ઓશો દર્શન -46. રીટા જાની


હિન્દી ભાષાના યશસ્વી કવિ ડો. કિશોર કાબરા કહે છે કે ઓશોમાં કલા અને કવિતા બંને એકસાથે છે. એટલે અસ્મિતાનો વિસ્તાર અને પછી એમાંથી મુક્તિ એનું જ નામ છે રજનીશ દર્શન. ઓશો સમસ્તના સ્વીકારને સંન્યાસ કહે છે. એમનો સન્યાસ ત્યાગ નથી, પણ ઉપલબ્ધિ છે. એમના સન્યાસીને એમને ત્રણ સૂત્રો આપ્યા છે. “પરમાત્મા છે મંઝિલ, સંતોષ છે ચાવી અને અસુરક્ષા છે આધાર, ધ્યાન છે સ્વેચ્છયા સ્વીકૃત મૃત્યુ અને જો એ પૂરા જીવનમાં ફેલાઈ જાય તો માનવું કે સંન્યાસ ફલિત થયો.”

આ શ્રેણી અંતર્ગત આજે આપણે ડો.અમૃત રાણિંગા અનુવાદિત પુસ્તક ‘અગમ્ય જીવન યાત્રા’ ઉપર આધારિત ઓશોદર્શન જોઈશું. ઓશો કહે છે કે મૃત્યુની ઓળખાણથી જ સંન્યાસનો જન્મ થયો ધ્યાનનો જન્મ થયો આ સત્યની સ્વીકૃતિ સાથે જ તમે નવા બનવા લાગશે નાખશો. દેહ મંદિર છે પણ સંસારી લોકો મંદિરની દીવાલમાં જ ખોવાઈ ગયા છે. મંદિરમાં છુપાયેલી મૂર્તિ સુધી તેઓ પહોંચી શકતા નથી. મૃત્યુ નિશ્ચિત છે છતાં જાગૃતિ નથી. લોકો ક્ષુલ્લક વાતો પર લડી રહ્યા છે. લોકો ધન, પ્રતિષ્ઠા, પદ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે.

ઓશો કહે છે કે ત્યાગી હોય કે ભોગી -બંનેની નજર શરીર પર છે. શરીર સાથે મિત્રતા પણ ન કરો કે શત્રુતા પણ ન કરો. દેહનો સ્વીકાર કરો અને તેને જ પગથિયું બનાવી તેની ભીતર છુપાયેલા શાશ્વતની શોધ કરો. જીવન એક અવસર છે. તેને તમે વ્યર્થમાં ડુબાડી દો કે પછી સાર્થકની તપાસમાં લગાવી દો -તે તમારા પર નિર્ભર છે. જે સમ્યકરૂપે, ધ્યાનપૂર્વક, જળકમળવત જીવે છે તેમને મૃત્યુમાંથી પણ અમૃતનો સ્વાદ મળે છે. જે વ્યક્તિ બરાબર જીવવાનું જાણી લે છે, તે બરાબર મરવાનું પણ જાણી લે છે. તેમના માટે મૃત્યુ જીવનની સૌથી ઊંચી અનુભૂતિ છે. દેવસ્થાનોમાં વાગતી ઘંટડીઓ તમારા જીવનનો થાક કે ચિંતા દૂર નહીં કરી શકે. એ ઘંટડીઓ તમારા અંતસ્તલમાં વાગવી જોઈએ.

મૃત્યુને કોઈ હરાવી શક્યું નથી કે મૃત્યુને જીતવાની કોઈ સંભાવના પણ નથી. મૃત્યુ તો અંધકાર જેવું છે. એ માટે એક જ કામ થઈ શકે. જ્યોતિ પ્રગટાવો અને અંધારું નહીં રહે. ધ્યાનની જ્યોતિ જલતાં જ મૃત્યુને જાણી શકાશે. એકવાર મૃત્યુને જીવનનું અનિવાર્ય અંગ માનીને સ્વીકાર કરો તો જિંદગી તત્ક્ષણ બદલાવી શરૂ થઈ જશે. પછી તમે ક્રોધ નહીં કરો. સફળતા મળે કે વિફળતા, સુખ આવે કે દુઃખ -બધું બરાબર લાગશે. તમારી ભીતર સમ્યકત્વ પ્રવેશી જશે, સાક્ષીભાવ આવી જશે. જેનાથી સદાકાળ માટે છૂટા પાડવાનું છે, ત્યાં દૂર્ભાવ શા માટે પેદા કરીએ? થોડા ફૂલ ઉગાડીએ, ઉત્સવ ઉજવીએ, દીવા પ્રગટાવીએ. આ બે ઘડીના જીવનને સુગંધિત પ્રાર્થનામય, પૂજન બનાવી કૃતજ્ઞતા, ધન્યવાદ, આભાર વ્યક્ત કરીએ.

આ સંસાર ઇન્દ્રધનુષ્ય જેવો છે: દેખાય ખૂબ સુંદર, પણ મુઠ્ઠીમાં પકડો તો હાથમાં કંઈ જ ન આવે. મનુષ્ય પણ એ જ રીતે પદ, પ્રતિષ્ઠા અને ધનના ઇન્દ્રધનુષને પકડવા દોડતો રહે છે. લોભ અને ભય એક જ સિક્કાની બે બાજુ છે અને હંમેશા સાથે આવે છે. મોટાભાગે લોકો નર્કના ભયથી કે સ્વર્ગના લોભથી ધર્મના શરણે જતાં જોવા મળે છે. મોક્ષનો અર્થ છે ભય અને લોભથી મુક્તિ. જેના જીવનમાં ભય અને લોભ નથી તેની તમામ જીવન ઉર્જા પ્રેમ બની જાય છે અને પ્રેમની પરાકાષ્ઠા છે પ્રાર્થના.

અધ્યાત્મનું ગણિત અર્થશાસ્ત્રના ગણિતથી એકદમ વિપરીત છે. ઉપનિષદ પણ કહે છે: ‘ તેન ત્યક્તેન ભુંજીથા: ‘. ભીતરની સંપદા વહેંચવાથી જ વધે છે. વિચારોથી મુક્ત થઈ જવાથી સંતોષની વર્ષા થાય છે, મૃત્યુની પાર અમૃતનું આકાશ દેખાય છે.

ઓશો બીજના ઉદાહરણ દ્વારા સુંદર સમજ આપે છે. બીજ ખાલી છે. બીજમાંથી વૃક્ષ બને છે, વૃક્ષ ઉપર ફૂલ ખીલે છે, તેમાં ફળ પણ ખીલે છે. એ સંતોષ બીજ જો બીજરૂપે જ રહે તો એને ના મળે. માણસ પણ પરમાત્માનું બીજ છે. માણસ જ્યારે ફૂલેફાલે, ખીલે ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. માટે જ આપણે બુદ્ધ, મહાવીર, કૃષ્ણને ‘ભગવાન’ કહીએ છીએ. એનો અર્થ એ કે તેમના દ્વારા પરમાત્માનું તત્વ ખીલ્યું છે, દિવ્યતાની સુગંધ પથરાઇ છે.

વિચાર ઓછા કરો, અનુભવ વધારે કરો. જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ જીવનનું રહસ્ય ઉદ્ઘાટિત થતું જોવા મળશે. જીવન એ બે પરસ્પર વિરોધી ધ્રુવ છે અને તેના કારણે જીવન વધુ સમૃદ્ધ બને છે. ઓશો કહે છે કે જો તમે પ્રેમ કરશો તો બધી જ લાગણીઓ પછી તે નકારાત્મક હોય કે હકારાત્મક – પુનર્જિવિત થશે. આપણે પડછાયાને દૂર ન કરી શકીએ. તે જ રીતે નકારાત્મક લાગણીઓ હકારાત્મક લાગણીઓની સાથે જ રહેવાની છે. જો ક્રોધની જરૂર પડે પ્રેમ ક્રોધ કરવા તૈયાર છે. કોઈપણ બાળકને કદી માતા પિતા પ્રત્યે માઠું નહિ લાગે ભલે તેઓ પ્રેમથી ક્રોધિત થયા હોય. કારણ કે બાળક તમારા પ્રેમને સમજે છે. પણ જો મા-બાપ કે પતિ પ્રેમ વિના ક્રોધ કરે તો તે અહમ છે, તેને માફ ન કરી શકાય.

પક્ષીઓ ગાય છે, પુષ્પો ખીલે છે, સરિતા વહે છે, ઘટનાઓ સતત ઘટતી રહે છે, સમગ્રતયા રંગીન ઉત્સવો ઉજવાતા રહે છે અને આપણે એટલા બંધ છીએ કે એક કિરણ પણ તેમાં પ્રવેશી શકતું નથી. આ કેદને છોડીને બહાર આવીએ તો વાસ્તવિક જીવનનો અનુભવ મળશે. માટે ભવિષ્ય માટે જીવન મોકુફ રાખવું જરૂરી નથી. જીવન અહીં જ છે. જ્યારે ધ્યાનની અવસ્થામાં વિશ્રામ કરીએ તો જીવન કેટલું સુંદર અને મધુર છે તેનો કલ્પનાતીત અનુભવ થશે, સત્ – ચિત્ – આનંદનો અનુભવ થશે. સામાન્ય રીતે આપણે બહાર દ્રષ્ટિ રાખીને જીવીએ છીએ અને ધનની, સત્તાની પ્રતિષ્ઠાની શોધખોળ કરીએ છીએ. જ્યારે આપણું લક્ષ્ય તો ભીતર હોવું જોઈએ. ભીતર શાંતિ છે, મૌન છે, સ્થિરતા છે, પ્રભુતા છે. જે વ્યક્તિ ભીતરના પરમાનંદને જાણશે તે જ બીજાને એ વહેંચી શકશે. કબીર કહે છે કે પોતાના સ્વરૂપ તરફની યાત્રા એ જ પરમાત્મા તરફની યાત્રા.

રીટા જાની
14/04/2023

ઓશો દર્શન -45. રીટા જાની



ગત ત્રણ અંકથી આપણે ઓશો દર્શન અંતર્ગત સંસાર સૂત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓશોની સૂક્ષ્મ દ્રષ્ટિએ સંસારના વિવિધ પાસા ઉપર પ્રકાશ ફેંક્યો છે તેમજ તેની વિવેચના કરી છે. સંસાર સમુદ્રમાંથી સાચા મોતી મેળવવા હોય તો થોડું સાહસ રાખીને ઊંડાણમાં ઉતરવું પડે. પણ જો પાણીમાં ઉતરશો જ નહીં અને મોજાઓના તોફાન જોઈને પાછા ફરી જશો કે કિનારે બેસી રહેશો તો કંઈ પ્રાપ્ત નહીં થાય. આજે ઓશોની દ્રષ્ટિએ સંસારનું અવલોકન કરી વધુ સૂત્રો સમજીએ.

રોકેટની ગતિએ દોડતા જગતમાં મનુષ્ય બસ દોડ્યા કરે છે. એ દોડ સત્તા માટે હોય, ધન માટે હોય, પદ માટે હોય, પ્રતિષ્ઠા માટે હોય, શિક્ષણ માટે હોય કે પછી મનોરંજન માટે અથવા બીજા કોઈ પણ કારણસર હોય; શાંતિ ખોવાઈ ગઈ છે. એ શાંતિની શોધમાં સમગ્ર જગત આજે ધ્યાનનો મહિમા ગાઈ રહ્યું છે. ઓશો કહે છે કે ધ્યાનની વિધિ સરળ છે. જે ક્ષણે શરીર વિશ્રાંત હોય છે, તે ક્ષણે શાંતિ આપોઆપ હૃદયમાં ઉતરી આવે છે. માટે સ્વાભાવિક રીતે જ હૃદય, શાંતિનો સ્ત્રોત છે. જ્યારે તમે શાંતિથી ભરેલા હોય ત્યારે બાહ્ય જગત પ્રત્યેનો તમારો વ્યવહાર વધુ પ્રેમમય અને વધુ નિકટ હશે. તમે જેવા છો તેવું જગત પ્રતિબિંબિત થાય છે.

મનનો સ્વભાવ એવો છે કે તે જ્યાં છે ત્યાંથી ભાગતું રહે છે અને જ્યાં નથી તેમાં રસ જાગે છે. જે મળ્યું છે તે વ્યર્થ લાગે છે અને જે નથી મળ્યું તે સારું લાગે છે. જ્યારે ધ્યાન કરો તો ભજનમાં રસ જાગે છે અને ભજન કરતા ધ્યાન કરવાનું મન થાય છે. ભોજન કરો તો ઉપવાસમાં રસ જાગે છે અને ઉપવાસ કરો તો ભોજન યાદ આવે છે. મનના ભટકવાથી મુક્ત થવું હોય તો જાગૃત થઈ જે કંઈ કરો તેને રસપૂર્વક કરો. તેનાથી એકાગ્રતા આપોઆપ આવશે. તમને જેમાં રસ પડે, જેમાં આનંદ આવે, ઉમંગ આવે પછી તે ગમે તે હોય પ્રાર્થના બની જશે. જ્યાં રસ છે ત્યાં જ પરમાત્મા છે. સચોટ ઉપાય બતાવતા ઓશો કહે છે કે તમે જ્યાં છો, હજી બહાર છો, ત્યાં જ ધ્યાન કરો. ભોજનને ધ્યાન બનાવો, ધનને ધ્યાન બનાવો, ક્રોધ પર ધ્યાન કરો અને એ સમાપ્ત થઈ જશે. ક્રોધ અને લોભ જતા રહેશે, માત્ર ધ્યાન રહી જશે. સંસાર પર ધ્યાન કરો, સંસાર ખોવાઈ જશે અને અંતર્યાત્રા શરૂ થઈ જશે. તમે એ જગ્યાએ પહોંચી જશો જ્યાં હજારો સુર્ય એક સાથે ઉગી રહ્યા છે અને જે કદી અસ્ત થતો નથી. તમારી અંદર જ પરમ સૂર્યોદય છુપાયેલો છે.

