હાં રે દોસ્ત હાલો અમારે દેશ -12)મેઘાણી આજે આપણાં સૌનાં ઘરોમાં !

મેઘાણી આજે આપણાં સૌનાં ઘરોમાં !

આજે અચાનક ભગવાને શું જાદુની છડી ફેરવી દીધી આ વિશ્વ ઉપર , તે બધાંને ઘરમાં ભરાઈ જઈને , કામધંધા છોડીને ,કુટુંબ સાથે ફરજીયાત સમય ગાળવા ના સંજોગો ઉભા થયા !
ગમે કે ના ગમે ; પણ પરાણે કે પ્રેમથી ઘરમાં બાળકો સાથે સમય પસાર કરવો જ પડે તેમ છે ; ત્યારે મેઘાણીની આ લેખમાળામાં તેમનાં બાળગીતો અને બાળસાહિત્ય વિષે લખવું યોગ્ય થઇ પડશે .!!
બની શકે કે કદાચ તમારે જ એ બાળકોને વાર્તા કહેવાનો અવસર આવે; અને ઝવેરચંદ મેઘાણીનું બાળસાહિત્ય તમને મદદે આવે !
તમારું બાળક કદાચ તમને કહેશે
‘નાના થઈને નાના થઈને નાના થઈને રે !
બાપુ તમે નાના થઈને રે ,મારા જેવા નાના થઈને રે
છાનામાના રમવા આવો નાના થઈને રે !’
સો એક વર્ષ પહેલાં, ઝવેરચં મેઘાણીએ , જયારે હજુ પંડિત યુગ ચાલતો હતો , ત્યારે , ઉપરની પંક્તિઓ લખી હતી ! ઋજુ દિલના મેઘાણી લોકસાહિત્યની શોધમાં ચારણ, બારોટ ,ઘાંચી ,મોચી ,માળી, મીર, રબારાં, કુંભાર સૌને મળ્યા છે ; સૌની સાથે દિલથી આત્મિયતા કેળવી છે ; પણ તેથીયે વધુ ઋજુ દિલ , પિતા તરીકેનું એમનું કોમળ દિલ ,એમનાં સંતાનો સાથેના વ્યવહારમાં પ્રગટ થાય છે! દીકરી ઇન્દુબેન અને જોડકા દીકરાઓ મસ્તાન અને નાનકના ઉછેર દરમ્યાન લખેલ બાળગીતો અને હાલરડાં આજે સો વર્ષ બાદ પણ એટલાં જ મોહક મધુરાં છે !
આજે જયારે બાલમંદિર અને નિશાળો બંધ છે ત્યારે , ઘરમાં બેસીને બાળકો સાથે ગુજરાતી ભાષામાં , વાર્તાઓ અને બાળગીતો ગાઈ શકાય એ હેતુથી , આ લેખમાળામાં આજે મેઘાણીના લોકસાહિત્યમાં બાળગીતો વિષયને સ્પર્શીએ !
આપણે ત્યાં બાળસાહિત્ય આમ પણ પ્રમાણમાં ઓછું ! તેમાંયે સાક્ષર યુગ તો ભારેખમ શબ્દો અને ભણેલ સુજ્ઞ સમાજ માટે લખેલ પાંડિત્ય ભરેલ ભાષાનો યુગ ! ત્યારે , ગુજરાતના છેક પશ્ચિમ છેવાડાના ઝાલાવાડિયા ભાવનગર પ્રાંતના બરડા ડુંગર અને બરડ ભૂમિનો આ સપૂત એકલે હાથે યુગ પરિવર્તનનું કામ કરતો હતો !
ભર્યુઁ ભર્યુઁ ભાષા માધુર્ય ,શબ્દાવલીમાંથી સરતો સરળ સંવાદ અને તેમાંથી ઉભું થતું સુંદર પ્રસંગ ચિત્ર ! આબાલ વૃદ્ધ સૌ બાલકસા હ્ર્દયને જીતી લે તેવાં આ સરળ બાળગીતો !
આ પ્રસંગ ચિત્ર કલ્પો .
નાનકડા ભઈલાને હીંચકો નાખતી બા , ને બહાર રમવા જવા અધીરો થતો બાળ :
બાળ માનસનું નિર્દોષ નિરૂપણ!
‘ ખેંચી દોરી ખુબ હિંડોળે ,થાકેલી બા જાશે ઝોલે ,
ભાગી જાશું બેઉ ભાગોળે ,સાંકળ દઈને રે !….

નાની આંખે નાનકાં આંસુ ,બાની સાથે રોજ રિસાશું,
ખાંતે એના ધબ્બા ખાશું , ખોળે જઈને રે ! ‘

કેવું નિર્દોષ હૃદયંગમ દ્રશ્ય !
અને આજે કોઈ પણ બાળકને તમે ગાઈ સંભળાવો તેવું આ ગીત જુઓ :
‘હા રે દોસ્ત ચાલો દાદાજીના દેશમાં !
મધુર મધુર પવન વાય ,નદી ગીતો કાંઈ ગાય,
હસ્તી હોડી વહી જાય ..હા રે દોસ્ત ચાલો દાદાજીના દેશમાં !’
બાળકને વાર્તા રૂપેય કહી શકાય તેવું આ ગીત છે :
આજે રાત્રે ઘરમાં રહીને કોરોના વાઇરસના કર્ફયુથી કંટાળેલાં બાળકને જો માત્ર આ ગીત વાર્તાથી જ શરૂઆત કરશો તો એ દોડીને તમારી પાસે વાર્તા સાંભળવા બેસી જશે :
‘સાત સાગર વીંધીને વ્હાણ ચાલશે ,નાગ કન્યાના મહેલ રૂડા આવશે ,
એની આંખોમાં મોતી હસતાં હશે ,હા રે દોસ્ત ચાલો દાદાજીના દેશમાં !…..

મેઘાણીનાં આ અને અન્ય બાળગીતો પ્રત્યે મને પક્ષપાત છે , કારણકે અમારા બાલમંદિરમાં ઘણી વાર એમનાં ( અને દલપતરામનાં) બાળગીતોને મેં મારી જરૂરિયાત મુજબ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીને ,જોડકણાં બનાવીને Circle time songs , Pretend play songs વગેરેમાં કંડાર્યાં છે ! (આ સાપ્તાહિક કોલમનું નામ ‘ હાં રે દોસ્ત , હાલો અમારે દેશ’ કદાચ એ વિચારે જ પસંદગી પામ્યું હશે ?)

દૂધવાળાનું ગીત પણ તમને કદાચ યાદ હશે. આમ તો આ ગીત પીડિત દર્શન માં આવે , પણ જો તમારે બાળકોને વાર્તા સ્વરૂપે કહેવું હોય તો તેમને રસ પડે તેવું કાવ્ય છે :
‘હાં રે ઓલો દૂધવાળો ઘંટડી બજાવે !
હાં રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે ! ‘
ઘરમાં બાપુજી , બા બધાંને વહેલી સવારની નિંદરમાંથી ઉઠવું ગમતું નથી : એટલે –
‘બા કહે બાપુ જાઓ ; બાપુ કહે , બા , જા!
આપ તો મોટા રાજા !નાકમાં વાગે વાજાં!
હાં રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે !’
મેઘાણીનાં બાળગીતોમાં પરિસ્થિતિ પ્રમાણે શબ્દોની પસંદગી ( અહીં પીટ્યો શબ્દ તળપદી ભાષા અને ઘેરી ઊંઘમાંથી ઉભા થવાથી પ્રગટતી નારાજગી દર્શાવવા વપરાયો છે ) તો સાથે સાથે સંવાદો , તેમાંથી પ્રગટતો નાદ અને તે સાથે વહેતો ભાવ ને સરસ રીતે ગૂંથીને ગીત તૈયાર થાય છે !

બાળકોને વાર્તા સાંભળવી ગમે જ , જો સરસ રીતે વાર્તા કહીએ તો !
તલવારનો વારસદાર બાળગીત આજેય, આટલાં સો વર્ષ પછી , ને તેય વતનથી ૧૨૦૦૦ માઇલ દૂર , તમે બાળકોને કહી જો જો !
ભેટે ઝૂલે છે તલવાર , વીરાજી કેરી ભેટે ઝૂલે છે !
ભીંતે ઝૂલે છે તલવાર , બાપુજી કેરી ભીંતે ઝૂલે છે !
પછી વાર્તા આગળ મંડાય છે :
મોટો મહાલે છે મો’લ મેડીની સાહ્યબી ,નાનો ખેલે છે શિકાર ..
બંને સંતાનોની સરખામણી કરે છે :
મોટો હાથીની અંબાડીએ , નાનો ઘોડે અસવાર ! મોટો કાવા કસુંબામાં પડ્યો છે ને નાનો ઘૂમે ઘમસાણ! વગેરે વગેરે જીવન રીતિની સરખામણીઓ ….બાળકોની જીજ્ઞાશા સતેજ કરે છે – કે હવે શું થશે ?
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો, નાનેરો સૂતો સંગ્રામ !
ને પરાકાષ્ઠા : મોટાનાં મોત ચાર ડાધુડે જાણિયા, નાનાની ખાંભી પૂજાય!
કહેવાય છે કે જયારે આ ગીત મેઘાણીનાં કંઠે ગવાયું અને એની રેકર્ડ બહાર પડી ત્યારે , એ સમયનાં મેઘાણીનાં તમામ પુસ્તકોનાં વેચાણમાંથી થયેલ કમાણી કરતાં માત્ર આ એક જ રેકર્ડમાંથી એની કમ્પનીને ૨૦ ગણી વધારે આવક થઇ હતી !

