ઓશો દર્શન -43. રીટા જાની


અનુ કપૂર એવું કહે છે કે ઓશો સમજવા માટે નથી, અનુભવવા માટે છે. તેમને માત્ર સાંભળવાના નથી, ગણવાના પણ છે. તેઓ માત્ર પ્રવચન કરતા નથી, હકીમ પણ છે. તેઓ રોગનું માત્ર નિદાન જ નથી, કરતા ઔષધિ પણ આપે છે. ઓશોએ ઘણા લોકોને ગુલામીની બેડીઓ અને દીનતાની જંજીરોમાંથી મુક્ત કર્યા છે. તેમની વાતો ગાગરમાં સાગર છે જે પાંચ ચાર પાનામાં ન સમજાય તે એક નાનકડી વાર્તાથી સમજાવી દે છે. તેઓ પ્રભાવિત કરવા નથી બોલતા, સમજાવવા માટે બોલે છે. તેમના વિષયો ગંભીર હોવા છતાં કંટાળો નથી આપતા. ગત અંકમાં આપણે ઓશોના ‘સંસાર સૂત્ર ‘ અંતર્ગત પ્રેમની વિષદ ચર્ચા કરી. આ વખતે એ જ વિષય પર – સંસારને સાધવા, સફળ બનાવવા – ઓશો વધુ કયા સૂત્રો આપે છે તેની વાત કરીશું.

જીવનનું કેન્દ્ર પરિવાર છે. આ પરિવાર પ્રેમના કેન્દ્ર પર નિર્મિત થવો જોઈએ, પરંતુ તે નિર્મિત કરવામાં આવે છે વિવાહના કેન્દ્ર પર. પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે, વિવાહ માણસની વ્યવસ્થા છે. અને તેથી જ પ્રેમના અભાવમાં ગૃહસ્થી સંઘર્ષ, ક્લેશ, દ્વેષ અને ઉપદ્રવનું સ્થાન બની જાય છે. તો જે ઘર પરિવારમાં પ્રેમ હોય, ભરોસો હોય, સાંત્વના હોય ત્યાં સુખાકારીનું નિર્માણ થાય છે. જીવનમાં કેટલાક આયામ ફક્ત હારવાથી જ મળે છે. ગણિત અને તર્ક ફક્ત જીત શીખવાડે છે, પરિગ્રહ વધારે છે. પણ જો બાળકોની બુદ્ધિ સાથે હૃદય પણ ખીલે તો એક સંતુલિત વ્યક્તિત્વ ઘટિત થાય છે. જગતની પ્રત્યેક ઘટનાથી બોધ લઈ શકાય છે, આંખો ખુલ્લી હોય તો જ્ઞાન જરૂર મળે છે. જીવનને જો સાર્થક બનાવીએ તો વૃદ્ધાવસ્થા ખુબ સુંદર અવસ્થા છે. તે જીવનની પરાકાષ્ઠા છે, જીવનનો નિચોડ છે, તમારી સંપૂર્ણ કથા છે. જેનો વાનપ્રસ્થાશ્રમ સુંદર હોય, તેના માટે અમૃતના દ્વાર ખુલી જાય છે. પછી મૃત્યુ અંત નથી, ફક્ત નવી યાત્રાનો પ્રારંભ છે.

ઓશો જીવનમાં પરમાત્માને પામવાનું રહસ્ય સમજાવતા કહે છે કે સંસારને દોડી દોડીને પણ પામવો મુશ્કેલ છે. જ્યારે પરમાત્માને પામવા માટે દોડવાની જરૂર નથી, અટકી જવાની જરૂર પડે છે. ગીતા પણ કહે છે: સ્થિતપ્રજ્ઞ. પરમાત્મા અંદર આવી જાય ત્યાં નૃત્યનો જન્મ થાય છે, જેમાં કોઈ ગતિ નથી, જ્યાં બધું સ્થગિત છે, પરિપૂર્ણ શૂન્ય મૌન છે. કહેવું અને સમજવું ખૂબ કઠિન લાગે છે પણ તેને જ અનાહત નાદ કહે છે.

તમારી દ્રષ્ટિનું પરિપ્રેક્ષ્ય જ સૃષ્ટિ છે. જેવી તમારી ચિત્તદશા, તેવું અસ્તિત્વ તમને દેખાશે. જો તમે પ્રસન્ન હશો તો તમારો પરમાત્મા પણ પ્રસન્ન હશે. જો તમે દુઃખી છો તો તે તમારી પસંદ છે અને જો તમે આનંદિત છો તો એ પણ તમારી જ પસંદ છે. તેના માટે બીજું કોઈ જવાબદાર નથી. તમારા જીવનની સ્થિતિ માટે પૂર્ણતઃ તમે જ જવાબદાર છો. આ ખ્યાલ જેવો અંતરમાં ઘનીભૂત થશે કે જીવનમાં ક્રાંતિની શરૂઆત થશે. બીજા લોકોને બદલવાનું તમારા હાથમાં નથી. પરંતુ સ્વયંમાં રૂપાંતરણ કરવાની વાત તમારા હાથમાં છે. ઘણા લોકો દુઃખની વાત કરી બીજાની પાસે સહાનુભૂતિની અપેક્ષા કરે છે. સહાનુભૂતિ નકલી પ્રેમ છે. સાચો પ્રેમ તો અર્જિત કરવો પડે છે. જે પ્રેમ આપી શકે છે તેને જ પ્રેમ મળી શકે છે. આનંદ એ જાગૃતિની સતેજ અવસ્થા છે, જ્યાં ન તો સુખ છે કે ન દુ:ખ. અંતરનું નિરીક્ષણ કરો. જ્યાં જ્યાં દુઃખ પેદા થતું હોય તેના કારણો તમને તમારી અંદર જ મળશે. સમગ્ર ખેલનું બીજ તો અંદર છે. બહાર માત્ર તેની પ્રતિધ્વનિ સંભળાય છે. માટે બહાર દુઃખ પેદા થતું હોય તો સમજજો કે અંદર કંઈક અયોગ્ય ખેલ ચાલી રહ્યો છે, જેનું પ્રતિકૂલન જગતના પડદા પર દેખાય છે. કમનસીબે આપણી મનોદશા એવી છે કે એક પગ સંસારની નાવમાં અને એક પગ બુદ્ધ પુરુષોની નાવમાં રાખી જીવન જીવવું છે. માટે જ દ્વંદ્વમાં જીવન વ્યતિત કરતા રહીએ છીએ.

આપણી બુદ્ધિ એ અનંત વિચારોની જોડ છે. એ વિચારોની ભીડના કારણે જ જીવનમાં શાંતિ સંભવી શકતી નથી. મહાવીરનું વચન છે ‘મનુષ્ય બહુચિત્તવાન છે’, જેની સાથે આધુનિક મનોવિજ્ઞાન પણ સહમત છે. તમારી પાસે એક નહીં પણ અનેક મન છે, જે જુદી જુદી આજ્ઞાઓ આપે છે અને તમે વિક્ષિપ્ત અવસ્થાએ પહોંચી જાવ છો. બુદ્ધિ વશમાં થવાથી સત્વની સિદ્ધિ થાય છે અને ખરું સ્વાતંત્ર પ્રાપ્ત થાય છે. ત્યારે તમે નિર્ણાયક હો છો અને મન તમારી પાછળ ચાલે છે. કબીર કહે છે કે ‘બહાર અને અંદર એક જ છે. ઝેન સાધુઓ પણ કહે છે કે સંસાર અને મોક્ષ એક છે. આવું કઈ રીતે બને? આપણને એ સમજાતું નથી કારણ કે માન્યતા એવી છે કે સંસારમાં તમે પીડિત છો અને મોક્ષ તેનાથી વિપરીત છે. જો સંસારથી મુક્ત થશો તો જ શાંતિ અને આનંદ મળશે. વાસ્તવિક રીતે અહંકાર સમાપ્ત થતાં બહાર અને અંદરનો ભેદ સમાપ્ત થઈ જાય છે. પછી બધું જ એકરૂપ છે. સંસાર અને સંન્યાસ પણ એક જ છે, મોક્ષ અને મુક્તિ એ અનુભવની દશા છે. આ ગહન વાત ઓશો ફક્ત ત્રણ સૂત્રો દ્વારા યાદ રાખવાનું કહે છે. એક – મનનું માલિકીપણું તોડવાથી સાક્ષી ભાવ ફલિત થશે. બીજું – મનની વિરુદ્ધ જવાથી નહીં પણ મનની પાર જવાથી સંભવશે. ત્રીજું – મનનું અતિક્રમણ કરવાનું છે, જેથી બધા દ્વૈત સમાપ્ત થઈ જશે.

આંખ બંધ કરીએ તો અસીમના દ્વાર ખુલી જાય છે. આ તરફ દ્રશ્ય દેખાય છે પેલી તરફ દ્રષ્ટા દેખાઈ જાય છે. પરંતુ આપણે જ્યારે આંખો બંધ કરીએ ત્યારે પણ દ્રશ્ય તો બહારના જ જોઈએ છીએ. જેથી આંખો બંધ કરવાની કોઈ અર્થ રહેતો નથી. આંખ બંધ રાખવાનો અર્થ છે સ્વપ્નો અને વિચારોથી મુક્તિ- શૂન્યતાનો અનુભવ. વિચાર અને દ્રશ્ય વિલીન થયા પછી જે પ્રગટ થાય છે તે શાશ્વત ચૈતન્ય છે, સત્ છે, ચિત્ત છે, એ જ આનંદ છે. સત્યનો મહિમા ગાતા ઓશો સમજાવે છે કે સ્વયંના જૂઠથી ગભરાવાની જરૂર છે. જે માણસ ખોટું બોલે છે તે ન તો શાંતિથી સૂઈ શકે છે, ન આરામ કરી શકે છે, ન ધ્યાન કરી શકે છે કે ન પ્રેમ કરી શકે છે. સત્યથી ભવિષ્યમાં સ્વર્ગ મળશે એટલે સત્ય ધર્મ નથી. સત્ય એટલા માટે ધર્મ છે કે સત્યથી તમને અહીં અને હમણાં જ સ્વર્ગ મળી જશે. સ્વર્ગ એટલે એવું જીવન જેમાં ગહન વિશ્રામ અનુભવાય. સત્યના માર્ગે વિશ્રામ મળશે, જૂઠના માર્ગે તણાવ મળશે. આપણી આંખો દર્પણ છે. જ્યાં ગુરુ અને શિષ્યની આંખ મળે છે, ત્યાં જ માર્ગ છે. આ માર્ગે કઈ રીતે આગળ વધવું તે અંગે ઓશોનું દર્શન જાણવા મળીશું આવતા અંકે…..

રીટા જાની
10/02/2023

ઓશો દર્શન -39. રીટા જાની

wp-1644023900666



ગત અંકમાં આપણે બુદ્ધના ‘હૃદયસૂત્ર’ની પૂર્વ ભૂમિકાની ઓશોની કાવ્યાત્મક શૈલીમાં અનુભૂતિ કરી. ‘બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો, તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.’ આ મૂળભૂત સમજ સાથે આગળ વધવું છે.

જીવનમાં ત્રણ ચીજો અગત્યની છે -જન્મ, પ્રેમ અને મૃત્યુ.  જન્મ થઈ ચૂક્યો છે, તેનું કંઈ કરવાનું રહેતું નથી. જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે જન્મ લેવા માંગો છો કે નહીં એવું પણ તમને પૂછવામાં આવ્યું ન હતું. પ્રેમ પણ સંભવે છે. જ્યારે તમે કોઈકના પ્રેમમાં પડો છો ત્યારે તમે તમારી જાતને દૂર હડસેલી શકતા નથી. જેમ જીવન આપમેળે સંભવે છે, એમ જ પ્રેમ પણ આપમેળે સંભવે છે. જો જીવનની પ્રત્યક્ષ ક્ષણ ખૂબ જ સુંદર, વ્યક્તિગત, અનુકરણ ના થઈ શકે તેવી બની શકે છે; તો પ્રત્યેક ક્ષણ આશીર્વાદિત અને અનન્ય બની શકે છે. જેઓ પોતાની જેવા જ બનવા માંગે છે તેઓ આ ધરતીના સૌથી મૂલ્યવાન લોકો છે. ઓશો કહે છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, માટે મૃત્યુનું ચિંતન કરો. તમારે તેના માટે તૈયાર રહેવું જ પડશે. સાચો માર્ગ એ છે કે ભૂતકાળની પ્રત્યેક ક્ષણમાં મૃત્યુ પામો અને વર્તમાનમાં જન્મ લો. તે તમને તાજા, યુવાન, સ્ફૂર્તિલા અને  ક્રાંતિવાન રાખશે.  તે એક બહુ મોટી આવડત અને કલા છે.

