહો છો?” અનંતનું મગજ તો માર્કેટીંગના ફંડા અને સ્ટાફની હાજરી ગેરહાજરીના લફડામાં જ પરોવાયેલું હતું. એટલે દર્શનાને મૌનનો જ સામનો કરવો પડ્યો.
અડધી મિનિટના મૌન પછી દર્શનાએ પાછું ચાલુ કર્યું. “જો કાવ્યા એમ કહેતી હોય કે ‘ડૉન્ટ ટેક ઈટ લાઇટ્લી’ તો કંઈક તો કારણ હશે જ ને!” હજી પણ અનંતના એક પણ ઉચ્ચારનું ઉદ્દઘાટન ન થયું.
હવે દર્શના પણ અકળાઈ ગઈ.
“અનંત, શી ઇસ ડૉક્ટર. ડૉન્ટ ટેક હર લાઇટ્લી, ઓકે!”
“દર્શના, આ ડૉક્ટરો તમને ડરાયા જ કરે.” અનંતે જોરથી રાડ પાડી. રાડ પાડવાની સાથે જ અનંતના હાથ ગાડી ચલાવતા ધ્રૂજવા લાગ્યાં.
“તમે ડરો એટલે જ તમે એમની પાસે જાઓને! ચિંતા ન કર મને કશુ જ થવાનું નથી. આઈ એમ સ્ટીલ યંગ.”
“અનંત શી ઇસ નોટ ઓન્લી ડૉક્ટર, શી ઇસ યૉર કઝિન ટૂ”
“તને ખબર ના પડે દર્શના, આ લોકો આવી રીતે જ ઘરાક બનાવે. આને કહેવાય માર્કેટિંગ સ્કિલ.”
ઊંચા થતા હોદ્દાની સાથે અનંતની વિચારસરણી ઉતરતી જતી હતી.
“તું હવે મારા મગજની………” અનંતે સ્ટેયરીંગ પર હાથ પછાડ્યો અને બોલતા અટકી ગયો.
દર્શનાને અનંતનો આ સ્વભાવ અને આવી વિચારસરણી જરાક પણ ના ગમી.
અણગમો દેખાડીને પણ કોઈ ફાયદો ન હતો.