ઘણાં મિત્રોનું સૂચન છે કે હું આ બદલાતાં સમય અને સંજોગો અનુસાર , મેઘાણીનાં આ બાળગીતો ઉપર પ્રકાશ પાથરું .
મને તો મેઘાણીનાં આ બાળગીતો જાણેકે દાદીમાની મગશની લાડુડી જેવાં લાગે છે ! ચોકલેટના સ્વાદ કરતાં આ મગશની લાડુડી વધારે મીઠી લાગે છે !
એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ વેણીનાં ફૂલ’ અને પછી ‘ કિલ્લોલ’ માં બાળગીતોનો અમૂલ્ય ખજાનો અકબંધ છે .
‘એક ઝાડ માથે ઝુમખડું! ઝુમખડે રાતાં ફૂલ રે ,
ભમર રે રંગ ડોલરિયો !’
આ લાલ રંગ જે લીલા ઝાડની વચ્ચે રાતાં ફૂલમાં છુપાયો છે , તે બીજે ક્યાં ક્યાં હોઈ શકે ? તમે પૂછી શકો છો આ પ્રશ્ન , પેલાં નાનકડાં બાળકોને ! મેઘાણીએ તો રાતાં રંગને સરસ લડાવ્યો છે :
પોપટની રાતી ચાંચ , પારેવાંની રાતી આંખ, કૂકડાની લાલ કલગી , માતાની કેડે બેઠેલ બાળકના રાતા ગાલ ,અને પહાડની ઉપર આથમતી સંધ્યાનો રાતો રંગ અને દરિયા કિનારે , અને અંતે :
એક સિંધુ પાળે સાંજલડી, સાંજડીએ રાતા હોજ ,
ભમર રે રંગ ડોલરિયો !!
તો, વાચક મિત્રો , બાળકો સાથે તમે પણ આ રીતે સંવાદ શરૂ કરી શકો છો !
હજુ વધારે લાલ રંગોની લ્હાણ કરાવું? મેઘાણી તો રંગોના જ કવિ છે ! બાળપણ જેમનું નિસર્ગને ખોળે વીત્યું હોય તેને કુદરતના રંગો પ્રત્યે અનુરાગ હોય જ ને ?
‘રાતો રંગ ‘ કાવ્યમાં લખે છે : માડીને સેંથે ભરેલ ઓલો રાતુડીઓ રંગ !
બાલુડી બેનીના હોઠે ઝરતો રાતુડીઓ રંગ , ને પછી કાવ્ય આગળ વધે છે .. શૂરવીરના ઝખ્મનો શોણિત રંગ , પરદેશ જતા પ્રિયતમાનો પ્રીતનો રંગ વગેરે વગેરે ..
ને છેલ્લે
હાં રે એક કૂડો, ક્રોધાળ માનવીની કો જીભ તણો રાતુડો રંગ !
વાચક મિત્રો , આપણે પણ બાળકને પ્રશ્ના પૂછી શકીએ ને ઘરમાં નજરે પડતાં રંગો વિષે ?

અહીં મેઘાણીનાં બાળગીતો દ્વારા બાળકો સાથે સંવાદ રચવાની રમત દર્શાવી છે .. બાળકોની કલ્પના શક્તિ ખીલવવા મેઘાણીનાં કાવ્યોનો આધાર લીધો છે .. મેઘાણીનું ‘ ચારણ કન્યા’ ગીત આ સર્વેમાં શિરમોર છે .. એમનાં હાલરડાંઓ ને તેમાંયે શિવજીનું હાલરડું વગેરે વિષે આગળ ઉપર વાત કરીશું !

૧૨ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ ગુજરાતી ગીતકાર, સંગીતકાર તરીકે એક એવું મોખરાનું નામ છે જે આજ સુધી સન્માનીય જ રહ્યું છે. અવિનાશ વ્યાસ બધા કરતા નોખા હતા. પોતે જે સંવેદના જીવતા એ લખતા અને સંગીત પણ એ જ સંવેદના સાથે આપતા. એમની રચનાઓમાં એમણે અવનવી, અનોખી, ભૌતિક સંબંધોની લાગણીઓને પણ વાચા આપી છે. એમની રચનાઓમાં સંબંધોને એટલી સરસ રીતે ઉજાળ્યા છે કે દરેક સંબંધની એક અનોખી ભાત આપણાં મન પર ઊપસ્યાં વગર ન રહે.

માનવી એટલે સંવેદના. વ્યક્તિ જન્મે છે ત્યારથી એક પછી એક સંબંધોના, ક્યારેક લોહીના તો ક્યારેક લાગણીના, ગોફથી એકમેક સાથે ગૂંથાતો જાય. આપણા જેટલા સંબંધોના ગોફની ગૂંથણી અવિનાશ વ્યાસે એમનાં ગીતોમાં ગૂંથી છે એટલી એ જમાનામાં કોઈએ નહિ ગુંથી હોય. ખરેખર જોઈએ તો તે જમાનામાં ગુજરાતીઓ પાસે આવા ભાવ પ્રગટ કરવાની ક્યાં વાચા જ હતી!


એ સમયની વાત કરીએ તો ગુજરાતીઓને પ્રેમ કરતા અવિનાશભાઈએ શીખવ્યું કહેવાય અથવા ગુજરાતીઓના પ્રેમને એમણે વાચા આપી. આજે પણ જ્યારે લત્તા મંગેશકર અને મહેન્દ્ર કપૂર પાસે ૧૯૬૦માં એમણે ગવડાવેલું ગીત ‘પાંદડું લીલું ને રંગ રાતો’ સાંભળીએ તો એની મહેંદીના મદમાતા રંગની ઝલક નજર આગળ તરી આવે અને એની ખુશબો જેમ ધ્રાણેંદ્રિયને સ્પર્શીને મનને તરબતર કરી દે એવી જ આ રચના જોઈએ…


નયન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે

૧૯૬૦ના દાયકાનું આ ગીત અને એ સમયના સમાજની કલ્પના કરો. ગુજરાતી એટલે વેપારી પ્રજા એમને પ્રેમ કરતા, પ્રેમની ભાષા બોલતા જાણે અવિનાશભાઈ એ શીખવ્યું . ૬૦ વર્ષ પહેલાની આ ફિલ્મનાં ગીત પર તો આજે પણ આપણા ઘરના વડીલો સાંભળી ઝૂમી ઊઠશે. તેમની જુવાની પાછી આવી જશે અથવા સાંભળતાં જ એમનાં મોઢાં પર સ્મિત ફરકી જાય તો નવાઈ ન પામતા.


ગુજરાતી ગીતોમાં જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે હંમેશા એને અવિનાશ વ્યાસે કંઇક અલગ અંદાજમાં મૂકી છે. હવે એના સંદર્ભમાં એક આ સૌનું મનગમતું ગીત પણ યાદ આવ્યું છે.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે…
.’


આ ગીત વિષેની વાત કરું તો ઘણાને કદાચ આ બહુ ગમતાં ગીતનો અર્થ કે સંદર્ભ ખબર નહિ હોય.. એવું સાંભળ્યું છે, સૌરાષ્ટ્રની જાતિના એક સિંહને પાતળિયા તરીકે ઓળખવામાં આવે છે, જે આગળ અને પાછળથી ભરાવદાર હોય અને વચ્ચે કમરથી પાતળો હોય. હવે મઝાની વાત તો એ છે કે, જ્યારે એ સમયે બોડીના વી શેપઅંગે ઝાઝી ગતાગમ નહોતી ત્યારે પણ આ લખાય છે. એનો અર્થ કે ગીતકારના મનમાં ભવિષ્યમાં એક સંપૂર્ણ શરીર સૌષ્ઠવ ધરાવતા, સુદ્રઢ બાંધાની ફ્રેમમાં ફીટ થતા જુવાનની કેટલી સુંદર કલ્પના અકાર લેતી હશે?


હવે એક સાહિત્યની દ્રષ્ટિએ અવિનાશ વ્યાસને સમજવા હોય તો આ ગીતની અંદરનો પ્રાસ સમજવો જોઈએ. પાતળીયાનાં

અંગનું રે અંગરખું તમતમતું રે, પગનું  રે પગરખું ચમચમતુ રે,
મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા તને અમથું રે

નાયિકાના મનોભાવોને અવિનાશ વ્યાસે આ શબ્દોમાં કેટલા સિફતથી મૂક્યા છે. આપણે સંગીતની સામે એમનાં કવિત્વને પણ સમજવું પડશે.

કેટલી મોટી વાત બસ સાવ અમથી, અમસ્તી જ હોય એમ રમતી મૂકી દે છે. આ એક શબ્દને લઈએ “અમથું” પણ આ એ સમયે વપરાતી કેવી બોલચાલની ભાષામાં વાત કહેવી એ અવિનાશભાઈ પાસેથી શીખવાં જેવું છે. અમથું શબ્દનો ભાર કેટલો છે? સામાન્ય બોલચાલની વાતો જલ્દી લોકોનાં મોઢે વહેતી થાય છે એ વાતથી અવિનાશ વ્યાસ જાગરૂક છે એ વાત અહીં છતી થાય છે. સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ દસ હજાર જેટલા) રચ્યાં છે.

સમય પ્રમાણે જેમ રૂખ બદલાતી જાય એમ કાવ્ય રચનાઓ, ગીતો પણ બદલાતાં ગયાં. આ તો સમયની માંગ છે. એને તો સ્વીકારીને અવિનાશ આગળ વધ્યા. ગીતોના લય, સૂર, તાલ બદલાયા, એની શબ્દ રચના બધું બદલી એમાં થોડી આધુનિકતા ઉમેરી અને આ આધુનિકતા ગુજરાતી સંગીતમાં લાવ્યાનો જશ હું અવિનાશ વ્યાસને આપીશ. કોઈપણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિધ્ધિ પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા.
એમણે ગુજરાતી સિવાયના ઘણા કલાકારો પાસે કામ કર્યું અને કરાવ્યું તેની વાત આવતા અંકે ..

આજે સાંભળીએ આ મસ્ત મઝાનું ગીત.

http://www.mavjibhai.com/MadhurGeeto/001_taribankire.htm

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 10 : નયનાબેન પટેલ

મિત્રો આજનું વાચિકમ – આંખ આડે કાન રાખે, કાન આડે શું રાખે?

ખુલ્લી બારીએથી – હરીન્દ્ર દવે : વાચક – પ્રજ્ઞા દાદભાવાળા

હરીન્દ્ર દવે.

