ખુલ્લી બારીએથી-વાચક -રેણુબેન વખારિયા

મારૂં મનગમતું ચરિત્ર નરસિંહ મહેતા અને મનગમતું ભજન વૈષ્ણવ જન તો …નરસિંહ મહેતા મને ખૂબ ગમે છે, તે જે ભૂમીમાં જન્મ્યા તે મારી પણ માતૃભૂમિ  છે માટે આજે પણ આપણા પહેલી પંક્તિના આદિકવિ નરસૈયો માટે હું બહુ ગૌરવ અનુભવું.

       મારો જન્મ વૈષ્ણવ પરિવારમાં થયો છે પણ એક વૈષ્ણવના સંસ્કાર મને નરસિંહના એક ભજને “વૈષ્ણવ જન તો તેને કહીએ”માં સમજાવ્યા. અમે સવારમાં ઉઠતાની સાથે સરસ મજાનાં પ્રભાતિયા, ભજન કીર્તન સાંભળતા જ હું મોટી થઇ! મારા પપ્પાને નરસિંહના ભજન ખુબ પ્રિય અને એક ભજન તો આજે પણ મને ખુબ ગમે છે જે સાંભળતા આજે પણ મારું પ્રભાત ઉઘડે છે. જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે ? પછી તો અમારી સ્કૂલમાં પણ પાઠ્યપુસ્તકમાં પણ આ ભજન હતું શાળામાં બધા એકસાથે ગાવાની ખુબ જ મોજ પડતી ! મારુ પણ એ ખુબજ મનગમતું પ્રભાતિયું આજે પણ છે. નરસિંહ મહેતાએ કેવી સુંદર રીતે યશોદામૈયાની ભાવના વ્યકત કરી છે કાનાને કેવા લાડથી ઉઠાડે છે !
       હું લખતા,વાંચતા કે કવિ અને લેખકને સમજુ એ પહેલા જ મારા બાળમાનસ પર કૃષ્ણભક્ત કવિ નરસિંહ મહેતાનું ચરિત્ર અંકિત હતું ! મારા દાદી રોજ રાત્રે અમને ભક્તકવિ નરસિંહ મહેતાની રાસલીલા,કુંવરબાઇનું મામેરું,મીરાંબાઈની કૃષ્ણ ભક્તિ અને ઝેરના પ્યાલાની વાતો સુંદર વાર્તા રૂપે કરતા, મારી દાદીની વાર્તા કહેવાની છટા પણ એવી જ સુંદર હતી. અમને દાદી કૃષ્ણલીલા સાક્ષાત નિહાળતા હોય તેવો અહેસાસ કરાવતા..અને અમે એમાં એવા ઓતપ્રોત થઇ જતાં કે જાણે અમે જ નરસિંહ મહેતા અને તેની કૃષ્ણની રાસરાસલીલામાં સહભાગી ન હોય ?
       આજે પણ બધું જ યાદ છે.નરસિંહ મહેતાના બંને હાથમાં મશાલ હોય અને નરસિંહ એવા તો કૃષ્ણમય બની જાય કે તેમના બંને હાથ મશાલનીની સાથે બળવા માંડે અને અમને પણ દેહ નું ભાન ન રહે તેમ અમને પણ જાણે અમારા હાથ ન બળતા હોય તેવું લાગે ! … કેવી અદ્દભુત કૃષ્ણભક્તિ ! જેને સાક્ષાત કાનુડો હાજરાહાજુર હતા.એ ભક્તવત્સલ કવિનું મારુ બીજું પ્રિય ભજન જે અમારે પાઠ્યપુસ્તકમાં કવિતા રૂપે હતું તે “જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે ,જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે, …..નાગણીઓ અને બાલકૃષ્ણનો સંવાદ ખુબજ સુંદર ભજન રૂપે મને ગમેતો એટલે આખો કંઠસ્ત કર્યો હતો. અમારા શિક્ષક  કવિતા રૂપે  ક્લાસમાં અમને બધાને એકસાથે ગવડાવતા તેની મજા આજ સુધી ભૂલાઈ નથી. આવી ઘણી કવિતા અને ભજનો આજે પણ કંઠસ્થ છે.
       એમના એક એક પ્રસંગ માટે કેટલાક પુસ્તકો લખાયા છે. નાટકો અને ફિલ્મ બની છે.તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું, ત્યાર પછી તો ધણા જ નાટકો તેમજ પિક્ચર પણ રચાયા. તેમની યાદમાં ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે. સાહિત્ય નિધી તરફથી અત્યાર સુધી ૨૧ પુરસ્કાર અપાયા છે.
      નરસિંહ મહેતા એ લગભગ બાવીસ હજાર જેટલા ભજન,કીર્તન,પરોઢિયા,આખ્યાન પદ ગુજરાતી સાહિત્યને આપ્યા છે! તેથી જ તેને ઇ.સ. ૧૫મી સદીના નરસિંહ ગુજરાતી ભાષાના આદિકવિ કહેવાય, નરસિંહ મહેતા માટે સંક્ષિપ્તમાં લખવું એ અઘરું કામ છે છતાં પ્રયત્ન જરૂર કરીશ.
        નરસિંહ મહેતાનો જન્મ નાગર કુટુંબમાં ઇ સ ૧૪૧૪માં સૌરાષ્ટ્રના તળાજા ગામમાં થયેલો.પિતા કૃષ્ણ દાસ અને માતા દયાકુંવર બંનેને નરસિંહ મહેતા પાંચ વર્ષની ઉંમરે જ ગુમાવ્યા હતા. તેમનો ઉછેર દાદી જયાગૌરીએ કરેલો. ત્યારબાદ તેઓ તેમના ભાઈ ભાભી સાથે જુનાગઢમાં રહેતા.તેમના લગ્ન ઇસ ૧૪૨૮ માણેકબાઈ સાથે થયેલા. તેમને બે બાળકો એક પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશદાસ. એમના જીવનના પ્રસંગોમાં કુંવરબાઇનું મામેરું અને શામળદાસની હુંડી ખુબજ પ્રચલિત છે.
