આજે મારા શબ્દો સુના પડ્યા છે.
કારણ મારા માર્ગદર્શક મેઘલતા માસી આપણી વચ્ચે સદેહે હાજર નથી,
મેઘલતા માસી જે ખુમારીથી જીવન જીવ્યા એજ ખુમારીથી જીવનના પૂર્ણ વિરામને પામ્યા છે.
કલાકાર કયારેય મરતો નથી ….તેઓ એમની રચનાઓ કૃતિઓ તથા એમના શબ્દો અને સ્વરથી હંમેશ જીવંત રહેશે.જીવનના બે બિંદુની વચ્ચે લાગણી અને સંવેદના ઓથી જીવ્યાં હોય તે કેવી રીતે મૃત્યુ પામે ? તેઓ રુવે રુવે જીવનાર વ્યક્તિ હતા…જે કવિતામાં પોતાના હ્દયની સાચકલી લાગણી ઓં ,ભાવનાઓ સંવેદનો ઝીલતા હોય . જે પોતાના અવાજ માત્ર થી સહુને રેડિયો પર તરોતાજા કરી શકતા હોય . ..રોજ વાર્તામાં કશુંક નવું સ્પર્શ કરાવી શકતા હોય ..નવા સર્જકો ને નવી ઊર્જા આપી શકતા હોય।…એવી આત્માની શક્તિ માત્ર જીર્ણ શરીરને છોડી શકે પણ મૃત્યુ તો પામે જ નહિ….હા આજે સહુ ને સુનાપણાની સ્તબ્ધતા જરૂર વર્તાતી જ હશે.. પણ માસીએ લખેલી કવિતાની એક પંક્તિ વાંચી જુઓ એમણે સુંદર વાત કહી હતી..
“માનવ રચિત ભાષામહી અનેક અલ્પ ને અર્ધ વિરામ
પણ જીવનની લીપી મહી ફક્ત એક જ પૂર્ણ વિરામ”
તેને ધ્યાન થી વાંચીએ તો મ્રત્યુ શબ્દ તો તેમની કવિતામાં પણ નથી ….
જે વ્યક્તિ જીવનના સત્યને પામી ચુક્યું હોય અને સ્વીકારી ચુક્યું હોય અને જે માત્ર જીવનને ભગવાન ની ભેટ સમજીને જીવ્યા હોય..અને પુરી સભાનતાથી પોતાનું જીવન જીવ્યા હોય એ માત્ર લીલીવાડી જોઇને ન જાય એતો વારસામાં લીલીવાડી આપી ને જાય ..એક એક ક્ષણે પોતાનો મેળવેલો લીલોછમ આનંદ વસીયતમાં આપી જાય.. એતો શબ્દો બની જીવે સ્વર બની ને રણકે અને અનુવાદ કરીને ટાગોર ને અને હેડા ગાબ્લરને પણ જીવાડે …માસીએ એમની અનેક કવિતામાં જીવનના સત્યને આલેખ્યું છે ક્યારેક ભમરડો સ્વરૂપે તો ક્યારેક ચોર્યાસી લાખ ફેરા ના ચક્કરમાંથી છુટવાની વાતને પંક્તિમાં આલેખી છે.. તો એજ કવિતામાં
“હું પુન:જન્મ પામીને પાછી ગરબા ઘૂમવાની ?”
એવી વાત કહી શરીરની નશ્વરતાને પ્રગટ કરી છે. આવા જાગૃત માસી કેવી રીતે મ્રત્યુ પામી શકે કારણ કે એ જાણતાં હતા કે મૃત્યું જયારે જડબું ભીડે ત્યારે ક્યાંક નવાજીવનનું પોપચું ખુલી જાય છે..
દરેક વ્યક્તિ ને એક વાત કહીશ કે મરણ કરતા સ્મરણ બળવાન છે..હા માસી એક કલાકાર આત્મા હતો એ સદાય જીવતો રહેશે. ક્યારેક શબ્દોમાં તો ક્યારેક સ્વરમાં ક્યારેક ઓલ ઇન્ડિયા રેડીયોના બોક્સમાં તો ક્યારેક તકતા પર ભજવતા નાટક માં તો ક્યારેક ટાગોરના અનુવાદમાં માસી આપણી સાથે ને સાથે જ રહેશે.
આતો માસીનું નવજીવન માટે એક નવી દિશામાં પ્રયાણ માત્ર છે. કોઈ નવા નામે નવા રૂપે આવશે. તમારા ઘરના બાગમાં કુંપળની જેમ શબ્દો બની ફૂટશે.. તો ક્યારેક પ્રભાતનો તડકો બની ઘરના અંગણે ફેલાઈ હુંફ આપી જશે..તો ક્યારેક સંગીતના તો સ્વર બની આપણા કાનોમાં રેલાઈ જશે એજ માસી દિવાળીએ દીપમાળા પ્રગટાવી તમારા ઘરને ઝળહળી દેશે.
હા મેઘલતાબેન સદાય જીવંત રહેશે……
પરમાત્મા એમના આત્માને સતચિતઆનંદ અર્પે અને પરમશાંતિ પામે .
pragnaji