પ્રણયમસ્તી અને વેદનાની બેવડી મોસમમાં ખીલતા કવિ એટલે હરીન્દ્ર દવે.

પહેલીવાર એમને ૧૯૭૯માં મળી. મેં પત્રકારત્વનો કૉર્સ કર્યો ત્યારે એમનો પરિચય એસ.એન.ડી.ટી કૉલેજમાં થયો. ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર આટલી મોટી વ્યક્તિ અને આટલું સરળ વ્યક્તિત્વ! ક્યાંય કોઈને પ્રભાવિત કરવાનો પ્રયત્ન નહિ. અમારા વર્ગ લેવા આવ્યા ત્યારે અમને એમના વિષે વધુ માહિતી સુરેશ દલાલે આપી. હરીન્દ્ર માત્ર મારો મિત્ર નથી ‘જનશક્તિ’ દૈનિક, ‘સમર્પણ’ના સંપાદક, મુંબઈ-ગુજરાતી વિભાગના તંત્રી છે. એ સિવાય જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ-પ્રવાસીનાં મુખ્ય તંત્રી તરીકે કાર્યરત છે માટે આપણા આ પત્રકારત્વના વર્ગમાં તમને માર્ગદર્શન આપશે અને તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. જવાબમાં હરીન્દ્ર દવેનું માત્ર ધીમું સ્મિત. એક તંત્રી તરીકે એમને ઘણાને મળવાનું થતું હશે પણ અમને અને સૌને એમની નમ્રતા જ મળી એ જ અહોભાવ અમને એમના તરફ આકર્ષતો. એ કોઈને નડ્યા નહિ અને અમારા વર્ગમાં એમણે એમની અનેકવિધ પ્રતિભાનો અમને અણસાર પણ ન આવવા દીધો.  

પછી તો વારંવાર મળવાનું થતું. હું એમને સાંભળ્યા કરતી. આમ તો ઓછુ બોલનારી વ્યક્તિ એટલે વિષય સિવાય ખાસ વાત ન કરે પણ હું એમનાં પુસ્તકો દ્વારા નજદીક ગઈ. હરીન્દ્ર દવેની ઋજુતા એમનાં દરકે સર્જનમાં પ્રગટી, જે મેં એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહનાં ભાવસંવેદનમાં માણ્યું.. “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં”… ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં’ એમનાં ગીતોમાં લય, હલક અને ભાવમાધુર્ય અનુભવ્યું માટે જ કદાચ ગમ્યાં. એમની કવિતા કે ગીતમાં કાવ્યત્વ પૂર્ણ છે. એ વાતનો અહેસાસ મારી મિત્ર શીલા ભટ્ટે મને ત્યારે કરાવ્યો. મેં એમની અછાંદસ અને લયબદ્ધ કવિતાથી મારી સાહિત્યની શરૂઆત કરી એમ ગણાય, ત્યારપછી લાઈબ્રેરીમાંથી એમની વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ વાંચી અને રિવ્યૂ લખવાની કોશિશ કરી. જોકે સુરેશ દલાલે મને કહ્યું, ‘બેન, કલમને પહેલાં કેળવો.’ તેમ છતાં, હું એમને વાંચતી ત્યારે હમેશાં નવું શીખતી. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ ક્યાંય નથી’ મારાં દિમાગમાં રાજ કરવાં માંડી. હવે વિચારોમાં વિસ્તૃત સમજણ હું મેળવતી થઈ. હું પણ નારદની જેમ પ્રભુત્વને જીવનમાં શોધવાં માંડી. સુરેશ દલાલ મને ખૂબ આધુનિક લાગતા જયારે હરીન્દ્ર દવે પોતાનાં મનમાં આવે તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપે છે એવું મને લાગતું. એમણે અમારા પત્રકારત્વના વર્ગમાં પણ પત્રકારત્વના નિયમો ન દેખાડ્યા. એ માત્ર એટલુ કહેતા, ‘સારો પત્રકાર સત્યને નિર્ભયતાપૂર્વક પ્રગટ કરે છે. હું કવિ છું પણ પત્રકારત્વમાં કવિને અળગો રાખવાનો છે.’ પત્રકાર તરીકે જીવનના અનેક પ્રસંગો એમણે જોયા-જાણ્યા હશે. એનાં પ્રતિબિંબરૂપે એમની કેટલીક નવકથાઓમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ વર્ણવાઈ છે. આવાં પ્રકારની કૃતિ ‘સુખ નામનો પ્રદેશ’ વાંચવાં જેવી છે. એ ઉપરાંત, એમણે એમની ગઝલની એક આખી નોખી છાપ ઊભી કરી છે. એમને સમજવા માટે મને સુરેશ દલાલે ‘કવિ અને કવિતા’ પુસ્તક વાંચવાં કહ્યું હતું જે કવિતાના આસ્વાદનું પુસ્તક છે. એમણે કવિતા વિશ્વમાં એક સૌમ્ય વાતાવરણ સર્જી કવિતાની મોસમમાં ભીંજાતાં મને શીખવ્યું.

‘વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય પ્રકશિત થયો. મારાં લગ્ન થયાં એટલે થોડો વખત સાહિત્ય માળિયે મુકાઈ ગયું, પછી બાળકો એટલે સુરેશ દલાલને વાંચતી…. બાળ જોડકણામાં.

અને અંતે એમની પંક્તિમાં એમના જ માટે..

હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,

તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં !

ઘણી વ્યક્તિ અનાયાસે આપણને મળે અને તેમના દ્વારા જીવનમાં મોસમ ખીલી ઊઠે તો શું કહેવાય? એક વખત જે સાવ જ અજાણ્યા હતા, એ હવે શબ્દ થકી મારામાં જીવે છે. એ દેખાવડા ના કહી શકાય તો પણ સદાય આકર્ષી ગયા. એમણે સાહિત્ય મને શીખવાડ્યું જ નથી પણ અજાણતા હું સાહિત્યરસિક એમના થકી બની. હરીન્દ્ર દવે એટલે સાહિત્યની નજાકતભરી માવજત કરનાર, સુંદર રજૂઆત કરનાર.  એમના પ્રત્યેક શેર પાણીદાર, સરળ શબ્દો, લાલિત્યપૂર્ણ લય, નાજુક અર્થ. એમનાં કેટલાં ગીતો તો એવાં છે કે જેમાં કોઈ ગૂઢાર્થની ઝંઝટમાં પડ્યા વગર મમળાવ્યા કરવું હજી પણ ગમે. એમણે સાહિત્યને ફિલોસોફરની દૃષ્ટિએ નહીં પણ મજનૂની દૃષ્ટિએ પ્રેમ કર્યો છે. એમની અનેક રચનામાં કે લેખનમાં લાગણીની ભીનાશથી સાહિત્યનુ સિંચન કર્યું છે એમ કહું તો અતિશયોક્તિ નહિ કહેવાય. આ કવિ ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન છે.

-પ્રજ્ઞા દાદભાવાળા

વિશેષ માહિતી-સંકલન  

શ્રી હરીન્દ્ર દવે ભારતીય વિદ્યાભવનમાં કામ કરતા હતા. એ અરસામાં કનૈયાલાલ મુનશીની ‘કૃષ્ણાવતાર’નું અનુવાદનું કાર્ય એમને સોંપાયું. એનો અનુવાદ કરતાં કરતાં કૃષ્ણજીવનની મોહની લાગી અને એમાંથી જે ઊર્મિસ્પંદન જાગ્યું અને અદ્દભુત કાવ્ય ગુજરાતી સાહિત્યમાં પ્રગટ થયું. એ આપણે સૌ વારેવારે સાંભળીએ છીએઃ

ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં

કેવી રીતે સર્જાઈ આ કૃતિ? કોણે ધક્કો આપ્યો હરીન્દ્રભાઈને આ નવલકથા લખવાનો? આપણે બધા જાણીએ છીએ કે હરીન્દ્રભાઈ વ્યવસાયે પત્રકાર હતા અને પત્રકારત્વ નિમિત્તે દેશ અને દુનિયામાં તત્કાળ બનતી ઘટનાઓ વિશે વિચારવાનું અને લખવાનું એમને સતત બન્યા કરતું. એ નિમિત્તે નવલકથાના વિષયવસ્તુઓ તેમને હંમેશાં મળતા રહેતા. દેશ અને દુનિયાના તખ્તે અત્યંત ક્ષુબ્ધ થઈ જવાય એવી પરિસ્થિતિ છે એવો અનુભવ એમને જ્યારે થયો ત્યારે એમણે ‘માધવ ક્યાંય નથી’ લખી. – નરેશ વેદ

કવિતા – આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે (સમગ્ર કવિતાનો સંગ્રહ)

નવલકથા – અગનપંખી, પળનાં પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, સંગ અસંગ, વસિયત, લોહીનો રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબધો, મુખવટો, ગાંધીની કાવડ, મોક્ષ, મોટા અપરાધી મહેલમાં.

નાટક – યુગે યુગે, સંધ્યાકાળે પ્રભાતફેરી

વિવેચન – દયારામ, ગાલીબ, કવિ અને કવિતા, મુશાયરાની કથા, ઇકબાલ, વિવેચનની ક્ષણો, કલમની પાંખે.

નિબંધ – નીરવ સંવાદ, વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય, શબ્દ ભીતર સુધી, ઇશ્વરની આંખનું આંસુ, કથાયાત્રા

સંપાદન – મધુવન, કવિતા, મડિયાનું મનોરાજ્ય, શબ્દલોક

ધર્મ – સ્વામિનારાયણ સંપ્રદાય, આધ્યાત્મિક કવિતા, કથા રામની- વ્યથા માનવની

અનુવાદ – પિજંરનું પંખી, ધરતીના છોરું, જ્યોત સદા જલે, પરિનિર્વાણ, ચરણ રુકે ત્યાં, એકલની પગદંડી, વાદળ વરસ્યાં નહી, મરુભૂમિ, શૈશવ અને બીજી વાતો, કવિ અને કવિતા- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ

અંગ્રેજી – The Cup Of Love.

