ઓશો દર્શન -45. રીટા જાની



ગત ત્રણ અંકથી આપણે ઓશો દર્શન અંતર્ગત સંસાર સૂત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓશોની સૂક્ષ્મ દ્રષ્ટિએ સંસારના વિવિધ પાસા ઉપર પ્રકાશ ફેંક્યો છે તેમજ તેની વિવેચના કરી છે. સંસાર સમુદ્રમાંથી સાચા મોતી મેળવવા હોય તો થોડું સાહસ રાખીને ઊંડાણમાં ઉતરવું પડે. પણ જો પાણીમાં ઉતરશો જ નહીં અને મોજાઓના તોફાન જોઈને પાછા ફરી જશો કે કિનારે બેસી રહેશો તો કંઈ પ્રાપ્ત નહીં થાય. આજે ઓશોની દ્રષ્ટિએ સંસારનું અવલોકન કરી વધુ સૂત્રો સમજીએ.

રોકેટની ગતિએ દોડતા જગતમાં મનુષ્ય બસ દોડ્યા કરે છે. એ દોડ સત્તા માટે હોય, ધન માટે હોય, પદ માટે હોય, પ્રતિષ્ઠા માટે હોય, શિક્ષણ માટે હોય કે પછી મનોરંજન માટે અથવા બીજા કોઈ પણ કારણસર હોય; શાંતિ ખોવાઈ ગઈ છે. એ શાંતિની શોધમાં સમગ્ર જગત આજે ધ્યાનનો મહિમા ગાઈ રહ્યું છે. ઓશો કહે છે કે ધ્યાનની વિધિ સરળ છે. જે ક્ષણે શરીર વિશ્રાંત હોય છે, તે ક્ષણે શાંતિ આપોઆપ હૃદયમાં ઉતરી આવે છે. માટે સ્વાભાવિક રીતે જ હૃદય, શાંતિનો સ્ત્રોત છે. જ્યારે તમે શાંતિથી ભરેલા હોય ત્યારે બાહ્ય જગત પ્રત્યેનો તમારો વ્યવહાર વધુ પ્રેમમય અને વધુ નિકટ હશે. તમે જેવા છો તેવું જગત પ્રતિબિંબિત થાય છે.

મનનો સ્વભાવ એવો છે કે તે જ્યાં છે ત્યાંથી ભાગતું રહે છે અને જ્યાં નથી તેમાં રસ જાગે છે. જે મળ્યું છે તે વ્યર્થ લાગે છે અને જે નથી મળ્યું તે સારું લાગે છે. જ્યારે ધ્યાન કરો તો ભજનમાં રસ જાગે છે અને ભજન કરતા ધ્યાન કરવાનું મન થાય છે. ભોજન કરો તો ઉપવાસમાં રસ જાગે છે અને ઉપવાસ કરો તો ભોજન યાદ આવે છે. મનના ભટકવાથી મુક્ત થવું હોય તો જાગૃત થઈ જે કંઈ કરો તેને રસપૂર્વક કરો. તેનાથી એકાગ્રતા આપોઆપ આવશે. તમને જેમાં રસ પડે, જેમાં આનંદ આવે, ઉમંગ આવે પછી તે ગમે તે હોય પ્રાર્થના બની જશે. જ્યાં રસ છે ત્યાં જ પરમાત્મા છે. સચોટ ઉપાય બતાવતા ઓશો કહે છે કે તમે જ્યાં છો, હજી બહાર છો, ત્યાં જ ધ્યાન કરો. ભોજનને ધ્યાન બનાવો, ધનને ધ્યાન બનાવો, ક્રોધ પર ધ્યાન કરો અને એ સમાપ્ત થઈ જશે. ક્રોધ અને લોભ જતા રહેશે, માત્ર ધ્યાન રહી જશે. સંસાર પર ધ્યાન કરો, સંસાર ખોવાઈ જશે અને અંતર્યાત્રા શરૂ થઈ જશે. તમે એ જગ્યાએ પહોંચી જશો જ્યાં હજારો સુર્ય એક સાથે ઉગી રહ્યા છે અને જે કદી અસ્ત થતો નથી. તમારી અંદર જ પરમ સૂર્યોદય છુપાયેલો છે.

આપણા જીવન પર દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે કે નાના નાના સુખ-દુઃખ, ચઢાવ-ઉતાર આપણા મનને કેટલું વિચલિત કરી દે છે. જીવન અને મૃત્યુની ફિલસૂફીને સમજાવતા ઓશો કહે છે કે સારી રીતે જીવવાની કળા મૌન છે. જગતમાં આવતા તોફાન તમને કંપાયમાન ન કરે અને તમે શાંત ભાવથી જીવો, આંધી તમારા તપને હચમચાવી ના શકે, વસ્તુ નષ્ટ થાય છતાં તમે અસ્પર્શિત રહો એવું તમારું મન હોય તો તમે જીવવાની કળા જાણી તેવું સમજો. અને જે જીવનની કળાને જાણી રહેશે તે એક દિવસ મૃત્યુના પરમ રહસ્યને પણ સમજી શકશે.

સમગ્ર જીવનને પૂર્ણ રૂપે સ્વીકાર કરવાનું કહીને ઓશો સફળતાના 14 સૂત્રો આપે છે.
1. નિષ્કામ ભાવ : પરિણામની આકાંક્ષાથી મુક્ત રહી પોતાનું કાર્ય શ્રદ્ધા રાખીને યથા સંભવ કરતા રહો.
2. હોશ: હંમેશા હોશપૂર્વક, સંપૂર્ણ જાગૃત રહીને કામ કરો, મશીન કે રોબોટની જેમ નહીં.
3. ધ્યાન: કોઈપણ કામને નાનું કે મોટું ન ગણો. દરેક ચીજ પર ધ્યાન આપો. પરમાત્માને તમે દરેક જગ્યાએ શોધી શકો છો.
4. કેન્દ્રિત રહેવું : પોતાની ધારણાઓથી અથવા બીજા કોઈના માર્ગે ન દોરવાઓ અને કેન્દ્રિત રહી કાર્ય કરો.
5. ક્ષણ ક્ષણમાં જીવો : દરેક સંભાવના માટે ખુલ્લા રહો અને પૂર્વ અનુભવોની બહાર નીકળવા તૈયાર રહો.
6. ચિંતાનું સમર્પણ : ચિંતાથી સ્વયંને અલગ કરી સમર્પણ કરી દો અને અસ્તિત્વ પર બધું છોડી દો.
7. નિરાશામાં અટકી જાઓ: નિરાશા કાયમ રહેતી નથી. અંધારી રાત્રિ પછી સૂર્યોદય જરૂર થાય છે. માટે નિરાશા જતી ન રહે ત્યાં સુધી સતર્ક બની અટકી જાઓ.
8. સંઘર્ષ: તોફાનો અને આંધીઓમાંથી પસાર થઈને પણ આપણે સમૃદ્ધ બનીએ છીએ. માટે થોડો સંઘર્ષ પણ જરૂરી છે.
9. લીલા : યાદ રાખો કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો તે એક ખેલ છે. તેમાં તમારી ભૂમિકા ગંભીર બન્યા વગર નિભાવો.
10. યોગ્યતા: પોતાની યોગ્યતા સિદ્ધ કરવાની હોડમાં પોતાની જાતને એક વસ્તુ ન બનાવો. યાદ રાખો કે જીવનનો વિરાટતમ અનુભવ પ્રેમ અને ધ્યાનથી આવે છે.
11. લોભ : તમારી પાસે કરોડો રૂપિયા આવી જાય તેનાથી કોઈ ફરક પડવાનો નથી. લોભ દ્વારા જીવનને અર્થપૂર્ણ બનાવી લેવાનો પ્રયાસ એ નાસમજી છે.
12. અધિકાર, આધિપત્ય : જે લોકોને પોતાના પર વિશ્વાસ નથી, ભયભીત છે, તેઓ બીજા પર અધિકાર જમાવવા માંગે છે. તમે પૂરેપૂરા આશ્વસ્ત રહો, કોઈથી ડરવાની જરૂર નથી.
13. અપરિપક્વતા : જે વ્યક્તિ પોતાના અતીત તરફ જોઈ વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધે છે, તે અપરિપક્વ છે. કારણ કે આ પરિસ્થિતિને અતીત સાથે કોઈ સંબંધ નથી. માટે હંમેશા પૂરેપૂરું ધ્યાન વર્તમાન પરિસ્થિતિ પર કેન્દ્રિત કરી, વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધવું જરૂરી છે.
14. ઉત્તરદાયિત્વ : જીવનની દરેક સમસ્યાઓમાં પૂરેપૂરું ઉત્તરદાયિત્વ પોતાનું જ હોય છે. તમે એવી સ્થિતિમાં આવી જાઓ કે દુનિયા તમારી સાથે કંઈ પણ કરે, પરંતુ તમને વિક્ષિપ્ત ન કરી શકે.

ક્રોધ એક માનસિક તાણ છે. કોઈપણ વાતનો અસ્વીકાર કરવાથી ક્રોધ જન્મે છે. જે વસ્તુનો તમે સ્વીકાર કરી લો છો, પછી તેના પ્રત્યે ક્રોધ નથી થતો. ક્રોધ છે, બીમારી છે, માથું દુઃખે છે – જે પણ પરિસ્થિતિ છે – તેનો સ્વીકાર કરો. તમે જેવો સ્વીકાર કરી લો કે તમારા અંતરમાં ફૂલ ખીલી ઉઠે છે અને જેવો અસ્વીકાર કરો છો, તમારા અંતરમાં કાંટા ખુંચવા લાગે છે. માટે પરમ સ્વીકાર કરતા શીખો. ભૂલ કરો તો અચકાયા વગર કરો, પરંતુ એક જ ભૂલ ફરીથી ન કરો. પ્રેમ પણ આપણે ક્યાં પૂરેપૂરો કરીએ છીએ? જેને પ્રેમ કરતા હોઈએ તેમનામાં પણ આપણને હજારો ભૂલ દેખાય છે. ક્રોધ, લોભ, મોહ, કામના બધું જ સંયુક્ત છે, કરોળિયાના જાળાની જેમ જોડાયેલું છે. માટે તમે એક એક સમસ્યાને ના ઉકેલી શકો. એના નિશ્ચિત ઉપાયનું સૂત્ર છે – સાક્ષી બનો, દૃષ્ટા બનો. પ્રબુદ્ધ વ્યક્તિના ચૈતન્યની એવી સ્થિતિ હોય છે, જ્યાં ક્રોધ જન્મતો જ નથી. જો તમે ક્રોધને ધ્યાનપૂર્વક જોશો તો ક્રોધ ચાલ્યો જશે. જો તમે પ્રેમને ધ્યાનપૂર્વક જોશો તો પ્રેમ વધશે. સ્વીકારની શાંતિમાં જ સમજનો દીવો પ્રગટે છે. એ સ્થિતિમાં ચેતના એટલી સતેજ હોય છે કે ત્યારે ક્રોધ કરવાનો વિચાર પણ અસંભવ થઈ જાય છે. તમારા જાગૃત અવલોકનથી જે વધે તે પુણ્ય અને તમારા જાગૃત અવલોકનથી જે ક્ષીણ થાય તે પાપ.

જીવન કેવી રીતે આનંદથી ભરાઈ જાય? ઉત્સાહ વગરનું, ઢીલું, સુસ્ત, મંદ જીવન જીવવાનો કોઈ મતલબ નથી. જે લોકો ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવે છે, તેમને ક્યારેય આનંદનો અનુભવ થતો નથી. જે વ્યક્તિ પ્રતિક્ષણ જીવે છે, વર્તમાનમાં જીવે છે, જે કંઈ ઉપલબ્ધ છે તેને સ્વીકારી લે છે જાણે કે આ ક્ષણ અંતિમ ક્ષણ છે અને વર્તમાન ક્ષણ સિવાય કોઈ ચીજનું અસ્તિત્વ નથી તેના માટે વર્તમાનની ક્ષણ આનંદના અનુભવનું, પરમાત્માનું દ્વાર બની શકે છે.

રીટા જાની
24/02/2023

ઓશો દર્શન -44. રીટા જાની

wp-1644023900666

  ઓશોના વ્યક્તિત્વની વાત કરતા ‘કહૈ કભી દીવાના’ ની પ્રસ્તાવનામાં ડો. આરસી પ્રસાદ સિંહ કહે છે કે ઓશો સાહિત્યના ક્ષિતિજ ઉપર એક દાર્શનિક, ચિંતક, ગુરુ અને તત્વદ્રષ્ટા જ્ઞાનીની છબીમાં ઉભરે છે. છતાં તેઓ એક મહાન કવિ, કથાકાર અને કલાકાર પણ છે. તેમની કાવ્ય કલા ચિંતન, મનન અને દાર્શનિક શૈલીમાં રૂપાયિત થઈ છે, છતાં એમાં શાસ્ત્રીય જટિલતા કે દાર્શનિક શુષ્કતાનો નિતાંત અભાવ છે. બલ્કે એક અત્યંત પ્રખર તાર્કિક અને સર્વગ્રાસી સમીક્ષકનું ચિંતન હોવા છતાંય વિષય વસ્તુ અને પ્રસ્તુતિ એવી સ્નિગ્ધ, સરસ અને કમનીય છે કે સાંભળવા અને વાંચવામાં એક નવલકથા વાંચવાનો આનંદ મળે છે. તેનો પ્રવાહ એટલો વેગવાન અને શૈલી એવી સહજ સ્ફૂર્ત છે કે આદિથી અંત સુધી જે તાજગી અને મહેક સાથે તમે કોઈ પ્રવચન કે પુસ્તકની યાત્રા શરૂ કરો છો તે અંત સુધી કાયમ રહે છે. ઓશોના સાહિત્યનો કોઈપણ અંશ ગમે ત્યાંથી ઉઠાવી લો, એમાં સર્વત્ર એક જ પ્રાણધારા કલકલ સ્વરોમાં ઉચ્છલ પ્રવાહિત જોવા મળશે.