આપણા જીવન પર દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે કે નાના નાના સુખ-દુઃખ, ચઢાવ-ઉતાર આપણા મનને કેટલું વિચલિત કરી દે છે. જીવન અને મૃત્યુની ફિલસૂફીને સમજાવતા ઓશો કહે છે કે સારી રીતે જીવવાની કળા મૌન છે. જગતમાં આવતા તોફાન તમને કંપાયમાન ન કરે અને તમે શાંત ભાવથી જીવો, આંધી તમારા તપને હચમચાવી ના શકે, વસ્તુ નષ્ટ થાય છતાં તમે અસ્પર્શિત રહો એવું તમારું મન હોય તો તમે જીવવાની કળા જાણી તેવું સમજો. અને જે જીવનની કળાને જાણી રહેશે તે એક દિવસ મૃત્યુના પરમ રહસ્યને પણ સમજી શકશે.

સમગ્ર જીવનને પૂર્ણ રૂપે સ્વીકાર કરવાનું કહીને ઓશો સફળતાના 14 સૂત્રો આપે છે.
1. નિષ્કામ ભાવ : પરિણામની આકાંક્ષાથી મુક્ત રહી પોતાનું કાર્ય શ્રદ્ધા રાખીને યથા સંભવ કરતા રહો.
2. હોશ: હંમેશા હોશપૂર્વક, સંપૂર્ણ જાગૃત રહીને કામ કરો, મશીન કે રોબોટની જેમ નહીં.
3. ધ્યાન: કોઈપણ કામને નાનું કે મોટું ન ગણો. દરેક ચીજ પર ધ્યાન આપો. પરમાત્માને તમે દરેક જગ્યાએ શોધી શકો છો.
4. કેન્દ્રિત રહેવું : પોતાની ધારણાઓથી અથવા બીજા કોઈના માર્ગે ન દોરવાઓ અને કેન્દ્રિત રહી કાર્ય કરો.
5. ક્ષણ ક્ષણમાં જીવો : દરેક સંભાવના માટે ખુલ્લા રહો અને પૂર્વ અનુભવોની બહાર નીકળવા તૈયાર રહો.
6. ચિંતાનું સમર્પણ : ચિંતાથી સ્વયંને અલગ કરી સમર્પણ કરી દો અને અસ્તિત્વ પર બધું છોડી દો.
7. નિરાશામાં અટકી જાઓ: નિરાશા કાયમ રહેતી નથી. અંધારી રાત્રિ પછી સૂર્યોદય જરૂર થાય છે. માટે નિરાશા જતી ન રહે ત્યાં સુધી સતર્ક બની અટકી જાઓ.
8. સંઘર્ષ: તોફાનો અને આંધીઓમાંથી પસાર થઈને પણ આપણે સમૃદ્ધ બનીએ છીએ. માટે થોડો સંઘર્ષ પણ જરૂરી છે.
9. લીલા : યાદ રાખો કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો તે એક ખેલ છે. તેમાં તમારી ભૂમિકા ગંભીર બન્યા વગર નિભાવો.
10. યોગ્યતા: પોતાની યોગ્યતા સિદ્ધ કરવાની હોડમાં પોતાની જાતને એક વસ્તુ ન બનાવો. યાદ રાખો કે જીવનનો વિરાટતમ અનુભવ પ્રેમ અને ધ્યાનથી આવે છે.
11. લોભ : તમારી પાસે કરોડો રૂપિયા આવી જાય તેનાથી કોઈ ફરક પડવાનો નથી. લોભ દ્વારા જીવનને અર્થપૂર્ણ બનાવી લેવાનો પ્રયાસ એ નાસમજી છે.
12. અધિકાર, આધિપત્ય : જે લોકોને પોતાના પર વિશ્વાસ નથી, ભયભીત છે, તેઓ બીજા પર અધિકાર જમાવવા માંગે છે. તમે પૂરેપૂરા આશ્વસ્ત રહો, કોઈથી ડરવાની જરૂર નથી.
13. અપરિપક્વતા : જે વ્યક્તિ પોતાના અતીત તરફ જોઈ વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધે છે, તે અપરિપક્વ છે. કારણ કે આ પરિસ્થિતિને અતીત સાથે કોઈ સંબંધ નથી. માટે હંમેશા પૂરેપૂરું ધ્યાન વર્તમાન પરિસ્થિતિ પર કેન્દ્રિત કરી, વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધવું જરૂરી છે.
14. ઉત્તરદાયિત્વ : જીવનની દરેક સમસ્યાઓમાં પૂરેપૂરું ઉત્તરદાયિત્વ પોતાનું જ હોય છે. તમે એવી સ્થિતિમાં આવી જાઓ કે દુનિયા તમારી સાથે કંઈ પણ કરે, પરંતુ તમને વિક્ષિપ્ત ન કરી શકે.

ક્રોધ એક માનસિક તાણ છે. કોઈપણ વાતનો અસ્વીકાર કરવાથી ક્રોધ જન્મે છે. જે વસ્તુનો તમે સ્વીકાર કરી લો છો, પછી તેના પ્રત્યે ક્રોધ નથી થતો. ક્રોધ છે, બીમારી છે, માથું દુઃખે છે – જે પણ પરિસ્થિતિ છે – તેનો સ્વીકાર કરો. તમે જેવો સ્વીકાર કરી લો કે તમારા અંતરમાં ફૂલ ખીલી ઉઠે છે અને જેવો અસ્વીકાર કરો છો, તમારા અંતરમાં કાંટા ખુંચવા લાગે છે. માટે પરમ સ્વીકાર કરતા શીખો. ભૂલ કરો તો અચકાયા વગર કરો, પરંતુ એક જ ભૂલ ફરીથી ન કરો. પ્રેમ પણ આપણે ક્યાં પૂરેપૂરો કરીએ છીએ? જેને પ્રેમ કરતા હોઈએ તેમનામાં પણ આપણને હજારો ભૂલ દેખાય છે. ક્રોધ, લોભ, મોહ, કામના બધું જ સંયુક્ત છે, કરોળિયાના જાળાની જેમ જોડાયેલું છે. માટે તમે એક એક સમસ્યાને ના ઉકેલી શકો. એના નિશ્ચિત ઉપાયનું સૂત્ર છે – સાક્ષી બનો, દૃષ્ટા બનો. પ્રબુદ્ધ વ્યક્તિના ચૈતન્યની એવી સ્થિતિ હોય છે, જ્યાં ક્રોધ જન્મતો જ નથી. જો તમે ક્રોધને ધ્યાનપૂર્વક જોશો તો ક્રોધ ચાલ્યો જશે. જો તમે પ્રેમને ધ્યાનપૂર્વક જોશો તો પ્રેમ વધશે. સ્વીકારની શાંતિમાં જ સમજનો દીવો પ્રગટે છે. એ સ્થિતિમાં ચેતના એટલી સતેજ હોય છે કે ત્યારે ક્રોધ કરવાનો વિચાર પણ અસંભવ થઈ જાય છે. તમારા જાગૃત અવલોકનથી જે વધે તે પુણ્ય અને તમારા જાગૃત અવલોકનથી જે ક્ષીણ થાય તે પાપ.

જીવન કેવી રીતે આનંદથી ભરાઈ જાય? ઉત્સાહ વગરનું, ઢીલું, સુસ્ત, મંદ જીવન જીવવાનો કોઈ મતલબ નથી. જે લોકો ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવે છે, તેમને ક્યારેય આનંદનો અનુભવ થતો નથી. જે વ્યક્તિ પ્રતિક્ષણ જીવે છે, વર્તમાનમાં જીવે છે, જે કંઈ ઉપલબ્ધ છે તેને સ્વીકારી લે છે જાણે કે આ ક્ષણ અંતિમ ક્ષણ છે અને વર્તમાન ક્ષણ સિવાય કોઈ ચીજનું અસ્તિત્વ નથી તેના માટે વર્તમાનની ક્ષણ આનંદના અનુભવનું, પરમાત્માનું દ્વાર બની શકે છે.

રીટા જાની
24/02/2023

ઓશો દર્શન -44. રીટા જાની

wp-1644023900666

  ઓશોના વ્યક્તિત્વની વાત કરતા ‘કહૈ કભી દીવાના’ ની પ્રસ્તાવનામાં ડો. આરસી પ્રસાદ સિંહ કહે છે કે ઓશો સાહિત્યના ક્ષિતિજ ઉપર એક દાર્શનિક, ચિંતક, ગુરુ અને તત્વદ્રષ્ટા જ્ઞાનીની છબીમાં ઉભરે છે. છતાં તેઓ એક મહાન કવિ, કથાકાર અને કલાકાર પણ છે. તેમની કાવ્ય કલા ચિંતન, મનન અને દાર્શનિક શૈલીમાં રૂપાયિત થઈ છે, છતાં એમાં શાસ્ત્રીય જટિલતા કે દાર્શનિક શુષ્કતાનો નિતાંત અભાવ છે. બલ્કે એક અત્યંત પ્રખર તાર્કિક અને સર્વગ્રાસી સમીક્ષકનું ચિંતન હોવા છતાંય વિષય વસ્તુ અને પ્રસ્તુતિ એવી સ્નિગ્ધ, સરસ અને કમનીય છે કે સાંભળવા અને વાંચવામાં એક નવલકથા વાંચવાનો આનંદ મળે છે. તેનો પ્રવાહ એટલો વેગવાન અને શૈલી એવી સહજ સ્ફૂર્ત છે કે આદિથી અંત સુધી જે તાજગી અને મહેક સાથે તમે કોઈ પ્રવચન કે પુસ્તકની યાત્રા શરૂ કરો છો તે અંત સુધી કાયમ રહે છે. ઓશોના સાહિત્યનો કોઈપણ અંશ ગમે ત્યાંથી ઉઠાવી લો, એમાં સર્વત્ર એક જ પ્રાણધારા કલકલ સ્વરોમાં ઉચ્છલ પ્રવાહિત જોવા મળશે.

કવિ શ્રી બરકત વિરાણી કહે છે કે ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી’. છતાં સામાન્ય માણસને જીવનની સફરમાં મંઝિલ  કઈ દિશાએ મળશે, કયો માર્ગ પસંદ કરવો, ક્યાંક ભળતા માર્ગે તો નથી જતા રહ્યા ને એવી વિમાસણ હંમેશા રહેતી હોય છે. ત્યારે સંસારને સફળતાથી પાર કરવા કોઈ ફોર્મ્યુલા, કોઈ સૂત્ર હોઈ શકે કે કેમ તેવો વિચાર આવ્યા વગર રહેતો નથી. ઓશોએ ખૂબ સુંદર રીતે પ્રેમ, ભક્તિ-નૃત્ય, ધ્યાન, કુંડલિની-શક્તિપાત, ક્રોધ, સુખ-દુ:ખ, અહંકાર, આનંદ, પાપ-પુણ્ય વગેરે વિષયો પર ચર્ચા કરી સંસારના સુત્રો આપ્યા છે, જેની વાત આપણે ગત બે અંકથી કરી રહ્યા છીએ.  આજે સંસાર સૂત્રો અંતર્ગત પ્રાર્થના, ભક્તિ, સાધના, તીર્થયાત્રા, ભજન, શ્રદ્ધા, સંગત વગેરે વિષય ઉપર ઓશોનું દર્શન જોઈશું.

કબીરજીની વાત કહી ઓશો પ્રાર્થનાની સુંદર સમજ આપે છે. કબીરજીને કોઈએ પૂછ્યું કે આપ ક્યારે પ્રાર્થના કરો છો? ક્યારે પરમાત્માની સેવા કરો છો? ક્યારે મંદિરની પરિક્રમા માટે જાવ છો? તો કબીરજીનો જવાબ હતો: ઊઠું બેસુ એ પરિક્રમા અને ખાવું પીવું એ સેવા. એવું જરૂરી નથી કે માળા લઈને મંત્રના જાપ કે ઈશ્વરનું નામસ્મરણ કરીએ તે જ પ્રાર્થના કહેવાય. દરેક શ્વાસ સાથે અખંડ પ્રાર્થના થતી રહે તે સાચી પ્રાર્થના. હકીકતે, પ્રાર્થના એ એકાંતનું ગીત અને સંગીત છે, તે હૃદયનો ઉદગાર છે, એમાં કેટલી માળા ફેરવી તેનો હિસાબ રાખવાનો ના હોય. આ નાની એવી જિંદગી જે મળી છે, તેને પ્રાર્થના બનાવી દો એ જ જીવનની સાર્થકતા હશે.

