૮ -કવિતા શબ્દોની સરિતાની સ્મૃતિ-રાજુલ કૌશિક

તાજેતરમાં જ કોમ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી લઈને જોબ શોધતા હણહણતા વછેરાની વાત છે. એક સાથે દુનિયાભરમાં ડંકો વગાડતી એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગુગલ એમ ત્રણે કંપનીઓમાંથી ઇન્ટરવ્યુ આવ્યા અને એની કાબેલિયતના બળે એને ત્રણે કંપનીમાંથી જોબ ઓફર પણ મળી.. કેટલા આનંદ, કેટલા ગૌરવની વાત ! સ્વભાવિક છે. આજે આવી કેટલીય આઇ.ટી.કંપનીઓ છે જેમાં ગણ્યા ગણાય નહી એટલા કોમ્પ્યૂટર એક્સપર્ટ્સ કામ કરતા હશે.

આ સિવાય ફેસબુક, વ્હોટ્સ એપ જેવી અનેક માતબર કંપનીઓએ વિશ્વભરના લોકોને પોતાની મુઠ્ઠીમાં કરી લીધા છે.

હર સવાલો કા જવાબ ગુગલ…સવારે ઉઠવાથી માંડીને રાત્રે ઉંઘવા સુધીની સમસ્યાઓના હલ ગુગલ ગુરુ/ ગુગલ મહારાજ પાસે મળી જ જાય.- જય ગુગલદેવ….

ગુગલની વાત તો આજે ઘેર ઘેર ગવાવા માંડી છે પણ આજથી લગભગ ૧૨ વર્ષ પહેલાની એટલે કે ૨૦૦૭ની વાત છે. એ સમયે મણીરત્નમની ધીરુભાઈ અંબાણીની બાયોપિક -ફિલ્મ ગુરુ રજૂ થઈ હતી. હજુ તો ગુરુ વિશે જરા વાત જ કરતા હતા અને એક આઇ.ટી ફિલ્ડના ટેક્નૉસાવીએ માત્ર બે મિનિટમાં ગુરુ ફિલ્મ અને ધીરુભાઈ અંબાણીની આખેઆખી કુંડળી વાંચી સંભળાવી. અમે તો અચંબિત કારણકે એ સમયે આ ગુગલ નામના જાદુગરને આપણે એટલા ક્યાં જાણતા હતા?

આજે તો ક્યાં જવું છે થી માંડીને શું ખાવું છે, કેવી રીતે બનાવવું છે એનો ચપટી ભરતામાં ઉકેલ મળી જાય છે. અમેરિકામાં કે અન્ય દેશોમાં પણ દાદી-નાની વગર ઉછરતા બાળકોના દાદી-નાની પણ ગુગલદેવી જ બની ગયા છે.

ના, આજે આ ટેક્નોલૉજિ વિરુધ્ધ કોઈ વાત નથી કરવી કારણકે એનાથી થકી જ તો આપણે પણ એકબીજાથી  એટલા નિકટ છીએ ને? આજે વાત કરવી છે પરિવર્તનની. છેલ્લા લેખના અનુસંધાનમાં સ્તો… પ્રકૃતિ જેટલી સ્વભાવિકતાથી પુનરાવર્તન અને પરિવર્તન સ્વીકારી લે છે એવી જ સ્વભાવિકતાથી આપણે પણ પુનરાવર્તન અને પરિવર્તન સાથે અનુસંધાન મેળવી લેવાનું છે.

હમણાં થોડા દિવસ પહેલા એક એવા સમાચાર વાંચ્યા કે લોકમિલાપ પુસ્તક ભંડાર ૨૦૨૦ના જાન્યુઆરીમાં બંધ થઈ રહ્યો છે અને તે પણ આપણા પ્રજાસત્તાક દિન એટલે કે ૨૬મી જાન્યુઆરીએ.

આ તો આપણા જુના અને જાણીતા એક માત્ર પુસ્તક ભંડારની વાત છે પણ આપણી જાણ બહાર કેટલાય આવા પુસ્તક ભંડાર બંધ થઈ ગયા હશે. કોને સમય છે આજે પુસ્તક ભંડાર તરફ દોટ મુકવાનો? ઘેર બેઠા પગ લંબાવીને ફિલ્મ જોવા મળતી હોય તો થિયેટર સુધી ય કોણ લાંબુ થાય છે?

અરે! જ્યાં નેટ પર કંઈ કેટલીય વાંચન સામગ્રી હાથવગી હોય અને વળી પાછી એને કિંડલમાં ડાઉન લોડ કરી શકાતી હોય ત્યાં કોને આવો સમય આપવાનું મન થાય ?

હશે આ પરિવર્તન પણ સ્વીકારવું જ રહ્યું. આપણે પણ એમાંના એક બનવું જ રહ્યું. ત્યારે ગત વર્ષના વિશ્વ પુસ્તકદિને લખેલી વાતના સંદર્ભમાં રાજેશ વ્યાસ મિસ્કિન લિખિત એક કવિતા આજે ફરી યાદ આવી ગઈ…

પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

પણ હવે ક્યાં એવું પુસ્તક જગત મળશે જ્યાં આપણાં જેવા વાચકોનો મેળો હોય? પુસ્તકની સાથે મન પણ વંચાતા હોય. એક સારું, મનગમતું પુસ્તક લાયબ્રેરીમાંથી મળી જાય એ દિવસ તો ઉત્સવ બની જાય.

એનો અર્થ એ નથી કે હવે કોઈ કશું વાંચતું નથી. વંચાય છે અઢળક વંચાય છે અને વાચક વર્ગ પણ વિસ્તરતો જાય છે કારણકે એને વાંચવા માટે ક્યાંય જવું પડતું નથી. ઘેર બેઠા ગંગા છે બસ એમાંથી આચમની ભરી લેવાની છે.

શક્ય છે ભવિષ્યમાં એક હતો રાજાની જેમ એક હતું પુસ્તક ભંડાર એવું કહેવાશે? તો તો એનો અર્થ એ કે આપણા માટે આજ સુધી દીવાદાંડી બની રહેલા, બહાર અને ભીતરને જોડતા સેતુ સમાન પુસ્તકનો ઈતિહાસ ભૂતકાળ બની જશે? જો કે લોકમિલાપના સંચાલકો તો કહે છે કે દરેક પ્રારંભનો અંતિમ પડાવ તો આવતો જ હોય છે. આપણે પણ એવી જે ખેલદિલીપૂર્વક આ વાત સ્વીકારવી જ રહી ને? પણ ના,  હવે એક વાત અહીંથી થોડી જુદી અને રાજી થવાની પણ સાંભળી કે શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો પ્લે-સ્ટોર પરથી મળશે જેમાં શ્રી મેઘાણીના પ્રખ્યાત પુસ્તકોનો સમાવેશ જોયો.. જો એક ૭૦ વર્ષ જુની સંસ્કૃતિ નવિનતા અપનાવી શકતી હોય તો આપણે ય ટેક્નોલૉજિમાં આવતા પરિવર્તનને મોકળા મને સ્વીકારવું રહ્યું ને? સમય સાથે તાલ તો મેળવવો જ રહ્યો ને?   

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૭ -કવિતા શબ્દોની સરિતાની સ્મૃતિ-રાજુલ કૌશિક

