૪૫ – શબ્દના સથવારે – ચાદર – કલ્પના રઘુ

ચાદર

ચાદર એટલે ઓછાડ, સ્ત્રીઓનો સાડી ઉપરનો ઓઢો, પિછોડી, ધોળાં કપડાંનો પાંચ-સાત હાથ લાંબો કટકો, ચોફાળ, પલંગપોશ, કબર પર કે મડદાંને ઓઢાડવાનું કપડું, નદી કે પહાડનાં નીચાણવાળા સપાટ ભાગ ઉપરથી થોડાં તરત નીચેનાં ભાગ ઉપર પડતો પાણીનો પથરાયેલો વિસ્તાર, ધોધનાં આકારની એક આતશબાજી (જ્વાળા), એક પ્રકારની પુરાતની તોપ, ઉપર ઘી ચૂરમામાં નાંખેલ ખાંડ અથવા સાકરનો ભૂકો, ગોળીનો વરસાદ, ચાદરપાટ, દેવતા અથવા પૂજાસ્થાન ઉપર ચડાવવામાં આવતો ફૂલોનો સમૂહ, ફૂલ ગૂંથીને બનાવાતી ચાદર, લોઢાનું પતરું વગેરે. અંગ્રેજીમાં ‘bed-sheet’, ‘counterpane’, ‘coverlet’, ‘covering mattress’, ‘sheet for covering oneself’, ‘for covering a dead body’, ‘iron sheet’.

ચોમાસામાં મેધરાજાની મહેરથી મા ધરતી પણ હરિયાળી ચાદર ઓઢે છે. વરસાદી, બરફની, ધુમ્મસની ચાદર જેવા શબ્દો વપરાય છે. ચાદર શિયાળામાં ઠંડીથી, મચ્છરોનાં ત્રાસથી રક્ષણ કરે છે. મોટેભાગે હોટલોમાં કે ઘરમાં રાત્રે સફેદ રંગની ચાદર પાથરવામાં આવે છે કારણકે સફેદ રંગ આંખોને આરામ આપે છે તેમ જ તણાવને દૂર કરે છે અને ઉંઘ સારી આવે છે. નિષ્ણાતોનાં મત અનુસાર રોજ વપરાતી ચાદર બેક્ટેરીયા કે ફંગસનું ઘર બની જાય છે જે નરી આંખે જોઇ શકાતું નથી માટે એલર્જી, અસ્થમા કે ત્વચાનાં રોગોથી બચવા માટે ચાદર નિયમીત ધોવાવી જોઇએ.

અકબર બીરબલની એક બોધકથા છે, ‘સવા ગજની ચાદર’. અક્બરે સવા ગજની ચાદર તૈયાર કરાવી. તેનાં હજૂરીયાઓને કહ્યું કે, ‘મને આ ચાદર એવી રીતે ઓઢાડી દો કે મારું આખું શરીર ઢંકાઇ જાય’. અને તે સૂઇ ગયો. સૌએ યુક્તિઓ કરી. પરંતુ ચાદર પગ તરફ ખેંચે તો મોઢું ખુલ્લું રહે અને મોઢા તરફ ખેંચે તો પગ ખુલ્લાં રહે. આખરે બીરબલને બોલાવ્યો. બીરબલે અકબરનાં પગ બેવડા વાળીને ચાદર ઓઢાડી દીધી. આખું અંગ ઢંકાઇ ગયું. બીરબલે કહ્યું, ‘હજૂર! લાંબા પગે ટૂંકી ચાદર ઓઢાય? પગ જોઇને પાથરણું તાણવું જોઇએ’. કદાચ આ પ્રસંગ પરથી આ કહેવત બની હશે. ‘ચાદર પ્રમાણે સોડ તાણો’. આનો એવો પણ અર્થ થાય કે માણસે આવક પ્રમાણે ખર્ચ કરવો જોઇએ તેમજ ક્ષમતા પ્રમાણે કામ કરવું જોઇએ.

સૂફી સંતની દરગાહ પર લોકો ચાદર ચઢાવતા હોય છે, ક્યારેક કપડાંની તો ક્યારેક ફૂલોની. સંતોનાં કહેવા મુજબ આમ જોઇએ તો આ શરીર શું છે? હાડ-માંસ, લોહી-પરુથી બનેલું પોટલું. દરેક માણસનું સરખું જ છે. માત્ર બહાર સફેદ કે કાળી કે રેશમી ચાદરથી લપેટાયેલું હોય છે. જો ચાદર ના હોય તો ચિતરી ચઢે.

આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવીટી પહેલાં વૈજ્ઞાનિકો માનતાં હતા કે ગ્રહો, તારાઓ અને બીજાં પદાર્થો બ્રહ્માંડમાં તરી રહ્યાં છે જ્યારે આઇન્સ્ટાઇનનું માનવું હતું કે તે એક ચાદર ઉપર રહેલાં છે. ૨૦૧૧માં નાસાએ જાહેર કર્યું કે બ્રહ્માંડની ચાદર ખરેખર જ મરોડાઇ હતી. મતબલ સાચેજ બ્રહ્માંડ ચાદર જેવું લચીલું છે. આઇન્સ્ટાઇનની થિયરી પ્રમાણે તેમાં તાણા વાણાં છે જેને વિજ્ઞાનીઓ વર્લ્ડલાઇન કહે છે.

ચાદરની વાત આવે એટલે ૧૫મી સદીમાં થઇ ગયેલ સંત કબીરજી યાદ આવ્યાં વગર ના રહે. કબીરજી જૂલાહા એટલે કે વણકર હતાં. ચાદર વણતાં વણતાં, ચાદરને મનુષ્ય શરીર અને આત્માનાં પ્રતીક બનાવીને તેમણે ઉત્તમ વાતો વણી છે. શ્વાસ અને ઉચ્છવાસનાં તાણાંવાણાંથી આ જીવનરૂપી ચાદર વણાય છે. એમનાં ખૂબ જાણીતાં ભજનને યાદ કરીએ,

ચદરિયા ઝીની રે ઝીની યે રામ નામ રસભીની…

અષ્ટ કમલકા ચરખા બનાયા, પાંચ તત્ત્વકી પુની,

નૌ દસ માસ બુનન કો લાગે, મૂરખ મૈલી કીની …

જબ મોરી ચાદર બન ઘર આયી, રંગરેજ કો દીની,

ઐસા રંગ રંગા રંગરેજને, લાલેં લાલ કર દીની …

ચાદર ઓઢ શંકા મત કરીઓ, યે દો દિન તુમકો દીની,

મૂરખ લોગ ભેદ નહીં જાને, દિન દિન મૈલી કીની …

ધ્રુવ પ્રહ્‌લાદ સુદામાને ઓઢી, શુકદેવને નિર્મલ કીની,

દાસ કબીરને ઐસી ઓઢી, જ્યું કી ત્યું ધર દીની …

તેઓએ કહ્યું છે, ‘વણકરે ચાદર તો સરસ બારીક વણી છે પણ એ ચાદરને દેવ-માનવ-મુનિ સહુ ઓઢીને મેલી કરી નાંખે છે’. કબીરે પોતાનાં દેહરૂપી ચાદરને વિકારોથી મલિન થવા દીધી નહોતી. પરમાત્માએ જે શુધ્ધ અને નિર્મળ દેહરૂપી ચાદર આપી હતી તેવીને તેવીજ મૃત્યુ સમયે પરમાત્માને ચરણે ધરી.

આધુનિક યુવા કવિ અનિલ ચાવડાએ પોતાનાં કાવ્યમાં ખૂબ ઊંચી વાત લખી છે.

‘શ્વાસ નામની સીમેન્ટ લઇને જીવન ચણવા બેઠા,

અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા’.

મૃત્યુ બાદ ઓઢાડેલા કફનમાં ખીસ્સું હોતું નથી માટે માનવે ‘ચાદર’ શબ્દ દ્વારા આ જીવનલક્ષી અધ્યાત્મવાદી વાત સમજવી જ રહી.

૪૬-આવુંકેમ?-ડાયરી કે રોજનીશી!

