યાજ્ઞસેની,પાંચાલી,અગ્નિકન્યા,કૃષ્ણા….જેવા અનેક નામોથી આપણે જેને ઓળખીએ છીએ તે દ્રુપદની પુત્રી ,સાક્ષાત અગ્નિમાંથી પ્રગટેલી ,પાંચ પાંડવોની પત્ની ,ઈન્દ્રપ્રસ્થની સામ્રાજ્ઞી ,બુધ્ધિ અને સુંદરતામાં સર્વશ્રેષ્ઠ એવી દ્રૌપદીનાં નામ અને ગુણોથી કોણ અપરિચિત હોય? પરતું ધ્રુવદાદાએ તેમની અગ્નિકન્યા નવલકથામાં આપણને દ્રૌપદીનાં એક અણજાણ નામનો પરિચય કરાવ્યો છે તે છે મુક્તકેશા. મને આ નામની ખબર નહોતી ,મિત્રો તમે આ નામ જાણતાં હતાં? દ્રૌપદીના આ નામ સાથે દ્રૌપદીનાં જન્મથી લઈને તેનાં વિરગતિ સુધીનાં જીવનને ધ્રુવદાદાએ પોતાની રીતે કલ્પી,દ્રૌપદીનાં ચરિત્રનું નિર્માણ શા માટે થયું હશે ?તેનું સુંદર કલ્પન આ નવલકથામાં કરી દ્રૌપદીનાં સ્ત્રીપાત્રને એક નવીજ ઊંચાઈએ લઈ ગયા છે.
દ્રૌપદીનાં પાત્રને વર્ણવતાં મહાભારતની કથાનાં કેટલાંક અંશોનું વર્ણન પણ કર્યું છે. અનેક જીવનઉપયોગી સંવાદો દ્વારા જીવન સત્યોને રજૂ કરતાં નવલકથાને એક નવો આયામ આપ્યો છે. નવલકથાની શરુઆતમાં જ ઋષિ ઉપાયાજ અને દ્રુપદનાં સંવાદમાં જ્યારે દ્રુપદરાજા ઋષિને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવવા માટે આમંત્રણ આપે છે ત્યારે ઋષિ ઉપાયાજ ખૂબ સરસ વાત કરે છે કે” સંતતિ અને સંપત્તિ વહાલાં ભલે લાગે. પરતું સુખનું નિર્માણ બંનેમાંથી એક પણ કરી શકે નહીં. સુખની શરુઆત ઇચ્છાની પૂર્ણાહુતિથી જ થાય છે.”
આમ કહી ધ્રુવદાદાએ આપણને કેટલી મોટી વાત સમજવાનું કહ્યું છે કે સુખ કયાંયથી મળતું નથી. તમારી ઇચ્છાની પૂર્ણાહુતિ જે દિવસે થઈ જાય પછી સર્વત્ર સુખ જ છે.સૌ દુ:ખોનું મૂળ જ ઈચ્છાઓ છે.ઉપાયાજ ઋષિ યજ્ઞ કરાવવા માટે આવવાની દ્રુપદરાજાને ના પાડે છે અને કહે છે ,” યજ્ઞ તો જીવમાત્રનાં કલ્યાણ અર્થે કરાય. સ્વાર્થી હેતુ માટે રાજાઓ યજ્ઞ કરાવશે ત્યારે ધર્મ વિલીન થઈ જશે.” આમ કહી ધ્રવદાદાએ યજ્ઞ શા માટે થવા જોઈએ અને સ્વાર્થી હેતુથી થતાં યજ્ઞોથી ધર્મ વિલીન થાય છે એવો ગર્ભિત સંદેશ પણ આપી દીધો છે.
ધ્રુવદાદાનો આ એક વિચાર પણ મને ખૂબ ગમ્યો કે જે તેમણે શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનાં સંવાદ થકી મૂક્યો છે. કૃષ્ણ દ્રૌપદીને કહે છે,” કેટલાક માનવીઓ ચોક્કસ કાર્ય માટે જન્મ લેતા હોય છે. તેમને અંગત લાગણીઓ અને ગમા અણગમાને અવગણીને પણ આનંદથી જીવવું પડે છે; અને દ્રૌપદી ,કદાચ તમે પણ એમાંના એક છો, જેમની આર્યાવર્તને અત્યારે ખૂબ જરૂર છે.”