વાસ્તવિકતા સાથે સુસંગત વિચારોથી પરમાનંદ ઊભો થાય છે.  તમારી અને સત્ય વચ્ચેનું વિભાજન એ અસંગતિ છે. જ્યારે તમે સત્ય સાથે ચાલતા નથી, ત્યારે તમને પીડા થાય છે, સંતોષ મળતો નથી. ઉદાહરણ તરીકે, લીલા ચશ્મા પહેરવાથી આખી દુનિયા લીલી દેખાશે. ચશ્મા હટાવી દેશો તો વાસ્તવિકતાના દર્શન થશે. બુદ્ધ કહે છે કે અંધકારમાં તમે દોરડાને સાપ સમજી બેસો અને ભાગવા માંડો છો અને કોઈ પથ્થર સાથે અફળાવ છો તો તમારા હાડકા ભાંગી જાય છે. સવારે તમને ખબર પડે છે કે તે કેવળ એક દોરડું હતું. ગેરસમજણ એ સમજણ જેવી જ વાસ્તવિક છે. તે સાચી નથી. પરંતુ વાસ્તવિક છે. વાસ્તવિકતા અને સત્ય વચ્ચેનો આ ફરક છે. માટે જ બુદ્ધ કહે છે કે કેવળ દીવો થઈને તમારી અંદર ઉતરો અને બરાબર નિહાળો કે સાપનું અસ્તિત્વ છે કે નહીં. વિચારો એ વિકૃતિકરણનું માધ્યમ છે. માટે જ બુદ્ધે શુન્યતા ઉપર, નિર્બુદ્ધી, નિર્વિકલ્પ અવસ્થા પર એટલો બધો ભાર મૂક્યો છે. જ્યારે તમે બિલકુલ ખાલી છો, ત્યારે આઈનો જ પ્રતિબિંબ પાડે છે. પરંતુ જો તમે કોઈ વિચાર ધરાવો છો તો તમે તેને વિકૃત કરશો.

ઓશો કહે છે કે આપણે વિશાળ સમુદ્રના બહુ નાના અંશો છીએ, ટીપાંઓ છીએ. અહીં સંદેશ છે- પ્રેમ, શરણાગતિ અને સ્વીકૃતિનો. અંશ પૂર્ણ સાથે ભળીને જ સમર્થ બની શકે. તમારું સામર્થ્ય સત્ય સાથે રહેવામાં રહેલું છે. નદીમાં સામા પ્રવાહે તરવાનો પ્રયાસ કરો તો તમે કમજોર સિદ્ધ થશો. પણ નદીના પ્રવાહમાં વહો, તો નદી તમને તે જ્યાં જતી હશે ત્યાં લઈ જશે.

ભવિષ્ય વિષમય છે. તમે જેટલું વધુ સંચય કરશો, તેટલી આંતરિક દરિદ્રતાનો અનુભવ કરશો. વર્તમાન ક્ષણ સુંદર અને મનોહર છે. જ્યારે તમે આ ક્ષણના શિખર પર સ્વાભાવિક, સ્વયંસ્ફૂર્ત, સરળ અને સામાન્ય જીવન જીવો છો, તે એક મહાન આશીર્વાદ છે. ઓશો સમજાવે છે કે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો અભાવ ડહાપણ છે. જેને બુદ્ધ પ્રજ્ઞા પારમિતા કહે છે- પરમોત્કૃષ્ટ પ્રજ્ઞા પારલૌકિક પ્રજ્ઞા.  એક વાર આ સત્ય તમારા અસ્તિત્વમાં પ્રવેશે છે, પછી મહાન પરિવર્તન આવશે. માટે સામર્થ્યની ઈચ્છાનો ત્યાગ કરી અવલોકન કરો.

ઓશો કહે છે કે જો તમે સફેદ દિવાલ પર સફેદ ચોકથી લખો તો વાંચી શકાશે નહીં. પણ જો બ્લેકબોર્ડ પર લખો તો સ્પષ્ટ દેખાઈ આવશે, માટે વિરોધાભાસ જરૂરી છે. દિવસ દરમિયાન પણ આકાશમાં તારાઓ હોય છે. પરંતુ રાત્રિના અંધકારમાં તેમને જોઈ શકાય છે. એ જ રીતે એક બાળક નિર્દોષતા ધરાવે છે, પરંતુ પાછળ કોઈ પાર્શ્વ ભૂમિકા નથી. એથી વિપરિત એક બુદ્ધ પોતાનું જીવન જીવી ચૂક્યા છે, સારું અને ખરાબ બંને ધ્રુવીયતાને સ્પર્શી ચૂક્યા છે. માટે જ બુદ્ધ કહે છે કે “મેં કશું પ્રાપ્ત કર્યું નથી. મેં કેવળ એ શોધી કાઢ્યું છે, જે હંમેશા હોય છે. ખરેખર કોઈ પ્રાપ્તિ નથી, મેં કેવળ તેને ઓળખી છે. તે શોધ નથી, પુનર્શોધ શોધ છે. જ્યારે તમે બુદ્ધ બનો છો ત્યારે તમે તમારો સ્વભાવ જુઓ છો. એ માટે તમારે પથભ્રષ્ટ થવું પડે છે, કાદવવાળી જગ્યાઓમાં પ્રવેશવું પડે છે. ત્યારે જ તમારી અણિશુદ્ધ, નિર્મળતા અને શુદ્ધતા જોઈ શકાશે.”

અહમ્ ના સાત દ્વાર છે જે બહુ સ્પષ્ટ અને એકબીજાથી જુદા નથી. જો વ્યક્તિ સાતે દ્વારમાંથી અહમ્ પ્રાપ્ત કરે છે, તો તે સંપૂર્ણ અહમ્ બને છે. જે રીતે ફળ કાચું હોય ત્યારે લટકતું રહે છે પણ જ્યારે પક્વ બને ત્યારે ખરી પડે છે, એવું જ અહમ્ નું પણ છે. વક્રતા એ છે કે ખરેખર વિકાસ પામેલો અહમ્ જ શરણે થઈ શકે છે, પૂર્ણ અભિમાની જ શરણાગતિ સ્વીકારી શકે છે કારણ કે એ અહમ્ નું દુઃખ જાણે છે. માટે બુદ્ધ બનતા પહેલા તમારે આ સાત દ્વારનો ઉપયોગ કરવો જ જોઈએ. અહમ્ નું પ્રથમ દ્વાર દેહમય જાત, દ્વિતીય આત્મઓળખ, ત્રીજું આત્મસન્માન, ચોથું આત્મવિસ્તરણ, પાંચમું આત્મ છબી, છઠ્ઠું સ્વ-નિજત્વ અને સાતમું દ્વાર યોગ્યતાની પ્રાપ્તિ છે. વ્યક્તિ અહમ્ ના સાત દ્વાર શરૂ થતા પહેલા બાળક છે અને અહમના સાત દ્વાર પૂર્ણ થયા બાદ બુદ્ધ છે. આ પૂર્ણ ચક્ર છે.

ઓશો કઝાન્સાકીના પુસ્તક ‘ઝોર્બા ધ  ગ્રીક’ ને ટાંકીને કહે છે કે પુસ્તકને પ્રેમ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, ક્યારેય કોઈનું અનુકરણ કરવાની કોશિશ ન કરો. ઝોર્બા પાસેથી રહસ્ય શીખો, સહભાગી બનો, પછી તમારી રીતે આગળ વધી અને ‘તમે બનો’. જીવનને આનંદપૂર્વક સ્વીકારો, સહજતા અને સ્વસ્થતાથી જીવો. બહુ ગંભીર બનવાની જરૂર નથી, રમતિયાળ બનો. દરેક પળને તીવ્રતાથી જીવો. તીવ્ર પૂર્ણતાની એક ક્ષણ તમને ઈશ્વરનો સ્વાદ ચખાડવા પૂરતી છે. એ ક્ષણ તમને શાશ્વત બનાવી દેશે.

બુદ્ધનો સંદેશ છે કે ‘તમે તારણ પામેલા જ છો. તારણહાર આવવાની જરૂર નથી. તમે ગુનેગાર નથી. કોઈ દુઃખ નથી. સારિપુત્ર! દુઃખનું કારણ કે ઉદ્ભવ નથી. તેનો કોઈ નિરોધ નથી અને તેનો કોઈ માર્ગ નથી. તે કોઈ પ્રાપ્તિ નથી કે તે કોઈ અપ્રાપ્તિ નથી, તે છે જ. તે તમારો ખુદનો સ્વભાવ છે.’

બુદ્ધ સારિપુત્રને કહે છે કે “પ્રજ્ઞા પારમિતા” એટલે “ધ્યાન, પરમોત્કૃષ્ટની પ્રજ્ઞા”. તમે તેને ખોલી શકો. તમે તેને લાવી શકો નહીં. ધ્યાન બનવા માટે ચિત્ત અને મગજ શાંત થવું જોઈએ. એકાગ્રતા એ મગજનો પ્રયાસ છે, ધ્યાન એ ચિત્તરહિતાની અવસ્થા છે, શુદ્ધ જાગૃતિ છે. ધ્યાનમાં કોઈ ઉદ્દેશ નથી. ધ્યાન એક વૃક્ષ છે, જે બીજ વિના ઉગે છે. ધ્યાન એ સમજદારી છે કે ઈચ્છાઓ ક્યાંય દોરી જતી નથી. ધ્યાનમાં કોઈ કેન્દ્ર નથી, તમે શૂન્યતાના આધારે કામ કરો છો. શૂન્યતાને આધારે  ઉદ્દભવતો પ્રતિભાવ એ જ તો ધ્યાન છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા – કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો સમયની જરૂર પડે, પરિશ્રમની જરૂર પડે, તેને તત્કાલ મેળવી શકાય નહીં. પરંતુ કેવળ ધ્યાન હમણાં પ્રાપ્ત કરી શકાય છે, આ જ ક્ષણે, તત્કાલ. કારણ કે એ તમારો સ્વભાવ છે. એ માટે એક ક્ષણ પણ ગુમાવવાની જરૂર નથી. નિર્વાણ બીજું કશું નથી, પરંતુ પૂર્ણ ચક્ર કરેલી ધ્યાનાવસ્થા છે. ઈશ્વર બીજું કશું નથી, પરંતુ ધ્યાનની કુંપળનું ફૂલ બનવું છે. આ પ્રાપ્તિઓ નથી, આ તમારી જ વાસ્તવિકતાઓ છે, તે તમારી અંદર જ બિરાજમાન છે. ધ્યાન અર્થાત તેમાં હોવું, ધ્યાનસ્થ હોવું. એનો અર્થ કોઈના ઉપર ધ્યાન કરવું એવું થતો નથી. તે એક અવસ્થા છે, પ્રવૃત્તિ નથી. બુદ્ધ કહે છે કે તમે શૂન્યતાની આ અવસ્થામાં જાવ. પછી નિર્વાણ સ્વાભાવિક પરિણામ છે. તે આપમેળે આવે છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે આ શૂન્યતામાં કેવળ પ્રવેશો અને પછી શૂન્યતા વિશાળ અને વિશાળ થતી જશે. એક દિવસ તે તમારું સમગ્ર અસ્તિત્વ બની જશે. તેમનું એક માત્ર આશ્રયસ્થાન પ્રજ્ઞાની પરિપૂર્ણતા, ધ્યાનની પરિપૂર્ણતા છે. બુદ્ધ મહાગુરુ છે. એવા ગુરુ, જે તમને મુક્ત કરે છે, તમારા અંધકારનો નાશ કરે છે. તેમનો સંદેશ મનુષ્યને આપવામાં આવેલા સંદેશાઓમાંનો મહાનતમ સંદેશ છે.

રીટા જાની
25/11/2022

ઓશો દર્શન-12. રીટા જાની

wp-1644023900666



કવિ અમૃત ‘ઘાયલ’ની સુંદર પંક્તિઓ છે….


કેમ ભૂલી ગયા? દટાયો છું;
આ ઈમારતનો હું ય પાયો છું…
આમ તો એક બિંદુ છું, કિન્તુ
સપ્તસિંધુથી સંકળાયો છું!


તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમારા જીવનની ઇમારતના પાયામાં શું છે? શું છે તેની બુનિયાદ? જ્યારે પાયાના મૂળભૂત ખ્યાલ વગર કોઈ ઇમારત ખડી કરી દેવામાં આવે, તેનો પાયો જ નબળો હોય તો એ ઇમારતને કડડભૂસ થતાં વાર નહિ લાગે. આવી પાયાની વાત લઈને ગત અંકથી આપણે વાત કરી રહ્યા છીએ ધમ્મપદ ઉપરના ઓશોના ચિંતનની.

જ્યાં તર્ક નિષ્ફળ જાય છે ત્યાં પ્રેમ સફળ થાય છે. જ્યાં ભાષા નિષ્ફળ જાય છે ત્યાં મૌન સફળ થાય છે. કેટલીકવાર મૌન સમજી શકાતું નથી માટે એને ભાષામાં રૂપાંતર કરવું પડે છે. પ્રાર્થના સંવાદ છે, જ્યારે ધ્યાન મૌન છે. અજ્ઞાતમાં પગલું ભરતાં ડર લાગે છે, પરંતુ અજ્ઞાતમાં જવાથી જ ડર અદ્રશ્ય થઈ જશે અને પછી આ ધર્મયાત્રાનો કોઈ અંત નથી. હંમેશા આગળ જનારી, કદી પુરી ન થનારી, શાશ્વત અખૂટ યાત્રા છે. ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચીએ કે બોલીએ પણ જો તેનું પાલન ન કરીએ તો એ તમારું ભલું નહીં કરે માટે બને તેટલા ઓછા શબ્દો વાંચો અને એથી પણ ઓછા બોલો પણ નિયમનું પાલન કરો.