આવુંકેમ?ડાયરી કે રોજનીશી!
દર વર્ષની જેમ આ વર્ષે પણ હું મારાં જન્મદિવસે ડાયરી અને પેન લઈને બેસું છું! ઘણી પ્રસિદ્ધ ડાયરીઓથી હું પરિચિત છું જેમાં યુરોપ – નેધરલેન્ડની માત્ર તેર વર્ષની ઉંમરે હિટલરથી છુપાઈને એટિકમાં બે વર્ષ સંતાઈને રહેનાર એન ફ્રેન્કની ડાયરી જેનું વિશ્વની સો જેટલી ભાષાઓમાં ટ્રાન્સલેશન થયું તે પણ છે! અને ગાંધીજીની ડાયરી પણ છે!
પણ આજે શું લખું હું મારાં જન્મદિવસના આ વર્ષના સરવૈયામાં ?
“પણ શી જરૂર છે કાંઈ પણ લખવાની?” આળસું મન દર વખતની જેમ બંડ પોકારે છે! જે થઇ ગયું છે તે ભૂતકાળ છે; જે થવાનું છે તેના ઉપર તારો કોઈજ કાબુ નથી તો આવાં “ ડાયરા” લખીને વ્યર્થ સમય બગાડવાનું શું કામ ?
ડાયરી એટલે કે રોજની શી! રોજે રોજ નહીં તો સમયાંતરે લખેલી ‘રોજની શી’ એટલે કે ડાયરી જર્નલ !
ગાંધીજી જેવી મહાન વ્યક્તિ માટે એ મહત્વનું હોય અને મહાદેવભાઈ દેસાઈ જેવા એમની દિનચર્યાનો હિસાબ રાખે તે સમજી શકાય ; દિવસ દરમ્યાન કોને મળવાનું છે, ક્યારે , કોની સાથે શી વાતો થઇ વગેરે વગેરે અનાયાસે જ સચવાઈને રહે . અને પછી એનો અભ્યાસ થાય , સમાજ , દેશ અરે વિશ્વને એમાંથી ઘણું જાણવા સમજવાનું મળે ! પણ કોઈ સામાન્ય માનવી ડાયરી શું કામ લખે ?
થયેલી ભૂલોને લખીને યાદ રાખીને દુઃખ તાજું કરવા ? કોઈએ વિશ્વાસઘાત કર્યો હોય , ક્યાંક છેતરાયાં હોઈએ , ક્યાંક દગો થયો હોય આવા નકારાત્મક પ્રસંગ ભુલવાને બદલે ઘૃણા , આક્રોશ , અફસોસ , દુઃખ જેવી લાગણીઓને હવા આપવા ? આવી વાતોને યાદ રાખવાનો શો અર્થ ?
પણ મારું મન કૈંક જુદુંજ કહે છે! બસ એજ કારણથી ડાયરી નહીં લખવાની ?
ઘોડે ચડે એ પડે ! જીવનમાં કાંઈપણ કરવાનું ધ્યેય રાખીએ એટલે જો એમાં સફળતા ઈચ્છતાં હોઈએ તો પચાસ ટકા નિષ્ફ્ળતા પણ સાથે જ આવી જાય ! ડાયરીમાં જો આવી નિષ્ફ્ળ પળ વિષે લખ્યું હોય તો સફળ દિવસોના આનન્દ વિષે પણ લખેલું હોવાનું જ! નિષ્ફ્ળતા અને હતાશામાં સારેલા આસું ની જેમ જયારે તમે જીવનમાં સફળતાનાં શિખરે પહોંચ્યા હોવ : ને તમે બુલંદ અવાજે ગાયું હોય;
‘આજ મૈં ઉપર આસમાં નીચે!’ એ પણ આ સરવૈયામાં સામેલ હોય ને? માર્ક ટ્વાઈને એક જગ્યાએ લખ્યું છે કે પ્રત્યેક મનુષ્યને એક પ્રકારની જિંદગી જીવવાની ઈચ્છા હોય છે, અને તેનાથી કૈંક જુદા જ પ્રકારનું જીવન જીવાઈ જતું હોય છે ; અને જયારે એ બન્ને વચ્ચે એ સરખામણી કરે છે ત્યારે જીવનની મહત્વની પળ સર્જાય છે!
પણ આવું કેમ?
જીવનની આવી મહત્વની ક્ષણનું સર્જન આપણાં હાથમાં જ હોવા છતાં , કેમ મોટા ભાગના લોકો ડાયરી લખવાનું પસંદ નથી કરતાં ?
‘મારે શું બનવું હતું અને હું શું છું?’
કેટલો સરળ પ્રશ્ન !
અને જર્નલ લખતાં હોઈએ તો કેવો સીધો જવાબ !
પણ તેમ છતાંયે ઘણાં ડાયરી લખવાથી દૂર ભાગે છે!
આવું કેમ?
મેડિકલ સાયન્સમાં અમુક મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ; શા માટે ?કે જેથી કરીને એના ઉપરથી શીખીને સાયન્સ આજે આ જગ્યા સુધી પહોંચ્યું છે!
જેવું વિજ્ઞાનનું તેવું જ જીવનનું !ભૂતકાળની કેડી પરથી તો આપણે વર્તમાન સુધી પહોંચ્યા છીએ !
ડાયરી એટલે વ્યક્તિની અંગત વાત અતિ અંગત અંતરતમ મન સાથે!
ખાનગી વાતો, ખાનગી , મનના ખૂણામાં સંતાઈને છુપાયેલા વિચારો !
એને શબ્દ દેહ આપી કોઈના હાથમાં આવી જવાનો ભય સદાયે રહેવાનો :’એણે આમ કર્યું છે એટલે હું આવી રીતે કરીશ પછી આવું થશે ! ‘ આવું તમે ડાયરીમાં લખ્યું હોય અને કોઈ વાંચી લે તો?
લખીને ચોળીને ચીકણું કરવાનું? શા માટે?
હં! એ ભય તો છે જ!
પણ મોટો ફાયદો એ છે કે આપણાં અંગત વિચારો , માન્યતાઓ કોઈને કહેવાને બદલે એક જ જગ્યાએ લખી કાઢવાથી ક્યારેક દુઃખ ઓછું થાય છે, ક્યારેક એ થેરાપીનું કામ કરે છે! ક્યારેક સુંદર વાતોની યાદ મન પ્રફુલ્લિત કરે છે!
ઘણી વાર જીવનના શરૂઆતના વર્ષોમાં આપણે કોઈ કલા , કોઈ શોખ કોઈ વિચાર કે કોઈ વ્યક્તિથી આકર્ષાયાં હોઈએ, પણ કાળના પ્રવાહમાં એ બધું ભુલાઈ ગયું હોય પણ ડાયરીના પાનાઓ પર કંડારાયેલું હોય તો ક્યારેક વાંચીને એની યાદ તાજી થાય!
આપણું ચંચળ મન ક્યારેક બે વિરોધાભાસી લાગણીઓ એક સાથે દર્શાવતું હોય છે. ડાયરીમાં એનું આબેહૂબ પ્રતિબીંબ ઝીલાય !
હા , એક વાત મહત્વની સો ટચના સોના જેવી છે: પુરી પ્રામાણિકતાથી જ ડાયરી લખાવી જોઈએ ! એમાં કોઈ આડમ્બર ના ચાલે !
એવું કેમ? જે કોઈએ વાંચવાની નથી , માત્ર સ્વ સાથેની જ વાત છે તો થોડી ડંફાસ હોય, થોડા બણગાં ફૂંક્યા હોય તો શું વાંધો ? મન પૂછે છે: એવું કેમ?
કારણકે તો ડાયરીમાં જિંદગીનું સાચું પ્રતિબીંબ નહીં પડે : અને ડાયરી લખવાના ફાયદા નહીં થાય .મારાં અમુક મિત્રો સાહિત્યના શોખીન , લખવા વાંચવાનો પણ શોખ, છતાંયે ડાયરી લેખનથી દૂર રહે! કેમ? કેટલીક વાતો એવી હોય કે એને ન કહેવામાં જ હિત છુપાયેલ હોય!
પોતાના દેશમાંથી છાનામાના ભાગીને અમેરિકા આવેલ મારી યહૂદી મિત્રે કહેલું કે એ લોકો કેવીરીતે પોતાનો દેશ છોડીને , ભાગીને, સંતાઈને અમેરિકા આવ્યાં એમાં કોણે મદદ કરી એ વ્યક્તિઓના નામ તો નહીં પણ માત્ર પગેરું જ દર્શાવે તો પણ કોઈનો જાન જોખમમાં મુકાઈ જાય તેમ છે! અને તેથી જ તે મૌન રહેવું ઉચિત માને છે!
ઇઝરાયલની પ્રાયમીનીસ્ટર ગોલ્ડા મેર પોતાની આત્મકથામાં લખે છે કે ઈઝરાયલમાં શાંતિ રહે તે માટે એ નજીકના મિડલ ઇસ્ટના દુશમન દેશોમાં શાંતિની મંત્રણા કરવા ખુબ જ ગુપ્ત વેશે , ખાનગીમાં ગઈ હતી. એની આત્મકથા લખવી શરૂ કર્યા બાદ કોઈએ તારીખ , સમય વગેરે બરાબર બેસાડી જે વ્યક્તિએ એને મદદ કરી હતી તેને શોધી કાઢ્યો અને એનું ખૂન થઇ ગયું! અને તેથી જ તો કેટલાક રાજકારણીઓ માટે ડાયરી લખવી જીવતો બૉમ્બ લઈને ફરવા બરાબર છે! પણ આવું કેમ? કેટલાક રાજકારણીઓ કાંઈ ના લખે એમાં જ મઝા ; અને ગાંધીજી જેવાની રોજની શી- એકે એક દિવસનો હિસાબ જગ જાહેર ?
એવું કેમ?
અને ફરી એક વાર, હું ડાયરીમાં લખવાની શરૂઆત કરું છું : ભૂતકાળના પાંસઠ વર્ષનું સરવૈયું અને હવે નવું પાનું !
બસ! જીવન એટલે જ આવું અને આવું કેમ વચ્ચેનું મંથન!