“એક કામ કરીશ દર્શના? હું તને અહીંયા ઉતારી દઉં છું. તું રિક્ષામાં ઘરે જતી રહે. મારે ઑફિસ જવું પડશે. ઇટ્સ અર્જન્ટ.” દર્શનાને સમજાતું ન હતું કે અનંતને સાચે કામ હશે કે આ લપમાંથી છૂટકારો મેળવવા કામનું બહાનું કાઢે છે!”
“હમમ…” જેવાં હળવા રીપ્લાય સાથે અનંતની ગાડી પણ હળવી થઇ.
“પ્લીઝ બી કૅર…………”ગાડીમાંથી ઉતરતા દર્શના કંઈક કહેવા ગઈ પણ અનંતની ગાડી તો સમયની જેમ સરકી ગઈ.
ભર શિયાળામાં માહોલ ગરમ થઇ ગયો હતો.
દર્શનાએ રીક્ષા પકડી અને લગભગ પાંચ-દસ મિનિટના ગાળામાં જ અનંતનો ફોન આવ્યો.
“આઈ નો તમે સૉરી કહેવા ફોન કર્યો છે.!” દર્શનાએ વાળની લટો સરખી કરી અને થોડું મલકાતાં બોલી.
“હા દર્શના, સોરી યાર…ગુસ્સામાં મેં તને આલુ અવલું તીધુ……”
દર્શનાનું મલકાયેલું મોઢું હવે હસવા લાગ્યું, “આ શું કાલા કાઢો છો!”
“દલ્સના…દલ……” રિક્ષાના અવાજના કારણે કંઈ બરોબર સંભળાયું તો નહીં પણ ધડામ કરતો અવાય આવ્યો.
દર્શનાએ અનંત અનંત નામની અનેક બૂમો પાડી..પણ સામે છેડેથી માત્ર વાહનોનો ઘોંઘાટ જ સંભળાયો.
થોડી ક્ષણના અંતરાલ પછી કોઈક અવાજ આવ્યો.
“બુન..બુન…….”
સામે છેડેથી કોઈ ઉંમરલાયક વ્યક્તિનો અવાજ હતો.
“બુન, આ સાહેબના મિસિસ બોલો સો…ઇમનો એક્સિડન્ડ થ્યો સ” દર્શનાને ફાળ પડી.
“બઘવાઈ ગયેલી દર્શનાએ એ ભાઈને 108 બોલાવી અનંતને ‘સુંદર મલ્ટી સ્પેશિયાલીટી’ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું અને એ જ રિક્ષામાં પોતે પણ ત્યાં પહોંચી ગઈ.
હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના ડૉક્ટરને પ્રથમ તો આ રોડ સાઈડ એક્સિડેન્ટનો કેસ લાગ્યો. પણ પછી તેમણે જોયું કે આ તો ઓલ્ટર્ડ બિહેવિયર છે.
દર્દીને પથારીમાં જ પેશાબ થઇ ગયો છે.
ખેંચ પણ આવેલી છે.
અરેરેરે…!!! બ્લડ પ્રેશરનું રીડિંગ જોતાં ડૉક્ટરની આંખો જ પહોળી થઇ ગઈ.
બ્લડ પ્રેશર 220/170ની આસપાસ પહોંચી ગયું હતું.
અનંત અર્ધબેભાન અવસ્થામાં હતો.
અનંતના ડાબી બાજુનાં હાથ અને પગમાં લકવાની અસર જણાતી હતી.
ડૉક્ટરે સ્ટાફને ઇન્સ્ટ્રકશન્સ આપવાના ચાલુ કરી દીધા હતાં.
“કવીક…કવીક…કવીક…આમના મગજનો સ્કેન કરવો પડશે.”
“એમનાં ઘરેથી કોઈને બોલાવો……જલ્દી જાણ કરો.” ઓન ડ્યૂટી ડૉક્ટરને એક એક સેકન્ડનું મૂલ્ય ખબર હતું.”
અનંત થોડી ઘણી હલનચલન કરી શકતો હતો અને ‘મા…ય…વાઈફ…માય વાઈફ’ તૂટ્યું ફૂટ્યું બોલવાનો પ્રયન્ત કરતો હતો.
ત્યાં જ ઇમર્જન્સી વિભાગના મુખ્ય દરવાજેથી દર્શનાને દોડતી આવતા જોઈ. અને એ જ સમયે
દરરોજની જેમ દર્શનાના મોબાઈલમાં કાવ્યાનો રિમાઇન્ડર મેસેજ આવ્યો.
“ભાભી પ્લીઝ ડૉન્ટ ટેક લાઇટ્લી, ભાઈ તો મારા મેસેજનો જવાબ જ નથી આપતા એટલે જ તમને રોજ મેસેજ કરું છું. જો ભાઈ હવે દવા ચાલુ નહિ કરે અને લાઈફ સ્ટાઇલ નહિ સુધારે તો હવેથી હું એમને રાખડી નહીં બાંધુ. એમને કહી દેજો એમની કિટ્ટા :(“
ફોનના સ્ક્રીન પર દર્શનાના આંસુના એક ટીપાં સાથે ફોનની ડિસ્પ્લે લાઈટ ડીમ થઇ અને સાથે અનંતની…!