સત્ય કોઈ વિચાર કે તાર્કિક કારણ નથી સત્ય વાસ્તવિક અસ્તિત્વ છે. હૃદય ઇચ્છાને જાણતુ નથી, ભૂતકાળને પણ જાણતુ નથી કે નથી જાણતુ ભવિષ્યને. તે વર્તમાનમાં જીવે છે, હાલની ક્ષણમાં ધબકે છે, તેથી અત્યંત શુદ્ધ છે. બાળક હૃદયથી કામ કરે છે, જ્યારે આધુનિક શિક્ષણ મસ્તિષ્કથી કામ કરે છે. મસ્તિષ્ક સમસ્યા છે અને હૃદય નિવારણ છે. એ કરુણ હકીકત છે કે નિર્દોષ બાળકો ઉપર આપણા વિચારો થોપી તેમનું શોષણ આપણે કરીએ છીએ. તેમને સચેત, જાગૃત, વિચારશીલ, પારદર્શક અને શુદ્ધ બનાવવાને બદલે વિચારોથી ભરી દઈએ છીએ, તેમને લાચાર અને પરાવલંબી બનાવીએ છીએ. વધુ ને વધુ મહત્વાકાંક્ષા, સત્તા, પ્રસિદ્ધિ, સંપત્તિ માટેની તીવ્ર ઇચ્છાથી આપણી સંપૂર્ણપણે એ ભૂલી ગયા છીએ કે આપણામાં પણ એક હૃદય છે, જેનાથી આપણે ઈશ્વર સાથે જોડાયેલા છીએ. જ્યારે ઊર્જા હૃદયથી મસ્તિષ્ક તરફ જાય છે ત્યારે પ્રેમ કરતાં તર્ક વધુ અગત્યનો બને છે, સંવેદનશીલતા, ચાહવાની શક્તિ ઘટે છે, માનવીયતા મુશ્કેલીમાં આવે છે. માટે હૃદયને અને પ્રકૃતિને અનુસરો. એનો અર્થ એ છે તમે તમારાં પોતાનાં હૃદયને સાંભળો એટલા બહાદુર થાઓ. તમારી જાત સાથે વહો. તમે જ શાસ્ત્ર છો અને તમારી અંદર ઊંડે ઊંડે એક સ્થિર, નાનો અવાજ છે. જો તમે મૌન બનશો તો એ અવાજ તમને માર્ગદર્શન આપશે. ત્યારે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે જોઇ શકાશે. જેમ પાણીનો સ્વભાવ નીચે તરફ વહેવાનો છે અને આગનો ઉપર તરફ જવાનો, તમારી પ્રકૃતિ ઈશ્વર બનવાની છે અને એ જ પ્રબુદ્ધતા છે.

ધર્મ વિશે ઓશો કહે છે કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ હોવો જોઈએ કારણ કે દરેક વ્યક્તિ અનોખી છે. ધાર્મિક માણસ વિનમ્ર હોય. તે બાઇબલ પાસેથી શીખશે, વેદો પાસેથી શીખશે અને ધમ્મપદ પાસેથી પણ શીખશે. એ બુદ્ધને સાંભળશે, ઈશુ, જરથુષ્ટ્ર બધાને સાંભળશે, એ પોતાનું સ્વત્વ જાળવી રાખશે અને વિનમ્ર, સંનિષ્ઠ, અસલ રહેશે, બનાવટી નહીં બને. સત્યનું એ જ સૌંદર્ય છે તમારું સત્ય તમારું પોતાનું સત્ય હોવું જોઈએ, તમારો ધર્મ તમારો પોતાનો ધર્મ હોવો જોઈએ. ઈશ્વરનો બગીચો ખૂબ વિવિધતાથી ભરેલો છે, સમૃદ્ધ છે. તેમાં બધી જાતના ફૂલ છે – ગુલાબ છે કમળ છે, બીજા એક હજાર ને એક ફૂલ છે. માટે જા અને તારી પોતાની સુગંધ પસંદ કર, તો જ તું સમર્પિત રહી શકશે. જો મને ગુલાબ ગમતા હોય તો તમે મને એવું સમજાવવા પ્રયત્ન નથી કરતા કે મને ગલગોટા ગમવા જોઇએ અને જો તમને ગલગોટા ગમતા હોય તો એ પણ બરાબર છે. ધર્મમાં પણ આવું જ હોવું જોઈએ. તેમાં સંઘર્ષનો, દલીલો કે ઝઘડો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. સાચા ધાર્મિક ક્યારેય ધર્મ માટે ઝઘડો નહીં કરે.

માણસને સૌથી મોટો ભ્રમ એ છે કે એ જાગૃત છે, પછી જાગૃત થવા માટે પ્રયત્ન કરવાનો સવાલ જ રહેતો નથી. શા માટે તકલીફ લેવી? માનવી જ્યારે પોતાને જાગૃત માને છે ત્યારે પણ સુષુપ્ત છે, ગાઢ નિદ્રામાં છે. રોજબરોજ, ક્યારેક ખુલ્લી આંખે તો ક્યારેક બંધ આંખે સ્વપ્નો જ જોયા કરે છે, જે વાસ્તવિક નથી. આ નિદ્રા એટલી લાંબી છે કે તમારા અસ્તિત્વના કેન્દ્ર સુધી પહોંચી ગઈ છે. એટલે જ સચેત થવા માટે, ધ્યાનપૂર્ણ થવા માટે, જાગૃત થવા માટે, સાક્ષી થવા માટે ઘણા પ્રયત્નની જરૂર છે. જાગૃતિ એ ધ્યેય છે અને તમામ શિક્ષાનો સ્વાદ પણ છે. સમુદ્રને ઉત્તરમાં ચાખો કે દક્ષિણમાં, પૂર્વમાં ચાખો કે પશ્ચિમમાં – એનો સ્વાદ ખારો જ લાગશે. એ જ રીતે બુદ્ધત્વનો સ્વાદ જાગૃતિ છે. આપણી આસપાસ શું બની રહ્યું છે તેના વિશે બિલકુલ ધ્યાન આપ્યા વિના આપણે યાંત્રિક રીતે જીવીએ છીએ અને યંત્રમાનવની પેઠે કામ કરીએ છીએ, યંત્રવત્ ભોજન કરીએ છીએ. ગુર્જીયેફ લોકોને મશીનો કહેતા હતા અને એ સાચા હતા. સભાનપણે ખાધેલો દરેક કોળિયો એટલો સ્વાદિષ્ટ લાગે છે, એટલો સંતોષ આપે છે. પવન અને સૂર્યના કિરણોની સુગંધ માણો, એને સ્પર્શો, એમનો અનુભવ કરો. ચંદ્ર સામે જુઓ અને સભાનતાના એક શાંત પુલ બની જાઓ. તમારામાં ચંદ્રનું અત્યંત સૌંદર્યમય પ્રતિબિંબ પડશે.

હૃદય ધબકે છે, શ્વાસ લઈએ છીએ, લોહીનું પરિભ્રમણ થાય છે એટલે જ ફક્ત તમે જીવતા નથી. ચેતના એ જીવન છે, જાગૃતિ જીવનનો માર્ગ છે. તમે જેટલા જાગૃત છો તેટલા અંશે જીવિત છો. મૃત્યુ અને જીવન વચ્ચેનો તફાવત જાગૃતિ છે. આપણું અર્ધજાગૃત મન, જાગૃત મન કરતાં નવ ગણું મોટું છે. ઠીક ઠીક ગરમ પાણી બાષ્પીભૂત થઈ શકે નહીં. 100° પર જ્યારે પાણી ઉકળે, ત્યારે જ બાષ્પ બને. એ જ રીતે સજાગ થવાના ઠીક ઠીક પ્રયત્નો નિરર્થક છે. જ્યારે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે ત્યારે જ જાગૃતિ આવી શકે. ધ્યાન એટલે જાગૃતિ. ધ્યાન કરશો તો તમે સ્વાતંત્ર્ય અને પરમ સુખ મેળવશો. જ્યારે તમે વધુ શાંત, વધુ જાગૃત, વધુ ધ્યાનપૂર્ણ બનો છો ત્યારે પ્રકાશ તો એની મેળે પ્રગટશે. તમારી જાગૃતિ એક ટાપુ બની જાય છે, એક કિલ્લો, જેને કોઈ ઈચ્છા, લાલસા, લોભ, ક્રોધ કાબૂમાં કરી શકતા નથી અને તમે એક સંપૂર્ણ વ્યક્તિ બની જાવ છો. તમે માનવ બનો છો.અને વિશ્વને આજે ખાસ જરૂર છે આવા માનવીની.

દુનિયાનો આનંદ માણો પણ તેના પર માલિકી ધરાવવાનો પ્રયત્ન ન કરો કે એને પણ તમારા પર માલિકી ન જમાવવા દો. છોડ ઉગવા કે બદલવા માટે વિરોધ નથી કરતો, તેની સાથે રહે છે. માટે સહજ અને સરળ બનો. જાતજાતના ઉપદેશના અંધકારમાંથી તમારી જાતને ભવ્ય પ્રકાશમાં ઉચકાઇ જતી અનુભવો. આત્મા અને સત્યમાં પુનર્જન્મ પામી સાચી મુક્તિનો અર્થ જાણો.

રીટા જાની
15/04/2022

ઓશો દર્શન-9. રીટા જાની

કુદરતના સાથમાં, ઉષા સંધ્યાને સંગ, માનવ જીવનમાં છવાય અજબ રંગ. ક્યાંક ફૂલ મહેકે તો ક્યારેક કોયલ ટહુકે, આમ્ર વનોમાં ઝૂમે  છે મંજરી અને આ સુગંધની સાથે જ્યારે મળે જીવનની સુવાસ ત્યારે એ રંગો છવાય જીવનના અંગે અંગ. કોઈને હોળીના રંગો દેખાય તો કોઈને ગ્રીષ્મના વાયરા દેખાય અને આવા રંગો વચ્ચે ક્યારેક શ્વેત બદલાય શ્યામમાં, આકાશ છવાય  વર્ષાના વાદળોમાં, કોયલના ટહુકા બદલાય મોરના ટહુકે, અને વર્ષાની રસધારોમાં નહાતું જીવન ક્યારે લીલી હરિયાળી ચાદરનો રંગ ઓઢી લે તે કોણ કહી શકે?

વર્ષાની રસધારા બને છે જીવનની સરવાણી અને આ સરવાણીઓનો સંગમ એટલે આપણી જિંદગીના રાત અને દિન, આપણા અનુભવની પળો, ક્યારેક આશા તો ક્યારેક અરમાનો, ક્યારેક અઘરા તો ક્યારેક આકરા સમયના ફરમાનો વચ્ચે વહેતી જિંદગીમાં સવારે આંખ ખૂલે અને માણસ હજુ વિચારે ત્યાં તો ઘટમાળ થાય શરૂ. કોઈ બાળકની ખૂલે શાળા, તો કોઈ ધંધા રોજગારના ખૂલે તાળાં. બસ પ્રવૃત્તિ જ પ્રવૃત્તિ અને જ્યારે આવે ઉત્સવનો પ્રસંગ ત્યારે જીવન પૂછે આપણને, ક્યાં ખોવાયો જીવનનો રંગ? આપણને થાય વિમાસણ આ તે કયા રંગની વાત? આ રંગ એટલે આજે સહુ જેને શોધે તે આનંદનો રંગ. કુદરતના વિવિધ રંગોમાં પણ દરેક શોધે છે આનંદનો રંગ –  ચાહે તે બાળક હોય કે વૃદ્ધ, સિટીઝન હોય કે સિનિયર સિટીઝન સહુ શોધે આ એક રંગ. આજે ઓશો દર્શનના આંગણે આપણે પણ શોધીશું આ જ રંગ અને જીવન મહેકશે આનંદના રંગોમાં. આજે આ રંગને નજીકથી માણીશું, શબ્દોથી જાણીશું અને તેની રંગ છટામાં રંગાઈશું.

ઓશો સુખ,ખુશી, આનંદ અને પરમાનંદને વ્યાખ્યાયિત કરે છે અને તેના વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજાવે છે. સુખ બીજા પર નિર્ભર છે, આનંદ બીજા પર નિર્ભર નથી તેમ છતાં તે તમારાથી હજુ અલગ છે, પરમાનંદ નિર્ભર નથી અને ભિન્ન પણ નથી. તે તમારું અસ્તિત્વ સ્વયં છે, તે તમારો સ્વભાવ છે.