કવિ શ્રી બરકત વિરાણી કહે છે કે ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી’. છતાં સામાન્ય માણસને જીવનની સફરમાં મંઝિલ  કઈ દિશાએ મળશે, કયો માર્ગ પસંદ કરવો, ક્યાંક ભળતા માર્ગે તો નથી જતા રહ્યા ને એવી વિમાસણ હંમેશા રહેતી હોય છે. ત્યારે સંસારને સફળતાથી પાર કરવા કોઈ ફોર્મ્યુલા, કોઈ સૂત્ર હોઈ શકે કે કેમ તેવો વિચાર આવ્યા વગર રહેતો નથી. ઓશોએ ખૂબ સુંદર રીતે પ્રેમ, ભક્તિ-નૃત્ય, ધ્યાન, કુંડલિની-શક્તિપાત, ક્રોધ, સુખ-દુ:ખ, અહંકાર, આનંદ, પાપ-પુણ્ય વગેરે વિષયો પર ચર્ચા કરી સંસારના સુત્રો આપ્યા છે, જેની વાત આપણે ગત બે અંકથી કરી રહ્યા છીએ.  આજે સંસાર સૂત્રો અંતર્ગત પ્રાર્થના, ભક્તિ, સાધના, તીર્થયાત્રા, ભજન, શ્રદ્ધા, સંગત વગેરે વિષય ઉપર ઓશોનું દર્શન જોઈશું.

કબીરજીની વાત કહી ઓશો પ્રાર્થનાની સુંદર સમજ આપે છે. કબીરજીને કોઈએ પૂછ્યું કે આપ ક્યારે પ્રાર્થના કરો છો? ક્યારે પરમાત્માની સેવા કરો છો? ક્યારે મંદિરની પરિક્રમા માટે જાવ છો? તો કબીરજીનો જવાબ હતો: ઊઠું બેસુ એ પરિક્રમા અને ખાવું પીવું એ સેવા. એવું જરૂરી નથી કે માળા લઈને મંત્રના જાપ કે ઈશ્વરનું નામસ્મરણ કરીએ તે જ પ્રાર્થના કહેવાય. દરેક શ્વાસ સાથે અખંડ પ્રાર્થના થતી રહે તે સાચી પ્રાર્થના. હકીકતે, પ્રાર્થના એ એકાંતનું ગીત અને સંગીત છે, તે હૃદયનો ઉદગાર છે, એમાં કેટલી માળા ફેરવી તેનો હિસાબ રાખવાનો ના હોય. આ નાની એવી જિંદગી જે મળી છે, તેને પ્રાર્થના બનાવી દો એ જ જીવનની સાર્થકતા હશે.

ઓશો કહે છે કે ભક્તિ સાધના પણ છે અને સિદ્ધિ પણ છે. ભક્તિનો અર્થ છે પરમ પ્રેમ, અહોભાવ, સ્વયંને મિટાવવાની કળા. જ્યાં સુધી પરિણામની આકાંક્ષા છે, ત્યાં સુધી પ્રાર્થનાનું પરિણામ નહીં આવે. લોકોને જોઈએ તો ખ્યાલ આવે છે કે પ્રાર્થનામાં મોટાભાગે માગણી અથવા ફરિયાદ હોય છે. સાચી પ્રાર્થનામાં ન કોઈ અપેક્ષા હોય છે, ના કોઈ શબ્દ હોય છે, માત્ર સમર્પણભાવ હોય છે, ત્યારે પ્રાર્થના જ પરમાત્મા બની જાય છે.

ભક્તિ એટલી જીવનનો પરમ સ્વીકાર. આપણા અંતરમાં એક ઊર્જા છે, જેને આપણે પ્રીત કહીશું. આ પ્રીતતત્વના આધારે જ આપણે જીવંત છીએ. પ્રીતતત્વ શ્વાસ જેટલું જ અનિવાર્ય છે. પ્રીતના ત્રણ પ્રકાર છે. પોતાનાથી નાની ઉંમરના લોકો પ્રત્યે જે પ્રીત હોય તે સ્નેહ, સમાન સ્તર પર હોય તે પ્રેમ અને માતા-પિતા, ગુરુ પ્રત્યે હોય તે શ્રદ્ધા. આ ત્રણેય અવસ્થાઓ જ્યારે સમ્યક બને છે, ત્યારે પ્રીતની ચોથી અવસ્થા નિર્મિત થાય છે. તેનું નામ છે ભક્તિ. ભક્તિ એટલે પ્રીતની પરાકાષ્ઠા, સર્વસ્વ પ્રત્યે પ્રીત, પરમાત્મા પ્રત્યે પ્રીત. જે રીતે સહજતાથી બીજ અંકુરિત થઈ વૃક્ષ બને છે અને એક દિવસ તેમાં ફૂલ અને ફળ આવે છે એ જ રીતે મનુષ્યતા ભગવતતામાં રૂપાંતરિત થવી જોઈએ. પ્રીત, ભક્તિ બનવા માટે જ જન્મી છે. ભલે પ્રીતની ઉર્જાને ભક્તિ થવાના માર્ગ પર ઘણા અવરોધો હોય. સ્નેહ શુદ્ધ હોય તો પ્રેમ બને, પ્રેમ શુદ્ધ હોય તો શ્રદ્ધા અને શ્રદ્ધા શુદ્ધ હોય તો ભક્તિ. આ સ્થિતિમાં તમે કઈ તરફ જશો તે તમારા  પર નિર્ભર છે. જો અહંકાર તૂટે તો સંપૂર્ણ સ્વર્ગ તમારી પ્રતીક્ષામાં છે. સ્નેહથી ભક્તિ સુધીની તીર્થયાત્રા અવશ્ય લાંબી છે, પરંતુ ભક્તિ એ પરમ અવસ્થા છે, પ્રીતની પરાકાષ્ઠા છે.

ભક્ત ભજન કરે છે, ત્યારે પ્રશ્ન થાય કે ભજન એટલે શું? ભજન એ ઔપચારિકતા નથી, ભજન કોઇ વિધિ નથી. ભજન છે ભાવનું નિવેદન, હૃદયથી ઉતારેલી આરતી, વિરાટ સાથેની વાત, જે કરવાથી પરમાત્માની જ્યોત અંદર પ્રગટ્યા કરે છે. ભાવ હોય તો પ્રત્યેક કૃત્ય ભજન થઈ શકે છે. પરમાત્મા અનુમાન નથી, તર્ક નથી, સિધ્ધાંત નથી, અનુભવ છે. પરમાત્મા અને કૃતિ બે નથી, સ્રષ્ટા અને સૃષ્ટિ બે નથી, પરમાત્માનો પહેલો અનુભવ એનું નામ પ્રેમ છે. કૃષ્ણ, ભક્તિને શ્રેષ્ઠતમ યોગ કહે છે, જ્યારે ભક્ત અને ભગવાન બે ન રહેતા એકનો અનુભવ થાય છે. તેથી  તે છે યોગ, પરમ ઐક્ય. આ જગત એક પ્રતિધ્વનિ છે. તમારા હૃદયમાં જે કંઈ હોય તેને જ તમે સાંભળો છો. હૃદયમાં જ્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ ગહન થાય છે, એ અવસ્થામાં જે પણ કરો તે બની જશે પ્રભુ પૂજા.

શ્રદ્ધા એ વિશ્વાસ નથી. શ્રદ્ધા એક અનુભવનું પરિણામ છે. પ્રેમથી શ્રેષ્ઠ કોઈ અનુભવ નથી. તેથી જ ભક્તિ શ્રેષ્ઠતમ માર્ગ બને છે, કારણ કે તે પ્રેમનું જ રૂપાંતરણ છે. ઓશો કહે છે કે ભક્તિનો અર્થ છે કે પરમાત્માને બુદ્ધિ દ્વારા નહીં, હૃદય દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વિચાર દ્વારા નહીં, ભાવ દ્વારા  પ્રાપ્ત કરી શકાય છે. ચિંતન દ્વારા નહિ, પ્રેમ દ્વારા અનુભવી શકાય છે. જે ક્ષણે તમે સ્વયંને વિસ્મૃત કરી દો છો, તે જ ક્ષણે અમૃતની ઉપલબ્ધિ થાય છે.

બીજા માર્ગો – યોગ, તંત્ર, જ્ઞાન, તપ, ત્યાગ – આ બધાની સરખામણીમાં ભક્તિ વધુ સુલભ છે. કારણ અન્ય માર્ગો પર મનુષ્યને પોતાના માથા પર બોજો લઈને ચાલવું પડે છે, જ્યારે ભક્તિના માર્ગે સમર્પણ છે. તે બોજો પરમાત્માને આપી દે છે. હૃદય જીવંત હોય, હૃદયના સરોવરમાં તરંગો હોય, હૃદયના વૃક્ષ પર ફળફૂલ ઉગે તો ભક્તિ ખૂબ સુલભ છે. માટે જ ભક્તિના માર્ગનું અનિવાર્ય અંગ છે શ્રદ્ધા. ભક્તિનું સૂત્ર છે: તમે જે કંઈ કરો તેમાં તન્મય થઈ જાવ અને ભક્તિ ફલિત થશે. ભક્તિના માર્ગ પર ધૈર્ય અને અનંત પ્રતીક્ષા રાખવી જરૂરી છે. ભક્તિ કોઈ શાસ્ત્ર નથી, યાત્રા છે; કોઈ સિદ્ધાંત નથી, જીવનરસ છે. ભક્તિ જો તમારા હૃદયમાં થોડી લગની જગાડે તો તમારું જીવન સાર્થક બનશે.

ભક્તિ એટલે દ્રષ્ટિ, ભક્તિ એટલે સ્વયંના અંતરમાં રૂપાંતરણ, ભક્તિ એટલે જીવનનો પરમ સ્વીકાર, ભક્તિ એટલે જીવનમાં સંગીત જન્માવવાની એક વિધિ. ભક્તિ તો અણુ શક્તિ સમાન છે, એક નાના અમથા અણુમાં છુપાયેલી વિરાટ શક્તિ છે. ભક્તિ  અંતરની આંખ ખોલે છે. ઓશો કહે છે કે અહીં જે કંઈ છે, તે પરમાત્મા જ છે, પ્રત્યેક વસ્તુ આરાધ્ય છે. મૂર્તિઓ ઘડવાની કે મંદિરો બનાવવાની જરૂર નથી. સમગ્ર અસ્તિત્વ તેનું મંદિર છે, સમગ્ર જગત જ તીર્થ છે. આકાશ તીર્થ છે, બધી નદીઓ ગંગા છે, સંપૂર્ણ પૃથ્વી પવિત્ર છે. જ્યાં તમારી દ્રષ્ટિ પડે તે ભજનીય છે. જગત પરમાત્માનું બાહ્ય રૂપ છે અને પરમાત્મા જગતનો અંતરાત્મા. જે રીતે દેહ અને આત્મા, તે જ રીતે માયા અને બ્રહ્મ  આ જગતમાં જે વિપરીતતા દેખાય છે – દિવસ અને રાત, શ્રમ અને વિશ્રામ, વસંત અને પાનખર, જીવન અને મૃત્યુ – તેને ગહનતાથી  શોધવાથી સમજાય છે કે તે પણ વિપરીત નથી, એકબીજાના પરિપૂરક છે. ઓશોના સંસારસૂત્રો અંતર્ગત જીવનના મુખ્ય આયામો – સંસાર, ધ્યાન, ગુરુ – શિષ્ય, સન્યાસ, સમાધિ વગેરે વિશે વાત કરીશું આવતા અંકે….

રીટા જાની
17/02/2023

વિસ્તૃતિ…૪૮ જયશ્રી પટેલ.



