“કયા સંબંધે”-(2)નીલમ દોશી.

બેઠકનો આ મહિનાનો વિષય છે “કયા સંબંધે”નીલમ બેને સુંદર લેખ મોકલ્યો છે આ સાથે એમનો પરિચય પણ મોકલું છું.એમના બ્લોગની મુલાકાત લેજોnilam_doshi_4 

                      નામ વિનાના સંબંધોનું સૌન્દર્ય..

                    ચાલો, મળીએ કોઇ કારણ વિના;

                    રાખીએ સંબંધ કોઇ સગપણ વિના..”

                            આટલા બધા સંબંધ એને કેમ કરી ચાખુ ?

                               શબરીની જેમ એક પછી એક બોર ને ચાખુ.


કોઇ કારણ વિના મળવું ગમે.. હોંશે હોંશે મળવાની ઇચ્છા થાય એવા સંબંધો જીવનમાં કેટલા ?  એવા સંબંધો જેને મળ્યા હોય એ આજના જમાનામાં  નસીબદાર જ કહેવાય ને ?  અમુક સંબંધોને કોઇ નામ નથી હોતું. હોય છે ફકત એની સુવાસ…એ  સુવાસ જેને સાંપડે છે એનું જીવન સભર બની રહેતું હોય છે. આજે આવા જ કોઇ સગપણ વિનાના સંબંધની વાત કરવી છે. આપણી આસપાસ આવા સગપણ વિનાના અનેક  સુંદર સંબંધો નજરે પડતા  હોય છે.

કેટકેટલું લખાતું રહે છે..સંબંધ નામના આ ત્રણ અક્ષરના શબ્દ પર.! કદાચ કોઇ લેખક, કોઇ કવિ એવો નહીં હોય કે જેમણે સંબંધ વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કશું નહીં લખ્યું હોય ? શા માટે ? વરસોથી અનેક પુસ્તકો આ વિષય પર લખાયા  છે, લખાતા રહે છે અને વંચાતા રહે છે.  કારણ ? કારણ એક જ..કવિ શ્રી ગૌરાંગ ઠાકરના શબ્દમાં કહું તો..

એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે,

પણ દોસ્ત, એકલા કયાં જિવાય છે ?

કે પછી એકલાને અહીં લાગે બધું અળખામણું,

તમારે તે સંગ સઘળુ સોહામણું.

યેસ..માનવી આ વિશ્વમામ એકલો આવે છે અને એકલા જ જવાનું છે એ સનાતન સત્યથી આપણે કોઇ અજાણ નથી. પણ એકલા જીવવાનું આસાન નથી બનતું. ચપટીભર હૂંફ માટે માનવી જીવનભર મથતો રહે છે. કેમકે માનવીમાત્રનો પિંડ ભાવના અર્કથી બંધાયેલો છે. પ્રેમ અને આનંદ એની જરૂરિયાત છે. અને એ પ્રેમ, હૂંફ સાચુકલા  સંબંધ સિવાય કયાંથી મળે ?

અમુક સંબંધો આપણને જન્મથી આપોઆપ મળે છે ,જેમાં પસંદગીને કોઇ અવકાશ નથી હોતો. જયારે મિત્રતા , કે જીવનસાથીમાં આપણને પસંદગીનો અવકાશ મળે છે.

આજકાલ સૌ કોઇ કહે છે,સંબંધ બાંધવા સહેલા છે, નિભાવવા અઘરા છે. વાત સાચી છે.સંબંધોનું ગણિત થોડું અટપટું તો ખરું જ. કેમકે..

ઘાવ સહે એ વજ્જરના, ને ભાંગી પડે એક વેણે…

કોઇ સંબંધ અનેક ઘાવ પણ ખમી જાય છે અને કોઇ એક કઠોર શબ્દથી પણ તૂટી જાય છે. સંબંધોની બારાખડી જાણવી, એની લિપિ ઉકેલવમાં ઘણી વાર આપણે થાપ ખાઇ જતા હોઇએ છીએ.