સુખની વાત કરીએ તો એ ખૂબ ઉપરછલ્લી ચીજ છે. સુખ શારીરિક છે, ઇન્દ્રિયગત છે, બાહ્ય પરિબળો પર આધારિત છે. સુખ દરિયાના મોજાં જેવું છે. મોજા પવનની દયા પર નિર્ભર છે. જ્યારે પવન ફુકાય છે, ત્યારે મોજાઓ ઊઠે છે. જ્યારે પવન અદ્રશ્ય થઇ જાય છે, ત્યારે મોજા શમી જાય છે. આથી જે પણ વસ્તુ પોતાની બહારની ચીજ પર નિર્ભર છે તે બંધન નોતરે છે. સુખ બીજા પર નિર્ભર છે. માટે જેટલી વધુ અપેક્ષા, વધુ કામના એટલો વધુ અભાવ. એ આહાર હોઈ શકે, ધન હોય શકે  કે બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે. સુખની ઈચ્છા મૂર્ખામીભરી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. મન ઇચ્છાઓનું જાળું ગૂંથવાનું શરૂ કરી દે છે, જે ઇચ્છાઓ પરિપૂર્ણ થઈ શકે તેમ નથી. તે તમને છિન્ન ભિન્ન અને ચકનાચૂર કરી નાખે છે. સમગ્ર જીવન સંઘર્ષમય બની જાય છે. સુખને શોધતો માનવી સતત તનાવ, ઉદ્વેગ અને  ચિંતાગ્રસ્ત રહે છે. સુખ એ ક્ષણિક છે, અન્ય લોકો દ્વારા છીનવાઇ શકે છે. માટે સુખ જીવનનું ધ્યેય નથી અને હોઈ શકે પણ નહીં.

ઓશો કહે છે તમારું સુખ તે વાસ્તવિક સુખ નથી, કેવળ છુપાયેલું દુઃખ છે. સુખને સફળતા સાથે, મહત્વાકાંક્ષા સાથે, પૈસા, સત્તા કે પ્રતિષ્ઠા સાથે કોઈ લેવાદેવા નથી. સુખને નિસ્બત છે તમારી ચેતના સાથે.

સુખ એ શારીરિક છે તો ખુશી એ માનસિક છે. ખુશી થોડી વિશેષ ઉચ્ચ છે, પરંતુ સુખથી વિશેષ જુદી નથી. ખુશી ઉચ્ચ પ્રકારનું સુખ છે. સુખ વધુ પ્રાણીસહજ છે, તો ખુશી થોડી સંસ્કૃત, થોડી વધુ માનવીય છે. આપણને શારીરિક કરતાં માનસિક અનુભૂતિની વધુ પરવા છે, પરંતુ મૂળભૂત રીતે બંને જુદા નથી.

આનંદ સુખ અને ખુશીથી તદ્દન અલગ છે. આનંદ આધ્યાત્મિક છે. તેને બાહ્ય જગત, અન્ય વ્યક્તિ જે ચીજવસ્તુ સાથે કોઈ નિસ્બત નથી. આનંદ આંતરિક ઘટના છે, તે તમારો પોતાનો છે, તે  શાંતિ, મૌનની અવસ્થા છે, ધ્યાનની અવસ્થા છે. તમારી સર્જનાત્મક ઊર્જાને નિર્વિરોધ વહેવા દો, સમગ્રતા સાથે જે કરો છો તેમાં ખોવાઈ જાવ, કર્મમાં કર્તાને ઓગાળી દો –  તો એક ચિત્રકાર, એક નૃત્ય, એક સંગીતકારની માફક પરિણામનો નહીં પણ એ કરવાનો જ આનંદ ઉઠાવો.

આપણે જેને આનંદ માનીએ છીએ તે મહદ અંશે મનોરંજન હોય છે. જે ચીજ બહારથી આવે છે, બીજા પર આધારિત છે, તે આનંદ ના હોઈ શકે. એ  તમારા હાર્દમાંથી  ઉદ્ભવે છે. આનંદ ત્યારે જ ઉદ્ભવે છે, જ્યારે તમે નિજત્વમાં  પાછા આવો છો. મહાન રશિયન નવલકથાકાર મેક્સીમ ગોર્કી કહે છે વિશ્વ જેટલું વધુ આનંદહીન બનતું જાય છે એટલા વધુ મનોરંજનના સાધનોની તેની જરૂર પડે છે. ઉલ્લાસ પ્રાકૃતિક છે, સ્વાભાવિક છે. ઉલ્લાસ એ મુક્તિ છે, આઝાદી છે. પરંતુ સમાજ આવી વ્યક્તિને વિદ્રોહી ગણે છે. વિદ્રોહી વ્યક્તિ માનવ સર્જિત માળખાને બદલે પ્રકૃતિ પર ભરોસો રાખે છે. ઓશો ટકોર કરે છે આટલું મોટું બ્રહ્માંડ, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, દરેક ચીજ સરકાર વગર ચાલતી રહે છે. તો મનુષ્યને સરકારની જરૂરિયાત શા માટે? ક્યાંક કશુંક ખોટું છે. આપણે ત્યાં બાળકને પણ જેનાથી સ્વયં સ્ફૂર્ત આનંદનો અનુભવ થાય  તે જાણે ખોટું હોય તેમ તેને ટોકવામાંમાં અને રોકવામાં આવે છે અને જેમાં તેને બિલકુલ રસ ન પડે તેવું કરવાનું કહી તેના ઉલ્લાસમય બનવાની, ખુશ, આનંદમય, પ્રસન્ન રહેવાની તમામ સંભાવનાઓને સતત ખતમ કરતા રહીએ છીએ. પરિણામે, દુઃખી થવું બરાબર છે, ખુશ થવું ખોટું છે – એવી ઊંડી ગ્રંથિ બની જાય છે. આ બિબાંઢાળ આદતના વશીકરણ  પર કાબુ મેળવી તેનો ત્યાગ કરીને જ તમે ઉલ્લાસિત થઇ શકશો, ગીત ગાઈ શકશો, નૃત્ય કરી શકશો, જીવન આનંદપૂર્વક જીવી શકશો.

આનંદથી ઉપર સંપૂર્ણ અને સર્વાંગી પરમાનંદ છે. તે  શારીરિક, માનસિક કે આધ્યાત્મિક નથી. તે તો છે તમારા અસ્તિત્વની ગહનતમ ઊંડાઈનો ભાગ,  જ્યાં અહમ પણ ઓગળી જાય છે. એ નાસ્તિની અવસ્થા છે. પરમાનંદ એ તમારો અંતરતમ સ્વભાવ છે. તે સમયાતીત છે, તેનો પ્રારંભ અને અંત નથી કે અન્ય લોકો તેને છીનવી શકતા નથી. સત્ય, ચેતના અને પરમાનંદ – આ બધા અંતિમ સત્ય છે. સત્ થી સભાન બનીએ તો ચેતનાની જ્યોત જાગૃતિ લાવશે, જે તમને પ્રજ્ઞ બનાવશે અને પરમાનંદની પ્રાપ્તિ થશે.

મેઘધનુષને પકડવા માટે દોડવામાં સમય ન બગાડીએ.  રંગો આપણી પોતાની અંદર જ રહેલા છે અને તે બહાર આવવાની અને ખુલ્લા થવાની રાહ જુએ છે. માટે ધૈર્ય રાખી, શાંત અને સ્થિર બની જે અંદર છે તેને પ્રગટ કરીએ.

રીટા જાની
25/03/2022

ઓશો દર્શન-8. રીટા જાની



જીવનની હર પળ એક રંગછટા પ્રસ્તુત કરે છે. આ રંગછટાઓ એકત્ર થઇને આપણા જીવનને આનંદથી પૂર્ણ અને જીવંત રાખે છે. કોઈને ઉષા અને સંધ્યાના સંગમાં આ વૈભવનો અનુભવ થાય તો કોઈને નદી અને સાગરના સંગમના સંગાથમાં પૂર્ણતા દેખાય. આવી જ પૂર્ણતા એટલે ધરતી અને આકાશનો મિલાપ, જે ક્ષિતિજ પર જોવા મળે અને મનમાં પ્રશ્ન ઉઠે કે આકાશની મહત્તાના ગુણગાન કરીએ કે ધરતીએ આપેલા અવિરત આધારને વખાણીએ …દર્શનની ભિન્નતા છે પણ વિશ્વની પૂર્ણતાને પામવી હોય તો મનનું ખુલ્લાપણું પણ જોઈએ અને હૃદયની સંવેદના પણ. આવી સંવેદના અને વિશાળ મનની સાથે જો આસપાસ નજર કરીએ તો એક …ના.. ના અનેક વ્યક્તિઓના આપણા જીવનમાં યોગદાન છે. પુષ્પોનો પરિમલ કદાચ માણી શકાય છે પણ આ સુવાસનું મૂળ પકડી શકાય નહિ. સુવાસ વહે અને અવિરત વહે…આવી જ સુવાસ આપણા સહુના જીવનને પ્રેમસભર, ગુણસભર અને જીવંત બનાવે તો તે હશે …એક સ્ત્રી …સ્વરૂપ ગમે તે હોય – માતા, બહેન કે પત્ની-મહત્તાનું ગુણગાન કદાચ અધૂરું રહેશે, શબ્દો ખૂટશે પણ અનુભવોની કિતાબના પર્ણો નહિ ખૂટે. અને આ અનુભવ, આ જીવંતતા એટલે જ સ્ત્રી.

8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં મહિલાઓ વિશેષ ચર્ચામાં રહી. ઓશોએ પણ સ્ત્રી માટે ઘણું કહ્યું છે. ઓશો કહે છે સ્ત્રી અને પુરુષ સાથે જ રહે છે છતાં એવું કશું સ્ત્રીની ભીતર રહેલું છે જે હંમેશા અપરિચિત રહી જાય છે. આ જ છે સ્ત્રીનું રહસ્ય. મોટા ભાગે સ્ત્રી પ્રતીક્ષા કરે છે, આક્રમણ નથી કરતી. સ્ત્રી નિમંત્રણ આપે છે, પણ તેની કોઈ રૂપરેખા જોવા મળતી નથી. સ્ત્રી હાથ ફેલાવે છે, પણ એ હાથ દેખાતા નથી. સ્ત્રી આકર્ષે છે, પણ એ ફક્ત અહેસાસ છે. સ્ત્રી અને પુરુષના ના પાડવામાં ફેર છે. સ્ત્રીના વ્યક્તિત્વમાં ઘણું ઊંડાણ છે. સ્ત્રી ઘણી શક્તિશાળી છે, એટલે જ કદાચ પ્રકૃતિએ જન્મ અને પાલન પોષણની જવાબદારી સ્ત્રીને આપી છે, જે તે બખૂબી નિભાવે છે. સ્ત્રી કમજોર નથી ખૂબ શક્તિશાળી છે. પરંતુ વિશ્વભરમાં વર્ષો સુધી તેને દબાવવામાં આવી, તેની શક્તિઓને પ્રગટ થતા રોકવામાં આવી અને તેને એવું કહેવામાં આવ્યું હંમેશા તેને પુરૂષના ખભાની જરૂર છે. ખરેખર તો પુરુષ કરતાં સ્ત્રી વધુ શક્તિશાળી છે. ઓશો કહે છે જેણે સ્ત્રીના રહસ્યને જાણ્યું અને સમજ્યું, જેણે સ્ત્રીના સમર્પણને સમજ્યું તે વ્યક્તિ જગતના સત્યને પામી શકે છે, પરમાત્માને પામી શકે છે. સ્ત્રીની શ્રેષ્ઠતમ ગરિમા મા તરીકે છે. પત્ની બનવા કંઇક કરવું પડે છે. મા બનવા કાંઈ કરવું નથી પડતું, એ જાતે જ પ્રગટે છે. વિશ્વનો સૌથી નિસ્વાર્થ, સુંદરતમ સંબંધ મા છે.

ઓશો નારી અને ક્રાંતિની વાત કરતાં કહે છે કે ઉછેર સમયે જ સમાન વાતાવરણ મળે એ જોવું જરૂરી છે. ખાસ કરીને ભારતમાં તો એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે ફક્ત મિત્રતાનો સંબંધ હોય તો એ શંકાની નજરે જોવાય છે. સહશિક્ષણ આપતી શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અલગ બેસાડવામાં આવે છે. નારી ફક્ત તેના સ્ત્રી હોવાના કારણે પોતાના અધિકારથી વંચિત ન રહે એ જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી એ છે કે નારી હોવાના કારણે તેને પ્રાથમિકતા મળવી જોઈએ એ અધિકાર પણ છોડવો જોઈએ. એ માટે નારીએ સૌથી પહેલા પોતાના તમામ વિશેષાધિકારો છોડવા પડશે. જેમ ચમેલીએ ગુલાબ બનવાની જરૂર નથી તેમ નારીએ ન તો પુરૂષ સમોવડી બનવાની જરૂર છે કે ન પુરુષ સાથે કોઈ હરીફાઈની જરૂર છે. નારીએ તેનું સ્વત્વ, પોતાપણું, તેનું મૂળભૂત ઉમદા વ્યક્તિત્વ જાળવવાનું છે અને તેને મુક્તપણે ખીલવવાનું છે. જરૂર છે ફક્ત એટલી કે તેણે પોતાના અસ્તિત્વની ઘોષણા કરવાની છે. સમાજે પણ સાચા અર્થમાં તેના અસ્તિત્વને સ્વીકારવાનું છે. નારી કમજોર નથી. એ રસ્તા પર નીકળે ત્યારે કોઈ અપશબ્દો બોલી જાય, છેડતી કરે, બળાત્કાર કરે એવા ડરમાંથી મુક્તિ મળે ત્યારે સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ યથાર્થ બનશે. આ માટે સમાજે બાળપણથી જ જે અદૃશ્ય ભેદરેખા ખેંચી છે તેને ભૂંસી નાખવી પડશે. સંસ્કાર અને સંસ્કૃતિના ઓઠા હેઠળ પોતાનો હક દાવો જતો કરવો એ સ્ત્રી માટે મહાનતા છે એવું સ્ત્રી પોતે પણ માનવા લાગે છે અને દીકરાનો જન્મ થાય તો હજુ પણ પરિવાર માટે એ વિશેષ આનંદ કે ગૌરવનો વિષય છે એ માન્યતા ધરમૂળથી બદલવી પડશે.