શરદબાબુની વાર્તાઓ સાથે આપણે તેમની જીવનીમાં પણ ડોકિયું કરીએ છીએ. શ્રી વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહાનો ગુજરાતી અનુવાદ શ્રી હસમુખ દવેએ
આપણી સમક્ષ રજુ કર્યો છે. તેમાંથી થોડા અંશ સંક્ષેપમાં જોઈએ.
દેશની સ્વતંત્રતાનાં આંદોલન સમયની વાત છે, શરદબાબુ મુક્તિ આંદોલનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા,
પરંતુ એના બધાં કાર્યક્રમોમાં તેમને શ્રદ્ધા ન હતી.ખાસ તો રેંટિયા અભિયાનમાં તો રજમાત્ર વિશ્વાસ નહોતો.છતાંય
નિયમિત કાંતતા, ખાદી પહેરતા. બને એટલા રેંટિયા કેન્દ્ર
ઊભા કરવા મહેનત કરવા માંડ્યા. તેમના મામાએ પણ નોકરી છોડી રેંટિયો કાંતવા માંડ્યો હતો ને તેમની સાથે રહેતાં.
એવું ઝીણું કાંતતા કે મહાત્મા ગાંધીએ પણ તેમના ઝીણા બારીક સુતરના વખાણ કર્યા હતા. તેઓએ બાપુને મોઢા પર કહી દીધું હતું કે તમે મને ગમો છો એટલે કાંતું છું નહિ તો નથી માનતો કે આનાથી આંદોલનમાં કંઈ
ફર્ક પડશે.ખાદી કાંતો ને સ્વયં ખાદી પહેરો એ તેઓ
લોકોને ઘરે ઘરે જઈ સમજાવતા.
એકવાર તેમનું કાંતેલું માથા પર લઈ મહાન વૈજ્ઞાનિક
પ્રફુલ્લચંદ્ર રોય નાચેલા. પ્રફુલ્લચંદ્ર રોયની બહુ ઈચ્છા હતી શરદબાબુને મળવાની, તો શરદબાબુને પણ બહુ ઈચ્છા હતી . એકવાર એક વિદ્યાર્થી શરદબાબુને પ્રફુલ્લચંદ્ર રોય પાસે લઈ ગયો. તેઓએ જોયું ચારે બાજુ
પેપર જ પેપર છે બેસવાની જગ્યા નથી તો શરદબાબુ પાટ પર જઈ બેસવા ગયા તો પ્રફુલ્લચંદ્ર રોયે તેમને વિદ્યાર્થી સમજી ત્યાં ન બેસવા કહ્યું ને બીજી ખુરશી પર બેસાડ્યા. વિદ્યાર્થીએ તેમને કહ્યું આ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય છે ,તો તેઓ દોડ્યા બધાં વિદ્યાર્થીને ભેગા કર્યા ને શરદબાબુને બતાવી જુઓ આ તેમના પુસ્તકો જુઓ કરી તેમના પગ પાસે બેસી જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ વાતો કરવા લાગ્યા. આ હતો શરદ સાહિત્યનો વાચક વર્ગ ને તેનો મહિમા.
મામા સુરેન્દ્રનાથે એકવાર એમને કહ્યું કે માત્ર કાતવાથી નહિ ચાલે શાળ બેસાડવી પડશે તો શરદબાબુએ ભાગલપુરમાં પાંચ સાત હાથશાળ નાંખી દીધી હતી.આમ તેમનો ગાંધીજી પ્રત્યેનો ભાવ ખૂબ ઉંડો હતો.
તેથી તનતોડ મહેનત કરી,કિંમતી વસ્ત્રોનો ત્યાગ
કર્યો હતો,તેલમાં તળેલી કચોરી ને સંકેલા ચણાં ખાઈ ગામે ગામ પ્રચાર કરવા નીકળી પડતાં.
ગાંધીજીને તેમણે કહ્યું હતું કે કાંતવાથી સ્વરાજ મળશે તેમ મને નથી લાગતું , સ્વરાજ તો સૈનિકો દ્વારા જ મળશે. સાંભળી ગાંધીજી ખૂબ હસ્યા હતાં.તેમણે સ્ત્રીઓ માટે “નારી કર્મ મંદિરની સ્થાપના પણ કરી હતી.
નારીની સંખ્યા વધી ત્યારે સંખ્યાબળમાં ન માનનારા શરદબાબુએ કહ્યું હતું કે વર્ષોથી ચૂલોચૌકો કરનારી સ્ત્રીઓ , જે વર્ષોથી ઘરની બહાર નથી નીકળી,
પ્રસૃતિઘર સિવાય કાંઈ ખબર નથી તે શું કરશે.. પણ
ગાંધીજીના વિશ્વાસને માની તેમણે લખ્યું કે કાદવમાં કમળ
એક દિવસ જરૂર ખીલશે ને દેશના સ્ત્રીધનમાંથી જ સૈનિકો મળશે.
મિત્રો આમ કલમ જ નહોતી પકડી પણ રેટિંયો કિતલી ને સુતર પણ તેમણે પ્રિય કર્યા હતાં. કલમ તેમની સમશેર
હતી તો ગાંધીજીની ચાહત તેમની તાકત હતી.
મિત્રો, આવતા અંકે ફરી આપણે શરદબાબુની નવીન વાત જાણશું.
અસ્તું,
જયશ્રી પટેલ
૬/૨/૨૩

વિસ્તૃતિ…૪૬ -જયશ્રી પટેલ.


શરદબાબુની પ્રથમ વાર્તા મન્દિર જ્યારે તેમણે સ્પર્ધામાં મોકલી ત્યારે પોતાના મામાને નામે મોકલી હતી ને તે પ્રથમ આવી હતી.તેઓ વાર્તા લખી બહાર મૂકતા તો તે મૂંઝાતા. તેમને ડર રહેતો કે કોઈને પસંદ નહિ આવે તો? આ વાત તે આપણે આગળ જોઈ ગયા છીએ. ખૂબ શોધ બાદ મને મન્દિર વાર્તા ટૂકડે ટૂકડે મળી જે આજે હું આપની સામે ગુજરાતીમાં સંક્ષિપ્તમાં લઈને આવી છું.
નદી કિનારે કુંભારના બે કુટુંબ રહેતા હતાં. બન્ને ઘરમાં બધી જ વ્યક્તિ માટી લાવવાથી લઈ તેને સાંચામાં ઢાળી વાસણ, રમકડાં બનાવતાં. ભઠ્ઠામાં તપાવી તેને સુંદર રંગરોગાન કરી વેચતા. તેમની સ્ત્રીઓ પણ રસોઈ માંથી પરવારી ભઠ્ઠામાંથી રમકડાં કાઢી તેને કપડાંથી સાફ કરતી. આમ આજ ધંધાથી તેમની રોજીરોટી ચાલતી. ત્યાં એક બ્રાહ્મણનો રોગગ્રસ્ત પુત્ર શક્તિનાથ પણ આવતો. તેણે કુંભારોના ઘરમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે કુંભારને તેના ઘરવાળા બધાં જ રમકડાંને રંગ કે શાહી લગાવતા તો કોઈવાર ભ્રમર રહી જતી તો કોઈવાર હોઠ, આંખો , કાન કે નાક રંગાયા વગર જ વેચવા લઈ જવાતાં. શક્તિનાથ પોતે આ બાબતમાં કુંભારને કહેતો કે સરકાર આને રંગરોગાન વ્યવસ્થિત રીતે કરો. જવાબ મળતો કે ગમે તેટલું સુંદર રૂપ આપીશું તો પણ તે વેચાશે તો એક પૈસામાંજ. આ વાત મમળાવતો તે ઘરે જતો, હાથમાં રહેલા ચણા મમરા અડધા વેરતો અડધા ખાતો ખાતો વિચાર મગ્ન થતો. ક્યારેક વાત સાચી લાગતી કે માટીનાં રમકડાં પાછળ કેટલાય પૈસા વાપરે પણ તે તૂટી ફૂટી જ જાય ને! ઘરમાં જતાં જ જોતો કે પિતા નથી , મધુસૂદન તો પૂજા પાઠ કરવા ગયાં હતા. ઘરમાં આવેલું બધું સીધુ એમાં પડ્યું હતું, ઘર સીધું સાદું હતું. કોઈ સાજ શ્રીંગાર ઘરમાં નહોતા. એક સ્ત્રી વગરનું ઘર વેરવિખેર પડ્યું હતું. તે આચરકૂચર ખાય બાપ બેટો પેટ ભરતા.ઘર કરતાં વધુ તે જંગલ લાગતું. ધીરે ધીરે સરકાર મહાશયે શક્તિનાથને રમકડું રંગતા શીખવવા માંડ્યું ને તે ખુરપી , માટી ગૂંદવું વગેરે કાર્ય પણ કરતો. તે એક રમકડું રંગવા અડધો દિવસ કાઢી નાંખતો તો પણ તેનું રમકડું એક પૈસામાં જ વેચાતું. કોઈ કોઈ વાર સરકાર તેની તસલ્લી ખાતર કહેતા કે તે બે પૈસામાં વેચાયું .તો તેની ખુશીનો પાર ન રહેતો.આમ દિવસો નીકળી રહ્યાં હતાં. શક્તિનાથના પિતા પણ ખૂબ બિમાર રહેતાં. તે પણ મા વગર માંદો સાજો રહેતો તેની તરફ ધ્યાન આપવાવાળું કોઈ જ નહોતું. આ ગામનાં જમીંનદાર કાયસ્થ હતા. તેમનું ઘર ખમતીધર હતું. સુંદર સજાવટ ભર્યું હતું. તેમના ઘરમાં એક સુંદર નકશીદાર મન્દિર હતું. તેમાં સુંદર રાધા ને મદનમોહનની મૂર્તિ સિંહાસન પર બિરાજમાન હતી. અન્ય દેવી દેવતા પણ તેમાં બિરાજમાન હતાં. તેમને તાજા સુગંધીદાર ફૂલો ચઢતાં ,ફૂલોનાં હારથી સજાવટ થતી. ચંદન અગરબત્તી ધૂપની સુગંધથી આખો ઓરડો મહેંકી જતો. જાણે વૃંદાવન જ જોઈ લો. જમીનદાર રાજ નારાયણ

મંદિર પાસે પૂજા પાઠ કરતા ને મધુસૂદન મહારાજ પાસે પણ કરાવતા. ક્યારેક જમીનદાર પ્રભુની પ્રાર્થના કરતા રડી પડતાં કે તેમના પછી દીકરીની સંભાળ કોણ કરશે!
નાની દીકરી અપર્ણા આ દ્રશ્ય અનિમેષ જોયા કરતી. પિતાજીની આસપાસ દિનચર્યા જોઈ હવે ધીરે ધીરે તે હવે ચીવટ ચોકસાઈથી પૂજા પાઠ કરતી, કરાવતી ને મન્દિરમાં નાનું સૂકું તૃણ પણ પડેલું જોતી તો ન ચલાવી લેતી. જો પાણીનું ટીપું પણ પડેલું જોતી તો તેને પણ પોતાના વસ્ત્ર કે પાલવથી સાફ કરી દેતી. તે પ્રભુમાં લીન થઈ જતી. તેની આ બધી ક્રિયા જોઈ બ્રાહ્મણ મધુસૂદન ને જમીનદાર ચિંતામાં પડી ગયાં. જમીનદારે તેના માટે સરસ ખાનદાની જમાઈ અમરનાથને શોધી કાઢી વિવાહ નક્કી કરી દીધાં. દીકરી અર્પણા પણ એક કહ્યાગરી દીકરીની જેમ લગ્ન કરી સાસરે વિદાય થઈ. મિત્રો, અહીં વાર્તાનો મધ્યાહ્ન આવે છે. પાત્રો બધાં સુંદર રીતે ગોઠવાય ગયા છે. અર્પણાનાં પાત્રમાં એક સુંદર સ્ત્રી પિતાની ચિંતામાં જ સાસરે જાય ત્યારે તે તેની પાઠપૂજાની તેના મન્દિરની બધી જ વાતો વિચારતી. બીજી બાજુ મા વગર પૈસાના અભાવ સાથે જીવતો બિમાર મધુસૂદનનો દીકરો શક્તિનાથ પણ મોટો થઈ રહ્યો છે. પિતા સાથે તે પાઠપૂજા કરતા શીખતો પણ તેનું ધ્યાન તો પેલા રમકડાં રંગવામાં જ રહેતું. શરદબાબુની આ વાર્તા આગળ શું કહે છે આપણે આવતા અંકમાં જોઈશું. મિત્રો, આ વાર્તાને સવાસો વર્ષનો ગાળો વિતી હયો છે, પણ વાર્તા જ્યારે પહેલીવાર સાંભળી ત્યારે એવું જ લાગ્યું જાણે કાલે જ લખાય છે.

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૨/૧/૨૩

વિસ્તૃતિ …૪૫ જયશ્રી પટેલ.


વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહામાંની વિશાળ માહિતીને સહારે સંક્ષિપ્ત આલેખન આપ સમક્ષ લઈને આવી છું.
આપણે આગળ જોઈ ગયા તેમ મિત્રો તેમને પણ બે મિત્રો એવા અંગત મળ્યા કે વર્ષો સુધી તેમની સાથે તેમની દોસ્તી રહી .એ જ અરસામાં એમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થઈ. રવીન્દ્રનાથના તેઓ પરમ ભક્ત હતા રવીન્દ્રનાથ પણ શરદથી પ્રભાવિત હતા. તેઓ વારંવાર કહેતા કે તેને પકડી લાવો તે બંગાળનો ઉત્તમ સાહિત્યકાર છે બંગાળને તે ઉત્તમ ભેટ આપીને જશે .૧૯૩૪ના ઓક્ટોબરની બીજી તારીખે ગુરુવર્ય પ્રયાગ તરફ રવાના થયા અને તેમણે એ પ્રવાસ દરમિયાન જ શરદની કૃતિ પંડિત મોસાઈ આ કૃતિ આમ તો ૧૯૧૪ની સપ્ટેમ્બર ની ૧૫મી તારીખે પ્રકાશિત થઈ હતી. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે અસીત કુમાર હળદરને એકવાર લખ્યું હતું કે પંડિત મોસાઈ વાંચ્યા પછી મેં જે આલતું ફાલતુ વાંચવાનું છોડી દીધું હતું તે પછી આ કૃતિ અને તેની શૈલી એમને એટલે કે ગુરુવર્યને મરુ ભૂમિમાં વિરડી સમાન લાગી. એ દરમિયાન તેમણે શરદને મળવાની ઈચ્છા દર્શાવી કલકત્તા જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બધા મિત્રો શરદને ગુરુવર્યની સામે ખેંચી ગયા.