તેઓ એમ.એ.માં ત્રીજા વર્ગમાં પાસ થયા હતા.  સાવ નાની ઉમરે ૫૦૦ પંક્તિનું કાવ્ય રચ્યું હતું. એ કંઈ મામુલી વાત નથી. એ પરંપરાના કવિ હતા પણ પોતાની રીતે મૌલિકતાથી  મ્હોર્યા. ગદ્ય અને પદ્ય બંનેમાં એમની એક આગવી શૈલી નજરે પડે છે. અમને અન્ય ભાષામાં વાંચવાનું કહેતા. પોતે બંગાળી, ઉર્દુ અને અંગ્રેજી ભાષાના ભાવક હતા. એમના વિષે ઘણું લખી શકાય પણ બીજી કોઈ વાર …

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 11

ગત અંકમાં આપણે ‘ગુજરાતનો નાથ’ અંગે થોડી વાતો કરી. હવે મારે વાર્તાનાં અંતરંગ સ્વરૂપનું દર્શન કરાવીને, મુખ્ય ત્રણ વાર્તાયુગલ; મીનળદેવી અને મુંજાલ, કાક અને મંજરી, ત્રિભુવનપાળ અને કાશ્મીરાદેવીની ઓળખ આપવી છે. લેખક આ વાર્તાયુગલ વાંચનારને સોલંકીયુગના સમયમાં લઈ જાય છે. વાચકને ઢાલતલવારના ખડખડાટમાં, ધનુષબાણના ટંકારમાં, ખડગના વીજચમકારમાં, બુદ્ધિપ્રભાવના પ્રસંગો વચ્ચે લાવી દે છે. ભલે છે તો એ વાર્તાના પાત્રો,પરંતુ લાગે છે એવું જાણે આપણી સામે જીવંત ખડા છે અને રસ્તામાં આપણને મળે તો આપણે એમને ઓળખી પાડીએ. મુનશી વાર્તાકાર તરીકે એવા સમર્થ વિધાતા છે કે તેમના પાત્રોની સૃષ્ટિ સજીવસૃષ્ટિ બની રહે છે. તેમની કલમની ખૂબી એ છે કે, તેઓ પાત્રોને પહેલેથી જ ધડીને રજૂ નથી કરતાં પણ આપણા જીવનમાં જેમ બને છે એમ, પ્રસંગોની સાથે સાથે પાત્રનો લક્ષણદેહ વિકાસ પામતો રહે છે.

આજે આ કથાના મુખ્ય યુગલ કાક અને મંજરીને મળીએ. આ યુગલ વિલક્ષણ ગર્વમર્યાદાનાં કારણે તથા અસાધારણ સંયોગોનાં પરિણામે પ્રેમના અલૌકિક વજ્રલેપથી જોડાય છે. તેમાં પણ મુનશી એક અનોખા કલાવિધાયક તરીકે ઊભરી આવે છે.  ખંભાતમાં બ્રાહ્મણ કન્યા મંજરીને તેની માતા શ્રાવક સાથે પરણવાં અથવા દીક્ષા લેવાં જબરદસ્તી કરે છે. તેમાંથી કાક તેને બચાવે છે. પરંતુ મંજરી તેના ઉપકારનાં કારણે કાક તરફ આદર કે પ્રેમના ભાવથી જુએ એવી ચીલાચાલું કથા મુનશીની કલમે ન જ હોય. મુનશી તો એવા શબ્દશિલ્પી છે જે દ્રઢ પાષાણ લઈને બહારથી વજ્ર જેવા પણ અંદર થી મૃદુ ટાંકણાના પ્રહાર વડે અલૌકિક પૂતળાં ધડે. મંજરીને કાકભટ્ટ પંડિત નહિ પણ વિદ્યાવિમુખ લડવૈયો જ લાગ્યો. ગર્વિષ્ઠ મંજરી ખંભાતથી પાટણ જતાં રસ્તામાં કાક જોડે ઓછું બોલતી, મહેરબાની કરતી હોય તેમ ગર્વથી અને દયાથી જોતી. જ્યારે કાક પોતે ‘નંદી પાર્વતીને જેમ માન આપે તેમ માનથી તેની સામું જોઈ રહેતો’ ને તેની સેવા કરી કૃતાર્થ થતો હતો. મંજરી ગર્વિષ્ઠ હતી છતાં શુદ્ધ, સંસ્કારી, નિખાલસ હૃદયની અને આનંદી હતી. મંજરીના આદર્શનું દર્શન તેનાં જ શબ્દોમાં કરીએ. “બા! હું તમારા કાળની નથી,  ત્રિભુવન ગજાવનાર મહાકવિઓના કાળની છું.  હું પાટણની બ્રાહ્મણી નથી પણ  બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને ખોળામાં છુપાવવાની  હોંશ ધારતી  બીજી અનસુયા છું. મારાં રૂપમાં ભયંકર શક્તિ છે એટલે લાલસાના સેવકો દુઃખ દેવા આવશે પણ હું કોને પરણું?  જ્યાં જોઉં ત્યાં વહેંતિયાઓ નજરે ચડે છે, તેમાંથી કોની દાસી થાઉં?”

મંજરીના તો  નાથ ઘણા હતા. કવિવર કાલિદાસ, એનો નિરંતર સહવાસ, ગગનવિહારી મેઘોનું તેની સાથે દર્શન; બીજો તેનો પતિ પરશુરામ. આમ, મંજરી વિદ્યા અને શસ્ત્રપરાક્રમના મિશ્ર આદર્શો પૂજનારી  છે.  કાશ્મીરાદેવી જ્યારે શૂરવીર કાકનું નામ તેના પતિ તરીકે સૂચવે છે તો મંજરી કહે છે: “બા! એ મોટો યોદ્ધો ને એ  મોટો બ્રાહ્મણ! નથી આવડતું સંસ્કૃત, નથી પૂરા સંસ્કાર, નથી મોટો યોદ્ધો. બા! હું કાકને પરણું? ક્યાં હું ને ક્યાં લાટનો ભટકતો ભટ?” મંજરીનાં આ ગર્વભર્યા વચનો કાકે છાનાંમાનાં સાંભળ્યાં ને એ શબ્દો તેનાં દિલમાં વાગ્યા. પોતાને પરશુરામ આગળ નિ:સત્વ દીઠો. મંજરીને લાયક પોતે નથી એ ભાન થયું. એ સાથે મનમાં નિશ્ચય કર્યો. “મંજરી! ઠીક છે. તું પણ જોજે. મારી રગમાં શુદ્ધ સનાતન લોહી ફરે છે. તું પણ જોઈ લેજે કાક નિર્માલ્ય છે કે રાજવિમર્દન!

બીજો એક પ્રસંગ જોઈએ.  ઉદા મહેતાના સેવકો મંજરીને ઉપાડી જતાં હતાં. તેમાંથી કાકે તેને બચાવી. બેભાન મંજરીએ નિશ્વાસ મૂક્યો. “ચંદ્રને શરમાવે એવું સુમધુર મુખ જોઈ પ્રેમ-અર્ચનાથી તેને વધાવી લેવાં કાકનું હૃદય તલસી રહ્યું. પણ તે તેણે પ્રયત્નપૂર્વક માંડી વાળ્યું. મંજરી ભાનમાં આવતાં સાથે બચી ગયાની ખાતરી થતાં, અભિમાન પ્રગટ્યું. કાકને ગર્વ તિરસ્કારથી પૂછ્યું. “મને ક્યાં લઈ જતા હતા?” 

કાક : એમ પૂછો કે હું ક્યાંથી લઈ આવ્યો. તમને હરામખોરો ઉપાડી જતાં હતાં. હું અડધો કોશ દોડી તમને પાછો લઈ આવ્યો. ને મંજરી નરમ પડે છે. કાશ્મીરાદેવી મંજરીને કહે છે કે હવે કાકને શિરપાવ આપ્યા વગર છૂટકો નથી. કાકે તેને બે વાર બચાવી,પણ મંજરી હૃદય આપવાં તૈયાર નથી. જૈન મંત્રી ઉદો તેની પૂંઠ છોડે તે માટે તે કાક સાથે પરણવાં તૈયાર તો થઈ પણ કાક પાસેથી એક વચન લીધું કે, પરણીને પછી મંજરીને તેના દાદાનાં ઘેર મૂકી આવે. કાક ધર્મસંકટમાં પડે છે. સંજોગોનાં દબાણમાં કાક અને મંજરી લગ્નગ્રંથિથી જોડાયાં. કાશ્મીરાદેવીએ મીનળદેવીને એક વાક્યમાં કહ્યું તે રીતે; ઉદો એ છોકરીને પરણવા માગતો હતો એટલે એ બેઉને પરણાવી દીધાં. અરે, આ તે પ્રેમલગ્ન? હૃદયલગ્ન? પણ મુનશી હૃદયનાં પડ નીચે થઈને વહેનાં ઝરણાની ગતિને યોગ્ય સમયે અને યોગ્ય ભૂમિકાએ ક્રમે ક્રમે પ્રગટાવે છે. લગ્ન પછી પણ કાક પ્રત્યે તિરસ્કારનો ભાવ ચાલુ હતો તે ‘આનંદરાત્રીનો અનુભવ’માં જણાઈ આવે છે.