ઓશો દર્શન એ વિચારોની ચિનગારી છે. ઓશો એ ચિંતન અને વિચાર પ્રેરનાર છે. વર્ષો સુધી સ્ત્રી પતિ પાછળ સતી તરીકે આગમાં હોમાઈ, પવિત્રતા સિદ્ધ કરવા સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી, ધર્મરાજ દ્રૌપદીને દ્યુતમાં હારી ગયા, આજે પણ વિધવાઓની સ્થિતિ શોચનીય છે અને પતિ સ્ત્રીનો સ્વામી છે! જીવન એ દરેક વ્યક્તિનો આગવો અને અંગત અધિકાર છે – સ્ત્રી હોય કે પુરુષ. સમાન તકો પ્રાપ્ત કરીને શક્તિને ખીલવવાની છે અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને માનવજાતિને અદભુત ક્ષણો તરફ અગ્રેસર કરવાની છે. આ પ્રાપ્ત કરવું હશે તો સ્ત્રીને ઘૃણિત માનીને નહિ થઈ શકે પણ સન્માનની પાત્રતા સાથે જ થઈ શકે. વળી આ સન્માન એ કોઈની પાસેની યાચના નથી. આ સન્માન એ એક સ્વત્વની, સ્વતંત્રતાની ભાવના છે અને આ ભાવનાના વિકાસ માટે સમાજનાં ધોરણોની સુયોગ્ય જાળવણી જરૂરી છે. આ સુયોગ્યતા વિકાસની સુયોજિત તકો પ્રગટ કરશે. આ ક્યારે થઈ શકે? જ્યારે સમાજ સ્ત્રીની શક્તિનો સુયોગ્ય પરિચય પામે ત્યારે. સ્ત્રી એ પરિચિત છતાં અપરિચિત છે. જ્યારે તમે સ્ત્રીની જીવંતતા એક માતા તરીકે, પત્ની તરીકે કે બહેન તરીકે અનુભવો ત્યારે સ્ત્રીનું જીવંતપણું પ્રગટ થાય છે. તમે અપરિચિતપણામાં કંઇક પ્રગટ કરો છો અને પૂર્ણતા તરફ ગતિની શરૂઆત થાય છે. જે બાલિકા ગઈ કાલ સુધી તમારી પુત્રી તરીકે પ્રેમને પાત્ર હતી તે હવે ક્યાંક કોઈના જીવનસાથી તરીકે પ્રેમની નીતનવી રંગોળી પૂરી કોઈ સંસારને મહેકાવવા સજ્જ છે. આ સજ્જતામાં જ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતૃવાત્સલ્ય પ્રગટ થાય છે. આ અનુભવની ગંગોત્રીની અનુભુતિ જો તમને ક્યારેક માતાના હાલરડાંમાં થઈ હોય તો જીવનને સફળ ગણવા કોઈ પણ સમૃધ્ધિ કે દોલતની જરૂરત નથી. આવું જ અમૃત ક્યારેક કૌટુંબિક પ્રેમના પાયામાં હોય તો જીવન પૂર્ણતાની કક્ષાથી દુર નહિ હોય. શું આ બધાનો ઇન્કાર કરીને માનવજાત વિકાસ કરી શકે ખરી? વિદ્રોહ ક્યારેય તૃપ્તિ નહિ આપી શકે. જ્યારે સ્ત્રીના આત્માનો સ્વીકાર થશે, ક્રાંતિ થશે ત્યારે જ સ્ત્રીને તૃપ્તિ મળશે. પ્રેમ હંમેશા સમાન સ્તર પર સંભવી શકે. ત્યારે જ મકાન એક ઘર બનશે, જીવન એક સુગંધ બનશે, પ્રાર્થના બનશે, સંગીત બનશે. સૂર્ય રોશની અને પ્રકાશ છે તો ચંદ્ર શીતળતાનો એહસાસ છે. સમાનતાના સૂત્રો કરતાં સભાનતાની ક્ષણો વધુ પરિણામદાયી બનશે. સ્ત્રીનું સ્વાતંત્ર્ય એ સમાનતાના પશ્ચિમી ખ્યાલના બદલે વિકાસના સોપાન તરીકે જોવામાં આવે તો સફળતાનું રહસ્ય એ રહસ્ય નથી પણ જીવન મંત્ર છે.

આ જીવન મંત્ર સાથે જીવન એક અનુભવ બને. અનુભવ એ દર્શન પણ નથી અને પ્રદર્શન પણ નથી. એ છે સાક્ષાત્કાર. સ્ત્રીનો સાક્ષાત્કાર એ છે જીવનનો ઝંકાર. દરેક ઝંકાર સુરોની મહેફીલનો અનુભવ છે, ઉપવનમાં વહેતા મંદ મલયાનિલની સુવાસ છે, ઘર એ સ્ત્રી અને પુરુષના સંવાદી સુરોની જુગલબંદી છે, આશા અને અરમાનોની પ્રાર્થના છે.
સંવાદિતા સજાવીએ , જીવનમાં પુષ્પ પરાગ મહેકાવીએ, સાર્વત્રિક વિકાસના સ્વપ્ન સોપાન પર સહપંથી બનીને જીવનની પ્રત્યેક પળ ઉજ્જવળ બનાવીએ તો યુગો સુધી આ સુવાસની મહેક રહેશે. નારી બને પ્રેરણાવારિ તો મહેકે જીવન ફૂલવારી.

રીટા જાની
18/03/2022

સ્પંદન-50



તરૂએ કૂંપળ ફૂટે
ઉરના બંધ તૂટે
કલ્પનાઓ મેઘધનુ રચે
ગુલ શમણાંના સજે
ચિંતન કદી ન થંભે
ભીતર રોજ ઢંઢોળે
શબ્દનો મર્મ પરખે
કલમ ઠાઠથી નવાજે
ઉર્મિઓ અંતરે ઉછળે
સ્પંદન ઝીલાય શબ્દે.

સ્પંદન ક્યારે સર્જાય? સ્પંદન સર્જાય ત્યારે, જ્યારે દિલનો ઉમંગ અને મનનો તરંગ શબ્દની પાંખે ઉડી સાહિત્ય ગગનમાં વિહરે. ઉરની લાગણીઓના બંધ તૂટે અને કલ્પનાના મેઘ ધનુષમાં નિખરે વિવિધ રંગો. આ રંગો દર સપ્તાહે પ્રગટ થયા અને આજે સુવર્ણ જયંતિ સાથે મારા સ્પંદનની વિચાર યાત્રા અને સાહિત્યની સ્મરણ યાત્રાના પ્રસંગો યાદ કરતાં લાગે છે કે ઉર્મિઓના અવિરત પ્રવાહે સોનામાં સુગંધ ભળી, શબ્દોનો સાથ અને કલમનો ઠાઠ મળી સર્જાઈ મારી શબ્દયાત્રા. એ જ છે સ્પંદન.

સ્પંદન એટલે શું? વહેલી સવારે આકાશમાં ઉષાના રંગો સાથે ઉદિત થતો સૂર્ય એ સ્પંદન, કળીનું ફૂલ બનીને મહોરવું એ સ્પંદન, તરુવરની ટોચે ફૂટેલી કુમળી કૂંપળ એટલે સ્પંદન, સંબંધનો સેતુ એટલે સ્પંદન, વાચકોના પ્રેમનો પ્રતિસાદ એટલે સ્પંદન, અચેતન વિશ્વ સાથે મનનું સંધાન એટલે સ્પંદન. માતા સરસ્વતીની કૃપાથી શબ્દોનો અર્ઘ્ય સર્જાયો અને થયું ઈશ્વર વંદન. એ જ મારું સ્પંદન. હપ્તે હપ્તે એવી ભાષા સમૃધ્ધિ જેણે વાચકોને રસ તરબોળ કર્યા અને મારા માટે સ્પંદન એટલે વાચકો પ્રત્યે મારા પ્રેમ અને સાહિત્યની સરિતામાં વહેવાની કટિબદ્ધતા. સ્પંદન એટલે જ સુઘડ સ્વચ્છ સાહિત્ય માટે અનુભવેલો ધબકાર…કુછ દિલને કહા.

આજે વર્ષનો અંતિમ દિવસ અને ‘સ્પંદન’ લેખમાળાનો ગોલ્ડન જ્યુબિલિ એટલે કે 50મો મણકો. આજે કોઈ એક વિષય પર નહિ પરંતુ આ લેખમાળા દરમ્યાન મારા અનુભવોની વાત મારા વાચકો સાથે કરવી છે. બેઠકે મને વ્યક્ત થવાની મોકળાશ આપી અને મેં બેઠક પર લેખ લખવાનું શરુ કર્યું. જોત જોતામાં 2 વર્ષના વહાણા વાયા એની ખબર પણ ન પડી. 51લેખની બે લેખમાળા ખૂબ સહજ રીતે અવતરી એનો રાજીપો છે. પ્રજ્ઞાબહેને પરદેશમાં રહી માતૃભાષા માટે એવો દીવો પ્રગટાવ્યો છે, જેનો પ્રકાશ મારા જેવા અનેક લેખકો માટે પથપ્રદર્શક બન્યો છે. મારી લેખમાળાના પાયામાં છે પ્રજ્ઞાબહેનનો મારામાં વિશ્વાસ, સખી જિગીષાબેનનું પ્રોત્સાહન અને મારા જીવનસાથી દિપકનો ખભે ખભા મિલાવી ચાલવાનો સહકાર જેણે મને આ મજલ કાપવાનું બળ પૂરું પાડ્યું. મારા વાચકોના હૂંફાળા સ્નેહની તો શું વાત કરું? તેમના પ્રેમ, લાગણી અને સ્વીકાર મને સતત મળતા રહ્યા છે, જેનાથી હું મારી આ લેખનયાત્રા જાત જાતના પડકારો વચ્ચે પણ અવિરત, વણથંભી ચાલુ રાખી શકી છું.

મારા પ્રિય લેખક કનૈયાલાલ મુનશીના સાહિત્યની રસ સભર 51 લેખની લેખમાળા પૂરી કર્યા બાદ હવે નવા વર્ષે શું વિષય પસંદ કરવો એ મનોમંથન ચાલ્યું. એ સાથે હૃદયના આંદોલનો એટલા તીવ્ર બન્યા કે વિચાર્યું કે હૃદયના આંદોલનોની ડાળે ઝૂલતાં ઝૂલતાં આ જ સ્પંદનોને ઝીલી મારા વાચકો સાથે વહેંચવા. અને શરૂ થઈ સ્પંદન લેખમાળાની આ અવિસ્મરણીય સફર. જેમાં મેં ખુશીના, દુઃખના, પડકારના, સફળતાના, નિષ્ફળતાના….એમ જે જે સ્પંદનો હૃદયે અનુભવ્યા તે ઝીલીને મારા વાચકો સુધી પહોંચાડ્યા.

ઝરણાના માર્ગમાં અનેક ઉબડ ખાબડ પથ્થરો આવે છે, ઋતુના ફેરફારો પણ આવે છે છતાં ઝરણું એ બધાની વચ્ચે પણ માર્ગ કરતું ખળખળ વહે છે. એવું જ મારી આ લેખન યાત્રા દરમ્યાન અનેક પડાવો આવ્યા. કોરોનાકાળના પડકારો, પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થયા, સ્વાસ્થ્યના પ્રશ્નો, સામાજિક જવાબદારીઓ વચ્ચે પણ સ્પંદનનું આ ઝરણું ન સુકાયું ન રોકાયું – એનો પૂરો યશ હું મારા વાચકોને આપીશ જેઓ આવતા હપ્તાની રાહ જોતા તેમનો પ્રેમ તેમના પ્રતિભાવો દ્વારા મોકલી મને પ્રોત્સાહિત કરતાં રહ્યાં.