ઓશો કહે છે કે ભક્તિ સાધના પણ છે અને સિદ્ધિ પણ છે. ભક્તિનો અર્થ છે પરમ પ્રેમ, અહોભાવ, સ્વયંને મિટાવવાની કળા. જ્યાં સુધી પરિણામની આકાંક્ષા છે, ત્યાં સુધી પ્રાર્થનાનું પરિણામ નહીં આવે. લોકોને જોઈએ તો ખ્યાલ આવે છે કે પ્રાર્થનામાં મોટાભાગે માગણી અથવા ફરિયાદ હોય છે. સાચી પ્રાર્થનામાં ન કોઈ અપેક્ષા હોય છે, ના કોઈ શબ્દ હોય છે, માત્ર સમર્પણભાવ હોય છે, ત્યારે પ્રાર્થના જ પરમાત્મા બની જાય છે.

ભક્તિ એટલી જીવનનો પરમ સ્વીકાર. આપણા અંતરમાં એક ઊર્જા છે, જેને આપણે પ્રીત કહીશું. આ પ્રીતતત્વના આધારે જ આપણે જીવંત છીએ. પ્રીતતત્વ શ્વાસ જેટલું જ અનિવાર્ય છે. પ્રીતના ત્રણ પ્રકાર છે. પોતાનાથી નાની ઉંમરના લોકો પ્રત્યે જે પ્રીત હોય તે સ્નેહ, સમાન સ્તર પર હોય તે પ્રેમ અને માતા-પિતા, ગુરુ પ્રત્યે હોય તે શ્રદ્ધા. આ ત્રણેય અવસ્થાઓ જ્યારે સમ્યક બને છે, ત્યારે પ્રીતની ચોથી અવસ્થા નિર્મિત થાય છે. તેનું નામ છે ભક્તિ. ભક્તિ એટલે પ્રીતની પરાકાષ્ઠા, સર્વસ્વ પ્રત્યે પ્રીત, પરમાત્મા પ્રત્યે પ્રીત. જે રીતે સહજતાથી બીજ અંકુરિત થઈ વૃક્ષ બને છે અને એક દિવસ તેમાં ફૂલ અને ફળ આવે છે એ જ રીતે મનુષ્યતા ભગવતતામાં રૂપાંતરિત થવી જોઈએ. પ્રીત, ભક્તિ બનવા માટે જ જન્મી છે. ભલે પ્રીતની ઉર્જાને ભક્તિ થવાના માર્ગ પર ઘણા અવરોધો હોય. સ્નેહ શુદ્ધ હોય તો પ્રેમ બને, પ્રેમ શુદ્ધ હોય તો શ્રદ્ધા અને શ્રદ્ધા શુદ્ધ હોય તો ભક્તિ. આ સ્થિતિમાં તમે કઈ તરફ જશો તે તમારા  પર નિર્ભર છે. જો અહંકાર તૂટે તો સંપૂર્ણ સ્વર્ગ તમારી પ્રતીક્ષામાં છે. સ્નેહથી ભક્તિ સુધીની તીર્થયાત્રા અવશ્ય લાંબી છે, પરંતુ ભક્તિ એ પરમ અવસ્થા છે, પ્રીતની પરાકાષ્ઠા છે.

ભક્ત ભજન કરે છે, ત્યારે પ્રશ્ન થાય કે ભજન એટલે શું? ભજન એ ઔપચારિકતા નથી, ભજન કોઇ વિધિ નથી. ભજન છે ભાવનું નિવેદન, હૃદયથી ઉતારેલી આરતી, વિરાટ સાથેની વાત, જે કરવાથી પરમાત્માની જ્યોત અંદર પ્રગટ્યા કરે છે. ભાવ હોય તો પ્રત્યેક કૃત્ય ભજન થઈ શકે છે. પરમાત્મા અનુમાન નથી, તર્ક નથી, સિધ્ધાંત નથી, અનુભવ છે. પરમાત્મા અને કૃતિ બે નથી, સ્રષ્ટા અને સૃષ્ટિ બે નથી, પરમાત્માનો પહેલો અનુભવ એનું નામ પ્રેમ છે. કૃષ્ણ, ભક્તિને શ્રેષ્ઠતમ યોગ કહે છે, જ્યારે ભક્ત અને ભગવાન બે ન રહેતા એકનો અનુભવ થાય છે. તેથી  તે છે યોગ, પરમ ઐક્ય. આ જગત એક પ્રતિધ્વનિ છે. તમારા હૃદયમાં જે કંઈ હોય તેને જ તમે સાંભળો છો. હૃદયમાં જ્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ ગહન થાય છે, એ અવસ્થામાં જે પણ કરો તે બની જશે પ્રભુ પૂજા.

શ્રદ્ધા એ વિશ્વાસ નથી. શ્રદ્ધા એક અનુભવનું પરિણામ છે. પ્રેમથી શ્રેષ્ઠ કોઈ અનુભવ નથી. તેથી જ ભક્તિ શ્રેષ્ઠતમ માર્ગ બને છે, કારણ કે તે પ્રેમનું જ રૂપાંતરણ છે. ઓશો કહે છે કે ભક્તિનો અર્થ છે કે પરમાત્માને બુદ્ધિ દ્વારા નહીં, હૃદય દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વિચાર દ્વારા નહીં, ભાવ દ્વારા  પ્રાપ્ત કરી શકાય છે. ચિંતન દ્વારા નહિ, પ્રેમ દ્વારા અનુભવી શકાય છે. જે ક્ષણે તમે સ્વયંને વિસ્મૃત કરી દો છો, તે જ ક્ષણે અમૃતની ઉપલબ્ધિ થાય છે.

બીજા માર્ગો – યોગ, તંત્ર, જ્ઞાન, તપ, ત્યાગ – આ બધાની સરખામણીમાં ભક્તિ વધુ સુલભ છે. કારણ અન્ય માર્ગો પર મનુષ્યને પોતાના માથા પર બોજો લઈને ચાલવું પડે છે, જ્યારે ભક્તિના માર્ગે સમર્પણ છે. તે બોજો પરમાત્માને આપી દે છે. હૃદય જીવંત હોય, હૃદયના સરોવરમાં તરંગો હોય, હૃદયના વૃક્ષ પર ફળફૂલ ઉગે તો ભક્તિ ખૂબ સુલભ છે. માટે જ ભક્તિના માર્ગનું અનિવાર્ય અંગ છે શ્રદ્ધા. ભક્તિનું સૂત્ર છે: તમે જે કંઈ કરો તેમાં તન્મય થઈ જાવ અને ભક્તિ ફલિત થશે. ભક્તિના માર્ગ પર ધૈર્ય અને અનંત પ્રતીક્ષા રાખવી જરૂરી છે. ભક્તિ કોઈ શાસ્ત્ર નથી, યાત્રા છે; કોઈ સિદ્ધાંત નથી, જીવનરસ છે. ભક્તિ જો તમારા હૃદયમાં થોડી લગની જગાડે તો તમારું જીવન સાર્થક બનશે.

ભક્તિ એટલે દ્રષ્ટિ, ભક્તિ એટલે સ્વયંના અંતરમાં રૂપાંતરણ, ભક્તિ એટલે જીવનનો પરમ સ્વીકાર, ભક્તિ એટલે જીવનમાં સંગીત જન્માવવાની એક વિધિ. ભક્તિ તો અણુ શક્તિ સમાન છે, એક નાના અમથા અણુમાં છુપાયેલી વિરાટ શક્તિ છે. ભક્તિ  અંતરની આંખ ખોલે છે. ઓશો કહે છે કે અહીં જે કંઈ છે, તે પરમાત્મા જ છે, પ્રત્યેક વસ્તુ આરાધ્ય છે. મૂર્તિઓ ઘડવાની કે મંદિરો બનાવવાની જરૂર નથી. સમગ્ર અસ્તિત્વ તેનું મંદિર છે, સમગ્ર જગત જ તીર્થ છે. આકાશ તીર્થ છે, બધી નદીઓ ગંગા છે, સંપૂર્ણ પૃથ્વી પવિત્ર છે. જ્યાં તમારી દ્રષ્ટિ પડે તે ભજનીય છે. જગત પરમાત્માનું બાહ્ય રૂપ છે અને પરમાત્મા જગતનો અંતરાત્મા. જે રીતે દેહ અને આત્મા, તે જ રીતે માયા અને બ્રહ્મ  આ જગતમાં જે વિપરીતતા દેખાય છે – દિવસ અને રાત, શ્રમ અને વિશ્રામ, વસંત અને પાનખર, જીવન અને મૃત્યુ – તેને ગહનતાથી  શોધવાથી સમજાય છે કે તે પણ વિપરીત નથી, એકબીજાના પરિપૂરક છે. ઓશોના સંસારસૂત્રો અંતર્ગત જીવનના મુખ્ય આયામો – સંસાર, ધ્યાન, ગુરુ – શિષ્ય, સન્યાસ, સમાધિ વગેરે વિશે વાત કરીશું આવતા અંકે….

રીટા જાની
17/02/2023

ઓશો દર્શન -43. રીટા જાની


અનુ કપૂર એવું કહે છે કે ઓશો સમજવા માટે નથી, અનુભવવા માટે છે. તેમને માત્ર સાંભળવાના નથી, ગણવાના પણ છે. તેઓ માત્ર પ્રવચન કરતા નથી, હકીમ પણ છે. તેઓ રોગનું માત્ર નિદાન જ નથી, કરતા ઔષધિ પણ આપે છે. ઓશોએ ઘણા લોકોને ગુલામીની બેડીઓ અને દીનતાની જંજીરોમાંથી મુક્ત કર્યા છે. તેમની વાતો ગાગરમાં સાગર છે જે પાંચ ચાર પાનામાં ન સમજાય તે એક નાનકડી વાર્તાથી સમજાવી દે છે. તેઓ પ્રભાવિત કરવા નથી બોલતા, સમજાવવા માટે બોલે છે. તેમના વિષયો ગંભીર હોવા છતાં કંટાળો નથી આપતા. ગત અંકમાં આપણે ઓશોના ‘સંસાર સૂત્ર ‘ અંતર્ગત પ્રેમની વિષદ ચર્ચા કરી. આ વખતે એ જ વિષય પર – સંસારને સાધવા, સફળ બનાવવા – ઓશો વધુ કયા સૂત્રો આપે છે તેની વાત કરીશું.

જીવનનું કેન્દ્ર પરિવાર છે. આ પરિવાર પ્રેમના કેન્દ્ર પર નિર્મિત થવો જોઈએ, પરંતુ તે નિર્મિત કરવામાં આવે છે વિવાહના કેન્દ્ર પર. પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે, વિવાહ માણસની વ્યવસ્થા છે. અને તેથી જ પ્રેમના અભાવમાં ગૃહસ્થી સંઘર્ષ, ક્લેશ, દ્વેષ અને ઉપદ્રવનું સ્થાન બની જાય છે. તો જે ઘર પરિવારમાં પ્રેમ હોય, ભરોસો હોય, સાંત્વના હોય ત્યાં સુખાકારીનું નિર્માણ થાય છે. જીવનમાં કેટલાક આયામ ફક્ત હારવાથી જ મળે છે. ગણિત અને તર્ક ફક્ત જીત શીખવાડે છે, પરિગ્રહ વધારે છે. પણ જો બાળકોની બુદ્ધિ સાથે હૃદય પણ ખીલે તો એક સંતુલિત વ્યક્તિત્વ ઘટિત થાય છે. જગતની પ્રત્યેક ઘટનાથી બોધ લઈ શકાય છે, આંખો ખુલ્લી હોય તો જ્ઞાન જરૂર મળે છે. જીવનને જો સાર્થક બનાવીએ તો વૃદ્ધાવસ્થા ખુબ સુંદર અવસ્થા છે. તે જીવનની પરાકાષ્ઠા છે, જીવનનો નિચોડ છે, તમારી સંપૂર્ણ કથા છે. જેનો વાનપ્રસ્થાશ્રમ સુંદર હોય, તેના માટે અમૃતના દ્વાર ખુલી જાય છે. પછી મૃત્યુ અંત નથી, ફક્ત નવી યાત્રાનો પ્રારંભ છે.

ઓશો જીવનમાં પરમાત્માને પામવાનું રહસ્ય સમજાવતા કહે છે કે સંસારને દોડી દોડીને પણ પામવો મુશ્કેલ છે. જ્યારે પરમાત્માને પામવા માટે દોડવાની જરૂર નથી, અટકી જવાની જરૂર પડે છે. ગીતા પણ કહે છે: સ્થિતપ્રજ્ઞ. પરમાત્મા અંદર આવી જાય ત્યાં નૃત્યનો જન્મ થાય છે, જેમાં કોઈ ગતિ નથી, જ્યાં બધું સ્થગિત છે, પરિપૂર્ણ શૂન્ય મૌન છે. કહેવું અને સમજવું ખૂબ કઠિન લાગે છે પણ તેને જ અનાહત નાદ કહે છે.