૫૦- હકારાત્મક અભિગમ- સંબંધોની ગરિમા- રાજુલ કૌશિક

સંબંધોની દુનિયા કેટલી નિરાળી છે નહી? મન મેળ હોય ત્યારે મહિનાઓ સુધી મળવાનું ન થાય તો ય કોઈ ફરિયાદો નથી હોતી પણ મળીને જો મનદુઃખ થાય તો કાચની જેમ તિરાડ પડતા પણ વાર નથી લાગતી અને પછી તો મન-મોતી અને કાચ તુટ્યા પછી એ ક્યાં સંધાય છે અને માટે જ આપણે એની નાજુકતા પારખીને એનું જતન કરીએ છીએ ને?
અહીં વાત કરવી છે બે મિત્રોની. બંને વચ્ચે અત્યંત ગાઢી મૈત્રી. દોસ્તીની મિસાલ આપી શકાય એવી. બંનેની પ્રકૃતિ પણ લગભગ એક સમાન. હવે એકવાર એવું બન્યું કે બંને જણ પ્રવાસાર્થે નિકળ્યા. વચ્ચે રસ્તામાં રેતાળ વિસ્તારમાંથી પસાર થતા હતા. કોઈપણ કારણસર બંને ચર્ચા પર ઉતરી પડ્યા. આવું તો ઘણી વાર એમની સાથે બન્યું હતું એટલે એમાં કોઈ નવાઈની વાત પણ નહોતી. બંને વચ્ચે વાદ હતો, સંવાદ હતો પણ ક્યારેય વિવાદ નહોતો. પણ ક્યારેય નહોતું બન્યું એવું એ દિવસે બન્યું. ચર્ચામાંથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને એક મિત્રએ ઉશ્કેરાઈને બીજા મિત્રના ગાલ પર તમાચો માર્યો.
બીજા મિત્રએ જરાય અકળાયા વગર રેતી પર લખી દીધું, “ આજે મને મારા સૌથી જીગરી મિત્રએ તમાચો માર્યો.”
અને બંને મિત્ર આગળ ચાલ્યા. થોડીવારના મૌન પછી બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું અને વાત પતી ગઈ. આગળ જતા નદી આવી. નદી પાર કરવા જતા બીજા મિત્રનો પગ પાણીમાં લપસ્યો અને એ પાણીના વહેણમાં તણાવા લાગ્યો. પહેલા મિત્ર કે જેણે ઉશ્કેરાઈને તમાચો મારી દીધો હતો એણે પોતાના જીવની પરવા કર્યા વગર વહેણમાં તણાતા મિત્રને બચાવી લીધો.
કિનારે આવીને થોડીવાર શ્વાસ હેઠો બેસતા પેલા બીજા મિત્રએ એક શિલા પર અણીદાર પત્થરથી કોતર્યું, “ આજે મારા સૌથી જીગરી મિત્રએ મારો જીવ બચાવ્યો.
આ જોઈને પહેલા મિત્રને નવાઈ લાગી. એને થયું કે પહેલા રેતી પર લખ્યું અને હવે શિલા પર કોતર્યુ કારણ?
બીજા મિત્રને કારણ પૂછતાં એણે જવાબમાં શું કહ્યું એ આપણે એના જ શબ્દોમાં જાણીએ.
“ તેં મને તમાચો માર્યો ત્યારે મને ખરેખર ખૂબ દુઃખ થયુ હતું. તું મારી સાથે આવો વ્યહવાર કરે એ મારા માન્યમાં આવતું નહોતું. આઘાત પણ ઘણો લાગ્યો જ હતો . મારે મારા આઘાતને, મારા ઉભરાને ઠલવી દેવો હતો જેથી મારું મન હળવું થઈ જાય આથી મેં મારા દુઃખને રેતી પર લખીને વ્યક્ત કર્યું. રેતી પરનું લખાણ પવનના સપાટાની સાથે ઉડી જાય છે ને? એની પરનું લખાણ ભૂંસાઈ જાય છે ને? એવી રીતે સમયના સપાટાની સાથે મારું દુઃખ પણ ઉડી જાય અને મનમાંથી ભૂંસાઈ જાય એવું હું ઇચ્છતો હતો. જ્યારે તેં મારો જીવ બચાવ્યો ત્યારે એ ઉપકાર મારે હંમેશ માટે યાદ રાખવો હતો. કોઈ આપણી પર ઉપકાર કરે એ પત્થરની લકીરની જેમ આપણા હ્રદયમાં કાયમી અંકિત થયેલું રહેવું જોઈએ, હંમેશ માટે મનમાં જડાઇ રહેવું જોઈએ ને ? આથી મેં એને શિલા પર કોતરી દીધું.
કેવી સરસ વાત! સંબંધોના વ્યહવારો પણ રેતી અને પત્થર પરના લખાણની જેવા જ હોવા જોઈએ. તકલીફ કે દુઃખની વાત મનમાંથી જેટલી જલદી વિસરી જઈએ એટલું આપણા માટે અને આપણા સંબંધોની સાચવણી માટે જરૂરી છે. પ્રસિધ્ધ અમેરિકન મોટીવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સ કહે છે એમ આપણા જીવનની ગુણવત્તા એ ખરેખર તો આપણા સંબંધોની ગુણવત્તા કેવી છે એના પર આધાર રાખે છે .
સીધી વાત- સંબંધોની ગુણવત્તા, સંબંધોની ગરિમાનો આધાર આપણા પર છે. એ ગુણવત્તા- એ ગરિમા સાચવવા શું યાદ રાખવું અને શું વિસારે પાડવું એ આપણે નક્કી કરવાનું છે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ એક પરમ તત્વ -૯-સપના વિજાપુરા

ભારતીય સંસ્કાર માં દરેક સંબંધને લગતો કોઈ તહેવાર જરૂર છે!! પતિ માટે કડવા ચોથ, કે ગુરુ માટે ગુરુ પૂર્ણિમા કે પછીભાઈ માટે રક્ષાબંધન!! ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમને રક્ષાનો સુતરનો ધાગો ચડે છે તો એ સંબંધ વધારે મજબૂત થઈ જાય છે!!ભાઈ બહેનની રક્ષા તથા સલામતી માટે બંધાઈ જાય છે!! અને સલામતી અને રક્ષા ત્યાં જ હોય જ્યાં પ્રેમ હોય છે!!આ રક્ષાની દોરી નથી પણ આ તો બહેનનો ભાઈને અને ભાઈને બહેનને હ્રદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે!! આ દસ્તાવેજ માં સૂતરના ધાગા પર પ્રેમની બાંહેધરી છે!!


પ્રેમ હોય ત્યાં રીસાવાનું અને મનાવાનું પણ હોય!! જે ઘરમાં ભાઈ બહેન સાથે સમય વીતાવે છે એ ઘર બહેનને હમેશ માટે યાદ રહી જાય છે મા બાપની છત્રછાયા નીચે ભાઈ બહેનનો પ્રેમ પરવાન ચડે છે.બહેનને ઘરમાં ધમકાવતો ભાઈ બહાર જાય અને બહેનને કોઈ કાંઇ પણ કહે તો એનાં માટે લડી મરવા તૈયાર થઈ જાય છે!! એક એક મધુર ક્ષણ નું ભાથું એ સાથે બાંધીને પિયાઘરે જાય છે!! પણ એ ભાઈ ને વચન આપીને જાય છે કે રક્ષાબંધન ના દિવસે હું દુનિયાનાં કોઈ પણ ખૂણામાં હોઈશ મારી રક્ષા તને પહોંચી જશે!!  બહેનનાં હ્રદયમાં થી એનાં માટે હમેશા આશીર્વાદ જ નીકળે છે!! નાજુક બહેનનું હ્ર્દય સ્નેહથી ભરેલું હોય છે!!

ભાઈના નામથી જેની આંખમાં પાણી આવી જાય એ બેનડી દૂર રહીને પણ ભાઈના ભલા માટે પ્રાર્થના કરે છે!!આમ તો દુનિયામાં બધાં  ભાઈ બહેન એક બીજાને પ્રેમ કરતા હોય છે, પણ ભારતના સંસ્કાર એવા છે કે ભાઈનું એક આગવું સ્થાન ગળથૂથી થી બહેનનાં હ્રદયમાં આરોપવામાં આવે છે. અને એ સ્થાન મૃત્યુ સુધી બહેનનાં દિલમાં કાયમ રહે છે.


આ પવિત્ર ધાગા સાથે પ્રેમ, વિશ્વાસ અને આદર બંધાયેલા છે!! ઇતિહાસમાં જોઈએ તો ચિતોડની રાણી, રાણી કર્ણાવતી એ હુમાયુને  આ રક્ષા મોક્લેલી. અમદાવાદના બાદશાહ બહાદૂર શાહ સામે સલામતી માટે!!અને એ મુસલમાન બાદશાહે  પોતાનીમાનેલી બહેનને સલામતી આપવાની બાંહેધરી આપી હતી.

 જ્યારે બંગાળના બે ભાગલા પાડવાનું અને હિન્દુ મુસલમાનને અલગ કરવાનું બ્રિટિશર એ વિચાર્યુ ત્યારે નોબેલ પ્રાઈઝ વિનરશ્રી રવીન્દ્રનાથ ટાગોરે જાહેરમાં રક્ષાબંધનનો કાર્યક્રમ રાખેલો જેમાં હિન્દુ મુસલમાન બન્ને પક્ષ શામિલ થયાં  ભાઈચારા અને એકબીજા પ્રત્યે માન અને પ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.અને બંગાળના ભાગલા પડતા અટકાવેલા! આટલો મજબુત આ રક્ષાનો ધાગો છે!! ભાઈ બહેનના સ્નેહને લગતા ઘણાં પ્રસગોથી ઈતિહાસ ભરેલો છે!!  કુંતી અને અભિમન્યુનો કિસ્સો પણમશહૂર છે!! 


દુનિયામાં ઘણી જાતના પ્રેમ છે પણ ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમમાં ઈશ્વરનો વાસ છે!! અને જ્યાં ઈશ્વરનો વાસ તે પ્રેમ પરમ બની જાય છે!! જેમાં વિકાર અને સ્વાર્થ નથી હોતા.