સ્પંદન એ વેણુનાદ છે જેણે શબ્દને સૂર બનાવી સહુને ઝંકૃત કર્યા. ખુશીની વાત એ બની કે મારાં ધસમસતા સ્પંદનોને વાચકોએ ખૂબ પ્રેમથી ઝીલ્યાં એટલું જ નહિ પણ મારા સ્પંદનોના રંગોથી સુંદર રંગોળી બનાવી હૂંફાળો પ્રતિસાદ આપ્યો. આ પ્રતિસાદ એ જ મારો પુરસ્કાર. મારા વાચકોમાં પણ કેટલી વિવિધતા છે. લગભગ સમાજના દરેક ક્ષેત્ર એમાં ખાસ તો કેળવણીકાર, લેખક, પત્રકાર, ડોકટર, એન્જિનિયર, બીઝનેસમેન, બેન્કર, ગૃહિણી અને વિદ્યાર્થીથી લઇ નિવૃત્ત લોકોએ પણ મારા સ્પંદનને ભરપૂર પ્રેમથી આવકાર્યું છે. અહીં કદાચ હું ઈચ્છું તો પણ એ તમામના નામ લેવા શક્ય નથી પણ હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું.

અંતે, સૌના ઋણ સ્વીકાર સાથે સ્પંદનના વાચકોને નવ વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષે નવા જોમ, નવા થનગનાટ, નવા તરવરાટ અને નવા વિષય સાથે જીવનને ઉજવવા ફરી મળીશું.

રીટા જાની
31/12/2021

સ્પંદન-43




હર પળ જો બને રસલ્હાણ
જીવનમાં નહિ રહે તાણ
મહેકે રંગબેરંગી પુષ્પો
નવ વર્ષના નવસંકલ્પો
મહેકશે જીવન પળ પળ
પ્રેમનું છાંટીએ ગુલાબજળ.
આજે બતાવવાનું છે શૌર્ય
આજે નથી ખોવાનું ધૈર્ય
મનમાં રાખીએ ખુમારી
કરીએ વિજયની તૈયારી.

નવ વર્ષ …આસમાન વિખેરે અવનવા રંગો …અને તેની સાથે જ તાલ મિલાવે આપણું મન … માનસપટ પર આપણા સ્વપ્નોની રંગોળી હજી તાજગીની હવામાં શ્વાસ લેતી હોય …સંકલ્પોના પુષ્પો તેમાં સજાવ્યાં હોય અને હવાઓ જીવન સુવાસનો શુભ સંદેશ થાળમાં લઈને તૈયાર ઊભી હોય ત્યારે આ આનંદના અભિષેકની સાથે જ યાદ આવે આપણું કર્તવ્ય.

દિવાળી હોય દમદાર તો નવ વર્ષ પણ શાનદાર. પરંતુ શાન એમ જ નથી આવી શકતી. માર્ગ પરનો માઇલ સ્ટોન દર્શાવે છે કે મંઝિલ ક્યારેક દૂર હોઈ શકે પણ આપણે પ્રયત્નોથી આ પડકાર ઝીલ્યો છે. આપણો સંકલ્પ સિધ્ધિથી દૂર નથી. પ્રશ્ન થાય કે સંકલ્પથી સિદ્ધિનું અંતર કેટલું? આપણી શ્રદ્ધાના સામર્થ્ય અને અનિશ્ચિત ભવિષ્યની આ લડાઇ છે. ભવિષ્ય ભલે કદાચ ભવિષ્યવેત્તાઓનો વિષય હોય પણ સામર્થ્ય એ દરેક આશાવાન, શ્રદ્ધાવાન, પ્રયત્નશીલ માનવીનો વિષય છે. જે વ્યક્તિ દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે તેના માટે સિદ્ધિ એ સમયનો માત્ર એક માઇલ સ્ટોન છે. અશક્ય અને શક્ય વચ્ચેની ભેદરેખા સતત પ્રયત્નોથી ઓળંગી શકાય છે. કૃષ્ણ સારથી હોય તો પણ જે અર્જુન વિષાદયોગથી બેસી જાય તે મહાભારતનું યુદ્ધ ક્યારેય ન જીતી શકે. કર્મયોગની ચાવી આપનાર કૃષ્ણનું પ્રદાન જ્યારે આપણને પણ કર્મ કરવા પ્રેરે તો સિદ્ધિ દૂર નથી. ગાંડીવનો ટંકાર છે, ત્યાં વિજયનો રણકાર છે જ. જ્યાં વૃત્તિમાં પ્રવૃત્તિ છે, ત્યાં સિદ્ધિ એ આવૃત્તિ છે. એક નહિ અનેક સિદ્ધિઓ આપણી રાહ જોઈ માર્ગમાં વિજયની વરમાળા આરોપવા તૈયાર ઊભી છે. જરૂર છે માત્ર ગૌરવપથ પર કદમ માંડવાની, પ્રયત્નોના સાતત્યની. નવા વર્ષે પહેલું કદમ મંડાઈ ચૂક્યું છે. સાતત્યના સહારે મળશે જીવનપથ, એ જ બનશે વિજયપથ.

રન વે પરથી હમણાં જ ટેક-ઓફ થયેલા વિમાનના પાયલટની મનોસ્થિતિ કે કિનારો છોડી રહેલા જહાજના કેપ્ટનની મનોસ્થિતિ અને આપણી મનોસ્થિતિ વચ્ચે કદાચ બહુ અંતર રહેતું નથી. સામે અફાટ આસમાન હોય કે અમાપ સમુદ્ર, દરેક ક્ષણ એક પડકાર છે. સાથ છે માત્ર જેટ એન્જિનનો કે જે વહેતા વાયરાને નાથી શકે. લગાવવાની છે શક્તિ અને ખેડવાનું છે આસમાન. બીજી તરફ જહાજના કપ્તાનને પણ સમુદ્રના મોજાં સાથે બાથ ભીડવાની છે. આપણે પણ આવા જ પડકારની વચ્ચે આપણી જીવનનૈયાને તારવાની છે. થાય કે શું છે આપણી શક્તિ? પડકાર પહોંચી વળાશે કે કેમ?

નવું વર્ષ એટલે કઈંક નવું. કંઇક પણ નવું કરવું હોય તો નવી વિચારસરણી અને નવી દિશા જરૂરી છે. વિચાર એ કોઈ પણ આચારનો પાયો છે. પાયા વિના કોઈ ઈમારત સંભવી પણ ન શકે અને ટકી પણ ન શકે. પરંતુ વિચાર એ અડધો જ ખ્યાલ છે. વિચાર એ જ્યારે આચાર બનવા પામે ત્યારે ઉદભવ થાય છે કાર્યનો. કાર્યના તબક્કે વિચારને લઇ જવા માટે આપણે જરૂર છે સંકલ્પની. સંકલ્પ એ એવો દ્દઢ થયેલો વિચાર છે જેમાં હવે પાછા ફરવાનો કોઈ અવકાશ નથી. સંકલ્પનું આ સાચું સ્વરૂપ છે જે સિદ્ધિ સુધી પહોંચાડે છે.

સૌથી પહેલાં એ નક્કી કરવું જરૂરી છે કે સંકલ્પ દ્વારા આપણે શું પ્રાપ્ત કરવું છે. માટે સંકલ્પ વાસ્તવિક હોય અને આપણી વિઝન કેટલા સમય માટે છે તેની જાણકારી હોય તે જરૂરી છે. એમ કહેવાય કે જો ફૂલછોડ ઉગાડવા હોય તો 1વર્ષ ચાલે પણ જો વૃક્ષો ઉગાડવા હોય તો 10વર્ષનું કમિટમેન્ટ જોઈએ. સંકલ્પ દેખાદેખીથી કે દુનિયાને બતાવવા લઈએ તો સફળતા ન મળે. માટે સંકલ્પ પોતાનો અને અર્થપૂર્ણ હોય એ જરૂરી છે. સ્વની પ્રગતિ, વિકાસ કે સફળતા માટે સંકલ્પ કરવો સામાન્ય છે. સંકલ્પ એવો હોય જેમાં taker નહિ પણ giver બનીએ. આજે 66વર્ષની ઉંમરનો અશિક્ષિત હરેકલા હજાબ્બા મેંગલોરના બસ સ્ટેન્ડ પર 1977થી સંતરા વેચતો. એક વિદેશીએ એક વાર 1978માં તેને સંતરાનો ભાવ પૂછ્યો. પણ તેને અંગ્રેજી ન આવડતું હોવાથી સંવાદ શક્ય ન હતો. તેણે ત્યારે જ સંકલ્પ કર્યો કે તેના ગામમાં એક શાળા બંધાવવી. આ માટે તેણે રોજના 150 રૂપિયા બાજુમાં મૂકવાનું શરૂ કર્યું. તેનો આ સંકલ્પ બે દસકા બાદ પૂર્ણ કર્યો. આજે આ શાળામાં 175 વિદ્યાર્થીઓ ભણે છે. તેને 2021માં પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા. જ્યારે અધિકારીઓએ આ સમાચાર આપ્યા ત્યારે હજાબ્બા રેશનીંગની લાઇનમાં ઊભો હતો. પગમાં જૂતા પણ ન પહેરનાર આ નિસ્વાર્થ આદમીએ પોતાના ઇનામની રકમ પણ ગામમાં નવી શાળા અને શિક્ષણ માટે વાપરવાનો ઉમદા સંકલ્પ કર્યો. વિચારીએ, જો દરેક વ્યક્તિ પોતાનાથી શક્ય એવું કંઈ આપવાનો સંકલ્પ કરે તો આ વિશ્વ કેવું સુંદર બને! બીજા વિશે તો આપણે કોઈ નિર્ણય ન કરી શકીએ. પરંતુ, આપણો એક દીવો તો જરૂર પ્રગટાવી શકીએ.

સંકલ્પ સિદ્ધ કરવાની તાલાવેલી એવી હોય કે બધું જ ભૂલી જવાય – કામ કાજ, દુઃખ દર્દનો અહેસાસ, ક્યારેક ભૂખ અને તરસ પણ. તેમાં પરોવાઈને ઓતપ્રોત થઈ જવાય. હવે પ્રશ્ન એ થાય કે આ સંકલ્પ પાર પાડવા કેવી સ્ટ્રેટેજી જોઈએ? કોઈ પણ પડકાર સુસજ્જતા માગે છે. આ સુસજ્જપણું એટલે આપણી શક્તિઓ-તન, મન અને ધન. આ એવી ક્ષણોનો પડકાર છે જ્યાં જમાના સાથે રહીને પણ જમાના સાથે જ બાથ ભીડવાની છે. જાણે કે મહાભારતના યુદ્ધમાં અર્જુન. ઢીલાશ નહિ પાલવે. વિજયની કામના સાથે યાદ કરીએ યાદ કરીએ શ્રીકૃષ્ણને અને તેમના કર્મયોગને. આપણી શક્તિઓ એકત્ર કરી કર્મયોગના માર્ગે આગળ વધવાનું છે.

આ માટે William Arthur Ward કહે છે તેમ
Plan purposefully
Prepare prayerfully
Proceed positively
અને તકલીફ આવે તો પણ અટકવાનું નહીં, માટે
Pursue persistantly.

દિવાળી સાથે જોડાયેલો એક ઉત્સવ છે બલી પ્રતિપદા. પુરાણો અનુસાર બલી રાજાએ દાનનો સંકલ્પ કરીને વામન દેખાતા વિષ્ણુ ભગવાનને પૃથ્વી દાનમાં આપેલી. તેમના ગુરુ શુક્રાચાર્યને ખ્યાલ આવે છે કે આ વામન એ બીજું કોઈ નથી પણ ભગવાન વિષ્ણુ છે. તે પ્રયત્ન કરે છે કે વિધી પૂર્ણ ન થાય. પરંતુ આ છે રાજા બલીનો સંકલ્પ. વામન બને વિરાટ પણ જે અચલ રહે, અફર રહે – તે જ સાચો સંકલ્પ.
ચાલો, આપણે પણ આવો સંકલ્પ કરી સિદ્ધિ આત્મસાત કરીએ. નવ વર્ષે અવિચળ સંકલ્પથી સોનેરી ભવિષ્યના દ્વાર ખોલીએ.

રીટા જાની
12/11/2021

સ્પંદન-21

નદી દોડે, રાહ મિલનની
સાગર તો સત્કારે રે
ઊગે ઓતરાદે આભ ભાનુ
ઝળહળે ધરા સારીય રે
રાતે રૂપ રેલાવે શશી
શીતળ ચાંદની સોહાય રે
રંગબિરંગી ફૂલ ખીલે
પૃથ્વી કેરો શણગાર રે
જીવન જંગ જીતી જાશું
મળે એકમેકનો સથવારો રે.

સાથ , સથવારો , સંગાથ સુરમયી સંગત તો ધરાવે જ છે પણ સાથે જ પરસ્પર સહૃદયતા, પ્રેમ અને લાગણીના આકાશને આપણી સમક્ષ ખુલ્લું કરી દે છે. સાથ કોને નથી? ધરતી અને આસમાન દેખાય જુદાં પણ ક્ષિતિજ ઉપર દૃષ્ટિ પડે તો લાગે કે હંમેશાં સાથે ને સાથે.  સવારમાં આંખો ખુલે અને રાત્રે બંધ થાય તો લાગે કે સૂર્ય અને ચંદ્રનો સથવારો પણ આપણી સાથે છે જ. રંગબેરંગી ફૂલોની શાન જુઓ કે સાંભળો પંખીઓનું ગાન  લાગે કે પૃથ્વીનું સૌન્દર્ય પણ આપણી સાથે જ છે. હિમાલયના ગિરિશિખરોના સાંનિધ્ય પામતી ગંગાના  જલબિંદુઓને કોઈ પૂછે  કે એકમેકના સાથ વિના ગંગોત્રીમાંથી ગંગા પ્રગટી શકે ખરી? તો ગંગોત્રીથી નીકળતી ગંગાને સાગરનો સથવારો પામવા દોટ મૂકતી જોઈએ તો લાગે કે સાથની ઉત્કટતા કદાચ આપણને માનવ તરીકે જ છે એમ નથી પ્રકૃતિને પણ સાથ વિના ચાલતું નથી. મહાસાગરો પણ નદીઓના સાથ અને યોગદાન વગર મહાસાગર બની શકે ખરા? સાથ છે એવી કહાણી જે હર પળ હર દિલમાં સમાણી.

