કહેવત – ગંગા સમીક્ષા – ૫ કલ્પના રઘુ

જ્યાં માનવ હોય ત્યાં બોલી હોય અને બોલી હોય ત્યાં કહેવતો સરળતાથી પ્રગટ થઈ જાય છે. વિશ્વનો કોઈપણ ખૂણો હોય, કહેવતોનો રોજીંદી વાતચીતમાં છૂટે હાથે ઉપયોગ થતો હોય છે. વિશ્વની એવી કોઈ ભાષા નહીં હોય કે જેમાં કોઈ કહેવત નહીં હોય. વિદેશી કહેવતોમાં પણ આપણી જેમ ત્યાંની વિશિષ્ટતા જોવા મળે છે. કહેવતો માણસનો સ્વભાવ, અનુભવો, ત્યાંના રીત રિવાજ કે ભૌગોલિક પરિસ્થિતિને પ્રદર્શિત કરે છે. કહેવતો લોકજીવનનું પ્રતિબિંબ કહેવાય. વ્યક્તિ, વસ્તુ કે સંજોગોને સચોટ, સ્વાભાવિક, ભાવવાહી બનાવવાનું કામ કહેવતોનું છે. જરૂરી નથી કે દરેક કહેવત બોધ આપી જાય છે.

જે તે કહેવત કોણે શોધી? કહેવતનું જન્મ સ્થળ કયુ? હા, કહેવતની ભાષા પરથી જે તે દેશની કહેવત છે તે ચોક્કસ ખબર પડે છે. કહેવત સદીઓ પહેલાં શોધાયેલી. પહેલાં શહેરો ન હતાં, ગામડા હતાં. ગામડાની ભાષા સૈકાઓ પહેલાં જે સહજ રીતે બોલાતી તેને ગ્રામીણ બોલી, સહજ વાણી, તળપદી ભાષા કહેવાય. દરેક બોલીની તળપદી ભાષામાં જે કહેવતો બોલાતી, જે સાંપ્રત ઘટનાઓ અને જીવનની ઘટમાળને વણી લેતી તે આજે પણ સાંભળવી ગમે છે, કાનને મીઠી લાગે છે. અસલ જૂના ગરબા, લોકગીતો, ચાબખા, ફટાણા, લગ્ન ગીતો તળપદી ભાષામાં બનેલાં છે, જેમાં ઝૂમવું દરેકને ગમે છે. કહેવત, બોલીએ બોલીએ બદલાય છે. એમાં નવો શબ્દ કે ભાવ ઉમેરાતો રહે છે. એક મોંઢેથી બીજે મોંઢે અને એક કાનથી બીજે કાન વાત વહેવા માંડે ત્યારે પૂછવું જ શું? “વાતનાં વડા થાય”, “વાતનું વતેસર થાય” અને અર્થાંતરો પણ થાય. તેના પઠનમાં પણ ફેરફારો જોવા મળે. પરંતુ એક વાત નક્કી કે તેને સમજાવવા કોઇ અલંકારોની જરૂર પડતી નથી.

તો ચાલો, આપણે કેટલીક તળપદી કહેવતોને માણીયે જેમ કે, “વાંદરી નાચે ને મદારી માલ ખાય”,  “જીવતાની ગણતી ને મુઆની ભરતી” (જીવતા વાહવાહી કરે ને મર્યા પછી ભૂલી જાય). પુષ્ય નક્ષત્રમાં વરસાદ પડે તો ભૂખ ભાંગે તેવું ધાન પાકે તેને તળપદી ભાષામાં “વસે પોખ તો મટે ભોખ”  કહેવાય. “બુદ્ધિના બામની બોબડી બંધ” (ભલભલા બુદ્ધિશાળીની પણ વાણી બંધ થઈ જવી). “લંકાની લાડી ને ઘોઘાનો વર”, “મારીએ તીર લાગે ફુલ”. “તું કોથળા જેવો છે, વેચું તો ચાર આના ય ન આવે” (તું ડફોળ છે, તારામાં અક્કલ નથી). “ચપટીમાં જીવ”, “પગનું ખાસડું પગમાં શોભે, માથે નહીં” (જ્યાં  જેનું સ્થાન હોય ત્યાં જ તે શોભે). “ટોપીમાં ત્રણ ગુણ, નહીં વેરો નહીં વેઠ”,  “બાવો બાવો સૌ કરે ને સુખે ભરીએ પેટ”, “કાં તો બાપ દેખાડ, કાં શ્રાદ્ધ કર”. “નદીના મૂળ અને ઋષિના કુળ ના શોધાય”, “બોડીને ત્યાં વહી કાંહકી કેવી?”, “શિંગડે ઝાલો તો ખાંડો, પૂંછડે ઝાલો તો બાંડો”, “ગાય ઉપર પલાણ” (ઉંધી રીતની સવારી), “ભેંસને ચાંદરો પાડો, એ એંધાણીએ  કણબી વાડો (કણબીવડાની એંધાણીઓળખાણ), “ગામનો હાકેમ ખીજે ત્યારે લોઢાના ચણા ચવરાવે” (ગામધણી હુકમના અમલમાં કડક હોય ), ગોલિયામાં જમવું અને પાંચ પાટલા માંડવા” (વગર નોતરે જમવા જવું ને પહોળા થઇને બેસવું). “બગાસુ ખાતા પતાસુ પડ્યું” (વિના પ્રયત્ને મોટી સફળતા મળી જવી) જેવી રમૂજી કહેવતો પણ બની છે. હવે તો સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો પણ બની છે.

કહેવતોની ખરી મઝા યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવાની છે પછી તે ભાષા ચરોતરી, કચ્છી, પારસી, હુરટી, ફારસી, ચીની કે ગમે તે હોય. ટૂંકમાં “બાર ગાઉએ બોલી બદલાય” એમ કહેવત પણ બદલાય છે. મળીયે આવતા અંકે.

કહેવત – ગંગા સમીક્ષા – ૪ કલ્પના રઘુ

આ ગંગામાં ડૂબકી મારી ગંગાજળનું આચમન કરનારને તેની અસર તો થાય જ ને? હા, એટલો ચમત્કાર જરૂર થયો કે મારા વાચકમિત્ર જ્યારે પણ રૂબરૂ મળે કે ફોન પર વાત કરે ત્યારે વાત વાતમાં કહેવત લઈ આવે અને એ અઠવાડિયાની લખેલી કહેવત પર વિચારોનું આદાનપ્રદાન થયા વગર રહે જ નહીં. શબ્દોના સર્જન પર, વોટ્સએપ પર, ફેસબુક પર કે ફોન પર તમામ આર્ટીકલ પછી અભિનંદન અને પ્રશંસાના શબ્દગુચ્છ મળતા. તો ચાલો, થોડી કોમેન્ટબોક્સની વાતો કરીએ.

ખાસ કરીને તરુલતાબેન મહેતા સાથે કહેવત અંગે ચર્ચા થતી. તેઓ ક્યારેક માર્ગદર્શન આપતાબેઠકના ગુરુ છે નેમાગદર્શન આપવામાં દાવડા સાહેબ કેમ બાકાત રહે? ગીરીશભાઈ ચિતલીયા પણ મારા લખાણમાં રસ લેતા. અવાર-નવાર keep it up કહીને આશિર્વાદ અને પ્રોત્સાહન આપતા. વડીલોનું પ્રોત્સાહન મને હંમેશ ગમતું. હા, કોમેન્ટબોક્ષમાં હાજરી ન પુરાવી હોય તેઓ રૂબરૂમાં કહેવતો વિષે મારી સાથે ચર્ચા કરતાં અને મારા લખાણને વધાવતાં. જયવંતીબહેન જેવા વડીલનું મને હંમેશા પ્રોત્સાહન રહેતું. તેમને મારો અભિગમ ગમતો. વળી વસુબેન શેઠ પણ મારા લખાણની પ્રશંસા કરવામાં જરાય પાછા ન પડતા. હ્યુસ્ટનનાં ચીમનભાઈ પટેલને લેખની વિવિધતા ગમતી. આ બધા મારા લખાણના આધાર સ્તંભ છે. રીટાબેન જાની અને દર્શના ભટ્ટે ‘જુનું એટલું સોનુએ કહેવતમાં બદલાતા જીવનમૂલ્યો સાથે મૂળથી વિખૂટાં ન પડવાની મારી વાતને વધાવી. ‘સોટી વાગે ચમચમ’ કહેવતમાં રાજુલબેનની કોમેન્ટ વાંચવાની મજા આવી, કે માસ્તરની સોટી વિદ્યાર્થીને સીધી નથી વાગતી પણ વર્તમાન સમયની આ ટ્યુશનના ટ્રેન્ડની સોટી,વાલીઓના ખિસ્સાને વાગે એવી હોય છે. રાજુલબેન, સાવ સાચી વાત. દર્શના વારીયા, ગીતા ભટ્ટ તેમજ જીગીશા પટેલની નિયમિત કોમેન્ટ મળતી.