આ ડીસેમ્બર તો આવ્યો…જોત જોતામાં ૨૦૧૯નું શરૂ થયેલું વર્ષ પણ પૂર્ણતાના આરે આવીને ઉભુ. ક્યારેક એવું લાગે છે કે સમય જાણે આગળ ખસતો જ નથી અને ક્યારેક પસાર થઈ ગયેલા સમય વિશે વિચારી તો એમ લાગે કે અરે! આ હમણાં તો વર્ષ શરૂ થયું અને એટલામાં પુરુ પણ થવા આવ્યુ? કેટલીય ક્ષણો આપણામાં તાજગી ભરતી ગઈ, કેટલીય ક્ષણો વ્યથા આપતી ગઈ પણ આ ક્ષણોનો સરવાળો એટલે જ તો સમય અને સમય એટલે શું? એ તો નિરાકાર છે.એને આપણે ક્યાં જોઈએ છીએ કે પકડી શકીએ છીએ ? એ તો એના પગલાની ય છાપ ક્યાં મુકતો જાય છે કે ભીંતે થાપા દેતો જાય છે અને છતાંય એના પસાર થઈ ગયાની અસર કે અનુભૂતિ તો આપણા મન પર આપણા જીવન પર છોડતો જ જાય છે ને?
ક્યારેક એમ લાગે કે સમય તો મુઠ્ઠીમાં ભરેલી રેતે, ગમે એટલો પકડવા મથો, ગમે એટલો સાચવવા મથો પણ એ તો બંધ મુઠ્ઠીમાંથી પણ સરતો જ જાય. ક્યારેક એવું પણ લાગે કે સમય સ્થિર થઈ ગયો છે. જડ થઈ ગયો છે. એને આગળ ધકેલવા મથો તો પણ જાણે ચસોચસ બારણા ભીડીને એ બેસી ગયો છે. એની સ્થિરતા, એની જડતા આપણને અકળાવનારી પણ બની જાય. આવા વહી ગયેલા સમય પર સરસરતી નજર નાખીએ તો કોણ જાણે કેટલીય યાદો મન છલકાવતી પણ જાય.
દર વર્ષની જેમ નોર્થ અમેરિકામાં સ્નૉએ પોતાનું સામ્રાજ્ય સ્થાપવાના શ્રીગણેશ કરી દીધા છે. થોડા સમય પહેલાના લીલાછમ દેખાતા વૃક્ષોએ અવનવા રંગો ધારણ કરીને પોતાના પીંછા પણ ખેરવી લીધા અને જોતજોતામાં સફેદી ધારણ કરીને બેસી ગયા, જાણે શ્વેત  કેશી- જટાધારી-લાંબી દાઢી ધરાવતા કોઈ પૂજનીય તપસ્વી..

આ કુદરત પણ કેટલી સરળ અને સ્વાભાવિક છે નહીં? જ્યારે જે પરિસ્થિતિ હોય એ તરત અપનાવીને એમાં એકરૂપ થઈ જતા જરાય વાર લાગે છે?

આપણે એવા છીએ ખરા? આપણામાં એટલી સ્વભાવિકતા છે ખરી કે આવશે ખરી?

હજુ ગઈ કાલની જ વાત છે. એક શબ્દ રોટેશન… અને એના વિશે અમારી વચ્ચે ચર્ચા ચાલી. આ રોટેશન એટલે શું? ચક્રમેનિકમ-ચક્રના આરાનો ક્રમ, પુનરાવર્તન..કુદરતનું પણ એક વણથંભ્યુ ચક્રમેનિકમ છે. સતત, નિરંતર, અવિરત ચાલ્યા જ કરે છે.પ્રકૃતિના તમામ તત્વોને પણ આ ઘટમાળ, આ પુનરાવર્તન મંજૂર જ હશે ને એટલે તો એ દરેક મોસમમાં, બદલાતી ઋતુના રંગમાં આસાનીથી ઢળી જાય છે. વસંતમાં પુલકિત થઈને મહોરી ઉઠતી પ્રકૃતિ વર્ષામાં વહી જવામાં ય બાધ નથી રાખતી તો ઉનાળાની ધોમધખતી ગરમીને ય સહી લે છે. ઠંડીમાં ય એ એટલી જ સ્થિતપ્રજ્ઞ….. અને આપણે?

આપણે આ ચક્રના આરાની જેમ જીવાતા જીવનના એકધારા ક્રમથી, પુનરાવર્તનથી ય ખુશ નથી કે પરિવર્તનથી ય રાજી ક્યાં હોઈએ છીએ? કરવું શું? આપણે તો હંમેશા સમય સાથે વહેવાના બદલે સમય આપણને અનુકૂળ થાય તો કેવું એની કલ્પનામાં રાચીએ છીએ.

એક ક્ષણ પણ એવો વિચાર નથી આવતો કે આ પુનરાવર્તન કે પરિવર્તન જે કંઈ છે એ આપણા હાથમાં તો નથી જ તો શા માટે આ ક્ષણ જે આપણી છે એને જ આનંદથી જીવી લઈએ? પ્રકૃતિની જેમ સહજતાથી ઢળી જઈએ?

ગત વર્ષના ‘કવિતા શબ્દોની સરિતા’ના એક લેખના સંદર્ભમાં પ્રજ્ઞાબેને કૉમેન્ટમાં એક સમજવા જેવી વાત લખી હતી એ આજે યાદ આવી…

બળી જશે લાકડા, ઠરી જશે રાખ, તારી ખુમારી તારી પાસે રાખ.

જીવી લે જીંદગી, મોજ મસ્તીની, તારી અકડ તારી પાસે રાખ.

રોપી દે પ્રેમનું તરુ, હેતનું ખાતર એમાં નાખ.

ઉગશે ફળ, મધ ભરેલું, વિશ્વાસના હોઠે એને ચાખ.

પૈસો કાંઈ બધુ જ નથી, માનવતાની બનાવ શાખ.

દરિયો બનશે કદી તોફાની, ધીરજની નાવ તું હાંક.

ખુલ્લી આંખે તું દુનિયા જુવે, ક્યારેક તો ભીતરે તું ઝાંખ.

હારની શરણે ના થા, આપી છે તને હોંસલાની બે પાંખ,

શ્વાસ આપ્યા પણ જીવે નહીં એમાં ઈશ્વરનો શું વાંક……..

અહીં જીવવા ખાતર જીવવાની નહીં પણ આનંદથી જીવવાની વાત છે. પ્રકૃતિની જેમ કોઈ ભાર વગર, આનંદથી એકરૂપ થઈને જીવવાની વાત છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૬ – કવિતા શબ્દોની સરિતા સાથે સ્વાનુભવની સ્મૃતિ-રાજુલ કૌશિક

આપણા તહેવારોની ઉજવણી પૂર્ણ થઈ અને આ આવ્યા અમેરિકન તહેવારોના દિવસો.. આપણી અને એમની તહેવારોની ઉજવણીમાં થોડુંઘણું ય સામ્ય તો છે જ.. આપણા તહેવારોમાં ઈશ્વર તરફની કૃતજ્ઞતાનો ભાવ ભારોભાર હોય એમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ એ લોકો ઈશ્વરે આપેલા આનંદની ક્ષણો માટે પરમતત્વનો આભાર માનવાનું ચૂકતા નથી. પરિવાર સાથે પરંપરાગત ઉજવણીની સામ્યતા તો પૂર્વ અને પશ્ચિમ બંને સંસ્કૃતિમાં જોવા મળે છે.

અહીં નોર્થ અમેરિકા તરફનું વાતાવરણ ઠંડુગાર થવા માંડ્યુ છે, ઉનાળામાં જે સમય બપોરનો કહેવાય એવા સમયે તો સાંજ અંધારુ ઓઢીને આથમતી જાય છે પણ હા! મોટા મોટા સ્ટોર તો ઝળહળ ઝળહળ કારણ હવે આવશે ખરો સમય જ્યારે એકબીજા માટેના સ્નેહના પ્રતિકરૂપી ભેટ આપવાનો. આભારની લાગણી વ્યકત કરવાનો. આવા આયાસોમાં આનંદ તો ભળેલો જ હોય ને? જીવનની ઘટમાળમાં આવા અવસરોથી બીબાઢાળ જીવનમાં નવા રંગનો ઉમેરો થાય છે એ વાત પણ સાચી પણ જીવનની ઘટમાળ ક્યાં એક સરખી ચાલતી હોય છે. આજે આનંદ તો કાલે અફસોસની લાગણીઓના ચક્રવાત આપણા જીવનમાં ઉઠતા જ હોય છે. વર્ષમાં ઋતુચક્ર પણ ફરતું જ રહેતું હોય છે. આજે અસહ્ય ગરમી તો કાલે હદથી વધુ ઠંડી, ક્યારેક વરસાદનું મદહોશ કરતું વાતાવરણ તો ક્યારેક એવું વાવાઝોડુ કે સઘળું ખેદાનમેદાન…..

આ બદલાતી મોસમ સાથે આપણો પણ બદલાતો મિજાજ, સમય સાથે બદલાતા સંબંધો આ બધું આપણે ધીરે ધીરે કોઠે પાડતા જ જવું પડે છે અને સમય સાથે વહેતા રહેવું પડે છે પણ પળવાર માટે થોભીને વિચારીએ તો થાય છે કે ખરેખર એમ ટાઢા કોઠે જીવાય છે ખરું? ઘણીવાર એવું બને કે જેની સાથે આપણે કશું જ લાગે વળગતું નથી તેમ છતાં ઘણી બધી એવી ઘટનાઓ આપણને હચમચાવી મુકે છે.

