સંસ્પર્શ-૨૯


જે પળે બોલું સિતમગર રહેમ કર

એ ક્ષણે ખુદને કહું છું પ્રેમ કર

લે બધી ફરિયાદ હું પડતી મૂકું 

લે તને જેવું ગમે છે તેમ કર 

એટલું હું યે ધરાતલથી ઊઠું

જેટલે ઊંચેથી તું નાખે નજર

.રૂબરૂ નહીં તો લીટીભર આવ તું

કંઈક તો વિશ્વાસ બેસે એમ કર

શી ખબર કેવી રીતે ચાલ્યા કર્યું 

જીર્ણ મારું આ હવેલી જેમ ઘર

આ સંવાદ કાવ્યમાં ધ્રુવદાદા પરમતત્વ સાથે વાતચીત કરતાં હોય ,તેવીરીતે ગીતની રચના કરી છે.પ્રભુને દાદા કહે છે કે જ્યારે હું જે પળે દુન્યવી પળોજણ અને કઠિનાઈથી થાકી જાઉં છું અને તને ‘સિતમગર’તરીકે સંબોધું છું અને કહું છું કે ‘હે ! સિતમગર રહેમ કર.’ તે જ ક્ષણે મને યાદ આવે છે કે મારે આ ફરિયાદ કરવાનું બંધ કરી મારી ભીતર રહેલ પરમાત્માને પ્રેમ કરવાનું કામ કરવાનું છે.આમ કહી દાદા કહેવા માંગે છે કે ઈશ્વરને , તું તારી ફરિયાદો કરવાનું બંધ કરી ,તારી જાતને પ્રેમ કરતાં કરતાં જગતનાં એક એક જણને પ્રેમ કર.પ્રેમની વાત આવે એટલે 

કબીર યાદ આવે જ…

પોથી પઢ પઢ જગ મુવા,પંડિત ભયા ન કોય,

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

કબીર બાદલ પ્રેમકા, હમ પર બરસા આઈ,

અંતર ભીગી આત્મા , હરી ભઈ વનરાઈ.

કબીરની જેમજ દાદા વિચારે છે અને કહે છે ગમે તેટલી પોથીઓ પઢીને પંડિત થવાતું નથી. જો તમે પ્રેમનો ઢાઈ અક્ષર સમજો નહીંને તો. પ્રેમને પામવા માટે તો એક જ સૂત્ર કામમાં આવે છે; “સીસ દેય લૈ જાય”જેનો પણ પ્રેમ પામવો હોય તેને પોતાના અહંકારને ,પોતાના દંભને ખોવો પડે, ‘હું’ ભાવને ખોવો પડે.પ્રેમનો અર્થ છે કેન્દ્રનું રૂપાંતર. પોતાના કેન્દ્રનું રૂપાંતર જ્યારે હું ને બદલે બીજા થઈ જાય છે ત્યારે અહંકારનું વિસર્જન થઈ જાય છે અને ત્યારે સાચા પ્રેમનો ઉદય થાય છે. પ્રેમનું વાદળ તો તમારા ઉપર ઝળુંબી જ રહ્યું છે. જેવો અહંકાર દૂર થશે કે તરત વાદળ વરસી જશે. પ્રેમ પણ ક્યાંય બહારથી લેવાની વસ્તુ નથી તે આપણી ભીતર જ છે. જેવો પ્રેમ આત્મામાં ,ભીતર પ્રગટશે કે આપણી બધી ફરિયાદો બંધ થઈ જશે અને આપણે અંદર અને બહારથી લીલાછમ્મ થઈ જઈશું.એટલે જ પ્રેમ પોતાની ભીતર અને સૌની અંદર જોતાં જ દાદા કહી દીધું કે બધી ફરિયાદ હવે હું 

પડતી મુકું છું અને તને જેમ ગમે તેમ પ્રભુ તું કર.

અને જ્યારે તમે તમારો અહંકાર હટાવીને જગતનાં દરેક માનવીને અને પોતાની જાતને અનર્ગળ પ્રેમ કરવા લાગો છો ને ત્યારે 

આ ધરાતલથી તમે ઉપર ઊઠી જાઓ છો અને પરમની નજીક પહોંચી જાઓ છો .દાદા કહે છે જેટલે ઊંચેથી તું નજર નાંખે છે પ્રભુ ,તું અમારી તરફ, ત્યાં જ હું તારી નજીક આવી જઉં છું. અને જ્યારે તે પરમની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરમને પણ વાત કરતાં કરતાં વિનંતિ કરે છે કે ,પ્રભુ ,હું તારી પાસે આવવા મથું છું, ત્યારે તું પણ લીટીભર મને રૂબરૂ મળવા આવ, તો મને પણ તારા હોવાનો,ચૈતન્યનો અનુભવ થાય. જાણે દાદા પરમને કહી રહ્યાં છે,

આપને તારા અંતરનો એક તાર ,બીજું હું કાંઈ ન માંગું ,

સૂણજે આટલો આર્દ તણો પોકાર ,બીજું હું કાંઈ ન માંગું.

આમ કહી પરમનો સ્વીકાર કરતાં કહે છે ,મને ખબર નથી મારું આ જીર્ણ શરીર રૂપી ઘર કેવીરીતે ચાલ્યા કર્યું? શેઠની હવેલી ખૂબ મોટી હોય પણ તેમાં શેઠનાં નિમાએલ માણસોનાં વહીવટતંત્રથી જેમ મોટી હવેલીનો વ્યવહાર ચાલી જાય તેમ અનેક યંત્રો સમ અવયવોથી બનેલ આપણું શરીર પરમની અસીમ કૃપા અને તેની અગોચર ગોઠવણ થકી જન્મથી જીર્ણ જાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. 

આમ દાદા તેમના આ કાવ્યગીતમાં જીવનનાં વિષાદની ફરિયાદથી પ્રેમ અને પરમની અનુભૂતિનાં આનંદ અને અસીમની અકળ હાજરીનાં સાક્ષાત્કારનાં આનંદની વાત કરે છે.

જિગીષા દિલીપ

૩૧મી ઓગસ્ટ ૨૦૨૨

Sent from my iPad

હેલીના માણસ – 32 | સફળતાનો નશો | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-32 ‘સફળતાનો નશો’ એની 31મી ગઝલ અને રસાસ્વાદ. આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ –

મેં રદિફને ઊભી રાખી વાટમાં, 

આવવા દે કાફિયાને ઘાટમાં!

એ હવાના વેશમાં આંધી હતી, 

ઓળખાઈ ગઈ હતી સુસવાટમાં! 

ના, હું સ્વપ્નમાં નથી બોલ્યો કશું, 

નામ  તારું દઈ દીધું ગભરાટમાં! 

હું મને ભૂતકાળમાં જઈને મળ્યો, 

પોઢ્યો ‘તો બિસ્તર વગરની ખાટમાં! 

શાંતિ, એકાંત જેવું કંઈ નહીં, 

મેં ઘણી ગઝલો લખી ઘોંઘાટમાં! 

હું ખલીલ અણનમ રહ્યો બહેક્યો નથી, 

છું સુરક્ષિત દાદના તરખાટમાં! 

– ખલીલ ધનતેજવી 

રસાસ્વાદ –

ઘણાં ખરાં લોકો કોઈ ને કોઈ કારણસર ચહેરા પર મહોરૂં પહેરી રાખતાં હોય છે. એમાંનાં કેટલાક પોતાની ગ્લાનિ છુપાવવા એક આછા સ્મિતનું આવરણ ઓઢી લે છે. એ તો આપણે માટે હાનિકારક નથી હોતું પણ જ્યારે કોઈ શત્રુ, મિત્રનું મુખોટું પહેરીને આપણી સમક્ષ આવે તો આપણે તે ઓળખવામાં થાપ ખાઈ જઈએ. કેટલોક સમય તેની સાથે વિતાવીએ અને આપણે કોઈ પળે નબળાં પડીએ  ત્યારે તેનું મુળ લક્ષણ આપણી સમક્ષ આવે અને તે આપણને સકંજામાં લે ત્યારે થાય અરે! આ તો! મિત્ર કે શત્રુ? જેમ હવા સામાન્ય રીતે મંદ મંદ વહેતી હોય પણ જ્યારે એ સુસવાટાભેર વહે ત્યારે એ આંધી બને છે. હવા તો એની એ જ છે પણ ક્યારે આંધી બનશે એની ક્યાં ખબર છે! મિત્ર તો એ જ છે, ક્યારે શત્રુ બનશે એની ક્યાં ખબર છે? 

એ હવાના વેશમાં આંધી હતી, 

ઓળખાઈ ગઈ હતી સુસવાટમાં! 

મન શાંત હોય, કોઈ ઉતાવળ કે, કોઈનો ડર ન હોય, આમ થઈ જશે તો? એવી કોઈ દહેશત ન હોય તો એવા સંજોગોમાં આપણે ખરેખર જે કરવું હોય તે કરી શકીએ, જે કહેવું હોય તે જ કહી શકીએ. આથી ઉલટું, મન સ્વસ્થ ન હોય ત્યારે ગભરાટમાં ન બોલવાનું બોલાઈ જાય તેવી શક્યતા રહેતી હોય છે. પણ તિર છુટી ગયા પછી પાછું ફરે? નિકળેલા બોલનું પછી કરવું શું? 