અહીં રવીન્દ્રનાથ ટાગોરની બે પંકતિનો અનુવાદ મૂકું છું!!”મારા હ્રદયમાં અને મારા શરીરમાં જે પ્રેમ છે તે પૃથ્વીના અંધકાર અને ઉજાસની જેમ વરસોથી મારામાં રહે છે.તેની દરકાર અને આશાથી એને  ભૂરા આકાશમાં પોતાની એક ભાષા બનાવી છે! એ મારી ખુશીમાં અને મારા દર્દમાં મારી સાથે રહે છે. વસંતની રાતમાં  એ કળી અને ફૂલોની જેમ અને રક્ષા ના ધાગાની જેમ જાણે કોઈ ભાઈના હાથમાં!! આજ પ્રેમ પરમ તત્વ છે!!

સપના વિજાપુરા

6 દ્રષ્ટિકોણ – ભૌતિક પ્રેમ – દર્શના

મિત્રો મારા દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી તમારું સ્વાગત. આ કોલમ ઉપર આપણે જુદા વિષયો અથવા જુદા દ્રષ્ટિકોણ થી વિષયોને માણીએ છીએ. આજે પ્રેમ અને વાસના નો વિષય લઈએ તો કેમ? આજે ઓગષ્ટ 25, કિસ અને મેક અપ ડે છે. બે પ્રેમીઓ વચ્ચે તકરાર હોય તો ચુંબન થી તકરારનો અંત આણવા જેવી સુંદર વાત બીજી શું હોય? બધા મિત્રો અને પ્રેમીઓ વચ્ચે લડાઈ ઝગડા તો થતાંજ હોય છે. આજનો ખાસ દિવસ તે લડાઈ સમાપ્ત કરવા માટેનો દિવસ છે. એ પણ જેમ તેમ નહિ પરંતુ ચુંબન કરીને પ્રેમ થી સમાપ્ત કરવાનો દિવસ છે. તો આજે સુતા પહેલા તમારા પ્રેમી કે પ્રેમિકા ની આંખોમાં આંખ પરોવી ચુંબન કરી ને પછી વાત જ્યાં પહોંચતી હોય ત્યાં જવા દેશો.  
આજના દિવસની સંવેદનશીલતાને ધ્યાન માં રાખીને હું બે કાવ્ય પ્રસ્તુત કરું છું. પહેલા કાવ્યમાં  એન્ડ્રુ માર્વેલ નામના કવિએ લખેલ આ અંગ્રેજી કાવ્યનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. (અને બીજું મારું લખેલ કાવ્ય “સાંકડો બાંકડો” બીજા વિડિઓ લિંક ઉપર સાંભળશો ). મોટા ભાગના પ્રેમના કાવ્યો આધ્યાત્મિક પ્રેમ ઉપર કેન્દ્રિત હોય છે. પરંતુ ભૌતિક પ્રેમ પણ જિંદગીની વાસ્તવિકતા છે અને તેવા શારીરિક આકર્ષણ અને ઉમળકાને કલમ દ્વારા કાગળ ઉપર ઉતારવાની પણ એક ખૂબી છે.  આ કાવ્યમાં પ્રેમી તેની શરમાળ પ્રેમિકાને પ્રેમના શારીરિક બંધન માં જોડાવા માટે દામ, દંડ, અને ભેદ ને છોડી, સામ ના ઉપયોગ થી ખાતરી કરાવવાની કોશિશ કરે છે. તે તર્કશાસ્ત્ર એટલે logic ના આધારે તેમની પ્રિયતમા ને ખાતરી કરાવવાનો પ્રયત્ન કરે છે. કહે છે આમ તો તે વર્ષો ના વર્ષો રાહ જોવા તૈયાર છે. તે દરમ્યાન શરમાળ પ્રેમિકા રેતી માં રમે, માણેક ને મોતી ગોતે, ને વિચાર ને વાતો માં સમય ગુજારે તો તેમાં પ્રેમી ક્યે છે કે તેને કોઈ વાંધો નથી. પણ પછી મૂળ વાત ઉપર આવે છે કે તેટલો તેમની પાસે સમય નથી. બધી દલીલો વાપરીને અંત માં કવિ પ્રેમિકા ને ક્યે છે કે સૂર્યને ઉભો તો નહિ રાખી શકાય એટલે કે સમય કોઈના માટે રોકાતો નથી પણ પ્રેમ બંધન માં જોડાઈને તેવી ચરમ સીમાએ તેમનો પ્રેમ પહોંચશે તો કદાચ સૂર્ય દોડશે ખરો.  તો સાંભળો.
કાવ્ય નું શીર્ષક છે
તેની શરમાળ પ્રેમિકાને સંબોધીને  by એન્ડ્રુ માર્વેલ
આપણી પાસે સમય હોતે
તો આ શરમાવાની તારી અદાને હું અપરાધ ના ગણતે
આપણે બેસીને વાતો કરતે અને સાથે વિચાર કરતે
કે કઈ દિશામાં ચાલીએ,
અને આપણો પ્રેમ નો દિવસ વીતાવતે
જેમાં તું ભારત ની ગંગા નદી કિનારે માણેક ગોતે
હું થોડી થોડી ફરિયાદ કરતે।
હું તને  નોઆ નું પૂર આવ્યું તેના
દસ વર્ષ પહેલા થી ચાહત
અને તારું મન થાય તો ફરી ફરીને તું ઇન્કાર કરતે
શાકભાજી માફક મારો પ્રેમ ઉગ્યાજ કરતે
સામ્રાજ્યોની જેમ ફેલાતે, અને તે પણ ધીમે ધીમે
એક સો વર્ષ હું તારી આંખોની પ્રશંશા કરતે
અને ટગર ટગર તારા કપાળ ને જોયા કરતે
બસો વર્ષ તારા એક એક સ્તન ની પૂજા કરતે
અને ત્રીસ હાજર વર્ષ તારા બાકીના શરીર માટે રાખતે
અને છેલ્લી સદી મને તારા હૃદયે પહોંચાડતે
કેમકે પ્રિયે તું આ પૂજાની હકદાર છે
ને હું કઈ નીચલી કક્ષાએ ચાહવાવાળો નથી
પણ મને સમય ની સમાપ્તિ નું સંગીત સંભળાય છે
ને તે પછી આપણી સમક્ષ હશે માત્ર
અનંતકાળ નું વિશાળ રણ
તારી સુંદરતા ઓગળી ગઈ હશે
મારા પ્રેમ ગીત ના પડઘા શાંત થઇ ગયા હશે
તારા સાંચવેલાં કૌમાર્યને કીડાઓ માણતા હશે
તારી અનોખી માન મર્યાદા ધૂળ માં મળી ગયી હશે
અને મારી વાસના રાખ થઇ ગઈ હશે
કબર એક સુંદર અને ખાનગી જગ્યા છે,
પણ તે આલિંગન ની જગ્યા નથી
       હવે, જ્યારે યુવાન રંગછટા
સવાર ની ઝાકળની જેમ તારી ચામડી પર બેઠી છે,
અને જ્યારે તારો આત્મા તૈયાર છે
તારી કાયાના દરેક છિદ્ર પર આગ ભડકે છે
ચાલ હવે રમત રમી લઈએ
પ્રેમના શિકાર થઇ જઈએ
આ સમય ને ચાવી ને બધી મીઠાસ ને ગળી ને
જિંદગીના તમામ સુખ ની પરાકાષ્ટા ને
એક સંઘર્ષ માં ફાડીને જીવનના લોખંડી દ્વાર ખોલીયે
સૂર્યને ઉભો તો નહિ રાખી શકીએ પણ કદાચ તેને દોડાવીશું
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com

https://youtu.be/z-hq6nKonQ0

https://youtu.be/NhGT9XGvZts

૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મ દિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ .

મિત્રો,

આજે ગુજરાતી ભાષા દિવસ .૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મ દિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ..નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા.અહી નર્મદનું એક વાક્ય આજના દિવસે યાદ કરીશ.મને ફાકડું અંગ્રેજી ન અવડવાનો અફસોસ નથી ..પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. આપણે આપણી ભાષા વિષે કેટલું જાણીએ છીએ ? ગુજરાતીભાષા બોલનારા લાખો માણસો થઈ ગયા, અને હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ થશે.વિશ્વની સૌથી વધુ માતૃભાષકો ધરાવતી ૩૦ ભાષામાં ગુજરાતી ભાષાનું ૨૩મું સ્થાન છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે.ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહી પરંતુ સમગ્ર સમાજની છે.ગુજરાતી મોરી મોરી રે… માત્ર એવું ગાણું ગાયા કરવાથી કશું ન વળે. જાગ્રત રહીને સૌએ સાથે મળીને એવો માહોલ રચવો પડશે.જે દિવશે આપણે આપણી ગુજરાતી ભાષા  માટે ગૌરવ અનુભવશું  તે દિવશે ભાષા જીવશે ..જીવાડવી  નહી પડે.”જે ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તે ગુજરાતીને  જાળવો અને માન વધારો...ગુલામ મનોદશાને ત્યાગો તો ખરા…ગુજરાતી પ્રજા જેટલી રુપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી સારી રીતે જન્મજાત માતૃભાષા સમજવાની તસ્દી લેતી નથી તે કદાચ આપણાં સૌનુ દુર્ભાગ્ય છે.”ગુજરાતી ભાષાની અસ્મિતા તથા ગૌરવના જતન માટે આજના દિવસે આપણે સહુ સાથે મળીને પ્રયત્ન કરીએ તો જ આજનો આ દિવસે સાચા અર્થમાં ઉજવણી કરી ગણાશે.