સ્પંદન-27

રાખવી હોય જીવનની શાન
જોઈએ જગમાં માન સન્માન
જ્ઞાન વિના આ સપનું અધૂરું
જ્ઞાન આપે એકમાત્ર ગુરુ

જીવન તિમિર દૂર હટાવે
ઉજ્જવલ જીવનમાર્ગ બનાવે
મનમાં ન રહે મુંઝવણ ઘણી
ગુરુ છે એવા પારસમણી

જ્ઞાન ગઠરિયાં  આજે લાધી
પરમની વાત જ્યારે સમજાણી
મોહનિદ્રા સરે ગુરુ પ્રતાપે
જાગૃતિ આવે વીજ ઝબકારે

ગુરુ છે એવા પ્રકાશપુંજ
નાદબ્રહ્મની જાણે ગુંજ
સફળ જીવનનાં સહુ કાજ
ગુરુને કરીએ વંદન આજ.

અંધકારમાં પ્રકાશ એટલે ગુરુ. જીવનનૈયાનો સુકાની છે ગુરુ. કેટલીક ઘડીઓ યાદગાર હોય છે. આજનો દિન એટલે ગુરુપૂર્ણિમા, જ્ઞાન વિના અધૂરા જીવનને માર્ગ દર્શાવે તેવા માર્ગદર્શક, પથપ્રદર્શક ગુરુઓને વંદન અને સહુ શિષ્યોને  ગુરુપૂર્ણિમાએ અભિનંદન. આજના દિવસે આદિયોગી શિવજીએ આદિગુરુ બની યોગનું જ્ઞાન સપ્તર્ષિઓને આપેલું. જૈન ધર્મના 24માં તીર્થંકર  મહાવીર સ્વામીએ આ દિવસે ગાંધાર રાજ્યના ગૌતમ સ્વામીને પોતાના પ્રથમ શિષ્ય બનાવ્યા હતા. તેથી તેઓ ‘ત્રિનોક ગુહા’ના  નામે પ્રસિદ્ધ થયા, જેનો અર્થ થાય છે પ્રથમ ગુરુ. ભગવાન બુદ્ધે આ દિવસે પ્રથમ વાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યો હતો. આ દિવસે ભગવાન વેદવ્યાસનો જન્મ થયેલો. મહાત્મા ગાંધીજીએ તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર  પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ તહેવાર ઉજવવાનું શરૂ કરેલું.

ગુરુપૂર્ણિમા એ એક અદભુત ભારતીય પરંપરા છે. પ્રાચીનથી અર્વાચીન સુધી, વેદકાળથી વર્તમાન સુધી, અષાઢ માસની પૂર્ણિમાના દિવસનું આગમન થાય અને શિષ્યો અહોભાવથી ગુરુને યાદ કરે, સન્માન કરે અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા અને પ્રાર્થના  કરે. ભારતીય સંસ્કૃતિ માત્ર ભૌતિકતા પર વિશ્વાસ કરનારી સંસ્કૃતિ  નથી.  તેમાં માનવીનું શ્રેષ્ઠતા તરફ જવાનું ધ્યેય અભિપ્રેત છે.  માનવી માત્ર ભૌતિક દેહ ટકાવવા માટે જ કાર્ય કરે તેવી સમજણ કંઇક અંશે અપૂર્ણ છે. જીવન એ અપૂર્ણ નહીં પણ પૂર્ણ હોવું જોઈએ. પૂર્ણતા માનવીમાં ક્યારે આવે? પૂર્ણતા એટલે શું? આ પૂર્ણતા કોની પાસેથી પ્રાપ્ત થાય એવાં વિવિધ પાસાંઓને સાંકળી લઈને જે દિવસનું પ્રાગટ્ય થયું તે ગુરુપૂર્ણિમા.