ના, હું સ્વપ્નમાં નથી બોલ્યો કશું, 

નામ  તારું દઈ દીધું ગભરાટમાં! 

જેણે જીવનનો શરૂઆતનો કેટલોક કાળ ગરીબીમાં વિતાવ્યો હોય તે પાછળથી અઢળક સંપત્તિનો માલિક બને ત્યારે તો દોમદોમ સાહ્યબી ભોગવતો હોય. ભોજનમાં પકવાન, ફરસાણ માણતો હોય, મશરૂના ગાદી તકીયા પર પોઢતો હોય. પણ તેને જ્યારે સપનુ આવે ત્યારે તે બાળપણના સ્થળે પોતાને જોતો હોય છે. ત્યાં પહોંચીને તે પોતાના ભુતકાળમાં જઈને પોતાને મળે છે. ભલે પોતે ખરેખર તો છત્રપલંગ પર  સુતો હોય પણ સપનામાં પોતે ખુદને ક્યાં જોશે? બિસ્તર વગરની ખાટમાં! 

હું મને ભૂતકાળમાં જઈને મળ્યો, 

પોઢ્યો ‘તો બિસ્તર વગરની ખાટમાં! 

સામાન્ય રીતે કવિને લખવા માટે ખાસ પ્રકારનું વાતાવરણ જોઈએ. આસપાસમાં કોઈ ઘોંઘાટ કે કલબલાટ ના હોય, ચારે તરફ શાંતિનું  સામ્રાજ્ય હોય ત્યારે શાંત અને સ્વસ્થ મનમાં અવનવા વિચારો સ્ફુરે અને ગીત કે ગઝલ સર્જાય. પણ દરેક રચનાકારને  આવી સગવડ ક્યાં મળે છે? રચના ગમે તેવા સંજોગોમાં લખાઈ હોય પણ જ્યારે લોકોને તે સમજાય ત્યારે મળતી દાદ કવિને વધુ ને વધુ રચનાઓ લખવા પ્રેરે છે. વધુ ઉત્તમ કક્ષાનુ લખવાનો ઉત્સાહ પુરો પાડે છે. 

શાંતિ, એકાંત જેવું કંઈ નહીં, 

મેં ઘણી ગઝલો લખી ઘોંઘાટમાં! 

ગઝલ લખનારને એવો અનુભવ થતો હોય છે કે, રદિફ નક્કી કરી લે. પછી એને અનુરૂપ અને અર્થસભર કાફિયાનો મેળ પણ એવીરીતે બેસાડવો પડે કે, આખો શેર અને શેરિયત ખૂબ સુંદર બની રહે. આવા શેર જ્યારે મહેફિલોમાં રજુ કરવામાં આવે ત્યારે ભાવકો તેને મન ભરીને માણે છે અને ગઝલકારને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. અને આ પળો જ એવી છે જે ગઝલકારને સાર્થક લાગે છે. પણ સાથે સાથે આવી દાદ પામીને તટસ્થ રહેવું અનિવાર્ય છે. એનાથી પ્રોત્સાહિત થવાય પણ એનાથી છકી ન જવાય તે જરૂરી છે. ખલીલ સાહેબ આ શેરમાં આપણને એ વાતથી વાકેફ કરે છે. 

હું ખલીલ અણનમ રહ્યો બહેક્યો નથી, 

છું સુરક્ષિત દાદના તરખાટમાં! 

સફળતાનો પણ નશો હોય છે. એ નશો ઘણાંને એવો ચઢે કે, વ્યક્તિ સાતમા આસમાનમાં વિહરવા માંડે. છકી જાય અને ત્યાંથી જ પડતીની શરૂઆત થઈ જાય. ખલીલ સાહેબની આ ગઝલ આપણને સંયમના પાઠો શીખવાડે છે. બીજી આવી દમદાર ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. 

નમસ્કાર 

રશ્મિ જાગીરદાર.