કેટલાંક મિત્રો કહેતાં કે તમારા લેખની રાહ જોઈએ છીએ‘, ‘વાંચવાની મજા જ કંઈ ઓર છે‘, ‘ખુબ સરસ વિષય લાવો છો‘, ‘દરેક વિષય જીવનમાં ઉપયોગી હોય છે‘, ‘સાહિત્ય તરફનો તમારો એપ્રોચ ખૂબ સરસ છે‘. યુવાનો પણ કહેવતમાં રસ લેતાં. કેટલીક જુવાન દીકરીઓને આ કહેવતો વિષેના સચોટ ઉદાહરણ વાંચીને તેમના દાદા દાદી યાદ આવી જતાં. દરેક કહેવત, વાર્તા સાથે રજૂ કરવાનાં મારાં પ્રયત્નો રહેતાં. તેને કાવ્યપંક્તિ, ગઝલ, ઉદાહરણ, ઉક્તિથી ફળદ્રુપ બનાવવાની મારી કોશિશ રહેતી. જેથી વાંચનારના હૃદય સોંસરવી પસાર થઈને મસ્તિષ્કમાં, મનોજગતમાં તે વિચરવા લાગે. કેટલાંકને હાર્ટટચિંગ તો કેટલાંકને મોટીવેશનલ, ઇન્સ્પિરેશનલ લાગતી. કોઈ કહેતું વિચારોને વાચા આપવા બદલ અભિનંદન! અદ્‍ભુત આર્ટીકલ, અર્થપૂર્ણ વાત, સૂપર્બ, માહિતીસભર લેખો, ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરપ્રિટેશન વગેરે વગેરે … અને મને પણ સંતોષ થતો.

સાહિત્યની દ્રષ્ટિએ પ્રજ્ઞાબેનને ખૂબ સંતોષ હતો કે આટલી કહેવતો તમે જે રીતે વહેતી કરી છે તેનાથી તમને નથી ખબર પણ જાણે-અજાણે સાહિત્યની ખૂબ મોટી સેવા કરીને તમે થીસીસ તૈયાર કરી છે. આતો છે બેઠકની કમાલ! દરેક લેખકને કોઈને કોઈ રીતે લખીને પોતાની પ્રતિભાને રજૂ કરવાનો મંચ પૂરો પાડે છે. આભાર પ્રજ્ઞાબહેનનો , બેઠકનો. ૫૧ વખત ‘કહેવત ગંગા’માં દરેકે ડૂબકી મારી, એ સિવાય અન્ય કહેવતો તો ખરી જ. મળીએ આવતા અંકે …

કહેવત – ગંગા સમીક્ષા – ૩ કલ્પના રઘુ

આજના થેન્ક્સ ગીવીંગના દિવસે મારા તમામ માર્ગદર્શક, ગુરુજન અને વાચક મિત્રોનો આભાર માનુ છું. એક વર્ષ બાદ કહેવત ગંગાનું સરવૈયુ કાઢતાં ઘણું બધું શીખવા મળ્યું.

પ્રજ્ઞાબેન હંમેશા કહે, લખતા રહેજો, તમારા થકી બીજા વિકસે છે. વાત સાચી હશે પણ હું અને મારી કલમ ચોક્કસ વિકસી રહ્યાં છીએ. શું આનું પ્રમાણ કોમેન્ટ બોક્સ કહી શકાય? ક્યારેક મન દ્વિધા અનુભવે ત્યારે મારી લેખન કળાના મૂળમાં રહેલ હ્યુસ્ટનના વિજય શાહનાં શબ્દો યાદ આવે, “કોમેન્ટ્સ એ તો વાટકી વહેવારકહેવાય!” ખરેખર, ખૂબ સાચી વાત છે. તમે જેના માટે કોમેન્ટ લખો, તે જ તમારા માટે કોમેન્ટ લખે. જો કોમન્ટ લખવાનું બંધ કરો તો કોમેન્ટ બોક્સ ખાલી! જેવો તમારો સંબંધ! તો શું આ તમારા લખાણનું સાચું પ્રમાણ છે? શરૂમાં ગમતું. પરંતુ હવે એમ લાગે કે તમને તમારૂં લખાણ ગમ્યું? બસ… વાત પૂરી.

એક લેખક તરીકે સુવાવડીનું દર્દ તો સુવાવડી જ જાણે‘. વિષય નક્કી કર્યા પહેલાં અને પછી કેટકેટલી વિચારોની સવારી સાથે મન કવાયત કરે છે ત્યારે એક લેખનું સર્જન થાય છે! લેખકે એક લેખમાં તેના મનોજગતમાં અનેક વર્ષોદેશ-વિદેશ અને વિવિધતાની સફર કરેલી હોય છે. તેના પરિણામે જન્મે છે એક લેખ. અને સીદીભાઈને સીદકાં વહાલાંજ હોય. શા માટે કોઈની કોમેન્ટ પર પોતાની ક્ષમતાનું તારણ કાઢવું જોઈએહા, ક્યારેક કેટલાક નીવડેલા સાહિત્યકાર, લેખકો અને નિયમિત તમારી કોલમ વાંચતાં વાચકો જ્યારે લાઈક કરે અને કોમેન્ટ લખે ત્યારે તેનું ચોક્કસ વજન પડે છે. પ્રોત્સાહન પણ મળે છે. બ્લોગ પર 2 કોમેન્ટ હોય અને એ જ લેખ ફેસબુક પર મૂક્યા પછી 50 કોમેન્ટ આવે ત્યારે અચૂક આનંદ થાય છે. અમુક વ્યક્તિ લાઈક ના કરે કે કોમેન્ટ ના લખે પરંતુ રૂબરૂ મળે કે ફોન પર લખાણનાં વાક્યો યાદ કરાવે, કે તમારી આ વાત બહુ ગમી. એનો અર્થ કે કોમેન્ટ નથી લખતાં પણ ચોક્કસ તમારો લેખ વાંચે છે. કેટલાંક કરવા ખાતર ઉતાવળમાં લાઈક કરે પણ તેમણે લેખ વાંચ્યો જ ના હોય એવું પણ બનતું હોય છે. હું તો માનું છું કે સાહિત્ય પીરસવા માટે દરેક લેખક દિલથી લખતો હોય છે. ભાવના એક જ રાખવી, ‘નેકી કર ઔર કૂએમેં ડાલ‘.

આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાયકહેવતથી કહેવત-ગંગાની શરૂઆત થઈ અને વાંચનાર કોમેન્ટ બોક્સમાં તેને લગતી કહેવતો લખવા માંડ્યા. કારણકે તેમાં ખોળિયાને સ્વયંપ્રકાશિત કોડીયું બનાવવાની વાત કરી હતી. દિવાળી આવતી હતીને! પછી તો હાથીના ચાવવાના અને બતાવવાના જુદાકહેવત હું લખું, અને બીજા, ‘હાથી જીવે તો લાખનો મરે તો સવા લાખનોલખે. તો વળી દર્શનાબેન તેમને લખેલા હું તો ચપટીભર ધૂળ‘ કાવ્યની વાત કરે, કે જેમાં તેમણે આ કહેવતનો ઉલ્લેખ તેમના બ્લોગ પર કર્યો છે. રાજુલબેન આ કહેવતને માના અલગ અલગ સ્વરૂપ દર્શાવીને નવાજે. આમ આ કોલમમાં દીવડે દીવડો વધુ પ્રકાશિત થઇને પ્રગટતો ગયો. આ કોલમ તમારા બધાનાં સાથ-સહકારથી વધુ પ્રકાશિત બનતી ગઈ. સાહિત્યની ગંગા છે, આ કંઈ થોડા આભાસી અજવાળા હતાંતેજમાં તેજ ભળતું ગયું …

મિત્રો, આપ સૌનાં વધામણાની ‘કહેવત ગંગા’નાં વળામણાં સુધીની સફર આવતા અંકે … મળીએ નવી દ્રષ્ટિ સાથે કહેવત ગંગા સમીક્ષા – ૪ માં.