બસ આવું જ કંઇક મારી સાથે બન્યું. બરાબર આ જ સમયગાળો હતો, આવું જ ટાઠકડું ઉદાસ વાતાવરણ, પ્રકૃતિમાં છવાયેલો સન્નાટો, ખરી પડેલા પાનના લીધે સૂકા-નિર્જીવ જાણે જીવનલીલા સંકેલી લીધી હોય એવા લાગતા વૃક્ષોની સાથે જાણે આપણી ચેતના પણ ઠરી ના ગઈ હોય? અને મન ઉદાસ થવા માંડ્યુ. કારણ વિચારતા લાગ્યું કે એક સૂર ખુટે છે. એ દિવસોમાં સવારના ઉઠતાની સાથે સંભળાતો એ રુસ્ટરનો અવાજ થોડા સમયથી નહોતો સંભળાતો. મન જાણે અજાણે કોઇપણ સૂરીલા તાર સાથે આપોઆપ જોડાઈ જ જતું હોય છે. આ થેન્ક્સગિવિંગના એ સમયગાળા દરમ્યાન હંમેશા ઉગતી સવાર સાથે એ સૂર જાણે  ખુટતો હતો.

એ ખૂટતા સ્વરનું કારણ કોઈએ કહ્યું એ મુજબ થેન્ક્સ ગિવિંગના ડિનર સાથે સંકળાયેલું હતું. મન સાચે જ ખુબ ઉદાસ થઈ ગયું હતું અને યાદ આવ્યા હતા કોમળ હ્રદયના કવિ કલાપી. પંખી પર અજાણતા જ પથરો ફેંકાઈ ગયો હતો. પંખી ઘવાયું હતું એમ નહોતું તેમ છતાં કવિને જે દુઃખ થયું હતું એવી જ કોઈ લાગણી મનને ઘેરી વળી હતી.

સમય સાથે દુઃખની વાત પણ વિસારે પડતી જ હશે કારણકે દુઃખનું ઓસડ દહાડા. જરૂરી નથી દરેક સમયે દુઃખની લાગણી આપણા પોતાના લોકો સાથે જ સંકળાયેલી હોય. હ્યદયમાં જો જરા જેટલી સંવેદનશીલતા હોય તો એ પારકાની પીડા પણ પોતે અનુભવે છે. આ તો એક એવા અબોલ જીવની પીડાની વાત હતી પણ એની સાથે જ હેવાનિયતનો ભોગ બનેલી અસહ્ય શારીરિક અને માનસિક પીડાના લીધે કારમી ચીસો પાડતી નિર્ભયા પણ યાદ આવી ગઈ હતી. હજુ તો નિર્ભયાની વાત લખાય છે અને હૈદરાબાદની ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી પર નિર્દયી અપકૃત્ય અને હત્યાના સમાચારોની કાગારોળ મચી છે. ક્યાં જઈને અટક્શે આ?

જેમની કારમી ચીસો સંભળાતી નથી પણ એવી ચીસો વગર પણ કરૂણા ઉપજે એવું જીવન ગુજારતા ગુઝારિશ’ ફિલ્મના ઇથાન માસ્કરન્સની જેમ ક્વાડ્રિયાપ્લેજિક જેવી અસાધ્ય શારીરિક પરિસ્થિતિ એક હદથી વણસી જાય એવી બીમારીથી પીડાતા હોય એવા મા-દિકરી, જેમને કોઈને આધાર નથી એવા વૃદ્ધ દંપતિ , કે.ઈ.એમ હોસ્પિટલની અરૂણા શાનબાગ પણ સાગમટે યાદ આવ્યા હતા અને મનમાંથી ફળફળતા નિસાસા નિકળી ગયા હતા.

જ્યારે આપણે કોઈનું ય દુઃખ નિવારવા કે ઓછું કરવા માટે કે એમના માટે કશું કરવાને શક્તિમાન નથી  હોતા ત્યારે એ લાચારી ય આપણને હચમચાવી મુકે એવી હોય છે.

યાદ માત્ર સુખની ક્ષણો પુરતી જ નથી હોતી ,દુઃખની ક્ષણો પણ વિસારે નથી પડાતી. સુખની ક્ષણો ચોકલેટ જેવી હોય છે જેને મમળાવી ગમે છે અને દુઃખની યાદ કડવી દવા જેવી હોય છે જેને આપણે બને એટલી ઝડપથી ગળી જવા માંગતા હોઈએ છીએ પણ પુરતા પ્રયત્ન છતાં એની કડવાશ ક્યાં ઓછી થતી હોય છે ?

ગત વર્ષમાં સુખની સાથે આવી કડવી ક્ષણોની ય યાદ તો આવી  જ હતી જેનો વિચાર આવતા  આજે પણ મન એટલું જ ક્ષુબ્ધ બની જાય છે. મન છે ને ભાઈ, સાચું-ખોટું, સારુ- નરસું સઘળું ય સાચવ્યા કરે. સમય જતાં એ યાદ ઝાંખી થતી જાય પણ સાવ ભૂલવી શક્ય નથી જ તો વળી……

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૫ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વાનુભવની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

એકાવન સપ્તાહ એટલે કે એક વર્ષ….

આ આખું વર્ષ સાવ અલગ અલગ અનુભૂતિ લઈને આવ્યું અને સાવ અનેરી અનુભૂતિ સાથે પસાર થયું. સમય સાથે કેટલાક સંબંધો તાજા થયા. જીવનમાં કેટલાક સંબંધો લોહીના તો કેટલાક લાગણીના. આવા કેટલાક સાવ પરિચિત સંબંધોની નોખી અનોખી રીત વિશે વાત થઈ.

કેટલાક એવા સંબંધો જેના તાણાવાણા અત્યંત નાજુક હોવા છતાં રેશમના કીડાનું જતન કરતાં કોશેટા કરતાંય મજબૂત, આપણા જન્મની સાથે જન્મેલા અને જોડાયેલા લોહીની સગાઈની સાથે લાગણીથી જોડાયેલા સહોદરના સંબંધોની વાત થઈ.

જ્યારે જ્યારે પ્રણયની વાત આવે, વેલેન્ટાઇન્સ ડે આવે ત્યારે ત્યારે પ્રણયનો ઇતિહાસ રચનાર, પ્રણયના ઇતિહાસમાં પોતાનું નામ કાયમ કરનાર, એના બ્રાન્ડ ઍમ્બૅસેડર જેવા રાધા-કૃષ્ણની વાત થઈ. આમ તો એમના વિશેની વાતો તો અખૂટ જ છે ને?

આજે પરણીને કાલે પસ્તાયા હોય એવા યુગલની પણ વાત થઈ અને સાથે છેલ્લા શ્વાસ સુધી અત્યંત પ્રેમપૂર્વક સાથ નિભાવનાર, સપ્તપદીમાં હાથમાં હાથ લઈને અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને જીવનના અંત સુધી કરચલીવાળા હાથની મુલાયમતા માણતા, દોસ્ત જેવી દિકરીની હાજરીથી લીલીછમ ઘરની દિવાલોને વચ્ચે ગમતાનો ગુલાલ કરતાં દંપતિની વાત થઈ.

વચ્ચે આવ્યો મધર્સ ડે. સ્વભાવિક છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ સંબંધની વાત તો થવાની જ. મા વિશે લખીએ તો ગ્રંથો ભરાય પણ એ દિવસે લોહીના સગપણ કરતાંય ચઢે એવા લાગણીના સંબંધો ધરાવતા મધર ટેરેસા જેવા બાલાશ્રમના એક મા વિશે ય વાત થઈ. આવી વ્યક્તિઓને મળવાનું થાય ત્યારે આપોઆપ માનથી મસ્તક નમી જાય.

તો જેના ખભે બેસીને દુનિયા જોવાનો લ્હાવો મળે, જીવનની આંટીઘૂંટી સમજવાનું જ્ઞાન મળે. જેનો લગાવ-પ્રભાવ-અનુરાગ આપણી સાથેના સંબંધનો પાયો છે, સમત્વબુદ્ધિથી જે આપણને કેળવે એવા પિતાને ફાધર્સ ડે પર યાદ કર્યા.