વિસ્તૃતિ …૨૭-જયશ્રી પટેલ.*

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શરદ બાબુની એકાદશી વેરાગી નામની લઘુનવલકથાનો આ એક એવો અંશ છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી. પ્રસાદ બ્રહ્મભટ્ટજીએ કર્યો છે.આપણી સમક્ષ એક તો નામ જ અજુગતું લાગે તેવું મૂક્યું છે તો વાર્તા પણ શરદબાબુએ બે પેઢીની કરી છે.જેમાં વાતચીત દરમિયાન જ આપણને એક અનોખો અનુભવ થાય છે. બે પાત્રોને ગામનાં લોકો ને જુવાનિયા મિત્રો વચ્ચે શરદ બાબુએ તે જમાનાનો એક અદભૂત ચિતાર ઊભો કર્યો છે.
કાલીદહ ગામમાં અન્ય જ્ઞાતિ કરતાં વધુ બ્રાહ્મણોની વસ્તી હતી. ગોપાલ મુખોપાધ્યાયનો પુત્ર અપૂર્વ નાનપણથી જ કલકત્તા જતો રહ્યો હતો અને ત્યાં જ ઓનર્સ સાથે બીએ થઈ પાછો આવ્યો હતો.આમેય તે નાનપણથી જ ગામનાં છોકરાઓનો અગ્રણી હતો. ભણી ગણીને આવ્યો હતો, પણ હિન્દુ ધર્મનું પાલન કરતો હતો.આજની પેઢીનાં યુવાનોની જેમ કોઈ ઠાઠમાઠ ન કરતો .સીધો સાદો અને નમ્ર આચાર વિચાર ધરાવતો હતો. આમ ગામમાં અપૂર્વ એક અપૂર્વ યુવક ગણાતો. તેણે માયામય માથામાં ચોટલી પણ રાખી હતી.
ગામમાં થતાં વારંવાર પ્રસંગોમાંના દુરાચાર , વ્યભિચાર તેની નજર સમક્ષ આવવા લાગ્યાં, તેને દારૂ તમાકુ અફીણ જેવા નશા કરતા બધાંની શાન ઠેકાણે લાવી દીધી હતી.તેણે અનીતિનાશીનીની સભાઓ ભરી અને કાલીદહ ગામને શુદ્ધ હિંદુ ધર્મી બનાવ્યું હતું.
ધીરે-ધીરે બૌદ્ધિક ઉન્નતિ તરફ તેની નજર પડી ગામની શાળા અને તેમાં ભણતા બાળકો વગેરેને તે સારામાં સારું શિક્ષણ અને વાંચન મળે તે પ્રયત્ન કરવા લાગ્યો. ગ્રંથાલય ખોલવા ફંડ ભેગું કરવા લાગ્યો. ગામનાં લોકો તેનાંથી આંખ મિંચોણાં કરવા લાગ્યાં. તેમાં તેની નજર એક ખંડેર જેવું મકાન જે ગામમાં અવાવરું પડ્યું હતું. તેની ઉપર ગઈ તે મકાન એકાદશી વેરાગીનું હતું.
એકાદશી વેરાગી નામ થોડું વિચિત્ર અસંગતિત લાગતું હતું કહેવાય છે કે કશોક નિંદનીય સામાજિક ગુનો કરવા બદલ ગામનાં બ્રાહ્મણોએ તેને નાત બહાર કર્યો અને મળતી બધી સગવડ જેમ ધોબી હજામ મોદી વગેરે બંધ કરી દઈ, દસેક વર્ષ પૂર્વે ગામમાંથી હાંકી કાઢ્યો હતો.
મિત્રો, શરદબાબુએ જુઓ અહીં એવા સમાજનો પરિચય કરાવ્યો છે કે માણસને ગામ છોડવું પડે એવું સમાજનું વલણ કેટલું વિચિત્ર હશે ! ત્યારે ગામથી સાત આઠ કિલોમીટર દૂર આવેલા બારુઈપુરમાં તે જઈ વસ્યો હતો. ત્યાં ઠીક ઠાક ધિરાણની લેવડદેવડમાં કમાયો અને ત્યાં જ તેની શાખ ઊભી કરી હતી.અપૂર્વને આશા હતી કે ગામનો હોવાથી અને સારું કમાયો હોવાથી તેની દુઃખતી રગ દાબી ધાકધમકીથી તેની પાસે મોટો ફાળો ઉઘરાવી શકાશે. એકાદશીને ત્યાં પોતાની ટોળી લઈ અપૂર્વ પહોંચી ગયો ત્યાં તેણે ધીરધાર કરનારા એકાદશી વેરાગીને પહેલી વાર જોયો મહાચિંગુસ અને પોતાનાં વ્યાજનાં પૈસા ધાકધમકીથી વસૂલ કરતો જોઈ તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેમાં પણ જ્યારે તેણે ફક્ત ચાર કે પાંચ આના ફાળો આપવાનું કહ્યું ત્યારે તો અપૂર્વ અને તેની ટોળીએ તો તેને ધમકી જ આપી દીધી. એકાદશી વેરાગીની એક વિધવાબેન ગૌરી હતી. માંડ ૧૭/ ૧૮ વર્ષની હશે બ્રાહ્મણો આવ્યાંનું જાણીને અને અપૂર્વે પાણી માંગ્યું હતું તે લઈને તે બહાર આવી. ગમે તેમ ટકોર ને બોલાચાલીમાં તેને અપૂર્વના મિત્રોએ અપ્સરાની ટીપ્પણી કરી તે બિચારીની કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ.હાથમાંની રકાબી પડી ગઈ .તે શરમની મારી પાછી ઓરડામાં ચાલી ગઈ. આ છોકરી એકાદશી વેરાગીની બહેન હતી. બાળ વિધવા થતાં તે ભૂલ કરી બેઠી હતી અને કોઈની સાથે ગામ થોડી અને ચાલી ગઈ હતી. ભાઈ એકાદશી તેને પાછી લઈ આવ્યો હતો આથી પછી તેને નાત બહાર કરાયો હતો .નાત બહાર કરાયો તો પણ તેણે બેનને ના કાઢી મુકતા પોતે ગામ છોડી ચાલ્યો ગયો હતો. દિલની સાફ અને નેક હતી તેની બેન!
અપૂર્વ નીકળી રહ્યો હતો ત્યારે એક વિધવા તેના નાના પુત્રને લઈ એકાદશી વેરાગી પાસે મુકેલા સસરાના રૂપિયા લેવા આવી હતી.તેની પાસે કોઈ લખાણ કે દાખલો નહોતો.ઘોષાલબાબુ તેને પાછી મોકલી રહ્યાં હતાં, ત્યારે એકાદશી વેરાગીએ યાદ કરતારૂપિયા ૫૦૦ કોઈ મૂકી ગયાનું યાદ આવ્યું અને ત્યારે વાત સાંભળતા ગૌરીએ સાલની ગણતરી કરી ને ૧૩૦૧ની સાલની વાત કરી અને તે સાલનો ચોપડો ખોલતા ખરેખર તે રામ લોચન ચાટુજ્જેના નામે જમા મળ્યાં. ગૌરીનાં આ જ્ઞાનને કોણ જાણે કેમ ઘોસાલબાબુએ વખાણ્યું. એકાદશી વેરાગીએ તે વિધવા ને રૂપિયા ૫૦૦ ,તેમજ આજ સુધીના વ્યાજ સાથે અઢીસો રૂપિયા ઉમેરી રૂપિયા ૭૫૦ આપવાની તૈયારી બતાવી.બધાં રૂપિયા ન લઈ જતા એ સ્ત્રી ફક્ત રૂપિયા ૫૦ જ માંગ્યા. તો બીજાં પોતાના હસ્તાક્ષર સાથે તેણે જમા કર્યા.
ઘોષાલબાબુ ગુસ્સે થઈ પૈસા આપી અપૂર્વ અને તેના મિત્રો સાથે પોતાને ત્યાં લઈ જવા તૈયાર થયાં. આમ જોવા જાવ તો એકાદશી વેરાગી પોતે હલકાકુળનો હતો તેથી તેની બેન પણ હલકાકુળની જ થઈ .તેવા કુળનાં લોકોનાં હાથનું પાણી હિંદુ બ્રાહ્મણ કેવી રીતે પીવે? અહીં જુઓ મિત્રો શરદબાબુએ બે વર્ણોના તે જમાનાના ભેદભાવને સચોટ રીતે બતાવ્યાં છે.
અડધે રસ્તે પહોંચતા જ અપૂર્વના મનનાં દરવાજે ટકોર થઈ ,તે મિત્રોથી છૂટો પડી પેલાં શુદ્ધ મનનાં વિધવા ને સચોટ ન્યાય કરનારા હલકામનનાં એકાદશી વેરાગીના ઘર તરફ પાણી પીવા વળ્યો. મિત્રોએ તેને સમજાવ્યો કે પ્રાયશ્ચિત કરવું પડશે ,તે છતાં તે ગૌરીનાં હાથનું અને એકાદશી વેરાગીના ઘરનું પાણી પીવા રાજી થઈ ગયો.
મિત્રો, જો સમજાય તો અહીં શરદબાબુએ સુધારાવાદી યુવા પેઢીનું પાત્ર લઈ અપૂર્વ દ્વારા વાચકને સમજાવ્યું છે કે સુધારાવાદનો પાયો નંખાય ગયો હતો. બાળવિધવા ને હલકાકુળનો એકાદશી વેરાગી અને તેના ઘરનું જળ પ્રાયશ્ચિતનાં ડર વગર સ્વીકારાયું હતું. અહીં અંતમાં બે સ્ત્રીઓનાં પાત્રો આવ્યાં પણ બંનેની ગૌણ હાજરી છે છતાંય બે સમાજ અને બે પેઢીનો સુંદર દાખલો એકાદશી અને અપૂર્વ અને તેની ટોળીનો બતાવી એક શરદબાબુએ અંધશ્રદ્ધા અને અંધકારમય વિચારસરણી બદલવાનો પ્રયત્ન સુંદર રીતે કર્યો છે.
મિત્રો, આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું .

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૮/૮/૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান૨૨: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક ખુબ પ્રખ્યાત રચનાને જાણીએ અને માણીએ.

“ગીતબિતાન” ની રચનાઓમાં સ્વદેશ વિભાગમાં લગભગ 40 રચનાઓનો સમાવેશ થાય છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ રચનાઓ દ્વારા કવિવરે કલમ થકી પોતાનું યોગદાન આપેલ છે. કવિવરની દેશ પરત્વેના માન,અભિમાન અને સન્માનને આલેખતી સંવેદનાઓને આ રચનાઓ દ્વારા વાચા મળી છે. આજે જયારે દેશ-વિદેશમાં ભારતની સ્વતંત્રતાનો અમૃતમહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દેશભક્તિનો જુવાળ ચરમસીમા પર છે ત્યારે આ ઉલ્લાસ અને જુસ્સામાં ઉમેરો કરતી એક ખુબ પ્રખ્યાત પ્રસંગોચિત રચનાને આજે જાણીએ અને માણીએ. 1905માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે ও আমার দেশের মাটি (O Amar Desher Mati) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “મારા દેશની માટી…  ”. જેનું સ્વરાંકન કવિવરે પીલું રાગ અને બાઉલ ઢાળ માં કર્યું છે અને તેને દાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે.

આ રચનાના સર્જન પાછળ એક રસપ્રદ ઇતિહાસ રહેલ છે. જયારે 1905માં બ્રિટિશ રાજ દરમિયાન લોર્ડ કર્ઝન દ્વારા અખંડ બંગાળ રાજ્યને  પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે વહીવટી રાજ્યોમાં  વિભાજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વહીવટી સરળતાના બહાના હેઠળ બ્રિટિશ રાજ બંગાળની પ્રજામાં divide and conquerની કુટનીતિથી ભાગલા પડાવવા માંગતું હતું. સંજોગોમાં ગુરુદેવ દ્વારા આ કાવ્યની રચના થઇ હતી. બંગાળની પ્રજાને આ નિર્ણય મંજુર ન હતો અને સમગ્ર બંગાળમાં પ્રચંડ લોકવિરોધ ફાટી નીકળ્યો. આમજનમાં પોતાની સાચી માંગણી માટે જોમ અને જુસ્સો જગાવવામાં આ રચનાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.પ્રચંડ લોકવિરોધને કારણે  માત્ર છ જ વર્ષમાં જ આ વિભાજનનો બ્રિટિશ રાજ દ્વારા અંત આણવામાં આવ્યો  હતો.જે બ્રિટીશરાજ માટે એક ઐતિહાસિક પીછેહઠ હતી. અને ફરી બંગાળ થોડા સમય માટે અખંડ બન્યું.1947માં અખંડ બંગાળ ફરી ખંડિત થયું અને પૂર્વ બંગાળને એક સ્વતંત્ર દેશ- બાંગ્લાદેશ  તરીકે વિભાજીત  કરવામાં આવ્યું. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. 

ગુરુદેવની દેશભક્તિ અને દેશપ્રેમની વ્યાખ્યામાં વૈશ્વિક વિશાળતા જોવા મળતી હતી. ધર્મ, વર્ણ, કુળ જેવા સંકુચિત વિચારોને તેમના વૈચારિક વિશ્વમાં સ્થાન ન હતું. કવિવરને મતે સ્વતંત્રતા એટલે માત્ર દેશ બ્રિટિશ રાજના સકંજામાંથી આઝાદ બને તેટલે સુધી સીમિત ન હતી પણ કવિવર દેશનો પ્રત્યેક આમજન નૈતિક,વૈચારિક અને ભાવાત્મક રીતે સ્વતંત્ર બને તેવી ખેવના ધરાવતા હતા.બ્રિટિશ રાજની વિરુદ્ધ આમ જનતામાં આ વૈચારિક સ્વતંત્રતા જગાવવાના કારણથી જ આ કવિતાની રચના થઇ હતી.