કહેવત – ગંગા સમીક્ષા – ૨ કલ્પના રઘુ

મિત્રો, કહેવતો સાહિત્યનું એક મહત્વનું અંગ છે. એના લેખકનું નામ કે ગોત્ર હોતું નથી. વસ્તુ કે પરિસ્થિતિના સંદર્ભમાં સહજ રીતે સરી પડેલું કથન! કહેવત બોલવા માટે કોઈ અનુભવ કે ડિગ્રીની પણ જરૂર નથી હોતી. પેઢી દર પેઢીથી વપરાતી, રોજ-બરોજ બોલાતી ઊક્તિ! કોઈ પણ વાતનો નિચોડ એક જ ઊક્તિમાં એટલે કહેવત!

‘નારી-શક્તિ’ પર મેં ૧૦૦ લેખો કેનેડાથી પ્રકાશિત થતાં ગુજરાત ન્યૂઝલાઈનપેપરમાં લખ્યાં. પછી કોલમ બંધ કરી. તેની પાછળના કારણોમાં એક કારણ હતું, મારા લેખ વાંચીને કેટલાંક કુટુંબમાં પરદેશમાં એવું બનતું કે વહુ, સાસુને કહે કે મમ્મી, કલ્પનાઆંટીને આપણા ઘરની વાતો કરી હતી? ખરી વાત તો એ હતી કે મને એમના ઘર વિષે કશું જ ખબર ના હોય. અનેક પરિવારોની સાચી અને કાલ્પનિક વાતોનો મારા લેખમાં સમાવેશ થતો પરંતુ તેની આવી ધારદાર અસર વાચકોમાં થશે એવી મને કલ્પના ન હતી. પરિણામે આ કોલમ બંધ કરી. આ વાત સાંભળીને જાણીતા કવિ તુષાર શુક્લએ મને કહ્યું કે તમારું લખાણ કેટલું અસરકારક કહેવાય? મને સર્ટિફિકેટ મળી ગયું.

આવું જ કહેવત-ગંગામાં બન્યું. ઘણી કહેવતો પશુ-પક્ષી પરથી બનતી હોય છે. હાથી, ઊંટ, કૂતરો, સિંહ, સાપ, ગાય, ભેંસ, શિયાળ, મોર, ચકલી વગેરે. જ્યારે પશુ-પક્ષીના અને માનવના શરીર, રીતભાત, ખાસીયતો કે સ્વભાવમાં સામ્યતા જોવા મળે છે ત્યારે એવી કહેવતનું સર્જન થાય છે. ખૂબજ જાણીતી કહેવત, ‘હાથી પાછળ કૂતરા ભસે‘, મેં તેના વિષે લેખ લખ્યો. મને ખબર ન હતી કે આ કહેવતની ફેસબુક પર જોરદાર અસર થશે! બન્યું એવું કે, એક રાજકીય નેતા વિષે એક જણે પોતાની દ્રષ્ટિએ ખૂબ જ હકારાત્મક વાતો લખી. અંતમાં એ નેતાના વિરોધ પક્ષ માટે પોતાની વાત સચોટ અને સ્વાભાવિક બનાવવા પહેલી વ્યક્તિએ લખ્યું, હાથી પાછળ કૂતરા ઘણાં ભસે’. પછી તો શું થાય? હાથી અને કૂતરા શબ્દો એકબીજાના વેરી બની ગયા! … સામસામે શબ્દોની આપ-લે અને લોકોની કોમેન્ટમાં ફેસબુક ભરાવા લાગ્યું. મારા મનમાં કહેવત-ગંગા ચાલુ થઈ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ‘, ‘તમાશાને તેડું ના હોય‘. છેવટે કોઠી ધોઈને કાદવ જ નીકળે‘. અંતે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ફેસબુક પર બ્લોક કરી. કથા પૂરી થઈ. કોઈએ કહ્યું, જવા દો ને, એ તો પૂંછડે બાંડો ને મોઢે ખાંડોછે. જુઓને દશા થઇ ને, ‘વાંદરી નાચે ને મદારી માલ ખાય‘. ‘કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી‘.

કહેવત ક્યાં?, ક્યારે?, કોના અને શેના સંદર્ભમાં વપરાય છેઅને સાંભળનાર વ્યક્તિ કે જેના વિષે કહેવત બોલાઈ હોય એટલે કે સામેની વ્યક્તિ તેનો અર્થ કેવી રીતે લે છે તેના પર પરિસ્થિતિનો આધાર રહે છે. નહીં તો ‘વાતનું વતેસર’ થતાં વાર નથી લાગતી. કહેવત ક્યારેક સોય કે ક્યારેક તલવારનું કામ કરે છે. મિત્રો, દુશ્મન બની જતાં વાર નથી લાગતી. આવા સંજોગોમાં શબ્દોને પકડ્યા વગર કહેવતનો મર્મ સમજવા કોશિશ કરવી જોઈએ. તો ક્યારેક આંખ આડા કાનકરવામાં જ શાણપણ છે.

નોંધ: મારા લેખમાં લખેલ લખાણને કોઈએ અંગત ગણવું નહીં. માત્ર માણવું. કહેવત હંમેશા શીખ આપી જાય છે જેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. આ મારી મા છેઅને આ મારા બાપની બૈરી છે‘ … ‘મા’ માટે કયું વાક્ય કાનને ગમશે તે મિત્રો, આપના પર છોડુ છું.

કહેવત – ગંગા સમીક્ષા – ૧ કલ્પના રઘુ

કહેવત વિષે લખવાની વિચારણા ચાલતી હતી ત્યારે પ્રજ્ઞાબહેને કહ્યું, અમે મિત્રો એક વખત પાના રમવા બેઠાં ત્યારે કહેવતો થકી વાતો કરતાં, કેટકેટલી કહેવતો બોલી કાઢી! ગુગલમાં તો ઘણી કહેવતો આપી છે પરંતુ મારે માત્ર કહેવતો નહોતી લખવી. જેમ ગંગામાં સ્નાન કરીને પવિત્ર થવાય છે તેમ મારી લખેલી કહેવત ગંગામાં ડૂબકી મારનાર કે તેનું આચમન કરનારને તેના જીવનમાં કોઈ ફાયદો થાય, એ મારા માટે મહત્વનું હતું. જોતજોતામાં 51 કહેવતો લખાઈ ગઈ, પરંતુ મન ભરાયું નથી. આ તમામ કહેવતોને સાંકળતી એક વાર્તા લખી. મિત્રો, મને ગમી, આશા રાખું, તમને પણ ગમશે.

વર્ષની કહેવતોને મેં અઠવાડીયાની સફરમાં સમાવવાની કોશિશ કરી. જાણું છું, “મન હોય તો માળવે જવાય” અને “આળસ એ જીવતા માણસની કબર છે”. વળી સફર પૂરી કરવી હતી. “આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય”. “ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે” માટે મેં ફરવાનું વિચાર્યું. “ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા” એ કહેવતને ખોટી પુરવાર કરવા બીજી ત્રણ બાળ સખીઓને સાથે લીધી. હું જાણું છું, “એકની મા મૂળો અને બાપ ગાજર હતો”. બીજી, “નારી તું તણાવને વરી” કહેવત સાબિત કરતી. તો વળી, ત્રીજીનો સ્વભાવ તો “પાણીમાંથી પોરા કાઢવા”, એ તો ભાઈ જેની “જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ”. એક વાત તો સાચી કે “પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પણ મને જોઈને ત્રણેયને થયું “લાલો લાભ વગર લોટે નહીં “. મેં તો ત્રણેયને “ચણાના ઝાડ પર ચડાવ્યા” કારણકે કોઈ કારણ વગર હું સફરમાં આવવાનું કહું તો “કહ્યો કુંભાર ગધેડે ના ચડે”. એટલે મેં તો “હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા” એ નાતે વાર્તા શરૂ કરી.