જેમ વાસણને અવારનવાર માંજીને ચકચકિત કરવા પડે છે એમ સંબંધોને પણ સમય આપીને સ્નેહના, લાગણીના ઉંજણથી  માંજવા પડતા હોય છે. નહીંતર એને કાટ લાગી જતા વાર નથી લાગતી.

જોકે અનેક સંબંધો આપમેળે પણ જળવાઇ રહેતા હોય છે. દિલના સંબંધો દરેક વખતે શબ્દોના કે સમયના મોહતાજ નથી હોતા. કોઇ નિયમિત સંપર્ક સિવાય પણ વરસો પછી પણ એ લીલાછમ્મ રહી શકે છે. એવા સંબંધોમાં સાચુકલું સૌંદર્ય ઝળહળી રહે છે.હિસાબ કિતાબની ભાષા સંબંધોના સૌન્દર્યને ઝાંખપ લગાડે છે. એવા વહેવારિયા, હાય હેલ્લોના સંબંધોનું આયુષ્ય બહું લાબું નથી હોતું.જીવનમાં અનેક વાર નામ વિનાના સંબંધો સાવ અચાનક મ્હોરી ઉઠે છે ત્યારે આપણે એને રૂણાનુબંધનુણ નામ આપીએ છીએ. કેમકે એવા સંબધોનું કારણ  આપણી સમજણની ક્ષિતિજ બહાર હોય છે.

આજે એવા જ એક સાચુકલા સંબંધની સાચુકલી વાત…

સંપતરાયને આજે બાંકડો સાવ અડવો લાગ્યો. કશુંક ખૂટતું હોય તેવું કેમ લાગતું હતું ?  રીટાયર્ડ થયા પછી છેલ્લા એક વરસથી પોતે રોજ  સવારે અને સાંજે આ બગીચામાં આવતા હતા. બે વરસથી પત્નીનો સાથ છૂટી ગયો હતો. જોકે ઘરમાં દીકરો વહુ હતા..કોઇ તકલીફ નહોતી.આર્થિક રીતે સધ્ધર હતા. વાંચનનો, સંગીતનો શોખ હતો. તેથી સમય પસાર કરવામાં ખાસ કોઇ તકલીફ નહોતી પડતી. આમ પણ તેમનો સ્વભાવ અતર્મુખી હતો. બહું બોલવાની આદત નહોતી.

રીટાયર્ડ થયા પછી મનમાં એક ભાવના હતી કે ભગવાને બધું આપ્યું છે. શારીરિક આર્થિક કે માનસિક કોઇ ચિંતા નહોતી. તો હવે સમાજની થોડી સેવા કરવી જોઇએ. કોઇને મદદરૂપ  થવું જોઇએ એવી ભાવના..ઇચ્છા મનમાં જાગતી. પરંતુ શું કરવું..કેમ કરવું..એવી કોઇ સમજ નહોતી પડતી. અંતર્મુખી સ્વભાવને લીધે ખાસ કોઇ મિત્રો નહોતા…
પણ હમણાં એક નવો મિત્ર મળી ગયેલ. જોકે આમ તો મિત્ર ન કહેવાય. એવી ખાસ કોઇ ઓળખાણ નહોતી. જે હતી તે ફકત મંદિરના આ બાંકડા પૂરતી જ સીમિત હતી. તેમની બાંકડા મૈત્રી કહી શકાય.  સંપતરાયને એકલા એકલા હસવું આવી ગયું. બાંકડામૈત્રી…મૈત્રીનો એક સાવ અલગ જ પ્રકાર..પોતે આ કેવું નામ શોધી કાઢયું છે.