જેને સુરેશ દલાલ જેવા કવિએ વૃક્ષનો છાંયો, નદીનું જળ, આકાશનો ઉઘાડ, થાક્યાનો વિસામો, રઝળપાટનો આનંદ, બુદ્ધનું સ્મિત, મીરાંનું ગીત કહીને મહિમા ગાયો છે એવી મૈત્રીની વાત તો કેવી મઝાની અને એ તો વળી કુંડળી મેળવ્યા વગર સ્થાપિત થતો અને આજીવન કાયમી રહેતો સંબંધ. એક સાવ અનોખા પણ સૌના જીવનમાં ખુબ વ્હાલસોયા લાગતા, જેમાં અપેક્ષા ઓછી અને વિશ્વાસ વધુ છે એવા મૈત્રીના સૂરની વાત કર્યા વગર તો કેમ ચાલે?

સાવ નાનકડી ઉંમરે સ્વબળે આગળ આવવાની નેમ ધરાવતા અહીંના બાળકો અને એમના આત્મવિશ્વાસ વિશે પણ વાત થઈ તો સ્થાયી જીવનની પરવા કર્યા વગર રાજી રાજી પોતાની જોબ અન્યને આપી દેતી મેલિસાને કેમ ભૂલાય?

જેમના નામ સાથે લેખક-દિગ્દર્શક-નાટ્યકાર, કાર્ટુનિસ્ટ, ભવાઈકાર, ચિત્રકાર, યોગસાધકની ઓળખ જોડાયેલી છે, ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર શતપ્રયોગી નાટક ભજવવાનું બહુમાન મળ્યુ છે એવા નાટ્યકારને તો યાદ કરવા જ પડે ને?

તો મા-બાપ, ભાઈ-ભાંડુથી દૂર, ઘણે દૂર માભોમ માટે મરી ફીટતા, જેમને આપણે લાગણીશૂન્ય માની લઈએ છીએ એવા લાગણી પર ફરજનું એક અભેદ કવચ ચઢાવીને આપણી સલામતી માટે ખડે પગે રહેતા મિલિટરીના જવાનોને સન્માન્યા વગર કેમ ચાલે?

કહેવાનું તાત્પર્ય એ કે પાછું વાળીને નજર કરું છું તો સાચે જ લાગે છે એક વર્ષમાં કેટ-કેટલા સંબંધો જીવી લીધા ! એ તમામ સંબંધોની સાથે શબ્દ સ્વરૂપે કાવ્યની અભિવ્યક્તિ કેવી કેવી રીતે જોડાયેલી છે એ વિચારું છું તો લાગે છે આપણું કાવ્ય જગત કેટલું સમૃદ્ધ છે? અહીં તો આપણા જ માત્ર ગણ્યા ગાંઠ્યા સંબંધોની વાત કરી પણ ભાવવિશ્વ તો ભરચક છે. આ ભરચક ભાવવિશ્વ માટે પણ કેટ કેટલા કવિઓએ કેટલું કહ્યું છે . કવિતા એટલે થોડા શબ્દોમાં મનને-હ્રદયને સ્પર્શે એવી રીતે ઘણીબધી વાત કહી જતી રચનાઓ…

કવિતાને આપણે સંવાદી સૂર કહીશું? કવિતાને આપણે મનની ઉર્મીઓની અભિવ્યક્તિ કહીશું? કે છંદ-અલંકારોમાં વહેતી વાણી કહીશું?

ઘણુંબધું કહી શકાય આ કવિતાઓ માટે પણ આજે તો હું એટલું તો કહીશ જ કે આ કવિતાઓ એટલે મારી અને તમારી વચ્ચેનો એક એવો સંવાદ જેના થકી હું વ્યક્ત થઈ અને તમે મને વહાલથી વધાવી લીધી.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪ – કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

આપણે જન્મથી માંડીને સાંભળેલી વાત સમજતા થઈએ ત્યારે અને એ પહેલાં પણ ઘણુંબધુ સાંભળતા મોટા થઈએ છીએ. પારણામાં અડધી ઊંઘમાં સરતા પહેલાં માએ જે કોઈ હાલરડા ગાયા એ જ આપણા માટે તો પ્રથમ કવિતા થઈ. ત્યારે ય ક્યાં સમજતા હતા કે મા શું કહેવા માંગે છે. એ હાલરડામાં વ્હાલનો જે ભાવ હતો એ આપણને ગમતો, પોતિકો લાગતો અને આપણે આરામથી ઊંઘી જતા. ઊઠડતી વખતે પણ મા કંઈક તો ગણગણતી….શું ગણગણે છે એ સમજીએ એ પહેલા તો મોટા થવા માંડ્યા પણ આ હાલરડાથી શરૂ થયેલા, પ્રભાતિયાથી આગળ વધીને એ જોડકણામાં ક્યારે પરિવર્તિત થયા એની ય સમજ આવે એ પહેલાં તો સ્કૂલે જતા થઈ ગયા અને પછી તો ચાંદો સૂરજ રમતા’તા ગાતા થઈ ગયા.

એકડો સાવ સળેકડો ને બગડો ડીલે તગડો…. એકડો ઘૂંટતા શીખ્યા ત્યારે પણ આ જોડકણાએ જ એકડો ઘૂંટવાનું મોજીલું  બનાવ્યું

આજે આ યાદ આવવાનું, કહેવાનું તાત્પર્ય માત્ર એ કે ગીતો-કવિતાઓ આપણી સમજ પહેલાથી આપણી જોડે જોડાયેલા કે પછી આપણે એની સાથે જોડાયેલા? સમય વિતતા એ જુની કવિતાઓ-ગીતો આપણા ભૂતકાળની સ્મૃતિની સાથે થોડા ઝાંખા ય તો થયા જ પણ ‘કવિતા શબ્દોની સરિતા’થી ફરી એકવાર કાવ્યમય સફર શરૂ થઈ અને એ સમય-સંજોગ અને ઘટનાને આધારિત મનની સપાટી પર તરી આવ્યા.

ક્યારેક વાસ્તવિક વાતની સાથે જોડાયેલી મારી એ અનુભૂતિમાં આપની લાગણીઓના પણ પડઘા ઉમટ્યા. મારી ‘હેપ્પીનેસની બરણી’ની વાત ઘણાને ગમી ગઈ. આ હેપીનેસની બરણી એટલે એક એવી સરસ મઝાની બરણી જેમાં આપણે સૂતા પહેલા એ દિવસની સૌથી મઝાની મોમેન્ટ વિશે નાનકડી ચબરખીમાં લખીને મુકી દેવાની. બસ પછી ક્યારેક મુડ ખરાબ હોય ત્યારે એ ખોલીને કોઇપણ ચબરખી વાંચવાની. બની શકે કે એ સુખની પળો યાદ કરીને આપણો મુડ પણ સારો થઈ જાય. કમ સે કમ આપણે એવું વિચારીને હસી પડીએ કે અરે! આવી નાની વાતમાં પણ આપણે કેવા ખુશ થઈ શકતા હતા.

એ બરણીની વાત આજે યાદ આવી ગઈ. એ સમયે મારી જેમ જ આપને પણ એ વિચાર ગમી ગયો હતો યાદ છે ને?

કલ્પનાબેને એમના પ્રતિભાવમાં કહ્યું કે,

રાજુલબેન! ખૂબ ખૂબ,ખૂબ સરસ વાત,’હેપીનેસની બરણીની’….પ્રયત્ન કરવા જેવો ખરો.માણસ હમેશા ફરિયાદને ફરી ફરીને યાદ કરે છે,ઈશ્વરે જે આપ્યું છે તેને TAKE IT FOR GRANTED ગણી લે છે.સુખને પણ યાદ કરવુજ રહ્યું.અને……ક્યારેક એ ચીઠ્ઠીઓ વાંચીએ ત્યારે…!!!કેવી મજા આવે?…અનુભવ કરવો રહ્યો.આભાર ,તમારા નવા કીમિયા માટે….

ખરેખરી વાત તો એ છે કે આજે ‘કવિતા શબ્દોની સરિતા’ જાણે મારી હેપીનેસની બરણી બની છે. આજે એમાનો કોઈપણ લેખ ખોલીને વાંચું છું ત્યારે મને એ હેપીનેસની બરણીમાં સરકાવેલી ચબરખી જેવો આનંદ આપે છે અને મન પ્રસન્ન તો થાય છે જ..

જોયું? ક્યારે કઈ વાત આપણા માટે ખુશી લઈને આવે એ નિશ્ચિત નથી હોતું પણ આપણા રોજીંદા જીવનમાં અનુભવેલી  પ્રસન્નતાની પળો ફરી તાજી થાય તો એ પણ પ્રસન્નતા તો આપે જ છે.