તમારી દ્રષ્ટિનું પરિપ્રેક્ષ્ય જ સૃષ્ટિ છે. જેવી તમારી ચિત્તદશા, તેવું અસ્તિત્વ તમને દેખાશે. જો તમે પ્રસન્ન હશો તો તમારો પરમાત્મા પણ પ્રસન્ન હશે. જો તમે દુઃખી છો તો તે તમારી પસંદ છે અને જો તમે આનંદિત છો તો એ પણ તમારી જ પસંદ છે. તેના માટે બીજું કોઈ જવાબદાર નથી. તમારા જીવનની સ્થિતિ માટે પૂર્ણતઃ તમે જ જવાબદાર છો. આ ખ્યાલ જેવો અંતરમાં ઘનીભૂત થશે કે જીવનમાં ક્રાંતિની શરૂઆત થશે. બીજા લોકોને બદલવાનું તમારા હાથમાં નથી. પરંતુ સ્વયંમાં રૂપાંતરણ કરવાની વાત તમારા હાથમાં છે. ઘણા લોકો દુઃખની વાત કરી બીજાની પાસે સહાનુભૂતિની અપેક્ષા કરે છે. સહાનુભૂતિ નકલી પ્રેમ છે. સાચો પ્રેમ તો અર્જિત કરવો પડે છે. જે પ્રેમ આપી શકે છે તેને જ પ્રેમ મળી શકે છે. આનંદ એ જાગૃતિની સતેજ અવસ્થા છે, જ્યાં ન તો સુખ છે કે ન દુ:ખ. અંતરનું નિરીક્ષણ કરો. જ્યાં જ્યાં દુઃખ પેદા થતું હોય તેના કારણો તમને તમારી અંદર જ મળશે. સમગ્ર ખેલનું બીજ તો અંદર છે. બહાર માત્ર તેની પ્રતિધ્વનિ સંભળાય છે. માટે બહાર દુઃખ પેદા થતું હોય તો સમજજો કે અંદર કંઈક અયોગ્ય ખેલ ચાલી રહ્યો છે, જેનું પ્રતિકૂલન જગતના પડદા પર દેખાય છે. કમનસીબે આપણી મનોદશા એવી છે કે એક પગ સંસારની નાવમાં અને એક પગ બુદ્ધ પુરુષોની નાવમાં રાખી જીવન જીવવું છે. માટે જ દ્વંદ્વમાં જીવન વ્યતિત કરતા રહીએ છીએ.

આપણી બુદ્ધિ એ અનંત વિચારોની જોડ છે. એ વિચારોની ભીડના કારણે જ જીવનમાં શાંતિ સંભવી શકતી નથી. મહાવીરનું વચન છે ‘મનુષ્ય બહુચિત્તવાન છે’, જેની સાથે આધુનિક મનોવિજ્ઞાન પણ સહમત છે. તમારી પાસે એક નહીં પણ અનેક મન છે, જે જુદી જુદી આજ્ઞાઓ આપે છે અને તમે વિક્ષિપ્ત અવસ્થાએ પહોંચી જાવ છો. બુદ્ધિ વશમાં થવાથી સત્વની સિદ્ધિ થાય છે અને ખરું સ્વાતંત્ર પ્રાપ્ત થાય છે. ત્યારે તમે નિર્ણાયક હો છો અને મન તમારી પાછળ ચાલે છે. કબીર કહે છે કે ‘બહાર અને અંદર એક જ છે. ઝેન સાધુઓ પણ કહે છે કે સંસાર અને મોક્ષ એક છે. આવું કઈ રીતે બને? આપણને એ સમજાતું નથી કારણ કે માન્યતા એવી છે કે સંસારમાં તમે પીડિત છો અને મોક્ષ તેનાથી વિપરીત છે. જો સંસારથી મુક્ત થશો તો જ શાંતિ અને આનંદ મળશે. વાસ્તવિક રીતે અહંકાર સમાપ્ત થતાં બહાર અને અંદરનો ભેદ સમાપ્ત થઈ જાય છે. પછી બધું જ એકરૂપ છે. સંસાર અને સંન્યાસ પણ એક જ છે, મોક્ષ અને મુક્તિ એ અનુભવની દશા છે. આ ગહન વાત ઓશો ફક્ત ત્રણ સૂત્રો દ્વારા યાદ રાખવાનું કહે છે. એક – મનનું માલિકીપણું તોડવાથી સાક્ષી ભાવ ફલિત થશે. બીજું – મનની વિરુદ્ધ જવાથી નહીં પણ મનની પાર જવાથી સંભવશે. ત્રીજું – મનનું અતિક્રમણ કરવાનું છે, જેથી બધા દ્વૈત સમાપ્ત થઈ જશે.

આંખ બંધ કરીએ તો અસીમના દ્વાર ખુલી જાય છે. આ તરફ દ્રશ્ય દેખાય છે પેલી તરફ દ્રષ્ટા દેખાઈ જાય છે. પરંતુ આપણે જ્યારે આંખો બંધ કરીએ ત્યારે પણ દ્રશ્ય તો બહારના જ જોઈએ છીએ. જેથી આંખો બંધ કરવાની કોઈ અર્થ રહેતો નથી. આંખ બંધ રાખવાનો અર્થ છે સ્વપ્નો અને વિચારોથી મુક્તિ- શૂન્યતાનો અનુભવ. વિચાર અને દ્રશ્ય વિલીન થયા પછી જે પ્રગટ થાય છે તે શાશ્વત ચૈતન્ય છે, સત્ છે, ચિત્ત છે, એ જ આનંદ છે. સત્યનો મહિમા ગાતા ઓશો સમજાવે છે કે સ્વયંના જૂઠથી ગભરાવાની જરૂર છે. જે માણસ ખોટું બોલે છે તે ન તો શાંતિથી સૂઈ શકે છે, ન આરામ કરી શકે છે, ન ધ્યાન કરી શકે છે કે ન પ્રેમ કરી શકે છે. સત્યથી ભવિષ્યમાં સ્વર્ગ મળશે એટલે સત્ય ધર્મ નથી. સત્ય એટલા માટે ધર્મ છે કે સત્યથી તમને અહીં અને હમણાં જ સ્વર્ગ મળી જશે. સ્વર્ગ એટલે એવું જીવન જેમાં ગહન વિશ્રામ અનુભવાય. સત્યના માર્ગે વિશ્રામ મળશે, જૂઠના માર્ગે તણાવ મળશે. આપણી આંખો દર્પણ છે. જ્યાં ગુરુ અને શિષ્યની આંખ મળે છે, ત્યાં જ માર્ગ છે. આ માર્ગે કઈ રીતે આગળ વધવું તે અંગે ઓશોનું દર્શન જાણવા મળીશું આવતા અંકે…..

રીટા જાની
10/02/2023

વિસ્તૃતિ…૪૬ -જયશ્રી પટેલ.


શરદબાબુની પ્રથમ વાર્તા મન્દિર જ્યારે તેમણે સ્પર્ધામાં મોકલી ત્યારે પોતાના મામાને નામે મોકલી હતી ને તે પ્રથમ આવી હતી.તેઓ વાર્તા લખી બહાર મૂકતા તો તે મૂંઝાતા. તેમને ડર રહેતો કે કોઈને પસંદ નહિ આવે તો? આ વાત તે આપણે આગળ જોઈ ગયા છીએ. ખૂબ શોધ બાદ મને મન્દિર વાર્તા ટૂકડે ટૂકડે મળી જે આજે હું આપની સામે ગુજરાતીમાં સંક્ષિપ્તમાં લઈને આવી છું.
નદી કિનારે કુંભારના બે કુટુંબ રહેતા હતાં. બન્ને ઘરમાં બધી જ વ્યક્તિ માટી લાવવાથી લઈ તેને સાંચામાં ઢાળી વાસણ, રમકડાં બનાવતાં. ભઠ્ઠામાં તપાવી તેને સુંદર રંગરોગાન કરી વેચતા. તેમની સ્ત્રીઓ પણ રસોઈ માંથી પરવારી ભઠ્ઠામાંથી રમકડાં કાઢી તેને કપડાંથી સાફ કરતી. આમ આજ ધંધાથી તેમની રોજીરોટી ચાલતી. ત્યાં એક બ્રાહ્મણનો રોગગ્રસ્ત પુત્ર શક્તિનાથ પણ આવતો. તેણે કુંભારોના ઘરમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે કુંભારને તેના ઘરવાળા બધાં જ રમકડાંને રંગ કે શાહી લગાવતા તો કોઈવાર ભ્રમર રહી જતી તો કોઈવાર હોઠ, આંખો , કાન કે નાક રંગાયા વગર જ વેચવા લઈ જવાતાં. શક્તિનાથ પોતે આ બાબતમાં કુંભારને કહેતો કે સરકાર આને રંગરોગાન વ્યવસ્થિત રીતે કરો. જવાબ મળતો કે ગમે તેટલું સુંદર રૂપ આપીશું તો પણ તે વેચાશે તો એક પૈસામાંજ. આ વાત મમળાવતો તે ઘરે જતો, હાથમાં રહેલા ચણા મમરા અડધા વેરતો અડધા ખાતો ખાતો વિચાર મગ્ન થતો. ક્યારેક વાત સાચી લાગતી કે માટીનાં રમકડાં પાછળ કેટલાય પૈસા વાપરે પણ તે તૂટી ફૂટી જ જાય ને! ઘરમાં જતાં જ જોતો કે પિતા નથી , મધુસૂદન તો પૂજા પાઠ કરવા ગયાં હતા. ઘરમાં આવેલું બધું સીધુ એમાં પડ્યું હતું, ઘર સીધું સાદું હતું. કોઈ સાજ શ્રીંગાર ઘરમાં નહોતા. એક સ્ત્રી વગરનું ઘર વેરવિખેર પડ્યું હતું. તે આચરકૂચર ખાય બાપ બેટો પેટ ભરતા.ઘર કરતાં વધુ તે જંગલ લાગતું. ધીરે ધીરે સરકાર મહાશયે શક્તિનાથને રમકડું રંગતા શીખવવા માંડ્યું ને તે ખુરપી , માટી ગૂંદવું વગેરે કાર્ય પણ કરતો. તે એક રમકડું રંગવા અડધો દિવસ કાઢી નાંખતો તો પણ તેનું રમકડું એક પૈસામાં જ વેચાતું. કોઈ કોઈ વાર સરકાર તેની તસલ્લી ખાતર કહેતા કે તે બે પૈસામાં વેચાયું .તો તેની ખુશીનો પાર ન રહેતો.આમ દિવસો નીકળી રહ્યાં હતાં. શક્તિનાથના પિતા પણ ખૂબ બિમાર રહેતાં. તે પણ મા વગર માંદો સાજો રહેતો તેની તરફ ધ્યાન આપવાવાળું કોઈ જ નહોતું. આ ગામનાં જમીંનદાર કાયસ્થ હતા. તેમનું ઘર ખમતીધર હતું. સુંદર સજાવટ ભર્યું હતું. તેમના ઘરમાં એક સુંદર નકશીદાર મન્દિર હતું. તેમાં સુંદર રાધા ને મદનમોહનની મૂર્તિ સિંહાસન પર બિરાજમાન હતી. અન્ય દેવી દેવતા પણ તેમાં બિરાજમાન હતાં. તેમને તાજા સુગંધીદાર ફૂલો ચઢતાં ,ફૂલોનાં હારથી સજાવટ થતી. ચંદન અગરબત્તી ધૂપની સુગંધથી આખો ઓરડો મહેંકી જતો. જાણે વૃંદાવન જ જોઈ લો. જમીનદાર રાજ નારાયણ

મંદિર પાસે પૂજા પાઠ કરતા ને મધુસૂદન મહારાજ પાસે પણ કરાવતા. ક્યારેક જમીનદાર પ્રભુની પ્રાર્થના કરતા રડી પડતાં કે તેમના પછી દીકરીની સંભાળ કોણ કરશે!
નાની દીકરી અપર્ણા આ દ્રશ્ય અનિમેષ જોયા કરતી. પિતાજીની આસપાસ દિનચર્યા જોઈ હવે ધીરે ધીરે તે હવે ચીવટ ચોકસાઈથી પૂજા પાઠ કરતી, કરાવતી ને મન્દિરમાં નાનું સૂકું તૃણ પણ પડેલું જોતી તો ન ચલાવી લેતી. જો પાણીનું ટીપું પણ પડેલું જોતી તો તેને પણ પોતાના વસ્ત્ર કે પાલવથી સાફ કરી દેતી. તે પ્રભુમાં લીન થઈ જતી. તેની આ બધી ક્રિયા જોઈ બ્રાહ્મણ મધુસૂદન ને જમીનદાર ચિંતામાં પડી ગયાં. જમીનદારે તેના માટે સરસ ખાનદાની જમાઈ અમરનાથને શોધી કાઢી વિવાહ નક્કી કરી દીધાં. દીકરી અર્પણા પણ એક કહ્યાગરી દીકરીની જેમ લગ્ન કરી સાસરે વિદાય થઈ. મિત્રો, અહીં વાર્તાનો મધ્યાહ્ન આવે છે. પાત્રો બધાં સુંદર રીતે ગોઠવાય ગયા છે. અર્પણાનાં પાત્રમાં એક સુંદર સ્ત્રી પિતાની ચિંતામાં જ સાસરે જાય ત્યારે તે તેની પાઠપૂજાની તેના મન્દિરની બધી જ વાતો વિચારતી. બીજી બાજુ મા વગર પૈસાના અભાવ સાથે જીવતો બિમાર મધુસૂદનનો દીકરો શક્તિનાથ પણ મોટો થઈ રહ્યો છે. પિતા સાથે તે પાઠપૂજા કરતા શીખતો પણ તેનું ધ્યાન તો પેલા રમકડાં રંગવામાં જ રહેતું. શરદબાબુની આ વાર્તા આગળ શું કહે છે આપણે આવતા અંકમાં જોઈશું. મિત્રો, આ વાર્તાને સવાસો વર્ષનો ગાળો વિતી હયો છે, પણ વાર્તા જ્યારે પહેલીવાર સાંભળી ત્યારે એવું જ લાગ્યું જાણે કાલે જ લખાય છે.