જ્ઞાન એ વિશાળ શબ્દ છે. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં, પણ કયા સમયે જુદી જુદી પરિસ્થિતિમાં માનવીએ શું કરવું જોઈએ તેની સમજણ. આ સમજણ શિષ્યમાં વિકસે તે જ્ઞાન છે. સામાન્ય રીતે જ્ઞાન એટલે અક્ષરજ્ઞાન એટલે કે સાક્ષરતા એવી વ્યાપક સમજણ સર્વમાન્ય છે. પરંતુ આ સમજણ અપૂર્ણ છે. કેમ કે અક્ષરજ્ઞાન તો જ્ઞાનનો એક હિસ્સો માત્ર છે.  જ્ઞાનને જો ચલચિત્ર સાથે સરખાવીએ તો અક્ષરજ્ઞાન તો માત્ર ટ્રેલર છે. જીવનમાં અક્ષરજ્ઞાન બિનજરૂરી છે તેમ નથી પણ તે જ માત્ર જ્ઞાન નથી. ગુરુ વિદ્યા આપે અને તેનાથી પ્રેરિત થઈને શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે તેવી મૂળભૂત સમજણ છે. વિદ્યા સાધન છે અને જ્ઞાન સાધ્ય છે. તેનું સુંદર ઉદાહરણ છે અર્જુનનું. ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવે છે. પરંતુ સહુનું કૌશલ્ય અલગ અલગ છે. અર્જુનનું જ્ઞાન સર્વોચ્ચ કૌશલ્ય સાથે વિકસે છે, તે જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કરે છે ત્યારે જોવા મળે છે. ધનુર્વિદ્યા સહુ પાસે છે પણ કૌશલ્ય અને જ્ઞાન અર્જુન પાસે છે, જે તેને સફળતા અપાવે છે.

આ જ્ઞાન, આ કૌશલ્ય ભલે મહાભારતના પ્રાચીન સમયથી આવતું હોય પરંતુ આજે પણ તે જ જ્ઞાન વિદ્યમાન છે જ. અંગ્રેજી ભાષા જ લઈએ તો A થી  Z સુધીના મૂળાક્ષરોના જ્ઞાનથી જ કંઈ શેક્સપિયર કે વર્ડ્સવર્થ  થઈ શકાતું નથી. આ કૌશલ્ય દરેક વ્યક્તિએ અલગ ભલે હોય પરંતુ ગુરુ તેને ઓળખે છે અને વિકસાવીને વ્યક્તિની ક્ષમતાને પૂર્ણપણે વિકસાવે છે. તેથી જ ગુરુ હંમેશાં માનને પાત્ર છે, પૂજનને યોગ્ય છે. શિષ્ય ગુરુ પ્રત્યે આદર  પ્રગટ કરવા ઈચ્છે,  પોતાની પૂર્ણતાના પ્રેરક પ્રત્યે અહોભાવ પ્રગટ કરી ધન્યતા અનુભવે છે.