      નરસિંહ મહેતા સદાય ભક્તિમય જ રહ્યા.આખો દિવસ એમાંજ રચ્યા પચ્યા રહેતા. ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.કામ ધંધો કરતા નહીં તેથી તેમની ભાભીને બિલકુલ ગમતું નહીં તે ખૂબ અપમાનિત શબ્દો બોલી હડધૂત કરતા અને મેણા ટોણા મારતાં.એક દિવસ અસહ્ય થતાં નરસિંહ ઘરછોડી જંગલ તરફ નીકળી પડ્યા,ભૂખ્યા અને તરસ્યા સાત દિવસ સુધી શિવની તપસ્યા કરી અને શિવનો સાક્ષાત્કાર થયો. નરસિંહના આનંદનો પાર ના રહ્યો. જયારે મહાદેવે નરસિંહને તેની મનોકામના પૂછી ત્યારે નરસિંહે તેમને ‘રાધા કૃષ્ણની રાસલીલા જોવાની ઈચ્છા પ્રગટ કરી. ભક્તની ઇચ્છાને માન આપી મહાદેવે નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. તેમની ઇચ્છા કૃષ્ણને મળવાની અને રાસલીલાના દર્શન કરવાની હતી તે પૂરી થઇ અને ધન્ય બની ગયા.ભાભીનું મહેણું નરસિંહને ભગવાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની ગયું. ભાભીના મહેણાને નિમિત્ત માની ઘરે જઈ ભાભીને પગે પડ્યા ભાભીનો ખુબ ખુબ આભાર માન્યો, શ્રદ્ધાભાવથી તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું “ધન્ય હો તમે, ધન્ય હો, મારા પર આવડો મોટો ઉપકાર કર્યો,મને પ્રભુનો ભેટો કરાવ્યો, તમે મારા ગુરુ છો.તમે મારો ઉદ્ધાર કર્યો છે,તમારા પ્રતાપે આજે મે ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે,આ ભવમાં ભલે મને ભાભી સ્વરૂપે મળ્યા પણ આવતા ભવમાં મને મા સ્વરૂપે મળજો”કેવી અદભૂત ઉદારતા!
            નરસિંહના જીવનમાં પછી તો અનેક પ્રસંગોમાં પ્રભુનો સાક્ષાતકાર નરસિંહને થયો દીકરીનું મામેરું,પુત્ર શામળશદાસના વિવાહ કે પછી પત્ની માણેકબાઈનું મૃત્યુ પ્રભુએ આવીને આ ભક્તની લાજ રાખી. નરસિંહ મહેતાનુ જ્ઞાન અને ભક્તિનું ત્રીજુ નેત્ર ખુલી ગયું. જેના પ્રતાપે તેના અંતરમાંથી જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યના પદોનો ધોધ છૂટી નીકળ્યો….ત્યાર પછી તો ભક્તિ દ્વારા જ્ઞાનના રહસ્યોને નરસિંહ કવિતામાં ઉઘાડતાં જ ગયા અને ભજનો દ્વારા સરળ ભાષામાં ગાતા ત્યારે આજની પેઠીને આશ્ચર્ય જરૂર થાય કે આ ચાર ચોપડી ભણેલો નરસૈયા પાસે આવું વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન આવ્યું કયાંથી?
           નરસિંહ ઘણીવાર સાધુસંતોની સાથે ભજનો ગાતાં ગાતાં પોતાના ગામથી ઘણાં દૂર નીકળી જતાં અને એ વાતનું એમને ભાન પણ ના રહેતું.ગામમાં જ્યાં જ્યાં હરી કીર્તન અને ભજન થતાં હોય ત્યાં નરસિંહ પહોંચી જાય પછી એ ભંગીવાડો કેમ ન હોય?
           નરસિંહ મહેતાનું મને ગમવાનું એ પણ એક કારણ કે તેઓ એ જમાનાના ઉચ્ચ સમાજ સુધારક પણ હતા.એ જમાનામાં છૂતઅછૂત, ઉંચનીચના જાતિભેદ બહુ જ હતા. નરસિંહ મહેતા તો ભંગી,ચમાર,નીચલી કોમમાં જઈને પણ ભજન,કીર્તન કરતાં એતો સંત ભક્ત હતા.સહુ ને સમાન ઈશ્વરના બાળકો માનતા, હરિજનવાસમાં ભજન કીર્તન કરનાર નરસિંહને નગરજનો અને નાગરોએ પણ અપમાનિત કરવામાં બાકી નહોતું રાખ્યું, નાગરી નાતે તેમનો બહિષ્કાર કરી નાતબહાર મુક્યા! પણ નરસિંહએ તો લોકોને નાત-જાતના અને જ્ઞાતિ ધર્મોના ભેદોથી ઉપર ઉઠાવી સહુ કોઈ હરિના જન(ભગવાનના સંતાન)છે એવી સમજણ આપી.પરંતુ આવા પ્રસંગે પણ નરસિંહ મહેતાએ પોતાની ભક્તિ અને ભગવાન પ્રત્યેની આસ્થા ડગવા ના દીધી. જેવી એમની સમાનતા એવી સમતા. અગવડ કે સગવડ, સુખ કે દુઃખ, પ્રશંસા કે નિંંદાથીય તેઓ ચલિત ન થયા.પત્નીના અવસાન સમયે તેમની જીભેથી સારી પડ્યું, “ભલું થયું ભાંગી ઝંઝાળ સુખે ભજશું શ્રી ગોપાલ”
      આવા ક્રાંતિકારી વિચાર ધરાવનાર નરસિંહ મહેતાને ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુ પણ પોતાના આદર્શ માનતા હતા,નરસિંહ મહેતા એ લખેલું ભજન જે મહાત્મા ગાંધીજીને ખુબજ પ્રિય હતું તે વિશ્વભરમાં પ્રચલિત થયું. “વૈષ્ણવ જન તો રે કહીયે જે.. પિડપરાઈ જાણે રે….,એમના એક એક શબ્દમાં જીવન જીવવાની ફોલૉસફી તારવીને મૂકી દીધી છે! નરસિંહ મહેતા ૧૪૮૦માં દેહ છોડી કૃષ્ણમા લીન થઈ ગયા! એમ લોકો કહે છે.