એવી મારી બીજી આનંદની અનુભૂતિ સૌને પહોંચી હતી એ પણ આજે આ હેપીનેસની બરણીની ચબરખીમાંથી મળી આવી. ઑગસ્ટનો સમય હતો અને અમારી એક સફરની, સફરમાં પ્રકૃતિ સાથે એકાકાર થયાની સાવ તાજી અનુભૂતિ હતી. પ્રકૃતિ સાથે પરમતત્વને પામવાની જે વાત હતી એ મેં શ્રી માધવ રામાનૂજની કાવ્ય પંક્તિઓ સાથે મુકી હતી અને મઝાની વાત તો એ થઈ કે આપ સૌને એ સ્પર્શી ગઈ.

જિગીષાએ કહ્યું,

તારી ગદ્ય કવિતા વાંચીને મન બાગ બાગ થઈ ગયું.કોઈ કુદરતને આ હદે માણી અને જાણી શકે એ વાતે આંખમાં અહોભાવના આંસુ અને રૂંવાડા ઊભા થઈ ગયા.સાથે માણેલ કેનેડીઅન રોકીને તે એટલી સુંદર અને સહજતાથી વર્ણવી છે કે મારું ચાલે તો હું તને દુનિયાની સફર ભેટ કરી દઉં.અત્યાર સુધીના વાંચેલા તારા લેખમાં one of the best લેખ છે.
કુદરતને માણવાની તારી રીત અદ્ભૂત છે….”

પ્રજ્ઞાબેને લખ્યું,

” રાજુલબેન ખુબ સરસ લેખ માત્ર લેખ નહિ સાહિત્યની ગણનામાં આવે તેવો લેખ……. અનંત સાથે નું જોડાણ, શબ્દ દ્વારા સર્જકની અનુભૂતિ પ્રકટ થઇ છે.તમારી પોતાની અનુભૂતિમાં જે એક અલૌકિક આનંદ રહેલો છે અને અમે અહી મહેસુસ કર્યો છે.ભાવક પણ સર્જકને થયેલો આનંદ પ્રાપ્ત કરે છે.તમારું માધ્યમ ભલે શબ્દ હોય પણ એનું પ્રગટીકરણ એટલું સરસ છે કે માધ્યમ મટી જઈ સીધે સીધું જોડાણ પ્રકૃતિ સાથે કરાવે છે. વાહ ક્યાં બાત હે…”

તો દેવિકાબેન પણ હ્યુસ્ટનથી ટહુક્યા..

ઓહોહોહો….અદભૂત વર્ણન..કાબિલેદાદ..’ જાસ્પર’ જેવું…જાસ્પર માટે.. સાથે એકાદ પિક્ચર અને જગાનું નામ લખી એડિટ કરે દો અથવા ફરી મૂકો. કલમને સલામ.”

દૂર દેખાતી આકાશ અને અવની વચ્ચે ખેંચાયેલી પેલી ક્ષિતિજરેખાનો એમને અલગ કરવાના બદલે એકાકાર કરી દે એવો નજારો છે. ” ખૂબ સરસ. બીજી કોમેન્ટ મૂકવાનું મન થયું.”

આજે વિચારું છું તો લાગે છે કે આ તમામ વાતો હેપીનેસની બરણીની ચબરખીઓ સ્તો..

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩ – કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

સમય…. એ જ તો છે જે ક્યારેય કોઈના ય માટે અટકતો નથી કે નથી પાછું વાળીને જોતો.. એક આપણે છીએ કે સરી ગયેલા સમય પર પણ વળી વળીને નજર માંડતા જ રહીએ છીએ અને એમાંય જ્યારે આપણી સાથે કોઈ સરસ ઘટના બની હોય ત્યારે તો એ આપણા મન પર અવારનવાર ટકોરા મારીને એની યાદ અપાવે છે.

આ પેલી કૂકૂ ક્લૉક તો ખબર છે ને? બંધ બારણાની પાછળ સંતાયેલી એ કૂકૂનો સમય થાય એટલે આપમેળે પેલા નાનકડા બારણા ખુલે અને એમાંથી બહાર આવીને એ કૂકૂ કૂકૂ કરતી કેટલા વાગ્યા એ આપણને કહી જાય. એનો રણકાર પણ એવો મીઠ્ઠો કે આપણને સાંભળવો ગમે પણ ખરો. બસ એવી જ રીતે કોઈ એક દિવસે બનેલી મનગમતી ઘટના આપણા મનનું બારણું ખોલીને કૂકૂ કરતી એ યાદનો રણકાર મુકતી જાય.

બરાબર એક વર્ષ પહેલાં આવી જ એક ઘટના મારી સાથે બની અને આજે એ મીઠી યાદની કૂકૂએ ફરી એકવાર મારી યાદોના બંધ બારણા ખોલીને એના રણકારથી મારા મનને આનંદિત કરી દીધું.

ઘણા વર્ષો પહેલા અવારનવાર જેને મળવાનું થતું, એની સાથે હેતે-પ્રિતે પસાર કરેલા એ દિવસો ય ભૂતકાળ બની ગયા હતા. જેની સાથે નાનપણથી સ્નેહનો સંબંધ હતો એવી વ્યક્તિ સાવ જ વિખૂટી પડી ગઈ હતી અને વચ્ચેના સમયના ક્યાંય સૂરતાલ શોધ્યા ય મળતા નહોતા. એવું નહોતું કે મળવું નહોતું પણ મળવાના સંજોગો જ નહોતા.

પછી તો એ વ્યક્તિ પણ મનના કોઈ અગોચર ખૂણામાં ધરબાઈ ગઈ હતી અને સાવ અચાનક એવા સંજોગો ઊભા થયા કે એ સામે આવીને ઊભી રહી.

તે સમયની અમારા મનની સ્થિતિ એવી હતી કે ભૂતકાળનો આખો ચોપડો ખુલી ગયો હતો અને મઝાની વાત તો એ હતી કે બંનેને યાદ રહી ગયેલી એ તમામ ક્ષણો સરખામણી કર્યા વગર પણ એક સરખી જ વાત કહેતી હતી અને ત્યારે તો તને સાંભરે રે, મને કેમ વિસરે રે…વાળો ભાવ જ મન પર છવાઈ ગયો હતો.

એ સમયે મને વિચારતી કરી મુકી હતી કે ખરેખર આવું બને ખરું? અને જ્યારે આવું બને ત્યારે લાંબા સમયે મળેલી એ વ્યક્તિઓની મનઃસ્થિતિમાં કેવા અને કયા ભાવો હોઈ શકે? આશ્ચર્યના? આનંદના?

સાચું કહું તો આનંદ અને આશ્ચર્ય બંને ભાવનો અનુભવ હતો એ.

સરખામણી તો અહીં ક્યાંય નથી, સમાનતા ય નથી પણ એ પસાર થઈ ગયેલી સાનંદાશ્ચર્યની એ ક્ષણોનો ઉભરો ય ઘણા સમયે ઓસર્યો ત્યારે મને પ્રેમાનંદની એ પંક્તિઓ જ યાદ આવી. શામળિયા અને સુદામા મળ્યા હશે જે ભાવ બંને અનુભવ્યો એ પ્રેમાનંદે શબ્દોમાં મુક્યો અને એ ભાવ જાણે શાશ્વત થઈ ગયો. એ શબ્દો ય ચિરસ્થાયી બનીને રહી ગયા અને જ્યારે જ્યારે આપણે એવી જ કોઇ અનુભૂતિમાં એકરસ હોઈએ ત્યારે એ જ શબ્દો જાણે આપણા જ બની જાય એ કેવી અદ્ભૂત વાત જ કહેવાય ને?

આપણા ૧૪મી, ૧૫મી કે ૧૬મી સદીના આદ્ય કવિઓ- નરસિંહ મહેતા કે પ્રેમાનંદ આજે પણ આપણી સાથે કેટલા વણાયેલા છે એની અનુભૂતિ એ દિવસે થઈ. ઘટના ભલે વર્તમાનમાં બનતી હોય પરંતુ એના તાંતણા એ સદીઓ સુધી આપણને સાંકળી લે છે. સદીઓ પહેલા રચાયેલી રચનાઓ સાથે એટલી હદે વણાયેલા હોય છે કે એને આપણે યાદ સુધ્ધા કરવા નથી પડતાં. એ આપોઆપ આપણા મનમાં ઉગી આવે છે.