માણસ એટલે જ તન અને મનની શક્તિનો સમૂહ. આ શક્તિઓનો  વિકાસ થાય અને તેમાં સંવેદનશીલતા અને માનવતાના ગુણો ઉમેરાય એટલે તે કંઇક અંશે આદર્શ માનવી બને. આદર્શ માનવીઓ જ આદર્શ અને સ્વસ્થ સમાજ બનાવી શકે. સ્વસ્થ સમાજનો પાયો માણસના ગુણો અને નીતિમત્તાના ધોરણો પણ છે. સમાજ માત્ર બૌદ્ધિક, આર્થિક કે વૈજ્ઞાનિક તાકાત બનવાથી જ વિકાસ કરી ન શકે. આ માટે પથપ્રદર્શકની જરૂર હોય છે. અજ્ઞાનમાં ભટકતાં, રઝળતાં, ઘોરતા લોકોને ગુરુ અલૌકિક અનુભવે દોરે છે. દુર્ગુણો રૂપી બાવળિયાની ડાળે ઝૂલતા શિષ્યને ગુરુ સદગુણો રૂપી આંબલિયાની ડાળે ઝૂલતા કરે છે. યોગ્ય ગુરુ વ્યક્તિને જ્ઞાન અને સદગુણોથી સમૃધ્ધ બનાવે છે, કોઈ પણ પડકારને પહોંચી વળવા સમર્થ બનાવે છે. માનવજાતિના ઇતિહાસમાં નજર નાખીએ તો સમયાંતરે દરેક સમાજ સમક્ષ જુદા જુદા પડકારો ઉદભવતા જ રહ્યા છે. આ સામે વિજયી બનીને બહાર આવવા માટે જરૂરી છે યોગ્ય સમજણ, જે માત્ર યોગ્ય શિક્ષણ જ વિકસાવી શકે. આ કાર્ય કરવા માટે  ગુરુથી વધુ યોગ્ય કોણ હોઈ શકે? ગુરુ એ શિષ્ય માટે મિત્ર, દાર્શનિક – ફિલોસોફર  અને પથપ્રદર્શક – ગાઈડ છે. તે એવું શાંત અને સૌમ્ય નેતૃત્વ પૂરું પાડે છે, જે વ્યકિતને સફળતા તરફ લઈ જાય છે. શું ગુરુ દ્રોણ  વિના અર્જુનના ધનુષ્યનો એ રણટંકાર હોઈ શકે? ઋષિ વિશ્વામિત્રની વિદ્યા વિના રામ કે ગુરુ સાંદિપનીના શિક્ષણ વિના કૃષ્ણ પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે કે કેમ તે એક સવાલ છે. ગુરુનું યોગદાન અમૂલ્ય છે. તેને કોઈ પણ  મૂલ્ય આપીને ચૂકવી શકાય નહીં. તેને કદાચ આપવું હોય તો માન, સન્માન, આદર અને પ્રેમ જ આપી શકાય. ગુરુનો શિષ્ય સાથેનો સંબંધ માત્ર ગુરૂદક્ષિણા આપીને જ પૂરો થઈ જતો નથી. ગુરુનું ઋણ આજીવન છે, સતત છે.

ગુરુ કોણ હોઈ શકે? ગુરુ એ જે જ્ઞાનની તરસ છીપાવે, જ્ઞાનની ગંગા વહાવે, જીવનરસને છલકાવે, જીવનને ધન્ય બનાવે. શ્રીમદ્ ભાગવતના 11મા સ્કંધમાં યદુ અને અવધૂત વચ્ચેની વાતચીત છે. જેમાં અવધૂત તેના ગુરુના નામ આપી તેમની પાસેથી શું શીખ્યા તે કહે છે. ખરેખર તો આ દુનિયામાં દરેક પાસેથી કંઇક શીખવા મળે છે. દત્તાત્રેયના 24 ગુરુ હતા. દેવો અને દાનવો પણ જ્યારે મુશ્કેલી પડે ત્યારે તેમના ગુરુઓ-દેવોના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય- નું માર્ગદર્શન લેતા તેવું પુરાણકથાઓ કહે છે. છત્રપતિ શિવાજી મહારાજ પણ સમર્થ સ્વામી ગુરુ રામદાસને પૂજ્ય ગણી માન આપતા તો તાનસેન અને બૈજુ બાવરાના ગુરુ સ્વામી હરિદાસની વાત પણ સહુને યાદ હશે જ. તો ગુરુ રામકૃષ્ણ પરમહંસ, ગુરુદેવ ટાગોર અને મહાન ગુરુ શંકરાચાર્ય પણ યાદ આવે જ. ગ્રીક ઇતિહાસમાં પણ ગુરુ એરિસ્ટોટલની વાતો યાદ આવે છે. સંસારમાં જ્યાં પણ સિદ્ધિનું સામ્રાજ્ય છે, ત્યાં ગુરુ દૃષ્ટીમાન થાય જ છે. હીરો મૂલ્યવાન ત્યારે જ બને જ્યારે તેને પાસા પડે અને માનવી પણ ગુણ સમૃધ્ધ ત્યારે જ બને જ્યારે ગુરુ મળે. ઇતિહાસમાં નજર કરીએ તો પણ આ સત્ય છે અને કદાચ આપણા ખુદના જીવનમાં પણ આ જ જોવા મળશે. આપણે પણ ગુરુનું પ્રદાન ભૂલી શકીએ તેમ નથી. 

