“હું સારો માણસ છું કે ખરાબ માણસ?”
જીવન જ્યાં સુધી અધૂરું રહે ત્યાં સુધી જ એ જીવનની મજા છે. જો જીવન સંપૂર્ણ થઇ જાય તો એની મજા પણ પૂર્ણ થઇ જાય. એટલા માટે જ તો આપણે ડેસ્ટિનેશન કરતાં જર્નીને વધારે માણી શકીએ છીએ. આજે એવી જ એક યાત્રાની વાત કરવી છે. કોઈ તીર્થધામ કે હિલ સ્ટેશનની યાત્રા નહીં પરંતુ સારાં માણસ બનવાની યાત્રા.
સમયાંતરે હું મારી જાતને એક પ્રશ્ન પૂછ્યા જ કરું છું. કે “હું સારો માણસ છું કે ખરાબ માણસ?” સ્વાભાવિક છે આમાં આધ્યાત્મિક જ્ઞાનીઓને સાંભળીને પંડિત બનેલા લોકો આનો એવો જ જવાબ આપશે કે “ભાઈ, દરેક વ્યક્તિ સારાં પણ હોય અને ખરાબ પણ હોય” આનું બીજું પાસું એવું પણ છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ ખરાબ કે સંપૂર્ણ સારો નથી હોતો. સાચી વાત. પણ હું આ જ પ્રશ્નને અલગ દ્રષ્ટિથી જોઉં છું. બને ત્યાં સુધી નકારાત્મક તો વિચારવું જ નથી.
એટલે જો આ બાબતે હકારની જ હોડી હાંકવી હોય તો મારા મતે સારો માણસ એ કે જે હંમેશા સારું વ્યક્તિત્વ બનવા પ્રયત્ન કર્યા જ કરે. કેમકે સારાં ખોટાની કોઈ વ્યાખ્યા જ નથી. એમાં તો નકરું ગૂચ્ચમ જ છે.
દરેકમાં થોડાં ઘણાં દુર્ગુણ હોઈ શકે પણ એને એ બધાય દુર્ગુણોની જાણ હોય અને અમુક અંશે એને એ સુધારવાની ત્રેવડ અને આકાંક્ષા ધરાવતો હોય. એ જ સારો માણસ.એનું ચિત્ત હંમેશા પોતાને સુધારવામાં જ જાગ્રત રહેતું હોય. તે ખોટું થવાનો કે ખોટું કર્યાનો સ્વીકાર કરી શકે અને એને સુધારવાની પહેલ પણ કરી શકે.
એક વખત માણસે એવું નક્કી કરી લીધું કે મારે સારા જ વ્યક્તિ બનવું છે એટલે એની બ્લિસફુલ એટલે કે પરમ સુખની યાત્રા ચાલુ થઇ જાય.
જો કોઈ ખરાબ કર્મોવાળી વ્યક્તિ સારા વિચારો તરફ આકર્ષાય તો તે પછી તે વ્યક્તિ ખરાબ નહીં પણ સારા વ્યક્તિત્વનો યાત્રી બની જાય છે.
કેમકે હવે તેણે સારાં તરફની પહેલ કરી છે. આપણે તો નસીબદાર છીએ કે આપણને સારાં બનવાની તક તો મળી છે!
સારું વ્યક્તિત્વ બનવું એ તો એક સાહસ છે. અને એની યાત્રા હંમેશા સુખરૂપ હોય છે.
“જંગલમાં જો માત્ર સારું સંગીત ગાતા પંખીઓને જ ગાવાની છૂટ હોત તો જંગલના વાતાવરણમાં આટલું સંગીત ક્યાંથી આવત!” કેટલો બંધબેસતો વિચાર છે. “જે છે તે તો છે જ, પણ જે નથી જોઈતું તે પણ છે, અને જે જોઈએ છે એની યાત્રા હવે ચાલું થઇ છે! નિરંતર સદંતર નિરાંતે!”
- મૌલિક “વિચાર”