ત્યારબાદ, સજ્જન મહેતાની વાડીના પાછળના ભાગમાં કાવતરાબાજોનું મંડળ ભરાયું હતું તેમાં કાકે અપૂર્વ રાજનીતિનો ઉપદેશ કર્યો. તે ગુપ્તવેશે રહેલા ત્રિભુવનપાળ, કાશ્મીરાદેવી અને મંજરી, ત્રણેનાં હૃદયમાં કાકનો વિશિષ્ટ પ્રભાવ જગાવી ગયો. અહી, ગુપ્તવેશે આવેલો ઉદો ગુપ્તવેશવાળી મંજરીને હરણ કરી ગયો. કાકનાં પ્રયત્નોથી મંજરી અને કીર્તિદેવ ગુપ્ત કેદખાનામાંથી છૂટ્યાં. આ દરમ્યાન મંજરીનો ગર્વ શિથિલ થાય છે, તેનું હૃદય પરિવર્તન થાય છે.  કાકનાં પરક્રમોથી અભિભૂત મંજરી પોતે કલ્પનાસૃષ્ટિમાં પરણેલા કાલિદાસ અને પરશુરામને વિસરી જાય છે. તેની નજર સામે રમે છે જીવનસૃષ્ટિનો વીરકેસરી કાક. તેનો પતિ હવે પોતાને લાયક લાગે છે ને તેનું હૈયું તેના સૌભાગ્યનાથને ઓવારવા તલસી રહે છે. હવે ગર્વનો હક અને વારો કાકનો આવ્યો. મંજરીનું હૃદય પરિવર્તન એ પારખી શક્યો ન હતો. તે તેના ગર્વનાં ચૂરેચૂરા કરવા માગતો હતો. મંજરીનાં હૃદયના ભાવો વણબોલ્યા રહી ગયા. પતિ હતો છતાં તેની મેડી સુની હતી. આ ‘મંજરીની મેડી’નું બીજું દર્શન. આ ગર્વપ્રધાન જોડી માટે હનીમૂન જુદી રીતે નિર્માણ થયું હતું.

કાક મંજરીને તેના દાદાને ત્યાં મૂકી આવ્યો ને અણધાર્યો ખેંગારનો કેદી થયો. ત્યારે મંજરીએ પુરુષવેશે જઈ ગુપ્ત કેદખાનું શોધી કાકને છોડાવ્યો. તેની કલ્પનાશક્તિએ તેને પુરુષોત્તમ રૂપે જોયો. તેનાં અંગેઅંગમાં રહેલું સ્ત્રીત્વ તેને માટે તલસતું હતું. ગુપ્ત સ્થાનેથી છૂટેલા કાક અને મંજરીએ વિષમ, માર્ગહીન, ભયંકર જંગલમાં પ્રયાણ કર્યું. આરંભકાળે મદમત્ત દશામાં બોલનારી મંજરી કાકની જોડે હંસની હંસી બનીને રહી. કાકનાં હૃદયમાં પ્રકાશ થયો. હૃદયની રુંધાયેલી પ્રેમજ્વાળા બહાર નીકળી. આ હતું વીર અને વિરાંગનાનું અલૌકિક સંવનન! ઊંચે તારકમણીમંડિત નીલગગન, આજુબાજુ જંગલના ઝાડ, પાષાણનું પ્રેમલીલાગૃહ; પ્રચંડ વનકેસરી યુગલને છાજે એવી મેડીની પસંદગીમાં મુનશીનું કલાચાતુર્ય અનુભવાય છે. તો ‘ઉષાએ શું જોયું’ પ્રકરણમાં મુનશીની કલ્પના અને પ્રણયમાં રમમાણ યુગલનું વર્ણન ચરમસીમાએ પહોંચે છે. “ઉષાના અચંબાનો પાર રહ્યો નહિ. તેણે અનેક યુગલોને પ્રભાતમાં ઉઠાડ્યાં હતાં, પણ આવું યુગલ તેણે કદી ભાળ્યું ન હતું. સ્ત્રીનાં મુખ પર લક્ષ્મીજીને છાજે એવું અપૂર્વ સૌન્દર્ય હતું. પુરુષના કપાળ પર બૃહસ્પતિની બુદ્ધિ દીપતી, મીંચેલી આંખો પરથી પણ ચાણક્યની નિપુણતા યાદ આવતી. નિર્મળ પ્રભાતનો મીઠો આહ્લાદ અનુભવતાં, સ્વછંદે પથરાઈ રહેલી વનની શોભા નિહાળતાં, પ્રબળ પ્રેમનાં બંધનના ભાનથી મસ્ત બની તે બંને રસ્તો કાપવા લાગ્યા.”

વ્હાલા વાચકો, આપણે પણ એક રસ્તો કાપ્યા બાદ વિરામ લઈશું. મુનશીની વધુ રસસભર સૃષ્ટિને માણીશું આવતા અંકે….

રીટા જાની

मेरे तो गिरधर गोपाल – 11 : અલ્પા શાહ

મીરાંબાઈનાં ભાવવિશ્વની સફરે – તેમના પદોની  સંગે.

આજે આ લેખમાળાનો અગિયારમો લેખ છે. અગાઉના લેખોમાં આપણે તેમનાં અમુક ચૂંટેલા પદો વિષે ચર્ચા કરી અને તે પદોના સૂક્ષ્મ અર્થને સાંપ્રત સમયના લેન્સથી જોવાનો પ્રયત્ન કર્યો.  આ અગિયારમા લેખથી મારે આ લેખમાળાની દિશા થોડી બદલવી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ મીરાંબાઈએ લગભગ ચૌદસો પદોની રચના કરેલ છે. આ પદો થકી તેમની જીવનલીલા તાદ્દશ છતી થાય છે. ગિરિધર ગોપાલ પ્રત્યેનાં તેમનાં પ્રેમ અને સમર્પણનું રસદર્શન થાય છે અને સૌથી મહત્વની વાત કે મીરાંબાઈનાં પદોથી તેમનાં ભાવવિશ્વની ઝાંખી કરવાનો મોકો મળે છે. તેમના મનોભાવોને ખૂબ નિકટથી નિહાળવાનો લ્હાવો મળે છે.

મોટાભાગના સંત મહાત્માઓ ભગવદ્દ લીલા કે તેમની પોતાની ઉપદેશ વાણીને ગદ્ય કે પદ્ય રૂપે  કરતાં હોય છે. તે રજૂ કરવાં તેમને સભાન પ્રયાસ કરેલ હોય છે. પણ મીરાંબાઈનાં પદોની એ ખાસિયત છે કે તેઓએ આ પદોની રચના કરવાની કોઈ સભાન ચેષ્ઠા ન હતી કરી પરંતુ તેમના અંતરમાં ચાલતા ભાવોએ જ અનાયાસે પદોનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈ માટે આ પદો તેમનાં મનના વિચારોને વહાવતું એક ઝરણું બની રહ્યાં હતાં. તેમની સુખ અને દુઃખની સંવેદનાઓનું તરણું બની રહ્યાં હતાં. મીરાંબાઈનાં પદોમાં તમને વિવિધ ભાવોનું મેઘધનુષ જોવાં મળશે. તેમાં પ્રતીક્ષા પણ છે તો પ્રેમ પણ છે, વિહ્વળતા છે તો વહાલ પણ છે અને સંયોગ છે તો વિયોગ પણ છે. આ અંતરના ભાવોનું જયારે શબ્દોમાં અવતરણ થયું ત્યારે આપોઆપ પ્રાસ અને છંદનો પણ તાળો મળી ગયો હતો. એટલે જ કદાચ મીરાંબાઈનાં પદોની હસ્તપ્રત ક્યાંય જોવાં મળતી નથી, એમના ભાવો તો માત્ર શબ્દરૂપે એક સદીમાંથી બીજી સદીમાં સરકતા રહે છે.


મીરાંબાઈએ તેમનાં પદો દ્વારા તેમનાં જીવનના ઘણા પ્રસંગોનું નિરૂપણ કરેલ છે. તેમનાં માતા-પિતા સાથેના સંવાદો, તેમના લૌકિક પતિ સાથેનું અલ્પ લગ્નજીવન, વૈધવ્ય પછી તેમના કુટુંબીઓ દ્વારા ઊભા કરેલા ઝંઝાવાતો જેવા વિવિધ પ્રસંગોની સંવેદના પદો દ્વારા તેમણે વહાવી દીધી છે. મીરાબાઈનાં મોટાભાગનાં પદો  પ્રિયતમ ગિરિધર ગોપાલ પ્રત્યે પ્રગટ થતા માધુર્ય ભાવનું નીરુપણ કરાવે છે તો સાથે સાથે અમુક પદોમાં પ્રભુ પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા, અફર નિશ્ચયતા, પ્રભુનું નામ મહાત્મ્ય અને તેમનો દર્શનાનંદ પણ છતા થાય છે. અમુક પદોમાં મીરાંબાઈએ સત્સંગ ઉપદેશ કરેલ છે તો ક્યાંક પ્રાર્થના વિનયનું મહત્વ સમજાવ્યું છે. મીરાંબાઈને તેમના ગુરુ પ્રત્યે પણ ખૂબ માન અને આદર હતું. તે પણ તેમનાં અમુક પદોમાં ફલિત થાય છે.



મીરાંબાઈ સાથે ગિરિધર ગોપાલે લીલાઓ સદેહે નહતી કરી પણ મીરાંબાઈએ તેમનાં પદો દ્વારા સર્વે વ્રજ લીલાઓની અનુભૂતિ કરેલ છે. તેમનાં પદોમાં ચીરહરણથી માંડીને ગોવર્ધનલીલાનું આલેખન થયેલ છે. વ્રજમાં ગોપાલના ગો વિચરણથી માડીને મુરલીધરની મુરલીનાં કામણ સુધીના પ્રસંગો વર્ણવેલા છે. ક્યાંક પદોમાં હોળીના રંગોની છોળો ઊડે છે તો કયાંક રાસલીલાના તાલે પગ ઝૂમી ઊઠે છે.

આવું અનેકવિધ સંવેદનાઓનું નિરૂપણ તો માત્ર મીરાંબાઈનાં પદોમાં જ જોવાં મળે છે. આટલી પ્રસ્તાવના સાથે આપણે આગામી લેખથી મીરાંબાઈના ભાવવિશ્વની સફરે નીકળીશું અને તેમનાં પદો દ્વારા તેમનાં મનોભાવોને ખૂબ નજદીકથી (અર્વાચીન યુગના લેન્સ પહેરીને) નિહાળીશું.