શિષ્ય માટે પણ એ આવશ્યક છે કે એ યોગ્યતા કેળવે ત્યારે જ સાચા ગુરુ મળે. ગુરુ પ્રેરણામૂર્તિ છે, ભીતરની યાત્રાના પથપ્રદર્શક છે. કાશ્મીરથી કન્યાકુમારી આપણે યાત્રાએ નીકળ્યા હોઈએ તો આપણી ગતિ પગપાળા યાત્રિકની હોય. જો ગુરુનો સાથ મળે તો એ જ ગતિ આકાશી બની શકે. ગુરુ અજ્ઞાનના અંધકારને કાપે, શંકાના વાદળને હટાવે, નિષ્ફળતાના ધુમ્મસને દૂર કરે, શાણપણથી માંજીને સ્પષ્ટતા આપે, કુંઠિત મનને મુક્તિનો માર્ગ બતાવે, જીવનની વિવિધ અવસ્થાઓની મથામણમાં વલખતા માનવીની ભ્રમણા હરે, ચિદાકાશમાં ચૈતન્યનો પ્રકાશ પાથરે. જીવનને ધન્ય બનાવનાર ગુરુને કોટિ કોટિ વંદન.

રીટા જાની
23/07/2021

અજ્ઞાતવાસ-૨૭

દુ:ખી મન મેરે,સુન મેરા કહના,જહાં નહીં ચૈના ,વહાં નહીં રહેના.


મારી ત્રણ મહિનાની બિમારીનાં લીધે શરીર હજુ અશક્ત હતું. થોડી દોડાદોડ અને લગ્નની ધમાલ અને ઉજાગરો ,મારું શરીર ખમી ન શકયુ.અને નબળાઈને લીધે જરા પ્રેશર લો થઈ ગયું.અને હું થોડી મિનિટો માટે ભાન ગુમાવી બેઠો. મને સૌ સગાં સંબંધીએ ભેગા થઈ ઊંચકી રુમમાં લઈ જઈ સુવાડ્યો. પંખો નાંખી ,પાણી છાંટ્યું.હું ભાટિયા હોસ્પિટલમાં હતો ત્યારે જ મારા એક મિત્રની બહેન ,જે અમેરિકામાં ડોક્ટર હતી તેણે મને અમદાવાદનાં એક ડોક્ટરને બતાવવાનું સજેશન આપ્યું હતું. હું તેને લગ્નબાદ બતાવવાનો હતો ,તેની મારા કઝીનને ખબર હતી. તે મને સીધો ત્યાંજ એમ્બ્યુલન્સ બોલાવી લઈ ગયો. ડોક્ટરે મને દાખલ કરી ૧૦ દિવસ ટ્રીટમેન્ટ કરી.


ડોક્ટર એક દિવસ મને ડ્રેસિંગ કરતાં હતા.હું ને ડોક્ટર એકલા જ હતા. ડોક્ટર અમેરિકા ભણીને આવેલ, ખૂબ કાબેલ યુવાન હતા.મને ડોક્ટર કહે,” એક સાવ સાચી અને ચોખ્ખી વાત કહું ,નકુલ ,તને જો તારેા આ રોગ મટાડવો હોય તો અમેરિકા જ પાછો જતો રહે. તું ત્યાં જ તારો ઈલાજ કરાવ. રોગ અહીં વધી જશે તો તું હેરાન થઈ જઈશ.”મને પણ હું જે રીતે હેરાન થઈ રહ્યો હતો તેના પરથી એવુંજ લાગતું હતું. હિરેન માધવલાલ માસાની અને મારાં સૌ આજુબાજુનાં સગાસંબંધીઓની ટેક્ષટાઈલ મિલોનું સામ્રાજ્ય ખખડી રહ્યું હતું. બીજા કોઈ ધંધા,વગર પૈસે થાય તેમ નહતાં. આર્થિક અને શારિરીક બંને પરિસ્થિતિ વિકટ હતી.એટલે મેં ગમે તેમ કરી પાછા અમેરિકા જવાનો નિર્ણય કર્યો,જે માટે ભાઈ જરા પણ રાજી નહોતા.ભાઈ બેંગ્લોરનાં આશ્રમમાં હતાં.બહેન વગર,આર્થિક સંકડામણ સાથે અને મારી અને હર્ષાનાં જીવનની ચિંતાથી મુક્ત થવા તેમણે આશ્રમમાં રહી યોગા પર પી.એચ.ડી.કરવાનું ચાલુ કરી દીધું હતું.