એક વરસથી નિખિલભાઇ અને સંપતરાય બંને અહીં લગભગ સાથે જ આવતા. અને આ  એક જ બેંચ પર સાથે બેસતા. શરૂઆતમાં તો કોઇ વાતચીત નહોતી થતી. પણ રોજ એક જ જગ્યાએ બેસવાથી ધીમે ધીમે પરિચય થયો. પ્રારંભિક વાતચીતની શરૂઆત થઇ. નિખિલભાઇનો સ્વભાવ સંપતરાયથી સાવ અલગ ..તેમને બોલવા જોઇએ..હસવા જોઇએ… સંપતરાયને તેમની સાથે ફાવી ગયું. નિખિલભાઇ જાત જાતની વાતો કરતા રહેતા..હસતા રહેતા અને હસાવતા રહેતા…

પછી તો બંનેની મૈત્રી બરાબરની જામી. સંપતરાય સારા શ્રોતા અને નિખિલભાઇ સારા વકતા…. જોકે બંને વચ્ચે અંગત વાતો ઓછી જ થતી.એવી  કોઇ પૂછપરછ ખાસ થતી નહોતી. પુરૂષોને કદાચ એવી કોઇ અંગત વાતોની બહું જરૂર નહીં પડતી હોય. નિખિલભાઇની વાતમાં એક જીવંતતા રહેતી. કોઇ રોદણા નહીં..કોઇની ટીકા નહીં..જાતજાતની વાતોનો ભરપૂર ખજાનો તેમની પાસે રહેતો. સંપતરાયના ગંભીર ચહેરા પર પણ હાસ્ય ફરી વળતું. તાજગી અનુભવી તેઓ ઘેર પાછા  ફરતા. નિખિલભાઇ આર્થિક રીતે પોતાની જેટલા કદાચ સમૃધ્ધ નહોતા લાગતા પણ તેથી કોઇ ફરક નહોતો પડતો. બસ..આ  માણસ તેને ગમી ગયો હતો.  

હવે તો એક દિવસ નિખિલભાઇ ન દેખાય કે મોડા દેખાય તો સંપતરાય ઉંચા નીચા થઇ જાય.પણ હમણાંથી આ ક્રમ જરાક તૂટયો હતો. છેલ્લા આઠ દિવસથી નિખિલભાઇ બગીચામાં દેખાતા નહોતા. સંપતરાયને તેમના વિના એકલું લાગતું હતું. જાણે બધે સૂનકાર છવાઇ ગયો હતો. શું થયું હશે ? કેમ નહીં આવતા હોય ? માંદા પડી ગયા હશે ? પોતે તપાસ તો કરવી જ જોઇએ.

એકાદવાર વાતવાતમાંથી ખબર પડી હતી..નિખિલભાઇનું ઘર કયાંક આટલામાં જ હતું.

સંપતરાયને ચિંતા થઇ. થોડી મહેનત..પૂછપરછ કરી તેમણે નિખિલભાઇનું ઘર શોધી કાઢયું. તેમણે ત્યાં પહોંચી બેલ વગાડી.
એક સ્ત્રીએ બારણું ખોલ્યું.
’ નિખિલભાઇ અહીં રહે છે ? ‘
સ્ત્રીએ સંપતરાય સામે જોયું.

તમારે શું કામ છે ?

કામ કશું નથી. તેઓ મારા મિત્ર છે. અને અમે રોજ બગીચામાં સાથે….
તેને આગળ બોલવા દીધા સિવાય સ્ત્રીએ કહ્યું
જે હોય તે..હવે તેઓ અહીં રહેતા નથી.’
મતલબ ?
મતલબ જે હોય તે..એકવાર કહ્યું ને હવે તેઓ અહીં નથી રહેતા’
તો કયાં રહે છે ?
જહન્નમમાં…અને જહન્નમનો રસ્તો મને ખબર નથી. કહી સ્ત્રીએ ધડામ દઇને બારણું બંધ કર્યું.
સંપતરાય તો ડઘાઇ જ ગયા. આનો અર્થ શો કરવો કે હવે પોતે શું કરવું તે સમજાયું નહીં.
પણ મિત્ર બહારથી જેવો દેખાતો હતો તેવો સુખી તો નથી જ એટલી ખાત્રી તેમને થઇ ચૂકી.