 

૪૪ – શબ્દના સથવારે – રાખ – કલ્પના રઘુ

રાખ

રાખ એટલે રખાત, ઉપપત્ની, ઉપનાયિકા, વાની, વસ્તુ બળી ગયા પછી વધતો ભૂકો અથવા અવશેષ, ખાખ, ભસ્મ, રાખોડી, રખ્યા, ધૂળ જેવું કોઇપણ તુચ્છ દ્રવ્ય, કિંમત વગરની નિર્માલ્ય ચીજ કે વસ્તુ, રહેવા દે, ફોગટ. અંગ્રેજીમાં ‘ashes’, ‘worthless things’.

ભસ્મને રાખ કહેવાય છે. પરંતુ યજ્ઞની કે મંત્રેલી રાખને, વિભૂતિને કે ભભૂતને ભસ્મ કહેવાય છે. આયુર્વેદમાં વૈદ્ય દ્વારા રસાયનપ્રયોગથી બનાવેલ ધાતુઓ વગેરેની ખાખ, મારેલી ધાતુ જે ઔષધિમાં વપરાય છે તેને ધાતુની ભસ્મ કહે છે. મોરપંખ, પરવાળા, તામ્ર, લોહ, સુવર્ણ, પારા, હીરામોતી, એમ જુદીજુદી ભસ્મો જુદીજુદી માત્રા દ્વારા ઔષધ તરીકે વપરાય છે. પહેલાં લોકો રાખથી વાસણ માંજતાં હતાં.

શૈવ સંપ્રદાયવાળા માને છે કે, ગાયનું છાણ અધ્ધરથી જ ઝીલી લઇ તેનાં છાણાં કરી તેને અભિમંત્રીત કરીને બાળવામાં આવે તે ગોમયની ભસ્મ પૌષ્ટિક અને કામદ કહેવાય છે માટે તેને રક્ષા કહેવાય છે. આયુષ્યની, ધનની, સંતાનની, મોક્ષની ઇચ્છાવાળાઓએ આ ભસ્મ ધારણ કરવી જોઇએ. આખે શરીરે વિભૂતિ ચોળવી, એ ભસ્મસ્નાન કહેવાય છે. ભસ્મને શુધ્ધ કર્યા પછી ત્ર્યંબકં વગેરે મંત્રોથી તેને ચોળવી અને પછી નમઃ શિવાય એ મંત્રથી કપાળ, કંઠ, બાહુ, હ્રદય, પડખાં, સાથળ વગેરે અવયવો પર ધારણ કરવી તેથી શુધ્ધ બ્રાહ્મણપણું પ્રાપ્ત થઇ શકે છે. તેનાથી શિવસ્વરૂપ ઓળખી શકાય છે અને મહાદેવ પ્રસન્ન રહે છે એવી માન્યતા છે. યજ્ઞમાં આહૂતિ આપેલી સમિધ અને ઘી હોમીને જે ભાગ શેષ રહે છે તેને ભસ્મ કહે છે. રાખ શબ્દ સાથે પવિત્રતા ભળે ત્યારે તે ભસ્મ, વિભૂતિ કે ઉદી તરીકે ઓળખાય છે.

સાઇબાબાની દિવ્ય ઉદીના પ્રસાદનાં ચમત્કારો ખૂબ જાણીતા છે. અસલમાં બાબા લાકડાં ધૂણીમાં નાંખતા, તેને દિન-રાત જલતી રાખતાં. આ ધૂણીની અગ્નિની રાખને પોતે ઉદી કહેતાં. ઉદી દ્વારા બાબા બોધ દેતાં હતાં કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. વિશ્વનું આ બહાર દેખાતું સ્વરૂપ રાખ જેવું ક્ષણિક છે. પંચતત્વનું બનેલું આ શરીર સઘળા ભોગ ભોગવ્યા પછી પડી જશે અને તેની રાખ થઇ જશે એ સ્મરણમાં રાખવા ખાતર જ બાબા ભક્તોમાં ઉદી વહેંચતા. આ ઉદીની રાખ આજે પણ શીરડીમાં વહેંચાય છે જેનાથી શારીરિક તેમજ માનસિક રોગો તેમજ અન્ય પ્રકારનાં પ્રશ્નોનું નિરાકરણ સહજ રીતે થાય છે. પહેલાં કપાળ પર પછી ગળા પર લગાવીને તેનું ભક્ષણ કરવું, આ ઉદી લગાડવાની પધ્ધતિ છે. બાબા કહેતાં હતાં કે જ્યારે હું મારા શરીરને છોડીને ચાલ્યો જઇશ ત્યારે પણ હું ભક્તોની કામના પૂર્ણ કરવા માટે અવશ્ય આવીશ.

હોળીની ભસ્મ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઉપયોગી છે. તેને વિધિસર રીતે કરવાથી તમારાં દુર્ગુણો દૂર થઇ સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થાય છે. હોળી પ્રાગટ્ય વખતે પંચતત્વો તેમાં સંકળાયેલા હોય છે. પૃથ્વી તત્વ એટલે જમીન ઉપર જ લાકડાથી હોળી પ્રગટે છે, અગ્નિ તત્વ એટલે હોળીનું પ્રાગટ્ય થાય છે, વાયુ તત્વ એટલે પવનની દિશા મુજબ વરતારો કરવામાં આવે છે અને જળ સાથે પ્રદક્ષિણા કરવામાં આવે છે એટલે જળ તત્વ જોડાયેલુ છે અને આકાશમાં રહેલાં દેવોનું સ્મરણ પ્રદક્ષિણા દરમ્યાન કરતાં ધૂણી આકાશમાં જાય છે આમ પાંચ તત્વોથી બનેલી હોળીની ભસ્મ ખૂબજ પવિત્ર ગણાય છે.

ભગવાન શિવનું મહાકાલ સ્વરૂપ ઉજ્જૈનમાં બિરાજમાન છે. તેમની ૬ આરતીઓમાં સવારે ૪ વાગે થતી ભસ્મ આરતી ખાસ છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીનકાળમાં દૂષણ નામના રાક્ષસને ઉજ્જૈનમાં શિવે ભસ્મ કર્યો હતો અને તે રાખથી તેમણે પોતાનાં પર શ્રૃગાંર કર્યો હતો ત્યારથી ભગવાન શિવ ત્યાં નિરાકાર શિવલિંગ સ્વરૂપે વસે છે અને તેમની ભસ્મથી આરતી થાય છે. અહીં સ્મશાનમાં સળગતી સવારની પહેલી ચિતાની ભસ્મથી ભગવાન શિવનો શ્રૃગાંર કરવામાં આવે છે. શિવમહાપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ ભાલમાં નિત્ય ભસ્મનું ત્રિપુંડ અથવા તો તિલક કરે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. યજ્ઞકુંડની ભસ્મનું નિત્ય તિલક કરવાથી જીવન મંગલમય બને છે. શિવને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે. રાખ દ્વારા તેઓ સંદેશ આપે છે કે આ ભસ્મની જેમ આપણું શરીર એક દિવસ માટીમાં ભળી વિલિન થઇ જશે માટે નશ્વર શરીર પર ગર્વ ના કરવો જોઇએ. રાખ માટે એક તર્ક એવો છે કે શિવજી કૈલાસ પર્વત પર નિવાસ કરે છે ત્યાં અતિશય ઠંડી હોય છે. ભસ્મ શરીરનાં આવરણનું કામ કરે છે જે ચામડીનાં છિદ્રો બંધ કરી દે છે જેથી સાધના કરનાર સંન્યાસીને ઠંડી કે ગરમી મહેસૂસ થતી નથી. અઘોરી તેમજ નાગા બાવા પણ શરીરે ભભૂત ચોળીને રહેતાં જોવા મળે છે.

કામદેવને ભસ્મ કરનાર શિવજી હતાં. શિવ ભસ્મને વૈભવ સમજે છે. આ પ્રકારનું જ્ઞાન માનવનાં તમામ દોષોને ભસ્મ કરે છે.અવિનાશ વ્યાસની એક રચના ખૂબ જાણીતી છે, જે સૂચવે છે, માનવ માત્ર રાખનાં રમકડાં છે જે મૃત્યુલોકની માટીમાંથી રામે બનાવ્યાં છે અને આ ધરતી પર રમતાં મૂક્યાં છે.