ઉત્ક્રાંતિના અંતિમ બિંદુ પરનો છેલ્લો મણકો એટલે માણસ – આપણે સહુ.  યાદ કરીએ  જીવનની પ્રથમ ક્ષણ – બાળકના જન્મની પ્રતિક્ષા સાથે બધાં જ અંગત માણસો – માતા પિતા કહો કે નિકટના કુટુંબીજનોનો સાથ અને જીવનની ભવ્ય શરૂઆત. જીવનના ચક્રને આગળ વધારતી ઘડિયાળની ટિક ટિક સાંભળીએ તો લાગે કે પ્રતિ ક્ષણ એક ક્ષણને બીજી ક્ષણનો સાથ હોય છે. સાથ એ સેતુ છે જે ક્ષણોને ક્ષણો સાથે જોડે છે, માનવને માનવ સાથે અને માનવને પ્રકૃતિ સાથે જોડે છે. પૃથ્વી ભલે એકલી લાગતી હોય પણ સૂર્યમંડળમાં ગ્રહોના સાથ વગર ફરી શકતી નથી.  ગ્રહોનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીને અસર કરે છે તેવું ખગોળ વિજ્ઞાન કહે છે. ગ્રહોને પણ એકબીજાનો સાથ હોય છે.  બે ગ્રહો નજીક આવે અને સાથે દેખાય તેને યુતિ કહે છે અને આ યુતિને જોવા – યુતિના સૌન્દર્યને માણવા ખગોળપ્રેમીઓ એકત્ર થતા હોય છે. તો બીજા પક્ષે ગ્રહોને એકબીજા સાથે ભેગા થવાથી શું અસરો થાય તેના અનુમાનો કરવા જ્યોતિષશાસ્ત્રીઓ પણ એકત્ર થતા હોય છે. માનવસંબંધો એક બીજાના સાથ અને સહકાર વિના શક્ય જ નથી. માનવજીવનનાં કોઈ પણ ક્ષેત્રો જુઓ -સાથ અનિવાર્ય છે.  કોર્પોરેટ જગત પણ મીટિંગ કર્યા વિના કોઈ કાર્ય કરી શકતું નથી. સફળતા મળ્યા પછી મળેલો નફો પણ શેરધારકોની મીટીંગની પ્રતીક્ષા કરતો હોય છે.

સંબંધો કોઈપણ હોય તે સાથ વિના શક્ય હોતા નથી. સંબંધો ચિરસ્થાયી પણ ત્યારે જ બને જ્યારે સાથ ચિરસ્થાયી હોય. સમયનો સાથ દરેકને અનિવાર્ય હોય છે. પણ માનવજીવનની મઝા સંબંધોના સાથમાં હોય છે. કપરા સમયમાં પરિવારનો સાથ અને હૂંફ માનવની હિંમત ટકાવી રાખે છે.  મિત્રો અને સાથીઓની સ્મૃતિ માનસપટ પરથી ક્યારેય ભૂલી શકાતી નથી એ સહુનો અનુભવ છે.  બાળપણના મિત્રો હોય કે શાળા – કોલેજના, જીવનના ગુલદસ્તાની  ખુશ્બુ આ મિત્રો થકી જ છે.

પ્રકૃતિ પરસ્પરાવલંબન પર આધારિત છે. એમાં સંપૂર્ણ જીવસૃષ્ટિનો સમાવેશ થઈ જાય. વનસ્પતિ, પશુ, પંખી, માનવી – બધાજ એકબીજા પર અવલંબે છે. વિચારોને, આ જે રસ્તા પર તમે ચાલો છો એ રસ્તો તમે બનાવ્યો નથી ..જે એક કોળિયો તમે ખાવ છો એમાં કેટકેટલાંયનું યોગદાન છે. ખેડૂતે બળદનું મદદથી ખેતર ખેડ્યું, ધરતીમાં બીજ રોપ્યાં, તેને ખાતર, હવા, પાણી, સૂર્યપ્રકાશ મળ્યા, પાક તૈયાર થયો, વેપારીએ વેચ્યો, રસોઈ બની પછી આપણી થાળીમાં ભોજન આવ્યું. તો આપણે એ બધાનો આભાર માનવો જોઈએ.

એક સરસ વાત વાંચેલી યાદ આવે છે. સૂર્યમુખીના ફૂલ સૂર્યની દિશામાં પોતાની પોઝિશન બદલે છે. જે દિશામાં સૂર્ય તે દિશામાં આ ફૂલ.  પણ જ્યારે વાદળીયો દિવસ હોય ત્યારે શું થતું હશે એવો પ્રશ્ન અચૂક થાય. કોઈ એમ કહે કે તે જમીન તરફ દિશા રાખતા હશે તો એ વાત ખોટી છે. હકીકત એ છે કે સૂર્યના અભાવમાં  તેઓ એકબીજાની સામે રહી શક્તિનું આદાનપ્રદાન કરે છે. કુદરત કેવી અદ્ભુત છે!  પ્રકૃતિ આ સુંદર સૂર્યમુખીના ફૂલો દ્વારા કેવી સુંદર શીખ આપે છે. આ જ સિદ્ધાંતને આપણા જીવનમાં ન અપનાવી શકાય? કોરોનાના આ કપરા કાળમાં ઘણા લોકો થાકી , હારી ગયા છે…ત્યારે એકમેકના સાથ અને સહકાર દ્વારા એ કાળને કેમ હરાવી ન શકાય? જરૂર હરાવી શકાય જો આપણે એકબીજાનો આધાર બનીએ, સહારો આપીએ, શક્તિ અને હિંમત આપીએ….જો લોકોમાં કવિ કરસનદાસ માણેક કહે છે એવો ભાવ આવે, એવા સ્પંદન જાગે…
“જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો
દીન દુઃખીયાના આંસુ લ્હોતાં  અંતર કદી ન ધરાજો!”

આપણી ફરજ એ બની રહે છે કે  યથાશક્તિ આપણું યોગદાન – ધન, સમય, શક્તિ, જ્ઞાન, સમય, ભોજન, સાથ, સહકાર સ્વરૂપે આપતાં રહી  વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને ચરિતાર્થ કરીએ. સફળતા  આવશે હાથ, જો સૌનો મળશે સાથ….

રીટા જાની
11/06/2021

સ્પંદન-7


ચાલ્યા કરું,  ચાલ્યા કરું કે રાહ ત્યાં હશે
આંખો રહી છે શોધમાં કે મંઝિલ ત્યાં હશે
પરવા નથી કઠિનાઈની કે મિલન ત્યાં હશે
આશ છે બસ એટલી કે વિશ્વાસ ત્યાં હશે.

શું આ કોઈ કાવ્ય છે? ના.
આ છે સહુ ના મનની આશ, આ છે હર મનનો વિશ્વાસ, આ છે હર હૈયાની હોંશ, એ ભરશે મનમાં જોશ….સમયનો પ્રવાહ …અને એમાં આપણે સહુ..આપણે સહુ એમ માનતા આવ્યા છીએ કે સમય કે કાલ એ વિભાજિત છે અને આપણું સાતત્ય છે. આપણે સમયને વર્તમાન, ભૂત કે ભવિષ્યમાં વહેંચીએ છીએ. પણ હકીકત એ છે કે સમય તો એક પ્રવાહ છે અને આપણે એમાં તરવૈયા તરીકે બાથ ભીડતા રહેવાનું છે. આપણે તેના સાથે ચાલતા રહેવાનું છે. દરેક વર્ષ તેમાં એક માઈલ સ્ટોન છે. વિક્રમ સંવત કહો કે ઇસ્વી સન, તે તો માત્ર એક સમયનું બિંદુ છે.  બાકી આપણી પાસે એક ભવ્ય ભૂતકાળ છે. આ ભૂતકાળના ગર્ભમાં ક્યાંક ડાયનોસોર છે, તો ક્યાંક વાઇરસ પણ. ક્યાંક હિમાલયની જગ્યાએ ઘૂઘવતો ટેથીસ સમુદ્ર છે, તો ક્યાંક એટલાન્ટિસ જેવા તથાકથિત ખંડ પણ. ક્યાંક છે સોનાની લંકા, તો ક્યાંક છે દ્વારિકાનગરીની સુવર્ણમય જાહોજલાલી. ભૂતકાળમાં ક્યાંક ભૂતાવળ છે, તો ક્યાંક ભવ્યતા પણ. ક્યારેક આ બધી વસ્તુઓ આપણા ઇતિહાસ તરીકે પ્રગટ થાય છે, તો ક્યાંક સાહિત્ય બનીને. ક્યાંક 2019માં દોડતી દુનિયા જોઈએ છીએ તો ક્યાંક 2020ના વિષમય વાસ્તવની વચ્ચે સ્થિર થયેલી દુનિયાનો સીન જોવા મળે છે તો ક્યાંક નવા સીન સાથે હવે આશાના તંતુમાં લટકતી વેક્સીન પણ છે.  તો પછી સાતત્ય ક્યાં છે?

સાતત્ય એ માનવીના જોમ અને જોશમાં છે, હૈયાની હામમાં છે, સતત પડકાર વચ્ચે જીવતા અને તેનાથી પર રહી લક્ષ્ય સાધતા માનવ મનની ઊંડાઈ કોણ માપી શકે? આ પંક્તિઓ હકારનો જયઘોષ છે. તેમાં પોઝિટિવિટી ભારોભાર ભરેલી છે. આપણી આસપાસ નજર કરીએ તો આપણને બે પ્રકારના માનવીઓ નજરે પડશે- આશાવાદી અને નિરાશાવાદી. એક જ પરિસ્થિતિમાં બંનેનાં વિચારો, બંનેનાં અનુમાન અલગ હશે. જે બહુ બોલે છે એ કામ ઓછું કરે છે. જે લોકો હમેશા ભૂતકાળની વાતો કરતાં હોય, તે હારી ચૂકેલા હોય છે. કેટલાંકને ભવિષ્ય કાયમ ધૂંધળું જ દેખાતું હોય છે. તો કેટલાંક દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી પ્રયત્ન કરવાનું છોડીને પહેલેથી જ હથિયાર હેઠાં મૂકી દે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે જેમ બીજમાં વૃક્ષ બનવાની તાકાત છે એમ વ્યક્તિમાં પણ પ્રતિભાબીજ છુપાયેલું હોય છે. જરૂર છે એ બીજને ખીલવવાની, ભીતરના એ ખજાનાને શોધવાની, એ માટે ચાલવાની. ત્યારે એ નિ:શંક છે કે તમને જરૂર રાહ મળશે. આપણે એવા પણ લોકો જોયા છે જેમણે પોતાનો રાહ જાતે જ કંડાર્યો હોય. નેલ્સન મંડેલાની વાત આપણે જાણીએ છીએ. તેમણે પોતાની આત્મકથા – “ધ લોંગ વોક ટુ ફ્રીડમ” – માં લખ્યું છે કે” હું એક આશાવાદી વ્યક્તિ છું. હું સૂર્યને જોઈને ચાલનારો માણસ છું.”
જેની આંખો મંઝિલને શોધતી હોય તે મંઝિલ મેળવીને જ રહે છે, ભલે તે સરળ ના હોય. નીલિમા પાઇ એવું માનતી કે મારું શરીર જ મારું મંદિર છે, મારું કહ્યું બધુ એ કરશે. તેની મંઝિલ હતી કે માયામી મેરેથોન સાડી પહેરીને, ખુલ્લા પગે પૂરી કરવી. આપણે જોઈએ છીએ કે સમાન્ય રીતે મેરેથોન દોડનારા ખાસ ટૂંકો ડ્રેસ અને સારી જાતના બ્રાંડેડ શૂઝ પસંદ કરે છે. ત્યારે નીલિમાએ પોતાની મંઝિલ 2018માં માયામી મેરેથોન પૂરી કરીને મેળવી. આ મંઝિલ આસન તો ન હતી. હાફ મેરેથોન પછી એ પોતાની જાતને કહેતી રહી,’You are not a quitter, keep going, one step at a time. I will, I can, I will.” મિત્રો, જ્યાં શ્રદ્ધા હોય સ્વમાં, મંઝિલ સામે જ હોય છે. દરિયામાં મરજીવા બનીને ડૂબકી મારશો, તો મોતી જરૂર મળશે. જ્યાં કઠિનાઈની પરવા કર્યા વગર આગળ વધીએ તો પરમાત્માનું પણ મિલન શક્ય બને છે. મીરાંબાઈની વાત તો સર્વવિદિત છે. તેમનું જીવન તો સતત કઠિનાઇઓથી ભરપૂર હતું. એટલે સુધી કે રાણાએ તેમને ઝેરના કટોરા મોકલ્યા. છતાં મીરાં પોતાની ભક્તિમાંથી ચલિત ન થયા અને શ્રીકૃષ્ણને પામ્યા.