મારે હવે ગમે તેમ કરી મારા રોગને ,કોઈપણ ભોગે,મટાડી સાજા થવું હતું. મુંબઈની બફારા સાથેની ભેજવાળી હવા અને A.C નાં બિલ ભરવાનાં પૈસા નહીં. સતત દદડતું લોહી સાથેનું સફેદ પ્રવાહી.મળોત્સર્ગ સમયે થતી અસહ્ય પીડા અને કોઈ સાદું ભોજન કરી આપનાર અને પ્રેમ,હુંફ કે મદદ આપનાર નજીકનાં વ્યક્તિના અભાવે- મેં ગમેતેમ કરી અમેરિકા પાછા જવાનો નિર્ણય કર્યો.બે ચાર નજીકનાં મિત્રો અને સગાંઓ પાસેથી પૈસા લઈ ટિકિટ કરાવી.


ભાઈને જણાવ્યા વગર જ પ્લેનની ટિકિટ કરાવી બેસી ગયો. સિંગાપુર એરલાઈન્સમાં મિત્રની ઓળખાણથી ટિકિટ થઈ હતી.પગ બરાબર ચાલતો નહતો.સામાન પણ પરાણે ભેગો કરેલો.પ્લેનમાં બેસી રહેતા પણ ખૂબ દુ:ખાવો થતો હતો. સિગરેટ અને દારુની આદતે પણ મને તેને વશ કરી દીધો હતો તે બળતામાં ઘી હોમવા જેવું હતું.સિંગાપુર એરપોર્ટ પર હોલ્ટ હતો. મને નાહીને કપડાં બદલવાની જરુર હતી. હું પ્લેનમાંથી બહાર આવી,સિંગાપુર એરપોર્ટ પર હોલ્ટ હતો એટલે મારી હેન્ડબેગ લઈ કાઉન્ટર પર ,એરપોર્ટની અંદર જવા આવ્યો અને સામાન સ્કેન કરવાની લાઈનમાં ઊભો રહી પાસપોર્ટ કાઢવાં ગયો તો પાસપોર્ટ મળે નહીં. બધે શોધ્યો પણ પાસપોર્ટ ન મળ્યો. પ્લેનમાં સીટ પર રહી ગયો હોય તેની તપાસ પણ ઓફીસરોને કહીને કરાવી પણ કોઈ પત્તો પડ્યો નહીં.


મને સિંગાપુર એરપોર્ટ પર કોર્ડન કરી એક રુમમાં બેસાડી પૂછપરછ કરવા ઓફીસરો આવી ગયાં.મારી તબિયતની ખરાબ હાલત,ભારતને છોડું છું તે નિર્ણય બરાબર છે કે નહીં?,અમેરિકા જઈને શું કરીશ?ભાઈને કે મારા નજીકનાં સગાંઓને જાણ કરી નહોતી – આવા અનેક વિચારોનાં વમળોથી મારું દિલ-દિમાગ સુન્ન થઈ ગયું હતું.પાસપોર્ટ વ્હીલચેરવાળાએ કે કોણે તફડાવી લીધો તે મને ખબર જ ન રહી!