જુઓ સખીઓ, “પ્રેમ દેવો ભવ”. મારે મારી માને મળવું છે. “મા તે મા બીજા બધા વગડાના વા”. મારા બાપુને રિટાયર્ડ થવાની તૈયારી છે. તમને ખબર છે કે “ઉતર્યો અમલદાર કોડીનો”. એ જ્યાં સુધી પોસ્ટ પર છે ત્યાં સુધી, “ઓળખાણ મોટી ખાણ છે” અને “જેની લાઠી તેની ભેંસ”, તો આપણે ચારેય આપણે ગામ જઈએ, બાળપણ યાદ કરીએ. આપણે ચારેય સખીઓ છીએ. “સંપ ત્યાં જંપ, કુસંપ ત્યાં કળિ”. “માની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ” અને આમેય “ઘરડાં ગાડા વાળે”. હું જાણું છું “કોઠી ધોયે કાદવ નિકળે” અને “બાંધી મુઠ્ઠી લાખની ને ખુલી જાય તો ખાકની” પણ “જૂનું એટલું સોનુ”. “દૂધ ઢોળાઈ જાય પછી રડવાનો શો મતલબ”. તમારા ત્રણેયના મા-બાપ નથી. મારું પિયર તમારું. ત્રણેયને લાગ્યું “ચા કરતાં કીટલી ગરમ” છે. ત્રણેયને થયું “ઘેર બેઠે ગંગા” આવી છે. સૌ સફરમાં તૈયાર થયાં. “કર ભલા હોગા ભલા”. બધાને હતું “ઘર ફૂટે ઘર જાય” પણ આખરે તો મિત્રો હતાં. “સીદીભાઈને  સિદકા વહાલા”.

“ત્રેવડ ત્રીજો ભાઈ” એટલે અમે ચારેય બસમાં જવાનું નક્કી કર્યું. પૈસા બચે અને કસરત થાય એટલે ગામ બહાર ઉતરીને હાલતા થયાં કારણ કે “પહેલું સુખ તે જાતે નર્યા” અને “તમે જ તમારા ખુદા બનો”. બાળપણનાં દિવસોને યાદ કરતાં ગયાં. “સાપ ગયા અને લીસોટા રહ્યા”. પણ બાળમંદિરમાં માસ્તર સોટી મારતાં અને બોલતાં “સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઘમઘમ” એ કેમ ભુલાય? રસ્તામાં રંભામાસી મળ્યાં. છોડીઓ, કેમ હેંડીને જાઓ છો? એમના ખુદના “ઊંટના અઢારે વાંકા” અને ગામની પંચાતમાં શૂરા. “અતિ હંમેશા વિનાશ નોંતરે”. અને સલાહ આપતા ગયા, “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”. પણ અમને ય આવડતું હતું “આડે લાકડે આડો વેર”. અમે તો હાલી નિકળ્યાં.

“ચાર દિવસની ચાંદની જાતા નહીં લાગે વાર” એમ અમારી ચારેયની જુવાની જતી રહી. પણ અમે ચારેય “બાપ કરતાં બેટા સવાયા” થઈને સાસરીમાં રહ્યાં. એક વાત સાચી “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં”. વાત્યું કરતાં કરતાં ફળિયુ આવી ગયું. વાળુનો સમય હતો. માએ પૂછ્યું, કંઈ તકલીફ પડી? હા મા, ગામમાં એ તો રહેવાનું જ “હાથી પાછળ કૂતરા તો ભસે”. મા કહે તારા બાપુ આવતાં જ હશે. બાપુએ આવતાં જ કહ્યું “ધરમીને ઘેર ધાડ અધર્મીને ઘેર વિવાહ” પણ “દેવે સો દેવતા”, “ચેતતો નર સદાય સુખી” રહે. “સાચને ન આવે આંચ”. જ્યાં “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” હોય ત્યાં શાંતિ જ હોય. બાપુએ ઘણી વાતો કરી અને સલાહ આપી અને બાપુ વાળુ કરીને ચાલવા નીકળ્યાં અને કહેતા ગયાં, “પચે તો જ બચે”. એક અઠવાડિયુ પિયરમાં મજા કરી. બાપુ હારે બહુ ફર્યાં. “પિતૃ દેવો ભવઃ”. ઘેર આવ્યા ત્યારે લાગ્યું કે “ધરતી નો છેડો ઘર”.

મિત્રો, કેવી લાગી કહેવતો ગુંથીને બનાવેલી આ વાર્તા? આ કહેવતો અંગેની વધુ ચર્ચા આવતા અંકે …

કહેવત – ગંગા * આભાર દર્શન – કલ્પના રઘુ

“કહેવત ગંગા”ના 51 લેખ પૂરા કર્યા. સાહિત્યનો સાગર અમાપ અને અગાધ છે … અસંખ્ય કહેવતોથી ભરપૂર! આ 51 લેખો લખતાં મને અનેક કહેવતો યાદ આવતી. સાથે-સાથે સમાનાર્થી અને વિરોધાર્થી કહેવતો તો ખરી જ! મિત્રો, વાંચતી વખતે તમારી દશા પણ મારા જેવી જ હશે, ખરું ને? હોય જ ને!
સદીઓથી બાપ દાદાઓના મુખમાંથી પ્રગટેલી શબ્દ ગંગા. કંઈક બની ગયું, શબ્દો સરી પડ્યાં અને તે પણ હ્રદય સોંસરવા ઊતરી જાય તેવા અને બોલચાલમાં વહેવા માંડ્યાં, કહેવત સ્વરૂપે! મેં પ્રયત્ન કર્યો માનવની લાગણીઓ, વિચાર, સ્વભાવ, રીત-રિવાજોને તેમાં આવરી લેવાનો. જેથી આજની પેઢી તેનાથી અવગત થાય, સૌને બોધપાઠ મળે અને જૂની પેઢી તેને વાગોળે.
હું મારી આ કૉલમને વધાવવા બદલ તમામ વાચકોની આભારી છું. મને આનંદ છે પણ સંતોષ નથી કારણ કે તૃપ્તિ અવરોધ ઊભો કરે છે. કલમને અટકાવવી નથી. “બેઠક” શરૂ થઈ ત્યારથી “બેઠક”માં અને “શબ્દોના સર્જન” પર મારું પ્રદાન આપીને હું પ્રજ્ઞાબેન સાથે રહી છું. આ તેમનો મારા તરફનો પ્રેમ કહેવાય. તેમણે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે, મને જે તક પૂરી પાડી તેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. કહેવત લખ્યા પછી જ્યારે વાંચું છું ત્યારે આનંદ થાય છે. આ નિજાનંદ મને આગળ લખવા પ્રેરે છે.
કહેવતોને સચોટ બનાવવા મેં વાર્તાઓ, ઉચિત ઉદાહરણ, પંકાયેલી પંક્તિઓ, ઉક્તિઓ અને ગૂગલનો સહારો લીધો છે. જેના પણ વાક્યો જાણે-અજાણે લેખને શણગારવા લીધા છે, તે સૌનો હું આભાર માનુ છું. હા, મેં મારા અને અન્યનાં વિચારોને આપના મનોસાગરમાં ભળી જાય તેવી મનોકામના સાથે મારી રીતે “કહેવત ગંગા”માં વહાવ્યાં છે. મારી આ યાત્રાનાં અન્ય પાસાઓને આવરી લેવા હવે પછીના લેખોમાં પ્રયત્ન કરીશ.
પ્રજ્ઞાબેન થકી ઓગસ્ટ 2013માં મારો “શબ્દોના સર્જન”ના લેખક તરીકે જન્મ થયો. 5 ઓગસ્ટ 2013ના દિવસે “હું તો કંઈ જ નથી” લખીને મેં મારા શબ્દોને કલમ થકી સાકાર કરવા સપનાની વણઝાર રચી. નિજમાંથી નિકળી નિજને મળવા નિત્યાનંદ બની ખોવાઈ ગયું મારું સપનું. આ સાહિત્યના સાગરમાં દરેક વિચાર વાચકોના હૃદયને સ્પર્શીને જીવવાની જડીબુટ્ટી બની રહે તેવી મારી પ્રભુને યાચના. વાચકોની સાથે હું પણ વિકસી રહી છું. આભાર, કલ્પનાના સાથી રઘુનો. આભાર, સખી, માતા, શિક્ષક, સહકાર્યકર પ્રજ્ઞાબહેનનો! હા, હું તો કંઈ જ નથી … આ તો મા સરસ્વતીની કૃપા છે.