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૨/૧/૨૩

વિસ્તૃતિ …૪૫ જયશ્રી પટેલ.


વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહામાંની વિશાળ માહિતીને સહારે સંક્ષિપ્ત આલેખન આપ સમક્ષ લઈને આવી છું.
આપણે આગળ જોઈ ગયા તેમ મિત્રો તેમને પણ બે મિત્રો એવા અંગત મળ્યા કે વર્ષો સુધી તેમની સાથે તેમની દોસ્તી રહી .એ જ અરસામાં એમની મુલાકાત રવીન્દ્રનાથ ટાગોર સાથે થઈ. રવીન્દ્રનાથના તેઓ પરમ ભક્ત હતા રવીન્દ્રનાથ પણ શરદથી પ્રભાવિત હતા. તેઓ વારંવાર કહેતા કે તેને પકડી લાવો તે બંગાળનો ઉત્તમ સાહિત્યકાર છે બંગાળને તે ઉત્તમ ભેટ આપીને જશે .૧૯૩૪ના ઓક્ટોબરની બીજી તારીખે ગુરુવર્ય પ્રયાગ તરફ રવાના થયા અને તેમણે એ પ્રવાસ દરમિયાન જ શરદની કૃતિ પંડિત મોસાઈ આ કૃતિ આમ તો ૧૯૧૪ની સપ્ટેમ્બર ની ૧૫મી તારીખે પ્રકાશિત થઈ હતી. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે અસીત કુમાર હળદરને એકવાર લખ્યું હતું કે પંડિત મોસાઈ વાંચ્યા પછી મેં જે આલતું ફાલતુ વાંચવાનું છોડી દીધું હતું તે પછી આ કૃતિ અને તેની શૈલી એમને એટલે કે ગુરુવર્યને મરુ ભૂમિમાં વિરડી સમાન લાગી. એ દરમિયાન તેમણે શરદને મળવાની ઈચ્છા દર્શાવી કલકત્તા જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બધા મિત્રો શરદને ગુરુવર્યની સામે ખેંચી ગયા.

શરમાળ શરદ તો ગુરુવર્યને જોઈને એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને માનવતામાં ન આવ્યું કે આ કવિ પોતે છે.લાંબી દાઢી ,ખુલ્લા વસ્ત્રો અને સુંદર મિસ્ટ વાણી સાંભળી આ જોઈ તે તેને કોઈ બીજી જ દુનિયાના વ્યક્તિ સમજી બેઠો .આખી જિંદગી એ આ સ્વરૂપને વિમાશી રહ્યો ,બંને ગુરુ શિષ્ય વચ્ચે શું સંવાદ રચાયો એ તો કોઈ જ ન જાણી શકયું .શરદ હવે માનતો થયો હતો કે તેની કૃતિઓ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ જોડે સરખાવવામાં આવે છે .તે પણ મિત્રોને આનંદથી કહેતો કે હું કદાચ જરૂર લખી શકીશ ખરો અને દુનિયાને કંઈક નવું આપ્યા કરીશ ખરો !આમ સમય જતા ગુરુવર્ય એને મળ્યાનો આનંદ તેમના હૃદયમાં વસી ગયો હતો .

આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેને ત્રણ નવલિકા રામેર સુમતિ,પથ- નિર્દેશ અને બિંદૂર છેલે ને બિરાજબહુના પ્રકાશનના સર્વાધિકાર હરિદાસ ચટ્ટોપાધ્યાયને રૂપિયા ૩૦૦માં વેચી દીધી હતી .તે સમયે આ સોદો ખોટો નહતો. તેવી જ રીતે ફણીન્દ્રનાથ મારફત તેણે પરણીતા,પંડિતજી ,ચંદ્રનાથ, કાશીનાથ ,નારીનું મૂલ્ય અને ચરિત્રહીનના પ્રકાશન અધિકાર એમ.સી સરકાર એન્ડ સન્સને આપ્યા.ફક્ત એક જ આવૃત્તિ માટે જ.

ફણીન્દ્રનાથને ખુદને શરદની કૃતિઓ છાપવાની મહેચ્છા હતી,પણ ત્યારે તેઓની પરિસ્થિતિ આ કાર્ય કરી શકે તેમ નહોતી. સુધીરચંદ્ર સરકારે રૂપિયા ૨૦૦ની સહાય પણ કરી હતી .ખાલી તેમનો એક ઉદ્દેશ હતો કે શરદ આ યમુના સંસ્થા સાથે જોડાયેલો રહે. યમુના શરદને કોઈ પુરસ્કાર આપતું નહોતું ,ભારત વર્ષમાં છપાય તો તેને પુરસ્કાર પ્રાપ્ત થાય ભારત વર્ષનું પૂરું જૂથ  તેમનું ચાહક હતું. સમય જતા શરદના અમુક મિત્રો ખૂબ જ વિઘ્ન સંતોષી હતા તેઓએ શરદના કાન ભર્યા. શરદને કહેવાનાં આવ્યું કે બડીદીદીને કારણે ફણીન્દ્રનાથને ઘણો નફો મળ્યો છે,પણ તે તને આપતા નથી. બસ આ વાત શરદે એકદમ સાચી માની લીધી અને તેણે ફણીન્દ્રનાથ સાથે સંબંધો પૂરા કરી નાખ્યા. તેઓ પાછળથી પસ્તાયા પણ. યમુનામાં પછી કોઈપણ કૃતિ છપાઈ નહીં.

શરદ બાબુની દરેક વાર્તા કે કૃતિઓમાં પાત્રો સાથે વાચકો તેમને જોડી દેતા જેમ કે શ્રીકાંત બહાર આવી તો વાચકોએ તેમને શ્રીકાંતના પાત્રમાં જોયા અને શ્રીકાંતની પ્રેયશી તરીકે રાજલક્ષ્મી ને શોધવામાં પણ લોકો ગાંડા થઈ ગયા , પણ એ ક્યાંથી જડે એ પાત્ર તો લેખકનું કાલ્પનિક પાત્ર હતું.લેખકની બાલ્યાવસ્થાની અત્તૃપ્ત કામનાઓની કલ્પના હતી એને એની બચપનની સખી ધીરુનાં આધારે દેવદાસમાં પારોનું સર્જન કર્યું અને પછી શ્રીકાંતની રાજલક્ષ્મી .એવી એક વાર્તા પણ સાંભળવા મળી કે ધીરુનું સાચું નામ રાજ્લક્ષ્મી જ હતું. ઘણાં લોકો હિરણ્યમયીને પણ રાજલક્ષ્મી માનતા.કોઈક સમયે બાબા વેશમાં તેણે હિરણ્યમયીને લક્ષ્મી તરીકે બોલાવી હશે .એના આધાર પર હિરણ્યમયીને કદાચ રાજલક્ષ્મી માનતા હોય ,પરંતુ કેટલાક જિજ્ઞાસુએ પોતાના મનને સંતોષવા તેણીને કેટલા બધાં પ્રશ્નો કર્યા હતાં. આવા પ્રશ્નો સાંભળી તો તે એટલી બધી દુઃખી થઈ કે તેને લોકોને મળવાનું જ બંધ કરી દીધું તે શ્રીકાંતની રાજલક્ષ્મી જેવી સુંદર નહોતી કે વૈભવ સંપન પણ નહોતી નૃત્ય તો બાજુ પર રહ્યું તે વાત પણ નહોતી કરી શકતી તે અબોધ સ્ત્રી હતી ધર્મપ્રિય હતી પતિવ્રતા અને સેવા પારાયણ હતી. શરદ માટે એને અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં .આ રખડું અને નિરાશ પતિને તે પ્રેમથી રાખતી એને દિશાભૂલેલાને રસ્તો નિશ્ચિત કરી બતાવતી. કેટલીએ વાર તે અતિનો શિકાર પણ બની હતી.શરદને માટે તે એક તપસ્યા મય દેવી હતી તેની શ્રદ્ધાએ શરદને એક મહાન સાહિત્યકાર બનાવ્યો હતો.શ્રીકાંતનું પાત્ર તેના જેવું રઝળું છે. શ્રીકાંતનાં અનેક પાત્રો શરદની આજુબાજુ વિટળાયેલા જીવનનાં પાત્રો હતા.શ્રીકાંત લોકોએ વાંચી અને શરદને જ તેનું પાત્ર સમજી લીધું. શ્રીકાંત પુસ્તક માટે પણ તે મૂંઝવણમાં હતા તેને શંકા હતી અને આથી તેને પોતાના પ્રકાશક ને પણ લખ્યું હતું કે એકાંતની ભ્રમણકથા ખરેખર છાપવા જેવી લાગે છે?તેમને હજુ પણ શંકા હતી ,છતાં પણ છપાસે તો લોકો મને તેમાં શોધશે એની ખાતરી છે.આમ શરદ બાબુ લખતા મહેનત કરતા અને છતાંય પોતાની કૃતિઓ માટે થોડા મૂંઝવણમાં પણ રહેતા.

ધીરે-ધીરે રંગૂનમાં તેમનો જીવ લાગતો નહીં તેમણે તેમના મિત્ર હરિદાસ ચટ્ટોપાધ્યાયને પત્ર લખ્યો કે જો તમે ૩૦૦રૂપિયાની મને મદદ કરશો તો હું આવી શકીશ હવે એટલું જરૂર કરી શકીશ કે મારું દેવું એક વર્ષ જો હું જીવ્યો તો બધું ચૂકતે થઈ જશે અને પછી હું એક વર્ષની રજા મૂકી અને લખવાનું કાર્ય હાથે ધરીશ. તેમના મિત્રે તેમને ખરેખર રૂપિયા મોકલ્યા અને એ જ સમયે રંગૂન ઓફિસમાં તેમને એક ખરાબ અનુભવ થયો સુપ્રિટેન્ડન્સ મેજર બર્નાર્ડને એક ફાઈલની જરૂર પડી શરદ તે ફાઈલના શોધી શક્યા અને અંતે તે ફાયલ તેમના જ ખાનામાંથી મળી. તેમને ગુસ્સો આવ્યો અને તેમને શરદને ખૂબ માર માર્યો આ બંનેની તકરાર ને ફરિયાદ અધિકારી પાસે ગઈ અને તપાસ કરતાં ખબર પડી કે મેજરનો જ વાંક હતો અને આથી મેજર ને સસ્પેન્ડ કરાયો અને મેજર પાસેથી રૂપિયા ૯૦નો દંડ પણ થયો.આ રૂપિયા મેજર શરદને આપે એમ નક્કી થયું. આ આ પ્રસંગે શરદનું મન તૂટી ગયું .તેણે રંગુન છોડવાનો દ્રઢ નિર્ણય કર્યો શરીર પણ તેમનું સારું રહેતું ન હતું .એમણે રાજીનામું આપી દીધું એની એક વર્ષની રજા ચડેલી હતી તે રજા લઈને કલકત્તા જવા રવાના થઈ ચૂક્યા.બસ ત્યાર પછી ક્યારેય તેણે પાછું ફરીને બર્મા સામે જોયું જ નહીં . બર્મા છોડતાં પહેલાં તેના ત્રણ પુસ્તકો ૧૯૧૫ની બીજી ડિસેમ્બરે મજલી દીદી ત્યારબાદ ૧૯૧૬ની ૧૫મીજાન્યુઆરીએ પલ્લી સમાજ અને ૧૯૧૬ની બારમી માર્ચે ચંદ્રનાથ પ્રકાશિત થઈ ગઈ હતી.બસ હવે દિશાની શોધ જાણે પૂર્ણ થઈ હતી એવું શરદ બાબુ ને લાગતું હતું .
તેઓ પાછા કલકત્તા ફર્યા. આમ જીવનનાં અમુક વર્ષો તેમને રંગૂનમાં મિત્ર દોસ્તો અને મજબૂરીથી નોકરી માં ગાળ્યા . મિત્રો,આમ હવે શરદ બાબુ એક જાણીતા બંગાળના લેખક બની ગયા.આ શરદ સાહિત્ય એટલું વખણાયું કે તેના અનુવાદો અનેક ભાષામાં થયા હિન્દી ની આવારા મસીહા બહાર આવી અને ત્યારબાદ તેનો અનુવાદ હસમુખ દવે ગુજરાતીમાં કર્યો ગુજરાતી ભાષાનાં ચાહકોએ શરદ બાબુના જીવન વિશે એમાંથી ઘણું ઘણું મેળવ્યું હતું.
મિત્રો, આવતા અંકે તેમના જીવનમાંથી કંઈક નવું જૂનું શોધી આપ સમક્ષ સંક્ષેપમાં લઈને જરૂર મળીશું.
અસ્તુ,
જયશ્રી પટેલ
૧૫/૧/૨૩