બાર કલાક સુધી એરપોર્ટ પરનાં એક બંધ રુમમાં મને બેસાડી રાખ્યો.નસીબ જોગે મારી પાસે મારો પાસપોર્ટ નંબર,ગ્રીનકાર્ડ નંબર અને સોશ્યલ સિક્યોરિટી કાર્ડ હતું. અમેરિકન ગવર્મેન્ટ સાથે પૂરેપૂરી તપાસ કરી,હું કાયદાકીય રીતે અમેરિકાનો ગ્રીનકાર્ડ હોલ્ડર હતો એટલે મને બીજી ફ્લાઈટમાં અમેરિકા રવાના કર્યો.


અમેરિકામાં શિકાગો ઉતર્યો એટલે ફરીથી મને રુમમાં લઈ ગયા અને મારી ઉલટ પુલટ તપાસ કરવા ઓફીસર આવી ગયા. મારી હાલત ખૂબ ખરાબ હતી. લાંબાં વધેલાં વાળ અને દાઢી,દુ:ખ અને દર્દ ભૂલવા પીવાએલ દારુથી અને ચિંતાથી વગર ઊંઘે થયેલ લાલચોળ આંખો,મારાં રોગને લીધે કપડામાંથી સફેદપ્રવાહીની ગંદી વાસ મારતું શરીર. આ બધું ભેગું થઈ મેલોઘેલો લાગતો હું દેખાવે પણ ગુનાખોર જ લાગતો હતો.


હું ઘરમાં હોવ ત્યારે દિવસમાં ત્રણ વાર નહાતો કે પરફ્યુમ કે કોલનવોટરનાં ગરમ પાણીથી સ્પંચ કરતો અને ડાઘવાળા કપડાં તો ચારપાંચ વાર બદલતો.મુંબઈ એકદમ છોડવાનાં નિર્ણયે,છેલ્લી ઘડી સુધી અનેક કામોની દોડાદોડી તેમજ સિંગાપુરનાં વધારાનાં બાર કલાક -આમ ત્રણ દિવસનાં સતત ઉજાગરા ,નબળું રોગગ્રસ્ત શરીર વિગેરેથી હું સાવ નંખાઈ ગયેલી હાલતમાં હતો.


શિકાગોનાં એરપોર્ટ પર મને એક રુમમાં બેસાડી દીધો. એક પછી એક ઓફીસર આવીને મને પૂછપરછ કરવા લાગ્યા. મને મારી જાત પર પાસપોર્ટ નહીં સાચવવા બદલ ખૂબ ગુસ્સો આવતો હતો.મેં ઓફીસરને મારો પાસપોર્ટ નંબર,ગ્રીનકાર્ડ નંબર,સોશ્યલ સિક્યોરિટી કાર્ડ બધું આપ્યું તેમજ મારી તબિયત બહુ જ ખરાબ છે એમ જણાવ્યું.મારાથી બેસાતું નથી એમ ઓફીસરને કહી હું રુમની બેંચ પર જ સૂઈ ગયો. થાક,ચિંતા અને તેને લીધે થયેલ ઉજાગરા અને ભગંદરનાં રોગથી કમરનીઅસહ્ય પીડાથી હું કણસતો હતો. ઓફીસરો મારા સ્ટેટસની પૂરી તપાસ કરતાં હતાં ત્યારે મેં દવા અને પાણી સાથે કંઈ ખાવાનાની માંગણી કરી. ઓફીસરે એરપોર્ટ પરથી પીઝા ઓર્ડર કરવાનું કહ્યું. મેં ના પાડી.પીઝાનો મેંદો મારા કબજિયાતવાળા પેટમાં ચોંટી જતો હતો.મેં ઓરેંન્જ જ્યુસ અનેબિસ્કિટ મંગાવ્યા.થોડું ખાઈ હું ઓફીસરોનાં જવાબની રાહ જોતો ,ઝોકા ખાતો ,ત્યાંજ બેંચ પર ઘસઘસાટ ઊંધી ગયો.


જિગીષા દિલીપ