અને ખરેખર તે કોઇ મુશ્કેલીમાં હોય તો પોતે કશુંક કરવું જ જોઇએ. પણ હવે તેમની તપાસ કેમ કરવી ? કયાં કરવી ?

ત્યાં બાજુવાળા ફલેટનું બારણું ખૂલતા તેમણે નિખિલભાઇ વિશે પૂછયું.

જવાબ સાંભળી સંપતરાય સ્તબ્ધ બની ગયા.

દીકરા,  વહુએ નિખિલભાઇને વૃધ્ધશ્રમમાં પહોંચાડી દીધા હતા. નિખિલભાઇએ પોતાનો ફલેટ દીકરાના નામે કરી દીધો હતો અને પૈસા બધા ખલાસ થઇ ગયા હતા. પિતાને ખાલી કરી, ખંખેરીને હવે તેમની પાસે કશું નથી એની ખાત્રી થતાં તેમને ઘરમાંથી કેવી રીતે હાંકી કાઢયા હતા..તે વાત સાંભળતા સંપતરાય હલબલી ઉઠયા.

તે સાંજે ઘેર આવી સરખી રીતે જમી પણ ન શકયા. દીકરા વહુએ પપ્પાનો ચહેરો ચિંતાતુર થયેલ જોઇ પ્રેમથી પૂછપરછ કરી ત્યારે તેમણે બધી વાત કરી.
દીકરાએ તુરત જવાબ આપ્યો.

‘પપ્પા, તમે ચિંતા ન કરો. કાલે જ આપણે તેમને શોધી કાઢીશું. આપણા ગામમાં એક  જ તો આવો વૃધ્ધાશ્રમ છે. ‘
બીજે દિવસે બાપ, દીકરો બંને ગાડી  લઇને ઉપડયા.ત્યાં પહોંચ્યા બાદ

નિખિલભાઇને શોધી કાઢતા કેટલી વાર ?

નિખિલભાઇ તો મિત્રને જોઇ ગળગળા થઇ ગયા. આવી તો કલ્પના પણ કરી નહોતી કે સંપતરાય તેમને શોધતા અહીં આવી પહોંચે. મિત્ર પાસે ઉઘાડા થઇ જતાં મનમાં થોડો ક્ષોભ જરૂર થયો. આટલા સમય સુધી કયારેય પોતાની તકલીફની વાત નહોતી કરી. કયારેય પરોક્ષ રીતે પણ ઇશારો નહોતો કર્યો. સંપતરાયને જાણ ન થાય માટે પોતે કેટલા સતર્ક રહ્યાં હતાં…પોતાના જ ખોટા સિક્કાની  વાત કેમ કરે ?

 

સંપતરાયે નિખિલભાઇને સારો એવો ઠપકો આપ્યો.બધા થોડીવાર બેઠા. નિખિલભાઇએ કેવી રીતે ભોળવાઇને દીકરા વહુની વાતમાં આવી જઇ..ભાવનાના પ્રવાહમાં ફલેટ પુત્રના નામે કરી દીધો હતો તથા પુત્રે કેવી રીતે બધા પૈસા પડાવી લીધા હતા.બધી વાત આંસુભીની આંખે કરી. હવે છૂપાવવાનો કોઇ અર્થ કયાં રહ્યો હતો ?
થોડીવારે સ્વસ્થ થયા બાદ નિખિલભાઇ પાછા પોતાના ઓરીજીનલ ફોર્મમાં આવી ગયા.

