માનનીય પ્રજ્ઞાબેન,
કુશળ હશો. આ સાથે ‘ અંતર્ગત એક લેખ મોકલું છું.
આભાર-અહેસાસ કે ભાર
————————————–
ટેક્ષીમાં એ એક અજાણ્યા દેશમાં એનાં પરિચિતને ત્યાં જઈ રહયા હતાં. શિયાળાની ખુશનુમા સવાર હતી. ડ્રાયવર મીઠું મીઠું ગીત ગણગણતાં ટેક્ષી હંકારી રહ્યો હતો.ત્યાં જ અચાનક એક કચરાની દુર્ગંધ મારતી ટ્રક એમની ગાડીને ખોટી રીતે ઓવરટેક કરીને જતી રહી. એને થયું કે ટેક્ષી ડ્રાયવર હમણાં બે ચાર ગાળો ભાંડશે,
એનાં બદલે એણે તો પાસે રહેલી પરફયુમની બાટલી ખોલીને ટેક્ષીમાં છાંટી દીધું. આગળ સિગ્નલ પર એ જ કચરાની ગાડી પાસેથી પસાર થતાં એણે ગાડીની બારીનો કાચ ખોલીને પેલાં ડ્રાયવરને કહ્યું “આભાર”.અને એ આગળ નીકળી ગયો.સહેજ આશ્ચર્ય સાથે પ્રવાસીએ પુંછ્યું “તમે ગુસ્સો કરવાને બદલે શા માટે આભાર વ્યક્ત કર્યો ?”એણે હસીને કહ્યું“સાહેબ, એનાં કારણે તો મને પરફયુમ છાંટવાનું યાદ આવ્યું આપણી ટેક્ષીને મહેંકતી કરવામાં સહાયરૂપ થવા બદલ મેં એનો આભાર માન્યો.”આ છે આભારની એક નવી પરિભાષા.આભાર વ્યક્ત કરીને ગુસ્સાને હાસ્યમાં ફેરવી શકાય. નકારાત્મકતાને હકારાત્મક્તામાં પલટાવી શકાય. ‘અહીં ધુમ્રપાન કરવાની મનાઈ છે’ ના બોર્ડના બદલે ‘અહીં ધુમ્રપાન ન કરવા બદલ આપનો આભાર’ કેટલી સુંદર અસર છોડી જાય છે.
આપણને મુસીબતમાંથી બહાર કાઢનાર ,આપણી આર્થિક તકલીફને દૂર કરવામાં મદદરૂપ થનાર,આપણને નાની મોટી સહાય કરનાર, આપણા દુઃખમાં સહભાગી થનાર, આપણને સાચી રાહ દેખાડનાર કે જિંદગીની સફરમાં આપણને સાથ દેનાર એ બધાં ‘આભાર’ ના હકદાર છે.આભાર વ્યક્ત કરવાથી આપણે થોડો ભાર ઉતારી શકીએ છીએ.થોડાં હલકા,થોડાં હળવા થઇ શકીએ છીએ. અલબત,આભારનાં એ ઉદગાર માત્ર મુખેથી બોલાયેલાં શબ્દો નહીં પણ હૃદયથી પ્રગટેલો ભાવ હોવા જોઈએ.આ જિંદગી ભલે આપણી હોય એ જિંદગીને ધબકતી રાખવામાં કૈંક હજારો માનવી કારણભૂત હોય છે. કદાચ આપણને એનો ખ્યાલ સહજતાથી નથી આવતો,પણ જો જરાક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો ડગલે ને પગલે આપણને આપણા પર ઉપકાર કરનાર વ્યક્તિ મળે. આપણને આ ધારા પર અવતરવામાં નિમિત બનનાર માં-બાપ,આ અવતરણને સફળ બનાવનાર ડોક્ટર,નર્સ,શિશુ અવસ્થામાં આપણું દયાન રાખનાર સ્વજનો,શિક્ષા આપનાર શિક્ષકો,અન્ન ઉગાડનાર ખેડૂત,આપણા કપડાં સીવનાર દરજી,આપણા પગરખાં સીવનાર મોચી, આપણું ઘર બનાવનાર શિલ્પીઓ,મજૂરો,આપણને એક સ્થળેથી બીજા સ્થળે સહી સલામત પહોંચાડનાર રીક્ષા,ટેક્ષી,ટ્રેન કે પ્લેનના ચાલક,આપણા આંગણને અને શહેરને સ્વચ્છ રાખનાર કર્મચારીઓ,આપણામાં ધર્મનાં સંસ્કાર સિંચનાર ગુરુઓ,આપણી જીવન જરૂરીયાતોને પૂરી કરનાર વિવિધ કળામાં પારંગત એ ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓ આ યાદીને જેટલી લંબાવવી હોય તેટલી લંબાવી શકાય.આ બધાનો આભાર જો શબ્દોથી ન વ્યક્ત કરી શકાય એમ હોય તો આપણું વર્તન,આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે ઉપકાર કરનારને સંતોષનો અનુભવ થાય.
આ ઉપરાંત વહેતી હવા,ફળ-ફૂલની ભેટ આપતાં વૃક્ષો,જીવન માટે અમૃત રૂપી જળને પૂરું પાડતી નદીઓ,અડીખમ ઉભા રહીને પ્રકૃતિનું સંતુલન જાળવતાં પર્વતો,પ્રકાશ પાથરતો સૂર્ય,શિતળતા આપતો ચંદ્ર,અને આ બધાથી ઉપર આખી સૃષ્ટિનો સંચાલક પરમેશ્વર એ સર્વનો હર પલ આભાર માનવો જોઈએ.એક શાયરે બહુ જ સરસ વાત કહી છે —એ હવા ! તારી સખાવતને સલામ, ક્યાય તારાં નામની તકતી નથી.આભાર માનવાથી અહં નીકળી જાય છે. હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા , શકટનો ભાર જેમ શ્વાન તાણે આ વાતનો ખ્યાલ આભાર માનવાની વૃતિથી આવે. ડગલે ને પગલે આભાર માનવાથી જીવનમાં સરળતા આવે છે.બોઝિલ જિંદગી હળવી બને છે.’આભાર’ના બે શબ્દો બોલવામાં ગુમાવવાનું કશું નથી પણ મેળવવાનું ગણું છે. વરસાદથી બચવા આપણે છત નીચે ઉભા હોઈએ ને કોઈક છત્રી લંબાવીને અંદર આવી જવા કહે ને આપણે આભાર માનતા અંદર ઘુસી જઈએ અને પછી છૂટા પડતા પણ આભાર માનીએ.આ ટૂંકી સફરમાં બંને થોડા થોડા ભીંજાય જતાં હોય છે ને તો પણ એકને મદદ કર્યાનો આનંદ હોય છે તો બીજાને થોડું ઓછું ભીંજાયાનો આનંદ હોય છે.આભાર એ આનંદની વહેંચણી છે.આભાર જો સાચા હૃદયથી માનવામાં આવે તો એ ભાર નહીં પણ એક એવો અહેસાસ બની રહે કે જેમાં ઋણમુક્ત થવાની ઝંખના પ્રબળ બને.
રોહિત કાપડિયા