અભિવ્યક્તિ -૩૩-સુખડી ની વાતો -અનુપમ બુચ

સુખડી” ની આવી વાતો તમે પેહલા ક્યારેય નઈ વાંચી હોય…

ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે.
ઇન્દ્રદેવે માણસને પહેલીવાર આ રેસિપી સુઝાડી ત્યારે નારદજી વ્યંગમાં બોલ્યા, ‘હે ભગવંત! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવશે?! એ ખાઈ ખાઈને કંટાળશે. ત્યારે ઈન્દ્રએ નારદજીને વચન આપ્યું’તું કે ‘બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ સાદી લગતી મીઠાઈ સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે, હંમેશા મોખરે રહેશે. નારદજી, આ મીઠાઈ ગરીબ હોય કે તવંગર, સમાજના દરેક સ્તરે વખણાશે’. ઇન્દ્રએ આ મીઠાઈને નામ પણ સાવ સાદું આપ્યું, ‘ગોળપાપડી’!
નારદજીએ પૃથ્વીના પરિભ્રમણ દરમ્યાન લોકોને આ મીઠાઈ સુખ અને શુકનથી માણતાં જોયા અને ખૂબ પ્રસન્ન થયા. નારદમુનિએ ઇન્દ્રે સુઝાડેલ અને નામાંભ્ધન કરેલ ‘ગોળપાપડી’ને ‘સુખડી’નું હૂલામણું નામ આપ્યું!
સાહેબ, દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ક્ષણે ગોળપાપડીથી વધુ સાદી, ‘સ્પીડી’, સરળ અને સ્વાદિષ્ટ બીજી કોઈ મીઠાઈ બનતી હોય તો બતાવો. સવાલ જ નથી! ‘મેગી’ કરતાં વધુ સહેલાઈથી અને ઝડપથી બની જતી આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કિસમિસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે, ઘી ઉમેરાય એટલે ગોળપાપડીની અલૌકિક મહેક ઘરમાં ફરી વળે. એ મહેક રસોડાના ઝાળિયામાંથી ફળિયા સુધી પહોંચે ત્યારે ટૂંટિયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધીની વાત જ કંઈ ઓર છે.
આહા! એ કડાઈમાં ઘસાતા તાવિથાનો આંગણા સુધી રેલાતો ‘ધાતુધ્વની’ કોઈ ખૂશી કે શુભ પ્રસંગની ચાડી ફૂંકે. એમાં પણ ધીમી ધારે પડતા વરસાદી માહોલમાં લસોટાતી સુખડીની સુગંધ જેમણે છાતીમાં ભરી છે એનો અવતાર કદિ એળે ન જાય. હા, ભલે જીભ પર ચોંટી જાય પણ ગરમ ગોળપાપડીની એક ચમચી કોઈ વાર મોઢામાં મૂકી જોજો, થનગની ઉઠશો! અમને બાળપણમાં પેંડા, શિખંડ કે બાસુંદી કો’ક જ વાર ખાવા મળતાં પણ ગોળપાપડી ખાઈને તો અમે ઉછર્યા છીંએ! આહા! એક ચોસલું! એક બટકું! ખલ્લાસ!
આ બારમાસી મીઠાઈને નથી નડતાં કોઈ દેશ કે કાળના બંધન. માળિયા હાટીનાનાં કોઈ ખેડૂતના રસોડાનાં ચૂલા પર એલ્યુમિનિયમની કડાઈમાં ઘીસોટાય કે મુંબઈમાં ‘એન્ટિલા.’ના ડિઝાઈનર કિચનની હોટ પ્લેટ પર નોનસ્ટિક વાસણમાં ખદબદે એનું નામ સુખડી! .
એક વાત તો કબૂલ કરવી પડે કે દરેક વખતે એક સરખી ગોળપાપડી બનાવવી એટલે સાંબેલું વગાડવું. કોઈવાર મોળી તો કોઈ વાર ગળી બની જાય. કોઈ વાર સહેજ પોચી તો કોઈ વાર કડક બની જાય. કોઈ વાર કાચી રહી જાય તો કોઈ વાર લોટ વધુ શેકાઈ જાય. એક સરખી ગોળપાપડી બનાવી શકે એ સાચી અન્નપૂર્ણા. મારી ચેલેન્જ છે કે જો ગોળપાપડી બનાવવાની કૂકિંગ કોન્ટેસ્ટ થાય તો બધા જ હરીફની ગોળપાપડીના સ્વાદ અને બનાવટ અલગ અલગ જ હશે એ વાત પાક્કી.
ગોળપાપડી એક શુભ અને પવિત્ર મીઠાઈ છે. ‘કૂછ મીઠા હો જાય’ ના લિસ્ટમાં ટોપ પર જો કંઈ હોય તો એ ગોળપાપડી. કોઈ શુભ સમાચાર આવે એટલે ભગવાનને ઝટ ગોળપાપડી ધરાય. મહુડીની સુખડીનો પ્રસાદ લેવાનો લાભ મળે એટલે તમે અને નસીબદાર પુણ્યશાળી! રામેશ્વરની જાત્રાએ જતા પરિવારના ભાતાનાં ડબ્બા ખોલી જૂઓ તો એમાં ગોળપાપડી મળશે, શિખંડ કે લાડુ નહીં હોય. વડોદરાનો કોઈ સથવારો મળી જાય તો હોસ્ટેલમાં રહીને ભણતા દીકરાને સવિતાબેન વેરાવળથી સુખડી મોકલશે. ગોળપાપડી નૈનિતાલ અને ઊટી-કોડાઈકેનાલની સફર પણ કરે. સક્કરપારા અને સુખડી ભરેલા ડબ્બાઓ અમદાવાદથી ન્યૂ જર્સી જતા બોઇંગ પ્લેનમાં ઓગણત્રીસ હજાર ફીટની ઊંચાઈએ હોંશે હોંશે ખૂલતા હોય છે.
ગોળપાપડી બનતી હોય ત્યારે ભજન ગણગણવાનું મન થાય, ફિલ્મી ગીત યાદ ન આવે, સાહેબ!
હું તો પ્રભુને પ્રાર્થના કરું કે રાય હો કે રંક, આંગણે શુભ સમાચાર આવે કે પછી ફળિયે ઝરમરઝરમર વરસાદ પડતો હોય, દરેક ઘરમાં એક નાની થાળીમાં ઠારી શકાય એટલી સુખડી બનાવવા પૂરતાં લોટ, ગોળ અને ઘી હોય!

૨૬-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-કુંતા શાહ

ત્રાજવુ

૧૯મી ઓક્ટોબર, ૧૯૮૭.

આજે ધન તેરસ હતી એટલે લક્ષ્મીપૂજનની તૈયારીમાં પરોવાયેલી અર્ચનાએ પતિ, રાજુલને બે ત્રણ વાર બોલાવ્યો પણ રાજુલે  જવાબ નહીં આપ્યો એટલે એ શયનખંડ તરફ વળી. ઉઘાડા કમ્પુટરના કિબોર્ડ પર માથુ મુકીને રાજુલને સુતો જોઇ અર્ચના રાજુલને ઉઠાડવા પાસે સરી. રાજુલનાં રુંધાએલા ડુસ્કાનો અવાજ  સંભળાયો. ત્યાં જ કમ્પુટર પર થીજી ગયેલા “SHARE MARKET CRASHED” શબ્દો જોઇ ઘડિભર એનો શ્વાસ થંભી ગયો. પોતાના આંસુ રોકી,  ધડકનને સ્થિર કરી, તરત જ તેણે રાજુલને માથે હાથ ફેરવતા કહ્યુ “પૈસા માત્ર લક્ષ્મી ક્યાં છે? આપણો પ્રેમ, મમ્મીની કેટલીએ વિપરિત પરિસ્થીતિઓમાંથી તટસ્થ રહીને ઉપર આવવાની અપાર શક્તિ અને આપણા બે રતન, એ જ અમુલ્ય લક્ષ્મી સ્વરુપ છે.  ચાલ, ઊઠ,  લોકોના ફોન આવે કે લોકો બારણા ખખડાવે એ પહેલા આપણે પૂજા કરી લઇએ અને ચા નાસ્તો કરી લઇએ.”  રેશમી સાડીના પાલવથી આંસુ લુછતી અર્ચનાને રાજુલ ભેટી પડ્યો.

લગ્નને હજી ત્રણ વર્ષ પુરા થવાને છ મહિનાની વાર હતી. અર્ચનાએ બરોડા કોલેજમાંથી એકાઉન્ટંટ ડિગ્રી ૧૯૮૪માં મેળવી હતી અને રાજુલે બરોડા યુનિવર્સિટિમાંથી MBA in Business ની ડિગ્રી ૧૯૮૨માં મેળવી હતી. બેઉને કોલેજની પરીક્ષા પાસ થતાં જ, સુરતની બાર્જાત્ય સિલ્ક મિલ્સમાં નોકરી મળી હતી. એક જ જ્ઞાતના એટલે સાહજિક મળે ત્યારે સાધારણ વાતો કરતા.  દિવસો જતાં ક્યારે મળશું એ વિચારની લગની બેઉને લાગી ગઇ.

એ મુંગા પ્રણયને ત્રણેક મહીના થયા હશે.

હંમેશની જેમ, આ શુક્રવારે પણ અર્ચના અમદાવાદ રહેવાસી પિતા, જતીનભાઇ અને માતા સુમતિબેનને મળવા ગઇ.  થોડીવારે જતીનભાઈએ કહ્યું કે “રાજુલના માતા, મીરાબેને રાજુલ માટે, સામે ચાલીને તારા હાથની માંગણી કરી છે તો તારી શું મરજી છે? તારે વિચાર કરવાનો સમય જોઇએ તો કંઇ ઉતાવળ નથી.”

અર્ચનાનાના હોઠ મલકી ગયા એ પિતાને વળગી પડી.

તરત જ સુમતીબેને સુરતવાસી મીરાબેનને ફોન કરી શુભ સમાચાર આપ્યા અને રવિવારે જ વેવિશાળની વિધિ ઉજવાઇ.  પ્રણામ કરતી અર્ચનાને બાથ ભિડતા મીરાબેને “મારા ઘરમાં લક્ષ્મીનાં પગલા ક્યારે પડશે તેની આતુરતાથી વાડ જોઉ છું.” કહી સહુના મનમાંથી સાસુ નહી પણ બીજી મા જ અર્ચનાને મળી છે એ જાણી ખુબ આનંદ થયો.

રાજુલ અર્ચનાને સુરત બતાવવા બહાર લઇ ગયો. શેરડીનો રસ પીતા પીતા અર્ચનાએ રાજુલને પુછ્યુ “તું મમ્મીને મન ખોલીને બધું જ કહી શકે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. મારા વિષે તેં જ મમ્મીને કહ્યું હતું, ખરું, ને?”