શરમાળ શરદ તો ગુરુવર્યને જોઈને એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને માનવતામાં ન આવ્યું કે આ કવિ પોતે છે.લાંબી દાઢી ,ખુલ્લા વસ્ત્રો અને સુંદર મિસ્ટ વાણી સાંભળી આ જોઈ તે તેને કોઈ બીજી જ દુનિયાના વ્યક્તિ સમજી બેઠો .આખી જિંદગી એ આ સ્વરૂપને વિમાશી રહ્યો ,બંને ગુરુ શિષ્ય વચ્ચે શું સંવાદ રચાયો એ તો કોઈ જ ન જાણી શકયું .શરદ હવે માનતો થયો હતો કે તેની કૃતિઓ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ જોડે સરખાવવામાં આવે છે .તે પણ મિત્રોને આનંદથી કહેતો કે હું કદાચ જરૂર લખી શકીશ ખરો અને દુનિયાને કંઈક નવું આપ્યા કરીશ ખરો !આમ સમય જતા ગુરુવર્ય એને મળ્યાનો આનંદ તેમના હૃદયમાં વસી ગયો હતો .

આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેને ત્રણ નવલિકા રામેર સુમતિ,પથ- નિર્દેશ અને બિંદૂર છેલે ને બિરાજબહુના પ્રકાશનના સર્વાધિકાર હરિદાસ ચટ્ટોપાધ્યાયને રૂપિયા ૩૦૦માં વેચી દીધી હતી .તે સમયે આ સોદો ખોટો નહતો. તેવી જ રીતે ફણીન્દ્રનાથ મારફત તેણે પરણીતા,પંડિતજી ,ચંદ્રનાથ, કાશીનાથ ,નારીનું મૂલ્ય અને ચરિત્રહીનના પ્રકાશન અધિકાર એમ.સી સરકાર એન્ડ સન્સને આપ્યા.ફક્ત એક જ આવૃત્તિ માટે જ.

ફણીન્દ્રનાથને ખુદને શરદની કૃતિઓ છાપવાની મહેચ્છા હતી,પણ ત્યારે તેઓની પરિસ્થિતિ આ કાર્ય કરી શકે તેમ નહોતી. સુધીરચંદ્ર સરકારે રૂપિયા ૨૦૦ની સહાય પણ કરી હતી .ખાલી તેમનો એક ઉદ્દેશ હતો કે શરદ આ યમુના સંસ્થા સાથે જોડાયેલો રહે. યમુના શરદને કોઈ પુરસ્કાર આપતું નહોતું ,ભારત વર્ષમાં છપાય તો તેને પુરસ્કાર પ્રાપ્ત થાય ભારત વર્ષનું પૂરું જૂથ  તેમનું ચાહક હતું. સમય જતા શરદના અમુક મિત્રો ખૂબ જ વિઘ્ન સંતોષી હતા તેઓએ શરદના કાન ભર્યા. શરદને કહેવાનાં આવ્યું કે બડીદીદીને કારણે ફણીન્દ્રનાથને ઘણો નફો મળ્યો છે,પણ તે તને આપતા નથી. બસ આ વાત શરદે એકદમ સાચી માની લીધી અને તેણે ફણીન્દ્રનાથ સાથે સંબંધો પૂરા કરી નાખ્યા. તેઓ પાછળથી પસ્તાયા પણ. યમુનામાં પછી કોઈપણ કૃતિ છપાઈ નહીં.

શરદ બાબુની દરેક વાર્તા કે કૃતિઓમાં પાત્રો સાથે વાચકો તેમને જોડી દેતા જેમ કે શ્રીકાંત બહાર આવી તો વાચકોએ તેમને શ્રીકાંતના પાત્રમાં જોયા અને શ્રીકાંતની પ્રેયશી તરીકે રાજલક્ષ્મી ને શોધવામાં પણ લોકો ગાંડા થઈ ગયા , પણ એ ક્યાંથી જડે એ પાત્ર તો લેખકનું કાલ્પનિક પાત્ર હતું.લેખકની બાલ્યાવસ્થાની અત્તૃપ્ત કામનાઓની કલ્પના હતી એને એની બચપનની સખી ધીરુનાં આધારે દેવદાસમાં પારોનું સર્જન કર્યું અને પછી શ્રીકાંતની રાજલક્ષ્મી .એવી એક વાર્તા પણ સાંભળવા મળી કે ધીરુનું સાચું નામ રાજ્લક્ષ્મી જ હતું. ઘણાં લોકો હિરણ્યમયીને પણ રાજલક્ષ્મી માનતા.કોઈક સમયે બાબા વેશમાં તેણે હિરણ્યમયીને લક્ષ્મી તરીકે બોલાવી હશે .એના આધાર પર હિરણ્યમયીને કદાચ રાજલક્ષ્મી માનતા હોય ,પરંતુ કેટલાક જિજ્ઞાસુએ પોતાના મનને સંતોષવા તેણીને કેટલા બધાં પ્રશ્નો કર્યા હતાં. આવા પ્રશ્નો સાંભળી તો તે એટલી બધી દુઃખી થઈ કે તેને લોકોને મળવાનું જ બંધ કરી દીધું તે શ્રીકાંતની રાજલક્ષ્મી જેવી સુંદર નહોતી કે વૈભવ સંપન પણ નહોતી નૃત્ય તો બાજુ પર રહ્યું તે વાત પણ નહોતી કરી શકતી તે અબોધ સ્ત્રી હતી ધર્મપ્રિય હતી પતિવ્રતા અને સેવા પારાયણ હતી. શરદ માટે એને અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં .આ રખડું અને નિરાશ પતિને તે પ્રેમથી રાખતી એને દિશાભૂલેલાને રસ્તો નિશ્ચિત કરી બતાવતી. કેટલીએ વાર તે અતિનો શિકાર પણ બની હતી.શરદને માટે તે એક તપસ્યા મય દેવી હતી તેની શ્રદ્ધાએ શરદને એક મહાન સાહિત્યકાર બનાવ્યો હતો.શ્રીકાંતનું પાત્ર તેના જેવું રઝળું છે. શ્રીકાંતનાં અનેક પાત્રો શરદની આજુબાજુ વિટળાયેલા જીવનનાં પાત્રો હતા.શ્રીકાંત લોકોએ વાંચી અને શરદને જ તેનું પાત્ર સમજી લીધું. શ્રીકાંત પુસ્તક માટે પણ તે મૂંઝવણમાં હતા તેને શંકા હતી અને આથી તેને પોતાના પ્રકાશક ને પણ લખ્યું હતું કે એકાંતની ભ્રમણકથા ખરેખર છાપવા જેવી લાગે છે?તેમને હજુ પણ શંકા હતી ,છતાં પણ છપાસે તો લોકો મને તેમાં શોધશે એની ખાતરી છે.આમ શરદ બાબુ લખતા મહેનત કરતા અને છતાંય પોતાની કૃતિઓ માટે થોડા મૂંઝવણમાં પણ રહેતા.

ધીરે-ધીરે રંગૂનમાં તેમનો જીવ લાગતો નહીં તેમણે તેમના મિત્ર હરિદાસ ચટ્ટોપાધ્યાયને પત્ર લખ્યો કે જો તમે ૩૦૦રૂપિયાની મને મદદ કરશો તો હું આવી શકીશ હવે એટલું જરૂર કરી શકીશ કે મારું દેવું એક વર્ષ જો હું જીવ્યો તો બધું ચૂકતે થઈ જશે અને પછી હું એક વર્ષની રજા મૂકી અને લખવાનું કાર્ય હાથે ધરીશ. તેમના મિત્રે તેમને ખરેખર રૂપિયા મોકલ્યા અને એ જ સમયે રંગૂન ઓફિસમાં તેમને એક ખરાબ અનુભવ થયો સુપ્રિટેન્ડન્સ મેજર બર્નાર્ડને એક ફાઈલની જરૂર પડી શરદ તે ફાઈલના શોધી શક્યા અને અંતે તે ફાયલ તેમના જ ખાનામાંથી મળી. તેમને ગુસ્સો આવ્યો અને તેમને શરદને ખૂબ માર માર્યો આ બંનેની તકરાર ને ફરિયાદ અધિકારી પાસે ગઈ અને તપાસ કરતાં ખબર પડી કે મેજરનો જ વાંક હતો અને આથી મેજર ને સસ્પેન્ડ કરાયો અને મેજર પાસેથી રૂપિયા ૯૦નો દંડ પણ થયો.આ રૂપિયા મેજર શરદને આપે એમ નક્કી થયું. આ આ પ્રસંગે શરદનું મન તૂટી ગયું .તેણે રંગુન છોડવાનો દ્રઢ નિર્ણય કર્યો શરીર પણ તેમનું સારું રહેતું ન હતું .એમણે રાજીનામું આપી દીધું એની એક વર્ષની રજા ચડેલી હતી તે રજા લઈને કલકત્તા જવા રવાના થઈ ચૂક્યા.બસ ત્યાર પછી ક્યારેય તેણે પાછું ફરીને બર્મા સામે જોયું જ નહીં . બર્મા છોડતાં પહેલાં તેના ત્રણ પુસ્તકો ૧૯૧૫ની બીજી ડિસેમ્બરે મજલી દીદી ત્યારબાદ ૧૯૧૬ની ૧૫મીજાન્યુઆરીએ પલ્લી સમાજ અને ૧૯૧૬ની બારમી માર્ચે ચંદ્રનાથ પ્રકાશિત થઈ ગઈ હતી.બસ હવે દિશાની શોધ જાણે પૂર્ણ થઈ હતી એવું શરદ બાબુ ને લાગતું હતું .
તેઓ પાછા કલકત્તા ફર્યા. આમ જીવનનાં અમુક વર્ષો તેમને રંગૂનમાં મિત્ર દોસ્તો અને મજબૂરીથી નોકરી માં ગાળ્યા . મિત્રો,આમ હવે શરદ બાબુ એક જાણીતા બંગાળના લેખક બની ગયા.આ શરદ સાહિત્ય એટલું વખણાયું કે તેના અનુવાદો અનેક ભાષામાં થયા હિન્દી ની આવારા મસીહા બહાર આવી અને ત્યારબાદ તેનો અનુવાદ હસમુખ દવે ગુજરાતીમાં કર્યો ગુજરાતી ભાષાનાં ચાહકોએ શરદ બાબુના જીવન વિશે એમાંથી ઘણું ઘણું મેળવ્યું હતું.
મિત્રો, આવતા અંકે તેમના જીવનમાંથી કંઈક નવું જૂનું શોધી આપ સમક્ષ સંક્ષેપમાં લઈને જરૂર મળીશું.
અસ્તુ,
જયશ્રી પટેલ
૧૫/૧/૨૩

વિસ્તૃતિ…૪૪. *જયશ્રી પટેલ*




શરદબાબુ વિશે આવારા મસીહા દ્વારા ઘણી ઘણી માહિતી શ્રી વિષ્ણુ પ્રભાકરજીએ હિન્દી સાહિત્ય સમાજને આપી. તેને વાંચતા ગુજરાતી સાહિત્યમાં તેનો અનુવાદ કરી હસમુખ દવેએ ગુજરાતી સાહિત્યકારોને અભિભૂત કરી દીધાં. આપણે પહેલાંના અંશમાં ચરિત્રહીન વિશે જાણ્યું , મિત્રો આજે તેમના બે એવા અનાયાસે મળેલ
મિત્રોની મિત્રતા વિશે જાણીએ.
યમુના કાર્યાલયમાં સાહિત્યિક બેઠકો યોજાતી. તેમાં શરદબાબુને એ યુગના ઘણાં સાહિત્યકારો સાથે
પરિચય થયો.આમાના એક સાહિત્યકાર હતા હેમેન્દ્રકુમાર રાય. એ ફણીન્દ્ર પાલના સહાયક હતા. એક
દિવસ સમી સાંજે યમુના માટે આવેલી કૃતિઓને જોઈ તપાસી રહ્યાં હતા ત્યાંજ શરદબાબુનું આગમન થયું તેમણે ફક્ત આંખ ઉઠાવી દ્રષ્ટિ કરી, નિસ્તેજ ચહેરો,
દૂબળો દેહ, શ્યામ વર્ણ, પગમાં ચંપલ, માથા પર સૂકા વાળ તેં પણ વીંખાયેલા, આછી-પાતળી દાઢી, મેલા કપડાં અને સાથે એક દેશી ડાઘિયો કૂતરો તેઓ એ તેની સામે ઉપેક્ષાસહ પૂછ્યું,’ કોનું કામ છે?’
ઉત્તરમાં ફણીબાબુનો ઉલ્લેખ થયો તેથી તેમને એક પાટ પર બેસાડ્યા. મનમાં વિચાર્યું કે કોઈ પટાવાળો જ હશે. ખુરશીઓ તો સાહિત્યકારો ને શોભે.પાટ પર બેસવાનો ઇશારો કર્યો ને કામે વળગ્યા. જુઓ મિત્ર વેશ પહેરવેશ પરથી અનુમાન લગાવ્યું ને તેમણે આટલામોટા
લેખકને તિરસ્કૃત કર્યા. છતાં નિખાલસ શરદબાબુએ પણ પોતાની ઓળખ ન આપી. કૂતરો જ્યારે હેમેન્દ્રબાબુ પાસે પહોંચી ગયો અને એમનું ધોતિયું પકડવા લાગ્યો. એમણે છી…છી કરી મોં બગાડ્યું.
ત્યાં ફણીબાબુ આવી પહોંચ્યાં અને શરદબાબુને આમ પાટલી પર બેઠેલા જોયા તો બૂમ પાડી ઉઠ્યા ,” અરે, શરદબાબુ પાટલી પર કેમ બેઠા છો?
શરદબાબુએ હસતાં હસતાં હેમેન્દ્રબાબુ સામે આંગળી ચિંધી. ફણીબાબુએ શરદબાબુને ખુરશી પર બેસાડી ને તેમની ઓળખ હેમેન્દ્રબાબુને આપી. જે માણસને પટાવાળો સમજ્યા હતા તે એક મહાન લેખક હતાં. તે પછી તો હેમેન્દ્રબાબુ ને શરદ પાક્કા મિત્રો બની ગયાં. બધે જ સાથે ફરતાં ને સાહિત્ય માણતાં. જુઓ મિત્રો પોતાના માન અપમાન ખાતર ઝઘડ્યાં વિના શરદબાબુએ તેમાંથી એક મિત્ર શોધ્યો.