     તેમનું જીવન જ પછીના અનેક સાહિત્યકારો માટે આખ્યાનનો વિષય બની ગયું છે.નરસિંહ મહેતા સમય દ્રષ્ટિએ નહિ,પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે. ગુજરાતી ભાષાના અણમોલ રત્ન સમાન નરસિંહ મહેતાને ઊર્મિકાવ્યો,આખ્યાન,પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર માનવામાં આવે છે જેના દ્વારા રચાયેલા પ્રભાતિયા આપણને આજે પણ સવારે સાંભળવા મળે છે,જેના ભજનો અને કાવ્યો પાંચસો વર્ષોથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આજે લોકોના મનમાં તરોતાજા છે. લોકો ભાવથી આ પદોને ગાય છે. નરસિંહ મહેતાની ઘણી રચનાઓ મૌખિક રીતે સચવાયેલી છે. નરસિંહ મહેતાની રચનાઓ વિષે અનેક લેખકો અને ઇતિહાસકારોએ સંશોધન કરેલા છે. તેમની રચનામાં “ઝુલણ છંદ” અને “કેદારો રાગ” મુખ્ય સ્વરૂપે જોવા મળે છે.ઝૂલણ છંદના રચયેતા નરસિંહને માનવામાં આવે છે.સંપૂર્ણ જીવન દરમ્યાન તેમણે અનેક સાહિત્યનુ સર્જન કર્યું. જે આજે આટલો સમય વીતી ગયો હોવા છતા આજે પણ સંભાળનારને પરમ આનંદનો અનુભવ કરાવે છે.મારું પણ સવાર નરસિંહના પ્રભાતિયાથી આજે પણ અમેરિકામાં ઉઘડે છે.