“હા. આ જમાનામાં નોકરીને ખાતર માબાપ હોવા છતાં એકલી રહે છે એ જાણી તારી હિંમત પર મને ખૂબ માન થયું. જતીનબાપુને કઇં તારી કમાણીની જરૂર ન હતી. તારા સ્મિત અને તારી આંખોમાં હું હંમેશ પ્રસન્નતા સાથે સંયમ જોતો. મમ્મીને મેં જ કહ્યું હતું કે તુ મને ગમે છે. બસ, મમ્મી તમારુ સરનામુ મેળવી, અમદાવાદ જતિનબાપુ અને સુમતિમાને મળવા ગઇ., હે, મમ્મીએ તો તારી ચિત્રકળા પણ જોઇ, મને ક્યારે બતાડીશ?”

“તુ અમદાવાદ આવે ત્યારે! રાજુલ, મને તો મમ્મી બહુ ગમે છે.”

“મમ્મીને પણ તું ગમી ગઈ છે.”

૧૯૮૫ની છઠ્ઠી જાન્યુઆરીએ લગ્ન લેવાયા. આજે અતુલ દોઢ વર્ષનો અને મહેશ ત્રણ મહિનાનો.

અતુલના જનમ પહેલા જ અર્ચનાએ નોકરી છોડી દીધેલી. બીજી વાર અર્ચના ગર્ભવતી થઇ ત્યારે એની તબિયત એટલી બગડી કે એને પથારીવશ થવું પડ્યું.  રાજુલે નક્કી કર્યું કે અર્ચનાની સારવાર અને અતુલની દેખરેખ એ પોતે જ કરશે એથી એણે પણ રાજીનામુ.આપ્યું. ઘરે બેઠા કંઇક કમાણી કરવી જોઇએ એ વિષે મમ્મી અને અર્ચના સાથે વાત કરી, મિત્રો અને સગાઓના સહયોગથી શેરબજારમાં રોકાણ કરવાનું શરુ કર્યુ

હજુ તો પાયો નંખાતો હતો ત્યાં ધરા જ સરકી ગઇ!!!

પોતાનું ઘર ગિરવે મુકી મીરાબહેને પૈસા અર્ચનાના હાથમાં મુક્યા. અર્ચનાએ પણ પોતાના દાગીના વેચી નાખ્યા. ધાર્યું હતું એના કરતાં ઉઘરાણી નિમિત્તે લેણદારોએ ઘણી સભ્યતાથી માંગણી કરી. જેમની પાસેથી નાણાં વ્યાજે લીધેલાં તેઓને હિસ્સા પ્રમાણે ૫૦% આપી દીધા અને બાકી માટે છ મહિનાનો વાયદો માંગ્યો, જે લેણદારોએ વધુ વ્યાજે સ્વિકાર્યો.

અમેરિકામાં વસતા સુમતિબેનની એકની એક બહેન લતા અને બનેવી કિરણભાઇની અત્યારે એવી જ હાલત હતી.  ચાર વર્ષ પર કિરણભાઈએ નોકરી છોડી, ઘર ગિરવી મુકી,  ધંધો શરુ કર્યો હતો. લતા ઘરનું બધું કામ પતાવી કિરણને મદત કરવા ફેક્ટરીમાં જતી. લતા અને કિરણભાઇની દેખરેખ વગર સવારથી મોડી રાત સુધી તરુણ દીકરી, રાગિણી અને  ૧૦ વર્ષનો દીકરો, કમલ સ્કુલે જતાં, લતાએ બનાવેલું ખાઇ લેતા અને મોટે ભાગે સુઇ જતાં. લતાને જવું જ પડતું કારણ બેથી વધુ કારીગરોને પગાર આપવાના પૈસા હતા નહીં. જરુર પડે એક મિત્ર બાળકોની સંભાળ લેતા. માની હૂંફ અચાનક જતી રહી એથી બેઉ બાળકો પર દુઃખદ અસર પડી. બેઉને લાગ્યુ કે મા બાપના જીવનમાં એમનું કઇં મહત્વ નથી.  ભણવામાંથી મન ઉઠી ગયું, ડાહ્યો દીકરો તોફાની થઇ ગયો. છોકરાઓને ક્યાં ખબર હતી કે મોટે ભાગે દૂધ વગરની દસ ગણા પાણી વાળી કોફી પર જીવતાં મા બાપને કેટલી ચિંતા હતી. આખરે ઓક્ટોબરની ૧૯મી પછી ઘણા ધંધા બંધ થઇ ગયા અને કિરણની ફેક્ટરી પણ બંધ થઇ ગઇ. ઘર ગુમાવ્યું, છોકરાઓનો પ્રેમ અને આદર ગુમાવ્યા, લતાએ તરત જ નવી નોકરી શોધી તેથી ભાડુ ભરવાના પૈસા તો મળી રહેતા પણ બીજો ખર્ચો બહુ વિચારીને કરવો પડતો.  લતા અને કિરણ પણ બોલ્યા વગર સાથે રહેતા હતા. સબંધોના તાર તુટી ગયાં હતા. એમને મદત કરનાર કોઇ ન હતુ. અમેરિકામાં ડોલર પહોચાડી મદત થાય એટલા રુપીઆ સુમતિબેન પાસે નહી હતા. પ્રાર્થનાથી મન મનાવ્યુ.

અર્ચનાની આવી પરિસ્થિતી જાણી, અમદાવાદનું ઘર વેંચી જતીનભાઇ અને સુમતીબેન  સુરત આવી વસ્યા.  આર્થિક મદત કરવાના એમના પ્રસ્તાવને, “ના, હું ક્યાં નથી જાણતી કે કેવી પરિસ્થીતિમાંથી તમે ઉંચા આવ્યા છો? માએ તો કોઇ દિવસ નોકરી પણ કરી ન હતી. કરકસરથી ઘર ચલાવી હું માની જ દીકરી છુ એ સાબિત  કરવાનો મને અવસર મળ્યો છે તો એ લ્હાવો કેવી રીતે જતો કરું?” એમ કહી અર્ચનાએ જ ના પાડી.  તો પણ સુમતીબેન અવાર નવાર ખાવાનુ બનાવીને લઇ જતાં અને પૌત્રો માટે રમકડાં અને કપડાં લઇ જતાં.

જિંદગીના આ પાસામાંથી કેવી રીતે હેમખેમ બહાર નીકળવું તેની યોજના કરતાં કરતા, એક વિશિષ્ટ બાળમંદિર ખોલવાનો વિચાર આવ્યો અને અપનાવ્યો. ઘર સારુ એવું મોટુ હતું.. બાળકોને ભણાવવાનો ઓરડો, રમવાનો, જમવાનો જુદો અને આરામ કરવાનો જુદો ઓરડો. રસોઇ ઘર અને બાથરૂમની નીચે વ્યવસ્થા હતી જ. ગુજરાતિની  સાથે સાથે અંગ્રેજી ભાષાનો પણ પરિચય આપતાં.  બાળમંદિરના બાળકો માટે સવારનો નાસ્તો અને બપોરનું જમણ પણ તેઓ જાતે જ બનાવતા.  અર્ચનાએ ભણાવવાની અને કારોબારની જવાબદારી લીધી, રાજુલે બાળકોની દેખરેખની, ચોક્ખાઇ અને બાળકોને રમાડવાની જવાબદારી લીધી અને મીરાબહેને રસોડુ સંભાળ્યુ.  બાળકોના ઘરેથી કોઇ કુટુંબી મીરાબહેનને કે રાજુલને મદત કરવા આવતા તો તે બાળકોની ફીમાં દિવસના ૪% પ્રમાણે ઘટાડો કરી આપતા.  એ રીતે બાળકોના માબાપને અનુભવવા મળ્યુ કે અર્ચના કેટલી ઇમાનદાર છે અને બાળમંદિરમાં કેટલા પ્રેમ અને શિષ્ટાચારથી બાળકોનો વિકાસ થાય છે!. બાળમંદિરની ખ્યાતિ જોત જોતામાં એવી પ્રસરી કે બાળકોની સંખ્યા વધવા માંડી. આવક આવતાં એમેણે પહેલાં લેણદારોના પૈસા ચુકવ્યા, પછી ઘર છોડાવ્યું અને પછી ઉપરના માળિઆના છાપરાને ઊંચુ કરી ૩ શયનખંડ, દિવાનખંડ અને બાથરૂમની સગવડ કરી. હવે ઘણા લોકોએ અર્ચનાને વિનંતિ કરી કે પ્રાથમિક શાળા ખોલો એટલે સ્કૂલબોર્ડની સંમતી લીધી.  ઘરને ફરતી જમીન પર બીજા ૪ ઓરડા અને એક બાથરૂમ બંધાવ્યા. પ્રાથમિક શાળા શરુ કરી.  પરિવારનાં સત્કર્મોના ફળરૂપે લક્ષ્મી દેવી ફરી પધાર્યા છે.

હવે લતા અને કિરણભાઈની પરિસ્થીતિ પણ ઉર્ધ્વગામી છે,  એમના અથાગ પરિશ્રમ અને પ્રમાણિકતાના પ્રભાવે, ઇશ્વ્રની કૃપા વરસી છે. ભુતકાળ ભૂલીને બેઉ જીવનની આંટીઘુંટીને ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને સારી પદવીવાળી નોકરી કરે છે. પાછું ઘર ખરીદ્યુ છે રાગિણી અને કમલનાં હોઠપરનું સ્મિત જોઇ લતાનાં થીજેલા આંસુ ઓગળતા જાય છે.