વિસ્તૃતિ…૪૪. *જયશ્રી પટેલ*




શરદબાબુ વિશે આવારા મસીહા દ્વારા ઘણી ઘણી માહિતી શ્રી વિષ્ણુ પ્રભાકરજીએ હિન્દી સાહિત્ય સમાજને આપી. તેને વાંચતા ગુજરાતી સાહિત્યમાં તેનો અનુવાદ કરી હસમુખ દવેએ ગુજરાતી સાહિત્યકારોને અભિભૂત કરી દીધાં. આપણે પહેલાંના અંશમાં ચરિત્રહીન વિશે જાણ્યું , મિત્રો આજે તેમના બે એવા અનાયાસે મળેલ
મિત્રોની મિત્રતા વિશે જાણીએ.
યમુના કાર્યાલયમાં સાહિત્યિક બેઠકો યોજાતી. તેમાં શરદબાબુને એ યુગના ઘણાં સાહિત્યકારો સાથે
પરિચય થયો.આમાના એક સાહિત્યકાર હતા હેમેન્દ્રકુમાર રાય. એ ફણીન્દ્ર પાલના સહાયક હતા. એક
દિવસ સમી સાંજે યમુના માટે આવેલી કૃતિઓને જોઈ તપાસી રહ્યાં હતા ત્યાંજ શરદબાબુનું આગમન થયું તેમણે ફક્ત આંખ ઉઠાવી દ્રષ્ટિ કરી, નિસ્તેજ ચહેરો,
દૂબળો દેહ, શ્યામ વર્ણ, પગમાં ચંપલ, માથા પર સૂકા વાળ તેં પણ વીંખાયેલા, આછી-પાતળી દાઢી, મેલા કપડાં અને સાથે એક દેશી ડાઘિયો કૂતરો તેઓ એ તેની સામે ઉપેક્ષાસહ પૂછ્યું,’ કોનું કામ છે?’
ઉત્તરમાં ફણીબાબુનો ઉલ્લેખ થયો તેથી તેમને એક પાટ પર બેસાડ્યા. મનમાં વિચાર્યું કે કોઈ પટાવાળો જ હશે. ખુરશીઓ તો સાહિત્યકારો ને શોભે.પાટ પર બેસવાનો ઇશારો કર્યો ને કામે વળગ્યા. જુઓ મિત્ર વેશ પહેરવેશ પરથી અનુમાન લગાવ્યું ને તેમણે આટલામોટા
લેખકને તિરસ્કૃત કર્યા. છતાં નિખાલસ શરદબાબુએ પણ પોતાની ઓળખ ન આપી. કૂતરો જ્યારે હેમેન્દ્રબાબુ પાસે પહોંચી ગયો અને એમનું ધોતિયું પકડવા લાગ્યો. એમણે છી…છી કરી મોં બગાડ્યું.
ત્યાં ફણીબાબુ આવી પહોંચ્યાં અને શરદબાબુને આમ પાટલી પર બેઠેલા જોયા તો બૂમ પાડી ઉઠ્યા ,” અરે, શરદબાબુ પાટલી પર કેમ બેઠા છો?
શરદબાબુએ હસતાં હસતાં હેમેન્દ્રબાબુ સામે આંગળી ચિંધી. ફણીબાબુએ શરદબાબુને ખુરશી પર બેસાડી ને તેમની ઓળખ હેમેન્દ્રબાબુને આપી. જે માણસને પટાવાળો સમજ્યા હતા તે એક મહાન લેખક હતાં. તે પછી તો હેમેન્દ્રબાબુ ને શરદ પાક્કા મિત્રો બની ગયાં. બધે જ સાથે ફરતાં ને સાહિત્ય માણતાં. જુઓ મિત્રો પોતાના માન અપમાન ખાતર ઝઘડ્યાં વિના શરદબાબુએ તેમાંથી એક મિત્ર શોધ્યો.

એવી બીજી મોટી વ્યક્તિ તેમની મિત્ર બની તે હતા ‘ભારતવર્ષ’ ના સંપાદક . સ્વનામધન્ય રાયબહાદુર
જલધર સેન. એકવાર તેઓ તેમના મિત્ર સાથે શરદબાબુને મળવા યમુનાની ઓફિસમાં આવ્યા. ફણીન્દ્રબાબુ તેમની ઓળખાણ કરાવા ગયા તો શરદબાબુએ જણાવ્યું કે દાદા સાથે મારી બહુ જૂની ઓળખાણ છે. આમ ન મોટાઈ ન અંહકાર ! તેમની વાતથી જલંધર સેનને નવાઈ લાગી. શરદબાબુએ તેમને
કુન્તીલ પુરસ્કાર પ્રતિયોગીમાં જીતેલી વાર્તા ‘મન્દિર’ વાર્તાનાં નિર્ણાયક હતા તે યાદ અપાવી.
જલધર સેનને યાદ આવતા નિખાલસતા કહ્યું કે ૧૫૦ વાર્તાઓમાં શ્રેષ્ઠ વાર્તા હતી કેમ ભૂલાય ? પણ તેના લેખક તો ભાગલપુરના શ્રીમાન સુરેન્દ્ર ગંગોપાધ્યાય હતા ને?
શરદે હસતાં હસતાં કબૂલ્યું એ વાર્તા મારી હતી પણ મારું નામ આપતા મને સંકોચ થતો હતો તેથી મેં મામાના નામે મોકલી હતી.

બસ તેમની નિખાલસતા જોઈ જલધર સેન બોલ્યા મારા માટે ગર્વની વાત છે .. તેમણે ત્યારે પણ આ હીરાને પારખી લીધો હતો.

આમ એક નવા પ્રગાઢ્ય મિત્ર જલધર સેન તેમને મળ્યાં.શરદ સાહિત્યનું સૌથી વધુ શ્રેય જલધર સેનને જ અપાય.

શરદબાબુએ ૧૯૩૩માં ખુદ સ્વીકાર્યું હતું કે દાદા જો તેમની પાછળ ગુરુની જેમ ન પડ્યા હોત કે લખાણ માટે તકાદા ન કર્યા હોત તો તેમના જેવા આળસુની અડધી કૃતિઓ તો શું ચોથાભાગની કૃતિઓ અપ્રકાશિત જ રહી ગઈ હોત.

મિત્રો, નિખાલસ લેખક અને અંહકાર રહિત ભોળા
ભંડારી હતાં શરદબાબુ . તેમના જીવનનાં ઉતાર ચઢાવ
વખતે મળેલા મિત્રોએ તેમને પ્રસિદ્ધિઓની ટોચ પર પહોંચાડ્યા હતાં.

મિત્રો, આવતા અંશમાં આપણે જોઈશું તેમના જીવનનું એક અગત્યનું પાસું જે ખૂબ જ સુંદરને રોમાંચિત
છે.તેમની દિશાની શોધ ધીરે ધીરે નજીક આવતી જતી હતી.

જયશ્રી પટેલ
૭/૧/૨૩

ઓશો દર્શન-42. રીટા જાની




આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ નવલા વર્ષનો. 2022ની વિદાય અને 2023નું આગમન. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું. પણ આશાની ક્ષિતિજ પર ઉભરે છે એ જ પ્રશ્ન. સદીઓ વીતે, યુગો બદલાય તોય પ્રશ્ન એ જ કે નવા વર્ષના નવ પ્રભાતે શું માનવજાતિ સુખનું સરનામું શોધી શકી છે ખરી?

ઓશો બહુ સુંદર વાત કહે છે: ‘મારો સંદેશ નાનો એવો છે. આનંદથી જીવો અને જીવનને એના સમસ્ત રંગો, સમગ્ર સ્વરો સાથે જીવો. જે કંઈ છે તે અર્થપૂર્ણ છે. આમાંથી કશાનો પણ ઇન્કાર કરવો એ પરમાત્માનો જ ઇન્કાર કરવા બરાબર છે. જ્યારે તમે સમગ્રને સ્વીકાર કરી આનંદથી જીવવા લાગો છો, ત્યારે એક અપૂર્વ ક્રાંતિ ઘટિત થાય છે. તમારી અંદરનું આખું રસાયણ જ બદલાવા લાગે છે. ક્રોધ કરુણા બને છે, કામ રામ બની જાય છે અને તમારી અંદરના કાંટા ફુલ બનીને ખીલવા લાગે છે.’

ઓશો કોઈને ખોટી સાંત્વના આપતા નથી. તેઓ કહે છે કે તમે અંદરથી ખળભળી ઉઠો, વિચારતા થઈ જાવ અને જાગૃત થવા માટે તૈયાર થઈ જાવ. જો વિચારતા થશો તો સત્ય, પ્રેમ, કરુણા, દયા, અહોભાવ – પ્રકૃતિ પ્રત્યે, આનંદ તરફ જવાનો ભાવ જરૂર જાગશે. માટે વર્તમાનમાં જીવો. જો વર્તમાન સારો હશે, આનંદિત થશે, પ્રેમાળ હશે, સત્યમય હશે અને જાગૃતિમાં જીવતા હશો તો ભવિષ્ય સારું જ હશે. જાગૃત વ્યક્તિ ક્યારેય ખોટું કામ કરી શકશે નહીં. જાગૃતિની સાથે જીવન જીવવાનો અભિગમ બદલાતો જાય અને સત્ય શું છે, અસત્ય શું છે તેનો ખ્યાલ આવતો જાય. જાગૃતિ અનેક રીતે આવી શકે -બાળસહજતા, સરળ ચિત્ત, નિખાલસતા, પ્રેમમય, ભક્તિમય થવું અને અસ્તિત્વ પ્રત્યે અહોભાવ.

ઓશોનું કામ એક અજ્ઞાત પથ પર વ્યક્તિને અત્યંત ઋજુતાથી યાત્રા કરાવતા ભોમિયા જેવું છે. પણ યાત્રા તો આપણે પોતે જ કરવી પડે. જ્યાં સુધી વ્યક્તિ સ્વયં યાત્રા પર ચાલે નહીં, ત્યાં સુધી તેને ઓશોની વાત સમજાશે નહીં. તેણે સજાગ રીતે જીવન જોવું પડે, સાક્ષી થઈને અંતરયાત્રાના અનુભવો પ્રત્યે પણ તટસ્થ રહેવું પડે, મોટી સિદ્ધિ મળે કે આનંદથી ભરી દેતા અનુભવ થાય તો પણ આ માર્ગ પર અચલ ચાલવું પડે.

ઓશો કહે છે કે ભય મનુષ્યને આત્મવાન બનવા દેતો નથી. માટે ભયથી જાગો. જેનાથી તમે ડરો છો, તેને તમે ક્યારેય પ્રેમ નહીં કરી શકો. માટે ઈશ્વરથી પણ ડરો નહીં. ભયથી ઘૃણા, ક્રોધ, હિંસા ઉપજે છે. પ્રેમથી કરુણા ઉપજે છે. માનવાથી ભય પેદા થાય છે, જાણવાથી પ્રેમ પેદા થાય છે. માટે માનવું નહીં જાણવું. તમારા બાળકોને, પત્નીને, પતિને, મિત્રને, પરિવારને, પ્રિયજનોને, મનુષ્યને, પશુ પક્ષીને, ફૂલ છોડને સૌને પ્રેમ કરો. જેમ તમારો પ્રેમ ફેલાતો જશે, તેમ પરમાત્માની ઝલક આવવી શરૂ થઈ જશે. જ્યારે તમારો પ્રેમ વિરાટ થઈ જાય છે, તમે પ્રેમમય બની જાવ છો, ત્યારે તમારું અને પરમાત્મા વચ્ચેનું અંતર ઘટતું જશે અને એક દિવસ તમે પરમાત્મામાં પહોંચી જશો. પ્રેમમાં વ્યક્તિ ફેલાય છે, ભયમાં વ્યક્તિ સંકોચાય છે. પ્રેમમાં વ્યક્તિ શ્રદ્ધા કરે છે, ભયમાં વ્યક્તિ શંકા કરે છે. પ્રેમની સાથે તમે અખંડતા, એકતાની અનુભૂતિ કરો છો. સંભવ હોય તેટલા લોકોને મળો, લોકોથી શીખો અને તમારી અંદર એક નવી ઉર્જાને જાગૃત થતા જોશો. એ ઉર્જા જ પ્રેમ છે, જે તમને ધન્યતાનો અનુભવ કરાવશે અને તમે અસ્તિત્વ પ્રત્યે અહોભાવથી ભરાઈ જશો.

પ્રેમને શોધવા જવાની જરૂર નથી. તેને સ્વયંની અંદર ઝાંખો અને પામી જાઓ. પ્રેમ આપણી પ્રકૃતિ છે. તમે જેટલો વધુ પ્રેમ કરો છો, અસ્તિત્વ એટલો વધારે પ્રેમ ચારે તરફથી તમારા પર વરસાવી દે છે. પ્રેમ જીવન ઊર્જાનું શિખર છે, જીવનની પરમ સમાધિ છે, સમર્પણની દશા છે, અદ્વૈત છે. જેણે પ્રેમને જાણ્યો, તેણે બધું જાણી લીધું.

પ્રેમ ત્રણ પ્રકારના છે. પહેલો પ્રેમ વસ્તુઓ પ્રત્યે, ધન, મકાન પ્રત્યે; 99% લોકો એમાં જ અટવાઈ જાય છે. બીજો પ્રેમ વ્યક્તિઓનો પ્રેમ, જેમાં એક લગની પેદા થાય છે, જીવન અર્થપૂર્ણ લાગે છે, પણ તે ક્યારેય પૂર્ણ પ્રેમ થઇ શકતો નથી કારણ કે તેમાં એક બીજાની ઝુકાવવાની વાત છે અને જે ઝુકે તે વસ્તુ જેવો થઈ જાય છે. ત્રીજા પ્રકારનો પ્રેમ છે – પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, જે પૂર્ણ પ્રેમ છે કારણ કે ત્યાં તમે ઝૂકી જાઓ છો, પણ કોઈ ઝુકાવનારો નથી.

