મનની મોસમમાં ખીલતા જયશ્રીબેન મર્ચન્ટ

મોસમનો સ્વભાવ ખીલવાનો છે પણ મોસમ આવે ત્યારે મુજવણ લાવે ત્યારે.શું .?હા સવાલોનું તોફાન સર્જે છે ! મનની મોસમનું ખીલવું શું કરું? પ્રેમના પડઘાને પડદામાં કહો, કઈ રીતથી રાખવા? સાવ કુંવારી ને જાદુભરી હવાનું શું કરું? બારાખડી સ્પર્શની  કેવી રીતે ઉકેલી શકાય ?હાજરી વિનાના પણ આશ્લેષ અને આલિંગન આપે ત્યારે  શું કરવું ,અહી પ્રશ્ન જ પ્રેમનું જતન કરે છે. જેણે પ્રણયને શૃંગારના કંકુ-ચોખાથી પોંખ્યા છે , પોતાને ઓતપ્રોત કરીને પ્રેમની દરેકે દરેક ક્ષણોને જાદુભરી બનાવીને મ્હાલી છે એવા બે એરિયાના કવયિત્રી જયશ્રીબેન મર્ચન્ટ,એક સંવેદનાથી ભરપુર  વ્યક્તિત્વ છે ,પ્રેમાળ માતા, પ્રેમાળ પત્નીએ વિજ્ઞાનની લેબમાં પ્રેમનું શબ્દોમાં રૂપાંતર કરી પ્રેમને લીલોછમ રાખ્યો છે, પતિના સ્નેહને હૃદયમાં  ટહુકો કરતો  હજી પણ માણે છે માટે જ  એમના પ્રેમ કાવ્યોમાં સચ્ચાઈ અને અનુભૂતિનું ઊંડાણ છે. કવિતામાં લાગણીની શિખરની ટોચ જેવી તીવ્રતા છે.ગળાબૂડ પ્રેમ કરતી વ્યક્તિ છુપી રહેતી નથી તેવુ જ  જયશ્રીબેનનું. છે તેમના આંસુ ચાડી ખાઈ આધાર આપે છે.એમને પહેલીવાર ક્યારે મળી હતી યાદ નથી આવતું પણ પછી વારંવાર મળી એમને મેં વાંચ્યા છે એમણે પ્રણયની તીવ્ર અનુભૂતિ વિરહમાં અને વિદાયમાં અનુભવી છે.પતિની મીંચાયેલી પાંપણના પડછાયામાં હજી પણ એ ચાલે છે અને એટલેજ એના આંસુઓ ભોંયતળીયે દાટવાની કોશિશમાં શબ્દોના ફૂલ ઉગાડ્યા છે.એમના પ્રેમનો વૈભવ લઈને એ મહાલે છે.એમની પાસે યાદ છે, વિરહ છે, વ્યથા છે, સ્મુતીમાં કોઈ જીવે છે.ચહેરો આંખોમાં છે, સ્પર્શ હજી પણ અંગેઅંગમાં છે ,શબ્દો હજી પણ કાનમાં જ છે અને એનું હ્રદય  દિલમાં હજી ધબકે છે, માટે યાદ આવતા હજી પણ પ્રેમના કુંપળો ફૂટે છે, ખભાને પાંખ આવે છે ,કોયલ ટહુકે છે, અને મનની મોસમ ખીલતા જાદુભરી હવા સુગંધ લહેરાવે છે.હાથની કલમ વાંસળી બની સુર લહેરાવે છે,મન ગેરહાજરીમાં પણ  હાજરીનો વૈભવ માણે છે..  અને મનની મોસમમાં વસંત આવે  છે… અને એમની કલમે શબ્દો સર્જાતા કવિતા રચાય છે.

ચમત્કાર ખંડ ૧

ગઈ કાલે રાતે, સપનામાં તમે,

મૂકી ગયા હતા, મારા ઓષ્ઠદ્વય પર,

કુંવારા ચુંબનની કુંવારી કળી…! .

…સવારે ઊઠીને જોઉં તો દર્પણમાં…

પારિજાતની સૌરભના ઢગલે ઢગલામાં દટાયેલી હું….!

ખંડ ૨

સપનાની શેવાળી ભૂમિ પર જ તો હું ચાલતી હતી ને લપસી પડી..

ત્યારે, તમારા શ્વાસોનું આલિંગન માણતી હું!

આંખો ખૂલતાં જ મળી આવી મને બર્ફીલા શ્વાસોના પ્રદેશમાં,

આજન્મ મુક્તા હિમશીલાના સ્વરુપે…!

ખંડ ૩ યાદ છે,

હજુ તને, એ આપણું સમંદરના કિનારે,

ફેનરાશિની સ્નિગ્ધતાને રોમરોમથી પીવાનું?

ને, એક જબરજસ્ત મોજું આવરી લેતાં જ  ઠંડા તરંગની જ્વાળામાં લપેટાઈને,

આપણું એ ખાક થઈ જવા માટે આતુર થવાનું? …

આજે એ સાગરતટે જાઉં છું ત્યારે, ન જાણે કેમ,

સાગરના એ મોજાંની ભભૂકતી આગનું મને આવરી લેતાં જ અફાટ, બર્ફીલા રણમાં રુપાંતર થઈ જાય છે! . . . .