સપના વિજાપુરા

૨૫-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-માયા દેસાઈ

જીવતરના મેઘધનુષ

શચીના હાથમાં રિટાયરમેન્ટનો  ચેક હતો, બાકીના પેપર્સ  હતાં જે તે જોઈ રહી હતી કે પેન્શન ના નોમિનેશન માં સનત ,એના પતિનું નામ હતું.બંનેના ફોટા સાથેની પાસબુક વિગેરે પર તે નજર ફેરવી રહી અને ૩૫ વર્ષની કારકિર્દીનું સરવૈયું કાઢવા તેનું મગજ મથી રહ્યું હતું.ક્યા એ શચી કાન્તિલાલ મહેતા, તરવરતી યુવતી ,કેટલી ય વાતો ,કારકિર્દી ના સપનાઓ, મમ્મી-પપ્પા ની લાડકી કારણ કે એના જન્મ બાદ ઘરમાં પુત્ર ,શૌનકનો જન્મ ! મોટી બહેન સૂર્યા સાથે ની યાદોએ એને હચમચાવી નાખી… બંને બહેનો એકબીજાં ની પૂરક, જાણે સખીઓ જ. મમ્મીની નાદુરસ્ત તબિયત, નાનો ભાઈ વિગેરે એ શચીને અવિવાહિત રહેવા પ્રેરેલી.સૂર્યાના લગ્ન, એનાં બાળકો,જીજા સનતભાઈ ,શૌનક અને મમ્મી , પપ્પા માં એણે ખુશી ને સમેટી રાખેલી. બેન્ક કારકિર્દી મા આગળ વધવા સાથે જીન્દગી  ગુજરી રહી હતી ત્યારે એક વજ્રઘાત
થયો.બહેન સૂર્યાની તબિયત વારંવાર બગડવા લાગી,એનાં બાળકો  વત્સલ- વિધિ ને નાના-નાની,માસી પાસે વધુ રહેવાનું થવા લાગ્યું. એમાં યે જ્યારે સૂર્યાને કેન્સર હોવાનું જણાયું ત્યારથી નાના વત્સલ-વિધિ માસી ને જ લાડ માટે શોધતાં.માસીએ પણ તેમને ઓવારીને હૂંફ અનેહામ આપી.જીજા સનતભાઈને પણ શચી હિંમત આપતી  કે વિજ્ઞાનની  શોધ સાથે કેન્સર સામે લડી શકાય છે …પણ!!
સૂર્યાની આયુષ્ય રેખા જ ટૂંકી દોરી હતી વિધાતાએ.શચી નું શાન્ત્વન સૂર્યાની પીડા અને તડપ સામે મૂન્ગુ થયી જતું.”માસી,માસી ” ના પડઘા ઘરમાં ઘૂમરાતા રહેતાં. દુઃખ ની આ ઘડીમાં આ બે ભૂલકાંઓ પૂરતી જ દરેક વ્યક્તિ હાસ્ય ના મુખવટા  પહેરીને ફરતી.લગભગ બે વર્ષ કેન્સરે માનો T-20 જેવી ઈનીન્ગ્ઝ રમવાનું નક્કી કર્યું હતું , કેમોથેરાપી, આયુર્વેદિક દવાઓ, માનતા-બાધા-આખડી સામે સૂર્યાની બૉલીન્ગ બિન અસરકારક પૂરવાર થયી .
પોતાની કારકિર્દી ને નેવે મૂકી શચીએ વત્સલ -વિધિનેમા ની ખોટ ન વર્તાવા દીધી.એમનો અભ્યાસ,એમની નિર્દોષતા ન ખોરવાઈ જાય એ માટે તે સતત મથતી રહેતી . બાળકોએ  જાણે આવું જીવન ,મા વિનાનું જીવન  સ્વીકારી લીધું હતું અને મોસાળને જ પોતાનું  ભવિષ્ય  માની લીધું હતું. વચ્ચે વચ્ચે સૂર્યાની આજીજીના લીધે મા ને મળવા જતાં ,પણ બાળમાનસ આવનારી મુસીબતને ,મા ની વિદાયને કલ્પી શકવા અસમર્થ હતું.આ બધાંમાં શચી જાણે અનેક રોલ ભજવતી નાયિકા બની જતી અને પરિસ્થિતિને સંભાળી લેતી.સૂર્યાની ગેરહાજરી વિશે કલ્પી બધાં જ ઢીલાં પડી જતાં…અને છેવટે  એ દિવસ આવી જ ઊભો.ઝઝૂમવાની તાકાત સામે કેન્સરે પોતાની વિજયપતાકા લહેરાવી જ.નમાયા
થયેલાં વત્સલ – વિધિ , વિધુર સનત, માંદી માતા અને પિતાને સંભાળતી શચી પણ સૂર્યાને વળાવતા ઢગલો થયી ગયી.બાળપણની કંઈ કેટલીય વાતો એને રડાવી ગયી , પછી એ મોગરાનો ગજરો હોય કે સૂર્યાને ભાવતી ગોળપાપડી.. ઓશિયાળા વત્સલ-વિધિને માસીને રડતાં જોવી ગમતી નહોતી.તેમણે શચીને માસી,માસી કહી શાન્ત પાડવા પાન્ગળો પ્રયત્ન કર્યો.વત્સલ જો કે મૃત્યુવિશે થોડુંક સમજતો પણ વિધિને  બધું જ અજીબ લાગી રહ્યું હતું.સૂર્યાની ગેરહાજરી પચાવતા બધાંને ખાસ્સોસમય લાગ્યો.
  એક દિવસ સનતભાઈએ બાળકોને ઘેર  લઈ જવાની ખોખલી માંગણી મૂકી. બધાં જ જાણતાં હતાં કે આ વસ્તુ વ્યવહારીક નહોતી.સ્ત્રી વિનાના ઘરમાં બાળકોને કોણ સાચવશે ,એ સવાલ સનત સહિત સૌને મૂન્ઝવી રહ્યોહતો.વત્સલ -વિધિ પણ એકલાં પિતા સાથે જતાં અચકાઈ રહ્યાં હતાં.”માસી, મારૂં માથું કોણ ઓળી આપશે ? મને કવિતા કોણ શિખવાડશે ?”વિધિના નિર્દોષ પ્રશ્નો.વત્સલ નુંઅનાયાસ સૂચન ,”માસી , તું પણ ચાલ  ને ??”વાતાવરણ વધુ વજનદાર બન્યું ..
શચી તે દિવસે ગયી અને સૂર્યાની તસવીર જાણે તેને આવકારી રહી.સનત નું ભારી મૌન , બાળકોની માસી પ્રત્યેની અગાધ લાગણી ,શચીની મૂન્ઝવણ વધારી રહ્યાં હતાં.હોસ્પિટલ માં સૂર્યાને આપેલી બાળકો વિશેની ખાત્રી એને અંદરથી ખળભળાવી રહી હતી.સમય દરેક ઘા ને ભૂલાવી દે  છે ,એ વાત સૂફિયાણી છે એમ શચી અનુભવવા લાગી.માસી સિવાય વત્સલ- વિધિનો ન દિવસ ઊગતો ,ન રાત પડતી . એવામાં એક દિવસ શચી ફ્લુ માં પટકાઈ ત્યારે બધાં જ સ્તબ્ધ થઈ ગયાં ,જાણે ઘર ચાલતું જ બંધ પડી ગયું .શચીના માથે હાથ ફેરવતી વિધિને જોઈ ,શચીની મા ને છેલ્લાં  કેટલાંક દિવસથી મૂન્ઝવતો પ્રશ્ન જાણે ઉકલતો લાગ્યો .
“વિધિ,મા બોલ,મા બોલ,માસી નહીં “.આ સાંભળી શચી પણ ઝબકી ઊઠી .પણ મા ની સમજાવટ અને વત્સલ-વિધિનાભવિષ્ય વિશે વિચારી શચી ચૂપ થઈ ગઈ.સનતનીસામેકોઈ પર્યાય હતો જ નહીં ,વળી સૂર્યાની માંદગી દરમ્યાનતે શચી વિશે ખૂબ જાણતો થયી ગયો હતો,તેથી શચી જ સૂર્યાની જગ્યા સારી રીતે નિભાવશે એ સ્વીકાર્યું . બંને એ ખૂબ સમજદારીથી સંસાર નિભાવ્યો.શચીએ માતૃત્વ નોઓડકાર વત્સલ -વિધિ દ્વારા માણ્યો અને પોતાની કૂખે જન્મેલાં  બાળકો જેટલો જ પ્રેમ અને વહાલ વર્ષાવ્યા.સનતે શચીની કારકિર્દી વિશેની ઈચ્છાઓ પૂર્ણ કરવાની પૂરતી તક આપી.જેથી આજે આ કાર્ય નિવૃત્તિ વેળાએ બધું જ મેળવ્યાની અદ્ભુત લાગણી થઈ . માતાપિતાની લાડકી શચી આજે ખુદ દાદી બની ગયી હતી અને નાનકડા વેદાંતની અદાઓ નીરખી રહી હતી.૬૦વર્ષની જીવનયાત્રાના આ જંક્શન પર એ વિરામ લઈ પાછલી યાત્રાના સંસ્મરણોને વાગોળતી હતી ત્યારે ક્યાંક ગીત
વાગી રહ્યું  હતું,
    જીન્દગી કૈસી હૈ પહેલી હાયે,
   કભી યે હંસાયે ,કભી યે રુલાયે..
જાણે મેઘધનુષના વિવિધ રંગ !!!
માયા દેસાઈ