આપણે ત્યાં ખૂબ જાણીતી કહેવત છે કે ‘વાવો તેવું લણો.’ મનમાં આપણે જે ભરીએ તે જ બહાર આવવાનું છે. જેવુ વિચારીએ તેવો આપણો સ્વભાવ બને. મનનો પોતાનો પણ એક ખોરાક હોય છે. મનના આહાર દ્વારા આપણું વ્યક્તિત્વ બનતું હોય છે .આપણાં મનમાં સકારાત્મક કલ્પનાચિત્ર હશે તો તમારી સફળતાની શક્યતાઓ વધુ છે. જો નકારાત્મક કલ્પનાચિત્ર હશે તો નિષ્ફળતાની શક્યતાઓ વધુ રહેશે. જો તમને એવી આશા હોય કે ત્યાં વિશ્વાસ હશે તો એ વાત જ અશક્યને શક્ય બનાવી શકે છે. મૂળ બગસરાનો પણ કલકત્તામાં રહેતો એક તરવરિયો ગુજરાતી યુવાન….અંતરમાં અનેરા અરમાનો …ધગશ આભને આંબવાની…થાય કે કશુંક કરવું છે….પણ કાંઈ સામાન્ય નહીં….બસ છવાઈ જવું છે….એ આશ…એ વિશ્વાસ…અને કાંતિલાલ બન્યા કે.લાલ. અને તેની જાદુઇ માયાજાળ. લોખંડનો ટુકડો એક પીંછાને પણ ઊંચકી શકતો નથી. પણ મેગ્નેટ ધરાવતો લોખંડનો ટુકડો પોતાના કરતાં 12 ગણું વધુ વજન ઊંચકી શકે છે. ચાલો…આપણે પણ આશાનું આવું એક મેગ્નેટ લગાવીએ… પ્રેરણા અને પરિશ્રમની પાંખે ઉડી સુખમય સ્પંદનોથી મંઝિલ પ્રાપ્ત કરીએ….જીવન સંગીત જગાવીએ…આશાના અરુણને અર્ઘ્ય અર્પીએ …

રીટા જાની.
26/02/2021

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 07

વ્હાલા વાચકો,
‘પૃથિવીવલ્લભ’ નવલકથાની પશ્ચાદભૂની વાત કરીએ તો પૃથિવીવલ્લભ એટલે પ્રતાપી દેશ માળવાનો મહારાજા મુંજ, સરસ્વતીનો લાડીલો, કાવ્યરસિક, માળવાની ચારે દિશા ધ્રુજાવતો દિગ્વિજયી, જેની ખ્યાતિ અત્યાર સુધી ઊતરી આવી છે. તેણે સોળ વખત તૈલપને હરાવેલો એ ઐતિહાસિક હકીકત છે. એનું બિરુદ એના પ્રભાવનું પ્રતિબિંબ પાડે છે, અને સમકાલીન કવિઓની પ્રશંસા પણ તેની સાક્ષી પૂરે છે. અનેક લેખકો મુંજની કીર્તિ તરફ ખેંચાઈને તેને વિશે લખવા પ્રેરાયા. મુનશીજી કહે છે કે તેઓ પણ અનેક નવલકથાકારોની માફક મુંજ તરફ આકર્ષાયા અને આ વાર્તાનો આરંભ કર્યો. વિવેચકોના મતે શ્રેષ્ઠ ગણાતી આ નવલકથા  ‘પૃથિવીવલ્લભ’ ધાર્યા કરતાં વધુ ચર્ચાસ્પદ રહી.

આ નવલકથાનો સમય છે વિક્રમની અગિયારમી સદીનો. હિન્દુ રાજાઓ અંદર અંદર લડતાં રહેતા. રાજ્યોની સ્થાપના ને વિનાશ ચાલ્યા કરતા. સમૃદ્ધ અને સંસ્કારી આર્યાવર્ત સ્વાતંત્ર્યનો આનંદ અનુભવતું હતું.  મહંમદ ગઝનવીએ દેશનાં બારણાં તોડવાનો આરંભ નહોતો કર્યો. પરતંત્રતા નજરે ચડતી, તે માત્ર પોતાની પુરાણી સંસ્કૃતિની જ.

આ સદીમાં થઈ ગયેલા પ્રતાપી રાજાઓમાં તૈલાંગણનો ચાલુક્ય વંશનો રાજા તૈલપ પણ હતો. તે રાષ્ટ્રકૂટ રાજાઓને એક કરી દક્ષિણમાં એકચક્ર રાજ કરવાં લાગ્યો. તે ગુજરાતમાં પોતાની આણ વર્તાવી ભારતખંડમાં ચક્રવર્તી થવાની હોશ ધરાવવાં લાગ્યો. આ ચાલુક્યરાજની કીર્તિ પર એક મોટું કલંક હતું કે માળવાના મુંજરાજે તેને અનેક વાર હરાવી, પકડી, અવંતી લઈ જઈ સામાન્ય સામંતની માફક તેની પાસે સેવા કરાવી હતી. તૈલપ જ્યારે દક્ષિણમાં સામ્રાજ્ય સ્થાપવાના પ્રયત્નો કરતો હતો ત્યારે આર્ય સંસ્કારોના તે વખતના કેન્દ્રસ્થાન અવંતીના ધણી મુંજરાજે ઉત્તર હિન્દુસ્તાનમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અનેક વર્ષો થયાં તે આખા ભારતખંડમાં પોતાની હાક વગાડતો હતો. પોતાની પ્રશંસા કરાવી કવિઓની શક્તિને કસોટી પર ચઢાવતો હતો. રૂપમાં તેની તુલના કામદેવ સાથે થતી. કવિઓ તેના રસવાક્યો સાંભળીને સુંદર કાવ્યરચનાઓ લખવાં પ્રેરાતા. ગણિતશાસ્ત્રીઓ તેની સહાયથી તે શાસ્ત્રને પૂર્ણ કરવાં મથતા. તે વિદ્યાવિલાસી હતો. ખુની અને જુલ્મી મનાતો. તેને વિશે અનેક દંતકથાઓ ઊડતી અને તૈલાંગણમાં તે બધી જ મનાતી. તેનું નામ સાંભળતાં આખા દેશમાં લોકો કાંપતા.

આ પૂર્વભૂમિકા પછી રખે એમ માનતા કે હું અહી ‘પૃથિવીવલ્લભ’ નવલકથાની પૂરી વાત કરવાની છું. એ તો પુસ્તકમાં લખેલી જ છે. પણ એ નવલકથા વાંચી મેં જે અનુભવ્યું, મને જે વિચારો આવ્યા, પાત્રોનું મારા મનમાં જે રેખાચિત્ર ઊપસ્યું તેની આજના સંદર્ભમાં વાત  કરવી છે. આ નવલકથા આજથી એક શતાબ્દી પહેલા લખાઈ અને એમાં લગભગ એક સહત્રાબ્દી પૂર્વેની વાત છે છતાં એમાં એવું શું છે કે આજે પણ વાંચવાની ગમે છે?

મુંજ અને મૃણાલવતી,  વિલાસ અને રસનિધી, તૈલપ અને ભિલ્લમરાજ જેવાં પાત્રોને લેખકે શબ્દદેહ આપી વાચક સામે એવી સચોટતાથી રજૂ કર્યા છે કે વાચક પણ જાણે એ સમયખંડનો ભાગ હોય એમ તેમાં ખોવાઈ જાય છે. મુનશીજીના  પ્રભાવશાળી પાત્રો, પાત્રોના ભાવ ભંગીમાનું વર્ણન, તેની આસપાસની પરિસ્થિતિનો તાદૃશ ચિતાર, ઐતિહાસિક સંદર્ભ અને ધારદાર સંવાદો વાચકોની રસવૃત્તિને વશ કરવાં માટે પૂરતાં છે. આ નવલકથાનાં કેટલાક પાત્રો અને પ્રસંગોથી આ વાત વધુ સ્પષ્ટ થશે.

પૃથિવીવલ્લભ મુંજ : પ્રચંડ કદ, અપૂર્વ ઘાટ, મોહક મુખ, સુરસરિતાનાં જળ સમા લાંબા કાળા વાળ, શંકર શા વિશાળ ખભા, ફણીધર જેવી લાંબી ડોક, વિશાળ છાતી, ઘાટીલી પાની પર ધરણી ધ્રુજાવતા પગ, મત્ત ગજેન્દ્ર સમાન બળવાન શરીર, વિશાળ ભાલની સ્ફટિક શી નિર્મળતા, મોટી તેજસ્વી આંખોમાંથી ઝરતી મધુરતા, દિવ્ય મુખમાં કાવ્યની મીઠાશ, હાસ્યમાં પુષ્પધનવાનું  સચોટ શરસંધાન અને બેપરવાઈ ભરેલું પ્રતાપી વ્યક્તિત્વ એટલે માલવપતિ મુંજ. આવા મુંજને જ્યારે કાષ્ટપિંજરમાં  લાવ્યા તો મુખ પર શાંતિ, ગૌરવ, હાસ્ય અને સ્વસ્થતા સાથે જેમ હોંશથી હાથીએ ચઢતો હોય તેમ તે પાંજરામાં કૂદીને આવ્યો ને એક સૈનિકને લાત મારી હવામાં ઉડાડ્યો ને પોતાના સ્નેહાળ અવાજ અને પ્રતાપી મુખથી લોકોને આકર્ષી રહ્યો. મુંજ ભલે કેદી હતો પણ આખું ગામ તેની પાછળ ઘેલું થઈ ગયું. દરેક નરનારી તૈલપને શાપ આપવા લાગ્યાં. દરેક જણ મુંજ બચે તેવી બાધા લેવાં બેઠું. મરતાં મરતાં પણ મુંજ પોતાનો વિજયધ્વજ  ફરકાવી ગયો.

તૈલપ :  માન્યખેટના ચાલુક્ય વંશનો રાજા તૈલપ પોતે મહાન વિજેતા હતો. તે રાષ્ટ્રકૂટ રાજા ભમ્મહની પુત્રી જક્કલાદેવી સાથે પરણ્યો હતો. સોળ વખત માળવાના રાજા મુંજના હાથે પરાજિત થયા બાદ આખરે તેણે મુંજને હરાવી માળવા પર વિજયપતાકા ફરફરાવી હતી. તે કઠણ હૃદયનો, ગણતરીબાજ અને પહોંચેલ હતો. બહેન મૃણાલે આપેલ કેળવણીના પ્રતાપે આર્દ્રતાનો અંશમાત્ર પણ રહ્યો ન હતો. કેદ કરેલા રાજાનો વધ ન કરાય એવી એ સમયની રીત હતી. તેથી તેને રીબાવી, ગર્વ ગાળી, મહેરબાની યાચતો કરી સોળ વખતની હારનો બદલો લેવાનું નક્કી કર્યું. આથી તૈલપે મૂંજને કાષ્ટપિંજરમાં પૂરવાનો હુકમ કર્યો.  અવારનવાર કઈક નરેશો તૈલપરાજના બાહુની પ્રબળતાથી નિરાધાર બની આ પિંજરમાં પોતાનો પશ્ચાતાપ કરવા આવતા. જાહેરમાં, તિરસ્કારથી હસતા પ્રજાજનો સમક્ષ આખો દિવસ ગાળવો એ ગમે તેનો ગર્વ ગાળે તેવો અનુભવ થઈ પડતો. અધમતાના આવા અનુભવે કેદી લાચાર બનતો અને તૈલપરાજની કીર્તિ દશે દિશામાં પ્રસરતી. તૈલપે ઢંઢેરો પીટી જાહેર કર્યું કે પાપાચારી મુંજને સાત દિવસ નગરમાં ભિક્ષા મગાવી છેલ્લે મૃણાલવતી પાસે ભિક્ષા મંગાવી રહ્યા પછી, હાથીના પગ તળે કચરવામાં આવશે. નીતિ છોડીને તેણે રાજહત્યા કરવાનો નિર્ણય લીધો.

પ્રિય વાચકો, આ નવલકથાના મુખ્ય પાત્રો ભલે મુંજ અને તૈલપ દેખાતા હોય, પણ તેનો પ્રાણ છે મુંજ અને મૃણાલવતીના સંબંધોની કશ્મકશ. તમે જ કહો કે જો પુષ્પમાં પરાગ ન હોય, ગીતમાં લય ન હોય, સુરજમાં તેજ ન હોય અને ચંદ્રમાં શીતળતા ન હોય તો આ બધાનું એટલું મહત્વ હોઈ શકે? એવું જ મહત્વ ‘પૃથિવીવલ્લભ’માં મુંજ અને મૃણાલવતીનું છે તેની રસિક વાત કરીશું આવતા અંકે….

— રીટા જાની