કલ્પનારઘુ 

૫૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા

આ કહેવતનો ઉપયોગ દરેકે કર્યો જ હશે. અર્થ ખૂબ જ ગહન છે. વળી હાથીના દાંત કોઈકે જ જોયા હશે. હા, જે દાંત બહાર હોય જેને હાથીદાંત કહીએ છીએ, તે તો સૌએ જોયા હશે જ. પરંતુ ચાવવાના દાંત તો હાથી મોઢું ખોલે અને તમે તેની નજીક હોય તો જ તેની દંતમાળા જોઈ શકો. એ તો ભાગ્યે જ કોઈએ અથવા તો તેના મહાવતે કે જે તેની સંભાળ રાખતો હોય તેણે જ જોયા હોય.

હાથી શક્તિશાળી, કદાવર પ્રાણી કહેવાય. ચાલે તો ધરતી ધમ ધમ થાય. “હાથીભાઈ તો જાડા…” બાળ કવિતા સૌમાં લોકપ્રિય છે. હાથી પાસે નાના મચ્છર, જીવજંતુ કે પ્રાણીઓની કોઈ તાકાત નથી હોતી. પરંતુ જ્યારે નાનો મચ્છર હાથીના કાનમાં ઘૂસી જાય કે કોઈ તણખલુ કદાવર હાથીની આંખમાં પડે તો ભારે જોવા જેવું થાય છે. મદમસ્ત હાથીનો મદ ચકનાચૂર થઈ જાય છે. પણ હિન્દુ ધર્મમાં ગણેશજીની યાદ અપાવતું આ વિશાળકાય પ્રાણી પૂજનીય બન્યું છે. તેના કિંમતી હાથીદાંતની માંગને લીધે અને જંગલોમાં લાકડાની હેરાફેરી માટે હાથી કિંમતી છે. તેમાં કોઈ બે મત નથી. માનવની દશા અને હાથીમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે. માટે આ કહેવત વિષે લખવાનું મન થઇ આવ્યું  કે જે બોલચાલમાં લોકપ્રિય છે.

દિલ કો દેખો, ચહેરા ન દેખો, ચહેરેને લાખોકો લૂંટા, દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા”. દિલ અંદર હોય છે, ચહેરો બહાર. દિલને પારખવાની તાકાત માત્ર ઈશ્વરમાં હોય છે. જેમ હાથીના અંદરના દાંતનું છે. ચહેરો માનવના બાહ્ય રૂપનો અરીસો છે, જેને ફેશિયલ કરીને માણસ ચમકાવવા પ્રયત્ન કરે છે. બહારના બે હાથીદાંત ખૂબ જ કિંમતી હોય છે. માનવ આ ચહેરો જોઈને ફસાય છે. સંબંધ બાંધી બેસે છે. બહારના દાંત જોઈને દોસ્તી બાંધીને અંદરના દાંત જોવા મોઢું ખોલવાની રાહ જોઈને નજીક જાય છે ત્યારે  દુર્ગંધ, લાળ એટલે કે અસલી ગુણોના દર્શન થાય છે. પરિણામે ઘૃણા, નફરત, ટકરાવ અને વર્ષોના સંબંધો જે પ્લસ-માઇનસ કરીને જાળવ્યા હોય, તે ચકનાચૂર થઈ જાય છે. બહારથી દેખાતી મિત્રતા, નાના અમથા કારણસર સ્ફોટક થઈને તૂટી જાય છે. બધી કડવાશ જે શરૂઆતથી સંગ્રહાયેલી હોય તે સામટી બહાર આવે છે. પરિવાર, પડોશી કે મિત્રો વચ્ચે આવું સામાન્ય રીતે બનતું હોય છે. પડદા પાછળની, બાહ્ય દેખાવ પાછળની વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે પારાવાર પસ્તાવો થાય છે. આવે સમયે સામેની વ્યક્તિમાં રહેલાં સારા ગુણો જોઈને ખરાબ ગુણ તરફ આંખ આડા કાન કરીએ તો જ સંબંધ ટકે છે.

હાથીના દાંત બતાવવા એટલે છેતરવું. કહે તેનાથી જુદું કરવું. કહેવું એક અને કરવું બીજું એટલેકે દગો કરવો. આપણી આસપાસ જ એવી વ્યક્તિઓ હોય છે જે જાણે અજાણે બોલે છે એ કરતાં નથી અને જે કરે છે તે બોલતા નથી. પોલિટિશિયનો માટે તો આ સદીઓથી ચાલ્યું આવે છે. તે ઉપરાંત ધર્મગુરુઓ પણ આ રીતે વર્તે છે. ફિલ્મોમાં જોવા મળે છે કે ધર્મગુરુઓ ભગવા પહેરી ભક્તોની અંધશ્રદ્ધાનો લાભ લઇ, બહાર ચમત્કારો કરે અને અંદર રંગરેલિયા મનાવે. સમય પ્રમાણે દાંત બતાવે એ માણસની પ્રકૃતિ બની જાય છે.

બહારના દાંતની ઝાકમઝાળથી અંદર જઈને સામેની વ્યક્તિની નજીક જાય ત્યારે તેની અસલિયત છતી થાય છે. બહારનો આંચળો, મુખવટો હટી જાય છે ત્યારે બીજા દાંતના એટલે કે અસલી રૂપના દર્શન થાય છે. બાકી ચહેરા પર મહોરું કે બે પ્રકારના દાંત રાખવા અને ક્યારે શું બતાવવું એ વ્યક્તિના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. પરંતુ એક વાત નક્કી છે કે આ પ્રકારની પ્રતિભાથી કોઈપણ વ્યક્તિ બાકાત રહી શકતી નથી કારણ કે આખરે તો એ માનવ છે ને? માટે તેના વિચાર, વાણી અને વર્તનમાં આભ-જમીનનું અંતર હોય છે. હા, સત્સંગથી કે સજાગ રહેવાથી સુધારો થઈ શકે છે. આધ્યાત્મિકતા પોતાનામાં સુધારો કરીને, સ્વયં પરિવર્તિત થઈને બીજાને માફ કરી શકે છે. બીજાનો દ્રષ્ટિબિંદુ સમજી શકે છે અથવા તો આંખ આડા કાન કરી શકે છે. સમાજમાં સાથે રહેવા સરળતા, સહજતા અને સમતા કેળવવી જરૂરી છે. સૌથી સારી વાત તો એ છે કે રસ્તે ચાલતા હાથી જેવા મહાકાય, મદમસ્ત પ્રાણીથી દૂર રહેવું સારું. પ્રણામ કરીને બહારના દાંત જોવા. અંદરના દાંત જોવા કે ગણવા પ્રયત્ન ના કરવો અને આગળ વધવું.

કળિયુગની વાસ્તવિકતા અને આ કહેવત સમજાવતી આ ગીતની પંક્તિ વિચાર માંગી લે છે, “કિતને અજીબ રિશ્તે હૈ યહાં પે. દો પલ મિલતે હૈ, સાથ સાથ ચલતે હૈ. જબ મોડ આયે તો બચકે નિકલતે હૈ…!