આમ આ સંવાદ રચી દાદાએ દ્રૌપદીનું પાત્ર એક ખાસ હેતુ સર વ્યાસમુનિએ રચ્યું છે, અને એક સ્ત્રીનાં પાત્રનું વિશિષ્ટ હેતુ માટે સર્જન થયું છે તેમ સૂચવ્યું છે.દ્રૌપદીનાં પાત્ર દ્વારા જગતની દરેક સ્ત્રીને સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં આવતાં અનેક કષ્ટો,યાતનાઓ,દુ:ખો સહન કરીને પણ સ્ત્રી સોનાની જેમ ચળકતી અને ચમકતી રહી બીજાની જિંદગીને,આભૂષણ બની ચમકાવી શકે છે ,ભલેને તેને માટે તેને અગ્નિમાં જલવું પડે.એટલે જ કૃષ્ણ પણ દ્રૌપદીને કહે છે,” તમે સ્ત્રી છો અને સમર્થ છો જ,કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. પ્રશ્ન માત્ર શ્રદ્ધાનો છે.”
આમ ધ્રુવદાદાએ તેમની અગ્નિકન્યા નવલકથામાં દ્રૌપદીનાં પાત્રને ખૂબ વિશિષ્ટ રીતે આલેખી ,હંમેશની જેમ સ્ત્રી પાત્રની મજબૂતાઈ દર્શાવી નારીનાં ગૌરવને બિરદાવ્યું છે. સાથે સાથે ધ્રુવદાદાએ વ્યાસમુનિનાં દ્રૌપદીને ઉદ્દેશીને કહેવાએલ સંવાદમાં ,દ્રૌપદીનાં પાત્રને શીરે કેટલી મોટી જવાબદારી છે તેનું પણ સરસ આલેખન કર્યું છે.વ્યાસ મુનિ દ્રૌપદીને કહે છે,” પાંચે પાંડવો એક તંતુએ બંધાઈ રહે તેમાં આર્યાવર્તની પ્રજાનું હિત અમે જોયું છે. પાંચે જણા જુદુંજુદું વ્યક્તિત્વ ધરાવે છે અને પાંચે જણા અપ્રતિમ છે. એમને બાંધી રાખવાનું કામ આ જગતમાં ફક્ત બે જ જણ કરી શકે તેમ છે એક તારી સાસુ,જે હવે વૃધ્ધ થયાં છે અને બીજી પાંચાલી તું.તારા માથે ઘણો બોજો છે. પાંચેય પાંડવો સળગતા અંગારા જેવા છે. તે ક્યારેય બુઝાય નહીં એ તારે જોવાનું છે.ફક્ત તું જ એ કરી શકીશ.”
દાદાએ દ્રૌપદીનાં પાત્રની જવાબદારી એક જ સંવાદમાં સમજાવી તેના પાત્રને અદ્ભૂત ગૌરવ
બક્ષ્યું છે.નવલકથાની આગળની વાત આવતા અંકે,પરતું આ સાથે યાદ આવેલ ધ્રુવગીત તો માણીએ…
કહે માર્ગ ક્યાં જઈશ પૂછ્યા વગર બસ અમે ફક્ત ચાલ્યે જશું જિંદગીભર
અહીં ઊગશે દશગણું એમ ઈચ્છયા વગર હેત વાવ્યે જશું જિંદગીભર
અમે જિંદગીના ખભે ટેકવીને ઘણી દર્દભીની પળો રોઈ લીધી
પરતું પ્રતિક્ષણ પ્રતિજ્ઞા ધરી કે સમયને હસાવ્યા જશું જિંદગીભર
કરો કલ્પના કોઈ અધરાત લઈને અતિથિ તમારે ઘરે પણ પધારે
તમે દ્વાર ખોલી મૂઠીભર ધરો છો તો તે પર ચલાવ્યે જશું જિંદગીભર
ન રેશમ ખાદી ન ભગવું ન ધોળું ન કંથા સમું કંઈ સ્વીકારી શક્યો હું
મને વસ્ત્રમાં કોઈ ઓળખ જડી નહીં કે બેસીને રંગ્યે જશું જિંદગીભર
ભલે ને સનાતન નથી જિંદગી પણ અમારું સનાતનપણું છે સલામત
ફરી કોઈ જન્મે મળો’નું નિમંત્રણ હસીને સ્વીકાર્યે જશું જિંદગીભર
મને પર્વતોના શિખર પર મળે તું પછી તું મને સાવ સન્મુખ નિહાળે
ફરક બેઉનાં દર્શનોમાં હતો શું તે બન્ને વિચાર્યે જશું જિંદગીભર
કોઈપણ જાતની કોઈના તરફથી આશા કે અપેક્ષા વગર હસતાં હસતાં હેત વહેંચીને જિંદગી જીવવાની સુંદર વાત કરતું ધ્રુવગીત આપણને પણ અપેક્ષા ,ઈચ્છા વગર સૌને પ્રેમ કરતાં કરતાં જીવન જીવવાની શીખ આપી જાય છે.
જિગીષા દિલીપ
૪થી મેં ર૦૨૨