મીરાંબાઈનાં આ એક સુંદર ભજન સાથે વિરમું છું.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

— અલ્પા શાહ

૧૦-કબીરા

                       ક્બીરો મારો નિર્ભય 
આદિકાળ સાથે જન્મ આપણા સાથે સંકળાયેલ છે અને જન્મ સાથે મૃત્યુ….અને જીવન સાથે વિસ્મય,અભિપ્રાય અને ભય સંકળાયેલા હોય છે, તો ઘણીવાર પ્રશ્ન થાય ,આ જીવન પાર સહજ કેવી રીતે કરી શકાય? આ મૃત્યુનો ભય તો સુખેથી જીવવા પણ નથી દેતો . આ ભય, સમય અને માણસ બન્નેને ખાઈ જાય છે ત્યારે હું જવાબ શોધવા કબીરા તરફ વળું છુ.આ કબીરની જેમ બેફિકર અને નિર્ભય કઈ રીતે રહેવાય ? 
          કબીરા ઓ કબીરા -આ મૃત્યુ મને સમજાતું નથી.જેની સાથે દિવસ રાત વિતાવ્યા હોય ,આખું જીવન જેમની આસપાસ વિતાવ્યું હોય. કેટલી મહેનતે ઘર વસાવ્યું હોય અને બસ આમ જ એક દિવસ બધું છોડીને ચાલ્યા જવાનું……ઘરને ઉંબરેથી નીકળેલો માણસ સાંજે હેમખેમ ઘેર પહોંચશે કે નહિ ? તે આપણને અચાનક છોડીને ચાલી જાય તે કેવીરીતે સહેવાય? મૃત્યુના ભયનો અતિરેક મુંઝવે  છે મને અને હું કબીરના દોહાનું પુસ્તક ખોલું છુ.અને સામે જ પાનામાં દેખાય છે આ દોહો 
“અનજાને કો સરગ નરક હૈ,હરી જાને કો નાહી,
જે હી ભવ લોગ ડરત હૈ,સો ડર હમરે નાહી.”
         “સો ડર હમરે નાહી” આમ કહેવાથી થોડું નિર્ભય થવાય છે? મારે કબીરની વિચારધારાને જો મારા ગર્ભમાં રોપી ઉછેરવી હોય તો પણ પહેલા આ નિર્ભયતાને અપનાવવી પડશે..આ દુનિયા તો મેળો છે.એમાં જાતજાતનાં અને ભાતભાતનાં લોકોને મળવાનું થાય છે ત્યારે સજાગતા સાથે પોતાની મસ્તીમાં મસ્ત રહેતા શીખી કબીરની જેમ વેળાસર નિર્ભય થવું પડશે.કબીરના દોહા સામાન્ય દેખાય છે.પણ તેના તત્વને પકડીએ તો આપણે પણ કબીરની જેમ ગાઈ ઊઠેએ કે ..
“કોઈ નહી અપના સમઝ મના,ધન દોલત તેરા માલ ખજીના,
દો દિનકા સપના સમઝ મના,નંગા આના ,નંગા જાના,
નહી કપડાં રખના સમઝ મના,ભ્રુકૃટીમેંસે જાન નિકલ ગઈ,
મુંહ પર ડાલા ઢકના……કહે કબીરા સુન મેરે સાધો
  વો હી હૈ ઘર અપના…..”
          કબીર બધી વસ્તુ કેટલી સરળ રીતે ઉઘાડેછોગ મૂકી આપી સત્યને પ્રગટ કરે  છે.વાત એની સરળ છે કે સ્થૂળ ચક્ષુ વસ્તુને વસ્તુ રૂપે જુએ છે. અને આ અભિપ્રાય થકી જ ભય ઉત્પન્ન થાય છે.જે મારું નથી તે મારું ક્યાંથી હોય ?પોતાના મન સાથે વાત કરતા કબીર પોતાને જ ટોકે છે.ત્યારે મને પ્રશ્ન થાય છે કે શું કબીર પોતાને ટોકી ટોકીને નિર્ભય થયા હશે ?કબીરને સંત તરીકે ન લઈએ અને એની નિર્ભયતાને વિચારધારા તરીકે અપનાવીએ તો પણ આવા વિચારોને આપણામાં પોસવા આપણે આપણી જાતને ટોકવી પડે !
          મને કબીરો ગમે છે કારણ એ મારા તમારા જેવો માણસ છે.અને છતાં એ પાણીના વહેણની જેમ સહજ કઈ રીતે જીવે છે ? કશી અપેક્ષા વગરના તમારી પાસે બધું છે તે તમારું નથી તમે માત્ર તેના રખેવાળ છો તેવા સાક્ષીભાવ સાથે કઈ રીતે રહેવાય?  આ આજની પેઢીને પ્રશ્ન  થાય એ સ્વભાવિક છે.તેનો જવાબ પણ કબીર પાસે છે.
      “ઇસ તનધન કી કૌન બડાઈ”ગાનાર કબીર ઘૂંટીઘૂંટીને પોતાને જ કહે છે.આ દોહાના  અને કોઈ પણ ધર્મના અર્થ આવા સીધાસાદા કાઢીએ તો ..”કશું કાયમ ટકતું નથી, કશુંય શાશ્વત નથી, કશુંય કાયમ માટે તમારી પાસે રહેવાનું નથી. આપણું પાંચ તત્ત્વનું બનેલું ખોળિયું; એ પણ ક્ષણભંગુર છે. તો આ ક્ષણભંગુરનું મમત્વ અને મહત્ત્વ શા માટે?”
        કબીરને પણ આપણી જેમ નવાઈ લાગે છે, અચરજ થાય છે, અચંબો થાય છે અને આજ અચરજ એને આત્માની સભાનતા તરફ દોરી જાય છે.તમને મળેલા જીવનને ભયથી વેડફી નાખો તો વાંક કોનો છે ? 
કબીર પોતાને પ્રશ્ન કરે છે અને પછી પોતા ઉપર હસે છે.પોતાની અજ્ઞાનતા ઉપર આપણે હસી પણ ક્યાં શકીએ છીએ ?મને કબીરામાં સદાય જ્ઞાન ભક્તિનો સમન્વય દેખાયો છે..હું એને પ્રશ્ન કરું તો એ ભક્તિરૂપી દોહામાં એના જવાબ પીરસે છે.એના દોહા એટલે ઘૂંટાયેલી અનુભૂતિ.બીજી તરફ કવિ તરીકે કબીરને પોખીએ તો દોહાની બે પંક્તિમાં સમગ્ર અનુભૂતિવિશ્વ કબીર સમાવી શકે છે.સમજણ તો આપણે અર્થ તારવીને ઉત્પન્ન કરવાની છે.મને કબીરની રીત ગમે છે.એ પોતાને ટોકીને પોતાને સુધારે છે.કોઈ તમને ટોકે એ ગમે ખરું? પણ તમે જ તમારી જાતને ટોકીને અનુભવથી જ્ઞાન કેળવો તો ?
      હું પણ કબીરની વિચારધારાને જયારે મારામાં રોપું છું ત્યારે એને પોષવા મારે અનુભૂતિનું ખાતર નાખવું રહ્યું.મને કબીર ની નિર્ભયતા જોઈએ છે.  જે થતું હોય તે થવા કેવી રીતે દેવું. કશામાં દખલ કરવી નહિ. શું આ શક્ય છે ખરું ?કબીર વિચારધારા તો આપણને વિચારવા મજબૂર કરે છે.
       “તારું પોતાનું મન શાંત હોય તો,આ જગતમાં કોઈ દુશ્મન છે જ નહી. પોતાનો મિથ્યા અહંકાર ફેંકી દે અને ખોટા અભિપ્રાય થી બહાર નીકળ અને તારા આત્માને ઓળખ. શરીર અને આત્મા જુદા છે. આત્મા પરમાત્માનો અંશ છે તેનો અનુભવ એકવાર થશે પછી મૃત્યુનો ભય નહી રહે તું  મૃત્યને પણ સહજ સ્વીકારીશ.
        “ એકવાર યોગગુરુ બાબા ગોરખનાથ કબીરને પૂછે છે” કબીર તુમ કબસે ભયે બૈરાગી? તુમ્હારી સુરતી કહાઁ કો લાગી?”તો કબીર કહે છે”મૈં ચિત્રા કા મેલા નાહી,નાહી ગુરુ નાહી ચેલા,સકલ પસારા જિન દિન નાહી,જિન દિન પુરુષ અકેલા,ગોરખ હમ તબકે હૈ બૈરાગી.હમારી પ્રીતિ બ્રહ્મા સો લાગી,હમારી સુરતી બ્રહ્મા સો લાગી.”  આમ જેની સુરતી ને પ્રિતી પરમ સાથે જોડાએલ હોય તેને મૃત્યુનો ડર ક્યાંથી હોય ! હું તો પંદરમી સદીમાં થઈ ગએલ કબીરને શોધી રહી હતી કે જેના ગીત દેશ-વિદેશના દરેક ખૂણામાં ગુંજી રહ્યા છે.મને પણ જાણે કબીરો કહી રહ્યો છે ‘ચલો હમારે દેશ ‘.
       આજે અને આવતી કાલે આપણે કદાચ કબીરને સંત અને મહાત્મા તરીકે ન સ્વીકારીએ તો પણ આજની પેઢી એની વિચારધારાને જો અપનાવે તો કબીર સૌમાં જીવશે જ.બાહ્ય વિજ્ઞાનની શોધો કરી માણસ જયારે થાકશે ત્યારે બહારની દુનિયામાંથી નીકળીને ભીતરમાં એની ખોજ શરુકરશે ત્યારે કબીરો ફરી જીવીત થશે, સમય માણસને ખાઈ શકે છે પણ સારા સાત્વિક વિચારો ક્યારેય નાશ પામતા નથી હું પણ કબીરાને એક કોન્સેપ્ટ તરીકે મારા જીવનમાં સ્વીકારું છું. 
             “સ્વવશતા”નો સંત કબીરનો સિદ્ધાંત તો એવો અનોખો છે કે જે કદાચ વાચકોએ ભાગ્યે જ જાણ્યો હશે જેની વાત આવતા અંકે કરીશું 

 

-જિગીષા પટેલ

 

હાં રે દોસ્ત હાલો અમારે દેશ- ૧૧) લોકગીતના શબ્દાર્થ !

લોકગીતના શબ્દાર્થ !

