ગુજરાતી અસ્મિતાના સર્જક ઉત્કૃષ્ટ જાણીતા નવલકથાકાર,નાટ્યકાર,વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી મારા માટે તો અઘરો વિષય.આવા અઘરા વિષયને રીટાબેને એક ફિલ્મ દિર્ગદર્શક પાત્ર કે પરિસ્થિતિ પકડી લે ,એમ રીટાબેને મુનશીને વાંચીને ઝીલ્યા અને માત્ર ઝીલ્યા નથી પણ આપણી સમક્ષ “કલમના કસબી:કનૈયાલાલ મુનશી”ના ૫૦ લેખમાળામાં એવી રીતે વહેતા કર્યા કે જાણે મુનશી હાજર હજૂર જ છે.
રીટાબેને એક જાજરમાન વ્યક્તિત્વના વાંચનનો આનંદ તો લીધો છે.પણ મુનશીને ૫૦ મણકામાં એવી રીતે પરોવી પ્રસ્તુત કર્યા અને તેમના વિશે આપણે વિચારવા પ્રેરાયા.આજેય આંગળીને વેઢે ગણી શકાય એવાં ગુજરાતીના પ્રતિભાશાળી અને લોકપ્રિય સર્જકો વિશે પૂછવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મુનશીનું નામ તેમાં અવશ્ય લેવાય.મુનશીની પ્રતિભામાં અને તેમના સાહિત્યમાં એવું તો કયું તત્ત્વ છે કે જેના બળે તેઓ આજના સમયમાં પણ કાળથી પર થઈને હયાત છે.આ વાત રીટાબેને પ્રસ્તુત કરી. ક્યારેક એમના પ્રવાસની તો ક્યારેક પાત્ર સ્વરૂપે મુનશીની ઓળખાણ કરાવી.એમની કલમ સામાન્ય કલમ નહોતી એવું પુરવાર કર્યું, તો તેની અંગત વાતો એવી રીતે મૂકી જાણે આપણા ઘરની વ્યક્તિ ન હોય!
આજની નવી પેઢીને મુનાશીમાં રસ પડશે? એવું લેખિકાએ વિચાર્યું નહિ પણ મુનશી વિષે નવી પઢી પણ વિચારશે,તેમના વિશે અને તેમના સર્જન વિશે જાણવા માટે વિચાર કરતા થશે એમ ધ્યાનમાં રાખી રીટાબેને સમગ્ર લેખમાળા લખી.મુનશીના દરેક સર્જનને આવરી લઇ મુનશી સાહિત્ય પીરસ્યું..બધું તો સમાવી ન શક્યા પણ લેખિકાએ મુનશીની સંવેદન અને સર્જનપ્રક્રિયાને ઝડપી ,આપણી સમક્ષ એવી રીતે મૂકી કે એમને વાંચવાનું મન થાય જ. અહી લેખિકાની સજ્જતા,વાંચન અને કોઠાસુઝને હું નવાજુ છું.
વાંચન દરમ્યાન ગમેલી પ્રત્યેક ક્ષણને એ ધબકારાને એમણે શબ્દોમાં એવી રીતે ઉતાર્યા કે આપણે સૌ એમના વાંચનના સહભાગી થયા.ઉત્તમ વાચક ક્યારેય એકાંગી નથી હોતો.પોતે જે અનુભવે છે તેને શબ્દોમાં અવતારી બીજા સાથે જરૂર વહેચે છે. માણસ માત્ર હકીકત અને વાસ્તવિકતાથી જીવતો હોય છે રીટાબેને મુનશીની વાસ્તવિકતાને જ પ્રગટ કરી.લેખિકાએ પોતે મુન્શીજીને વાંચ્યા અનુભવ્યા પછી ઠાવકી રીતે પ્રસ્તુત કર્યા.આ લેખમાળા રીટાબેનની વાંચનયાત્રા ના પડઘાનું રૂપાંતર છે.
આપણે કનૈયાલાલ મુનશીને અસ્મિતાના ઉદ્-ઘોષક તરીકે ઓળખીએ છે. જેના અણુમાં વ્યાપેલ અસ્મિતાનો ઉદઘોષ અને ભાષાપ્રેમને, નિરૂપણ કરવાનું કામ લેખિકાએ આ લેખમાળામાં કર્યું છે. આ રીટાબેને પહેલીવાર લેખમાળા લખી પણ એમણે એક લયમાં ચીલાચાલુ ન લખતા વૈવિધ્ય પ્રસ્તુત કર્યું અને મુનશીની કલમને અન્યાય ન થાય અને તેમનું કોઈપણ સર્જન રહીં જાય તેમ લેખમાળા લખી.ત્યારે વાચકોની દ્રષ્ટિએ એક અનુભવી લેખિકા તરીકે સ્થાપિત થઇ ગયા.જે લખવાનો પ્રયત્ન કરે છે તે જ પરિપક્વ બને છે. માત્ર લખવાની ઉત્કૃષ્ટતા હોવી જોઈએ. ઘણીવાર તબિયતને કારણે તેમનાથી ન પણ લખાયું પણ તેમ છતાં શ્રેણી પૂરી કરી તેનો મને ગર્વ છે.એમની કલમ સદાય લીલીછમ રહે તે માટે ફરી તેમને શબ્દોના સર્જનના બ્લોગ પર લખવા આમંત્રણ આપું છું.
પ્રજ્ઞા દાદભાવાળા