 જયારે મેં આ કવિતામાં રહેલા ભાવને સમજવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ગુરૂદેવમાં રહેલા નિર્મળ દેશપ્રેમના ભાવને આ શબ્દોમાં વહેતો જોઈને મારુ હૈયું ગદગદિત થઈ ગયું અને માતૃભૂમિની એ માટીને અહીં માઈલો દૂરથી પણ નતમસ્તક વંદન થઇ ગયા. હું અને મારા જેવા અનેક, જે દાયકાઓથી ભલે માતૃભૂમિથી દૂર વસ્યા છીએ, પણ અમારા સૌના એકેએક શ્વાસમાં ભારતની માટીની સુગંધ હજુ પણ વહે છે. ભારતનું નામ પડતાંજ અમારી આંખોમાં અચાનક ચમક આવી જાય છે. અને જેમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અમને સૌ NRIsને આહવાન આપ્યું હતું કે “Be a Brand Ambassador of India” તેમ, અમે જ્યાં છીએ ત્યાંથી ભારતની મહત્તા અને મહત્વ વિશ્વ સાથે વહેંચી રહ્યા છીએ. આ ભાવાનુવાદમાં ગુરુદેવની સંવેદનાઓ સાથે મારી એટલે કે દેશથી માઈલો દૂર વસેલા વિદેશમાં વસેલા ભારતીયની સંવેદનાઓ પણ ઠલવાઇ છે. ભારતની ભૂમિ કે જે હજુય અમારા મૂળિયાને ટેકો આપી રહી છે અને તેની મમતાનો પાલવ અમારા મસ્તકે ધરી રહી છે તે ભૂમિના અમે સૌ કરજદાર છીએ અને આ રચના દ્વારા હું એ ભારતની માટીને વારંવાર વંદન કરું છું. 

તો ચાલો, આજે હું આ પ્રેરણાદાયી કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા મારી કલમને વિરામ આપું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,    

અલ્પા શાહ 

સંસ્પર્શ -૨૮

jigisha -સંસ્પર્શ -youtube

એ હરિ….. ઓ…. ઓ ….હરિ……હરિ ….એ …..હરિ…

એક શબદ દો કાન, એક નજર દો આંખ

વૈસે ગુરુ ગોવિંદ દો એક હૈ ,તું ઝાંક સકે તો ઝાંક

શબદ જડ્યા રે જગનાં ચોકમાં રે…..

જડ્યા મને વચનો અણપાર…..

કાને રે… અમારા ; વચનો વાંચ્યા રે….

વાંચ્યા ભેગા ઉકલ્યા અણસાર…(૨)

અમે ભણેલી વાણીનાં ભણતર ભૂલીયા રે….

એવા મેં તો ખોયાં મારા ગાન,મેં તો કંઠે આપ્યાં ગાન….

એવાં ગાણાંને ખોયાંની મોજ્યું હું શું કહું રે….

ખોયાં એ તો ….ઓ …રે…ઊતરશે ભવપાર

એવાં નવા રે અવતારે રમશે ચોકમાં રે….

જી …..જી જી જી ઈ ઈ ઈ જી …જી એ જી

નવા રે અવતારે રમશે ચોકમાં રે…

એવાં શબદ જડ્યાં રે જગનાં ચોકમાં રે….

મિત્રો,

ઘેડ પ્રદેશનાં એટલે કે પોરબંદરથી ચોરવાડ સુધીનાં પ્રદેશનાં ,લોક ઢાળમાં હાર્દિક દવેનાં કંઠે ગવાયેલ આ ધ્રુવગીતને સાંભળીને તમે શબદને પેલે પાર ન જાઓ તો જ નવાઈ!

હરિને સંબોધીને ગવાયેલ આ ગીતનો દોહો આપણને કબીરની યાદ અપાવી દે જરૂર ,પરતું કબીરે કહ્યું,

ગુરુ ગોવિંદ દોનો ખડે,કિસકો લાગુ પાય ।

બલિહારી ગુરૂ આપકી,ગોવિંદ દીયો બતાય ।।

જ્યારે અહીં તો દાદા કહે છે કે બે કાન વડે આપણને એક શબ્દ સંભળાય છે અને બે આંખોથી એક જ વસ્તુ દેખાય છે. તેવીરીતે ગુરુ અને ગોવિંદ એક જ છે ,તું જોઈ શકતો હોય તો જો. આમ કહી દાદાએ ગુરુનો સુંદર મહિમા ગાઈ ગુરુને પરમનું સ્થાન આપ્યું છે.વાત પણ કેટલી સાચી છે !ગુરુ જ આપણને પરમ સુધી પહોંચવાનો અને જીવન સાચી રીતે જીવવાનો રસ્તો બતાવે છે ને?

દોહો પૂરો કરતાં દાદા ગીતની શરૂઆત કરતાં કહે છે ,મને મારાં શબ્દો જગતનાં ચોકમાંથી જ મળ્યા છે. ધ્રુવદાદાની જગતને અને લોકોને જોવાની અને સમજવાની દ્રષ્ટિ જ સાવ નોખી છે. દાદા કહે છે ,”મને અણપાર વચનો મળ્યા “પણ તેમને નાનામાં નાના માણસની કે અભણ માણસની ,પછી ભલે તે ,ગીરનાં જંગલ નિવાસી હોય કે દરિયા કિનારે રહેનાર ખારવો,ખલાસી કે આદિવાસી હોય દરેકનાં શબ્દની પેલેપારનો શબદ જ સંભળાય છે. તેઓ જગતનાં દરેક લોકોનાં શબ્દો કાનથી વાંચે છે ,સાંભળતાં નથી.અને તેથી જ તે કાનથી વાંચેલાં શબ્દોનાં ઊંડાંણભર્યા અર્થો તે ઉકેલી શકે છે.એટલે જ દરિયા કિનારે ખારાપાટમાં અસહ્ય ગરમીમાં કારમી મજૂરી કરતા આદિવાસીને તે ,કેમ છે ? પૂછે અને જવાબ મળે “હાકલા છીએ બાપા હાકલા” અને ગીત રચાઈ જાય, સૌનું ખૂબ ગમતું” ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે” 

જગતનાં લોકોની વાણીનાં શબ્દોમાંથી જ એમને વેદ,ઉપનિષદ ,ગીતાનું જ્ઞાન લાધે છે ,તેમની આ લોકવાણી સમજવાની અનોખી રીત વર્ણવતા તેઓ કહે છે કે જ્યારે હું જગતનાં લોકોની વાણી સાંભળું છું ત્યારે હું મારી ભણતરની ભણેલી વાણી ભૂલી જાઉં છું. ભણતરનાં જ્ઞાન કરતાં પણ અભણ લોકોનાં વચનોમાંથી દાદાને ઊચું જ્ઞાન સાંપડે છે. દાદાનાં દરેક પુસ્તકમાં ,તેમનાં દરેક પાત્રોનાં સંવાદોમાં આપણે આ વાત સાંભળી ચુક્યા છીએ.

હવે આગળ જે વાત કરી છે તે તો અદ્ભૂત છે. દાદા જે જગતનાં લોકોની વાણીમાંથી જે શબદને પામ્યા અને તેમનાં ગીતો તેમણે ગાયાં. પણ તેમની ઉદારતા તો જૂઓ તેમણે તે ગીતોને પણ જે ‘ ગાય તેના ગીતો ‘ કહી “ તમે ગાયા આકાશ ભરી પ્રીતે ,તે ગીત કહેવાય મારા કઈરીતે?” તેમ કહે છે. આમ કહી પોતાનાં કંઠે ગવાયેલ ગીતોને લોકોમાં વહેંચી ,ખોઈ ,તેની અણકહી મોજ દાદા માણે છે અને નિ:શબ્દતામાં ખોવાઈ જાય છે.અને ગાઈ ઊઠે છે,

એવાં મેં તો ખોયાં મારા ગાન,મેં તો કંઠે આવ્યાં ગાન….રે

ગાણાંને ખોયાંની મોજ્યું , હું શું કહું રે…

ખોયાં એ તો ઊતરશે ભવપાર

એવાં નવારે અવતારે રમશે ચોકમાં રે…

આગળ વધતાં લોકોની વાણીમાં પોતાનાં શબ્દોને રમતાં મૂકીને સંતોષ અનુભવતાં દાદા કહે છે. મેં મારા શબ્દોને લોકોમાં વહેંચી દીધાં અને સમય જતાં તે શબ્દો બીજા ભવમાં નવા અવતારે અવતરશે અને નવાં સ્વરૂપે ચોકમાં અવતરશે. જેમ વર્ષો પહેલાંનાં મહર્ષિ વ્યાસમુનિ અને વાલ્મિકજીએ લખેલ મહાભારત ,રામાયણ તેમજ ભાગવતને મોરારિબાપુ અને ડોંગરે મહારાજ નવા અવતારે રજૂ કરે છે તેમ. આમ જગતનાં લોકો પાસેથી મળેલા શબ્દોની જ્ઞાનગંગામાં પોતે નાહીને તે ગંગાનાં પાણીમાં જગત સમસ્તને પોતાનાં ગણી સાથે ઝબોળવાની “ વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાની સુંદર વાત ધ્રુવદાદાએ તેમના આ ગીતમાં કરી છે. તેમજ જગતનાં ચોકમાંથી જ શબ્દો તેમને મળ્યા અને તેને ગીત સ્વરૂપે તેમણે રજૂ કર્યાં.કેટલી હ્રદયમાં સોંસરવી ઉતરી જાય તેવી વાત છે નહીં?