એવી બીજી મોટી વ્યક્તિ તેમની મિત્ર બની તે હતા ‘ભારતવર્ષ’ ના સંપાદક . સ્વનામધન્ય રાયબહાદુર
જલધર સેન. એકવાર તેઓ તેમના મિત્ર સાથે શરદબાબુને મળવા યમુનાની ઓફિસમાં આવ્યા. ફણીન્દ્રબાબુ તેમની ઓળખાણ કરાવા ગયા તો શરદબાબુએ જણાવ્યું કે દાદા સાથે મારી બહુ જૂની ઓળખાણ છે. આમ ન મોટાઈ ન અંહકાર ! તેમની વાતથી જલંધર સેનને નવાઈ લાગી. શરદબાબુએ તેમને
કુન્તીલ પુરસ્કાર પ્રતિયોગીમાં જીતેલી વાર્તા ‘મન્દિર’ વાર્તાનાં નિર્ણાયક હતા તે યાદ અપાવી.
જલધર સેનને યાદ આવતા નિખાલસતા કહ્યું કે ૧૫૦ વાર્તાઓમાં શ્રેષ્ઠ વાર્તા હતી કેમ ભૂલાય ? પણ તેના લેખક તો ભાગલપુરના શ્રીમાન સુરેન્દ્ર ગંગોપાધ્યાય હતા ને?
શરદે હસતાં હસતાં કબૂલ્યું એ વાર્તા મારી હતી પણ મારું નામ આપતા મને સંકોચ થતો હતો તેથી મેં મામાના નામે મોકલી હતી.

બસ તેમની નિખાલસતા જોઈ જલધર સેન બોલ્યા મારા માટે ગર્વની વાત છે .. તેમણે ત્યારે પણ આ હીરાને પારખી લીધો હતો.

આમ એક નવા પ્રગાઢ્ય મિત્ર જલધર સેન તેમને મળ્યાં.શરદ સાહિત્યનું સૌથી વધુ શ્રેય જલધર સેનને જ અપાય.

શરદબાબુએ ૧૯૩૩માં ખુદ સ્વીકાર્યું હતું કે દાદા જો તેમની પાછળ ગુરુની જેમ ન પડ્યા હોત કે લખાણ માટે તકાદા ન કર્યા હોત તો તેમના જેવા આળસુની અડધી કૃતિઓ તો શું ચોથાભાગની કૃતિઓ અપ્રકાશિત જ રહી ગઈ હોત.

મિત્રો, નિખાલસ લેખક અને અંહકાર રહિત ભોળા
ભંડારી હતાં શરદબાબુ . તેમના જીવનનાં ઉતાર ચઢાવ
વખતે મળેલા મિત્રોએ તેમને પ્રસિદ્ધિઓની ટોચ પર પહોંચાડ્યા હતાં.

મિત્રો, આવતા અંશમાં આપણે જોઈશું તેમના જીવનનું એક અગત્યનું પાસું જે ખૂબ જ સુંદરને રોમાંચિત
છે.તેમની દિશાની શોધ ધીરે ધીરે નજીક આવતી જતી હતી.

જયશ્રી પટેલ
૭/૧/૨૩

ઓશો દર્શન -41 રીટા જાની




ગતાંકમાં ઓશોદર્શન અંતર્ગત આપણે ધ્યાનસૂત્રની વાત શરૂ કરી, જેમાં તૃષ્ણા અને સંકલ્પ વિશે જાણ્યું. સાથે શરીર શુદ્ધિના અંતરંગ સૂત્રો પણ સમજ્યા. મનુષ્યના વ્યક્તિત્વમાં જ્યારે શરીર શુદ્ધ હોય, વિચાર શુદ્ધ હોય અને ભાવ શુદ્ધ હોય ત્યારે સાધનાનું પરિધ તૈયાર થાય છે. જો આ ત્રણ વાતો સધાઈ જાય તો જીવનમાં નવા પ્રકારના આનંદ અને શાંતિનો જન્મ થઈ જાય છે. આજના લેખમાં આપણે ચિત્ત શક્તિનું રૂપાંતરણ, વિચારશુદ્ધિનાં સૂત્રો, ભાવ શુદ્ધિનો કીમિયો, અને સમ્યક રૂપાંતરણનાં સૂત્રો જાણીશું.

આપણા ચિત્તમાંથી કશું જ લુપ્ત થતું નથી. એ જે પણ અનુભવો કરે છે તે સંગ્રહિત થાય છે. જો એ સ્મૃતિને ફરીથી જગાડવામાં આવે તો એ જ અનુભૂતિઓમાં પ્રવેશ કરી શકીએ છીએ. મોટાભાગે મનુષ્ય એવી ભૂલ કરતો હોય છે કે એ જે પણ ખોટું છે તેનું સ્મરણ કર્યા કરે છે. વર્ષો પહેલાં તમે ખૂબ ક્રોધિત થયા હતા, અશાંત બન્યા હતા, કોઈએ તમારું અપમાન કર્યું હતું કે કોઈની સાથે બદલો લીધો હતો એ બધી વાતનું સ્મરણ કરતા રહે છે, જે ઘાતક છે. પરંતુ જે વિધાયક છે, ઉપકારક બની શકે છે એ અનુભૂતિનું સ્મરણ જો વારંવાર કરવામાં આવે તો તે બહુ મહત્વનું બની રહેશે. માટે કાંટાને ભૂલી જાવ, ફૂલનું સ્મરણ કરો, શુભનું સ્મરણ કરો, શ્રેષ્ઠનું સ્મરણ કરો, શાંતિની અનુભૂતિ તમારી ચારે તરફ અનુભવો.

સ્વર્ગ કે નર્ક કોઈ ભૌગોલિક સ્થાન નથી, પરંતુ આપણી જ માનસિક, મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. માટે જીવનની એ ક્ષણોનું સ્મરણ કરો – જે અદભુત હતી, ઐશ્વર્યથી ભરેલી હતી. ધ્યાનમાં જે અનુભૂતિ થઈ હોય તેનું સ્મરણ રાખો. આજે દાંપત્યજીવનના પ્રશ્નોનું કારણ પણ એ જ છે કે બધા પ્રેમ માંગે છે પણ પ્રેમ આપતાં કોઈને આવડતું નથી. પાપમાં હંમેશા લક્ષ્ય હશે, પુણ્યમાં કોઈ જ લક્ષ્ય હોતું નથી અને જે પુણ્યમાં લક્ષ્ય હોય તે પાપનું જ સ્વરૂપ છે. પુણ્ય હંમેશા કરુણાથી થાય છે, પાપ કદી કરુણાથી થઈ શકતું નથી. જે ઈશ્વરની મરજી પ્રમાણે અનંત સત્તાના હાથમાં પોતાનું જીવન મૂકી દે છે, તેને કોઈ લક્ષ્ય નથી; ફક્ત અંતઃપ્રેરણા છે. ઓશો એક સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે આપણે એ નદીઓ છીએ જેવા છીએ જેની અંદર બરફના મોટા ટુકડા વહી રહ્યા છે, જે નદીના પ્રવાહની ગતિ મંદ કરે છે. આપણા જીવનમાં પણ તૃષ્ણા, ક્રોધ અને મોહના દબાયેલા આવેગો છે, જે આપણી ધારાને વહેવા દેતા નથી. પરંતુ આ આવેગોને વિસર્જિત કરી, ઓગળી એનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય.

હવે વિચારના સંબંધમાં વિચારણા કરીએ તો વિચારો પણ એક પ્રકારના તરંગો જ છે. વ્યક્તિ જે વિચારોથી આંદોલિત થાય છે, તેવું તેનું વ્યક્તિત્વ ઘડાય છે. મોટાભાગે વ્યક્તિ ધન, યશ કે કામના સંબંધમાં વિચારતા રહે છે. આ અશુદ્ધ વિચારો છે, જે બહિર્ગામી અને અધોગામી છે. તેનાથી તમે ક્યારેય જીવન સત્યને પ્રાપ્ત નહીં કરી શકો. શુદ્ધ વિચારનો અર્થ છે – સત્યમ્, શિવમ્ અને સુંદરમ્, જેની દિશા અંતર્ગામી અને ઉર્ધ્વગામી છે. આપણા વિચાર સત્યોન્મુખ, શિવોન્મુખ તથા સૌંદર્યોન્મુખ બને તે માટે પ્રત્યેક વિચાર, પ્રત્યેક વાણી, પ્રત્યેક ક્રિયા કરતાં પહેલા એક ક્ષણ થોભી જાવ. શુદ્ધ વિચારના કોઈ કેન્દ્ર પર તમારી ઉર્જા અને તમારી શક્તિને ભેગા થવા દો. સ્મરણપૂર્વક જે અશુદ્ધ છે તેનો ત્યાગ કરો અને શુદ્ધ ઉપર સ્વયમ્ ને સ્થિર કરો. કોઈ મારા ઘરમાં કચરો ફેકશે તો હું તેની સાથે ઝઘડો કરીશ, પણ કોઈ મારા મગજમાં કચરો ફેકશે તો હું ઝઘડવા જતી નથી. આ બાબતે જાગૃત રહો. આપણું મન ધર્મશાળા જેવું ન હોવું જોઈએ. મનની ઉપર પણ પહેરો રાખો.

આ જગતમાં અશુભ વિચારો ખૂબ પ્રમાણમાં છે અને તેનો ધુમાડો તમારા ચિત્તમાં પ્રવેશી તમને ઘેરી લે છે. પણ એ ન ભૂલીએ કે કેટલાક નાના નાના શુભ વિચારોના દીવા પણ ટમટમતા રહે છે. ભલે તેમની જ્યોતિ નાની હોય પણ તેમનો સંગ શોધનારના લગભગ ઓલવાઈ ગયેલા દીવાને પણ પ્રકાશમાન બનાવી શકે છે. માટે જ વિશેષ મહત્વ છે સત્સંગ, સત્પુરુષ અને પ્રકૃતિના સાંનિધ્યનું. માટે સત્ નો સંપર્ક, સત્ ની ઈચ્છા, સત્ ની ખોજ, સદ્ વિચારોનો જીવનમાં પ્રવેશ અને પ્રકૃતિના સાંનિધ્યને એક અનિવાર્ય અંગ સમજીને જીવનભર એનો પ્રયોગ કરતા રહેવાનો છે.

માત્ર વિચારના જગતમાં ચિંતનથી જીવનમાં કોઈ ક્રાંતિ થતી નથી. જીવનની મોટાભાગની ક્રિયાઓ વિચારના જગતમાંથી નહીં, પણ ભાવના જગતમાંથી જન્મી હોય છે. ભાવની ચાર જુદી જુદી દિશા છે – મૈત્રી, કરુણા, પ્રમુદિતા(પ્રફુલ્લતા) અને કૃતજ્ઞતા. આ ચાર ફોર્મમાં વ્યક્તિ શુદ્ધ ભાવમાં પ્રતિષ્ઠિત છે જ્યારે એથી વિપરીત ઘૃણા, હિંસા, વિષાદ અને અકૃતજ્ઞતા એ અશુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ ચિત્તની અવસ્થા છે, અશુદ્ધ ભાવ ચિત્તની વિકૃતિ છે. આપણી ચારે બાજુ સમગ્ર પ્રકૃતિ બહુ અદ્ભુત વસ્તુઓથી ભરેલી પડી છે. એમના પ્રતિ પ્રેમ વરસાવો. પણ આપણી આંખો તો ટેલિવિઝન જોવામાં મગ્ન છે, આપણું મન પત્તાની હાર-જીતમાં લાગેલું છે. આમ જ પ્રેમના તત્વોને વિકસિત કરવાનો અવસર નિરર્થક બની જાય છે. મૈત્રી અને પ્રેમના બિંદુને જગાડવા માટેનું એક સૂત્ર યાદ રાખો કે ચોવીસ કલાકમાં એક-બે એવા કામ જરૂર કરો જેના બદલામાં તમારે કંઈ જ પ્રાપ્ત કરવાનું ન હોય.

એક વાતનું સ્મરણ રહે કે જે બીજાને દુઃખ આપે છે તે અંતે દુઃખી થાય છે અને જે બીજાને સુખ આપે છે તે અંતે બહુ જ સુખ પ્રાપ્ત કરે છે. માટે જ્યારે કરુણાનું ભાન થશે ત્યારે તમે કોઈને દુઃખ પહોંચાડવાના બધા જ રસ્તા બંધ કરી દેશો અને શક્ય તેટલું સુખ આપવાના પ્રયત્ન કરશો. સાધનામાં પ્રવેશ કરવા કરુણાના ભાવને વિકસિત કરવો ખૂબ જરૂરી છે.

પ્રમુદિતા એટલે પ્રસન્નતા આનંદની સભાનતા, વિષાદનો અભાવ. ઉદાસી એક ટેવ છે, જે તમે પોતે પાડી છે. પણ એક એવી આદત પણ તમે પાડી શકો છો જેને જાળવી રાખવા તમે જિંદગીનો એ ભાગ જુઓ જે પ્રકાશિત છે. તમે જિંદગીને કઈ રીતે જુઓ છો તેના પર બધો આધાર છે. જે આનંદને પોતાની અંદર એકત્રિત કરે છે તે સાધનામાં ગતિ કરે છે.