ક્યારેક જાગીએ ત્યારે અજાણતા ય મનમાં કૃષ્ણ ગોવાળિયાને જગાડતો નરસૈંયાનો સૂર આપણી ચેતનાને ઝંકૃત કરી દે છે ને? ક્યાંક ક્યારેક વૃંદાવન શબ્દ કાને પડે અને ગગનમાં ગાજતી વૃંદાવનની મોરલીનો નાદ આપણા મનમાં ઉઠે છે. આજે પણ અઢાર વાંકા અંગવાળા ઊંટને જોઈને દલપતરામને યાદ કરીને સહેજ હસી તો પડાય જ છે ને?  

આપણે ક્યાં નરસૈંયાને, પ્રેમાનંદને કે મીરાંને મળ્યા છીએ? બરાબર ? તેમ છતાં એ સૌ આપણામાં જ વસતા હોય એવું ઘણીવાર અનુભવીએ છીએ ને? એમની રચનાઓ, પદો અને આપણી લાગણીઓ એકાકાર થઈ જાય ત્યારે કવિતાઓ શબ્દોની સરિતામાં મુકાઈ જાય.

બસ, એવી જ રીતે એ દિવસની ઘટના અને પ્રેમાનંદના શબ્દો એકાકાર થઈ ગયા…


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com 

૨ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

એ સમય હતો દિવાળીના દિવસોનો. મોટાભાગે એવું ય બનતું હોય છે કે જ્યારે આપણે જ્યાં નથી હોતા એની યાદ આપણને વધુ આવતી હોય. તમે પણ જો જો, ઘણા બધા લોકો આપણી દિવાળી પહેલા કેવી હતી એની મીઠી યાદો વાગોળતા રહેતા હોય છે. કારણ એનુ માત્ર એ કે એ ભૂતકાળની મીઠી-મનગમતી યાદો આજે પણ આપણને એટલી જ વહાલી લાગે છે અને જે વહાલું લાગે એ વાગોળવાનું તો સતત મન થયા જ કરે.
આજે પણ એવી જ એક યાદની વાત કરવી છે.
આજથી લગભગ  એક વર્ષ પહેલા એટલેકે દિવાળીના દિવસની જ આ વાત છે. આમ તો દિવાળી હોય એટલે આપણે દેવદર્શને તો જવાના જ. એ દિવસે અમે મંદિર પહોંચ્યા ત્યારે મંદિરના બારણા અંદરથી લૉક હતા પણ કાચના બારણાની પેલે પાર ઘણા બધા લોકો હિલચાલ કરતા તો દેખાયા. અમારી સાથે વડીલ હતા એટલે એમની અવસ્થાને લીધે અમને લૉક ખોલીને અંદર લીધા અને ત્યારે જોયું તો અહીં વડીલો માટેની પ્રવૃત્તિ ચાલતી હતી. જરા વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે અહીં વયસ્ક લોકો માટે યોગ, અલગ અલગ વ્યક્તિઓને બોલાવીને વડીલોને રસ પડે એવી વાતો, ક્યારેક ગીત -સંગીત તો ક્યારેક રાસ-ગરબા અને ક્યારેક વડીલોના વાંચન-જાણકારી કે જ્ઞાનને અનુરૂપ ક્વિઝનું આયોજન થતું હોય છે. વળી વડીલોને પ્રિય એવા ભજનની સાથે ભોજનની પણ વ્યવસ્થા પણ ખરી હોં…. દર સપ્તાહે અલગ અલગ જગ્યાએ પિકનિક અને શોપિંગ પર પણ ખરું. અહીં એને  સિનિઅર ડે કેર સેન્ટર કહે છે. ઢળતી ઉંમરે પહોંચ્યા પછી ય આવું પ્રવૃત્તિથી ભરપૂર , તેજીલું જીવન કોને ના ગમે?
મઝાની વાત હવે આવે છે. અમે ખાસ જેમના માટે દેવદર્શને ગયા હતા એ વડીલ તો આ જાણીને રાજી રાજી અને એ તો જોડાઈ ગયા આ ડે કેર સેન્ટરમાં અને હવે તો મળીએ ત્યારે એમની રોજ-બરોજની પ્રવૃત્તિ વિશે એટલા તો ઉત્સાહથી એ વાતો કરતા હોય છે કે જાણે એક નવું જીવન શરૂ થયું.
વાત જાણે એમ હતી કે દેશમાં એમનું પોતાનું સરસ મજાનું ગ્રુપ હતું જેમાં અનેકવિધ પ્રવૃત્તિથી એમના દિવસો સરસ રીતે પસાર થતા હતા. પાછલી ઉંમરે જીવનસાથીની ચિરવિદાય પછી પરિવાર અહીં અમેરિકામાં હોવાથી  એમને અહીં લઈ આવ્યા. ઘરનું સ્નેહભર્યું વાતાવરણ, પુત્ર અને પુત્રવધુ બંને ડૉક્ટર એટલે એમના દ્વારા સંપૂર્ણ કાળજી છતાં જાણે જીવનમાં કશુંક ખુટતું હોવાનો સતત અહેસાસ રહ્યા કરતો. સ્વભાવિક છે જીવનના ૬૦ વર્ષ જેની સાથે ગાળ્યા એની વસમી વિદાય તો એક કારણ હતું જ પણ આ ડે કેરમાં જોડાયા પછી અમને સમજાયું કે એમના જીવનસાથીની સાથે સાથે એમને હમઉમ્ર સાથીઓને પણ ખોટ સાલતી હતી.  જે ખોટ પુરાવાની નથી એના માટે તો કોઈ ઉપાય નહોતો પણ જે ઉપાય મળ્યો એનાથી એમનું અહીં રહેવું સહ્ય જ નહીં સરળ બન્યું.
એ સમયે મંદિરમાં જે જોયું, અનુભવ્યું ત્યારે મારા મનમાં સાગમટે આપણી દિવાળી, આપણા ભજન,ગીત-ગરબા જે સાવ નાનપણથી સાંભળતા આવ્યા હતા એ તો યાદ આવ્યા, જાણે મનનું તળ વિંધીને ઉગી આવ્યા. એના પરથી પ્રેરાઈને જે લખ્યું એ મારી અભિવ્યક્તિ હતી પરંતુ જે આજ સુધી જોઈ રહી છું, અનુભવી રહી છું એ સત્ય તો ખરેખર ખુબ સુંદર છે. કાવ્યો સાથે આપણા મનનો મેળ સધાય એના કરતાંય મધુર કાવ્યમય જીવન જીવાય એ મઝાની વાત નથી?
આજના દિવસે પણ એ વડીલના સૂરમાં એ ગીતોનો ગુંજારવ સંભળાય છે અને ત્યારે સાચે જ મન પ્રસન્ન થઈ જાય છે. એમની પ્રવૃત્તિની વાત કરતા હોય ત્યારે એમના ચહેરા પરની ચમક અને મન મોર બની થનગાટ કરે ગીત પર એમનો થનગાટ જોઈએ છીએ ત્યારે એમનો રાજીપો અંતરને ઉજાળી જાય છે. એ એક દિવસની ઘટના જીવનભરના આનંદમાં તબદીલ થતી જોઈ. કોઈક ઘટના એવી હોય જેનો આનંદ ક્ષણિક હોય અને કેટલીક ઘટનાઓનો આનંદ ચિરસ્થાયી.. આ ચિરસ્થાયી ઘટનાઓને જ આપણે પ્રસંગનું નામ આપતા હોઈશું ને?
“કવિતા શબ્દોની સરિતા”એ મને આવી તો અનેક ચિરસ્થાયી યાદો આપી છે. એની પણ વાત કરીશું…..