જિગીષા દિલીપ

૨૪મી ઓગસ્ટ ૨૦૨૨

.

,

હેલીના માણસ – 31 | મોતને માત | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-31 ‘મોતને માત’ એની 30મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ :

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,

આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

 

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,

તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

 

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,

તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો.

 

એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?

એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.

 

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર

મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ 

જીવન એટલે આમ જુઓ તો ઝંઝાવાતોનો ઢગ! એક મુશ્કેલી પાર કરો ને હજુ હાશકારાનો અહેસાસ કરો તે પહેલાં તો બીજી મુસિબત તમારે બારણે ટકોરા પાડતી ઊભી જ હોય! આ બધું, ઝેર પીવાના કપરા કામ કરતાં જરાય સહેલું ક્યાં હોય છે? તમે મુશ્કેલીમાં મુકાયા હો, ચારે તરફથી બરાબર ઘેરાયા હો અને એમાંથી સિફતપૂર્વક બહાર આવો તો એ પાછું કેટલાક લોકોને નથી ગમતું. અથવા તો તમે ઉગરીને બહાર આવી શક્યા એનો જ વાંધો હોય છે કદાચ! આવડી મોટી આફતને માત દઈને તમે નીકળી ગયા! એ વાત તેઓને પરેશાન કરે છે. ખલીલ સાહેબ આ હકીકતને આ સરળ શેરમાં ચોટદાર રીતે કહી દે છે. 

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,

આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

કાચ હોય તો તુટે, ધાતુ તો ન તુટે, સપનું તુટે, ને દિલ પણ તુટે. તુટે તેવી કોઈ પણ વસ્તુ હોય અને તુટે એ તો સ્વાભાવિક છે પરંતુ ઘણીવાર તો તકલીફોનો સામનો કરતાં કરતાં માણસ પોતે તુટી જાય છે. હારી જાય છે. હવે એ તો કોઈ તુટી શકે તેવી વસ્તુ છે નહીં! અને છતાં પહાડ જેવો મજબૂત માણસ તુટી જાય ત્યારે આશ્ચર્ય થાય! એવું શું બન્યું હશે? પહાડ જેવી મુસીબત કે પછી જેને પોતાના ગણ્યા હોય તેમના તરફથી મળતા ઘા, ખુદ માણસને તોડી નાખવા માટે સક્ષમ હોય છે. અહીં આપણને આ ગીત યાદ આવે છે. 

‘શીશા હો યા દિલ હો આખીર… તૂટ જાતા હે!’

ખરેખર તો કોઈ વાતથી મન ઘવાય ત્યારે દિલ તુટી જાય છે અને એ તુટેલું દિલ માણસને તોડી નાખે છે. 

આ શેર જુઓ.

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,

તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

લક્ષ્યની પ્રાપ્તિ કરવી કે, લક્ષ્યનું નિશાન સાધીને તેને વિંધવું, એમાંનું કશું સહેલું નથી. નિશાન ચુકી જવું એટલે બીજા જ સ્થળે ચોટ લાગવી. જીવનમાં પણ એવી ઘટના સહજ હોય છે. શહેરોમાં બહુમાળી ઈમારતો બાંધવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. લક્ષ્ય તો બહુમાળી ઈમારત બાંધવાનો જ છે પણ એ ઈમારત જ્યાં બાંધવી છે ત્યાં જો ઝુંપડપટ્ટી હોય તો પહેલાં તે તોડી નાખવામાં આવે! લક્ષ્ય પાર પાડવામાં અન્યને થતાં મોટા નુકસાનનું શું? 

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,

તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો.

‘સત્તા આગળ શાણપણ નકામું’ આ કહેવત અનુસાર કોઈ ગરીબ કે સામાન્ય માણસ જો કોઈ સત્તાધારી પક્ષની કે વ્યક્તિની પોલ જાણી જાય અને તેની ભાળ જો એ સત્તાધારીને પડી જાય અથવા તેના પર એવી શંકા થાય તો? તો એ બદલો લેવા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે. કોઈ પણ સજા વગર વાંકે કરી શકે. તેને જેલમાં પુરી શકે, તેના મકાન પર બુલડોઝર ચલાવી તેની રહીસહી સંપત્તિને હતી ન હતી પણ કરી દે.  આ બધાના મુળમાં માત્ર શંકા! આતો એવું થયું ને, કોઈએ સપનું જોયું હોય કે અમુક સ્થળે ખજાનો છે. તે શોધવા માટે એ સ્થળે રહેલું બીજાનું એક માત્ર રહેઠાણ તોડી પાડવામાં આવે અને એમ કરવામાં પેટનું પાણી પણ ન હાલે. 

એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?

એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.

કહેવાય છે કે, અણી ચુક્યો સો વર્ષ જીવે. માંદગી ઘણીવાર એટલી હદે વધી જાય છે કે, મટવાનું નામ ન લે. સગા સંબંધીઓમાં તો નિરાશા એટલી હદે વ્યાપી જાય કે, જિંદગીની આશા છુટી જાય. તેમ છતાં જો એ બચી જાય તો પછી કહે છે એ તો સો વર્ષ જીવી જાય! આ શેરમાં ખલીલ સાહેબ એ વાત કેવીરીતે કહે છે તે જુઓ. 

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર

મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

ખલીલ સાહેબ કહે છે કે, છેક અંતિમ શ્વાસ સુધીની સ્થિતિમાં હું પહોંચી જ ગયો હતો. પાછા ફરવાની કોઈ ગુંજાઈશ હતી જ નહીં પણ પછી હું તો મોતને વાતે વળગાડીને ત્યાંથી ભાગી આવ્યો! આવી ગજબની, મઝાની વાતો કહેતી આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. આવી જ અનોખી વાતો લઈને આપણે મળીએ આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.

– રશ્મિ જાગીરદાર

ઓશો દર્શન-30. રીટા જાની

wp-1644023900666




વિરાટનું વર્ણન એટલે ગાગરમાં સાગર. સ્વાભાવિક છે કે શબ્દો ખૂટે પણ પ્રેરણાનું ઝરણું હોય, ઈશ્વરના આશીર્વાદ હોય તો વાચા ફૂટે. જન્માષ્ટમી એ એવી ઘડી છે, જે સોહામણી પણ છે અને રળિયામણી પણ. આનું કારણ છે કૃષ્ણ. કૃષ્ણ એ વ્યક્તિ જ નહિ પણ વ્યક્તિત્વ છે જે સદીઓ કે હજારો વર્ષો પછી પણ આપણને પ્રેરણા આપે છે. જીવન એ ઈશ્વરની સોગાદ છે, પણ જો તે શ્રેષ્ઠ રીતે જીવાય તો પ્રભુનો પ્રસાદ છે. આ માટે પ્રેરણા અને જ્ઞાન આપી શકે કૃષ્ણ. કારણ કે કૃષ્ણ માત્ર દ્વારિકાધીશ નથી, કૃષ્ણ છે જગદગુરુ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે. કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ, કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.

કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે? આવા અનેક પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હ્રુદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે. આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે.

આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ઓશોદર્શનમાં આપણે કૃષ્ણના વ્યક્તિત્વ પર ઓશોના વિચારો જાણીશું. ઓશો કહે છે કે કૃષ્ણ આજ સુધી પુરેપુરા સમજાયા નથી. તેઓ ધર્મની અધિકતમ ઊંચાઈએ હોવા છતાં પુરેપુરા કળાયા નથી. એનું એક કારણ એ પણ હોઈ શકે કે કૃષ્ણ ઉદાસ નથી, ગંભીર નથી, થાકેલા, હારેલા, રડતા કે દુઃખી નથી. પરંતુ કૃષ્ણ તો ગાતા, નાચતા સમગ્રતયા જીવનનો સ્વીકાર કરનાર છે. માટે કૃષ્ણ પૂર્ણ અવતાર ગણાય છે. કૃષ્ણ જીવનના બધા રંગોને સ્વીકારે છે. પુરુષ હોવા છતાં સ્ત્રીથી દૂર ભાગતા નથી. કરુણા અને પ્રેમથી ભરેલા હોવા છતાં યુદ્ધથી કે હિંસાથી દૂર ભાગતા નથી. અમૃતને સ્વીકારે છે, પણ ઝેરથી ડરતા નથી. કૃષ્ણ દ્વંદ્વનો સ્વીકાર કરે છે અને સમગ્ર સંસારને પોતાના આલિંગનમાં લે છે.