. જયશ્રી લિનુ મરચંટ

************************************************

શું કરું

આંખો મહીંના સૌ સપનાનાં ઝાંઝવાનું શું કરું?
પણ સાવ કુંવારી ને જાદુભરી હવાનું શું કરું?

ફૂલોય શામિલ છે અહીં તુજ સંગ આ સાજિશ મહીં;
પણ તુજ સુગંધોને લઈને વાતા સબાનું શું કરું?

વાંકને અહીં ક્યાં શોધવા, દૂરીના તો આ આપણી?
તેં દરવખત જે મોકલ્યા એ કારણ બધાનું શું કરું?

ક્યાં રોમરોમે ઉગવવા સ્પર્શના પરપોટા અહીં?
અમથા જ સાવ કમોસમી વાદળ-ઘટાનું શું કરું?

પડઘાને પડદામાં કહો, કઈ રીતથી રાખવા?
પવન ચીરીને આવતી અતીતની સદા*નું શું કરું?

– જયશ્રી વિનુ મરચંટ

(સદા* – પુકાર)

(સબા* – સુગંધોને લઈ આવતો પવન)

************************************************

આવે છે!

લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!
જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!

દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!
જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!

ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં,
હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!

ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!
રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?

વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!
જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!

“ભગ્ન” માફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!
કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?

ને પછી…..

કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી,
અટકળને અંધ પાંખો ફૂટે, ને પછી
એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી, ને પછી,
ને પછી, અટકળ બની ગઈ અફવા, ને પછી,
અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને પછી,
ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને પછી,
ઊડી ઊડીને અફવા થાકે, ને પછી,
ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે, ને પછી,
કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને, ને પછી,
કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે “હું અટકળ નથી, અફવ નથી,” ને પછી,
છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું જ સત્ય છું!”, ને પછી,
કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર, ને પછી,
ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….!

૩. મળશે તો?

શોધવા નીકળીશ રાહબર અને ખુદ ખુદા મળશે તો?

વિધીના લેખ રૂપે, સાંગોપાંગ, વીધાતા જ મળશે તો?

સેજ, મેડી, બારી, બારસાખ બધાં અવાચક થઈ જશે,

બનીને ચાંદ, દુલ્હન રૂપે મારી પડખે તું જો મળશે તો.

એક અડપલું અમથું નજરનું કર્યું, ત્યાં હતી શી ખબર?

મારા હાથમાં મહેંદીના વનનાં વન પછી મળશે તો.

કસુંબલ આંખોનો કેફ કરતાં પછી મને બીવડાવો નહીં,

વીદાય, વ્યથા અને વેદનાનાં વમળ મને જો મળશે તો?

જેને અક્ષરરૂપે પામવા, જીવનભર બસ ઝુર્યા કર્યું,

‘ભગ્ન’ કબર પર પછી એના જ હસ્તાક્ષર મળશે તો?

૪.જિંદગી ગઈ સરી…!

નામ લઈ એમનું લ્યો, જુઓ, શું ય હું ગઈ કરી!

ઝાંઝવાના હતા સાગરો એ બધાય હું ગઈ તરી!

હું જ છું પ્રતિબિંબો મહીં કે કોઈક બીજું જ છે?

શોધતાં આ જવાબો સૌ અહીં જિંદગી ગઈ સરી!

બાવરી રાધા લ્યો એકલી જ થઈ બદનામ પણ!

શ્યામની બાંસુરી મન જ રાધાનું હતી ગઈ હરી!

છે અહીં ક્યાં એવુંયે કશું જેનાથી હુંય જાઉં ડરી?

પણ જોયો આયનો ઓચિંતો, હું ય લ્યો ગઈ ડરી!

બાગમાં તો કશું કોઈનું ય બગડ્યું જ છે ક્યાં?

ભર વસંતે કળી એક ખીલ્યા વિણ જ ગઈ ખરી!

સર્જક …જયશ્રી વિનુ મરચંટ

7 thoughts on “મનની મોસમમાં ખીલતા જયશ્રીબેન મર્ચન્ટ

  1. ભરતી ઓટ, ખીલવું-ખરવું ને ઝીલવું … એ સઘળું સુશ્રી જયશ્રીબેનની સાહિત્યસભા કલમે માણયું

    Like

  2. સરસ. ચમત્કાર ખંડો વિશેષ ગમ્યો.
    અંજલીએ લિન્ક મોકલી તો મુલાકત લીધી.
    સરયૂ પરીખ

    Like

  3. જયશ્રીને વિનુભાઈની યાદમાં હસતા ં,તડપતાં ટહુકતાં અને રડતાં મેં જોયા છે..પ્રજ્ઞાબેન તમારો લેખ તથા જયશીબેનની ગઝલ માણવાની મજા આવી.જયશ્રીબેનની ગઝલ વાંચી વિરહથી તડપતી પ્રિયતમાની ઝલક મળે છે તેમજ તેમના અવિરત પ્રેમની ઝાંખી થાય છે..ખૂબ સરસ પોસ્ટ મજા આવી તથા આંખ પણ ભીની થઈ

    Like

  4. વાહ, સુંદર રચનાઓ માણી. જયશ્રીબહેનને અભિનંદન.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.