એ વ્યક્તિત્વને સગી માનું ધાવણ નસીબમાં ન હતું એટલે જ કદાચ તે મા-ધવથી ઓળખાય છે.
માધવની તો મારા પર જબરી કૃપા છે. મનમાં વિચાર લાવનાર પણ તે અને એ જ વિચારનાં પરિણામનું કારણ પણ તે જ.
જયારે પણ કૃષ્ણ સંબંધિત કોઈ પણ પુસ્તક વાંચું એટલે પહેલાં જ એ વિચાર આવે કે શું હજી પણ ગોકુળમાં ગોપીઓ હશે? અને જો ક્યાંક ગોપીઓ હશે પણ ખરા તો અત્યારે તો તે ગોપીઓની લચકતી કમર પણ હવે લચી પડી હશે. એમની ગાગર પણ હવે નક્કર થઈ ગઈ હશે. ગાગર પર મંડાતા કંકરના અવાજની જગ્યા હવે મધુવનના સુકાયેલા પાંદડાઓએ લઇ લીધી હશે. કાલિંદીનું જળ હવે ખારું થઇ ગયું હશે. કારણ માધવને જેટલો શોધવાનો પ્રયન્ત કરીએ છીએ તેટલું જ તે દૂર ભાગે છે.
જીવન મધુરું તો છે. પણ અધૂરું પણ એટલું જ છે.
માધવની યાદ છે પણ વાંસળીનો સાદ નથી.
માધવનો અંશ છે પણ એનો સ્પર્શ નથી.
કુળનું હિત છે પણ માધવનું સ્મિત નથી.
માધવની ગેરહાજરી એટલે શ્વાસને ઉછીના મૂકવા જેવી બાબત છે. માધવ એવું વ્યક્તિત્વ છે, જેને સગી માનું ધાવણ નસીબમાં ન હતું, એટલે જ કદાચ તે મા-ધવ તરીકે ઓળખાય છે. જન્મતાવેંત જ સામાજિક પરીક્ષા શરૂ થઇ ગઈ છતાંય એમને હંમેશા આપણે હસતા જ નિરખેલા છે. પ્રત્યક્ષ કદાચ કોઈએ જોયા નહીં હોય, પણ કૃષ્ણ નામ આવે એટલે એક હસતો સૌમ્ય ચહેરો આપણી નજર સમક્ષ ઉભો થઇ જાય છે.
માધવનું જીવન એટલે જવાબદારીઓનું પોટલું, જેમાં તેમણે બધાને ખુશ રાખ્યા છે. પાછલા જન્મમાં રામ અવતારે આપેલા બધાં જ વચનો પણ નિભાવ્યા છે અને કૃષ્ણાવતારમાં અનેક સંબંધો પણ.
ગોકુલની એકેએક રજને મોક્ષ આપ્યો છે, તો દ્વારકામાં રાજપાટ સંભાળી ત્યાંના લોકોને ધન્ય કર્યા છે.
માધવ ક્યારે ક્યાં હોય છે એની કોઈને ખબર નથી હોતી. કૃષ્ણને શોધવા માટે નારદમુની જેવાં જ્ઞાનીને પણ વર્ષો લાગ્યા હતા. તો કૃષ્ણ ક્યાં છે? તે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન કરનાર પાસે જ છે. શબ્દથી નહીં પણ અનુભવથી.
કૃષ્ણને શોધવા એક દ્રષ્ટિની જરૂર છે, આંતરદ્રષ્ટિની.
કૃષ્ણ સ્મિતની સોગાદ આપે છે અને વિરહની વેદના પણ આપે છે.
આપણામાં એક મોટી ગેરસમજ છે. આપણા મને ઈશ્વર એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ ઈશ્વર. પરંતુ ઈશ્વર પાસે હંમેશા આપણે કંઈકને કંઈક ઝંખતા હોઈએ છીએ. પણ જો કૃષ્ણને કૃષ્ણ છે તેમ જ સ્વિકારીએ તો આપણી દ્રષ્ટિ કોઈ જ પણ લાલચ વગરની પ્રેમાળ બની જાય છે. અને કૃષ્ણની હાજરી આપણી આસપાસ મહેસૂસ થાય છે. એકદમ અનકંડીશ્નલ.
એટલે “માધવ ક્યાંય નથી મધુવનમાં” નહિ પરંતુ હવેની બાકી રહેજી જિંદગીમાં “જ્યાં સુધી માધવ ત્યાં સુધી આપણું મધુર મન.”
મૌલિક “વિચાર”