કૃષ્ણને સમજવા સરળ નથી. કોઈ પણ મનુષ્યને માટે કઠિન છે એ સમજવું કે એક વ્યક્તિ જીવનના આંધી, તોફાન, ઝંઝાવાતમાં અડગ રહ્યો, એટલું જ નહીં, બધું જ છોડીને વિરક્ત બનીને રહ્યો. સંબંધોમાં રહેવા છતાં અસંગ, યુદ્ધ લડવા છતાં કરુણામય, હિંસાની તલવાર હાથમાં હોય છતાં પ્રેમનો દીવો ન બુઝાવા દે. કૃષ્ણના વ્યક્તિત્વમાં અનેક વ્યક્તિત્વ સમાયા છે. એવું જોવા મળે છે કે કોઈ એક વ્યક્તિત્વને પસંદ કરીને લોકો તેને પૂજે છે. કોઈ બાળ કૃષ્ણને પૂજે છે, તો કોઈ યુવા કૃષ્ણને; કોઈને ગીતાના કૃષ્ણ પસંદ છે, તો કોઈને ભાગવતના કૃષ્ણ પસંદ છે. કૃષ્ણમાં સર્વોચ્ચ તત્વજ્ઞાન છે, તો અપ્રતિમ શૌર્ય પણ છે; અસ્ખલિત પ્રેમ છે, તો ઉત્કટ શૃંગાર પણ છે; અતૂટ મૈત્રી છે, તો અગાધ ઔદાર્ય પણ છે. મનુષ્યના રૂપમાં પૂર્ણતાનો પ્રયાસ છે કૃષ્ણ.

ઓશો કહે છે કે રામનું ચરિત્ર છે, પણ કૃષ્ણની લીલા છે. કૃષ્ણ ગંભીર નથી, કોઈ સીમા તેમને બાંધી શકતી નથી, કોઈ મર્યાદા તેમને રોકી શકતી નથી, કોઈ પડકાર તેમને ભયભીત કરતો નથી. અમર્યાદા કૃષ્ણના આત્માનુભવનું અંતિમ ફળ છે. શરીર અને આત્મા, પ્રકૃતિ અને પરમાત્મા બે અલગ નથી. શરીરનો અંતિમ છેડો આત્મા છે અને આત્માનો પ્રથમ છેડો શરીર છે. પ્રકૃતિ લીન થતા થતા પરમાત્મા બને છે અને પરમાત્મા પ્રગટ થતા થતા પ્રકૃતિ બને છે. આ અદ્વૈતની જ્યારે પ્રતીતિ થાય ત્યારે જ કૃષ્ણને સમજી શકાય.

જીવનમાં એક સુર ન હોઈ શકે જીવન વિરોધી સુરોનું સંગીત છે કૃષ્ણ યુદ્ધ અને શાંતિ બંનેનો સ્વીકાર કરે છે. કૃષ્ણ સરળ છે. પણ સરળતાનો અર્થ પલાયનવાદ, કમજોરી કે અનિર્ણાયકતા નથી. કૃષ્ણના મતે જે શુભ છે, તેણે પણ હાથમાં તલવાર પકડવી પડે, જેથી અશુભ ન જીતે. ઓશો કહે છે કે જો કોઈ તમારા ગાલ પર તમાચો મારે તો પચાસ ટકા ફાળો તમારો પણ છે. તમે તમારી ચેતનાની એટલી સંકોચી છે કે તમે બીજાને લાફો મારવાનું નિમંત્રણ આપો છો. જો તમારી ચેતના એનો વિરોધ કરશે તો કૃષ્ણ ત્યાં પ્રગટ થશે. નિર્ણયની ઘડી ક્યારે પણ સરળ હોતી નથી. શું શુભ છે અને શું અશુભ છે, તે નક્કી કરવું હંમેશા કઠિન હોય છે. મહાભારતના સમયે પણ તે એટલું જ મુશ્કેલ હતું. કારણ કે સામે પક્ષે ફક્ત દુર્યોધન ન હતો, ભીષ્મ પણ હતા. એ જ રીતે આ પક્ષમાં ફક્ત અર્જુન કે કૃષ્ણ ન હતા, બીજા લોકો પણ હતા. દુર્યોધન પાસે સારા માણસો હતા કે ખરાબ તે એટલું મહત્વનું નથી, જેટલું મહત્વનું તેનો લડવાનો હેતુ જાણવાનું છે. એ નક્કી કરવું વધુ જરૂરી છે કે ન્યાય શું છે, ન્યાયયુક્ત શું છે? આજની ઘડીએ સ્વતંત્રતા ન્યાય છે અને પરતંત્રતા અન્યાય છે. અહીં દેશની સ્વતંત્રતાની સાથે મનુષ્યની સ્વતંત્રતાની પણ વાત છે. જેનાથી મનુષ્યની સ્વતંત્રતા ઘટે તે અન્યાય છે. મનુષ્યની સ્વતંત્રતા જેનાથી વધે એવો સમાજ જોઈએ. સ્વતંત્રતાનો પક્ષ એ કૃષ્ણનો પક્ષ છે. વ્યક્તિનું મૂલ્ય કિંમતી છે. માટે જ કૃષ્ણ દરેક સમયે પ્રસ્તુત છે.

કૃષ્ણ માત્ર વિભૂતિ નથી, અનુભૂતિ છે. આ અનુભૂતિ એ જ ભક્તિ, તેનો સાક્ષાત્કાર એ જ આપણા જીવનની ધન્યતા. આ અનુભૂતિ થાય ત્યારે દિલમાં કૃષ્ણ છવાશે, રોમરોમમાં આનંદ હશે, મનમાં બંસીનો વેણુનાદ હશે. આવી અનુભૂતિ અને કૃષ્ણમય કર્મયોગની સહુને શુભેચ્છા… જય શ્રીકૃષ્ણ.

રીટા જાની
19/08/2022

હેલીના માણસ – 30 | હમસફર | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-30 ‘હમસફર’ એની 29મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? 

તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો? 

 

બંગલો તો ઓછેવત્તે ગમે ત્યાં મળી જશે, 

ઘર, ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો? 

 

શત્રુ તો ઉઘાડો છે છડેચોક દોસ્તો।

મિત્રોને પારખે એ નજર ક્યાંથી લાવશો? 

 

શંકરની જેમ નાગને મફલર કરી શકો, 

પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો? 

 

મંજિલ ‘ખલીલ’ આવશે રસ્તામાં ક્યાંક પણ, 

સથવારો હોય એવી સફર ક્યાંથી લાવશો? 

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ – 

માતાપિતા હંમેશાં પોતાનાં સંતાનોનું ભલું જ ઈચ્છે. સંતાનના ગમે તેવા અપમાનજનક વર્તન છતાં, તેમને માટે કદી બદદુવાઓ તો નીકળે જ નહીં. એવું જ મોટા સંતોનું પણ છે. મહાવીર સ્વામીનું ઉદાહરણ આપણી સમક્ષ છે. કોઈ અજ્ઞાની ગમે તેટલું નુકસાન પહોંચાડે છતાં, તેઓ તેને માફ કરશે, બદલો લેવાની તો વાત જ નહીં. સૌને માટે દુવાઓ જ નીકળે. માબાપ, ગુરૂ કે પછી સંતો, દુવાઓ તો આપે, પણ તે દુવાઓ ફળે, તેવાં આપણાં કર્મો પણ હોવા જોઈએ ને! ગમે તેટલી સુખસગવડ હોય, દોમદોમ સાહ્યબી હોય પણ એ ભોગવવા માટે તન અને મન બન્ને તૈયાર જોઈએ. દુષ્કર્મો કર્યા હોય તો તમે સુખમાં રાચી ન શકો. સતત એ દુષ્કર્મ પડછાયો થઈને તમને ઘેરી વળશે અને સઘળું ભૌતિક સુખ, માત્ર મૃગજળ બનીને તમારાથી દુર જ રહેશે. 

સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? 

તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો? 

તમે જ્યાં રહો તે તમારું રહેઠાણ. આવા ફ્લેટ, ટેનામેન્ટ કે બંગલા તો તમે, ગમે ત્યાં વસાવી શકો પણ શું રહેવાનું ખરું સુખ કે હાશકારો એમાં મળે જ એવું ખરું? ના, એના માટે તો ઘર હોવું જોઈએ. પણ ઘર એટલે શું? રહેઠાણ ઘર ક્યારે લાગે? હા સાચું સમજ્યા, જ્યાં સ્નેહીજન હોય, મધુર કિલકારી કરતાં, ફુલડાં જેવાં બાળકો હોય, વાતે વાતે વ્હાલ વરસાવતાં વડીલો હોય અને સૌ એક સ્નેહ તાંતણે બંધાયેલાં હોય! સૌને એકબીજાની પરવા હોય. આવું ઐક્ય જે કુટુંબમાં હોય એ ઘર જ સાચા અર્થમાં ઘર બની રહે. 

બંગલો તો ઓછેવત્તે ગમે ત્યાં મળી જશે

ઘર, ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો! 