કૃતજ્ઞતા એ ખુબ જ દિવ્ય છે. 21મી સદીમાં જો કંઈક ખોવાઈ ગયું હોય તો તે આ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાને સમજવાના અને વિકસિત કરવાના ઉપાય કરવાથી સાધનામાં ગતિ આવશે અને જીવન બદલાઈ જશે.

જ્યારે શુદ્ધિ અને શૂન્યતાનું મિલન થાય ત્યારે સમાધિ ઉત્પન્ન થઈ જાય છે અને સમાધિ પરમાત્માનું દ્વાર છે. માટે સમ્યક રૂપાંતરણ માટે જરૂરી છે -શરીર શૂન્યતા, વિચાર શૂન્યતા અને ભાવ શૂન્યતા.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે સાધનામાં ધ્યાન કોનું કરવાનું છે? મોટા ભાગે આપણે ધ્યાનને “કોઈના ધ્યાન”ના સ્વરૂપમાં વિચારીએ છીએ. ધ્યાન કોનું? પ્રાર્થના કોની? આરાધના કોની? પ્રેમ કોની સાથે? ધ્યાનનો અર્થ કોઈને સ્મરણમાં લાવવાનો નથી. ધ્યાન એ અવસ્થા છે. ધ્યાનનો અર્થ એ સઘળું કે જે આપણા સ્મરણમાં છે તેને પાડી નાખો એ છે. એવી સ્થિતિ લાવવાની છે કે માત્ર ચેતન જ રહી જાય, કેવળ અવેરનેસ રહી જાય. આપણે એક દીવો પ્રગટાવીએ અને બાકીની બધી જ વસ્તુઓ હટાવી લઈએ તો પણ દીવો તો સળગતો રહેશે એવી જ રીતે આપણા ચિત્તમાંથી બધા જ ઉદ્દેશો, વિચારો, કલ્પનાઓ હટાવી લઈએ તો ચેતનાની એકાકી અવસ્થા રહે – એ જ ધ્યાન છે. ધારણાના માધ્યમથી એક ક્ષણ એવી આવે કે શરીર વિલીન થઈ જાય, વિચાર પણ વિલીન થઈ જાય, જ્યારે સઘળું વિલીન થઈ જાય, ત્યારે જે શેષ રહે તેનું નામ ધ્યાન. આપણે શ્વાસની, ચક્રની, મૂર્તિની ધારણા કરીએ છીએ એ ધ્યાન નથી.

શુદ્ધિની ભૂમિકા પરમાત્માની સન્મુખ લઈ જાય છે. એના પછી શૂન્યની દ્રષ્ટિ પરમાત્મા સાથે મિલન કરાવે છે અને પરમાત્મા સાથે એકરૂપ કરી દે છે.

વિચારના દ્રષ્ટા બનવાનું છે, વિચારક નહીં. માટે જ આપણે ઋષિઓને દ્રષ્ટા કહીએ છીએ. મહાવીર અને બુદ્ધ પણ દ્રષ્ટા છે. સાધારણ માણસની અંદર એક ધારા હોય છે- માત્ર વિચારની. સાધકની અંદર બે ધારાઓ હોય છે- વિચારની અને દર્શનની. આપણે વિચારથી દર્શન સુધી પહોંચવાનું છે. એ માટે વિવેકને જગાડવો પડશે. અંતરંગ સાધનાના મૂળ તત્વ છે – સમ્યક નિરીક્ષણ- દેહની ક્રિયાઓનું, વિચારની પ્રક્રિયાઓનું, ભાવની અંતરંગ ધારાઓનું. આ ત્રણ સ્તરોને જે પાર કરીને સાક્ષીને પકડી લે છે, તેને લક્ષ્ય મળી જાય છે.

કેવળજ્ઞાનનો અર્થ છે ચેતનાની એ સ્થિતિ જ્યાં કોઈ જ્ઞેય નથી રહેતો, જ્યાં કોઈ જ્ઞાતા નથી રહેતો, માત્ર જ્ઞાનની શક્તિ જ રહી જાય છે. કેવળજ્ઞાનનો અર્થ છે શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરી લેવો જેને ઓશો અને પતંજલિ સમાધિ કહે છે, જૈનો કેવળજ્ઞાન કહે છે, બુદ્ધ પ્રજ્ઞા કહે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર છે. જ્યારે જ્ઞાન આવે છે, ત્યારે અહંકાર વિલીન થઈ આત્માનું દર્શન થાય છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. એ તો ચેતના, અંતિમ આનંદની અવસ્થા છે. ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એ અનુભૂતિને આપણે પરમાત્મા કહીએ છીએ.

ઓશોના આ સૂત્રો પર જો મહેનતપૂર્વક અને સંકલ્પપૂર્વક કામ કરશો તો બહુ જલ્દી તમારી અંદર એક નવી વ્યક્તિનો જન્મ થઈ જશે. એક એક પગલું ચાલતા રહો, તો અનંત અંતર પણ પૂરું થઈ જશે.

રીટા જાની
23/12/2022

ઓશો દર્શન -39. રીટા જાની

wp-1644023900666



ગત અંકમાં આપણે બુદ્ધના ‘હૃદયસૂત્ર’ની પૂર્વ ભૂમિકાની ઓશોની કાવ્યાત્મક શૈલીમાં અનુભૂતિ કરી. ‘બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો, તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.’ આ મૂળભૂત સમજ સાથે આગળ વધવું છે.

જીવનમાં ત્રણ ચીજો અગત્યની છે -જન્મ, પ્રેમ અને મૃત્યુ.  જન્મ થઈ ચૂક્યો છે, તેનું કંઈ કરવાનું રહેતું નથી. જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે જન્મ લેવા માંગો છો કે નહીં એવું પણ તમને પૂછવામાં આવ્યું ન હતું. પ્રેમ પણ સંભવે છે. જ્યારે તમે કોઈકના પ્રેમમાં પડો છો ત્યારે તમે તમારી જાતને દૂર હડસેલી શકતા નથી. જેમ જીવન આપમેળે સંભવે છે, એમ જ પ્રેમ પણ આપમેળે સંભવે છે. જો જીવનની પ્રત્યક્ષ ક્ષણ ખૂબ જ સુંદર, વ્યક્તિગત, અનુકરણ ના થઈ શકે તેવી બની શકે છે; તો પ્રત્યેક ક્ષણ આશીર્વાદિત અને અનન્ય બની શકે છે. જેઓ પોતાની જેવા જ બનવા માંગે છે તેઓ આ ધરતીના સૌથી મૂલ્યવાન લોકો છે. ઓશો કહે છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, માટે મૃત્યુનું ચિંતન કરો. તમારે તેના માટે તૈયાર રહેવું જ પડશે. સાચો માર્ગ એ છે કે ભૂતકાળની પ્રત્યેક ક્ષણમાં મૃત્યુ પામો અને વર્તમાનમાં જન્મ લો. તે તમને તાજા, યુવાન, સ્ફૂર્તિલા અને  ક્રાંતિવાન રાખશે.  તે એક બહુ મોટી આવડત અને કલા છે.

વાસ્તવિકતા સાથે સુસંગત વિચારોથી પરમાનંદ ઊભો થાય છે.  તમારી અને સત્ય વચ્ચેનું વિભાજન એ અસંગતિ છે. જ્યારે તમે સત્ય સાથે ચાલતા નથી, ત્યારે તમને પીડા થાય છે, સંતોષ મળતો નથી. ઉદાહરણ તરીકે, લીલા ચશ્મા પહેરવાથી આખી દુનિયા લીલી દેખાશે. ચશ્મા હટાવી દેશો તો વાસ્તવિકતાના દર્શન થશે. બુદ્ધ કહે છે કે અંધકારમાં તમે દોરડાને સાપ સમજી બેસો અને ભાગવા માંડો છો અને કોઈ પથ્થર સાથે અફળાવ છો તો તમારા હાડકા ભાંગી જાય છે. સવારે તમને ખબર પડે છે કે તે કેવળ એક દોરડું હતું. ગેરસમજણ એ સમજણ જેવી જ વાસ્તવિક છે. તે સાચી નથી. પરંતુ વાસ્તવિક છે. વાસ્તવિકતા અને સત્ય વચ્ચેનો આ ફરક છે. માટે જ બુદ્ધ કહે છે કે કેવળ દીવો થઈને તમારી અંદર ઉતરો અને બરાબર નિહાળો કે સાપનું અસ્તિત્વ છે કે નહીં. વિચારો એ વિકૃતિકરણનું માધ્યમ છે. માટે જ બુદ્ધે શુન્યતા ઉપર, નિર્બુદ્ધી, નિર્વિકલ્પ અવસ્થા પર એટલો બધો ભાર મૂક્યો છે. જ્યારે તમે બિલકુલ ખાલી છો, ત્યારે આઈનો જ પ્રતિબિંબ પાડે છે. પરંતુ જો તમે કોઈ વિચાર ધરાવો છો તો તમે તેને વિકૃત કરશો.

ઓશો કહે છે કે આપણે વિશાળ સમુદ્રના બહુ નાના અંશો છીએ, ટીપાંઓ છીએ. અહીં સંદેશ છે- પ્રેમ, શરણાગતિ અને સ્વીકૃતિનો. અંશ પૂર્ણ સાથે ભળીને જ સમર્થ બની શકે. તમારું સામર્થ્ય સત્ય સાથે રહેવામાં રહેલું છે. નદીમાં સામા પ્રવાહે તરવાનો પ્રયાસ કરો તો તમે કમજોર સિદ્ધ થશો. પણ નદીના પ્રવાહમાં વહો, તો નદી તમને તે જ્યાં જતી હશે ત્યાં લઈ જશે.

ભવિષ્ય વિષમય છે. તમે જેટલું વધુ સંચય કરશો, તેટલી આંતરિક દરિદ્રતાનો અનુભવ કરશો. વર્તમાન ક્ષણ સુંદર અને મનોહર છે. જ્યારે તમે આ ક્ષણના શિખર પર સ્વાભાવિક, સ્વયંસ્ફૂર્ત, સરળ અને સામાન્ય જીવન જીવો છો, તે એક મહાન આશીર્વાદ છે. ઓશો સમજાવે છે કે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો અભાવ ડહાપણ છે. જેને બુદ્ધ પ્રજ્ઞા પારમિતા કહે છે- પરમોત્કૃષ્ટ પ્રજ્ઞા પારલૌકિક પ્રજ્ઞા.  એક વાર આ સત્ય તમારા અસ્તિત્વમાં પ્રવેશે છે, પછી મહાન પરિવર્તન આવશે. માટે સામર્થ્યની ઈચ્છાનો ત્યાગ કરી અવલોકન કરો.

ઓશો કહે છે કે જો તમે સફેદ દિવાલ પર સફેદ ચોકથી લખો તો વાંચી શકાશે નહીં. પણ જો બ્લેકબોર્ડ પર લખો તો સ્પષ્ટ દેખાઈ આવશે, માટે વિરોધાભાસ જરૂરી છે. દિવસ દરમિયાન પણ આકાશમાં તારાઓ હોય છે. પરંતુ રાત્રિના અંધકારમાં તેમને જોઈ શકાય છે. એ જ રીતે એક બાળક નિર્દોષતા ધરાવે છે, પરંતુ પાછળ કોઈ પાર્શ્વ ભૂમિકા નથી. એથી વિપરિત એક બુદ્ધ પોતાનું જીવન જીવી ચૂક્યા છે, સારું અને ખરાબ બંને ધ્રુવીયતાને સ્પર્શી ચૂક્યા છે. માટે જ બુદ્ધ કહે છે કે “મેં કશું પ્રાપ્ત કર્યું નથી. મેં કેવળ એ શોધી કાઢ્યું છે, જે હંમેશા હોય છે. ખરેખર કોઈ પ્રાપ્તિ નથી, મેં કેવળ તેને ઓળખી છે. તે શોધ નથી, પુનર્શોધ શોધ છે. જ્યારે તમે બુદ્ધ બનો છો ત્યારે તમે તમારો સ્વભાવ જુઓ છો. એ માટે તમારે પથભ્રષ્ટ થવું પડે છે, કાદવવાળી જગ્યાઓમાં પ્રવેશવું પડે છે. ત્યારે જ તમારી અણિશુદ્ધ, નિર્મળતા અને શુદ્ધતા જોઈ શકાશે.”

અહમ્ ના સાત દ્વાર છે જે બહુ સ્પષ્ટ અને એકબીજાથી જુદા નથી. જો વ્યક્તિ સાતે દ્વારમાંથી અહમ્ પ્રાપ્ત કરે છે, તો તે સંપૂર્ણ અહમ્ બને છે. જે રીતે ફળ કાચું હોય ત્યારે લટકતું રહે છે પણ જ્યારે પક્વ બને ત્યારે ખરી પડે છે, એવું જ અહમ્ નું પણ છે. વક્રતા એ છે કે ખરેખર વિકાસ પામેલો અહમ્ જ શરણે થઈ શકે છે, પૂર્ણ અભિમાની જ શરણાગતિ સ્વીકારી શકે છે કારણ કે એ અહમ્ નું દુઃખ જાણે છે. માટે બુદ્ધ બનતા પહેલા તમારે આ સાત દ્વારનો ઉપયોગ કરવો જ જોઈએ. અહમ્ નું પ્રથમ દ્વાર દેહમય જાત, દ્વિતીય આત્મઓળખ, ત્રીજું આત્મસન્માન, ચોથું આત્મવિસ્તરણ, પાંચમું આત્મ છબી, છઠ્ઠું સ્વ-નિજત્વ અને સાતમું દ્વાર યોગ્યતાની પ્રાપ્તિ છે. વ્યક્તિ અહમ્ ના સાત દ્વાર શરૂ થતા પહેલા બાળક છે અને અહમના સાત દ્વાર પૂર્ણ થયા બાદ બુદ્ધ છે. આ પૂર્ણ ચક્ર છે.