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૧-કવિતા શબ્દોની સરિતાની સાથે-સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

એક સવારે પ્રજ્ઞાબેન રણક્યા…ફોન પર સ્તો. અને મને ‘હકારાત્મક અભિગમ’ વિશે લખવાનું કહ્યું.
“ અરે આ તો મારો મનગમતો વિષય..” હું તો રાજી રાજી …કારણકે સાવ નાનપણથી એવી વાતો વાંચવી ગમતી જે સાવ સરળતાથી આપણને કશુંક કહી જાય. કંઈક શીખવી જાય, આપણા મનને કોઈક સંદેશો આપી જાય. સાચું કહું તો આજે પણ આવી સાવ નાનકડી પણ અર્થસભર વાતો હજુ પણ એટલી જ વાંચવી ગમે છે. એ વાતના અનુસંધાનમાં અવનવા વિષયને લઈને દર સોમવારની ઉઘડતી સવારે એક વર્ષ સુધી લેખ આપ્યા. એક વર્ષ તો આંખના પલકારામાં વહી ગયું.
વળી એક સવાર અને પ્રજ્ઞાબેન રણક્યા.. ફોન પર સ્તો…અને મને કાવ્યો, કાવ્યો થકી થતી અનુભૂતિ વિશે લખવાનું કહ્યું.
જો જો મઝા…મૂળ રહી હું ગદ્યની વ્યક્તિ..
વાંચવામાં પણ મારું ધ્યાન સૌથી પહેલા ગદ્ય તરફ જ ખેંચાય. ગીત, ગઝલ કે કાવ્યો ય વાંચવા ગમે તો ઘણા, માણવાની પણ મઝ્ઝા આવે. સંગીતની મહેફિલ માણવી ય ખુબ ગમે પણ લખવાની વાત આવે એટલે મારી અભિવ્યક્તિ આપોઆપ ગદ્ય સ્વરૂપે જ પ્રગટે.
એક નવી, અલગ માનસિક સફર શરૂ થઈ. નવો વિચાર, નવો અભિગમ અને એને એવી રીતે મુકવાનો જેમ ખળખળ વહેતી સરિતા.
પદ્યના પણ કેટલા સ્વરૂપ? આપણે જન્મથી જ માતાના હાલરડા સાંભળતા જ મોટા થયા ને? પછી જોડકણા, બાળગીતો અને સૌના શિરમોર જેવી પ્રાર્થનાઓ પણ ખરી જ…એ તો  સૌ કોઈના પણ જીવનના આરંભથી માંડીને અંતે પ્રાર્થનાસભા સુધી…. આમ એક નહી અનેક સ્વરૂપે પદ્ય આપણા જીવનમાં જન્મથી જ જોડાયેલું અને વણાયેલું રહ્યું છે.
આપણે વાત કરતા હોઈએ, કોઈ સરસ દ્રશ્ય નજર સામે આવે ત્યારે, એ સમય-સંજોગો અનુસાર કોઈ ગીત, ગઝલ યાદ આવી જતી હોય એવું ય ઘણીવાર નથી અનુભવ્યું? અરે, ખુબ ખુશ હોઈએ ત્યારે ગણીગણી ઉઠીએ છીએ ને? પણ એ સાવ સ્વભાવિક સ્થિતિ હોય એટલે કદાચ કોઈ ગીત ગણગણીને આપણે આગળ વધી જઈએ અને એ ક્ષણ ત્યાં જ સ્થિર થઈને રહી જાય એવું બને. હવે એ જ વાતને જ્યારે એક સ્વરૂપ આપવાનું નિશ્ચિત થયું ત્યારે ફરી એ તમામ ક્ષણો મનમાં સળવળી.
મઝાની વાત તો એ બની કે ‘કવિતા શબ્દોની સરિતા’ લખવાનું  શરૂ થયું એ સમય હતો સરી જતા શ્રાવણનો. આ શ્રાવણ પણ ભારે મોજીલો હોં…. મનમાં આવે તો જતા જતા ય હળવેથી આવીને ક્યારેક આપણને વહાલથી વળગી પડે.  શ્રાવણની એ ઝરમરમાં તો ભલભલા શુષ્ક જીવો ય ખીલી ઉઠે. હળવી થપાટે વહેતો પવન હોય, શ્રાવણના સરવડિયા હોય અને ચારેકોર નજરની સામે ધરતી લીલીછમ ઓઢણી ઓઢીને રૂમઝુમ થતી હોય તો આપણું મન પણ ઝૂમી જ ઉઠે ને?
વળી એમાં ઉમેરાયા આપણા ઉત્સવો.. રામ-કૃષ્ણ કે મહાવીર જન્મના ઉત્સવો..ત્યારે મનમાં વિચાર આવ્યો કે આ સૌના જન્મ અને જીવનને આપણે કેવા અનેરા ભાવથી જોઈએ છીએ ?આપણું જીવન પણ ઈશ્વરીય ભેટ જ છે ને? તો ચાલો આપણે પણ આપણા જન્મ અને જીવનને એક ઉત્સવની જેમ જીવી લઈએ અને જ્યાં ઉત્સવ હોય ત્યાં તો ગીત-ગુંજન તો હોય જ ને?
અમસ્તા ય આપણી સંસ્કૃતિમાં દરેક પ્રસંગ માટે કેટલા બધા ગીતો લખાયેલા છે? જન્મ, મરણ, લગ્ન—અરે લગ્નના પણ કેટલા ગીતો? કંકોતરી લખાય, ગણેશ સ્થાપન થાય ત્યારથી માંડીને દરેક વિધિના વિવિધ ગીતો. માણેકથંભ, માંડવા મુરત, પીઠી, ફેરા, છેડાબંધી, મંગળગીત, વિદાયગીત…
આપણી સંસ્કૃતિ, આપણા રીત-રિવાજો, સઘળું ય કાવ્યમય.
વળી આ જન્મોત્સવની પાછળ પાછળ આવતી નવરાત્રી તો ઉત્સવની રાણી અને બસ પછી તો મન પણ હેલે ન ચઢે તો જ નવાઈ.
મનની સાથે મોસમ પણ ખુલી. અને હા! અહીંની મોસમ સાવ અનોખી. એની રૂખ બદલતા જરાય વાર ન લાગે.  તે સમયે નજર સામે વેરાયેલી આ વનરાજીએ પણ રંગ બદલવા માંડ્યા હતા અને આજે અત્યારે આ સમયે પણ એ જ નજારો છે. નજર સમક્ષ આપણા જીવનના નવરસની જેમ પ્રકૃતિએ નવરંગ ધારણ કર્યા છે. આ સામે દેખાતા સુગર મેપલ, સૂમૅક, ડૉગવુડે પણ કેવી અનોખી રંગછટા ધારણ કરી છે?  આ લીલાછમ વૃક્ષોએ લાલ-પીળી, શ્યામ ગુલાબી ઓઢણી ઓઢી છે. તો કોઈએ પીળા પિતાંબર પર કેસરી ખેસ ધારણ કર્યો છે.
નજર ભરાઈ જાય એવા સમયે તો આપણું મન પણ ગણગણી જ ઉઠે ને? માટે જ તો એ ભાવને ગીત-ગઝલ કે કાવ્યના સ્વરૂપે ઢાળવામાં આવતા હશે ને? મનમાં ઉઠતા તરંગોને વહેતા મુકવા કાવ્યમય રજૂઆતથી વધીને બીજું શું હોઈ શકે ભલા? થોડામાં ઘણુ કહી જતી પદ્ય રચનાઓ વિશે વાત કરવાની ક્ષણને મેં સ્વીકારી લીધી અને આમ વહેતી થઈ મારી ‘કવિતા શબ્દોની સરિતા’..
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

-કવિતા શબ્દોની સરિતા સમાપન- રાજુલ કૌશિક

પ્રિય વાચક મિત્રો,

કવિતા શબ્દોની સરિતા શરૂ થઈ ૨૦૧૮ની આઠમી ઓક્ટૉબરે. જો સમય અને સંજોગો અનુકૂળ રહ્યા હોત તો કદાચ આ સરિતાની પરિક્રમા બરાબર એક વર્ષે સંપૂર્ણ થઈ જ હોત, પણ સમય કે સંજોગો ક્યારે આપણા આધિન હોય છે? આપણે એના આધિન….

આ શબ્દોની સરિતા ખરેખર કહું તો એ કોઈ એક વિષયને આધિન નહોતી એ તો હતી ભાવજગતની સાથે સંકળાયેલી પરિક્રમા. ક્યારેક કોઇ એવી ક્ષણ આવે, કોઈ એક અનુભવ થાય ત્યારે મનમાં ઉઠતા વિચારોની સાથે જ એ ક્ષણે વર્ષો પહેલાં લખાયેલા, કાવ્ય સ્વરૂપે પ્રગટેલા શબ્દો ખરતા તારાના તેજ લિસોટાની જેમ મનમાં ઝબૂકી જાય.