‘ મારી રામકહાણી કંઇ નવી નથી. આ તો ભાઇ, ઘેર ઘેર માટીના ચૂલા છે. સંસાર છે ચાલ્યા કરે. અને હું કંઇ અહીં દુ:ખી નથી..પૂછી જુઓ..આ લોકોને..અહીં આવીને બીજે જ દિવસે કેટલી પ્રવૃતિઓ અહીં ચાલુ કરી દીધી છે. ઇશ્વરે અહીં સેવા કરવાનો રસ્તો બતાવ્યો છે. આ કદાચ ઇશ્વરનો જ કોઇ સંકેત હશે…કોઇનો દોષ કાઢવાની જરૂર નથી. જે થાય કે થશે તે સારા માટે એમ દિલથી સ્વીકારી લીધા પછી કયાંય કોઇ તકલીફ પડતી નથી. હા, બાંકડે બેસી તમારા જેવા મિત્રની કંપની ગુમાવવી પડી એનો અફસોસ થાય ખરો. પણ સંપતરાય સાચું કહું ? તમે મને શોધતા અહીં સુધી આવ્યા..અને એ પણ તમારા પુત્ર સાથે. એ જોઇને સંબંધોમાંથી..દીકરામાંથી મારો ઉડી ગયેલ વિશ્વાસ મને પાછો મળ્યો છે.

હવે સંપતરાયનો દીકરો બોલ્યો,
’અંકલ, એક વાત કહું ? આજથી તમે પણ મારા પિતાની જગ્યાએ છો..હું તમને અમારે ..ના.ના..આપણે ઘેર લઇ જવા આવ્યો છું. તમારે હવે અમારી સાથે જ રહેવાનું છે. તમારા આવવાથી પપ્પાને ખૂબ સારું લાગશે. ને ઇશ્વરની દયાથી ભગવાને અમને ઘણું આપ્યું છે.

સંપતરાયે પણ પુત્રની વાતમાં સાથ પૂરાવતા કહ્યું,
અને ત્યાંથી આપણે રોજ અહીં આવતા રહીશું..આ બધાને મદદરૂપ થવા માટે. જે શકય હશે તે આ લોકો માટે પણ કરીશું. ઇશ્વરે મને માર્ગ બતાવ્યો છે.
નિખિલભાઇને  તો આ  નિસ્વાર્થ સ્નેહ આગળ શું બોલવું ત જ ન સમજાયું. પેટનો દીકરો જયારે તરછોડી ગયો ત્યારે આ પારકો દીકરો તેને ઘેર લઇ જવા આવ્યો છે.
ભીની આંખે અને ભીના હૈયે તેમણે જવાબ આપ્યો.
’ બેટા, તારી વાત મને સ્પર્શી ગઇ છે. તમે એક સાવ અજાણ્યા માનવીને આટલું કહ્યું તેનો સધિયારો કંઇ ઓછો છે ? બેટા, હું રહીશ તો અહીં જ..પણ હમેશા યાદ રાખીશ કે મારો એક દીકરો હજુ છે જેને પિતાની સંભાળ છે, લાગણી છે. બસ..બેટા..આગળ કશું બોલીશ નહીં. મને  નહીં ગમે તે દિવસે વિના સંકોચે તારું બારણું જરૂર ખટખટાવીશ.
નિખિલભાઇ હમેશ માટે જવા તો  તૈયાર ન થયા. પરંતુ સંપતરાય બીજે દિવસથી રોજ સવારથી સાંજ અહીં આવતા થઇ ગયા. અને અહીં જ સેવાની ધૂણી ધખાવીને રહે છે. તન, મન ધન આવા તરછોડાયેલા વડીલો પાછળ અર્પણ કરતા રહે છે. રાત પડયે બંને મિત્રો છૂટા પડે છે.

જોકે દર રવિવારે નિખિલભાઇને સંપતરાયના બંગલે અચૂક જવું પડે છે.

 

કયું નામ આપીશું આ સંબંધને ? નામનો મોહતાજ છે ખરો આ સંબંધ ?

નામ વિનાના..કોઇ સગપણ વિનાના આવા અગણિત સંબંધો જીવનમાં પાંગરતા રહે છે. એમને સલામ.