-રેણુબેન વખારિયા 

7 thoughts on “ખુલ્લી બારીએથી-વાચક -રેણુબેન વખારિયા

  1. રેણુકાબેન લખતા રહો …કલમ ઉપાડી છે તો બસ મૂકતા નહિ ……અભિનંદન લાગે છે અમે પણ જાણે જુનાગઢના

    Like

  2. Very nice ! Congratulations Renuben !
    “ નરસિંહ મહેતાનું મને ગમવાનું એ પણ એક કારણ કે તેઓ એ જમાનાના ઉચ્ચ સમાજ સુધારક પણ હતા” I agree ..

    Like

  3. ખૂબ જ સરસ પ્રયત્ન રેણુબેન! અભિનંદન.તમારામાં રહેલી નરસૈંયો અને કૃષ્ણ પ્રત્યેની ભક્તિને હું અનુભવી શકું છું.જ્યારે હૃદયમાં સંવેદના ઉછાળા મારે ત્યારે બીજું બધું ગૌણ બની જાય છે.આપણે બધાએ વત્તા ઓછા પ્રમાણમાં મહેનત કરવાની છે.લખતા રહેશો તો જરૂર આગળ વધશો.તમારામાં એક સક્રિય લેખક હું જોઈ રહી છું.

    Like

  4. મઝા આવી રેણુબેન,
    નરસિંહ મહેતા અને એમના ભજનો કે પ્રભાતિયા વિશે તો જ્યારે પણ જેટલું જાણીએ ત્યારે ગમે જ છે.

    Like

    • રાજુલબેન, સાચી વાત કહી. નરસિંહ મહેતા ના દરેક ભજન કૃષ્ણભકિત મા તરબોળ કરી દે છે.

      Like

Leave a reply to Renu Vakharia Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.