પ્રેમના ત્રણ અર્થ થાય છે. પહેલો અર્થ સામાન્ય રીતે જે આપણે કહીએ છીએ -પ્રેમમાં પડવું. તેનો અર્થ એ થાય કે તેણે પોતાની સ્વતંત્રતા નીજતા કોઈને દીધી, તમે તેના પર નિર્ભર બન્યા. દરેક પરિવારમાં, દરેક વ્યક્તિમાં ચાલી રહેલો આ બહુ સરળ પ્રેમ છે. આનાથી ઊંચો બીજો પ્રેમ છે -જેને પ્રેમમાં હોવું કહીએ છીએ. તેનો સ્વભાવ મૈત્રીનો છે. તે ન તો બહુ દૂર છે, ન બહુ નજીક. જેથી એકબીજાની સીમામાં હસ્તક્ષેપ નથી. આવો પ્રેમ બહુ કઠિન છે. બીજો પ્રેમ મનુષ્યનો પ્રેમ છે, જેમાં થોડી ગરિમા છે, થોડો બોધ છે, પ્રતિભા છે. ત્રીજા પ્રેમમાં બીજા સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રેમની ચૈતન્ય દશા છે. એ અંદરથી આવતો અસ્તિત્વ પ્રત્યેનો પ્રેમ છે. જ્યારે પ્રેમ કરુણા બને છે, ત્યારે પરમાત્માનું દ્વાર બને છે. ત્રીજો પ્રેમ કરુણા છે. આવા પ્રેમનું નામ ભક્તિ છે. આવો પ્રેમ ધ્યાનનું પરિણામ છે, જે બહુ વિરલાઓને ઉપલબ્ધ થાય છે.

પ્રેમ એ અદભુત કલા છે. સંવેદનશીલતા વધે તેની સાથે તમારી પ્રેમની કલા પણ વધતી જશે. જ્યારે તમને એ રહસ્ય સમજાઇ જાય કે પ્રેમની મજા પ્રેમ આપવામાં છે તો તમે ચકિત થઈ જશો કે પ્રેમ હજાર ગણો થઈને તમને પાછો મળે છે. જ્યારે તમે પ્રેમથી કોઈનો હાથ હાથમાં લો છો, ત્યારે તેના બુઝાતા દીવાને ફરી જ્યોતિ મળે છે. જ્યારે કોઈને પ્રેમથી ભેટો છો, તો એનું આયુષ્ય વધે છે. પ્રેમ કોઈ ઘટના નથી પણ જીવનનું બીજું નામ છે. પ્રેમ માટે શબ્દો આવશ્યક નથી. જેણે પ્રેમ જાણ્યો તેણે જીવન જાણ્યું. પ્રેમનું બીજ તમારી અંદર જ છે, જે વૃક્ષ બનવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં ભય છે, ત્યાં પ્રેમ સંભવ નથી. જ્યારે માગ્યા વગર કંઈ આપો છો તો પ્રેમ ધીરે ધીરે પ્રાર્થના બની જાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, ત્યાં શાંતિ છે. ધ્યાનમાં સ્વયંને મળાય છે, પ્રેમમાં બધાને મળાય છે. પ્રેમ એક સદભાવના છે, એક આનંદ છે. પ્રેમનો અર્થ જ એ છે કે મારો આનંદ, મારા જીવનની ખુશી બધા સુધી પહોંચે.

ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા અને અંતિમ સૂત્રને સમજવું હશે તો સાધારણ ગણિત કામ નહીં લાગે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય છતાં પણ પૂર્ણ જ શેષ રહે છે. આ સૂત્રને સમજવા માટે પ્રેમને સમજવો પડશે. આપ ગમે તેટલો પ્રેમ આપો તો પણ એટલો જ પ્રેમ બચે છે. જે વ્યક્તિએ પ્રેમને જાણ્યો તેણે પરમાત્માને પણ સમજી લીધા. પરમાત્માનો અર્થ છે -જે બધાની અંદર છે, જે અસ્તિત્વ છે એ જ. માટે જે દિવસે સમજાઇ જશે કે મારી પાસે એવો પ્રેમ છે જે હું આપી દઉં તો પણ એટલો જ બચે છે, તે દિવસે બીજા પાસે પ્રેમ માગવાનો બંધ થઈ જાય છે. આપણી તકલીફ એ છે કે આપણે જિંદગીભર પ્રેમ શોધીએ છીએ અને પ્રેમ માંગતા રહીએ છીએ. પણ ઓશો સુંદર અને સરળ રીતે આ સૂત્ર સમજાવી આપણું કામ આસાન કરી દે છે.

રીટા જાની
06/01/2023

*વિસ્તૃતિ…૪૩* *જયશ્રી પટેલ*



ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયાં કે મિત્રો સત્યેન્દ્ર
નલિની પર સામાન્ય શુદ્ર વાત પર ક્રોધ કરી, રિસાયને તેનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડી ચૂક્યો હતો. વળી ધીરે ધીરે નલિની અને સરલાની વચ્ચે તુલના કરી તેની અવગણના કરવા લાગ્યો.
એક દિવસ નલિનીનાં ભાઈને બોલાવી તેના પિયર વિદાય કરી દીધી સાથે તેની દાસી માંતગીને પણ વિદાય કરી. સત્યેન્દ્રને કોઈ દુઃખ નહોતું તે પોતાના અભિમાનને પંપાળી રહ્યો હતો મનને બહેલાવી રહ્યો હતો. માએ નલિનીને પાછી બોલવવા કહ્યું નહિતો કાશી જવાની ધમકી આપી તો તેણે માને જવા માટે વ્યવસ્થા કરવાની
વાત કરી માનું પણ અપમાન કરી નાંખ્યું!
બે ત્રણ મહિના પછી સત્યેન્દ્રને ખૂબ પસ્તાવો થયો. ક્ષણભર નલિની વગર ન રહી શકનારો સત્યેન્દ્ર છટપટવા માંડ્યો , નલિનીના પત્રની રાહ જોવા લાગ્યો. નલિની પણ શુદ્ર કારણે મળેલી સજા હવે ન સહી શકી.
મનમાં વિચારવા લાગી કે વાંક શું? હવે નહિ સહે. વાતને છ મહિના વિતી ગયા. સત્યેન્દ્રે નવા લગ્ન કરવાનો નિર્ણય કર્યો, એમ કરી તે નલિનીની સાથે ભયંકર અપમાન કરી બદલો વાળવા માંગતો હતો. માને આ વાત મંજુર નહોતી તે કાશીવાસ ઈચ્છતી હતી. તેણે પુત્ર પાસે ભીખ માંગી મને આ યાતનામાંથી મુક્ત કર. સત્યેન્દ્ર હવે પહેલાં જેવો સરલાનો પ્રેમાળ પતિ નહોતો રહ્યો કે ન તો તે નલિનીનો સમજુ પતિ રહ્યો હતો તે તો પ્રતિશોધની જ્વાળામાં બળતો એક પુરુષ હતો. આખરે પોતાનું ધાર્યું કરનારો અંહકારી પતિ બની ગયો. ત્રીજા લગ્ન કરી તે ગિરીબાલાને લઈ જ આવ્યો. મા પોતાના પતિ હરદયાલમિત્ર ને યાદ કરી રડી પડી , નલિની જેવી ગુણિયલ વહુને યાદ કરી વધુ અશ્રું વહેવા લાગ્યા. ગિરીબાલા મુહફટ હતી. અવિચારી વાણી હતી એની.
લગ્ન સમયે તે કાંઈ ન બોલી પણ પછી તે માનસન્માન ન રાખતી. તેઓની લગ્નની ફૂલસજ્જાની રાત્રે ગૃહિણીને મળવા કોઈ મોટા ઘરની ભેટ સોગાદ લઈ આવી પહોંચ્યું. ગૃહિણીએ તેમાંથી મિઠાઈ વહેંચી દીધી. બનારસની સાડી ને ઊંચા પ્રકારના મલમલના કોટ ને ધોતી , દર દાગીનાની ભેટ કોઈ મિત્રે મોકલી છે જાણી સત્યેન્દ્રને નવાઈ લાગી.
ઘરમાં ગુસરપુસર નોકર નોકરાણીઓ વાતો કરી રહી હતી, મહોલ્લાની સ્ત્રીઓ એ નલિનીને કુલક્ષણા કહી. આ સાંભળી ગૃહિણી ખૂબ જ ક્રોધિત થઈ ગઈ. તેણે પુત્ર પાસે જીદ કરી નલિનીને બોલાવી મંગાવવા માટે.
આવેલી ભેટ સોગાદ જોતા સત્યેન્દ્રે ક્રોધિત થઈ તેનો ઇન્કાર કરી દીધો. મા દરવાજા બંધ કરી ગણગણતી રહી મારી પુત્રવધૂ કુલક્ષણા નથી. તેનું દર્દ સમજવા કોઈ નહોતું. માંતગી જ ભેટ લઈ આવી હતી તેને અંદર બોલાવી તેની પાસે નલિનીનાં હાલચાલ પૂછ્યા, તેમજ નલિની ને સત્યેન્દ્રના સામાન્ય ઝઘડામાંથી વણસેલી વાતની માહિતી આપી. ગૃહિણી પુત્ર સત્યેન્દ્રને માફ ન કરી શકી.તેની નજર બનારસની સાડી પર પડી. ખૂબ કિંમતી હતી પણ તેના પાલવે બાંધેલી ચબરખી ખોલી. વાંચતા ને અક્ષર ઓળખતા સત્યેન્દ્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો. તે નલિનીની ચિઠ્ઠી હતી. ગિરીબાળાને લખી હતી અને સત્યેન્દ્ર સાથે સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. ગિરીબાળાને નાની બેન ગણી ઘણી સરસ ભેટ મોકલી હતી. સત્યેન્દ્ર તે રાતે સૂઈ ન શક્યો તેનો ત્રીજો વિવાહ બોજ બની ગયો.
બે ચાર મહિના વિતી ગયા ને એક દિવસ ટપાલી એક પાર્સલ આપી ગયો. જેમાં એક વિંટી હતી અને એક પત્ર હતો. નલિનીનો ને એક પત્ર તેનાંભાઈ નરેન્દ્રનો હતો.
પવિત્ર ગંગા જેવી સતી જેવી નલિની મૃત્યું પામી હતી. તેણે સત્યેન્દ્રની આપેલી વિંટી ગિરીબાળા માટે પાછી મોકલી હતી. સત્યેન્દ્રને શીખ મોકલી હતી મારી નાની બેન ને દુઃખ ન પડે તે માટે સલાહ સૂચન કર્યા હતા.
સત્યેન્દ્રને હવે પસ્તાવો થઈ રહ્યો હતો, મા તો આ સમાચાર જાણી કાશી પ્રયાણ કરી ગઈ હતી. સત્યેન્દ્ર એક બોજ ભરી જીવન વંઢોરી રહ્યો હતો. તે સમાજ જેવો
કઠોર વિચાર શૂન્ય ધરાવતો સામાન્ય માનવી બની ગયો હતો.
મિત્રો , કરુણાંત ભરી આ વાર્તામાં સત્યેન્દ્ર દ્વારા અહમને દર્શાવે છે તો નલિની દ્વારા ધીરજ ને સહનશક્તિ
સહીને સ્વમાન ને દર્શાવે છે. એક નાનો મનભેદ કેવો બોજ બની જાય તે આ વાર્તાનું મૂળ કથન છે.
આવતા અંકે ફરી કંઈક નવીન શરદબાબુ વિશે તેમના આલેખન ને બંગાળી સમાજને સ્પષ્ટ આલેખતી વાર્તા વિશે જાણીશું.
(સંપૂર્ણ)

અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૧/૧૨/૨૨

ઓશો દર્શન -41 રીટા જાની




ગતાંકમાં ઓશોદર્શન અંતર્ગત આપણે ધ્યાનસૂત્રની વાત શરૂ કરી, જેમાં તૃષ્ણા અને સંકલ્પ વિશે જાણ્યું. સાથે શરીર શુદ્ધિના અંતરંગ સૂત્રો પણ સમજ્યા. મનુષ્યના વ્યક્તિત્વમાં જ્યારે શરીર શુદ્ધ હોય, વિચાર શુદ્ધ હોય અને ભાવ શુદ્ધ હોય ત્યારે સાધનાનું પરિધ તૈયાર થાય છે. જો આ ત્રણ વાતો સધાઈ જાય તો જીવનમાં નવા પ્રકારના આનંદ અને શાંતિનો જન્મ થઈ જાય છે. આજના લેખમાં આપણે ચિત્ત શક્તિનું રૂપાંતરણ, વિચારશુદ્ધિનાં સૂત્રો, ભાવ શુદ્ધિનો કીમિયો, અને સમ્યક રૂપાંતરણનાં સૂત્રો જાણીશું.