૫૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

જૂનું એટલું સોનું
સોનું ગમે તેટલું જૂનું થાય, એ સોનું જ રહે છે. જૂનું એટલું સોનું એ કહેવત આજના સમયમાં ગહન વિચાર માંગી લે છે. જૂની વસ્તુ, પરિસ્થિતિ કે જૂની વ્યક્તિ, શું સોનાની જેમ આજની સરખામણીમાં કિંમતી કે સારી છે? પ્રશ્ન બહુ મહત્વનો છે.
હમણાં એક વાર્તા વાંચી. એક યુવતીએ નવું રસોડું બનાવ્યું. જૂના વાસણો જે નવા હતાં, છતાંય કાઢીને ઢગલો બાજુ પર મૂકયો. આધુનિક વાસણોથી તેના રસોડાને સજ્જ કર્યું. કામવાળી આવીને આ ઢગલો જોઈને ચિંતિત બની. આટલા બધા વાસણ મારે આજે ઘસવાના છે? યુવતીએ કહ્યું, આ તો ભંગારમાં આપવાના છે. તેણે એક તપેલી માંગી. યુવતીએ કહ્યું, બધું જ લઈ જા. મારે આ વાસણોની જરૂર નથી. તેનું મન નાચવા માંડ્યું. આંખોમાં ચમક આવી. જલ્દીથી કામ પતાવી ઘરે ગઈ. જાણે ખજાનો મળ્યો. તેના ઘરમાં જૂના વાસણો કાઢી નવા ગોઠવ્યાં. વિચાર્યું, ભંગારવાળાને જૂના વાસણો આપી દઈશ. ત્યાં જ એક ભિખારી આવ્યો. તેણે પાણી માંગ્યું. તપેલી ભરીને પાણી આપ્યું. ભિખારીએ તૃપ્ત થઈને તપેલી પાછી આપી તો કામવાળીએ કહ્યું લઇ જા. ફેંકી દેજે. ભિખારીએ પૂછ્યું, તમને આની જરૂર નથી? તો હું રાખી લઉં? કામવાળીએ બધો જ ભંગાર ભિખારીને આપી દીધો. આજે તેની ઝોળી ભરાઈ ગઈ. તે તૃપ્ત થઈ ગયો. આ આખી વાર્તા ઘણું બધું કહી જાય છે.
પરિસ્થિતિ બદલાતાં એકના માટે પિત્તળ બની ગયેલી વસ્તુ બીજાના માટે સોનાની બની જાય છે. શું આપણા જીવનમાં પણ આ નથી? સમાજમાં, દેશમાં, દુનિયામાં જ્યારે યુગ જે ગતિએ ફાળ ભરી રહ્યો છે ત્યારે નવી વસ્તુ જૂની બનતાં એટલે કે આજને ગઈકાલ બનતાં વાર નથી લાગતી.
હા, માનવ ઉત્પત્તિના મૂળમાં જે સંસ્કાર રહેલા છે, જે ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલા છે, એ જ માત્ર સોનું કહી શકાય. જ્યાં સુધી માનવ તેના મૂળ સાથે જોડાયેલો છેત્યાં સુધી તેને તેની કિંમત છે બાકી વિજ્ઞાન ગતિમાન છે. અનેક શોધોને પરિણામે મંગળ સુધી પહોંચનાર આજનો માનવ બળદગાડું કે ઘોડાગાડીમાં ક્યાંથી મુસાફરી કરવાનો? હા, અમુક સમય માટે જૂની વાતો યાદ કરીને મ્હાલવી એ તરોતાજા બનવા માટે જરૂરી છે, પરંતુ એ સોનુ નથી જ.
આ સંદર્ભે આજ અને ગઈકાલ, સોનુ અને પિત્તળની સરખામણી અનાયાસે થઈ જાય છે. આજે રોજિંદા જીવનમાં મશીનનો પ્રવેશ અને પરિણામે શારીરિક કસરતે જાકારો લીધો છે. જેને કારણે શારીરિક ફિટનેસ માટે વર્કઆઉટ જરૂરી બન્યું છે. જૂની શિક્ષણ પદ્ધતિ ખર્ચાળ અને અટપટી ન હતી. માતૃભાષાને મહત્વ અપાતું અને ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત મૂલ્યો જળવાઈ રહેતાં. આજે જ્યારે ભણતરના ભાર તળે દબાઈને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો જોવા મળે છે ત્યારે જૂની અને નવી શિક્ષણપ્રથાની સરખામણી વિચાર માંગી લે છે.
આપણા પૂર્વજોએ કહેલી, મજબૂત દાંત માટે મીઠું ઘસવાની વાત, બ્રશની જગ્યાએ ઔષધિય વનસ્પતિનું દાતણ કરવાની વાત આજે પુનર્જીવિત થતી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ જૂનીપુરાણી છે. જે આયુર્વેદ તેમ જ યોગનો સ્ત્રોત છે. હોમીઓપથી, એક્યુપ્રેશર તેમજ અનેક પથી શારીરિક તેમજ માનસિક ઉપચારની પદ્ધતિઓ ભારતીય સંસ્કૃતિ અને ઋષિઓની દેન છે. માટીનાં વાસણો તેમજ પતરાળાની જગ્યા ડિસ્પોઝેબલ પેપર અને થરમોકોલ પ્રોડક્ટોએ લીધી. જે રોગોને આમંત્રણ આપે છે. હરીફરીને દુનિયા હવે માટીના વાસણો તેમજ પતરાળાને અપનાવે છે. વિદેશોમાં તેની માંગ, પ્રચાર અને પ્રસાર મોટા પ્રમાણમાં જોવા મળે છે. આજના યુગની દેન છે કેન્સર જેવી મહાબિમારીઓ, તો વળી તેનું ઓસડ પ્રાચીનમાંથી મળે છે.
આરસના મહેલમાં રહેતા હોય પણ થોડા દિવસ ગારાના ઘરમાં રહેવું, ખુલ્લા આકાશમાં ફળિયામાં ખાટલા પર સૂતા સૂતા આભના તારા ગણવા, ગમાણની વાસ મહેસૂસ કરવી, પરોઢના વલોણાના અવાજ સાથે પ્રભાતિયાના સૂરની સંગત ભલા કેમ ભુલાય? ગામડામાં કે પોળમાં રમતા નિખાલસ બાળકોની કોઈ નિયમ કે રોકટોક વગરની રમતો, સૂરજના કિરણોને લીધે ક્યાંય વિટામિનની ઉણપ નહોતી દેખાતી. આજે દોમદોમ સાહેબી અને સગવડતા વચ્ચે ઉછરનાર બાળકો, અનેક ઉણપો અને રોગો સાથે મોટા થતાં જોવા મળે છે. ગામડું છોડીને શહેરમાં અને પોળ છોડીને સોસાયટીમાં તેમજ વિદેશમાં લોકો વસવા માંડ્યા. પરંતુ નવા આવાસોમાં જૂની વસ્તુઓ જેને ફેશનમાં એન્ટિક કહે છે તેની છાંટ વગર ઘરવખરી શોભતી નથી, એ હકીકત છે.
આજના પરિવર્તનશીલ યુગમાં વોટ્સએપ, ફેસબુક અને મોબાઈલ ફોને માણસને સ્થગિત બનાવી દીધો છે. સ્થગિત પાણીમાં લીલ થાય છે. વહેતુ પાણી ચોખ્ખું હોય છે. આ દશા માણસના શરીર અને મનની થઈ ગઈ છે. ટેકનોલોજીનો ગુલામ, જન્મેલા બાળકની પણ દરકાર કરતો નથી તો પરિવારનો તો પ્રશ્ન જ પેદા થતો નથી. પહેલાંની વ્યક્તિ આત્મનિર્ભર હતી. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે નવા મશીનો, આધુનિક ટેકનોલોજી અને આદતોએ માણસોને એકબીજાથી દૂર કરી દીધા છે. યુવાનો માટે જ્યાં થનગનાટ અને ભાગદોડ છે ત્યાં આ ટેકનોલોજી ચોક્કસ મદદરૂપ થાય છે. પરંતુ બાળપણ અને ઘડપણમાં જૂનું તેમના જીવનમાં પ્રાણ પૂરે છે. જ્યારે હુંફની, સંગતની જરૂર ખાસ હોય છે ત્યારે આ કહેવત વહાલી લાગે છે.
જૂની રીતભાત, રહેણીકરણી, રિવાજો, દૈનિક ક્રિયાઓ, ઉત્સવ, મેળાવડા, ગીત-સંગીત આપણે છોડી શકવાના નથી. જૂના સંસ્કારો ભલે રૂઢીગત સંકુચિત હતાં, પરંતુ એ આમન્યા અને સામાજિક બંધનોને કારણે ઘર તૂટતા ન હતા. સુખ-દુઃખ વહેંચીને સંતોષનો ઓડકાર  જૂના લોકો ખાતાં. આજે “હું અને મારો પરિવાર”માં વ્યક્તિનું વિશ્વ સમાઇ જાય છે. જરૂર હોય ત્યારે જ એકલતાનો અજગર ભરડો લે છે. માનવ શરીર અનેક રોગોનો ભોગ બને છે. અંતે માણસને ભરખી જાય છે. બીમારી અને તેનો ઈલાજ જાણે મેરેથોનમાં ઉતર્યા હોય!
શ્રીકૃષ્ણના કહ્યા મુજબ “પરિવર્તન એજ જીવનનો નિયમ છે”. જીવનનું કામ છે, વહેવું. વહેવામાં બદલાવ આવે છે. જે ઉગે છે તેનો અસ્ત નક્કી છે. નામ તેનો નાશ હોય છે. એ આધારે વિજ્ઞાન ગતિમાન છે. આજની કાલ બને છે. પરંતુ સોના જેવું કિંમતી અને સારું શું છે તે સમય, સંજોગો અને પરિસ્થિતિ બતાવે છે. અમુક સ્થાપત્યો માત્ર હેરિટેજ બનીને રહી જાય છે. પ્રાચીન સિક્કાઓ અને સ્ટેમ્પસનું તેમજ જૂની શરાબનું મૂલ્ય ઘણું હોય છે. પ્રાચીનતાને ધિક્કારવાની ભૂલ ના કરવી. મા-બાપ ક્યારેય જૂના થતા નથી. જેનું લોહી અને ડીએનએથી આપણા શરીરનું બંધારણ બન્યું છે તેની કિંમત સોનાથી વિશેષ હોય છે. નવીનતાને અપનાવવી રહી, પરંતુ મૂળથી વિખૂટાં પડીને નહીં.