આમ કોઇ પૂછે તો કહી શકાય ના,
આમ કોઇ ભવભવનો નાતો.
માનવી માનવી જોડે મારી માટી કેરી સગાઇ

અસ્તુ..

નીલમ દોશી.



મારો ગુજરાતી બ્લોગ..

http://paramujas.wordpress.com            -https://paramujas.wordpress.com/about/
Awards my books received…શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ
1

 ગમતાનો ગુલાલ પુસ્તક ને ..( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ )
2 અંતિમ પ્રકરણ..વાર્તા સંગ્રહને…(  ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ )
3 જન્મ દિવસની ઉજવણી. બાળનાટય સંગ્રહ ( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ..)
my published books… 12 ..
1 દીકરી મારી દોસ્ત ,અંતિમ પ્રકરણ, સાસુ વહુ ડોટ કોમ ,અંતિમ પ્રકરણ.,  ગમતાનો ગુલાલ,.જન્મદિવસની ઉજવણી.   , દીકરો વહાલનું આસમાન, , નવલકથા દોસ્ત, મને માફ કરીશ ને ?, આઇ એમ સ્યોર, પાનેતર, ડોટર માય ફ્રેન્ડ, ( અન્ગ્રેજી ) , બેટી મેરી દોસ્ત ( હિન્દી )
મારી નિયમિત કોલમ..
1 સંદેશ ( વાત એક નાનકડી )
2 સ્ત્રી..જીવનની ખાટી મીઠી
3 .. સ્ત્રી…સંબંધસેતુ
4 જનસત્તા..ચપટી ઉજાસ, દીકરો વહાલનું આસમાન
5 ગુજરાત ગાર્ડિયન…અત્તરકયારી..
6 ગુજરાત ગાર્ડિયન…પત્રસેતુ
7 માર્ગી મેગેઝિન…પત્રને ઝરૂખેથી
8 કેડી કંકુવર્ણી..જયહિન્દ દૈનિક
મારા આગામી પુસ્તકો..
અત્તરકયારી,
ચપટી ઉજાસ
ઝિલમિલ
ખંડિત મૂર્તિ,
સંબંધસેતુ.
સ્માઇલ પ્લીઝ.. હાસ્ય  નવલકથા..
જીવનની ખાટી મીઠી..
પત્રસેતુ..

6 thoughts on ““કયા સંબંધે”-(2)નીલમ દોશી.

  1. જેમ વાસણને અવારનવાર માંજીને ચકચકિત કરવા પડે છે એમ સંબંધોને પણ સમય આપીને સ્નેહના, લાગણીના ઉંજણથી માંજવા પડતા હોય છે. નહીંતર એને કાટ લાગી જતા વાર નથી લાગતી.

    બહેન ખૂબ જ બંધબેસ્તું ઉદાહરણ આપ્યું છે. અને બીજીવાત આજની પરિસ્થિતિમાં સગપણ વિનાના સંબંધો વધારે આધારભૂત નિવડે છે જ્યારે લોહીના સંબંધો સ્થળકાળ પ્રમાણે બદલાય છે.
    તમારો સંપૂર્ણ લેખ પરિસ્થિતિને બહુ સારી રીતે સમજાવે છે.

    Liked by 1 person

  2. સમાજની સામ્પ્રત સ્થિતિ રજૂ કરતા સબંધોની કથા.
    પરમ સમીપે પહોંચવા સુધીનો રસ્તો ચીંધવા બદલ આભાર, પ્રજ્ઞાબેન.

    Like

  3. નામ વિનાનો અને સગપણવિનાનો સંબંધ કેટલો અદભૂત…..તમારા લેખમાં ચિંતન અને વાર્તાનિં મિશ્રણ ખુબ રસમય બન્યું!

    Like

  4. ક્યારેક લોહીના સંબંધ કરતાં લાગણીના સંબંધનો તાંતણો વધુ મજબૂત નિકળે ત્યારે નામ વગરનો સંબંધ પણ જીવન તારી દે. સરસ મઝાની વાત કરી.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.