ઓશો કઝાન્સાકીના પુસ્તક ‘ઝોર્બા ધ  ગ્રીક’ ને ટાંકીને કહે છે કે પુસ્તકને પ્રેમ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, ક્યારેય કોઈનું અનુકરણ કરવાની કોશિશ ન કરો. ઝોર્બા પાસેથી રહસ્ય શીખો, સહભાગી બનો, પછી તમારી રીતે આગળ વધી અને ‘તમે બનો’. જીવનને આનંદપૂર્વક સ્વીકારો, સહજતા અને સ્વસ્થતાથી જીવો. બહુ ગંભીર બનવાની જરૂર નથી, રમતિયાળ બનો. દરેક પળને તીવ્રતાથી જીવો. તીવ્ર પૂર્ણતાની એક ક્ષણ તમને ઈશ્વરનો સ્વાદ ચખાડવા પૂરતી છે. એ ક્ષણ તમને શાશ્વત બનાવી દેશે.

બુદ્ધનો સંદેશ છે કે ‘તમે તારણ પામેલા જ છો. તારણહાર આવવાની જરૂર નથી. તમે ગુનેગાર નથી. કોઈ દુઃખ નથી. સારિપુત્ર! દુઃખનું કારણ કે ઉદ્ભવ નથી. તેનો કોઈ નિરોધ નથી અને તેનો કોઈ માર્ગ નથી. તે કોઈ પ્રાપ્તિ નથી કે તે કોઈ અપ્રાપ્તિ નથી, તે છે જ. તે તમારો ખુદનો સ્વભાવ છે.’

બુદ્ધ સારિપુત્રને કહે છે કે “પ્રજ્ઞા પારમિતા” એટલે “ધ્યાન, પરમોત્કૃષ્ટની પ્રજ્ઞા”. તમે તેને ખોલી શકો. તમે તેને લાવી શકો નહીં. ધ્યાન બનવા માટે ચિત્ત અને મગજ શાંત થવું જોઈએ. એકાગ્રતા એ મગજનો પ્રયાસ છે, ધ્યાન એ ચિત્તરહિતાની અવસ્થા છે, શુદ્ધ જાગૃતિ છે. ધ્યાનમાં કોઈ ઉદ્દેશ નથી. ધ્યાન એક વૃક્ષ છે, જે બીજ વિના ઉગે છે. ધ્યાન એ સમજદારી છે કે ઈચ્છાઓ ક્યાંય દોરી જતી નથી. ધ્યાનમાં કોઈ કેન્દ્ર નથી, તમે શૂન્યતાના આધારે કામ કરો છો. શૂન્યતાને આધારે  ઉદ્દભવતો પ્રતિભાવ એ જ તો ધ્યાન છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા – કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો સમયની જરૂર પડે, પરિશ્રમની જરૂર પડે, તેને તત્કાલ મેળવી શકાય નહીં. પરંતુ કેવળ ધ્યાન હમણાં પ્રાપ્ત કરી શકાય છે, આ જ ક્ષણે, તત્કાલ. કારણ કે એ તમારો સ્વભાવ છે. એ માટે એક ક્ષણ પણ ગુમાવવાની જરૂર નથી. નિર્વાણ બીજું કશું નથી, પરંતુ પૂર્ણ ચક્ર કરેલી ધ્યાનાવસ્થા છે. ઈશ્વર બીજું કશું નથી, પરંતુ ધ્યાનની કુંપળનું ફૂલ બનવું છે. આ પ્રાપ્તિઓ નથી, આ તમારી જ વાસ્તવિકતાઓ છે, તે તમારી અંદર જ બિરાજમાન છે. ધ્યાન અર્થાત તેમાં હોવું, ધ્યાનસ્થ હોવું. એનો અર્થ કોઈના ઉપર ધ્યાન કરવું એવું થતો નથી. તે એક અવસ્થા છે, પ્રવૃત્તિ નથી. બુદ્ધ કહે છે કે તમે શૂન્યતાની આ અવસ્થામાં જાવ. પછી નિર્વાણ સ્વાભાવિક પરિણામ છે. તે આપમેળે આવે છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે આ શૂન્યતામાં કેવળ પ્રવેશો અને પછી શૂન્યતા વિશાળ અને વિશાળ થતી જશે. એક દિવસ તે તમારું સમગ્ર અસ્તિત્વ બની જશે. તેમનું એક માત્ર આશ્રયસ્થાન પ્રજ્ઞાની પરિપૂર્ણતા, ધ્યાનની પરિપૂર્ણતા છે. બુદ્ધ મહાગુરુ છે. એવા ગુરુ, જે તમને મુક્ત કરે છે, તમારા અંધકારનો નાશ કરે છે. તેમનો સંદેશ મનુષ્યને આપવામાં આવેલા સંદેશાઓમાંનો મહાનતમ સંદેશ છે.

રીટા જાની
25/11/2022

વિસ્તૃતિ…૩૮ જયશ્રી પટેલ


વિષ્ણુ પ્રસાદજીની આવારા મસીહામાંથી અને અનુવાદક શ્રી.હસમુખ દવે દ્વારા મળેલી શ્રી શરદચંદ્રના જીવનની અવનવી વાતો આપની સમક્ષ સંક્ષેપમાં રજૂ કરતા આનંદ અનુભવું છું .
મિત્રો, શરદબાબુના ભટકન પછી શાંતિનાં મૃત્યું પછી તેમના જીવનમાં બીજી કોઈ સ્ત્રી પ્રવેશી શકી નહોતી. હા ,સમાજ અને સમાજના લોકો તેને માટે ખૂબ જાતજાતની વાયકાઓ કરતાં કોઈકે કહ્યું હતું કે તે કોઈ નીચ જાતિની સ્ત્રી સાથે રહે છે ,તો કોઈ કહેતું તેનું નામ વિરાજ વહુ છે ,તો કોઈ કહેતું ના ના એનું નામ નયનતારા છે , તો વળી કોઈ કહેતું ના ભાઈ ના એનું નામ તો શશી તારા છે .કેટલાય ભદ્રલોક પોતાની જાતને એને અભદ્ર કહીને એ બાજુ જતા નહીં ,તો કેટલાક જતા તેના ઘરની બેઠકમાં જ બેસી નીકળી જતાં, ઘણાંને તો લાગતું કે ઘરની સજાવટ તો સ્ત્રીનાં હાથની જ છે ,પણ કોઈ ઘરમાં ડોકાવાની હિંમત કરતું નહીં. માઘોત્સવનો પર્વ આવતા ભજન કીર્તન માટે મૃદંગની જરૂર પડી એક ભજન ગાનારે કહ્યું કે શરદને ત્યાં મૃદંગ છે ત્યાંથી લઈ આવીશ .
જે લેવા આવ્યો હતો તે પણ પહેલીવાર આવ્યો હતો .તેણે શરદને પૂછ્યું કે મૃદંગ કોઈ આપી જશે કે ઉચકશે ?એવો પ્રશ્ન કર્યો ત્યારે રસોડામાંથી કોઈ સ્ત્રીનો કટાક્ષયુક્ત અવાજ સંભળાયો ,”જે લેવા આવ્યો છે તેને મૃદંગ ઉપાડવા માટે અન્ય કોઈની સહાયતાની શી જરૂર પડી ભલા ? આમ તો અવાજ સાંભળી અવાચક જ રહી ગયો . ના ,હા કર્યા વગર મૃદંગ લઈને ચાલ્યો ગયો .આ સ્ત્રી એટલે મોક્ષદા અને શરદચંદ્રની બીજીવારના પત્ની જેને તેવો હિરણ્યમયી કહેતા .
શાંતિ પછી બર્મામાં તેમના જીવનમાં ત્રણ વ્યક્તિ પ્રવેશી .જેમાની પહેલી વ્યક્તિ આ હિરણ્યમયી હતાં. નિર્દોષ સુખ આપનારા શુદ્ધ કંચન જેવા અંતરથી ઉજવળ . હિરણ્યમયીના પિતા કૃષ્ણદાસ અધિકારી બંગાળથી કમાવા જ પુત્રી સાથે રંગૂન આવ્યા હતા. ધીરે ધીરે શરદના પરિચયમાં આવ્યા .દીકરી મોક્ષદા માટે મુરતિયો શોધવાનું કામ શરદ પર આવી પડ્યું .આ કામ સફળ ન જ થયું. પત્તો ન જ ખાધો કોઈ મુરતિયાનો!આખરે તેમણે શરદને લગ્ન કરી લેવા કહ્યું ,પણ શરદનું અંતર મન શાંતિ પછી ક્યાંય લાગતું નહોતું જ .
તે અરસામાં શરદબાબુ ખૂબ બીમાર પડ્યા અને મોક્ષદાએ દિવસ રાત્ર તેમની સેવા કરી તેના પિતાએ તેને કહ્યું કે જો તમે મોક્ષદા સાથે નથી પરણવા માંગતા. તો થોડા રૂપિયા ઉધાર આપો. હું તેને દેશમાં લઈ જઈ પરણાવી દઉં મને ત્યાં એક જણ ઓળખે છે અને તૈયાર પણ છે .બે દિવસમાં તો શરદે મોક્ષદા સાથે લગ્ન કરી લેવાની તૈયારી બતાવી. ખૂબ જ સાદાયથી બંને પરણી ગયા કાયદાથી નહીં પણ અંતર મનથી બંને એકબીજાના થઈ ગયા.
શરદબાબુના જીવન મૂલ્યો ફરીથી બદલવા લાગ્યા. ફરી તેના મનમાં સૌંદર્ય ભાવના જાગી ,પ્રેમના ફૂલોથી ઘર મહેક્યું .એને પુસ્તક પર પ્રેમ હતો , તો પશુ પક્ષી પર પણ પ્રેમ હતો એ પ્રેમ ફરી જાગૃત થયો. આંગણામાં હિરણ્ય મયીએ તુલસી વાવી અને પાઠ પૂજા શરૂ થઈ .
સૌપ્રથમ એક મૈના પાળી હતી .તેને પ્યારથી ભૌના કહેતા હતા .શરદબાબુને તે મૃત્યુ પામી અને જાણે દિકરી મૃત્યુ પામી હોય તેવું દુઃખ થયું .ત્યારબાદ એક સિંગાપુરી કાકા- કૌવા પાળ્યો એનું નામ પાડ્યું બાટૂ બાબા .શરદ એ તેને બોલતા શીખવ્યું . રાત્રે વારંવાર ઊઠી તેને જમાડતો .એને માટે તો એણે ચાંદીનો સ્તંભ અને સોનાની સાંકળ, સ્પ્રિંગ વાળું ગોદડુ આ બધું તૈયાર કરાવ્યું ,રેશમી તકિયા અને ઓઢવાનું અને મચ્છરદાની ની વ્યવસ્થા કરી રાત્રે સાંકળ છોડી દેતો તો તે સ્તંભ પરથી નીચે ઉતરી મચ્છરદાનીની અંદર જઈ તકિયા પર માથું મૂકી સુઈ જતો. આ બાટૂ બાબા જેટલો સુંદર વ્હાલો હતો તેટલો બદમાશ પણ હતો. શરદબાબુ તેની ચાંચ ચૂમતા તો તે ગળગળો થઈ તેના ગાલ ઉપર પોતાનું મોઢું રગડતો .તે કંઈ નવા માણસને ઘરમાં ન પ્રવેશ કરાવા દેતો .એકવાર નોકરાણી ઘી ચોરી લઈ જતી હતી તો તેને સાંકળ તોડી તેની પર હુમલો કર્યો હતો તેને બચકાભરી ઘાયલ કરી દીધી હતી . એટલી વારમાં કામવાળી બાઈ પકડાઈ પણ ગઈ શરદના હાથે.
મૃત્યુ તો નક્કી જ હોય છે તેમ બાટૂ બાબા પણ મરી ગયો અને શરદની જિંદગીમાં ફરી અંધકાર છવાયો બહુ સમય ઘરમાં પુરાઈ રહ્યો તેની સોનાની સાંકળ જ તેને ગળામાં ફાંસો દઈ ગઈ હતી .તેના શોકમાં તો તે શોકાકૂળ ને નિરાશ બની ગયો .બાળક ગુજરી ગયો હોય તેટલો તેને શોક લાગ્યો હતો.
એકવાર કૂતરો પણ પાળ્યો તે દેશી ખુંખાર અને બિહામણો હતો અને અસભ્ય પણ .કોઈ ફકીરે હિરણ્ય દેવીને કહ્યું હતું કે આ કૂતરો ઘરે લઈ જાવ અને પાળો તમારું નસીબ ખીલી ઉઠશે ખરેખર નસીબ ખીલી ઉઠ્યું તે પણ કૂતરાને લીધે ! હિરણ્યમયીએ તેનું નામ “બંસી વદન” પાડ્યું હતું પરંતુ શરદે તેનું નામ રાખ્યું હતું. “ભેલી” આ કૂતરાને પણ શરદ ખૂબ પ્રેમ કરતો હતો.