આપણા ચિત્તમાંથી કશું જ લુપ્ત થતું નથી. એ જે પણ અનુભવો કરે છે તે સંગ્રહિત થાય છે. જો એ સ્મૃતિને ફરીથી જગાડવામાં આવે તો એ જ અનુભૂતિઓમાં પ્રવેશ કરી શકીએ છીએ. મોટાભાગે મનુષ્ય એવી ભૂલ કરતો હોય છે કે એ જે પણ ખોટું છે તેનું સ્મરણ કર્યા કરે છે. વર્ષો પહેલાં તમે ખૂબ ક્રોધિત થયા હતા, અશાંત બન્યા હતા, કોઈએ તમારું અપમાન કર્યું હતું કે કોઈની સાથે બદલો લીધો હતો એ બધી વાતનું સ્મરણ કરતા રહે છે, જે ઘાતક છે. પરંતુ જે વિધાયક છે, ઉપકારક બની શકે છે એ અનુભૂતિનું સ્મરણ જો વારંવાર કરવામાં આવે તો તે બહુ મહત્વનું બની રહેશે. માટે કાંટાને ભૂલી જાવ, ફૂલનું સ્મરણ કરો, શુભનું સ્મરણ કરો, શ્રેષ્ઠનું સ્મરણ કરો, શાંતિની અનુભૂતિ તમારી ચારે તરફ અનુભવો.

સ્વર્ગ કે નર્ક કોઈ ભૌગોલિક સ્થાન નથી, પરંતુ આપણી જ માનસિક, મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. માટે જીવનની એ ક્ષણોનું સ્મરણ કરો – જે અદભુત હતી, ઐશ્વર્યથી ભરેલી હતી. ધ્યાનમાં જે અનુભૂતિ થઈ હોય તેનું સ્મરણ રાખો. આજે દાંપત્યજીવનના પ્રશ્નોનું કારણ પણ એ જ છે કે બધા પ્રેમ માંગે છે પણ પ્રેમ આપતાં કોઈને આવડતું નથી. પાપમાં હંમેશા લક્ષ્ય હશે, પુણ્યમાં કોઈ જ લક્ષ્ય હોતું નથી અને જે પુણ્યમાં લક્ષ્ય હોય તે પાપનું જ સ્વરૂપ છે. પુણ્ય હંમેશા કરુણાથી થાય છે, પાપ કદી કરુણાથી થઈ શકતું નથી. જે ઈશ્વરની મરજી પ્રમાણે અનંત સત્તાના હાથમાં પોતાનું જીવન મૂકી દે છે, તેને કોઈ લક્ષ્ય નથી; ફક્ત અંતઃપ્રેરણા છે. ઓશો એક સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે આપણે એ નદીઓ છીએ જેવા છીએ જેની અંદર બરફના મોટા ટુકડા વહી રહ્યા છે, જે નદીના પ્રવાહની ગતિ મંદ કરે છે. આપણા જીવનમાં પણ તૃષ્ણા, ક્રોધ અને મોહના દબાયેલા આવેગો છે, જે આપણી ધારાને વહેવા દેતા નથી. પરંતુ આ આવેગોને વિસર્જિત કરી, ઓગળી એનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય.

હવે વિચારના સંબંધમાં વિચારણા કરીએ તો વિચારો પણ એક પ્રકારના તરંગો જ છે. વ્યક્તિ જે વિચારોથી આંદોલિત થાય છે, તેવું તેનું વ્યક્તિત્વ ઘડાય છે. મોટાભાગે વ્યક્તિ ધન, યશ કે કામના સંબંધમાં વિચારતા રહે છે. આ અશુદ્ધ વિચારો છે, જે બહિર્ગામી અને અધોગામી છે. તેનાથી તમે ક્યારેય જીવન સત્યને પ્રાપ્ત નહીં કરી શકો. શુદ્ધ વિચારનો અર્થ છે – સત્યમ્, શિવમ્ અને સુંદરમ્, જેની દિશા અંતર્ગામી અને ઉર્ધ્વગામી છે. આપણા વિચાર સત્યોન્મુખ, શિવોન્મુખ તથા સૌંદર્યોન્મુખ બને તે માટે પ્રત્યેક વિચાર, પ્રત્યેક વાણી, પ્રત્યેક ક્રિયા કરતાં પહેલા એક ક્ષણ થોભી જાવ. શુદ્ધ વિચારના કોઈ કેન્દ્ર પર તમારી ઉર્જા અને તમારી શક્તિને ભેગા થવા દો. સ્મરણપૂર્વક જે અશુદ્ધ છે તેનો ત્યાગ કરો અને શુદ્ધ ઉપર સ્વયમ્ ને સ્થિર કરો. કોઈ મારા ઘરમાં કચરો ફેકશે તો હું તેની સાથે ઝઘડો કરીશ, પણ કોઈ મારા મગજમાં કચરો ફેકશે તો હું ઝઘડવા જતી નથી. આ બાબતે જાગૃત રહો. આપણું મન ધર્મશાળા જેવું ન હોવું જોઈએ. મનની ઉપર પણ પહેરો રાખો.

આ જગતમાં અશુભ વિચારો ખૂબ પ્રમાણમાં છે અને તેનો ધુમાડો તમારા ચિત્તમાં પ્રવેશી તમને ઘેરી લે છે. પણ એ ન ભૂલીએ કે કેટલાક નાના નાના શુભ વિચારોના દીવા પણ ટમટમતા રહે છે. ભલે તેમની જ્યોતિ નાની હોય પણ તેમનો સંગ શોધનારના લગભગ ઓલવાઈ ગયેલા દીવાને પણ પ્રકાશમાન બનાવી શકે છે. માટે જ વિશેષ મહત્વ છે સત્સંગ, સત્પુરુષ અને પ્રકૃતિના સાંનિધ્યનું. માટે સત્ નો સંપર્ક, સત્ ની ઈચ્છા, સત્ ની ખોજ, સદ્ વિચારોનો જીવનમાં પ્રવેશ અને પ્રકૃતિના સાંનિધ્યને એક અનિવાર્ય અંગ સમજીને જીવનભર એનો પ્રયોગ કરતા રહેવાનો છે.

માત્ર વિચારના જગતમાં ચિંતનથી જીવનમાં કોઈ ક્રાંતિ થતી નથી. જીવનની મોટાભાગની ક્રિયાઓ વિચારના જગતમાંથી નહીં, પણ ભાવના જગતમાંથી જન્મી હોય છે. ભાવની ચાર જુદી જુદી દિશા છે – મૈત્રી, કરુણા, પ્રમુદિતા(પ્રફુલ્લતા) અને કૃતજ્ઞતા. આ ચાર ફોર્મમાં વ્યક્તિ શુદ્ધ ભાવમાં પ્રતિષ્ઠિત છે જ્યારે એથી વિપરીત ઘૃણા, હિંસા, વિષાદ અને અકૃતજ્ઞતા એ અશુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ ચિત્તની અવસ્થા છે, અશુદ્ધ ભાવ ચિત્તની વિકૃતિ છે. આપણી ચારે બાજુ સમગ્ર પ્રકૃતિ બહુ અદ્ભુત વસ્તુઓથી ભરેલી પડી છે. એમના પ્રતિ પ્રેમ વરસાવો. પણ આપણી આંખો તો ટેલિવિઝન જોવામાં મગ્ન છે, આપણું મન પત્તાની હાર-જીતમાં લાગેલું છે. આમ જ પ્રેમના તત્વોને વિકસિત કરવાનો અવસર નિરર્થક બની જાય છે. મૈત્રી અને પ્રેમના બિંદુને જગાડવા માટેનું એક સૂત્ર યાદ રાખો કે ચોવીસ કલાકમાં એક-બે એવા કામ જરૂર કરો જેના બદલામાં તમારે કંઈ જ પ્રાપ્ત કરવાનું ન હોય.

એક વાતનું સ્મરણ રહે કે જે બીજાને દુઃખ આપે છે તે અંતે દુઃખી થાય છે અને જે બીજાને સુખ આપે છે તે અંતે બહુ જ સુખ પ્રાપ્ત કરે છે. માટે જ્યારે કરુણાનું ભાન થશે ત્યારે તમે કોઈને દુઃખ પહોંચાડવાના બધા જ રસ્તા બંધ કરી દેશો અને શક્ય તેટલું સુખ આપવાના પ્રયત્ન કરશો. સાધનામાં પ્રવેશ કરવા કરુણાના ભાવને વિકસિત કરવો ખૂબ જરૂરી છે.

પ્રમુદિતા એટલે પ્રસન્નતા આનંદની સભાનતા, વિષાદનો અભાવ. ઉદાસી એક ટેવ છે, જે તમે પોતે પાડી છે. પણ એક એવી આદત પણ તમે પાડી શકો છો જેને જાળવી રાખવા તમે જિંદગીનો એ ભાગ જુઓ જે પ્રકાશિત છે. તમે જિંદગીને કઈ રીતે જુઓ છો તેના પર બધો આધાર છે. જે આનંદને પોતાની અંદર એકત્રિત કરે છે તે સાધનામાં ગતિ કરે છે.

કૃતજ્ઞતા એ ખુબ જ દિવ્ય છે. 21મી સદીમાં જો કંઈક ખોવાઈ ગયું હોય તો તે આ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાને સમજવાના અને વિકસિત કરવાના ઉપાય કરવાથી સાધનામાં ગતિ આવશે અને જીવન બદલાઈ જશે.

જ્યારે શુદ્ધિ અને શૂન્યતાનું મિલન થાય ત્યારે સમાધિ ઉત્પન્ન થઈ જાય છે અને સમાધિ પરમાત્માનું દ્વાર છે. માટે સમ્યક રૂપાંતરણ માટે જરૂરી છે -શરીર શૂન્યતા, વિચાર શૂન્યતા અને ભાવ શૂન્યતા.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે સાધનામાં ધ્યાન કોનું કરવાનું છે? મોટા ભાગે આપણે ધ્યાનને “કોઈના ધ્યાન”ના સ્વરૂપમાં વિચારીએ છીએ. ધ્યાન કોનું? પ્રાર્થના કોની? આરાધના કોની? પ્રેમ કોની સાથે? ધ્યાનનો અર્થ કોઈને સ્મરણમાં લાવવાનો નથી. ધ્યાન એ અવસ્થા છે. ધ્યાનનો અર્થ એ સઘળું કે જે આપણા સ્મરણમાં છે તેને પાડી નાખો એ છે. એવી સ્થિતિ લાવવાની છે કે માત્ર ચેતન જ રહી જાય, કેવળ અવેરનેસ રહી જાય. આપણે એક દીવો પ્રગટાવીએ અને બાકીની બધી જ વસ્તુઓ હટાવી લઈએ તો પણ દીવો તો સળગતો રહેશે એવી જ રીતે આપણા ચિત્તમાંથી બધા જ ઉદ્દેશો, વિચારો, કલ્પનાઓ હટાવી લઈએ તો ચેતનાની એકાકી અવસ્થા રહે – એ જ ધ્યાન છે. ધારણાના માધ્યમથી એક ક્ષણ એવી આવે કે શરીર વિલીન થઈ જાય, વિચાર પણ વિલીન થઈ જાય, જ્યારે સઘળું વિલીન થઈ જાય, ત્યારે જે શેષ રહે તેનું નામ ધ્યાન. આપણે શ્વાસની, ચક્રની, મૂર્તિની ધારણા કરીએ છીએ એ ધ્યાન નથી.

શુદ્ધિની ભૂમિકા પરમાત્માની સન્મુખ લઈ જાય છે. એના પછી શૂન્યની દ્રષ્ટિ પરમાત્મા સાથે મિલન કરાવે છે અને પરમાત્મા સાથે એકરૂપ કરી દે છે.

વિચારના દ્રષ્ટા બનવાનું છે, વિચારક નહીં. માટે જ આપણે ઋષિઓને દ્રષ્ટા કહીએ છીએ. મહાવીર અને બુદ્ધ પણ દ્રષ્ટા છે. સાધારણ માણસની અંદર એક ધારા હોય છે- માત્ર વિચારની. સાધકની અંદર બે ધારાઓ હોય છે- વિચારની અને દર્શનની. આપણે વિચારથી દર્શન સુધી પહોંચવાનું છે. એ માટે વિવેકને જગાડવો પડશે. અંતરંગ સાધનાના મૂળ તત્વ છે – સમ્યક નિરીક્ષણ- દેહની ક્રિયાઓનું, વિચારની પ્રક્રિયાઓનું, ભાવની અંતરંગ ધારાઓનું. આ ત્રણ સ્તરોને જે પાર કરીને સાક્ષીને પકડી લે છે, તેને લક્ષ્ય મળી જાય છે.

કેવળજ્ઞાનનો અર્થ છે ચેતનાની એ સ્થિતિ જ્યાં કોઈ જ્ઞેય નથી રહેતો, જ્યાં કોઈ જ્ઞાતા નથી રહેતો, માત્ર જ્ઞાનની શક્તિ જ રહી જાય છે. કેવળજ્ઞાનનો અર્થ છે શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરી લેવો જેને ઓશો અને પતંજલિ સમાધિ કહે છે, જૈનો કેવળજ્ઞાન કહે છે, બુદ્ધ પ્રજ્ઞા કહે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર છે. જ્યારે જ્ઞાન આવે છે, ત્યારે અહંકાર વિલીન થઈ આત્માનું દર્શન થાય છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. એ તો ચેતના, અંતિમ આનંદની અવસ્થા છે. ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એ અનુભૂતિને આપણે પરમાત્મા કહીએ છીએ.

ઓશોના આ સૂત્રો પર જો મહેનતપૂર્વક અને સંકલ્પપૂર્વક કામ કરશો તો બહુ જલ્દી તમારી અંદર એક નવી વ્યક્તિનો જન્મ થઈ જશે. એક એક પગલું ચાલતા રહો, તો અનંત અંતર પણ પૂરું થઈ જશે.

રીટા જાની
23/12/2022