માણસ પાસે જ્યારે વધુ સંપત્તિ હોય ત્યારે તેની આસપાસ ઘણાં લોકો ટોળે વળતાં હોય છે. તમારી પાસે કોઈ કલા હોય કે સત્તા હોય, કોઈ ખાસ સ્કીલ તમે હાંસલ કરી હોય તો પણ ઘણાં લોકો તમારી સાથેની મિત્રતાનો દાવો કરતાં જોવા મળે. આ સૌમાં શત્રુને તો તમે તરત ઓળખી લો કારણ કે, એ તમારી ઈર્ષા કરશે, તમારું ભુડું બોલશે અને તમારી પ્રગતિમાં અવરોધક બનશે. પણ બાકીના લોકોમાં સાચા મિત્રને શોધવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. સાચા હીરાની પરખ જેમ સાચો ઝવેરી જ કરી શકે તેમ સાચા મિત્રોને શોધવા માટે ખાસ નજર હોવી જોઈએ. 

શત્રુ તો ઉઘાડો છે છડેચોક દોસ્તો

મિત્રોને પારખે એ નજર ક્યાંથી લાવશો! 

શંકર ભગવાન ગળે તો નાગ વિંટાળે છે પણ સાથે નાગના ઝેરથી પણ વધુ કાતિલ ઝેર પીને તેઓ નિલકંઠ બનેલા છે. હવે કોઈ સામાન્ય માનવી સર્પોનાં સુંદર વનમાં જાય તો ગળે સાપ મુકે તેવું બને. પણ શંકર ભગવાનની જેમ ઝેર તો ન પી શકે ને? એને માટે તો જીગર જોઈએ! કોઈના જેટલાં સારાં કાર્યો માણસ ધારે તો ચોક્કસ કરી શકે. પણ કોઈ જ્યારે સર્વજનહિતાય પોતે નુકશાન વેઠી લે. તેને અનુસરવું અત્યંત કઠીન હોય છે બલ્કે અશક્ય જ હોય છે. 

શંકરની જેમ નાગને મફલર કરી શકો, 

પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો? 

ઘરમાંથી નીકળી પડીએ અને ક્યાં જવું છે તે નક્કી હોય તો પછી મંજિલ તો મળવાની જ છે. પણ ત્યાં સુધીનો માર્ગ એકલાં એકલાં કાપવો શું સરળ છે? માર્ગમાં સાથે ચાલનાર કોઈ હમસફર હોય તો? તો સફર સરળ બની જાય, સોહામણી બની જાય અને એ સુહાની સફર ક્યારે પતી જાય એની પણ ખબર ના પડે. પણ એવો સાથ શોધવો ક્યાં સહેલો છે? 

મંજિલ ‘ખલીલ’ આવશે રસ્તામા ક્યાંક પણ

સથવારો હોય એવી સફર ક્યાંથી લાવશો

જિંદગીની સફરમાં આપણી સામે ડગલે ને પગલે આવીને ઉભા રહેતા પ્રશ્નો જેવા કે, આમ તો કરી લઈએ પણ આ ક્યાંથી લાવીશું? એ ખૂબ સરસ રીતે, ખલીલ સાહેબે આ ગઝલ દ્વારા આપણને સમજાવી દીધું નહીં? મિત્રો, આવી જ જીવનને સમજવામાં ઉપયોગી એવી બીજી એક ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. 

નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

 



ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૨૧: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક ખુબ પ્રખ્યાત રચનાને જાણીએ અને માણીએ. “ગીતબિતાન” ની રચનાઓ થકી ગુરુદેવે આપણને માનવજીવનની સંવેદનાઓના મેઘધનુષનો પરિચય કરાવી રહ્યા છે. અત્યાર સુધી આપણે ગુરુદેવની પૂજા અને પ્રેમ વિભાગમાં વર્ગીકૃત થયેલી રચનાઓને માણી. ગુરુદેવે માનવજીવનને સ્પર્શતા લગભગ બધાજ પાસાઓને તેમની રચનાઓ થકી આવરી લીધેલ છે. તો, ચાલો, હવે આપણે ગુરુદેવની સ્વદેશ અને પ્રકૃતિ વિભાગમાં વર્ગીકૃત થયેલી ચૂંટેલી રચનાઓને જાણીશું અને માણીશું.

15મી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ હવે હાથવેંતમાં છે અને દેશભક્તિનો જુવાળ ચરમસીમા પર છે. આ વખતે તો આઝાદીનો અમૃતમહોત્સવ ઉજવવાનો ઉલ્લાસ કાંઇક અનોખો છે. આ ઉલ્લાસ અને જુસ્સામાં ઉમેરો કરતી એક ખુબ પ્રખ્યાત પ્રસંગોચિત રચનાને આજે જાણીએ અને માણીએ. 1905માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે যদি তোর ডাক শুনে (Jodi Tor Dak Shune) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “એકલો ચાલ…  ”. જેનું સ્વરાંકન કવિવરે બાઉલ ઢાળમાં કર્યું છે અને તેને દાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે 

આ કવિતાનો ભારતની લગભગ દરેક ભાષામાં ભાવાનુવાદ થયેલો છે. શ્રી મહાદેવભાઈ દેસાઈ દ્વારા “તારી હાંક સુણી કોઈ ન આવે…” એ કવિતા રૂપે ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. લગભગ બધાજ પ્રખ્યાત ગાયક/ગાયિકાઓ એ આ રચનાની રજુઆત કરી છે અને હિન્દી અને બંગાળી સિનેમામાં પણ આ રચનાની પ્રસ્તુતિ થયેલી છે.  ગુરુદેવની ગૂઢ અને ગહન રચનાઓનો ભાવાનુવાદ કરવાની મારી કોઈજ પાત્રતા નથી પણ છતાંયે અત્રે આ રચનાનો ભાવાનુવાદકરવાનો નમ્ર પ્રયાસ કરેલો છે. 

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રચાયેલી આ કવિતા મહાત્મા ગાંધીજીની અત્યંત પ્રિય રચના હતી.  બાઉલ (baul) ઢાળમાં સ્વરબદ્ધ થયેલ આ બંગાળી ગીત/કવિતા  સાંભળતા જ  ભાષાના સીમાડાઓથી પર એક અનોખા જોમ અને જુસ્સાનો અંગેઅંગમાં સંચાર થઇ જાય છે.

“એકલો ચાલ…  ” – કેટલી ગહન અને ફિલસુફી ભરેલા સરળ શબ્દો…મારા, તમારા, સૌના જીવનમાં લગભગ એવા સંજોગો ઉભા થતાંજ હોય છે જ્યાં તમારે તમારા ધ્યેય સુધી પહોંચવા એકલાજ આગેકૂચ કરવી પડે છે. And the journey towards our goal is going to be full of obstacles and obstructions. ગુરુદેવે એ બધીજ મુશ્કેલીઓ અને વિટંબણાઓને સર કરીને પણ એકલા આગળ વધતા રહેવાની શીખ આપી છે. અને માત્ર એકલા આગળ વધવાનીજ નહિ પણ પોતાના અંતરના અવાજને વાચા આપી અને સ્વયં દીપ બની અજવાળું ફેલાવતા એટલેકે પોતાના કાર્યો અને કર્મોથી ઉજાસ ફેલાવતા આગળ વધવાની શીખ આપી છે.

આપણી  જિંદગીની સફર માત્ર અને માત્ર આપણી પોતાની જ છે. કદાચ આપણી સાથે કોઈક થોડો સમય સાથ આપી શકે, કોઈક થોડો સમય ચાલી શકે પણ છેવટે તો આપણેજ આપણી સફર કાપવાની છે. I love this quote by Rumi.” “It’s your road, and yours alone. others may walk it with you, but no one can walk it for you.” હા, એકલા ચાલતા  ચાલતા ક્યારેક પથમાં  આવતી અડચણોથી નાસીપાસ થઇ જઈએ ત્યારે ગુરુદેવના આ જોમ અને જુસ્સા સાથેના શબ્દો યાદ કરી લઈએ તો ફરી પાછા એકલપંડની આ સફર પર આગળ ચાલી શકીએ.  