 

હે … નળિયું હતિયું નકોર , તે દિ’ બોલાવતો બરડા ઘણી ;
( હવે ) જાંઘે ભાંગ્યા જોર , તે દિ’ જાતાં કીધાં જેઠવા !”


       આપણે આવો કોઈ દુહો સાંભળીયે એટલે ‘વાહ ગઢવી વાહ !’ એમ દાદ આપવા બેસી જઈએ ! એનો અર્થ શું છે તે તો રામ જાણે !
નાનપણનાં ઘણી વાર એવું બન્યું છે કે કોઈ ગરબો કે ગીત પૂરું આવડતું ના હોય અને કોઈ શબ્દો બરાબર સમજતા ના હોય તો ગીતના ઢાળમાં આવે તેવા પ્રાસમાં શબ્દો બેસાડીને ગીત પૂરું કરી દઈએ! અને એ બધું ત્યારે ચાલતુંયે ખરું ! એ વખતે ગીતના શબ્દો શોધવા માટે કોઈ પદ્ધતિએ ક્યાં હતી ? પુસ્તકાલયો પણ ક્યાં એટલા બધાં હતા ?
એ સમયે ટેપ રેકોર્ડર અને ટી વી પણ નહોતાં. જે પ્રોગ્રામ કરીએ તેમાં ત્યારે જ હાર્મોનિયમ તબલાં સાથે ગાવાનું હોય અને રેકોર્ડિંગ પણ થતું નહીં, એટલે તમે


‘ કાનુડાને મિસરી ભાવે;’ એમ ગાઓ , કે
‘ કાનુડાને ખીચડી ભાવે ;’ એમાં કોઈ ફરક પડતો નહીં !
કોઈને એનો વાંધોય નહોતો!


       આ અર્ધી સદી પહેલાંની વાત છે. તો,એનીયે પહેલાં,આજથી સો વર્ષ પૂર્વે , મેઘાણી જયારે લોકસાહિત્યની ખોજમાં નીકળતા,ને ત્યારે તો આપણો દેશ ગુલામ હતો,ત્યારની પરિસ્થિતિ તમે કલ્પી શકો છો !


      લોકસાહિત્ય એટલે લોક જીભે જ જીવતું રહેલું સાહિત્ય !
આ સાહિત્ય જે પેઢી દર પેઢી જીવતું રહ્યું હોય તે સાહિત્ય ! એ અપભ્રંશ ન થાય તો જ નવાઈ ! એટલે એમાં સાચું શું છે તે જાણવા માટે બે ચાર જણને મળીને પછી તેમાંથી સાચી વાત શોધવી પડે , સમજવી પડે!
અને પછી એને સુજ્ઞ પ્રજા સમક્ષ જીવંત કરીને મૂકવું : તે પણ એકલે હાથે! કેટલું અઘરું કામ !

 

       મેઘાણી એક જગ્યાએ ( ‘ચારણો અને ચારણી સાહિત્ય’-માં) લખે છે;
‘ એ ના ભૂલો કે આપણે સુવર્ણની શોધે ચાલ્યા છીએ!
રતિભાર સારુંયે ઢગેઢગ ધૂળ પોપડા ધોવા પડશે! એ માટે જીવતાં જાગતાં જે થોડાં ઘણાં ભાટ ચારણ છે તેમનાં ઉર કપાટ હળવે હાથે જુગતીપૂર્વક ઉઘાડજો .. એ પાણીની ચકલી નથી તે કળ ફેરવતાં જ દરુડી પડવા માંડે ; એ તો સૂર્યમુખી છે,ખીલશે,જો આપણે સૂર્યકિરણ બનીએ તો ! અને એટલે તો એ પોતે જાણેકે સૂર્યકિરણ બનીને એ લોકો પાસે જાય છે અને ખજાનો મેળવે છે ! અને આપણને સુંદર લોકવાર્તાઓ , વ્રતકથાઓ ,લોકગીતો ,ગરબા ,છંદ ,દુહા વગેરેનો ખજાનો મળે છે . ક્યારેક એ આપણને એ વાર્તા ,કથા ,ગીત પાછળનું રહસ્ય સમજાવે છે અને પછી તો એ કૃતિ કંઈક ઓર જ રસસપ્રદ બની જાય છે .. હા ,એમાં ક્યારેક જુગુપ્સાપ્રેરક ,અનૈતિક , અજુગતું સાહિત્ય પણ આવી જાય ..
પણ સુજ્ઞ સમાજને આ બધું જ રુચિકર હોવું જરૂરી નથી .

 

       આ લેખમાળામાં કંઈક મહત્વનું પણ ચર્ચાસ્પદ પણ રજૂ કરું છું , કારણકે સામાન્ય રીતે વાર્તાઓ ,નવલકથાઓ , વગેરે તો આપણે પુસ્તકાલયમાંથી લઈનેય વાંચતાં હોઈએ છીએ .જે થોડું વિચિત્ર છે, ઓછું ખેડાયેલું છે તેવું કંઈક પીરસવાનો પ્રયાસ છે.દા. ત. આ દુહો આપણે એમને એમ ગાઈએ તોયે મઝા આવે છે , પણ અર્થ સમજાય તો ત્યારની સમાજ પરિસ્થિતિનો ખ્યાલ આવે અને … ? અને રસનો આસ્વાદ ઊડી જાય !

‘ચૂંદલડી રે ઊડી,પાભાંડલી રે ઊડી… ‘ ગીતનો દુહો :
હે … નળિયું હતિયું નકોર , તે દિ’ બોલાવતો બરડા ઘણી ;
( હવે ) જાંઘે ભાંગ્યા જોર , તે દિ’ જાતાં કીધાં જેઠવા !”


       અર્થ સમજાયો અને દુઃખ , જુગુપ્સા , ગુસ્સો બધાં ભાવ લાગણીઓ ધસી આવ્યાં! આપણો દેશ અંગ્રેજોના શાસન હેઠળ ગુલામ હતો ; દેશની રક્ષા કરનાર કોઈ નહીં , ને તેમાંયે આ તો અભણ પ્રજા ! કોઈ અંગ્રેજ ગોરો કોઈ લાલચ આપીને આ નાવિક કન્યાનો ઉપભોગ કર્યા બાદ તરછોડી દે છે , ત્યારે ‘ શ્રુંગારની એ ભ્રષ્ટતા , છેતરામણીનું આ દર્દ ગીત છે !

 

       જયંત કોઠારી મેઘાણીનું લોકસાહિત્ય વિવેચન માટે લખે છે :
‘જાંઘોના જોર ભાંગી ગયાં છે , એમાં એ ગુપ્ત કરુણતાનો ઈશારો છે .
‘ નળિયું હતું નકોર ..’ જયારે એ યુવાન સ્ત્રી નિરોગી હતી … ત્યારે એ બરડા ડુંગરનો ગોરો અમલદાર એને બોલાવતો ,હવે જંઘાઓ કામની નથી રહી ..આ બધું વાંચીને સુજ્ઞ સમાજ તો જુગુપ્સા જ પામે ને ? એટલે લોકસાહિત્યમાં આવું તેવું નૈતિક અનૈતિક પણ આવે ..

 

       જો કે આડ વાત પર જઈને કહીશ કે, આપણે ભદ્ર સમાજે સંસ્કારના ધોરણો તો બહુ ઉંચા રાખ્યા હતા,પણ આ બિચારા કચડાયેલા વર્ગને દિશા સુઝાડવાં એમણે શું કર્યું ? કાંઈ જ નહીં !હા , ગાંધીજી , રવિશન્કર મહારાજ અને મેઘાણી જેવાઓએ દલિત વર્ગ સામે જોયું , એમને પ્રેમ કર્યો ! આમ જોઈએ તો પ્રેમી અને પ્રેમિકાનાં ગીતો જે આપણે સૌ માણીએ છીએ તેમાં ઊંડા ઉતરીએ તો તેમાં પણ વફાદારીનો પ્રશ્ન થાય છે ..આપણું સૌનું જાણીતું આ લોકગીત કેવું છે તે તમે જ નક્કી કરો :

‘’ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ;
એ લે’રીડા! હરણ્યું આથમી રે , હાલાર શે’રમાં , અરજણિયા !”
હરણી નક્ષત્રમાં ચાંદો ઉગ્યો છે . કોઈ પરણેલી પ્રેમિકા ગોવાળિયા અરજણયાને ચેતવણી આપીને મોહ પામતી સંબોધી રહી છે .

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી!
આવતાં જાતાંનો નેડો લાગ્યો રે અરજણિયા !


નેડો = સ્નેહ !
પાવો વગાડયમાં ઘાયલ પાવો વગાડયમાં!
પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે..


       અને પછી પ્રેમિકા એને કહે છે કે વર અને પછી સાસુડી બધાં સાંભળી જશે .. વગેરે વગેરે અને છેલ્લે કહે છે કે ઉનાળુ પાક જુવાર જે ૬૬ દિવસમાં તૈયાર થાય છે તે છાસઠયો – સાહટિયો – થાય ત્યારે ત્યાં આવજે.


લીલો સાહટિયો ઘાયલ લીલો સાહટિયો,
લીલે સાહટિયે મોજું માણશું રે અરજણિયા!

મેઘાણીનાં લોકસાહિત્યની કેટલીક અમર કૃતિઓ : વહુએ વગોવ્યા મોટા ખોરડાં ,
માડી હું તો બાર બાર વર્ષે આવીયો ,
સોના વાટકડી ,
બાર બાર વર્ષે નવાણ ગળાવ્યાં ,
વગેરે વગેરેની રસપ્રદ વાતો આવતે અંકે !

૧૧ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ …. આ એક નામ ગુજરાતીઓમાં જ નહીં બિનગુજરાતીઓમાં એટલું જ જાણીતું છે. ગુજરાતી સુગમ સંગીતમાં અવિનાશ વ્યાસનું નામ સદા મોખરે જ રહેવાનું. એમની રચનાઓ પર ઊડતી નજર નાખીએ તોય સમજાઈ જાય કે એમની રચનાઓમાં ભરપૂર વૈવિધ્ય હતું. એમણે ગીત, ગઝલ, ગરબા કે ભજન એમ કોઈ પ્રકાર બાકી રાખ્યો નથી. મહદ અંશે ગીત-સંગીતના ચાહકો પાસેથી એક વાત તો સાંભળવા મળે જ છે કે એમણે ગુજરાતીઓને ગુજરાતમાં જ નહીં ગુજરાતની બહાર પણ ગાતા કર્યા છે.