મિત્રો ,આમ શરદ બાબુની જિંદગીમાં હિરણ્યમયી સાથે સાથે પશુ પંખીઓએ આનંદ અને પ્રેમની લહેરખી પ્રસરાવી .પોતાના વ્હાલા પશુ પંખીનાં મૃત્યુનો ખેદ પણ એમને એટલો જ રહ્યો.

મિત્રો,આવતા અંકમાં કંઈક આવી જ નવીન વાતો કરીશું અને જાણીશું શરદબાબુ વિશે.

અસ્તુ,
જયશ્રી પટેલ.
૧૩/૧૧/૨૨

ઓશો દર્શન -38. રીટા જાની

wp-1644023900666




‘કેનોપનિષદ’ની પ્રસ્તાવનામાં શ્રી.વિરેન્દ્ર આસ્તિક કહે છે કે ઓશોએ ભાષાના માધ્યમથી ધ્યાન, બ્રહ્મ અને આધ્યાત્મિકતા જેવા ગૂઢ વિષયોને સરળ અને રોચક બનાવ્યા છે. ઓશો જેટલા ભૌતિક છે તેટલા પ્રયોગાત્મક પણ છે. ક્યાંય પણ અતિશયોક્તિ હોય ત્યાં એનું ખંડન કરવાનું પણ ચૂકતા નથી. યથાર્થના પ્રત્યે ભાષાનું આ અતિ સંવેદન આપણને બીજે ક્યાંય જોવા નહીં મળે. ઓશો કહે છે કે “તમે શું કહો છો, તમે શું બોલો છો, તમે શું લખો છો, તે અર્થહીન છે. તમે શું છો એ મહત્વપૂર્ણ છે. તમારો માર્ગ તમારી રીતે તૈયાર કરવો પડશે. તમારા નિષ્કર્ષો, પ્રમાણો અને સર્જન તમારા ખુદના અનુભવમાંથી આવવા જોઈએ. માટે પ્રામાણિક બનો.”

આજે ઓશો દર્શન અંતર્ગત આપણે વાત કરવી છે ‘હૃદયસૂત્ર’ની, જે બુદ્ધની દેશનાઓમાં સર્વોચ્ચ સ્થાને છે. આ સૂત્રો બૌદ્ધ સંદેશનું હાર્દ- હૃદય છે. જો તર્ક અને બુદ્ધિથી આ સૂત્રોને સમજવા પ્રયત્ન કરશો તો તમે તેના સારને ખતમ કરી નાખશો. જો તમારી બુદ્ધિ ચલાવ્યા વિના અવલોકી શકશો તો તમને મહાન સમજ પ્રાપ્ત થશે. બુદ્ધનો માર્ગ બુદ્ધિનો છે. આ જગત માયા કે ભ્રમણા નથી, પરંતુ સત્ય છે. બુદ્ધના ચરણ ધરતી સાથે જોડાયેલા હોવા છતાં તેમના હાથ અનંત ઊંચાઈને આંબે છે. બુદ્ધ આપણને આ દુઃખ, સંસારમાંથી મુક્તિ માટેનો અષ્ટાંગિક માર્ગ સારિપુત્ર સાથેના અંગત સંવાદમાં દર્શાવે છે. અસ્તિત્વ પૂર્ણ શૂન્યતા છે. તમામ સ્વરૂપો શૂન્યતા છે. પરંતુ આ શૂન્યતા અસાર નથી, સારસભરતાથી પરિપૂર્ણ છે.

બુદ્ધની આંતરદ્રષ્ટિ અત્યંત વેધક અને માર્મિક છે. વાસ્તવિકતાના આ ક્ષેત્રમાં તેઓ ખૂબ ઊંડાઈ સુધી પહોંચ્યા છે. તમારા હૃદયમાં એ પૂર્વધારણા કરો કે તમે બુદ્ધ છો. તેને એક બીજ સ્વરૂપે રહેવા દેશો તો તેની આસપાસ ઘણી ચીજો બનવાની શરૂ થશે. તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો. તમે એકાકાર બનવા સમર્થ છો. થોડી જાગૃતિ અને થોડી વિશેષ ચેતનાની જરૂર છે. એ ખજાનાને લાવવા તમારા ઘરમાં એક નાનો દીવો લાવવાનો છે.

સૂફીઓ સાત ખીણોની વાત કરે છે. હિન્દુઓ સાત ચક્રની વાત કરે છે. પ્રાચીન બૌદ્ધ ગ્રંથો સાત મંદિરો અંગે કહે છે. પ્રથમ મંદિર શારીરિક છે બીજું મનો – શામક, ત્રીજું માનસિક, ચોથું મનો -આધ્યાત્મિક, પાંચમું આધ્યાત્મિક, છઠ્ઠું આધ્યાત્મિક- અલૌકિક અને સાતમું મંદિર -મંદિરોનું મંદિર -અલૌકિક છે. હૃદયસૂત્ર સાતમા અલૌકિક મંદિરમાં પ્રવેશેલી વ્યક્તિની ઘોષણાઓ છે.

કોઈપણ વ્યક્તિના મનમાં ઉઠી શકે તેવો સૌથી અગત્યનો સવાલ છે કે સત્ય શું છે? સત્ય એ કોઈ પરિકલ્પના નથી, કોઈ જડ સિદ્ધાંત નથી, કોઈ ધર્મ સાથે સંકળાયેલ નથી. જેમ અંધકાર અને પ્રકાશ સાથે રહી શકતા નથી તેમ સત્ય અને અસત્ય એક સાથે રહી શકે નહીં. અસત્ય બીજું કશું નથી પણ સત્યની અનુપસ્થિતિ છે. સત્ય એ અસ્તિત્વનો અનુભવ છે. જે રીતે શાંત સરોવર આઈનો બની જાય છે અને તમારું પ્રતિબિંબ તમે જોઈ શકો છો. પરંતુ જો સરોવરમાં લહેરો ઉઠતી હોય, પવન ફુંકાતો હોય, તરંગ ઉઠતા હોય, તો તમારું પ્રતિબિંબ ધ્રુજતું રહેશે. એ જ રીતે તમારી ચેતનામાં વિચારોનો ટ્રાફિક ચાલતો જ રહે છે. વિચારોનુ ટોળું તમારી આસપાસ નાસભાગ કરતું રહે છે, ત્યારે તમે શી રીતે જાણી શકો કે સત્ય શું છે? આ ટોળામાંથી બહાર નીકળવા જરૂરી છે ધ્યાન, વિચારો વિનાની ચેતના, તરંગહીન ચેતના. પછી ત્યાં પ્રગટ થાય છે – સત્ય, જેને તમે ગમે તે નામ આપી શકો.

ઓશો કહે છે કે તમે જ્યારે ગુલાબનું ફૂલ જુઓ છો, સૂર્યોદય જુઓ છો કે રાત્રે ચંદ્ર જુઓ છો ત્યારે તમે તેને જુઓ કે ના જુઓ તેમાં કોઈ સંમતિ કે અસંમતિનો સવાલ નથી. એ જ રીતે ઓશોને જીવંતતા સાથે, મુક્ત મને, તુલના કર્યા વિના, કોઈ નિષ્કર્ષ કાઢ્યા વિના સાંભળો, આંતરદ્રષ્ટિ, ધ્યાન અને સંપૂર્ણતા સાથે સાંભળો. મૌન એ શૂન્યતા છે અને કેવળ શૂન્યતા જ સત્યના વિશ્વમાં કામ કરી શકે છે. બુદ્ધ એ શાંતિ અને મૌનને સન્યાસ કહે છે. આંતરદ્રષ્ટિ એ શૂન્યમનસ્કતાની અવસ્થા છે. જે રીતે અંદરથી ખાલી ડ્રમને વગાડી શકાય છે, એ જ રીતે શૂન્યતામાંથી સુંદર અવાજ પ્રગટે છે. ત્યારે તે માત્ર સાંભળેલો શબ્દ ન રહેતાં સ્ફુરણા કે આંતરદૃષ્ટિ બની જાય છે. એકવાર જે આ આંતરિક ખાલીપણા અને શૂન્યતાને જાણી લે છે તેના તમામ ભય અદ્રશ્ય થઈ જાય છે. આ તમામ અદ્રશ્ય થવાની ઘટનામાં જે શેષ રહે છે તે નિર્મળ આકાશ છે, જેના વિશે બુદ્ધ વાત કરે છે. એ જ સમાધિ છે, નિર્વાણ છે.

બુદ્ધના મહાન શિષ્યોમાંના એક પ્રમુખ શિષ્ય સારિપુત્રને સંબોધીને આ સૂત્ર કહેવાયા છે. તેના સાત સ્તરો છે. સાતમું પગથિયું પારલૌકિક છે: ઝેન, તંત્ર, તાઓ. છ પગથિયાં સુધી પદ્ધતિ અગત્યની રહે છે, શિસ્ત અગત્યની રહે છે, અનુષ્ઠાન અગત્યના રહે છે. પણ સાતમા પગથિયે જ્યારે તમે પહોંચો છો ત્યારે કેવળ શૂન્ય બનવું જરૂરી છે. સારિપુત્ર ચર્ચામાં બુદ્ધને પરાજિત કરવાના ઇરાદા સાથે દેશભરમાં સફર કરીને આવ્યો હતો. બુદ્ધ તેને એક વર્ષ મૌન રહેવા કહે છે અને એક વર્ષ બાદ સારિપુત્ર તેના પાંચ હજાર શિષ્ય સાથે બુદ્ધના શિષ્ય બની જાય છે.

બુદ્ધ તાર્કિક નથી પરંતુ દ્વંદ્વાત્મક છે. સમગ્ર બૌદ્ધ અભિગમ આ સૂત્ર પર આધારિત છે. જે વ્યક્ત છે એ અવ્યક્ત છે. સ્વરૂપ એ કશું નથી પણ સ્વયં શૂન્યતાનું જ સ્વરૂપ છે અને શૂન્યતા કશું નથી પરંતુ સ્વરૂપ છે, સ્વરૂપની સંભાવના છે. જીવન અને મૃત્યુ એ વિરોધી તત્વો નથી, તેઓ આંતરવ્યાપ્ત છે, તેઓ પરસ્પર દ્વારા અસ્તિત્વ ધરાવે છે. આ પાયાની આંતરદ્રષ્ટિ બતાવવા બુદ્ધ કહે છે કે સ્વરૂપ એ સ્વરૂપવિહીનતા છે અને સ્વરૂપ વિહીનતા એ સ્વરૂપ છે. દ્વૈત માત્ર દેખાવ પૂરતું છે, અંદર ઊંડે તે બધું જ એક છે. આ જ સંવેદન, સમજ અનુભૂતિ અને ચેતના માટે પણ સાચું છે. સમગ્ર જીવન અને સમગ્ર અસ્તિત્વ ધ્રુવીય વિરોધોનું બનેલું છે. પરંતુ કેવળ સપાટી ઉપર તેઓ ભિન્ન છે, મારી અંદર તેઓ એક છે. આ આંતરદ્રષ્ટિ સાથે એક મહાન સ્વીકૃતિ ઉદ્ભવે છે.

બ્લેક હોલનો ખ્યાલ બુદ્ધના શૂન્યતાના ખ્યાલ સાથે ખૂબ સામ્ય ધરાવે છે. તમામ સ્વરૂપો શ્યામલતામાં તૂટીને અદ્રશ્ય થઈ જાય છે અને લાંબા સમય પછી ફરી ઉભરાય છે. એ જ રીતે જીવન અને મૃત્યુ, મૃત્યુ અને જીવન -ચાલતું જ રહે છે. અસ્તિત્વ આ રીતે ગતિ કરે છે. મનુષ્ય સમગ્ર અસ્તિત્વનું લઘુચિત્ર છે. મનુષ્ય સાથે જે બને છે, તે બૃહદ સ્તર પર સમગ્ર અસ્તિત્વની સાથે બને છે. બુદ્ધ કહે છે કશું કરવાનું નથી, કેવળ સમજની જરૂર છે. જો તમે તેને એક આંતરદ્રષ્ટિ તરીકે જોઈ શકો તો તે તમારું સમગ્ર જીવન બદલી શકે છે.,…

બુદ્ધ કહે છે: તમે જેવા છો તેવા છો, કોઈ સુધારો કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. તમે જેટલા હોઈ શકો એટલા શ્રેષ્ઠ છો, વધુ સંભવ નથી. વધુ તમારા માટે સમસ્યા ઊભી કરશે. પ્રકૃતિનો સ્વીકાર કરો, પ્રાકૃતિક રીતે સરળ, સ્વયંસ્ફૂર્ત, ક્ષણે ક્ષણે જીવો. તેમાં પવિત્રતા છે. કશું પૂર્ણ નથી કે કશું અપૂર્ણ નથી. મારું જ્યાં અસ્તિત્વ છે, ત્યાં કંઈ સારું નથી કે ખરાબ નથી, ત્યાં સંસાર અને નિર્વાણ બંને સમાન છે, ત્યાં તમામ ભેદો અદ્રશ્ય થઈ જાય છે. બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો. તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.

ઓશો પોતાની આગવી ખૂબીથી ‘હૃદયસૂત્ર’નો પરિચય કોઈ પરંપરાવાદીની માફક નહીં, પરંતુ આધુનિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રની સિદ્ધિઓને ધ્યાનમાં રાખી વર્તમાન યુગના મનુષ્યની જરૂરિયાતના સંદર્ભમાં કરાવે છે. આ વિષય પર વધુ આવતા અંકે….

રીટા જાની
04/11/2022