તો ક્યારેક કોઈ કાવ્ય વાંચતા એની સાથે જોડાઈ જાય મારા મનમાં ઉઠતા વિચારો કે જીવનની કોઈ એવી ઘટના જે ક્યારેક જીવી હતી. શબ્દો સાથે જોડાઈ જાય એવો કોઈ અનુભવ કે લાગણી જે વિસ્મૃતિમાં સરી ગઈ હોય અને અચાનક પાણીમાં ઉઠતા પરપોટાની જેમ મનની સપાટી પર ઉઠી આવે, લાગણીના તરંગોની લહેરની જેમ ધસી આવે.

આ પદ્ય-ગદ્યની શબ્દયાત્રામાં માનવ, માનસની સાથે કુદરત પણ જોડાઈ હતી. એના વગર તો વળી શબ્દોના સાથિયા કેવા? ક્યારેક કવિતા પાનખરના રંગે રંગાઈ તો ક્યારેક વસંતની જેમ મહેકી. ક્યારેક ઝરમર વરસી તો ક્યારેક હેલી બની. ક્યાંક સૂકા રણની તરસ તો ક્યાંક ઝાંઝવાનું જળ બની. ક્યારેક ફૂલો પરનું ઝાકળ તો ક્યારેક હીરાની કણીની જેમ વિખરાઈ.   

વળી વર્ષમાં આવતા, આપણી આનંદની અવધિ વધારતા વાર-તહેવારોની ઉજવણીઓએ પણ રંગત અને સંગત જમાવી અને આ ભાવજગતને જીવંત બનાવ્યું.

અને આ માત્ર ક્યાં મારું જ હતું ? એ તો હતું મારું, તમારું, આપણા સૌનું ભાવજગત. ક્યાંક કોઈનો આનંદ, ક્યાંક કોઈની પીડા, કોઇની કથા તો કોઇની વ્યથા, કોઈની આશા-અપેક્ષા-કોઈની આરત તો ક્યારેક ઈશ્વરની આરતી સ્વરૂપે એ શબ્દોમાં મુકાતું ગયું અને આપ સૌના પ્રતિભાવોથી છલકાતું રહ્યું.

ક્યારેક શબ્દો સાચા લાગ્યા હશે તો ક્યારેક કાચા પણ પડ્યા હશે પણ મનની વાત તો સાવ જ સાચૂકલી હતી હોં કે…..

એક સવારે જ્યારે પ્રજ્ઞાબેને આ વિષય પર વિચારવાનું, લખવાનું કહ્યું ત્યારે પદ્યના ઊંડાણને સમજવાની, એમાંથી જીવનના અર્થ-અર્ક પામવાની તક સમજીને એ સૂચન સ્વીકારી લીધું અને સાચે જ આજે આ સફરના વર્ષાંતે એ અનુભવ મઝાનો રહ્યો એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી.

કવિતા શબ્દોની સરિતાના પ્રારંભે સાથે વહેવાનું આમંત્રણ આપ્યું હતું આજે સમાપન સમયે એટલું કહીશ કે આ એક વહેણ હતું જેના રસ્તા-વળાંકો બદલાશે આપણે નહીં. આપણે તો ફરી મળતા જ રહીશું કોઈ અન્ય સફરે, કોઈ અન્ય મુકામે. આપણી હવેની સફરનું નિમિત્ત ફરી કોઈ કવિની કૃતિઓ કે લેખકનું સર્જન જ હોવાનું કારણકે વર્તમાન સમયે પાશ્ચાત્ય સંસ્કૃતિની વચ્ચે રહીને પણ આપણે ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાની છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

“કવિતા શબ્દોની સરિતા”-રાજુલ કૌશિક

મિત્રો,
રાજુલબેનની કોલમ કવિતા શબ્દોની સરિતા ના ૫૧ લેખ પુરા થાય છે.
તો ચાલો રાજુલબેનને વધાવીએ.
રાજુલબેનની કલમ વધુ ગદ્ય લખતી અને તેને મેં જયારે કવિતા પર લખવા કહ્યું ત્યારે થોડા અચકાયા મને કહે હું કદાચ ૫૧ લેખ પુરા નહિ કરી શકું તો ? એ એમની અવઢવ માત્ર હતી. કવિ અને કવિતા તરફનો આદરભાવ અને એ વણખેડ્યા ક્ષેત્રને પુરતો ન્યાય આપી શકશે કે કેમ એની અવઢવ હતી.  
એ પલાયનવાદી પણ નથી અને નથી એ નિરાશાવાદી. નથી કર્યું એ કામ એમણે સ્વીકાર્યું ત્યારે આદરભાવ થયો અને મારી નજરે માન પણ વધ્યું. શરૂઆતમાં  ભલે અચકાયા પણ પછી સરિતાના વ્હેણમાં એક પછી એક લેખ લખાયા, કવિતાની પંક્તિ મળી એના કરતા કહીશ પંક્તિઓ જાણે ફૂટી.
દરેક વ્યક્તિમાં અંદરની લખવાની ઉત્સુકતા,  જીજ્ઞાસા હોય છે. રાજુલબેનમાં પણ લખવાની ધગશ હતી અને માટે જ કવિતા જાણતા અજાણતા એના જીવનમાં પ્રવેશી ગઈ પાન લીલું જોયું અને હરીન્દ્ર દવે યાદ આવી ગયા ડુંગરો જોયા અને ઉમાશંકર જીવિત થયા અને એમની કલમે કવિતાનો લય જાણે વહેતો કર્યો. તમે હું આપણે સૌ જાણે ખેચાંતા ગયા આપણે સૌ માણતા ગયા કવિતાને, ભાષાની એક પરિપક્વ અભિવ્યક્તિને વાંચતા ત્યારે દરેક કવિ પણ જાણે જીવંત થયા, કવિતામાં જે આનંદ, જે રસ છૂપાયેલો હોય છે તેને શોધી અનુભવી એક ભાવકની જેમ પ્રગટ કર્યા અને એમ કરતા રાજુલબેને કવિની સર્જકતાને ગરવી ઊંચાઈ આપી.
એટલું અહી ચોક્કસ કહીશ કે આજની તારીખે કવિતાના પ્રકારો હેતુઓ ભલે બદલાયા હોય પણ કવિતાના તત્વ આજે પણ આપણને સૌને જોડી રહ્યા છે. જેનો અહેસાસ રાજુલબેને કરાવ્યો અને એના એમના લેખમાંથી કવિતાનો કલરવ પ્રગટ થયો, ક્યારેક એમણે રણમાં વાદળી પણ વરસાવી તો ક્યારેક પાંપણના બંધ તોડી આપણને લાગણીના પૂરમાં ખેચી લઇ ગયા. કવિની કવિતાને પૂરી પ્રમાણિકતાથી ન્યાય આપ્યો પોતાના શબ્દોમાં કવિનો અવાજ શબ્દ અને કવિતાનું સત્વ અને તત્વ દટાઈ ન જાય તેવી જાગૃતા સાથે બધા લેખ લખ્યા પોતે કવિના શબ્દને માણ્યો અને કવિના મિજાજને ભાવને ઓળખી જીવંત કર્યા.
કેટલીક પંક્તિઓ એવી હોય છે કે સમગ્ર કાવ્યના સંદર્ભ વિના પણ માણી શકાય છે એની ખાત્રી અને અહેસાસ રાજુલબેને કરાવ્યો તો ક્યારેક ફૂલો તો ક્યારેક સુંગધની હવા,સાથે વેદના અને સંવેદનાની ભૂમિકા રાજુલબેને પ્રગટ કરી. કવિ તો પ્રકૃતિના સૌન્દર્યને અને પ્રેમીની વેદનાને અનેક પ્રકારે વર્ણવે પણ કવિ અને તેની કવિતા વિશે ચાલતી કલમે વાત કરવી એ પવન પર જાજમ પાથરવા જેવી વાત છે. પણ રાજુલ બેને તેમના ૫૧ લેખો પુરા કરી આપણને “કવિતા શબ્દોની સરિતા”માં સાહિત્યનો આનંદ કરાવ્યો. બેઠક અને તેના દરેક સર્જકો અને વાંચકો તરફથી રાજુલબેનને ‘અભિનંદન’.
હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ “શબ્દોના સર્જન” પર એક નવા વિષય સાથે આપની કલમ રજુ કરો. તે દરમ્યાન આ લેખ લખતા થયેલા આનંદ અને અનુભવને આપ દર સોમવારે લખી ચાલુ રાખો જેથી બીજાને લખવાની પ્રેરણા મળે.
આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. રાજુલબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
         – પ્રજ્ઞા દાદભાવાલા