આધ્યાત્મિક રીતે વિચારીએ તો પણ આપણે સૌ આ દુનિયામાં એકલા જ આવ્યા અને એકલાજ જવાના…અને આપણી આજુબાજુના આ જે કઈ સબંધો છે તે તો આ શરીરના સબંધો છે બાકી આ અજર અમર અવિનાશી આત્માતો આ સૌ સબંધોથી પર છે અને તેને તો માત્ર પરમાત્મા સાથેજ સબંધ છે. અને આત્માની અનંત ગતિતો એકલપંડે જ હોવાની…  

તો ચાલો, આજે હું આ પ્રેરણાદાયી કવિતાના હાર્દને મમળાવતા મમળાવતા મારી કલમને વિરામ આપું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,    

અલ્પા શાહ 

ઓશો દર્શન-29. રીટા જાની

wp-1644023900666



ભારત એ સનાતન સંસ્કૃતિનો દેશ છે. સાંસ્કૃતિક વિચારધારા એ સદીઓથી દેશનો પ્રાણ રહી છે. પૂર્ણતાને કોણ નથી ચાહતું? અષ્ટ સિદ્ધિ અને નવ નિધિની પરિકલ્પના અને ભક્તિથી વ્યાપ્ત છે આપણી સંસ્કૃતિ. સંસ્કૃત સાહિત્યમાં પણ એના ઉલ્લેખો જોવા મળે છે. આ પ્રેરણા જ્યારે વાતાવરણમાં છવાય ત્યારે મન મલકે, ઉત્સાહ છલકે, શ્રાવણના સરવરિયામાં સરબોર સ્નાન કરતાં ભક્તિની મોસમ છવાય. ક્યારે? શ્રાવણ માસમાં. ક્યાંક હર હર ભોલેની ધૂન ચાલતી હોય તો ક્યાંક પર્યુષણના પાવન પર્વના તપ થતા હોય તો વળી ક્યાંક કરબલાના મેદાનમાં વહોરેલી શહીદીનો માતમ મનાવતો મહોરમનો તહેવાર ઉજવાતો હોય. કારણ કે ભક્તિ એ જ સિદ્ધિ અને સમૃધ્ધિની કારક છે, ભક્તિ એ જ સંસારના દુઃખોની મારક છે અને ભક્તિ એ જ ભવસાગરની તારક છે- તેવું સામાન્ય જ્ઞાન સહુના મનમાં પણ છે અને વ્યવહારમાં પણ, જે જીવન અને મૃત્યુના ફેરામાંથી મુક્તિ અપાવે છે. મીરાં એવું ગાય કે ‘પાયો જી મૈંને રામ રતન ધન પાયો.’ તો ભક્તિરૂપી ધન તો સૌથી શિરમોર છે. જેને આ ધન પ્રાપ્ત થાય તે સુખ કે દુઃખ, ગરીબી કે અમીરીથી પર થઈ જાય છે.

તો ચાલો, આજે ઓશો દર્શનમાં ભક્તિયોગ વિશે વાત કરીશું. કવિ શ્રી હરીન્દ્ર દવે ‘ગીતા દર્શન અષ્ટાવક્ર મહાગીતા’ની પ્રસ્તાવનામાં ઓશો વિશે કહે છે કે ઓશો જ્ઞાનના મર્મ સુધી પહોંચી ગયા છે. જ્ઞાન શબ્દોમાં નથી કે સફેદ કાગળ ઉપર ઉતરેલા કાળા અક્ષરોમાં નથી એવું તેઓ વારંવાર કહે છે. ઓશો માટે બ્રહ્મવિદ્યા કોઈ પ્રયાસથી પ્રાપ્ત કરવાની સિદ્ધિ નથી. સહજ રીતે એ એમનામાં પ્રગટી છે. ઓશોને જે કહેવું છે તે તેઓ સહેલાઈથી કહી શકે છે. પણ તેમની પ્રસ્તુતિ એવી છે કે પંડિત પુરોહિતોથી માંડીને સમગ્ર સમાજ ભડકી જાય. શ્રીમદ્ ભગવત્ ગીતાના અધ્યાય-12નો સંદર્ભ લઈને ઓશો ભક્તિ યોગ સમજાવે છે.

એક એવું જગત છે, જેને મનુષ્યની બુદ્ધિ તર્ક દ્વારા સમજી શકે છે. તો એક એવું પણ જગત છે, જે તર્કને પાર છે, જ્યાં માત્ર હૃદય જ પ્રવેશી શકે. આવો અભિગમ હોય ત્યારે જ ભક્તિ યોગમાં પ્રવેશ શક્ય બનશે. સ્વયંથી બહાર જવાનું જેનામાં સાહસ હોય, તેને જ ભક્તિ સમજાય છે. પ્રેમની દિશાના પરિવર્તનનું નામ ભક્તિ છે. પ્રેમ જ્યારે જગત તરફથી દ્રષ્ટિ ફેરવીને અંતર તરફ, ચૈતન્ય તરફ વળે છે, ત્યારે એ જ પ્રેમ શ્રદ્ધા અને ભક્તિ બની જાય છે. અહંકારથી પાર જવું બુદ્ધિ માટે મુશ્કેલ છે, પણ ભક્તિનો અર્થ તો સમર્પણ છે જ્યાં એક છલાંગમાં અહંકારની પાર થઈ શકાય છે. માટે ભક્તિનું પ્રથમ સોપાન છે -અહંકાર વિસર્જન.

ભક્તમાં સાહસ હોય છે, અજ્ઞાતમાં ઉતારવાનું. ભક્તિ તર્ક માટે અગમ્ય છે. માત્ર સરળ ચિત્ત લોકો જ આ માર્ગમાં પ્રવેશ કરી શકે છે. અંતરમાંથી બધું જ ખાલી કરી નાખીએ, ત્યારે શૂન્યમાં જ નિરાકારનો સ્પર્શ થાય. કશું જ છોડવાનું નથી પણ અંતરમાં જે કંઈ છે, તેને પરમાત્મામાં લીન કરવાનું છે. કૃષ્ણ, ભક્તિના માર્ગને શ્રેષ્ઠ ગણાવે છે. શ્રદ્ધા કોઈ તર્ક પર આધારિત નથી, કોઈ વિશ્વાસ નથી પરંતુ શ્રદ્ધા એક અનુભવનું પરિણામ છે. કૃષ્ણ કહે છે કે જ્ઞાનના માર્ગ પર ચાલનારને શૂન્ય થવું પડે છે અને પ્રેમના માર્ગ પર ચાલનાર પૂર્ણ થવું પડે છે. આ એક જ ઘટનાના બે નામ છે. ભક્ત પહેલા પગલે આ કરી શકે છે, જ્યારે જ્ઞાની અંતિમ પગલે વિલીન થઈ શકે છે. ભક્ત પાસે એ સમર્પણ છે, જેથી અહંકાર ઓગળવા લાગે છે. “હું છું” નો ભાવ તિરોહિત થાય છે, ત્યારે પરમાત્મા સંભવે છે. ભાવ ગહન છે, તર્ક તો છીછરો છે. કર્મયોગનો અર્થ છે -એવા ભાવ સાથે કર્મ કરવું કે કર્મ તમે નથી કરતા, પરમાત્મા કરી રહ્યા છે. બધા કર્મોના ફળનો ત્યાગ ધ્યાન કરતાં પણ શ્રેષ્ઠ છે. ત્યાગથી પરમ શાંતિ થાય છે. ભક્ત કર્તાભાવથી મુક્ત બને છે. સર્વ પ્રતિ મમતારહિત પ્રેમ એટલો મોટો આનંદ છે કે તેનાથી અતિરિક્ત કોઈ ઈચ્છા રહેતી નથી. આકાંક્ષામુક્તિનો અર્થ છે – જે છે તેમાં જ સંતોષ. શુદ્ધ વ્યક્તિ એ છે જે અંદર અને બહારથી સમાન છે.

મોટાભાગના લોકો માટે તેમના દુઃખનું કારણ બીજાનું વધુ સુખ હોય છે. મનુષ્ય કાં તો ભૂતકાળને વાગોળે છે કે પછી ભવિષ્યનું ચિંતન કરે છે, જેના પરિણામે તે વર્તમાનને ગુમાવે છે. પરંતુ જે વર્તમાનની ક્ષણમાં છે તે તો છે નિશ્ચિંત, ચિન્તાશૂન્ય, વિચારશૂન્ય. ઘડિયાળના લોલકની જેમ ડોલતું મન છે વિષમ અવસ્થા. જે સુખ અને દુઃખમાં પણ સમ રહે છે, વિચલિત નથી થતો, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે અને મનનશીલ છે તથા સંતુષ્ટ રહે છે, સ્થિર બુદ્ધિવાળો ને ભક્તિમય છે – તે ભક્ત પરમાત્માને અતિપ્રિય છે.

તમે જે ક્ષણે શાંત અને નિષ્કામ થઈ જશો, તે ક્ષણે તમે અનુભવશો કે પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. ટૂંકમાં કહીએ તો ઓશો કહે છે કે ભક્તિનો અર્થ એ છે કે પરમાત્માને બુદ્ધિ દ્વારા નહીં, પણ હૃદય દ્વારા પ્રાપ્ત કરી શકાય; વિચાર દ્વારા નહીં પરંતુ ભાવ દ્વારા પામી શકાય; ચિંતન દ્વારા નહીં પરંતુ પ્રેમ દ્વારા અનુભવી શકાય. ભક્તિની પ્રાપ્ત કરવી હોય તો આક્રમક ચિત્ત બાધારુપ છે. અને છેલ્લી પણ ખૂબ મહત્વની વાત એ કરે છે કે જે ક્ષણે તમે સ્વયંને વિસ્મૃત કરી દો છો, એ પણ ભૂલી જાવ છો કે તમે કોની શોધ કરી રહ્યા છો, તે ક્ષણે જ ઘટના સંભવે છે અને અમૃતની ઉપલબ્ધિ થાય છે. સૌને આ ભક્તિના અમૃતનું રસપાન કરવાનો લહાવો મળે એ જ અભ્યર્થના….

રીટા જાની
12/08/2022