૪૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

લાલો લાભ વગર ના લોટે

આ કહેવત પાછળની વાર્તા છે. કરિયાણાની દુકાનેથી ઘી લઈને ઘેર જઈ રહેલો લાલો, ઠેસ વાગતા પડી ગયો. બધું જ ઘી ઢોળાઈ ગયું. લાલાની માને કોઈએ આ સમાચાર આપ્યા, ત્યારે ડોશી સમજી ગઈ કે મારો લાલો લાભ વગર ના લોટે (પડે). લાલો ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે રસ્તામાં રોકડા રૂપિયાની થેલી પડી હતી. ભરબજારમાં નીચે વળીને થેલી લેવા જતાં સૌની નજર પડે તો? માટે તેને આ નાટક કરવું પડ્યું હતું. આ તો એક વાર્તા છે.

આ એક પ્રકારની માનસિકતા કહેવાય. મનુષ્યને પોતાનો લાભ દેખાતો હોય, પોતાનો જ્યાં સ્વાર્થ હોય ત્યાં સર્વસ્વ લૂંટાવી દેવા તે તૈયાર રહેતો હોય છે. કોઈ વ્યક્તિ કોઈના પર વરસી પડે તો સમજવું, એમાં જરૂર એનો કોઈ લાભ હશે. આ નકારાત્મક ગુણ માણસની કચાશ કહી શકાય. એ સમયે માણસ આંધળો બની જાય છે. સારા-નરસાનું ભાન રહેતું નથી. જુગારમાં પત્નીને દાવ પર લગાવનાર યુધિષ્ઠિરની સૌને ખબર છે. અજ્ઞાન, મોહ, આસક્તિને કારણે મળતો લાભ ક્યારેક માણસને ના કરવાનું કરાવી દે છે.

સરકારી ઓફિસોમાં તમારી ફાઇલ આગળ ધકેલવા માટે અંડર ટેબલની વિધિ કરવી જ પડે છે. સરકારી કર્મચારીનો ભાવ સમજવો પડે કે “આમાં મને શું?”, “મારું શું?” આ માનવસહજ સ્વભાવ થઈ પડ્યો છે. નીતિ નેવે મૂકાઇ જાય છે. માનવને ખુશ કરવા માનવ પ્રયત્નો કરે છે. પરંતુ ઈશ્વરનો અનુગ્રહ મેળવવા કે પ્રસન્ન કરવા માટે તેની સ્તુતિ ક્યાં નથી કરતો? જે પાઠ-પૂજા કે વ્રત-કથા પારાયણ કરવાથી ફળપ્રાપ્તિ થાય કે લાભ મળે તે માણસ ખાસ કરશે. તેની સાથે ઐક્ય સાધવા કે રીઝવવા પત્ર-પુષ્પ, ફ્લમ્‍ તોયમ્‍ કે મન, વાણી કે કર્મનો ઉપયોગ માણસ અચૂક કરશે. પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે. આજકાલ શુદ્ધ નિર્મળ પ્રેમ જોવા મળતો નથી. હેતુ વગર હેત નથી હોતુ એટલે કે આપણા હેતમાં પણ હેતુ હોય છે.

આજકાલ બજારમાં “આજા ફસાજા”ની નવી નવી સ્કીમો બહાર પડે છે. પ્રમાણિકતાની વ્યાખ્યા બદલાઇ છે. લાભપાંચમનું મૂલ્ય બદલાયું છે. બીજાની લીટી નાની કર્યા વગર પોતાની લીટી મોટી કરવી જોઈએ. “કર લો દુનિયા મુઠ્ઠીમેં” સૂત્રને સકારાત્મક રીતે સાકાર સ્વરૂપ આપવું જોઈએ.

કેટલીક સંસ્થાઓ દાન પર નભતી હોય છે. દાનવીરોનું સન્માન થાય, તેમની તક્તીઓ મૂકાય તો જ દાન આપતા હોય છે. ત્યારે આ કહેવત સાર્થક થાય છે. જોકે અપવાદ હોય છે. એવા પણ દાતા હોય છે જેઓ પોતાનું નામ જાહેર કર્યા વગર ગુપ્તદાન કરતા હોય છે. તેનાથી વધુ શ્રમજીવીઓ કે જે રોજેરોજનું કમાઇને ખાતા હોય તેઓ રોજની આવકનો અમુક હિસ્સો જરૂરિયાતમંદને વહેંચે છે ત્યારે માથું ઝૂકી જાય છે.

સંતની વાત કરીએ, જે ક્યારેય પોતાનો લાભ જોતા નથી. અધ્યાત્મને વરેલા હોય છે. માટે જ दया भूतेषु પ્રાણીમાત્ર પર દયા તેમનો ધર્મ હોય છે. દયા અને કરુણા જે ભક્તિનો પાયો છે તેનાથી નીતરતું હૈયું સંતો પાસે હોય છે. ત્યાં નીજ લાભની વાત જ ક્યાં કરવી? બીજાનાં દુઃખ માટે સંવેદના ના હોય અને પોતાના સ્વાર્થ અને લાભની જ વાત કરીએ તેને રાક્ષસી વૃત્તિ જ  કહેવાય. જ્યાં લાભવૃત્તિ નથી ત્યાં દયા છે. જે માનવને પશુત્વમાંથી મનુષ્યત્વમાં લઈ જાય છે. આ દયા ધીમે ધીમે સક્રિય થવી જોઈએ. પછી ભલે એ લોભથી કે લાલચથી સક્રિય થાય. દયાનું પણ એક વિજ્ઞાન હોય છે.

સંતોએ કહ્યું છે માત્ર પોતાના જ લાભનો વિચાર કરવાને બદલે બીજી પીડાતી વ્યક્તિની ચેતનાને જો તમે અનુભવી શકો તો તમારી ચેતનાનો વિસ્તાર થાય છે. અને એ ચેતના વિરાટ સાથે જોડાય છે. મારાપણુ મટી જાય છે. અંદર સહજતાથી શાંતિ અને આનંદ પ્રકટે છે. આ વિરાટમાં જ સુખ હોય છે. અહીં મૂળમાં તો મળવાનું કે લાભવાનું જ છે. અને એ છે દુઆ. જે લૌકિક સ્વરૂપમાં ના મળે પણ જીવનને ધન્ય બનાવે છે.