એમની રચનાઓમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે એનાથી વધારે એને સંબંધિત વિષયોમાં પણ જોવા મળશે. જેમકે, એમણે આ સંસાર અને સંસારના સંબંધોને પણ એમની રચનાઓમાં આવરી લીધા છે.

જ્યારે અવિનાશ વિશે વાતની શરૂઆત કરવી હતી ત્યારે મને મારાં બાળપણનાં સ્મૃતિના પટારામાંથી ખૂલેલા ખજાનામાંથી આગળ એના સંદર્ભ મળતા ગયા અને એકમાંથી અનેક રચનાઓ યાદ આવતી ગઈ. જ્યારે એકવાર આ પટારો ખુલે એટલે એમાંથી અસંખ્ય યાદોનાં પડ એકપછી એક ખૂલતાં જાય એમ બાળપણની યાદ, લગ્નનાં મંગળગીત અને વિદાયગીત સુધી તાજી થઈ અને એ સંબંધના તાંતણે જોડાયેલા, જન્મથી જ લોહીનાં સગપણે બંધાતા ભાઈ બહેનના પ્રેમનીય વાત કરી અને હવે વાત કરવી છે એ ખૂબ હેતે-પ્રીતે ઊછરેલી બેનની. દિકરીના જન્મની સાથે જ સૌને ખબર છે કે એ તો એક દિવસ આ ઘરનું અજવાળું અન્યનાં ઘરને ઉજાળવાનું છે. 

એ વખતે વાતની શરૂઆત તો મારા માટે જ લખાયેલાં વિદાયગીતની હતી પણ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે વિદાયગીતની સર્જનની વાત આવે એટલે આપોઆપ એની સાથે અવિનાશ વ્યાસનું નામ જોડાઈ જ જાય. યાદ છે એક ખુબ ગવાતું વિદાયગીત?

બેના રે..

સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય
દીકરી તો પારકી થાપણ કહેવાય.
બેના રે..
રામ કરે સુખ તારું કોઈથી નજર્યું ના નજરાય

દીકરી તો પારકી થાપણ કહેવાય..

ગુજરાતી ફિલ્મ ‘પારકી થાપણ’નું આ ગીત તો લગભગ દરેક કન્યાવિદાય વખતે ગવાતું થઈ ગયું હતું અને કદાચ આજે પણ ગવાતું જ હશે અને હાજર સૌની આંખો અને હૃદયને ભીનાં કરી દેતું હશે. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કરેલું આ વિદાયગીત ગાયું છે લતાજીએ. આ અને મહેંદી તે વાવી માળવે, પાંદડુ લીલું ને રંગ રાતો જેવા બીજા અનેક ગીતો આજ સુધી એટલાં જ લોકપ્રિય રહ્યાં છે જેની રચના અવિનાશ વ્યાસ દ્વારા થઈ હતી.

પણ આ કન્યાવિદાયના ગીત સાથે સંકળાયેલી વાત તો વળી એકદમ અનોખી છે. વાત જાણે એમ બની કે, આ ગીત અલકા યાજ્ઞિક ગાશે એવું નિશ્ચિત હતું પણ ગીતની શબ્દરચના અને એમાં ગૂંથાયેલી ભાવના, એ સંવેદનાને તો લતાજીના કંઠે વ્યક્ત થાય એવી ફિલ્મ દિગ્દર્શક અરુણ ભટ્ટની મરજી. આ વિદાયગીત તો જાણે પોતાની દિકરી માટે જ લખાયું હોય એટલું પોતીકું લાગે. આવાં હૃદયસ્પર્શી ગીત માટે લતાજીના અવાજથી વિશેષ બીજો કયો અવાજ હોઈ શકે?

લતાજી તો અત્યંત વ્યસ્ત. એમની ડાયરીમાં તો કેટલાય સમય પહેલાથી દિવસો નિશ્ચિત થઈ ગયા હોય એટલે એમનો સમય તો કંઈ એકદમ તો ના જ મળેને? પણ, ક્યારેક એવું બને કે ઈતિહાસ સર્જાવાનો હોય તો કલ્પના પણ ન કરી હોય એવો તાલ મળી જાય. આ ગીતના સંગીતકાર અને અવિનાશ વ્યાસના સુપુત્ર ગૌરાંગ વ્યાસ લતાજીને મળવા ગયા અને આ ગુજરાતી ગીત માટે એમણે સમયની સાથે પોતાનો કંઠ પણ આપ્યો. સામાન્ય વાયકા એવી છે કે લતાજી ક્યારેય સાંજે ગાતાં નથી પણ આ ગીત માટે સાંજનો સમય અને સ્ટુડિયો નિશ્ચિત થયો હતો એ એમણે વિફળ ન જવાં દીધો. ખૈયામ સાહેબ માટે મુકરર થયેલો સમય લતાજીએ આ ગીત માટે ફાળવ્યો અને જે ઈતિહાસ સર્જાયો એ આજે પણ અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ અને લતાજીના નામે અંકિત છે..

આમ તો, હવે દુનિયાની કોઈપણ દીકરીની ગાય સાથે સરખામણી થઈ શકે એમ નથી પરંતુ મારું મન એવું માનવાં પ્રેરાય છે કે જ્યારે આ ગીતની રચના થઈ ત્યારનો સમય એવો હતો કે દીકરી પિતાની કે પછી પતિની આંગળીએ દોરાઈ દોરાતી. એનું અલગ અસ્તિત્વ હોય એવી ભાગ્યેજ વિચારસરણી એ સમયે કેળવાઈ હશે એટલે જ કદાચ આ ગીતમાં પણ દીકરીની વિદાય વસમી હોવાં છતાં એને પતિગૃહે જતી વેળાએ આંસુ પાંપણે બાંધી રાખવાં કહેવાયું હશે. એ વિદાય લે ત્યારે ઘડી પહેલાં ભીંતે ચીતરેલા ગણપતીને પગે લાગતી વેળા એના કંકુવર્ણા હાથની છાપ ઘરની ભીંતે મૂકીને જાય છે. આ ગીત સાંભળું છું ત્યારે એક વિચાર એવો ય આવે છે કે દીકરીને પારકી થાપણ કહીને કેમ એને જુદાગરો આપવામાં આવ્યો હશે? કાળજાનાં ટુકડા સમી દીકરી એકવાર ઉંબરો ઓળંગી જાય પછી એનું ભાવિ એના હાથમાં જ નહીં રહેતું હોય એટલે? હાથે બાંધેલાં મીંઢળ કે પતિ સાથે પાનેતરના છેડા સાથે ગંઠાયેલી એ ગાંઠ સાથે જીવનભરનું એવા તે ક્યું બંધન હશે?

પતિનો પડછાયો બનીને રહેવાની શીખામણમાં એટલું તો સમજાય કે સપ્તપદીનાં પગલાં જેની સાથે ભર્યા છે એનો સાથ નિભાવવો પણ સાથે પતિના પડછાયા સમી એને કહીને ગીતકાર શું કહેવાં માંગતા હશે? કદાચ એ એવું કહેવાં માંગતા હશે કે પતિ છે ત્યાં સુધી તારું અસ્તિત્વ હેમખેમ છે? સેંથામાં સિંદુર અને હાથમાં કંકણ હશે ત્યાં સુધી તું સલામત છે. કદાચ એટલે જ કન્યાને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવામાં આવતા હશે.

આ કરૂણમંગળ ગીતમાં એક વાત ખૂબ ગમી. ગીતકાર અવિનાશ વ્યાસ કહે છે કે, આમ જુઓ તો સૌનું આંસુ પાણી જેવું પાણી. એ સુખનું છે કે દુઃખનું એ કોઈ ના શક્યું જાણી. માતા-પિતાનાં આંસુ પણ સુખ-દુઃખ એમ બંને લાગણીને લઈને વહી જાય છે. એનો એક અર્થ એવો પણ કરી શકાય કે બેના, આજ પછી સાસરીમાં તું તારું સુખ-દુઃખ કોઈ કળી ના શકે એમ તારી જાતને સંભાળી લેતાં શીખી જજે. તારા મનની વાતને ગોપિત રાખીને જીવી લેતાં શીખી જજે. શક્ય છે, કારણ કે એ સમયે દીકરીને સાચે જ સાવ નરમ પ્રકૃતિની માનીને જ એનો ઉછેર કરવામાં આવતો.

અવિનાશ વ્યાસે એમનાં આ અમર અવિનાશી ગીતની  ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ પંક્તિઓમાં એ સમયની લોક-કહેવતને વણી લીધી છે. આમ પણ અવિનાશ વ્યાસે સંસારના તમામ સંબંધો પર અત્યંત ભાવવાહી રચનાઓ કરી કારણકે એ પોતે જ ભાવનાના, લાગણીના સંબંધની વ્યક્તિ હતી અને દિકરીની વિદાયથી વધીને તો અન્ય કયો ભાવવાહી કે કરૂણમંગળ અવસર હોઈ શકે?

જો કે આજની દીકરી તો નારાયણી બની રહી છે. તેમ છતાં, કોઈપણ દીકરીની વિદાય સમયે અવિનાશ વ્યાસનું આ ગીત આજે પણ સૌની આંખ અને હૃદય ભીના કરી દે એટલું ભાવવાહી બન્યું છે. પણ જો જો હોં આ ગીત સાંભળો ત્યારે ભલે આંખમાં આંસુ હોય પણ કોઈપણ દીકરીને કલ્યાણ આશિષ આપવાનું ચૂકી ના જતા.


http://www.mavjibhai.com/MadhurGeeto/158_dikarito.htm

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 09 : નયનાબેન પટેલ

મિત્રો, આજનું વાચિકમ્ ‘પીળાં આંસુની પોટલી’ પ્રસ્તુત છે.