આજના ભૌતિક યુગમાં માત્ર પોતાનો લાભ જોવામાં આવે છે. સંવેદનાનું મહત્વ ઘટતું ગયું છે. દરેક જગ્યાએ લાભ ના જોવાય. ડાકણ પણ એક ઘર છોડે છે. બાળકો માટે વડીલોની દુઆ જેવો મોટો કોઈ લાભ નથી. સંતાનોએ કરેલી સેવા અને તેનાથી મા-બાપને થતી રાહત કે હાશકારો પરિણામે અંદરથી એને માટે આશીર્વાદ પ્રવાહિત થાય એનું મહત્વ ખૂબ ઊંચું હોય છે જેની નોંધ પરમાત્મા કે જે સર્વ વ્યાપક છે ત્યાં સુધી અચૂક પહોંચે છે. બાકી એ સત્ય છે કે લાલો લાભ વગર ના લોટે.

૪૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઘમઘમ

જૂના જમાનાની આ જાણીતી કહેવત છે. એ જમાનામાં મારવું એ શિક્ષકો અને વાલીઓ માટેનું શસ્ત્ર હતું. સોટી મારવી એટલે સજા કરવી. સોટી અને તે પણ નેતરની. કેટલી ચચરે! અરે સોળ પડી જાય! એની પીડા તો જેણે ચમચમતી સોટી ખાધી હોય તેને જ ખબર પડે.

કેટલાંક નટખટ છોકરાઓ માસ્તરને અવનવા ઉપનામથી ખીજવતા. કોઇ વાર માસ્તરની ખુરશી પર ગોખરુ ઘસતાં, રજીસ્ટર સંતાડતાં તો વળી શાહીના ખડીયા ઉંધા વાળતાં. આ થઇ ઓગણીસમી સદીની વાતો. લેસન ના કર્યું હોય, મોડા આવો, આંક ના આવડે, પલાખાં ખોટા પડે એટલે તીખા સ્વભાવના મહેતાજી હાથમાં નેતરની સોટી ચમચમાવતાં અને કહેતાં “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમઘમ”. ગળામાં પાટી ભેરવી, કપાળે શાહીનો ચાંદલો કરીને, વરરાજા બનાવી દરેક વર્ગમાં ફેરવે. ઊઠબેસ કરાવે, બેંચ પર ઊભા રાખે, કાન આંબળે, પગના અંગૂઠા પકડાવી, પીઠ પર ફૂટપટ્ટી મૂકી અને જો તે પડી જાય તો એ ફૂટપટ્ટી મારવી. તેનો ચચરાટ અને આંખમાં આંસુ ભૂલાય નહીં. અને એ કરેલી ભૂલનું ક્યારેય પુનરાવર્તન થાય નહીં. મગજ સતેજ બની જાય. નિયમિતતા અને શિસ્ત જીવનનું અભિન્ન અંગ બનીને રહી જાય. જે બાળકના જીવનની પાયાની જરૂરિયાત કહેવાય. જેનાથી માનવજીવનની ઇમારતનો પાયો મજબૂત રહે. આમ બાળકોને ધાકમાં રાખતાં.

કેટલાંક માસ્તરોની સોટી થકી અભ્યાસમાં મન પરોવાતું, વાંચનની ભૂખ ઉઘડતી. સોટીનો માર પડે છે ત્યારે વિદ્યાર્થી બેવડો વળી જાય છે અને શીખેલું તેને જીવનભર યાદ રહે છે. સારાં શિક્ષકોના દિશાસૂચને કંઈક સાહિત્યકારો, કવિ, લેખકો, નાટ્યકારો તેમજ કલાકારોને જન્મ આપ્યો છે. હિટલરને ખલનાયક બનાવનાર તેનો શિક્ષક હતો એવું ખુદ હિટલરે પોતાની આત્મકથામાં નોંધ્યું છે. વિનોદ ભટ્ટ તેમના પુસ્તક, “સોટી વાગે ચમચમ”માં લખે છે કે આમ તો “ટુ ટીચ”નો અર્થ ભણાવવું એવો થાય છે પણ આ “ટીચ” શબ્દનો અર્થ ટીચી નાખવું પણ થતો હોવો જોઈએ. કેમ કે અગાઉના વખતમાં સ્કૂલો પોલીસ સ્ટેશન જેવી હતી. અડફેટે ચડતાં છોકરાને ટીચી નંખાતો.

બાળકોને સજા કરવાથી તેઓ માનસિક તાણનો શિકાર બની જાય છે. અશિષ્ટભર્યું વર્તન કરવા લાગે છે. ક્યારેક બાળક આક્રમક બનીને ભાંગફોડિયું વર્તન કરે છે. તો વળી સંવેદનશીલ બાળક આપઘાતનો માર્ગ અપનાવે છે. જ્યારે વખાણ કે શાબાશી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. તાજેતરમાં મહારાષ્ટ્રનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિદ્યાર્થી ઉપર સોટી કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સ્વ. અબ્દુલ કલામનું માનવું હતું કે શિક્ષક તેમના વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન છે. વિદ્યાર્થીઓને માટે તેઓ રોલમોડલ બને તેવું, આદર્શ જીવન જીવે તેવું શિક્ષણ આપવું જોઈએ. વિદેશમાં બાળકો કે વિદ્યાર્થીઓ પર તમે હાથ ના ઉપાડી શકો.

હવેનાં માસ્તરો મારી શકતાં નથી અને ભણાવતાં પણ નથી. માસ્તરોનું સ્તર નીચે આવતું ગયું છે. ભણવું હોય તો અમારું ટ્યૂશન રાખવું પડશે. શિક્ષકો બાળકો પર અત્યાચાર કરે છે પરિણામે વાલીઓ તેમનાં બાળકોનો પક્ષ લઇને શિક્ષકોને મારે છે. શિષ્ટતા અને સંસ્કાર છાપરે મૂકાઈ ગયાં છે. ગુરુ શિષ્યનાં સંબંધો વકરતાં જાય છે. ગુરુદક્ષિણામાં અંગૂઠો કાપવાનું તો બાજુ પર છે પરંતુ આધુનિક એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યનું નાક કાપવા તૈયાર થઈ જાય છે.

ભારતીય જ્યારે વિદેશ યાત્રાએ જાય છે ત્યારે પૂરી નિષ્ઠાથી ત્યાંના કાયદાનું પાલન કરે છે. શિસ્ત અને સ્વચ્છતા અંગે ત્યાંના કાયદા કડક અને દંડનીય હોય છે. હાલમાં ભારતીય સરકાર દ્વારા નાગરિકો માટે વાહનો અને દસ્તાવેજો અંગે કડક કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. રસ્તા પર સીસીટીવી લગાવી, ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં લોકોને દંડ કરવામાં આવે છે. આ કાયદાની સોટી વિંઝવામાં આવી રહી છે જેથી જનતાની સાન ચમચમતી સોટીથી ઠેકાણે આવી જશે. આ બતાવે છે કે જ્યાં સ્વયંશિસ્ત ના હોય ત્યાં દંડની સોટી જરૂરી બને છે.

શિક્ષક એક શિલ્પી છે. તે માનવીને તરાશીને મહાપુરુષ બનાવે છે. શિક્ષક એક શક્તિ છે કે જે મડદામાં પણ પ્રાણ પૂરી શકે છે. શિક્ષક મરજીવા છે. આજે પણ વિદેશમાં મંદિરોમાં, મીલપીટાસ હવેલીમાં વિદ્યામંદિર થકી બાળકોને અપાતી કેળવણી દાદ માંગી લે છે. વાર-તહેવારે પ્રસંગોની ઉજવણી દ્વારા ગુરુ શિષ્ય વચ્ચે ઘનિષ્ઠતા કેળવાય છે. “સોટી વાગે ચમચમ” કહેવતને ભૂલીને ગુરુ-શિષ્ય વચ્ચે સન્માનનો સેતુ સર્જાય છે. વિવેક, સદ્‍ભાવના, શિષ્ટાચાર અને જ્ઞાનની સરવાણી વહેતી જોવા મળે છે. અવનવા ક્લાસીસના ગુરુજનો વિદ્યાર્થીઓમાં પ્રિય હોય છે, ત્યારે વગર સોટીએ વિદ્યાનું આદાન-પ્રદાન કરનાર ગુરુ-શિષ્ય માટે શીશ ઝૂકે છે.